Posts Tagged ‘અગ્નિ’
ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ ૬ / ૯
Posted in માનવીય સમસ્યાઓ, tagged અગ્નિ, અપવિત્ર, આદર, જનતંત્ર, તર્ક, થર્ડ પાર્ટી, પરશુરામ, પરીક્ષા, પવિત્ર, પ્રણાલી, યક્ષ પ્રશ્ન, રાજારામ, રામ, લોકશાહી, સત્ય, સીતા, સ્ત્રી on October 21, 2015| Leave a Comment »
ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ ૬ / ૯
રાજા રામ
રામને માટે આપણે રાજા રામ એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. આનું કારણ પણ છે અને એક સંદેશ પણ છે. રામ એક ચક્રવર્તી રાજા હતા. તો પણ આપણે એમને “ચક્રવર્તી રાજા રામ” કે “ચક્રવર્તી રામ” કે સામ્રાટ રામ” એમ કહેતા નથી. રાજ્યને જે ચલાવે તે રાજા કહેવાય. રાજાઓમાં ચક્રવર્તી રાજાઓ પણ આવી જાય છે. રામે જે રીતે રાજ કર્યું અને તેમણે પ્રણાલીઓ કે જે તે વખતે આદર્શ મનાતી હતી અને તે પછી પણ આદર્શ મનાતી હતી તે પ્રણાલીઓ ચલાવી અને તેમને માન આપ્યું. આ કારણથી રામ એક આદર્શ રાજા ગણાયા છે અને તે પૂજનીય પણ બન્યા છે.
આદર્શ રાજાની વ્યાખ્યા શું?
જે રાજા પ્રસ્થાપિત પ્રણાલીયોનું પાલન કરાવે અને પોતે પણ તે આદર્શ ગણાતી પ્રણાલીઓનું પાલન કરે તે આદર્શ રાજા કહેવાય. પાલન પણ એવી રીતે કરે કે કોઈ પણ તે વિષે જરાપણ શંકા ઉઠાવી ન શકે તેવું આચરણ કરે તો તે રાજા આદર્શ કહેવાય.
પ્રણાલી એટલે શું?
સમાજમાં વ્યક્તિઓના વ્યવહારની કોઈ હેતુ કે ધ્યેય માટેની રીત કે પ્રક્રિયાને પ્રણાલી કહેવાય. પ્રવર્તમાન નીતિ નિયમોનુ પાલન પણ પ્રણાલીઓની અંતર્ગત આવી જાય છે. જુદા જુદા જુથોની વ્યક્તિઓનો કારભાર પણ પ્રણાલીઓથી બંધાએલો હોય છે. કર્મકાંડ, પૂજા અર્ચના પણ પ્રણાલીની અંતર્ગત આવી જાય છે.
રાજાએ પણ પરાપૂર્વથી આદર્શ મનાતી પ્રણાલીઓનું નિષ્ઠા પૂર્વક પાલન કરવું પડે. રાજા પોતે નવી પ્રણાલી ન સ્થાપી શકે. તેમ જ રાજા પોતે કોઈ પ્રણાલીમાં ફેરફાર ન કરી શકે. રાજા પોતે કોઈ પ્રણાલીને સ્થગિત કરી ન શકે કે રદ ન કરી શકે. કારણ કે રાજાને આવો અધિકાર નથી.
રામે રાવણને હરાવ્યો અને લંકાની રાજગાદી રાવણના ભાઈ વિભીષણને આપી દીધી. વિભીષણે રામને રાવણના રહસ્યો કહેલાં અને અવાર નવાર મદદ કરી રહ્યો હતો.. રામે વિભીષણને લંકાની રાજગાદી આપવાનું વચન આપેલ. રામ એક ક્ષત્રિયને શોભે તે રીતે કૃતજ્ઞ રહેલ. રાજાનો આ ધર્મ છે. રામે લંકાને જીતતાં પહેલાં વિભીષણનો લંકાધિપતિ તરીકે રાજ્યાભિષેક પણ કરી દીધેલ. આને તમે રામની પારદર્શિતા અને મુત્સદ્દીગીરી કહી શકો. કારણ કે આ રીતે બંને વચન બદ્ધ થઈ ગયેલ.
રામે રાવણને હરાવ્યો. સીતા મુક્ત થઈ ગઈ. રામે પોતાની પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરી લીધી. પણ સીતા તો અપહરણ થયા પછી રાવણના અધિકારમાં હતી. એ વાત સાચી હોઈ શકે કે રાવણે સીતાને પોતાના મહેલમાં રાખી ન હતી. તે માટેના સાક્ષી હનુમાન હતા. પણ હનુમાન તો રામના દૂત અને સલાહકાર હતા. હનુમાન તો રામથી પ્રભાવિત અને અભિભૂત હતા. એમનું કહેવાનું કેવી રીતે માની લેવાય? રાજા કે કોઈ પણ પુરુષ, જો કોઈ એક સ્ત્રી પરાયા પુરુષના ઘરે ગઈ હોય અને રહી હોય, તેને પવિત્ર માની ન શકે. પરપુરુષને ઘરે રહેલી સ્ત્રીને પવિત્ર કેવી રીતે માની લેવાય?
તો હવે શું કરવું જોઇએ?
સીતાએ પોતાની પવિત્રતા સિદ્ધ કરવી જોઇએ.
આ પવિત્રતા સિદ્ધ કરવા માટે કઈ પ્રણાલી હતી?
અગ્નિ પરીક્ષા.
અગ્નિ પરીક્ષા એટલે શું?
ચિતા-પ્રવેશ અથવા અંગારાઓ ઉપર ચાલવું.
કોઈ વ્યક્તિ ચિતા પ્રવેશ કરે અને બળ્યા વગર રહે તો તે ચમત્કાર જ કહેવાય. ચમત્કારો થઈ શકે નહીં. પણ આજે કેટલાય લોકો અંગારા ઉપર ચાલીને એક છેડે થી બીજે છેડે ચાલ્યા જવાના ટૂંકા અંતરના ખેલ ખેલે છે.
અગ્નિ પરીક્ષા એક વિશેષ અર્થમાં પણ સમજી શકાય. માનસિક પરીક્ષા. જેમકે કોઈ કેમીકલ (નાર્કોટિક ટેસ્ટ) દાખલ કરવું અથવા તેમ કર્યા વગર કોઈ માન્ય માનસશાસ્ત્રી કોઈ વ્યક્તિની પ્રશ્નોત્તરી કરે કે ઉલટ તપાસ કરે અને આ પરીક્ષા ખૂબ ત્રાસજનક હોય. એને પણ અગ્નિ પરીક્ષા નામ આપી શકાય.
યક્ષ પ્રશ્ન
આપણે યક્ષ પ્રશ્નની વાત લઈએ. યક્ષ પ્રશ્ન એટલે શું? આ એક એવો પ્રશ્ન છે કે જેનો ઉત્તર શોધવો જ પડે. જો તેનો ઉત્તર ન શોધી શકો તો મૃત્યુ નિશ્ચિત છે. આવી સમસ્યાને કે પ્રશ્નને યક્ષ પ્રશ્ન કહેવાય છે.
“સન ૨૦૦૧ માં ભૂકંપ પીડિત ગુજરાતને પુનઃસ્થાપિત કરી, પ્રગતિને પંથે લઈ જવું” અને “૨૦૦૨ ના ગુજરાતમાં થયેલ કોમી હુલ્લડોને કારણે સમાચાર માધ્યમો દ્વારા ખંડિત ગુજરાતની અસ્મિતાને પુનઃસ્થાપિત કરવાનો પ્રશ્ન” નરેન્દ્ર મોદી માટે “યક્ષ પ્રશ્ન” હતો. ૨૦૦૨ ની ચંટણી જીતવી એ અગ્નિ પરીક્ષા હતી.
સીતાએ તત્કાલિન પ્રચલિત અગ્નિપરીક્ષા પાસ કરી. રામે સીતાનો સ્વિકાર કર્યો.
રામ, સીતા અને લક્ષ્મણ અને હનુમાન સૌ કોઈ અયોધ્યા આવ્યા.
ભરત પણ પ્રસ્થાપિત પ્રણાલીઓને માનનાર હતો.
રામ પિતાની આજ્ઞા પ્રમાણે ૧૪ વર્ષ વનમાં ગયેલ. પણ ભરત પાછો આવ્યો ત્યારે તેને બધી વાતની ખબર પડી એટલે તે રામને મળવા લશ્કર સાથે ગયો. રામને અયોધ્યાનું રાજ સ્વિકારવા વિનંતિ કરી પણ રામે કહ્યું કે પિતાની આજ્ઞાથી આ વિરુદ્ધ વાત છે. તેથી તે રાજ સ્વિકારી ન શકે. એટલે ભરતે રામને કહ્યું કે હવે દશરથ રાજા જીવિત નથી. હું હવે રાજા તરીકે તમને કહું છું કે તમે અયોધ્યાની રાજગાદી સ્વિકારો. ત્યારે રામે કહ્યું કે પિતાની આજ્ઞાથી વિરુદ્ધ કંઈ પણ થાય તો પિતાના વચનની કંઈ કિમત ન રહે. એટલે ભરતે રામની પાદુકા લઈ તેને સિંહાસન પર રાખી, રામને બદલે રાજકાજ સંભાળ્યું. જો કે આ બધી વાતોમાં શું શબ્દ વ્યવહાર થયો હશે તે આપણે કહી ન શકીએ. રામ, લંકાથી અયોધ્યા પાછ્યા આવ્યા અને ભરતે રામને રાજગાદી પાછી આપી દીધી એટલે ઉપરોક્ત પ્રમાણે થયું હોય તેવો અણસાર આવે છે.
રામ બહુ સારી રીતે રાજકાજ કરવા માંડ્યા.
હવે દરેક રાજાનું કામ છે કે તે પ્રજાની સુખાકારી ઉપરાંત પ્રજા શું વિચારે છે અને અભિપ્રાય રાખે છે તેનાથી પણ માહિતગાર રહે. રામની બાબતમાં એક વિવાદ એ ચાલતો હતો કે પરપુરુષને ત્યાં રહી આવેલી સીતાને રામ કેવી રીતે અપનાવી શકે!!
પરપુરુષને ઘરે રહી આવેલી સ્ત્રીને પવિત્ર માની શકાય?
રામના વખતની વાત છોડો. આજે કાયદેસર શું પરિસ્થિતિ છે?
જો કોઈ સ્ત્રી અને એક પરપુરુષ એક ઘરમાં એક સાથે રાત દિવસ એકલા રહેતા હોય તો તે સ્ત્રીને પવિત્ર માની લેવામાં આવે છે? (પવિત્રતાની બાબતમાં પુરુષ અને સ્ત્રી બંનેને સમજી લો).
જો કોઈ એક સ્ત્રી અને પુરુષ, એક સાથે એક ઘરમાં સાથે રહેતા હોય, તો તેમની વચ્ચે શારીરિક સંબંધ નથી બંધાયો એવું આજે પણ કોર્ટ માનતી નથી. એ સ્ત્રીનો પતિ તે સ્વિકારે કે ન સ્વિકારે, તે જુદી વાત છે. પણ જો તે સ્ત્રીનો પતિ, તેને ન સ્વિકારવા માટે એવું સાબિત કરી દે કે પોતાની ઈચ્છા વિરુદ્ધ તે સ્ત્રી, અને તે પરપુરુષ, બંને એક સાથે રાત દિવસ સાથે રહ્યાં છે તો ન્યાયાલય તે બંને વચ્ચે શારીરિક સંબંધ થયાની વાત સ્વિકારી લે છે. અને સ્ત્રીને વ્યભિચારી માની લે.
કારણ કે એક પુરુષ એક સ્ત્રીને ઇબાદત (પૂજા) માટે રાખતો નથી. આમ તે સ્ત્રીનો પતિ તે સ્ત્રીથી છૂટા છેડા લઈ શકે છે. તેવી જ રીતે એક સ્ત્રીને પણ એવા પતિથી છૂટા છેડા મળી શકે જો તેણે પરસ્ત્રી સાથે એક ઘરમાં એકલો રહ્યો હોય.
જો આજે પણ ન્યાયાલયનું આવું વલણ હોય તો દશ હજાર વર્ષ પહેલાં તો આવું વલણ અસ્તિત્વ ધરાવતું હોય તો તે આશ્ચર્યની વાત ન ગણાય.
આપણે ક્યાં ભૂલ કરીએ છીએ?
ફિલમમાં હિરાભાઈ અને હિરીબેન (હિરોઈન) વચ્ચે કે હિરીબેનના પિતાશ્રી વચ્ચે ઘણી ગેર સમજુતીઓ થતી હોય. પ્રેક્ષકો વાસ્તવિકતાથી માહિતગાર હોય એટલે તે હિરાભાઈ કે હિરીબેનની દયા ખાત હોય કે “જોને આને બિચારાને (કે બિચારીને કેવું કેવું ખોટા કારણથી) દુઃખી થવું પડે છે. પણ કથા વસ્તુ પ્રમાણે પાત્રોને દુઃખી થવું પડે.
રામાયણની બાબતમાં પણ એવું છે. રામાયણના શ્રોતાઓને ખબર છે અને તેઓ સ્વિકારી લે છે કે સીતા પવિત્ર છે. અને આવું સ્વિકારીને આગળ ચર્ચા કરે છે.
શ્રોતાઓ સ્વિકારી લે છે કે સીતાને તો રાવણે જુદી જગ્યાએ રાખેલી. જેમ કે “અશોક વાટિકા”. સીતાને કંઈ રાવણે પોતાના મહેલના પોતાના ખંડમાં રાખી ન હતી.
શ્રોતાઓ એ યાદ કરતા નથી કે રાજાઓ દરેક રાણીને એક અલગ મહેલ (આવાસ) આપતા હતા. એવા આવાસની આસપાસ બગીચો પણ હોય. તેનું નામ અશોકવાટિકા પણ હોઈ શકે. રાજા ત્યાં રાત્રી રોકાણ પણ કરી શકતો હોય અને કરતો પણ હોય.
આપણે સ્વિકારી લઈએ છીએ કે સીતા પાસે પોતાની દૈવીશક્તિ હતી તેથી રાવણ સીતાને સ્પર્શી શકતો ન હતો. આ તો ચમત્કાર કહેવાય. આવા ચમત્કાર અસ્વિકાર્ય છે. જે રાવણ સીતાને ઉપાડીને અપહરણ કરી શકતો હોય તે બધું જ કરી શકે.
રામે લંકામાં સીતાની અગ્નિપરીક્ષા કરેલી અને તે અગ્નિપરીક્ષામાં સીતા ઉત્તિર્ણ થઈ હતી. તેથી તેનો સ્વિકાર અયોધ્યાના લોકોએ કરવો જોઇએ. પણ આ પરીક્ષા એવા લોકોની હાજરીમાં થઈ હતી જેઓ રામથી ઉપકૃત હતા અને રામથી પ્રભાવિત હતા. આમાં કોઈ થર્ડ પાર્ટી (તટસ્થ વ્યક્તિ) ન હતી તેથી આવી પરીક્ષા અયોગ્ય, અસ્વિકાર્ય ગણી શકાય. આવી પરીક્ષાથી સીતાની પવિત્રતા સિદ્ધ થતી નથી. અને આ વાત અયોધ્યામાં ઉછાળવામાં આવી.
સત્યનો આદર
“ જે તંત્રમાં સત્યનો આદર થાય આને તેને સ્વિકારવામાં આવે ભલે ને પછી તે સત્ય ગમે તે સ્તરની વ્યક્તિ તરફથી આવ્યું હોય. આવા તંત્રને જનતંત્ર કહેવાય”.
સત્ય તર્કથી સિદ્ધ થાય છે. જે તર્કની વાતને નકારી ન શકાય તે વાત જનતા તરફથી કે એક વ્યક્તિ તરફથી આવી હોય અને તે વાતનો જો શાસન આદર કરે તો તે શાસનને જનતંત્ર (લોકશાહી) કહેવાય.
રામ જનતંત્રમાં માનતા હતા. રામે અને તેમનું તંત્ર જે તર્કને નકારી ન શક્યું. તે તર્કનો આદર કર્યો. આદર કર્યો એટલે કે તેને અનુરુપ પગલાં લીધાં. આદર્શ રાજા તરીકે પ્રણાલીઓ સ્વિકારવી અનિવાર્ય હતી. પ્રણાલીઓને રામ ક્ષતિગ્રસ્ત કરવા માગતા ન હતા.
હવે તમે કહેશો કે રામ તો રાજા હતા. એક યુગપુરુષ હતા. એક પૂર્ણપુરુષ હતા. શું રામ પોતાનું મગજ ચલાવી શકતા ન હતા?
રામ ચોક્કસ રીતે પોતાનું મગજ ચલાવી શકતા હતા. રામે પોતાનું મગજ ચલાવ્યું પણ ખરું
રામે કેવી રીતે પોતાનું મગજ ચલાવ્યું? રામે કોઈ ભૂલ કરી ખરી? કે રામે કોઈ ભૂલ કરી નથી?
(ચાલુ)
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ રાજારામ, સીતા, રામ, પરશુરામ, સ્ત્રી, પવિત્ર, અપવિત્ર, અગ્નિ, પરીક્ષા, યક્ષ પ્રશ્ન, થર્ડ પાર્ટી, સત્ય, પ્રણાલી, આદર, તર્ક, જનતંત્ર, લોકશાહી
ક્યાં ખોવાયા હાડમાંસના બનેલા રામ? ભાગ-૧/૯
Posted in માનવીય સમસ્યાઓ, tagged અગ્નિ, આર્ય, ઇતિહાસ, કંસ, કૃષ્ણ, ચમત્કાર, ચોરીનું આળ, ત્રિમૂર્તિ, દશરથ, દ્રવિડ, પરમેશ્વર, પ્રણાલી, પ્રાચીન, રસપ્રદ, રામ, રાવણ, વસુદેવ, વિચરતી જાતિ, શિવ, સ્યમંતક મણી on October 11, 2015| 2 Comments »
ક્યાં ખોવાયા હાડમાંસના બનેલા રામ? ભાગ-૧/૯
રામ કોણ હતા?
એક એવા રામ હતા જે રઘુવંશી દશરાજાના પુત્ર હતા. તેઓ હાડમાંસના બનેલા માત્ર અને માત્ર મનુષ્ય હતા. આમ તો તેઓ એક રાજકુંવર હતા અને એક કુશળ શાસક પણ અવશ્ય હતા. પણ થયું એવું કે એમની અસાધારણ, અદ્વિતીય મહાનતા અને આદર્શને કારણે એમને જનતાએ ભગવાન બનાવી દીધા.
જ્યારે કોઈને ભગવાન બનાવી દઈએ ત્યારે તે વ્યક્તિમાં રહેલી વાસ્તવિકતા, વિદ્વત્તા, નૈતિક દૃઢતા અને ઐતિહાસિકતા નષ્ટ પામે છે. કારણ કે રામની વાત કરવી એ એક ધર્મની વાત બની જાય છે. તેમના અસ્તિત્વને લગતી માન્યતા સહેલાઈથી સહેલાઈથી નકારી શકાય છે. પરધર્મીઓ જ નહીં પણ જેઓ પોતાને તટસ્થ માનવાની ઘેલછા રાખે છે તેઓ પણ આવી વ્યક્તિની ઐતિહાસિકતાને સહજ રીતે જ નકારે છે. જો તમે રામના ઐતિહાસિક અસ્તિત્વને ન નકારો તો તમે ઇતિહાસનું ભગવાકરણ કર્યું કહેવાય. તમને ધર્માંધ પણ કહી શકાય.
ગુજરાત અપરાધી હતું?
૨૦૦૨ માં ગુજરાતમાં હુલ્લડ થયું. આ હુલ્લડનો દોષ નરેન્દ્ર મોદી અને હિન્દુઓ ઉપર ઢોળી દેવાયો. એટલે કેરલના પાઠ્યપુસ્તકમાં ગુજરાતનું અસ્તિત્વ ભારતના નકશામાંથી દૂર કરવામાં આવ્યું. ગુજરાતનું અસ્તિત્વ રદ થયું. કારણકે ગુજરાત અપરાધી હતું.
તમે રામના અસ્તિત્વને નકારો છો? રામને ભગવાન માન્યા એટલે જ ને! જો તમે રામને ભગવાન માનો તો આમાં રામનો શો અપરાધ છે?
તમે કહેશો આમાં રામ અપરાધી છે તેની વાત ક્યાં આવી? રામ અપરાધી હતા કે નહીં … અથવા તેમની પ્રત્યે એક અન્યાયી વર્તન દાખવવામાં આવ્યું કે નહીં તે વિષે આગળ ચર્ચા કરીશું.
હાલ તો આપણે સામાન્ય હિન્દુઓ રામને ભગવાન કેમ માને છે અને બીજા તેમના અસ્તિત્વને કેમ નકારે છે તે જોઈશું.
ચમત્કાર અને ભગવાન અને અસ્તિત્વનો નકાર
જે હિન્દુઓ રામને ભગવાન માને છે તેઓ ચમત્કારમાં પણ માને છે. રામે અનેક ચમત્કારો કર્યા. આવા ચમત્કારો તો ભગવાન જ કરી શકે. મનુષ્ય તો ચમત્કાર ન જ કરી શકે. માટે રામ ભગવાન છે. જેઓ ચમત્કારમાં માનતા નથી તેઓ કહેશે કે આ ચમત્કારની વાતો બધી ગપગોળા છે. કારણ કે ચમત્કારો તો થઈ જ ન શકે. એટલે ચમત્કારોનું અસ્તિત્વ હોઈ જ ન શકે. એટલે આ ચમત્કારી વ્યક્તિ એક ગપગોળો છે. રામ કથાનું એક સાહિત્યિક અસ્તિત્વ છે. રામની કથામાં ફક્ત સાહિત્યિક દૃષ્ટિ રાખવી જોઇએ. અવતાર બવતાર જેવું કશું હોતું નથી.
જ્યારે વ્યક્તિ સાહિત્યિક બની જાય ત્યારે તે એક નહીં અનેક બની જાય. વાલ્મિકીના રામ, કાલીદાસના રામ, ભવભૂતિના રામ, તુલસીદાસના રામ …
આપણે રામને ભગવાન માની લીધા એટલે રામ ધર્મનો વિષય બની ગયા. રામ ધર્મનો વિષય બન્યા એટલે રામ શ્રદ્ધાનો વિષય બની ગયા. રામનું વર્ણન ભારતની ભાષાઓમાંથી ઉદભવ્યું એટલે એ ભારતના છે. ભારતમાં હિન્દુધર્મ પાળવામાં આવે છે એટલે રામ હિન્દુઓના ભગવાન છે. રામ હિન્દુઓના ભગવાન છે એટલે રામ એ હિન્દુઓની શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા, ભગવાન, ચમત્કાર આ બધું કાલ્પનિક છે. કાલ્પનિક વાતોમાં વિશ્વાસ રાખવો અને એવું બધું સ્વિકારવું એ અંધશ્રદ્ધા છે. સમાજમાં અંધશ્રદ્ધાનું બહુમાન ન કરવું જોઇએ. અંધશ્રદ્ધાને આવકારવી ન જોઇએ. જેઓ પોતાને પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક વિચારધારાવાળા માને છે તેઓ કંઈક આવું વિચારે છે. જેઓ “રામજન્મ ભૂમિ ઉપર રામ મંદિર બનાવવાનો આગ્રહ રાખનારાઓનો વિરોધ કરે છે તેઓ પણ આવી માનસિકતા રાખે છે
પોતાને વિદ્વાન, જ્ઞાની અને બુદ્ધિશાળી માનતા માણસો પણ રામને કાલ્પનિક પુરુષ માને છે.
તેઓની માન્યતા પ્રમાણે આનું મુખ્ય કારણ એ છે કે પ્રાચીન અને મધ્યકાલિન ભારતીય પુસ્તકોમાં ચમત્કારની બહુ વાતો છે. આ બધી કપોળકલ્પિત અને અવાસ્તવિક છે. ભારતીય લોકોને ઇતિહાસ લખવાની ટેવ જ ન હતી. જેને જેમ ફાવ્યું અને મગજમાં આવ્યું તેમ લખ્યું છે. ભારતીયોના મનમાં ઇતિહાસ લખવો જોઇએ એવી કોઈ વાત જ ન હતી. એટલે વિદેશી યાત્રીઓએ અને બીનભારતીય ઇતિહાસ કારોએ જે લખ્યું તેને જ આધારભૂત ગણી શકાય. જેમ કે ગ્રીક આક્રમણકારીઓએ, તેમની સાથે આવેલા લોકોએ, અરબસ્તાન, મોંગોલીયાના મુસ્લિમ આક્રમકોએ, મુસાફરોએ, ચીનના મુસાફરોએ જે કંઈ ભારત વિષે, ભારતીય સમાજ વિષે લખ્યું તે જ પ્રમાણભૂત કહેવાય. આપણા લોકો તો રાઈ વગર રાઈનો પહાડ બનાવવામાંથી અને ચમત્કારો લખવામાંથી ઉંચા જ ક્યાં આવતા હતા!
આમ જોવા જઈએ તો દરેક ધર્મના પુસ્તકોમાં ચમત્કારિક વાતોના વર્ણનો જોવા મળે છે. પણ એ બધા ધર્મોના બધા મહાપુરુષો ઐતિહાસિક છે. કારણકે આ બધામાંના મોટેભાગે છેલ્લા ૨૬૦૦ વર્ષ અંતર્ગત થયા. એ બધા લોકાના કંઇને કંઈ અવશેષો મળી આવે છે એવું મનવામાં આવે છે. એટલે એ બધામાં ચમત્કારી વાતો હોય તો પણ તે બધું ઐતિહાસિક છે અને તે વ્યક્તિઓ પણ ઐતિહાસિક છે.
રામના કોઈ ભૂસ્તરીય અવશેષો મળતા નથી.
જે કંઈ મળે છે તેને રામ સાથે જોડી દેવા એ અંધશ્રદ્ધા જ છે. આવી દૃઢ માનસિકતા આપણા વિદ્વાનોમાં અને મૂર્ધન્યોમાં પ્રવર્તે છે. આપણા ભારતીયો જ જો આવી માનસિકતા રાખતા હોય તો સહજ રીતે જ પરધર્મીઓ, ખાસ કરીને મુસ્લિમો અને ખ્રીસ્તીઓ તો રાખે જ.
શું ઐતિહાસિકતાનો આધાર ફક્ત પૂરાતત્વીય અવશેષો જ હોઈ શકે? ધારો કે ઉત્ખનન થયું ન હોય તો શું માનવવાનું? ધારોકે ઉત્ખનન શક્ય જ ન હોય તો શું માનવાનું? જો મોહેં જો દેરોની જગ્યાઓએ ઉત્ખનન ન થયું હોત તો ભારતનો ઇતિહાસ ૩૦૦૦ વર્ષથી વધુ પ્રાચીન ન ગણવામાં આવત.
રામજન્મભૂમિની જગ્યા ઉપર બાબરી મસ્જીદ બની ગયેલ. હવે ધારો કે એ જમીન રામજન્મભૂમિ તરીકે ઓળખાતી જ ન હોત તો તેને વિષે કોઈ આંદોલન પણ ન થાત. અને તે બાબરી મસ્જીદ તોડી પાડવામાં પણ ન આવી હોત. અને કોઈએ ન્યાયના દ્વાર પણ ન ખટખટાવ્યા હોત. અને ત્યાં કશું ખોદકામ પણ ન થાત.
જો ખોદકામ ન થાત તો તેની નીચે આવેલા શિવમંદિરના અવશેષો પણ ન મળત. આવા તો અનેક સ્થાનો છે કે જ્યાં વિવાદ ચાલે પણ છે અને વિવાદ નથી પણ ચાલતા. હવે ધારો કે મુસ્લિમો અને ખ્રીસ્તી શાસકોએ, જેમ બીજી જગ્યાએ પ્રાચીન સંસ્કૃતિના નિર્માણોને તોડીને અથવા અને તેના અવશેષો પર પોતાની સંસ્કૃતિને લગતા નિર્માણો કરી દીધેલ અને ત્યાંની સંસ્કૃતિને કાયમ માટે નષ્ટ કરી દીધેલ અને જનતાને પૂર્ણ રીતે પોતાના ધર્મમાં વટલાવી દીધી એમ ભારતમાં પણ કરી શક્યા હોત તો અહીં પ્રાચીન કાળમાં મંદિર હતું તેની ખબર કેવી રીતે પડત? પણ ભારતની બાબતમાં થયું એવું કે ભારતીય સંસ્કૃતિ તેની ઉત્કૃષ્ટતા અને સબળતાને કારણે ટકી ગઈ.
ઇતિહાસ કેવીરીતે જળવાઈ રહે છે?
લોક સાહિત્ય, લોકવાયકા, સ્થાપત્ય અને પરંપરાગત પ્રણાલીઓ પાછળ ચાલી આવતી દંતકથાઓ દ્વારા પણ ઇતિહાસ જળવાઈ રહે છે. આપણે અત્યારે તેનું વિશ્લેષણ અને તેની ચર્ચા નહીં કરીએ.
“રામ જન્મ ભૂમિ” નું સ્થળ એ એક પરાપૂર્વથી ચાલી આવતી માન્યતા અનુસારનું નામકરણ હતું. જેવા કામો વિદેશી ધર્મીઓએ બીજા દેશોમાં કર્યાં તેવા જ કામો તેઓએ ભારતમાં જરુર કર્યા. પણ ભારતમાં તેઓ સંપૂર્ણ સફળ ન થયા. તેથી ખંડિત સ્થળોના નામ લોકવાયકામાં પરંપરાગત રીતે ક્યાંક ક્યાંક ચાલુ રહ્યાં. પણ સાથે સાથે ખંડિત સ્થળ પર નવું નિર્માણ થયું તે નામ પણ ઉમેરાયું.
બીજી એક વાત એ બની કે પાશ્ચાત્ય ઇતિહાસકારો દ્વારા ભારતનો જે નવ્ય ઇતિહાસ લખાયો, તેમાં ભારતીય સાહિત્ય, લોકવાયકાઓ, લોક કથાઓ જ નહીં પણ ભારતીય શાસ્ત્રોમાં રહેલા તાત્વિક ઉંડાણને પણ સ્પર્ષવામાં ન આવ્યાં.
પરિણામ એ આવ્યું કે ભારતીય સાહિત્યમાં જે ઇતિહાસ, લોકભોગ્ય શૈલીમાં લખવામાં આવેલ તેને ઇતિહાસ તરીકેની માન્યતા જ ન આપી. આનુ પરિણામ એ આવ્યું કે ભારતના વિદ્વાનો ફક્ત પાશ્ચાત્ય વાતોને જ પ્રમાણભૂત માનવા લાગ્યા. આ માનસિકતાનું મૂળ “આર્યન ઈન્વેઝન થીયેરી” એટલે કે “આર્યજાતિનું ભારત ઉપર આક્ર્મણ” વાળો સિદ્ધાંત છે.
એવું ધારવામાં આવ્યું કે આર્ય એક રખડુ જાતિ હતી જે મધ્ય એશિયા કે પૂર્વ યુરોપ કે એવી કોઈક જગ્યાએ રહેતી ભમતી હતી. તેઓએ મોટું સ્થાળાંતર કર્યું, તે ઇરાન ગઈ. ત્યાં આ જાતિનો એક ભાગ ગ્રીસ ગયો. એક ભાગ થોડા સમય પછી ભારત આવ્યો. અહીંના દ્રવિડો જે બહુ સુસંસ્કૃત અને સ્થાપત્યમાં પ્રવિણ હતા તેમને આ વિચરતી જાતિએ તહસ નહસ કરી નાખ્યા, તેમને ગુલામ બનાવ્યા, તેમના નગરોનો નાશ કર્યો. આ જાતિ પછી અહીં સ્થાઈ થઈ. આ બધી વાતો ભારતમાં દંત કથાઓના રુપમાં અને વેદોની ઋચાઓમાંની તારવણીઓથી સિદ્ધ થઈ શકે છે એવું પાશ્ચાત્ય ઇતિહાસકારોએ તર્કહીન રીતે તુક્કાઓ દ્વારા સિદ્ધ કર્યું.
રામ દંતકથાનું પાત્ર છે. આ પાત્ર ઉત્તરમાંથી દક્ષિણમાં ગયું અને રાવણને હરાવ્યો. એટલે એવું તારવવામાં આવ્યું કે આર્યોએ દ્રવિડોને હરાવ્યા. આ વાતને એક ઉદાહરણ તરીકે ગણવામાં આવ્યું. પાશ્ચાત્ય ઇતિહાસકારોએ તેમના પ્રચ્છન્ન હેતુઓ સિદ્ધ કરવા ઘણા ગપગોળા ચલાવ્યા. આ બધી વાતો અન્યત્ર કરેલી છે. ભારતીય સંસ્કૃતિના અને પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રકાંડ પંડિત શ્રી રાજીવ મલહોત્રા અને બીજા અનેક વિદ્વાનોએ “આર્યન ઈન્વેઝન થીયેરી” ને ધરાશાયી કરી છે અને તે વિષે પુસ્કળ સાહિત્ય ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે એટલે આની ચર્ચા નહીં કરીએ. આપણી વાત ફક્ત રામની ઐતિહાસિકતા પૂરતી સીમિત રાખીશું.
આપણે પ્રાચીન સાહિત્યની અવગણના નહીં કરી શકીએ. પુરાણો અને મહાકાવ્યોને કપોળ વાતો તરીકે ન જોવા જોઇએ. વાસ્તવમાં આ એક કથન પ્રણાલી હતી. જ્ઞાન પીરસવા અને યાદ રાખવાના અનેક માર્ગો હોય. રુપક, અન્યોક્તિ, વિશેષણ, ઉપમા, રમૂજ, શિખામણ, વર્ણન, પ્રાસ, અનુપ્રાસ, કવિતા, કથા, જોડકણા, કહેવત, દંતકથાઓ, અતિશયોક્તિ, અલંકાર, જેવી અનેક રીતો હોય છે. આમાં ઈશ્વર નિર્ગુણ નિરાકાર હોવા છતાં પણ, આ ઈશ્વર, ક્રોધિત કે ખુશી ખુશી થઈને મનુષ્ય કે અન્ય પ્રાણીના સ્વરુપમાં પાત્ર તરીકે આવી જાય છે.
ધારોકે શિખરણી છંદના સ્વરુપને યાદ રાખવું છે. તો શું કરશું? રસૈઃ રુદ્રૈઃ છિન્ના, યમનસભલાગઃ શિખરણી.
રસ કેટલા હોય છે?
છ રસ હોય છે.
રુદ્ર કેટલા છે?
૧૧ રુદ્ર હોય છે.
છ અક્ષર અને ૧૧ અક્ષર થી આ છંદ કપાયેલો છે. અને તેમાં યમનસભલગ થી બંધાયેલો છે. રસ અને રુદ્ર એ ભૂત સંખ્યા છે. આવી તો ભારતીય પદ્ધતિઓમાં અનેક વાતો છે.
આ રીતે શાસ્ત્રોના સિદ્ધાંતો યાદ રાખવા એવી પ્રણાલી આજે પણ ચાલે છે. જેમકે “ઓલ સીલ્વર ટી કપ્સ.”
“ઓલ” એટલે બધા. સીલ્વર એટલે સાઈન. ટી એટલે ટેન્જન્ટ, કપ્સ એટલે કોસાઈન.
બધા એટલે કોણ?
સાઈન, કોસાઈન અને ટેન્જન્ટ.
સાઈન એટલે શું? કાટખુણ ત્રીકોણમાં કોઈ એક ખૂણો તેની સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર સાઈન કહેવાય છે.
કોસાઈન એટલે શું? કોઈ ખૂણાની પાસેની બાજુ અને કર્ણ વચ્ચેનો ગુણોત્તર કોસાઈન કહેવાય છે.
ટેન્જન્ટ એટલે શું? સામેની બાજુ અને પાસેની બાજુનો ગુણોત્તર ટેન (ટેન્જન્ટ) કહેવાય છે.
પણ ગુણોત્તર ક્યારે ધન હોય અને ક્યારે ઋણ હોય? આ ધન અને ઋણને કેવી રીતે યાદ રાખવા?
જો ખૂણો ૦ થી ૯૦ની વચ્ચે હોય તો બધા જ ધન હોય છે.
જો ખૂણો ૯૦+ થી ૧૮૦ની વચ્ચે હોય તો સાઈન ની કિમત ધન હોય.
જો ખૂણો ૧૮૦+ થી ૨૭૦ વચ્ચે હોય તો ટેનની કિમત ધન હોય.
જો ખૂણો ૨૭૦+થી ૩૬૦ ની વચ્ચે હોય તો કોસાઈન ની કિમત ધન હોય.
ત્રિકોણમિતિના કોઈ એક મૂલ્યને યાદ રાખવાની આ એક સહેલી રીત છે.
પ્રાચીન ભારતીય સાહિત્યમાં પણ આવી અનેક રીતો પ્રચલિત હતી. અનેક ચમત્કારિક વાતો આનો હિસ્સો છે પણ તેનો હેતુ ફક્ત વાતને, પ્રસંગને, વર્ણનને, કથનને રસમય બનાવવા માટે હોય છે જેથી તે યાદ રહે.
ઈશ્વર-રુદ્ર-શિવ, સૂર્ય-વિષ્ણુ-બ્રહ્મા અને અનેક દેવતાઓ (ઈન્દ્ર, વાયુ, વરુણ …) વિગેરે પાત્ર તરીકે આવે એવી ઘણી વાતો છે. પણ આ બધું ઐતિહાસિક વાતોને રસપ્રદ બનાવવા માટે હોય છે. આજે પણ આ પ્રણાલી એક યા બીજા સ્વરુપે ચાલે છે. ફિલમમાં તમે જોતા હશો કે કોઈ પાત્ર ઉપર આપત્તિ આવે તો પાર્શ્વભૂમિકામાં આકાશમાં કડાકા ભડાકા અને વિજળીઓ બતાવે. કોઈ પાત્રના મનમાં ખળભળાટ હોય તો તોફાની દરિયો બતાવે. ઐતિહાસિક વાર્તાના પુસ્તકોમાં કોઈ વાર્તાલાપમાં આવતા શબ્દ પ્રયોગો, સ્થળોના વર્ણનો, વસ્ત્રોના વર્ણનોના શબ્દ પ્રયોગો, જરુરી નથી કે તે, વાસ્તવમાં જે તે રુપમાં હોય તેજ સ્વરુપમાં વર્ણિત હોય.
દાખલા તરીકે મૈથિલી શરણગુપ્તે સામ્રાટ અશોક ઉપર કોઈ નાટક લખ્યું હોય. કલિંગના યુદ્ધ પછીનો અશોક અને તેની પત્ની તિષ્યરક્ષિતા વચ્ચેનો કોઈ સંવાદ હોય. જરુરી નથી કે આ સંવાદ અક્ષરસઃ સાચો જ અને વાસ્તવિક હોય. એ પણ જરુરી નથી કે આ સંવાદને કારણે જ અશોકનું હૃદય પરિવર્તન થયું હોય. સંભવ છે કે આવો સંવાદ થયો પણ ન હોય. આ બધું હોવા છતાં અશોકના હૃદય પરિવર્તનની સત્યતાને આપણે નકારી ન શકીએ. અશોકના પિતાનું નામ મોટાભાગના ગ્રંથોમાં બિંબિસાર લખ્યું છે. આ વાત આપણે નકારી ન શકીએ.
મહાકાવ્યોની વાત બાજુપર રાખો. બધા પુરાણોમાં રામનો ઉલ્લેખ છે. રામના પિતા દશરથ હતા તેવો પણ બધા પુરાણોમાં ઉલ્લેખ છે. એટલું જ નહીં. તેમના વંશના બધા રાજાઓનો નામ સાથે ઉલ્લેખ છે. આ બધો ઉલ્લેખ સમાન રીતે છે. એટલે કે નામોનો ક્ર્મ પણ સમાન છે. આ બધા પુરાણો એક સાથે લખાયા નથી. આ પુરાણો એક જ જગ્યાએ પણ લખાયા નથી. આ પુરાણો એક જ વ્યક્તિએ લખ્યા હોય તેવું પણ મનાય તેમ નથી. પુરાણ સતત લખાતા ગયાં. અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા પુરાણો લખાતા ગયા. ઓછામાં ઓછું ઇસ્વીસન પૂર્વે ૧૦મી સદી થી ઇસ્વીસનની ૮ મી સદી કે બારમી સદી સુધી આ પુરાણો લખાતા રહ્યાં. વિશ્વના ઘણા ગ્રંથો આવી રીતે લખાતા રહ્યા છે.
સૌથી પ્રાચીન પુરાણ, વાયુ પુરાણ છે.
વાયુ પુરાણ સૌથી પ્રાચીન શા માટે ગણાય છે?
વાયુ પુરાણના આમ તો છ પાઠ મળે છે. જે સૌથી જુનો પાઠ છે તે અનપાણીનીયન સંસ્કૃતમાં લખાયેલો જોવા મળે છે. પાણીની સંસ્કૃત ભાષાના વૈયાકરણી હતા. પાણીની ઇસ્વીસન પૂર્વે આઠમી સદી થી ઇસ્વીસન પૂર્વે ચોથી સદીની વચ્ચે થઈ ગયા એમ પાશ્ચાત્ય ઇતિહાસકારો પણ માને છે. વાયુ પુરાણની શૈલી પણ પ્રાચીન લાગે છે. આ પુરાણમાં પણ ઉત્તરોત્તર પ્રક્ષેપ થયા છે. પ્રકરણો પણ મોટા થતા ગયા છે.
વાયુ પુરાણના પ્રાચીન પાઠમાં બુદ્ધ ભગવાનનો ઉલેખ નથી. વિષ્ણુના દશ અવતારની વાત આવે છે ખરી, પણ રામનો વિષ્ણુના અવતાર તરીકે ઉલ્લેખ નથી. સૂર્યવંશના બધા રાજાઓની વંશાવળી છે. રામનો એક બળવાન રાજા દશરથના પરાક્રમી પુત્ર તરીકે ઉલ્લેખ છે. તેમણે લંકાના રાજા રાવણને હરાવ્યો એવો ઉલ્લેખ છે. બસ આથી વિશેષ કશું નથી.
વાયુ પુરાણમાં એમ તો કૃષ્ણ ભગવાનનો પણ ઉલ્લેખ છે. કૃષ્ણને વિષ્ણુભગવાનના અવતાર પણ માનવામાં આવ્યા છે. કૃષ્ણ વિષે અર્ધું પ્રકરણ છે. વાયુ પુરાણના લેખકને કૃષ્ણ વિષે મુખ્ય વાત સ્યામંતક મણીની ચોરીનું જે આળ આવેલું તે કૃષ્ણ ભગવાને કેવીરીતે દૂર કર્યું તેની કથા લાગી છે. ટૂંકમાં લેખકને કૃષ્ણના જીવનની આ સ્યમંતક મણીની વાત જ ઉલ્લેખનીય લાગી છે. આ ઉપરાંત એમ પણ લખ્યું છે કે કંસ, વસુદેવના પુત્રોને મારી નાખતો હતો. વસુદેવના પુત્રોની નામાવલી પણ આપવામાં આવી છે. એવું લાગે છે કે તે તેમની સાથે યુદ્ધ કરીને મારી નાખતો હોય. વાયુ પુરાણમાં લખવામાં આવ્યું છે કે કંસની આવી આદતથી, વસુદેવ, પોતાના પુત્ર કૃષ્ણને તેમના મિત્ર નંદને ઘરે મુકી આવે છે.
આમ આ આખા વર્ણનમાં ન તો જેલનો ઉલ્લેખ છે, ન તો કંસ વસુદેવના પુત્રોને જન્મની સાથે મારી નાખતો હતો તેવો ઉલ્લેખ છે, ન તો વસુદેવ મધ્યરાત્રીએ તાજા જન્મેલા કૃષ્ણને યમુનાના પૂરમાં થઈને લઈ જતા હોય તેવો ઉલ્લેખ છે, ન તો યમુના તેમને જગ્યા કરી દેતી હોય તેવો ઉલ્લેખ છે, ન તો નંદને ઘરે પુત્રી જન્મ્યાનો ઉલ્લેખ છે, ન તો કોઈ બચ્ચાંના આદાન પ્રદાન નો ઉલ્લેખ છે. ન તો રાધાઓ કે ગોપીઓનો ઉલ્લેખ છે, ન તો કોઈ બીજા ચમત્કારોનો ઉલ્લેખ છે. એક વાત ચોક્કસ લખી છે કે કૃષ્ણ ભગવાનને વિષ્ણુના અવતાર માનવામાં આવ્યા છે. સાથે સાથે તેમના મોટાભાઈ બળદેવ પણ વિષ્ણુભગવાનના અવતાર માનવામાં આવ્યા છે.
ત્રીજી સૌથી મહત્વની વાત એ છે કે અનેક શ્લોકોમાં બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર ને બદલે બ્રહ્મા, વિષ્ણુ અને અગ્નિ એ રીતે ત્રણ દેવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુરાણનો આરંભ જ મહેશ ઈશાન (રુદ્ર) ની સ્તૂતિ થી કરવામાં આવ્યો છે. વેદોમાં અગ્નિનું નામ ઇશાન પણ છે. મહો દેવો (“મહઃ દેવઃ … સો મહો દેવો મર્ત્યાં આવિવેશ” ઋગ્વેદમાં નો અગ્નિનો એક શ્લોક). કહેવાનું તાત્પર્ય એ છે કે વાયુપુરાણમાં અગ્નિ, રુદ્ર, વિશ્વદેવ, મહાદેવ, મહેશ ની એકસુત્રતા સ્પષ્ટ જોવા મળે છે. તેથી જ ઇશ્વરની બાબતમાં ભારતીય શાસ્ત્રીઓએ કશા વિરોધાભાષો જોયા નથી.
“ … ક્ષોભયામાસ યોગેન પરેણ પરમેશ્વર …. રજો બ્રહ્મા, તમો અગ્નિ, સત્વો વિષ્ણુરજાયત …. એત એવ ત્રયો લોકા, એત એવ ત્રયો ગુણા, એત એવ ત્રયો વેદા, એત એવ ત્રયોગ્નયઃ”. પરમેશ્વર પોતાની માયારુપી પ્રકૃતિ રુપી અંડમાં પ્રવેશ કરી તેને ક્ષોભિત કરે છે અને રજસ તમસ અને સત્વગુણ રુપી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. આ જ ત્રણ લોક છે, આ જ ત્રણ ગુણો છે, આજ ત્રણ વેદ છે આજ ત્રણ અગ્નિઓ છે.
આ પ્રમાણે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રને અગ્નિના ત્રણ રુપ માનવામાં આવ્યા છે. એમ કહ્યું છે કે પરમેશ્વરના (શિવના) ત્રણ અગ્નિઓ છે. શિવને ત્રીમૂર્ત્તિ પણ કહેવાય છે.
“એત એવ” જેવા અનેક શબ્દ પ્રયોગો વાયુપુરાણમાં મળી આવે છે. આ અનપાણીયન શબ્દ પ્રયોગ છે. પાણીનીયન શબ્દ પ્રયોગ “એષઃ એવ” છે.
તમે કહેશો આમાં રામના ઐતિહાસિકપણાની વાત ક્યાં આવી?
(ચાલુ)
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ રામ, દશરથ, રાવણ, કૃષ્ણ, સ્યમંતક મણી, ચોરીનું આળ, કંસ, વસુદેવ, આર્ય, દ્રવિડ, આર્ય, વિચરતી જાતિ, પ્રણાલી, શિવ, અગ્નિ, પરમેશ્વર, પ્રાચીન, ત્રિમૂર્તિ, ચમત્કાર, ઇતિહાસ, રસપ્રદ
આર્ય અને અનાર્ય વચ્ચેનો ભેદ એ સંશોધન કે વિતંડાવાદ
Posted in માનવીય સમસ્યાઓ, tagged અગ્નિ, અપભ્રંશ, આગમન, આનાર્ય, આર્ય, ઇતિહાસકાર, તમસ, થીયેરી, પાશ્ચાત્ય, પુરાણ, પ્રણાલી સંસ્કૃતિ, બ્રહ્મ, બ્રાહ્મણ, ભાષા, માન્યતા, મૂળ શબ્દ, મેકોલે, મેક્સ મુલર, રજસ, રુદ્ર, વાયુ, વિષ્ણુ, શાસ્ત્ર, સત્વ, સિદ્ધાંત, સુર્ય on May 24, 2014| Leave a Comment »
આર્ય અને અનાર્ય વચ્ચેનો ભેદ એ સંશોધન કે વિતંડાવાદ
આર્યોનું આગમન અને અનાર્ય સંસ્કૃતિનું પતન કે પરાજય અને નાશ એવા કોઈ સિદ્ધાંતને પુરસ્કૃત કરીએ ત્યારે એક પ્રશ્ન એ પણ ઉત્પન્ન થાય કે, એવું તે કયું અવલોકન કે અવલોકનો છે જે આપણને આવી કોઈ માન્યતાને જન્મ આપવાની જરુર પાડે?
નવી માન્યતાનું આગમન અને નવા સવાલોના જવાબ
નવા સિદ્ધાંતને કે નવી માન્યતાને રજુ કરવામાં આવે ત્યારે તે નવો સિદ્ધાંત કે જે માન્યતા રજુ થાય તેની સામે પણ ઘણા પ્રશ્નો ઉભા થાય છે. અને તે પ્રશ્નોના પણ સચોટ ઉત્તર આપવા પડે અને તેનું પણ સમધાન કરવું પડે. ભારતના ઈતિહાસ માટે નવ્ય માન્યતાઓ (પાશ્ચાત્ય વિદ્વાનો દ્વારા ૧૮૦૦ અને તે પછી) રજુ થવા માંડી. પણ આ નવી માન્યતાઓની કે સિદ્ધાંતોની જે થીયેરીઓના કારણે જે વિરોધાભાષો ઉત્પન્ન થાય છે તેના જવાબો આ થીયેરીના પુરસ્કરતા/ઓ આપતા નથી, અથવા ઉડાઉ જવાબો આપે છે.
આપણા પુરાણો કે જે ઈ.પૂ. ૭૦૦ થી ઈ.સ. ૧૨૦૦ ના ગાળામાં લખાયેલા હશે એમ માનવામાં આવે છે તેમાં પણ આર્ય અનાર્યના ઉલ્લેખો નથી. હા ગ્રીક (યવન), શક, હુણ, પહલવ, મ્લેચ્છ વિગેરેના આક્રમણોના ઉલ્લેખો છે.
જેણે શોધી તેણે જ રદ કરી
અંગ્રેજો આવ્યા અને તેમણે ભારતમાં પોતાની શિક્ષણ પ્રણાલી સ્થાપી તે પહેલાં, ક્યારેય કોઈએ પણ, આવી આર્યો અને અનાર્યોની અલગ અલગ જાતિવાદી કે અને સંસ્કૃતિવાળી વાતો કરી ન હતી. મેકોલે એ લખ્યું છે કે જો ભારત ઉપર રાજ કરવું હશે તો તેમને બૌદ્ધિક રીતે ગુલામ બનાવવા પડશે. મેક્સ મુલરે સંસ્કૃતનો અભ્યાસ કરેલ. અને તેણે એવું પ્રતિપાદિત કરવાની કોશિસ કરવાના પ્રયત્નમાં આર્યન ઈન્વેઝન થીયેરી રજુ કરી. પણ તેણે પોતાની જીંદગીના અંતિમ વર્ષોમાં તેની આ થીયેરીને રદ કરેલ. પણ આ વાતને પાશ્ચાત્ય ઇતિહાસકારો લક્ષમાં લેતા નથી. આ એક આશ્ચર્યની વાત છે.
ભાષા શાસ્ત્રઃ
“સ” નો અપભ્રંશ “હ” થાય છે. “શું” નો અપભ્રંશ “હું” થાય. તો પહેલાં મૂળ શબ્દ બને કે પહેલાં અપભ્રંશ બને?
“સ્ટેશન”નો અપભ્રંશ “સટેશન” થાય અને “અસ્ટેશન” કે “ઈસ્ટેશન” પણ થાય.
“સ”નો અપભ્રંશ “અસ” પણ થાય અને “અસ”ન અપભ્રંશ “અહ” પણ થાય.
“સુર” નું “હુર” પણ થાય અને “અહુર” પણ થાય. “હ” નો અપભ્રંશ “સ” ન થાય. “સુર” શબ્દ મૂળ શબ્દ છે. તે તેના અપભ્રંશ “હુર”નો પૂરોગામી છે. એટલે “સુર” શબ્દ જે સંસ્કૃતમાં છે તે “હુર” કે “અહુર” કે જે પર્સીયનમાં છે તેના કરતાં વધુ જુનો છે. એટલે જે પ્રજા “સુર” બોલતી હોય તે પ્રજા “હુર” કે “અહુર” બોલતી પ્રજાની પૂરોગામી કહેવાય.
તેનો અર્થ એ નિકળી શકે કે જેઓ ભારતમાંથી ઇરાન ગયા તે કાળક્રમે અપભ્રંશમાં “હુર” કે “અહુર” બોલતા થયા. આ વિરોધાભાસ હોવા છતાં પણ એમ કહેવામાં આવે છે કે આર્યો મધ્ય એશિયામાંથી નિકળી ઈરાનમાં રોકાયા અને તેમાંથી ભારત આવ્યા.
આર્યો અહીં આવ્યા ત્યારે તે વખતે અહીં અનાર્યોની સુગ્રથિત સંસ્કૃતિ હતી.. અનાર્યો કાળા હતા. આર્યો ઘઉંવર્ણા હતા. ઉત્તર ભારતીયો આર્યો અને દક્ષિણ ભારતીયો દ્રવિડ. જો કે ઉત્તર ભારતીયો લાંબા છે. દક્ષિણ ભારતીયો સરખામણીમાં ટૂંકા છે. પણ અનાર્યો (અસુરો) વિશાળ અને ઉંચા હતા. આ વિરોધાભાસ ની ચર્ચા “આર્યન ઈન્વેઝન થીયેરી વાળા કરતા નથી.
પુરુષ પ્રધાન અને સ્ત્રી પ્રધાન સંસ્કૃતિ
માતૃપ્રાધાન્ય સંસ્કૃતિ અનાર્યોની અને પિતૃપ્રાધાન્ય સંસ્કૃતિ આર્યોની એમ કહી ન શકાય. સંભવ શું વધુ છે. જે શરીર છે તે સ્ત્રીના અંડના વિકાસ થી થયેલું છે. શુક્ર કણ, અંડના સંપર્કમાં આવે એટલે નવો મનુષ્ય બને. અર્ધમાનવમાંથી જ્યારે માનવ બન્યો તો લાંબા સમય સુધી મનુષ્ય જાતિને ગર્ભધારણના રહસ્યની ખબર નહતી. તેથી પ્રારંભ કાળે બધી સંસ્કૃતિઓ માતૃ પ્રધાન જ હતી. કારણકે સ્ત્રી જ નવો મનુષ્ય પેદા કરતી હતી. તેથી તે માનને લાયક બની.
મનુષ્ય બીજા પ્રાણીઓથી શા માટે જુદો પડે છે? માણસનું મગજ છે તે વિચારી શકે છે અને યુક્તિઓ કરી શકે છે. આ મગજના કારણથી મનુષ્ય બીજા પ્રાણીઓથી જુદો પડે છે. આ મગજ તેને સ્ત્રીના અંડને કારણે મળ્યું છે. એટલે જે અર્ધમાનવમાંથી આકસ્મિકરીતે માનવ વ્યક્તિ પેદા થઈ તે માનવ સ્ત્રી હતી. તેથી લાંબા સમય સુધી સ્ત્રીઓ વધુ બુદ્ધિશાળી રહી. અને તે પૂજ્ય રહી. કાળક્રમે પુરુષ પ્રધાન સંસ્કૃતિ થઈ.
મથુરાના કૃષ્ણ કાળા હતા. શું કૃષ્ણ અસુર હતા? અયોધ્યાના રામ પણ કાળા હતા. રાવણનો જન્મ હરીયાણામાં થયેલો (તે પંજાબી હતો). કૃષ્ણે ઇન્દ્રની ઉપાસનાનો વિરોધ કર્યો. તેમણે ગોવર્ધનની પૂજાની વાત કરી..
“ગો” એટલે ગાય. (આમ તો સંસ્કૃતમાં ગૌ એટલે આપણે જે પ્રાણીઓ પાળીએ છીએ અને તેની ઉપર નભીએ છીએ તે બધા શાકાહારી પ્રાણીઓ ગૌસૄષ્ટિમાં આવે).
હવે વર્ધન ઉપર આવીયે.
“વર્ધન” શબ્દનો અર્થ કાપવું એવો થાય ખરો. પણ તે પર્સીયન ભાષામાં થાય છે. ઋગ્વેદમાં વર્ધન શબ્દ હમેશા “વૃદ્ધિ” ના અર્થમાં વપરાયો છે (રેફરન્સ સંસ્કૃત-અંગ્રેજી શબ્દકોષ સર એમ મોનિઅર-વીલીઅમ).
દરેક જાતિની સાથે કોઈને ને કોઈ માન્યતા અને પ્રણાલીઓ હોય છે. તેમાં ઈશ્વર, આત્મા અને જગત પણ આવી જાય છે. આદિ શંકરાચાર્યે ઘણા વાદવેત્તાઓ સાથે ચર્ચાઓ કરી તેમાં કોઈ આર્ય અને અનાર્ય ની તાત્વિક વિચારધારા દૃષ્ટિગોચર થતી નથી. જો આર્ય અને અનાર્ય તે કોઈ જન જાતિ હોય, તો તે કારણસર તેમના વાદ પણ જીવિત તો હોય જ. કોઈપણ વાદ એમ તાત્કાલિક કે લાંબા ગાળે મરતો નથી. તે બદલાય છે, જુનો પણ વત્તા ઓછા પ્રમાણમાં ચાલુ રહે છે, કમસે કમ તેની વિગતો ઐતિહાસિક રીતે નષ્ટ થતી નથી. નવો પણ ચાલુ રહે છે. અને કેવી રીતે ક્યારે કેવો બદલાવ આવ્યો તે પણ તેમાં અપ્રચ્છન્ન હોય છે. યહુદીઓનું ટોરાટ હતું. બાયબલ આવ્યું. ટોરાટ ચાલુ રહ્યું. બાયબલમાં ટોરાટનો ઉલ્લેખ છે. કુરાન આવ્યું. કુરાનમાં બાયબલનો ઉલ્લેખ છે અને ટોરાટનો પણ.
યહુદીનો ધર્મ હતો. તે ચાલુ રહ્યો અને ખ્રીસ્તી ધર્મ આવ્યો. તે પણ ચાલુ રહ્યો અને ઇસ્લામ આવ્યો. પણ તેઓ કેવી રીતે આવ્યા અને પહેલાં શું હતું તે ઉપલબ્ધ રહે છે. પછીનામાં ઉલ્લેખિત હોય છે.
ઋગવેદમાં નથી પણ પૂરાણોમાં છે.
એટલે કે
પિતા પોતાના પિતા વિષે જાણતા નથી પણ પૌત્ર તેના પ્રપિતા વિષે જાણે છે.
જો ઈરાનમાં કે પર્સિયામાં અવેસ્થા હોય. અને આર્ય ત્યાંથી આવ્યા હોય તો, અવેસ્થા ની વાત જવા દઈએ તો પણ ઈરાન, પર્સિયા નો ઉલ્લેખ તો હોવો જ જોઇએ. ઋગ્વેદમાં ભારતની બહારના કોઈ પણ પ્રદેશની અને તેના નામની વાતનો ઉલ્લેખ નથી. વાસ્તવમાં આવો ઉલેખ હોવો જ જોઇએ. કારણ કે તેમને માટે તે નજીકનો ભૂતકાળ હતો.
તેનાથી ઉંધું છે. જુના પુરાણોમાં ભારતની પશ્ચિમ, પૂર્વ, ઉત્તર અને દક્ષિણના પ્રદેશોનો ઉલ્લેખ છે.
વેદ કોનો છે?
ઋગવેદ સૌથી જુનો છે. તેનાથી જુનું કોઈ પુસ્તક નથી. આ પુસ્તકને યથા કથિત આર્યોનું માનવું કે યથા કથિત અનાર્યોનું માનવું?
જ્યારે આપણે કોઈ સિદ્ધાંત (થીયેરી) પ્રસ્થાપિત કરવો હોય ત્યારે, સૌ પ્રથમ એ કહેવું પડે કે આ સિદ્ધાંતની જરુર શા માટે પડી?
સાત ઋષિઓ હતા કે દશ ઋષિઓ હતા. તેમાંના ભૃગુ એક ઋષિ હતા અને આ ભૃગુ ઋષિ અગ્નિને લઈને આવ્યા. આવો એક ઉલ્લેખ ઋગવેદમાં છે તેમ શ્રી ભવસુખભાઈ ઉલ્લેખ કરે છે.
શું તેમાંથી એવું તારણ નિકળી શકે કે આ ઉલ્લેખ એવું સિદ્ધ કરે છે કે આર્યો ભારતની બહાર થી આવ્યા? અગ્નિ તો મુખ્ય દેવ છે. અગ્નિ વગર યજ્ઞ થઈ જ ન શકે. ઋગ્વેદની શરુઆત જ અગ્નિની સ્તૂતિ થી થાય છે. ઋગ્વેદનું પ્રથમ મંડળ જુનામાં જુનું ગણાય છે. અગ્નિનો શ્લોક જુનામાં જુનો એટલે કે ૬૦૦૦ વર્ષ જુનો ગણાય છે.
વેદોમાં તત્વજ્ઞાન નિહિત છે. વેદ આમ તો એક જ છે. પણ જે ઋચાઓ યજ્ઞને લગતી છે તેને અલગ કરી અને તે યજુર્વેદ કહેવાયો. જે ઋચાઓ ગેય હતી તેને સામવેદ કહેવાયો. આમ ત્રણ વેદ કહેવાયા. ચોથો વેદ આવ્યો તે પહેલાં પણ ઘણા વાદો પ્રચલિત હતા. જુદા જુદા વાદોનું કારણ જુદી જુદી જાતિઓને કારણે જ હોઈ શકે તેવું ન માની શકાય. જેમ અર્થશાસ્ત્ર માં અનેક વાદ હોય છે. તેને જાતિવાદ સાથે કશો સંબંધ નથી.
સંપર્કને લીધે શબ્દ ભંડોળ વધે છે.
સંસ્કૃતમાં “જવું” એ ક્રિયાપદમાટે ઓછામાં ઓછા ૧૬ ક્રિયાપદના શબ્દો છે. દરેકને “જવા (ટુ ગો)” માટે વપરાય. પણ જવું ક્યાં એક જાતનું હોય છે?
જેઓ સમૂદ્ર કિનારે રહેતા હતા તેઓમાંના કેટલાક સમૂદ્ર માર્ગે વેપાર કરતા થયા. તેમણે જોયું કે જ્યારે સૂર્ય આકાશમાં દૃષ્યમાન હોય છે ત્યારે સમૂદ્ર શાંત હોય છે. આ સૂર્ય ને તેના માર્ગમાંથી કોઈ ચલિત કરી શકતું નથી. તોફાનો આવે છે અને જાય છે. આ સૂર્ય તેના પથ ઉપર અચળ છે. તેથી આ સૂર્ય મૂળ દેવ છે. તેઓ સૂર્યના ઉપાસક થયા. ઈજીપ્ત, થી જાપાન સુધી સૂર્યની ઉપાસના થાય છે. તેના અવતારો થાય છે.
આ ગરમી છે તે જ આપણો આધાર છે તેમ પણ માનવ જાતને લાગ્યું. આ ગરમી, અગ્નિમાંથી મળે છે. સૂર્યમાં પણ અગ્નિ છે. માટે મૂળ દેવ અગ્નિ હોવો જોઇએ. આસામથી તીબેટ થઈ ભારતથી ઈરાન સુધી અગ્નિની ઉપાસના થતી. ઋગ્વેદમાં અગ્નિ અને સૂર્ય બંનેની સ્તુતિઓ છે. અગ્નિની સ્તુતિઓ સૌથી વધુ છે. બીજા નંબરે ઈન્દ્રની છે. સૂર્યઃ અસૌ અગ્નિઃ સૂર્યાગ્નિ, ઈન્દ્રઃ અસૌ અગ્નિઃ ઈદ્રાગ્નિ, મરુતઃ અસૌ અગ્નિઃ મરુતાગ્નિ રુદ્રઃ અસૌ અગ્નિઃ રુદ્રાગ્નિ. આમ જે રીતે બે જોડકાની રુચાઓ મળે છે તે એક બીજાનું ઐક્ય પ્રદર્શિત કરે છે. કારણ કે વેદમાં એક જ દેવ છે. આ દેવ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયો (તેથી તે બ્રાહ્મણ કહેવાયો) અને તેણે બીજા દેવોને ઉત્પન્ન કર્યા. તે દેવોનો પુરોહિત છે અને તે મહઃ દેવઃ (મહોદેવઃ) છે તે અગ્નિછે. તેનું વાહન વૃષભ છે (કારણ કે યજ્ઞના અગ્નિના લાકડા વૃષભ લાવે છે). તેને બે મુખ છે એક રૌદ્ર અને એક શાંત. અગ્નિ અને શિવની એકરુપતાના હજારો ઉદાહરણો છે. તેવું જ સૂર્ય અને વિષ્ણુનું છે.
વેદ થી શરુ કરી ઉપનિષદો અને જુના પુરાણો તરફ જઈએ તો શિવ (વિશ્વમૂર્ત્તિ) અને અગ્નિની એક સૂત્રતા અને એકાત્મતા અવગણી શકાય તેમ નથી. ટૂંકમાં વિષ્ણુની પૂજા સૂર્યમાંથી નિસ્પન્ન થઈ છે અને અગ્નિમાંથી શિવની પૂજા નિસ્પન્ન થઈ. આ એક સૂત્રતા ફક્ત સિદ્ધ કરી શકાય છે એટલું જન નહીં પણ અનુભવી શકાય પણ છે.
આપણને ત્રયીનો ઉલ્લેખ વારંવાર જોવા મળેછે. ત્રયી એટલે ત્રણ દેવ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ(રુદ્ર). પણ વાયુ પુરાણમાં એવા અનેક શ્લોક છે જે બ્રહ્મા, વિષ્ણુ અને અગ્નિ એમ દર્શાવે છે.
રજો બ્રહ્મા તમો અગ્નિ, સત્વં વિષ્ણુરજાયતઃ (તે ઈશ્વરે રજો ગુણી બ્રહ્મા, તમો ગુણી અગ્નિ અને સત્વગુણથી વિષ્ણુ ઉત્પન્ન કર્યા) (વાયુ પુરાણ ૫-૩૪-૧૪)
સત્વો પ્રકાશકો વિષ્ણુ, રૌદ્રાસિન્યે વ્યવસ્થિતઃ
એત એવ ત્રયો લોકા એત એવ ત્રયો ગુણા, એત એવ ત્રયો વેદા એત એવ ત્રયોગ્નયઃ
(આ જ ત્રણ લોક્માં ત્રણ ગુણ છે ત્રણ વેદ અને તેઓ જ ત્રણ અગ્નિ છે)
(વાયુ પુરાણઃ અધ્યાય ૫, સુક્ત ૩૪ ઋચા ૧૫-૧૭)
ભારતીય સંસ્કૃતિમાં તાત્વિક ભેદ શું પડ્યા?
જેઓ વેદ સમજ્યા,
જેઓ વેદ અધૂરા સમજ્યા
અને
જેઓ વેદ ન સમજ્યા.
પણ આ વેદ છે શું?
હિન્દુઓમાં વેદોનું પારવિનાનું મહત્વ છે. વેદ એટલે ઈશ્વરની વાણી. વેદ એટલે પરમ સત્ય. વેદ એટલે બધા પ્રશ્નોનું સમાધાન, વેદ એટલે આદર્શ સમાજ. વેદ એટલે જ્ઞાનનો સંપૂટ. વેદોનું આ મહત્વ હિન્દુઓમાં કાયમ રહ્યું છે. ઉપનિષદોએ, પુરાણોએ અને તત્વવેત્તાઓએ વેદોને પ્રમાણ માન્યા છે. આદિ શંકરાચાર્યે વેદોના આધારે અદ્વૈતનો સિદ્ધાંત પ્રસ્તૂત કર્યો. અદ્વૈતના સાર અને તેમાં રહેલા વૈજ્ઞાનિક તથ્ય માટે “અદ્વૈતની માયા જાળ અને આઈન્સ્ટાઈન ભાગ – ૧ થી ૫” મારા બ્લોગ ઉપર વાંચવા. (ત્રીનેત્રમ્વર્ડપ્રેસડૉટકૉમ ઉપર)
આ વેદોમાં પ્રાકૃતિક શક્તિઓની સ્તુતિઓ ઉપરાંત બીજું ઘણું પડ્યું છે. જે સ્તૂતિઓ દેખાય છે તેતો તત્વ જ્ઞાનની કવિતાઓ છે.
શું ભારતીયોને ઇતિહાસ લખતાં આવડતો નથી?
ભારતમાં પોતાની બાર પેઢીઓ, ગોત્ર, શાખા, કુળ દેવ ઈષ્ટ દેવ (શિવ), ગણેશ, કુળદેવી, વિગેરે બોલવા એ પૂજા વિધિમાં પ્રણાલી છે.
બીજીવાત. જ્યારે મૂદ્રણ કળા વિકસી ન હતી, ત્યારે એક એવી પ્રણાલી હતી કે જે કંઈ ભણ્યા હોય તેની એક નકલ તમાલપત્ર કે એવા કોઈ પણ માધ્યમ ઉપર લખવી. જો કંઈક યાદ રાખવાનું હોય તો તે પદ્યમાં હોય તો યાદ રાખવું સહેલું પડે. આ પણ પુરતું નથી. તેથી તેમાં રુપકો અને દંતકથાઓ ઉમેરવામાં આવે. ભારતમાં ઇતિહાસ આ રીતે પુરાણો દ્વારા લખાયો અને સચવાયો. આ એક ભારતીય શૈલી છે. ઈતિહાસને અમર રાખવા માટે તેને આવી લોકભોગ્ય શૈલીમાં રખાયો. ઈતિહાસ જાણવા માટે પુરાણોને આધાર ગણવા જ પડે. યાદ રાખવાની યુક્તિઓમાં આ યુક્તિ આપણે ત્યાં આપણા પૂર્વજોએ શોધી જ કાઢેલી છે.
સર્ગસ્ચ પ્રતિસર્ગસ્ચ વંશો મન્વાતરાણિ ચ, વંશાનં ચરિતં ચેતિ, પુરાણં પંચ લક્ષણમ્ ( વાયુ પુરાણ ૪-૨૬-૧૦) (સર્ગ, પ્રતિસર્ગ, મન્વંતર, વંશ અને વંશીઓની જીવન કથા એજ પુરાણના પાંચ લક્ષણો છે). આને તમે ઈતિહાસ નહીં કહો તો શું કહેશો?
કોણ પહેલા અને કોણ પછી?
આમ તો કોણ પહેલાં થયું અને કોણ પછી થયું તે માટે પૂરાતત્વના અવશેષોને આધાર માનવામાં આવે છે.
હવે તમે જુઓ. કૃષ્ણના મંદિરના અવશેષો રામના મંદિરના અવશેષો કરતાં ઘણા જ વધુ જુના છે. તો કોણ પહેલાં થયું? કૃષ્ણ, રામની પહેલાં થયા કે રામ, કૃષ્ણની પહેલાં થયા?
પૂરાતત્વના અવશેષોના આધારે જો જોવામાં આવે તો રામની પહેલા કૃષ્ણ થયા ગણાય.
જો તમે પુરાણોને અવગણો અને જો પૂરાતત્વના અવશેષોને જ આધાર માનો તો તમે ખોટા ઐતિહાસિક તારણ ઉપર આવો છો.
ઈતિહાસમાં સંશોધન માટે ફક્ત અવશેષો મુખ્ય નથી. પુરાતન સાહિત્ય, ભાષાશાસ્ત્ર, પ્રણાલીઓ અને માન્યતાઓ પણ એટલા જ મહત્વ ના છે.
હવે જુઓ કે મજાની વાત. એક બાજુ અસુરો, દાનવો, દૈત્યો, રાક્ષસો, નાગ, છે. ક્યાંક પિતરો છે. વચ્ચે માનવો, વાનરો છે. વચ્ચે ક્યાંક ભૂત, પીશાચ, પ્રેત છે. બીજી બાજુ, સુરો, દેવો, ગાંધર્વો (યાદ કરો ઐતિહાસિક યુગમાં થયેલ કાલીદાસનું મેઘદૂત), યક્ષો, અને કિન્નરો છે. પણ ઇતિહાસકારો અસુરો, દાનવો, દૈત્યો, રાક્ષસો ને એક લાકડીએ હાંકે છે. વાનરોને વાંદરા ગણી તેમની વાતો કપોળ કલ્પિત ગણે છે. તે જ પ્રમાણે બીજા બધા પણ એવા જ છે. મજાની વાત એ છે કે, મૃત્યુ લોક (માનવ લોક) નાગલોક, પિતૃલોક, દેવલોક, ગાંધર્વલોક છે. પણ ઉપરોક્ત માંના બાકીનાના કોઈ લોક નથી.
જે કથાઓ, વંશાવલીઓ, દરેક પુરાણોમાં અને પ્રણાલીઓ એક સરખી રીતે અને સાથે વણાયેલી હોય, જેમકે ચંદ્ર વંશ, સૂર્યવંશ, નાગ લોક, ભૂવન વિન્યાસ, સમૂદ્ર મંથન, ગંગાવતરણ, દક્ષ યજ્ઞ ધ્વંશ, કુબેર, કામ દહન, કામરુપ વિગેરે બધું ઉપેક્ષાત્મક નથી પણ સંશોધનાત્મક છે.
જોકે ભવસુખભાઈની પ્રમાણિકતા વિષે શંકા ન સેવી શકાય. જેને જે વધુ વિશ્વસનીય લાગે તેને તે સ્વિકારે. વિચાર વિનિમય થાય તો સત્યની નજીક પહોંચાય. આર્યન ઇન્વેઝન થીયેરી ની વિરુદ્ધમાં અને ભારતીય તત્વશાસ્ત્ર અને વિદ્યાશાસ્ત્રોમાં રહેલી ગુઢ ભાષા વિષે પુસ્કળ સાહિત્ય હવે તો ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે. તેથી મારે કશું લખવું જોઇએ એવી લખવાની ઈચ્છા થતી નથી.
મારો આ લેખ ભવસુખ ભાઈનો આર્ય અનાર્ય વિષેના પુસ્તકમાંથી જે અંશ પ્રદર્શિત થયો તેના ઉપરથી સ્ફુરેલો છે.
શિરીષ મોહનલાલ દવે