પ્રખ્યાત માણસો અને રોકડી વિષે કંઈક
આમ તો પ્રખ્યાત (સેલીબ્રીટી) માણસોમાં હિરાભાઈઓ, હિરી બહેનો, છાપામાં કટારો સંભાળનારા લેખકો, અન્ય લેખકો, કવિઓ, રાજકારણીઓ, આંદોલનકારીઓ, ગુન્ડાઓ, કૌભાંડોને કારણે ખ્યાતિમાં આવેલા સરકારી અધિકારીઓ અથવા સુકર્મોને લીધે ખ્યાતિ પામેલા સરકારી અધિકારીઓ, ઉદ્યોગપતિઓ વિગેરે અનેક આવે છે. આપણે ફક્ત હિરાભાઈઓ અને હિરીબહેનો (હિરો હિરોઈનો) પૂરતી ચર્ચા મર્યાદિત રાખીશું.
હિરાભાઈઓ અને હિરોઈન બહેનો
મોટે ભાગે તો અભિનય કળામાં કુશળ હોય એવા હિરાભાઈ અને હિરી બહેનો તો બહુ અલ્પ સંખ્યામાં હોય છે. એટલા માટે જ કદાચ તેમને હિરો – હિરોઈન તરીકે ઓળખવામાં આવતા હશે. આમ તો તેમનું પાત્ર, ફિલમમાં મુખ્ય પાત્ર રહેતું હોવાથી પણ તેમને એ રીતે ઓળખવામાં આવતા હશે.
હિરાભાઈઓ અને હિરી બહેનો જ પ્રખ્યાત હોય છે તેવું નથી. સહાયક પાત્રો પણ પ્રખ્યાત બને છે. કેટલાક સહાયક પાત્રો પહેલાં હિરો –હિરોઈનો હોઈ શકે છે. પણ પછી સમય જતાં વાર્ધક્યને (ગલઢા-વૃદ્ધ થવાને લીધે) કારણે સહાયક પાત્રનો અભિનય લેતા હોય છે. જો કે બધાને માટે આ વાત લાગુ પડતી નથી. પણ જેઓએ યુવાન વયમાં થયેલી કમાણીનો વહીવટ બરાબર કર્યો ન હોય અને અથવા વાર્ધક્ય બારણે ટકોરા મારે ત્યાં સુધી કમાણી વેડફતા રહ્યા હોય કે ફિલમના પ્રોડક્ષનની અભિલાષા જાગી ગઈ હોય ત્યારે તેઓ ફિલમ નિસ્ફળ જવાથી પણ પૈસાની તંગીમાં આવી જાય છે.
હિરાભાઈઓ અને હિરીબહેનોના ઘણા પ્રકારો હોય છે.
હિરો માટે ફિલમ હોય છે
મોટાભાગના પોતાને આજન્મ હિરો કે હિરોઈનો માનતા હોય છે. ફિલમનું તેમના માટે જ નિર્માણ થઈ રહ્યું છે તેમ માનતા હોય છે. એટલે તેમના અભિનયમાં કશી વિવિધતા આવતી નથી. જો કે આમાં પણ બે જાતના હિરાભાઈઓ હોય છે. એક કે જેઓ જાણે છે કે તેમના અભિનયમાં વિવિધતા હોતી નથી. બીજા કે જેઓ આ વાત જાણતા હોતા નથી.
જેમ કે નાદિયા, જહોન કાવસ, ભગવાનદાસ, શેખ મુખ્તાર, કે એન સિંઘ, પ્રાણ, અમરીશપૂરી, અમજદ ખાન, ત્રીલોક કપુર, કમલા લક્ષ્મણ, ગોપી કૃષ્ણ, વિગેરે તલવાર બાજી, મુક્કાબાજી, ઢિશુમ ઢિશુમ, ધોબી પછાડ, ખલનાયક, ભગવાન, નૃત્યકાર વિગેરે જેવા પોતાને અનુરુપ નિશ્ચિત પ્રકારના પાત્રો જ લેતા હતા.
જોકે મારા નાનપણના હિરો જે મને તેમની તલવાર બાજીને કારણે પ્રથમ પ્રિય હિરો હતા તે ભગવાનદાસ કંઈક અલગ હતા. મૂળ તો એ તલવાર બાજીના રોલ કરતા હતા. પણ તેમને કંઈક ઘુરી ચડી અને તેમણે “અલબેલા”માં તલવાર બાજી વગરનો રોલ કર્યો. અને “અલબેલા” અત્યંત સફળ થયું. જો કે ભગવાનભાઈએ કમાણી ક્યાં વાપરી તે આપણે જાણતા નથી. તેમના વાર્ધક્યના દિવસો પૈસાની તંગીમાં વિતેલ. પણ ફિલમ લાઈનમાં આ નવાઈની વાત નથી. નાદિરા અને લલિતા પવારનું પણ આવું જ થયું હતું. લલિતા પવારના અભિનયમાં વૈવિધ્યતા હતી. તે એક શ્રેષ્ઠ અભિનેત્રી હતી.
બીજો પ્રકાર છે કે એવા હિરાભાઈઓ અને હિરી બહેનો જેઓ પોતે જ પોતાને “કંઈક છે” તેમ તો માનતા જ હોય પણ પોતાની નિશ્ચિત પ્રતિમા બનાવવામાં સંકલ્પ બદ્ધ હોય છે. દુઃખી, દયાજનક, પ્રેમી, કુદાકુદી, નટખટ, અર્થપૂર્ણ સંવાદ બોલનારા, વિગેરે વિગેરે. આમાં દિલીપકુમાર, મીનાકુમારી, રાજ કપુર, દેવાનંદ, શમ્મી કપુર, કિશોર કુમાર, રાજકુમાર આવતા હતા.
દિલીપભાઈને તમે ગમે તે પાત્ર આપો તેઓશ્રી પોતાની રીતે જ અભિનય કરશે. દેવદાસનો કે ઇન્સાનિયતનો દુઃખી પ્રેમી હોય કે સમ્રાટ અકબરનો પુત્ર હોય. “હમ તો અપનકી સ્ટાઈલમેં હી રહેંગે”. રાજકપુરભાઈ પ્રેમ કરવામાં બહુ પાવરધા છે. પણીમનું પાત્ર એવું રહેતું કે તેઓશ્રી પોતાને દયાજનક સ્થિતિમાં મુકે એટલે તમારે તેમની દયા ખાવાની. “બિચારા ને કેવું થયું … હેં ?”.
આમ તો મોટાભાગના હિરોને ગામડીયાનું પાત્ર વધુ શોભે એવું હોય છે. “જાગતે રહો” માં રાજકપુરભાઈનું પાત્ર રાજકપુરભાઈને અનુરુપ હતું એટલે, અને કથાનક તેમજ દિગદર્શનને કારણે આ ફિલમ પાછળથી સુપર હીટ ગયેલ. જો કે શરુઆતના સમયમાં રાજકપુર ભાઈને “જાગતે રહો” પસંદ પડ્યું ન હતું. તેમનો ફિલમ ઉતાર્યા પછીનો પ્રતિભાવ એ હતો કે “ઇસમેં તો મૈં દિખાઈ હી નહીં દેતા હૂં”. આ રાજકપુરભાઈને તમે રાજાનું પાત્ર ન આપી શકો. તેઓશ્રી લે પણ નહીં. પણ “વાલ્મિકી” ફિલમમાં તેઓશ્રી નારદ મુનિ બનેલા. કદાચ પૃથ્વિરાજ કપુરને કારણે હશે. કારણ કે પૃથ્વિરાજ કપુરભાઈ વાલીયો લુંટારો બનેલ. અને નારદ મુનિએ ફક્ત એમ જ બોલવાનું હતું કે “રામકા નામ લો”. જો કે નારદ મુનિના રોલમાં રાજકપુરભાઈને (વિનોદ ટોકિઝ મોચીબજાર રાજકોટ ૧૯૫૦) જોઇને ઓડીયન્સે દાંતે દાંત કાઢેલા (પ્રેક્ષકો હસેલા).
દેવાનંદભાઈ અને કિશોરકુમારભાઈ પ્રેમી અને નટખટ હતા. દેવાનંદભાઈ “ઈવ-ટીઝર” વધુ હતા. જો કે કિશોરભાઈ પાછા પડે તેમ ન હતા. પણ બહેનોમાં દેવાનંદભાઈ વધુ પ્રિય હતા. “કાનુડો કવરાવે, ગોકુળીયામાં કાનુડો કવરાવે”. કાનુડો કવરાવે, તો પણ ગોપીઓને કાનુડો ગમતો હતો.
મધુબાલાબહેન, શ્રીદેવીબહેન, ટુનટુનબહેન, મનોરમાબહેન (જો કે છેલ્લાં બે બહેનો માટે તો નટખટ હોવું જરુરી હતું તે ક્ષમ્ય પણ છે) બધાં પ્રેમી હોવા ઉપરાંત નટખટ હતાં. રોમાંચકતા ઉપરાંત થોડું નટખટપણું પણ જોઇએ જ ને !! ઘણી બધી હિરી બહેનો ઈવ-ટીઝીંગ પસંદ કરતી.
ત્રણ મંકીઓ
૧૯૬૫ સુધીનો જમાનો ઉપરોક્ત અલગ અલગ પ્રકારમાં આવતા ત્રણ મંકીઓનો હતો. આ ત્રણેય મંકીઓ, ઓછા વધતા પ્રમાણમાં મંકીઓની જેમ કુદતા હતા. મંકીઓ એટલા માટે કે માણસ વાંદરામાંથી ઉતરી આવ્યો છે એમ કહેવાય છે. તો આ ત્રણેમાં સૌથી છેલ્લે દિલીપકુમારભાઈ મંકીમાંથી માણસભાઈ બન્યા હશે તેવું તેમના દેખાવ ઉપરથી લાગે છે.
જો આની સાબિતી જોઈતી હોય તો ઇન્સાનીયતમાં એક મંકી પણ અભિનેતા હતો. અને આપણા દિલીપકુમારભાઈને દિગદર્શકભાઈએ મેકઅપ વગર જ પ્રસ્તૂત કરેલા. દિલીપકુમારભાઈ અને તે સાચુકલા મંકીભાઈ વચ્ચે ખાસ ફેર જણાતો ન હતો. બાબુરાવ પટેલે કહેલું કે એ સાચુકલા મંકીભાઈનો અભિનય સારો હતો. જો કે આતો વ્યક્તિગત અભિપ્રાયનો સવાલ છે.
આ દિલીપકુમારભાઈના પાત્ર વિષે એવું કહેવાય છે કે ફિલમમાં હિરોઈનોને આ દિલીપકુમારભાઈના સદગુણોને હિસાબે કે કોઈપણ અગમ્ય કારણસર દિલીપકુમારભાઈની પાછળ મરતી બતાવવામાં આવતી હોય છે. “મરતી” એટલે કે સામેથી તેમની પાછળ પડતી હોય છે એટલે કે પ્રેમમાં પડતી હોય છે. વાસ્તવમાં દિલીપકુમારભાઈ વિષે એમ કહી શકાય કે જો તેઓશ્રી હિરાભાઈ ન હોય તો બહેનોની (સ્ત્રીઓની), તેમની પાછળ પડવાની શક્યતા નહીવત હોય છે. પણ દિલીપકુમારભાઈની એવી ઈચ્છા રહેતી હશે કે છોકરીઓ એમની પાછળ પડે. એટલે તેઓશ્રી તેમની સમકક્ષ દેખાવવાળા ભાઈઓનો આત્મવિશ્વાસ વધારવા તેમને એવો સંદેશો આપવા માગતા હશે કે “હે યુવાભાઈઓ તમે ધૈર્ય રાખો જેમ મારી પાછળ પડવાળી સ્ત્રીઓ છે તેમ તમારી પાછળ પડવાવાળી સ્ત્રીઓ પણ તમને મળી રહેશે. ‘ઈવ ટીઝર કે કાનુડો’ બનવાની ઉતાવળ કરતા નહીં. એવું કરવા જશો તો કદાચ ‘લેનેકા દેના પડ જાયેગા’ યા તો ‘આ બૈલ મુઝે માર’ જેવું થાય.”
આ ત્રણે મંકીભાઈઓમાં દિલીપકુમારભાઈ દેખાવમાં સુંદર ન કહેવાય એવા હતા. જો કે અત્યારના શાહરુખભાઈ ઉર્ફે દાઉદભાઈએ કરેલા નામાભિધાન પ્રમાણે “હક્કલો (ઉર્ફે હક્કલાભાઈ)” ની સરખામણીમાં તો દિલીપભાઈ સ્વરુપવાનમાં જ ખપે. પણ તે વખતે દાઉદભાઈનો ઉદય થયો નહતો. તેથી દિલીપભાઈ જોખમ લેવા તૈયાર ન હતા.
રાજકપુરભાઈ દિલીપકુમાર ભાઈ કરતાં વહેલા મંકીમાંથી માણસ થયા હશે. તેઓ બરસાત પછીની ફિલમોમાં થોડી કુદાકુદ કરતા હતા. પણ તેમનો થીમ (તેમની ફિલમોનો થીમ) એવો રહેતો કે તેઓ સાચા પ્રેમી રહેતા. હિરીબહેનો પણ તેમની પ્રત્યે મનમાં અને મનમાં કરુણાભાવ રાખતી. પણ કોઈ અવનવા કારણોસર રાજકપુરભાઈને છોડીને આ હિરીબહેનોને જતા રહેવું પડતું. વાંધો નહીં. આ સમય અંતર્ગત રાજકપુરભાઈ ભરપૂર મજા કરી લેતા.
દેવાનંદભાઈ તેમના દેખાવને લક્ષ્યમાં લેઈએ તો આ ત્રણેમાં સૌ પ્રથમ મનુષ્ય બન્યા હશે. “મદન” એ તેમનું પ્રિય નામ હતું. પણ અમારે ભાવનગરમાં મદન એટલે “અડબંગ” એવો અર્થ થતો. એટલે જ્યારે દેવાનંદભાઈને સામેનું પાત્ર પૂછે કે “તેરા નામ ક્યા હૈ” અને દેવાનંદભાઈ જવાબમાં બોલે “મદન”, ત્યારે ઓડીયન્સ દાંતે દાંત કાઢે.
દેવાનંદભાઈનું પાત્ર અપવાદ વગર “કાનુડો કવરાવે” પ્રકારનું રહેતું. ભારતની બહેનોમાં તેઓ પ્રિય રહેતા.
આ ત્રણેયમાંથી કોઈએ પણ પોતાની ખ્યાતિની રોકડી કરી ન હતી. દેવાનંદભાઈએ કટોકટીનો વિરોધ કરેલો. પણ તે વાતનો પ્રચાર કર્યો ન હતો. રાજકપુરભાઈના પિતાશ્રી ચૂસ્ત કોંગ્રેસી હતા. પણ રાજકપુરભાઈ મૌન રહેલ. દિલીપકુમારભાઈ વિષે જાણવા મળ્યું નથી. પણ ભૂગર્ભની દુનિયા (અંડરવર્લ્ડ) સાથે તેમના સંબંધ હતા તેવી અફવાઓ હતી.
૧૯૬૫ પછી અવનવા હિરાભાઈઓ પટમાં આવેલા.
રોકડીનો ધંધો ચાલુ થયેલ
શમ્મીકપુર ભાઈ, સુનીલ દત્તભાઈ, ધર્મેન્દ્રભાઈ, રાજેન્દ્રકુમારભાઈ, રાજેશ ખન્નાભાઈ, સંજીવકુમારભાઈ, વિનોદ ખન્નાભાઈ, શીશી કપુર ભાઈ, રીશીકપુરભાઈ, ગોવિંદાભાઈ, જીતેન્દ્રભાઈ અને જેમ દાઉદભાઈનું વર્ચસ્વ વધ્યું તેમ ત્રણ ખાનભાઈઓ આવ્યા. જોકે આ ત્રણ ખાનભાઈઓ સિવાય પણ કેટાલાક ખાનભાઈઓ ફિલમમાં હિરાભાઈ તરીકે હતા. પણ અભિનય કળામાં એ ખાનભાઈઓને અન્યના સહારાની જરુર ન હતી. તેના કારણો પણ હતા. પણ સાંપ્રતકાલીન ત્રણ ખાનભાઈઓના અભિનયની કક્ષા જોતાં દાઉદભાઈના હસ્તક્ષેપની શંકા જાય છે.
એક બાબલાને મેં પૂછ્યું કે તેને કયો હિરો ગમે? તો તેણે કહ્યું શાહિદ કપુર. મેં પૂછ્યું શા માટે? તો તેણે કહ્યું તે ડેન્સ બહુ સરસ કરે છે. જો કે અત્યારના ત્રણે ખાનભાઈઓ, રીતિક રોશનભાઈ, ગોવિંદાભાઈ, વિગેરે સૌને તેમજ બધી જ હિરી બહેનોને ડૅન્સનો રોગ લાગુ પડ્યો છે. આ ચેપ મલયાલમી ફિલમના હિરો-હિરોઇનમાંથી ઉતરી આવ્યો હોય તેમ લાગે છે. કારણ કે ૬૦ના દશકામાં મલયાલમી હિરો-હિરોઇનો સરખા સરખા (એક તાલમાં એક દિશામાં હાથ પગ ઉછળતા હતા) આમ તો જોકે હિન્દી ફિલમોમાં હિરાભાઈઓ દ્વારા ડાન્સનો શિલાન્યાસ તો ભગવાનભાઈએ કરેલ. પણ તેમને તે વખતે ખ્યાલ નહીં હોય કે ભવિષ્યમાં તેમનો ડાન્સ, કોક-શાસ્ત્રના વ્યાયામ જેવી કસરતોના દાવોમાં પરિવર્તિત થઈ જશે.
પહેલાનાં વખતમાં હિરોઈનબહેનો તેમના ડાન્સ, હાથની ભંગિમાઓ દ્વારા વ્યક્ત કર્યા કરતી. હિરાભાઈ ટહેલતા ટહેલતા રહેતા ગાતા રહેતા હતા.
સુનીલ દત્તભાઇ અને શમ્મીકપુર ભાઈએ તેમની ખ્યાતિને રોકડી કરી ન હતી. શશિકપુર ભાઈએ પણ રોકડી કરી ન હતી.
પણ આ રોકડી એટલે શું?
ખ્યાતિ મળી છે તો તેને હવે રોકડમાં પરિવર્તિત કરો. કારણ કે ખ્યાતિ એ જ્ઞાન જેવી વસ્તુ છે. જેમ વેચતા જાઓ તેમ અમુક સમય સુધી તે ઘટે પણ નહીં. જીવન જરુરીયાતની અમુક બ્રાન્ડની વસ્તુઓના વેચાણની જાહેરાતોમાં કામ કરો.
વૃદ્ધ થઈ ગયા છો? શું તમને કોઈ ફિલમમાં અભિનયનો પ્રસ્તાવ મુકતું નથી? કે જે કંઈ મળે છે તેમાંથી રોટલા નિકળતા નથી? તમને કોઈ ફિલમમાં બ્રેક આપવાને બદલે બ્રેક કરી દીધા છે. તો જાહેરાતો કરવા માટે તૈયાર થઈ જાઓ. રોટલા માટે તો બધું જ કરવું કરવું પડે. તેમાં કોઈ વાંધો લઈ પણ ન શકે.
પણ જ્યારે આ હિરાભાઈઓ અને હિરી બહેનો રાજકારણમાં પડીને મત મેળવવામાં પોતાની ખ્યાતિને રોકડી કરે ત્યારે અનેક પ્રશ્નો ઉભા થાય છે.
એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે જ્યારે હિરાભાઈઓ અને હિરીબહેનોનો સૂર્ય જ્યારે તપતો હોય ત્યારે તેઓ ખ્યાતિને રોકડી કરવાની પળોજણમાં પડતા નથી. કારણકે મતદારોનો અમુક ભાગ અમુક પક્ષને માટે પ્રતિબદ્ધ હોય છે. અને અથવા અમુક પક્ષ/પક્ષોનો વિરોધી હોય છે. એટલે આમાં તેમને ફિલમ માટે દર્શક વર્ગ ગુમાવવાનો ભય હોય છે. જેમકે એક હિરાભાઈએ “અસહિષ્ણુતા”ના વિષયમાં પરોક્ષ રીતે એક રાજકીય જુથને સહાય કરવાનો પ્રયત્ન કર્યો તો તેમની તે પછીની ફિલમ લગભગ નિસ્ફળ ગઈ. જો કે આ ખાનબંધુએ કચ્છમાં કે રાજસ્થાનમાં પ્રતિબંધિત પ્રાણીને શેકીને ખાવાની લાલચ રોકી શક્યા ન હતા. બીજા એક હિરાભાઈએ પણ આવું કરેલ. દારુ પીને એક એકસ્માત પણ કરેલ. પણ નરેન્દ્રમોદીના ભાઈબંધ થઈ ગયેલ એટલે તેમને બહુ ઘાટો ન થયેલ. વળી તેઓ અડધા પડધા હિન્દુ હતા તે નફામાં. ફિલમમાં કામકરતા આ ખાનબંધુઓ કે બીજા કોઈ પણ ભલે પૂનાની અભિનય સંસ્થામાં ભણ્યા હોય પણ ભરતમૂનિના નાટ્યશાસ્ત્રના નિયમોથી અજાણ હોય છે. વળી આપણું ભારતીય બંધારણ પણ ભરતમૂનિના નાટ્ય શાસ્ત્રના નિયમોને લાગુકરવામાં માનતું નથી. તેથી આપણી ફિલમોમાં મૃતદેહ બતાવવામાં આવે છે. તેને બળતો બતાવવામાં આવે છે. ભોજન બતાવવામાં આવે છે. માણસોને જમતા બતાવવામાં આવે છે. પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતના અર્થવાળા બિભત્સ સંવાદો અને ક્રિયાઓ બતાવવામાં આવે છે. ભગવાનના પાત્રને અપમાનિત થતું બતાવવામાં આવે છે.
આ ત્રણે ખાનબંધુઓ વાર્ધ્યક્યની સીમા ની નજીક પહોંચી ગયા છે પણ તેમનો સૂર્ય તપે છે. કારણ કે શરીર, ત્વચા, કેશ વિગેરેના પ્રસાધનોમાં બહુ પ્રગતિ થઈ છે.
રાજેન્દ્રકુમારભાઈએ નહેરુવીયન કોંગ્રેસમાં જોડાઈને પોતાની ખ્યાતિને રોકડી કરી લેવાનો પ્રયત્ન કરેલ. પણ તેમણે ભૂલ એ કરેલ કે તેમણે ગુજરાત પસંદ કરેલ અને તેમાં પણ અમદાવાદ. એટલે તેમને “ઉલ્ટે મૂંહકી ખાની પડી”. અમદાવાદ આમેય બીન નહેરુવીયન કોંગ્રેસીઓનો ગઢ છે. જો કે બધાની આવી દશા થતી નથી. દક્ષિણ ભારતમાં તો ખાસ નહીં. મુંબઈમાં પણ ગોવિંદાભાઈ, સુનીલદત્તભાઈ જીતી ગયા હતા.
આપણા અમિતાભ ભાઈ પણ પોતાના પિતાશ્રીના હિસાબે નહેરુવીયન કોંગ્રેસના રવાડે ચડેલા. પિતાશ્રીના હિસાબે એટલા માટે કે ઇન્દિરા ગાંધીની કટોકટીને તેમણે સમર્થન કર્યું હતું. અમિતાભભાઈ સવેળા ખત્તા ખાઈ નહેરુવીયન કોંગ્રેસની મૈત્રીમાં થી ફારેગ થઈ ગયા હતા, અને તેમણે મફતમાં ગુજરાતના પ્રર્યટન માટે બ્રાંડ એમ્બેસેડર થઈ પાપ ધોઈ નાખ્યું એવો સંદેશો આપ્યો.
અનુપમ ભાઈ સારા એક્ટર છે. પણ તેમણે કશ્મિરી હિન્દુઓના માનવાધિકાર હનન ઉપર આક્રોષ વ્યક્ત કર્યો એટલે કેટલાક બની બેઠેલા દંભી ધર્મનિરપેક્ષીઓને (જેઓને તાર્કિક રીતે કોમવાદી જ ગણી શકાય) પેટમાં દુખાવો ઉપડ્યો. જો કે પોતાની ખ્યાતિને કાશ્મિરી હિન્દુઓના હિત માટે વપરાતી હોય તો કશું ખોટું નથી.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ હિરાભાઈઓ, હિરીબહેનો, અભિનયકળા, ફિલમ, વાર્ધક્ય, આ જન્મ હિરો, વૈવિધ્યતા, ભગવાનદાસ, રોકડી, જાહેરાતો, બ્રાન્ડ, પ્રતિબદ્ધ, કટોકટી, દાઉદ
ફિલ્મી જગતની અવનવી વાતો પર આ લેખમાં સરસ પ્રકાશ ફેંક્યો છે અને નવી દ્રષ્ટિથી
વિગતોની છણાવટ કરી છે એ રસસ્પદ છે.
LikeLike
Thank you Vinodbhai
LikeLike