Feeds:
Posts
Comments

Posts Tagged ‘ઇતિહાસ’

અમદાવાદનું નામ બદલવું જોઈએ કે નહીં?

અમદાવાદનું નામ બદલવાની ચર્ચા ચાલે છે.

કોઈ પણ કાર્યની પાછળ કારણ હોય છે. એટલે કે કોઈ પણ કારણ તો બતાવવું જ પડે.

અમદાવાદના નામ બદલવાનો વિરોધ પણ થતો હોય તો પછી નામ બદલવા પાછળનું ઔચિત્ય સિદ્ધ કરવું પડે.

નામ ક્યારે બદલી શકાય?

Untitled02

(૧) નામ અપભ્રંશવાળું હોય અને ક્લિષ્ટ હોય.

(૨) નામનો ઉચ્ચાર સ્થાનિક લોકો અમુકરીતે કરતા હોય પણ બહારના લોકો તેનો ઉચ્ચાર ભીન્ન રીતે કરતા હોય અને લખતા પણ ભીન્ન રીતે હોય.

(૩) જ્યાં સુધી ગામનું નામ બદલવાની વાતને લાગે વળગે છે ત્યાં સુધી એમ કહી શકાય કે ગામની સ્થાપના જે વ્યક્તિએ કરી હોય તે અને અથવા તે વ્યક્તિના નામને અમર રાખવા અને અથવા તે વ્યક્તિનું બહુમાન કરવા, તે વ્યક્તિના નામ ઉપરથી ગામનું નામ રાખવામાં આવ્યું હોય પણ પછી કાળાંતરે એમ લાગે કે એ વ્યક્તિનું આવું બહુમાન કરવું આવશ્યક નથી, માટે નામ બદલવામાં આવે.

(૪) ઉપર (૩)માં દર્શાવેલ વ્યક્તિ કરતાં “બીજી વ્યક્તિ કે જે તે સ્થળ ઉપર વસેલા ગામ માટે વધુ યોગ્ય છે,” તો તે આધારે નામ બદલવામાં આવે.

(૫) આપણા હાથમાં સત્તા છે અને (૩)માં નિર્દેશિત વ્યક્તિ આપણને પસંદ નથી માટે તે નામ બદલીને બીજું નામ રાખો.

(૬) ફલાણા લોકોએ નામ બદલ્યાં છે માટે આપણે પણ ગામનું નામ બદલો.

(૭) ફલાણો દેશ આપણો દુશ્મન છે અને તેણે આપણી સંસ્કૃતિના મહાનુભાવોના નામ ઉપરથી તેમના દેશમાં જે ગામોના નામો હતા તેને બદલ્યા છે એટલે તેની પ્રતિક્રિયા આપવા માટે આપણે પણ આપણા ગામના જે તે લાગુ પડતા નામો બદલો.

(૮) આપણે કશુંક કરી રહ્યા છીએ તે પ્રદર્શિત કરવા નામ બદલો.

આટલા કારણો ગામનું નામ બદલવા માટે હોઈ શકે. એક કરતાં વધુ કારણ પણ હોઈ શકે.

અમદાવાદ વિષે શું પરિસ્થિતિ છે?

અમદાવાદના નામ પરિવર્તન માટેની પાર્શ્વ ભૂમિકાઃ

૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા. કેટલાક મુસ્લિમો અને તેમના નેતાઓએ કહ્યું કે અમે હિન્દુ બહુમતિવાળા દેશમાં સુખી થઈ શકીશું નહીં અને હિન્દુ બહુમતિ અમને અન્યાય કરશે એટલે અમારે જુદો દેશ જોઇએ છીએ. અંગ્રેજોએ કહ્યું અમે મુસ્લિમોના હિતનો ઈજારો લીધો છે એટલે અમારે તેમની સુખાકારી જોવી જોઇએ. એટલે અમે દેશના ભાગલા પાડીશું. જો તમે આ સ્વિકારશો નહીં તો અમે તમને સ્વતંત્ર નહીં કરીએ. આ દરમ્યાન મુસ્લિમો હિંસક બન્યા. ગાંધીજીએ કહ્યું કે “હું તો આ હિંસા અટકાવવા માટે સમર્થ નથી.” …. સૌએ દેશના ભગાલાના પ્રસ્તાવનો સ્વિકાર કર્યો.

 અંગ્રેજોએ મતદાન કરાવ્યું અને મુસ્લિમ બહુમતિ વાળા વિસ્તારો પાકિસ્તાન બન્યા. બાકી રહ્યું તે ભારત બન્યું. આ આખી પ્રક્રિયા દરમ્યાન હિન્દુ અને મુસ્લિમો એકબીજાના દુશ્મનો બની ગયા. આમાં અંગ્રેજોએ અને તેમણે રચિત ઇતિહાસે ઠીક ઠીક ભાગ ભજવ્યો.

મુસ્લિમો તો ભારતમાં ઠેર ઠેર પથારાયેલા હતા. પાકિસ્તાન ગયેલા મુસ્લિમો કરતાં ભારતમાં મુસ્લિમો વધુ હતા અને રહ્યા. અને કારણ કે કોંગ્રેસના નેતા નહેરુ અંગ્રેજ સંસ્કૃતિના ચાહક હતા તેમણે અંગ્રેજો દ્વારા સ્થપાયેલ શિક્ષણ પ્રણાલી ચાલુ રાખી અને તેને જ માન્યતા આપી. અને કેટલાક એવા પગલાં લીધાં કે જેથી ભારતમાં રહેલા મુસ્લિમોને લાગ્યું કે આપણે હિન્દુઓથી સાચે જ જુદા છીએ. અને પાકિસ્તાનને એમ લાગ્યું કે ભારત આપણું દુશ્મન નંબર એક છે.

 પાકિસ્તાને ભારત ઉપર અવાર નવાર જુદી જુદી રીતે અને કારણ/ણોસર ૧૯૪૭, ૧૯૬૫, ૧૯૭૧, ૧૯૯૯ આક્રમણ કર્યાં. આ બધા આક્રમણોથી ભારતમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય વધતું ગયું. ભારતમાં કેટલાક મુસ્લિમ નેતાઓ એવા પાક્યા કે તેઓ ધર્મના આધારે વધુને વધુ માગણીઓ કરવા માંડ્યા. જે વિસ્તારોમાં હિન્દુઓ લઘુમતિમાં હતા તેમની ઉપર તેઓ અત્યાચાર પણ કરવા માંડ્યા અને તેમને બીજે ખદેડવા માંડ્યા. કોંગ્રેસે મુસ્લિમોને મતબેંક બનાવીને તેમના અત્યાચારો પ્રત્યે હમેશા  આંખ આડા કાન કર્યા. આવું બધું ૧૯૪૭ પહેલાંથી ચાલ્યું આવતું હતું પણ ૧૯૪૭ પછી તેમાં વેગ આવ્યો.

મુસ્લિમો જ્યાં બહુમતિમાં હતા ત્યાં તો તેઓએ આડેધડ, ગામ અને સ્થળોના હિન્દુ નામોને બદલે મુસ્લિમ નામો રાખી લીધા. એટલું જ નહીં પણ ભારતમાં પણ જ્યાં તેઓ બહુમતિમાં હતા ત્યાં પણ તેઓએ ઐતિહાસિક સ્થળોના પણ હિન્દુ નામોનું ઇસ્લામીકરણ કરવા માંડ્યું.  હિન્દુઓએ મુસ્લિમો ઉપર અત્યાચાર કર્યો હોય તેવા ઉલ્લેખો ઇતિહાસમાં નથી તો પણ મુસ્લિમોએ સ્થળોનું અને ગામોનું ઇસ્લામીકરણ કરવા માંડ્યું.

દરેક પ્રજાની સહનશીલતાની એક સીમા હોય છે. આ કારણથી અને નહેરુવીયન કોંગ્રેસી સરકારોએ મુસ્લિમતૂષ્ટીકરણનું રાજકારણ અપનાવ્યું હોવાથી હિન્દુઓમાં પ્રતિકાર વૃત્તિ જન્મી છે.

આવા સંજોગામાં સ્થળોનું અને ગામોનું નામ પરિવર્તન યોગ્ય ખરું?

અંગ્રેજોએ ભારતનો ઇતિહાસ લખ્યો. ભારતની સંસ્કૃતિ એક પ્રાચીન અને ઉત્કૃષ્ટ સંસ્કૃતિ છે. એટલે તે પોતાનો ઇતિહાસ ન રાખે તે ગધેડાને તાવ આવવા જેવી વાત છે. પણ માનસિક રીતે ગુલામ બની જાય એવો એક વર્ગ તમે ઉત્પન્ન કરો અને તેના હાથમાં બધી સત્તા આપો ત્યારે તે તમે જે પઢાવો તે પઢે. અને જો તમે સમાચાર માધ્યમો તમારે હસ્તક રાખ્યા હોય અથવા આવા પઢાવેલા પોપટોને હસ્તક રાખ્યા હોય, અને જો કોઈ તમારા પઢાવ્યાથી વિરુદ્ધ બોલે તો તમે એને મજાક પાત્ર બનાવો અને તેને કૉડીનો કરી દો. આમ કરવાથી આવો વ્યક્તિ અવરોધાય તો ખરો જ.

આ ઉપરાંત એક બીજી વાત પણ છે.

અંગ્રેજોએ ઇતિહાસ લખ્યો તે ખરું. પણ તેમણે તે તદન ખોટો પણ લખ્યો નથી. અમુક વાતો મહત્ત્વની હતી અને અમુક વાતો મહત્ત્વ ન હતી. તેમણે ઇતિહાસ લખવામાં પ્રમાણ ભાન ન રાખ્યું. અને તેમણે તેમના લાંબા ગાળાના હેતુઓ બર આવે તે રીતે ઇતિહાસ લખ્યો.

ભારતની સંસ્કૃતિ દરેક ક્ષેત્રે ઉચ્ચ કક્ષાની હતી.

Untitled01

મુસ્લિમ રાજાઓ ભારત ઉપર આક્રમણ કરતા રહ્યા અને ક્યારેક હારતા પણ રહ્યા અને ક્યારેક જીતતા પણ રહ્યા. ૬૦૦ વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલી. આ દરમ્યાન તેમના ઉપર ભારતીય સંસ્કૃતિની ગાઢ અસર થઈ. મોગલ સામ્રાજ્ય એક એવું મુસ્લિમ સામ્રાજ્ય થયું કે જેણે એક ટૂંકા ગાળા પૂરતો,, પણ મોટા ભાગના ભારતના હિસ્સા ઉપર કબજો મેળવ્યો. અકબરે જોયું કે ભારત ઉપર રાજ કરવું હશે તો હિન્દુઓ સાથે તાલમેલ રાખીને જ આ કામ થઈ શકશે. શાહજહાં અને  ઔરંગઝેબ જરા જુદા નિકળ્યા અને તેઓ હિન્દુઓ ઉપર અત્યાચાર કરવા માંડ્યા તો ઔરંગઝેબનું સામ્રાજ્ય તેના અંત સમયે ભંગાણને આરે આવી પડ્યું. મરાઠાઓએ કબજો લીધો. પણ તેમાંના કેટલાક લૂંટવામાં માનતા હતા અને તેથી બીજા કેટલાક ખંડિયા રાજાઓ અંગ્રેજોની મદદમાં આવ્યા. અને અંગ્રેજોનું સામ્રાજ્ય સ્થપાયું. કાળાંતરે ભારતના ખંડિયા રાજાઓને અને ભારતની જનતાને અંગ્રેજોની વટાળ પ્રવૃત્તિઓથી એવું  લાગ્યું કે મોગલો સારા હતા. એટલે ૧૮૫૭માં અંગ્રેજ સરકાર સામે બળવો  થયો. એવું નક્કી થયું કે મોગલ સામ્રાટ બહાદુર શાહ જફર કે જેના રાજ્યની સીમા ફક્ત લાલ કિલ્લા પૂરતી હતી, તો પણ તેને સામ્રાટ પદે સ્થાપવો.

ટૂંકમાં તે સમયના જનમાનસ ઉપરથી એવું ફલિત થતું હતું કે સરવાળો કરીને જોઇએ તો, ટીપુ સુલતાન, મહમ્મદ તઘલખ, ઘોરી, શાહ જહાં, ઔરંગઝેબ ના અત્યાચારો ને લક્ષમાં લઈએ તો પણ મુસલમાનોમાં શેરશાહ સુરી, અહમદશાહ, મહમદ બેઘડો, હૈદર અલી, અકબર, જહાંગીર વિગેરેની સારપને લક્ષમાં લઈએ તો મુસ્લિમો એટલે કે મુગલો સારા હતા.

