Feeds:
Posts
Comments

Archive for October, 2012

સુલેમાન સુધર ગયા ક્યા?

મુસ્લીમ ભાઈઓ માફ કરે. આ કોઈ બગડેલા સુલેમાનભાઈની વાત નથી. કે સુલેમાનભાઈની પણ વાત નથી. પણ એક મુહાવરુ છે કે એક ભાઈ જે કદાચ સુધરી શકે તેમ નથી પણ સુધરી જવાની વાત કરે છે.

આમ તો આ વાત કોઈ વ્યક્તિની નથી. પણ વ્યક્તિથી વિશેષ એવા એક સમાચાર પત્રના ગુજ્જુ તંત્રી લેખની છે.

ગુજરાતની ચૂંટણીમાં અખબારોના ખેલ

ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે. અનેક ખેલ ખેલાશે. તેમાં ખેલૈયાઓમાં માત્ર ઉમેદવારો કે પક્ષો નહીં હોય. વર્તમાન પત્રો પણ હશે.

વિનોબા ભાવેના શબ્દોમાં “ચૂંટણી એક પર્વ છે” અને તેને ઉજવવાનું હોય છે. આમ તો આ એક લોક જાગૃતિનું પર્વ છે. આપણા વર્તમાન પત્રોનું મૂળ કામ તો લોકોની અપેક્ષાઓ અને માન્યતાઓમાં રહેલા સત્વને પ્રતિબિંબિત કરવાનું, લોક જાગૃતિનું અને દીશા સૂચનનું છે. પણ જ્યારે દશે દીશાઓમાંથી નહેરુવીયન કોંગ્રેસના શાસન દરમ્યાન જે કૌભાન્ડોની વણઝાર જોવા મળી અને અસાંજે જેવા એક વિદેશી વ્યક્તિએ જનહિત ખાતર કાળાનાંણાનો વિદેશી બેંકોંમાં રહેલા જુદા જુદા દેશોના કાળા નાણાની વાત બહાર પાડી ત્યારે જાણવા મળ્યું કે આપણા દેશના ફક્ત કાળા જ નહીં પણ લાલ નાણા સહિત લગભગ ૪૦૦ લાખ કરોડ રુપીયાના વિદેશી બેંકોમાં ગેરકાયદેસર રીતે જમા છે.  નહેરુવીયન કોંગ્રેસે આ બાબતમાં તપાસની બાબતમાં ઠાગાઠૈયા કરવા માંડ્યા ત્યારે વર્તમાન પત્રોના માલિકોને જ નહીં પણ કેટલાક કટાર મૂર્ધન્યોની પણ દાઢ સળકી. આ દાઢોને મેવા ખાવાની ઈચ્છા થઈ. આ મેવા ચૂંટણી-પર્વમાં નહીં મળે તો ક્યારે મળશે?

આમેય એક સત્ય, અફવા રુપે તરતું હતું કે છાપાંઓમાં આવતા સમાચારો અને ખાસ કરીને રાજકીય પક્ષોને લગતા સમાચારો (હેડલાઈનો સહિત) પેઈડ સમાચારો હોય છે એટલે કે પૈસા લઈને છાપવામાં આવતા હોય છે, એટલેકે છાપાએ પૈસા લેવાના અને લાભ કર્તા પક્ષે પૈસા આપવાના, એ રીતની લેવડ દેવડના વહીવટ દ્વારા સમાચારો છપાતા હોય છે.

ચોર ક્યારે પકડાય છે?

તમે જાણો છો કે કોઈ ચોર મોટી ચોરી કરે એટલે પકડાઈ જવો જરુરી બનતો નથી. મોટેભાગે તો જ્યારે પણ ચોરી થાય ત્યારે બે જણ તો ચોર કોણ છે તે જાણતા હોય છે. તમે પૂછશો કે આ બે જણ કોણ હોય છે? અરે ભાઈ, તમને ખબર નથી? એક તો ચોર પોતે જ હોય છે, અને બીજો તે કે જેને ત્યાં ચોરી થઈ છે. સામાન્ય રીતે જ્યારે ધંધાદારી ચોર સંડોવાયેલો ન હોય તો આ રીતે બે જણ ને ચોર વિષે માહિતિ હોય છે. જ્યારે ચોરીમાં ધંધાદારી ચોર સંડોવાયેલો હોય ત્યારે પોલીસને ખબર હોય છે કે ચોરી કોણે કરી છે. હવે ધારો કે ધંધાદારી ચોરે ચોરી કરી પણ ધંધાદારી ચોર દૂરનો હોય ત્યારે તે કેવી રીતે જાણી શકાય?

   દાનઃ ભોગઃ નાશઃ, ત્રીસ્રઃ ગતિ ભવન્તિ વિત્તસ્ય,

યો ન દદાતિ ન ભૂંક્તે, તસ્ય તૃતીયા ગતિ ભવતિ

ધનની ત્રણ ગતિ હોય છે. દાન ભોગ અને નાશ. જે વ્યક્તિ દાન કરતો નથી અને ભોગવતો પણ નથી, તેના ધનની ત્રીજી ગતિ થાય છે. એટલે કે તેના ધનનો નાશ થાય છે.

ચોર જો ભણેલો હોય તો તો આ વાત કદાચ જાણતો પણ હોય. પણ જો તે અભણ હોય (અવાચનપ્રિય. જેને વાચન પ્રિય ન હોય તેવો) તો તો આ વાત તે ખાસ જાણતો હોય છે. એટલે જ્યારે આવો ચોર મોટી ચોરી કરે ત્યારે તે પોતાની રહેણી કરણી બદલી નાખે છે. પડોશીઓ અને મિત્રો આશ્ચર્ય પામે છે.  પોલીસ તપાસ માટે શોધતી શોધતી આવે ત્યારે તેમને ચોરની બદલાયેલી શૈલીની ખબર પડી જાય છે કે આ (ચોર)ભાઈ અચાનક રંકમાંથી રાય કેવી રીતે થઈ ગયા? ટૂંકમાં ખર્ચમાં થયેલા અતિરેક ને કારણે પોલીસને શંકા જાય છે અને ચોરભાઈ પકડાઈ જાય છે.

આવું જ કંઈ આપણા અખબારોના કારભારીઓનું હોય છે.

લોકપ્રિયતાને મારો ગોળી

એક વ્યક્તિ ખૂબ લોકપ્રિય હોય. તેનું કારણ તેનું પક્ષમાં પ્રભૂત્વ હોવું માત્ર ન હોય, તેની સંપત્તિ પણ ન હોય, તેનું રુપ પણ ન હોય, તેનો વંશ પણ ન હોય, તેની જાતિ પણ ન હોય, તેણે પ્રચારિત કરેલા પ્રપંચિત પ્રગતિ કે વિકાસ પણ ન હોય, તેની નીતિમત્તા માત્ર પણ ન હોય, આપત્તિને અવસરમાં ફેરવી નાખવાની કુશાગ્ર વહીવટી ક્ષમતા પણ કદાચ તેની લોકપ્રિયતાનું કારણ બનતી ન હોય, પણ તે ફક્ત અને ફક્ત જોઈ શકાય, અનુભવી શકાય અને માણી શકાય તેવો વિકાસ જ તેની લોક પ્રિયતાનું કારણ હોય તો? આવી વ્યક્તિની લોકપ્રિયતાને જરાપણ પ્રતિબિંબિત કરવાને બદલે તેને કલુષિત કરવાના પ્રયત્નો થતા હોય,  જે દિવસ છે તેને રાત્રી તરીકે ખપાવવાની ચેષ્ટા છાપાંઓ દ્વારા થતી હોય, ત્યારે જનતા અચૂક વિચારે જ કે આ અતિરેકના મૂળમાં શું છે?

ચોર જ્યારે ચોરેલા ધનના વપરાશના અતિરેક ને કારણે જનતા અને પોલીસની નજરમાં આવી જાય છે. તેવીજ રીતે જનતા રુપી પોલીસ, સંચારમાધ્યમો દ્વારા થતા વ્યક્તિવિશેષના વ્યક્તિત્વ હનન પરત્વે થતા અતિરેકને આ રીતે નિહાળે છે.

હલકું લોહી

પહેલાંના જમાનામાં સરકારી નોકરોના પગાર બહુ ઓછા હતા. પણ સરકારી નોકરો પાસે સત્તા હતી. એટલે સત્તાનો દુરુપયોગ થતો. અને સરકારી નોકરોને બે નંબરની કમાણીનો લોભ જાગતો હતો. મનની સામે લડવું એ ગીતાને સમજવા જેવું અઘરું કામ છે. “અમે પણ માણસ છીએ” એ આધારે સરકારી નોકરો અમાનવીય (ગેરકાયદેસર) કમાણી કરતા થઈ ગયા. બે છેડાઓને જોડવા ઉપરાંત તેઓ જીવનને વધુને વધુ સુવિધાજનક બનાવવા તરફ પણ વળ્યા.. તેવીજ રીતે વર્તમાનની સાથે સાથે  ભવિષ્યની નિશ્ચિંતતાનો પણ વિચાર કરવા લાગ્યા. પૈસાના લોભને કોઈ સીમા નથી.  અમારા જમાનામાં દિવાનનો છોકરો અને ધોબીનો છોકરો એક જ તાલુકા સ્કુલમાં ભણતા હતા. પણ હવે તેવું નથી. કેટલાક બાબલાઓ તો પપ્પાને એમ પણ કહે કે “પપ્પા તમે મને મરુતી-૮૦૦ લઈને સ્કુલે લેવા ન આવશો.” કારણ કે મારુતિ-૮૦૦ એ ગરીબની કાર ગણાય.   એટલે જે જીવન શૈલી અપનાવી તેને વધુને વધુ ઉંચે લઈ જવાની આદત પડી જાય એટલે ડાબા હાથની કમાણી પણ આદત બની જાય.. હવે તો સરકારી નોકરોના પગારો ઠીક ઠીક વધી ગયા છે.  પણ જે કમાણી આદત બની ગઈ તેનું મન પણ એ પ્રમાણેની વૃત્તિ ધરાવતું થઈ જાય.

“પૈસાના વહીવટ દ્વારા સમાચારોનું પ્રકાશન” આ વાતે સમાચાર પત્રો ઠીક ઠીક વગોવાય છે. સમાચાર પત્રોની વિશ્વસનીયતા ખાડે ગઈ છે. વિશ્વાસ સ્થાપિત કરવો એ એક અઘરી બાબત છે. પણ તે માટે મનની વૃત્તિ પણ હોવી જોઇએ. સમાચાર પત્રોનું “માઈન્ડ-સેટ” જ જો આદતનું ગુલામ હોય તો જનતાનો વિશ્વાસ કેવી રીતે મેળવવો?

ચાલો નાટક કરીએઃ

વર્તમાન પત્રોએ વિચાર્યું. “ચાલો એવું નાટક તો કરીએ”. “જો મૂર્ધન્યો પણ તટસ્થતાની ઘેલછામાં પ્રમાણભાન અને સંદર્ભના પરિપેક્ષ્યતાને જાણે અજાણ્યે અળગી કરતા હોય તો આપણે તો ધંધો લઈને બેઠા છીએ. આપણે આપણી વિશ્વસનીયતા માટેની માયા ફેલાવીએ.”

ગુજરાતના એક ખ્યાતનામ અને નંબર વન અખબારે શું કર્યુ? ચાલો તેને એક ટેસ્ટ કેસ તરીકે લઈએ.

તંત્રી શ્રીએ હેડીંગ આપ્યું “ ૦ % પેઈડ ન્યુઝ, ૧૦૦ % ન્યુઝની ઐતિહાસિક પહેલ સાથે ગુજરાતની ચૂંટણીનું નિષ્પક્ષ, નિર્ભિક કવરેજ”

નિષ્પક્ષ એટલે શું? અરે ભાઈ એની કોઈ વ્યાખ્યા કરવાની નથી. આપણે જે કંઈ કહીએ તેને નિષ્પક્ષ ગણવાનું. જેમકે ઈન્દીરા ગાંધી કહેલ કે મારા પુત્રે કશું ખોટું કર્યું નથી. જો તેણે કશું ખોટું કર્યું હોત તો મેં પગલાં ભર્યાં હોત. મેં કોઈ પગલાં ભર્યાં નથી, તેથી સિદ્ધ થાય છે કે મારા પુત્રે કશું ખોટું કર્યું નથી.

કદાચ તમે કહેશો, અરે ભાઈ આવું તે કંઈ હોય? સાહેબજી, આતો નહેરુવીય અને ઈન્દીરાઈ પરંપરા છે. નહેરુએ તેના મિત્ર એવા વીકે મેનનના જીપ પ્રકરણ વિષે કહેલ કે થાય તે કરી લો. કોઈ તપાસ બપાસ નહીં થાય. આજની તારીખમાં પણ જે એલ નહેરુ અને ઈન્દીરાની સુબીયું (છબીઓ) સભામંડપમાં દમદાર રીતે ટીંગાડાય છે. આ પરંપરા આજે પણ ચાલુ છે જ ને! સલમાનભઈ ખુરસીદ કાયદા મંત્રી ઉપર જે આક્ષેપો કેજરીવાલે કર્યા તેની ઉપર તપાસની વાત ફગાવી દેવામાં આવી જ છે ને?

એની વે.   અખબારી તંત્રી મંડળીએ વિચાર્યું … હવે આપણે જે કંઈ કરીએ તેનું મહત્વ તો વધારવું જ જોઇએ. એટલે મોટું નામ આપો.

નામ આપ્યું “મહાસત્તાનો સંગ્રામ”.

મહાસત્તાનો સંગ્રામ એટલે કેન્દ્રની સત્તા મેળવવાનો સંગ્રામ.  મધ્યમપદ લોપી સમાસ સમજવાનો છે.

તંત્રીશ્રી સંપાદકશ્રી માલિકશ્રી કારભારીશ્રી જે કહો તે સુજ્ઞજનોએ ઉપોદઘાત લખવાની શરુઆત કરી.

સુષ્ઠુ સુષ્ઠુ, ગુડી ગુડી, ભલુ ભલુ, લખ્યું. વાચકોની પીઠ થાબડી, પોતાની પીઠ (પીઠો) પણ થાબડી. આવનારા અજ્ઞાત લખાણોની પણ મહત્તા વર્ણવી.

નહેરુવીયન કોંગ્રેસના દાઢી વાળા, દાઢીવગરના, કદિક દાઢી વગરના થઈ દાઢી વધારનારા અને કદિક દાઢી રાખી, દાઢી વગરના થઈ જનાર, ગુજ્જુ નેતાઓ ચૂંટણી હોય કે નહોય તો પણ  છેલ્લા એક દાયકાથી, સમાચાર માધ્યમો ઉપર ચમકતા જોવા મળે છે.  કોઈપણ મુદ્દાને ઉજાગર  કરી, તેને અનુલક્ષીને નિવેદનો, પ્રદર્શનો, સભા સરઘસો વિગેરે દ્વારા આંદોલનો કરતા આપણે તેમને જોયા છે. તેમાં ધ્યાન ખેંચે તેવી વાત ખાસ એ હોય છે કે તેઓ સહુ કોઈએ, ધીર ગંભીર ચહેરો રાખ્યો હોય છે. તેઓ ગળાના ઉંડાણ અને સાથે સાથે મગજના ઉંડાણમાંથી બોલતા હોય છે. તટસ્થતાના પાતાળમાંથી નિર્ભેળ પરમસત્યને પકડી લાવ્યા હોય છે એવો તેમના મુખ ઉપર ભાવ હોય છે. શબ્દોની વાગ્ધારા ત્રૂટક ત્રૂટક અને લયબદ્ધ હોય છે. નિવેદનને આ રીતે પ્રવાહિત કરવાની તેમની શૈલી જનતાને ગોઠી ગઈ છે તેમ તેઓ માને છે. તો આપણા અખબારી તંત્રીમંડળ-મૂર્ધન્યો તો છઠી જાગીર વાળા કહેવાય. તેઓ તો પોતાને સર્વજ્ઞ અને અત્ર તત્ર સર્વત્ર માને જ છે. એટલે અસાધારણ કર્તવ્યની પૂર્વભૂમિકામાં ગાંભીર્ય તો પ્રદર્શિત કરવું તો પડે જ ને!

ગુજરાત ઈલેક્સન શા માટે મહાસત્તા માટેનો સંગ્રામ?

આવો પ્રશ્ન અસ્થાને છે. આમ તો આમાં કેટલાક વિરોધાભાસો છે.

યુપી અને બિહાર ના એસેમ્બ્લી ઇલેક્સનમાં પણ રાહુલ ગાંધી હતા.

યુપીમાં મુલાયમ પણ પોતાને વડાપ્રધાન પદના ઉમેદવાર માનતા હતા. રાહુલ ગાંધીનો ફિયાસ્કો થયેલ. તો યુપીનું ઇલેક્સન શા માટે મહાસંગ્રામ તરીકે ન ઠેરાવાયું?

બિહારના ઇલેક્સનમાં લાલુપ્રસાદ પણ પોતાને વડાપ્રધાનપદના ઉમેદવાર જણાવી ચૂક્યા છે. નીતીશકુમાર પણ વડાપ્રધાન પદના ઉમેદવાર છે. આ વાત જાહેર છે. અહીં પણ રાહુલ ગાંધીનો ફિયાસ્કો થયેલ. લાલુ યાદવનો પક્ષ હારી ગયેલ. લાલુ યાદવ  વિષે કેવા ભાવીના તારણો ની ઘોષણા કરવામાં આવેલ? તે ઇલેક્સનને કેમ મહાસંગ્રામ તરીકે ઠેરવવામાં ન આવ્યું?

હવે તમે જુઓ. લાલુ યાદવને બાદ કરો તો આર.જે.ડી.  શૂન્ય બને છે. મુલાયમને બાદ કરો તો એસ.પી. શૂન્ય બને છે. જેના વગર જેનો પક્ષ શૂન્ય બનતો હોય તે વ્યક્તિ શું શૂન્ય ન બને? બને પણ ખરી અને ન પણ બને.

નરેન્દ્ર મોદી ના વ્યક્તિત્વ વિષેના જે પૂર્વ નિયોજીત વિકલ્પો ગોઠવવામાં આવ્યા છે તે જુઓ.

શક્યતા એક પ્રશ્નાર્થ તરીકે ગોઠવવામાં આવી છે.

નરેન્દ્ર મોદી ૧૨૦થી વધુ બેઠકો મેળવે તો …

(૧) શું નરેન્દ્ર મોદી સૌથી શક્તિશાળી અને અજેય નેતા બનશે?

(નરેન્દ્ર ભાઈ મોદી છેલ્લા ત્રણ એસેમ્બ્લી ઇલેક્સન જીતે છે. અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન અને બીજી ઘણી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ નહેરુવીયન કોંગ્રેસ પાસે હતી, તે નરેન્દ્ર મોદીના શાસનની અંતર્ગત બીજેપીએ કબજે કરેલ છે, સતત જાળવી રાખેલ છે. છતાં પણ અખબારી મૂર્ધન્યમંડળીના કહેવા પ્રમાણે ૨૦૧૨ની જીત જ નરેન્દ્ર મોદીના અસ્તિત્વ માટે જરુરી છે. જોકે આ બાબતમાં પણ પ્રશ્નાર્થ તો છે જ કે ૨૦૧૨ ના પરિણામો જ નરેન્દ્ર મોદી ને શક્તિશાળી અને અજેય કેવીરીતે સ્થાપિત કરશે? ૨૦૦૨ પછીની બધી જીત કેવીરીતે અપૂર્ણ હતી એ પ્રશ્ન ઉદ્‌ભવે કે નહીં?)

(૨) મોદીનું ડેવલપમેન્ટ મોડેલ દેશભરમાં શું સ્વયંસિદ્ધ થઈ જશે?

નાનું બાબલું પણ જાણે છે કે ડેવલપમેન્ટ એ ડેવેલપમેન્ટ છે. જે વિદેશમાં થાય છે તે નરેન્દ્રમોદીના ગુજરાતમાં થાય છે. નહેરુવીયન કોંગ્રેસી રાજ્યો અને બીજા પણ ડેવલપમેન્ટની કોશિશ કરે છે. પણ ત્યાં પૈસા કેવીરીતે ચવાઈ જાય છે તે આપણે કોમનવેલ્થ ગેમ પ્રોજેક્ટમાં જોયું છે. રસ્તા, પાણી, વિજળી અને કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીએ એટલે રોજગારી અને બીજા ધંધારોજગારનું ચક્ર ઉત્પન્ન થાય તે જગ જાહેર છે. આમાં કશું સિદ્ધ કરવાની વાત નથી. આ વાત સ્વયંસિદ્ધ જ છે. તે વિષે અર્થશાસ્ત્રીઓએ પછી ભલે તે કોંગીના હોય કે ન હોય, કદી શંકા સેવી નથી. છતાં પણ આપણા અખબારી મૂર્ધન્યે પ્રશ્નાર્થ તરીકે બતાવી છે. એટલે કે નરેન્દ્ર મોદી ગમે તેટલી મોટી જીત મેળવે પણ ગુજરાતનું મોડેલ એક પ્રશ્ન ચિન્હ રહી શકે, અથવા ન રહી શકે પણ ખરું. એટલે કે પૂર્ણવિરામ નથી.

(૩) શું રાષ્ટ્રીય સ્તરે રાહુલ વિરુદ્ધ મોદી થઈ જશે?

અખબારી મૂર્ધન્યનો અંગુલી નિર્દેશ એ છે કે રાહુલ ગાંધી તો રાષ્ટ્રીય સ્તરે છે જ. પણ જો નરેન્દ્ર મોદી ગુજરાતમાં એક અભૂતપૂર્વ વિજય મેળવે તો તે રાહુલ ગાંધીની જેમ રાષ્ટ્રીય સ્તરે રાહુલ ગાંધી સામે ઉભરી શકે. એટલે કે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્તરે રાહુલની સમકક્ષ નથી. પણ જો તે અભૂત પૂર્વ વિજય મેળવે તો તે રાહુલની સમકક્ષ બની શકશે કે કેમ? એટલે કે આ મુદ્દો પણ એક પ્રશ્ન તરીકે જ ગોઠવવામાં આવ્યો છે. રાહુલ ગાંધી ભલે વહીવટી, પ્રબંધક અને આયોજન કર્તા તરીકે નિસ્ફળતાને વરે. તેની સામે કોઈ પ્રશ્નાર્થ નથી. કારણ કે તે નહેરુ વંશનો છે. અને નહેરુવંશ ના સમર્થકો એ પોતાને સેવક તરીકે સ્વિકાર્યા છે. આ બાબતમાં દેશ ભલે લોકશાહીને વરેલો હોય, મૂર્ધન્યો અને ખાસ કરીને અખબારી મૂર્ધન્યોને આ બાબતમાં કશો છોછ નથી. આમાં આ મૂર્ધન્યોને લાયકાત અને કાબેલીયતના ધારાધોરણો નડતા નથી. એ વિષે તેમને પોતાને પણ કોઈ પ્રશ્ન નથી. એટલે તેમને તેમના કર્તવ્યની વાત તો સ્ફુરે જ શેની?

સુબ્રહ્મણીયન સ્વામીએ બંધારણીય મુદ્દાઓ અને બનાવોને ટાંકીને સોનીયા ગાંધીના “પ્રધાનપદના ત્યાગ”ના નાટક્ની પાછળના રહસ્યોનો પર્દાફાસ કરેલ. પણ આ અખબારી મૂર્ધન્યોને એ પ્રશ્ન ઉઠાવી શૈક્ષણિક ચર્ચા કરવાની જરાપણ પડી નથી. આ મૂર્ધન્યોની તટસ્થતાની પરિભાષા શું હશે?

અરે ભાઈ અખબારી મૂર્ધન્યોએ તો માયા ફેલાવવાની છે.

નરેન્દ્ર મોદી જો ૧૧૦ કરતાં ઓછી બેઠકો મેળવે તો …

આપણા અખબારી મૂર્ધન્ય એવો મેસેજ આપવાનો પ્રયત્ન કરે છે કે નરેન્દ્ર મોદીએ “વિજયી” એવા નામકરણ માટે ૧૨૦ થી વધુ બેઠકો તો મેળવવી જ જોઇએ. જો ન મેળવે તો તેને વિજય ગણાય જ નહીં. તેની હેટ્રીક ગઈ ચૂલામાં.

મેસેજ એવો પણ છે કે જો નરેન્દ્ર મોદી ૧૨૦ થી ઓછી બેઠકો મેળવે તો પક્ષની અંદર જ વડાપ્રધાન પદના પ્રતિસ્પર્ધીઓ ઉત્પન્ન થવા જોઇએ. ગુજરાતનો વિકાસ મોડલ પણ ચર્ચાસ્પદ ગણાવો જોઇએ. (વિકાસના બીજા કયા મોડલો છે? આ વિષે કોઈ શૈક્ષણિક ચર્ચા હજુસુધી આપણે જોઇ નથી. ગુજ્જુ કોંગી નેતાઓના નિવેદનોને મોડેલ માં ખપાવી ન શકાય તે તાજુ જન્મેલું બાબલું પણ જાણે છે.)

આયોજનમાં અને વહીવટમાં સદા નિસ્ફળ ગયેલ પક્ષના નહેરુવંશી રાહુલ સામે મોદીનો કોઈ નંબર નથી એવો પણ મેસેજ છે.

નરેન્દ્ર મોદીને જો ૧૦૦ થી ૧૦૫ બેઠકો મળેતો …

મેસેજ એવો છે કે આતો જીત ગણાય જ નહીં. આ તો હારની બરાબર જ ગણાય. એટલે ભલે બીજે બીજેપી હારે પણ ગુજરાતમાં હાર્યો એટલે નરેન્દ ભાઈ કેન્દ્રમાંથી ગયા.

બીજો મેસેજ એવો કે ગુજરાતનું વિકાસ મોડેલ એક તૂત છે. અથવા વિકાસની વ્યાખ્યા બદલો. રાહુલ સામે નરેન્દ્ર મોદીનો કોઈ ક્લાસ જ નથી.

નરેન્દ્ર મોદી જો હારે તો? એટલે કે બહુમતિ ન મેળવી શકે તો?

મેસેજ એવો છે કે નરેન્દ્ર મોદી શૂન્ય છે. બીજેપી શૂન્ય બની જશે.

મુલાયમ નો પક્ષ પણ હારેલ. લાલુ યાદવ પણ હારેલ. નહેરુવીયન કોંગ્રેસ પણ હારેલ. અરે નહેરુવીયન કોંગ્રેસ તો દેશમાંના રાજ્યોમાં અને કેન્દ્રમાં પણ બે તૃતીયાંશ બહુમતિ થી જીતેલ અને ગુજરાતમાં તો ૧૬૨માંથી ૧૪૦ બેઠકો જીતેલ. પણ ઈન્દીરાની વહીવટી અણઆવડત અને કૌભાન્ડોને કારણે અરાજકતા ફેલાયેલી અને ઈન્દીરા ગાંધીએ સર્વક્ષેત્રીય નિસ્ફળતાના પ્રદર્શનરુપ કટોકટી લાદેલી. અને તેણી કટોકટીના ભારમાં દબાઈને તેના કાળા કરતુતોને કારણે ઘોર પરાજયને પામેલી.

આ બધામાંથી આજની તારીખે પણ કોંગી પક્ષ કશું શિખ્યો નથી અને શિખવાના કોઈ લક્ષણો નથી. પણ હે અખબારી મૂર્ધન્યો તમે જો તટસ્થ હો તો આ બધા સંદર્ભો વિસારે પાડી ન શકો.

શું તમારામાં તટસ્થતાના લક્ષણો છે?

નાજી.

સજ્જનેન લીલયા પ્રોક્તં શિલાલિખિતં અક્ષરં

દૂર્જનેન શપથેન પ્રોક્તં જલે લિખિતં અક્ષરં

સજ્જનનું રમતાં રમતાં બોલાયેલું વચન પણ શિલાલેખ જેવું, નાશ ન પામે તેવું હોય છે. દુર્જનનું પ્રતિજ્ઞા પૂર્વક બોલાયેલું વચન, પાણી ઉપર લખેલા અક્ષર જેવું હોય છે.

પહેલે પાને “૦” પેઇડન્યુઝનો ઘોષણાનો આડંબર છે.

પણ તેજ તારીખના તેજ અખબારના તેજ મૂર્ધન્યમંડળી સંપાદિત સમાચારોની હેડ લાઈનો કેવી છે?

કાર્ટુન જુઓઃ

નરેન્દ્ર મોદીએ કદી વડાપ્રધાન થવાની ઈચ્છા પ્રગટ કરી નથી. પણ બતાવવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદની સીડી ચડી રહ્યા છે. નરેન્દ્ર મોદી સામે એક પણ તપાસપંચ નથી અને એફ આઈ આર પણ નથી, તો પણ ગાંધીનગરમાં પૈસાનું મશીન બતાવવામાં આવ્યું છે.

યાદ કરો અને સમજી લો. કોઈ ગુજરાતી નેતા વડા પ્રધાન બને તે પરપ્રાંતના રાજકીય નેતાઓને પસંદ નથી. ગુજરાતી અખબારો અને ગુજરાતી પત્રકારિત્વ બેવકુફ છે. દરેક સીનીયર નેતાને વડા પ્રધાન થવાની ઈચ્છા હોય. મોરારજી દેસાઈને તેમની આવડત અને સીનીયોરીટીની રુએ વડાપ્રધાન થવાની ઈચ્છા હતી. આ કારણસર બધા અખબારો તેમને મજાકનું પાત્ર બનાવતા. ગુજ્જુ અખબારો પણ તેમાંથી બકાત ન હતા.  નરેન્દ્ર મોદી આ બાબતમાં વધુ ચાલાક છે. નરેન્દ્ર મોદીએ કદી વડાપ્રધાન થવાની ઈચ્છા વ્યક્ત કરી નથી. પણ પ્રસાર માધ્યમો અત્યારથી જ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન થવાની મહત્વાકાંક્ષા સેવનારા નેતા તરીકે પ્રોજેક્ટ કરે છે અને આ વાતને ચગાવ્યા કરે છે, નરેન્દ્ર મોદી જો ભારતની પ્રજાના ભલાની વાત કરે કે તૂર્ત જ અખબારી મૂર્ધન્યો તે વાતમાં નરેન્દ્ર મોદીની વડાપ્રધાન પદ મેળવવાના પ્રયાસ તરીકે જોડી દે છે. આ રીતની અખબારી કવાયતથી અખબારી મૂર્ધન્યો બીજા પ્રાંતીય નેતાઓને ઉશ્કેરે છે. અને આ નેતાઓ યોજના બદ્ધરીતે નરેન્દ્ર મોદીના ટાંટીયા ખેંચીને નીચે પછાડવાની કવાયત કરે છે.

એવી હવા ફેલાવવામાં આવી છે કે ગુજરાતની ચૂંટણીનું જો જરાક પણ નબળું પરિણામ આવે તો નરેન્દ્ર મોદીનું માથું ઉતારી લેવામાં આવશે.

અખબારી મૂર્ધન્યોને એજ પાના ઉપર બીજું શું ઉલ્લેખનીય લાગ્યું?

નીતિન ગડકરી વિષે પ્રમાણભૂત રીતે શું ઉલ્લેખનીય લાગ્યું છે?

એજ કે તેમની ઉપર દશેરાના દિવસે જ શસ્ત્રો થી પ્રહારો થયા.

ગડકરી ઉપરના અક્ષેપોની બીજેપીની કાર્યવાહીને હળવી મજાકીયા શૈલીમાં વર્ણવાઈ છે. ગડકરીએ જો કે કોઈપણ તપાસ પંચ સામે ઉભા રહેવાની તૈયારી બતાવેલી છે. આ વાતનો રજમાત્ર પણ ઉલ્લેખ નથી.

તો પછી ઈન્દીરા ગાંધી ની “શાહ પંચ સામે ન અવવાની કાયરતા તો ક્યાંથી યાદ આવે?”

નહેરુએ જનસંઘને આરએસએસનું અનૌરસ સંતાન કહેલ તે બીજેપીને ભાંડાવામાં યાદ કરવામાં આવ્યું છે.

આરએસએસનું અનૌરસ સંતાન જો જનસંઘ હોય તો તે કેવી રીતે છે તેની ચર્ચા થવી જોઇએ. પણ ધ‌ત્‌ … આવું તો આપણા અખબારી મૂર્ધન્યોથી થાય જ કેમ?

જો આવું થાય તો નહેરુવીયન કોંગ્રેસ અને કેટલાક નહેરુવંશી સંતાનોની અનૌરસતા વિષે વધુ વિશ્વસનીયતાથી અથવા તો ઓછી અવિશ્વસનીયતાથી વિવાદો તરતા મુકી શકાય. જો તમે ૧૦૦ ટકા ઐતિહાસિક પહેલ માટે પોતાની પીઠ થાબડવા મગતા હો તો આ બધા મુદ્દાઓ કેમ વિસરી જાઓ છો?

બીજેપી વિરુદ્ધ અફવાઓ અને ગતકડાઓ પણ છે.

“અડવાણીએ જેમને સપોર્ટ કર્યો છે તેમની ખુરસી ગઈ છે”.

આવું ગતકડું રાહુલ વિષે નથી. ક્યાં ગઈ તમારી તટસ્થતા?

“ગડકરી વિષે સંઘનું મૌન.”

આ અફવાનો મેસેજ એ કે સંઘનો ગડકરીને સપોર્ટ નથી.

નહેરુવીયન ફરજંદોના કાયદા પ્રધાન ઉપરના આક્ષેપો વિષેના મૌનનું શું આ જ અર્થઘટન થશે? નાજી. તેમાં તો મૌનનું એ અર્થઘટન થશે કે સોનીયાનો સલમાન ખુર્સીદને પૂરો સપોર્ટ છે.

એક બીજી અફવા એ છે કે સંઘનો સપોર્ટ કેશુબાપાને છે. અને નાગપુરનો સપોર્ટ નરેન્દ્ર મોદી ને છે.

હવે સમજી લો કે જો આ અફવા એ અફવા ન હોય તો નરેન્દ્ર મોદી જરુર શૂન્ય બનશે. એટલે કે તેમની હાર નિશ્ચિત છે. પણ આવી આશા તો કોંગી નેતાઓ પણ નથી રાખતા. તો આવી અફવા ફેલાવવાનો હેતુ શો?

આવી તો આ અખબારના એજ તારીખના અંકમાં અનેક વિરોધાભાસી વાતો છે.

અરે ભાઈ આવી વાતો શા માટે યાદ કરાવો છો? ભાઈ આ અખબારી મૂર્ધન્યો ને તેમની રાક્ષસી માયા ફેલાવવા દો. જનતા તો બધું જ જાણે છે કે કોની વિશ્વસનીયતા કેટલી છે.  

શિરીષ મોહનલાલ દવે

ટેગ્સઃ નરેન્દ્ર મોદી, અજેય નેતા, પેઈડ ન્યુઝ, અખબારી મૂર્ધન્યો, દાઢ સળકી, તંત્રીમંડળી, ૪૦૦ લાખ કરોડ, વિદેશી બેંકો, ગુજ્જુ નેતાઓ, પરપ્રાંતીય નેતાઓ, ટાંટીયા ખેંચ

Ref: This is in response to Divya Bhaskar URL http://www.divyabhaskar.co.in/article/ABH-impartial-and-without-fear-coverage-gujarat-election-3965522.html

Read Full Post »

આ પ્લેન્ક કોન્સ્ટન્ટ શું છે?

ઉર્જા = (પ્લેન્ક કોન્સ્ટન્ટ)(કંપનની આવૃત્તિ)

E = hv

આ (એચ) એક અચળ છે. અને ક્વાન્ટમ થીએરી અને ક્વાન્ટમ ગણિતશાસ્ત્રમાં મૂળભૂત ભાગ ભજવે છે.

ક્વાન્ટમ એટલે નાનામાં નાનું. નાનામાં નાનું એટલે શું? નાનામાં નાનું એટલે જેનાથી નાનું કશું ન હોઈ શકે તેવું, પણ શૂન્ય નહીં.

જો નાનામાં નાની ઉર્જાને એકમ ગણીએ તો તો ક્વોન્ટમ થીયેરી પ્રમાણે તેનાથી નાની ઉર્જા ન હોઈ શકે. આપણા શસ્ત્રમાં એક માન્યતા વારંવાર ઉચ્ચારવામાં આવી છે. તે એ છે કે “જે પિણ્ડે તે બ્રહ્માણ્ડે.

શું મહત્વનું છે? “કેવીરીતે થાય છે તે?” કે “શામાટે થાય છે તે?

ભૌતિક શાસ્ત્રીઓ અને ભારતીય તત્વશાસ્ત્રીઓ નો હેતુ શો હતો અને છે? મનુષ્ય રુપી સજીવ સમુહનું ધ્યેય શું છે? જીવ માત્રનું ધ્યેય શું છે? વિશ્વનું ધ્યેય શું છે?

મનુષ્ય એક જ એવું પ્રાણી છે જે બ્રહ્માણ્ડ વિષે વિચાર કરે છે અને તેને સમજવા માગે છે. ભૌતિક શાસ્ત્રીઓ બ્રહ્માણ્ડ કેવી રીતે વર્તે તે સમજવા પ્રયત્નો કરેછે. ભારતીય તત્વજ્ઞો બ્રહ્માણ્ડ શું કામ અથવા કયા કારણ થી આમ વર્તે છે એ વાત જાણવાનો પ્રયત્ન કરે છે.

વૈજ્ઞાનિકો સમજાવી શકે છે કે મહાવિસ્ફોટ પછી બ્રહ્માણ્ડ કેવી રીતે વિસ્તર્યું, કેવીરીતે આકાશ ગંગાઓ, નિહારિકાઓ, સૂર્યો, ગ્રહો, ઉપગ્રહો વિગેરે બન્યા. કેવી રીતે અમૂક ગ્રહો ઉપર જીવન પાંગર્યું હશે.

દાખલા તરીકે, મીથેન, એમોનીયા, જેવા ગેસ પૃથ્વિ ઉપર હશે અને તેમાં સ્પાર્ક કરવાથી (વીજળી પડવાથી) હાઈડ્રોકાર્બના જટીલ અણુઓ બન્યા હશે. સમય જતાં પ્રાથમિક કક્ષાના પ્રોટીન એમીનો એસીડના અણુઓ અને સેન્દ્રીય અણુઓ બન્યા હશે. અને એ રીતે સમય મળતાં પ્રાથમિક જીવન પાંગર્યું અને તેનું કુદરતી પસંદગી અને શક્યતાના સિદ્ધાંત પ્રમાણે ઉત્ક્રાંતિ થઈ.

ભારતીય તત્વ વેત્તાઓ અને હવે ભૌતિકશાસ્ત્રીઓ પણ આ વિષે વિચાર કરે છે કે આ બધું શા માટે થાય છે?

ભારતીય તત્વજ્ઞાનીઓ માને છે કે આ જે કંઈ થાય છે તે સુખ માટે થાય છે, આનંદ માટે થાય છે.

સુખ એટલે શું?

શરીરને સારું લાગે તે સુખ.  શરીરને ક્યારે સારું લાગે? જ્યારે શરીરને વિઘટનમાટે ની પરિસ્થિતિની અનુભૂતિનો ભય ન હોય ત્યારે. એટલે કે શરીરમાં કશી ત્રુટી

ન હોય. શરીર નું સુખ અને એક જાતનો આનંદ છે. જેમ શરીરની અનૂભૂતિ વિશાળમાત્રામાં થાય તેમ સુખની અનૂભૂતિ વધુ થાય. અને આ અનુભૂતિ ઇન્દ્રીયો થકી થાય છે. જ્ઞાન તંતુઓ તે અનુભૂતિઓને પહોંચતી કરે છે. જ્યારે લોકલ અનેસ્થેસીયા આપવામાં આવે ત્યારે શરીરના તે વિસ્તારની અનુભૂતિ કપાઈ જાય છે. જો ફક્ત મસ્તિષ્કને જ સક્રીય રાખવામાં આવે અને આખા શરીરના જુદા જુદા વિસ્તારોને લોકલ એનેસ્થેસીયા આપવામાં આવે તો આપણું શારીરિક સુખ કમી થઈ જાય છે અને આપણને આપણી જાત ક્ષીણ થયેલી લાગે છે.

આનંદ એટલે શું?

શરીરને સારુ લાગે એ શરીરનો આનંદ. અને મગજને સારું લાગે એ મગજનો આનંદ. મગજ એ શરીરનો એક ભાગ છે. અને અંતે તો મનને જ આનંદ થવાનો હોય છે. મન એ આપણી અનુભૂતિ છે જે મગજ અને શરીરના આનંદનો સમન્વય છે.

સરવાળે મનુષ્ય (સજીવો)ની વૃત્તિ આનંદ પ્રાપ્ત કરવાની હોય છે.

વિદ્યા અને અવિદ્યા.  સાચો અને શ્રેય આનંદ કયો?

જે બીજાને નુકશાન ન કરે તે શ્રેય આનંદ છે. એટલે સમાજ શોષણવિહીન હોવો જોઇએ.

બીજો આનંદ જ્ઞાનનો આનંદ હોય છે.

તર્ક વગર જ્ઞાન ન મળે. અને તર્ક વગર સમાજ વ્યવસ્થા શોષણવિહીન ન બની શકે.

તર્કનું પણ એક શાસ્ત્ર હોય છે.

એટલે જ્ઞાનની વૃદ્ધિ સમાજ શાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્ર બંનેમાં કરવી જોઇએ.

સમાજ શાસ્ત્ર એટલે કે શોષણ વિહીન સમાજ ના નિયમો માં મહાત્મા ગાંધીના સર્વોદય સમાજની વાતો શ્રેષ્ઠ છે.

મહાત્મા ગાંધીના સર્વોદય સમાજને સમજવામાં મૂર્ધન્ય મનુષ્યોમાંના મોટા ભાગના ગોથાં ખાય છે. સ્થાપિત હિતોનું પરિબળ, અહંકાર અને સામાજીક પ્રણાલીઓ પ્રત્યેનું જડ વલણ મનુષ્યને શોષણ હીન સમાજ બનાવવામાં આડખીલી રુપ બને છે. તે એક અલગ જ વિષય છે.

મનુષ્ય, એ જગતનું અંતીમ વિકસિત સર્જન છે. મનુષ્ય બે દિશાઓમાં વિકાસ કરે છે. મનુષ્ય સગવડ અને સુવાધાઓ વધારવામાં વિકાસ કરેછે. મનુષ્ય એક માત્ર એવો જીવ છે જે વિશ્વ કેવીરીતે વર્તે છે તે વિષે જ્ઞાન મેળવા મથેછે. તે દિશામાં જ્ઞાનને વિકાસવા માટે મથે છે. એટલે કે વિજ્ઞાનનો વિકાસ કરે છે. બંનેના વિકાસમાં ટેક્નોલોજીની જરુર પડે છે. ભારતીય તત્વવેત્તાઓ (શારીરિક) સુખ સગવડની ટેક્નોલોજીને અવિદ્યા કહે છે. અને વિજ્ઞાનની ટેક્નોલોજીને વિદ્યા છે.

સુખ સગવડની અવિદ્યા એ અનિત્ય છે. એટલે કે અધૃવં છે. કારણ કે કોઈ એક ટેક્નોલોજીના એક રુપ (વર્સન) હોય અને તે પછી તેની ઉપર તેની પછીનું રુપ આવે એટલે પહેલું રુપ ભંગારમાં જાય છે. જેમકે મોબાઈલ ટેલીફોનનું એક રુપ પછી નવી સુવિધાઓ વાળો મોબાઈલ ટેલીફોન આવે એટલે જુનો ટેલીફોન જે કરોડોની સંખ્યામાં હોય તો પણ તે ભંગારમાં જાય. પણ આજ ઉપકરણો જ્યારે વિજ્ઞાનમાં વપરાતા હોય ત્યારે તેની સંખ્યા કરોડોને બદલે હજારોમાં હોય અને તે વિદ્યાર્થીઓને વિકાસના એક પગથીયાની સમજણ માટે કામ લાગે. એટલે તે જુનો  ટેલીફોન નષ્ટ થતો નથી.

એટલે ભારતીય તત્વ વેત્તાઓ એમ કહે છે કે  જેઓ ધૃવ વિદ્યાને છોડીને અધૃવ એવી અવિદ્યાની પ્રત્યે આસક્તિ રાખે છે તેઓ એ ધૃવને સ્વિકાર્યું જ નથી તેથી તે તો તેમને માટે નષ્ટ થયેલું જ છે અને જે અધૃવ છે તે તો વહેલું મોડું નષ્ટ થવાનું જ છે માટે તેને નાશ પામેલું જ ગણો.

જો તમે ટેક્નોલોજીનો (વિદ્યાનો) ત્યાગ કરો તો વિજ્ઞાનનો વિકાસ ન થઈ શકે. કારણ કે જાતજાતના ઉપકરણો ટેક્નોલોજી દ્વારા જ મળે. ગણિત શાસ્ત્રની ગણત્રીઓ પણ ઉપકરણોથી થાય છે. અને સંશોધનો પણ ઉપકરણોથી થાય છે.

મહાત્મા ગાંધીજી કહે છે, ટેક્નોલોજીને માનવીય બનાવો. માણસ ટેક્નોલોજીનો ગુલામ ન થવો જોઇએ. ટેક્નોલોજી માણસને માણસથી વિમુખ ન કરે. ટેક્નોલોજી માણસોમાં ભેદભાવ ઉભા ન કરે. ટેક્નોલોજી માનવ સમાજમાં વિસંવાદ અને ઘર્ષણો ઉભા ન કરે. ટેક્નોલોજી માણસમાં એવી અસમાનતા ઉભી ન કરે કે  જેથી માણસ માણસ વચ્ચે અસંવાદ, ઈર્ષા, અસંતોષ અને અન્યાયની ભાવના ઉત્પન્ન થાય.

આપણા હાથની પાંચે આંગળી સાવ સરખી નથી. તેઓ વચ્ચે વિસંવાદ નથી. તેઓ ભેગા મળીને કામ કરી શકે છે અને અલગ અલગ પણ જુદા જુદા કામો કરે છે. મનુષ્ય સામાજીક પ્રાણી છે અને તેથી દરેક મનુષ્ય સમાજની એક આંગળી છે કે અંગ છે. સમાજશાસ્ત્રમાં થી જ્યારે અહંકાર, રાક્ષસી વૃત્તિ અને કહેવાતી “સ્વ”ની સ્વતંત્રતા ની ઉપર ભૌતિકશાસ્ત્રની પરિભાષા હામી થશે, ત્યારે સર્વોદયનીવાત સમજાશે અને અમલમાં મુકાશે.

કેટલાક સમાજશાસ્ત્રીઓ કહે છે કે જે સમાજ સ્થિર હોય છે અને પરિવર્તન કરતો નથી તે સમાજ નષ્ટ પામે છે. આ લોકોની તારવણી એ છે કે જો સમાજ એકધારી સુવિધાઓથી જીવે તો તે નષ્ટ પામે છે. આ તારવણી ખોટી છે. મૂળ સિદ્ધાંત સામે ધારોકે વાંધો ન લઈએ, તો પણ સમાજમાં રહેલું જ્ઞાન, વૈજ્ઞાનિક આવિષ્કારોને લીધે સતત વૃદ્ધિશીલ હોય છે. તેથી સમાજ ને સ્થિર કહી શકાશે નહીં. વળી ટેક્નોલોજીનો સમાજ માટેનો ઉપયોગ સાર્વત્રિક રખાશે જેથી અસમાનતા, શોષણ, અસંતોષ, અન્યાય, વિસંવાદ વિગેરે જેવા દુષણો ઉત્પન્ન ન થાય.

ઈશ્વર શું છે? ઈશ્વરનો હેતુ શો છે?

ઈશ્વર એ વિશ્વ છે. જે સજીવ છે. પણ આપણું વિશ્વ એ એક માત્ર વિશ્વ નથી. આપણું વિશ્વ પ્લેંકના અચળની કોઈ એક મુલ્ય વડે બનેલું છે. તેના આધારે મૂળભૂત કણો, પરમાણુઓ, અણુઓ, આકાશ ગંગાઓ, નિહારિકાઓ, સૂર્યો, પૃથ્વીઓ, વિગેરેની રચનાઓ આપણે જે જોઇએ છે તેવી થઈ છે. આપણા સૂર્યમંડળમાં આપણી પૃથ્વીના વિશિષ્ઠ સ્થાનને કારણે આવું સંકીર્ણ જીવન પાંગરી શક્યું છે. પણ આપણે જાણતા નથી કે સંકીર્ણ જીવન આવી જ સ્થિતિમાં થઈ શકે છે કે બીજી પણ કોઈ એક નિશ્ચિત સ્થિતિમાં પણ થાય?

પ્લેંકના આ અચળની કિંમત શૂન્યથી અનંત હોઈ શકે. તેને અનુરુપ બીજા અનેક વિશ્વો હોઈ શકે. આપણા જેવા પણ અનેક વિશ્વો હોઈ શકે. આ બધા વિશ્વોનો સમૂહ એટલે ઈશ્વર. ક્યાં ક ને ક્યાંક તે પોતાના સુવિકસિત વિશ્વો થકી સર્વજ્ઞ છે. તે સર્વ શક્તિમાન નથી. આપણા ભારતીય તત્વવેત્તાઓ પણ આજ વાત કહે છે. પ્રતિકાત્મક વાતો આવે છે કે કોઈ એક રાક્ષસ તપ-યોગ કરે અને ઈશ્વર પ્રસન્ન થાય. વરદાન માગવાનું કહે. અને રાક્ષસ કહે “હું કોઇ થી મરું નહીં”. ત્યારે ઈશ્વર એમ કહે કે “ના એ શક્ય નથી”. હવે જો ઈશ્વર સર્વ શક્તિમાન હોય તો આવું શું કામ કહે?

મનુષ્ય ને સર્વજ્ઞ થતાં કેટલી વાર લાગશે? મનુષ્ય સમાજ ની ઉત્પત્તિ જો ત્રણ લાખ વર્ષ પહેલાં થઈ એમ ગણીએ, અને જે અવશેષો મળ્યા છે તે ના આધારે વિકાસ ગણીએ અને વિકાસનો વેગ અને પ્રવેગ અને પ્રપ્રવેગ ગણીએ તો સર્વજ્ઞ થવામાં હજી બીજા ૨૦લાખ વર્ષ થશે. આ દરમ્યાન કોઈ ભારત પાકિસ્તાનમાં હતા, છે અને કદાચ થાય તેવા શાસકો ન આવે અને “સ્વ” ના વિકાસને બદલે સમાજનો વિકાસ માનવીયતાના સંદર્ભમાં કરશે તો જ આ આગાહી સાચી પડે. આ આગાહી “મીશીઓ કાકુ”એ કરી છે. આ સર્વજ્ઞતા પણ આપણા પ્લેન્કના અચળનું જે મૂલ્ય છે તે જ મૂલ્યવાળા વિશ્વો પૂરતી જ લાગુ પડશે. આ અચળના બીજા મૂલ્યો વાળા વિશ્વોને આપણે ક્યારેય પામી શકીશું નહીં. કદાચ ગણિતના સૂત્રો દ્વારા સમજી શકીએ. જે ઇશ્વર છે તે સર્વ વિશ્વોનો સમૂહ છે એટલે કે અતિબૃહદ બ્રહ્માણ્ડ છે, તેને તો ક્યારેય આ શરીરથી સમજી શકીશું નહીં કે પામી શકીશું નહીં. એટલે જ કદાચ પુષ્પદંતે શિવ મહિમ્ન સ્ત્રોત્રમાં કહ્યું છે કે જો જ્ઞાનની દેવી સરસ્વતી પણ જો સદાકાળ માટે તારા મહિમા વિષે લખ્યા કરે તો પણ તે તેને પાર ન પામી શકે (લિખતિ યદિ ગૃહિત્વા શારદા સર્વકાલં, તદપિ તવ ગુણાનાં ઈશ પારં ન યાતિ).  

સામાજીક વિકાસ કોને કહેવો?

મનુષ્યની અંદર રહેલું જ્ઞાન તેના શરીર સાથે નષ્ટ થાય છે. તે તેના વંશજોમાં ઉતરતું નથી. પણ સમાજ પણ એક એવો જીવ છે જે તેનામાં રહેલા જ્ઞાનને જીવતું રાખે છે. અને આરીતે સામાજના જ્ઞાનનો વિકાસ થાય છે. સંવેદન શીલતાની સમજ અને તેમાં થતી વૃદ્ધિ એ સમાજનો માનસિક વિકાસ સૂચવે છે.

મનુષ્ય સમાજનો વિકાસ પડતો આખડતો એટલે કે શેરબજારના શેરના ભાવોની જેમ વધે છે. કોઈ કંપની ગોટાળા કરે અને તેનું ઉઠમણું થઈ જાય તેમ કોઈ પૃથ્વીનો વિકસિત સમાજ વૈશ્વિક મૂલ્યોને સમજે નહીં તો તેનો વિનાશ પણ થાય. પણ ઈશ્વરને તેની કોઈ ચિંતા નથી. કારણ કે શક્યતાના સિદ્ધાંત પ્રમાણે બધા જ સુવિકસિત સમાજમાં રાક્ષસી તત્વો બધી જ પૃથ્વીઓ ઉપર હામી ન થઈ શકે.

જો ઈશ્વરને સુવિકસિત સમાજના ભલાની પડી નહોય એટલે કે આ ઈશ્વર નિર્ગુણ હોય, સુખ દુઃખથી રહિત હોય, તો બધા તેને દયાળુ અને કલ્યાણકારી કેમ કહે છે?

આ ઈશ્વરે ૧૧+૧૧+૪=૨૬ પરિમાણો આયામો સર્જ્યા, પરમ તત્વ સર્જ્યું, તેના ગુણ, બળ, પરિબળો વિગેરે નિપજાવ્યાં. પછી તેમના ભરોસે છોડી દીધા જેથી શક્યતાના સિદ્ધાંતે અને યોગ્યતાના આધારે વિકસિત સમાજ/જો બન્યા કે જેઓ પોતાનું ભલું બુરું સમજી શકે. તેઓ સુવિકસિત થઈ શકે. જેઓ વૈશ્વિક સંવેદનાને સમજે તો અતિવિકસિત થઈને પરમવિકસિત થઈ શકે. મનુષ્ય સમાજ કાળક્રમે જ્ઞાન દ્વારા વધુને વધુ આનંદ તરફ જઈ શકે. જો માણસ સ્વહિત વિષે જ વિચારે તો તે રાક્ષસી વૃત્તિ કહેવાય. રાક્ષસી વૃત્તિઅનો અભાવ એજ કલ્યાણ કારી છે. મનુષ્ય સમાજ માટે આજ વાત કલ્યાણ કારી છે તેમ દરેક મનુષ્યે સમજવું જોઇએ.

શું ઈશ્વર ભોળો છે?

ઈશ્વરે કર્મફળ સર્જ્યા છે. તે દરેકને વ્યક્તિગત કૃત્ય/કૃત્યો અને સામૂહિક કૃત્ય/કૃત્યો અસર/અસરોના પરિણામ તરીકે ભોગવા પડે છે. વ્યક્તિગત કૃત્યો માટે આનો સ્વિકાર સમાજ (સરકાર) દ્વારા પણ થયો છે. એટલે જ બંધારણ અને કાયદાઓ ઘડાયા, સજાઓ નક્કી થઈ અને વ્યવસ્થાઓ ગોઠવાઈ. અગ્નિ, અગ્નિનું કામ કરશે. વર્ષા, વરસવાનું કામ કરશે. રાક્ષસ જો અગ્નિ પર પોતાની ચા કરશે, તો તે ચા પણ બનશે. સમાજે જંગલ બનાવ્યું હશે તો ત્યાં વધુ વરસાદ પડશે, વચ્ચે ક્યાંક રાક્ષસનું ઘર હશે તો ત્યાં પણ વરસાદ પડશે. જે વિદ્યાનો નો અભ્યાસ કરશે તે વિદ્યાવાન થશે. ઈશ્વર ભેદ કરશે નહીં. ઈશ્વર કહે છે કે હું તો આવો છું. તમારે મને ભોળો ગણવો હોય તો ગણો. તમારે મને જેવો ગણવો હોય તેવો ગણો. તમારે મને પૂજવો હોય તો પૂજો. તમારે મને ન પૂજવો હોય તો ન પૂજો. મને કોઈ ફેર પડતો નથી. હું તમને પણ એ બાબત થકી કોઈ ફેર પાડીશ નહીં. તમારા કર્મોના ફળો  તો મારા નિયમોને આધિન રહેશે.

શિવ (રુદ્ર) એ સ્વયં મહેશ છે છતાં ભિક્ષાટન કરે છે. એવી કલ્પના શા માટે છે?

જુના જમાનામાં અગ્નિને દરેક ઘરમાં પ્રજ્વલિત રાખવામાં આવતો હતો. અગ્નિને તુષ્ટ કરવા ઘી કે કાષ્ટ આપવા પડે. એટલે એવી કવિકલ્પના થઈ કે ઈશ્વર ભિક્ષાટન કરે છે. યજ્ઞના અગ્નિને (રુદ્રને) શાંત કરવા પાણીનો અભિષેક કરવામાં આવે છે. શિવ લિંગ એ જ્યોતિર્‌ લિંગ છે. અને તેના ઉપર જળાભિષેક કરવો એવી પ્રણાલી સ્થાપિત થઈ. પણ ગૃહ્યાગ્નિને તો ઘી જ અપાય. જે અગ્નિનું આહવાન થયું છે તેને ખાદ્ય પ્રવાહીઓ અપાય. પણ અંતે તેની વિદાય વખતે પાણીથી શાંત કરવાનો હોય છે.

શિવે દક્ષપ્રજાપતિના યજ્ઞનો ધ્વંસ કર્યો તે શું છે?

વેદોના સમયમાં પ્રાકૃતિક શક્તિઓને આહુતિ આપવામાં આવતી. દરેક પ્રાકૃતિક શક્તિની પાછળ એક દેવ સમજવામાં આવતો, તે અદૃષ્ટ રહેતો. દૃષ્ટ અને અદૃષ્ટ વચ્ચેનો આ વિસંવાદ હતો. જેમકે કૃષ્ણે કહ્યું “ગોવર્ધન તો દેખાય છે, ઈન્દ્ર તો દેખાતો નથી. ઈન્દ્રને શા માટે પૂજવો? ગોવર્ધનને પૂજો.” દક્ષ પ્રજાપતિની વાત કૃષ્ણથી ઉંધી હતી. કે કદાચ અગ્નિ પૂજકો અને સૂર્ય પૂજકો વચ્ચેનો એક રાજાનો ભ્રમ હતો એવું લાગે છે.  

પૂર્વ જન્મ અને પુનર્જન્મ શું છે?

વેદોમાં પૂર્વ જન્મ અને પુનર્જન્મ વિષે કશું લખ્યું નથી. પણ ગીતામાં આ સ્વિકારાયું છે. પણ આત્મા તો નિર્વિકારી છે. દરેક પદાર્થ પ્રાણ તત્વનો બનેલો છે. કહેવાતા સજીવો કેવીરીતે ઉત્પન્ન થાય છે તે આપણે જોયું. શંકરાચાર્ય કહે છે, મૃતદેહ બળી જાય છે. પ્રાણ આકાશમાં જાય. વૃષ્ટિ થાય અને તે વૃષ્ટિ મારફતે વનસ્પતિમાં જાય અને અન્ન રુપે વિર્યમાં જાય અને પુનર્જન્મ થાય. પણ આ વાત માં શક્યતા તો સિદ્ધાંત લાગુ પડે છે. અને શક્યતા શૂન્ય બરાબર છે. કારણકે વરસાદના બિન્દુંમાં અગણિત અણુઓ છે અને તેમાં કોઈ એક અણુમાં મૃતમનુષ્યનું બ્રહ્મરંધ્રનું કણ હોય. આ કણ વનસ્પતિમાં જાય અને ન પણ જાય. ધારો કે તે વનસ્પતિમાં ગયું તો તે વનસ્પતિ ખાદ્ય હોય અને ન પણ હોય. હવે આ કણ વનસ્પતિના કોઈ પણ હિસ્સામાં જાય અને ન પણ જાય. ધારોકે તે કણ બીજમાં ગયું તો પછી તેને કોઈ પણ ખાય. માણસના ભાગે આવે કે ન પણ આવે. ધારોકે તે માણસના ભાગે આવ્યું તો તે વિર્યમાં જાય અને ન પણ જાય. ધારો કે તે વિર્યમાં ગયું તો તેવા તો દરેક ટીપામાં દશ લાખ શુક્રાણુઓ હોય છે. તેનો નંબર ન પણ લાગે. એટલે કે પુનર્જન્મની વાત શૂન્ય બરાબર જ ગણાય. પૂર્વ જન્મ વિષે પણ તેવું જ સમજવું. પૂર્વ જન્મ અને પુનર્જન્મ એક હકારાત્મક અભિગમ કે વીશફુલ વિચાર તરીકે રાખવામાં આવ્યો હશે. તર્કથી તે સિદ્ધ કરી શકાતો નથી.

ભૂત પ્રેત શું હોય છે?

ભૂત એટલે મૃતાત્મા જેવું કશું હોતું નથી. આત્મા અમર છે અને તે મૂળભૂત રીતે તો પ્રાથમિક રીતે એક સુપરસ્ટ્રીંગ છે. જે સમુહમાં એક પરમાણુ, અણુ, સંકીર્ણ અણુમાં હોય છે. શરીરનું વિઘટન થઈ ગયા પછી તે ઉપરોક્ત માંથી કયા સ્વરુપમાં હશે, તે કહી શકાય નહીં. તે કોઈ ચમત્કારો ન કરી શકે. શૂન્યમાં થી તે સર્જન ન કરી શકે, કે તે એનાથી ઉલ્ટું પણ ન કરી શકે.

પ્રેત એ વાસ્તવમાં જુના સમયમાં જંગલમાં વસતા માંસ ભક્ષી લોકો હશે. શિવની સાથે આ લોકોની કલ્પના કરવા પાછળ અધાર એ છે કે અગ્નિ એ શિવનું નામરુપ છે અને મૃતદેહ, અગ્નિને અર્પીને તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

 સ્વપ્ન શું છે અને સ્વપ્ન કોઈ બનાવની આગાહી કરે છે?

સ્વપ્ન એ દિવસ દરમ્યાન કરેલા અનુભવો અને વિચારોનું જે સ્મૃતિમાં સચવાયું છે તે રી-કૉલ થાય છે. એટલે કે આ એક જાતના વિચાર જ છે. તેને ભવિષ્યની આગાહી સાથે કશો સંબંધ નથી.

માણસનું ભવિષ્ય ઘણા પરિબળો ઉપર આધાર રાખે છે. પણ આ પરિબળોની સંખ્યા અબજોની છે. તે પરિબળો અને તેની માત્રા આપણે જાણતા નથી તેથી ભવિષ્ય નિશ્ચિત છે છતાં તેની ભવિષ્યવાણી ન થઈ શકે.

જો કે સમય, અવકાશ અને વિશ્વ એ સૌ બહુ સંકીર્ણ અને જટીલ છે છે. ૧૧+૧૧+૪=૨૨ પરિમાણોવાળા વિશ્વ અને તેના કણો સમજી શકાય તેવા નથી. એક જ કણ એક જ સાથે એક જ સમયે અનેક સ્થળે હોઈ શકે છે. વિશ્વના દરેક બિન્દુઓ વિશ્વના કોઈ એક બિન્દુથી શૂન્ય અંતરે છે. સમય વહેતો નથી પણ તેના પડ છે. સમયમાં ઉંધી ગતિ કરી શકાય છે. પણ તેમાં ભાગ લઈ શકાતો નથી. આપણે અનેક જગ્યાએ જીવતા હોઇએ તેવું બની શકે. આપણી અને આપણા વિશ્વની પ્રતિકૃતિ હોઈ શકે.

એટલે શંકરાચાર્ય કહે છે કે જે અનુભવાય (પ્રત્યક્ષ) તે પ્રમાણ સત્ય છે. પણ અનુભવ તો સાધનો (ઉપકરણો અને અંગો) ઉપર આધાર રાખે છે.

માનવ સમાજે કયે રસ્તે જવું?

માણસે સમજવું જોઇએ કે તે સમાજની ઉન્નતિ માટે છે. સાથે સાથે બીજાને નુકશાન કર્યાવગર આનંદ મેળવવા માટે છે.

શિરીષ એમ દવે

Read Full Post »

અહંકાર, કોન્સીયસનેસ, સજીવ અને નિર્જીવ એટલે શું?

 જો વૈજ્ઞાનિકો અને હિન્દુઓ અનુક્રમે યુનીફાઇડ ફીલ્ડ થીએરીમાં અને અદ્વૈત વાદમાં માનતા હોય તો સજીવ અને નિર્જીવ જેવા ભેદ ન હોઈ શકે.

વૈજ્ઞાનિકો કદાચ ચાલાકીપૂર્વક કોન્સીયસ શબ્દ વાપરે છે. જેના અનુરુપ શબ્દ “હું-ત્વ, અહંકાર કે સ્વની અનુભૂતિ એવા થઈ શકે.   

શંકરાચાર્યના અદ્વૈત પ્રમાણે વિશ્વ પ્રાણ તત્વનું બનેલું છે. 

 સજીવ વાસ્તવમાં શું છે?

આપણને ભણાવવામાં આવ્યું કે સજીવ કોષોનો બનેલો છેસજીવ શ્વાસ-ઉચ્છવાસ કરે છે. હલન ચલન કરે છે. ખોરાક લેછે. ઉત્સર્જન કરે છે. જન્મે છે, જીજીવિષા રાખે છે, પ્રજનન કરે છે, અને મૃત્યુ પામે છે. તેના શરીરનું વિઘટન થાય છે. અને બીજામાં લોપ થાય છે. આ થઈ વિજ્ઞાનની વાત.

શંકરાચાર્ય અને હિન્દુધર્મ શું કહે છે? બધું સજીવ છે. બધું પ્રાણ તત્વનું બનેલું છે.

શંકરાચાર્ય કહે છે કે જે ફેરફારને પામે છે તેને ઉત્પત્તિ અને અંતહોય છે. વિશ્વમાં વિશ્વ સહિત એક પણ એવી વસ્તુ નથી કે જેમાં ફેરફાર ન થતો હોય. સમય અને અવકાશમાં પણ ફેરફાર થાય છે, માટે તેને પણ આદિ અને અંત હોય છે. પૃથ્વી, ચંદ્ર, સૂર્ય, આકાશગંગા, નિહારિકાઓ સૌ કોઈ ફેરફારને પામે છે. માટે તેનો આદિ અને અંત છે. જો વિશ્વનો આદિ અને અંત હોય તો આપણા વિશ્વની બીગબેંગની (મહા વિસ્ફોટ) થીએરીને અને વિસ્તરતા વિશ્વની (એકોહમ્‌ બહુ સ્યામ) થીએરીને સમર્થન મળે છે.આ વિષે પછી ચર્ચા કરીશું.

આપણે સજીવ-નિર્જીવ ઉપર આવીએ.

આપણે એક જીવ તરીકે આપણા શરીરની અંદર છીએ તેમ આપણે માનીએ છીએ.

જોકે વાસ્તવમાં તો આપણે આપણા શરીરની બહાર જીવીએ છીએ. આપણા શરીરની અંદર આપણે આંધળા છીએ. આપણા શરીરની અંદર શું છે અને જે કંઇ છે તે બધું કેવી રીતે ચાલે છે તે વિષે આપણે કશું જાણતા નથી. આપણે આપણા શરીરમાં હરીફરી શકતા નથી. આપણે “હું-તત્વની અનુભૂતિ કરી શકીએ છીએ પણ તે હું તત્વ શરીરમાં ક્યાં છે, કેવડું છે, કેવું છે તે વિષે કશું જ જાણતા નથી.

આપણે જોઈએ છીએ, સ્પર્શીએ છીએ, સાંભળીએ છીએ, શ્વાસ લઈએ છીએ, સુંઘીએ છીએ એ બધું બહારના વિશ્વનું જ કરીએ છીએ. આપણે જે કઈ વિચારીએ છીએ તે પણ ઉપરોક્ત ક્રિયાઓ દ્વારા આપણા મગજમાં જે સંગ્રહાયેલું છે તેને યાદ કરીને તેને સરખાવીએ છીએ, નિર્ણયો કરીએ છીએ અને વળી પાછા આપણા નિર્ણયોને સંગ્રહીએ છીએ અને આવું જુદીજુદી રીતે કર્યા કરીએ છીએ,  તેને “વિચાર”એમ કહીએ છીએ. આપણા શરીરમાં લાખોજાતના કોષો છે. તેના અલગ અલગ કાર્યો હોય છે. અબજો જાતના સંવાદો અને આજ્ઞાઓ થાય છે. આ બધું ગણત્રી પૂર્વક, ખાસ હેતુ પૂર્વક, સમયસર, ચોક્કસાઈપૂર્વક, પ્રતિકારક રીતે, પૂર્વ નિયોજન પૂર્વક અને પ્રમાણસર થાય છે.  આ બધા કોષો એક ખાસ ઉષ્ણતામાનની સીમા વચ્ચે જ જીવી શકે છે. અને તે ઉષ્ણતામાન જાળવવાનું કામ પણ તેઓ ભેગા મળીને નિશ્ચિત રીતે જ કરે છે.  કયા કોષો શું છે શેના બનેલા છે, ક્યારે ઉત્પન્ન થાય છે ક્યારે બદલાય છે, ક્યારે કામ કરે છે અને કેવીરીતે કામ કરે છે, આપણે કશું જાણતા નથી. છતાંપણ આ બધું થાય છે. તો આ બધું કોણ કરે છે

 

સજીવને બીજા લોકો શું સમજ્યા?

સજીવોને બીજા ધર્મોએ અલગ રીતે સમજ્યા છે. તેઓ એવું સમજ્યા કે ઈશ્વરે, માણસને બધી છૂટ આપી છે. તે એકે મનુષ્ય, પ્રાણી પક્ષી અને જળચરોને ખાઈ શકેછે. આત્મા ફક્ત મનુષ્ય જાતિમાં જ છે. પ્રાણી, પક્ષી, જળચરો વિગેરેમાં આત્મા નથી.

અદ્વૈત આમ ન માને તે સ્વાભાવિક છે.

આપણને ભણાવવામાં આવ્યું કે સજીવ કોષોનો બનેલો છેસજીવ શ્વાસ-ઉચ્છવાસ કરે છે. હલન ચલન કરે છે. ખોરાક લેછે. ઉત્સર્જન કરે છે. જન્મે છે, જીજીવિષા રાખે છે, સ્વની અનુભૂતિ કરે છે, સુવે છે, જાગે છે, પ્રજનન કરે છે, અને મૃત્યુ પામે છે. તેના શરીરનું વિઘટન થાય છે. અને બીજામાં લોપ થાય છે. આ થઈ આધુનિક વિજ્ઞાનની વાત.

અમીબા એક કોષી જીવ છે. તે સ્વનું વિઘટન કરે છે. (એકોહમ બહુ સ્યામ). તેને બધી બાજુ હાથ છે, મોઢું છે અને પગ છે. સર્વત્રો બાહવઃ સર્વતઃ મુખાઃ સર્વતઃ પાદાઃ  તેવું જ બેક્ટેરીયાનું છે, પણ તે સૂત્ર જેવું છે.

તે પછી આવ્યા દ્વી લિંગી. (અર્ધનારીશ્વર)

તે પછી આવી મૈથુની સૃષ્ટિ. શંકર અને પાર્વતી ( અથવા શિવ અને શક્તિ)  

હવે સજીવની ઉપરોક્ત વ્યાખ્યામાં તમે એવી રીતે મર્યાદામાં આંકી છે કે જેથી એટલી મર્યાદામાં આવતી પ્રજાતિઓનો જ સજીવ તરીકે સમાવેશ કરી શકો છો. જો તમે ઉપરોક્ત મર્યાદામાં ઉમેરો કે તેને આંખ અને કાન હોય છે, તો ઘણા સજીવો આમાંથી રદ થઈ જાય. જો તમે જેઓવ્યુહ રચના કરી શકે છે” તેને પણ ઉમેરો તો માણસ સિવાયના બધા જ, સજીવ સૃષ્ટિમાંથી રદ થઈ જાય.

તો સજીવની વાસ્તવિક વ્યાખ્યા કઈ?

એકત્વ (યુનીક્‌નેસ)ને જાળવવું એટલે સજીવઃ

એકત્વનું અસ્તિત્વ (યુનીક્‌નેસ) અને તે માટે ની ઉર્જારુપી વૃત્તિ (બાઈન્ડીંગ એનર્જી) થકી આ એકત્વ એ સજીવની વ્યાખ્યા હોઈ શકે.

મનુષ્ય ને એક આકાર છે. તેને એક એકત્વ છે. એટલેકે તેની અનુભૂતિ એવી છે કે તે એક છે. એટલે કે તેના શરીરમાં તે એક જ છે. તે, બે નથી. બધા સજીવોમાં આ સ્થિતિ હોય છે.

શા માટે?

કારણ કે બધા સજીવોના કોષો એકબીજા સાથે જોડાયેલા હોય છે. અને તે બાઈન્ડીંગ ઉર્જાથી જોડાયેલા હોય છે. તેમજ તે બધાની વચ્ચે વ્યવહારો થતા હોય છે. સેન્દ્રીય પ્રવાહી, તેમાં રહેલા કણો અને હવા થકી આ વ્યવહારો થાય છે. તેથી જે એકત્વ, વાસ્તવમાં એક નથી પણ અનુભૂતિ એકત્વની થાય છે. આ કોષ સમૂહનું સામુહિક ધ્યેય એ હોય છે કે આ  એકત્વને ટકાવી રાખવું અને જો ઘાતક સમસ્યા ઉભી થાય તો તેની સામે ઝઝુમવું. દરેક કહેવાતા સજીવોમાં આ વૃત્તિ વત્તા ઓછા પ્રમાણમાં હોય છે.

 

સજીવોમાં અસ્તિત્વની અનુભૂતિનો ગુણ શું અનિવાર્ય છે?

હા જી અને નાજી.

અસ્તિત્વની અનુભૂતિ સ્વપ્નહીન નિદ્રામાં થતી નથી. છતાં પણ જીવનું અસ્તિત્વ તો હોય છે જ. તેનો અર્થ એજ થયો કે સજીવો માટે અસ્તિત્વની અનુભૂતિ એ અનિવાર્ય ગુણ નથી. એવું પણ બની શકે કે સ્વપ્ન વિહીન નિદ્રામાં આપણી સ્મૃતિમાં કશું રેકોર્ડ (સંગ્રહ) થયું નથી તેથી આપણે જાગીએ ત્યારે આપણી સ્મૃતિનું સ્ટેટસ જેમનું તેમ જ હોય છે. આપણા અહં-તત્વની અનુભૂતિ સ્મૃતિમાં હોતી નથી. સ્મૃતિનું સ્ટેટસ આપણી ઈન્દ્રીયોએ જે માહિતિ મોકલી હોય અને જે સંગ્રહાયેલી હોય, તેમજ જે વિચારો કરેલા હોય અને સંગ્રહાયેલા હોય તેને આધારે બદલાતું રહે છે. જ્યારે આ ક્રીયા શૂન્ય હોય ત્યારે સ્ટેટસ જેમનું તેમ રહે છે અને સમય પણ આપણને શૂન્ય લાગે છે.

અસ્તિત્વની અનુભૂતિની ગેરહાજરીમાં પણ જો જીવ, અસ્તિત્વ ધરાવી શકતો હોય તો તેનો અર્થ તે થયો કે જેઓ પોતાનું અસ્તિત્વ અનુભવતા નથી, પણ પોતાનું એકત્વ અકબંધ રાખે છે તેઓ પણ સજીવ તો કહી જ શકાય.પણ અસ્તિત્વની અનુભૂતિ હોવી જોઈએ જ. કારણ કે કોઈપણ પદાર્થ ઉપર બાહ્ય ક્ષેત્રનું બળ લાગે ત્યારે તેના સ્ટેટસમાં ફેર થાય જ છે, અને તે ફેર તેના પૂર્વ ના સ્ટેટસ ઉપર આધારિત હોય છે.  પદાર્થના કોઈપણ તત્કાલિન સ્ટેટસમાં પૂર્વકાલિન સ્ટેટસ નિહિત હોય છે. આ સ્મૃતિ જ છે પણ તે બાબતમાં પદાર્થની અનૂભૂતિ કેવી છે તે આપણે જાણી શકીએ નહીં.  

સજીવની ગણત્રીમાં કોને લેવા?

સજીવની ગણત્રીમાં સુપર સ્ટ્રીંગ, બોસોન, ક્વાર્ક્સ, ગ્લુઓન, પરમાણુ, અણુ, તેના સંયોજનો, કોષ વિગેરે બધાને લઈ શકાય છે. સુપરસ્ટ્રીંગને બાદ કરતાં દરેકને પોતાની લાઈફ હોય છે. સુપરસ્ટ્રીંગ એ મૂળભૂત તત્વ, મૂળભૂત કંપન અને મૂળભૂત ઉર્જા છે. સુપરસ્ટ્રીંગને બાદ કરતાં કેટલાકને સેકંડના અબજોમાં અબજોમાં ભાગ જેટલી આવરદા હોય છે. તો કેટલાકની લાઈફ પરાર્ધો વર્ષની હોઈ શકે. આ બીજું કથન બ્રહ્માન્ડ અને તેમાં રહેલા કણો જેવા કે અણુ પરમાણુ, આકાશ ગંગાઓ, સૂર્યો, ગ્રહો, ઉપગ્રહો જ્યાં સુધી બીજામાં સમાઈ ન જાય કે વિઘટન ન થઈ જાય તેટલા સમયના અંતરાલ પૂરતું લાગુ પડે છે.

આ સૌ કોઈ પોતાનું એકત્વ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. તેઓ પોતાના ક્ષેત્રદ્વારા બીજાને આકર્ષવાનો પણ પ્રયત્ન કરે છે.

પૃથ્વીઃ તેને ઉર્જા આવૃત્તિ અને કંપન છે. જેમકે તે પોતાની ધરી આસપાસ, તેના બધા અંગોને લઈને ફરે છે. તેને પાણીની સાયકલ છે. તેને વાયુની સાયકલ છે. તેને ચૂંબકીય સાયકલ છે. તેને ગુરુત્વાકર્ષણક્ષેત્ર છે. તે પોતાનું ઉષ્ણતામાન જાળવી રાખે તે માટેની વ્યવસ્થા છે. તેની ઉપર રહેલા કહેવાતા (ઓળખાતા) સજીવોનું સંતુલન જળવાઈ રહે તેવી વ્યવસ્થા છે. આ જ પ્રમાણે આ વ્યવસ્થાની વાત, વત્તા ઓછા પ્રમાણમાં દરેક આકાશીય પદાર્થ અને તેના સમૂહને લાગુ પડે છે. ચંદ્ર અને પૃથ્વી, સૂર્ય, સૂર્ય-ચંદ્ર-પૃથ્વી, સૂર્ય મંડળ, આકાશગંગા આ બધાને લાગુ પડે છે.

આ સૌ સજીવોની અનુભૂતિ કેવી છે તે આપણે કહી શકીએ નહીં. આપણી અનુભૂતિ આપણા અંગોને આધારે છે. આપણે બે આંખો વડે દુનિયાને ડાબા-જમણા એવા ૧૬૦ ડીગ્રીના અને ઉપર નીચે એવા ૯૦ ડીગ્રી વાળા શંકુ થકી જોઇએ છીએ. તેથી વધુ જોવા માટે આપણે કીકીઓને ફેરવવી પડે છે.

કેટલાક સજીવોને તેમની આંખો એક લાઈનને બદલે ચહેરાની વિરુદ્ધ દીશામાં હોય છે. જેમકે કેટલાક પક્ષીઓ. તેમને દૃષ્ટિના બે શંકુ હોય છે અને દરેકનું ચિત્ર નેત્રપટલ ઉપર જુદું જુદું હોય છે. કેટલાક સજીવોને બે કરતાં વધુ આંખો હોય છે. કેટલાક પ્રાણીઓની ગંધ પારખવાની શક્તિ આપણા કરતાં લાખગણી વધુ હોય અને વૈવિધ્યવાળી હોય છે. કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓ પૃથ્વીના ચૂંબકીય ક્ષેત્રને અનુભવી શકે છે. જ્યારે તેઓ ગતિમાં હોય ત્યારે તેમણે ચૂંબકીય રેખાઓ સાથે કેટલો ખૂણો (એંગલ) બનાવ્યો અને કેટલું અંતર કાપ્યું તે તેમની સ્મૃતિમાં રાખી શકે છે અને પોતાના મૂળ સ્થાને પાછા આવી જાય છે. સજીવો વિષે ઘણું જ અવનવું છે. આવા પ્રાણીઓને થતી અનૂભૂતિ, મનુષ્ય પોતાના અંગો વડે કે ઉપકરણો વડે પણ કરી શકતો નથી.

શરીરના ઐક્યના (યુનીક્‍નેસની કન્ટીન્યુઈટી) સાતત્ય માટે, કોષની સક્રીયતા જરુરી છે અને તે માટે તેના ઉષ્ણતામાનને સુનિશ્ચિત ડીગ્રીએ રાખવું જરુરી છે. શરીરમાં લોહી હોય છે તેનો મુખ્ય ઘટક પાણી હોય છે. પાણી હમેશા બાષ્પીભવન શીલ હોય છે. એટલે તેમાં કેટલીક ઉર્જા વપરાઈ જાય છે. આ ઉર્જાની ઘટ અને પોષક દ્ર્વ્યોની ઘટ ને પૂરી કરવા ખોરાક જરુરી હોય છે.

શું એકત્વ હોવું તે સજીવ કહેડાવવા માટે જરુરી છે? આપણે જોઇએ છીએ કે કેટલાક સજીવોનો સમુહ એક સજીવના ગુણો ધરાવતો હોય છે. જેમકે આપણે આકાશમાં ૫૦થી ૧૦૦ કીલોમીટરની ઝડપે કે તેથી વધુ ઝડપે ઉડતા અને તે પણ ક્રમબદ્ધ સમુહ અને અમુક  આકારમાં  ઉડતા પક્ષીઓને જોઇએ છીએ. તેઓ અચાનક પોતાની ત્રીપરિમાણિક દીશા ક્ષણ માત્રમાં બદલી નાખે છે. આવું કરવામાં તેઓ એક બીજા સાથે ભટકાઈ જતા નથી. આ પક્ષીઓએ કોઈ સૈનિક જેવું પ્રશિક્ષણ લીધું હોતું નથી. આ પક્ષી સમૂહ જાણે કે એક જીવ હોય તે રીતે વર્તે છે. આમ કેવી રીતે વર્તે છે?

આવું કેટલાક જળચર જીવ સમૂહમા પણ હોય છે. એટલું જ નહીં પણ આવા સજીવોની પેઢીઓ પણ એક જીવ પ્રમાણે વર્તે છે.

પેઢીઓ એક જીવ તરીકે વર્તે છે તેનો અર્થ શું?

આપણે એક દાખલો લઈએ. કોઈ એક વ્યક્તિએ કોઈ એક જ્ઞાન પ્રાપ્ત કર્યું. દાખલા તરીકે ગીતા વાંચી. તો તેના સંતાનમાં ગીતાનું જ્ઞાન આપોઆપ આવી જતું નથી. કોઈ એક વ્યકતિ અમદાવાદ થી મુંબઈ ગયો તો તેના સંતાનના મગજમાં તે રસ્તો બેસી જતો નથી. મતલબ કે અનુભવ એક પેઢીથી બીજી પેઢીમાં ઉતરતો નથી. અનુભવ તો સજીવે જાતે જ તો લેવો પડે છે કે સંવાદ દ્વારા આરોપવો પડે છે. આ સંવાદ “હા” કે “ના” જેવો સરળ હોતો નથી. આ સંવાદ જટીલ હોય છે. અને તે માટે એક વિકસિત ભાષા જરુરી બને છે. પણ ઉપરોક્ત જાતના સજીવોમાં આવો કશો અનુભવ કે સંવાદ હોતો નથી. તો તેનો અર્થ એવો થયો કે અનેક પેઢીઓનો સમુહ એક સજીવ છે.

કેટલાક જળચર અને આકાશગામી પક્ષીઓ, ઈંડા મુકવા હજારો માઈલ દૂર નિશ્ચિત સ્થળે જાય છે. એ સ્થળો તેમણે કદી જોયા હોતા નથી. એટલું જ નહીં કેટલાક સજીવો જન્મીને પોતાના માતપિતાને મળવા ચોક્કસ દીશામાં ગતિ કરે છે જે તેમણે કદી જોઇ હોતી નથી.

એમ કહી શકાય કે શરીર જુદાં હોવા છતાં પ્રજાતિ માત્ર એક જીવ તરીકે વર્તે છે. મતલબ કે સમાન ઉદ્દેશ, સમાન ધ્યેય થી સજીવ બંધાયેલો હોય છે એટલું જ નહીં અનેક પેઢીઓનો સમુહ એક સજીવ છે.

મનુષ્ય વિષે શું છે?

મનુષ્ય એક વિચારશીલ જીવ છે. વિચાર એ એક આવૃત્તિ (કંપન) છે. સમાન આવૃત્તિ વાળા એટલે કે સમાન વિચાર અને વૃત્તિઓવળા મનુષ્યો આકર્ષાય છે અને એક સમુહ બનાવે છે. અને તે સમુહને જ્યાં સુધી તે વિચારની ઉપયોગિતા હોય છે ત્યાં સુધી તે સમુહ એક સજીવ તરીકે વર્તે છે. જ્યારે તે નિરર્થક બને ત્યારે તે વિલય પામે છે.  જ્ઞાતિ પ્રથા, ધર્મ, રોજગાર, ભાષા, ભૌગોલિક સીમા વિગેરેનો લગાવ એક સજીવના એકત્વ જેવો ગણી શકાય. સમાજશાસ્ત્રીઓ તેને સમાજ એવું નામ આપે છે. વાસ્તવમાં સજીવ એક સેટ છે. જગત  અનેક સેટોનું બનેલું છે. બ્રમ્હાણ્ડ એક યુનીવર્સલ સેટ છે.    

એક પદાર્થ બીજા પદાર્થનું ભક્ષણ શા માટે કરે છે? એક પદાર્થ પોતાના એકત્વનું સાતત્ય જાળવવા માટે બીજા પદાર્થનું ભક્ષણ કરે છે. પણ જેમને સજીવોની જેવાં મગજો નથી તેઓની આ પ્રક્રિયા અલગ છે. સજીવઓમાં દાખલા તરીકે વાઘ, હરણને ખાવા માટે તેની પાછળ દોડે છે. એટલે કે સંઘટનના આનંદ અને ભૂખ્યો રહીશ તો વિઘટન થશે એ વાત વાઘમાટે આનુવંશિક છે અને તેના મગજમાં વૃત્તિમાં નિહિત છે, તેથી તે હરણ તરફ આકર્ષાય છે. તેવીજ રીતે હરણને પોતાના વિઘટનનો ભય, વાઘથી અપાકર્ષાય છે. આકર્ષણ, અપાકર્ષણ ઉપર હાવી થાય છે કે અપાકર્ષણ, આકર્ષણ પર હાવી થાય છે? પૃથ્વીને તો વાઘની પણ જરુર છે અને હરણની પણ જરુર છે. હરણ છે તો વાઘ સચવાય છે. વાઘ છે તો જંગલ સચવાય છે. અને જંગલ છે તો વરસાદ વરસે છે અને વરસાદ વરસે છે તો હરણને ઘાસચારો મળે છે. એટલે પૃથ્વીએ શું કર્યું? વાઘને ૧૫ સેકંડ માટે હરણ કરતાં વધુ ઝડપે દોડવાની શક્તિ આપી. અને હરણને લાંબા સમય સુધી ૭૫ થી ૧૦૦ કીલો મીટરની ઝડપે દોડવાની શક્તિ આપી. એટલે જો વાઘભાઈ શરુઆતની સેકંડોમાં હરણને પકડી પાડે તો તેમને ભોજન મળે. અને હરણને વિઘટન મળે. પણ જો વાઘભાઈ નિસ્ફળ જાય તો હરણને જીવન ચાલુ રહે અને વાઘભાઈએ સાનુકુળ તક શોધવી પડે.

પણ વાઘભાઈ, હરણને આખે આખું ખાઈ જતા નથી. તે ફક્ત તેના આંતરડાં જ ખાય છે. બીજા પ્રાણીઓ ક્રમે ક્રમે આવીને કે ક્યારેક બીજાનો વાંધો લીધા વગર હરણના અન્ય ભાગો ખાય છે.

 એક વાઘ બીજા વાઘને ખાતો નથી. પણ પોતાના ક્ષેત્રમાંથી હટાવે છે. કે જેથી તે જંગલના બીજા ભાગમાં પોતાનું ક્ષેત્ર બનાવી તેનું રક્ષણ કરે.

નિર્ગુણ (?) સજીવોઃ

અણુઓને કંપન હોય છે. તે જ તેમનું જીવન છે. તેમાના ઘટકો ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. તેઓ પોતાની ફરજ બજાવતા બજાવતા અણુને અકબંધ રાખે છે. અણુઓના અસ્તિત્વ માટે ઉષ્ણતામાનની મર્યાદા બહુ મોટી છે. માણસની જેમ ૯૬ડીગ્રી ફેરનહીટથી ૯૯ ડીગ્રી ફેરનહીટ સુધી જેવડી ટૂંકી નથી. વળી તે ઘન, પ્રવાહી અને વાયુ સ્વરુપે રહીને પોતાની મર્યાદા લાંબી રાખી શકે છે. તેઓ ને ખોરાકની જરુર પડતી નથી. પણ તેઓ તક મળે તો વધુ સ્થાઈ સ્થિતિ તરફ જરુર જાય છે.          

પરમાણુ અને અણુના ઘટકો નિશ્ચિત રીતે એકઠા થઈને એક ઘટક બનાવે છે. તેને તોડવા માટે અસાધારણ ઉર્જા વાપરવી પડે છે. પણ તેના ઘન અને ઋણ મુલકોની અદલા બદલી જો પસંદગી અગ્રતાક્રમને અનુરુપ હોય તો આસાનીથી થઈ શકે છે. એટલે કે ઓછા સ્થાઈ સ્વરુપથી વધુ સ્થાઈ સ્વરુપ તરફ.

જેમકે હાડ્રોક્લોરિક એસીડમાં ધન મુલક હાઈડ્રોજન છે (H.Cl = H is + i.e. positive, Cl is – negative) અને ઋણ મુલક ક્લોરીન છે. સોડીયમ હાઈડ્રોક્સાઈડમાં ધન મુલક સોડીયમ છે અને ઋણ મુલક એક પરમાણુ  ઓક્સીજન અને એક પરમાણુ હાઈડ્રોજનનું જોડાણ છે (NaOH where Na is + and OH is – negative). આ બંને પદાર્થોને ભેગા કરીએ એટલે સોડીયમ ક્લોરાઈડ અને હાઈડ્રોજન ઓક્સાઈડ એટલેકે પાણી બને છે (NaCl and H.H.O i.e. H2O). પણ સોડીયમ ક્લોરાઈડ અને પાણીને ભેગા કરવાથી હાઈડ્રોક્લોરિક એસીડ અને સોડીયમ હાઈડ્રોક્સાઈડ બનતા નથી.

        

આ બધાનું કારણ વિજાણુઓ (ઈલેક્ટ્રોન) જે પરમાણુની નાભી (નુક્લીઅસ) ની આસપાસ જે કક્ષા અને જે સંખ્યામાં ફરતા હોય છે તેને વિષે બાંધેલી ધારણાઓ વડે સમજાવાય છે.

આ બધું શા માટે સુનિશ્ચિત છે? એ વાત પ્લેન્ક નામના વૈજ્ઞાનિકે જે અચળ અંક (કોન્સ્ટંટ) શોધેલો તેના ક્વૉન્ટમ યંત્રશાસ્ત્ર વડે સમજી શકાય છે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

ભારતીય તત્વજ્ઞો જરા જુદી રીતે વિચારે છે

બ્રહ્માણ્ડ પંચ મહાભૂતોનું બનેલું છે. આ પંચ મહાભૂતો શું છે? આ પંચ મહાભૂતો એટલે બીજું કંઈ નહીં પણ પદાર્થ પોતે જ છે જે આપણને અનુભૂતિ કરાવે છે. પૃથ્વી (ઘન), પાણી (પ્રવાહી), હવા (વાયુ), પ્રકાશ (શક્તિ), આકાશ (ક્ષેત્રને ધારણ કરનાર અવકાશ). એને ભૂત શા માટે કહેવામાં આવે છે? કારણ કે તેના થી સઘળું બનેલું છે. જેને આપણે સજીવો કહીએ છીએ તે પણ તેના જ બનેલા છે. આ પાંચે અવસ્થામાં પદાર્થ હોય તો જ જેને આપણે સજીવ કહીએ છીએ તે બની શકે છે.

આ બ્રહ્માણ્ડ કેવું છે? અને કેવડું છે?

આ વિશ્વ શું ઉત્પન્ન થયું છે કે તે પહેલેથી જ છે? શું તે શાશ્વત છે કે શાશ્વત નથી? વિશ્વનો અંત કેવી રીતે થાય? શું તે બીજા વિશ્વમાં ભળી જાય? જો બીજા વિશ્વમાં ભળવાની વાત હોય તો જેમ ગાયને સિંહ ખાઇ જાય છે તેમ બીજું વિશ્વ આપણા વિશ્વને ગમે ત્યારે ખાઈ જઈ શકેછે?જો વિશ્વ શાશ્વત ન હોય તો તે જન્મે છે. અને વિકસે છે અને નાશ પામે છે. વળી તે ફરી થી જન્મે છે, વિકસે છે અને નાશ પામે છે. જો તે આમ ન હોય તો તે તેમ હોય. એટલે કે તે વિસ્ફોટે (જન્મે)  છે, વિસ્તરે છે, વિસ્તરતું અટકે છે, સંકોચાય છે, અને શૂન્ય બને છે.  ફરીથી શૂન્યમાંથી વિસ્ફોટે છે, વિસ્તરે છે, વિસ્તરતું બંધ થાય છે, સંકોચાય છે અને શૂન્ય બને છે. આ વિશ્વને આંદોલિત (ઓસ્સિલેટીંગ યુનીવર્સ) વિશ્વ કહેવાય.

જો વિશ્વ એ આંદોલિત વિશ્વ હોય, એટલે કે વિસ્ફોટ થાય, વિસ્તરે અને પછી સંકોચાય અને બિંદુ થઈ શૂન્ય થાય. તો તે અનંત ન કહેવાય. ધારોકે તે સંકોચાતુ નથી અને વિસ્તર્યા જ કરે છે તો પછી તે અનંત સમય સુધી વિસ્તર્યા જ કરશે. તો તેનો અર્થ એ થયો કે સમય અનંત છે. તો પછી ૧૫ અબજ વર્ષ પહેલાં જ કેમ વિસ્ફોટ થયો? જો “સમય” ભવિષ્ય માટે અનંત હોય તો ભૂતકાળ માટે પણ તે અનાદિ હોવો જોઇએ. જો સમયની શરુઆત અનાદિ ન હોય તો સમય કેવી રીતે અનંત હોય? આ વાત સમજાવી શકાય તેમ નથી.

એક અનંત વિશ્વ અને તેમાં આપણું વિસ્તરતું વિશ્વઃ

હવે ધારોકે એક બૃહદ વિશ્વ છે તે અનંત છે અને તેમાં આપણું વિશ્વ વિસ્ફોટિત થઈ જન્મ્યું. આપણું આ વિશ્વ વિકસિત થતાં થતાં વિલય પામી જશે. જો આ રીતે હોય તો સમય અનાદિ થાય અને અનંત પણ થાય કારણ કે સમય બૃહદવિશ્વમાં પહેલાં પણ હતો અને પછી પણ રહ્યો.

જો આવું હોય તો એક બીજો પ્રશ્ન (ગુંચવણ) ઉભો થાય છે.

જો બૃહદવિશ્વ  એ અનંત વિશ્વ હોય, અને તેમાં અનેક બીજા વિશ્વો ઉત્પન્ન થવાના વિસ્ફોટો થયા હોય તો શું થાય? જો આપણા વિશ્વ જેવા બીજા અનંત સંખ્યામાં વિશ્વો ઉત્પન્ન થયા હોય, તો આવા વિસ્ફોટો અવાર નવાર થતા રહેવા જોઇએ. અગાઉના અનાદિ સમયથી થયેલા વિસ્ફોટોમાં થી સર્જાયેલા તારાઓમાંથી પ્રકાશના કિરણો નિકળ્યા હોવા જોઇએ. એટલે કે આપણે જે દિશામાં જોઇએ તે દિશા-રેખામાં કોઈને કોઈ તારો તો આવે જ. એટલે કે આપણી આંખ અને આકાશના કોઈપણ એક બિન્દુને જોડતી રેખાની લંબાઈ અનંત હોય એટલે કોઇને કોઇ તારો તો ત્યાં હોય જ એટલું જ નહીં પણ તે અનંત રેખા ઉપર અનંત સંખ્યામાં તારાઓ હોય. તેથી તે બિન્દુ ચળકતું દેખાય. આ વાત આકાશરુપી છતના દરેક   બિન્દુને લાગુ પડે છે. એટલે આખું આકાશ રાત્રે ચળકતું દેખાય. પણ આવું દેખાતું નથી તેથી વિશ્વ અનંત નથી.

બીજી શક્યતા વિષે વિચારવું જોઇએ

ધારો કે એક રબરનો ગોળાકાર ફુગ્ગો છે. તેની ઉપર તમે ટપકાં કર્યાં છે. જેમ જેમ એ ફુગ્ગો ફુલાવીને મોટો કરતા જશો તેમ તેમ એ બધા ટપકાંઓ એક બીજાથી દૂર જતાં જશે. આ ફુગ્ગાની સપાટી તેના નાના હિસ્સા માટે બે પરિમાણ વાળી છે. આ વક્રસપાટી ઉપરની દુનિયા બે પરિમાણ વાળી કહેવાય.

આ ફુગ્ગો જેમ જેમ મોટો થતો જશે તેમ તેમ તેના ઉપર રહેલા ટપકાઓ દૂર અને દૂર જતા જશે. આ બનાવને આપણે આપણા વિસ્તારિત વિશ્વના બનાવ સાથે સરખાવી શકીએ. ફુગ્ગાની ગોળાકાર સપાટી બે પરિમાણ વાળી છે. આપણું વિશ્વ ત્રણ પરિમાણની અનુભૂતિ વાળું છે પણ વાસ્તવમાં તે પણ વક્ર છે.

વિસ્તરતું વિશ્વ વિસ્ફોટને લીધે તેનું આકાશ(સ્પેસ) વિસ્તરે છે. પણ ગુરુત્વાકર્ષણને લીધે આકાશ (સ્પેસ) સંકોચાય છે. જો કોઈ પદાર્થ નું ગુરુત્વાકર્ષણ એટલું વધારે હોય કે તે પ્રકાશના કણોને પણ તે પોતાના તરફ ખેંચી લે તો તેને “બ્લેક હોલ” કહેવાય છે.

પ્રકાશના કણો આમતો શક્તિના પડિકાં છે. આગાઉ આપણે જોયું તેમ જો કોઈ પદાર્થ ગતિમાં હોય તો ગતિના પ્રમાણમાં તેનું દળ વધે છે. પ્રકાશના કણ ફોટોનનું દળ શૂન્ય છે. પણ તેનામાં જે શક્તિ કે ઉર્જા છે તે દળને સમતુલ્ય છે. તે સમતુલ્ય-દળ પણ દળની જેમ ક્ષેત્રમાં વર્તે છે. અને આ દળને સમતુલ્ય કણ બ્લેક હોલમાં પડે એટલે સ્થુળ દળ બની જાય.  

આધુનિક વૈજ્ઞાનિકો અને ભારતીય તત્વવેત્તાઓ વચ્ચે અહીં ભેદ પડે છે. આધુનિક વૈજ્ઞાનિકો વિશ્વમાં થતા ફેરફારોનું અવલોકન કરે છે અને કેવી રીતે થયું હશે તે વિષે ધારણાઓ બાંધે છે અને તેને ચકાસે છે. ભારતીય તત્વવેત્તાઓ કારણો વિષે ચર્ચા કરે છે.    

વૈષ્ણવો આને આને આરીતે કહે છે. વિષ્ણુ ભગવાનની નાભીમાંથી બ્રહ્મા ઉત્પન્ન થાય છે. તેઓ પોતામાંથી વિશ્વ ઉત્પન્ન કરે છે. કલ્પ પૂરો થતાં તેને પોતાનામાં સમાવી લે છે. પદ્મપુરાણમાં એમ કહ્યું છે કે આ બ્રહ્મા વિષ્ણુનું સ્વરુપ લઈ ફરીથી વિશ્વ ઉત્પન્ન કરે છે. એટલે કે વારાફરથી વિશ્વ ઉત્પન્ન કરે છે અને પોતાનામાં સમાવી લે છે.પણ આ એક રુપક છે.

બ્રહ્મા શું છે અને વિષ્ણુ શું છે?

વેદોના સમય વખતે સંભવતઃ વિશ્વના ગુણધર્મોને સમજવાના ઉપકરણો હતા કે નહીં તે આપણે જાણતા નથી. વિશ્વના કેન્દ્ર સ્થાને સૂર્ય હતો. સૂર્ય જગતનો આત્મા હતો. આ સૂર્યનું એક નામ વિષ્ણુ છે. ઉગતો સૂર્ય એ પ્રજાપતિ બ્રહ્મા છે. પૂર્વાકાશમાં ઉષાની લાલી થાય અને તેમાં ઉગતો સૂર્ય દેખાય, એટલે બ્રહ્માને કમળસ્થ માનવામાં આવ્યા. દૂર સુદૂર સમૂદ્ર હશે એવી કલ્પના કરી હશે, અથવા આમેય પશ્ચિમે સમૂદ્ર તો છે જ. એટલે સૂર્યનું નિવાસસ્થાન સમૂદ્રમાં કલ્પવામાં આવ્યું. હવે જો પૃથ્વીને ગોળ સમજીએ તો આથમતો સૂર્ય અથવા આથમી ગયેલો સૂર્ય આપણે માટે વિષ્ણુ છે પણ અમેરિકા માટે તે બ્રહ્મા છે. એટલે વિષ્ણુમાંથી બ્રહ્મા બન્યા. જે આપણે માટે ઉગતો સૂર્ય (બ્રહ્મા) છે તે અમેરિકામાટે આથમતો સૂર્ય અથવા આથમી ગયેલો સૂર્ય વિષ્ણુ છે. તેથી બ્રહ્મામાંથી વિષ્ણુ બન્યા. વાસ્તવમાં બ્રહ્મા એજ વિષ્ણુ છે અને વિષ્ણુ એજ બ્રહ્મા છે. કારણકે બંને એક જ સૂર્ય છે. જગતનો આત્મા સૂર્ય છે અને આ સૂર્યમાં રુદ્ર, આત્મા રુપે રહેલા છે. આ રુદ્રનું સ્વરુપ બપોરે ઓળખાય છે એટલે બપોરના સૂર્યને રુદ્ર સ્વરુપ ગણાય છે. સવારની સૂર્ય પૂજા બ્રહ્મ-સંધ્યા, બપોરની સૂર્ય-પૂજા રુદ્રસંધ્યા અને સાંજની વિષ્ણુસંધ્યા એમ ઓળખાય છે.  જુદી જુદી બાર રાશીઓમાં આવતા સૂર્યને બાર સૂર્યના જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. પોષમાસની કડકડતી ઠંડીમાં પુષ્ય નક્ષત્રમાં રહેલા સૂર્યને વિષ્ણુ તરીકે ઓળખવામાં આવે છે. ઠંડીથી આપણું તે રક્ષણ કરે છે. અને વાદળાઓને (વૃત્રાસુર) ઉપર કિરણોરુપી વજ્રોના પ્રહારો વડે કરીને (ઈન્દ્ર બની) તેને પાણીના બિન્દુમાં ચૂરા કરી નાખે છે.  

આ વિશ્વ શેનું બનેલું છે?

આ વિશ્વ જડ અને ચેતનનું બનેલું છે. વાસ્તવ્માં જડ અને ચેતનમાં કશો ભેદ નથી. આ વિશ્વ એ બ્રહ્મ નો એક પર્પોટો છે.

બ્રહ્મ શું છે? બ્રહ્મ સત છે. તે અનાદિ અને અંત રહિત છે. એટલે કે નિર્વિકાર છે. જો આમ હોય તો બ્રહ્મ ઉપર પરપોટો ક્યાંથી થાય?  કારણ કે બ્રહ્મ ઉપર પરપોટો થાય તો તો પરપોટો તો બ્રહ્મનો વિકાર કહેવાય. અને જેમાં વિકાર થાય તેને આદિ અને અંત હોય.

નાજી. બ્રહ્મ વિષે એમ નથી. બ્રહ્મ નિર્વિકાર જ રહે છે. તે નિર્વિકાર જ રહીને વિશ્વને ઉત્પન્ન કરે છે. અને વિશ્વ, કારણ કે બ્રહ્મ માંથી ઉત્પન્ન થયું છે તેથી વિશ્વનું કારણ બ્રહ્મ છે. પરપોટોનું ઉપમેય વિશ્વ છે.   

એક બ્રહ્મ છે. તે શું છે તે કોઈ જાણતું નથી. બ્રહ્મ એકમાત્ર સત્‌ છે. બધા જ બનાવોના કારણો છે, પણ બ્રહ્મ શા માટે વિશ્વને ઉત્પન્ન કરે છે તે માટેનું કારણ, કોઈ કહી શકશે નહીં. આ બ્રહ્મ એ નિર્ગુણ અને નિરાકાર છે. તેની ઉપરનો પરપોટો તે વિશ્વ છે. પણ આ પરપોટાનું ભૌતિક અર્થઘટન થયું નથી. બીજા શબ્દો આ પ્રમાણે છે. પહેલાં એક માત્ર સત્‌ હતું. તે બ્રહ્મ હતું. ૐ કાર ના ઉચ્ચાર સાથે તેમાંથી અગ્નિ પ્રગટ થયો. તે રુદ્રનું શરીર હતું. આ ગ્નિ બધા દેવોમાં પુરોહિત (પહેલાં જન્મ્યો, અગ્રથયો) છે. અને તે વિશ્વનું પોષણ કરે છે. બધું તેમાંથી ઉત્પ્ન્ન થાય છે. અને તેમાં ભળી જાય છે. ૐમાં જે ત્રગડો છે તે ત્રણ પ્રક્રિયા ઉત્પત્તિ સ્થિતિ અને લય છે. જે વલય છે તે સ્પંદન વ્યવહાર છે. જે અર્ધ ચંદ્રાકાર છે તે અલિપ્તતા પ્રદર્ષિત કરે છે. જે બિન્દુ છે તે બ્રહ્મ છે. એટલે કે બ્રહ્મ જગતના વ્યવહારોથી અલિપ્ત છે. બ્રહ્મ માંથીં અગ્નિ ઉત્પન્ન થયો તેથી તે અગ્નિ, “બ્રાહ્મણ” એમ કહેવાયો.

આ અગ્નિ શાંત પણ છે અને રુદ્ર પણ છે. તે ત્રણે પ્રક્રિયાઓ કરે છે. જગતની ઉત્પત્તિ, પોષણ અને નાશ. આ ત્રયીનો અધિષ્ઠાતા તે છે. જ્યારે તે ઉત્પન્ન કરે છે ત્યારે તે ભવ નામ રુપથીળખાય છે. જ્યારે તે  પોષણ કરે છે ત્યારે તે “શર્વ” નામરુપથી ઓળખાય છે. અને સંહાર કરે છે ત્યારે તે “હર” નામરુપથી ઓળખાય છે. આ જગત આઠ વસુઓનું બનેલું છે. અને તેમાં આ અગ્નિ (રુદ્ર) આઠ વસુદેવ નામરુપે રહેલો છે.

આપણે આ બધી વાતો નહીં કરીએ. કારણકે આમાં અર્થઘટનોમાં એકસૂત્રતા નથી દેખાતી. કારણકે જુદા જુદા સમયે જુદા જુદા અર્થો થયા છે. કેટલીક વાતો ગુઢ અર્થમાં કહેવાઈ હોય છે.  

જગત શું છે?

જગત એ વિશ્વમાં રહેલા પદાર્થોના એકબીજા સાથેના વ્યવહારો છે. આ વ્યવહારો કાયમી નથી પણ પ્રાણ એ કાયમ છે. એટલે જગત્‌ એ સત નથી તેમજ અસત પણ નથી. પણ અનિર્વચનીય છે. એટલે કે તે કદીય સમજી શકાય તેવું નથી. જગત ના અધિષ્ઠાતા અને વિશ્વરુપી શરીરવાળા આ વિશ્વદેવ એ રુદ્ર છે. તેઓ એકમાંથી અનેક થયા અને જગત (સૃષ્ટિ)ની રચના કરી.જો તમે વિશ્વને સંપૂર્ણ રીતે જાણો, અથવા વિશ્વની ચેતના સાથે એકાત્મતા સાધો તો તમારે વધુ કશું જાણવાની જરુર રહેતી નથી. કારણ કે તે બ્રહ્મસાથેની લીનતા છે અને તે ફક્ત આનંદ સ્વરુપ છે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

યુનીફાઈડ ફીલ્ડ થીયેરી બનાવવી ત્યારે જ શક્ય બને જ્યારે મૂળભૂત પદાર્થો વાસ્તવમાં શું છે અને કેવા છે તે સમજાય.

એટલે વૈજ્ઞાનિકો મૂળભૂત પદાર્થો કે તત્વો જે કહીએ તેને શોધવામાં અને સમજવામાં મચી પડ્યા.

ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, ફોટોનઉપરાંત મેસન, પાયોન, ન્યુટ્રીનો, બોસોન અને અગણિત મૂળભૂત કણો શોધાયા. અને સમય એવો આવ્યો કે દરવર્ષે વિશ્વવિદ્યાલયોમાંથી જેટલા સ્નાતકો બહાર પડે તેનથી વધુ મૂળભૂત કણો બહાર પડવા લાગ્યા.એટલે વૈજ્ઞાનિકો મુંઝાઈ ગયા. આ મુંઝવણને એક રીતે જોઇએ તો આ રીતે સરખાવી શકાય.

એક પરગ્રહ સ્થિત વિકસિત સંસ્કૃતિ આપણી પૃથ્વીને આરીતે જુએ છે.

કોઈ અવકાશી ગ્રહ ઉપરથી કોઈ એક વિકસિત સંસ્કૃતિ, પૃથ્વીનો અભ્યાસ કરતી હતી.

તેણે જોયું પૃથ્વી ઉપર પ્રવાહી અને ઘન પદાર્થો છે.

પછી આગળ વધતાં લાગ્યું કે અમુક સ્થિર છે (નિર્જીવ અને વનસ્પતિઓ). અમુક ગતિ કરે છે (ગતિમાન પદાર્થો અને સજીવો).

પછી લાગ્યું કે ગતિ કરે છે તેમાં અમુક બીજાને જે સ્થિર હોય છે તેને પોતાની અંદર નાખી દે છે (વનસ્પત્યાહારી સજીવો ભક્ષણ કરી જાય છે). પછી લાગ્યું કે કેટલાક ગતિવાળા એવા હોય છે કે જે ગતિમાં હોય છે તેને પણ પોતાની અંદર નાખી દે છે (માંસાહારી અને શિકારી પ્રાણીઓ). વધુ શોધ કરતાં લાગ્યું કે ગતિવાળા કશુંક સ્થિર હોય તેવું કાઢે પણ છે (ઝાડો પેશાબ કરે છે) . આમ તેમને અનેક જાતના પદાર્થો મળવા લાગ્યા. અંતે માણસ તત્વ લાધ્યું. અને તેમાં પણ તેણે જોયું કે અમુક માણસો અમૂક માપના અને કલરના હતા અને બીજા જુદા કલરના હતા. કેટલાક મોટા તત્વો ઉપર બેસીને જતા હતા તો કેટલાક તેનાથી દૂર ભાગતા હતા. એટલે માણસ કે જેને એક તત્વમાં સમજતા હતા તે પણ જુદા જુદા તત્વો વાળો નિકળ્યો.

આ પ્રમાણે આપણી પૃથ્વી ઉપરનો માનવી સુક્ષ્મ દુનિયાના તત્વોમાં અગણિત તત્વોને જોતો થયો અને મુંઝવણમાં પડ્યો. અંતે તેને લાધ્યું કે ક્વાર્ક અને ગ્લ્યુઓન મૂળભૂત કણો છે. ૩૬ જાતના ક્વાર્ક હોય છે. આમ તો ત્રણ. પણ દરેકમાં ત્રણ કલર, દરેકને છ સુગંધ અને દરેક ના પ્રતિ કણ (એન્ટી પાર્ટીકલ). આ ઉપરાંત ગ્યુઓન અને હીગ્સ છે. હીગ્ઝ જે શોધવાનું બાકી છે જે કદાચ બધાને દળ આપે છે.  આ વાત બહુ લાંબી છે. આનાથી બધા ક્ષેત્રો સમજી શકાય છે પણ ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર બાકી રહી જાય છે. એટલે સુપરસ્ટ્રીંગ ની થીએરી પ્રસ્તુત થઈ.

પણ સુપરસ્ટ્રીંગની પહેલાં આપણે આ અવકાશ શું છે તે સમજવું પડે. અને સમય શું છે તે પણ સમજવું પડે. બધા પદાર્થો અવકાશ માં છે. અને તે બધા વચ્ચે અંતર હોય છે. આ અંતર એટલે શું?

અંતર અને સમય (સ્પેસ એન્ડ ટાઇમ)

 આ અંતર અને સમય એક ભ્રમણા છે એમ વૈજ્ઞાનિકો કહે છે. શંકરાચાર્ય કહે છે બધા વ્યવહારો માયા છે. આ વસ્તુગત છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે લાગેલો સમય એ અંતર છે. ન્યુટન કહેતો હતો કે આખા વિશ્વમાં સમયનો પ્રવાહ સમાન છે. હાલના વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું છે કે વિશ્વમાં સમય અસમાન છે. જો તમે કોઇ ક્ષેત્રમાં વધુને વધુ વેગથી ગતિ કરતા જાઓ તો સમય ધીમોને ધીમોડતો જાય છે. જેમ તમે પ્રકાશના વેગ ની નજીકને નજીક પહોંચતા જાઓ તેમ તમારો સમય સાવ ધીમોને ધીમો પડતો જાય. જો તમારો વેગ પ્રકાશના વેગના ૯૯.૯૯……….૯૯(દશાંશ બિન્દુ પછી ૫૫ નવડા) ટકાએ પહોંચી ગયો હોય તો તમારે વિશ્વના હાલના છેડે પહોંચતા લગભગ છપ્પન વર્ષ થાય. અને એટલે કે તમે ૧૧૨ વર્ષે પાછા આવો. પણ તે વખતે પૃથ્વી, સૂર્ય કે આકાશગંગા ન પણ હોય, અથવા જુદા સ્વરુપે હોય. કારણકે પૃથ્વી ઉપર તો ૩૦ અબજ વર્ષ વીતી ગયા હોય.

હિન્દુ તત્વજ્ઞાન પ્રમાણે સમય સમાનપણે વહેતો નથી. પણ તે માટેનું કોઇ સમીકરણ આપણને મળ્યું નથી. જેઓ કુદરતી શક્તિઓ છે એટલે કે દેવો છે તેમની દિવસ અને રાત એ આપણું એક વર્ષ છે. પુરાણોમાં યુગોની ગણના બધી જગાએ સમાન નથી. અંતરિક્ષમાં જુદા જુદા લોક છે. અને તેમનો જુદો જુદો સમય છે. કોઈપણ રીતે હિન્દુઓએ સમયને અસપ્રમાણરીતે વહેતો કહ્યો છે. તે બાબતની ક્રેડીટ આપવી હોય તો આપી શકાય. ન આપવી હોય તો ન આપવી. પણ આવા વિચારની કલ્પના જ અસાધારણ છે. સમય અને અંતરને હિન્દુ તત્વજ્ઞાનમાં એક જ ફન્ડામેન્ટલ એન્ટીટી (તત્વ) ગણ્યું છે.

પરિમાણો (ડાઈમેન્શન્સ) કેટલા?

યુનીફાઈડ થીયેરી ઓફ ફીલ્ડ કે જેનો હેતુ આ ચાર ક્ષેત્રો (ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર,  વિદ્યુતચૂંબકીયક્ષેત્ર, પરમાણુના ઘટકોને જોડીરાખતું સ્ટ્રોંગ ક્ષેત્ર, અને રેડીયોએક્ટીવ વીક ક્ષેત્ર) ને એક સમીકરણમાં સમાવી લેવાનો છે.

સમય અને અંતર આ કેટલા પરિમાણો છે? પણ પરિમાણો (ડાયમેન્સન) એટલે શું, તે પહેલાં સમજી લઈએ.

જો એક સીધી રેખા હોય. તો તેને એક પરિમાણ કહેવાય અને તે ઉપર રહેલા બિન્દુને એક પરિમાણથી દર્શાવી શકાય. કોઈ એક બીન્દુને આધાર બીન્દુ ગણો. અને તે રેખા ઉપર રહેલા કોઈ એક બિન્દુના સ્થાન ને નક્કી કરવું હોય તો એમ કહેવાય કે આ બીજુ બિન્દુ તેનાથી દા.ત. ૫ સેન્ટીમીટર ડાબી બાજુ છે કે ૫ સેન્ટીમીટર જમણી બાજુએ છે. એટલે કે જો ડાબી બાજુને ઋણ ગણીએ અને જમણી બાજુને ઘન ગણીએ તો તે બિન્દુવિષે -૫ કે +૫ અંતરના એકમના સ્થાને છે તેમ કહેવાય. એટલે કે ધારોકે ક્ષ=૫ . એક રેખાને બદલે એક સપાટી ઉપર જો એક બીન્દુનું સ્થાન નક્કી કરવું હોય તો આધાર બિન્દુથી તેનું સ્થાન નક્કી કરવા માટે બે પરિમાણો આપવા પડે. એટલે ક્ષ (ઘન માટે પૂર્વ અને ઋણ માટે પશ્ચિમ) અને ય (ધન માટે ઉત્તર અને ઋણ માટે દક્ષિણ).

એટલે કે એક સમતલ ઉપર કોઈ એક બિન્દુનું, આધાર બિન્દુથી સ્થાન નક્કી કરવા માટે બે પરિમાણ જોઇએ. એટલે જમણી-ડાબી, આગળ-પાછળ.. આપણે જો ત્રી પરિમાણ વાળા એક ઓરડાને જોઇએ તો ઓરડામાં તો  આગળ-પાછાળ, ડાબી-જમણી ની ઉપરાંત હવે ઉપર-નીચે વિષે પણ વિચારવું પડે કારણ કે કોઈ વસ્તુ ઉપર-નીચે પણ હોઈ શકે. તેથી આપણી સૃષ્ટિમાં આપણે ત્રણ પરિમાણોમાં જીવીએ છીએ.

જમણી-ડબી     એટલે ક્ષ પરિમાણ

આગળ-પાછળ  એટલે ય પરિમાણ

ઉપર – નીચે    એટલે ઝ પરિમાણ

એટલે કે કોઈ વસ્તુનું સ્થાન નક્કી કરવું હોય તો તે આધાર બિન્દુની સાપેક્ષે તે કેવી રીતે છે તે દર્શાવવા ક્ષ, ય અને ઝ ના મૂલ્ય જણાવવા જોઇએ.

પણ આ બધું તો ત્યારે લાગુ પડે જ્યારે આ વસ્તુ સ્થિર હોય.

ધારો કે વસ્તુ ગતિમાં હોય તો?

જો આવું હોય તો ગતિનું એક સમી કરણ હોય અને તે સમીકરણમાં ક્ષ, ય, ઝ, અને ટ (ટાઇમ) નો પણ સમાવેશ કરવો પડે.

તો આ પ્રમાણે પરસ્પરને લંબ એવા ચાર પરિમાણો થયા.

કોઈ વસ્તુ શા માટે ગતિમાં હોય?

કોઈ વસ્તુ ગતિમાં એટલા માટે હોય કે કાં તો તે પહેલેથી જ ગતિમાં છે. અથવા તો તેના ઉપર બળ વાપરવામાં આવ્યું. જો બળ વાપરવામાં આવે તો તેની ગતિમાં ફેરફાર થાય. તેની ઝડપ બદલાય અને તે બદલાયેલી ઝડપથી ગતિ કરે. પણ જો તેના ઉપર ક્ષેત્રનું બળ હોય તો તે પ્રવેગિત ગતિ હોય. દરેક પ્રકારની ગતિના સમીકરણ હોય છે, જેમાં ક્ષ, ય, ઝ અને ટ ના મુલકોના સંબંધો દર્શાવ્યા હોય છે.

ઓછા પરિમાણો વાળી સૃષ્ટિઃ

હવે કામ ચલાઉ એવું ધારી લો કે કોઇ એક સૃષ્ટિમાં ક્ષ અને ય (એટલે કે એક સમતલ ) પરિમાણો છે. (સમય ના પરિમાણને હાલતૂર્ત ન લો) એટલે કે બધી વસ્તુઓને ફક્ત લંબાઈ અને પહોળાઈ જ છે. હવે જો આ સૃષ્ટિમાં થી ત્રણ પરિમાણ વાળો એક ઘન દડો પસાર થાય તો તે સૃષ્ટિના સજીવોને તે દડો જ્યારે તેમના તલને (સપાટીને) સ્પર્ષ કરશે ત્યારે એક બિન્દુ જેવો દેખાશે. જ્યારે તે સમતલમાંથી પસાર થતો જશે ત્યારે તે બિન્દુમાંથી નાની ગોળાકાર પ્લેટ થશે. આ પ્લેટ મોટીને મોટી થતી જ્યારે. જ્યારે દડો અર્ધો પસાર થશે ત્યારે તે મોટી પ્લેટ બનશે અને પછી તે નાની ને નાની બનશે અને છેવટે બિન્દુ બની અદ્રષ્ય બનશે. જે દડો છે તે એક જ પદાર્થ છે. પણ બે પરિમાણ વાળી સૃષ્ટિના લોકોના સમીકરણો ક્ષ અને ય ના જ બનેલા છે.

એક એવો જ દડો ત્યાં થોડો પસાર થઈ સ્થિર રહે છે. અને બીજો તેવો જ દડો અર્ધો પસાર થઇને સ્થિર થાય છે. આ દ્વિ પરિમાણ વાળી સૃષ્ટિના લોકો તેને ખસેડવા માટે બળ વાપરે છે. તેમણે જોયું કે જે દડો તેમની દુનિયામાં નાની પ્લેટના સ્વરુપમાં દેખાયો અને તેને ખસેડવા તેમણે જે બળ વાપર્યું તેટલું જ બળ તેના બીજો દડો જે મોટી પ્લેટના સ્વરુપમાં દેખાયો તેને ખસેડવા પણ તેટલું જ બળ વાપરવું પડેલું. આથી તેમને તેમના ગતિ અને બળના નિયમો એટલે કે સમીકરણો ખોટા પડતા લાગ્યા.

ધારોકે આ દ્વિ પરિમાણવાળી સૃષ્ટિના લોકો બુદ્ધિશાળી હતા. તેમણે એવી તારવણી કરી કે આપણે ભલે દ્વિ પરિમાણવાળા હોઇએ પણ સૃષ્ટિ માં ત્રણ પરિમાણ વાળી વસ્તુઓ પણ અસ્તિત્વ ધરાવતી હોવી જોઇએ. અને જો આવું સમજીને આ પ્લેટ ઉપર લાગેલા બળને ત્રી પરિમાણોના સમીકરણથી ચકાસીશું તો સમસ્યાનો ઉકેલ મળશે.

આ પ્રમાણે આપણા ભૌતિકશાસ્ત્રીઓએ વિચાર્યું કે જો સુક્ષ્મ કણોની ગતિવિધિઓ માટે આપણે રચેલા ક્ષ, ય, ઝ, (અને ટ), પૂરતા નથી. સંભવ છે કે આ સુક્ષ્મ કણોને વધુ પરિમાણો હોય.

જો વધુ પરિમાણો હોય તો કેટલા હોય?

૧૯મી સદીના અંતથી ૨૦મી સદીની શરુઆત સુધીમાં રામાનુજમ નામના ગણિતશાસ્ત્રીએ કેટલાક ગહન સમીકરણોની શોધ કરેલી. તેમાં એક ૧૧+૧૧+(૩+૧) નું મેટ્રીક્સ (સંઘટકોની રચના) અસાધારણ હતી. તેની ઉપયોગીતા ત્યારે સમજાઈ ન હતી. પણ ૨૦મી સદીના અંતમાં તેની ઉપયોગીતા સમજાઈ. આ મેટ્રીક્સ ના સમીકરણથી ચારે ક્ષેત્રોને આવરી લઈ શકાય.

ટૂંકમાં એમ કહી શકાય કે ભારતીય તત્વ વેત્તાઓ કેવળ તર્કથી માનતા હતા કે અથવા કહો કે માની લીધું હતું કે બ્રહ્માણ્ડ કેવળ એક જ તત્વનું બનેલું હોઈ શકે. આવો વિચાર વૈજ્ઞાનિકોને (આઈન્સ્ટાઇનને) ૨૧મી સદીના લગભગ મધ્યમાં આવ્યો.

 શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

અદ્વૈત વાદે બાકી બીજા સૌને હરાવ્યા

અદ્વૈત વાદે બાકી બીજા સૌને હરાવ્યા

 

અદ્વૈત એટલે શું?

સીધો સાદો અર્થ એ જ છે કે અદ્વૈત એટલે “બે નહીં”.

પણ વધુ વિસ્તૃત અર્થ છે. “બે પણ નહીં”

વધુ વિસ્તૃત અર્થ એક અને માત્ર એક જ.

એક અને માત્ર એક જ એટલે શું?

આ વિશ્વમાં ઘન, પ્રવાહી અને વાયુ સ્વરુપે ઘણા પદાર્થો દેખાય છે. આ બધા જ કોઈ એક મૂળભૂત કણના બનેલા છે. આ મૂળભૂત કણને એક જ ગુણ છે. આ ગુણ છે, આકર્ષણનો ગુણ. એટલે કે એક કણ બીજા કણને આકર્ષે છે. કોઈ કણને બે ગુણ ન હોઈ શકે. તેમ જ જુદા જુદા મૂળભૂતગુણ વાળા બે મૂળભૂત કણ ન હોઈ શકે.

જો આવું હોય તો અદ્વૈત નો સિદ્ધાંત તૂટી પડે છે. તેવી જ રીતે જો મૂળભૂત કણ ને બે ગુણ હોય તો? તો પણ અદ્વૈતનો સિદ્ધાંત તૂટી પડે છે.

ધારો કે એક કણ ને બે ગુણ હોય તો શું એમ ન કહી શકાય કે તે બે મૂળભૂતકણોના સમૂહનો બનેલો છે? હા કહેવાય તો ખરું પણ એક કણ જો બે મૂળભૂત કણો નો બનેલો હોય તો બે મૂળભૂત કણોના ગુણ જુદા જુદા હોવાથી તેમનું સાથે રહેવું શક્ય નથી.  

પણ આપણે જોઇએ છીએ કે પદાર્થોમાં આકર્ષણ અને અપાકર્ષણનો પણ ગુણ હોય છે. તેનું શું?

વાસ્તવમાં આકર્ષણ અને અપાકર્ષણ એ ફક્ત મૂલ્યનો ફેર છે. એટલે કે એક ઘનાત્મક મૂલ્ય છે અને બીજું ઋણાત્મક મૂલ્ય છે. ઋણ અને ઘન એ સાપેક્ષ છે.

જેમ કે ત્રણ વ્યક્તિઓ એક કતારમાં હોય અને એક એક મીટરને અંતરે ઉભી હોય.  જો વચલી વ્યક્તિને સંદર્ભમાં રાખીએ તો બીજીવ્યક્તિ તેનાથી   (+૧ મીટર) દૂર કહેવાય અને ત્રીજી વ્યક્તિ તેનાથી (-૧) મીટર દૂર કહેવાય.

પણ આમાં અપાકર્ષણની વાત ક્યાં આવી?

ધારોકે આપણી પાસે એક જ જાતના ચાર મૂળભૂત કણો છે. બે કણો એકબીજાને અડોઅડ છે. આ અડોઅડ રહેલા કણો અને બાકીના બે કણો એક સેન્ટીમીટર ને એક લાઈનમાં છે. એટલે કે અ૧‘….’અ૨‘….’અ૩‘.’અ૪‘.

હવે અ૨ની ઉપર અ૩‘.’અ૪નું આકર્ષણ બળ છે. અને આ બળ અ૧ના કરતાં બમણું છે. એટલે અ૨કણ તો અ૩અ૪ની દીશામાં ગતિ કરશે. હવે જેઓ અ૩અ૪ને જોઈ શકતા નથી તેમને એમ લાગશે કે અ૧ અને અ૨ વચ્ચે અપાકર્ષણ છે. વાસ્તવમાં અ૧ અને અ૨ વચ્ચે તો આકર્ષણ જ છે. પણ અ૨ અને અ૩અ૪ની ગોઠવણ એવી છે કે આપણને અ૧ અને અ૨ વચ્ચે અપાકર્ષણ હોય એવું લાગે છે.

આ ફક્ત સમજવા માટેનો દાખલો જ છે. આ વાસ્તવિકતા નથી. આપણે આ દાખલાની સીમામાં જ આ સમજવાનું છે તે એ કે તેમની વચ્ચે રહેલી આંતરિક સ્થિતિ એવી છે કે જેની આપણને ખબર નથી તે છે.

આકર્ષણ એ શું છે? અને તે શા કારણે છે? શું કોઇ કણ ગુણ વગરનો હોઈ શકે?

કોઇ કણ ગુણ વગરનો ન હોઇ શકે. કારણ કે ગુણ હોય તો જ કણ અસ્તિત્વમાં છે. જેને ગુણ નથી તેનું અસ્તિત્વ પણ જાણી ન શકાય.

ગુણ શા કારણે છે?

એક કણ કલ્પો. આકર્ષણ એ એક બળ છે. બળ છે એટલે કે શક્તિ છે. શક્તિ નું માપ તેના ખુદના કંપન (ફ્રીક્વન્સી) ના મૂલ્ય ઉપર આધાર રાખે છે. એટલે કે કણ કંપન કરતો હોવો જોઇએ.

હવે જો આમ વિચારીએ તો કણના બે ગુણ થયા. એક કંપન અને બીજો આકર્ષણ. જો બે ગુણ હોય તો અદ્વૈત વાદનો સિદ્ધાંત ધ્વસ્ત થાય છે.

પણ વાસ્તવમાં એમ નથી. કંપન એ કણનો ગુણ છે. અને આકર્ષણ એ કંપનની અસર એટલે કે કંપનની અનુભૂતિ છે. એટલે કે એક કણના કંપનની બીજા કણને થતી અનુભૂતિ છે.

એવું વિચારવાની કે ધારી લેવાની શી જરુર કે મૂળભૂત કણ એક જ જાતનો હોઈ શકે? શા માટે મૂળભૂત કણ બે ન હોઈ શકે?

અચ્છા ચાલો, ધારી લઈએ કે બે જુદી જુદી જાતના મૂળ ભૂત કણો છે. હવે કણ માત્ર તેના ગુણથી ઓળખાય. જો બે કણ જુદા હોય પણ ગુણ એક જ હોય તો તે બે કણ એક જ છે, એમ સિદ્ધ થાય છે.

જો ગુણ બે કણના ગુણ જુદા જુદા હોય તો તે બંને કણો વચ્ચે સંવાદ એટલે કે ક્રિયા પ્રતિક્રિયા સંભવી ન શકે.

જેમકે, દાખલા ખાતર આપણે વિચારીએ;

બે વ્ય્ક્તિઓ છે. તેમની ભાષાઓ જુદી જુદી છે. બે વ્યક્તિઓ વચ્ચે જો ભાષાની સમાનતા ન હોય તો સંવાદ શક્ય ન બને. જો કે બે મનુષ્યો વચ્ચે બીજી ઘણી સમાનતા છે હોય છે કારણ કે મનુષ્યો એ મૂળભૂત કણ નથી. તેથી બે મનુષ્યો વચ્ચે બીજી રીતે પણ સંવાદ તો થઈ શકે.પણ આપણે ફક્ત એક ગુણના પરિપેક્ષ્યમાં વિચારીએ તો એક ગુણ બીજા ગુણથી સ્વતંત્ર હોવાથી બંને પદાર્થો વચ્ચે સંવાદ શક્ય નથી. તેથી કરીને બે અલગ અલગ પ્રકારના કણ વચ્ચે વ્યવહાર શક્ય નથી.

એટલે મૂળભૂત કણ ફક્ત એક જ પ્રકારનો હોઈ શકે. તે કણ તેના જેવા બીજા કણ સાથે જોડાઈ શકે. આ કણસમૂહ વળી બીજા કણ અને અથવા કણસમૂહ સાથે જોડાઈ ને બીજો  કણ સમૂહ બનાવી શકે. આ બધા કણ સમૂહમાં મૂળભૂત કણો, સાપેક્ષે જુદી જુદી સ્થિતિમાં હોઈ જુદા જુદા ક્ષેત્રો બનાવી શકે.

દરેક કણ ને એક ક્ષેત્ર હોય છે. દરેક કણ કંપન કરતું હોય છે. કણસમૂહનું એક પરિણામી કંપન હોય છે અને તેનું પરિણામી ક્ષેત્ર પણ હોય છે.

આ કંપન એ શું છે?  મૂળભૂત કણ કેવો છેકંપનની અનુભૂતિ એ જો આકર્ષણ બળ હોય તો તે બીજા કણ ઉપર કેટલું અસર કરશે? આવા સવાલો ઉત્પન્ન થાય છે.

કંપનને લીધે બળ ઉત્પન્ન થાય છે. આ બળનું અસ્તિત્વ ત્યારે જ અભિવ્યક્ત થાય જ્યારે બીજો તેના જેવો કણ અસ્તિત્વ ધરાવતો હોય. જો કોઈ કણ એકલો જ હોય તો તે શૂન્ય છે. પણ આવું તો નથી. કોઈ પણ એક કણ એકલો હોતો નથી. બીજા અસંખ્ય તેના જેવા કણો હોય છે. તે સૌની વચ્ચે આકર્ષણ હોય છે. આ આકર્ષણ એક બળ તરીકે પ્રગટ થાય છે.

 

ભૌતિક શાસ્ત્ર કેવી રીતે આગળ વધ્યું?

આપણે વિશ્વમાં એક જ બળ જોતા નથી. આપણે તો ઘણા બળો જોઇએ છીએ. અને દરેક બળના માપદંડ અને સમીકરણો જુદા જુદા હોય છે. આવું શા માટે? જો આકર્ષણ એ એક જ બળ હોય તો સમીકરણ પણ એક જ હોવું જોઇએ.

આ સમસ્યાવાળો પ્રશ્ન આલ્બર્ટ આઈનસ્ટાઇનને ઉદભવ્યો હતો. એ પહેલાંના વૈજ્ઞાનિકોને, વિશ્વના પરિપેક્ષ્યમાં આવો પ્રશ્ન ઉદભવી શકે તેવી સમજ જ ન હતી. ૧૮૯૦ સુધી એમ જ માનવામાં આવતું હતું કે વિશ્વ ૯૨ તત્વોનુંજેમકે હાઈડ્રોજન, હેલીયમ, ઓક્સીજન, નાઇટ્રોજન, કાર્બન, લોખંડ, જસત, ત્રાંબુ, વિગેરે મૂળભૂત તત્વોનું બનેલું છે. જે કંઈ દેખાય છે તે કાં તો આ તત્વો છે અથવા તો તેમના સંયોજનો કે મિશ્રણો છે.

પછી થોમસને શોધ્યું કે ઉપરોક્ત તત્વો એ મૂળભૂત તત્વો નથી. તેઓ પણ તેથી વધુ ઝીણા મૂળભૂત તત્વોના બનેલા છે.

કાળક્રમે ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન વિગેરે શોધાયા.

ઈલેક્ટ્રોન અને પ્રોટોન ઋણ અને ધન વિજાણુઓ ગણાયા. કારણ કે તેઓ વિજબળ ધરાવતા હતા.

વિજબળ ગતિમાં હોય તો તેને લંબ દીશામાં ચૂંબકત્વનું બળ ઉત્પન્ન થાય છે.તેવીજ રીતે ચૂંબકત્વના ક્ષેત્રમાં ફેર થવાથી વિજક્ષેત્ર ઉત્પન્ન થાય છે.

ગુરુત્વાકર્ષણનું બળ ન્યુટને શોધ્યું હતું.

ઉપરોક્ત ૯૨ કે ૧૦૮ તત્વોપોતે મૂળભૂત નથી, પણ તેઓ ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, પાયોન, મેસોન, વિગેરેના બનેલા હોય છે. કોઈ એક તત્વની અંદર રહેલા ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનને, આ તત્વની અંદર તેમને એકબીજા સાથે કોણ જોડી રાખે છે?

આ જોડી રાખનારા બળને સ્ટ્રોંગ બળ નામ આપવામાં આવ્યું.

રેડીયો એક્ટીવ પદાર્થ શોધાયો અને તેમાંથી નીકળતા આલ્ફા, બીટા અને ગામા કિરણો શોધાયા તો પ્રશ્ન થયો કે આ અત્યાર સુધી આ કણો અણુ/પરમાણુની અંદર કેવીરીતે અને કયા બળથી જોડાયેલા હતા? આ બળને વિક (નબળું) બળ નામ આપવામાં આવ્યું.

તો જુદા જુદા કેટલા બળ થયા?

ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુતચૂંબકીય બળ, પરમાણુના ઘટકોને જોડીરાખતું સ્ટ્રોંગ બળ, અને રેડીયોએક્ટીવ વીક બળ.

આઈન્સ્ટાઇનને સવાલ થયો કે આટલા બધા મૂળભૂત તત્વો અને આટલા બધા બળો ન હોઈ શકે. વિશ્વની રચનાના મૂળભૂત સિદ્ધાંતો સરળ હોવા જોઇએ.

આ દરમ્યાન બીજા ઘણા ક્રાંતિકારી આવિષ્કારો થઈ ગયેલા.

જેમકે પ્રકાશ એ અદૃષ્ટ તરંગ નથી પણ, કણ પણ છે.

તે ઉર્જાના કંપનોનું પડીકું છે. અને કંપન હોવાથી તેમાં શક્તિ છે.

શક્તિ (ઉર્જા) અને દળ એ આમ તો એક જ છે. એક બીજામાં પરિવર્તિત કરી શકાય છે.

આ શક્તિની(ઉર્જાની) ઝડપ (વેગ) અચળ છે. એટલે કે ધારોકે તેની ગતિ ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકંડ છેઅને તમે સુપરસોનિક વિમાનમાં બેસીને પાછળના પ્રકાશ સ્રોત ના પ્રકાશની ઝડપ માપો તો તેપણ  ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકંડ છે અને તમારી આગળના સ્રોતમાંથી નિકળતા પ્રકાશની ગતિ માપો તો તે પણ ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકંડ છે. એટલે કે તમે પ્રકાશના સ્રોતની સામે ગમેતેટલા પૂર જોસમાં જાઓ કે તેનાથી ઉંધી દીશામાં ગમે તેટલા પુરજોશમાં જાઓ અને પ્રકાશવેગ માપશો તો તે ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકંડ જ થશે.એટલે કે તે અચળ છે.

ધારોકે પૂર્વથી પશ્ચિમ એવા એક રસ્તા ઉપર બે કાર છે. એક કાર પૂર્વ દીશામાં ૫૦ કીલોમીટરની ઝડપે જાય છે. બીજી તેની પાછળ ૪૦ કીલો મીટર ની ઝડપે આવે છે. તો પહેલી કાર વાળાને પાછળની કારની ઝડપ  ૧૦કીલો મીટરની જણાશે. એટલે કે ૫૦-૪૦=૧૦.

હવે જો પાછળની કાર પોતાની દીશા ઉલ્ટાવી દેશે તો પહેલી કારને બીજી કાર ૫૦+૪૦=૯૦ કીલોમીટર ની ઝડપથી જતી જણાશે.

પણ હવે ધારોકે બીજી કાર એ પ્રકાશ છે. તો પહેલી કારને તે બંને સંજોગોમાં બીજી કારની (જે પ્રકાશ છે) ઝડપ ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકંડ જ જણાશે.

બીજા ઘણા આવિષ્કારો થયા. જેમકે વેગ વધવાથી વેગની દીશામાં લંબાઈ ઘટે છે. વેગવધવાથી પદાર્થનું દળ વધે છે. વેગ વધવાથી સમય ધીમો પડે છે. ઉર્જા એ દળને સમકક્ષ છે.

હવે જ્યારે આવું બધું થાય ત્યારે ન્યુટને સ્થાપિતકરેલા ગતિ અને ઉર્જાના સમીકરણો નકામા બને છે.

તો પછી સાચાં સમીકરણો કયા છે.

જે કંઈ બધું થાય છે તે અવકાશમાં થાય છે.  પૃથ્વી, ચંદ્ર, સૂર્ય, ગ્રહો અને તારાઓ બધું આકાશમાં છે. આકાશમાં આખું વિશ્વ છે. પૃથ્વી ઉપરની ગતિઓ પણ એક રીતે વિશ્વમાં આવી જાય.

બે પદાર્થ વચ્ચે અવકાશ રહેલું હોય છે. એટલે બે પદાર્થ વચ્ચે જે અવકાશ હોય છે ત્યાં બળનું ક્ષેત્ર હોય છે એમ કહી શકાય. હવે જો બળ ચાર જાતના હોય તો ક્ષેત્ર પણ ચાર જાતના થયા. તેના સમીકરણો પણ ચાર જાતના થાય. પણ મૂળભૂત પદાર્થ જો એક જ હોય તો ક્ષેત્રનું સમીકરણ પણ એક જ હોવું જોઇએ. તો એવું સમીકરણ બનાવો કે જે આ ચારે ક્ષેત્રોને સાંકળી શકે.

આ ચારે ક્ષેત્રોને કેવી રીતે સાંકળી શકાય? આ પ્રમેય અથવા સિદ્ધાંતને “યુનીફાઈડ ફીલ્ડ થીએરી” કહેવાય છે. આવી થીએરીની શોધ માટે આલ્બર્ટ આઈનસ્ટાઇને ભલામણ કરી અને મથામણ પણ કરી. આલ્બર્ટ આઈન્‌સ્ટાઈને તેમની પાછળની જીંદગી એમાં ખર્ચી નાખી.

આઈનસ્ટાઇનના સમયમાં બ્‌હોરનું એટોમીક મોડેલ (બ્‌હોરનામના વૈજ્ઞાનિકે પ્રબોધેલો પરમાણું સંરચનાનો નમૂનો પ્રસ્થાપિત અને પ્રચલિત હતો. તેનાથી પ્રકાશ અને વિદ્યુતચૂંબકીય તરંગો અને કંપનો અને તેમાં રહેલી ઉર્જા સમજી શકાતી હતી. પણ વૈજ્ઞાનિકોને લાગતું હતું કે તેઓ “યુનીફાઈડ ફીલ્ડ થીએરી” ના આવિષ્કારથી ઘણા દૂર છે. 

(ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

 

Read Full Post »

%d bloggers like this: