પક્ષ એટલે શું?
પક્ષ આમતો સમાન વિચાર અને તે પ્રમાણે આચાર કરવાવાળાઓનો સમૂહ તેને પક્ષ કહેવાય. આ આચાર, સમાજની ઉર્ધ્વ ગતિ માટે હોય છે.
સમાજ સુરક્ષિત જીવન શૈલી અપનાવી સુખ શાંતિ થી જીવતાં જીવતાં શારીરિક, માનસિક અને બૌધિક રીતે પ્રગતિ કરતો થાય તે માટે અનેક રસ્તાઓ હોય છે. રસ્તાઓની પસંદગી કે નિસ્પત્તિ વિચારોને આધિન હોય છે. એટલે જે લોકોના વિચારો મળતા આવતા હોય તેઓ એક પક્ષના કહેવાય. જો તેઓ ભેગા થઈને આયોજનબદ્ધ કામ કરવા તૈયાર થાય તો તેમને એક પક્ષ કહી શકાય. તેનું તેઓ નામકરણ કરે છે.
સરકારઃ ઉપરોક્ત હેતુ માટે આ પક્ષ એક પેટા જુથ રચે છે. તેનું કામ હેતુઓને સાધ્ય કરવા માટે પ્રણાલીઓ સ્થાપિત કરવાનું, પ્રણાલીઓને ચાલુ રાખવાનું અને જરુર પડે પ્રણાલીઓમાં ફેરફાર કરવાનું હોયછે.
માધ્યમો એટલે કે સમાચાર માધ્યમો અને મૂર્ધન્યો એટલે કે જે વર્ગ ઉપરોક્ત જુથમાં જોડાયો છે અથવા નથી, પણ જેનું કામ પરિસ્થિતિ ઉપર નજર રાખવાનું, તેમના કામોનું, તેમની પ્રણાલીઓનું અને પરિણામોનું વિશ્લેષણ કરવાનું, પ્રજાને માહિતગાર રાખવાનું અને પોતાની વિદ્વત્તા અનુસાર સૂચનો કરવાનું કરવાનું હોય છે તેઓ આકામ પોતાની કટારો દ્વારા કરેછે.ીટલે કે આ કામ તંત્રીમંડળ અને કટાર લેખકો કરતા હોય છે. તે સૌને આપણે મૂર્ધન્યો કહીશું. જો કે પ્રણાલીગત રીતે સાહિત્યકારોને મૂર્ધન્ય કહેવાય છે. સમાચાર માધ્યમના લેખકો પણ આમ તો સાહિત્યનો એક ભાગ કહેવાય એટલે તેમને પણ મૂર્ધન્ય તો કહી જ શકાય, પછી ભલે વિદ્વત્તા કે તર્ક ઓછા વત્તા પ્રમાણમાં હોય કે ન પણ હોય. પણ એક વખત કટાર રુપી જાગીર મળી ગઈ એટલે ગુણજ્ઞ થઈ ગયા.
પક્ષ માટે આચાર સહિતનો વિચાર મહત્વનો હોય છે. દરેક દેશને પોતાનું બંધારણ હોય તે પ્રમાણે પક્ષને પણ બંધારણ હોય છે. જો પક્ષ લોકશાહીમાં માનતો હોય તો તેનું બંધારણ લોકશાહીવાદી હોય છે.
પણ લોકશાહી એટલે શું?
વિચારોની મૂક્તતા, સત્યનો આદર અને પારદર્શિતા એ લોકશાહીના પાયા તો ગણાય પણ જન પ્રતિનિધિત્વ અને ભાગીદારી પણ તેનું એક અંગ હોવું જોઇએ એમ મનાય છે.
પક્ષની અંદર શું હોય છે?
પક્ષના સદસ્ય, ડેલીગેટ, સામાન્ય સભા, કારોબારી, પક્ષીય ઉચ્ચસત્તા મંડળ કે મોવડી મંડળ અને પક્ષ પ્રમુખ આ બધાના સમન્વયથી એક પક્ષ બનેલો હોય છે.
સમાન વિચારો વાળા લોકો ભેગા થાય. પણ આ બધા તો લાખોની સંખ્યામાં હોય. જુદી જુદી જગ્યાએ હોય. વિચારોના આદાન પ્રદાનમાં ભૌગોલિક મુશ્કેલીઓ પડે. સમય પણ ફાળવવો મુશ્કેલ પડે. એટલે આ સૌ છૂટક છૂટક ભૌગોલિક સ્થાનોમાં ભેગા થાય. સૂચિત મુદ્દાઓ વિષે ચર્ચા કરે અને પોતાના પ્રતિનિધિઓને મોકલી કેન્દ્રસ્થ જગ્યાએ મોકલી આપે છે. આ પ્રતિનિધિઓ “ડેલીગેટ” કહેવાય છે. આઆ ડૅલીગેટોની સભાને સામાન્ય સભા કહે છે. આ સભા પાસે નીતિ વિષયક સત્તા સહિતની પક્ષ ચલાવવા માટેની બધી સત્તા હોય છે. આ ડેલીગેટ પક્ષ પ્રમુખ ચૂંટે. અને કારોબારીના સભ્યોને પણ ચૂંટે છે. આ કારોબારીને પક્ષની વર્કીંગ કમીટી પણ કહેવાય છે. પક્ષ પ્રમુખ, પક્ષના સઘળા કારોબાર માટે જવાબદાર ગણાય. તેથી તે પોતાને મનપસંદ એવા અમુક સભ્યો પોતાની કારોબારીમાં નીમે. આ કારોબારીને અથવા તેણે નીમેલી એક ઉચ્ચ સ્તરીય મંડળીને હાઈ કમાન્ડ કહેવાય છે.
સામાન્ય ચૂંટણીઓ
પક્ષ પોતાના વિચારો જનતા સમક્ષ લઈ જાય. પક્ષ પોતે શું કરવા માગે છે અને કેવી રીતે કરશે તે વાતોના મુદ્દાઓ લઈને અને કઈ વ્યક્તિઓ આ વિચારોને અમલમાં મુકશે તે માહિતી જનતા સમક્ષ મુકીને ચૂંટણીમાં ઝંપલાવે છે.
જનતાની વ્યક્તિઓમાં અમુક મત આપવા જાય અને અમુક મત આપવા ન જાય. જેઓ મત આપવા ન જાય તેમના મતો જેઓએ જુદા જુદ પક્ષોને જે પ્રમાણમાં મત આપ્યા છે, તે પ્રમાણ અનુસાર ગણવામાં આવે છે.
એટલે કે ૧૦૦ મતદારો હોય. પણ ૬૦ વ્યક્તિઓ જ મત આપવા જાય.
“ક”ને ૩૦ વ્યક્તિ મત આપે,
“ખ”ને ૨૦ વ્યક્તિ મત આપે,
“ગ”ને ૧૦ વ્યક્તિ મત આપે.
તો
“ક” ને ૫૦ મત ગણ્યા કહેવાય,
“ખ”ને ૩૩ મત મળ્યા ગણાય,
“ગ”ને ૧૭ મત મળ્યા ગણાય.
પછી ભલે જે ૪૦ વ્યક્તિ મત આપવા ન ગઈ હોય અને તેમની પસંદ ગીની વ્યક્તિ “ગ” હોય.
મરજીયાત મતદાનની આ પ્રમાણસરના જનપ્રતિનિધિત્વની ત્રૂટી છે.
મંત્રીમંડળ અને વહીવટી સરકારઃ
આ પ્રતિનિધિઓને જનતાએ તેમના વિચારો, યોગ્યતા અને આવડત પ્રમાણે ચૂંટ્યા હોય છે એવું માનવામાં આવે છે. એટલે જે પક્ષ ને વધુ બેઠકો મળે તે પક્ષને તેના વિચારોની જનતાની પસંદગી ગણવામાં આવે છે. આ જન પ્રતિનિધિઓ પોતાનો નેતા ચૂંટે છે અને આ નેતા પોતાને મદદ કરવા પોતાના ચૂંટાયેલાઓમાંથી સાથીઓ પસંદ કરે છે. આ મંડળીને મંત્રી મંડળ કહેવાય છે.
જનપ્રતિનિધિઓએ પ્રજાના સંપર્કમાં રહેવાનું હોય છે અને તેનો અવાજ મંત્રી મંડળને પહોંચાડવાનો હોય છે. જનતાએ કર દ્વારા આપેલા પૈસાના ભંડોળ માંથી આ પ્રતિનિધિઓને મહેનતાણું ચૂકવવામાં આવે છેકારણ કે તેઓને જનતાએ ચૂંટ્યા છે. વળી તેમને વિશેષ સગવડો, સત્તાઓ અને અધિકારો આપવામાં આવે છે. આ બધું “વહીવટ” એમ ગણવામાં આવતું હોવાથી જનપ્રતિનિધિ મંડળ જ સત્તાઓ અને મહેનતાણા નક્કી કરી લે છે.
આ બધી વાતો તો પક્ષ અને દેશના બંધારણ પ્રમાણેની જોગવાઈઓને આધારે થઈ ગણાય.
કોણ મોટું? પક્ષ પ્રમૂખ કે સંસદનો નેતા?
આ બાબતમાં ભલભલા મૂર્ધન્યોએ ગોથાં ખાધા છે અને ખાય છે.
જે એલ નહેરુ પક્ષ પ્રમુખ અને સંસદીય નેતા એ બંને પદો ભોગવતા હતા ત્યાં સુધી આ મુદ્દો કોઇ ખાસ સમસ્યા બન્યો ન હતો. સંસદીય નેતાએ પક્ષીય કારોબારીના નિર્ણયને માન્ય રાખવાનો હોય છે. રાજેન્દ્ર પ્રસાદ ને બીજી મુદત માટે રાષ્ટ્ર પતિ બનાવવાનો નિર્ણય પક્ષીય કારોબારી એ કર્યો હતો. કારણ કે કોઈપણ નિર્ણય કરવા માટે પ્રણાલી હોય છે. પક્ષીય કારોબારી પાસે સત્તા હોય છે અને કારોબારીએ પ્રણાલીને અનુસરીને નિર્ણય કર્યો. એટલે સંસદના નેતાએ રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીને મંજુરીની મહોર મારવી જ પડે. નહેરુને આ નિર્ણય ખાસ પસંદ ન હતો તો પણ તેમણે માન્ય રાખેલો.
ઈન્દીરા ગાંધીના સમયમાં આવો બીજો પ્રસંગ બન્યો. કોંગ્રેસની પક્ષીય કારોબારીએ સંજીવ રેડ્ડીને રાષ્ટ્રપતિ બનાવવાની ભલામણ કરી. સંસદીય નેતા તરીકે ઈન્દીરા ગાંધીએ સંજીવ રેડ્ડીની અરજીમાં પ્રણાલી અનુસાર ભલામણની સહી કરી.
ઈન્દીરા ગાંધીને તો પોતાના પિતાશ્રીની જેમ બધા જ “હાજી હા” કરનારા જોઇએ. જે એલ નહેરુએ તો સ્વતંત્રતાની ચળવળમાં લોકશાહીની દુહાઈઓ ગાયેલી. એટલે જે મોઢે લોકશાહીના ફાયદાના રસગુલ્લા ખવડાવ્યા હોય તે મોઢેથી કોલસા કેવી રીતે ખવાય? પણ ઈન્દીરા ગાંધીને એવું કશું બંધન હતું નહીં. એમની એવી કોઈ પાર્શ્વ ભૂમિ પણ હતી નહીં. નાગાને નાહવું શું અને નીચોવવું શું?.
ઈન્દીરા ગાંધીને “હાજી હા” કરનારા મંત્રીઓ તો જોઇએ જ પણ રાષ્ટ્રપતિ પણ હાજી હા કરનારા જોઇએ. પણ જો પક્ષ પ્રમુખ હાજી હા કરનારા ન હોય તો રાષ્ટ્રપતિ હાજી હા કરનારા કેવી રીતે મળે? પક્ષ પ્રમુખ નિજલિંગપ્પા હતા. તેઓ સીન્ડીકેટના સભ્ય હતા. સીન્ડીકેટ એ એક નહેરુએ બનાવેલું જુથ હતું. આ જુથના સભ્યો વગવાળા અને વર્કીંગ કમીટીમાંના સદસ્યો પણ હતા. ઈન્દીરાગાંધીને વડાપ્રધાન પદે આરુઢ કરનારા પણ આજ લોકો હતા. એટલે જ્યાં સુધી ગરજ હતી ત્યાં સુધી ઈન્દીરા ગાંધીએ “ગુંગી ગુડીયાનો રોલ ભજવ્યો. પછી તેમણે જોયું કે સામ્યવાદીઓની મદદથી સંસદમાં કામચલાઉ બહુમતિ તો લવાય પણ તે લાંબી ચલાવી ન લેવાય. તેવે વખતે રાષ્ટ્ર પ્રમુખ કહ્યાગરો હોય તો કામમાં આવે.
રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી સંસદના સભ્યો અને વિધાન સભાના સભ્યો કરે છે. તેમને પોતાના મતનું વજન હોય છે અને વજન પ્રમાણે મત ગણાય છે. રાજ્યની મતદારોની સંખ્યાને રાજ્યના સંસદસભ્યોની સંખ્યાથી ભાગવામાં આવે અને જે સંખ્યા આવે તે તેનું વજન અથવા મત ગણાય. વળી તેમાં પહેલી અને બીજી પસંદગી હોય. એટલે જો પહેલી પસંદગીના મતો માં ૫૧ ટકા મત ન મળ્યા હોય તો બીજી પસંદગીના મતો પણ ઉમેરવામાં આવે. ઈન્દીરાગાંધીએ જોયું કે જો ક્રોસવોટીંગ થાય તો પોતાની પસંદગીનો ઉમેદવાર જીતે. એટલે તેમણે મજુરનેતા ગણાતા વીવી ગિરિ ને પોતાના અકથિત ઉમેરવાર તરીકે ઉભારાખ્યા. કોંગ્રેસના ઉમેદવાર તો સંજીવ રેડ્ડી હતા. અને વિપક્ષના સીડી દેશમુખ હતા.
રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પક્ષ ઉપર આધારિત હોવી જોઇએ કે નહીં? ઈન્દીરા ગાંધીએ આત્માના અવાજપૂર્વક મત આપવો એવો પ્રચાર વહેતો મુક્યો. મીડીયાએ આ પ્રચાર ચગાવ્યો. ગુજ્જુ કે અંગ્રેજી અખબારોએ આ ચર્ચા શાસ્ત્રીય માર્ગે ન ચલાવી પણ અત્યારે જેમ કેશુભાઈના ઉચ્ચારણોને વ્યાપક પ્રસિદ્ધિ આપીને એક પક્ષને વિભાજીત કરવાના કારસામાં અખબારો ફાળો આપે છે તેમ કોણ કોણ આત્માના અવાજપ્રમાણે મત આપશે તેને વધુ પ્રસિદ્ધિ અને કવરેજ આપવામાં આવતું. જોકે આત્માનો અવાજ એટલે શું, તે જાહેર કરવો એટલે શું, તેના ધારા ધોરણો શું, તેના હેતુઓ શું, તેનો વ્યાપ શું … વિગેરે કોઈ શાસ્ત્રીય ચર્ચા કરવાનું બધાજ મૂર્ધન્યોએ ટાળ્યું.
મુદ્દાઓ તો ઘણા છે.
જો રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પક્ષના આધાર પર ન હોય તો એવી પ્રણાલી શા માટે કે તેનું નામાંકન પક્ષીય નેતા કે સભાના જનપ્રતિનિધિ તરફથી કરવું જોઇએ? જો ગુપ્ત મતદાન થતું હોય તો કોઈપણ પક્ષ “ફલાણો” અમારો ઉમેદવાર છે એવું જાહેર કેવી રીતે કરી શકે? રાષ્ટ્રપતિ પદના ઉમેદવારે પક્ષમાંથી રાજીનામું અને ઉમેદવારી પત્રક રજુ કરવા વચ્ચે કેટલો સમય હોવો જોઇએ? તેટલો જ સમય શા માટે? તેનો આધાર શો? વિગેરે વિષે ચર્ચા થવી જોઇએ.
સરકારી નિયમ પ્રમાણે એક નોટીસ પીરીયડ હોય છે. તે નોટીસ પીરીયડ શા માટે હોય છે? એ નોટીસ પીરીયડ અને તે પદ્ધતિ અહીં પણલાગુ પડવી જોઇએ. કારણ કે કોઈ હોદ્દાની રુએ મૂળભૂત જોગવાઈઓવાળી પ્રણાલી માં ફેરફાર કરી શકાય નહીં. જેમકે નોટીસ પીરીયડ ત્રણ માસનો હોય તો તે દરમ્યાન એ ચકાસવામાં આવે છે કે વ્યક્તિ કોઈ વિવાદોમાં સંડાવાયેલો છે કે નહીં? તેની આર્થિક સત્તાઓ વડે અગર તેની પાસેથી વસુલી કરવાના સંજોગો ઉત્પન્ન થાય તો તે માટે શું કરી શકાય?
રાજીનામુ સક્ષમ અધિકારી સમક્ષ રજુ કરવાનું હોય છે. સક્ષમ અધિકારી તેની ચકાસણી માટેના પગલાં ભરે છે. પછી સક્ષમ અધિકારી તેને જણાવે કે ફલાણી તારીખ સુધીમાં તમારે રાજીનામુ પાછું ખેંચવું હોય તો પાછું ખેંચી શકશો. તે પછી તમે તમારું રાજીનામું પાછું ખેંચી શકશો નહીં. સક્ષમ અધિકારી જ રાજીનામુ મંજુર કરી શકે છે. આ સક્ષમ અધિકારી રાજીનામુ મંજુર થયાનો પત્ર લખી શકે છે. આ પત્ર એક દસ્તાવેજ ગણાય છે. આ સક્ષમ અધિકારી કાયદામાં સૂચિત હોય છે. પ્રણાલી પણ સૂચિત હોય છે. જો કોઈ પ્રણાલી સૂચિત ન હોય તો સામાન્ય પ્રણાલી જે તે ડીપાર્ટમેન્ટમાં લાગુ પડતી હોય તે લાગુ પડાય છે. સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં ૬ માસની નોટીસ આપવી પડે છે. અને રીટાયર્ડ થયા પછી બે વર્ષ સુધી તમે ડીપાર્ટમેન્ટ સાથે કામ પડે તેવી નોકરી કરી શકતા નથી. આ જ પ્રણાલી કેન્દ્રીય પ્રધાનોને લાગુ પડે. એટલે કે ૬માસની નોટીસ આપ્યા પછી અને રાજીનામુ મંજુર થઈ નિવૃત થયાને બે વર્ષ વીત્યા પછી જ રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ભાગ લઈ શકાય એવું અર્થઘટન કાયદા અને પ્રનાલીની રુએ થાય. આ બધા મુદ્દાઓ ઉપર માધ્યમોએ ચર્ચા કરવી જોઇએ.
પક્ષની બાબતમાં પણ આવું જ છે. પક્ષને અને બંધારણને પ્રણાલીઓ હોય છે. ધારોકે પક્ષને અમુક સિદ્ધાંતો છે અને તેમાં સમયને અનુરુપ ફેરફાર કરવા છે. પણ પક્ષનું મોવડી મંડળ દાદ દેતું નથી. એવું કોઇ સભ્યને લાગે છે. તો તે પોતાના સથીઓ સાથે મસલત કરી શકે છે. તેને લાગે કે મને હવે પૂરો સહયોગ મળે તેમ છે તો તે પક્ષપ્રમુખને સામાન્ય સભામાં મંજુઅર કરાવવા એજન્ડાના મુદ્દઓમાં સામેલ કરવા માટે આપી શકે છે. જો સભ્યનો મુદ્દો અર્જન્ટ હોય તો આપાત્કાલિન સામાન્ય સભા બોલાવી શકે પણ તે માટે પ્રણાલી હોય છે. પક્ષપ્રમુખને પણ આ પ્રણાલીને અનુસરવું પડે છે. સૌ કોઇ એ પ્રણાલીને અનુસરવું પડે.
સત્તા ધારીઓએ પણ પ્રણાલીઓને અનુસરવું પડે. ન્યાયધીશપાસે ન્યાય આપવાની સત્તા હોય છે. પણ તે બે પક્ષને સાંભળ્યા વગર સીધો ન્યાય આપી ન શકે. એક પક્ષે અરજી આપવી પડે. કૉર્ટે બીજા પક્ષને નોટીસ આપવી પડે. તેને રજુઆત કરવામાટે ચોક્કસ સમય આપવો પડે. અને પછી ન્યાયધીશ દરેક મુદ્દાઓના ઔચિત્યને વિષે પોતાનો નિર્ણય કેવી રીતે યોગ્ય છે એ દર્શાવતો બોલતો નિર્ણય આપે છે.
આજ વસ્તુ દરેક કિસ્સઓને લાગુ પડે છે
ધારોકે પક્ષના કોઇ એક સભ્યને એમ લાગ્યું કે ફલાણી વાત બરાબર નથી. હવે આ વાત કાયદાને લગતી હોય કે વહીવટને લગતી હોય. વહીવટને લગતી હોય તો તેનો અર્થ એ થાય કે વહીવટમાં પ્રણાલીનું પાલન થતું નથી. અથવાતો પ્રણાલી ખામીવાળી છે. પ્રણાલી ખામીવાળી હોય તો સારી પ્રણાલીનુ સૂચન થવું જોઇએ. અને આ સૂચિત પ્રણાલી, ચાલુ પ્રણાલી થી કેવી રીતે ઉત્કૃષ્ટ છે તેની જાહેર ચર્ચા થવી જોઇએ. જો કાયદાના અભાવને લગતી હોય તો તેની પણ મુક્ત અને વિસ્તૃત ચર્ચા થવી જોઇએ.
ઈન્દીરા ગાંધીએ શું કર્યું હતું?
ઈન્દીરા ગાંધીએ અસાધારણ સામાન્યસભા બોલાવી ત્યારે તેમણે આવી કોઈ ચર્ચા કરેલી? તેમણે પોતાના મુદ્દાઓ વિષે પક્ષ પ્રમુખ અને કારોબારીમાં મુદ્દાસર રજુઆત કરેલી? તેમણે પ્રદેશ કારોબારીઓમાં પત્રવ્યવહાર કરેલો? તેઓના અભિપ્રાયો મગાવેલ? આ બાબતની પક્ષના સભ્યો સાથે વ્યાપક ચર્ચા કરેલી? જનતા સાથે પણ સમાચાર પત્રો મારફત આવી ચર્ચા કરી હતી શું? નાજી જરા પણ નહીં.
તો પછી કોઈ વિસ્તૃત છણાવટ વગરના મુદ્દઓ વગર, અરે મુદ્દાઓના તદન અભાવમાં તમે પક્ષની આપાત્ કાલિન સામાન્ય સભા કેવી રીતે બોલાવી શકો? ડેલીગેટો પણ કેવી રીતે તૈયાર કરી શકો? જે કંઈ કરો તે સ્થાપિત પ્રણાલીથી વિરુદ્ધ જ જાય એટલે તે રદ જ ગણાય. જ્યાં સુધી કાયદેસર રીતે રચાયેલ કારોબારી અસ્તિત્વ ધરાવતી હોય ત્યાં સુધી તેને તમે રદ કરી ન શકો. ઈન્દીરા ગાંધીએ જે આપાત્કાલિન સામાન્યસભા બોલાવેલ તે જ ગેરકાયદેસર હતી. કારણ કે ટૂંકા ૬માસથી પણ ઓછા સમયમાં તે મળવાની જ હતી. વળી ડેલીગેટોની પસંદગી પ્રણાલી અનુસાર ન હતી. તેથી ગેરકાયદેસર અને રદ હતી.
ઈન્દીરાગાંધીને ખબર હતી કે કાયદેસર રીતે પક્ષ ઉપર કબજો મેળવી શકાય તેમ નથી. તેથી તેમણે કાયદેસરની પ્રણાલી બહારના માર્ગ અપનાવ્યા. દેશના વહીવટના તે વડા હતાં. એટલે પ્રસારમાધ્યમો તેમના કબજામાં હતા. આનો લાભ તેમણે પાટલી બદલુઓને અને પોતાના પક્ષમાં આવનારાઓને ચમકાવવામાં કર્યો. નવી ચૂંટણીમાં તેમના પક્ષને બહુમતિ મળી. એટલે ન્યાયાલયે તેમના પક્ષને કોંગ્રેસ પક્ષ તરીકે માન્ય રાખ્યો. પણ ચિન્હ માન્ય ન રાખ્યું. પીલુ મોદીએ ટકોર કરેલી કે જો હવે પછીની ચૂંટણી માં કોંગ્રેસ (સંસ્થા)ને જો બહુમતિ મળશે તો શું કૉર્ટનો નિર્ણય રદબાતલ થશે? વાસ્તવમાં પક્ષ એ એક સંસ્થા છે અને તેનું અસ્તિત્વ તેના સભ્યો અને બંધારણીય ઘટકોને આધારે હોય છે, નહીં કે લોકસભા કે વિધાન સભાની ચૂંટાયેલા સભ્યોની સંખ્યાને આધારે.
પક્ષ છે તો મુખ્ય મંત્રી છે, પ્રધાન મંત્રી છે. તેઓ પક્ષની રુએ અને પક્ષના સિદ્ધાંતો અનુસાર દેશના બંધારણની અંતર્ગત પોતાની ફરજો બજાવે છે. પક્ષને એમ લાગે કે તેમનો સંસદીયનેતા કે વિધાનસભાનો નેતા પક્ષના સિદ્ધાંતોને અનુરુપ કારભાર કરતો નથી તો પક્ષ તેને નોટીસ બજાવી શકે અને જવાબ માગી શકે. પક્ષનો વડો પક્ષ પ્રમુખ છે જે પક્ષીય કારોબારીની સલાહ પ્રમાણે કામ કરે છે. પક્ષનો પ્રમુખ, વડાપ્રધાનનો અને મુખ્ય મંત્રીનો પણ વડો છે.
આ વાત સમજવામાં “તડ ને ફડ”વાળા મૂર્ધન્યો જેવા મૂર્ધન્યો પણ ભટકી જાય છે. આ કહેવાની જરુર એ માટે પડી કે આ મૂર્ધન્ય મહાશયનો હેતુ યેનકેન પ્રકારે ઈન્દીરા ગાંધીનો બચાવ કરવાનો હતો. અને તેથી તેઓ પક્ષ પ્રમુખને બદલે વડાપ્રધાન ની ઈચ્છાને મહત્વની ગણાવવા માગતા હતા. ઈન્દીરા ગાંધી વડા પ્રધાન હતાં ત્યારે તે પક્ષ પ્રમુખની ઉપરવટ જતા હતાં. જેમકે બેંકોનું રાષ્ટ્રીયકરણ ન કરવું પણ સમાજીકરણ કરવું એ કોંગ્રેસની કારોબારીનું સૂચન હતું. આ બાબત ઉપર માધ્યમોએ મુદ્દાસરની શૈક્ષણિક ચર્ચા યોજવી જોઇએતી હતી. રાષ્ટ્રીયકરણના ભયસ્થાનો પારવિનાના હતા. આ વાત તો તે પછીના સમયે જ સિદ્ધ કરી. મોરારજી દેસાઈની વહીવટી આર્ષદૃષ્ટિ આ જોઇ શકેલ. ઈન્દીરા ગાંધીની દૃષ્ટિ મતના રાજકરણ અને પોતાની સત્તા તરફ હતી. ઈન્દીરાગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. વળી તે પહેલાં નાણાંખાતું હસ્તગત કરવા નાણામંત્રીને (મોરારજી દેસાઈને) ફારેગ કર્યા. મોરારજી દેસાઈને નાણાં મંત્રી બનાવવાની વાત કારોબારી સાથે વિમર્શ બાદ નક્કી કરેલી. તેથી નાણાંમંત્રીને જો બદલવા હોય તો શાલીનતાની રુએ કારોબારી કે પક્ષપ્રમુખ સાથે મસલત કરવી જ જોઇએ. પણ જેઓ લોકશાહી મુલ્યોમાં નથી માનતા, તેઓ આપખુદીમાં માનતા હોય છે. તેઓ પારદર્શિતાને અને શાલીનતાને અવગણે છે.
આવા કારણોસર અને રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં જે વ્યક્તિના નામની પક્ષની રુએ ઈન્દીરા ગાંધીએ ભલામણ કરેલી તેની વિરુદ્ધમાં જ ઈન્દીરા ગાંધીએ પોતે જ પ્રચાર કર્યો અને પક્ષની ઉપરવટ જઈ અપ્રણાલીગત નિવેદનો કર્યા ત્યારે જ મોરરજી દેસાઈએ પક્ષના મોવડી મંડળને જણાવેલ કે ઈન્દીરા ગાંધીને બરતરફ કરો. પક્ષનું મોવડી મંડળ તાત્કાલિક નિર્ણય લઈ ન શક્યું. ચૂંટ્ણીને સમયે ઈન્દીરાગાંધીએ, સંજીવ રેડ્ડી વિરુદ્ધ બિભત્સ આક્ષેપો સાથેની પત્રિકાઓ વહેંચાવડાવી. પક્ષે સૂચવેલ ઉમેદવાર હાર્યો અને ઈન્દીરાગાંધીએ જે ઉમેદવાર ઉભોકરેલ તે જીતેલ. પક્ષે તે પછી ઈન્દીરાગાંધીને બરતરફ કરેલ. સંસદમાં તેમની બહુમતિ ચાલુ રહે તે માટે તેમના દ્વારા પ્રયોજાયેલા રાષ્ટ્ર પ્રમુખે તેમને સત્તા ઉપર ચાલુ રાખ્યા અને સમય આપ્યો. પાર્ટીના કેટલાક સભ્યોએ ઈન્દીરા ગાંધીને ટેકો જાહેર કર્યો. તેમજ સામ્યવાદીઓએ અને કેટલાક ફુટકળીયાઓએ પણ ઈન્દીરાગાંધીના પક્ષને ટેકો જાહેર કર્યો.
ટૂંકમાં ઈન્દીરા ગાંધીનું રાજ મુદ્દાઓવગરનું અને સિદ્ધાંતો વગરનું ટોળારાજ હતું. એ સૂત્રો ઉપર નભતું હતું. મીડીયાનો તેમને પૂરતો ટેકો હ્તો. મીડીયા આજે પણ વિવેકહીન છે. મીડીયા તે વખતે પણ વિવેકહીન હતું.
આ જ વાત કેશુભાઈને પણ લાગુ પડે છે
તેમના મુદ્દાઓ શું છે તે કોઈ જાણતું નથી. તેમને નેતાગીરીથી અસંતોષ છે. પણ કયા મુદ્દાઓ ઉપર અસંતોષ છે તે કોઈ જાણતું નથી. તેમને કાયદામાં ફેરફાર જોઇએ છે કે પ્રણાલીઓમાં ફેરફાર જોઇએ છે? તેમને કેવા ફેરફારો જોઇએ છે અને શામાટે જોઇએ છે તેકોઈ જાણતું નથી. તેમણે સ્થાનિક નેતાઓ સાથે કે મુખ્ય મંત્રી સાથે ક્યારેય મુલાકાતો માગી છે ખરી? તેમણે કદીય પ્રણાલીઓ બાબતમાં વહીવટી અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી છે ખરી? મુલાકાતોની માગણી જો કરી હોય તો તેની નીપજ શું આવી? જનતા તો મુદ્દાઓની વિગતોથી અજાણ જ છે. જો મુલાકત જ માગી ન હોય તો પક્ષમાં રહીને પક્ષની ટીકા કરવી અયોગ્ય છે અને આવી વર્તણૂંક નિંદનીય છે. લોકશાહી પ્રણાલીને અનુરુપ નથી.
ખેડૂતોને અન્યાય કે ગૌચરની જમીન કે ઉદ્યોગપતિઓને જમીનની લહાણી એ વિગતો માગી લે તેવા વિષયો છે. સૌ કેસ અલગ અલગ હોય તેથી તેના કેસ પ્રમાણે ગુણદોષ તારવી શકાય. આવા કેસ ન્યાયિક અદાલતમાં લઈ જઈ શકાય. જો પ્રણાલી અંતરગત હોય તો વિકલ્પ સુચવવવા જોઇએ. પક્ષના સભ્યોને પણ માહિતગાર કરી શકાય. સામાન્ય સભામાં પ્રસ્તાવ રજુ કરી શકાય. શું આવું કશું કેશુભાઈ કર્યું છે. બંધબારણે મીટીંગો કરવી, જાતિવાદી મીટીંગો કરવી, જાતીને અન્યાય થાય છે એવી વાતો ચગાવવી આ બધું નીમ્ન કક્ષાનું રાજકારણ કહેવાય.
સમાચાર માધ્યમો પણ મુદ્દાઓને સદંતર અવગણી નિમ્ન કક્ષાના રાજકારણ પર ઉતરી આવે છે. સમાચારની હેડ લાઈનો પણ પૂર્વગ્રહ વાળી હોય છે. જે સમાચાર પત્રોને નરેન્દ્ર-મોદીનો “ફોબીયા” છે તેઓ દરેક વાતોમાં નરેન્દ્ર મોદીની અવમાનના કરે છે. નરેન્દ્ર મોદીના પ્રજાલક્ષી કામોને પણ વક્રદૃષ્ટિ થી જુએ છે. મુદ્દાઓ અને તેની ઉપરની શૈક્ષણિક ચર્ચાઓને તો સમાચારપત્રોમાં અવકાશ જ નથી. આ જ વર્તમાનપત્રોના માંધાતાઓ, જ્યારે ઈન્દીરા ગાંધીએ કહ્યું “નીચા નમો …”, ત્યારે તેઓ ચત્તાપાટ પડીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા થઈ ગયેલા. ઈન્દીરા ગાંધીની આપખુદીનો જોટો ન હતો. તો પણ આ માધ્યમોના મૂર્ધન્યો આજનીતારીખમાં પણ તે વિષે ચૂં કે ચાં કરી શકતા નથી. કારણ કે તેમની નજર વિદેશી બેંકોમાં પડેલા ૪૦૦ લાખ કરોડ રુપીયા ઉપર પણ હોય. તો આવા માધ્યમોની વિશ્વસનીયતાની તો વાત જ ક્યાંથી થાય? સમાચાર માધ્યમો પ્રમાણે તો નરેન્દ્ર મોદી સામે વ્યાપક આક્રોષ છે. વળી તેઓ પોતે જ અંદરખાને કહે છે કે બહુમતિ તો નરેન્દ્ર મોદી લઈ જ જશે. હવે તેમને પોતે જ, પોતે જે છાપે છે તેમાં વિશ્વાસ નથી તો બીજાઓ તો તેમની ઉપર વિશ્વાસ ક્યાંથી રાખી શકે?
સુબ્રહ્મનીયન સ્વામી
સુબ્રહ્મનીયન સ્વામીને કોઈએ પૂચ્છ્યું કે તમે ભ્રષ્ટાચારના વિરોધી છો તો કોંગ્રેસ સિવાયના પક્ષના ભ્રષ્ટાચારીઓ સામે કેમ લડતા નથી. સુબ્રહ્મનીયન સ્વામીએ જવાબ આપ્યો કે વિરોધ પક્ષના નેતાઓ સામે કેસ કરવાની ફરજ કોંગ્રેસની છે કારણ કે તેને તે માટે પૈસા મળે છે. હું જે કંઈ કહું છું તે બધું જ કૉર્ટમાં કહી ચૂક્યો છું.
આ વાત ગુજ્જુ કોંગીઓએ સમજવા જેવી છે. તેમના પક્ષનું કેન્દ્રમાં રાજ છે. નરેદ્ન્ર મોદીએ જો ભ્રષ્ટાચાર કર્યો હોય કે કરાવ્યો હોય તો તેઓ કોર્ટમાં જઈ શકે છે. અથવા એઓ કેન્દ્રને રજુઆત કરી નરેન્દ્ર મોદી કે તેના સાથીઓ સામે બંધારણની જોગવાઈ અનુસાર પગલાં લઈ શકે છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે તેમના આક્ષેપો વજુદ વગરના છે. જો પ્રણાલીઓને ભાંડવા જાય તો તેઓ અને તેમનો પક્ષ જ પહેલાં ભક્ષ્ય બની જાય. જમીન સંપાદનની ગુજરાત સરકારની નીતિની સુપ્રીમ કોર્ટે પણ પ્રસંશા કરી છે.
આપણા ગુજ્જુ કોંગી નેતાઓ, પહેલેથી જ આપણા ગુજરાતી નેતાઓના ટાંટીયા ખેંચી પાડી દેવાના તાનમાં રહેતા હોય છે. આ તેમનો જુનો રોગ. આપણા ગુજ્જુ મૂર્ધન્યો પણ મોરારજી દેસાઈની બદબોઈ કરવામાં ઉણા ઉતરતા ન હતા. અને હાલ માં જ જુઓ. આપણા કાન્તિભાઈએ મોરારજી દેસાઈના રાજકારભારને લાઈસન્સ, પરમીટ અને ક્વોટાનું રાજ્ય કહ્યું છે. વાસ્તવમાં મોરારજી દેસાઈએ તો 1977માં ઉત્પાદન ઉપરના અંકુશો સાવ દૂર કરી ને ક્વોટાઓ તો નાબુદ કરી દીધેલા. લાઈસન્સ પરમીટ અને ક્વોટાનું રાજ તો નહેરુનું હતું તે વાત આખો દેશ જાણે છે. આપણા કાંતિભાઈ કદાચ તે વખતે ભાંખોડીયા ભરતા હશે કે બાબાગાડી ચલાવતા હશે તેથી તેમને ખબર નહીં હોય. પણ મોટા થયા પછી તેમણે ઈતિહાસનું વાચન કરવું જોઇએ. સૌ કોઈ જાણે છે કે નહેરુવીયનોના પીઠ્ઠૂઓ મોરારજી દેસાઈને પણ મુડીવાદીઓના પીઠ્ઠુ તરીકે ઓળખાવતા હતા.
શિરીષ મોહનલાલ દવે
ટેગઃ પક્ષ, ઈન્દીરા કોંગ્રેસ, કોંગ્રેસ (સંસ્થા), પક્ષપ્રમુખ, કારોબારી, ડેલીગેટ, મોવડીમંડળ, સંજીવ રેડ્ડી, મોરારજી દેસાઈ, સીન્ડીકેટ, જે એલ નહેરુ, આપાત્કાલિન, સામાન્યસભા, સંસદ, વિધાનસભા, સદસ્ય, આપખુદ, મુદ્દા, મીડીયા, મૂર્ધન્ય