Feeds:
Posts
Comments

Posts Tagged ‘અહિંસા’

સ્વાવલંબન શું નિરપેક્ષ છે?

સ્વાવલંબન શું નિરપેક્ષ છે?

આપણે સૌ જાણીએ છીએ કે આઈન્સ્ટાઈને સાપેક્ષ વાદ શોધ્યો. એટલે સામાન્ય રીતે કેટલાક મૂર્ધન્ય સહિતના લોકો, સાપેક્ષવાદને ભૌતિક શાસ્ત્રનો વિષય સમજે છે.

આમ તો સમાજ શાસ્ત્રના નિયમો પણ સાપેક્ષ હોય છે. જેમકે ગાંધીજીએ અહિંસાને પણ સાપેક્ષ જ ગણાવેલી. એટલે કે ઓછામાં ઓછી હિંસા એટલે અહિસા.

આઇન્સ્ટાઈનની બીજી પણ એક થીએરી હતી તે “યુનીફાઈડ ફીલ્ડ થીએરી” હતી.

સંભવ છે કે આ થીએરી આઈન્સ્ટાઈને આદિ શંકરાચાર્યની અદ્વૈતવાદ માંથી કલ્પી હોય. આ અદ્વૈતવાદ, શંકરાચાર્યે વેદોમાંથી પુનર્‍પ્રસારિત કર્યો હતો એમ તેઓ કહેતા હતા.

અદ્વૈતવાદ આમ તો પ્રચ્છન્ન “યુનીફાઈડ થીએરી ઓફ એન્ટીટી” હતો.

આઈન્સ્ટાઈન પોતાની આ થીએરીને સિદ્ધ કરી શક્યા ન હતા. શંકરાચાર્ય અદ્વૈત વાદને સિદ્ધ કરવામાં માનતા ન હતા. પણ તેમણે તે સમયના અસ્તિત્ત્વ ધરાવતા બધા જ વાદોને પરાજિત કર્યા હતા. પણ આપણે આ બધી વાતો  નહીં કરીએ.

સ્વદેશી

મોદી સાહેબે કહ્યું કે આપણે સ્વદેશી ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. ઉત્પાદન આપણે આપણા દેશમાં જ કરીએ અને વિદેશો ઉપર અવલંબન ન રાખીએ. મેક ઈન ઈન્ડિયા નો સિંહ યાદ કરો.

આમ તો ગાંધીજી પણ સ્વદેશી માં માનતા હતા. તેમણે ખાદી અને ગ્રામોદ્યોગોને મહત્વ આપ્યું હતું. જોકે તે વખતે કેટલાક મહાનુભાવોએ તેનો વિરોધ કરેલ. પણ જ્યારે સ્વદેશીના પ્રચારથી જે જનજાગૃતિના પરિણામો આવ્યા તે પછી આ મહાનુભાવોએ તેનો વિરોધ બંધ કરેલ.

આજના જમાનામાં જો મૂર્ધન્યો, સ્વદેશીનો ગાંધીજીના નામ હેઠળ વિરોધ કરે તો તો ભારે ટીકા થાય. કારણકે જમાનો બદલાઈ ગયો છે. કેટલાક મોડર્ન બાવાઓ સ્વદેશી અને અહિંસાનો વિરોધ કરે છે. પણ તેમની વાત આપણે અહીં  નહીં કરીએ. પણ જો કોઈ “તડ અને ફડ”વાળા સુપર વાર્ધક્યમાં પહોંચેલાને જો “સ્વદેશી”નો વિરોધ કરવો હોય તો કેવી રીતે કરે?

નરેન્દ્ર મોદીને ભાંડવાની ફેશન હજુ આઉટ ઓફ ડેટ થઈ નથી, એમ ઘણા લોકો માને છે. આપણા તડ-ફડવાળા મૂર્ધન્ય તેઓમાંના એક હોય એવું લાગે છે.

જો બાવા બન્યા હૈ તો હિન્દી તો બોલના પડેગા. એ નાતે, તટસ્થ બન્યા હૈ તો મોદી કે વિરુદ્ધ તો કભી ન કભી તો બોલના હી પડેગા.

“સ્વદેશી” ભલે ગાંધીજીએ પુરસ્કૃત કરેલો આઇડિયા હોય. પણ આર.એસ.એસ.વાળા પણ સ્વદેશીમાં માને છે. જો કે તેઓ કેટલી ખાદી પહેરે છે કે પહેરતા હતા તેની આપણે ચર્ચા નહીં કરીએ. પણ નરેન્દ્ર મોદી તો ખાદીમાં અને ગૃહ ઉદ્યોગમાં માને છે. સખી મંડળો કરોડો રુપીયાનો ટર્ન ઓવર કરે છે.

સ્વદેશી એટલે શું?

“સ્વદેશી” પણ અહિંસાની જેમ સાપેક્ષ છે. વિદેશમાં થયેલા ઉત્પાદનની સાપેક્ષે દેશમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. બંગાળમાં થયેલા ઉત્પાદનની સાપેક્ષે ગુજરાતમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. સૂરતમાં થયેલા ઉત્પાદનની સાપેક્ષે ભાવનગરમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. વડવા માં થયેલા ઉત્પાદનની સાપેક્ષે કોબડીમાં રહેતા માણસો માટે કોબડીમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. કોબડીમાં થયેલા ઉત્પાદન કરતાં તમારા ઘરમાં જ થયેલું ઉત્પાદન સ્વદેશી છે. પણ ઉત્પાદિત આઈટેમ એ જ હોવી જોઇએ. એટલે ગાંધીજી પૂછતા કે તમે કેટલા ગામોને ખાદી પહેરતા કર્યા એટલે કે ખાદી માટે સ્વાવલંબી કર્યા.

“જે વસ્તુ તમારા દેશમાં ન બનતી હોય કે ન બની શકતી હોય, તમે તેને વિદેશથી આયાત કરી શકો છો.” એમ ગાંધીજી કહેતા.

પણ કઈ વસ્તુનું સ્વદેશી કરણ કરવું તે તેની માંગ ઉપર અવલંબે છે.

મોરારજી દેસાઈની જનતા પાર્ટી અને ઇન્દિરાની કોંગી

ઇન્દિરા ગાંધી પોલીયસ્ટર યાર્નમાંથી ગૃહૌદ્યોગ દ્વારા કાપડ તયાર કરવામાં માનતાં ન હતાં. પણ મોરારજી દેસાઈ પોલીયસ્ટર ખાદીમાં માનતા હતા.

વિકસિત દેશો તેમના ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો ને ભંગારમાં નાખતા હતા ત્યારે ઇન્દિરા ગાંધી દેશમા ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો બનાવતી, અને આયાત પણ કરતી હતી. ૧૯૭૭માં જનતા પાર્ટીના જોર્જ ફર્નાડીસે ડીજીટલ ઇલેક્ટ્રોનીક્સ ટેલીફોન એક્સચેન્જનું ટેક્નોલોજી ટ્રાન્સફર સહિત નું ગ્લોબલ ટેન્ડર બનાવ્યું અને બહાર પણ પાડ્યું. જનતા પાર્ટીની સરકાર પડી ગઈ. પણ આ ટેન્ડરમાં પરોઠા પગલાં ભરવા શક્ય ન હતું તેથી ૧૯૮૦-૮૨માં આ ટેન્ડરોને ઇવેલ્યુએટ કરી ફ્રાન્સની અલ્કાટેલ કંપનીની તરફેણમાં ફાયનલ કરેલ અને તેને ૪૦/૬૦ લાખ લાઈન ટેલીફોન એક્સચેન્જ માટેના ઓર્ડર આપેલ. ૧૯૮૩ની શરુઆતથી જ વર્લી-મુંબઈમાં તેનું ઇન્સ્ટોલેશન પણ ચાલુ થઈ ગયેલ.

યાદ રાખો, તે વખતે આપણા રાજિવ ભાઈ કે તેના મિત્ર સામ પિત્રોડાજી, ક્ષિતિજ ઉપર પણ ક્યાંય દેખાતા ન હતા. ઈલેક્ટ્રોનિક ક્રાંતિના બીજ તો ૧૯૭૯-૮૦મં અંકૂરિત થઈ ગયા હતા. પણ આપણા મહાનુભાવોએ તેનો યશ રાજિવભાઈને આપ્યો. આની ચર્ચા આપણે આ જ બ્લોગ સાઈટ ઉપર અન્યત્ર કરી ચૂક્યા છીએ. એટલે આ વાતને લંબાવીશું નહીં.

મહાત્મા ગાંધીને કે તેમના યથાર્થ અનુયાયીઓને અને ગાંધીજીના માનસપુત્ર વિનોબા ભાવેને વિદેશીમાલનો છોછ ન હતો. તેઓ કોઈ વાદમાં પણ માનતા ન હતા

નરેન્દ્ર મોદીને પણ વિદેશી ઉત્પાદનનો છોછ નથી. આ વાત આપણે સૌ જાણીએ છીએ. પણ તેથી કરીને સ્વદેશી ઉત્પાદનની વાત કરવી અને તેને અનુલક્ષીને પગલાં લેવાં એ કંઈ ગુનો નથી.

નોકરી અને ધંધામાં ફેર શો?

નોકરીમાં આપણે આપણા પૈસાનું રોકાણ કરવું ન પડે. એટલે નોકરીમાં, નોકરીમાંથી ફારેગ થવા સિવાય બીજું કશું ખાસ રીસ્ક હોતું નથી.

ચીલા ચાલુ અર્થમાં, ધંધા બે જાતના હોય છે. ઉત્પાદન કરવાનો ધંધો. ઉત્પાદિત માલની વહેચણીનો ધંધો.

ખાસ કરીને તમે ઉત્પાદન કરવામાં શી રીત રસમો અપનાવો છો અને વહેંચણીમાં પણ કઈ રીત રસમો અપનાવો છો તેની ઉપર તમારું (સમાજનું) ચારિત્ર્યનું ઘડતર અવલંબે છે.

અર્થશાસ્ત્રમાં ઘણા વાદો છે. અને આ વાદોના નિષ્ણાતો હોય છે. આ નિષ્ણાતો, અર્થશાસ્ત્રના પરિબળોને ઓળખતા હોય છે આ પરિબળોને કન્ટ્રોલમાં રાખવા માટે, તેમની પાસે પોતાની માન્યતાઓ અને પોતાની વ્યુહરચનાઓ હોય છે. તમે આ સમજણને જેટલી વધુ ક્લીષ્ટ અને અમૂર્ત (એબસ્ટ્રેક્ટ) બનાવી શકો તેટલા તમે વધુ નિષ્ણાત ગણાવ. આવું ઘણા બધા લોકો (મૂર્ધન્યો સહિત) માનતા હોય છે. દેશના અર્થતંત્રને ખાડે લઈ જનાર, મનમોહન સિંહ મોટા અર્થશાસ્ત્રી મનાય છે. ભણેલ ગણેલ પણ અનીતિમત્તાનો છોછ નહીં, તેથી દોષનો ટોપલો બેક સીટ ડ્રાઈવર સોનિયા ગાંધી ઉપર નાખી દેવામાં આવે છે.

નરેન્દ્ર મોદી તે કંઈ અર્થશાસ્ત્રી છે!!

“સાલુ … નરેન્દ્ર મોદીએ ખરું કર્યું. ૨૦ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું. સ્વદેશીનું ભાષણ આપી દીધું તે જુદું. મોંઘા અને બ્રાન્ડેડ ગોગલ્સ પહેરે છે અને સ્વદેશી અપનાવવાની વાતો કરે છે. આ મોદીનો તો કચરો કરી નાખવો છે.

મોદીને કેવીરીતે વગોવીશુ?

આ મોદી …. એક તો મગન માધ્યમમાં ભણેલો છે. અને તેપણ ગામડાની કોલેજમાં ભણેલો છે. કોને ખબર શું ભણ્યો હશે.

આપણને પ્રધાન મંત્રી તો, હાર્વર્ડ, કેમ્બ્રીજ કે કમસે કમ જીન્ના નહેરુ યુનીવર્સીટી (જે.એન.યુ.)માં ભણેલો હોય એવો જ ખપે. ભલે આપણે મહાત્મા ગાંધીજીની સ્વદેશીની વાતો કરીએ. ગાંધીજી પોતે જ ઈંગ્લેન્ડમાં જ બાર એટ લૉ થયેલા હતા ને!! હાલનો પ્રધાન મંત્રી તો સાવ ગધુભાઈ જેવો છે.

“તડ-ફડ”વાળા મૂર્ધન્ય બોલ્યા;

“મોદી બોલ્યા એમાં મુદ્દા ઓછા અને શબ્દો વધુ હતા” એવું ઠોકો. (આને સિદ્ધ કરવાની જરુર નથી). “ગાંધીજી તો વહેવારુ હતા”….  (એટલે કે નરેન્દ્ર મોદી વહેવારુ નથી એ વાત આપોઆપ સિદ્ધ થઈ ગયેલી માનો).

સ્વદેશીને સાપેક્ષવાદના પરિપેક્ષ્યમાં ન જુઓ. આપણે તો મહા વિદ્વાન અને તટસ્થ છીએ એટલે નિરપેક્ષતામાં માની છીએ, પણ શબ્દોની રમત ચાલુ રાખો. “સ્વદેશી, આત્મનિર્ભરતા, જમાનાની જરુરીયાતો, જમાનાના સંજોગો, ભણતર બધું જે કંઈ સવાસો વર્ષ પહેલાં હતું તેમાંનું આજે બધું બદલાઈ ગયું છે. ગાંધીજીએ કોમ્પ્યુટર ક્યાં જોયું હતું? … “હેં?

“ગાંધીજીનું સ્વદેશીનું સૂત્ર આજના જમાનામાં અસરકારક ન ગણાય. બધું જ પરિવર્તનશીલ છે… ” એવું ઠોકો. “આજના જમાનામાં સ્વદેશી રહેવું પોષાય નહીં. આધુનિક શસ્ત્રો અમેરિકા પાસે થી લેવા જ પડે. અને અમેરિકાએ આપણી પાસે દવાની ભીખ માંગવી પડે. હે મોદી સાહેબ, તમને સત્તા મળી ગઈ એટલે બધું જ્ઞાન પણ મળી ગયું એવું ન માનો. …”.

હવે આપણે થોડી રાજીવ ગાંધીભાઈની પ્રશંસા કરી નાખીએ. તેમની આર્ષ દૃષ્ટિનું વિવરણ નહીં કરીએ. કારણકે એમાં તો ક્યાંક આપણે જ ફસાઈ જઈએ એવી શક્યતા છે. આપણે કંઈક બભમ બભમ કહીએઃ

“આવતી કાલનું ભારત કેવું હોય અને કેવું હોવું જોઇએ તે બાબતનો સૌથી સચોટ અને સૌથી વધારે સ્વિકાર્ય ખ્યાલ રાજીવ ગાંધીએ ૧૯૮૫માં આપ્યો હતો. આજે ભલે એક પેઢી પૂરી થઈ ગઈ હોય. પણ રાજીવ ગાંધીનું આ ઉદ્‌બોધન આજે ય એટલું જ ચોટડૂક (ચોંટેલું) અને એટલું જ પ્રેરણાદાઈ છે…..”

આમાં આપણે સમજવું શું?

આ તો ૧૯૮૫ની વાતો છે. મીસ્ટર ક્લીને યુનીયન કાર્બાઈડના એન્ડરસનને સરકારી વાહનમાં બેસાડી ભગાડી દીધેલ. તે વાતને દબાવી દીધેલી. પણ અહીં એ વાત અસ્થાને છે. જો કે આમ તો આર્ષદૃષ્ટા માણસ માટે અનીતિના દુષ્પરિણામોની આર્ષ દૃષ્ટિ હોવી જોઇએ. પણ એ વાતને જવા દો. રાજીવભાઈએ કરેલું શું? તેમના આઈડીયાઓ કેવા હતા?

તેઓ દેશમાં ડીજીટલ ઈલેક્ટ્રોનિક્સની ક્રાંતિ લાવેલા?  તેઓ દેશમાં કોમ્પ્યુટર લાવેલા? તેઓ દેશમાં સોફ્ટવેર લાવેલા?

ના જી.  ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ ના ઓર્ડર નો પાયો તો ૧૯૭૮માં નંખાયેલો. ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ સોફ્ટવેર પ્રોગ્રામ આધારિત હોય છે. સ્ટ્રોર્ડ પ્રોગ્રામ કન્ટ્રોલની ટ્રેનીંગ ૧૯૭૮માં “એડવાન્સ લેવલ ટ્રેનીંગ સેન્ટર” ગાઝીયાબાદમાં શરુ થઈ ગયેલી. સોફ્ટવેર વગર ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ ચાલે જ નહીં. ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ માટે ડેડીકેટેડ કોમ્પ્યુટર એક ટેસ્ટીંગ પેરીફેરલ હોય છે. એટલે કોમ્પ્યુટર પણ તાજા જન્મેલા બાળક જેવા ન હતા. તમે જ્યારે ડીજીટલ ઈલેક્ટ્રોનીક્સને લાવો એટલે પર્સનલ કોમ્પ્યુટર આવેલા જ હોય છે. વરસાદ પડે એટલે નદીમાં પાણી આવે જ. પહાડો ઉપર ધોધ પડવા શરુ થાય જ. સમયનો સવાલ છે. પણ જે આવવાનું છે તે આવવાનું જ છે.

વાત એમ છે કે રાજીવભાઈએ કોમ્પ્યુટર માટે કેટલીક છૂટછાટ આપેલી. જે આમ તો હાસ્યાસ્પદ હતી. રાજીવભાઈની કોમ્પ્યુટર વિષેની અજ્ઞાનતા દર્શાવતી હતી.

શું હતી આ છૂટ છાટ?

computer paper

તે વખતે ભારતમાં કદાચ મોટેભાગે, પ્રીન્ટર સાથે કન્ટીન્યુઅસ (સળંગ) અને ડાબી-જમણી કિનારીઓ ઉપર પરફોરેટેડ (કાણાવાળો) પેપર વપરાતા હતા. કદાચ રાજીવભાઈનો અને સરકારી અફસરો નો ખ્યાલ એવો હતો કે આવો સળંગ પેપર જ કોમ્પ્યુટરયુગની ઓળખ છે. આ પેપરની રચના એવી હોય છે કે, એક તો તે સળંગ હોય, તેની બંને કિનારઓ ઉપર કાણાઓ હોય છે, જેથી જ્યારે પ્રીંટ થતો હોય ત્યારે તે પેપર સીધો રહે. આવા પેપરને ટેક્ષમાંથી મૂક્તિ આપવામાં આવી હતી. હજી પણ બેંકો આવા પેપર વાપરે છે. બેંકોના કર્મચારીઓને કે સાહેબોને એટલું પ્રાથમિક જ્ઞાન પણ હોતું નથી કે પેપર ના માર્જીન (હાંસીયા) સેટ કરી શકાય છે.  ફોન્ટને પણ સેટ કરી શકાય છે.. આમ કરશું તો જે પ્રીન્ટ થયું છે તેનો અર્થ સરશે. પણ આ તો અલગ વાત છે. આપણા રાજીવ ભાઈ ના કોમ્પ્યુટરના ખ્યાલ કંઈક આવા હતા.

ટેક્નોલોજી હમેશા વિકસતી જ હોય છે. જેઓ તેના ઉપયોગ સાથે સંકળાયેલા હોય છે તેમને ટેક્નોલોજીની નવી નવી ક્ષમતાઓની ખબર હોવી જ જોઇએ. આ ક્ષમતાના ક્ષેત્ર વિષે વિચારીએ તો આપણે અચૂક કહી શકીએ કે રાજીવભાઈ તેમના જમાનામાં રહેલી ટેક્નોલોજીની ક્ષમતા જેટલી હતી અને તે ક્ષમતા વિષે તેમનું જે જ્ઞાન હતું, તેના કરતાં નરેન્દ્ર મોદી હાલમાં પ્રવર્તમાન ટેક્નોલોજીની જે ક્ષમતા છે તેના વિષે વધુ જાણે છે.

આ એક બહુ જ મહત્ત્વની વાત છે. સામાન્ય રીતે મોટા મોટા અધિકારીઓ પણ, ભલે પછી તે કોઈ પણ ક્ષેત્રના હોય, તેઓ પોતે પોતાને શું જોઇએ છે તે વિષે જાણતા હોતા નથી. તકનિકી ક્ષમતાની તો વાત ક્યાં કરવી! આવા અધિકારીઓમાં ઉચ્ચ સરકારી અફસરો સહિતના, અફસરો પ્રથમ ક્રમે આવે છે.

સંરક્ષણ ક્ષેત્રમાં સ્વાવલંબનઃ

આની કલ્પના તો નહેરુને ચીનના ભારત ઉપરના સરળ વિજય પછી લાધી હતી. તે માટે તેમણે સંરક્ષણ ખાતાને બે વિભાગમાં વહેંચ્યું હતું. તેમાનું એક સંરક્ષણ ઉત્પાદન ખાતું હતું. આ તો લાંબી વાત છે. પણ તડ-ફડ વાળા ભાઈ ભૂલી ગયા લાગે છે. નહેરુનો આ રાજકારણીય નિર્ણય હતો. ઓળઘોળ કરીને યુદ્ધની હારનો દોષનો ટોપલો મેનનને માથે નાખી દીધેલો. પણ મેનન તો એમના પાકા ગલગલતા મિત્ર હતા. મેનનને હટાવવાના દબાણને કારણે કેવીરીતે હેમખેમ બહાર આવવું એ નહેરુની સમસ્યા હતી. આ વાત લાંબી છે અને અહીં અપ્રસ્તુત છે. સંરક્ષણ બાબતમાં સ્વાવલંબન સિદ્ધ કરવાનો સંકલ્પ ૧૯૬૨નો છે.

સંરક્ષણ બાબતમાં કેટલું સ્વાવલંબન સિદ્ધ થયું તે બાબત, આ શતાબ્દીના પ્રથમ દશકામાં સેનાએ જ્યારે સંરક્ષણ યંત્રોના સ્પેરપાર્ટ્સની તંગીની વાત રજુ કરી, તેના ઉપરથી ખ્યાલ આવી શકે છે.

ભારતમાં બૌધિક ગરીબાઈ છે?

આપણો દેશ બૌધિક સંપત્તિમાં (ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીમાં) ગરીબ નથી. નવી શોધખોળો માટે સક્ષમ છે. “ટેક્નોલોજી ટ્રાન્સફર સાથે ભારત સંરક્ષણ ક્ષેત્રે જોઇએ તેવું ઉત્પાદન કરવા સક્ષમ છે.

ભારત માટે ખાટલે ક્યાં ખોટ છે.

ભારતમાં સામાજીક અને રાજકીય સમસ્યાઓ અને તે પણ “કોંગી”એ અને તેના સાંસ્કૃતિક સહયોગીઓએ તેઓની પ્રાથમિકતા સ્વકેન્દ્રી હોવાને કારણે ઉભી કરેલી છે.

ગાંધીજી, વિનોબા અને નરેન્દ્ર મોદીના સ્વદેશી (સ્વાવલંબનમાં) ભીન્નતા શું છે?

સૈદ્ધાંતિક રીતે કશી જ નહીં. ગાંધીજી પણ સંરક્ષણ ક્ષેત્રે સ્વવલંબનમાં માનતા હતા. તેઓ એ કહ્યું હતું કે જ્યારે બીજા દેશો અદ્યતન શસ્ત્રોથી સજ્જ હોય ત્યારે આપણે અહિંસાની વાત ન કરી શકીએ. જ્યારે પાકિસ્તાને કાશ્મિર ઉપર આક્રમણ કર્યું ત્યારે સરદાર પટેલ અને નહેરુ ગાંધીજીની સલાહ લેવા ગયા. ગાંધીજીએ ઘડીનો પણ વિલંબ કર્યા વગર કહી દીધું કે કાશ્મિરનુ રક્ષણ કરવું આપણી ફરજ છે.

ગાંધીજી લોકોની અપેક્ષાઓને સમજતા હતા. વિનોબા ભાવે થોડા નિરપેક્ષતા વાદી હતા. કેટલાકના મત પ્રમાણે, વિનોબા ભાવે પ્રત્યે, લોકોની અપેક્ષા શું છે તે વાત તેઓ સમજતા ન હતા. તો કેટલાકના અભિપ્રાય પ્રમાણે લોકોની અપેક્ષાઓને તેઓ સમજતા હતા પણ તે પ્રમાણે તેઓ પોતાની જાતને ઢાળવા માગતા ન હતા. ગાંધીજી અને વિનોબા બંને, કોઈ વાદમાં માનતા ન હતા. વિનોબા ભાવે “વાદ”ને બૌદ્ધિક પછાતપણુ માનતા હતા.

નરેન્દ્ર મોદી, ગાંધીજીના “સ્વદેશી”થી અજ્ઞાત નથી. અને લોકોની તેમના પ્રત્યેની અપેક્ષાઓને પણ તેઓ સમજે છે. નરેન્દ્ર મોદી પોતાના કામના પ્રચારમાં પણ માને છે. જ્યારે જનતાનો પ્રાભાવિક હિસ્સો અજ્ઞાની અને ગરીબ હોય ત્યારે પ્રચાર જરુરી બની જાય છે. જો તમે આમ ન કરો તો તમારા વિરોધીઓ તેનો લાભ લઈ જઈ શકે છે. આ વાતની અનુભૂતિ આપણને ૨૦૦૪ની ચૂંટણીના પરિણામોમાં જોવા મળી હતી. સમાચાર માધ્યમોનો વ્યાપ અતિ વિશાળ હોવા છતાં કોંગીઓ કેવી કેવી અફવાઓ ફેલાવે છે તે આપણે જાણીએ જ છીએ. ટકી રહેવા માટે પણ  પ્રચાર આવશ્યક બની જાય છે.

શું ૧૦૦ ટકા સ્વદેશી વાપરવું આવશ્ય્ક છે?

૧૯૭૭માં જ્યારે જનતા પક્ષની સરકાર આવી ત્યારે મોરારજી દેસાઈએ ખાદીને સરકારી સંસ્થાઓ માટે ફરજીયાત બનાવી હતી. આ વાત ઘણા અર્થશાસ્ત્રીઓને પસંદ ન હતી. તેઓ કહેતા હતા કે જો બધા જ ખાદી પહેરશે તો પછી મીલનું કાપડ વાપરશે કોણ. જવાબ હતો, કે તેની નિકાસ કરો. હુંડીયામણ મળશે. વળતો સવાલ હતો, કે તો પછી આટલા બધા હુંડીયામણને દેશ કરશે શું? આ બેહુદો સવાલ હતો.

નરેન્દ્ર મોદી પણ ખાદી ગ્રામોદ્યોગના ઉત્પાદનના વપરાશને સરકારી ખર્ચાઓમાં ફરજીયાત બનાવી શકે છે. સરકારી નોકરો તેમજ જે સંસ્થાઓ સરકારી સબ્સીડીઓ લે છે તે સૌ માટે પણ સ્વૈચ્છિક રીતે ખાદી પહેરવાની અને ગ્રામોદ્યોગ-વપરાશની ભલામણ કરી શકે છે. ગરીબીને તાત્કાલિક રીતે દૂર કરવાનો આ એક માત્ર રસ્તો છે. કોંગી માટે આ રસ્તો હાથવગો હતો. પણ તેને તો માત્ર દંભ કરવો હતો અને તેની પ્રાથમિકતા માત્ર સત્તા જ હતી.

અન્ન વસ્ત્ર અને રહેઠાણમાં જો ફરજીયાત સ્વાવલંબી થઈએ તો બાકી શું રહેશે?  સરકાર માટે તો ઘણું બાકી રહેશે. પણ જો જનતા સ્વાવલંબી બનશે તો જનતામાંથી આવતા નોકરો જેઓ સરકાર ચલાવે છે તેઓમાં સ્વાવલંબનની ધગશ ઉત્પન્ન થશે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

(તાતસ્ય કૂપોયમીતિ બ્રુવાણા ક્ષારં જલં કા પુરુષા પિબન્તિ) અર્થાત્‌

તાતસ્ય કૂપઃ અયમ્‌ ઈતિ બ્રુવાણાઃ

ક્ષારં જલં કા પુરુષા પિબન્તિ

(આ કૂવો તો બાપાનો છે. માટે ભલે આ કૂવાનું પાણી ખારું હોય તો પણ પીવો. આવું કાપુરુષ કરે છે.)

દાખલોઃ

૧૯૭૦ના દશકામાં વિકસિત દેશો તેમના ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો ને ભંગારમાં નાખતા હતા ત્યારે ઇન્દિરા ગાંધી દેશમા ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો બનાવતી,(અને આયાત પણ કરતી હતી).

Read Full Post »

કોંગી (ઇન્દિરા નહેરુ કોંગ્રેસ = આઈ.એન.સી. I.N.C.) જીવશે કે નહીં?

કોંગી (ઇન્દિરા નહેરુ કોંગ્રેસ = આઈ.એન.સી. I.N.C.) જીવશે કે નહીં?

કેટલાક મૂર્ધન્યો જેમાં કેટલાક તાજા જન્મેલા છે, કેટલાક કોંગી કટોકટીની આસપાસ જન્મેલા છે અને કેટલાક વાર્ધક્યથી પીડિત છે તેમને આ લેખ ગમશે નહીં. પણ સમયની માંગ છે કે આવું લખવું.

કોંગી (ઇન્દીરાઈ કોંગ્રેસ) એ કોંગ્રેસ નથી.

આ કોંગી ૧૩૩ વર્ષ જુની છે જ નહીં. અને જે કોંગ્રેસે સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લીધો હતો તે કોંગ્રેસને હાલની કોંગ્રેસ સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. આ વાત અગાઉ પણ કહેવાઈ ગઈ છે. દુઃખ એ વાતનું છે કે આપણા કેટલાક મૂર્ધન્યો આ સમજતા નથી. સૌથી વધુ દુઃખ તો એ વાતનું છે કે જેઓએ સિદ્ધાંત અને પક્ષની પરિભાષા અને ઐતિકાસિક ઘટનાઓને જાણતાં જાણતાં વાર્ધક્ય (વૃદ્ધાવસ્થા)ને ભેટ્યા છે તેઓ પણ  કોંગીને ૧૩૩ વર્ષ જુના પક્ષ તરીકે ઓળખાવે છે.

CONGRESS WHO FOUGHT FOR FREEDOM

પક્ષ એટલે શું?

આ કોઈ અઘરો પ્રશ્ન નથી કે મૂર્ધન્યો તેનાથી અજાણ હોય. પક્ષ હમેશા તેના વિચારો (સિદ્ધાંતો) થકી ઓળખાય છે. પણ આ પૂરતું નથી. પક્ષ પોતાના વિચારો પ્રમાણેના આચારો ધરાવતો હોય તો વિચારોનું મહત્વ રહે છે. શક્ય છે કે ૧૦૦ પ્રતિશત આચારો તે પક્ષમાટે શક્ય ન હોય પણ તેના આચારોની દિશા તો તે જ હોવી જોઇએ. અને ક્રમશઃ તે દિશામાં તે આગળ જવો જોઇએ. પોતાના સ્થાપિત સિદ્ધાંતોથી તે ઉંધી દિશામાં તો જવો જ ન જોઇએ.

૧૮૮૫ વાળી કોંગ્રેસ ૧૯૧૮માં બદલાઈ ગઈ.

ગાંધીજી ૧૯૧૬-૧૭માં ભારતમાં આવ્યા. કોંગ્રેસ પક્ષમાં પરિવર્તન લાવ્યા. તેમણે કોંગ્રેસમાં કયા સિદ્ધાંતો અપનાવ્યા?

કોંગ્રેસ હિંદ સ્વાતંત્ર્યની લડત ચલાવશે.

કોંગ્રેસ આ લડત અહિંસાના માર્ગે ચલાવશે.

લડતમાં પારદર્શિતા રાખશે,

પક્ષનો સદસ્ય સરકાર અને તેના હોદ્દેદારો કે કોઈના પણ પ્રતિ કટૂતા નહીં રાખે,

લડતના અંગ તરીકે સત્યનો આગ્રહ રાખશે, ચર્ચા માટે ખુલ્લાપણું રાખશે,

પક્ષ દ્વારા સ્થાપિત નિયમોની આચાર સંહિતા પ્રમાણે જ લડત ચલાવશે. જેમકે ઉપવાસ, કાનૂનભંગ, સભા સરઘસ જેવા લડતના શસ્ત્રોનો ઉપયોગ કરતાં પહેલાં તે સરકાર સાથે સંવાદ કરશે, પોતાનો પક્ષ અને હેતુ સમજાવશે, અને જો સરકારનું વલણ સહયોગવાળું હશે, અને સરકાર જો મુદત માગશે તો મુદત આપશે. જો સરકાર જનહિતની માગણીઓ ઉપર સંમત ન થાય તો તે પછી તે લડત માટેની નોટીસ આપશે.

પક્ષના સદસ્ય સજા માટે તૈયાર રહેશે, સજા ભોગવશે અને તે દરમ્યાન પણ કોઈના પ્રત્યે કટૂતા રાખશે નહીં.

પક્ષનો સદસ્ય સ્વાર્થના કામો માટે કદી લડત ચલાવશે નહી. લડતના કેન્દ્રમાં હમેશા સામાન્ય જનહિત જ રહેશે.

સદસ્ય નૈતિકતાના બધા જ નિયમો પાળશે અને જામિન ઉપર જવાની માગણી કરશે નહીં અને સત્યને ખાતર જામિન ઉપર જશે પણ નહીં.

ખાદી અપનાવશે. અને સ્વદેશીનો આગ્રહ રાખશે.

આ ઉપરાંત સામાજિક સુધારના પણ કેટલાક લક્ષ્યો ગાંધીજીએ કોંગ્રેસમાં સામેલ કરેલા,

જ્ઞાતિઓની ઉચ્ચ નીચ પ્રથામાં માનશે નહીં.

સામાજિક વ્યવહારોમાં ઉપયોગીતાને નજર સમક્ષ રખાશે.

દારુ અને વ્યસનોને ત્યાજ્ય ગણશે,

ગૌવંશ હત્યા બંધીનો સમર્થક રહેશે,

અહિંસક સમાજની સ્થાપના માટે પ્રયત્નશીલ રહેશે.

સર્વધર્મ સમભાવ રાખશે.

ગાંધીજીની કોંગ્રેસ માટે આ બધું જ લખેલું છે. જનસેવક માટે તો આનાથી પણ કઠોર નિયમો છે.    

હવે તમે એક પછી એક નિયમોનો ચકાશો.

૧૯૪૭માંના કોંગ્રેસી સદસ્યોને લો અને તેમને અત્યારના કોંગી સદસ્યને તેની સાથે સરખાવો.

ધારો કે ૧૯૪૭માં ૭૦ ટકા કોંગ્રેસીઓ ઉપરના બધા જ નિયમો પાળતા હતા. જો કે આનાથી ઘણા વધારે કોંગ્રેસીઓ ઉપરના નિયમોને પાળતા હતા. નેતાઓમાં તો ઓછામાં ઓછા ૯૫ % નેતાઓ અતિ શુદ્ધ હતા.

હાલના કોંગીઓને જુઓ. તેઓ કઈ દિશામાં જઈ રહ્યા છે? સામાન્ય કોંગીઓની વાત જવા દો. કોંગીના ટોચના નેતાઓની જ વાત કરો. તેઓ કઈ દિશામાં જઈ રહ્યા છે?

હવે જે પક્ષમાં સિદ્ધાંતો જેવું કશું રહ્યું જ ન હોય. સિદ્ધાંતો ફક્ત પોથીના રીંગણા જ રહ્યા હોય. સિદ્ધાંતોનો ખૂલ્લે આમ ભંગ કરતા હોય અને છતાં પણ પોતાને કોંગ્રેસી માનતા હોય. અને વાર્ધ્યક્ય પીડિત મૂર્ધન્યો પણ આ કોંગ્રેસ ને ૧૩૩ વર્ષ જુની કોંગ્રેસ માનવાનો આગ્રહ રાખતા હોય તો આપણે “પક્ષ”ની અધિકૃત પરિભાષાને અવગણી તેને “ધણ” એવું નામ આપવું જોઇએ.

જો આવું કરીએ તો કોંગી પક્ષને ૧૩૩ વર્ષ જુનો પક્ષ કહી ન શકાય, અને જો કહીએ તો તેને ભાષા ઉપર બળાત્કાર જ કહેવાય.

ગાંધીજીની કોંગ્રેસનો એક પણ ગુણ હાલની કોંગીમાં નથી.

ક્યાર થી આવું છે?

જ્યારથી નહેરુએ સરદાર વલ્લભ ભાઈ પટેલને કોમવાદી કહ્યા અને હૈદરાબાદના તેમના આચારને વખોડ્યો ત્યારથી કોંગ્રેસ મરી ગઈ. અને કોંગી જન્મી.

(૧) નહેરુએ સ્વાતંત્ર્યની લડતમા ઠીક ઠીક યોગદાન આપ્યું છે. પણ તેમનું તે યોગદાન પ્રચ્છન્ન રીતે સ્વકેન્દ્રી હતું, જે તે વખતે દૃશ્યમાન ન હતું. શેતાન પણ જો સારું કામ કરે તો તેને તમે વધાવો. એટલે ભલે નહેરુએ સ્વ ને કેન્દ્રમાં રાખી યોગદાન આપ્યું હોય તો પણ તેમને ક્રેડિટ આપો.

(૨) પણ ગાંધીજીએ જોયું કે ઉપરોક્ત કારણથી ઘણા જ નેતાઓ ગાંધીજી ઉપર પોતાની વગ વાપરી સરકારમાં યોગ્ય હોદ્દો આપવા ભલામણ કરવા લાગ્યા હતા. એટલે ગાંધીજીએ કોંગ્રેસનો વિલય કરી દેવાની વાત કરેલી.

કોંગ્રેસનો વિલય કરવો કે નહીં તે એક ચર્ચાને યોગ્ય વિષય છે. સામાજિક ક્રાંતિના સિદ્ધાંતો શાસન કરતા રાજકીય નેતા (પક્ષ) તરફથી આવે તે ગાંધીજીને મંજુર ન હતું. ગાંધીજીની આ વાતને સમજવામાં મૂર્ધન્યોમાં પણ જેઓ મૂર્ધન્યો ગણાય તેમણે પણ ગોથાં ખાધા છે તો સમાચાર માધ્યમોના પીળા પત્રકારોની તો વાત જ શી કરવી?

(૩) નહેરુના ભારતની સંસ્કૃતિ વિષે કયા ખ્યાલો હતા? ગાંધીજીએ કહેલ કે જે ઋષિઓ વેદ અને ઉપનિષદો લખી શક્યા તેઓ યંત્રો પણ બનાવી શક્યા હોત તેની મને શંકા નથી. પણ તેઓ માનવ જાત ઉપર યંત્રો હામી થઈ જાય તેમાં માનતા ન હતા. તેથી તેઓએ પ્રકૃતિ સાથે જીવવાવાળી જીવન પદ્ધતિ અપનાવી. જો કે આ વાત ચર્ચાસ્પદ છે પણ તેને નકારી ન શકાય. નહેરુનું “ડિસ્કવરી ઓફ ઈન્ડિયા” એ ફક્ત પશ્ચિમી ઇતિહાસકારોએ લખેલા ફરેબી ઇતિહાસની નકલ જ છે. જો નહેરુએ શંકરાચાર્યના અદ્વૈતવાદ અને આઈનસ્ટાઈનની યુનીફાઈડ ફીલ્ડ થીએરી વિષે એક પ્રકરણ પાઠવ્યું હોત અને દક્ષિણભારતના સામ્રાજ્યો વિષે વિસ્તૃત વાતો કરી હોત તો એમ કહી શકાત કે તેમણે કશુંક જે અજાણ્યું હતું તે જાણીતું કર્યુ. ફરેબી ઇતિહાસને ધ્વસ્ત કરનારું પુસ્કળ સાહિત્ય અત્યારે “ઓન લાઈન” ઉપલબ્ધ છે. જેમને પોતાના કોશેટામાંથી બહાર આવવું હોય તેમને માટૅ સરળતા થી આવી શકાય એવું છે. નહેરુએ તો એમ કહેલું કે હું આચારે મુસ્લિમ છું, વિચારોમાં ઈસાઈ છું અને જન્મે હિન્દુ છું. વાસ્તવમાં તેઓ આવા હતા કે કેમ તે વિવાદાસ્પદ છે પણ તેમના આવા ઉચ્ચારણો ઘણું બધું કહી જાય છે.

(૪) નહેરુએ ઘણી બધી હિમાલય જેવડી ભૂલો કરેલી. નહેરુએ તેની કબુલાત પણ કરેલી. પણ નહેરુ તેમની ભૂલોના ફળ ભોગવવા તૈયાર ન હતા. તેમના નામને બટ્ટો ન લાગે તે માટે તેઓ “સીન્ડીકેટ” બનાવીને ગયા હતા કે જેથી તેમની અનુગામી તેમની ફરજંદ બને. એક ફરેબી જનતંત્રવાદી, વાસ્તવમાં સરમુખત્યાર અને વંશવાદી હતો. મોદી આ વંશવાદનો વિરોધ કરે તેમાં કશું ખોટું નથી. લોકશાહીમાં વંશવાદ એક રાક્ષસનું કામ કરે છે. એક રાક્ષક મરે તો તેના લોહીના ટીપાંમાંથી અનેક રાક્ષસો ઉત્પન્ન થાય તેમ આ રાક્ષસે (કોંગી પક્ષે) તો તેનાથી પણ ઉપરવટ જઈ પોતાના જીવતાં જ અનેક વંશવાદી પક્ષો ઉત્પન્ન કર્યા છે. આપણા મૂર્ધન્યો આ વંશવાદી ફરજંદોની ભાટાઈ કરે છે.

(૫) વાસ્તવમાં જોઇએ તો મોરારજી દેસાઈવાળી કોંગ્રેસ (સંસ્થા), મૂળ કોંગ્રેસની વધુ નજીક હતી. પણ મોરારજી દેસાઈએ ૧૯૮૦માં સક્રીય રાજકારણમાંથી વિદાઈ લીધી એટલે તે કોંગ્રેસના સદસ્યો સાગમટે કોંગીમાં ભળી ગયા. અમદાવાદના મેયર કૃષ્ણવદન જોષી જેવા પણ કોંગીમાં ભળી ગયા તે વિધીની વક્રતા છે. આથી વધુ કમનસીબી બીજી કઈ હોઈ શકે? ન્યાયપાલિકાએ ૧૯૬૯ના કેસનો ચૂકાદો ૧૯૮૧માં આપ્યો, જે અર્થ હીન હતો.

(૬) દારુ બંધી કે ગૌવંશ હત્યા બંધી કે અહિંસક સમાજની દિશામાં જવા માટે કોંગીએ કોઈ સકારાત્મક પગલાં લીધાં છે ખરા? ના જી. એક વાત તો ચોક્કસ જ છે કે તેનાથી વિરુદ્ધ દિશાના અને તેને વિરુદ્ધની વાતને પ્રોત્સાહન આપવાના અનેક પગલાં લીધાં છે. જો તમે આ વાત ન જાણતા હો તો કહો.

(૭) સમાજ સેવા માટે સત્તા પ્રાપ્ત કરવી કે નહીં તે ચર્ચાસ્પદ વિષય છે. પણ ધારો કે તમારે સત્તા પ્રાપ્ત કરવી છે તો તમારે તે માટે બંધારણીય માર્ગે જવું જોઇએ. સત્તા માટે ગેરબંધારણીય માર્ગે જવું અને પછી કોર્ટ તમને ગેરલાયક ઠેરવે એટલે તમારા વિરોધી નેતાઓને અને લોકોને જેલમાં ઠોકી દેવા એ ક્યાંનો ન્યાય છે? એક બાજુ એમ કહે છે કે “હમારા ધ્યેય સબસે નમ્ર વ્યવહાર” (કટોકટીનું પોસ્ટર) અને વાસ્તવમાં અનેક નિર્દોષ લોકો જેલમાં હોય. તે જ વંશના ફરજંદો વળી એમ બોલે કે “હમ દેંગે ન્યાય” …  જુઠ્ઠું બોલવુ જેની ઓળખ છે અને અવારનવાર જુઠ્ઠું બોલીને તેને કોંગીઓ સિદ્ધ થયેલું ઠેરવવામાં માને છે.  “તેઓ ધિક્કાર ફેલાવે છે, અમે પ્રેમ કરીએ છીએ” એમ રાહુલ અને સોનિયા બોલે છે. અને બીજી બાજુ “મોદીને બેગમેં કરોડોં રુપયે લેકર અનિલ અંબાણીકો દે દીયે. મોદીજીને ૫૦૦૦ કરોડ એકડ જમીન અંબાણીકો દાનમેં દે દી…. અબ તો નરેન્દ્ર મોદીકી ચોરીકા સમર્થન કોર્ટને ભી કિયા હૈ …” અને આ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા (જેની અદાઓ ઉપર આપણા કાન્તિભાઈ ફીદા છે અને તેના જેવી માસુમ વડા પ્રાધાન ની જનતા રાહ જુએ છે) પોતે બોલે છે “ચોકીદાર” અને સામે રહેલા બાળકો પાસે બોલાવે છે  કે બોલો  “ચોર હૈ” અને કુદરતે બનાવેલા આ માસુમ બાળકો  બોલે છે “ચોર હૈ” … આમ “ચોકિદાર … ચોર હૈ” ના નારાઓ ચગાવે છે. આપણા કાન્તિભાઈને આ પ્રિયંકાના નારાઓ સંભળાયા નહી એટલે તેમણે બેધડક કહ્યું “પ્રિયંકા હમેશા સુષ્ઠુ સુષ્ઠુ જ બોલે છે.” ક્યા બાત હૈ!!

KONGI FOR FAMILY

(Thanks to Cartoonist)

(૮) જો રાહુલ-સોનિયા ગેંગે જામિન ન માગ્યા હોત તો શું થાત? તો ચોક્કસ મૂળ કોંગ્રેસનો એક ગુણ તો તેમનામાં ગણાત જ. તેઓ જેલમાં રહીને પણ તેમની હાર ને નાની કરી શક્યા હોત.

(૯) ભારતના મૂર્ધન્યોએ જો કોંગ્રેસ ઉર્ફે કોંગીને જીવાડવી હોય તો તેમણે શું કરવું જોઇએ?

“નરેન્દ્ર મોદી આર્થિક અને સમાજિક ક્ષેત્રે નિસ્ફળ ગયા છે” એ મુદ્દાની ઉપર માથું પછાડવાને બદલે રાહુલ ગેંગને જામિન ન માગવાની અને જેલમાં જવાની સલાહ આપવા જેવી હતી.

(૧૦) ભારતના મૂર્ધન્યોએ પોતાની શક્તિઓ ક્યાં ખર્ચી?

(૧૦.૧) ભારતને સબળ વિરોધપક્ષની જરુર છે.

(૧૦.૨) પ્રચંડ બહુમતિ પક્ષને બે લગામ બનાવે છે,

(૧૦.૩) પ્રચંડ બહુમતિ વાળો નેતા આપખુદ બને છે,

(૧૦.૪) ગઠબંધન વાળી સરકારો પ્રચંડ બહુમત વાળી સરકારો કરતાં સારું કામ કરે છે,

(૧૦.૫) આજના મહા ગઠબંધન અને ૧૯૭૭નું ઇન્દિરા સામેનું ગઠબંધન એક સમાન છે.

(૧૦.૬) નરેન્દ્ર મોદી માટે શબ્દકોષના જે કોઈ ખરાબ વિશેષણના શબ્દો હોય તે નરેન્દ્ર મોદી માટે વાપરો.

અને આ નરબંકા રાહુલભાઈ કે જેનાથી અધધ ફરેબી મૂર્ધન્યો સહેતુક આફ્રિન છે તે રાહુલભાઈ કહે છે કે કોંગ્રેસ એક વિચાર છે. આ તે કેવી અર્થહીન ફિલોસોફીકલ ઉક્તિ છે જે ફક્ત વાણીવિલાસની જ ગરજ સારે છે. જો વિચાર નો અર્થ સિદ્ધાંત કહીએ અને સિદ્ધાંત જે આચારમાં મૂકાયો હોય તો તે આચાર કેવો છે તે નીચે જુઓ. જ્યાં રાહુલભાઈ ધન્ય ધન્ય છે.

MOTILAL VOHRA

એવું બની શકે કે, કાલે જો ભારતની આર્થિક અને સમાજિક સ્થિતિ નરેન્દ્ર મોદી ઉજ્જ્વળ કરવામાં સફળ બને તો આ જ મુર્ધન્યો એમ કહીને પોતાનો બચાવ કરશે કે અમે મોદીને સરમુખત્યાર બનતા રોક્યો હતો. કોંગ્રેસને જીવતી રાખવામાં અમારો હેતુ તો સબળ વિરોધ પક્ષ બનાવવાનો જ હતો જેથી ભારતનું જનતંત્ર જીવિત રહી શકે.

હાજી. આવો દંભ કરવો આપણા મૂર્ધન્યો માટે અજાણ્યો અને અસંભવ નથી. આવો દંભ કરવામાં તો તેઓ કોંગીના મોટા ભાઈની ગરજ સારે છે. કોંગી નેતાઓ કહે છે જ ને અમે ભારતમાં લોકશાહી જીવતી રાખી છે. તેઓ ભૂલી જાય છે કે ભારતની લોકશાહી ના મૂળમાં મહાત્મા ગાધીએ વ્યાપક રીતે બનાવેલ કોંગ્રેસનું વ્યાપક સંગઠન હતું, જેનો લાભ નહેરુ એ લીધો છે. ઇન્દિરાએ તેને તહસ નહસ કરી નાખ્યું. ત્યારથી કોંગીનું નામુ નંખાઈ ગયું છે.

 હરિ અનંતો હરિ લીલા અનંતા

 હાજી. હરિ અનંતો હરિ લીલા અનંતા. તેજ રીતે રાક્ષસો પણ અનંત છે અને તેમની માયા પણ અનંત છે. પણ આ રાક્ષસોની લીલા પણ હરિ લીલામાં જ આવી જાય. માટે સુજ્ઞ જનોએ બોલીને બફાટ ન કરવો. જો ટકલો કામ ન કરતો હોય તો પ્રેક્ષક બની જોયા કરવું.

મૂર્ધન્યોએ વિપક્ષની ચિંતા કરવી નહીં. સબળ વિપક્ષ આપ મેળે જ ઉત્પન્ન થશે. રામનો વિકલ્પ રાવણ ન હોઈ શકે. રાવણ તો એક પ્રતિક છે. વાસ્તવમાં તો  પૃથ્વિરાજ ચૌહાણનો વિકલ્પ મહમ્મદ ઘોરી ન હોઈ શકે.

શિરીષ મોહનલાલ મહાશંકર દવે

 

Read Full Post »

ગાંધીબાપુ ક્યાં સુધી જીવશે? – ૧

Paint01

શું ગાંધીજી પ્રસ્તૂત છે?

૧૯૪૮ના અને ૨૦૧૮ના ભારતમાં ઘણો ફેર પડી ગયો છે.

વૈચારિકતાને ન ગણીએ પણ રહેવાની ઢબમાં જે ફેર પડી ગયો છે તેને જો ગણીએ તો ગાંધીજી હવે કેટલા પ્રસ્તૂત છે તે વિચારવું પડશે.

પણ એ પહેલાં વૈચારિકતા ઉપર આછેરો દૃષ્ટિપાત કરવો જરુરી છે.

જો હિંસા અને અહિંસાના પરિપેક્ષ્યમાં જ વિચારીએ તો વૈચારિક દારીદ્ર્યતા હજુ પણ જીવિત છે. કદાચ ક્યાંક ક્યાંક તે અધિક માત્રામાં અને તે પણ અંધ રીતે જીવે છે.

તમે નિરક્ષરને કે દૃષ્ટિહીનને પુસ્તક ભેટ આપો તો કદાચ તે બીજા પાસે પણ વંચાવી લેશે અને ગ્રહણ કરવું હશે એ ગ્રહણ કરશે. પણ જે વાંચી શકે છે પણ જે અમુક પુસ્તકો વાંચવામાં માનતો જ નથી, તો તેને તમે ક્યાં મુકશો? તમે તેને નિરક્ષર કે દૃષ્ટિહીન વ્યક્તિથી પણ અક્ષમ કક્ષાએ મુકશો.

જેમ કે કેટલાક લોકો ભગત સિંહ અને મહાત્મા ગાંધીને સામસામે મુકે છે.

કારણ કે ભગત સિંહ અહિંસામાં માનતા ન હતા અને ગાંધીજી, બ્રીટીશ સરકાર સામેની લડાઈમાં અહિંસામાં માનતા હતા.

સૌ સૌની વિચારધારાની પસંદગીની વાત છે. પણ બંને વિચાર ધારાઓ તે વખતે કશા સંઘર્ષ વગર એકબીજા પ્રત્યે માન રાખતી હતી.

જો ધ્યેય માનવ જાતના ભલા માટેનું હોય તો, કોઈ પોતાની માન્યતા પ્રમાણે વર્તે તેમાં બીજાએ દખલ કરવી નહીં આ વાત તેઓ સૌ સારી રીતે સમજતા હતા.

સ્વતંત્રતા પ્રાપ્તિ માટે હિંસક માર્ગની લડતમાં વિશ્વાસ રાખનારાઓનું એક જુથ હતું. અહિંસક માર્ગે લડત ચલાવવી એવું માનનારાઓનું પણ એક મોટું જુથ હતું. કેટલાક એવા પણ હતા કે જેઓ બંનેમાં વિશ્વાસ રાખતા હતા.

ગાંધીજીનું યોગદાન

૧૯૧૬માં ગાંધીજી આફ્રિકાથી હિન્દુસ્તાન આવ્યા. સૌ પ્રથમ તો તેઓ આખું હિન્દુસ્તાન ફર્યા. એટલે કે તેઓ હિંદની પ્રજાના માનસથી અને પરિસ્થિતિથી પરિચિત થયા. એટલે જો ગાંધીજીના યોગદાનની વાત કરીએ તો ગાંધીજીએ ૧૯૧૭ થી ૧૯૪૭ કોંગ્રેસને અને દેશની જનતાને યોગદાન આપ્યું કહેવાય.

ગાંધીજીની કોંગ્રેસ પક્ષ ઉપર વૈચારિક પકડ હતી. તે કોના ઉપર કેટલી હતી અને કેટલી ઉંડી હતી તે એક બહુ મોટી ચર્ચાનો વિષય છે. પણ જ્યારે ગાંધીજીનો પાર્થિવ દેહ અસ્તિત્વ ધરાવતો હતો, તે સમયે જે લોકો ગાંધીના બધા જ વિચારોને અપનાવવામાં માનતા ન હતા તેઓ કાળક્રમે તેમને સ્વિકારતા થયા હતા. જેમાં આચાર્ય જે.બી. ક્રિપલાણી, રામમનોહર લોહિયા, ઇન્દુલાલ યાજ્ઞિક અને બીજા ઘણા આપણા ગુજરાતના પણ લોકપ્રિય નેતાઓના નામ લઈ શકાય.

ગાંધીજી એક ઓજાર કે શસ્ત્ર …!!!

કેટલાકને મન ગાંધીજી, એક જાહેર જીવનમાં પ્રભૂત્ત્વની સ્થાપના માટેનું ઓજાર કે શસ્ત્ર હતા તેઓમાંના કેટલાક કોંગ્રેસમાં રહ્યા અને કેટલાક કોંગ્રેસમાંથી નિકળી ગયા. જેઓને માટે ગાંધી એક વિચારધારા હતી, તેઓએ લોકોપયોગી સંસ્થાઓ ચાલુ કરી અને તેની દ્વારા પોતે સમાજ માટે કંઈક હકારાત્મક  કર્યું છે અને કરે છે તેવી આત્મતુષ્ટિ મેળવી. “મારે માટે એક પગલું બસ છે.”

ગાંધીજીના અહિંસા માર્ગ, અને અ-ગાંધીવાદીઓના હિંસા માર્ગ, આ બંનેને આપણે વનસ્પત્યાહારી અને માંસાહારી વિચારધારાઓ સાથે સરખાવી શકીએ.

ગાંધીજીની અહિંસા સાપેક્ષ હતી. એટલે કે ઓછામાં ઓછી હિંસા એટલે અહિંસા. અને ઓછામાં ઓછી હિંસા એ, જે તે પ્રસંગ અને જેની ઉપર આચારવામાં આવનાર છે તે વ્યક્તિની માનસિકતા ઉપર આધાર રાખે છે.

ગાંધીજીને એમ લાગેલ કે બ્રીટીશ રાજ લોકશાહીને વરેલું રાજ છે. કાયદાનું શાસન છે. તેઓ ભલે દંભી હશે, તેઓ ભલે ચાલાક હશે, પણ તેઓ હમેશા કાયદાને વરેલા રહેશે એટલે તેમની સામે અહિંસક લડત ચાલી શકશે. સફળતા મળતાં કદાચ વાર લાગશે પણ તેઓ સત્યને નકારી શકશે નહીં.

અહિંસાની સાથે સુક્ષ્મ હિંસા અદૃષ્ય રીતે જોડાએલી હોઈ શકે છે. તમે વધુ જાણકાર હો અને સામેના પક્ષનો વ્યક્તિ ઓછો જાણકાર હોય તો તમે તેને ચર્ચામાં હરાવી શકો છો. ભલે સત્ય તેની તરફમાં હોય તો પણ.

આવા સંજોગોમાં તમે સુક્ષ્મ હિંસા ઓછી કરવા તેને યોગ્ય મુદત આપી શકો છો. જો તમે આવું ન કરો તો તે સુક્ષ્મ હિંસા જ કહેવાય. પણ જો સામેની વ્યક્તિ બેસુમાર મુદતો માગ્યા જ કરે તો તેણે મીથ્યા રાજકારણ ખેલ્યું કહેવાય. (આવું રાજકારણ નહેરુવીયન કોંગ્રેસે સર્વોદય વાદીઓ સામે ખેલેલું).

જેઓ હિંસામાં માને છે તેઓ પણ અહિંસામાં તો પરોક્ષ રીતે માનતા જ હોય છે. જેમ કે જેઓ માંસાહારી હોય છે તેઓ વનસ્પત્યાહારી તો હોય છે જ. કારણ કે માંસાહાર એ માણસ જાત માટે  સંપૂણ અને સ્વતંત્ર આહાર નથી. માંસાહારીઓને પણ મરચું, મીઠું, મરી, મસાલા, થાળી, વાટકા, ચમચી વિગેરે વાપરવા જ પડે છે. તેઓ તેને બદલે કંઈ, લાલ કાળી કીડીઓ, મંકોડા, વરસાદી જીવડાં, ખોપરી, હાડકાં, છીપલાં …. વાપરતાં નથી.

તેવી જ રીતે હિંસામાં માનનારાને પણ કાયદા તો બનાવવા જ પડે છે જેથી સમાજમાં હિંસા ઉપર નિયમન આવે.

બ્રીટનમાં અહિંસક માર્ગે  જનતંત્ર સ્થાપેયેલું. તેથી અહિંસક માર્ગે આઝાદી પણ મળી શકશે તેવો ગાંધીજીને વિશ્વાસ હતો. આમ કરવામાં તેમને જે અનુભવો થયા, તેને લીધે, તેમની અહિંસા ઉપરની શ્રદ્ધા ઉત્તરોત્તર વધતી ગયેલી.

ગાંધીજી એક બહુમુખી પ્રતિભા

ગાંધીજી, એકલી સ્વતાંત્રતાની વાતને જ નહીં, પણ સ્વાવવલંબનની વાતને, અને સમાજ સુધારણાની વાતને પણ દેશના અંતરાલ અને અંતિમ છોર સુધી લઈ ગયેલ. ગાંધીજીએ કોંગ્રેસના સંગઠનને નાનામાં નાના ગામડા સુધી પહોંચાડેલું. આનો લાભ નહેરુવીયન કોંગ્રેસને ૧૯૬૭ સુધી મળતો રહેલો..

તમને પાંચશો ખોરાડાના ગામમાં પણ એક ગાંધીવાદી જોવા મળતો હતો. ભાવનગર શહેરમાં તમને નાનાભાઈ ભટ્ટ કે આત્મારામ ભાઈ ભટ્ટ જેવા અનેક મળે અને શહેર હોવાને કારણે નવાઈ ન લાગે પણ ગારિયાધર જેવા એક નાનકડા ગામમાં પણ તમને શંભુભાઈ ત્રીવેદીનો સોટો ચાલતો જોવા મળે તો એ કેવું લાગે? હાજી સોટો એટલે સોટો. આ સોટો એટલે આચાર્યના અનુશાસન જેવો સોટો. ઇન્દિરાના કટોકટીના શાસનના સોટા જેવો નહીં.

આજે પણ તમને મેઘાલયમાંના અંતરાલ ગામ એવા મૉકડૉકમાં પણ એમીલીબહેન જેવા સર્વોદય કાર્યકર જોવા મળશે જેઓ બાળકોને ભણાવે છે અને બીજી બહેનો સાથે નાની ખેતી પણ કરે છે.   ગાંધીજીનું આંદોલન ફક્ત સ્વતંત્રતા માટે ન રહેતાં અનેક રીતે બહુમુખી હતું.

કેટલાક લોકો બરાડીને મોટા અવાજે કહે છે કે ગાંધીજીને કારણે સ્વતંત્રતા મળી એ એક જૂઠ છે. આપણે તેમને કહીશું; ભલે ભાઈ ભલે. તમે ખુશ થાઓ.

ગાંધીજીની આઝાદીની લડત તો તેમની સમગ્ર લડતોની હિમશીલાની ટોચ માત્ર હતી. જો તમે ગાંધીના યોગદાનને ફક્ત આઝાદીના પરિપેક્ષ્યમાં જ જોતા હો તો તે તમારું અજ્ઞાન છે.

ભારત દેશ એટલે એક ગરીબ દેશઃ

અંગ્રેજોએ આપણા દેશને ગરીબ બનાવીને છોડી દીધો હતો. હવે આગળ કેમ વધવું, તે સ્વતંત્રતા પછીનો  મોટો કોયડો હતો.

ગરીબ દેશ, એટલે નહીં મકાન, નહીં પાણી, નહીં અન્ન, નહીં વસ્ત્ર, નહીં વ્યવસાય, નહીં ઉત્પાદન, નહીં ધન, નહીં આવાસ … અને તેની સાથે સાથે શિક્ષણનો અભાવ, ફરેબી શિક્ષણ, અંધશ્રદ્ધા, કોમવાદ, જાતિવાદ, અસ્વચ્છતા, રોગચાળો, કુરિવાજો,  …. આવી પરિસ્થિતિમાં દેશને આગળ કેમ લઈ જવો? ….

આ બધું હોવા છતાં ભારત પાસે વારસામાં હતું; મહાન સંસ્કૃતિ, સંસ્કૃતભાષા, સંસ્કૃત સાહિત્ય, ઉચ્ચ તત્ત્વજ્ઞાન, સહિષ્ણુ ધર્મ, અને અનેક ક્રાંતિકારી મહાત્માઓ અને સંતો ….

ગાંધીજીએ રામને અને ગીતાને જ શા માટે પસંદ કર્યાં?

(૧) જેને તમે નકારી શકતા નથી તેનો આદર કરો, ભલે તે કોઈ પણ કક્ષાએ થી ઉચરાયું હોય,

(૨) સત્યનો આદર કરો અને તેની સ્થાપના કરો,

(૩) શાસક માટે કશું અંગત નથી. તેનું જીવન ખુલ્લી કિતાબ જેવું હોવું જોઇએ,

(૪) સામાજીક બદલાવ, શાસક ન લાવી શકે, કારણ કે શાસક તો બળ વાપરશે. અને બળથી સત્ય સિદ્ધ થતું નથી.

(૫) સામાજીક બદલાવ લાવવા માટેના અધિકારીઓ ઋષિઓ છે,

(૬) ઋષિઓ પાસે નૈતિક બળ છે અને શાસક પાસે “દંડ” નું બળ છે.

(૭) ઋષિઓનું શાસન એ અનુશાસન છે, શાસક જે કંઈ કરે તેને શાસન કહેવાય.

(૮) ધર્મ એટલે સમાજ પ્રત્યેનું કર્તવ્યઃ

એટલે કે જેણે જે ક્ષેત્રને પસંદ કર્યું અને જેમાં કુશળતા મેળવવી. તે દ્વારા સમાજની સેવા કરવી તે તેનો ધર્મ છે.

જેમકે તમે સર્જન થયા અને ઘણા પૈસા અને કિર્તી કમાયા. કોઈ એક વખત તમે ઓપરેશન ટેબલ ઉપર ઓપરેશન કરવાની તૈયારીમાં હતા અને તમને લાધ્યું કે આ કામ તો ખરાબ છે. હું આ ઓપરેશન નહીં કરું અને તમે તે ઓપરેશન છોડી દો તો તે યોગ્ય નથી. તમે સર્જનનું ભણ્યા છો અને તેમાં કુશળ છો તો તમે બીલ્ડરના ધંધામાં રાતો રાત ન પડી શકો. તેનો પહેલાં અભ્યાસ કરો અને તેમાં કુશળતા મેળવો. ધીમે ધીમે ચેન્જ ઓવર કરો.

(૯) શાસકત્વ (ક્ષાત્રત્વ) જેણે પસંદ કર્યું તેણે તેને વળગી રહેવું જોઇએ, તેનો તે ધર્મ  (કર્તવ્ય) છે,

(૧૦) સ્વધર્મે નિધનં શ્રેયઃ, પરધર્મઃ ભયાવહ

આ બધા ગુણો ગાંધીજીએ રાજા રામમાં અને ગીતામાં જોયા.

શિક્ષણ વિષે તો ગાંધીજીએ ઘણું લખ્યું છે.

શિક્ષણ અને ઉદ્યોગ અને શ્રમને તેમણે કદી અલગ પાડ્યા નથી. હાલના કેટલાંક વર્તમાનપત્રો, જો વિદ્યાર્થી પાસે ક્યાંક શ્રમ કરાવાતો જુએ તો “અય્યો …. અય્યો … અય્યો… વિદ્યાર્થીઓ પાસે તમુક સકુલવાળા કામ કરાવે છે….”

અમારે ડેરોલ (ગોધરા પાસેનું ગામડું)ની સ્કુલમાં તો કોઈ પટાવાળો જ ન હતો. અને સફાઈ અમારે જાતે જ કરવી પડતી હતી. ઘંટ પણ અમારે જ વગાડવો પડતો હતો. આ સરકારી પ્રાથમિક શાળા જ હતી. કાલાં ફોલવાનાં, રૂ કાઢવાના, રૂ પીજવાનાં, પૂણી બનાવવાના, કાંતવાના, વણવાના કામ પણ અમને શિખડાવવામાં આવતા હતાં. ખાતર બનાવવાનું પણ શિખવાડવામાં આવતું હતું. ફક્ત કાંતવાની પરીક્ષા રહેતી.

ગાંધીજી અને સ્વચ્છતા વિષે તો મોદીજી ઘણું જ લખે છે અને બોલે છે. એટલે એ વાત જવા દઈએ.

હા. શારીરિક સ્વચ્છતા વિષે એમના વિચારો જાણવા જોઇએ. તેમણે શરીરના અંગોને કેવી રીતે સાફ રાખવા તે વિષે ઠીક ઠીક લખ્યું છે. દાઢી કેવી રીતે કરવી, વાળ કેવી રીતે કાપવા, ગુપ્તભાગોના વાળ કેટલા સમયે કાપવા, કેવી રીતે સ્નાન કરવું, કેટલું ચાલવું એ બધું પણ તેમણે સમજાવ્યું છે.

આરોગ્યઃ

ગાંધીજીના આરોગ્યના વિચારો સૌએ અપનાવવા જેવા છે.

માટીના પ્રયોગો, પાણીના પ્રયોગો, શાકભાજી દ્વારા રોગનિવારણ, ફળાહાર દ્વારા લાંબુ આયુષ્ય, બકરીનું દૂધ, ગાયનું દૂધ, જડી બુટ્ટીઓ … આ બાધાના ઔષધીય ગુણો છે.

ઉપવાસ અને કુદરતી ઉપચારઃ

૯૦ ટકા રોગ ચાર દિવસના નકોરડા ઉપવાસ કરવાથી મટી જાય છે. જો કે આને માટે વૈદકીય સલાહ અને નિગરાની આવશ્યક છે. જો તમને ડાયાબીટીસ હોય, ટીબી હોય, હૃદય રોગ હોય તો નકોરડા ઉપવાસ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી.

આહારના નિયમન દ્વારા રોગમૂક્તિ થઈ શકે છે. આહારના નિયમન થી તંદુરસ્તી જાળવી શકાય છે તે ગાંધીજીએ પ્રયોગો દ્વારા પણ સિદ્ધ કરી બતાવ્યું છે.

“સમસ્યાઓ છે તો ઉપાયો પણ છે” એ લેખમાળા પ્રતિલિપિની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

ગાંધીજીએ ક્યાંય ભૂલ કરેલી?

એમણે કબુલ કરી ન હોય તેવી ભૂલો તો મળતી નથી.

ગાંધીજીના સિદ્ધાંતો એ એક દિશા સૂચન છે. ભલે ગાંધીજીએ ન કહ્યું હોય તો પણ તેમના વિચારોને અનુરુપ આજના સંજોગામાં મૂલવીને આપણે નિર્ણયો લઈ શકીએ.

આપણે ગાંધીજીના અમુક સિદ્ધાંતો માનીએ અને અમુક ન માનીએ એવું ન ચાલે. છતાં પણ તેના ઉપર વિચાર વિમર્શ થઈ શકે.

“ગામડાંને સ્વાવલંબી બનાવવા” એ મુદ્દા ઉપર ગામડાંની વ્યાખ્યા બદલવા વિષે વિમર્શ થઈ શકે,

“ઘરે ઘરે ગાય રાખવી” એ વાતને બદલે ગૌશાળા સિવાય ગાય (ગાય એટલે ભેંસ, બળદ, પાડા, ઉંટ, બકરી ઘેટાં, કુતરાં બધાં ગાયમાં આવી જાય) ન રાખવી એ વિષે  વિચાર વિમર્શ થઈ શકે,

સોલર વિદ્યુતની વ્યાપકતા, ખેતીમાં ક્રાંતિ, કયા ક્ષેત્રમાં ગ્રામોદ્યોગ, અને કયા ક્ષેત્રોમાં યાંત્રિકીકરણ કરવું જોઇએ એ વિષે વિમર્શ થઈ શકે. પશુને ઇશ્વરીય યંત્ર સમજો. બળદને તમે પોદળો મુકતું ઈશ્વરીય ટ્રેક્ટર કેમ સમજતા નથી?

સર્વ ગ્રાહી અને સુરક્ષિત સંરચનાઓ …  

બેકારી નિવારણ માટે વ્યાપક રીતે ખાદીનો વપરાશ અને ગૃહ ઉદ્યોગને ઉત્તેજન એ તત્કાલિક ઉપાય છે.

સામાજિક અને ધાર્મિક રિવાજોમાં તેની ઉપયોગિતા જોવી. આમાં ચડસા-ચડસી ન કરવી, વેપારી વૃત્તિ ન રાખવી, સાદાઈ રાખવી. સ્ત્રી-પુરુષના સમાન હક્ક આ બધી વાતો તેમણે કરી જ છે. ગાંધી ચીંધ્યા માર્ગે લગ્ન કરવાથી કશો જ ખર્ચ થતો નથી. દહેજ માં રેંટિયો પણ શું કામ લેવો? દિકરીને એના પિતાને ઘરેથી રેંટીયો લાવવો હોય તો લાવે. વર તો પોતાનો રેંટીયો પોતાની પરસેવાની કમાણીમાંથી લાવશે.

જોકે સ્વતંત્રતા આવ્યા પછી તો જેઓ પોતાને મૂળ કોંગ્રેસી માને છે તેના નેતાઓ અને તેમના સાંસ્કૃતિક સહાયક પક્ષના નેતાઓ બેસુમાર ખર્ચ કરે છે. એક નેતાએ પૂત્રના લગ્નમાં સરકારી ખર્ચે પુરા શહેરને શોભાયમાન કરી દીધેલું. એક નેતાએ કુવામાં બરફની પાટો નાખી આખા કૂવાના પાણીને ઠંડું કરી દીધેલું. એક એકથી ચડે એવા નેતાઓ છે જેમને તેઓ આવું કરે ત્યારે ગાંધીજી યાદ આવતા જ નથી અને પોતાના પક્ષને મહાત્મા ગાંધી વાળો મૂળ કોંગ્રેસ પક્ષ માને છે અને પોતાના પક્ષને એક વિચાર તરીકે ઓળખાવાની ગુસ્તાખી કરે છે. વળી તેઓ જાતિવાદને અને ધર્માંધતાને ઉશ્કેરે છે તે તો આપણે ગણ્યું પણ નથી. આવા નેતાઓ અને પક્ષો કેવીરીતે વિશ્વસનીય બની શકે?

આવી તો બધી ઘણી વાતો છે… આજ બ્લોગ સાઈટ ઉપર “સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય ગાંધીવાદ -૧ થી ૯ વાંચશો.

જો તમે wordpress.com એકાઉન્ટ રાખ્યું હશે તો તમે બધું સીધે સીધું વાંચી શકશો. જો તમારે વર્ડપ્રેસમાં એકાઉન્ટ રાખવું હોય તો નીચેની લીંક ઉપર ક્લીક કરશો.

https://wordpress.com/start/account

શું હાલના ગાંધીવાદીઓ ગાંધીવાદને જીવાડી શકશે?

ના જી.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

અમંત્રઃ હિ અક્ષરઃ ન અસ્તિ, ન અસ્તિ મૂલં અનૌષધમ્‌

અયોગ્યઃ પુરુષઃ ન અસ્તિ, યોજકઃ તત્ર દુર્લભઃ

અર્થ વગરનો કોઈ અક્ષર નથી, એવું કોઈ મૂળ નથી જે  (કોઈ એક રોગનું) ઔષધ

ન હોય, કોઈપણ વ્યક્તિ અયોગ્ય નથી. પણ શેમાં શું શક્તિ છે તે જાણનારો એટલે કે યોજક દુર્લભ છે.

ગાંધીજી આવા યોજક હતા.

તે વખતના ઘણા નેતાઓ જાતિવાદ, ધર્મવાદ, ઉચ-નીચમાં માનનારા હતા. અંગ્રેજોના શાસનને યોગ્ય માનનારા અને તેનો હરખ કરનારા પણ હતા. આવા એક સુસ્થાપિત શાસન અને સામ્રાજ્ય સામે સ્વાતંત્ર્યની વ્યાપક રીતે ભાવના ઉત્પન્ન કરવી અને જનતાને અહિંસક લડત માટે તૈયાર કરવી એ જેવી તેવી વાત તો ન જ હતી. યુદ્ધ કર્યા વગર અહિંસક લડત ચલાવી ત્રીસવર્ષના ગાળામાં અંગ્રેજોને હાંકી કાઢવા, એ માણસને તમે મહાત્મા નહીં કહો તો શું કહેશો?

નહેરુવીયન  કોંગ્રેસે હિમાલયન બ્લન્ડરો કર્યા છતાં,  નહેરુવંશના શાસનને કાઢતાં એ જ દેશને ૩૦ વર્ષ લાગ્યા હતાં (૧૯૪૭-૧૯૭૭). આ પણ ત્યારે જ શક્ય બન્યું જ્યારે કોંગ્રેસ પોતે તૂટી અને રાજકીય રીતે નિસ્ક્રીય ગાંધીવાદીઓ સક્રિય બન્યા.

અને પછી જુઓ. એજ કોંગ્રેસે વળી પાછું ૨૫ વર્ષ રાજ કર્યું.

Read Full Post »

અહિંસક સમાજ  શું શક્ય છે? ભાગ (માંસાહાર અને શાકાહાર)

ગુજરાતના એક ક્રાંતિકારી વિચારક મનાતા સ્વામિ

ગુજરાતના એક ક્રાંતિકારી વિચારક મનાતા સ્વામિએ ગૌ-હત્યા બંધીને અહિંસાનો અતિરેક ગણાવ્યો છે. તેઓશ્રીએ એક પુસ્તક લખ્યું છે “ત્યાગ, અહિંસા અને આતંકવાદ”.

આપણે “અહિંસા” પુરતી આપણી ચર્ચાને મર્યાદિત રાખીશું. જ્યારે ગાંધીજીને અને અહિંસાને સાંકળીએ તો ગાંધીજીને અન્યાય ન થાય તે માટે ગાંધીજીની “અહિંસા” ની વ્યાખ્યાને સમજી લેવી જોઇએ. “સત્યાગ્રહ”ની વ્યાખ્યાને પણ સમજી લેવી જોઇએ.

“અહિંસા”, સાપેક્ષ હોય છે. ઓછામાં ઓછી હિંસા, એટલે અહિંસા. જબલપુરના એક ચાર રસ્તા ઉપર ગાંધીજીનું પુતળું છે. તેની નીચે લખ્યું છે કે “જો મારે કાયરતા અને હિંસા વચ્ચે પસંદગી કરવાની આવે તો હું હિંસા પસંદ કરું”.

જો કોઈ એક કામ એક લાકડી મારવાથી પતી જતું હોય તો બે લાકડી ન મારવી. અહિંસાનું શસ્ત્ર તેની સામે જ ઉઠાવી શકાય જે કાયદાના શાસનમાં માનતો હોય અને તેને તમારા ઉપર પ્રેમ હોય. જો કે તમે તેનું પારખું કરી શકો. કાઠીયાવાડના એક બાપુ પાસે ગાંધીજી સત્યાગ્રહ કરવા ગયા. સત્યાગ્રહ ઉપર (ઉપવાસ ઉપર) બેઠા પણ ખરા.  તે બાપુ તો વાટાઘાટો કરવા પણ તૈયાર ન હતા. વળી તે બાપુએ કહ્યું કે મારે તો સારું થશે કે જો ગાંધીજી ઉપવાસમાં મરી જશે તો મારું ગામ તો તીરથ થશે. ગાંધીજી ઉપવાસ બંધ કરીને ભાગી ગયા હતા.

greatness depends upon treatment of animal

અહિંસાનો અતિરેક છે?

ઉપરોક્ત સ્વામીજીને લાગે છે કે ગાય અને બળદ ની હત્યાની બંધી કરવી અને તેના માંસની બંધી કરવી તે અહિંસાનો અતિરેક છે. કોઈ પણ બાબતમાં અતિરેક યોગ્ય નથી. તે વાત સાચી છે.

અહિંસામાં અતિરેક કોને કહેવો તે નક્કી કરવું અઘરું છે અને તે વ્યક્તિગત પણ છે. વળી તે બીજા ઘણા પરિબળો ઉપર અવલંબે છે.

જોકે સ્વામીજી તે બાબતમાં આગળ વધુ લખે છે. ગાય અને બળદ (ખસી કરેલો સાંઢ), આર્થિક રીતે પોષાય તેમ નથી. સાંઢને ખસી કરવી તે પણ હિંસા છે પણ તે વગર છૂટકો નથી. કારણ કે સાંઢ આક્રમક હોય છે.  સો ગાયો વચ્ચે એક સાંઢ પૂરતો હોય છે. એટલે બાકીના સાંઢને ખસી કરી બળદ બનાવવા જ પડે. આજનો જમાનો ટ્રેક્ટરનો છે. બળદ હવે નિરુપયોગી થઈ ગયા છે. ગાય સતત દુઝણી હોતી નથી. ગૌશાળાઓમાં પણ હવે ગાય અને બળદ આર્થિક રીતે પોષાય તેમ રહ્યા નથી. આ બધા કારણસર તેમની કતલ કરવી જરુરી છે અને જેઓ માંસાહાર કરતા હોય તો તેમને માંસાહાર કરવા દેવો.  સ્વામીજીની પાસે પોતાની ગૌશાળા છે અને ગૌશાળાનો તેમને અનુભવ છે. તેના આધારે તેઓ માને છે કે ગૌશાળા આર્થિક રીતે પોષાય તેમ નથી.

શું ગૌશાળા આર્થિક રીતે પોષાય તેમ નથી?

આજ બ્લોગ સાઈટ ઉપર “ગૌ હત્યાબંધી વિષે દંભીઓનું દે ધનાધન” વિષે બે લેખ આપેલા છે, તેને વાંચી જવા વિનંતી છે. આમ કહેવા પાછળનો હેતુ, પુનરાવર્તન ન કરવાનો છે.

જ્યાં સુધી માનવસમાજ જમીન ઉપર ખેતી કરે છે ત્યાં સુધી પશુઓ અનિવાર્ય છે.

આપણે બધા પ્રાણીઓ માટે બળદ શબ્દ વાપરીશું. બળ એટલે ઉર્જા અને “દ” એટલે ઉર્જા આપનાર. બળદ દ્વારા થતી ખેતી કુદરતી છે. આ ખેતી શ્રેય છે. જો કે માણસ જે કંઈ વિચારે અને કરે તે બધું જ કુદરતી છે. પણ ઈશ્વરે માણસને બુદ્ધિ આપી છે એટલે માણસની જવાબદારી વધે છે. માણસ વિરોધાભાસી નિર્ણયો લઈ શકે છે. પણ પૃથ્વી ઉપર વાતાવરણનું સંતુલન જળવાઈ રહે તે જવાબદારી માણસની છે.

“ટ્રેક્ટરનો જમાનો છે એટલે બળદ નકામા થઈ ગયા છે”. જમાનો ટ્રેક્ટરનો છે તે પર્યાવરણવાદીઓને માન્ય નથી.

સર્વોદય કાર્યકર જુગતરામ કાકા પાસે ઝીણાભાઈ દરજી ગયા હતા અને તેમને મોટર કાર આપવાની ઈચ્છા વ્યક્ત કરી. જુગતરામ કાકાએ સપ્રેમ ના પાડી. તેથી તેમણે ટ્રેક્ટર આપવાની ઈચ્છા વ્યક્ત કરી. એટલે જુગતરામ કાકાએ પૂછ્યું કે “તમારું ટ્રેક્ટર પોદળો મૂકે છે?”

 “ગૌ સૃષ્ટિના પ્રાણીઓ આર્થિક રીતે પરવડે કે નહીં?”  તેનું અર્થ શાસ્ત્ર અને ગણિત તમે સરવાળા-બાદબાકીમાં ન કરી શકો. એક કિલોગ્રામ અનાજ અને એક કિલોગ્રામ સોનું એમાં મોઘું કોણ તે સામાજીક અર્થશાસ્ત્રના નિયમોને આધારે નક્કી કરાય છે. વાસ્તવમાં જમીન અને અન્ન અમૂલ્ય છે.  પહેલું પૂનર્પ્રાપ્ય નથી, બીજું પૂનર્પ્રાપ્ય છે. આપણે જમીનની માલિકીના, ગામડાની સંરચનાના અને શહેરોની સંરચનાના ખ્યાલો બદલવા પડશે. અને તે માટે મન ખુલ્લું રાખી કાયદાઓ અને નિયમો ઘડવા પડશે. ન્યાયાલયો ઉપર સૌથી મોટો બોજો સ્થાવર મિલ્કતની માલિકીને લગતા, અને અણઘડ સરકારી અમલદારોએ લીધેલા ચૂકાદાની સામે થયેલી અપીલોના કેસોનો જ છે.

ટ્રેક્ટર એક મશીન છે. ટ્રેક્ટર દ્વારા ખેતી કરવી એ એક રીત છે.

ટ્રેક્ટરનું આયુષ્ય કેટલું?

ટ્રેક્ટર દ્વારા ખેતી કરવી તે રીતનું પણ આયુષ્ય કેટલું?

ટ્રેક્ટર એક અવિદ્યા છે. બળદ કે પાડો, એ વિદ્યા છે. અવિદ્યા એ અધૃવ છે.

ટ્રેક્ટર એક અવિદ્યા છે. બળદ કે પાડો, એ વિદ્યા છે. અવિદ્યા એ અધૃવ છે. વિદ્યા એ ધૃવ છે. જે ધૃવ ને છોડીને અધૃવનું સેવન કરે છે તેનું ધૃવ પણ નાશ પામે છે અને અધૃવ તો નાશ પામેલું જ છે. તમે ટ્રેક્ટરને લાવ્યા એટલે બળદ નકામો થઈ ગયો. અને ટ્રેક્ટર તો નાશ પામવાનું જ છે. ભૂગર્ભતેલના ભંડાર અમાપ નથી. તે ૪૦ વર્ષ ચાલે એટલા છે. તે પછી શું?

ટ્રેક્ટર માણસે બનાવેલું મશીન છે. બળદ ઈશ્વરે (પ્રકૃતિએ) બનાવેલું મશીન છે. મનુષ્ય ઈશ્વરથી કુશળ ન હોઈ શકે.

પ્રકૃતિ રહી દુર્જેય પરાજિત હમ સબ ભૂલે થે મદમેં

હાં કિ, ગર્વરથમેં તુરંગસા જો ચાહે જિતના જુત લે (પ્રલય મહાકાવ્ય)

સરકાર ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ નક્કી કરી આપે. ખેડૂતોના દેવા માફ કરવા તે સાચો ઉપાય નથી. આવા ઉપાયોને અવારનવાર સ્વિકૃતિ આપી ન શકાય. આવા ઉપાયો કરવાથી ખેડૂતોની આદતો બગડે છે. ખેડૂતો દ્વારા થતી આત્મહત્યાઓ ઉપર સંશોધન થવું જોઇએ. સામાજીક રીતરિવાજોના ખર્ચાઓને કારણે પણ તેમને પૈસાની તંગી પડતી હોય છે. વિલાયતી ખાતર બનાવતા કારખાનાઓ સદંતર બંધ કરી દેવા જોઇએ. દેશી ખાતર જ શ્રેષ્ઠ ખાતર છે. ભલે ઓછું ઉત્પાદન થતું હોય પણ લાંબા ગાળે અને સરવાળે તે ખાતર જ જમીનને માટે અને ઉત્પાદનની વૃદ્ધિ માટે યોગ્ય છે. ટપક પદ્ધતિ, ખેત તલાવડી, અપાર વૃક્ષો, ગૌ મૂત્રનો વ્યાપક ઉપયોગ, કૃષિ આધારિત ઉદ્યોગો અને તેના વેપારનું ખેડૂતો દ્વારા જ સંચાલન, ખેડૂતોનો ઉદ્ધાર કરી શકશે.

ગૌસૃષ્ટિનો સભ્ય પર્યાવરણનો રક્ષક છે. ગૌસૃષ્ટિનો સભ્ય પોદળો મુકે છે. તેનું ખાતર બનાવી શકાય છે અને તેનું બળતણ પણ કરી શકાય છે. ટ્રેક્ટર પ્રદુષણ યુક્ત ધુમાડો છોડે છે. ટ્રેક્ટર બગડે તો કુશળ કારીગરની જરુર પડે છે. ગૌસૃષ્ટિનો સભ્ય અને ટ્રેક્ટરની સરખામણી થઈ ન શકે.

તમે હિસાબ માંડો. ગૌસૃષ્ટિનો સભ્ય કેટલું ખાતર આપે છે? ગૌસૃષ્ટિનો સભ્ય કેટલી જમીન સુધારે છે? ગૌસૃષ્ટિનો સભ્ય પોતાની દવા પોતે કરી શકે છે. ગૌસૃષ્ટિનો સભ્ય પોતાની મેળે ઘરે આવી શકે છે.  ગૌસૃષ્ટિનો સભ્ય પોતાનો બચાવ પોતે કરી શકે છે. ગૌસૃષ્ટિનો સભ્ય રીપ્રોડક્ટીવ છે. ટ્રેક્ટર આમાંનું કશું જ નથી. તમે એનો પણ હિસાબ લગાવો કે વિલાયતી ખાતરના કારખાના પાછળ કેટલો ખર્ચો થાય છે. તે કેટલી જમીન રોકે છે. આ ખાતરના કારખાના કેટલી જમીન બરબાદ કરે છે. ખાતરના ટ્રાન્સ્પોર્ટેશનમાં કેટલો ખર્ચો થાય છે. ખાતરના કારખાનાને જે કંઈ સવલતો સરકારે આપી છે તેનો પણ હિસાબ કરો. આ બધાની કિંમતનો સરવાળો કરો અને તેને દેશી ખાતરથી થતી ખેતીના ખર્ચામાંથી અને ગૌશાળાના ખર્ચામાંથી બાદ કરો.

એપ્રોપ્રીએટ ટેક્નોલોજી

જો તમે ટૂંકા ગાળાનો હિસાબ માંડતા હો તો …. આ બધી વાતો છોડો. આપણે હિસાબ જુદી રીતે લગાવીએ. ગૌસૃષ્ટિનું કોઈ પણ પ્રાણી નિરુપયોગી નથી. દરેક પ્રાણી ઉર્જાવાન છે. પણ આપણે તેની ઉર્જાના ઉપયોગની શક્યતાઓને વિચારી નથી. તેથી તેની ઉર્જાનો ઉપયોગ કરી શકાય તેવી તકનિકીઓ વિકસાવી નથી. આપણે ધારી લીધું છે કે આવી તકનિકીઓ વિકસી જ ન શકે.

દરેક પ્રાણીને કેળવી શકાય છે. તમે પ્રાણીઓની ઉર્જાથી વિજળી ઉત્પન્ન કરી શકો છો. તેના થી લીફ્ટ ચલાવી શકો (ગ્રામ્ય વિસ્તારોમાં). તમે તેલઘાણીમાં તે ઉર્જાનો ઉપયોગ કરી શકો છો. તેલઘાણીનો ખોળ પશુઓ માટે શ્રેષ્ઠ વિટામીન છે. તમે નાના અંતરમાં તેનો વાહન ચલાવવામાં ઉપયોગ કરી શકો છો. તેના ખાતરનો અને તેમાંથી નિકળતા ગેસનો ઉપયોગ ગેસના સીલીન્ડર ભરવાની ટેકનિક વિકસાવીને કરી શકો છો. તમે બીજી અનેક રીતે તેની ઉર્જાનો ઉપયોગ કરી શકો છો. આપણી ટેક્નોલોજી એપ્રોપ્રીએટ ટેક્નોલોજી હોવી જોઇએ. નફા તોટાનો હિસાબ, તમે હિસાબ કેવી રીતે કરો છો તેના ઉપર આધાર રાખે છે.

જો મનુષ્યજાતિએ સ્વકેન્દ્રી થવું ન હોય તો, પ્રાકૃતિક યંત્રો સાથે મનુષ્યના યંત્રો સ્પર્ધા જ ન કરી શકે. જો આમ ન હોત તો પશ્ચિમી સત્તાને ભારતમાં વણકરોના આંગળા કાપી નાખવાની જરુર પડી ન હોત. મહાત્મા ગાંધીએ ખાદીનો પ્રચાર શા માટે કરેલો? મહાત્મા ગાંધીનો પહેલો સવાલ એ હતો કે “તમે ભારતના ગરીબોને તાત્કાલિક રોજી, કેવી રીતે આપી શકશો?

આજ બ્લોગ સાઈટ ઉપર “નવ્ય સર્વોદયવાદ” ઉપલબ્ધ છે. વિસ્તૃત માહિતિ માટે તમને તે વાંચવાની વિનંતિ છે.

“ભારતીય સંસ્કૃતિમાં ગૌ-સૃષ્ટિ સાથે જે લાગણીશીલતાનું પરિબળ સંકળાયેલું છે તેની સદંતર અવગણના કરી ન શકાય. ભારતીયોને તમે કૃતઘ્ન (હરામખોર) થવાની ફરજ પાડી ન શકો. દરેક દેશને પોતાની માનસિકતા હોય છે.

ગૌ-હત્યા બંધીનો વિરોધ વાસ્તવમાં કોને છે?

મુસ્લિમોને ગૌ-હત્યા બંધી સામે વિરોધ નથી. જે કંઈ વાંધો છે તે સામ્યવાદીઓને અને ખ્રીસ્તીઓને છે. સામ્યવાદીઓને એટલા માટે છે કે તેઓ જ્યારે સત્તામાં ન હોય ત્યારે વિખવાદ અને અરાજકતા ફેલાવવામાં માને છે. પ્રણાલીઓને ધર્મ સાથે જોડી તેઓ વિખવાદ ઉત્પન્ન કરે છે. વિભાજન દ્વારા તેઓ અરાજકતા ફેલાવવા માગે છે.

સામાન્ય ખ્રીસ્તીઓ નિરુપદ્રવી છે. પણ તેમના શાસકો અને પાદરીઓ લાંબાગાળાનું વિચારે છે. જો તેમને સમજવા હોય તો તમારે રાજીવ મલહોત્રાએ લખેલ પુસ્તકો જેમકે “બ્રેકીંગ ઈન્ડિયા”, “વી આર ડીફરન્ટ”, “ઈન્દ્રાજ઼ નેટ” અને “બેટલ ફોર સંસ્કૃત” જરુર વાંચવા. યુ-ટ્યુબ ઉપર તેમના પ્રવચન અને સંવાદો ઉપલબ્ધ છે.  અમેરિકા ભલે પોતાને “માનવીય હક્કો”નો પુરસ્કર્તા માનતું હોય પણ તેની કાર્યશૈલી “મુસ્લિમ આતંક”વાદીઓ પ્રત્યે ભેદભાવ વાળી જ રહી છે. તેમને મન કેટલાક આતંકવાદીઓ ગ્રુપો સારા અને કેટલાક આતંકવાદી ગ્રુપો ખરાબ હોય છે. ખ્રીસ્તી આતંકવાદથી તો તે પોતાને સાવ અજ્ઞાની જ રાખે છે. ભારતમાં સામ્યવાદીઓનો, ખ્રીસ્તી પાદરીઓનો અને કટ્ટર મુસ્લિમોનો એક સમાન એજન્ડા છે. આપણામાંના કેટલાક સુજ્ઞ લોકો તેમના તર્કશાસ્ત્રથી ભોળવાઈ જાય છે. તેથી તેઓ તેમની પ્રત્યે કંઈક વધુ પડતા (તેને આપણે અતિરેક કહીશું), સહિષ્ણુ અને રીસ્પેક્ટફુલ બની ગયા છે.

ગાંધીજી જવાહરના માનસને સમજી શકતા હતા

ગાંધીજી જ્યારે જીવતા હતા ત્યારે તેમના વ્યક્તિત્વને કારણે કોંગ્રેસી નેતાઓ તેમના સિદ્ધાંતોને નકારી શકતા ન હતા. ગાંધીજીએ કહેલ કે તેઓ “જવાહરને સમજી શકે છે. પણ તેમના સમાજવાદને સમજી શકતા નથી”.

ગાંધીજી “જવાહર”ને સમજી શકે છે તેમાં  ઘણું સમાયેલું છે.  ગાંધીજી સમજતા હતા કે નહેરુ એક “નૉટી બૉય” છે. નહેરુનું તત્કાલિન કોંગ્રેસ સંગઠન ઉપર એટલું બળ ન હતું. પણ નહેરુ યુવાનોના પોસ્ટર બૉય હતા. એટલે તેઓ કોંગ્રેસને તોડવા માટે સક્ષમ હતા. જો તે વખતના નાજુક સમયમાં કોંગ્રેસ તૂટે તો દેશના બે કરતાં વધુ, એટલે કે કદાચ છ થી સાત ભાગલા પડી શકે તેમ હતા. એટલે મહાત્મા ગાંધીએ વ્યુહરચનાના ભાગરુપે, કોઈએ ભલામણ કરી ન હતી તે છતાં પણ, નહેરુને વડાપ્રધાન બનાવ્યા. આ એક હંગામી વ્યવસ્થા હતી. પણ તે પછી થોડા જ સમયમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ મરી ગયા. નહેરુએ એક પછી એક તેમના પ્રતિસ્પર્ધીઓને દૂર કર્યા. પરિણામ સ્વરુપે શું થયું તે આપણે જાણીએ છીએ. આપણે ત્યાં બહુમતિ ઉપર દમન થયું અને આપણા સુજ્ઞ લોકો મૂર્ખતા કે સ્વાર્થને કારણે તેના હાથા બન્યા.

આઝાદીની શરુઆતમાં ગાંધી-વિચારોનું પ્રબલ્ય રહ્યું હતું. તેથી જ ગૌ-હત્યા બંધી, દારુ-બંધી, અહિંસક સમાજ જેવા સિદ્ધાંતોને ભારતીય બંધારણમાં “આદેશાત્મક સિદ્ધાંતો તરીકે જગા મળી”. પણ નહેરુ ખંધા હતા એટલે તેમણે તેને લગતા કાયદા અને અમલનું કામ રાજ્યો ઉપર છોડ્યું. “જા બીલ્લી કુત્તેકો માર”

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ
હા તે જરુર શાકાહારી છે
કોણ કહે છે કે પેલો માંસાહારી છે?
પેલો પણ આમ તો શાકાહારી છે, પણ તે માંસાહારી વાનગીઓ ઉપર પણ હાથ મારે છે. શાકાહાર વગર તેને ચાલતું નથી. માંસાહાર સંપૂર્ણ ખોરાક છે જ નહીં.
જો પેલો એમ માનતો હોત કે તે માંસાહારી છે તો તે
હાડકાના ભૂકાના રોટલા ખાત,
કોથમીરને બદલે મચ્છર અને માખીઓ વાપરત,
તેલને બદલે ટેલો વાપરત,
મીઠાને બદલે મંકોડા નાખત,
મરચાને બદલે લાલ કીડીઓ નાખત,
દાડમને બદલે દાંત નાખત,
પાણી ને બદલે લોહી પીવત…

ટેગ્ઝઃ ગુજરાતના ક્રાંતિકારી વિચારક, અહિંસા, અતિરેક, ગાંધીજી, સત્યાગ્રહ, કાયરતા, કાઠીયાવાડી, ગૌ સૃષ્ટિ, ગાય, બળદ, સાંઢ, બકરી ઘેટાં, ઊંટ, ભેંસ, પાડા, માનવ સમાજ, ઈશ્વર, બુદ્ધિ, પૃથ્વી, વાતાવરણ, પર્યાવરણ, સંતુલન, કુદરતી, પ્રાકૃતિક, ટ્રેક્ટર, ખેતી, પોદળો, વિલાયતી ખાતર, ગૌમૂત્ર, સંરચના, ન્યાયાલય, વિદ્યા, અવિદ્યા, ધૃવ, અધૃવ, મશીન, જવાહર, સમાજવાદ, સામ્યવાદ, ખ્રીસ્તી પાદરીઓ, શાકાહારી, માંસાહારી

 

Read Full Post »

અહિંસક સમાજ  શું શક્ય છે? ભાગ (માંસાહાર અને શાકાહાર)

તમે નિર્ણય કરો કે;

સંવેદશીલતામાં વૃદ્ધિ અને માનવીય વિકાસ એક દીશામાં જાય છે કે વિરુદ્ધ દીશામાં?

અહિંસા અને સંવેદનશીલતા એક દીશામાં જાય છે કે વિરુદ્ધ દીશામાં?

યાદ રાખો, આપણે ધાર્મિક માન્યતાઓ પ્રેત્યેની સંવેદનશીલતાની વાત કરતા નથી.

અહિંસા વિષે ચોખવટ જરુરી છે. એક ડર થકી ઉત્પન્ન થતી અહિંસા અને બીજી છે સંવેદનશીલતા થકી ઉત્પન્ન થતી અહિંસા. ગાંધીબાપુની અહિંસા સંવેદનશીલતા થકી ઉત્પન્ન થતી અહિંસા હતી. અને તેને બૌદ્ધિક આધાર હતો.

હવે જેમ જેમ માનવ સમાજ માનસિક વિકાસના માર્ગે આગળ ધપતો ગયો તેમ તેમ તેની સંવેદનશીલતાનું વર્તુળ વધુ મોટું અને મોટું થતું ગયું.

પહેલાંના જમાનામાં રાજાઓ હતા. અને તેઓ કહે તે કાયદો ગણાતો. પણ પછી તેના ઉપર નિયમનો આવતા ગયા. પહેલા રાજસુય યજ્ઞો સારા ગણાતા. હવે ન ગણાય. હવે યુદ્ધો પણ સારા ગણાતા નથી. જો કે યુદ્ધો નિવારી શકાયા નથી. પણ યુદ્ધ નિવારવાના સામુહિક રાજકીય પ્રયત્નો થાય છે. ટૂંકમાં યુદ્ધ નિવારણ એ એક હિંસા નિવારણ તરફનું જ કદમ કહેવાય.

આપણે દંડને તદ્દન અનિવાર્ય માનીએ છીએ અને અનિવાર્ય માનીએ પણ છીએ. દંડ કરવો એ એક હિંસા છે. કારણ કે દંડનો હેતુ માનવના મનને સુધારવાનો છે. જો કોઈ એક માનવીના મનને સુધારવાના ઉપચારો હાથવગા ન હોય અને સરકાર માટે અતિ ખર્ચાળ હોય અને અથવા જનમત પણ પ્રબળ રીતે દંડને સ્વિકાર્ય માનતો હોય તો સરકાર દેહાંત દંડ પણ આપી શકે છે..

માનવ સમાજ વધુ ને વધુ અહિંસા અને સંવેદનશીલતા તરફ ગતિ કરતો થયો છે.

હવે જો સંવેદનશીલતાની વાત કરીએ તો સંવેદનશીલતા શા કારણે આવે છે? સંવેદનશીલતા લાગણીઓની નિકટતાને કારણે હોય છે. આપણા શરીરને કશું વાગે તો આપણને દુઃખ થાય.

સંવેદનશીલતા પ્રાણીઓમાં પણ હોય છે. જે પ્રાણીઓ આપણે પાળેલા હોય છે તેઓને જ્યારે આપણા દુઃખની ખબર પડે ત્યારે આપણા દુઃખે દુઃખી થતા હોય છે. પણ તેમનામાં મનુષ્ય જેવી બુદ્ધિ હોતી નથી તેથી તેમની સંવેદનશીલતાનું વર્તુળ મોટું થતું નથી.

જેની સાથે આપણે નિકટતા હોય તેને પણ કશું વાગે તો પણ આપણને દુઃખ થાય છે. આપણને જેની સાથે દુશ્મનાવટ ન હોય તેને પણ જો કશું વાગે તો આપણને થોડી ઘણી દુઃખની લાગણી થઈ શકે.

જો આપણો વ્યવહાર ઉચ્ચ કક્ષાનો હોય, અને કોઈને પણ વાગ્યાનું આપણા ખ્યાલમાં આવે તો પણ આપણને દુઃખ લાગે. શારીરિક દુઃખની વિષે જેવું છે તેવું જ માનસિક દુઃખ વિષે છે.

આ સંવેદનશીલતાનું વર્તુળ માનવના માનસિક વિકાસની સાથે મોટું ને મોટું થતું જાય છે. બૌદ્ધિક વિકાસ, ભૌતિક વિકાસ અને માનસિક વિકાસનો વેગ એક સરખો હોતો નથી. કારણ કે વિકાસ તો સામાજીક જરુરીયાતો ઉપર પણ અવલંબે છે. એટલે ગાંધીજીએ કહેલું કે જે લોકોએ વેદ અને ઉપનિષદ લખેલા તેઓ યાંત્રિક વિકાસ માટે સક્ષમ ન હતા તેમ માનવું જરુરી નથી. પણ તેઓ પર્યાવરણ અને માનવસમાજની તંદુરસ્તી બન્નેને એક્બીજાના પરિપેક્ષ્યમાં સમજી શકેલા.

સંવેદનશીલતાનું વર્તુળ કેટલું મોટું થઈ શકશે?

માણસના આહારની ટેવો આમ તો તમે જેવી પ્રેક્ટીસ પાડો તેવી પડે. “ભૂખ ન જુવે ભાખરી…” ગાંધીજી વિલાયત ગયા એટલે તેમને લાગ્યું કે આહારની ટેવો આપણે બદલી શકીએ છીએ.

ગાયને પણ રાંધેલુ માંસ ખાતી કરી શકાય છે. અને સિંહને પણ રોટલા ખાતો કરી શકાય છે. આલસેશ્યન કુતરો પણ રોટલા અને દૂધ ઉપર જીવી જાય છે. બિલાડી પણ અન્નાહાર કરે છે. કુતરા, બિલાડા, સિંહ, વાઘ વિગેરે એક જ કક્ષાના પ્રાણીઓ છે તમારે તેમને કેળવવા પડે.

હવે આપણા શરીર માટે શું જરુરી છે એ વાત આપણું શરીર પોતે જ કહે છે. આપણા માટે શાકાહાર જ યોગ્ય છે. માણસે અગ્નિની શોધ કરી તેથી અને શાકાહારના અભાવમાં તે માંસાહાર કરતો થયો. પણ જેમ જેમ તેની સંવેદનશીલતા વધતી ગયી તેમ તેમ તે અમૂક પ્રાણીઓને ત્યાજ્ય ગણતો ગયો. ભારતમાં ગાય ગણાઈ. ધીમે ધીમે જ્ઞાનીજનોએ સંપૂર્ણ શાકાહારની વાત કરી. શાકાહારમાં પણ અન્ન, ફળ, મૂળ અને પર્ણ ના ભેદ પડ્યા. મૂળમાં રનર-ટાઈપ મૂળ સ્વિકારાયા, કારણે કે તેમાં વનસ્પતીનો સંપૂર્ણ હ્રાસ થતો નથી. પણ પર્ણ ને રાત્રે ન તોડવા તેવું સ્વિકારાયું. ફળમાં રસાદાર ફળો સ્વિકારાયા. અને બીજ ને ફાલવા દેવું. અન્નને અગિયારસ, અને દેવ-સેવાના મુખ્ય તહેવારોમાં ન ખાવા તેની પાછળ પણ સંવેદન શીલતાનું ગણિત જ કામ કરે છે. જેમ મંગળવારે કે શનિવારે માંસાહારી લોકો પણ ભારતમાં માંસાહારને ત્યાજ્ય ગણે છે.

વાસ્તવમાં ક્યાંક તો અહિંસાની અને સંવેદનશીલતાની એક સીમા આવે જ છે. આપણે ગાય સાથે આત્મીયતા છે એટલે ગાય ખાતા નથી. યુરોપીયનોને કુતરા સાથે આત્મીયતા હોય છે તેથી તેઓ કુતરાને ખાતા નથી. કોણ કોની પ્રત્યે સંવેદનશીલ છે તે મહત્વનું હોય છે અને આખરે તે જ ભાગ ભજવે છે.

કૃતજ્ઞતા એ એક સંવેદનાનો હિસ્સો છે. ગોસૃષ્ટિના માનવજાત ઉપર ઉપકાર છે, વનસ્પતિ સૃષ્ટિના પણ માનવજાત ઉપર ઉપકાર છે, અને તેથી આપણે તેમની પણ પૂજા કરીએ છીએ અને તેમનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ છીએ.અસ્ત્ર શસ્ત્રોની પણ આપણે પૂજા કરીએ છીએ. આ બધું આપણી સંવેદનશીલતાનું દ્યોતક છે. અને આની અંદર ઈશાવાસ્ય વૃત્તિ સાંસ્કૃતિક રીતે નિહિત છે. આપણા માનવા પ્રમાણે શસ્ત્રોમાં જીવ જ નથી. નદી, પર્વત, વૃક્ષો, સમૂદ્ર હવા પાણી વિગેરે અનેક પદાર્થો આપણી પાસે કદી કોઈ માગણી કરતા નથી. પણ આપણી સંસ્કૃતિમાં નિહિત ઈશાવસ્ય વૃત્તિને પરિણામે આપણી પ્રણાલીઓ સ્થપાઈ છે અને આપણે, કારણકે આપણે તેમના આધારે જીવીએ છીએ આપણે તેમના પર આપણી કૃતજ્ઞતા દર્શાવીએ છીએ.   .

હવે કરીએ કાયદાની વાત

કાયદો શું કહે છે?

युपीमें रहेना है तो कायदेसे रहेना होगा

પણ એ પહેલાં એ સમજી લઈએ કે ટીવી ચેનલોમાં ચર્ચા કેવી રીતે થાય છે.

પણ એ વાત કરીએ એ પહેલાં ઉત્તર પ્રદેશમાં શું થઈ રહ્યું છે તે જાણીએ.

ચૂંટણી થઈ અને ભારતીય જનતા પક્ષ પ્રચંડ બહુમતિ સાથે ચૂંટાઈ આવ્યો. ચૂંટણી વિશ્લેષકો, અક્ષરશાસ્ત્રીઓ, જ્યોતીષ શાસ્ત્રીઓ બધા જ ખોટા પડ્યા. આદિત્યનાથ યોગી મુખ્ય મંત્રી પદે આરુઢ થયા. જૈસે થે વાદીઓ અને ફરેબી ધર્મનિરપેક્ષતાવાદીઓના પેટમાં તેલ રેડાયું છે.  આદિત્યનાથ યોગી મોટી સંસ્થા ચલાવે છે. જેઓ સંસ્થા ચલાવતા હોય અને ૧૫ વર્ષથી લોક સભાના સભ્ય પણ હોય તેમને વહીવટ અને જનતંત્ર વિષે ગતાગમ હોય જ. એટલે તેમણે વહીવટી સપાટો બોલાવ્યો.

ગેરકાયદેસર કતલખાનાને તાળાં લાગ્યાં

Save Daughter Save Son

(with the curtsy of Cartoonist)

અત્યાર સુધીની સરકારો ખાસ કરીને સ.પા., બ.સ.પા. અને નહેરુવીયન કોંગ્રેસ સરકારો એવી હતી કે જે “જૈસે થે વાદ”, “હોતી હૈ ચલતી હૈ”, “યાર, અબ તો પૈસે બનાલો … ઇસસે અચ્છા મૌકા ફિર મિલે યા ન મિલે”, “અબે યાર, કાયદા હમે ક્યા કરેગા?”, “અબ મેરે ચાચા ડીએસપી હૈ… તુમ્હારી અબ ખૈર નહીં …”, “તુમ્હે ક્યા ચાહિયે વો બોલો ન … હમ તુમ્હે દિલા દેંગે …”, “અબ તો ઐશ હી ઐશ હૈ” બાબતોમાં ગળાડૂબ હતી. સમાચાર માધ્યમોના પણ આ જ સંસ્કારો હતા. મોટા ભાગના સમાચાર માધ્યમોના સંસ્કાર હજી પણ આવા જ છે.

ગેરકાયદેસર કતલખાના ચાલવા જોઇએ એવું કહેવાની ટીવી સંચાલકોની અને દંભી ધર્મનિરપેક્ષતાવાદીઓની હિમત નથી. તેથી તેઓ ચર્ચા આડે માર્ગે લઈ જાય છે. આ સરકાર મુસ્લિમ વિરોધી અને કોમવાદી છે એવો પ્રચાર ચાલ્યા કરે છે. એક મુસ્લિમ ભાઈએ તો ચર્ચા દરમ્યાન કહ્યું પણ ખરું કે “અમે કતલખાનાના લાયસન્સના રીન્યુઅલ માટે જે અરજી આપેલી છે તેની ઉપર જુની સરકારે કેમ પેન્ડીંગ રાખી, તેની સાથે અમારે લેવા દેવા નથી પણ નવી સરકારે તેના ઉપર કેમ કાર્યવાહી કરી નથી તેનો તે જવાબ આપે.”

હવે તમે જાણી લો કે નવી સરકારને આવે હજી સાત દિવસ પણ થયા ન હતા તો પણ તેને વાંકમાં લેવાની યોગી-વિરોધીઓની વૃત્તિ બની ગઈ હતી. ચર્ચાના એંકરને તમે યોગીના પગલાના વિરોધીઓની ઉલટ તપાસ કરતા જોશો નહીં. કારણ કે તે સૌનો એજન્ડા “કાયદાના શાસનને” બહુમાન આપવાનો નથી, પણ યોગી વિરુદ્ધ વાતાવરણ તૈયાર કરવા છે.

૨૦૧૦માં કતલખાના માટે નીતિ નિયમો નક્કી કરેલ છે

આ નીતિ નિયમો માટેનો પરિપત્ર કતલખાનાઓની અને જનતાની જાણકારી માટે આદિત્યનાથ યોગીની સરકારે પ્રસિદ્ધ કર્યો. તો સમાચાર માધ્યમોએ તેને એવી રીતે પ્રસિદ્ધિ આપી કે આ નીતિ નિયમો યોગી સરકારે જ ઘડ્યા છે. અને સમાચાર માધ્યમોએ એવી રીતે પ્રસિદ્ધિ આપવા માંડી કે આઆ નવા નિયમો એવા છે કે કોઈ પણ કતલખાનુ ચાલી શકશે નહીં. જો તમે આ નિયમ વાંચશો તો તેમાં કશું એવું નથી કે જેને અમલમાં મુકી ન શકાય. દુનિયાના બીજા બધા જ દેશોમાં આવા કે આનાથી વધુ કડક નીતિ નિયમો અમલમાં છે. પણ સમાચાર માધ્યમોના એવા સંસ્કાર નથી કે તેઓ આ નિયમો ઉપર ચર્ચા કરી શકે.

ટીવી એંકરો અને યોગી વિરોધીઓ “કાયદાના શાસનના” મુદ્દાને તો સ્પર્ષતા જ નથી. “ગેકાયદેસર ચાલતા કતલખાના” માંથી “ગેરકાયદેસર” શબ્દને ઉડાડી દેવામાં આવે છે અને સમગ્ર ચર્ચામાં આદિત્યનાથ યોગી કોમવાદી છે અને મુસ્લિમોને બેકાર કરવાનું આ કાવતરું છે, મુસ્લિમો ભૂખે મરશે, આ મુસ્લિમ વિરોધી છે કદમ છે એવી જ વાતો ચલાવે છે.

નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓ અને ટીવીના એંકરભાઈ, વળી ચોર કોટવાળને દંડૅ એવી વાત કરે છે. બીજેપીવાળાને પુરું બોલવા જ ન દે. બીજેપી બંધારણના આદેશાત્મક જોગવાઈની વાત પૂરી કરે કે ન કરે ત્યાં તો તેમને એમ કહીને ઉતારી પાડે કે “ભારતીય બંધારણમાં તો ગૌ-વંશ માત્રની હત્યાની બંધી કરવાની જોગવાઈ છે. તમે માત્ર ગાય બળદની હત્યા બંધીને જ શા માટે પકડી રાખી છે? તમે બંધારણની હત્યા કરી છે.  તમને ભારતીય બંધારણ પ્રત્યે આદર જ નથી.”

સમજી લો ચર્ચા તો ફક્ત ગેરકાયદેસર ચાલતા કતલખાના ઉપર સરકારની તવાઈની છે. ચાલુ કાયદાનો અમલ નહેરુવીયન કોંગ્રેસ, સ.પા. અને બ.સ.પા. કરતા ન હતા. આ બધા પક્ષો આમ તો પોતાને ધર્મનિરપેક્ષ માને છે અને મનાવે છે. તો પણ પૈસા લઈને લાયસન્સો આપતા હતા, પૈસા લઈને લાયસન્સો રીન્યુ કરતા હતા. કતલખાનાવાળાઓ લાયસન્સ લીધા વગર પણ કતલ ખાના ચલાવતા હતા. તવાઈ તો આ બધા પક્ષો પર લાવવી જોઇએ અને એંકરે તે લોકોને ચર્ચા દરમ્યાન સકંજામાં લેવા જોઇએ. પણ સકંજામાં બીજેપીવાળા ભાઈને લેવામાં આવે છે. કારણ કે બીજેપી કાયદાનો અમલ કરે છે અને આ વાત જ નહેરુવીયન કોંગ્રેસ, સ.પા. , બ.સ.પા. ને કઠે છે.

રોડ-રોમીયાઓ ઉપર યોગી સરકારની લાલ આંખ પણ અભિષેક મનુ સિંઘવીની નહેરુવીયન કોંગ્રેસ, “લડકે હૈ ગલતી હો જાતી હૈ” કહેવાવાળા મુલાયમ ની સ.પા. ને પસંદ ન પડે તે સમજી શકાય તેમ છે પણ બ.સ.પા. ને શા માટે પસંદ ન પડે તે સમજી શકાતું નથી, એ સંશોધનનો વિષય છે. કદાચ એવું હોય કે “બાવો નાચ્યો એટલે બાવી નાચી”, “બીજેપીને ભાંડવાની વહેતી ગંગામાં હાથ ધોઈલો બાપલા” પણ આ બધી વાત આપણે નહીં કરીએ કારણ કે તે અહીં અપ્રસ્તૂત છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ સંવેદનશીલતા, માનવીય વિકાસ, અહિંસા, યુદ્ધ, દંડ, માનસિક, દેહાંતદંડ, દુઃખ, માનસિક વિકાસ, યાંત્રિક વિકાસ, ઉત્તર પ્રદેશ, આદિત્યનાથ યોગી, મુખ્ય મંત્રી પદ, જૈસે થે વાદીઓ, ધર્મનિરપેક્ષ, ગેરકાયદેસર કતલખાના, મુસ્લિમ, ભારતીય બંધારણ, લાયસન્સ, કાયદાનો અમલ, નહેરુવીયન કોંગ્રેસ, સ.પા. , બ.સ.પા.

Read Full Post »

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૭. મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?

ભારત અને શિક્ષણ

સૌ પ્રથમ આપણે જોયું કે મનુષ્યનું અને સમાજનું ધ્યેય શું હોય છે.

સૌનું ધ્યેય આનંદ પ્રાપ્તિનું હોય છે.

આનંદ એટલે શું? આ વાત ભૌતિક રીતે “અદ્વૈતની માયાજાળમાં સમજાવી છે.” એટલે કે આનંદનો ભૌતિક અર્થ શું થાય છે તેની વિસ્તૃત રીતે વાત કરી છે.

ટૂંકમાં એમ કહીએ કે આનંદ બે રીતે મળે છે.

એક શારીરિક આનંદ જે સગવડો ભોગવાથી મળે છે. બીજો આનંદ માનસિક આનંદ જે સુરક્ષા અને જ્ઞાન પ્રાપ્તિથી મળે છે.

સુરક્ષા સહજીવનમાં હોય છે. તેથી સમાજ બને છે. સહજીવનથી જ્ઞાન સમાજમાં જળવાઈ રહે છે. મનુષ્ય મરી જાય છે પણ તેણે મેળવેલું જ્ઞાન સમાજમાં જળવાઈ રહે છે. તેથી સમાજ ઉતરોત્તર વિકાસ કરતો હોય છે.

જ્ઞાન એટલે શું?

વિશ્વ અને તેના ઘટકો કેવીરીતે વર્તે છે તે સમજવું તે જ્ઞાન. મનુષ્ય બીજા પ્રાણીથી આ રીતે જુદો પડે છે. એટલે મનુષ્યનું મૂળ ધ્યેય જ્ઞાન પ્રાપ્તિનું હોવું જોઇએ. પણ વિશ્વના અનેક ઘટકો હોય છે. જેને આપણે શાસ્ત્ર અને કળા તરીકે ઓળખીએ છીએ.

શારીરિક સુખ કે માનસિક સુખ, વાસ્તવમાં માનસિક સુખ જ હોય છે. કારણ કે જે અનુભૂતિ હોય છે તે બંને બાબતોમાં માનસિક જ હોય છે.

મનુષ્યની જ્ઞાન પ્રાપ્તિની પસંદગી એક સમાન હોતી નથી. ભારતીય શાસ્ત્રોમાં મનુષ્યના વલણોના ચાર ભાગ પાડ્યા છે. જો કે આ વલણો વચ્ચે કોઈ એક પાતળી રેખા હોતી નથી. પણ એક કે બે વલણોનું પ્રાધાન્ય હોય છે. એટલે જો તે વ્યક્તિ તે વલણને લગતું જ્ઞાન મેળવે તો તે વધુ સુખી થઈ શકે અને સમાજને પણ સુખ તરફ આગળ ધપાવી શકે.

આ જ્ઞાન પ્રાપ્તિને આપણે શિક્ષણ કહીશું.

આ શિક્ષણ કેવું હોવું જોઇએ?

અદ્વૈત વાદમાં આપણે જોયું કે મનુષ્ય માત્ર એક સજીવ નથી. બધું જ સજીવ છે. અને સમાજ પણ સજીવ છે. મનુષ્ય સમાજને પણ સુખી થવાનું હોય છે. તેથી મનુષ્યની વ્યક્તિગત શક્તિઓનો સમાજને નુકશાન ન થાય તે રીતે વિકાસ થવો જોઇએ. મનુષયના વલણોનો (એપ્ટીટ્યુડ)નો યથા યોગ્ય ઉપયોગ થવો જોઇએ.

મનુષ્યને તેના પ્રભાવકારી વલણોના આધારે ભારતીય શાસ્ત્રજ્ઞોએ ચાર રીતે વહેંચ્યા છે.

(૧) જેઓ ચિંતન કરે છે અને વિશ્વના ઘટકોના વર્તનને સમજે છે અને સમજાવે છે. તે શાસ્ત્રીઓ કે વૈજ્ઞાનિકો કે બ્રાહ્મણો તરીકે ઓળખાય છે. આમાં વૈજ્ઞાનિકો, તત્વવેત્તાઓ, સમાજશાસ્ત્રીઓ, શિક્ષકો, વિદ્યાધરો (અભિયન્તાઓ એટલે કે એન્જીનીયરો), ન્યાયધીશો વિગેરેનો સમાવેશ થાય છે,

(૨) જેઓ સમાજને સુરક્ષા આપે છે અને જે તે શાસ્ત્રીઓએ તે માટે કરેલા સંશોધનો અને ઉપકરણોનો સમાજની સુરક્ષા માટે ઉપયોગ કરે છે, તેમાં મેનેજરો, રાજકારણીઓ, જનપ્રતિનિધિઓ ક્ષત્રિયોનો સમાવેશ થાય છે.

(૩) જેઓ સમાજ માટે અને વ્યક્તિઓમાટે ઉપકરણો અને ખાદ્યપદાર્થનું ઉત્પાદન અને વહેંચણી કરે છે તેને ઉદ્યોગપતિઓ, મેનેજરો, વેપારીઓ, સંગ્રાહકો, વિતરકો કે વણિક કહેવાય છે.

(૪) જેઓ આ ઉપરોક્ત ત્રણેને તેમના ક્ષેત્રમાં ચીંધ્યું કામ કરવું ગમે છે તેઓ નોકરો, પટાવાળા, કાર્યકરો, મજુરો કે શુદ્રો કહેવાય છે.

પણ દરેક વ્યક્તિમાં પોતાના વલણને અનુરુપ કામમાં સંશોધન કરવાનું પણ હોય છે. એટલે એક વ્યક્તિમાં વલણો મિશ્રરુપે હોય છે. પ્રાથમિક શિક્ષણના ગાળા દરમ્યાન આ વલણોમાં વત્તા ઓછા ફેરફાર થાય છે અને તેને નકારી ન શકાય. એટલે વ્યક્તિઓના વલણો તપાસવાની વ્યવસ્થા અવારનવાર કરવી જોઇએ અને વ્યક્તિને અને અથવા તેના માતાપિતાને વડિલોને તેની જાણ કરવી જોઇએ.

સ્ત્રીઓ માટે વિશેષ સગવડ

સમાજ, સ્ત્રીઓ અને પુરુષો અને બાળકોનો બનેલો હોય છે. સ્ત્રીઓ અને પુરુષો બંનેને કામ કરવું હોય છે. અને બધાં જ કામ ઘરે બેઠાં થઈ શકતા નથી. સ્ત્રીઓને પણ કામ માટે ઘરની બહાર જવું પડે છે. સ્ત્રીઓ ઉપર શિશુ ઉછેરની શરીરશાસ્ત્રીય જવાબદારી હોય છે. સ્ત્રીઓ પોતાના અન્યવલણનો પણ ઉપયોગ કરવા માગતી હોય છે. તેથી સ્ત્રીઓના પ્રાથમિક શિક્ષણમાં બાળ ઉછેરનું પ્રાધાન્ય તો રહેવું જ જોઇએ. પુરુષને પણ આ શિક્ષણ યોગ્ય માત્રામાં આપવું જોઇએ.

પ્રાથમિક શિક્ષણ અનિવાર્ય ગણાશે. પ્રાથમિક શિક્ષણમાં બાળ ઉછેર, બાળ માનસ, કળા (જેમાં રમત ગમત, યોગ, વ્યાયામ, સંગીત વિગેરેનો પણ સમાવેશ થઈ જાય છે), સભ્ય વર્તન, વાહનના નિયમો, સ્ત્રી દાક્ષિણ્ય, માનવ અધિકારો, કુદરતી અધિકારો, નીતિમત્તા, નાગરિક શાસ્ત્ર, સભ્યતા, સ્વચ્છતા, કાંતણ, વણાટ, અંક ગણિત, વિશ્વ રચના, દેશનો પ્રાચીન ઇતિહાસ, દેશાભિમાન અને દેશપ્રેમ અને પ્રાથમિક શિક્ષણ-વિદ્યા (ટીચીંગ ટેક્નીક) અનિવાર્ય રહેશે.

શિક્ષણ વિદ્યા એટલે શું?

શિક્ષણ વિદ્યા એટલે ટીચીંગ ટેક્નીક. પ્રાથમિક શિક્ષણ વિદ્યા એટલે સામાન્ય કક્ષાની શિક્ષણ આપવાની આવડત આવે તે વિદ્યા. વિદ્યાર્થી ને જે કંઈ આવડે છે, તે તેનાથી નીચેની શ્રેણીના વિદ્યાર્થીને પોતાના આ જ્ઞાનથી શિખવાડી શકશે. જરુર પડે તે નિષ્ણાત શિક્ષકની સહાય લેશે.

મનુષ્યની શિક્ષણ લેવાની અવસ્થાઓઃ

દુગ્ધપાન અવસ્થા (૦ થી ૧ ૧/૨ વર્ષ), ગાળો …. ૧.૫ વર્ષ માતૃ છાયા

દરેક સ્ત્રીને તેની ગર્ભધાન સમયના સાતમાસથી શરુ કરી બાળક એકવર્ષનું થાય ત્યાં સુધીની સંપૂર્ણ વેતન સાથે રજા આપવી જોઇએ. સ્ત્રીએ જે બાળકને જન્મ આપ્યો તે દેશનું નાગરિક છે. અને તે માતા પોતાના બાળકને શિક્ષણ લેવા સક્ષમ બને તે માટે તેનો ઉછેર કરી રહી હોવાથી તેને પણ દેશની સેવા જ ગણાય. એક વર્ષની સવેતન રજા આપ્યા પછી જો શક્ય હોય તો ઘરે બેઠાં કોમ્પ્યુટર ઉપર કરી શકે તેવાં કામ આપવાં. તેનું વિશેષ વેતન આપવું.

દરેક સ્ત્રીઓને બાળ ઉછેરનું શિક્ષણ અને દરેક વ્યક્તિને બાળમાનસનું શિક્ષણ પ્રાથમિક શાળામાં આપવું.

(૧) શિશુ (૧ ૧/૨ થી ૩ વર્ષ), ગાળો .. ૧.૫ વર્ષ પૂર્વ બાળ સંભાળ(આયા) વ્યવસ્થિતતા, સફાઈ, કળા અને નાગરિક વિદ્યા

સ્ત્રીઓને પુરુષ જેટલા જ અને કેટલાક કિસ્સાઓમાં પુરુષ કરતાં વધુ હક્કો આપ્યા હોવાથી, તે તેના અભ્યાસ દરમ્યાન આયાના કામ પણ કરી શકશે. બાળક આ ઉમરમાં ઘણું જિજ્ઞાસાવાળું હોય છે. તેથી તેની વિચાર શક્તિ ખીલે તેવા પ્રશ્નો પૂછવા અને તેના દરેક પ્રશ્નનો ઉત્તર આપવો અને તેને પ્રશ્નો પૂછવા ઉત્તેજવું. તેને વાર્તાઓ કહેવી, ચિત્રવાર્તાઓ સમજાવવી. વસ્તુઓને ગોઠવવી વિગેરે કામ શિખવાડી શકાય અને કરાવી શકાય.

(૨) બાળક (૩ થી ૬ વર્ષ), ગાળો .. ૩ વર્ષ ઉત્તર બાળ સંભાળ (આયા), બાલ વાર્તાઓ, જોડકણા, બાલ કાવ્યો, સંસ્કૃત શ્લોકો, સભ્યતા, વ્યવસ્થા, કળા અને નાગરિક વિદ્યા. અહિંસા, યોગ, લેન્ડલાઈન અને મોબાઈલ ઓપરેશન, કોમ્પ્યુટર સર્ચીંગ.

સ્ત્રીઓને અને પુરુષોને બાળ માનસનું શિક્ષણ આપ્યું હોવાથી તે બાળકની રુચિ પણ જાણી શકશે. આ શિક્ષણ બાલ મંદિરમાં આપવામાં આવશે.

(૩) બાલ (૬ થી ૧૦ વર્ષ), ગાળો .. ૪ વર્ષ પૂર્વ પ્રાથમિક શિક્ષા, કળા, ઉદ્યમ, નાગરિક વિદ્યા અને રોજગાર. વાર્તા સ્વરુપમાં ઇતિહાસ, પ્રયોગો દ્વારા અંક ગણિત, ભૂમિતિ, પ્રવાસ વર્ણન અને પ્રવાસ, માતૃભાષા, નીતિ શતક અને બીજા સંસ્કૃત શ્લોકો, અહિંસા અને સ્વાવલંબન, યોગ, પ્રાથમિક કોંપ્યુટર ઓપરેશન અને ઇમેલીંગ અને લેખન.

(૪) કિશોર (૧૦થી ૧૪ વર્ષ), ગાળો .. ૪ વર્ષ ઉત્તર પ્રાથમિક શિક્ષા, ઉચ્ચતર ગણિતઃ વ્યાવહારિક અંકગણિત, બીજ ગણિત, ભૂમિતિ, ત્રીકોણમિતિ, માતૃભાષા, અન્ય એક દેશી ભાષા, સંસ્કૃત વાર્તાઓ માતૃ ભાષામાં, ગીતાના અને ઉપનિષદના શ્લોકો, ખગોળ શાસ્ત્ર ની સમજણ, અહિંસા અને સ્વવલંબન, પ્રાચિન ભારતનો ગૌરવ ભર્યો ઇતિહાસ, યોગ, કોમ્પ્ટ્યુટર દ્વારા સ્વશિક્ષણ, વક્તૃત્વ, કળા, નાગરિક વિદ્યા, પસંદગીનો ઉદ્યમ અને રોજગાર

(૫) તરુણ (૧૪થી ૧૮ વર્ષ), ગાળો .. ૪ વર્ષ પૂર્વ માધ્યમિક શિક્ષા, પૃથ્વી ની સામાન્ય ભૂગોળ, ભારતનો ઈતિહાસ અને ગૌરવ અને તેના પ્રતિકો, ભારતનું વૈશ્વિક દર્શન, માતૃભાષા, સંસ્કૃતભાષા, ત્રીજી એક ભાષા (હિન્દીભાષીઓ માટે દક્ષિણ ભારતની ભાષા, અને દક્ષિણ ભાષીઓ માટે હિન્દી કે બીજી કોઈ ઉત્તરભારતની ભાષા), પરિચય ગીતા, ખગોળ શાસ્ત્ર, વિશ્વનું વર્તન અને હેતુ, આંકડાશાસ્ત્ર, ઉચ્ચતર અંકગણિત અને નામાપદ્ધતિઓ, સેટ થીએરી, બાયનરી, બીજ ગણિત, ભૂમિતિ, ત્રિકોણમિતિ, કલનશાસ્ત્ર, વિકલન શાસ્ત્ર, યોગ, કોમ્પ્ટ્યુટર દ્વારા સ્વશિક્ષણ, કળા, પસંદગીનો ઉદ્યમ અને રોજગાર

(૬) નવ યુવક (૧૮ થી ૨૦ વર્ષ), ગાળો .. ૨ વર્ષ ઉત્તર માધ્યમિક શિક્ષા, પસંદગીના વિષયો, પસંદગીની ભાષામાં નૈપૂણ્ય, સાહિત્ય, માનવશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને સમાજવિદ્યા, ઉચ્ચ વ્યાવહારિક ગણિત (એપ્લાઈડ ગણિત), કળા, યોગ, પસંદગીનો ઉદ્યમ અને રોજગાર

(૭) યુવક (૨૦ થી ૨૫ વર્ષ), ગાળો …. ૫ વર્ષ ઉચ્ચ શિક્ષા, વિશ્વ વિદ્યાલય નિવાસીય શિક્ષણ, પસંદગીના વિષયો, એક કે બે વિદેશી ભાષા, ભાષાશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, વિજ્ઞાન, ગણિત, તકનિકી વિદ્યાઓ, વ્યવહારો, કળા અને રોજગાર

દરેક વિદ્યાર્થી માટે બે કળા અને એક ઉદ્યમ અનિવાર્ય રહેશે. ઉદ્યમ આર્થિક સ્વાવલંબન માટે છે. કળા એટલે ગેય સંગીત, વાદ્ય સંગીત, નાટ્ય, દિગ્દર્શન, ફોટોગ્રાફી, સુશોભન, ચિત્રકામ જેવા વિષયો હશે.

બીજી કળા છે વ્યાયામ, ખેલ-કૂદ, એક આમાંથી પસંદ કરવું પડશે.

ઉદ્યમ માં કાંતણ, વણાટ, માટીકામ, ધાતુકામ લોહારી કામ અને વેલ્ડીંગ, મોચીકામ, સિલાઈકામ, પર્ણ અને રેસા, રંગકામ, સુતારીકામ, વિગેરે જેવા અન્ય ગૃહ ઉદ્યોગો.

શિક્ષણ નો હેતુ એ હોય છે કે, વ્યક્તિ વિચારશીલ, નીતિમાન, સુશીલ, ભદ્ર, સ્વચ્છ, સમાસ્યાઓને સમજી શકનાર, નિડર, દેશપ્રેમી અને સ્વાવલંબી બને.

શિક્ષણ કોણ આપશે?

શિક્ષણ ક્રમશઃ સ્વાવલંબી અને સ્વશિક્ષણ બનશે. એટલે ઉત્તર પ્રાથમિક શિક્ષણના સ્તરથી સ્વશિક્ષણ તબક્કાવાર શરુ થશે. જે ગાઈડ હશે તે જે તે ઉત્તરોત્તર સ્તરે વિષયનો નિષ્ણાત હશે અને ટીચીંગ ટેક્નીકમાં પણ નિષ્ણાત હશે.

ઉદ્યોગો પ્રાથમિક શિક્ષણની જવાબદારી લેશેઃ

જે તે ગામની આસપાસ જે ઉદ્યોગો હશે તે ઉત્તર પ્રાથમિક કક્ષાના શિક્ષણનો આર્થિક અને કંઈક અંશે વહીવટી જવાબદારી ઉપાડશે.

સરકાર દ્વારા નિયમન અને નિયંત્રણ રહેશે. ઉદ્યોગો વિદ્યાર્થીઓ પાસેથી શ્રમ લઈ શકશે. પૂર્વ પ્રાથમિક કક્ષાએ બે કલાકનો શ્રમ લઈ શકશે, અને ઉત્તર પ્રાથમિક કક્ષાએ ચાર કલાક થી વધુ નહીં એવો શ્રમ વિદ્યાર્થીઓ પાસે કરાવી શકશે. પોતાના ઉદ્યોગને અનુરુપ વધારાનો વિષય શિખવી શકશે. અને જો વિદ્યાર્થી ઈચ્છે તો ઉત્તર પ્રાથમિક કક્ષાએ તે વિદ્યાર્થીઓની નિયૂક્તિ માટે પસંદગી કરી શકશે. વિદ્યાર્થી અને તેના વાલીઓ સાથે મસલત કરી પૂર્વ માધ્યમિક, ઉત્તર માધ્યમિક અને વિશ્વવિદ્યાલયના શિક્ષણ માટે શાખાની પસંદગી કરી શકશે.

શિક્ષણ ફી વગરનું અને ભાર વગરનું રહેશે.

જે લોકોને પોતાની શાળાઓ સ્થાપવી હશે તેઓ સ્થાપી શકશે. પણ તેઓ વિદ્યાર્થી પાસેથી ફી વસુલ કરી શકશે નહીં. ચાર કલાકનો શ્રમ લઈ શકશે. આ માટેના નીતિ નિયમો સરકાર બનાવશે.

વિશ્વવિદ્યાલયના શિક્ષણ પછી, સરકાર અને ઉદ્યોગો પોતાને યોગ્ય લાગે તે વિદ્યાર્થીઓને સંશોધનમાં લઈ શકશે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ પૂર્વ પ્રાથમિક, ઉત્તર પ્રાથમિક, પૂર્વ માધ્યમિક, ઉત્તર માધ્યમિક, ઉચ્ચ શિક્ષા, ગણિત, કળા, યોગ, વિશ્વનું વર્તન, અહિંસા, અદ્વૈત, ગીતા, ઉદ્યોગ, શ્રમ, વિદ્યાર્થી, ખેલ-કૂદ, શ્રમ

Read Full Post »

Mahatma Gandhi

ભૂમિ-પુત્ર

ઘણા વખતથી વિચાર કરતો હતો કે મારા નીચેના પત્ર ને જાહેર કરવો કે નહીં.
મને મહાત્મા ગાંધીવાદીઓ એટલે કે સર્વોદયવાદી અને ખાસ કરીને સર્વોદય કાર્યકરો પ્રત્યે ઘણું માન છે. તેમની ત્યાગ વૃત્તિ અને તેની સાથે સંકળાયેલો તેમનો આચાર પ્રશંસનીય છે અને અનુકરણીય છે. ઘણા સર્વોદય કાર્યકરોએ, અગર સર્વોદય કાર્યકર થવાનું ટાળીને, સામાન્ય માણસની જેમ જીંદગી જીવવાનું પસંદ કર્યું હોત તો તેઓ, સીધા રસ્તે પણ કરોડો રુપીયા કમાઈ શક્યા હોત.

આવા સર્વોદય કાર્યકરોની મારે ઋણાત્મક ટીકા કરવાનું હું ટાળું છુ. પણ “ન્યાયાર્થે નિજ બંધુકો ભી દંડ દેના યોગ્ય હૈ” એમ વિચારી મને લાગ્યું કે એકવાર તો ટીકા કરવી જોઇએ એમ મને લાગ્યું.

કોઈ વ્યક્તિ અણીશુદ્ધ, ક્ષતિહીન કે દુર્ગુણહીન કે અગુણી હોતો નથી. પણ જ્યારે આપણી આકાંક્ષાઓને તે વ્યક્તિનું વલણ આપણને અસંતોષજનક કે અન્યાય વાળું લાગે ત્યારે આપણે તેની ટીકા કરવા પ્રેરાઈએ છીએ.

મારે વિષે પણ આવું જ થયું.

“ભૂમિપૂત્ર”માં એક લેખ પ્રગટ થયેલ

તેના પ્રતિભાવ રુપે મેં, ભૂમિપુત્રના સંપાદક/તંત્રીશ્રીને પત્ર સ્વરુપે પ્રતિભાવ ગણો તો પ્રતિભાવ અથવા લેખ સ્વરુપે ગણો તો એક લેખ લખેલો. રજીસ્ટર્ડ કરીને મોકલેલો.

મેં બે ત્રણ મહિના રાહ જોયેલી કે મારા પત્રને પ્રતિભાવ તરીકે (વાચકોના પ્રતિભાવ તરીકે છાપે છે) કે લેખ તરીકે છાપે છે. મારા પત્રનો કોઈપણ જાતનો ઉલ્લેખ ન થયો એટલે મેં ભૂમિપુત્રની ઓફીસમાં ફોન કર્યો. ઓફિસમાં બેત્રણ વાર ફોન કર્યા પણ મારું રજીસ્ટર્ડ મળ્યું છે કે નહીં તે પણ કહી ન શક્યા. કારણ કે જે સંપાદક ભાઈઓ છે તે જ આ વાત કહી શકે. કર્મચારીઓ નહીં.

મેં મારા એક સર્વોદય મિત્ર જે અગાઉ ગુજરાત સર્વોદય મંડળના પ્રમુખ હતા તેમને વાત કરી. તેમણે મને એક નંબર આપ્યો.

મેં ત્યાં ફોન કર્યો. તેમને મેં બધી વિગત કહી. અને એ પણ કહ્યું કે તમારે મારા લેખને જે છે તે સ્વરુપે છાપવો કે સારના પ્રતિભાવ રુપે છાપવો કે ન છાપવો તે તમારી મુનસફ્ફી ઉપર છોડું છું. એમ તો ઈન્દીરા ગાંધી, પોતાની સરકારની વિરુદ્ધમાં આવેલા હાઈકોર્ટના જજમેન્ટ પણ સેન્સર કરતી હતી અને તેને છાપામાં પ્રકાશિત થવા દેતી ન હતી. ભૂમિપુત્ર તો તમારું છાપું છે એટલે તમે અબાધિત અધિકાર ભોગવો તો તમને મારાથી કંઈ કહી શકાય નહીં.

એટલે સંપાદકશ્રીએ (રામ ભરોસે) કહ્યું કે ના ના અમે કંઈ એવા નથી. પણ તમારા લેખમાં તમે જે આંકડાઓ આપ્યા છે તે ખોટા છે.

મેં કહ્યુ કે હું આંકડાઓમાં માનતો જ નથી. અને મેં મારા લેખમાં કોઈ આંકડા લખ્યા નથી. મારી ઈચ્છા છે કે તમે ન વાંચ્યો હોય તો વાંચી જાઓ, અને જો વાંચ્યો હોય તો ફરીથી વાંચી જાઓ તો મને આનંદ થશે. તેઓશ્રી કબુલ થયા. તે પછી મેં બે ત્રણ ફોન કર્યા. પણ મને લાગ્યું કે તેમણે તેવું કંઈ કર્યું હોય તેવું લાગ્યું નહીં. વાચકોના પ્રતિભાવોમાં પણ મારું કશું આવ્યું નહીં. આજે નવ માસ થયા.

દરેક મેગેઝીનને વાચકો જોઇએ. દરેકના વ્યક્તિના મનમાં વિચારો કુદકા મારતા હોય. તે શબ્દ સ્વરુપે અને ક્યારેક લેખ સ્વરુપે દૃષ્યમાન થાય. તેને માટે વ્યક્તિ સમય કાઢે છે અને મેગેઝીનને કે મિત્રોને મોકલે. મેગેઝીન વાળા છાપે. અને તેની નકલો અનેક જગ્યાએ પહોંચે. કોઈ વાચકને આ લેખ પસંદ પડે કે ન પડે તો તે લેખ વિષે પોતાનો પ્રતિભાવ આપવાનું નક્કી કરે. તે માટે તે સમય કાઢે અને વિચારોને શબ્દોમાં ગોઠવે અને પ્રતિભાવ રુપે ઉતારે.

પણ આપણે જોયું છે કે વિશાળવાચકવર્ગ ધરાવતા મેગેઝીનના તંત્રીઓ જો તમે જાણીતા ન હો તો તમારી દરકાર કરતા નથી અને ઉત્તર પણ ન પાઠતા નથી. કારણ કે તમારા જેવા તો તેમને માટે અનેક છે. આવા મેગેઝીના તંત્રીઓ વ્યવસ્થાહીન હોય છે.

પણ જો તમે ગાંધીવાદી હો તો ગાંધીને અનુરુપ તમારું વલણ પ્રદર્શિત થવું જોઇએ. મારા કિસ્સાની બાબતમાં લેખક અને તંત્રી/સંપાદકશ્રી એક જ વ્યક્તિ છે. અને પ્રતિભાવક હું છું.

મારા અનુભવ પ્રમાણે અને મારી માન્યતા પ્રમાણે જે અતિ-પ્રતિષ્ઠિત ગાંધીવાદીઓ છે તેઓ તમારા પત્રનો જવાબ આપવામાં માનતા નથી, સિવાય કે તમે પોતે પ્રતિષ્ઠિત હો. (જો કે ગાંધીજી આવા ન હતા. અને તે માટે મારી પાસે ઉદાહરણો છે). હા તમને જવાબ ન મળે જો તમે પત્રમાં ગાળો આપી હોય તો.
મારા માનવા પ્રમાણે ગાંધીવાદીઓએ એકાંગી ન બનવું જોઇએ. ટીકા આવકાર્ય હોવી જોઇએ. અને તેને પણ પ્રસિદ્ધ કરવી જોઇએ જેથી દરેકને પોતાની ભૂલ હોય તો ભૂલ અને સચ્ચાઈ હોય તો સચ્ચાઈ વધુ સારી રીતે સમજવાની તક મળે. પછી તે પોતે તંત્રી/સંપાદક પોતે જ શું કામ ન હોય?

તો આ કારણથી હું મારા પત્રને ખુલ્લો કરું છું.

શિરીષ દવે.

——————————

દિનાંકઃ ૨૬મી ઓગષ્ટ ૨૦૧૩.
પ્રતિ શ્રી સંપાદક,
ભૂમિપુત્ર, યજ્ઞ પ્રકાશન,
હુજરતપાગા, હિંગળાજ માતાની વાડી, વડોદરા-૧.

માનનીય શ્રી સંપાદકજી,

વિષયઃ “અમર્ત્યસેન અને જગદીશ ભગવતીના વિચારો અંગેનું વાક્યુદ્ધ” નો પ્રતિભાવક લેખ.

મેં ભૂમિપુત્ર વાંચવાનું શરુ કર્યું છે.

વચ્ચે ૧૯૮૬થી ૨૦૧૨ સુધી ભૂમિપુત્રનું વાચન બંધ કરેલ. હવે શરુ કર્યું છે. સંતોષ પણ થાય છે અને આઘાત પણ થાય છે. મહેન્દ્રભાઈનું સંકલન અને ગોવર્ધનભાઈનું સમાજ વિદ્યાનું વ્યુત્પત્તિ શાસ્ત્ર કે જે કહો તે વાંચવાની મઝા પડે. બીજા સમાજ સેવાને લગતા વ્યક્તિઓ અને કાર્યને લગતા લેખો વાંચીને કંઈક સંતોષ પણ થાય છે. આશા-વિરેન્દ્રની લઘુ કથાઓ પણ ભૂમિપુત્રને અનુરુપ હોય છે.

આમ તો ભૂમિપુત્રના પહેલા પાને જ લખેલું છે કે “ભૂદાન મૂલક ગ્રામોદ્યોગ પ્રધાન અહિંસક ક્રાંતિનું મુખ પત્રક” જો મારી ભૂલ ન થતી હોય તો મારી સમજ એવી છે કે ભૂમિપુત્રમાં પ્રગટ થતા વિચારો સર્વોદય વિચાર અથવા તો ગાંધીજીના સમાજશાસ્ત્રને અનુરુપ હોય છે અથવા તો હોવા જોઇએ. એ પણ વાત ખરી કે તેનાથી વિરોધી વિચારો પણ હોઇ શકે અને તે શૈક્ષણિક હેતુ માટે ચર્ચામાં સામેલ થઈ શકે. પણ ભૂમિપુત્ર ખુદ જો જાણ્યે અજાણ્યે એકાંગી અવલોકનો અને તારણો પ્રગટ કરવા માંડે અને એક માનનીય હોદ્દાવાળી વ્યક્તિ વિષે અસંબદ્ધ વાતો અને વિશેષણો વાપરવા માંડે ત્યારે ગાંધી વિચારમાં જેમને શ્રદ્ધા કે માન છે તેમને ભૂમિપુત્રના વલણમાં હિંસા દેખાય જ.

હાજી હું ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની જ વાત કરું છું.

ભૂમિપુત્રમાં પ્રગટ થતા કેટલાક લેખો અને સમાચારોની બાંધણીમાં એવું સ્પષ્ટ દેખાય છે કે નરેન્દ્ર મોદીના કાર્યો અને નીતિ, ભૂમિપુત્રને પસંદ નથી. આ માટે મુખ્યત્વે બે કારણો હોઈ શકે. એક છે તેમની કામ કરવાની રીત. બીજું છે તેમની વિકાસની નીતિ. એટલે કે તેમની રાજનીતિ. તેમની રાજનીતિમાં આપણે તેમની અર્થનીતિ અને વિકાસ માટેના તેમના અભિગમનો પણ સમાવેશ ગણી લઈશું.
આમ તો વિકાસ એટલે ફક્ત આર્થિક શક્તિનો વિકાસ, એકલો તો ન જ ગણાય, પણ સાથે સાથે તેમાં માનવીય મૂલ્યો, તંદુરસ્તી, શિક્ષણ અને સુખસગવડના વિકાસ પણ આવી જાય. આ વિકાસ અહિંસક રીતે થવો જોઇએ.

એટલે હવે મૂળ વાત પર આવીએ તો ભૂમિપુત્રમાં “અમર્ત્યસેન અને જગદીશ ભગવતીના વિચારો અંગેનું વાક્યુદ્ધ” નો લેખ વાંચીને પ્રતિભાવ આપવાની ઈચ્છા રોકી ન શકાઈ.

“બે વ્યક્તિઓ વચ્ચેનું વાક્યુદ્ધ” એવું જ્યારે ખબર પડે એટલે સહજ રીતે શું પ્રશ્નોત્તરી થઈ અને તે કેવા પ્રકારની થઈ તે વિષે માહિતિ મળશે તેવી અપેક્ષા રખાય. લગભગ ૧૭૦ લાઈનના (એક પાનાના બે કોલમમાં ૮૦ લાઈનો લેખે), આ લેખમાં લગભગ ૭૦ લીટીઓ સુધી તો કોઈ વાક્યુદ્ધ કે અર્થનીતિ વિષે કશી ચર્ચા નથી. અને બાકીની સો લાઈનોમાં અદ્ધર અદ્ધર વાતો અને રાજકારણ વધુ છે.
“રાજકારણીઓની ગોલા લડાઇઓ … બે અર્થશાસ્ત્રીઓ વચ્ચે કુસ્તી જેવું દંગલ. નોબેલ પ્રાઈઝ પરત …” વિગેરે.

આ ઉપરાંત જે વ્યક્તિ ચર્ચામાં ભાગ જ લેતી નથી તેની વાતો છે. એટલે કે નરેન્દ્ર મોદી વિષેની વાતો, તે પણ તથા કથિત, કે કથા કથિત વર્ણનવાળી. કારણ કે “આર્થિક નીતિના કે વિકાસની નીતિના વિવાદની જડ એટલે નરેન્દ્ર મોદી છે”, તેથી તેની વાતો છે.

હવે જો આપણે નરેદ્ન્ર મોદીનું નામ લઈએ એટલે હરિૐ.

આ હરિૐ શું છે?

તમને ખબર નથી? ૐ તો બ્રહ્મ છે. પણ હરિ તો ૐ કરતાં પણ વિશેષ છે. એટલે પહેલાં હરિ બોલો અને પછી ૐ બોલો. વૈષ્ણવોની આ એક પ્રણાલી છે. અદ્યતન ધર્મનિરપેક્ષ કટારીયા અને દૃષ્ય-શ્રાવ્ય સંચાર માધ્યમોમાંના મૂર્ધન્યોમાં પણ, એક પ્રણાલી કહો તો પ્રણાલી, અને વરણાગીયપણું (ફેશન) કહો તો વરણાગીયાપણું, અસ્તિત્વ ધરાવે છે. તે દાખવે જ છૂટકો.

આ ફેશન શું છે?

આ એ ફેશન છે કે જો તમે નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરો તો તમારે બીજી કોઈ પણ વાત કરતાં પહેલાં, કે પછી વચ્ચે વચ્ચે, કે ગમે ત્યારે ૨૦૦૨ના દંગાની વાત નો ઉલ્લેખ કરવાનો અને કરવાનો જ. અને તેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એક ગોદો નરેન્દ્ર મોદીને મારી દેવાનો જ.

કારણ કે નરેન્દ્ર મોદી ભ્રમ છે. અને તેની પહેલાં, ૨૦૦૨ના દંગા એક માત્ર સત્ય છે.
આ લેખમાં આ ઉપરાંત નરેન્દ્ર મોદીના કાર્યક્રમોને કથા કથિત રીતે તેની બુરાઈના રુપમાં વર્ણવવામાં આવ્યા છે. શબ્દોની પસંદગી અને વાક્ય રચના એવો સંદેશ આપે છે કે નરેન્દ્ર મોદી, પ્રજા સાથે એક રમત અને નાટક કરી રહ્યા છે. એટલે કે તેઓ જે વાત કરે છે તે બધી અસ્તિત્વહીન અને ફરેબ છે.

આમ તો, આ લેખ અમર્ત્યસેન અને જગદીશ ભગવતીના વિચારો અંગેનું વાક્યુદ્ધ એ વિષયને લગતો છે. તો એમાં નરેન્દ્ર મોદી ની કથા કથિત બુરાઈઓને દોહરાવવાની શી જરુર છે? અનિવાર્ય રીતે આ ચર્ચા શૈક્ષણિક અને અર્થશાસ્ત્ર અને વિકાસ વિષે ના મુદ્દાઓથી સભર હોવી જોઈએ.

અપ્રાસ્તુત્ય

અમર્ત્યસેન કોણ હતા, ક્યાં જન્મ્યા, તેમના પિતાશ્રી કોણ હતા, તેમના પિતાશ્રી શું કરતા હતા, અમર્ત્યસેન કઈ જ્ઞાતિના હતા, શું ભણ્યા, શું શું વાંચ્યું, ક્યાં ક્યાં રહ્યા, શું કર્યું, કયા કયા પ્રમાણ પત્રો મેળવ્યા, કયા ચંદ્રકો મળ્યા, તેમની અત્યારની ઉંમર કેટલી, આવી વાતોને “અમર્ત્યસેન અને જગદીશ ભગવતીના વિચારો અંગેનું વાક્યુદ્ધ” ના વિષયમાં સ્થાન આપવું એ વિષયાંતર, તર્કહીન અને અપ્રસ્તુત્ય છે. એવું લાગે છે કે કદાચ લેખકભાઈ સંદેશો એ આપવા માગે છે, આવા ઉચ્ચ જ્ઞાતિમાં જન્મેલ, સુજ્ઞ પિતાશ્રીના સુજ્ઞ સુપુત્ર, વિદ્યાવિભૂષિત, ઈનામોથી નવાજીત માનનીય અર્થશાસ્ત્રી, જો નરેદ્ન્ર મોદીની કાર્ય શૈલી નો વિરોધ કરતું ઉચ્ચારણ કરે તો હે વાચકો તમે તેને બ્રહ્મ સત્ય છે એમ માનો.

વૈજ્ઞાનિક રીતે જોઇએ તો તર્કશુદ્ધતા નક્કી કરવામાં “તર્ક શું છે તે મહત્વનું છે. તર્ક ક્યાંથી આવ્યો તેના આધારે નિર્ણય કરી શકાતો નથી.
૭૦ લીટીઓ અહીં પૂરી થઈ.

ગોદા, નરેન્દ્રભાઈ મોદીને માર્યા પણ આંકડાઓ આપ્યા દેશના.

વાત થઈ જીડીપી ની. જીડીપી એટલે શું? જોકે જે વાચકો સુજ્ઞ છે તેઓ જાણે છે. પણ જો સર્વાંગી વિકાસની ચર્ચા હોય તો જીડીપી જેવી ઘણી ટર્મીનોલોજી છે જેને ઉલ્લેખ થવો જોઇએ અને આ બે મહાનુભાવોએ કર્યો પણ હશે. જેમકે જનરલ ડોમેસ્ટીક કંઝંપ્શન, જનરલ ડોમેસ્ટીક પ્રાઈસ ઈન્ડેક્સ, ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્સન વિગેરે. ચલો આ વાત પણ જવા દઈએ,

વાત કઈ કઠે છે? આંકડાઓમાં ગુજરાતની વાત ન થઈ. દેશની વાત થઈ. નરેન્દ્રભાઈ મોદીને ગોદા માર્યા છે તો દેશની વાત કરવાને બદલે ગુજરાતની અને બાકીના રાજ્યોની પ્રજા સ્થિતિની વાત પણ કરવી જોઇએ.

જો તમે આ લેખ એક સંકલિત લેખ તરીકે પ્રગટ કર્યો હોય તો, આ સંકલન, પ્રાસ્તુત્યના પ્રમાણભાન સાથે પ્રતિબિંબિત થતું નથી.

એક વાત સમજવા જેવી છે તે સમજી લો. તે એ છે કે સુજ્ઞ જનોમાં અને અસુજ્ઞ જનોમાં એક વર્ગ છે. અને તે એવો મોટો વર્ગ છે કે જે આંકડાઓને અને તારણોને ભ્રામક માને છે.

આંકડાઓ બ્રહ્મ નથી. મોટે ભાગે આંકડાઓ ભ્રમ જ પેદા કરે છે.

શંકરાચાર્યે આ વાત બીજી રીતે કરી છે. વેદ એ સત્ય છે. વેદ એ પ્રમાણ છે. પણ પ્રત્યક્ષ પ્રમાણનું શુ? શંકરાચાર્ય કહે છે. પ્રત્યક્ષ પ્રમાણ એ વેદથી પણ ઉપર છે. જો પ્રત્યક્ષ પ્રમાણ અને વેદપ્રમાણમાં વિરોધાભાસ હોય તો પ્રત્યક્ષ પ્રમાણ એ સત્ય છે. આપણે લાંબી વાત નહીં કરીએ, પણ શંકરાચાર્ય એક દાખલો આપે છે કે ધારો કે વેદ કહે કે અગ્નિ શીતલ છે. પણ પ્રત્યક્ષપણું એમ કહે છે કે અગ્નિ ઉષ્ણ છે. તો પ્રત્યક્ષ પ્રમાણ છે તેને સ્વિકારો.

જો વાક્યુદ્ધની વાત કરતા હોઈએ તો મુદ્દાની જ વાત કરવી જોઇએ. શ્રી જગદીશ મહેતાએ અમર્ત્યસેન સાથે ઝગડો કેમ કર્યો તે દર્શાવવું એ અપ્રસ્તુત ગણવું જોઇએ. ભૂમિપુત્રે આવા પૂર્વગ્રહો પેદા કરવામાંથી દૂર રહેવું જોઇએ.

જો નરેન્દ્ર મોદીને ગોદા મારવાની લાલચ ન રોકી શકાતી હોય અને બે મહાનુભાવોના ઝગડાનું કારણ નરેન્દ્ર મોદી છે, અને વાત, ગુજરાતના વિકાસના વિશ્લેષણની હોય, તો અમર્ત્યસેને ભલે દેશની વાત પણ કરી હોય, પણ તેનો ગુજરાતનો સંદર્ભ પણ બતાવવો જોઇએ.

અમર્ત્યસેનને હિસાબે, માળખાકીય વિકાસ એટલે જ વિકાસ છે એમ નથી. એટલે કે ભણતર, તંદુરસ્તીમાં પણ વિકાસ થવો જોઇએ એમ લેખમાં જણાવ્યું છે. સંદેશ એવો છે ગુજરાતમાં ભણતર અને તંદુરસ્તીનો વિકાસ બીજા રાજ્યો જેવો નરેન્દ્ર મોદીએ કર્યો નથી. ભણતર, તંદુરસ્તી, ની સાથે સાથે સ્વચ્છતા, સભ્યતા, સંસ્કાર, વિગેરે પણ ઉમેરી શકાય.

શિક્ષણ નો વ્યાપક અર્થ કરવો જોઇએ એટલે કે અક્ષરજ્ઞાન, વાચન, વિચાર, આચાર, સ્વભાવ, સંસ્કાર બધાનો સમાવેશ કરવો જોઇએ. બાકી જે વિકાસ રહ્યો, તે આર્થિક વિકાસ. આ આર્થિક વિકાસ, ઉત્પાદન અને નાણાની પ્રવાહિતા ઉપર આધાર રાખે છે.

હવે શંકરાચાર્યના પ્રત્યક્ષ પ્રમાણને યાદ કરો.

શું ગુજરાતમાં ગરીબો ને અવગણવામાં આવ્યા છે? અને તેઓ ગરીબ જ રહ્યા છે? જો આમ હોય તો ગરીબો વધી જવા જોઇએ અને મજુરીનો દર નીચે જવો જોઈએ. પણ અમારા મિત્ર બંસીભાઈ પટેલ કહે છે કે “અમે ૩૦૦ રૂપીયા આપવા તૈયાર છીએ પણ મજુરો મળતા નથી. મજુરો મેળવવા એક માથાનો દુખાવો છે.”
આ વાત જવા દો.

ગુજરાતમાં મજુરી કરવા માટે રાજસ્થાન, ઉત્તર ભારત, ઓરીસ્સા વિગેરે રાજ્યોમાંથી ઉત્તરોત્તર વધુને વધુ લોકો શા માટે આવે છે? મુંબઈ સિવાયના બીજા પ્રદેશોમાં ગુજરાતી મજુરો કેટલા? આ જ વાત નોકરીયાતોને લાગુ પડે છે.
સાથે સાથે સંસ્કારની પણ વાત કરી લઈએ. મેં મુંબઈ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આસામ અને શિલોંગમાં કે દેશના બધા જ રાજ્યોમાં ત્યાંના પરપ્રાંતીયો, પોતાની દુકાનમાં કે ધંધામાં પોતાના પ્રાંતના લોકોને જ રાખે છે એવું જોયું છે.

ગુજરાતીઓ જ્યારે પરપ્રાંતમાં હોય ત્યારે સ્થાનિકોને રાખે છે. એટલું જ નહીં તેઓ ત્યાંની સ્થાનિક ભાષા પણ શિખી જાય છે. આ એક સંસ્કાર છે અને તેના ઘણા સૂચિતાર્થો છે.

નહેરુએ સત્તાના લોભમાં મુંબઈમાં અભદ્ર ઉચ્ચારણો કરી મરાઠીઓને ગુજરાતી વિરુદ્ધ ભડકાવેલા અને દંગા કરાવેલા. એ બાદ કરતાં ગુજરાતીઓને પરપ્રાંતમાં ક્યારેય તકલીફ પડી નથી. તેમજ પરપ્રાંતીયોને ગુજરાતમાં ક્યારેય તકલીફ પડી નથી. આ ગુજરાતનું શિક્ષણ છે અને આ ગુજરાતના સંસ્કાર છે. નરેન્દ્ર મોદીએ તેને વિકસાવ્યા છે પણ બીજા રાજ્યોની જેમ ગુજરાતીઓને બહેકાવ્યા નથી.

નરેન્દ્ર મોદીએ શિક્ષણ ને ૬૦ ટકાના સ્તરેથી ૮૦ ટકાના સ્તરે લઈ ગયા છે. “વાંચે ગુજરાત”, શાળા પ્રવેશ, આશ્રમ શાળાઓ, ખેલ મહાકુંભ, વિગેરે પ્રવૃત્તિઓ અમલમાં મુકી છે. આ બાબતોનો ઉલ્લેખ અને ચર્ચા હોવી જોઇએ.
સખી માંડળો કરોડોનો રુપીયાનો ધંધો કરે છે. તે વિષે પણ ચર્ચા હોવી જોઈતી હતી. અમર્ત્યસેન આ બાબતમાં શું કહે છે તે આપણે જાણતા નથી. અને જો તેમણે આ બાબતો વિષે કંઈક કહ્યું હોય તો આ લેખમાં તેનો ઉલ્લેખ નથી. મારા ખ્યાલ પ્રમાણે ભૂમિપુત્રના કોઈપણ અંકમાં તેનો બીજાઓ દ્વારા પણ ઉલ્લેખ નથી.

ખેતીની જમીન અને તેનું સંપાદન

“ખેતીની જમીન અને તેનું સંપાદન” એમાં સમસ્યા કરતાં અનેક ગણું વધારે રાજકારણ છે. યાદ કરો, સાઠના દશકામાં ગાંધીનગર શહેર, અને તાલુકે તાલુકે બનેલી એવી ૧૮૨ ઔદ્યોગિક વસાહતો (જે મનુભાઈ શાહે ઉભી કરેલી) માં ખેતીની જમીન જ વપરાઈ છે. ગુજરાતમાં અસંખ્ય જંગલો કપાયાં છે. ૧૯૫૦ના દશકામાં પંચમહાલ જંગલોથી ભરચક હતું. ગોધરાથી લુણાવાડા ના રેલરોડ ઉપર ઘટાટોપ જંગલ હતું. બધા ડુંગરાઓ પણ વૃક્ષોથી ભરપૂર હતા. આ બધા જંગલો કપાઈ ગયા છે.

નરેન્દ્ર મોદીએ આવું કશું કર્યું નથી. તેની નોંધ લેવી જોઇએ. નરેન્દ્ર મોદીએ ખરાબાની જમીનોને નવસાધ્ય કરી છે. એટલે કે અમર્ત્યસેન સહિત જે લોકોએ આ બાબતને લક્ષ્યમાં લીધી નથી તેઓ નરેન્દ્ર મોદીને વગોવવાની યોગ્યતા ધરાવતા નથી.

પર્યાવરણ ઉપર પહેલો પ્રહાર

એક વસ્તુ પર્યાવરણવાદીઓએ સમજી લેવી જોઇએ કે પર્યાવરણની સમતુલા ઉપર પહેલો પ્રહાર એટલે ખેતી. ભલે આ પ્રહાર પાંચ દશ હજાર વર્ષ પહેલાં થયો હોય પણ જો સમજણ આવી હોય તો તેમાં સુધારાને અવકાશ છે.

બીજી એટલી જ મહત્વની વાત હોય તો ગામડા અને અલ્પમાળી મકાનોને લગતી છે. જો જમીનનું મૂલ્ય સમજાતું હોય તો ગ્રામ્ય સંસ્કૃતિની માનસિકતામાંથી અને જમીન ઉપર વ્યક્તિના માલિકીના હક્કોની માનસિકતામાંથી બહાર નિકળવું પડશે. માંસાહાર છોડવો પડશે. કારણ કે જેઓ માંસાહારી છે તેઓ શાકાહારી પ્રાણીઓને ખાય છે. શાકાહારી પ્રાણીઓનો ઉછેર કરવો પડે છે અને તેને માટે છ ગણી જમીન વપરાય છે.

ઘરે ઘરે ગાય બાંધવી અને મફતમાં ગૌચરનો ચારો મેળવવો એ માનસિકતામાંથી પણ બહાર નિકળવું પડશે. હવે તો ગાયો ગૌશાળામાં જ શોભશે.

બહુમાળી મકાનો બાંધી, જમીન ફાજલ કરવી પડશે. ગામડાઓને બહુમાળી સંકુલોમાં ફેરવવા પડશે. સ્વતંત્ર બંગલાઓ ટેનામેન્ટના મોહમાંથી દૂર થવું પડશે. જમીનનો ઉપયોગ મોટાભાગે વૃક્ષો માટે જ કરવો પડશે જેથી ફળો અને લાકડું મળી શકે. અનાજ અને શાક માટે અગાશીઓ, ગેલેરીઓ અને બહુમાળી બાંધકામનો ઉપયોગ કરવો પડશે.

મોઢું ફુઆવીને ફરવાની જરુર નથી

વાસ્તવમાં માળખાકીય વિકાસમાં દેશ શું કે ગુજરાત શું, પાશેરામાં પહેલી પૂણી પણ નથી. એટલે માળખાકીય સુવિધાઓમાં થતા વિકાસની બાબતમાં અત્યારથી જ મોઢું ફુલાવીને ફરવું તે ટૂંકી દૃષ્ટિ છે. (માળખાકીય બાંધકામમાં આપણે ૧૦૦ વર્ષ કરતાં પણ વધુ પાછળ છીએ)

મોરારજી દેસાઈએ જ્યારે ખાદીના વપરાશને સરકારી ઓફીસોમાં ફરજીયાત કર્યો, ત્યારે કેટલાક અર્થશાસ્ત્રીઓએ બળાપો વ્યક્ત કર્યો કે, જો બધા ખાદી પહેરશે તો મીલના કાપડનું શું કરીશું? જવાબ હતો, કે મીલના કાપડને નિકાસ કરીશું અને વિદેશી હુંડીયામણ રળીશું. તો સામો સવાલ હતો કે તો પછી વિદેશી હુંડીયામણ નો ભરાવો થઈ જશે. આ વિદેશી હુંડીયામણનું કરીશું?

વાત ગધુભાઈને તાવ આવે એવી હતી એટલે વાત જવા દો.

નરેન્દ્ર મોદીનું મગજ કેવું ચાલે છે તે જુઓ.

નરેન્દ્ર મોદી પાસે એક કંપની આવી. તેને ટાયરનું કારખાનું નાખવું હતું. નરેન્દ્ર મોદીએ પૂછ્યું રબર ક્યાંથી લાવશો? તેણે કહ્યું કેરાલામાંથી. નરેન્દ્ર મોદીએ કહ્યું ના તમે અહીં જ રબર વાવો. અને ટાયર પણ બનાવો. અને તેમ થયું.

નરેન્દ્ર મોદીએ પતંગના કારીગરોને પૂછ્યું પતંગમાં કોનો કોનો હિસ્સો હોય છે? ગણત્રી કરીને તેઓએ કહ્યું ૨૯ જાતના કામ હોય છે. કાગળ, વાંસ, દોરા, રીલ, ફીરકી, જુદા જુદા કટીંગ, જોડાણો, ગુંદર, કાતર, જુદા જુદા ટ્રાન્સપોર્ટ, વેપારી, એજન્ટો, વિગેરે.

નરેન્દ્ર મોદીએ પૂછ્યું વાંસ ક્યાંથી આવે છે?

“આસામથી.

નરેન્દ્ર મોદી; “આપણે ત્યાં પણ વાંસ ઉગે છે. આસામથી શા માટે લાવવો પડે છે?

“આસામના વાંસમાં બે ગાંઠો વચ્ચે વધુ અંતર હોય છે. તેથી સારા પતંગ બને છે.

નરેન્દ્ર મોદી; “આપણા કૃષિવૈજ્ઞાનિકોએ સંશોધન કરીને એવા વાંસ બનાવવા જોઇએ.
(ગુજરાતના કૃષિવૈજ્ઞાનિકોએ તે કામ કર્યું)

નરેન્દ્ર મોદીએ કહ્યું શેરડીમાં પણ બે ગાંઠો વચ્ચેનું અંતર વધારી શકાય. ગુજરાતના કૃષિ વૈજ્ઞાનિકોએ તે કામ પણ કર્યું. શેરડીના સાંઠાએ ૨૦ ટકા વધુ રસ આપ્યો.

આવી તો ઘણી વાતો છે જેમાં નરેન્દ્ર મોદીએ અંગત રસ લીધો. નરેન્દ્ર મોદીની આ માનસિકતા છે. આની તમે નોંધ લીધી? નરેન્દ્ર મોદી જેતે વિસ્તારના સ્વાવલંબનમાં માને છે અને જ્યાં શક્ય છે ત્યાં તે પ્રમાણે વર્તે છે, જેથી ટ્રાન્સ્પોર્ટના અનુત્પાદક ખર્ચાઓ ઘટાડી શકાય. આને આપણે ગાંધી વાદ કહી શકીએ. મને એવું લાગે છે કે કેટલાક ગાંધીવાદીઓ કરતાં નરેન્દ્ર મોદી ગાંધીની વધુ નજીક છે.

નરેન્દ્ર મોદીના સદ્ભાવના આંદોલનને પણ જ્યારે અવળ અને વક્ર દૃષ્ટિકોણથી જોવામાં આવે તો બીજી આશા તો રાખી જ કેમ શકાય? મને લાગે છે કે નરેન્દ્ર મોદીને સમજવામાં ગાંધીપ્રબોધિત દૃષ્ટિકોણ રાખવામાં આવતો નથી.

હવે તમે એક અચરજની વાત જુઓ. ખાદી ગ્રામોદ્યોગવાળી સંસ્થાની, ખાદી વિચાર પરત્વેની સમજણ કેવી છે?

ગુજરાતમાં ખાદી ભંડારની ખાદી

ખાદી ભંડારમાં ખાદી લેવા જઈએ તો પરપ્રાંતની ખાદી ખડકેલી હોય. ગુજરાતની ખાદી તો નામ માત્રની હોય. પરપ્રાંતની ખાદીને ગુજરાતમાં લાવીને વેચવી એ ગાંધી વિચારધારાથી વિપરીત છે. જે તે વિસ્તારની ખાદી તે જ વિસ્તારમાં વેચાવી જોઇએ. કારણ કે ખાદી જે તે વિસ્તારના વસ્ત્રમાટેના સ્વાવલંબન માટે છે.
પરપ્રાંતની ખાદી એ ખરેખર ખાદી છે કે કેમ? પરપ્રાંતની ખાદીનું પોત જોઈને તો પરપ્રાંતની ખાદી, ખાદી પરત્વે શંકા ઉભી કરે તેવી હોય છે. એટલું જ નહીં જો પરપ્રાંતના લોકો ખાદી ન પહેરતા હોય અથવા ઓછી ખાદી પહેરતા હોય તો પરપ્રાંતની ખાદી ગુજરાત માટે ખાદી કહેવાય જ નહીં. વાસ્તવમાં ખાદી તો જીલ્લા કક્ષાની, તાલુકા કક્ષાની અને ગ્રામ્ય કક્ષાની હોવી જોઇએ. ખરી ખાદી તો ગ્રામ્ય કક્ષાની જ કહેવાય.

ચાલો જોઇએ ભૂમિપુત્રનો પ્રતિભાવ કેવો છે.

શિરીષ મોહનલાલ દવે

એ-૮૪, જ્યુપીટર ટાવર, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૪.
ફોન નં. ૦૭૯- ૨૬૮૫૫૫૫૪,

Read Full Post »

હું છું ભોક્તા અને ભોજન ને તે ક્રિયા પણ હું જ છું, હું વસું સર્વ ભૂતોમાં ઘુમાવું મુજમાયા થકી
સંવેદશીલતામાં વૃદ્ધિ અને માનવીય વિકાસ એક દીશામાં જાય છે કે વિરુદ્ધ દીશામાં?
અહિંસા અને સંવેદનશીલતા એક દીશામાં જાય છે કે વિરુદ્ધ દીશામાં?
 
અહિંસા વિષે ચોખવટ જરુરી છે. એક ડર થકી ઉત્પન્ન થતી અહિંસા અને બીજી છે સંવેદનશીલતા થકી ઉત્પન્ન થતી અહિંસા. ગાંધીબાપુની અહિંસા સંવેદનશીલતા થકી ઉત્પન્ન થતી અહિંસા હતી. અને તેને બૌદ્ધિક આધાર હતો.
 
હવે જેમ જેમ માનવ સમાજ માનસિક વિકાસના માર્ગે આગળ ધપતો ગયો તેમ તેમ તેની સંવેદનશીલતાનું વર્તુળ વધુ મોટું અને મોટું થતું ગયું.
 
પહેલાંના જમાનામાં રાજાઓ હતા. અને તેઓ કહે તે કાયદો ગણાતો. પણ પછી તેના ઉપર નિયમનો આવતા ગયા. પહેલા રાજસુય યજ્ઞો સારા ગણાતા. હવે ન ગણાય. હવે યુદ્ધો પણ સારા ગણાતા નથી. જોકે યુદ્ધો નિવારી શકાયા નથી. પણ યુદ્ધ નિવારવાના સામુહિક રાજકીય પ્રયત્નો થાય છે. ટૂંકમાં યુદ્ધ નિવારણ એ એક હિંસા નિવારણ તરફનું જ કદમ કહેવાય.
 
છતા આપણે દંડને સાવજ અનિવાર્ય માનતા નથી. કારણકે દંડનો હેતુ માનવના મનને સુધારવાનો છે.
 
માનવ સમાજ વધુ ને વધુ અહિંસા અને સંવેદનશીલતા તરફ ગતિ કરતો થયો છે.
હવે જો સંવેદનશીલતાની વાત કરીએ તો સંવેદનશીલતા શા કારણે આવે છે? સંવેદનશીલતા લાગણીઓની નિકટતાને કારણે હોય છે. આપણા શરીરને કશું વાગે તો આપણને દુઃખ થાય.
જેની સાથે આપણે નિકટતા હોય તેને પણ કશું વાગે તો પણ આપણને દુઃખ થાય છે. આપણને જેની સાથે દુશ્મનાવટ ન હોય તેને પણ જો કશું વાગે તો આપણને થોડી ઘણી દુઃખની લાગણી થઈ શકે.
 
જો આપણો વ્યવહાર ઉચ્ચ કક્ષાનો હોય કોઈને પણ વાગ્યાનું આપણા ખ્યાલમાં આવે તો પણ આપણને દુઃખ લાગે.
 
શારીરિક દુઃખનું જેવું છે તેવું જ માનસિક દુઃખ વિષે છે. આ સંવેદનશીલતાનું વર્તુળ માનવના માનસિક વિકાસની સાથે મોટું ને મોટું થતું જાય છે. બૌદ્ધિક વિકાસ, ભૌતિક વિકાસ અને માનસિક વિકાસનો વેગ એક સરખો હોતો નથી. કારણ કે તે સામાજીક જરુરીયાતો ઉપર પણ અવલંબે છે. એટલે ગાંધીજીએ કહેલું કે જે લોકોએ વેદ અને ઉપનિષદ લખેલા તેઓ યાંત્રિક વિકાસ માટે સક્ષમ ન હતા તેમ માનવું જરુરી નથી. પણ તેઓ પર્યાવરણ અને માનવસમાજની તંદુરસ્તી બન્નેને એક્બીજાના પરિપેક્ષ્યમાં સમજી શકેલા.
 
 
સંવેદનશીલતાનું વર્તુળ કેટલું મોટું થઈ શકશે?
માણસના આહારની ટેવો આમ તો તમે જેવી પ્રેક્ટીસ પાડો તેવી પડે. “ભૂખ ન જુવે ભાખરી..” ગાંધીજી વિલાયત ગયા એટલે તેમને લાગ્યું કે આહારની ટેવો આપણે બદલી શકીએ છીએ.
 
ગાયને પણ રાંધેલુ માંસ ખાતી કરી શકાય છે. અને સિંહને પણ રોટલા ખાતો કરી શકાય છે. આલસેશ્યન કુતરો પણ રોટલા અને દૂધ ઉપર જીવી જાય છે. બિલાડી પણ અન્નાહાર કરે છે. કુતરા, બિલાડા, સિંહ, વાઘ વિગેરે એક જ કક્ષાના પ્રાણીઓ છે.
 
હવે આપણા શરીર માટે શું જરુરી છે એ વાત આપણા શરીર પોતેજ કહે છે આપણા માટે શાકાહાર જ યોગ્ય છે. માણસે અગ્નિની શોધ કરી તેથી અને શાકાહારના અભાવમાં તે માંસાહાર કરતો થયો. પણ જેમ જેમ તેની સંવેદનશીલતા વધતી ગયી તેમ તેમ તે અમૂક પ્રાણીઓને ત્યાજ્ય ગણતો ગયો. ભારતમાં ગાય ગણાઈ.
 
ધીમે ધીમે જ્ઞાની જનોએ સંપૂર્ણ શાકાહારની વાત કરી. શાકાહારમાં પણ અન્ન, ફળ, મૂળ અને પર્ણ ના ભેદ પડ્યા. મૂળમાં રનર-ટાઈપ મૂળ સ્વિકારાયા, કારણે કે તેમાં વનસ્પતીનો સંપૂર્ણ હ્રાસ થતો નથી. પણ પર્ણ ને રાત્રે ન તોડવા તેવું સ્વિકારાયું. ફળમાં રસાદાર ફળો સ્વિકારાયા. અને બીજ ને ફાલવા દેવું. અન્નને અગિયારસ, અને દેવ-સેવાના મુખ્ય તહેવારોમાં ન ખાવા તેની પાછળ પણ સંવેદન શીલતાનું ગણિત જ કામ કરે છે. જેમ મંગળવારે કે શનિવારે માંસાહારી લોકો ભારતમાં માંસાહારને ત્યાજ્ય ગણે છે.
 
 
વાસ્તવમાં ક્યાંક તો એક સીમા આવે જ છે. આપણે ગાય સાથે આત્મીયતા છે એટલે ગાય ખાતા નથી. યુરોપીયનોને કુતરાસાથે આત્મીયતા હોય છે તેથી તેઓ કુતરાને ખાતા નથી. કોણ કોની પ્રત્યે સંવેદનશીલ છે તે મહત્વનું હોય છે અને આખરે તે જ ભાગ ભજવે છે.
 
 
કૃતજ્ઞતા એ એક સંવેદનાનો હિસ્સો છે. ગોસૃષ્ટિના માનવજાત ઉપર ઉપકાર છે, વનસ્પતિ સૃષ્ટિના પણ માનવજાત ઉપર ઉપકાર છે, અને તેથી આપણે તેમની પણ પૂજા કરીએ છીએ અને તેમનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ છીએ.અસ્ત્ર શસ્ત્રોની પણ આપણે પૂજાકરીએ છીએ. આ બધું આપણી સંવેદનશીલતાનું દ્યોતક છે.
 
સર્પા પીબન્તિ પવનં ન ચ દૂર્બલાસ્તે, સુષ્કૈઃ તૂર્ણૈઃ વનગજા બલિનો ભવંતિ,
કન્દૈઃ ફલૈઃ મુનીવરા ક્ષપયન્તિકાલં, સંતોષ એવ પુરુષસ્ય પરમં નિધાનં
 
ઘાસ ખાઇને જંગલના હાથીઓ બળવાન થાય છે, પવનમાંથી સર્પો ભોજન કરી લે છે, કંદ અને ફળો ખાઈને મુનિઓ જીવન વ્યતિત કરે છે. સંતોષ એજ તારણ છે.
 
 
અગાઉ વેદોમાં અહિંસાની વાત કરેલી.
તેનું ઉદાહરણઃ
અગ્ને યં યજ્ઞં અધ્વરં, વિશ્વતઃ પરિભૂરસિં । સ ઇદ્‌ દેવેષુ ગચ્છતિ ॥
(ઋગવેદ મંડળ-૧, સુક્ત-૧, ઋચા-૪)
હે અગ્નિદેવ તમે આ હિંસારહિત યજ્ઞ દ્વારા બધી બાજુથી  દેવત્વ તરફ લઈ જાઓ છો.
 
(અધ્વર યજ્ઞ એટલે અહિંસક યજ્ઞ)
 
ચમત્કૃતિઃ
હા તે જરુર શાકાહારી છે
કોણ કહે છે કે પેલો માંસાહારી છે?
પેલો પણ આમ તો શાકાહારી છે, પણ તે માંસાહારી વાનગીઓ ઉપર પણ હાથ મારે છે. શાકાહાર વગર તેને ચાલતું નથી. માંસાહાર સંપૂર્ણ ખોરાક છે જ નહીં.
જો પેલો એમ માનતો હોત કે તે માંસાહારી છે તો તે
હાડકાના ભૂકાના રોટલા ખાત,
કોથમીરને બદલે મચ્છર અને માખીઓ વાપરત,
તેલને બદલે ટેલો વાપરત,
મીઠાને બદલે મંકોડા નાખત,
મરચાને બદલે લાલ કીડીઓ નાખત,
દાડમને બદલે દાંત નાખત,
પાણી ને બદલે લોહી પીવત…

Read Full Post »

%d bloggers like this: