Posted in માનવીય સમસ્યાઓ, Social Issues, tagged અધિકાર, અનુશાસન, અહિંસા, આત્મારામ ભટ્ટ, આરોગ્ય, ઉપવાસ, ઋષિ, એમીલી બહેન, કુદરતી ઉપચાર, ગાંધી બાપુ, ગારિયાધર, ગ્રામોદ્યોગ, ડેરોલ, ધર્માંધતા, પશુઓ, પાણીના પ્રયોગો, પ્રસ્તૂત, બ્રીટીશ સરકાર, ભાવનગર, માટીના પ્રયોગો, મેઘાલય, મૉકડૉક, યંત્ર, યોગદાન, રાજકારણ, વૈચારિક, શંભુભાઈ ત્રીવેદી, શાસન, સંગઠન, સાપેક્ષ, સ્વચ્છતા, સ્વતંત્રતા, સ્વધર્મ, હિંસા, હિમશિલાની ટોચ on October 1, 2018|
2 Comments »
ગાંધીબાપુ ક્યાં સુધી જીવશે? – ૧

શું ગાંધીજી પ્રસ્તૂત છે?
૧૯૪૮ના અને ૨૦૧૮ના ભારતમાં ઘણો ફેર પડી ગયો છે.
વૈચારિકતાને ન ગણીએ પણ રહેવાની ઢબમાં જે ફેર પડી ગયો છે તેને જો ગણીએ તો ગાંધીજી હવે કેટલા પ્રસ્તૂત છે તે વિચારવું પડશે.
પણ એ પહેલાં વૈચારિકતા ઉપર આછેરો દૃષ્ટિપાત કરવો જરુરી છે.
જો હિંસા અને અહિંસાના પરિપેક્ષ્યમાં જ વિચારીએ તો વૈચારિક દારીદ્ર્યતા હજુ પણ જીવિત છે. કદાચ ક્યાંક ક્યાંક તે અધિક માત્રામાં અને તે પણ અંધ રીતે જીવે છે.
તમે નિરક્ષરને કે દૃષ્ટિહીનને પુસ્તક ભેટ આપો તો કદાચ તે બીજા પાસે પણ વંચાવી લેશે અને ગ્રહણ કરવું હશે એ ગ્રહણ કરશે. પણ જે વાંચી શકે છે પણ જે અમુક પુસ્તકો વાંચવામાં માનતો જ નથી, તો તેને તમે ક્યાં મુકશો? તમે તેને નિરક્ષર કે દૃષ્ટિહીન વ્યક્તિથી પણ અક્ષમ કક્ષાએ મુકશો.
જેમ કે કેટલાક લોકો ભગત સિંહ અને મહાત્મા ગાંધીને સામસામે મુકે છે.
કારણ કે ભગત સિંહ અહિંસામાં માનતા ન હતા અને ગાંધીજી, બ્રીટીશ સરકાર સામેની લડાઈમાં અહિંસામાં માનતા હતા.
સૌ સૌની વિચારધારાની પસંદગીની વાત છે. પણ બંને વિચાર ધારાઓ તે વખતે કશા સંઘર્ષ વગર એકબીજા પ્રત્યે માન રાખતી હતી.
જો ધ્યેય માનવ જાતના ભલા માટેનું હોય તો, કોઈ પોતાની માન્યતા પ્રમાણે વર્તે તેમાં બીજાએ દખલ કરવી નહીં આ વાત તેઓ સૌ સારી રીતે સમજતા હતા.
સ્વતંત્રતા પ્રાપ્તિ માટે હિંસક માર્ગની લડતમાં વિશ્વાસ રાખનારાઓનું એક જુથ હતું. અહિંસક માર્ગે લડત ચલાવવી એવું માનનારાઓનું પણ એક મોટું જુથ હતું. કેટલાક એવા પણ હતા કે જેઓ બંનેમાં વિશ્વાસ રાખતા હતા.
ગાંધીજીનું યોગદાન
૧૯૧૬માં ગાંધીજી આફ્રિકાથી હિન્દુસ્તાન આવ્યા. સૌ પ્રથમ તો તેઓ આખું હિન્દુસ્તાન ફર્યા. એટલે કે તેઓ હિંદની પ્રજાના માનસથી અને પરિસ્થિતિથી પરિચિત થયા. એટલે જો ગાંધીજીના યોગદાનની વાત કરીએ તો ગાંધીજીએ ૧૯૧૭ થી ૧૯૪૭ કોંગ્રેસને અને દેશની જનતાને યોગદાન આપ્યું કહેવાય.
ગાંધીજીની કોંગ્રેસ પક્ષ ઉપર વૈચારિક પકડ હતી. તે કોના ઉપર કેટલી હતી અને કેટલી ઉંડી હતી તે એક બહુ મોટી ચર્ચાનો વિષય છે. પણ જ્યારે ગાંધીજીનો પાર્થિવ દેહ અસ્તિત્વ ધરાવતો હતો, તે સમયે જે લોકો ગાંધીના બધા જ વિચારોને અપનાવવામાં માનતા ન હતા તેઓ કાળક્રમે તેમને સ્વિકારતા થયા હતા. જેમાં આચાર્ય જે.બી. ક્રિપલાણી, રામમનોહર લોહિયા, ઇન્દુલાલ યાજ્ઞિક અને બીજા ઘણા આપણા ગુજરાતના પણ લોકપ્રિય નેતાઓના નામ લઈ શકાય.
ગાંધીજી એક ઓજાર કે શસ્ત્ર …!!!
કેટલાકને મન ગાંધીજી, એક જાહેર જીવનમાં પ્રભૂત્ત્વની સ્થાપના માટેનું ઓજાર કે શસ્ત્ર હતા તેઓમાંના કેટલાક કોંગ્રેસમાં રહ્યા અને કેટલાક કોંગ્રેસમાંથી નિકળી ગયા. જેઓને માટે ગાંધી એક વિચારધારા હતી, તેઓએ લોકોપયોગી સંસ્થાઓ ચાલુ કરી અને તેની દ્વારા પોતે સમાજ માટે કંઈક હકારાત્મક કર્યું છે અને કરે છે તેવી આત્મતુષ્ટિ મેળવી. “મારે માટે એક પગલું બસ છે.”
ગાંધીજીના અહિંસા માર્ગ, અને અ-ગાંધીવાદીઓના હિંસા માર્ગ, આ બંનેને આપણે વનસ્પત્યાહારી અને માંસાહારી વિચારધારાઓ સાથે સરખાવી શકીએ.
ગાંધીજીની અહિંસા સાપેક્ષ હતી. એટલે કે ઓછામાં ઓછી હિંસા એટલે અહિંસા. અને ઓછામાં ઓછી હિંસા એ, જે તે પ્રસંગ અને જેની ઉપર આચારવામાં આવનાર છે તે વ્યક્તિની માનસિકતા ઉપર આધાર રાખે છે.
ગાંધીજીને એમ લાગેલ કે બ્રીટીશ રાજ લોકશાહીને વરેલું રાજ છે. કાયદાનું શાસન છે. તેઓ ભલે દંભી હશે, તેઓ ભલે ચાલાક હશે, પણ તેઓ હમેશા કાયદાને વરેલા રહેશે એટલે તેમની સામે અહિંસક લડત ચાલી શકશે. સફળતા મળતાં કદાચ વાર લાગશે પણ તેઓ સત્યને નકારી શકશે નહીં.
અહિંસાની સાથે સુક્ષ્મ હિંસા અદૃષ્ય રીતે જોડાએલી હોઈ શકે છે. તમે વધુ જાણકાર હો અને સામેના પક્ષનો વ્યક્તિ ઓછો જાણકાર હોય તો તમે તેને ચર્ચામાં હરાવી શકો છો. ભલે સત્ય તેની તરફમાં હોય તો પણ.
આવા સંજોગોમાં તમે સુક્ષ્મ હિંસા ઓછી કરવા તેને યોગ્ય મુદત આપી શકો છો. જો તમે આવું ન કરો તો તે સુક્ષ્મ હિંસા જ કહેવાય. પણ જો સામેની વ્યક્તિ બેસુમાર મુદતો માગ્યા જ કરે તો તેણે મીથ્યા રાજકારણ ખેલ્યું કહેવાય. (આવું રાજકારણ નહેરુવીયન કોંગ્રેસે સર્વોદય વાદીઓ સામે ખેલેલું).
જેઓ હિંસામાં માને છે તેઓ પણ અહિંસામાં તો પરોક્ષ રીતે માનતા જ હોય છે. જેમ કે જેઓ માંસાહારી હોય છે તેઓ વનસ્પત્યાહારી તો હોય છે જ. કારણ કે માંસાહાર એ માણસ જાત માટે સંપૂણ અને સ્વતંત્ર આહાર નથી. માંસાહારીઓને પણ મરચું, મીઠું, મરી, મસાલા, થાળી, વાટકા, ચમચી વિગેરે વાપરવા જ પડે છે. તેઓ તેને બદલે કંઈ, લાલ કાળી કીડીઓ, મંકોડા, વરસાદી જીવડાં, ખોપરી, હાડકાં, છીપલાં …. વાપરતાં નથી.
તેવી જ રીતે હિંસામાં માનનારાને પણ કાયદા તો બનાવવા જ પડે છે જેથી સમાજમાં હિંસા ઉપર નિયમન આવે.
બ્રીટનમાં અહિંસક માર્ગે જનતંત્ર સ્થાપેયેલું. તેથી અહિંસક માર્ગે આઝાદી પણ મળી શકશે તેવો ગાંધીજીને વિશ્વાસ હતો. આમ કરવામાં તેમને જે અનુભવો થયા, તેને લીધે, તેમની અહિંસા ઉપરની શ્રદ્ધા ઉત્તરોત્તર વધતી ગયેલી.
ગાંધીજી એક બહુમુખી પ્રતિભા
ગાંધીજી, એકલી સ્વતાંત્રતાની વાતને જ નહીં, પણ સ્વાવવલંબનની વાતને, અને સમાજ સુધારણાની વાતને પણ દેશના અંતરાલ અને અંતિમ છોર સુધી લઈ ગયેલ. ગાંધીજીએ કોંગ્રેસના સંગઠનને નાનામાં નાના ગામડા સુધી પહોંચાડેલું. આનો લાભ નહેરુવીયન કોંગ્રેસને ૧૯૬૭ સુધી મળતો રહેલો..
તમને પાંચશો ખોરાડાના ગામમાં પણ એક ગાંધીવાદી જોવા મળતો હતો. ભાવનગર શહેરમાં તમને નાનાભાઈ ભટ્ટ કે આત્મારામ ભાઈ ભટ્ટ જેવા અનેક મળે અને શહેર હોવાને કારણે નવાઈ ન લાગે પણ ગારિયાધર જેવા એક નાનકડા ગામમાં પણ તમને શંભુભાઈ ત્રીવેદીનો સોટો ચાલતો જોવા મળે તો એ કેવું લાગે? હાજી સોટો એટલે સોટો. આ સોટો એટલે આચાર્યના અનુશાસન જેવો સોટો. ઇન્દિરાના કટોકટીના શાસનના સોટા જેવો નહીં.
આજે પણ તમને મેઘાલયમાંના અંતરાલ ગામ એવા મૉકડૉકમાં પણ એમીલીબહેન જેવા સર્વોદય કાર્યકર જોવા મળશે જેઓ બાળકોને ભણાવે છે અને બીજી બહેનો સાથે નાની ખેતી પણ કરે છે. ગાંધીજીનું આંદોલન ફક્ત સ્વતંત્રતા માટે ન રહેતાં અનેક રીતે બહુમુખી હતું.
કેટલાક લોકો બરાડીને મોટા અવાજે કહે છે કે ગાંધીજીને કારણે સ્વતંત્રતા મળી એ એક જૂઠ છે. આપણે તેમને કહીશું; ભલે ભાઈ ભલે. તમે ખુશ થાઓ.
ગાંધીજીની આઝાદીની લડત તો તેમની સમગ્ર લડતોની હિમશીલાની ટોચ માત્ર હતી. જો તમે ગાંધીના યોગદાનને ફક્ત આઝાદીના પરિપેક્ષ્યમાં જ જોતા હો તો તે તમારું અજ્ઞાન છે.
ભારત દેશ એટલે એક ગરીબ દેશઃ
અંગ્રેજોએ આપણા દેશને ગરીબ બનાવીને છોડી દીધો હતો. હવે આગળ કેમ વધવું, તે સ્વતંત્રતા પછીનો મોટો કોયડો હતો.
ગરીબ દેશ, એટલે નહીં મકાન, નહીં પાણી, નહીં અન્ન, નહીં વસ્ત્ર, નહીં વ્યવસાય, નહીં ઉત્પાદન, નહીં ધન, નહીં આવાસ … અને તેની સાથે સાથે શિક્ષણનો અભાવ, ફરેબી શિક્ષણ, અંધશ્રદ્ધા, કોમવાદ, જાતિવાદ, અસ્વચ્છતા, રોગચાળો, કુરિવાજો, …. આવી પરિસ્થિતિમાં દેશને આગળ કેમ લઈ જવો? ….
આ બધું હોવા છતાં ભારત પાસે વારસામાં હતું; મહાન સંસ્કૃતિ, સંસ્કૃતભાષા, સંસ્કૃત સાહિત્ય, ઉચ્ચ તત્ત્વજ્ઞાન, સહિષ્ણુ ધર્મ, અને અનેક ક્રાંતિકારી મહાત્માઓ અને સંતો ….
ગાંધીજીએ રામને અને ગીતાને જ શા માટે પસંદ કર્યાં?
(૧) જેને તમે નકારી શકતા નથી તેનો આદર કરો, ભલે તે કોઈ પણ કક્ષાએ થી ઉચરાયું હોય,
(૨) સત્યનો આદર કરો અને તેની સ્થાપના કરો,
(૩) શાસક માટે કશું અંગત નથી. તેનું જીવન ખુલ્લી કિતાબ જેવું હોવું જોઇએ,
(૪) સામાજીક બદલાવ, શાસક ન લાવી શકે, કારણ કે શાસક તો બળ વાપરશે. અને બળથી સત્ય સિદ્ધ થતું નથી.
(૫) સામાજીક બદલાવ લાવવા માટેના અધિકારીઓ ઋષિઓ છે,
(૬) ઋષિઓ પાસે નૈતિક બળ છે અને શાસક પાસે “દંડ” નું બળ છે.
(૭) ઋષિઓનું શાસન એ અનુશાસન છે, શાસક જે કંઈ કરે તેને શાસન કહેવાય.
(૮) ધર્મ એટલે સમાજ પ્રત્યેનું કર્તવ્યઃ
એટલે કે જેણે જે ક્ષેત્રને પસંદ કર્યું અને જેમાં કુશળતા મેળવવી. તે દ્વારા સમાજની સેવા કરવી તે તેનો ધર્મ છે.
જેમકે તમે સર્જન થયા અને ઘણા પૈસા અને કિર્તી કમાયા. કોઈ એક વખત તમે ઓપરેશન ટેબલ ઉપર ઓપરેશન કરવાની તૈયારીમાં હતા અને તમને લાધ્યું કે આ કામ તો ખરાબ છે. હું આ ઓપરેશન નહીં કરું અને તમે તે ઓપરેશન છોડી દો તો તે યોગ્ય નથી. તમે સર્જનનું ભણ્યા છો અને તેમાં કુશળ છો તો તમે બીલ્ડરના ધંધામાં રાતો રાત ન પડી શકો. તેનો પહેલાં અભ્યાસ કરો અને તેમાં કુશળતા મેળવો. ધીમે ધીમે ચેન્જ ઓવર કરો.
(૯) શાસકત્વ (ક્ષાત્રત્વ) જેણે પસંદ કર્યું તેણે તેને વળગી રહેવું જોઇએ, તેનો તે ધર્મ (કર્તવ્ય) છે,
(૧૦) સ્વધર્મે નિધનં શ્રેયઃ, પરધર્મઃ ભયાવહ
આ બધા ગુણો ગાંધીજીએ રાજા રામમાં અને ગીતામાં જોયા.
શિક્ષણ વિષે તો ગાંધીજીએ ઘણું લખ્યું છે.
શિક્ષણ અને ઉદ્યોગ અને શ્રમને તેમણે કદી અલગ પાડ્યા નથી. હાલના કેટલાંક વર્તમાનપત્રો, જો વિદ્યાર્થી પાસે ક્યાંક શ્રમ કરાવાતો જુએ તો “અય્યો …. અય્યો … અય્યો… વિદ્યાર્થીઓ પાસે તમુક સકુલવાળા કામ કરાવે છે….”
અમારે ડેરોલ (ગોધરા પાસેનું ગામડું)ની સ્કુલમાં તો કોઈ પટાવાળો જ ન હતો. અને સફાઈ અમારે જાતે જ કરવી પડતી હતી. ઘંટ પણ અમારે જ વગાડવો પડતો હતો. આ સરકારી પ્રાથમિક શાળા જ હતી. કાલાં ફોલવાનાં, રૂ કાઢવાના, રૂ પીજવાનાં, પૂણી બનાવવાના, કાંતવાના, વણવાના કામ પણ અમને શિખડાવવામાં આવતા હતાં. ખાતર બનાવવાનું પણ શિખવાડવામાં આવતું હતું. ફક્ત કાંતવાની પરીક્ષા રહેતી.
ગાંધીજી અને સ્વચ્છતા વિષે તો મોદીજી ઘણું જ લખે છે અને બોલે છે. એટલે એ વાત જવા દઈએ.
હા. શારીરિક સ્વચ્છતા વિષે એમના વિચારો જાણવા જોઇએ. તેમણે શરીરના અંગોને કેવી રીતે સાફ રાખવા તે વિષે ઠીક ઠીક લખ્યું છે. દાઢી કેવી રીતે કરવી, વાળ કેવી રીતે કાપવા, ગુપ્તભાગોના વાળ કેટલા સમયે કાપવા, કેવી રીતે સ્નાન કરવું, કેટલું ચાલવું એ બધું પણ તેમણે સમજાવ્યું છે.
આરોગ્યઃ
ગાંધીજીના આરોગ્યના વિચારો સૌએ અપનાવવા જેવા છે.
માટીના પ્રયોગો, પાણીના પ્રયોગો, શાકભાજી દ્વારા રોગનિવારણ, ફળાહાર દ્વારા લાંબુ આયુષ્ય, બકરીનું દૂધ, ગાયનું દૂધ, જડી બુટ્ટીઓ … આ બાધાના ઔષધીય ગુણો છે.
ઉપવાસ અને કુદરતી ઉપચારઃ
૯૦ ટકા રોગ ચાર દિવસના નકોરડા ઉપવાસ કરવાથી મટી જાય છે. જો કે આને માટે વૈદકીય સલાહ અને નિગરાની આવશ્યક છે. જો તમને ડાયાબીટીસ હોય, ટીબી હોય, હૃદય રોગ હોય તો નકોરડા ઉપવાસ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી.
આહારના નિયમન દ્વારા રોગમૂક્તિ થઈ શકે છે. આહારના નિયમન થી તંદુરસ્તી જાળવી શકાય છે તે ગાંધીજીએ પ્રયોગો દ્વારા પણ સિદ્ધ કરી બતાવ્યું છે.
“સમસ્યાઓ છે તો ઉપાયો પણ છે” એ લેખમાળા પ્રતિલિપિની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
ગાંધીજીએ ક્યાંય ભૂલ કરેલી?
એમણે કબુલ કરી ન હોય તેવી ભૂલો તો મળતી નથી.
ગાંધીજીના સિદ્ધાંતો એ એક દિશા સૂચન છે. ભલે ગાંધીજીએ ન કહ્યું હોય તો પણ તેમના વિચારોને અનુરુપ આજના સંજોગામાં મૂલવીને આપણે નિર્ણયો લઈ શકીએ.
આપણે ગાંધીજીના અમુક સિદ્ધાંતો માનીએ અને અમુક ન માનીએ એવું ન ચાલે. છતાં પણ તેના ઉપર વિચાર વિમર્શ થઈ શકે.
“ગામડાંને સ્વાવલંબી બનાવવા” એ મુદ્દા ઉપર ગામડાંની વ્યાખ્યા બદલવા વિષે વિમર્શ થઈ શકે,
“ઘરે ઘરે ગાય રાખવી” એ વાતને બદલે ગૌશાળા સિવાય ગાય (ગાય એટલે ભેંસ, બળદ, પાડા, ઉંટ, બકરી ઘેટાં, કુતરાં બધાં ગાયમાં આવી જાય) ન રાખવી એ વિષે વિચાર વિમર્શ થઈ શકે,
સોલર વિદ્યુતની વ્યાપકતા, ખેતીમાં ક્રાંતિ, કયા ક્ષેત્રમાં ગ્રામોદ્યોગ, અને કયા ક્ષેત્રોમાં યાંત્રિકીકરણ કરવું જોઇએ એ વિષે વિમર્શ થઈ શકે. પશુને ઇશ્વરીય યંત્ર સમજો. બળદને તમે પોદળો મુકતું ઈશ્વરીય ટ્રેક્ટર કેમ સમજતા નથી?
સર્વ ગ્રાહી અને સુરક્ષિત સંરચનાઓ …
બેકારી નિવારણ માટે વ્યાપક રીતે ખાદીનો વપરાશ અને ગૃહ ઉદ્યોગને ઉત્તેજન એ તત્કાલિક ઉપાય છે.
સામાજિક અને ધાર્મિક રિવાજોમાં તેની ઉપયોગિતા જોવી. આમાં ચડસા-ચડસી ન કરવી, વેપારી વૃત્તિ ન રાખવી, સાદાઈ રાખવી. સ્ત્રી-પુરુષના સમાન હક્ક આ બધી વાતો તેમણે કરી જ છે. ગાંધી ચીંધ્યા માર્ગે લગ્ન કરવાથી કશો જ ખર્ચ થતો નથી. દહેજ માં રેંટિયો પણ શું કામ લેવો? દિકરીને એના પિતાને ઘરેથી રેંટીયો લાવવો હોય તો લાવે. વર તો પોતાનો રેંટીયો પોતાની પરસેવાની કમાણીમાંથી લાવશે.
જોકે સ્વતંત્રતા આવ્યા પછી તો જેઓ પોતાને મૂળ કોંગ્રેસી માને છે તેના નેતાઓ અને તેમના સાંસ્કૃતિક સહાયક પક્ષના નેતાઓ બેસુમાર ખર્ચ કરે છે. એક નેતાએ પૂત્રના લગ્નમાં સરકારી ખર્ચે પુરા શહેરને શોભાયમાન કરી દીધેલું. એક નેતાએ કુવામાં બરફની પાટો નાખી આખા કૂવાના પાણીને ઠંડું કરી દીધેલું. એક એકથી ચડે એવા નેતાઓ છે જેમને તેઓ આવું કરે ત્યારે ગાંધીજી યાદ આવતા જ નથી અને પોતાના પક્ષને મહાત્મા ગાંધી વાળો મૂળ કોંગ્રેસ પક્ષ માને છે અને પોતાના પક્ષને એક વિચાર તરીકે ઓળખાવાની ગુસ્તાખી કરે છે. વળી તેઓ જાતિવાદને અને ધર્માંધતાને ઉશ્કેરે છે તે તો આપણે ગણ્યું પણ નથી. આવા નેતાઓ અને પક્ષો કેવીરીતે વિશ્વસનીય બની શકે?
આવી તો બધી ઘણી વાતો છે… આજ બ્લોગ સાઈટ ઉપર “સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય ગાંધીવાદ -૧ થી ૯ વાંચશો.
જો તમે wordpress.com એકાઉન્ટ રાખ્યું હશે તો તમે બધું સીધે સીધું વાંચી શકશો. જો તમારે વર્ડપ્રેસમાં એકાઉન્ટ રાખવું હોય તો નીચેની લીંક ઉપર ક્લીક કરશો.
શું હાલના ગાંધીવાદીઓ ગાંધીવાદને જીવાડી શકશે?
ના જી.
(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
ચમત્કૃતિઃ
અમંત્રઃ હિ અક્ષરઃ ન અસ્તિ, ન અસ્તિ મૂલં અનૌષધમ્
અયોગ્યઃ પુરુષઃ ન અસ્તિ, યોજકઃ તત્ર દુર્લભઃ
અર્થ વગરનો કોઈ અક્ષર નથી, એવું કોઈ મૂળ નથી જે (કોઈ એક રોગનું) ઔષધ
ન હોય, કોઈપણ વ્યક્તિ અયોગ્ય નથી. પણ શેમાં શું શક્તિ છે તે જાણનારો એટલે કે યોજક દુર્લભ છે.
ગાંધીજી આવા યોજક હતા.
તે વખતના ઘણા નેતાઓ જાતિવાદ, ધર્મવાદ, ઉચ-નીચમાં માનનારા હતા. અંગ્રેજોના શાસનને યોગ્ય માનનારા અને તેનો હરખ કરનારા પણ હતા. આવા એક સુસ્થાપિત શાસન અને સામ્રાજ્ય સામે સ્વાતંત્ર્યની વ્યાપક રીતે ભાવના ઉત્પન્ન કરવી અને જનતાને અહિંસક લડત માટે તૈયાર કરવી એ જેવી તેવી વાત તો ન જ હતી. યુદ્ધ કર્યા વગર અહિંસક લડત ચલાવી ત્રીસવર્ષના ગાળામાં અંગ્રેજોને હાંકી કાઢવા, એ માણસને તમે મહાત્મા નહીં કહો તો શું કહેશો?
નહેરુવીયન કોંગ્રેસે હિમાલયન બ્લન્ડરો કર્યા છતાં, નહેરુવંશના શાસનને કાઢતાં એ જ દેશને ૩૦ વર્ષ લાગ્યા હતાં (૧૯૪૭-૧૯૭૭). આ પણ ત્યારે જ શક્ય બન્યું જ્યારે કોંગ્રેસ પોતે તૂટી અને રાજકીય રીતે નિસ્ક્રીય ગાંધીવાદીઓ સક્રિય બન્યા.
અને પછી જુઓ. એજ કોંગ્રેસે વળી પાછું ૨૫ વર્ષ રાજ કર્યું.
Like this:
Like Loading...
Read Full Post »
Posted in માનવીય સમસ્યાઓ, tagged આરોગ્ય, કુશળતા, કોષ, ખાણીપીણી, ખૂમચા, ખોરાક, ગંદકી, ગલ્લા, જવાબદાર, પાણી, બુદ્ધિ, મન, મેડીકલ કાઉન્સીલ, યોગ, લારી, વિચાર, શાકભાજી, શોપીંગ, શ્વાસોચ્છવાસ, સંકુલ, સરકારી, હપ્તા, હવા on May 16, 2013|
2 Comments »
ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમ સરકાર,મેડીકલ કાઉન્સીલ, હૉસ્પીટલો, દવાઓ અને ડૉક્ટરો
રોગો અને તેના ઉપચારો ને લગતો આ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમમાં શું હોય છે તેનાથી ભાગ્યેજ કોઈ અજાણ્યું હશે.
કોઈવ્યક્તિ માંદો પડે એટલે શું થાય?
તે ડોક્ટર પાસે જાય,
ડૉક્ટર દવાઓ લખી આપે, કેટલીક વાર દવા એવી હોય કે તે ડૉક્ટરની નજીકના મેડિકલ સ્ટોરમાં જ મળે. ડૉક્ટરને અમુક ટકા કમીશન મળે.
દરદી સાજો થયો તો વાત પૂરી. ન થયો તો ડૉક્ટર દવા બદલે અથવા અમુક ટેસ્ટ કરાવે. ક્યા ટેસ્ટ જરુરી છે કે નહીં તે વાત જવા દો. કેટલીક વાર ડોક્ટર લેબોરેટરીની પણ ભલામણ કરે.
દરદી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવે. ડોક્ટરનું કમીશન ચડે.
ડૉક્ટર ટેસ્ટ રીપોર્ટ જુએ. અને રોગને પારખે અને દવાઓનો નવો કોર્સ લખી આપે. દરદી હવે આ રોગની દવાઓનો કોર્સ કરે. જે કદાચ એક સપ્તાહ થી ત્રણ માસ સુધી ચાલે.
જો દરદી સાજો થઈ ગયો તો દરદીએ ડોક્ટર અને ઈશ્વરનો ઉપકાર ગણવાનો.
જો તમે ઉચ્ચ વર્ગના કે ઉચ્ચ મધ્યમ વર્ગના હો કે અતિ માલેતુજાર હો તો આ ચિકિત્સા પ્રણાલી બહુ નડશે નહીં. કારણકે તમે ખમતીધર છો અને મેડીક્લેમ પણ હશે. જો ડોક્ટર જાણીતો હશે તો તમને થોડા વધુ ખર્ચા કરવાશે પણ તમને સાજા કરી દેશે. પણ જો તમે અજાણ્યા ડોક્ટર પાસે જશો તો જોખમ મોટું તો હોઈ શકે છે. તમે સારી ભલામણ લઈને જાવ તો જરા જોખમ ઓછું. પણ તમે ઈશ્વર પર ભરોસો રાખશો.
આ બધી વાતો જનરલ ફીઝીસીયનના સ્ટેજ સુધીની થઈ. જો રોગ મોટો છે અને બહુ વખત સુધી ગણકાર્યો નહીં અને પછી સ્પે્શીયાલીસ્ટ પાસે ગયા એટલે તમારે છ માસથી શરુ કરી પાંચ વર્ષ સુધીનો દવાના ટેસ્ટ રીપોર્ટો સાથેનો કોર્સ તો તમારે લમણે લખાઈ ગયો એ સમજી લેવાનું. એમાં પણ જો તમારે રુગ્ણાલય (હોસ્પીટલ)માં જવાનું થયું તો પચાસ હજાર થી શરુ કરી પાંચ લાખ જ નહીં પણ આકાશ એ સીમા છે.
સરકારી હોસ્પીટલોમાં સ્થિતિ એટલી હદે લૂંટી લેવાની નથી. પણ ડોક્ટર, નર્સ અને મહેતરાણીઓ પોતું કરવાવાળીઓ સ્ટોર કીપરો એ બધાની સેવા લેવા માટે તમારે આંટા ફેરા કરવાના. જોકે આ સ્થિતિ કેટલેક અંશે ખાનગી એવા મહા-ઋગ્ણાલયોમાં પણ હોય છે.
ડોક્ટરોમાં અને રુગ્ણાલયોમાં વાસ્તવમાં કેવા કરાર હોય છે તે આપણને ખબર નથી. પણ ડોક્ટરને તેની ભલામણથી દાખલ થયેલા કે દર્દીએ પસંદ કરેલા કે રુણાલયે સૂચવેલા ડોક્ટરની વીઝીટના પૈસા પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ભોગવા પડે છે. આનું સારું પાસુ એ છે કે દર્દીને જે તે ક્ષેત્રના નિષ્ણાત ડોક્ટરની સેવાનો લાભ મળી શકે છે. જો ઓપરેશનની સંડોવણી હોય તો સર્જનને હોસ્પીટલ તરફથી સામાન્યરીતે નિશ્ચિત કરેલી રકમ મળે છે. અને ઘણી વખત એક કરતાં વધુ ઓપરેશનો પણ કરવામાં આવે છે.
જો દર્દીને ગંભીર બિમારી હોય તો ડોક્ટરોની અને હોસ્પીટલની દાઢ સળકે છે. દર્દીને રીતસર ચીરી જ નાખવામાં આવે છે. જ્યારે દર્દી મૃત્યુની નજીક જ હોય દર્દીના સગાં પણ જાણતા હોય કે દર્દ બહુ ગંભીર છે અને સાજા થવા વિષે કશું કહી શકાય તેમ નથી અને જો તમે હોસ્પીટલ માટે અજાણ્યા હો અથવા તો હોસ્પીટલ તમારે માટે અજાણી હોય તો તમને હોસ્પીટલ ચૂસી લેશે. જે દર્દી તમારી સાથે વાતો કરતો કરતો હોસ્પિટલમાં દાખલ થયેલો તે સ્ટ્રેચરમાં હોસ્પિટલમાંથી બહાર નિકળશે.
ધારોકે તમારા દર્દીને ઓપરેશન કરવવું પડશે તેવું નક્કી થયું
તમારો દર્દી હોસ્પીટલમાં દાખલ થાય તે પહેલાં કેટલાક ટેસ્ટ તમારે ફરીથી કરાવવા પડશે. તેમાંના કેટલાક કે બધા જ ટેસ્ટ તમે અગાઉ કરાવ્યા હશે તો પણ તમારે તે ફરીથી કરાવવા પડશે અને હવે તે બધા તમારે હોસ્પીટલ વાળા કહે તે લેબોરેટરીમાં કરાવવા પડશે. કારણ કે હોસ્પીટલ ને બીજી લેબોરેટરીઓ ઉપર વિશ્વાસ નથી હોતો. અમુક ટેસ્ટ હોસ્પીટલ જાતે પોતાની લેબોરેટરીમાં કરશે. ભલુ હશે તો હોસ્પીટલ વાળા તમને ઓપરેશના એક દિવસ અગાઉ તમારા દર્દીને હોસ્પીટલમાં દાખલ કરી દેવાનું કહેશે. તો વળી કેટલીક હોસ્પીટલો તમને તમારા દર્દીને તાત્કાલિક જ દાખલ કરી દેવાનું કહેશે.
હોસ્પીટલ વાળા તમને ક્યારે ક્યારે કેટલા પૈસા જમા કરાવો એ અને બીજું બધું, શું શું કહેશે તે બધી વાત જવા દો.
હોસ્પીટલવાળા તમારી પાસે રુમ ચાર્જ લેશે, દવાનો ચાર્જ લેશે, ડ્રેસીંગનો ચાર્જ લેશે, ડોક્ટરનો ચાર્જ લેશે, ઓપરેશન હૉલનો ચાર્જ લેશે, ઓપરેશનનો ચાર્જ લેશે, ઓપરેશના શસ્ત્ર-અસ્ત્રોનો ચાર્જ લેશે, એનેસ્થેસીયાનો ચાર્જ લેશે, ઓપરેશન પછી દર્દીને આઈ.સી.યુ.માં રાખશે એટલે તેનો પણ ચાર્જ લેશે. દર્દીને તેના રુમમાંથી ઓપરેશન માટે બહાર કાઢ્યા પછી અને ઓપરેશ બાદ વાયા આઈ.સી.યુ. ફરીથી દર્દીની રુમમાં લાવ્યા સુધીનો (જો જીવતો રહ્યો હોય તો) રુમનો ચાર્જ લેશે. જો દર્દી ઉપરનું ઓપરેશન સફળ થયું હોય તો તેને થોડા દિવસ વધુ (કેટલીક વાર બીજો નવો બકરો ન આવે ત્યાં સુધી) રુમમાં રાખવામાં આવશે. અને તેનો પણ અગાઉના જેટલો જ ચાર્જ લેશે.
હવે જો ડોક્ટર દયાળુ હશે તો તમને સાચી વાત કહેશે. જોખમની સમજણ આપશે. અને બધું તમારા ઉપર છોડશે. જો આમ ન હોય તો દર્દીને હોસ્પીટલામાં ક્યાં સુધી રાખશે તે ભલભલા જ્યોતિષશાસ્ત્રીઓ પણ કહી શકશે નહીં. એવું પણ જાણવા મળ્યું છે કે વેન્ટીલેટર નામનું ઉપકરણ હોસ્પીટલોને ઠીક ઠીક કમાણી કરાવે છે.
મેડીકલ કાઉન્સીલ
મેડીકલ કાઉન્સીલનો આમ તો ધારે તો ઈલેક્સન કમીશ્નર જેવો રોલ કરી શકે છે. શેષન જેવો કોઈ ધૂની ઈલેક્સન કમીશ્નર પાકી શકે છે પણ તેના જેવો ક્રાંતિકારી મેડીકલ કાઉન્સીલનો ચેરમેન પાકી શકતો નથી. દવાઓ યોગ્યરીતે બનાવાય છે કે નહીં, યોગ્યરીતે પ્રદર્શિત કરાય છે કે નહીં, યોગ્ય ભાવે વેચાય છે કે નહીં વિગેરે ઉપર તેણે નજર રાખવાની હોય છે. હવે જો સરકાર જ જો જાણી જોઇને આંખ આડાકાન કરતી હોય તો મેડીકલ કાઉન્સીલ શું કામ લૂંટમાં સામેલ ન થાય? આ બાબતમાં બાબુભાઈનો એક કેસ આર્ટીકલ વાંચી લેવો. URL https://treenetram.wordpress.com/2011/11/19/babubhai-thakkar-submits-application-to-prosecute-man-mohan-singh/
મેડીકલ કાઉન્સીલમાંના એક હોદ્દેદાર થવા જે કરોડ રુપીયાનો લાંચનો કિસ્સો વર્તમાનપત્રોમાં આવેલ એજ બતાવે છે કે મેડીકલકાઉન્સીલમાં કેટલા ઘી કેળાં છે.
ટૂંકમાં આજના સમયમાં માંદા પડવું એ એક મોટો ગુનો છે.
આ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમને રોકવાનો ઉપાય શું?
આમાં મુખ્ય કઈ કઈ બાબતો છે જેને લક્ષમાં લેવી જોઇએ.
રોગ લાગુ પડવાના કારણો કયા કયા છે?
૧ વાઈરસ થી થતા રોગોઃ આમાં શરીરની અંદર કાયમ રહેતા વાઈરસને આપણી પ્રતિકારત્મક શક્તિ નુકશાનકારક રીતે વધુ સક્રીય થતા રોકી રાખે છે. બીજા વાયરસ બહારના વાતાવરણમાંથી આપણા શરીરમાં પ્રવેશે છે. જોકે તે કેટલા શક્તિશાળી છે તે આપણે સમજી શકતા નથી. જો આપણે માંદા પડીયે તો સમજી લેવું કે તે વાયરસ સામે આપણી પ્રતિકારાત્મક શક્તિ હારી ગઈ. એટલે આપણે તેનો ઉપચાર કરવો પડશે.
૨ જંતુ જન્ય રોગોઃ જોકે આનાથી થતા આક્રમણની સામે પણ આપણી પ્રતિકારત્મક શક્તિ રક્ષણ આપે છે. પણ આમાં પણ હાર અને જીત હોય છે. આ રોગ પણ આમ તો વાયરસ જેવો ગણાય. પણ આ ગંદકીને લીધે અને અશુદ્ધિને લીધે થાય છે.
૩ ખરાબ આદતોથી થતા રોગોઃ ખરાબ આદતો જેવી કે દારુ, રોગીષ્ઠ નોનવેજ, તમાકુ, ઘરની અશુદ્ધિ, અતિ-આહાર, અકુદરતી આહાર વિગેરેથી પણ માંદા પડાય છે.
૪ વારસાગત રોગોઃ આ રોગો આમ તો નંબર ૧ સાથે સરખાવી શકાય. પણ કુદરતી આહાર દ્વારા તેને નબળા પાડી શકાય એવી એક માન્યતા છે.
૫ ખોટા ઈલાજોથી થતા રોગોઃ આપણા એક માનનીય કાંતિભાઈ ભટ્ટે આ બાબતમાં દિવ્યભાસ્કરમાં એક સારો લેખ લખ્યો છે. તેઓ અભિનંદનને પાત્ર છે. આ લેખ બધાએ જરુર વાંચવો. જેમાંનું એક તારણ છે કે ૯૫ ટકા દવાઓ ખોટી દવાઓ છે. એટલે ટૂંકામાં સમજી જાઓ કે મેડીકલ ક્ષેત્રે કેટલી જાહોજલાલી છે.
આ સિવાય રોગ થવાના બીજાં કારણો કયા છે?
ખોરાકની જગ્યાની અસ્વચ્છતા અને હવાની અસ્વચ્છતાઃ
તમે જાહેર શૌચાલયો જોયા જ હશે. દુર્ગંધથી તમારું માથૂં ફાટી જશે.આજગ્યાની હવાના જંતુઓ હવા દ્વારા દૂરદૂર જવાના જ. અસ્વચ્છતા માટે સરકાર અને સ્થાનિક સ્વરાજની સંસ્થા જવાબદાર છે. બંનેના આરોગ્યખાતાંઓ ફક્ત મોટી રેસ્ટોરાંઓ ઉપર પૈસા આપવાથી કે ઉપરી અધિકારીના કહેવાથી રેડ પાડે છે. મેં વિશ્વસ્ત સ્રોતો તરફથી સાંભળ્યું છે કે રુપીયા પાંચ હજાર આપો અને મ્યુનીસીપાલીટી વાળા પાસે રેડ પડાવો. જોકે આ ભાવ પાંચ વર્ષ પહેલાંનો હતો અને અમદાવાદનો હતો. રેડ પડ્યા પછી તમારે જોવાનું નહીં કે પછી સ્થાનિકસ્વરાજ વાળા શું કરશે.
ગામના રસ્તાઓ ઉપર, ફૂટપાથો ઉપર, પાર્કીંગની જગ્યાઓ ઉપર લારી, મારુતીવાન રાખીને થતા, ખુરશી ટેબલ સાથે કે ખૂરશી ટેબલ વગર વેચાતા અને ત્યાંજ ટેસથી ખવાતા ફાસ્ટફુડ કે જેઓ આવા ધંધા દ્વારા લખપતિઓ થયા તે તો આરોગ્ય ખાતાઓને દેખાતા જ નથી. જાણીતા ખુમચા વાળા પણ લખપતિ થયા છે. અને અજાણ્યા ખુમચાવાળા પણ લખપતિ થવાની લ્હાયમાં છે. આરોગ્યખાતાવાળા તો કરોડપતિ થઈ ગયા છે અને હવે તેમને ડબલ ફીગરના કરોડમાં આવવું છે. જ્યારે હેપીટાઈટીસ કે કમળો ફાટી નિકળશે ત્યારે આ સરકારી બારદાનો આ રોગોના કારખાનાઓને કામચલાઉ બંધ કરાવશે અને મોટા હોર્ડીંગો બનાવી લોકોને આરોગ્ય જાળવવાના ઉપદેશો આપશે અને સુકા રસ્તાઓ ઉપર પણ ડીડીટીનો (રામજાણે આ પાવડર કેટલો શુદ્ધ હશે) પાવડર છાંટશે.
ઉપાય
ઉપાય એજ છે કે જે કોઈ કોમર્સીઅલ કોંપ્લેક્ષ હોય તેમાં આવા લોકો માટે જગ્યા અનામત રાખવી જોઇએ. અહીં પણ સ્વચ્છતાના નિયમો ઘડી, સીસીકેમેરા ગોઠવવા જોઇએ. રસ્તા, ફુટપાથ અને અન-અધિકૃત જગ્યાઓ ઉપર કોઈ ખાણી પીણી વેચવાની છૂટ જ ન હોવી જોઇએ. મોદીકાકાની સરકાર રસ્તાઓ ઉપર સીસીકેમેરાને ગોઠવવાની યોજના બનાવી રહી છે. પણ આ યોજના સરકારી બારદાની અધિકારીઓ કેવીરીતે અમલમાં મુકશે તે જોવાનું છે. ખોરાકમાં વપરાતું રૉ-મટીરીયલ પેક્ડ અને સ્ટન્ડર્ડ કંપનીનું જ હોવું જોઇએ.
જેનેટિક બિયારણ અને પાકોઃ
સર્વોદયવાદીઓએ આ અકુદરતી ખાતરોના ઉપયોગ, જંતુનાશક દવાઓના ઉપયોગ અને હાઈબ્રીડ બીયારણોના ઉપયોગ વિષે ઘણું લખ્યું છે. લોકોને કેન્સર, થાઈરોઈડ જેવા રોગ થવામાં આ વસ્તુઓ ભાગ ભજવે છે તે નકારી ન શકાય.
જમીન અને જગ્યાઃ
જનતાને રોગગ્રસ્ત કરવામાં સરકારી અધિકારીઓ જવાબદાર છે. લોકો પોતાના ઘર તો મોટે ભાગે સ્વચ્છ રાખે છે પણ તેજ લોકો સામાન્ય વપરાશની જગ્યાઓ એટલે કે લીફ્ટ, પેસેજની જગ્યા, ગલીઓ, રસ્તાઓ, ફૂટપાથો ઉપર થૂકે છે, પાન-તમાકુની પીચકારીઓ કરે છે, પાણી રેડે છે, કચરો નાખે છે અને ખાદ્ય પદાર્થો પણ નાખે છે. આનું કારણ એજ છે કે તેમને કોઈ દંડતું નથી. સીસી કેમેરા ગોઠવી તેમને દંડો અને આ દંડ માટે તેમને ઉધારની પાવતી (ટીકીટ) પકડાવી દો. જો ત્રણ માસમાં ન ભરે તો તે વર્ષના તેમના હાઉસ ટેક્ષમાં દંડ અને બાંધી મૂદતમાં ન ભરવા બદલની પેનલ્ટી તરીકે ઉમેરી દો. હાઉસીંગ સોસાઈટીઓને પણ તેમના ક્ષેત્રમાં ચોક્ખાઈનો અમલ કરવાનું આ રીતે જ કહી દો.
સ્વચ્છ પાણીઃ
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની બંધારણીય ફરજ છે કે પીવાનું પાણી સ્વચ્છ હોય. ચૂટાયેલા પ્રતિનિધિઓની ફરજ છે કે તેઓ નિયમિત રીતે પોતાના વિસ્તારને મળતું પાણી શુદ્ધ છે તેની લેબોરેટરી દ્વારા આરોગ્ય ખાતાએ ટેસ્ટ કર્યું છે કે નહીં તેની ચકાસણી કરે. અને જો ક્યારેય પણ એવું સાબિત થાય કે ફલાણા દિવસે પાણીનો ટેસ્ટ રીપોર્ટ બરાબર ન હતો, તો કન્ઝ્યુમર કોર્ટ સ્થાનિક સ્વરાજ સંસ્થાનો દંડ કરે. જરુરી નથી કે કોઈ માણસ માંદો પડે અને તે સિદ્ધ કરે કે તે અશુદ્ધ પાણીથી જ માંદો પડ્યો છે. પણ ધારો કે જો એવું સાબિત થાય તો સ્થાનિક સ્વરાજની સંસ્થા નુકશાની પણ ભોગવે.
શાકભાજીનું વેચાણ
શાકભાજી વેચવા વાળા રોડ ઉપર લારીમાં શાક વેચતા હોય છે. આ બંધ થવું જોઇએ. કારણ કે અગાઉ આપણે જોઇએ ગયા તેમ રોડ ઉપર વેચવું એજ ગુનો છે (આ ગુનો આમ તો ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ છે). એક દાખલો રસપ્રદ છેઃ
અમદાવાદમાં અંકુર થી રન્નાપાર્ક ના રસ્તા ઉપર શાસ્ત્રીનગર પાસે રસ્તા ઉપર સાંજે શાકભાજીની વાળાની લારીઓને કાયદેસર કે ગેરકાયદેસર રીતે ધંધો કરવાની છૂટ આપેલી છે. હવે જો આવી મર્યાદિત સમય પુરતી છૂટ આપવામાં આવી હોય તો તેને માટે રોડ ઉપરની જગ્યા જ શા માટે રાખી? શાસ્ત્રીનગરમાં જ ત્રણ મેદાનો છે. એટલું જ નહીં પણ શાસ્ત્રીનગરની સામે જ સરકારી પડતર જમીન પડી છે. ત્યાં શું કામ શાકભાજીની લારીઓ વાળા માટે ગોઠવણ ન થઈ શકે? શહેર સુધરાઈવાળા તેને કામ ચાલાઉ ધોરણે ભાડે લઈ શકે અને શાકભાજીની લારીઓ વાળા પાસેથી ભાડું વસુલ કરી શકે. ખાલી જમીનના માલિકને પણ કમાણી થાય, શહેર સુધરાઈને પણ કમાણી થાય અને લારીવાળા પણ રળી શકે. હાજી પણ ગુન્ડા અને સરકારી સેવકોના હપ્તા બંધ થઈ જાય.
આથી પણ વિચિત્ર વાત નવી મુંબઈના સીડાકોની ટાઉનશીપ (બેલાપુર)ની છે. અહીં સેક્ટર ૯-૧૦માં સીડકોએ શાકમાર્કેટ કરી છે. પણ શાકમાર્કેટમાં ઢોર રખાય છે. અને શાકભાજીની લારીવાળા બહાર રોડ ઉપર શાકભાજી વેચે છે. આવું કેવી રીતે છે? કારણ કે દુકાનોના કૉલાઓનું ભાડું જે કંઈ હોય તેના કરતાં હપ્તાની રકમ ઓછી હોય રાખવામાં આવી હોય છે. વળી આપણા દેશમાં ઢોરોના માલિકોને ઢોર રખડતા મુકી દેવાની અલિખિત છૂટ છે. તેથી ગોપાલો આનો લાભ શા માટે ન લે?
આવું જ આપણા ગાંધીનગરના કેટલાક ચીપ શોપીંગ સેન્ટરોમાં જોયેલું છે. જેમાં ચીપ શોપીંગ સેન્ટરોની દુકાનો ખાલી રહે અને બહાર લારી ગલ્લા વાળા ધંધો કરે.
અમદાવાદ ના નવા હાઈકોર્ટ સંકુલમાં પણ કંઈક આવું જ હતું. કેન્ટિન ખાલી હતી અને તેના વચ્ચેના ચોગાનમાં રીસેસમાં ખૂમચાવાળા ખાણી પીણીનો ધંધો કરતા હતા. કદાચ આ કામ ચલાઉ હશે. પણ તે ક્ષમ્ય નથી.
સરકાર શું કરી શકે?
મેડીકલ તો મફત જ હોવું જોઇએ. મેડિકલટ્રીટમેન્ટના વીમાવાળી વાત એક એજન્સી વધારવાની વાત છે. એટલે કે જમવામાં એક સંસ્થાનો ઉમેરો. મેડીક્લેમની જોગવાઈએ હોસ્પીટલોના બીલ આસમાને પહોંચાડી દીધા છે અને ખાયકી વધારી દીધી છે.
દરેક વ્યક્તિનો મેડીકલ ઈતિહાસ ફરજીયાત હોવો જોઇએ. અને જેમ ઈન્કમ ટેક્સ વાળા પાન-કાર્ડ દ્વારા અને ઈન્કમટેક્સ રીટર્ન દ્વારા જનતાના અને કંપનીઓના નફા ઉપર નજર રાખે છે તેમ દર્દીને થયેલી ચિકિત્સાની બધી જ વિગત ઉપચારો, દવાઓ, ચિકિત્સકો, રૂપીયા આના પાઈ અને વિડીયો ક્લીપ સહિત કેન્દ્રસ્થ રહેવી જોઇએ. જે કોઈ ચિકિત્સક જે કંઈ ચિકિત્સા કરે જે કંઈ ચાર્જ કરે તે બધું જ તેણે અપલોડ કરવું જોઇએ. આને માટે એક સોફ્ટવેર અને પ્રણાલી બનાવી શકાય. મેડીકલ કાઉન્સીલ આનું અમુક ટકામાં અવલોકન કરે. અને અથવા જો દર્દીને કે તેના સંડોવાયેલા સગાંને ચિકિત્સાની યોગ્યતા, ગુણવત્તા અને ચાર્જ વિષે ચેક કરવા જેવું લાગે તો મેડીકલ કાઉન્સીલનો અભિપ્રાય માગી શકે. મેડીકલ કાઉન્સીલ તેનો ચાર્જ લઈ અભિપ્રાય આપે અને જો તેમાં ક્ષતિ લાગે તો તે ચિકિત્સાલય અને ચિક્તિત્સકને દંડી શકે.
આપણે પોતે શું કરી શકીએ?
રોગ ન આવે તેવી જીવન શૈલી રાખો. આ તો શિખામણ થઈ. આ કેવી રીતે પળાય?
હવાઃ ડમરો વાવો. તુલસી વાવો. અને કડવા લીમડાનો ધુમાડો થોડો કરો.
પાણીઃ પાણી થી જ મોટા ભાગના રોગ થાય છે. જાડા કપડાથી ગાળેલા પાણીમાં ફટકડી ફેરવો. જંતુ થકી થતા રોગો સામે રક્ષણ મળશે. પાણીને ઉકાળો અને ઠરવા દો. કેટલાક ક્ષાર અદ્રાવ્ય થશે અને નીચે બેસી જશે. ક્ષાર હશે તો પથરી સામે રક્ષણ મળશે નહીં. તે માટે આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાયો પણ છે. લીંબુના ટીપાં, મધના ટીપાં અને કકોણું પાણી ના મિશ્રણમાં તજનો પાવડર એક નાની ચમચી નાખો અને તેનું નીત્ય સેવન કરો.
પાણી દિવસ દરમ્યાન ચાર લીટર તો પીવું જ જોઇએ. સવારે ઉઠીને તૂર્ત જ ચાર કપ પાણી પીવો. અર્ધા કલાક પછી ચા કે ગરમ દૂધ પીવો. કલાક પછી બીજા ત્રણી ચાર કપ પાણી પીવો. સવારે ચાલવા જાવ કે કસરત કરો. દર બે કલાકે બે કપ પાણી પીવો.
કુદરતી આહારઃ જુના જમાનામાં કોઈ બહારનું જમતા નહીં. સૌ કોઈ ભાથું લઈને જતા. આજે પણ ઘણા લોકો ટીફીન-ડબ્બો લઈને જાય છે. ઘરે જ રાંધેલું જમો. જો તમે એકલા હો કે બેકલા રાધવાનું શીખી લો. ખીચડી, ભાખરી અને શાક એ સહેલી વાનગીઓ છે અને પૌષ્ટિક પણ છે. જો આ વાનગીઓ ન ભાવતી હોય તો ભૂખ્યા રહો. જ્યારે ખૂબ ભૂખ લાગે અને જ્યારે એવું લાગે કે હવે તો જમ્યા વગર રહેવાશે જ ત્યારે આ ખીચડી, ભાખરી અને શાક ખાવ. ભૂખ્યા થાવ અને ખાવ. બધી ટેવ પડશે.
શ્રેષ્ઠ શાકઃ કોઈપણ શાક લો. તેના કટકા કરો. છાલ કાઢવી હોય તો કાઢો અને ન કાઢવી હોય તો ન કાઢો. તેને સોલર કુકરમાં પાણીમાં બાફો. પછી તેમાં થોડું મીઠું નાખો અથવા ન નાખો. એક વાનગી તરીકે સવારે કામે જતી વખતે ખાવ અથવા લંચમાં ખાવ. ટેવ પડશે તો તેના વગર ચાલશે નહીં.
ફળાહારઃ જો ડાયબીટીસ ન હોય તો બધાં જ ફળો ખાઈ શકાય. સવારે બ્રેકફાસ્ટમાં ૫૦ થી ૧૦૦ ગ્રામ ફળ ખાવ. મનુષ્યનો ખોરાક વાસ્તવમાં અનાજ છે જ નહીં. માંસાહાર ની તો વાત જ ન કરશો. કારણ કે મનુષ્યનું શરીર જેમકે નખ, દાંત અને હોજરીની રચના માંસાહારી પ્રાણીઓથી અલગ છે. આમ તો અનાજ પણ મનુષ્ય માટે નથી. અનાજ ઢોર માટે છે. મનુષ્ય બહુ બહુ તો પોંક ખાઈ શકે. રસાદાર ફળો અને મેવા સીંગદાણા, બદામ, આલુ, અખરોટ, તલ, વિગેરે જેવા પોચાં ઉત્પાદનો મનુષ્ય માટે યોગ્ય છે. મનુષ્યને દાઢો આપી હોવાથી તે ખૂબ ચાવીને આ બધું કાચું જ પચાવી શકે છે. અનાજ અને ફળ વચ્ચે ભેદ પાડવાનો હેતુ જ એ છે કે અનાજ અકુદરતી આહાર છે. પણ અગ્નિનો ઉપયોગ મનુષ્યને આવડ્યો એટલે તે અનાજને પાચ્ય બનાવી શક્યો છે. આ જ વાત માંસને લાગુ પડે છે. પણ આ બંને વગર મનુષ્ય ચલાવી શકે. અને કામ કરતાં કરતાં સો વર્ષ જીવી શકે. (કુર્વન્નેવ હિ કર્માણી જીજીવિષેત્ શતંસમા – ઈશાવાસ્ય ઉપનિષત્).
શાક ભાજી અને ફળાહાર દ્વારા રોગમુક્તિના ઘણા પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે.
કાન્તિભાઈ શાહ દ્વારા લિખિત કુદરતી ઉપચારનું પુસ્તક પણ ઉપલબ્ધ છે.
ઉપવાસ અકસીર ઈલાજ છે.
ધારો કે માંદા પડ્યા. તો બે થી ચાર નકોરડા ઉપવાસ કરી નાખો. કુદરતી ઉપચાર કરો. ગાંધીજીએ પાણી અને માટીના ઉપચારો સૂચવ્યા છે. કાન્તિભાઈ શાહે કુદરતી ઉપચારો સૂચવ્યા છે. આયુર્વેદે જડીબુટ્ટીના ઔષધો સુચવ્યા છે.
જો થોડા સમયમાં રોગ ન મટે તો પછી એલોપથીના ડોક્ટરકાકા તો છે જ.
મનુષ્યનું આયુષ્ય લગભગ નિશ્ચિત છે. આ આયુષ્ય તમારા માતાપિતાના આયુષ્યથી પાંચ થી પંદર વર્ષ આઘું પાછું થઈ શકે છે. જો ખરાબ આદતો હોય તો આયુષ્ય ઘટે.
એક વાત સમજવાની છે કે આપણું શરીર શું છે? તે સમજીને તેની કાળજી લો.
બાહ્ય અંગોઃ બાહ્ય અંગો જેમકે ચામડી, આંખ, કાન, નાક અને દાંત. તેની સ્વચ્છતાની કાળજી લો.
પાચન તંત્રઃ કુદરતી આહાર, ઉપવાસ અને પાણી દ્વારા તેને સ્વચ્છ રાખો
લોહી અને કીડનીઃ સ્વચ્છ, પૂરતું પાણી અને લીલી હળદર લોહીને સ્વચ્છ રાખે છે.
માંસપેશીઓ અને નસોઃ વ્યાયામ અને શ્રમ નસોને તંદુરસ્ત રાખે છે.
ફેફસાં અને લોહીની નળીઓઃ કફ અને કોલેસ્ટ્રલ ન થાય તેવો આહાર લેવો. પ્રાણાયમ કરવાથી ફેફસાં ચોક્ખાં રહે છે.
ન્યુરોન અને જ્ઞાન તંતુઓઃ મગજને સક્રીય રાખવાથી એટલે કે જ્ઞાન પ્રાપ્તિથી તેઓ પણ તંદુરસ્ત રહે છે.
સમગ્ર શરીર કોષોનું બનેલું છે. આ બધા કોષ તેમને મળતા પ્રાણવાયુને કારણે જીવિત રહે છે. લોહી, દરેક કોષને પ્રાણ વાયુ પહોંચાડે છે. પ્રાણાયમ એ શ્વાસ-ઉચ્છવાસની કસરત છે. જો તમે લાંબો ઉચ્છવાસ કરો તો તમે લાંબો શ્વાસ પણ લઈ શકશો. લાંબા શ્વાસોચ્છવાસ દરેક કોષને વધુ ઓક્સીજન પહોંચાડે છે. તેથી કોષ સક્રીય રહે છે. આ કારણથી શરીરની દરેક ક્રીયાઓની કાર્ય શક્તિ વધે છે. એટલે જ પાતંજલીએ સૌ પ્રથમ શ્લોક એમ આપ્યો છે કે “યોગઃ કર્મષુ કૌશલમ્”. આપણું સમગ્ર શરીર કોષોનું બનેલું હોય છે. બધા જ કાર્યો જાતજાતના કોષોના સમૂહો કરતા હોય છે. એટલે યોગ કરવાથી સૌ કોષો પોતાનું કામ સારી રીતે કરી શકે છે અને તેથી કાર્યમાં કુશળતા આવે છે.
યોગ વિષે બીજી અફવાઓમાં પડવું નહીં. યોગ કરવાથી ચમત્કારો થઈ શકે છે તે બધા ગપગોળા છે. જીવન આનંદ માટે છે. એટલે બીજાને કાયદેસર નુકશાન કર્યા વગર આનંદ થી જીવો.
વિચારો, મન અને બુદ્ધિઃ આપણને જે ગમે તે મન અને એ ગમાડવામાં આપણે જે નિર્ણય લઈએ અને સ્વિકારીએ તે સ્મૃતિ અને મગજ. આ સૌ કોષોનું બનેલું છે. વારંવાર (અભ્યાસ દ્વારા) કરવા થી તેને કેળવી શકાય. આમ તો આપણું શરીર કોષોનું બનેલું છે અને કોષો રસાયણના બનેલા છે. આ રસાયણોમાં થતા ફેરફારો આપણા વિચારો અને ખોરાક ઉપર આધાર રાખે છે અને રસાયણો પણ આપણા મન અને વિચારો ઉપર અસર કરેછે. આ અરસ પરસનો સંબધ છે.
તમે કહેશો કે આમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ક્યાં આવ્યો?
બીજા ક્રાઈમોમાં આપણો હિસ્સો કે જવાબદારી ચાર ટકા થી વધુ હોતી નથી. જોકે ઘણા નિરાશાવાદીઓ તેમાં પણ જનતાનો વાંક જુએ છે. પણ એ બધા ગુનાઓ તો સરકાર પોતાની ફરજ બજાવીને આપણને સુધારી શકે પણ આપણી તંદુરસ્તી માટે આપણે કમસે કમ ૨૫ ટકા થી ૭૫ ટકા તેથી વધુ ગુનેગાર છીએ. એટલે કે આ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમમાં આપણે આપણી બેવકુફીથી સામેલ છીએ. જેમકે લોટરી ની ટીકીટ ખરીદવી કે ન ખરીદવી તે માટે આપણે ૧૦૦ ટકા જવાબદાર છીએ. તેમ આપણે આપણી તંદુરસ્તી માટે તો કમસે કમ ૨૫ટકા જવાબદાર છીએ.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ મેડીકલ કાઉન્સીલ, આરોગ્ય, ખાણીપીણી, લારી, ગલ્લા, ખૂમચા, શાકભાજી, હપ્તા, સરકારી, ગંદકી, હવા, પાણી, ખોરાક, શ્વાસોચ્છવાસ, યોગ, કુશળતા, કોષ, શોપીંગ, સંકુલ, વિચાર, મન, બુદ્ધિ, જવાબદાર
Like this:
Like Loading...
Read Full Post »