અંગ્રેજોએ આ માનસિકતા જાણી અને તેથી કરીને ૧૮૫૭ના ભારતીયોના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જીત મેળવ્યા પછી, ભારતીયોમાં મુસ્લિમ અને બીન-મુસ્લિમ એવા ભાગલા પડાવવાની પ્રક્રિયા ચાલુ કરી. અને તેમાં તે સફળ રહ્યા.   

 જો અંગ્રેજો ૧૮૫૭માં હારી ગયા હોત તો ભારતમાં એક ભારતીય સમવાય તંત્ર હોત અને સમગ્ર મુસ્લિમ સમાજ, શક, પહલવ, હૂણ, પારસીઓની જેમ ભારતીયોમાં અને ભારતીય સંસ્કૃતિમાં ભળી ગયા હોત.

પણ અંગ્રેજોએ જે વિભાજનવાદી નીતિ પ્રયોજી હતી તેને કોંગ્રેસે ચાલુ રાખી. જેમકે નવી દિલ્હીમાં ઔરંગઝેબ માર્ગ, બાબર માર્ગ, હુમાયુ માર્ગ, જેવા નામો આપ્યા મુસ્લિમ તૂષ્ટિકરણ ચાલુ રાખ્યું.

હવે અમદાવાદના નામ પરિવર્તન વિષે વિચારીએ;

(૧) અમદાવાદ એ અહમદાબાદનું અપભ્રંશ છે પણ ક્લીષ્ટ નથી.

(૨) બીજા બધા અમદાવાદને ભલે બીજા શુદ્ધ કે અશુદ્ધ નામથી ઓળખતા હોય પણ સરકારે “અમદાવાદ” જે સ્થાનિક લોકો બોલે છે તેને જ માન્ય રાખ્યું છે. કોલકતા અને મુંબઈ વિષે પણ આમ જ છે.

(૩) અમદાવાદ કે જે પહેલાં કોટના વિસ્તાર પુરતું મર્યાદિત હતું તે અહમદશાહ બાદશાહના નામ ઉપરથી પડ્યું છે. હવે કેટલાક લોકોને લાગે છે કે અમદાવાદના અહમદશાહ બાદશાહને માન આપવું જરુરી નથી, તેથી મૂળ અમદાવાદ કે જે કોટની અંદર વસેલું હતું અને હવે ચારે દિશામાં ૨૫ ગણું વધી ગયું છે તેનું નામ બદલવું જોઇએ.

અહમદશાહ બાદશાહે વસાવેલા ગામનું નામ શા માટે બદલવું તે બાબતનો ફોડ કોઈએ પાડ્યો નથી. અહમદશાહ બાદશાહ ક્રૂર હતો કે નહીં અને જો તે ક્રૂર હતો તો તે કેટલો ક્રૂર હતો તેની વિગતો કોઈએ ખૂલ્લી કરી નથી.

(૪) આશાવલ નામના ભીલે આશાવલ વસાવેલું. રાજા કરણદેવે કર્ણાવતી / કર્ણપુર વસાવેલું. પણ સવાલ એ છે કે જે ગામ કોટની અંદર વસેલું હતું તે શું આશાવલ ભીલે કે રાજા કર્ણદેવે વસાવેલું હતું? “આશાવલ”ની સાથે સામ્ય ધરાવતું “અસારવા” સ્થળ મળે છે ખરું. પણ કર્ણપુર કે કર્ણાવતીની સાથે સામ્યતા ધરાવતું કોઈ સ્થળ હોય તો તેની કોઈએ માહિતિ આપી નથી.

(૫), (૬) “આપણા હાથમાં સત્તા છે માટે આ શહેરનું નામ બદલી નાખો”. ફાલાણાએ નામ બદલ્યું એટલે આપણે પણ આ શહેરનું નામ બદલી નાખો તેવા તર્ક માત્રને આધારે નામ બદલવું એ સંસ્કારી પ્રજાને શોભે નહીં.

(૭) આપણો દુશ્મન કે જે મુસ્લિમ દેશ છે, અને તે તેના હિન્દુ શહેરોના નામો બદલી નાખે છે, એટલે તેના વાદે ચડીને આપણે આપણા જે બાદશાહની ક્રૂરતાને જાણતા નથી પણ જેની સારી વાતો આપણા જાણવામાં છે, તેને અવગણીને “કારણ કે તે રાજા મુસલમાન હતો” તે કારણસર આપણે આ શહેરનું નામ બદલી નાખો. આ વાત બરાબર નથી. આવું જો આપણે કરવું જ હોય તો આપણે બધા મુસલમાનોને પાકિસ્તાનમાં મોકલી દેવા જોઇએ. કારણ કે આપણા પાડોશી મુસલમાન દેશે પણ ત્યાંના હિન્દુઓને બળજબરીથી ભારતમાં ધકેલી દીધા હતા અને પછી ગામોના નામો બદલ્યાં હતાં. જેમ પાકિસ્તાનમાં નામ બદલવાની બાબતમાં હિન્દુઓને નાહવા નીચોવવાનું રહ્યું નહીં, તેમ ભારતમાં પણ મુસલમાનોને નાહવા નીચોવવાનું ન રહે.

(૮) આપણે કંઈ ઈન્દિરા  નહેરુગાંધી કોંગ્રેસ પાર્ટી વાળા નથી કે કંઈક કરી રહ્યા છીએ એ બતાવવા બેંકોંનું રાષ્ટ્રીયકરણ કરીએ, રાજાઓના સાલીયાણા બંધ કરીએ, તેનાથી સો ગણા નાણાં આપણા ચૂંટાયેલા સભ્યોને આપીએ, અને તેમને પેન્શન રુપી સાલીયાણા અને ઘર પણ આપીએ, પારકા પૈસે ખેરાતો કરતા રહીએ અને પોતાની પીઠ થાબડતા રહીએ.

આપણને આવું શોભે નહીં.

Untitled

અરે ભાઈ, અમે એક વાર જીભ કચરી છે, કે અમદાવાદનું અમે નામ બદલીને કર્ણાવતી નામ રાખીશું  તો હવે અમારી આબરુનું શું? અમારા શબ્દોની કંઈ કિમત ખરી કે નહીં?

તો હવે આનો કંઈ રસ્તો ખરો?

આનો ઉપાય તો છે.

તમે નવું પાટનગર વસાવ્યું. તેનું નામ તમે ગાંધીનગર રાખ્યું. વળી તેમાં એક રસ્તાનું નામ ઇન્દિરા ગાંધી રોડ રાખ્યું છે. કોંગીઓ આથી ખુશ છે. કારણ કે તેઓ તો આને ઇન્દિરા ગાંધીનગર જ સમજે છે.

શિવસેના વાળાએ “છત્રપતિ શિવાજી ટર્મીનસ”નું નામ બદલીને “છત્રપતિ શિવાજી મહારાજ ટર્મીનસ” નામ રાખ્યું, તેમ તમે “ગાંધીનગર”નું નામ બદલીને “મહાત્મા ગાંધીનગર” નામ કરો. ભલે કોંગીઓના પેટમાં ઉકળતું તેલ રેડાય.

આમ કર્યા પછી તમે મહાત્મા ગાંધીનગર અને અમદાવાદને જોડીને એક મહાનગર કરી દો. સાબરમતી રેલ્વે સ્ટેશન પાસે એક નવું સ્ટેશન બનાવો અને તેનું નામ “કર્ણાવતી મહાનગર” રાખો. જેમ લોકો મુંબઈમાં બોલચાલમાં તો શિવાજી ટર્મીનશ જ કહે છે તેમ કર્ણાવતી મહાનગરને પણ લોકો બોલવામાં કર્ણાવતી જ બોલશે. એટલે તમારું કામ થઈ ગયું.

તો પછી “આશાવલ”નું શું?

રેલવે લાઈનના પૂર્વ અમદાવાદના નારોલ જંક્શનને આશાવલ નગર નામ આપી દો. આ પૂર્વ અમદાવાદને “આશાવલ નગર” તરીકે ઓળખવું.  ઘી ના ઠામમાં ઘી પડી રહેશે. અને બધા બહુ મજામાં આવી જશે.

એક મહાનગર “કર્ણાવતી મહાનગર”

એક નગર વિસ્તાર આશાવલ નગર

એક  નગર વિસ્તાર અમદાવાદ

એક નગર વિસ્તાર મહાત્મા ગાંધી નગર

સાધ્યં ઈતિ સિદ્ધમ્‌

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

રામ મંદિર અને મર્ધન્યોનો વિતંડાવાદ કે તટસ્થાની ધૂન

ઉત્તર પ્રદેશમાં આદિત્યનાથ યોગી મુખ્ય મંત્રી બન્યા એટલે નહેરુવીયન કોંગ્રેસના નેતાઓને અને તેમના સાંસ્કૃતિક સાથીઓને એક નહીં અનેક મુદ્દા મળી ગયા પણ સાથે સાથે દંભી ધર્મનિરપેક્ષતાવાદીઓ જેવા કટારીયા મૂર્ધન્યોને પણ ખોરાક મળી ગયો. તટસ્થની ધૂન જેમના ઉપર સવાર છે તેમણે પોતાનું મોઢું મચકોડ્યું.

ram temple and adityanath

રાજકારણ અને ઇતિહાસ કે ધર્મ

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની અને તેમના સાંસ્કૃતિક સાથીઓની માનસિકતાને સમજી શકાય છે. તેમની માન્યતા પ્રમાણે તો હિન્દુ નેતાઓના સારા કામને વખાણવું કે હિન્દુઓ સંકળાયેલા હોય તેવા તથ્યને પણ સ્વિકારવા એ ધર્મનિરપેક્ષતાનું ખૂન છે.

લઘુમતિઓની તર્કહીન તરફદારી કરવી તેને ધર્મનિરપેક્ષતા જ માનવામાં આવે છે. “હિન્દુઓ કરતાં મુસ્લિમોનો ભારત પર વધુ હક્ક છે કારણ કે મુસ્લિમો મરીને ભારતની ભૂમિમાં દટાઈને ભળી જાય છે” આવી મતલબનું જેમને નિપુણ અર્થશાસ્ત્રી તરીકે ખપાવવામાં આવે છે, એવા આપણા માજી પ્રધાનમંત્રી મનમોહન સિંઘે વડાપ્રધાન પદ ઉપર રહીને કહેલું. પણ આમાં કશું નવું નથી. “આ તો ધર્મનિરપેક્ષતાની આપણી વ્યાખ્યાને અનુરુપ છે. આ નહેરુવીયન કોંગ્રેસના સંસ્કાર છે”.

ઓગણીશોપચાસના દશકામાં નહેરુએ કહેલું કે “જો મહારાષ્ટ્રને મુંબઈ મળશે તો હું ખુશ થઈશ”. અત્રે એક યાદ રાખવા જેવી વાત એ  છે કે ગુજરાતીઓએ કદી મુંબઈની માગણી કરી જ ન હતી. કોંગ્રેસની  કેન્દ્રીય કરોબારીનો જ નિર્ણય હતો કે મુંબઈને એક કેન્દ્રીય રાજ્ય ગણવું.  આ વાતની વિગતવાર ચર્ચા અસ્થાને છે પણ નહેરુવીયન કોંગ્રેસના આવા સંસ્કાર રહ્યા છે કે ખાસ કરીને હિન્દુઓમાં ભાષા, જ્ઞાતિ અને વિસ્તાર (રીજીઅન)ના આધારે ભાગલા પડાવવા.

આ જ બ્લોગ સાઈટ ઉપર એક બ્લોગ શ્રેણી છે જેનું નામ છે “ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ?” તેમાં રામ, ઇતિહાસ, જનતંત્ર અને રામના મંદિર વિષે વિસ્તૃત ચર્ચા કરી છે. જેમને તથ્યો જાણવામાં રસ હોય તેઓ અચૂક વાંચે.

કહેવાતી રામ જન્મ ભૂમિ ઉપર રામ મંદિર બાંધવું એ હિન્દુઓની ઈચ્છા અને માગણી છે. અને સર્વોચ્ચ ન્યાયાલયનો ચૂકાદો માન્ય  રાખવો એ મૌલવીઓની અને મુસ્લિમ નેતાઓની માન્યતા છે.

સ્વાભાવિક રીતે જ ઇતિહાસના ખોળાં ખંખોળા થાય.

ઐતિહાસિક રીતે આખી ભારતભૂમિ હિન્દુઓની હતી

ઉચ્ચ ન્યાયાલયે કહેવાતી રામજન્મ ભૂમિ ઉપર સ્થિત, તોડેલી મસ્જીદની જગ્યાએ ખોદકામ કરાવ્યું.

તૂટેલી મસ્જીદની નીચેથી બે સ્તરો નિકળ્યાં (કે કદાચ વધુ પણ નિકળ્યાં હોય) અને તે હિન્દુ દેવતાઓના (શિવના) મંદિર હતાં. એટલે ઐતિહાસિક રીતે તો આ ભૂમિ હિન્દુઓની હતી. પણ એમ તો આખા ભારતવર્ષની ભૂમિ હિન્દુઓની હતી. એટલે કોનો હક્ક એ સંશોધનનો, કાયદાનો અને કાયદાના અર્થઘટનનો વિષય બને છે.

૧૯૪૯-૫૦ના અરસામાં ઉપરોક્ત મસ્જીદ જે બાબરી મસ્જીદ તરીકે ઓળખાય છે તેના તાળાં તોડાયાં તો તેમાં રામ લક્ષ્મણ જાનકીની મૂર્ત્તિઓ સ્થાપિત હતી. એટલે હિન્દુઓને ત્યાં પૂજા અર્ચનાની છૂટ આપવામાં આવી. પણ હિન્દુઓને તો ત્યાં રામનું મોટું મંદિર બાંધવું હતું, કારણ કે અયોધ્યા એ રામની જન્મભૂમિ ખરી પણ રામનું એક પણ મંદિર નથી. અને નજીકના ભૂતકાળના ઐતિહાસિક દસ્તાવેજોના આધારે અને હાલ પણ, તે જગ્યાને “રામજન્મ ભૂમિ” માનવામાં આવે છે.

વાત એમ છે કે;

એક જગ્યા છે.

તેના ઉપર કબજો હિન્દુઓનો છે.

પણ આ જગ્યા ઉપર મસ્જીદ છે.

આ મસ્જીદની અંદર રામની મૂર્ત્તિ છે.

આની બાજુની ભૂમિ ઉપર મુસ્લિમોનો કબજો છે.

હિન્દુઓએ પોતાના કબજાની ભૂમિ ઉપરની મસ્જીદને તોડી,

મુસ્લિમોએ આનો વાંધો લીધો, મસ્જીદ તો અમારી સંસ્કૃતિ છે. ભલે કબજો તમારો હોય અને ભલે તેમાં નમાજ પઢવાનું અમારા ધર્મની વિરુદ્ધ હોય (વિવાદાસ્પદ  ભૂમિ ઉપર મસ્જીદ બાંધી ન શકાય અને બાંધી હોય તો ત્યાં નમાજ પઢી ન શકાય). પણ જો તમે તે મસ્જીદને તોડો તો અમારી લાગણી ઘવાય.

આ ઘવાયેલી લાગણીના પ્રત્યાઘાત રુપે સેંકડો મસ્જીદો પાકિસ્તાનમાં, કાશ્મિરમાં અને બંગલાદેશમાં તોડવામાં આવી. પણ આને સરવાળા બાદબાકીમાં લેવાની નહીં. રામનું મંદિર પણ બાંધવા દેવાનું નહીં. મસ્જીદ એ જ જગ્યાએ ફરીથી બાંધો અને અમને કબજો આપો. તેની બાજુની ભૂમિ ઉપર અમારો કબજો કાયમ રાખો.

“મેરી ચૂપ, લેકિન તુમ ચૂપ ક્યોં”

નહેરુવીયન કોંગ્રેસ અને તેના સંસ્કૃતિક સાથીઓ હમેશા એ વાત કહેતા આવ્યા છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ બીજેપીને રામ મંદિર યાદ આવે છે. એ સિવાયના સમયમાં બીજેપી રામમંદિરના મુદ્દાને અભરાઈ ઉપર મુકી દે છે. બીજેપી તો ધર્મને હથિયાર બનાવે છે. અને જુઓ, ૧૯૯૯ થી ૨૦૦૪ સુધી બીજેપી સત્તામાં હતી તો પણ તેણે રામમંદિરનો મુદ્દો ઉકેલ્યો નહીં. વાસ્તવમાં બીજેપી રામમંદિરના મુદ્દાને ઉકેલવામાં માનતી જ નથી. બીજેપી રામ મંદિરના મુદ્દાને વણ ઉકલ્યો જ રાખવા માગે છે જેથી તે જ મુદ્દા ઉપર તે હિન્દુઓના મત મેળવી શકે.

જો કે નહેરુવીયન કોંગ્રેસ  અંદર ખાને એવો પ્રચાર પણ કરે છે કે જુઓ “રામ મંદિર”ની બાબતમાં કંઈપણ પ્રગતિ થઈ હોય તો તે કોંગ્રેસના શાસન દરમ્યાન જ થઈ છે. એટલે કે અમે કોંગ્રેસે જ  હિન્દુઓનું હિત જાળવ્યુ છે. ૧૯૪૯-૫૦માં નહેરુ પ્રધાનમંત્રી હતા અને બાબરી મસ્જીદના તાળા ખૂલ્યાં હતા. ૧૯૯૩માં બાબરી મસ્જીદ તૂટી ત્યારે પણ અમારા નરસિંહ રાવ જ પ્રધાન મંત્રી હતા. એટલે અમારો મેસેજ તો સ્પષ્ટ છે ફક્ત તમારે અમારા બે કથનોની વચ્ચે ન બોલાયેલું સાંભળવાનું છે.

આમ તો નહેરુવીયન કોંગ્રેસના સંસ્કાર છે કે “જમવામાં જગલો (નહેરુવીયન કોંગ્રેસ) અને કૂટાવામાં ભગલો (વિરોધીઓ)”. “દેશના બધાં જ સારા સારા કામની ક્રેડિટ યેન કેન પ્રકારેણ, ઇન્દિરાને જ, આપવી એવી કોંગીજનોમાં રહેલી માનસિકતાની મજાકના રુપે  એક જોક પ્રચલિત થયેલી કે “ઇન્દિરા ગાંધીએ જ દેશને સ્વરાજ્ય અપાવ્યું હતું”. પણ આ જોક થોડી બિભત્સ છે એટલે અહીં અસ્થાને છે.

શું નહેરુવીયન કોંગ્રેસ તેના કુલા ખંખેરી શકે?

જનતાની સમસ્યાઓ ઉકેલવી શાસકનું કામ છે. કોઈ એક સમસ્યાને કારણે જનતા વિભાજિત થઈ જાય અને બંને વચ્ચે વૈમનસ્ય વધતું જાય  તો, શાસકનું કર્તવ્ય છે કે તે સમસ્યાનો ઉકેલ લાવે. સમસ્યા ન્યાયાલયને આધિન હોય તો તેનો અર્થ એવો તો થતો જ નથી તે સમસ્યા ન્યાયાલયની બહાર ન ઉકેલી શકાય.

નહેરુવીયન કોંગ્રેસ પોતાને ધર્મ નિરપેક્ષ અને પોતાને પ્રચ્છન્ન રીતે લઘુમતિઓના ખાવિંદ માને છે.  તો તેનો અર્થ એમ થયો કે મુસ્લિમો સાથે તે વાણીવ્યવહાર અને  ગોષ્ટિ  કરી શકવાને સક્ષમ છે. વળી તે પોતાને હિન્દુઓની દુશ્મન તો માનતી નથી. જો નહેરુવીયન કોંગ્રેસ પોતાને દેશપ્રેમી અને ભારતની હિતૈષી માનતી હોય તો તેણે ભારતીય જનતાના બે જુથોને ભેગા લાવવાના પ્રયત્નો કરવા જોઇએ. પણ નહેરુવીયન કોંગ્રેસે આવા કોઈ પ્રયત્નો કર્યા નથી. તેણે તો આ બે જુથો વચ્ચેની ખીણ કેમ પહોળી અને ઉંડી થાય તેના જ પ્રયત્નો કર્યા છે. આ બાબતમાં એમ કહીએ તો ચાલે કે નહેરુવીયન કોંગ્રેસે મુસ્લિમ તુષ્ટીકરણને લગતાં જ પગલાં લીધાં છે.  જો એમ કહીએ તો ચાલે કે નહેરુવીયન કોંગ્રેસે મુસ્લિમો ઉપર ઘણા ઉપકાર  કર્યા છે. આ ઉપકારો જણાવવાની જનુરુર નથી.

તો શું નહેરુવીયન કોંગ્રેસ મુસ્લિમોને કૃતઘ્ન માને છે?

નહેરુવીયન કોંગ્રેસે દેશ ઉપર દશકાઓ સુધી એક ચક્રી શાસન કર્યું. તેનું કર્તવ્ય હતું કે તે મુસ્લિમોને કૃતઘ્ન ન માને (એટલે કે તેમને થેંકલેસ ન માને), અને પોતાની ગુડવીલનો (સદભાવનાનો) ઉપયોગ દેશના હિત માટે કરે. પણ નહેરુવીયન કોંગ્રેસે તો પોતાના કુલા જ ખંખેરી નાખ્યા. જાણે કે દેશનું હિત જળવાય તેમાં પોતાની તો કોઈ જવાબદારી જ નથી.

દેશને લૂટી લેનાર પક્ષ પોતાની જવાબદારી ન સમજે તે સમજી શકાય છે. પણ દેશના મૂર્ધન્યોએ આ વાત નહેરુવીયન કોંગ્રેસના ધ્યાન ઉપર લાવવાની જવાબદારી અદા કરવી જોઇએ. પણ તમે જુઓ છો કે દેશના મૂર્ધન્યો અને કટારીયાઓ આ રામમંદિરના  મુદ્દા ઉપર નહેરુવીયન કોંગ્રેસના ખોળે બેસી જાય છે.

વાસ્તવમાં નહેરુવીયન કોંગ્રેસની રામમંદિરના મુદ્દાના ઉકેલના વિષયમાં જવાબદારી ઘણી મોટી છે.

બીજેપી પક્ષને તો આ નહેરુવીયન કોંગ્રેસીઓએ અને તેમના સાંસ્કૃતિક સાથીઓએ પોતાના વાજીંત્રો દ્વારા ઠીક ઠીક અળગો કરી દીધો છે. એટલે બીજેપીના નેતાઓ મુસ્લિમો સાથે સમાધાન ન કરી શકે તે સમજી શકાય તેમ છે. તેથી બીજેપીના નેતાઓ સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયની રાહ જુએ તે સ્વાભાવિક છે. પણ ઇન્દિરાઈ કલ્ચર એવું છે કે “કોઈ આપણને કાણો કહે તે પહેલાં આપણે તેને કાણો કહી દેવો”.

હવે નહેરુવીયન કોંગ્રેસ ઉપર સંકટ આવ્યું છે

આમ તેના બીજા સાથીઓ ઉપર પણ સંકટ આવ્યું છે. પણ નહેરુવીયન કોંગ્રેસે છ દશકા દેશ ઉપર શાસન કર્યું છે તેથી તેના ઉપર સંકટનો ભાર વધુ છે.

આદિત્યનાથ યોગી સ્થાનિક મુસ્લિમોમાં પણ પ્રિય છે અને એક શાસક તરીકે ધાર્મિક ભેદભાવ રાખે છે તેવું કશું કશું કર્યું નથી કે કરવાના પણ નથી. તેથી તેમના કર્મોદ્વારા તે કોમવાદી છે તે સિધ્ધ થવાની શક્યતા નથી.

નહેરુવીયન કોંગ્રેસ, તેના ફરેબી ધર્મનિરપેક્ષતાવાળા અને કેટલાક તટસ્થતાની ધૂનમાં ગ્રસ્ત કે અજાણતા પથભ્રષ્ટ થયેલા કટારીયા લોકો વાણીવિલાસ કર્યા કરશે. પણ આ લોકોને ડર છે કે જો આદિત્યનાથ યોગીના કાર્યકાળમાં રામમંદિરનો મુદ્દો ઉકલી જશે તો પોતાનું તો નામું નંખાઈ જશે. ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની તો “ખટીયા ખડી હો જાયેગી”.

મૂર્ધન્યો કઈ વાતમાં થાપ ખાઈ જાય છે?

રામ એ ઐતિહાસિક છે કે ધાર્મિક?

“રામ” એ એક હિન્દુધર્મ (રીલીજીનીયન) સાથે સંકળાયેલું પાત્ર છે. તે ઐતિહાસિક પાત્ર  નથી.

નહેરુવીયન કોંગ્રેસની સરકારે આ વાત ન્યાયાલય સમક્ષ પ્રતિજ્ઞાપૂર્વક કરેલી. નહેરુવીયન કોંગ્રેસની પ્રતિજ્ઞાઓ, ભારતના ઐતિહાસિક દસ્તાવેજોના આધારને લક્ષ્યમાં લેતાં ફરેબી હોઈ શકે છે. પણ ન્યાયાલય તેના બધાં જ પ્રતિજ્ઞાપૂર્વક કહેલા કથનોને જુઠા ન માની શકે. જો કે એ સંશોધનનો વિષય છે કે એ જ કોંગ્રેસ પક્ષ પોતે શપથ પૂર્વક કહેલા કથનને શપથપૂર્વક ઉલ્ટાવી, શપથ પૂર્વક તેનાથી ઉંધું જ કથન કરી શકે છે અને ન્યાયાલય તેને કેમ  દંડિત કરતું નથી?

નહેરુવીયન કોંગ્રેસને અને તેના સાંસ્કૃતિક પક્ષોને બાદ કરો તો પણ રામને “ફક્ત અને ફક્ત ધાર્મિક પાત્ર” માનનારા મુસ્લિમો અને ખ્રીસ્તીઓ તો છે જ પણ અગણિત હિન્દુઓ પણ છે. કારણ કે હિન્દુઓ તે જ ઇતિહાસ ભણે છે જે ઇતિહાસ પાશ્ચાત્ય ઇતિહાસકારોએ લખેલો છે. આ ઇતિહાસને ભારતના શિક્ષણશાસ્ત્રીઓએ સ્વિકારી લીધો છે. ભારતમાં તે જ ઇતિહાસ ભણાવવામાં આવે છે. રામાયણની અનેક રચનાઓ છે. તેમાં ચમત્કારો આવે છે. ચમત્કાર શક્ય નથી તેથી રામ ઐતિહાસિક પાત્ર નથી. આજ ભણેશરીઓ જીસસ અને મોહમ્મદ સાહેબને ઐતિહાસિક પાત્ર માને છે જો કે ચમત્કારો તો બાયબલ અને કુરાન બંનેમાં આવે છે.

ભારત એક એવો દેશ છે કે જે વિદેશીઓએ લખેલા ઇતિહાસને જ ઇતિહાસ માને છે. તે પણ ખાસ કરીને પ્રાચીન ભારતના ઇતિહાસને વધુ લાગુ પડે છે. કારણ કે તે ગૌરવશાળી છે. ભારત ગૌરવ શાળી હોઈ જ ન શકે. ગૌરવશાળી ફક્ત વિકસિત પશ્ચિમના લોકો જ હોઈ શકે. મુસ્લિમોએ ભારતને સુસંસ્કૃત કર્યો અને અંગ્રેજોએ ભારતને એકજુટ કર્યો. બાકી ભારતના લોકો તો અંદર અંદર લડવામાંથી ઉંચા જ ક્યાં આવતા હતા? ભારતના સુજ્ઞ જનોએ રાજીવ મલહોત્રા અને તેમના જેવા ઘણા લોકોએ લખેલા પુસ્તકોને કશો સંકોચ રાખ્યા વગર વાંચવા જોઇએ. આ વિદ્વાનોએ પાશ્ચાત્ય માનસિકતા વિષે અને તેમના એજન્ડા વિષે ઘણું મહેનતથી લખ્યું છે. 

“તડ અને ફડ”માં માનવાવાળા મૂર્ધન્યશ્રીએ પણ રામમંદિર વિષે લખવામાં ઘણી ભેળસેળ કરી નાખી છે. “અગણિત મંદિરો અને તેમાં એક વધુ મંદિર”, “બીજાઓ બાંધતા હોય તો આપણે શા માટે બાંધવા નહીં?”, “ભલે ખાવાને ધાન ન હોય, પીવાને પાણી ન હોય, રહેવાને મકાન ન હોય પણ રામનું મંદિર તો હોવું જ જોઇએ…” “મંદિર તોડાયાનો જે ઉલ્લેખ છે તે ઐતિહાસિક રીતે સ્વિકાર્ય નથી. મંદિર તોડાયાના ૫૦ વર્ષ પછી જે “ઓશો તુલસીદાસ” થઈ ગયા તેમણે આવા મંદિર તોડાયાનો ઉલ્લેખ કર્યો નથી. જે વ્યક્તિએ રામની વિષે દળદાર ગ્રંથ લખ્યો હોય તેવા “મહિષ્ઠ રામભક્ત ઓશો-તુલસીદાસ”, રામના મંદિરને તોડાવવાના વિષય ઉપર ન લખવા વિષે ઝાલ્યા રહે ખરા?….  વિગેરે વિગેરે”  કારણ કે આપણે કેટલા તટસ્થ છીએ અને તેથી કેટલા વિશ્વસનીય છીએ તે સિદ્ધ કરવા આપણે બધાને ગોદા મારવા જ પડે.

બાવા બના હૈ તો હિન્દી તો બોલના હી પડેગા. કટારીયા હુએ હૈ તો સબોંકો ગોદા તો મારના હી પડેગા. મોદીકો ભી ગોદા મારો, બીજેપીકે નેતાઓંકો ભી ગોદા મારો, સુબ્રહ્મનીયમ સ્વામીકો ભી ગોદા મારલો, અબ જો યુપીમેં એક યોગી આયા હૈ ઉસકો ભી ગોદા માર લો. સાધુ સંતોંકો ભી ઉનકે કરતૂતોંકો જનરલાઈઝ કર કે ઉનકો ભી ગોદા મારલો,  સેક્યુલર મોગાંબો ખુશ હોગા… ” …  “ઐસા કરને સે ક્યા હોતા હૈ … … !!! ઐસા હોતા હૈ ન… કિ, હાડમાંસકા ભી એક રામ થા વહ બાત દબ જાતી હૈ … ઔર હમ તો જો સેક્યુલર ઠહેરે …, હાડમાંસકે રામકી તો બાત હી નહીં કર સકતે …  સમજ઼ા કિ નહીં?”

હવે જો આપણા મૂર્ધન્યો “હાડમાંસવાળા રામ”ની વાત કરે તો તો “મહાત્માજીના મંદિરની વાત તો જવા દો…  એ તો સત્તાવગરના હતા … ” પણ “નહેરુવંશના મંદિરોનું શું થાય … પોતે ને પોતે, પોતાના માટે, પોતે પરિશિલ્પિત કરેલા ચંદ્રકને, પોતે કરેલી/કરાવેલી ભલામણ દ્વારા પોતાને અપાયેલા ચંદ્રકોનું શું થાય”? “ હે ભારતીય જનો, ચંદ્રકની પરિકલ્પના કરનાર પણ હું છું …  ચંદ્રક બનાવનાર પણ હું છું … ચંદ્રક પણ હું છું … ચંદ્રકની ભલામણ કરનાર પણ હું છું …  ચંદ્રક મેળવનાર પણ હું છું …”

મોરારજીદેસાઈની સરકારે બધા ચંદ્રકો રદ કરેલા પણ ઇન્દિરાઈ સરકારે તેને પુનર્‌ જીવિત અને પુનર્સ્થા‌પિત કર્યા.

આ બધા વિષે નવેસરથી વિચારવું પડે. સોસીયલ મીડીયા ઉપર આ બધા મંદિરોને તોડવાની વાતો ચાલે જ છે.

મુસ્લિમોએ તો જુના પ્રાણપ્રતિષ્ઠિત  મંદિરો તોડ્યાં પણ હિન્દુઓએ તો આવા સેંકડો નહીં પણ હજારો મંદિરો ગલીએ ગલીએ જ નહીં પણ હાઈવે ઉપર દર કિલોમીટરે સ્થપાયેલા પ્રોટોટાઈપ અવસ્થામાં રહેલા મંદિરો તોડવા પડશે. યાદ રાખો આમાંના મોટાભાગના મંદિરો પ્રોટો ટાઈપ અવસ્થામાં છે. કેટલાક મંદિરો અત્યારે વિશાળતાને પામી ભક્તોથી ફાટ ફાટ થાય છે. (અમદાવાદ મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યુટ પાસે એક મંદિર છે. થલતેજ ચાર રસ્તા દૂરદર્શન ટાવર પાસે પણ એક મંદિર છે. સન એન્ડ સ્ટેપ પાસે એક મંદિર છે. શાસ્ત્રીનગરમાં એક મંદિર છે.)

પણ આ બાધી વાતોને ટાંકીને આપણે શું રામની ઐતિહાસિકતાને અને તે કારણસર તેમના મંદિરની આવશ્યકતાને નકારી શકીશું?

નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓને લાગે છે કે જો આદિત્યનાથ રામમંદિરનો મુદ્દો ઉકેલી નાખશે તો આપણું શું થશે? વાસ્તવમાં આપણે આપણી સત્તા થકી રામ મંદિરનો મુદ્દો જીવતો રાખતા હતા. હવે જો આદિત્યનાથ યોગીના કાર્યકાળમાં આ મુદ્દો ઉકેલાઈ જાય તો તેની ક્રેડીટ આદિત્યનાથ, નરેન્દ્ર મોદી અને બીજેપીને મળે. આ ક્રેડીટ તેમને ન મળે તે માટે આપણે શું કરવું જોઇએ? કંઈક તો વ્યુહરચના અપનાવવી પડશે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ વિતંડાવાદ, તટસ્થતાની ધૂન, મૂર્ધન્ય, રામ મંદિર, નહેરુવીયન, કોંગ્રેસી સંસ્કાર,  ધર્મનિરપેક્ષતાવદી, કટારીયા, રાજકારણ, ઇતિહાસ, રામજન્મ ભૂમિ, બાબરી મસ્જીદ, નમાજ, મુસ્લિમો કૃતઘ્ન, ગોદા મારો, ક્રેડીટ, આદિત્યનાથ યોગી, નરેન્દ્ર મોદી, બીજેપી

Read Full Post »

where is he lost who walked on this earth in flesh and blood? Part-3 / 9

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ?  ભાગ – ૩/૯

દશરથ રાજાઃ

વૈવસ્વતઃ મનુ એ સૂર્યવંશનો પ્રથમ રાજા હતો. તેના પછી ૬૩મા ક્રમે રાજા દશરથ (દશરથ-૨) આવે છે. રામચંદ્ર, આ દશરથ રાજાના પ્રથમ પુત્ર હતા. ઉપરોક્ત મનુરાજા ૧૪ મન્વન્તરોમાંથી ૭મા મન્વ ન્તર નો પહેલો રાજા ગણાય છે. આ મન્વન્તરની કાળગણનાની વાતને માનો કે ન માનો તેથી કોઈ ફેર પડતો નથી. પુરાણોમાં ઇતિહાસ છે અને તેમાં દશરથ નું નામ છે અને તેનો સૌથી મોટો પુત્ર રામ છે. કોઈ રાજા બે નામથી પણ ઓળખાતો હોય છે. રામના પિતા દશરથ, દશરથ-૨ હતા.

અયોધ્યાને નકારવું જરુરી નથી.

દશરથે કૈકેયી સાથે લગ્ન કર્યું. કૈકેયી કેકેય પ્રદેશની હતી. કેકેય પ્રદેશ અયોધ્યાની પશ્ચિમે લાંબા અંતરે આવેલો પ્રદેશ છે. કુરુક્ષેત્રને પસાર કર્યા પછી પણ ઘણી નદીઓને પસાર કર્યા પછી તે આવે છે. એ જમાનામાં તેજ ગતિથી દોડતા ઘોડાઓ હતા તો પણ અયોધ્યાથી ત્યાં પહોંચતાં સાત દિવસ થતા હતા. કેકેય પછી ગાંધાર આવતું હતું. એટલે આ અંતરને નકારવું જરુરી નથી.

દશરથ રાજાને પોતાની બે રાણીઓથી કોઈ પુત્ર થયેલ નહીં. એટલે દશરથે કેકેયની રાજકન્યા પસંદ કરી. આપણે એવું માની શકીએ કે ભારતીય સંસ્કૃતિ તે વખતે પણ ગાંધાર સુધી ફેલાયેલી હતી. આમ તો ઇશુની પહેલી સદી સુધી ભારતીય રાજાઓ ઈરાન સુધી રાજ કરતા હતા એવું અમને “કમળા શંકર સુંદરલાલ” ના પાઠ્યપુસ્તક દ્વારા ભણાવવામાં અવેલ..

કૈકેયીની સાથે લગ્ન કર્યા પછી પણ દશરથ રાજાને સંતાન થયેલ નહીં. દશરથ રજા પુત્રેષ્ટી યજ્ઞ કરે છે.

પુત્રેષ્ટી યજ્ઞ શું હતો?

વાસ્તવમાં આ એક ઉપચાર જ હોવો જોઇએ. આયુર્વેદમાં દૂધ, ખાંડ અને ચોખાના નિત્યસેવનને પુત્રપ્રાપ્તિનો એક ઉપચાર માનવામાં આવે છે. યજ્ઞ એટલે જોડવું. એનો એવો અર્થ પણ થાય છે. વિશેષ અર્થ એ પણ થાય કે કુશળતા પૂર્વક અને ઓતપ્રોત થઈને જોડવું. આ યજ્ઞને ઉપચારની પ્રક્રિયા તરીકે સમજી શકાય.

બધી રાણીઓ ગર્ભવતી થઈ. સુમિત્રાને લક્ષ્મણ અને શત્રુઘ્ન એમ બે પુત્રો થયા. લગ્ન પછી થોડા લાંબા સમયે જોડકા પુત્રો જન્મવાની શક્યતા થોડી ઘણી વધે છે. એટલે તેનું કારણ શોધવાની જરુર નથી. પણ લેખકે એવું જોડી દીધું કે કૌશલ્યા અને સુમિત્રાએ પોતાના ભાગમાંથી ખીર આપી. આનું કશું મહત્વ નથી. કૌશલ્યાએ રામને જન્મ આપ્યો. કૈકેયીએ ભરતને જન્મ આપ્યો.

ભાઈઓની જોડી જુદી રીતે થઈ.

સામાન્ય રીતે જોડકા ભાઈઓ વચ્ચે ગાઢ મૈત્રી થાય કારણકે તેઓ સાથે સાથે જ ઉછરે છે. પણ રામાયણમાં રામ – લક્ષ્મણની જોડી થઈ અને ભરત-શત્રુઘ્નની જોડી થઈ.

“રામ – લક્ષ્મણની જોડી અને ભરત-શત્રુઘ્નની જોડી” આવું શા માટે થયું?

શક્યતા છે જ કે પ્રારંભથી જ આ વાત નિશ્ચિત ન હતી કે દશરથનો અનુગામી રાજા કોણ થશે.

એટલે કે “રામને રાજગાદી સોંપવી કે ભરતને રાજગાદી સોંપવી?”

આ બાબતમાં ત્રણે રાણીઓમાં અનિશ્ચિતતા હતી. ઓછામાં ઓછું સુમિત્રાના મનમાં તો હતું જ કે રામને રાજગાદી મળે પણ ખરી અને ન પણ મળે. ભરતને પણ રાજગાદી મળવાની શક્યતા હતી. આ કારણ થી સુમિત્રાએ એક પુત્રને રામ સાથે લાગુ કરી દીધો અને બીજા પુત્રને ભરત સાથે લાગુ કરી દીધો.

આમ કરવાથી જો રામને રાજગાદી મળે તો લક્ષ્મણ નું ભવિષ્ય નિશ્ચિંત થાય અને જો ભરતને રાજગાદી મળે તો શત્રુઘ્નનું ભવિષ્ય નિશ્ચિંત થાય. ભરત અને શત્રુઘ્ન તો જોડીયા ભાઈ જ હતા તેથી બંને એકબીજાનું ધ્યાન રાખી શકે. આમ સુમિત્રા પોતે પણ સુરક્ષિત થઈ જાય.

ભરતને રાજગાદી મળવાની શક્યતા કેવી રીતે હતી?

જ્યારે દશરથ રાજા કેકેય નરેશ પાસે તેની પુત્રીનો હાથ માગવા ગયા ત્યારે દશરથ રાજાને પ્રશ્ન પૂછાયો હશે એવી શક્યતા હતી જ. ક્યાંક આ ઉલ્લેખ પણ છે. આ વાતની શક્યતાને નકારી ન શકાય.

કેકેય નરેશને ખબર હતી કે દશરથ ને બીજી રાણીઓથી સંતાન નથી. અને તેથી દશરથ રાજા સાથે પોતાની પુત્રી પરણાવીએ તો તેના પુત્રને જ રાજગાદી મળશે. પણ તેને એ પ્રશ્ન પણ થયો કે પટ્ટરાણી તો કૌશલ્યા હતી. અને જો પાછળથી કૌશલ્યાને પણ પુત્ર થાય તો પોતાની પુત્રીનો પુત્ર, રાજગાદીનો હક્ક ગુમાવે. આવું થાય તો, તે, કેકેય નરેશને મંજુર ન હતું. તેથી તેણે દશરથ રાજા પાસેથી વચન લીધું કે મારી પુત્રીના પુત્રને જ રાજ ગાદી મળવી જોઇએ. દશરથ અને કેકેય બંને માન્યું હશે કે જો કૌશલ્યાએ હજુ સુધી પુત્રને જન્મ આપ્યો નથી તો હવે પછી તો નહી આપે. અને ધારો કે કૌશલ્યા પુત્રને જન્મ આપશે તો તે કૈકેયીના પુત્ર કરતાં તો નાનો જ હશે.

મોટો પુત્ર હોય તેને રાજગાદી મળે તેવી પ્રણાલી હતી.

કૈકેયી શુરવીર અને મેધાવી હતી. દશરથ રાજાને કૈકેયી પ્રિય પણ હતી. પણ પટ્ટરાણી કૌશલ્યા હતી. તે સમયની પ્રણાલી પ્રમાણે પટ્ટરાણી પદ એકવાર આપ્યું એટલે આપ્યું. એનો ફેરબદલો ન કરી શકાય.

ચારેય પુત્રોએ વિશ્વામિત્ર ઋષિ પાસે અસ્ર શસ્ત્રની વિદ્યા પ્રાપ્ત કરી. વિશ્વામિત્ર કેવી રીતે આવ્યા અને વિશ્વામિત્રે દશરથ રાજા અને તેમના મંત્રીમંડળ સાથે શું સંવાદ કર્યો તેનું વર્ણન કરવું અહીં જરુરી નથી. કારણકે આ બધો સંવાદ અને વર્ણન છે . આ બધું લેખકની ધારણા, કલ્પના ઉપર આધાર રાખે છે. જે પ્રસંગો બનાતા હોય તેના ક્રમના આધારે ઇતિહાસનું અનુમાન લગાવી શકાય છે.

શિવ ધનુષ ઉપર શરસંધાન કરવું

દક્ષ રાજાએ એક યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞનો ધ્વંશ ઈશ્વર શિવે કર્યો હતો. પણ આવું બને નહીં. ઈશ્વર પોતે આવું ન કરી શકે. પણ વીરભદ્ર અને ભદ્રકાળીને શિવે ઉત્પન્ન કર્યા હતા અને આ બંને એ યજ્ઞનો નાશ કર્યો હતો.

વીરભદ્ર કોણ હતો?

એ કોઈ રાજા હશે. જેને દક્ષ સાથે તાત્વિક વાંધો પડ્યો હશે. જેમ કૃષ્ણને ઈંદ્રની પૂજા વિષે વાંધો પડ્યો હતો તેમ. પણ આની શાસ્ત્રીય ચર્ચા આપણે નહીં કરીએ.

આ વીરભદ્રનું ધનુષ્ય કાળક્રમે કોઈ પણ રીતે જનક રાજા પાસે આવ્યું. આ અદભૂત ધનુષ્ય કે વિશિષ્ઠ ધનુષ્ય હતું. તેને કદાચ કળથી જ પકડાતું હશે અને શરસંધાન પણ કરવાની રીત પણ વિશિષ્ઠ જ હશે. આ કામ મહાનબાણાવળીઓમાં થી પણ જુજ બાણાવળીઓ જ કરી શકતા હશે. રામે શ્રેષ્ઠ બાણાવળી બનવાનું શિક્ષણ લીધું હતું અને બન્યા પણ હતા. તેથી જ તેઓ ગુરુને પ્રિય બન્યા હતા.

એક આડવાત કરવી પડશે. આ વાત “યાજ્ઞવલ્ક રામાયણ”માં લખી છે. આ શ્રીરામ, કોઈ એક વખતે બહુ ઉદાસીન થઈ ગયેલ. કારણકે તેમણે જાણ્યું કે મનુષ્યનું ભાવી નિશ્ચિત છે. ગ્રહો ઉપર વ્યક્તિના ભવિષ્યનો આધાર છે. ગ્રહોની ગતિ નિશ્ચિત છે. આમ મનુષ્ય પોતે ગમે તેટલા પ્રયત્નો કરે પણ તે જે નક્કી છે તેને બદલી શકતો નથી. તો આવા જીવનનો અર્થ શો? જે થવાનું છે તે તો થવાનું જ છે. મારા બધા કામો નિરર્થક છે. આમ શ્રી રામ મૌન અને ઉદાસ રહેવા લાગ્યા અને દુબળા થવા લાગ્યા. દશરથ રાજાને ચિંતા થવા માંડી. તેમણે વિશ્વામિત્રને પોતાની ચિંતા જણાવી. વિશ્વામિત્રે તપાસ કરી કે રામને કોઈ પણ જાતનું વ્યસન ન હતું. તેઓ દુરાચારી પણ ન હતા. તેમનું કોઈએ અપમાન પણ કર્યું ન હતું. તેઓ સૌને પ્રિય પણ હતા. એટલે વિશ્વામિત્રે તેમને વિશ્વાસમાં લઈને વાતચીત કરી. રામે પોતાનો મનોભાવ જણાવ્યો. એટલે વિશ્વામિત્રે તેમને જણાવ્યુમ કે પુરુષાર્થ આગળ અને દૃઢ નિર્ણય આગળ ગ્રહો બધા નકામા છે. જેમ ખેલાડી પોતાના ડંડા વડે દડાને મનોવાંછિત દિશામાં ફંગોળે છે તેમ પુરુષાર્થી અને દૃઢ નિશ્ચયી મનુષ્ય પોતાના ભવિષ્યને ધારે તેવું કરી શકે છે. તેના ડંડાથી ગ્રહો પણ ડરે છે. આમ કહી વિશ્વામિત્ર અમુક ઉદાહરણો આપે છે. આ ઉદાહરણોની વાત આપણે નહીં કરીએ. પણ વિશ્વામિત્રની વાતોથી રામ નોર્મલ થાય છે. આ વિશ્વામિત્ર રામના અને તેમના ભાઈઓના ગુરુ બને છે.

શિવધનુષ્યની વાત ઉપર આવીએ.

આ શિવ ધનુષ્ય થી બાળ-સીતા રમવા લાગી. સામાન્ય રીતે બાલિકાઓ ઢીંગલીઓ થી રમે. પણ સીતા ધનુષ્યથી રમવા લાગી તેથી જનકને લાગ્યું કે આ સીતા અસામાન્ય છે. તેથી હું, આ વિશિષ્ઠ ધનુષ્યને પણછ બાંધીને જે વ્યક્તિ શ્રેષ્ઠ રીતે શરસંધાન કરશે તેની જોડે સીતાને પરણાવીશ.

આ શિવ ધનુષ્ય, વિશિષ્ઠ ઉપરાંત વજનદાર પણ હશે. તેને કળથી ઉપાડવું પડતું હશે.તેની ઉપર શરસંધાન કરવાની બાબતમાં શું વાત હતી?

જુદા જુદા રાજાઓ સ્વયંવરમાં આવેલ એવી કોઈ વાત નથી. પણ રાજાઓ સમૂહમાં કે છૂટક છૂટક આવેલ. અને સૌ નિસ્ફળ ગયેલા અને પછી ભેગા થઈ તેમણે જનક રાજાની ઉપર આક્ર્મણ કરેલ. જનક રાજાએ તેમને કોઈપણ રીતે હરાવેલ.

રાવણ આ ધનુષ્ય ઉઠાવી ન શકેલ એ વાતમાં તથ્ય નથી. રાવણ ઉંમરમાં મોટો હતો. રાવણને સમજાવવામાં અવેલ કે સીતા તો તેની પુત્રી સમાન છે. તેથી તેણે સ્પર્ધામાં ભાગ ન લેવો એવી વિનંતિ કરાયેલી અને રાવણે તે વાત માન્ય રાખેલ.

જો આ વાત ઉપર શક હોય તો નીચેની વાત વાંચો.

૧૯૫૫માં બૃહદ ગુજરાત સંસ્કૃત વિદ્યાપીઠ દ્વારા સંસ્કૃત પરીક્ષા “મધ્યમા” ના અભ્યાસક્રમમાં એક પાઠ હતો. “કૌશલ્યા હરણમ્‌”. આ પાઠમાં રાવણ ફક્ત કૌશલ્યાને જ નહીં પણ સાથે સાથે દશરથ ને પણ ઉપાડી જાય છે. રાવણને કૌશલ્યા સાથે પરણવું હોય છે પણ તે મોડો પહોંચે છે કે કૌશલ્યા દશરથને પસંદ કરેછે. જે હોય તે. કૌશલ્યા અને દશરથના લગ્ન થઈ ગયા પછી તે પહોંચે છે તેથી રાવણ બંનેનું અપહરણ કરી જાય છે અને લંકા લઈ આવે છે. પણ લંકામાં ઋષિઓ કે તેનું મંત્રીમંડળ રાવણને સમજાવે છે કે કૌશલ્યા તો હવે પરિણિત સ્ત્રી છે. પરિણિત્ર સ્ત્રી સાથે લગ્ન કરવું તારા માટે વર્જિત છે. રાવણ માની જાય છે. તે પછી રાવણ એક લાકડાની મોટી છબડીમાં બંનેને નાખી તેમને સમુદ્રમાં છૂટા મુકી દે છે. જો રાવણ કૌશલ્યાને છોડી શકતો હોય તો આ રાવણ સીતાને પણ છૉડી શકે છે.

ભારતની ગેરહાજરીમાં રામનો યુવરાજ પદ સમારોહ.

“યુવરાજ પદ સમારોહ” એવી કોઈ પ્રણાલી ઇતિહાસમાં બીજી કોઈ જગ્યાએ જોવા મળતી નથી.

શું દશરથ રાજા મુત્સદ્દી હતો?

આપણે થોડા વર્ષ પહેલાં લોકસભાની ચૂંટણી પહેલાં જોયેલ કે ચૂંટણી માટે બીજેપીએ એક સમિતિનું ગઠન કર્યું અને તેની પ્રચાર સમિતિના અધ્યક્ષ સ્થાને નરેન્દ્ર મોદીને નીમ્યા. આ વાતનો ખૂબ પ્રચાર પણ કરવામાં આવ્યો. કારણકે આમાં એક અકથિત એવો સંદેશ હતો કે નરેન્દ્ર મોદી બીજેપીના લોકસભાના નેતા થશે અને વડાપ્રધાનપદના ઉમેદવાર થશે. જેથી અગર કોઈનો નરેન્દ્ર મોદીના પ્રધાનપદના ઉમેદવાર તરીકે વિરોધ હોય તો અત્યારથી જ જાહેરમાં આવી શકે. જેમને વિરોધ કરવો હતો તેમણે કર્યો. જેમને રીસાઈ જવું હતું તેઓ રીસાયા. કોની કેટલી શક્તિ હતી તે મપાઈ ગયું. જનતાના પ્રતિભાવ દ્વારા જનતાનો અભિપ્રાય મપાઈ ગયો. જેઓ વિરોધી હતા તેઓને પણ જનશક્તિનો પરિચય થઈ ગયો.

દશરથ રાજાએ રામની યુવરાજ પદની જાહેરાત અને સમારોહનો સાનુકુળ સમય નિશ્ચિત કર્યો. જ્યારે ભરત પોતાના મોસાળ ગયો ત્યારનો સમય દશરથ રાજાએ પસંદ કર્યો. દશરથની ધારણા હતી કે કદાચ ભરત વિરોધ પ્રગટ કરશે. જનતા તો વિરોધ નહીં જ કરે. તેથી કૈકેયી ને નબળી પાડવા ભરતની ગેરહાજરીનો સમય અનુકુળ હતો. ભરત જયારે પાછો આવશે ત્યારે તેને પણ ખબર પડશે કે રામના યુવરાજપદના નિર્ણયમાં જનતાની સંમતિ હતી તેથી ભરત પણ વિરોધ કરી નહીં શકે.

કોઈ એક સમયે દશરથ રજાએ કૈકેયીને બે વર માગવા કહેલ. આમાં બે પ્રકારના પાઠ છે. જ્યારે દશરથ રાજા સુરોને મદદ કરવા સુરોના પક્ષે રહી અસુરો સામે લડવા ગયેલ ત્યારે યુદ્ધ સમયે કૈકેયી દશરથ રાજાની સારથી બનેલ. અસુરો જ્યારે દશરથ ઉપર ધસી આવ્યા ત્યારે કૈકેયી દશરથ રાજાને બચાવવા રથને યુક્તિ અને કુશળતા પૂર્વક ભગાવીને દૂર દૂર લઈ ગઈ. બીજી વાતનો પાઠ એવો છે કે રથના પૈડાની ધરીમાંથી ઠેસી નિકળી ગઈ અને કૈકેયીએ પોતાની આંગળી ત્યાં ખોસી દીધી જેથી રથનું પૈડું નિકળી ન જાય. કૈકેયીની આંગળી ઇજાગ્રસ્ત થઈ ગઈ અથવા તો કપાઈ ગઈ. દશરથ રાજા કૈકેયીની ચતુરાઈ અને કુશળતાથી ખુશ થયા અને બે વર માગવા કહ્યું. કૈકેયીએ તે પછી ક્યારેક માગશે તેમ કહ્યું.

કેકેય એક સીમાવર્તી પ્રદેશ હતો. સીમાવર્તી પ્રદેશ હમેશા વિદેશી આક્રમણનું પ્રથમ ભક્ષ્ય બને છે. શક્ય છે કે કૈકેયી વિરાંગના હોય એટલા માટે જ કૈકેયીના પિતાએ કૈકેયીના પુત્રને જ રાજગાદી મળે એવી શરત દશરથ આગળ મંજુર કરાવી હોય. રાજાએ વચન પાળવું જોઇએ એ પણ પ્રણાલી હતી અને રાજગાદી જ્યેષ્ઠ પુત્રને મળે એ પણ પ્રણાલી હતી. જનતાને જે મંજુર હોય તેને રાજગાદી મળે તેવી પણ પ્રણાલી હતી તેવો પણ રામાયણમાં ઉલ્લેખ છે.

આનો ઉપાય?

(ચાલુ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ રામ, દશરથ, કૈકેયી, સીતા, જનક, ધનુષ, વીરભદ્ર, ભદ્રકાળી, દક્ષ, યજ્ઞ, શિવ, લંકા, રાવણ, કુબેર, રામાયણ, ઇતિહાસ, તથ્ય, પ્રણાલી

Read Full Post »

ક્યાં ખોવાયા હાડમાંસના બનેલા રામ? ભાગ-૧/૯

રામ કોણ હતા?

એક એવા રામ હતા જે રઘુવંશી દશરાજાના પુત્ર હતા. તેઓ હાડમાંસના બનેલા માત્ર અને માત્ર મનુષ્ય હતા. આમ તો તેઓ એક રાજકુંવર હતા અને એક કુશળ શાસક પણ અવશ્ય હતા. પણ થયું એવું કે એમની અસાધારણ, અદ્વિતીય મહાનતા અને આદર્શને કારણે એમને જનતાએ ભગવાન બનાવી દીધા.

જ્યારે કોઈને ભગવાન બનાવી દઈએ ત્યારે તે વ્યક્તિમાં રહેલી વાસ્તવિકતા, વિદ્વત્તા, નૈતિક દૃઢતા અને ઐતિહાસિકતા નષ્ટ પામે છે. કારણ કે રામની વાત કરવી એ એક ધર્મની વાત બની જાય છે. તેમના અસ્તિત્વને લગતી માન્યતા સહેલાઈથી સહેલાઈથી નકારી શકાય છે. પરધર્મીઓ જ નહીં પણ જેઓ પોતાને તટસ્થ માનવાની ઘેલછા રાખે છે તેઓ પણ આવી વ્યક્તિની ઐતિહાસિકતાને સહજ રીતે જ નકારે છે. જો તમે રામના ઐતિહાસિક અસ્તિત્વને ન નકારો તો તમે ઇતિહાસનું ભગવાકરણ કર્યું કહેવાય. તમને ધર્માંધ પણ કહી શકાય.

ગુજરાત અપરાધી હતું?

૨૦૦૨ માં ગુજરાતમાં હુલ્લડ થયું. આ હુલ્લડનો દોષ નરેન્દ્ર મોદી અને હિન્દુઓ ઉપર ઢોળી દેવાયો. એટલે કેરલના પાઠ્યપુસ્તકમાં ગુજરાતનું અસ્તિત્વ ભારતના નકશામાંથી દૂર કરવામાં આવ્યું. ગુજરાતનું અસ્તિત્વ રદ થયું. કારણકે ગુજરાત અપરાધી હતું.

તમે રામના અસ્તિત્વને નકારો છો? રામને ભગવાન માન્યા એટલે જ ને!  જો તમે રામને ભગવાન માનો તો આમાં રામનો શો અપરાધ છે?

તમે કહેશો આમાં રામ અપરાધી છે તેની વાત ક્યાં આવી? રામ અપરાધી હતા કે નહીં …  અથવા તેમની પ્રત્યે એક અન્યાયી વર્તન દાખવવામાં આવ્યું કે નહીં તે વિષે આગળ ચર્ચા કરીશું.

હાલ તો આપણે સામાન્ય હિન્દુઓ રામને ભગવાન કેમ માને છે અને બીજા તેમના અસ્તિત્વને કેમ નકારે છે તે જોઈશું.

ચમત્કાર અને ભગવાન અને અસ્તિત્વનો નકાર

જે હિન્દુઓ રામને ભગવાન માને છે તેઓ ચમત્કારમાં પણ માને છે. રામે અનેક ચમત્કારો કર્યા. આવા ચમત્કારો તો ભગવાન જ કરી શકે. મનુષ્ય તો ચમત્કાર ન જ કરી શકે. માટે રામ ભગવાન છે. જેઓ ચમત્કારમાં માનતા નથી તેઓ કહેશે કે આ ચમત્કારની વાતો બધી ગપગોળા છે. કારણ કે ચમત્કારો તો થઈ જ ન શકે. એટલે ચમત્કારોનું અસ્તિત્વ હોઈ જ ન શકે. એટલે આ ચમત્કારી વ્યક્તિ એક ગપગોળો છે. રામ કથાનું એક સાહિત્યિક અસ્તિત્વ છે. રામની કથામાં ફક્ત સાહિત્યિક દૃષ્ટિ રાખવી જોઇએ. અવતાર બવતાર જેવું કશું હોતું નથી.

જ્યારે વ્યક્તિ સાહિત્યિક બની જાય ત્યારે તે એક નહીં અનેક બની જાય. વાલ્મિકીના રામ, કાલીદાસના રામ, ભવભૂતિના રામ, તુલસીદાસના રામ …

Ram

આપણે રામને ભગવાન માની લીધા એટલે રામ ધર્મનો વિષય બની ગયા. રામ ધર્મનો વિષય બન્યા એટલે રામ શ્રદ્ધાનો વિષય બની ગયા. રામનું વર્ણન ભારતની ભાષાઓમાંથી ઉદભવ્યું એટલે એ ભારતના છે. ભારતમાં હિન્દુધર્મ પાળવામાં આવે છે એટલે રામ હિન્દુઓના ભગવાન છે. રામ હિન્દુઓના ભગવાન છે એટલે રામ એ હિન્દુઓની શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા, ભગવાન, ચમત્કાર આ બધું કાલ્પનિક છે. કાલ્પનિક વાતોમાં વિશ્વાસ રાખવો અને એવું બધું સ્વિકારવું એ અંધશ્રદ્ધા છે. સમાજમાં અંધશ્રદ્ધાનું બહુમાન ન કરવું જોઇએ. અંધશ્રદ્ધાને આવકારવી ન જોઇએ. જેઓ પોતાને પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક વિચારધારાવાળા માને છે તેઓ કંઈક આવું વિચારે છે. જેઓ “રામજન્મ ભૂમિ ઉપર રામ મંદિર બનાવવાનો આગ્રહ રાખનારાઓનો વિરોધ કરે છે તેઓ પણ આવી માનસિકતા રાખે છે

પોતાને વિદ્વાન, જ્ઞાની અને બુદ્ધિશાળી માનતા માણસો પણ રામને કાલ્પનિક પુરુષ માને છે.

તેઓની માન્યતા પ્રમાણે આનું મુખ્ય કારણ એ છે કે પ્રાચીન અને મધ્યકાલિન ભારતીય પુસ્તકોમાં ચમત્કારની બહુ વાતો છે. આ બધી કપોળકલ્પિત અને અવાસ્તવિક છે. ભારતીય લોકોને ઇતિહાસ લખવાની ટેવ જ ન હતી. જેને જેમ ફાવ્યું અને મગજમાં આવ્યું તેમ લખ્યું છે. ભારતીયોના મનમાં ઇતિહાસ લખવો જોઇએ એવી કોઈ વાત જ ન હતી. એટલે વિદેશી યાત્રીઓએ અને બીનભારતીય ઇતિહાસ કારોએ જે લખ્યું તેને જ આધારભૂત ગણી શકાય. જેમ કે ગ્રીક આક્રમણકારીઓએ, તેમની સાથે આવેલા લોકોએ, અરબસ્તાન, મોંગોલીયાના મુસ્લિમ આક્રમકોએ, મુસાફરોએ, ચીનના મુસાફરોએ જે કંઈ ભારત વિષે, ભારતીય સમાજ વિષે લખ્યું તે જ પ્રમાણભૂત કહેવાય. આપણા લોકો તો રાઈ વગર રાઈનો પહાડ બનાવવામાંથી  અને ચમત્કારો લખવામાંથી ઉંચા જ ક્યાં આવતા હતા!

આમ જોવા જઈએ તો દરેક ધર્મના પુસ્તકોમાં ચમત્કારિક વાતોના વર્ણનો જોવા મળે છે. પણ એ બધા ધર્મોના બધા મહાપુરુષો ઐતિહાસિક છે. કારણકે આ બધામાંના મોટેભાગે છેલ્લા ૨૬૦૦ વર્ષ અંતર્ગત થયા. એ બધા લોકાના કંઇને કંઈ અવશેષો મળી આવે છે એવું મનવામાં આવે છે. એટલે એ બધામાં ચમત્કારી વાતો હોય તો પણ તે બધું ઐતિહાસિક છે અને તે વ્યક્તિઓ પણ ઐતિહાસિક છે.

રામના કોઈ ભૂસ્તરીય અવશેષો મળતા નથી.

જે કંઈ મળે છે તેને રામ સાથે જોડી દેવા એ અંધશ્રદ્ધા જ છે. આવી દૃઢ માનસિકતા આપણા વિદ્વાનોમાં અને મૂર્ધન્યોમાં પ્રવર્તે છે. આપણા ભારતીયો જ જો આવી માનસિકતા રાખતા હોય તો સહજ રીતે જ પરધર્મીઓ, ખાસ કરીને મુસ્લિમો અને ખ્રીસ્તીઓ તો રાખે જ.

શું ઐતિહાસિકતાનો આધાર ફક્ત પૂરાતત્વીય અવશેષો જ હોઈ શકે? ધારો કે ઉત્ખનન થયું  ન હોય તો શું માનવવાનું? ધારોકે ઉત્ખનન શક્ય જ ન હોય તો શું માનવાનું? જો મોહેં જો દેરોની જગ્યાઓએ ઉત્ખનન ન થયું હોત તો ભારતનો ઇતિહાસ ૩૦૦૦ વર્ષથી વધુ પ્રાચીન ન ગણવામાં આવત.

રામજન્મભૂમિની જગ્યા ઉપર બાબરી મસ્જીદ બની ગયેલ. હવે ધારો કે એ જમીન રામજન્મભૂમિ તરીકે ઓળખાતી જ ન હોત તો તેને વિષે કોઈ આંદોલન પણ ન થાત. અને તે બાબરી મસ્જીદ તોડી પાડવામાં પણ ન આવી હોત. અને કોઈએ ન્યાયના દ્વાર પણ ન ખટખટાવ્યા હોત. અને ત્યાં કશું ખોદકામ પણ ન થાત.

જો ખોદકામ ન થાત તો તેની નીચે આવેલા શિવમંદિરના અવશેષો પણ ન મળત. આવા તો અનેક સ્થાનો છે કે જ્યાં વિવાદ ચાલે પણ છે અને વિવાદ નથી પણ ચાલતા. હવે ધારો કે મુસ્લિમો અને ખ્રીસ્તી શાસકોએ, જેમ બીજી જગ્યાએ પ્રાચીન સંસ્કૃતિના નિર્માણોને તોડીને અથવા અને તેના અવશેષો પર પોતાની સંસ્કૃતિને લગતા  નિર્માણો કરી દીધેલ અને ત્યાંની સંસ્કૃતિને કાયમ માટે નષ્ટ કરી દીધેલ અને જનતાને પૂર્ણ રીતે પોતાના ધર્મમાં વટલાવી દીધી એમ ભારતમાં પણ કરી શક્યા હોત તો અહીં પ્રાચીન કાળમાં મંદિર હતું તેની ખબર કેવી રીતે પડત?   પણ ભારતની બાબતમાં થયું એવું કે ભારતીય સંસ્કૃતિ તેની ઉત્કૃષ્ટતા અને સબળતાને કારણે ટકી ગઈ.

ઇતિહાસ કેવીરીતે જળવાઈ રહે છે?

લોક સાહિત્ય, લોકવાયકા, સ્થાપત્ય અને પરંપરાગત પ્રણાલીઓ પાછળ ચાલી આવતી દંતકથાઓ દ્વારા પણ ઇતિહાસ જળવાઈ રહે છે. આપણે અત્યારે તેનું વિશ્લેષણ અને તેની ચર્ચા નહીં કરીએ.

“રામ જન્મ ભૂમિ” નું સ્થળ એ એક પરાપૂર્વથી ચાલી આવતી માન્યતા અનુસારનું નામકરણ હતું. જેવા કામો વિદેશી ધર્મીઓએ બીજા દેશોમાં કર્યાં તેવા જ કામો તેઓએ ભારતમાં જરુર કર્યા. પણ ભારતમાં તેઓ સંપૂર્ણ સફળ ન થયા. તેથી ખંડિત સ્થળોના નામ લોકવાયકામાં પરંપરાગત રીતે ક્યાંક ક્યાંક ચાલુ રહ્યાં. પણ સાથે સાથે ખંડિત સ્થળ પર નવું નિર્માણ થયું તે નામ પણ ઉમેરાયું.   

બીજી એક વાત એ બની કે પાશ્ચાત્ય ઇતિહાસકારો દ્વારા ભારતનો જે નવ્ય ઇતિહાસ લખાયો, તેમાં ભારતીય સાહિત્ય, લોકવાયકાઓ, લોક કથાઓ જ નહીં પણ ભારતીય શાસ્ત્રોમાં રહેલા તાત્વિક ઉંડાણને પણ સ્પર્ષવામાં ન આવ્યાં.

 પરિણામ એ આવ્યું કે ભારતીય સાહિત્યમાં જે ઇતિહાસ, લોકભોગ્ય શૈલીમાં લખવામાં આવેલ તેને ઇતિહાસ તરીકેની માન્યતા જ ન આપી. આનુ પરિણામ એ આવ્યું કે ભારતના વિદ્વાનો ફક્ત પાશ્ચાત્ય વાતોને જ પ્રમાણભૂત માનવા લાગ્યા. આ માનસિકતાનું મૂળ “આર્યન ઈન્વેઝન થીયેરી”  એટલે કે “આર્યજાતિનું ભારત ઉપર આક્ર્મણ” વાળો સિદ્ધાંત છે.

એવું ધારવામાં આવ્યું કે આર્ય એક રખડુ જાતિ હતી જે મધ્ય એશિયા કે પૂર્વ યુરોપ કે એવી કોઈક જગ્યાએ રહેતી ભમતી હતી. તેઓએ મોટું સ્થાળાંતર કર્યું, તે ઇરાન ગઈ. ત્યાં આ જાતિનો એક ભાગ ગ્રીસ ગયો. એક ભાગ થોડા સમય પછી ભારત આવ્યો. અહીંના દ્રવિડો જે બહુ સુસંસ્કૃત અને સ્થાપત્યમાં પ્રવિણ હતા તેમને આ વિચરતી જાતિએ તહસ નહસ કરી નાખ્યા, તેમને ગુલામ બનાવ્યા, તેમના નગરોનો નાશ કર્યો. આ જાતિ પછી અહીં સ્થાઈ થઈ. આ બધી વાતો ભારતમાં દંત કથાઓના રુપમાં અને વેદોની ઋચાઓમાંની તારવણીઓથી સિદ્ધ થઈ શકે છે એવું પાશ્ચાત્ય ઇતિહાસકારોએ તર્કહીન રીતે તુક્કાઓ દ્વારા સિદ્ધ કર્યું.

રામ દંતકથાનું પાત્ર છે. આ પાત્ર ઉત્તરમાંથી દક્ષિણમાં ગયું અને રાવણને હરાવ્યો. એટલે એવું તારવવામાં આવ્યું કે આર્યોએ દ્રવિડોને હરાવ્યા. આ વાતને એક ઉદાહરણ તરીકે ગણવામાં આવ્યું. પાશ્ચાત્ય ઇતિહાસકારોએ તેમના પ્રચ્છન્ન હેતુઓ સિદ્ધ કરવા ઘણા ગપગોળા ચલાવ્યા. આ બધી વાતો અન્યત્ર કરેલી છે. ભારતીય સંસ્કૃતિના અને પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રકાંડ પંડિત શ્રી રાજીવ મલહોત્રા અને બીજા અનેક વિદ્વાનોએ  “આર્યન ઈન્વેઝન થીયેરી” ને ધરાશાયી કરી છે અને તે વિષે પુસ્કળ સાહિત્ય ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે એટલે આની ચર્ચા નહીં કરીએ. આપણી વાત ફક્ત રામની ઐતિહાસિકતા પૂરતી સીમિત રાખીશું.

આપણે પ્રાચીન સાહિત્યની અવગણના નહીં કરી શકીએ. પુરાણો અને મહાકાવ્યોને કપોળ વાતો તરીકે ન જોવા જોઇએ. વાસ્તવમાં આ એક કથન પ્રણાલી હતી. જ્ઞાન પીરસવા અને યાદ રાખવાના અનેક માર્ગો હોય. રુપક, અન્યોક્તિ, વિશેષણ, ઉપમા, રમૂજ, શિખામણ, વર્ણન, પ્રાસ, અનુપ્રાસ, કવિતા, કથા, જોડકણા, કહેવત, દંતકથાઓ, અતિશયોક્તિ, અલંકાર, જેવી અનેક રીતો હોય છે. આમાં ઈશ્વર નિર્ગુણ નિરાકાર હોવા છતાં પણ, આ ઈશ્વર, ક્રોધિત કે ખુશી ખુશી થઈને મનુષ્ય કે અન્ય પ્રાણીના સ્વરુપમાં પાત્ર તરીકે આવી જાય છે.

ધારોકે શિખરણી છંદના સ્વરુપને યાદ રાખવું છે. તો શું કરશું? રસૈઃ રુદ્રૈઃ છિન્ના, યમનસભલાગઃ શિખરણી.

રસ કેટલા હોય છે?

છ રસ હોય છે.

રુદ્ર કેટલા છે?

૧૧ રુદ્ર હોય છે.

છ અક્ષર અને ૧૧ અક્ષર થી આ છંદ કપાયેલો છે. અને તેમાં યમનસભલગ થી બંધાયેલો છે. રસ અને રુદ્ર એ ભૂત સંખ્યા છે. આવી તો ભારતીય પદ્ધતિઓમાં અનેક વાતો છે.

આ રીતે શાસ્ત્રોના સિદ્ધાંતો યાદ રાખવા એવી પ્રણાલી આજે પણ ચાલે છે. જેમકે “ઓલ સીલ્વર ટી કપ્સ.”

“ઓલ” એટલે બધા. સીલ્વર એટલે સાઈન. ટી એટલે ટેન્જન્ટ, કપ્સ એટલે કોસાઈન.

બધા એટલે કોણ?

સાઈન, કોસાઈન અને ટેન્જન્ટ.

સાઈન એટલે શું? કાટખુણ ત્રીકોણમાં કોઈ એક ખૂણો તેની સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર સાઈન કહેવાય છે.

કોસાઈન એટલે શું? કોઈ ખૂણાની પાસેની બાજુ અને કર્ણ વચ્ચેનો ગુણોત્તર કોસાઈન કહેવાય છે.

ટેન્જન્ટ એટલે શું? સામેની બાજુ અને પાસેની બાજુનો ગુણોત્તર ટેન (ટેન્જન્ટ) કહેવાય છે.

પણ ગુણોત્તર ક્યારે ધન હોય અને ક્યારે ઋણ હોય? આ ધન અને ઋણને કેવી રીતે યાદ રાખવા?

જો ખૂણો ૦ થી ૯૦ની વચ્ચે હોય તો બધા જ ધન હોય છે.

જો ખૂણો  ૯૦+ થી ૧૮૦ની વચ્ચે હોય તો સાઈન ની કિમત ધન હોય.

જો ખૂણો ૧૮૦+ થી ૨૭૦ વચ્ચે હોય તો ટેનની કિમત ધન હોય.

જો ખૂણો ૨૭૦+થી ૩૬૦ ની વચ્ચે હોય તો કોસાઈન ની કિમત ધન હોય.

ત્રિકોણમિતિના કોઈ એક મૂલ્યને યાદ રાખવાની આ એક સહેલી રીત છે.

પ્રાચીન ભારતીય સાહિત્યમાં પણ આવી અનેક રીતો પ્રચલિત હતી. અનેક ચમત્કારિક વાતો આનો હિસ્સો છે પણ તેનો હેતુ ફક્ત વાતને, પ્રસંગને, વર્ણનને, કથનને રસમય બનાવવા માટે હોય છે જેથી તે યાદ રહે.

ઈશ્વર-રુદ્ર-શિવ, સૂર્ય-વિષ્ણુ-બ્રહ્મા અને અનેક દેવતાઓ (ઈન્દ્ર, વાયુ, વરુણ …) વિગેરે પાત્ર તરીકે આવે એવી ઘણી વાતો છે. પણ આ બધું ઐતિહાસિક વાતોને રસપ્રદ બનાવવા માટે હોય છે. આજે પણ આ પ્રણાલી એક યા બીજા સ્વરુપે ચાલે છે. ફિલમમાં તમે જોતા હશો કે કોઈ પાત્ર ઉપર આપત્તિ આવે તો પાર્શ્વભૂમિકામાં આકાશમાં કડાકા ભડાકા અને વિજળીઓ બતાવે. કોઈ પાત્રના મનમાં ખળભળાટ હોય તો તોફાની દરિયો બતાવે. ઐતિહાસિક વાર્તાના પુસ્તકોમાં કોઈ વાર્તાલાપમાં આવતા શબ્દ પ્રયોગો, સ્થળોના વર્ણનો, વસ્ત્રોના વર્ણનોના શબ્દ પ્રયોગો, જરુરી નથી કે તે, વાસ્તવમાં જે તે રુપમાં હોય તેજ સ્વરુપમાં વર્ણિત હોય.

દાખલા તરીકે મૈથિલી શરણગુપ્તે સામ્રાટ અશોક ઉપર કોઈ નાટક લખ્યું હોય. કલિંગના યુદ્ધ પછીનો અશોક અને તેની પત્ની તિષ્યરક્ષિતા વચ્ચેનો કોઈ સંવાદ હોય. જરુરી નથી કે આ સંવાદ અક્ષરસઃ સાચો જ અને વાસ્તવિક હોય. એ પણ જરુરી નથી કે આ સંવાદને કારણે જ અશોકનું હૃદય પરિવર્તન થયું હોય. સંભવ છે કે આવો સંવાદ થયો પણ ન હોય. આ બધું હોવા છતાં અશોકના હૃદય પરિવર્તનની સત્યતાને આપણે નકારી ન શકીએ. અશોકના પિતાનું નામ મોટાભાગના ગ્રંથોમાં બિંબિસાર લખ્યું છે. આ વાત આપણે નકારી ન શકીએ.   

મહાકાવ્યોની વાત બાજુપર રાખો. બધા પુરાણોમાં રામનો ઉલ્લેખ છે. રામના પિતા દશરથ હતા તેવો પણ બધા પુરાણોમાં ઉલ્લેખ છે. એટલું જ નહીં. તેમના વંશના બધા રાજાઓનો નામ સાથે ઉલ્લેખ છે. આ બધો ઉલ્લેખ સમાન રીતે છે. એટલે કે નામોનો ક્ર્મ પણ સમાન છે. આ બધા પુરાણો એક સાથે લખાયા નથી. આ પુરાણો એક જ જગ્યાએ પણ લખાયા નથી. આ પુરાણો એક જ વ્યક્તિએ લખ્યા હોય તેવું પણ મનાય તેમ નથી. પુરાણ સતત લખાતા ગયાં. અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા પુરાણો લખાતા ગયા. ઓછામાં ઓછું ઇસ્વીસન પૂર્વે ૧૦મી સદી થી ઇસ્વીસનની ૮ મી સદી કે બારમી સદી સુધી આ પુરાણો લખાતા રહ્યાં. વિશ્વના ઘણા ગ્રંથો આવી રીતે લખાતા રહ્યા છે.

સૌથી પ્રાચીન પુરાણ, વાયુ પુરાણ છે.

વાયુ પુરાણ સૌથી પ્રાચીન શા માટે ગણાય છે?

વાયુ પુરાણના આમ તો છ પાઠ મળે છે. જે સૌથી જુનો પાઠ છે તે અનપાણીનીયન સંસ્કૃતમાં લખાયેલો જોવા મળે છે. પાણીની સંસ્કૃત ભાષાના વૈયાકરણી હતા. પાણીની ઇસ્વીસન પૂર્વે આઠમી સદી થી ઇસ્વીસન પૂર્વે ચોથી સદીની વચ્ચે થઈ ગયા એમ પાશ્ચાત્ય ઇતિહાસકારો પણ માને છે. વાયુ પુરાણની શૈલી પણ પ્રાચીન લાગે છે.  આ પુરાણમાં પણ ઉત્તરોત્તર પ્રક્ષેપ થયા છે. પ્રકરણો પણ મોટા થતા ગયા છે.

વાયુ પુરાણના પ્રાચીન પાઠમાં બુદ્ધ ભગવાનનો ઉલેખ નથી. વિષ્ણુના દશ અવતારની વાત આવે છે ખરી, પણ રામનો વિષ્ણુના અવતાર તરીકે ઉલ્લેખ નથી. સૂર્યવંશના બધા રાજાઓની વંશાવળી છે.  રામનો એક બળવાન રાજા દશરથના પરાક્રમી પુત્ર તરીકે ઉલ્લેખ છે. તેમણે લંકાના રાજા રાવણને હરાવ્યો એવો ઉલ્લેખ છે. બસ આથી વિશેષ કશું નથી.

વાયુ પુરાણમાં એમ તો કૃષ્ણ ભગવાનનો પણ ઉલ્લેખ છે. કૃષ્ણને વિષ્ણુભગવાનના અવતાર પણ માનવામાં આવ્યા છે. કૃષ્ણ વિષે અર્ધું પ્રકરણ છે. વાયુ પુરાણના લેખકને કૃષ્ણ વિષે મુખ્ય વાત સ્યામંતક મણીની ચોરીનું જે આળ આવેલું તે કૃષ્ણ ભગવાને કેવીરીતે દૂર કર્યું તેની કથા લાગી છે. ટૂંકમાં લેખકને કૃષ્ણના જીવનની આ સ્યમંતક મણીની વાત જ ઉલ્લેખનીય લાગી છે. આ ઉપરાંત એમ પણ લખ્યું છે કે કંસ, વસુદેવના પુત્રોને મારી નાખતો હતો. વસુદેવના પુત્રોની નામાવલી પણ આપવામાં આવી છે. એવું લાગે છે કે તે તેમની સાથે યુદ્ધ કરીને મારી નાખતો હોય. વાયુ પુરાણમાં લખવામાં આવ્યું છે કે કંસની આવી આદતથી,  વસુદેવ, પોતાના પુત્ર કૃષ્ણને તેમના મિત્ર નંદને ઘરે મુકી આવે છે.

આમ આ આખા વર્ણનમાં ન તો જેલનો ઉલ્લેખ છે, ન તો કંસ વસુદેવના પુત્રોને જન્મની સાથે મારી નાખતો હતો તેવો ઉલ્લેખ છે, ન તો વસુદેવ મધ્યરાત્રીએ તાજા જન્મેલા કૃષ્ણને યમુનાના પૂરમાં થઈને લઈ જતા હોય તેવો ઉલ્લેખ છે, ન તો યમુના તેમને જગ્યા કરી દેતી હોય તેવો ઉલ્લેખ છે, ન તો નંદને ઘરે પુત્રી જન્મ્યાનો ઉલ્લેખ છે, ન તો કોઈ બચ્ચાંના આદાન પ્રદાન નો ઉલ્લેખ છે. ન તો રાધાઓ કે ગોપીઓનો ઉલ્લેખ છે, ન તો કોઈ બીજા ચમત્કારોનો ઉલ્લેખ છે. એક વાત ચોક્કસ લખી છે કે કૃષ્ણ ભગવાનને  વિષ્ણુના અવતાર માનવામાં આવ્યા છે. સાથે સાથે તેમના મોટાભાઈ બળદેવ પણ વિષ્ણુભગવાનના અવતાર માનવામાં આવ્યા છે.

ત્રીજી સૌથી મહત્વની વાત એ છે કે અનેક શ્લોકોમાં બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર ને બદલે બ્રહ્મા, વિષ્ણુ અને અગ્નિ એ રીતે ત્રણ દેવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુરાણનો આરંભ જ મહેશ ઈશાન (રુદ્ર) ની સ્તૂતિ થી કરવામાં આવ્યો છે.  વેદોમાં અગ્નિનું નામ ઇશાન પણ છે. મહો દેવો (“મહઃ દેવઃ … સો મહો દેવો મર્ત્યાં આવિવેશ” ઋગ્વેદમાં નો અગ્નિનો એક શ્લોક). કહેવાનું તાત્પર્ય એ છે કે વાયુપુરાણમાં અગ્નિ, રુદ્ર, વિશ્વદેવ, મહાદેવ, મહેશ ની એકસુત્રતા સ્પષ્ટ જોવા મળે છે. તેથી જ ઇશ્વરની બાબતમાં ભારતીય શાસ્ત્રીઓએ કશા વિરોધાભાષો જોયા નથી.

“ … ક્ષોભયામાસ યોગેન પરેણ પરમેશ્વર …. રજો બ્રહ્મા, તમો અગ્નિ, સત્વો વિષ્ણુરજાયત    …. એત એવ ત્રયો લોકા, એત એવ ત્રયો ગુણા, એત એવ ત્રયો વેદા, એત એવ ત્રયોગ્નયઃ”. પરમેશ્વર પોતાની માયારુપી પ્રકૃતિ રુપી અંડમાં પ્રવેશ કરી તેને ક્ષોભિત કરે છે અને રજસ તમસ અને સત્વગુણ રુપી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. આ જ ત્રણ લોક છે, આ જ ત્રણ ગુણો છે, આજ ત્રણ વેદ છે આજ ત્રણ અગ્નિઓ છે.

આ પ્રમાણે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રને અગ્નિના ત્રણ રુપ માનવામાં આવ્યા છે. એમ કહ્યું છે કે પરમેશ્વરના (શિવના) ત્રણ અગ્નિઓ છે. શિવને ત્રીમૂર્ત્તિ પણ કહેવાય છે.

“એત એવ” જેવા અનેક શબ્દ પ્રયોગો વાયુપુરાણમાં મળી આવે છે. આ અનપાણીયન શબ્દ પ્રયોગ છે. પાણીનીયન શબ્દ પ્રયોગ “એષઃ એવ” છે.

તમે કહેશો આમાં રામના ઐતિહાસિકપણાની વાત ક્યાં આવી?

(ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રામ, દશરથ, રાવણ, કૃષ્ણ, સ્યમંતક મણી, ચોરીનું આળ, કંસ, વસુદેવ, આર્ય, દ્રવિડ, આર્ય, વિચરતી જાતિ, પ્રણાલી, શિવ, અગ્નિ, પરમેશ્વર, પ્રાચીન, ત્રિમૂર્તિ, ચમત્કાર, ઇતિહાસ, રસપ્રદ          

 

Read Full Post »

%d bloggers like this: