Feeds:
Posts
Comments

Archive for April, 2012

 

આમ તો સંસ્કૃતમાં એક શ્લોક છે કે જો માણસ પાસે ૧૦૦ સોના મહોર આવે તો તેને હજાર સોના મહોર આવે એવી આશા જાગે. હજાર સોના મહોર આવે તો તેને શેઠ થવાની આશા જાગે. શેઠને નગર શેઠ થવાની આશા થાય. નગરશેઠ ને રાજા થવાની આશા થાય. રાજા ને, ચક્રવર્તી રાજા થવાની આશા થાય. ચક્રવર્તી રાજા, ઈન્દ્ર થવાની આશા રાખે. ઈન્દ્ર, બ્રહ્મા થવાની આશા રાખે, બ્રહ્મા વિષ્ણુ થવાની આશા રાખે અને વિષ્ણુ, શિવ થવાની આશા રાખે. આશાની સીમા ને કોણ પહોંચ્યું છે?

(ચક્રેશેન્દ્રપદં, સુરપતિઃ બ્રાહ્મં પદં વાંચ્છતિ

બ્રહ્મા વિષ્ણુપદં, હરિઃ હરપદં, આશાવધિં કો ગતઃ?)

 પણ આની સામે પંચ તંત્રમાં એમ પણ કહેવાયું કે બહુ લોભ કરવો નહીં અને લોભને સદંતર  ત્યજી પણ ન દેવો. (અતિલોભઃ ન કર્તવ્યઃ, લોભં નૈવ પરિત્યજેત્‌)

 

ગાંધીબાપુની જેમ લોભને ત્યજવા માત્રથી મહાન બની જવાતું નથી.

મહાન થવા માટે ઘણા લક્ષણો જોઇએ. જેમકે વાંચન, વિચાર, સારાનરસાની સમજણ, પ્રમાણભાન, પ્રાથમિકતાનું ભાન, વ્યુહ રચના, બધી જાતની વહીવટી આવડત (મેનેજરીયલ સ્કીલ), નેતા બનવાની આવડત, અને સાધનશુદ્ધિ તો ખરીજ. સાધન શુદ્ધિમાં જો તમે વધારે પડતી બાંધછોડ કરો   તો તમારે જેલના સળીયા ગણવાનો વારો આવે પણ ખરો. જો કે તમે દેખી શકાય તેવી નિસ્વાર્થ ભાવના થી જેલમાં જાઓ તો તમારે બદનામી સહન ન કરવી પડે. અને તમે મહાન બની શકો. પણ એ જરુરી નથી કે આવા બધા જ ગુણો તમારામાં હોય તો તમે અચૂક મહાન એવા યુગપુરુષ બનો ને બનો જ. કારણ કે મહાન બનવું કે મહાન યુગપુરુષ બનવું એ અલગ સ્થિતિ છે. યુગ પુરુષ તમે કદાચ મરી ગયા પછી વર્ષો પછી કે યુગો પછી પણ બનો કે ન પણ બનો. આપણે ફક્ત સામાજીક ક્ષેત્રની જ વાત કરીએ છીએ.

 

તમે વૈજ્ઞાનિક હો તો વાત થોડી જુદી પણ હોઈ શકે છે.

વિજ્ઞાનના ક્ષેત્રે ટોચ ઉપર એકથી વધુ વ્યક્તિઓ હોઈ શકે પણ તેમાં પણ જે વહેલું સમજાય તે પહેલું એમ ગણાય છે. જેમકે રામાનુજમના સમીકરણ ૧૦૦ વર્ષ મોડા સમજાયા. અને આ સો વર્ષમાં શાસ્ત્રો ઘણા અગળ વધી ગયા. ત્યારે રામાનુજમની વિદ્યા કામ આવી. આદિશંકરાચાર્યને ધાર્મિક પ્રણાલી ગત રીતે યુગપુરુષ કહીએ છીએ. પણ તેમની મહાનતા અકલ્પનીય છે. તેઓ એ આમ તો વેદનો આધાર લીધો છે. તો આપણે સમજી જવું જોઇએ કે વેદમાં રહેલું તત્વજ્ઞાન ઈસ્વીસન પૂર્વે ૪૦૦૦ વર્ષથી ઈસ્વીસન ની આઠમી સદી સુધી પણ અકબંધ રહ્યું. આ કોઈ નાની વાત નથી.

આઈનસ્ટાઇનના સાપેક્ષવાદને સમજનારા તેના સમયમાં સમજનારા ગણ્યા ગાંઠ્યા લોકો હતા. અને આઈનસ્ટાઈન અદ્વૈત ક્ષેત્રની (યુનીફાઈડ ફીલ્ડ થીયેરીને) સાબિત કરવામાં અસફળ રહેલ. પણ તેમનો તર્ક સાચો હતો. શંકરાચાર્યના અદ્વૈત વાદને સમજવામાં તે સમયના અને હાલના પણ ભલભલા બાવાજીઓ અસમર્થ રહ્યા છે.

ત્રીકોણની ટોચ

આ બધી વાતો જવા દઈએ. સામાજીક ક્ષેત્રની વાત કરીએ તો મહાન બનવું કે યુગ પુરુષ બનવું તે ત્રીકોણની ટોચ ઉપર પહોંચવા બરાબર છે. આ ટોચ ઉપર એક સમયે એકજ વ્યક્તિ કે થોડીક વ્યક્તિઓ પહોંચી શકે છે. આ જગ્યાએ તક અને શક્યતાના (પ્રોબેબીલીટીના) સિદ્ધાંતો કામ કરે છે. તમારામાં લાયકાત હોય તો પણ તમે ન પહોંચી શકો. તમે અમુક હદે પહોંચીને અટકી જાઓ. એવું પણ બને  કે તમે ત્યાં સુધી પણ પહોંચી ન શકો. તમે રાજકારણમાં હો તો કદાચ નિસ્ફળ પણ જાઓ. સત્તાનું રાજકારણ પણ આમ તો સમાજશાસ્ત્રમાં જ આવે તો પણ તેના સમીકરણો અને શક્યતાઓ જુદી હોય છે.

સી.એમ. (સામાન્ય માણસ) ક્યાં સુધી પહોંચી શકે? શું સામાન્ય માણસ સીએમ (ચીફ મીનીસ્ટર) બની શકે ખરો?

 

“સામાન્ય માણસ” અને સામાન્ય કક્ષા અલગ અલગ છે.

માણસ માણસ વચ્ચે કેટલો ભેદ ઈશ્વરે રાખ્યો છે? વાસ્તવમાં ઈશ્વરે જેટલો ભેદ બીજા પ્રાણીઓમાં રાખ્યો છે તેટલો જ ભેદ ઈશ્વરે માણસ માણસ વચ્ચે રાખ્યો છે.

બીજા પ્રાણીઓ વચ્ચે કેટલો ભેદ છે? બીજા પ્રાણીઓમાં ઈશ્વરે બહુ ભેદ રાખ્યો નથી. મનુષ્યે પોતાના ઉપયોગને અનુલક્ષીને થોડા ભેદ ઉજાગર કર્યા હોય છે. ઈશ્વરે માણસ માણસ વચ્ચે કોઈ ઉચ્ચતા નીચતા બનાવી નથી. પણ માણસના દુર્ગુણોએ સર્જેલી સામાજિક સ્થિતિએ મોટા ભાગના મનુષ્યોની શક્તિઓને હણી લીધી છે.

 

મનુષ્યોમાં રહેલી શક્તિઓને આધારે મનુષ્યોમાં કેટલો ભેદ હોઈ શકે?

અમારા એક સર્વોદયકાર્યકર અને મિત્ર શ્રી બંસીભાઈ પટેલના કહેવા પ્રમાણે મનુષ્યો વચ્ચે નો ભેદ હાથની પાંચ આંગળીઓ વચ્ચે છે તેટલો ભેદ ઈશ્વરને માન્ય છે. આ ભેદ ઈશ્વરે કેમ માન્ય રાખ્યો છે? આ ભેદ એટલા માટે ઈશ્વરે માન્ય રાખ્યો છે કે તેમની વચ્ચે કોઈ સંઘર્ષ કે ઇર્ષા નથી. પાંચે આંગળીઓનો આધાર નીચેથી એક જ છે. કોઈ નાની છે. કોઈ પાતળી છે. કોઈ જાડી છે. કોઈ નજીક છે. કોઈ થોડી દૂર છે. પણ દરેક અલગ અલગ રીતે કામ કરી શકે છે અને તે બધી જ ઉપરથી ભેગી થઈને સરખી ઉંચાઈ ઉપર આવીને કામ  શકે છે.

તો આનો ઈશ્વરીય અર્થ એજ થયો કે મનુષ્યો વચ્ચે થોડો થોડો ભેદ તો રહેશે પણ આ ભેદ એવો હશે કે જે તેઓમાં વિસંવાદ અને સંઘર્ષ ઉભો નહીં કરે. તો ઈશ્વરીય ઈચ્છા એવી છે કે મનુષ્ય મનુષ્ય વચ્ચે આવી ભાવના ઉભી ન થાય.

સમાજમાં ઉભી કરવામાં આવેલી બધી વ્યવસ્થાઓ આ ઈશ્વરીય સિદ્ધાંત ઉપર હોવી જોઈએ.

તો સામાન્ય માણસે શું સમજવું જોઇએ. અને શું કરવું જોઇએ?

સામાન્ય માણસે સમજવું જોઇએ કે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે માણસ માણસ વચ્ચે બહુ ઓછો ભેદ છે. સૌ મનુષ્યે સહકાર પૂર્વક કામ કરવું. જેમ ઈશ્વર એક છે. તેમ મનુષ્ય સમાજ પણ એક જ છે. મૂળભૂત રીતે કોઈ નાનો કે મોટો છે જ નહીં. “હરિનો પિણ્ડ અખા કોણ શુદ્ર?”.

મનુષ્યો સમાજના કોષો છે. શરીરના કોષો પણ જીવંત અસ્તિત્વ છે. શરીરના કોષો જન્મે છે પોતાનું કામ કરે છે અને મરીજાય છે. કેટલાક અને કેટલીક જાતના કોષો વધુ જીવે છે અને કેટલાક ઓછું જીવે છે. પણ તે સૌ કોઈ જન્મે છે અને નાશ પામે છે. પણ આ બધા વચ્ચે  મનુષ્ય જીવતો રહે છે. આ મનુષ્યો પણ જન્મે છે. જીવે છે અને મરી જાય છે. પણ મનુષ્ય સમાજ જીવતો રહે છે. મનુષ્ય ગમે તેટલું કામ કરીને કમાય અને ગમે તેટલું ભણે પણ મરી ગયા પછી કશું તેને માટે કામનું રહેતું નથી. તો પછી આ બધું જાય છે ક્યાં?

માણસ જે કંઈ કરે તે જો અર્થ હીન બનતું હોય તો તે શું કામ આવું બધું કરે છે?

આમાં ઈશ્વરની ઈચ્છા શું હોઈ શકે?

વાસ્તવમાં મનુષ્યના કર્મો અને જ્ઞાન, સામાજીક સંપત્તિમાં જમા અને ઉધાર થાય છે. સમાજ એક ડગલું આગળ કે પાછળ જતો હોય છે.

માણસ પોતાના આનંદ માટે જીવે છે. પણ જો આનંદ બીજાઓને નુકસાન કરીને ન મેળવ્યો હોય તો સમાજ આગળ જાય છે. જો મનુષ્યે પોતાનો આનંદ બીજાને નુકસાન કરીને મેળવ્યો હોય તો સમાજ પાછળ જાય.

 સામુહિક રીતે મનુષ્યો પોતાનો આનંદ મેળવવા તેમણે કરેલા કામનો પારિણામિક (રીઝલ્ટંટ) સરવાળો શું થાય છે તેના ઉપર સમાજની પ્રગતિનો આધાર છે.

પ્રગતિ કોને કહેવી?

આમ તો બધું ભૌતિક જ છે. પણ માળખાકીય સુવિધાઓ જે માત્રામાં અને જે વ્યાપકતાએ સમાજના મનુષ્યોને ઉપલબ્ધ થાય તેના ઉપર સમાજનો આનંદ અવલંબે છે.

આનંદ બે રીતે  મળે છે. એક જ્ઞાન પ્રાપ્તિથી આનંદ મળે છે. બીજો સુવિધાઓથી આનંદ મળે છે. જો જ્ઞાન પ્રાપ્તિના માર્ગો સહુને માટે સરખા સુલભ ન હોય, તેવીજ રીતે સુવિધા પ્રાપ્તિના માર્ગો સહુને માટે સરખા સુલભ નહોય તો અસામનતા ઉભી થાય છે.

પાંચ આગળીઓમાં રહેલી અસમાનતા કરતાં વધુ અસમાનતા ઉભી થાય તો અસંતોષની ભાવના ઉભી થાય છે. આ સંતોષની ભાવનાથી અન્યાયની ભાવના ઉભી થાય છે. અન્યાયની ભાવના,  સમાજમાં આંતરિક સંઘર્ષને ઉત્પન્ન કરે છે. આ સંઘર્ષ સમાજને આનંદ પ્રાપ્તિના માર્ગમાં આડખીલીઓ ઉભી કરે છે. તેથી મનુષ્યકર્મ અને મનુષ્યશક્તિનો વ્યય થાય છે.

 

આનંદ પ્રાપ્તિનો શ્રેષ્ઠ માર્ગ કયો?

જ્ઞાન પ્રાપ્તિ નો માર્ગ એ શ્રેષ્ઠ માર્ગ છે. કારણ કે જ્ઞાન આપવાથી જ્ઞાન ઘટતું નથી પણ વધે છે. જ્ઞાન પ્રાપ્તિની સીમા નથી.

જ્ઞાન એટલે શું?

આપણે ત્રણ જગતમાં રહીએ છીએ.

આપણું મનો જગત. 

એટલે આપણું મન કેવીરીતે કામ કરે છે તે સમજવું અને તેને સમાજના હિતમાં જોડવું. ભગવત્‌ ગીતાને સમજો.

આપણી સિવાયના મનુષ્યોનું મનો જગત. 

એટલે કે સમાજ. સમાજમાં બીજા લોકોની વૃત્તિઓ કેવી હોય છે અને આદર્શ સમાજ કેવો હોવો જોઇએ. કેવી સમાનતા હોવી જોઇએ. શા નિયમો હોવા જોઇએ. માહાત્મા ગાંધીને સમજો.

ભૌતિક જગત એટલે કે બ્રહ્માણ્ડ. 

તેમાં શરીરો સહિતના કુદરતી તત્વો, સુક્ષ્મ થી વિરાટ જગત માં રહેલા બધા જ દૃષ્ટ, અદૃષ્ટ પદાર્થો, બળો, પરિબળો, ક્ષેત્રો, સહુ કંઈ આવી જાય. આ બ્રહ્માણ્ડ કેવું છે? કેવડું છે? તેના કયા નિયમો છે તે કેવી રીતે કામ કરે છે? આજ એક એવું જ્ઞાનનું ક્ષેત્ર છે જે સીમા રહિત છે અને તમે ગમે તેટલી માનવ શક્તિ નાખો તો તે ઓછી પડે. અનેકાનેક ન્યુટનો, આઈનસ્ટાઈનો, સ્ટીફન હૉકીન્સો અને અનેકાનેક ભૃગુઓ, ભારદ્વાજો,  શંકરાચાર્યો ઓછા પડે.

પણ શું સામાન્ય માણસ આ બધું સમજવાને શક્તિમાન છે?

કયો માણસ કયું કામ પસંદ કરશે તે તેના સ્વભાવ ઉપર આધાર રાખે છે. સ્વભાવ માણસની વૃત્તિઓ આધાર રાખે છે. વૃત્તિઓ માણસની અંદર રહેલા રસાયણોની માત્રા ઉપર આધાર રાખે છે. અને રસાયણોની માત્રા ત્રણ બાબતો ઉપર તો આધાર રાખે જ છે. આનુવંશિક, અનુભવો, પ્રતિક્રિયાઓ અને વિચારો. આનુવંશિકતા એ જન્મજાત છે. અનુભવો અને પ્રતિક્રિયાઓ સમાજ મારફત મળે છે. વિચારો પણ આમ તો થોડી ઘણી સામાજિક દેન હોય છે, પણ વ્યક્તિ પોતે પણ પોતાની આદતો, કાર્યો અને વિચારોના સમન્વય થકી સ્વભાવને બદલી શકે છે. એટલે જ ઈશ્વરે ગીતા માં કૃષ્ણભગવાનના મોઢે થી કહેવડાવ્યું છે કે કામોની પસંદગી મેં (પ્રકૃતિએ), મનુષ્યમાં રહેલા ગુણ (વૃત્તિઓ) અને વિચાર રુપી કર્મો થકી કરેલી છે. અને આમ સામાજીક કર્મોમાં વર્ગીકરણ થાય છે. શરીરના અંગોની જેમ તે એક બીજાને પૂરક છે.

માટે સામાન્ય માણસે પોતાના સ્વભાવ અને વૃત્તિ પ્રમાણે કામની પસંદગી કરવી કે જેથી   તે પોતાના સામર્થ્યનો ઉપયોગ શ્રેષ્ઠરીતે અને આનંદ પૂર્વક કરીને સમાજની સેવા કરી શકે.

જો મનુષ્ય પૈસા કમાવવાનું ધ્યાનમાં રાખવાને બદલે પોતાના સ્વભાવને કેન્દ્રમાં રાખે તો સમાજ વધુ તંદુરસ્ત થાય.

સુખ માટે ની ભૌતિક સુવિધાઓ અને તે આપવામાં રહેલી અસમાનતાઓનું શુ?

તે માટે મહાત્મા ગાંધીનો માર્ગ અપનાવ્યા વગર છૂટકો નથી.

સામાન્ય માણસ નીતિમાન રહી શકે ખરો? જો સંગઠીત રહે તો સામાન્ય માણસ ચોક્કસ રીતે નીતિમાન રહી શકે. જો સંગઠીત ન હોય તો પણ શક્યતાના સિદ્ધાંત પ્રમાણે, સામાન્ય માણસ મોટાભાગે સફળ અને સાર્થક રીતે રહી શકે. પણ એવું બને કે કેટલાક સામાન્ય માણસે સંક્રાતિના કામચલાઉ સમયમાં ભોગ આપવો પડે. આમ પણ હાલની મૂડીવાદી પરિસ્થિતિમાં કાયમ માટે અગણિત લોકોનો ભોગ તો લેવાય જ છે.

ટૂંકમાં સામાન્ય માણસ માટે નીતિમાન રહેવું એ એક આપત્તિ બની રહેશે એવું માનવું જરુરી નથી. તમે અનીતિમાન રહો તો આપત્તિ આવવાની શક્યતાઓ વધુ રહે છે.

નીતિમાન રહેવું એટલે શું?

ધારોકે તમે નોકરી કરો છો.

તમારા ઉપરી સાથે કેવીરીતે વર્તશો?

સૈધાંતિક રીતે સમજી લો કે તમે દેશની સેવા કરો છો.

દેશની સેવા એટલે જ્યારે દેશ ઉપર આક્રમણ થાય અને તે વખતે તમે કંઈક ત્યાગ કે દાન ધરમ કરો તેને જ દેશ સેવા ગણાય એવું કોઇએ સમજવું ન જોઇએ. દેશના દુશ્મનો દેશની બહાર જેટલા હોય છે તેનાથી અનેક ગણા અને તાત્કાલિક ન ઓળખી શકાય તેવા દુશ્મનો દેશની અંદર હોય છે.

તંદુરસ્ત શરીરની અંદર પણ કેન્સરના કોષો અને બીજા રોગોના જંતુઓ હાજર હોય છે પણ આપણા શરીરનું બંધારણ એવું છે કે આપણા શરીરના કોષો અને સૈનિક કોષો તેમને સબળ થવા દેતા નથી અને શરીરનું સતત રક્ષણ કરતા રહે છે. શરીરનું રક્ષણ જેમ એક સતત ચાલતી ક્રીયા છે, તેમ દેશની સેવા પણ એક સાતત્યવાળી સેવા છે.

તમને કોઈ વેદીયા ગણે તો તે વાતને અવગણી લો. આવા વિશેષણોથી તમને કોઈ નુકશાન થવાનું નથી. તમે તમારી માન્યતાને તમારા કાર્યશૈલી થી વળગી રહેશો તો તમને અને તમારી કાર્યશૈલીને  સ્વિકૃતિ મળી જશે. તમારી તરફનો આદર વધશે પણ ઘટશે નહીં.

નીતિમત્તાના લક્ષણોઃ

સમયસર નોકરીએ આવવું એ એક નીતિમત્તાનું લક્ષણ છે.

ખાસ અને અવગણી ન શકાય તેવા કારણવગર રજા ઉપર ન રહેવું.

નોકરી પર હો ત્યારે સમય બરબાદ ન કરવો

સોંપેલા કામમાં રહેલી મુશ્કેલી વિષે વિચારવું, તેની વિષે ઉપરી સાથે ચર્ચા કરી લેવી,

ઉપરીની મુશ્કેલી સમજવી અને સ્વિકારવી,

તમારા સિદ્ધાંતો ઉપરીને વાતવાતમાં સમજાવી દેવા, તમે તમારા સિદ્ધાંતોમાં કેટલી બાંધછોડ કરી શકો છો તે પણ જણાવી દેવું,

કામ ચીવટ પૂર્વક કરવું

કામ સફાઈદાર રીતે કરવું

કામમાં રસ લેવો,

કામમાં પોતાની ભૂલ થશે એવો ભય ન રાખવો,

કામનો પ્રોગ્રેસ ઉપરીને જરુર પડે જણાવતા રહેવું,

ઓફિસ છોડો ત્યારે ઉપરીને જણાવીને જવું.

કોઈની નિંદા ન કરવી. પણ સાંભળી લેવી જરુર. (કટોકટીના સમયે પરોક્ષ રીતે ઉપયોગ કરી શકાશે. બને ત્યાં સુધી આવા ઉપયોગથી દૂર રહેવું)

તમારો ઉપરી તેના વચનો પાળશે અને અંત સુધી સફળ રીતે મદદ કરશે તેવી આશા ઉપર નિર્ભર ન રહેવું. વિકલ્પો વિચારી રાખવા, અને આવનારી કઠોરમાં કઠોર પરિસ્થિતિ શું બની શકે તે વિષે પણ વિચારિ રાખવું. અને જો ઉપરી તમારા ઉપર વિશ્વાસ ધરાવતો હોય તો ચર્ચા કરવી.

તમારા ઉપરીનો પણ ઉપરી હોય છે. તેની સાથે જે સંવાદ થાય તેની જાણ તમારા ઉપરી ને કરવી. તમારા ઉપરીને અંધારામાં ન રાખવો.

તમારી કાર્ય શૈલી અને નીતિમત્તા તમારી આસપાસ એક વિશિષ્ઠ ક્ષેત્ર સર્જે છે. તેથી સ્થાપિત હિત ધરાવતા તત્વો પણ સમજશે કે તમે ખોટી વાત માનશો નહીં અને અન્યાય પણ નહીં કરો.

ગમે તેવો ખાઉકડ ઉપરી હોય તો પણ ચીવટ વાળા અને સમયસર થયેલા કામનો કોઈ વિકલ્પ નથી અને તેથી તમારો ઉપરી ખાઉકડ હોય તો પણ તમને અવગણી શકશે નહીં. તે તમારાથી ડરશે.  તે તેનું તમારી સાથેનું વર્તન સમયાંતરે સુધારશે. પણ ખાઉકડ ઉપરીથી ચેતતા રહો અને તેના ખોટા કામનો રેકોર્ડ રાખો. તમે તમારા ઉપરીના ઉપરી સાથે સંપર્કમાં આવવાની એક પણ તક ન છોડો. તમારા ઉપરી અને તેના ઉપરી એ બંન્ને વચ્ચે રહેલા કાર્યશૈલીના ભેદને સમજો અને તેની ઉપયોગીતા વિષે વિચારો. ત્રીજા લેવલનો ઉપરી પણ તમારી કાર્યશૈલી અલગ છે અને વ્યવસ્થિત છે તેવા પ્રસંગો ઉભા કરો.

જો તમારો ઉપરી ન સુધરે તેવો ખાઉકડ હોય તો ઝગડો કર્યા વગર અને કડવાશ રાખ્યા વગર બદલી કરાવી લો. બદલી થી ડરવું નહીં. વિશ્વસનીય કાર્યશૈલી ધરાવનારાઓની માગ હમેશા હોય છે જ. અને તેમાં કેડર, ભાષા, પ્રાદેશિકતા, જ્ઞાતિ ના ભેદો નડતા નથી.

એક વસ્તુ તમે સમજી લો કે તમને અનેક વખત સારા કામ કર્યા બદલ કદર મળશે નહીં. તો તેનાથી નિરાશ ન થવું. તમે તમારા કામ ઉપર નિયમન રાખી શકો છે. કર્મના ફળની ઉપર તમારું નિયમન નથી. પણ તમે જે કામ કર્યું તેણે તમારા મગજને ઘડ્યું છે. વાસ્તવમાં તમારું ઘડતર એજ તમારા કર્મનું ફળ છે. તમે દેશ માટે કામ કર્યું જ છે અને તે ઈશ્વરે જમા કર્યું છે. આ વાત સાચી છે. આ વાત ઉપર વિશ્વાસ રાખો. તમને તેની અચૂક અનુભૂતિ થશે.

જેઓ અણહકનું મેળવેછે અને બીજાની કદર કરતા નથી. તેઓનો સ્વભાવ અને કાર્યશૈલી એ રીતે ઘડાય છે. અને ઈશ્વર તેમને એ રીતે ફળ આપે છે.

તમારી નીચેના સ્ટાફ સાથે કેવી રીતે વર્તશો?

તમે ઈશ્વરીય પાંચ આંગળીનો સિદ્ધાંત માન્ય રાખ્યો છે. તેથી તમારા નીચેના સ્ટાફને પણ નિમ્ન કક્ષાનો ન માનવો.

તમારી નીચેના શ્તાફને તેમની મર્યાદાઓ અને પ્રશ્નો હોય છે. તેમાંના ઓછામાં ઓછા ૮૫ ટકા સભ્યો તમારી માન્યતાઓ સાથે કદમ મિલાવી શકે તેવા હોય છે. કેટલાક તો તમારાથી એક કદમ આગળ પણ હોય. તેમનું માન રાખો અને તેમને મહત્વ આપો.

દેશપ્રેમ બધામાં પ્રચ્છન્ન રીતે પડેલો જ હોય છે. તમારું કામ તેઓ દેશપ્રેમને ઓળખે તે છે.

કોઈની પ્રત્યે તેના કામની નબળાઈના કારણે કડવાશ ન રાખો.

તમને એવું લાગશે કે અમુક વ્યક્તિઓએ નક્કી કર્યું છે કે કામ ન જ કરવું.

આવી વ્યક્તિઓના વલણ પાછળના કારણો અલગ અલગ હોય છે. તેમના અંગત પ્રશ્નોને સમજો. અને તેમની સમસ્યાઓ પરત્વે સહાનુભૂતિ રાખો. બને તો તમારા ઉપરી અધિકારીઓ સાથે મળી ઉકેલની કોશિસ કરો. તમે તેમની સમસ્યા વિષે શું કર્યું તેની તેમને માહિતિ આપો અને આપતા રહો.

એકે બે ટકા એવા કર્મચારી હશે કે જે સુધરશે નહીં. તેમને બીન મહત્વના કામ સોંપો. તેમને સુધારવા માટે બહુ સમય બરબાદ ન કરો. પણ તેમની ઉપર નજર રાખો અને તેમની ક્ષતિઓની નોંધ રાખો. તેમની પ્રત્યે કડવાશ ન રાખો. જરુર પડે તેમને મદદ કરો. આમ કરવાથી તમે તેવા લોકો માટે પણ વિશ્વસનીય બનશો.

નિંદારસ બહુ મીઠો અને સ્વાદિષ્ટ રસ છે. પણ કદી કોઈની નિંદા ન કરો. નિંદાત્મક કાર્યોની સામાન્ય અને “ટુ ધ પોઈન્ટ” નિંદા કરો. પણ વ્યક્તિગત  નિંદા ન કરવી. બીજા લોકો જે નિંદા કરે તેનો આનંદ મેળવવો. કોઈની નિંદા ન કરવાનું મુખ્ય કારણ એ હોય છે કે કેટલીક નિંદાઓ કથાકથિત હોય છે અને તેમાં સત્ય કરતાં અસત્ય વધુ હોય છે. તે ઉપરાંત એવું બને કે જેની નિંદાકરવાની આપણને પ્રેરણા થાય તે વ્યક્તિ આપણી તરફમાં પણ હોય. ઓફિસમાં કદી ખાનગી રહેતું નથી. તેથી આપણે કરેલી નિંદા ગમે ત્યારે તે વ્યક્તિ પાસે પહોંચવાની જ છે અને આપણે કદાચ આપણો એક હિતૈષી ગુમાવી શકીએ છીએ. આનંદ માટે નિંદારસ કરતાં રમૂજવૃત્તિ થી કામ કરવું વધુ આનંદદાઈ બને છે.

જનતા પ્રત્યે કેવો અભિગમ રાખવો?

વાસ્તવમાં દેશ એ જનતા જ છે. અને જનતાની સેવા એજ દેશ સેવા છે. પણ જનતાનો જે હિસ્સો આપણી સાથે વ્યવસાઈ સંબંધોને કારણે હોય છે તેમાં સ્થાપિત હિતોનો સમાવેશ થાય છે. તેઓ ખોટું કામકરવા કટીબદ્ધ હોય છે. પણ જો તમે નીતિમત્તાવાળી કાર્યશૈલી ધરાવતા હશો, તો સમજી લો કે લાંચ આપનારો જન્મ્યો નથી. લાંચ આપનારો અને ખોટાકામ કરનારો ત્યારે જ જન્મે છે જ્યારે લાંચ લેનારો પાકે છે અને ખોટાં કામ ચલાવી લેનાર પાકે છે.

નિર્ણય લેનારો દરેક અધિકારી એક ન્યાયધીશ હોય છે. જો તમારા હોદ્દાને લાયક તમે હશો તો તમારા પગ જમીન ઉપર હશે અને તમે તમારુ ગૌરવ અને હોદ્દાનું ગૌરવ સાચવી શકશો. પણ જો તમે તમારા હોદ્દાને લાયક જ નહીં હો તો જ તમે તેનો ગેરલાભ લેશો. તમારે સમજવું જોઇએ કે જ્યારે તમે લાલચ આવી જાઓ છો અને પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવો છો ત્યારે તમે સિદ્ધ કરો છો કે તમે તે હોદ્દાને માટે નાલાયક છો.

સામાન્ય જનતા એ જ દેશ છે. સામાન્ય જનતાને પ્રત્યક્ષ કે પરોક્ષ નુકશાન કે અન્યાય ન થાય તેનું ધ્યાન રાખીને ફરજ બજાવો તેજ તમારો દેશપ્રેમ કહી શકાય.

સામાન્ય માણસને કેટલું જોઇએ?

માનવસમાજમાં સગવડોની અસમાનતા એટલી હદ સુધીની ચાલી શકે કે તેમની વચ્ચે હાથની પાંચ આંગળીઓ જેમ ભેગી થઈ શકે છે અને કામગીરી કરી શકે છે તેમ સંવાદ અને કામગીરી કરી શકે.

આ માટે વધુ વિગતથી પછી ક્યારેક જોઈશું.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

શું હાસ્યલેખકો હાસ્યાસ્પદ બની શકે?

હાસ્યલેખની તક ગુમાવી

હાસ્યલેખની તક ગુમાવી

હાસ્યરસઃ

આમ તો લેખકો માટે હાસ્યરસ નીપજાવવો સહેલો નથી. એટલું જ નહીં આ અઘરું પણ છે. મીમીક્રી અને અભિનયથી થી હાસ્ય નીપજાવી શકાય છે. મીમીક્રી પણ આમ તો સહેલી નથી. તેમાં શ્લેષ, યમક, પ્રાસ, વાણીના આરોહ-અવરોહ અને કટાક્ષ હોય અને આ બધું પ્રત્યક્ષ હોય તેથી ઠીક ઠીક હાસ્ય નીપજે છે. વળી અમારા ભાવનગરના શ્યામસુંદર હોય, જે અંદર સંગીત પણ ઉમેરે એટલે સોનામાં સુગંધ મળે. શ્યામસુંદરજી વિષે અમે એમ કહેતા કે જેમ સંસ્કૃતમાં કહેવાય છે કે “બાણોછિષ્ઠં જગત સર્વં.” જેમ મહાન કવિ બાણે સાહિત્યમાં કશું બાકી રાખ્યું નથી. જગત તો બાણનું એઠું ખાય છે અથવા બાણે જગતને એઠું કરી નાખ્યું છે. તેમ શ્યામ સુંદરભાઈએ દુનિયાની બધીજ જોક કહી નાખી છે.  

જોક્સથી પણ હાસ્ય નીપજાવી શકાય છે અને લેખો લખી ને હાસ્ય નીપજાવી શકાય છે. આપણે ફક્ત લેખોથી નીપજાવવામાં આવતા એક હાસ્યલેખકની વાત કરીશું.

ગુજરાતીમાં હાસ્યલેખકોનો દુકાળ છે એમ કહી શકાય.

જેમ સંસ્કૃતસાહિત્યમાં હાસ્યલેખકોનો અભાવ છે તેમ ગુજરાતી સાહિત્યમાં એટલો તો નહીં પણ ઠીક ઠીક અભાવ છે. સંસ્કૃત સાહિત્યમાં તો રમૂજ પૂરી પાડવા માટે ક્યાંક ક્યાં “ચમત્કૃતિ” હેઠળ મહાપુરુષો અને ભગવાનોની મશ્કરી કરતા શ્લોકો મળી આવે છે. પંચતંત્ર પણ રમૂજો પૂરી પાડે છે. પણ ગુજરાતી સાહિત્યમાં આટલા વ્યાપક ખેડાણ પછી હાસ્યલેખકોનો અભાવ સાલે છે. રણમાં મીઠીવીરડી સમા કેટલાક હાસ્ય લેખકો જરુર છે. જ્યોતીન્દ્ર દવે, રમણભાઈ નિલકંઠ, ધનસુખલાલ મહેતા, ફિલસુફ અને બકુલ ત્રીપાઠીના “ઉપર” ગયા પછી હાસ્યરસિક સાહિત્યની ખોટ તો સાલે છે જ. આમ તો વિનોદ ભટ્ટ, તારક મહેતા, “ગણપટ હુર્ટી”વાળા નિમેષ ઠાકર “છે” અને અથવા “બાકી રહ્યા” છે. ઈશ્વર તેમને લાંબુ આયુષ્ય આપે. વિનોદ ભટ્ટનું પેજ ફીક્સ હોવાથી બકુલત્રીપાઠીની જેમ ચૂકી જવાતું નથી.

એવું બને છે ક્યારેક કે જે લખવાનું હોય તે રહી જાય. જે ન લખવાનું હોય તે લખાઈ જાય.

આપણા વિનોદભાઈ ભટ્ટને લખવું હતું મમતા (બેનર્જી બેન) વિષે. તો ઈન્દીરાબેન વિષે પણ લખાઈ ગયું.

મમતાબેન-મનમોહન-દિનેશ ત્રીવેદી

મમતાબેન-મનમોહન-દિનેશ ત્રીવેદી ના તાજેતરના પ્રકરણ વિષે શ્રી વિનોદભાઈ ઠીક ઠીક રમૂજ ભર્યું લખી શક્યા હોત. એમને માટે બહુ સારો વિષય હતો. પણ જ્યારે ઉપસંહાર પૂર્વ નિશ્ચિત હોય ત્યારે લેખ “મોળો” પડી જાય છે. વળી શ્રી વિનોદભાઈએ મમતાબેનની સરખામણી ઈન્દીરા ગાંધી સાથે કરી અને બંન્નેની અયોગ્ય પ્રસંશા પણ કરી તેથી તેમના હાસ્યલેખે સત્વ સાવ જ ગુમાવ્યું એવું અમુકને તો લાગે જ.

રેલ્વે બજેટ અને પ્રધાનપદું

દિનેશ ત્રીવેદીએ રેલ્વે બજેટ બનાવ્યું મનમોહન સાથે મસલત કરી સંસદમાં રજુ કર્યું. મનમોહન સીંગે વખાણ પણ કર્યા. એટલે તેનો અર્થ એ થયો કે મનમોહનસીંગને દિનેશ ત્રીવેદીમાં વિશ્વાસ તો છે જ છે ને છે જ. એટલે ભારતીય બંધારણ પ્રમાણે તો મનમોહન સીંગ, દિનેશ ત્રીવેદીને દૂર કરી ન શકે.

દિનેશ ત્રીવેદીએ મમતાબેન સાથે રેલ્વે બજેટ વિષે ચર્ચા કરેલી કે નહીં, તેમની સાથે મસલત કરેલી કે નહીં, તેમની પરવાનગી લીધેલી કે નહીં અને આવું બધું કરવું તેમને માટે બંધારણીય રીતે જરુરી હતું કે નહીં અથવા બંધારણથી વિરુદ્ધ હતું કે નહીં, આ બધું સંશોધન અને ચર્ચા નો વિષય છે.

આ અગાઉ, અખીલેશ યાદવે કહેલ કે તેમનો પક્ષ સરકારને અસ્થિર કરવામાં માનતો નથી. તે અરસામાં કોઈપણ જાતના પ્રશ્નના અભાવમાં મનમોહન સીંગે નિવેદન આપેલ કે સરકાર પાસે બહુમતિની કોઈ સમસ્યા નથી. આ પછી રેલ્વે બજેટ દિનેશ ત્રીવેદીએ રજુ કર્યું. મનમોહન સીંગે તે બજેટના વખાણ કર્યા. લગભગ બધાએ જ વખાણ કર્યા. મમતાબેને ભાડા વધારાનો વિરોધ કર્યો. અને રેલ્વે મીનીસ્ટર તરીકે બીજાને રાખવા કહ્યું. પછી સામસામા નિવેદનો વિરોધી નિવેદનો થયા. આ બધાનો સરવાળો કરીને જોઇએ અને સંશોધનાત્મક ધારણાઓના ઘોડાઓ દોડાવીએ તો આપણા યુપીએના નેતાઓની માનસિક,  બૌધિક અને વ્યુહાત્મક તાકાતનો ભાંડો ફૂટી જાય છે. આ ભોપાળામાંથી ઘણી રમૂજ ઉત્પન્ન કરી શકાય.

સીંગ શબ્દના ત્રણ પ્રચલિત અર્થ છે. શીંગડા, શીંગ (દાખલા તરીકે ગવારશીંગ) અને સિંહ.  મનમોહન સીંગ વિષે એવી ધારણા રાખવામાં આવેલી (ખાસ તો મમતાબેનના વિરોધીઓ તરફથી અને ગુજ્જુઓ તરફથી પણ) કે, તત્કાલિન સમય મનમોહન સીંગમાટે સિંહત્વ (જો એક બે આની પણ હોય તો પણ), બતાવવા માટેનો શ્રેષ્ઠ સમય હતો. પણ મનમોહન સીંગ એ શીંગ (ગવાર શીંગની શીંગ) જ રહ્યા. મમતાબેન ધાર્યું કરી શક્યા.

“પરદે કે પીછે” શું વાતો હોઈ શકે? આ પણ રમૂજ કરવા માટે નો શ્રેષ્ઠ મસાલો હતો. પણ વિનોદભાઈ ભટ્ટ જેવા હાસ્ય લેખકની ધ્યાન બહાર કેમ ગયું તે સંશોધનનો વિષય છે.

મોટે ભાગે તો પડદા પાછળ એમ જ થયું હશે કે મનમોહન સીંગ, સોનીયા ગાંધી પાસે ગયા હશે. સોનીયા ગાંધી કે તેમના સલાહકારોએ કહ્યું હશે “મુલાયમ” અને “મમતા” એ બેમાંથી કોણ વધુ વિશ્વસનીય છે. આપણો દેખાનાર વિજય, આપણી મુત્સદ્દીગીરી અને અથવા દિનેશ ત્રીવેદીએ કહેલી દેશહિતની વાત મહત્વની નથી. આપણી નહેરુવીયન અને ઈન્દીરાઈ પ્રણાલી પ્રમાણે આપણી ખૂરસીઓ એટલે કે સત્તા જ મહત્વની છે. આપણે સત્તા મેળવવા માટે કે સત્તા જાળવી રાખવા માટે કંઈપણ અને બધું જ કરીએ છીએ. કૌભાન્ડો કરીએ છીએ, અફવાઓ ફેલાવીએ છીએ, બનાવટી ત્યાગ અને બલીદાનની વાતો કરીએ છીએ, ખોટા વચનો આપીએ છીએ, વિશ્વાસઘાત કરીએ છીએ, જનતાને અને સંસદને ગેરમાર્ગે દોરીએ છીએ, બનાવટી પ્રતિજ્ઞાઓ લઈએ છીએ, સંસદને અને અથવા વિધાનસભાઓને સ્થગિત, વિલંબિત, નિલંબિત, વિલયિત કરીએ છીએ, રાષ્ટ્રપતિ સંડાસમાં હોય ત્યારે વટહૂકમ ઉપર સહી કરાવીએ છીએ, આપણને જરુર પડે તો અર્ધી રાત્રે વટહૂકમો બહાર પાડીએ છીએ, જનતાના કુદરતી અધિકારોને પણ સ્થગિત કરીએ છીએ, જનતાને જ નહીં પણ ગાંધીવાદી શિર્ષ નેતાઓને પણ વગર ગુનાએ અનિયતકાલ માટે જેલમાં પૂરીએ છીએ વિગેરે વિગેરે આપણે ઘણું બધું કરીએ છીએ. ચીનાઓ જેમ આકાશ અને પૃથ્વીની વચ્ચે જે કંઈ હોય તે બધું જ ખાઈ શકે છે તેમ આપણે આકાશ ને પાતાળની વચ્ચે રહેલા શબ્દકોષોના જે કંઈ કર્મો (કુકર્મો), હોય એ બધા જ કરી શકીએ છીએ. પણ આ બધું આપણે સત્તા મેળવવા અને અથવા સત્તા ટકાવવા માટે કરીએ છીએ. આપણી સત્તા ભયમાં મૂકાય એવું આપણે કંઈ કરતા નથી. આપણે આપણા છેલ્લા ૬૨ વર્ષમાં આવું કશું કર્યું નથી અને કરીશું નહીં.

મમતાબેન આપખુદ હોય તેનો આપણને છોછ ન જ હોય. જેમ અમેરિકામાટે પાકિસ્તાનમાં આપખુદ સત્તા હોય તે જરુરી છે તેમ આપણા માટે પણ આપણા સહયોગીઓ પક્ષો આપખુદી વ્યક્તિ સર્વે સર્વા હોય એ જરુરી પણ છે. જેથી આપણે પણ એકનો જ ખ્યાલ રાખવો પડે. મમતાબેન આખાબોલા હોય કે ગુંગી ગુડીયા હોય તેથી આપણને ફેર પડતો નથી. આપણે આપણી નીંભરતા ઉપર ભરોસો રાખવો જોઇએ. ટૂંકમાં મુલાયમ કરતાં મમતાબેન આપણા માટે સારાં છે. એક વાત છે કે દિનેશભાઈ ત્રીવેદીને એમ લાગશે કે આપણે તેમને છેહ દીધો. આપણે તેમને મધ દરિયે લઈ ગયા અને ડૂબાડી દીધા. દિનેશભાઈ માટે આ વાત નવી છે પણ આપણા માટે આવું કરવું નવું નથી. માટે મમતાબેન કહે તેમ કરો. આપણા વિરોધીઓ તો બોલ્યા કરશે. આપણી જીભ સાબદી તો ઉત્તર ઝાઝા.

મમતાબેન અને ઈન્દીરાબેન વચ્ચે આપખુદીની સરખામણી જરુર થઈ શકે. પણ તેના ઉપર તાબોટા ન પાડી શકાય.

૧૯૬૫માં લાલબહાદુર શાસ્ત્રીના આકસ્મિક અવસાન પછી જે એલ નહેરુએ બનાવેલી સીન્ડીકેટની મદદથી ઈન્દીરા ગાંધીના નામની ભલામણ થઈ. પણ કોંગ્રેસના બંધારણ પ્રમાણે સંસદીય નેતાની ચૂંટણી થઈ શકે છે. સીન્ડીકેટના સભ્યો સત્તાધારી અને હોદ્દાધારી હતા. મોરારજી દેસાઈ કોઈ હોદ્દો ધરાવતા ન હતા. મોરારજી દેસાઈએ નેતાપદની ચૂંટણીનું ઉમેદવારી પત્રક ભર્યું. તેઓ ડબલ ફીગરમાં મત મેળવશે કે કેમ તેની શંકા હતી. કારણકે ૧૯૫૫ થી શરુ કરી ૧૯૬૫ સુધી તેમને ફક્ત બદનામ જ કરવામાં આવેલા. કોઈપણ જાતના તથ્યો વગર જ તેમને સમાચાર માધ્યમો દ્વારા બદનામ કરવામાં આવતા. આવું બધું હોવા છતાં પણ, મોરારજી દેસાઈ ૧૬૯ સંસદ સભ્યોના મત હાંસલ કરઈ લાવેલ. કામરાજે તો આશ્ચર્ય વ્યક્ત કરીને પૂછેલ કે ૧૬૯ મત તેમને મળ્યા છે કે ૬૯ મત?

૧૯૬૭ માં શું થયું?

૧૯૬૫ના અંતથી ૧૯૬૭ના સામાન્ય ચૂંટણી સુધી ઈન્દીરાએ નિસ્ફળતાઓ ભર્યો રાજકારભાર કર્યો. એટલે કોંગ્રેસ બહુ બદનામ થઈ. અને ૧૯૬૭ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને પાતળી બહુમતિ મળી. વળી પાછો સંસદના નેતાની વરણીનો પ્રસંગ ઉભો થયો. અને મોરારજી દેસાઈએ નેતાપદની ઉમેદવારીનું પત્રક ભર્યું. આ વખતે જો ચૂંટણી થઈ હોત તો મોરારજી દેસાઈના ચૂંટાઈ આવવાના ચાન્સ ઉજ્વળ હતા. એટલે સીન્ડીકેટના નેતાઓએ ઈન્દીરા અને મોરારજી વચ્ચે સમાધાન કરાવ્યું અને એક અલિખિત કરાર થયો કે મોરારજી દેસાઇને નંબર-૨, ડેપુટી પ્રાઈમ મીનીસ્ટર કરવા અને તેમને જે ગમે તે ખાતુ આપવું. મોરારજી દેસાઈ નંબર-૨, ડેપ્યુટી પ્રાઈમ મીનીસ્ટર અને નાણાં પ્રધાન બન્યા.

જો અર્થ તંત્રને મજબુત કરવું હોય તો બેંકોને કામ કરતી બનાવવી જોઇએ. અને તેથી સૌ પ્રથમ તો સરકારી બેંકો અને ખાનગી બેંકો જનતા માટે કામકરતી થાય. ધીરાણ નીતિ રીઝર્વબેંક નક્કી કરે છે. પણ જો સરકારી બેંકો લોકાભિમુખ થાય તો ખાનગી બેંકો પણ તેની સાથે સ્પર્ધામાં ઉતરે. આ કારણથી મોરારજી દેસાઈએ બેંકોનું સામાજીકરણ કર્યું. જેથી સરકારી બેંકો ધિરાણમાં લોકાભિમુખ બને અને વહીવટમાં પણ ઉણી ન ઉતરી જાય. આ એક શ્રેષ્ઠ નિર્ણય હતો. પણ જો નંબર-૧ (ઈન્દીરાગાંધી) કરતાં નંબર-૨ (મોરારજી દેસાઈ), વહીવટી અને વૈચારિક દ્રષ્ટિએ વધુ હોશીયાર હોય તો જનતામાં નંબર-૨ જ વધુ લોકપ્રિય બની જાય.  એટલે ઈન્દીરા ગાંધીએ મોરારજી દેસાઈનું નાણાખાતું પાછું લઈ લીધું.

કેન્દ્રીય પ્રધાનો, વડાપ્રધાનની કેબીનેટ ના સભ્યો હોય છે. અને વડાપ્રધાન તેના પ્રમુખ હોય છે. પક્ષની નીતિઓ પક્ષના પ્રમુખ નક્કી કરે છે. મોરારજી દેસાઈનું પ્રધાનપદુ એ પક્ષનો નિર્ણય હતો. મોરારજી દેસાઈની રુખસદ એ વાત વડાપ્રધાન દ્વારા, વડાપ્રધાન, પક્ષ અને મોરારજી દેસાઈ સાથે થયેલી સમજુતીનો ભંગ હતો. ભારતીય બંધારણ આમાં વચ્ચે આવતું નથી. એટલે ભારતીય બંધારણના ભંગનો પ્રશ્ન ઉભો થતો નથી. પણ આ એક પક્ષીય અશિસ્ત તો જરુર કહેવાય.

વળી “પ્રધાનપદ” એક માનનીય હોદ્દો છે. તેની ગરિમા જળવાવવી જોઇએ. આ માટે નિશ્ચિત પ્રક્રીયા હોય છે. વડાપ્રધાન કોઈ વ્યક્તિને અપમાન જનક રીતે હોદ્દા ઉપરથી દૂર કરે તો તેનાથી તે વડાપ્રધાનના સંસ્કારની નીચતા પ્રગટ થાય છે અને વડાપ્રધાન પદની ગરિમા હણાય છે. મોરારજી દેસાઈએ કહ્યું કે “મને કાંદાબટાકાની જેમ દૂર કર્યો તે બરાબર નથી”.

આશ્ચર્ય સાથે કહેવું પડે કે ભારતીય મૂર્ધન્યોએ, વિશ્લેષકોએ ઈન્દીરા ગાંધીના આ વલણને વધાવ્યું. આ વાત ભારતીય રાજકારણના સંસ્કાર માટે જ નહીં પણ તેના રક્ષકો એવા મૂર્ધન્યો ની બૌદ્ધિક કક્ષા માટે પણ શર્મનાક હતું.

દિનેશ ત્રીવેદીના કિસ્સા બાબમાં મમતા બેનર્જી અને મનમોહન સિંહ ઉણા ઉતર્યા છે. તેમના વલણ ઉપર આપણે તાલીઓ પાડીએ કે પરોક્ષરીતે વખાણીએ તો તે દેશના રાજકારણની કક્ષા માટે ખચિત આપણે જ જવાબદાર છીએ એમ સિદ્ધ થાય છે.

ઈન્દીરા ગાંધી પોતાના પક્ષમાં સર્વે સર્વા હતાં. કારણ કે જેએલ નહેરુના વખતમાં જે નાણા -ઉઘરાણું થતું તે વિકેન્દ્રિત હતું. અને ઈન્દીરા ગાંધીએ તે પોતાને હસ્તગત કરેલું. આ એક લાંબો વિષય છે. ચિમનભાઈ પટેલે ૧૯૭૪ના અરસામાં આ ઉઘરાણા વિષે એક ચોપડી બહાર પાડેલ. રસિકજનોએ આ ચોપડી તેમના સુપૂત્ર જે અત્યારે નહેરુવીયન કોંગ્રેસને શોભાવી રહ્યા છે તેમની પાસેથી હસ્તગત થાય તો કરવી.

જેની પાસે પૈસા છે કે પૈસાનો કારોબાર કે મંજુરી છે તેનું પક્ષમાં વધુ ચાલે. સિવાય કે તમારે તમારી ધરતીનો અને ચારિત્ર્યનો આધાર હોય. આ કારણથી કેટલાક સ્વાવલંબી, સ્વાશ્રયી અને સ્વાભિમાની નેતાઓ કોંગ્રેસમાંથી દૂર થેયેલ. પણ જે કચરો બાકી રહેલ તેની ઉપર સ્વાભાવિકરીતે જ ઈન્દીરા ગાંધીનો પ્રભાવ રહે જ. આ વાત રાજકારણનો નવો નિશાળીયો પણ સમજી શકે તેમ છે.

ઈન્દીરા ગાંધી અનિર્ણાયકતાના કેદી હતા. અને દેશની ગંભીર સમસ્યા હમેશા વણઉકલી રહેતી. ૧૯૬૬ થી ૧૯૭૧ (અને તે પછી પણ) બંગ્લાદેશી હિન્દુઓની હકાલ પટ્ટી અને બિહારી મુસ્લિમોની ભારતમાં હિજરત એ આ વાતના શ્રેષ્ઠ ઉદાહરણ છે. જયપ્રકાશ નારાયણે વિદેશની ખેપ મારીને ભારતની સમસ્યાની રજુઆત કરેલ. તેના પરિણામે અને પ્રભાવે વાત એટલીજ બનેલી કે જ્યારે પાકિસ્તાને ભારતની વિમાનપટ્ટીઓ ઉપર હવાઈ હુમલા કર્યા અને ભારતે ન છૂટકે વળતો જવાબ આપ્યો ત્યારે આ પશ્ચિમી ધરી વાળા દેશો ખાસ કરીને અમેરિકા ચૂપ રહ્યું. જોકે એવું કહેવાય છે કે અમેરિકા પણ ઇચ્છતું હતું કે બંગ્લાદેશ સ્વતંત્ર બને.

પાકિસ્તાન માટે ભૌગોલિક રીતે લશ્કરી વ્યુહરચના માટે પરિસ્થિતિ વિકટ હતી. બંગ્લાદેશી પ્રજા નો પાકિસ્તાનના સૈન્યને સપોર્ટ ન હતો. એ પણ એક મોટું માઈનસ પોઈન્ટ હતું. ભારત માટે સાનુકુળ પરિસ્થિતિ હતી અને યુદ્ધ જીત્યા સિવાય છૂટકો ન હતો. આ કોઈ ઈન્દીરા ગાંધીનો જવાબ ન હતો. પણ ભારતીય જનતા અને સૈન્યની બે વર્ષની ધિરજ, ઈન્દીરા ગાંધીની મજબુરી બની હતી. અને તમે જુઓ આ આખો વિજય ૧૯૭૩માં સિમલા કરાર હેઠળ ઘોર પરાજય માં પલટાઈ ગયો.

ઈન્દીરા ગાંધી કદી વિદેશ નીતિમાં કોઈ મોથ મારી શકી ન હતી. ખાલીસ્તાનની ચળવળ અને આતંકવાદનો દોર અને દોરીસંચાર પાકિસ્તાનથી થતો હતો. સિમલા કરારની ૧૯૭૩ના કરારની નિસ્ફળતા ઉડીને આંખે વળગે તેવી હતી. ખાલીસ્તાની આતંકવાદિઓ ઉઘાડે છોગ સુવર્ણમંદિરમાં શસ્ત્રો સહિત આવ જા કરે અને આતંક ફેલાવે તો પણ ઈન્દીરાગાંધી કોઈ કશો પાઠ ભણાવી ન શક્યાં. ગુનેગારને પકડવા માટે સુવર્ણ મંદિરમાં જઈ ન શકાય તેવો કોઈ કાયદો ન હતો. પણ વહીવટી નિસ્ફળતાએ ઢીલ કરાવી. ફાલતુ વટહુકમ ની ઘોષણા કરાવાઈ.

ભીંદરાણવાલેને મારવામાં જો કે ઘણું મોડું થઈ ગયું હતું. સુવર્ણ મંદિર ઉપરનો લશ્કરી હુમલો એ મોટો વિલંબ હતો. જો અગાઉથી સાવચેતના પગલાં ભર્યા હોત તો મોટી જાનહાની અને આતંક રોકી શકાયો હોત. અંતે વહીવટી નિસ્ફળતાએ ઈન્દીરા ગાંધીનો જાન લીધો. પાકિસ્તાનને ઈન્દીરાગાંધી કશો પાઠ ભણાવી શક્યા નથી.

૧૯૪૮-૪૯માં સરદાર પટેલને લીધે કાશ્મિર ગુમાવતા બચ્યા એ વાતને બાદ કરતાં   બહુ બહુ તો બીજેપીની સરકારે પશ્ચિમની સરહદ ઉપરથી પાકિસ્તાની લશ્કરને ૧૯૯૯માં મારી હઠાવ્યું તે જ એક પ્લસ પોઈન્ટ છે. આ સિવાય ભારતે અને ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસે કોઈને પાઠ ભણાવ્યા નથી.

૧૯૬૬ થી ૧૯૭૭નો સમય એ ભારત માટે રાજકીય અંધાધુંધીનો સમય હતો. અને આ અંધાધુંધીને ૧૯૮૦ થી ૧૯૮૯ માટે મંજુરીની મહોર મ્ળી.

ક્યારેક મતિ ભ્રમમાં પડી જાય અને બુદ્ધિ રુપી સોનાની જાળ પાણીમાં પડી જાય. સાદા લેખકો હોય કે હાસ્યલેખકો હોય ક્યારેક તો ભૂલ કરતા હોય છે કે ભૂલા પડી જતા હોય છે. સવારે ભૂલા પડીને સાંજે પાછા આવી જાય તો તેને કદાચ ભૂલા પડ્યા ન કહેવાય એવું ઘણા લોકો માને છે. એ જે કંઈ હોય પણ તેને ક્ષમ્ય તો તો કહેવાય જ.

બકુલ ત્રીપાઠીએ પણ ૧૯૭૩ના અરસામાં ભ્રમણ સહર્ષિનું પાત્ર રચેલું. આ પાત્ર મોરારજી દેસાઈની પ્રતિકૃતિ જેવું હતું. તે દ્વારા મોરારજી દેસાઈની ઠીક ઠીક ઠેકડી ઉતારવામાં આવેલી. પણ ૧૯૭૪માં ઘણાબધાનો ભ્રમ ભાંગી ગયેલ. જનસંઘ અને આરએસએસના નેતાઓ પણ ભ્રમમાં પડી જાય તો બીજા તે કોણ માત્ર. પણ ભ્રમમાં પડ્યા તો પડ્યા. પણ બહાર નિકળી જવું મૂખ્યવાત છે.

કાન્તિભાઈ ભટ્ટ અજુગતું લખે તો ચાલ્યું જાય. પણ વિનોદભાઈ ભટ્ટ એવું લખે તો કઠે છે.

 

શિરીષ મોહનલાલ દવે

 

ટેગઃ દિનેશ ત્રીવેદી, મનમોહન સીંગ, મમતા બેનર્જી, ઈન્દીરા, જેએલ નહેરુ, મોરારજી દેસાઈ, સીન્ડીકેટ, વડાપ્રધાન, નાણાપ્રધાન, પ્રધાનપદું, ગરિમા, સંસ્કાર, પ્રણાલી, બેફામ

Read Full Post »

કોણ હડતાલ ઉપર ન જઈ શકે? 

સરકારના કે કોઈના પણ અન્યાયકારી વ્યવહાર કે વર્તન સામે અહિંસક માર્ગે પ્રતિકાર કરી પ્રતિભાવ આપવો એ લોકશાહીમાં માન્ય પ્રણાલી છે.

આપણે સરકારની સામે વ્યક્ત કરવામાં આવતા પ્રતિભાવોની અને તે પણ “હડતાલ” દ્વારા વ્યક્ત થતા વિરોધ વિષે જ વાત કરીશું.

 આમ તો સરકાર વિષે વાત કરીએ ત્યારે આપણે આપણી વિષે જ કે દેશ હિત વિષે જ વાત કરીએ છીએ તેમ માની શકાય. અને જો સરકારના અંગો બરાબર કામકરતા હોય તો વિરોધની તો વાત જ ન થાય. બહુબહુ તો સંવાદ અને ચર્ચા થાય જેથી સરકારના અંગોની કાર્યદક્ષતા અને ચર્ચામાં ભાગલેનારા અને ચર્ચાને લક્ષમાં લેનારાઓના જ્ઞાન વધે.

અન્યાય એટલે શું?

મૂળભૂત રીતે જોઇએ તો કોઈ વ્યક્તિને તેના સમૂહને પૂરતા લક્ષમાં ન લેવો તેને તેની ઉપર અન્યાય કર્યો છે એમ કહેવાય. પણ કોઈ  વ્યક્તિને આપણે લક્ષમાં ક્યારે લઈએ છીએ?

 વ્યક્તિની ઓળખ તેના કામથી થાય છે. આ કામ તેને સોંપેલું અને અથવા તેણે સ્વિકારેલું હોય અને પુરસ્કાર રુપે, બદલારુપે, કે ભાવનાત્મક રીતે કે સ્થૂળ રીતે જે કંઈ આપવામાં આવે અને તેનાથી જો તે વ્યક્તિને સંતોષ થાય કે તેની “યોગ્ય કદર થઈ છે” એમ તેને લાગે તો તેને ન્યાય થયો છે. આમાં જો કોઈ નકારાત્મક ક્ષતિ આવે તો તેને અન્યાય થયો છે તેમ લાગે તો અને અથવા તેને અન્યાય થયો કહેવાય.

સરકારના અંગોમાં જે વ્યક્તિઓ કામ કરતી હોય છે તેને ભાવનાત્મક બદલા રુપે અને વિભાગીકરણ અર્થે નામ પાડેલા હોદ્દાઓ અને વેતનો આપવામાં આવે છે. તેઓ કામ સરળતાથી કરી શકે શકે તે માટે સગવડો આપવામાં આવે છે. આમાં ક્યારેક કર્મચારીઓને કોઈપણ જગ્યાએ કોઈ કારણસર અસંતોષ થાય તો અન્યાયની ભાવના ઉભી થાય છે. સરકારને પણ જો એમ લાગે કે કર્મચારીનું કામ બરાબર થતું નથી તો તેનામાં પણ અન્યાયની ભાવના ઉભી થાય છે. અન્યાયની ભાવના બન્ને તરફ હોય છે.

સરકારનું કામ સ્વસ્થ સમાજ બનાવવાનું છે.

તેમાટે અને સૌને માટે નિયમો બનાવ્યા હોય છે. કામ કરવાના નિયમો અને સરકારી પ્રતિભાવોના (સજાના) નિયમો. કર્મચારી માટે કામકરવાની પદ્ધતિના નિયમો, અને પ્રતિભાવ (આવેદન પત્ર, હડતાલ વિગેરે) વ્યક્ત કરવાની પદ્ધતિના નિયમો.

સરકારના અંગો ઘણા છે. તેમાં આપણે ફક્ત ન્યાયતંત્રના વકિલો, પોલીસ અને સરકારી સુશ્રુષા રુગ્ણાલયોના કાર્મિકો જેવા કે ચિકિત્સકો.

 જ્યાં ક્યાંય અને જ્યારે ક્યારેય ક્યાંય અન્યાય થાય ત્યારે તે અને તેનું પ્રમાણ નક્કી કરવાનું આખરી કામ ન્યાયતંત્ર કરે. આમાં નિયમોને સમજવામાં જેમને નિષ્ણાત સમજવામાં આવ્યા છે એવા હોદ્દાનામ ધારી ન્યાયધીશ હોય અને રજુઆત કરનાર વકીલ હોય.

સરકારી દ્રષ્ટિએ સમાજની સ્વસ્થતા અને આમ જનતાની સગવડો માટે જે નિયમો બનાવ્યા છે તેનો બરાબર અમલથાય તે માટે અલગ અલગ હોદ્દાનામ ધારી કર્મચારી ગણ હોય છે. સ્વસ્થ સમાજ માટે વ્યક્તિએ શરીરનું અને પોતાની અર્જિત સગવડોનું (મિલ્કતનું) પણ રક્ષણ કરવાનું હોય છે તે માટે પોલીસ તંત્ર હોય છે.

જનતાના પ્રતિનિધિઓઃ
આ અમલ કરનારા ગણ ઉપર નિરક્ષણ કરવાનું અને જરુર પડે નવા કાયદાઓ અને પદ્ધતિઓ બનાવવાનું કામ આમ જનતાના પ્રતિનિધિઓ ને સોંપેલું હોય છે.

 વ્યક્તિને અન્યાય બે રીતે થાય. કાયદાના ખોટા અર્થ ઘટન થી અન્યાય થાય. અને કોઈ કાયદાના અભાવથી અન્યાય થાય.

 કાયદાના યોગ્ય અર્થ ઘટનની રજુઆત કરવાનું કામ વકીલોનું છે.

 ન્યાયધીશોનું કામ તેની ઉપર નિર્ણય કરવાનું છે. જો કાયદો જ અન્યાયકારી હોય તેવી રજુઆત ન્યાયધીશને યોગ્ય લાગે તો તે તેને રદ જાહેર કરી શકે અથવા તો તેને યોગ્યરીતે સુધારવાનો સરકારને આદેશ આપી શકે. અથવા નવો કાયદો બનાવવાનો આદેશ આપી શકે. જો સરકાર કાયદો ન બનાવે તો? તો જનતા તેના પ્રતિનિધિઓને બીજી વખત પ્રતિનિધિ ન બનાવે.
સૌ પ્રથમ વકીલ ની વાત કરીએ.

વકીલભાઈઓ તો કાયદાના જાણકાર અને યોગ્ય અર્થઘટન માટ્ટે રજુઆત કરનારા હોય છે. એટલે જો તેમને અન્યાય થાય તો તેઓ તો તૂર્ત જ પોતે પોતાનો કેસ ન્યાયાલયમાં રજુ કરી ન્યાય મેળવી શકે અથવા જરુરી આદેશ મેળવી શકે. જો કાયદાનો અભાવ હોય તો ન્યાયાલય જરુરી આદેશ સરકારને અપાવી આપી શકે. (આપણે કોઈ દિવસ કાયદાના અભાવને લીધે વકીલો હડતાલ ઉપર ગયા હોય એવું સાંભળ્યું નથી. પણ વકીલભાઇઓને “વહીવટ”માં પડેલી મુશ્કેલીઓને ન્યાયખંડની બહાર હડતાલ રુપી શસ્ત્રથી દબાણ ઉભું કરી વહીવટી નિર્ણયો કરાવવાના પ્રયત્નો કરે છે)

 જો આ રીતે વકીલભાઈઓ હડતાલ ઉપર જાય તો જેઓને તેમની ઉપર થયેલા અન્યાય સામે વકીલભાઈઓ થકી ન્યાયાલયમાં ગયેલા છે તેમના કામ અટકી પડે છે. તેથી ન્યાયનું કામકાજ અટકી પડે. એટલે કે ન્યાયિક પ્રક્રીયા જ અટકી પડે. વકીલભાઈઓએ તો જો તેમને કોઈપણ જાતનો અન્યાય થયો હોય તો તેઓએ તો ન્યાય મેળવવા માટે ન્યાય તંત્રનો આશરો લેવો જોઇએ. તેઓ તો પોતે જ વકીલ હોય છે. એટલે વગર પૈસે જ રજુઆત કરી શકે.

ન્યાયધીશોએ કદીય પોતાને થયેલા અન્યાય વિરુદ્ધ હડતાલનો માર્ગ અપનાવ્યો હોય એવું સાંભળ્યું નથી. જો તેઓ હડતાલ ઉપર જાય તો તેમને માટે પણ આજ વાત લાગુ પડે છે.

 પોલિસ તંત્ર

પોલિસ તંત્રનું કામ લોકોના જાનમાલનું રક્ષણ કરવાનું હોય છે. જો તેઓ હડતાલ ઉપર જાય તો આમપ્રજાના જાનમાલ જોખમમાં આવે જ. મનુષ્યનો કુદરતી અધિકાર એ જીવવાનો અધિકાર છે. જો પોલીસો હડતાલ ઉપર જાય તો મનુષ્યના આ અધિકારને હાની થાય છે. આ અધિકારનું હનન કદી ભરપાઈ થઈ ન શકે. આ કારણસર પોલિસગણ પણ હડતાલ ઉપર ન જઈ શકે.

 ડોક્ટર ભાઈઓનું કામ લોકોના રોગોને દૂર કરવાનું છે. એટલે કે દર્દીની ચિકિત્સા કરવાનું છે. જો ડોક્ટરો હડતાલ ઉપર જાય અને ચિકિત્સા કરવાનું બંધ કરે તો, દર્દીની ઉપર જાનનું જોખમ આવી જાય એટલું જ નહીં ઘણા દર્દીઓનો જાન જતો પણ રહે. જો કોઈ ડોક્ટર દર્દીની જાણી જોઈને ચિકિત્સા ન કરે અને તે દર્દી મરી જાય તો આ તો ખુન જ ગણાય. એટલે ડોક્ટરો અને સંલગ્નગણ પણ હડતાલ ઉપર ન જઈ શકે.

 વકીલો અને ન્યાયધીશોને જ્યાં લાગે વળગે છે ત્યાં તેઓ તો ન્યાય માટે ખુદ લડી શકે છે. ન્યાયમાં ઝડપ વધારવી કે ઘટાડવી તેને માટે તેઓ ખુદ જવાબદાર છે.

તો પછી હડતાલનું શસ્ત્ર કોણ ઉગામી શકે?

 કારણ કે દરેક કર્મચારીગણ એક યા બીજી રીતે આમ જનતાના જાનમાલના રક્ષણ માટે જવાબદાર છે. પણ પોલીસ તંત્ર અને ડોક્ટરો નિરપેક્ષરીતે સીધાજ જવાબદાર છે. તેથી ન્યાય મેળવવા માટે તેઓ પોતાની સુખાકારી માટે બીજા મનુષ્યોના પ્રાણની આહુતિ આપી ન શકે.

આમ જનતા કે જે તમને થતા અન્યાય માટે જવાબદાર નથી તેને બાનમાં લઈ તેને નુકશાન થાય તે રીતે કોઈ હડતાલ ઉપર ન જ જઈ શકે.

 કામ નહીં તો દામ નહીં

એટલે કે કામ નહીં તો વેતન નહીં. આવું અર્થઘટન સર્વોચ્ચ ન્યાયાલયે કરેલું છે. તેનું અર્થઘટન કે તારવણી એ પણ થઈ શકે કે વેતન નહીં તો કામ નહીં. એટલે કે જો તમને વેતન ન આપવામાં આવે તો તમે કામ બંધ કરી શકો. લેબર કમીશ્નર સામે ચાલીને વેતન નહીં આપવા બદલ માલિકને દંડિત કરી શકે છે.

અપ્રમાણ વેતનની એવી તારવણી થઈ શકે કે વેતનમાં અપૂર્ણતા હોય કે અવાસ્તવિક હોય એટલે કે અન્યાયકારી હોય તો તેને અનુરુપ પ્રમાણમાં કામ કરી શકાય. પણ આ વિષે કોણ નક્કી કરી શકે? ન્યાયાલય જ કરી શકે. જો કે આ માટે લેબર કમીશ્નરો હોય છે. અને વિશેષ ટ્રીબ્યુનલો રચી શકાય. વાસ્તવિકરીતે હડતાલ ઉપર જવાની જરુર પડતી નથી.

 એવું સાંભળવા મળેલ કે જાપાનમાં વાસ્તવિક રુપે હડતાલ ઉપર જવાતું નથી. જ્યારે વિવાદ ઉત્પન્ન થાય ત્યારે કર્મચારી ગણ નોટીસ આપી પોતાનો કેસ રજુ કરે અને પછી હડતાલની નોટીસ આપે. અને પછી હડતાલ જાહેર કરે. આ હડતાલમાં કામ તો કરવાનું જ. પણ “હું હડતાલ ઉપર છું એવી પટ્ટી લગાવવાની. ટ્રીબ્યુનલ ચૂકાદો આપે ત્યારે તેનો પાછલી તારીખથી અમલ કરવાનો. ભારતમાં પણ આવી રસમ અપનાવી શકાય.

 વાસ્તવિક રીતે પડતી હડતાલમાં હિંસા રહેલી છે. હડતાલ અને બંધ સમગ્ર જનતા જ પાડી શકે અને તેમાં પણ આવશ્યક સેવાઓ તો ચાલુ જ રાખવી પડે. કોઈ એક જુથ પોતાની સુખાકારી કે કહેવાતા અન્યાયને દૂર કરવા માટે હડતાલ કે બંધ પાડી કે પડાવી ન શકે. તે માટે તો ન્યાયાલયો છે. અને કાયદાનો અભાવ હોય તો કાયદો ઘડવા માટે જનપ્રતિનિધિઓ છે,

 

પણ જો સરકાર કે સંસ્થા દાદ ન આપે તો શું? આવી બાબતમાં લેબર કમીશ્નરે પોતાની ફરજ સમજવી જોઇએ. અને જો કોઈ સરકારી સેવાની ક્ષતિને કારણે કે સંસ્થાની ક્ષતિને કારણે અન્યાય પામે તો લેબર કમીશ્નરે ખુદ ન્યાયાલય પાસે જવું જોઇએ.

 સરઘસ, દેખાવો, ધરણા, ઉપવાસ અને સંવાદઃ

લોકજાગૃતિ માટે કામબંધ રાખ્યાવગર અને સંવાદ ચાલુ રાખીને આ બધું થઈ શકે. પણ લેબર કમીશ્નરની ફરજ છે કે આવા પ્રસંગો એટલે કે સરઘસ, દેખાવો અને ધરણા એ પણ હિંસા છે અને આમજનતાને અવગડરુપ બને છે. ઉપવાસ એ ગંભીર અન્યાય સામેનું શસ્ત્ર છે. અને જો કોઇને આનો સહારો લેવો પડે તો જવાબદાર સંસ્થાને યોગ્ય સજા થવી જોઇએ.

 જનતાના માહિતિના અધિકારનું જો યોગ્ય પાલન કરવામાં આવે તો અને જવાબદાર કર્મચારી ને ક્ષતિ કરવા બદલ યોગ્ય નશ્યત કરવામાં આવે તો વ્યક્તિગત રીતે કોઈને અન્યાય ન થાય.

 મોટા ભાગના અન્યાયો આર્થિક અન્યાયો હોય છે. શિક્ષણ અને આરોગ્ય મફત હોય અને સૌને માટે સુવાધાઓ સુલભ હોય તો હડતાલોને ટાળી શકાય. આ અશક્ય નથી.

 પણ હાલતૂર્ત તો વકીલ, ડોક્ટર અને પોલીસ ગણની હડતાલ ઉપર કાયદેસર બંધી હોવી જોઇએ.

શિરીષ મોહનલાલ દવે

Tags:

અન્યાયઉપવાસગણઘેરાવજનતાના,ડોક્ટરતંદુરસ્તધરણાન્યાયન્યાયધીશ,

Read Full Post »

શું કેટલાક ગાંધીવાદીઓએ જે.એલ. નહેરુનું (જવાહરલાલ નહેરુનું) નમક ખાધુંછે?

 

"મૈંને આપકા નમક ખાયા હૈ સરકાર!!" ..... "તો અબ ગોલી ખા"

"મૈંને આપકા નમક ખાયા હૈ સરકાર!!" ..... "તો અબ ગોલી ખા"


ગોપાલકૃષ્ણ ગાંધીની મોટાભાગની જનતાને ઓળખાણ આપવાની ન હોય. આમ તો તેઓ કટોકટી પછી જે કેટલીક ગાંધીવાદીઓ તરીકે ઓળખાતી વ્યક્તિઓ પટમાં આવેલ અને ઈન્દીરા ગાંધીની કોંગ્રેસને હરાવવા માટે જનતા મોરચાના પ્રચારમાં સામેલ થયેલ તેમાંના  એક હતા. અને આ બધા શોભતા પણ હતા. જે એલ નહેરુની બહેન એટલે કે વિજયા લક્ષ્મી પંડિત પણ જો પટમાં આવે તો ગોપાલ કૃષ્ણગાંધી અને બીજા શેના ઝાલ્યા રહે.


૧૯૬૫ પછી અને તે પહેલાં શું થયેલ?
૧૯૬૫ના પાકિસ્તાન અને ભારત વચ્ચે થયેલા અઘોષિત યુદ્ધમાં પાકિસ્તાનના તથાકથિત પરાજય પછી પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનના  લશ્કરમાં અને જનતામાં ઠીકઠીક ફૂટ પડી હતી.


સૌપ્રથમ તો હિન્દુઓની હકાલ પટ્ટીએ જોર પકડ્યું અને તે પછી બીનબંગાળી એટલે કે બિહારી મુસ્લિમોની હકાલ પટ્ટીએ જોર પકડ્યું. કારણકે આ મુસ્લિમો બંગલાભાષી જનતાના હક્કના સમર્થનમાં ન હતા. લગભગ એક કરોડની સંખ્યામાં આ બિહારી મુસ્લિમોએ ભારતમાં હિજરત કરી. આ કારણથી કલકત્તા અને આસામ નેફાવિસ્તારના સામાન્ય જનજીવનની પાયમાલી થઈ હતી. આ વાતનો તો ઘણો ઉહાપોહ ભારતની જનતાએ અને વિરોધ પક્ષે કર્યો હતો.


જયપ્રકાશ નારાયણે વિદેશની ખેપ પણ લગાવી. પણ અમેરિકા-યુકેની પશ્ચિમ ધરીએ કશી દાદ ન આપી. પાકિસ્તાનની વિદેશનીતિ વધુ જોરદાર હતી અને આમેય આપણા નહેરુની એક ફેશન હતી કે સમાજવાદ સિવાય ઉદ્ધાર નથી અને સમાજવાદ એટલે  અમેરિકા-યુકેની પશ્ચિમ ધરીનો વિરોધ અને રશીયા-પરસ્તી વિદેશ નીતિ.


ઈન્દીરા ગાંધીએ આ નીતિ ચાલુ રાખેલી. અને  અમેરિકા-યુકેની પશ્ચિમધરીએ ભારતને હેરાન થવા દેવામાં ઠીક ઠીક ભાગ ભજવેલો.


ભારતનું એટલું સદભાગ્ય કે ભારત જ્યારે તકલીફમાં આવે ત્યારે ભારતના બુદ્ધિજીવીઓની બુદ્ધિ બહુ મદદે આવતી નથી પણ ભગવાન મદદે આવે છે. એટલે બંગ્લાભાષી જનતા વકરી અને પશ્ચિમ પાકિસ્તાનના રાજકીય પ્રભૂત્વને પડકાર્યું. પશ્ચિમ પાકિસ્તાનના લશ્કર અને શાસકો માટે ભૌગોલિક અને વ્યુહાત્મક રીતે કઠોર અને તદન વિપરિત પરિસ્થિતિ હતી. પશ્ચિમ બંગાળની અને પૂર્વોત્તર (નેફા વિસ્તાર)ની જનતા બિહારી મુસ્લિમોની ઘુસણખોરીથી ત્રસ્ત હતી.


ભારતીય લશ્કર અને ભારતીય જનતા ૧૯૭૦થી ઈન્દીરા ગાંધીની સરકાર ઉપર દબાણ લાવી રહ્યાં હતાં. લશ્કર તો યુદ્ધમાટે થનગની રહ્યું હતું. પણ ઈન્દીરાગાંધી તેના પિતાશ્રીની જેમ જ અનિર્ણાયકતાની કેદી હતી.  અમેરિકા-યુકેની પશ્ચિમ ધરી તો ભારતમાટે નિરર્થક જ હતી. અંતે પાકિસ્તાની લશ્કરે ભારતીય હવાઈ પટ્ટીઓ ઉપર હુમલો કર્યો અને ભારતીય લશ્કરે જડબા તોડ જવાબ આપ્યો. વિકટ ભૌગોલિક પરિસ્થિતિને કારણે (અને આમેય પણ ભારતીય લશ્કર હમેશા શ્રેષ્ઠ જ રહ્યું છે) પાકિસ્તાનનો પરાજય થયો. ચીનના યુદ્ધ વખતે ૧૯૬૨માં પણ તે ચીનને પરાસ્ત કરી શક્યું હોત જો નહેરુએ સમાજવાદી અંધશ્રદ્ધામાં ચીન સાથેની સરહદને રેઢી મૂકી ન હોત તો, અને લશ્કરને સુસજ્જ રાખ્યું હોત.


હાલમાં વિકે સીંગ અને નહેરુવંશી સરકાર વચ્ચે કેટલીક સંરક્ષણને લગતી ખામીઓ વિષેની વાતો બહાર આવી છે. તેનાથી અનેક ગણી મોટી વાતો નહેરુના સમયમાં હતી. આ વાતોનો જીવતો જાગતો દાખલો ૧૯૬૨નો ભારતીય સેના નો શર્મનાક પરાજય હતો. વાસ્તવમાં આ આપણી સેનાનો પરાજય ન ગણાય. આતો ભારતીય વિદેશનીતિનો શર્મનાક પરાજય હતો. અને આ પરાજયનું કારણ જે એલ નહેરુની વિદેશ નીતિ અને દંભ હતાં. મૂખ્ય વાત તો આજ છે.


જે એલ નહેરુના પિતાશ્રી, પોતાના સુપૂત્રને ઠેકાણે પાડવા માગતા હતા. આ પૂત્ર કે જે આઈસીએસની પરીક્ષામાંના પ્રશ્નો પરીક્ષકોને સંતોષ થાય તેવા ન લખી શક્યો. જે એલ નહેરુના પિતાશ્રી, લાગવગ ચલાવે કે પરીક્ષાની ઉત્તરવાહીઓ ક્યાં જાય છે અને કોણ તપાસશે વિગેરે જેવી ભાંજગડ કરે એવું ચલણ ન હોવાથી, જે એલ નહેરુ નાપાસ થયેલ.
તે વખતે આમેય પશ્ચિમના દેશોમાં દિકરાઓને રાજકારણમાં અને સમાજવાદમાં રસ રહેતો હતો. એટલે જે એલ નહેરુના પિતાશ્રીએ જે.એલ. નહેરુને, મોહનદાસ કરમચંદ ગાંધી સાથે ભળાવ્યા.


પણ ગંગા ગયે ગંગાદાસ અને જમના ગયે જમનાદાસ થવાતું નથી. એટલે જે એલ નહેરુ, ગાંધીજીના રાજકારણમાં જોડાઈને ગાંધીવાદને આત્મસાત્‌ તો ન જ કરી શક્યા પણ તેમણે સામ્યવાદીઓના સમાજવાદના દંભને જરુર આત્મસા‌ત્‌ કર્યો હતો. ગાંધીજીએ અવારનવાર કબુલ કરેલ કે જે એલ નહેરુ પોતે સમાજવાદને કેટલો સમજી શક્યા છે તે વાત તો તેઓ એટલે કે મહાત્મા ગાંધી જાણતા નથી, તેમજ તેઓ, જે એલ નહેરુના સમાજવાદને સમજી શક્યા નથી.


હવે આ જે એલ નહેરુ તો ઘર આંગણાની આર્થિક નીતિમાં નિસ્ફળ ગયેલ તેનો તો ઇતિહાસ સાક્ષી છે. પણ જે એલ નહેરુની વિદેશ નીતિએ જેટલું દેશને નુકશાન કર્યું છે તેનાથી વધુ નુકશાન દેશને કોઈએ કર્યું નથી. આ વાત તો ઈન્દીરા ગાંધીના સ્વકેન્દ્રી રાજકારણ જેટલી જ અને દીવા જેટલી સ્પષ્ટ છે તે રાજકારણમાં બાબા ગાડી ચલાવનાર પણ સમજી શકે  છે.
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર એવા આપણા ગોપાલ કૃષ્ણ ગાંધી આ વાત સમજી શક્યા નથી. આ દુઃખદ જ નહીં પણ આઘાતજનક પણ છે. તારીખ ૩જી એપ્રીલ ૨૦૧૨ ના મંગળવારના રોજ દિવ્યભાસ્કર માં પ્રકાશિત થયેલ ગોપાલકૃષ્ણનો લેખ વાંચી જવો.


દલાઈ લામા અને બૌદ્ધ ધર્મના સંબંધો વિષે સુષ્ઠુ સુષ્ઠુ એવું બધું પ્રભાષીને શ્રી ગોપાલ કૃષ્ણ ગાંધીએ વાતને આડે પાટે ચડાવી છે. જે કહેવા યોગ્ય હતું તે કહ્યું નથી અને એક સાર્વજનીક દુરાચારોની વાત કહી. દલાઈ લામાની સુષ્ઠુ સુષ્ઠુ વાતો ક્ષમ્ય છે. તેઓ તેથી વિશેષ જે કંઈ કરી શકે તે તેમણે કર્યું છે. પણ આપણે (જે એલ નહેરુ અને તેના ફરજંદોની સરકારે) ધરાર કર્યું નથી. ગોપાલકૃષ્ણ ગાંધીનો લેખ વાંચ્યા પછી “મેસેજ” પણ જે એલ નહેરુને બિરદાવતો જ મળે છે. 


જુઓ શ્રી ગોપાલકૃષ્ણ ગાંધીએ શું લખ્યું છેઃ

બૌદ્ધ ધર્મ ભારતથી તિબેટ ગયો અને શરણાર્થીના સ્વરુપમાં ભારત પાછો ફર્યો”
ભારતે આપણા પ્રાચીન પાડોશી ચીનની વિદેશનીતિની વાસ્તવિકતાને સ્વીકારી છે. જેમાં ભારતે રાજકીય વિવેક અને રાજનૈતિક કુશળતા કુશળતા દેખાડી છે.”
જ્યાં સુધી દલાઈ લામા અને તિબેટનો મુદ્દો છે ત્યાં સુધી જે કરવાનું છે તે આપણે કરી ચૂક્યા છીએ અને જે આપણે નહોતું કરવાનું તે કર્યું નથી.”


જો ગોપાલકૃષ્ણગાંધી જેવા આવું લખે તો આથી મોટી આત્મવંચના બીજી શી હોઈ શકે?


ચીનની વિદેશ નીતિને પડકારવાનું આપણે ચૂક્યા છીએ. અને તે અક્ષમ્ય છે. ચીન ૧૯૪૯માં એક પાયમાલ થયેલો દેશ હતો. ભારત કરતાં તેના પ્રશ્નો અને સમસ્યાઓ વિકરાળ હતા. તેણે તિબેટ ઉપર આક્રમણ કરેલ. કારણકે ભૂતકાળમાં ક્યારેક તિબેટ ઉપર ચીનના રાજાનું રાજ હતું.


આ વાતને જો ચીનની વાસ્તવિક નીતિ ગણીએ તો આપણે એવી નીતિ શા માટે ન અનુસરી?


તિબેટ તો આપણો સંસ્કતિક વારસો છે. ગાંધીજીએ ભારતના વિભાજનનો શા માટે વિરોધ કરેલો? કારણ કે અખંડ ભારતમાં હિન્દુઓ અને મુસ્લિમોની સંસ્કૃતિ તો એક જ છે. મુસ્લિમ રાજાઓ, શક  હુણ, પહ્‌લવો, ગુજ્જરો ની જેમ ભારતમાં પ્રવેશેલ અને ભારતના થઈને રહેલ. જો રાજાઓના આધિપત્યની વાત કરીએ તો ઈશુની પ્રથમ સદી સુધી ભારતીય હિન્દુ રાજાઓ ઈરાન સુધી રાજ કરતા હતા. ઈશુની ચોથી સદી સુધી હિન્દુઓ અરબસ્તાન સુધી કબજો ધરાવતા હતા. અરે એ વાત જવા દો. બ્રહ્મદેશ, અફઘાનીસ્તાન અને શ્રીલંકા તો અંગ્રેજોએ છૂટા પાડ્યા.


જે એલ નહેરુએ શું કર્યું


યુકેની મુસદ્દીગીરીએ ગાંધીજી અને કોંગ્રેસને મહાત કર્યા. ગાંધીજીએ જોયું કે જો ભારતને વધારે તૂટતું અટકાવવું હોય તો તૂટેલું તો તૂટેલું ભારત સ્વિકારી લો. તેને તો ફરીથી પણ ભેગું કરી શકાશે. સાંસ્કૃતિક એકતા રાજકીય સમીકરણો બદલી શકે છે. મહાત્મા ગાંધી આ વાત સુપેરે જાણતા હતા અને વિશ્વાસ પણ ધરાવતા હતા કે તેઓ આ વાત પાકિસ્તાનની પ્રજાને સમજાવી શકશે. તેઓ દિલ્લીમાં શાંતિ સ્થપાય અને બધું થાળે પડે પછી પાકિસ્તાનની મુલાકાત લેવાનું પણ વિચારતા હતા. તેઓ કદાચ પાકિસ્તાનમાં જ અડંગો જમાવત અને હિન્દુસ્તાન પાકિસ્તાન ને જોડવાની કોશિસ કરત અને સફળ પણ થાત. તે વખતે હિજરતીઓમાં આ જ ખ્યાલ પ્રવર્તતો હતો.


જીન્નાના મૃત્યુ પછી તો આ શક્ય પણ હતું. જીન્નાનો પણ ભ્રમ તૂટી જાય તેમ હતું. પણ આ બંને નેતાઓ અને વલ્લભભાઈ પટેલ વિદાય પામ્યા. તે પછી વિદેશ નીતિનો દડો જે એલ નહેરુ પાસે આવ્યો. નહેરુનું ઘણું જ માન હતું અને તે ધારે તે કરી શકે એવી સ્થિતિ તેમના માટે હતી.


વલ્લભભાઈ પટેલે તો જે એલ નહેરુને ચીનથી ચેતવેલ જ. ૧૯૫૦માં તો તિબેટ એક સ્વતંત્ર દેશ જ હતો. ચીને તેની ઉપર આક્રમણ કર્યું અને ખૂના મરકી થઈ. તિબેટ તો ચારે બાજુથી સામ્યવાદીઓથી ઘેરાયેલું હતું. યુરોપીય દેશો તો પાયમાલ થયેલા હતા. અમેરિકા ભારતને પોતાની પાંખમાં લેવા તૈયાર હતું. મદદ કરવા પણ તૈયાર હતું. પણ જે એલ નહેરુને સામ્યવાદીઓના દોરા ધાગામાં અંધવિશ્વાસ હતો. તેથી અમેરિકાએ પાકિસ્તાનને પડખામાં લીધું. પાકિસ્તાનને તિબેટ કરતાં કાશ્મિરમાં રસ હતો. અને ભારત પ્રત્યે ખુન્નસ હતું.


જે એલ નહેરુની બેવકુફી, તેમનામાં રહેલી ભારતીય સાંસ્કૃતિક વિરાસતના મહત્વની અજ્ઞાનતા, અને તેમનામાં રહેલા દીર્ઘદૃષ્ટિના અભાવે ભારતે તિબેટસાથેનો સાંસ્કૃતિક સંબંધ તો ગુમાવ્યો જ, પણ ચીન તિબેટ ઓળંગીને ભારતમાં પેસવા માંડ્યું.


૧૯૫૪માં પાકિસ્તાનમાં અરાજકતા વકરી અને ઈસ્કંદર મીરઝા આવ્યા. આ પહેલાં સુહરાવર્દી  યોગ્ય મુલાકાત લઈ ગયેલ. સારા સંબંધો માટે દરવાજા ખુલવાની તૈયારી હતી. ઇસ્કંદર મીરઝાએ ૧૯૫૪માં ફેડરલ યુનીયન ની ભૂલાઈ ગયેલી વાત પૂનર્જીવીત કરવાની કોશિસ કરી. પણ જે એલ નહેરુએ તે વાતને ધૂત્કારી કાઢી. લોકશાહી વાદી દેશ (ભારત) અને લશ્કરશાહીવાદી દેશ (પાકિસ્તાન) વચ્ચે સમવાય તંત્ર ન રચી શકાય. (જો કે હિન્દી રુસી ભાઈ ભાઈ, હિન્દી ચીની ભાઈ ભાઈ નારા લગાવી શકાય. સોવયેત દેશ અને ચાઈના પીક્ટોરીયલ જેવા મેગેઝીનો ભારતમાં મફતના ભાવે ફરતા હતા.)


વિનોબા ભાવેએ જે એલ નહેરુની વાતનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે પાકિસ્તાન અને ભારત વચ્ચે ફેડરલ યુનીયન રચી શકાય. તેમણે તો “એ.બી.સી.” ત્રીકોણના (અફઘાનીસ્તાન-બરમા-સીલોન) ફેડરલ યુનીઅનની વાત કરેલ. વાસ્તવમાં જે એલ નહેરુમાં ભારતીય ઐતિહાસિક સાંસ્કૃતિક ધરોહરની મહત્તાની સમજણ હોત તો તેમણે જંબુદ્વિપ એટલેકે ઈરાન, અરબસ્તાન, અફઘાનીસ્તાન, તિબેટ, બર્મા, વિએટનામ, થાઇલેન્ડ, કમ્બોડિયા, મલેસીયા, ઈન્ડોનેસીયા અને લંકાના ફેડરલ યુનીયનની વાત કરી હોત. જાપાન પણ કદાચ આમાં જોડાઈ જાત.


પણ જે એલ નહેરુએ તો ભારત પકિસ્તાનના ફેડરલ યુનીયનને જ ધુત્કારી નાખેલ. જોકે આવું સમવાય તંત્ર બનાવવા માટે અમેરિકા સાથે મિત્રતા અને સામ્યવાદીઓથી અળગા રહેવું જરુરી હતું. અને તેમાં કશું ખોટું પણ ન હતું. રશીયા અને ચીન સાથેની મિત્રતામાં આપણે મેળવ્યા કરતાં ગુમાવ્યું ઘણું જ છે. આ વાત તો જગજાહેર છે. મૂર્ખ લોકો જ આ વાત સમજી ન શકે. 


જો જમ્બુદ્વિપનું સમવાય તંત્ર થયું હોત તો અફઘાનીસ્તાનમાં કત્લેઆમ થઈ ન હોત. પાકિસ્તાનમાં લશ્કરી શાસન ન આવત. પાકિસ્તાન ઉપર મુલ્લાંની પકડ ન હોત. પાકિસ્તાનમાં આતંકવાદ જન્મ્યો ન હોત. બ્રહ્મદેશમાં લશ્કરી શાસન ન આવત અને બ્રહ્મદેશમાંથી ભારતીયોની હકાલપટ્ટી થઈ ન હોત. શ્રી લંકામાં આતંકવાદ ન હોત. ૧૯૬૨, ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધો થયાં ન હોત. ખાલીસ્તાન અને મતોનું રાજકારણ ન ખેલાતું ન હોત. ભણાવવામાં આવતો ઈતિહાસ પણ જુદો જ હોત.


નહેરુની વિદેશ નીતિ અને તેપણ ખાસ કરીને તિબેટ-ચીન સાથેની નીતિએ તો ભારતની પાયમાલી જ કરી છે. કયે મોઢે મહાત્માગાંધીના સુપૂત્ર, જે એલ નહેરુને અંજલી આપે છે અને તેમની નીતિને વખાણે છે તે સમજી શકાય તેમ જ નથી. દલાઈ લામાને આશ્રય આપ્યો એ કંઈ મોટી મોથ મારી નથી. પણ દલાઈ લામાને તેમના સાથીઓ સહિત હિજરત
કરવી પડે તેવી સ્થિતિ ઉભી કરવાનું પાપ ભારતને માથે ચોંટેલું છે. ભલે નહેરુવાદીઓ અને ગોપાલ કૃષ્ણ કબૂલ કરે કે નહીં.
દલાઈ લામા સુષ્ઠુ સુષ્ઠુ વાતો કરે તે તેમનો ધર્મ છે. ગોપાલકૃષ્ણ ગાંધી જયપ્રકાશ નારાયણની લડત થકી લાઈમ લાઈટમાં આવ્યા. અને કોંગ્રેસે કાળાંતરે તેમને હોદ્દા આપ્યા. પણ આ હોદ્દાઓ એ કંઈ ખેરાત ન હતી. જો ગોપાલ કૃષ્ણ આને ખેરાત સમજતા હોત તો એક ગાંધીવાદીના નાતે તેમણે સ્વિકારી ન હોત. પશ્ચિમ બંગાળનું ગવર્નર પદું સુપેરે ભોગવ્યું. પશ્ચિમ બંગાળમાં સામ્યવાદીઓની સરકાર હતી. સામ્યવાદીઓ જો રાજ કરતા હોય તો તેઓ ગુંડાગર્દી કરતા હોય છે. ધમકીઓ આપી પૈસા ઉઘરાવવા તે તેમની કાર્યશૈલીમાં હોય છે. પશ્ચિમબાંગાળમાંની તેમની નિસ્ફળતા ઉડીને આંખે વળગે એવી છે. આરટીઆઈ એક્ટીવીસ્ટ શ્રી મિલાપ ચોરરીયાને આ સામ્યવાદી ભૂ-માફિયા સરકારે પરેશાન કરવામાં બાકી રાખ્યું નથી. આ વાતની જેને ખબર છે તેઓ ઘણું જાણે છે. આવી સરકાર આગળ તે સરકારના પતનના સમયે આ શ્રી ગોપાલ કૃષ્ણ થોડી હીરો-ગીરી કરી શકેલા.


શું તેઓ તેમની આ ખ્યાતિને વટાવવા માગે છે?

નહેરુની તિબેટ-ચીન નીતિની વિફળતા પાછળના રહસ્યો, ૧૯૭૧ના પાકિસ્તાન ઉપરના વિજયને ઈન્દીરાની સીમલા કરાર થકી મળેલી વિફળતા અને કરાર પાછળના રહ્સ્યો, ખાલિસ્તાન ચળવળ અને આતંકવાદના ઈન્દીરાઈ નીતિ થકી થયેલા મંડાણ, યુનીયન કાર્બાઈડના કરાર અને એન્ડરસન ને મૂક્તિ, દાઉદને મૂક્તિ, અને તે પછી તો અસંખ્ય બદનામીની વાતો. આ બધાને કારણે નહેરુવીયન ફરજંદો અને તેમની સરકાર હાલ ઠીક ઠીક બદનામ છે. તેવે સમયે ગોપાલકૃષ્ણ ગાંધી કદાચ એવું સમજે છે કે આ બદનામીને ડાઈલ્યુટ કરવા જે એલ નહેરુની વિષે થોડી “બકરીની ત્રણ ટાંગ” જેવી વાતો કરી નાખીએ તો ઠીક રહેશે.


સરકાર! મૈને આપકા નમક ખાયા હૈ…”


પણ શ્રી ગોપાલ કૃષ્ણ ગાંધીને ખબર નથી કે આ એજ સરકાર છે જેણે જયપ્રકાશ નારાયણને વગરવાંકે કેસ ચલાવ્યા વગર અનિયત કાળ માટે જેલમાં પુરેલ. અને તેમની બીમારીની ધરાર અવગણના કરી મૃત્યુને આરે લાવી મૂકેલ. “તો અબ ગોલી ખા” એટલું ફક્ત કહેવાનું જ બાકી રાખેલ.


એવા કેટલાક ગાંધીવાદીઓ છે જેઓ ટકી રહેવામાં વધુ રસ ધરાવે છે. સિધ્ધાંતોની સમજ અને અર્થઘટનમાં તો વિતંડાવાદ ઉત્પન્ન કરી શકાય, એટલા તો તેઓ પાવરધા છે જ.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

%d bloggers like this: