અમે ઑદાઓ આવા … ભાગ – ૨
ગયા પ્રકરણમાં અમુક વાતો રહી ગઈ હતી અને કેટલાક મિત્રોએ કેટલીક ચોખવટ માગી એટલે ભાગ – ૨ લખવાનું મન થયું.
ભવસુખ ભાઈએ કહ્યું કે “ઑદા” શબ્દ કાઠીયાવાડમાં પ્રચલિત નથી. પણ જોકે સુરેશભાઈ જાનીએ “ઑદા, કૉદા અને આખલા” એવો શબ્દ પ્રયોગ કર્યો છે. એટલે ગુજરાતમાં તો “ઑદા” શબ્દ પ્રચલિત હશે જ.
જો કે મને ત્યારે ખબર પડી કે જ્યારે અમે બ્રાહ્મણોની વાતો કરતા હતા ત્યારે મેં પૂછ્યું કે જેમ ઔદિચ્ય બ્રાહ્મણો, બીજા બ્રાહ્મણોની વિષે નિંદારસનું પાન કરીએ છીએ તેમ બીજા બ્રાહ્મણો પણ આપણી વિષે કંઈક તો કહેતા જ હશે. એટલે મારા પિતાશ્રીએ કહ્યું કે હા તેઓ અંદર અંદર આપણને “ઑદા … ઑદા … કહ્યા કરે”
જોકે ભવસુખભાઈની વાત સાચી છે. બધા શબ્દો બધે પ્રચલિત હોતા નથી. કેટલીક વખત કોઈ એક શબ્દ પ્રયોગ અમુક જુથ કે કોમ્યુનીટીમાં કે ગામમાં પૂરતો જ પ્રચલિત હોય છે.
જેમ કે “ડૂંગરે જવું”
અમારે લુણાવાડામાં ઔદિચ્યોના ૫૦૦ ઘર એટલે આમ તો ઘણા કહેવાય. કારણ કે લુણાવાડાની વસ્તી જ માંડ ૧૫૦૦૦ હતી. એટલે કે ૩૦૦૦ ઘર કે તેનાથી પણ ઓછાં ઘર. તેમાં ૫૦૦ ઘર ઑદાઓના. એટલે લગભગ સત્તર થી વીસ ટકા થયા. વસ્તીમાં ૨૦ ટકા મુસલમાનો પણ આવી જાય. એટલે હિન્દુઓમાં તો ઑદાઓ લગભગ ૩૦ટકા થઈ જાય.
ઔદિચવાડ કોને કહેવો?
હાટાના કૂવાથી ઠાકોરવાડની હદ સુધી ઔદિચ્યો રહે.
તેવી જરીતે ચૌટાચોકના હાટાના કૂવાથી ઘેલીમાતાના કૂવા સુધીના રાજમાર્ગ ઉપર પણ ઔદિચ્યો રહે. પોલીસ સ્ટેશન થી ડુંગરાભીંત વિસ્તાર અને અંદરની ગલીઓમાં પણ ઔદિચ્યો રહે. લુહાર કોઢ અને સોનીવાડમાં છૂટક છૂટક ઔદિચ્યો રહે તે જુદા. ડુંગરાભીંત વાળા પોતાના વિસ્તારને ઔદિચવાડ કહે. તેઓ મળોત્સર્જનની ક્રિયા કરવા ડુંગરે જાય એટલે જો તેમનું કોઈ સંડાસ કરવા ગયું હોય તો એમ કહે કે “ડુંગરે ગયા છે.”
એક બીજો એવો શબ્દ છે “પોપો”
આ શબ્દ સ્પેનીસ છે. તેનો અર્થ મળ કે મળ ઉત્સર્જનની ક્રિયા એમ થાય છે. મારી ડોટરની મેઈડ સર્વન્ટ કે જે સ્પેનીસ હતી તે આ શબ્દ વાપરતી. શબ્દ ગમી જવાથી અમે બધાએ તેને વપરાશમાં સ્વિકારી લીધો છે. મારે પોપો પ્રોબ્લેમ છે. રોજ ત્રીફળા લેવી પડે છે. પુરુષોમાં અમુક ઉંમર પછી પોપો પ્રોબ્લેમ કોમન હોય છે. તમને પોપો પ્રોબ્લેમ છે? ઇત્યાદિ. (સંડાસ જવા માટે ગુજરાતીમાં આશરે ૧૫ થી વીસ શબ્દો છે.)
ઓગણીશની સદીના અંત સુધી ઔદિચ્યોમાં સંસ્કૃતનું મહત્વ ઠીક ઠીક રહ્યું. ઓગણીશમી સદીના ઉત્તરાર્ધથી બેન્ટીકની શિક્ષણ પ્રથા ઠીક ઠીક રીતે ગુજરાતમાં અમલમાં આવવા માંડી.
રાવલોમાં જેઓ ભારદ્વાજ હતા તેઓ સુધારાવાદી હતા. તેમણે બહેનોને પણ મધ્યમ કક્ષાનું શિક્ષણ આપવા માંડ્યું અને બહેનો પણ નોકરી કરતી થઈ. ભાર્ગવોમાં બેનો ભણતી ખરી પણ નોકરી કરતી ન હતી. જે કન્યાઓ ભારદ્વાજને પરણતી તેમને પણ તેઓ નોકરી કરવાની છૂટ આપતા. નોકરી એટલે શિક્ષકાની નોકરી એમ સમજવું. વિદ્યારામ રાવલ જેઓશ્રી હિરાલાલના પિતાશ્રી હતા તે એક મોટા લેખક ગણાતા. તેમના પુત્ર વધુ કૃષ્ણાગૌરીએ ગુજરાતી ભાષાની સર્વ પ્રથમ નવલકથા “મહેન્દ્રકુમારી” લખેલી”. કૃષ્ણાગૌરીએ લગ્ન થયા પછી અમદાવાદમાં પ્રાઈમરી ટીચર્સ ટ્રેનીંગ કોલેજમાં જુનીયર કોલેજ કરેલી.
દવે અને ત્રીવેદી આ બધું શું છે?
અટકોને ગોત્ર સાથે સંબંધ નથી. ઘણા લોકો એવું માને છે કે જેઓ જેટલા વેદ જાણતા હોય તેની સંખ્યા પ્રમાણે તેમની અટકો હોય છે. પણ આ વાત બરાબર નથી એમ મારા પિતાશ્રી કહેતા હતા.
વેદ તો એક જ છે. તે વેદ ઋગવેદ છે. ઋગવેદમાં જે યજ્ઞના શ્લોકો હતા તેને છૂટા પાડ્યા તેને યજુર્વેદ નામ આપ્યું. જે ગાઈ શકાય તેવા શ્લોકો હતા તેને સામવેદ નામ આપવામાં આવ્યુ. આમ ત્રણ વેદ છે. અથર્વ વેદ, આયુર્વેદ, ધનુર્વેદ … એ બધા વેદોમાં આવતા નથી.
દવે નો અર્થ દ્વિવેદી થાય છે. દ્વિવેદી એટલે દ્વિ વેત્તી એટલે કે જે અદ્વૈત અને દ્વૈતનો ભેદ જાણે છે અને તેમાં માને છે તે દ્વિવેત્તી એટલે કે દ્વિવેદી છે. દવેનું મહારાષ્ટ્રીકરણ દવે કેવી રીતે થયું તે અમે જાણતા નથી. શક્ય છે કે ક્યારેક પેશ્વાની નોકરી હોય.
જેઓ પુરુષ, પ્રકૃત્તિ અને ઈશ્વર એમ ત્રણ મૂળભૂત તત્ત્વોમાં માને છે તે ત્રિવેત્તી એટલે કે ત્રિવેદી. જે ચાર મૂળભૂત તત્ત્વોમાં માને છે તે ચતુર્વેત્તી એટલે કે ચતુર્વેદી. જે પાંચ મૂળભૂત તત્ત્વોમાં માને છે તે પંચવેત્તી (પંચ મહાભૂત) એટલે કે પંચોળી.
અદ્વૈતમાં પ્રાણ તત્ત્વને માત્ર મૂળભૂત તત્ત્વ માનવામાં આવે છે. આ મૂળભૂત તત્ત્વની અનુભૂતિ તે માયા (ગુણધર્મ) છે. એટલે પદાર્થની અનુભૂતિ તેના ગુણને લીધે થાય છે. એટલે કે પદાર્થ ને ગુણમાં (શક્તિ આકર્ષણ) ભેદ નથી. સુક્ષ્માતિસુક્ષ્મ વિશ્વમાં જોઇએ તો પદાર્થ શું છે તે જાણી શકાતું નથી. શંકરાચાર્યની આ માન્યતા આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદને મળતી આવે છે.
શંકરાચાર્ય અને બૌદ્ધ પંડિતો વચ્ચે એક શાસ્ત્રાર્થ આમ થયેલ.
બૌદ્ધ; “ બ્રાહ્મણ કોણ?”
શંકરાચાર્ય; જેનામાં આ ત્રણ ગુણ હોય તે બ્રાહ્મણ. (૧) તે જન્મે બ્રાહ્મણ હોવો જોઇએ (૨) તે વિદ્વાન હોવો જોઈએ (૩) તે શુદ્ધ અને નીતિમાન હોવો જોઇએ
બૌદ્ધ; ધારો કે તેનામાં આમાંથી એક ગુણ ઓછો હોય તો શું તેને બ્રાહ્મણ કહી શકાય?
શંકરાચાર્ય; હા તે જન્મે બ્રાહ્મણ ન હોય, પણ જો તે વિદ્વાન અને શુદ્ધ-નીતિમાન હોય તો પણ તેને બ્રાહ્મણ કહી શકાય.
બૌદ્ધ; ધારો કે તેનામાં આ બે ગુણોમાં થી એક ન હોય તો પણ તેને બ્રાહ્મણ કહી શકાય ખરો?
શંકરાચાર્ય; હા જો તે વિદ્વાન ન હોય પણ શુદ્ધ અને નીતિમાન હોય તો પણ તેને બ્રાહ્મણ કહી શકાય.
બૌદ્ધ; ધારો કે કોઈ વ્યક્તિ શુદ્ધ ન હોય તો પણ નીતિમાન હોય તો તેને બ્રાહ્મણ કહી શકાય ખરો?
શંકરાચાર્યઃ શુદ્ધતા અને નીતિમત્તા સાથે જ જાય છે. તે ભીન્ન નથી. તે બંને એક જ છે. અને શુદ્ધતા નીતિમત્તાની અંતર્ગત જ આવે છે. અને નીતિમત્તા વગરનો વ્યક્તિ બ્રાહ્મણ ન કહી શકાય.
બૌદ્ધ; તો તો પછી દરેક વ્યક્તિએ બ્રાહ્મણ જ થવું જોઇએ.
શંકરાચાર્યઃ મનુષ્યની ગતિ બ્રાહ્મણત્ત્વ તરફની હોવી જોઇએ. ઈશ્વરની ઈચ્છા આમ જ છે.
બૌદ્ધ; દાખલો આપશો?
શંકરાચાર્યઃ વ્યક્તિ જન્મે છે ત્યારે તે શુદ્ર હોય છે. જેમ તે મોટો થાય તેમ તેને “આ વસ્તુ મારી છે આ વસ્તુ મારી છે ..” એવું વર્તન કરે છે અને સંચય કરે છે. આ વૈશ્ય છે. જેમ તે મોટો થાય તેમ તેને સમજાય છે કે જેમ મારો હક્ક છે તેમ બીજાનો પણ હક્ક છે, તેથી તે બીજાના હક્કની પણ રક્ષા કરે છે. તે ક્ષત્રીય છે. વ્યક્તિ જેમ જેમ વધુને વધુ જ્ઞાન મેળવતો જાય ત્યારે તેને જ્ઞાન થાય છે કે આ આખું વિશ્વનું બધું ઈશ્વરમય છે ત્યારે તે શુદ્ધ અને નીતિમાન બને છે. અને તે બ્રાહ્મણ છે. ઈશ્વર એવું ઈચ્છે છે કે બધા બ્રાહ્મણ બને.
બૌદ્ધ; તમે તો એવી વાત કરો છે કે “એક માણસને તીર વાગ્યું અને તમે તે તીર ક્યાં કેવી રીતે વાગ્યું? કઈ દિશામાંથી આવ્યું? કોણે તીર ચલાવ્યુ? શા માટે તીર ચલાવ્યુ? જો તમે આવું કરશો તો જેને તીર વાગ્યું છે તે તો બિચારો મરી જશે. અમે તો એમ કહીએ છીએ કે આ બધું છોડો, જેને તીર વાગ્યું છે તેની સારવાર કરો.
શંકરાચાર્ય; સારવાર કરવી તે પણ જ્ઞાનનો હિસ્સો છે. અમે સારવારની મનાઈ કરતા નથી. પણ જો તમે તીર વિષે તપાસ નહીં કરો તો તીર ફરીથી આવશે. માટે જ્ઞાનમાર્ગ એ ઉત્તમ માર્ગ છે.
ઈતિ.
————————————-
જો આમ જ હોય તો પછી જ્ઞાતિઓ કઈ?
માણસમાં ફક્ત બે જ ભેદ છે. મનુષ્ય અને રાક્ષસ.
જે પોતાના કર્મ, વિશ્વ શાંતિ માટે કરે છે એટલે કે વિશ્વ હિત માટે કરે છે તે માણસ છે. જે વ્યક્તિ સ્વાર્થ માટે કર્મ કરે છે તે રાક્ષસ છે.
રાક્ષસ એક વિશેષણ છે.
રાક્ષસો પણ યજ્ઞ કરતા હતા. અને માનવો પણ યજ્ઞ કરતા હતા. પણ માનવો વ્યાપક હિતમાં યજ્ઞો કરતા હતા જ્યારે રાક્ષસો સ્વહિત માટે યજ્ઞો કરતા હતા.
યોગઃ કર્મષુ કૌશલમ્. તમે કુશળતા પૂર્વક કામ કરો તે યોગ, યજ્ઞ છે.
આ તો બધી ગનાનની વાતો થઈ,
અમે બ્રાહ્મણો પ્લાનીંગ કરીએ પણ ઉંધેથી શરુઆત કરીએ.
એટલે કે જો એક લાખ રુપીયા મેળવવાનું પ્લાનીંગ કરવાનું હોય તો અમે એક લાખ રુપીયા મળી ગયા પછી તેને કેવી રીતે વાપરશું તેનું પ્લાનીંગ કરવા માંડીએ. અને આ વિચારો જ એટલા લાંબા ચાલે કે રકમ બદલાયા કરે અને અમારો ભગવાન સાથે વાતો કરવાનો સમય આવી જાય.
અમારે વિષે એક કથા છે કે કોઈએ લક્ષ્મીજીને પૂછ્યું કે તમે બ્રાહ્મણને ઘરે કેમ ઓછા પ્રમાણમાં હો છો?
લક્ષ્મીજીએ કહ્યુ; એક બ્રાહ્મણ હતો તેણે મારા ધણીને લાત મારી. (ભૃગુ ઋષિએ વિષ્ણુ ભગવાનને લાત મારેલી એમ કહેવાય છે), બીજું એ કે આ બ્રાહ્મણો મારી શોક્યને (સરસ્વતીને) સતત તેમની જીભ ઉપર રાખે છે. વળી આ બ્રાહ્મણો મારા ઘરને તોડી તોડીને ઉમાપતિને ચડાવે છે. (કમળ જે લક્ષ્મીનું ઘર ગણાય છે તેને તોડીને ઉમાપતિ એટલે શિવજીને ચડાવે છે). તો હું તેમને ઘરે કેવી રીતે જાઉં? (આ તો ઠીક છે કે શંકર ભગવાનની આંખોની શરમને લીધે તેમને ખાધે પીધે સુખી રાખું છું).
આમ તો અમે કહીએ “એ આમંત્રણ આપશે તો વળી જઈશું. નહીં તો એ મોચીને ત્યાં જમવા જ કોણ જાય છે.” એટલે કે જો આમંત્રણ આપે તો સારું છે. ન આપે તો તેને મોચી કહી દેવાનો.
લાડુ મળે તો ખાઈ લેવા. નહીં તો રોટલા અને મરચામાં પણ ખુશ રહેવું. એકાદી સરસ્વતી સંભળાવીને વાત ભૂલી જવી.
નાગરો પાસે પણ જો થોડા ઘણા પૈસા આવી ગયા હોય તો તેઓ આરામથી હિંડોળે બેસીને જીંદગી પસાર કરે. આ વાત મને એક નાગરે જ કરી હતી. અને એ વિગત પણ આપી હતી કે ફલાણા ફલાણાઓ એ આખી જીંદગી ખાઈ પીને હિંડોળે બેસીને જ પસાર કરેલી.
અમે ઑદાઓ ટેટાનો બેટો પણ કરીએ.
બીરબલ ઑદો હતો. આમ તો તુલસીદાસ પણ ઑદા હતા. પણ એમની વાત નહીં કરીએ. બીરબલની વાત કરીશું.
બીરબલે કહ્યું કે તમે મહિલાઓને શાંત બેસાડી ન શકો. અકબરે બધી મહિલાઓને એવી આજ્ઞા સાથે બોલાવી કે કોઈએ કશું બોલવું નહીં.
બધી મહિલાઓને એક વિશાળ વડના ઝાડ નીચે બેસાડી. અકબરની રાણી પણ ઝાડ નીચે બેઠી. બધી મહિલાઓ અંદર અંદર ઈશારાઓથી પૂછ્યા કરે કે કેમ બોલાવી છે ….. કેમ બોલાવી છે.. ??? કારણ કે બોલવાની તો બંધી હતી. દૂર બેઠેલી મહિલા પાસે ટેટો પડ્યો. આજુ બાજુ બેઠેલી મહિલાઓને ખબર નહીં કે શું થયું અને શેનો અવાજ આવ્યો. તેમાંની એકથી ન રહેવાયું તેણે હાથના ઈશારાથી પૂછ્યું શું થયું? પેલીએ કહ્યું “ટેટો”. હવે આ પૂછપરછ આગળ ચાલી અને ટેટાનો બેટો ક્યારે થઈ ગયો ખબર ન પડી. બોલવાની બંધી પણ બેટો … બેટો થઈ રહ્યું. બોલવાની બંધીમાં “રાણીનો બેટો ફાટી પડ્યો એવી સમજણ થઈ.” એક મહિલાથી ડૂસકું ભરાઈ ગયું. પછી બીજી મહિલાઓ કંઈ થોડી ઝાલી રહે? ભેંકડાઓ ચાલુ થઈ ગયા.
———————
મારા દાદા દત્તાત્રેયના ભક્ત હતા.
અમારા ઘરમાં દત્તાત્રેય ની એક મૂર્તિ. એ વિષે એક એવી કથા મારા મોસાળમાં પ્રવર્તે કે મારા દાદાને દત્તાત્રેય ભગવાન સ્વપ્નમાં આવેલ. અને તેમને કહ્યું કે હે વત્સ હું ફલાણા કૂવામાં છું. તું મને બહાર કાઢ. મારા દાદાએ શરુઆતમાં દાદ ન આપી. પણ ત્રણચાર વાર એજ સ્વપ્ન આવ્યા કર્યું એટલે તેઓ તે કૂવા પાસે ગયા. તો જોયું કે છ સાત ઈંચની પિત્તળની મૂર્તિ પાણીથી ત્રણ ઈંચ અદ્ધર તરતી હતી. મારા દાદા કૂવામાં ઉતર્યા અને મૂર્તિ લઈ લીધી અને ઘરે લાવી પાલખામાં સ્થાપિત કરી.
વાસ્ત્વમાં શું હતું? મારા દાદા શાસ્ત્રી હતા. કથા કરતા. વાણિયાઓમાં ભાગવત કથા કરતા. તેઓશ્રી આડી અવળી વાતો કરે નહીં સંસ્કૃત શ્લોક વાંચે અને પછી તેનો ગુજરાતીમાં શબ્દશઃ અર્થ કરે. તેઓ શ્રી જ્યોતિષ શાસ્ત્ર જાણતા હતા. તેથી કુંડળી પણ બનાવી આપતા. જોકે તેઓ ભવિષ્યવાણીમાં માનતા ન હતા. તે કહેતા કે કુંડળી ઉપરથી ભવિષ્ય ન કહી શકાય. આ તો જે લોકોએ ગ્રહો નક્ષત્રોના ગણિતનો અભ્યાસ કર્યો, તે ગ્રહો અને નક્ષત્રો કોઈના જન્મસમયે કેવી સ્થિતિમાં હતા તે તેઓ નોંધીને બતાવે છે. જોતિષીઓ જે ભણ્યા તેનો ઉપયોગ આમ જનતા માટે થયો. જનતાએ આ માટે કંઈક દક્ષિણા આપી. એટલે જ્યોતિષ શાસ્ત્રીએ તેમને આશિર્વાદ આપ્યા કે આવી ગ્રહો નક્ષત્રોની સ્થિતિમાં જન્મેલાઓનું ભવિષ્ય આવું બન્યું તેથી તમારું પણ એવું ઉજ્વળ ભવિષ્ય થજો.
આવા અમારા દાદા કોઈ વાણિયાને ઘરે કોઈ પારાયણ માટે ગયેલા ત્યારે તેમણે તેના બાબલાંઓને કોઈ મૂર્ત્તિથી રમતા જોયા. તેમણે તે જોયું કે તે મૂર્ત્તિ દત્તત્રેયની હતી. તેમણે વાણિયા પાસે માગી. વાણિયાએ આપી દીધી. મારા દાદાએ તેને પૂજામાં મુકી. વાત આમ હતી.
મારા મોસાળમાં દંતકથા કેવી રીતે બની તે સંશોધનનો વિષય છે.
મૂળરાજને ગણપતિ પ્રસન્ન થયા તે વાત પણ કંઈક આવી જ છે. ગણપતિ નહીં પણ તે મંદિરનો મહંત હશે. ગણપતિની જેમ શરીરે સુખી હશે.
—————————–
નાગરો પણ કંઈ અમારાથી કમ નથી.
અમારે રાજકોટમાં (સૌરાષ્ટ રાજ્યમાં) નાગરોથી સરકારી ઑફીસો ફાટ ફાટ થાય. એટલે અમારા ગવર્નમેન્ટ ક્વાટર્સમાં પણ ઘણા નાગરો. અમે તે વખતે પ્રાથમિક શાળામાં ભણતા હતા. એક હાઈસ્કુલના અમારા મિત્ર વિનુ માંકડની વાતો કરે. વિનુ માંકડ નાગર હતો. અને આપણો ટેસ્ટ મેચનો પ્લેયર હતો. તેણે એક વખત બ્રેડમેનને ઝીરોમાં આઉટ કરેલો.
ભાઈની સ્વમુખે કહેલી કથા કંઈક આવી હતી.
“બ્રેડમેનને કોઈ આઉટ જ ન કરી શકે. એટલે તે ત્રણ સ્ટમ્પ નહીં પણ અગીયાર સ્ટંપ રાખતો. અને સામેની ટીમોને બાવીસ બાવીસ ફીલ્ડરો રાખવાનું કહેતો. વળી આ બ્રેડમેન એક જ હાથે બેટ પકડતો અને રમતો. વળી તે ઉંધો રમતો. એટલે આમ તો એ જમણેરી બેટ્સમેન પણ એ ડાબેરી થઈને રમતો. તો પણ તેને કોઈ આઉટ કરી શકતું નહીં. એ હમેશા રીટાયર જ થતો. (એટલે કે તે સ્વેચ્છાએ બેટ છોડી દેતો).
વિનુ માંકડા આવ્યો. તેની આ પહેલી જ ટેસ્ટ મેચ હતી. તેની ઓવર પણ પહેલી જ હતી. તેણે જોયું કે અગ્યાર સ્ટંપો હતી. તેણે કહ્યું “નહીં … અગ્યાર સ્ટંપ પણ નહીં અને ત્રણ પણ નહીં, ફક્ત એક જ સ્ટંપ રાખ …. બાવીસ ફીલ્ડર નહી અને અગ્યાર ફીલ્ડર પણ નહીં. મારે એક પણ ફીલ્ડર પણ ન જોઇએ. હું એકલો જ રહીશ. ફિલ્ડર પણ હું અને બૉલર પણ હું.
બ્રેડમેને કચવાતા મને આ બધું કર્યું.
બધા તો છક થઈને જોઇ જ રહ્યા.
વિનુએ જરા પણ રનીંગ લીધું નહીં. ઉભા ઉભા જ બોલીંગ કરવા માટે તૈયાર થયો. તેણે એવો બૉલ નાખ્યો કે તે હવામાં થોડોક ઉંચે ગયો, પછી સીદ્ધો નીચે આવ્યો, ટપ પડ્યા વગર ડાબી બાજુ ગયો, બ્રેડમેન તેને લેગમાં ફટકારવા ગયો તો બૉલ ટપ પડ્યા વગર જ જમણી તરફ વળી ગયો. બ્રેડમેન થોડો મુંઝાયો ખરો કે આ બોલ ટપ પડ્યા વગર બ્રેક કેમ થાય છે? પણ ભાઈ, એ પણ મોટો બેટ્સમેન હતો. તે ઑફમાં બોલને ઉંચે ઉછાળીને હાઈ કટ મારવા ગયો, પણ બૉલ તો વળી પાછો ટપ પડ્યા વગર લેગ સાઈડમાં ગયો. બ્રેડ મેન લેગડ્રાઈવ મારવા ગયો, તો બોલે ઑફમાં ટપ મારી ને સ્ટંપને પાડી દીધી. બધાં તો મોઢામાં આંગળા નાખી ગયા. બ્રેડમેનને તો ખબર જ ન પડી કે આ શું થઈ ગયું? નાગર બચ્ચાએ બ્રેડમેન જેવા બ્રેડમેનને પહેલી ઓવરના પહેલે જ બૉલે ઝીરો રનમાં ક્લીન બૉલ્ડ કરી દીધો. બ્રેડ મેનને આ પહેલાં ૧૦૦ રનથી નીચે શું તે ખબર જ નહતી. વિનુએ તેને ઝીરો રન એટલે શું તે બતાવી દીધું.
આ પહેલાં તો આપણને નાગરોને ક્રિકેટમાં ગણતુ’તું કોણ?
અમારે ભાવનગરમાં નાગરો અને પ્રશ્નોરાઓ વચ્ચેની અને તેમની પોતાની ઘણી રમૂજો છે પણ તે અહીં અસ્થાને છે.
————————————–
વાહ! આ ઓદાને મજા આવી ગઈ. પોલિટિક્સકો મારો ગોલી અને આવી મસ્ત ગોલંદાજી આવવા દો.
————
તમારી જાણ સારૂ…..
અમારી અમદાવાદી ઔદિચ્યની નાતની એજ્યુકેશન સોસાયટીએ ઔદિચ્ય બ્રાહ્મણોનો સ્મરણ ગ્રંથ બનાવવાનો પ્રોજેક્ટ કરેલો અને એનું લખાણ કામ મારા કાકા સ્વ. શંકરલાલ જાનીને સોંપેલું. એ તો બહુ જ અભ્યાસી જીવ એટલે એમણે છ એક મહિના સંશોધન કરીને એ ગ્રંથ બનાવેલો. કમભાગ્યે અમારી પોળના મકાનમાં ઉધાઈ લાગતાં એ નાશ પામેલો. પણ તમે ખાંખાખોળાં કરી એની એકાદ કોપી અમદાવાદમાંથી જરૂર મેળવી શકો. જો મળી જાય તો એને સ્કેન કરી ઈ-બુક બનાવી દો. નેટ ઉપર હમ્મેશ માટે એ મળી શકશે.
વીશ યુ બેસ્ટ લક.
LikeLike
બન્ને ભાગ વાંચ્યા. બહુ રસપ્રદ બન્યા. જાણવાનું પણ ઘણું મળ્યું.
LikeLike
થેંક્યુ સુરેશભાઈ અને દિપકભાઈ.તમને મારો લેખ ગમ્યો તે બદલ અને મને જણાવવા બદલ આભાર. મારી પાસે લુણાવાડાના મોહનભાઈ કોદરભાઈ દવે એ તૈયાર કરેલો એક ગ્રંથ છે. તેમણે ઘણી મહેનત કરીને ઘણી માહિતી એકઠી કરી છે. ક્યારેક તેને લાઈન ઉપર મુકીશ.
હાસ્ય લેખ તો લખતાં લખાઈ જાય.
પોલીટીક્સ તો આપદ ધર્મ તરીકે સ્વિકાર્યો છે. કારણ કે નહેરુવીયન કોંગ્રેસે દેશને પાયમાલ કરી દીધો છે. આ લેખમાં પણ નહેરુને એક ગોદો મારી દેવાની ઈચ્છા હતી. પણ પછી થયું “જવા દો ને … “
LikeLike
બ્રાહ્મણો વિશેના આપના લેખના બન્ને ભાગો વાંચવાની મજા આવી .તમે સારું રીસર્ચ કરીને રમુજી દાખલા -દલીલો સાથે બ્રાહ્મણો વિષે રમુજી શૈલીમાં માહિતી આપી છે એ વાંચવી ગમે એવી છે.તમે સારા હાસ્ય લેખક બની શકો એમ છો એમ આ લેખો વાંચ્યા પછી લાગે છે.
શંકરાચાર્ય અને બૌદ્ધ પંડિતો વચ્ચે શાસ્ત્રાર્થની વાત ગમી .
ઔદિચ્ય બ્રાહ્મણ માટે ઓદા એમ પટેલો માટે ઉતારી પાડતો શબ્દ કણબા વપરાતો હોય છે. આમાંથી પ્રેરણા લઇ કોઈ પટેલ ભાઈ કણબા પર રીસર્ચ લેખ લખે તો સારું !
LikeLike
વિનોદભાઈ મેં કશું જ રીસર્ચ કર્યું નથી. આ તો ફક્ત સંસ્મરણો છે. રમૂજી સંસ્મરણો પણ બીજાં ઘણા બધાં છે. પણ બધાને તો બ્રાહ્મણોમાં રસ પડે નહીં એ હિસાબે વાચકોનો ખ્યાલ રાખી ને લખ્યું છે.
હસતા રહેવું એ સારી વાત છે. જીંદગી આમ તો આનંદ માટે છે. પણ બધામાં હાસ્ય લેખક બનવાની ક્ષમતા હોતી નથી. મારાથી આ રીતે ક્યારેક કુદરતી રીતે લખાઈ જાય. બાકી મારામાં એવી કોઈ ક્ષમતા નથી.
LikeLike
બ્રાહ્મણો વિશે હળવી-હાસ્ય શૈલીમાં ઘણી સરસ માહિતિ આપી.બ્રાહ્મણ-નાગર વિશે તેમજ અમુક શબ્દોના અર્થ પણ જાણ્વા મળ્યા.
શંકરાચાર્ય અને બૌદ્ધ પંડિતો વચ્ચેનો શાસ્ત્રાર્થથી સાચી હકિકત જાણી.જ્ઞાન સાથે ગમ્મત માણી.આવા લેખ આપતા રહો એ વિનતી.
LikeLike
વિમળાબેન લેખ ગમાડવા બદલ ઘણો આભાર. જ્યારે કંઈ રમુજ વાળી વાત સુઝશે ત્યારે જરુર લખીશ.
LikeLike