Feeds:
Posts
Comments

Posts Tagged ‘કાશ્મિરનું રક્ષણ કરવું આપણી ફરજ’

સ્વાવલંબન શું નિરપેક્ષ છે?

સ્વાવલંબન શું નિરપેક્ષ છે?

આપણે સૌ જાણીએ છીએ કે આઈન્સ્ટાઈને સાપેક્ષ વાદ શોધ્યો. એટલે સામાન્ય રીતે કેટલાક મૂર્ધન્ય સહિતના લોકો, સાપેક્ષવાદને ભૌતિક શાસ્ત્રનો વિષય સમજે છે.

આમ તો સમાજ શાસ્ત્રના નિયમો પણ સાપેક્ષ હોય છે. જેમકે ગાંધીજીએ અહિંસાને પણ સાપેક્ષ જ ગણાવેલી. એટલે કે ઓછામાં ઓછી હિંસા એટલે અહિસા.

આઇન્સ્ટાઈનની બીજી પણ એક થીએરી હતી તે “યુનીફાઈડ ફીલ્ડ થીએરી” હતી.

સંભવ છે કે આ થીએરી આઈન્સ્ટાઈને આદિ શંકરાચાર્યની અદ્વૈતવાદ માંથી કલ્પી હોય. આ અદ્વૈતવાદ, શંકરાચાર્યે વેદોમાંથી પુનર્‍પ્રસારિત કર્યો હતો એમ તેઓ કહેતા હતા.

અદ્વૈતવાદ આમ તો પ્રચ્છન્ન “યુનીફાઈડ થીએરી ઓફ એન્ટીટી” હતો.

આઈન્સ્ટાઈન પોતાની આ થીએરીને સિદ્ધ કરી શક્યા ન હતા. શંકરાચાર્ય અદ્વૈત વાદને સિદ્ધ કરવામાં માનતા ન હતા. પણ તેમણે તે સમયના અસ્તિત્ત્વ ધરાવતા બધા જ વાદોને પરાજિત કર્યા હતા. પણ આપણે આ બધી વાતો  નહીં કરીએ.

સ્વદેશી

મોદી સાહેબે કહ્યું કે આપણે સ્વદેશી ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. ઉત્પાદન આપણે આપણા દેશમાં જ કરીએ અને વિદેશો ઉપર અવલંબન ન રાખીએ. મેક ઈન ઈન્ડિયા નો સિંહ યાદ કરો.

આમ તો ગાંધીજી પણ સ્વદેશી માં માનતા હતા. તેમણે ખાદી અને ગ્રામોદ્યોગોને મહત્વ આપ્યું હતું. જોકે તે વખતે કેટલાક મહાનુભાવોએ તેનો વિરોધ કરેલ. પણ જ્યારે સ્વદેશીના પ્રચારથી જે જનજાગૃતિના પરિણામો આવ્યા તે પછી આ મહાનુભાવોએ તેનો વિરોધ બંધ કરેલ.

આજના જમાનામાં જો મૂર્ધન્યો, સ્વદેશીનો ગાંધીજીના નામ હેઠળ વિરોધ કરે તો તો ભારે ટીકા થાય. કારણકે જમાનો બદલાઈ ગયો છે. કેટલાક મોડર્ન બાવાઓ સ્વદેશી અને અહિંસાનો વિરોધ કરે છે. પણ તેમની વાત આપણે અહીં  નહીં કરીએ. પણ જો કોઈ “તડ અને ફડ”વાળા સુપર વાર્ધક્યમાં પહોંચેલાને જો “સ્વદેશી”નો વિરોધ કરવો હોય તો કેવી રીતે કરે?

નરેન્દ્ર મોદીને ભાંડવાની ફેશન હજુ આઉટ ઓફ ડેટ થઈ નથી, એમ ઘણા લોકો માને છે. આપણા તડ-ફડવાળા મૂર્ધન્ય તેઓમાંના એક હોય એવું લાગે છે.

જો બાવા બન્યા હૈ તો હિન્દી તો બોલના પડેગા. એ નાતે, તટસ્થ બન્યા હૈ તો મોદી કે વિરુદ્ધ તો કભી ન કભી તો બોલના હી પડેગા.

“સ્વદેશી” ભલે ગાંધીજીએ પુરસ્કૃત કરેલો આઇડિયા હોય. પણ આર.એસ.એસ.વાળા પણ સ્વદેશીમાં માને છે. જો કે તેઓ કેટલી ખાદી પહેરે છે કે પહેરતા હતા તેની આપણે ચર્ચા નહીં કરીએ. પણ નરેન્દ્ર મોદી તો ખાદીમાં અને ગૃહ ઉદ્યોગમાં માને છે. સખી મંડળો કરોડો રુપીયાનો ટર્ન ઓવર કરે છે.

સ્વદેશી એટલે શું?

“સ્વદેશી” પણ અહિંસાની જેમ સાપેક્ષ છે. વિદેશમાં થયેલા ઉત્પાદનની સાપેક્ષે દેશમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. બંગાળમાં થયેલા ઉત્પાદનની સાપેક્ષે ગુજરાતમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. સૂરતમાં થયેલા ઉત્પાદનની સાપેક્ષે ભાવનગરમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. વડવા માં થયેલા ઉત્પાદનની સાપેક્ષે કોબડીમાં રહેતા માણસો માટે કોબડીમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. કોબડીમાં થયેલા ઉત્પાદન કરતાં તમારા ઘરમાં જ થયેલું ઉત્પાદન સ્વદેશી છે. પણ ઉત્પાદિત આઈટેમ એ જ હોવી જોઇએ. એટલે ગાંધીજી પૂછતા કે તમે કેટલા ગામોને ખાદી પહેરતા કર્યા એટલે કે ખાદી માટે સ્વાવલંબી કર્યા.

“જે વસ્તુ તમારા દેશમાં ન બનતી હોય કે ન બની શકતી હોય, તમે તેને વિદેશથી આયાત કરી શકો છો.” એમ ગાંધીજી કહેતા.

પણ કઈ વસ્તુનું સ્વદેશી કરણ કરવું તે તેની માંગ ઉપર અવલંબે છે.

મોરારજી દેસાઈની જનતા પાર્ટી અને ઇન્દિરાની કોંગી

ઇન્દિરા ગાંધી પોલીયસ્ટર યાર્નમાંથી ગૃહૌદ્યોગ દ્વારા કાપડ તયાર કરવામાં માનતાં ન હતાં. પણ મોરારજી દેસાઈ પોલીયસ્ટર ખાદીમાં માનતા હતા.

વિકસિત દેશો તેમના ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો ને ભંગારમાં નાખતા હતા ત્યારે ઇન્દિરા ગાંધી દેશમા ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો બનાવતી, અને આયાત પણ કરતી હતી. ૧૯૭૭માં જનતા પાર્ટીના જોર્જ ફર્નાડીસે ડીજીટલ ઇલેક્ટ્રોનીક્સ ટેલીફોન એક્સચેન્જનું ટેક્નોલોજી ટ્રાન્સફર સહિત નું ગ્લોબલ ટેન્ડર બનાવ્યું અને બહાર પણ પાડ્યું. જનતા પાર્ટીની સરકાર પડી ગઈ. પણ આ ટેન્ડરમાં પરોઠા પગલાં ભરવા શક્ય ન હતું તેથી ૧૯૮૦-૮૨માં આ ટેન્ડરોને ઇવેલ્યુએટ કરી ફ્રાન્સની અલ્કાટેલ કંપનીની તરફેણમાં ફાયનલ કરેલ અને તેને ૪૦/૬૦ લાખ લાઈન ટેલીફોન એક્સચેન્જ માટેના ઓર્ડર આપેલ. ૧૯૮૩ની શરુઆતથી જ વર્લી-મુંબઈમાં તેનું ઇન્સ્ટોલેશન પણ ચાલુ થઈ ગયેલ.

યાદ રાખો, તે વખતે આપણા રાજિવ ભાઈ કે તેના મિત્ર સામ પિત્રોડાજી, ક્ષિતિજ ઉપર પણ ક્યાંય દેખાતા ન હતા. ઈલેક્ટ્રોનિક ક્રાંતિના બીજ તો ૧૯૭૯-૮૦મં અંકૂરિત થઈ ગયા હતા. પણ આપણા મહાનુભાવોએ તેનો યશ રાજિવભાઈને આપ્યો. આની ચર્ચા આપણે આ જ બ્લોગ સાઈટ ઉપર અન્યત્ર કરી ચૂક્યા છીએ. એટલે આ વાતને લંબાવીશું નહીં.

મહાત્મા ગાંધીને કે તેમના યથાર્થ અનુયાયીઓને અને ગાંધીજીના માનસપુત્ર વિનોબા ભાવેને વિદેશીમાલનો છોછ ન હતો. તેઓ કોઈ વાદમાં પણ માનતા ન હતા

નરેન્દ્ર મોદીને પણ વિદેશી ઉત્પાદનનો છોછ નથી. આ વાત આપણે સૌ જાણીએ છીએ. પણ તેથી કરીને સ્વદેશી ઉત્પાદનની વાત કરવી અને તેને અનુલક્ષીને પગલાં લેવાં એ કંઈ ગુનો નથી.

નોકરી અને ધંધામાં ફેર શો?

નોકરીમાં આપણે આપણા પૈસાનું રોકાણ કરવું ન પડે. એટલે નોકરીમાં, નોકરીમાંથી ફારેગ થવા સિવાય બીજું કશું ખાસ રીસ્ક હોતું નથી.

ચીલા ચાલુ અર્થમાં, ધંધા બે જાતના હોય છે. ઉત્પાદન કરવાનો ધંધો. ઉત્પાદિત માલની વહેચણીનો ધંધો.

ખાસ કરીને તમે ઉત્પાદન કરવામાં શી રીત રસમો અપનાવો છો અને વહેંચણીમાં પણ કઈ રીત રસમો અપનાવો છો તેની ઉપર તમારું (સમાજનું) ચારિત્ર્યનું ઘડતર અવલંબે છે.

અર્થશાસ્ત્રમાં ઘણા વાદો છે. અને આ વાદોના નિષ્ણાતો હોય છે. આ નિષ્ણાતો, અર્થશાસ્ત્રના પરિબળોને ઓળખતા હોય છે આ પરિબળોને કન્ટ્રોલમાં રાખવા માટે, તેમની પાસે પોતાની માન્યતાઓ અને પોતાની વ્યુહરચનાઓ હોય છે. તમે આ સમજણને જેટલી વધુ ક્લીષ્ટ અને અમૂર્ત (એબસ્ટ્રેક્ટ) બનાવી શકો તેટલા તમે વધુ નિષ્ણાત ગણાવ. આવું ઘણા બધા લોકો (મૂર્ધન્યો સહિત) માનતા હોય છે. દેશના અર્થતંત્રને ખાડે લઈ જનાર, મનમોહન સિંહ મોટા અર્થશાસ્ત્રી મનાય છે. ભણેલ ગણેલ પણ અનીતિમત્તાનો છોછ નહીં, તેથી દોષનો ટોપલો બેક સીટ ડ્રાઈવર સોનિયા ગાંધી ઉપર નાખી દેવામાં આવે છે.

નરેન્દ્ર મોદી તે કંઈ અર્થશાસ્ત્રી છે!!

“સાલુ … નરેન્દ્ર મોદીએ ખરું કર્યું. ૨૦ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું. સ્વદેશીનું ભાષણ આપી દીધું તે જુદું. મોંઘા અને બ્રાન્ડેડ ગોગલ્સ પહેરે છે અને સ્વદેશી અપનાવવાની વાતો કરે છે. આ મોદીનો તો કચરો કરી નાખવો છે.

મોદીને કેવીરીતે વગોવીશુ?

આ મોદી …. એક તો મગન માધ્યમમાં ભણેલો છે. અને તેપણ ગામડાની કોલેજમાં ભણેલો છે. કોને ખબર શું ભણ્યો હશે.

આપણને પ્રધાન મંત્રી તો, હાર્વર્ડ, કેમ્બ્રીજ કે કમસે કમ જીન્ના નહેરુ યુનીવર્સીટી (જે.એન.યુ.)માં ભણેલો હોય એવો જ ખપે. ભલે આપણે મહાત્મા ગાંધીજીની સ્વદેશીની વાતો કરીએ. ગાંધીજી પોતે જ ઈંગ્લેન્ડમાં જ બાર એટ લૉ થયેલા હતા ને!! હાલનો પ્રધાન મંત્રી તો સાવ ગધુભાઈ જેવો છે.

“તડ-ફડ”વાળા મૂર્ધન્ય બોલ્યા;

“મોદી બોલ્યા એમાં મુદ્દા ઓછા અને શબ્દો વધુ હતા” એવું ઠોકો. (આને સિદ્ધ કરવાની જરુર નથી). “ગાંધીજી તો વહેવારુ હતા”….  (એટલે કે નરેન્દ્ર મોદી વહેવારુ નથી એ વાત આપોઆપ સિદ્ધ થઈ ગયેલી માનો).

સ્વદેશીને સાપેક્ષવાદના પરિપેક્ષ્યમાં ન જુઓ. આપણે તો મહા વિદ્વાન અને તટસ્થ છીએ એટલે નિરપેક્ષતામાં માની છીએ, પણ શબ્દોની રમત ચાલુ રાખો. “સ્વદેશી, આત્મનિર્ભરતા, જમાનાની જરુરીયાતો, જમાનાના સંજોગો, ભણતર બધું જે કંઈ સવાસો વર્ષ પહેલાં હતું તેમાંનું આજે બધું બદલાઈ ગયું છે. ગાંધીજીએ કોમ્પ્યુટર ક્યાં જોયું હતું? … “હેં?

“ગાંધીજીનું સ્વદેશીનું સૂત્ર આજના જમાનામાં અસરકારક ન ગણાય. બધું જ પરિવર્તનશીલ છે… ” એવું ઠોકો. “આજના જમાનામાં સ્વદેશી રહેવું પોષાય નહીં. આધુનિક શસ્ત્રો અમેરિકા પાસે થી લેવા જ પડે. અને અમેરિકાએ આપણી પાસે દવાની ભીખ માંગવી પડે. હે મોદી સાહેબ, તમને સત્તા મળી ગઈ એટલે બધું જ્ઞાન પણ મળી ગયું એવું ન માનો. …”.

હવે આપણે થોડી રાજીવ ગાંધીભાઈની પ્રશંસા કરી નાખીએ. તેમની આર્ષ દૃષ્ટિનું વિવરણ નહીં કરીએ. કારણકે એમાં તો ક્યાંક આપણે જ ફસાઈ જઈએ એવી શક્યતા છે. આપણે કંઈક બભમ બભમ કહીએઃ

“આવતી કાલનું ભારત કેવું હોય અને કેવું હોવું જોઇએ તે બાબતનો સૌથી સચોટ અને સૌથી વધારે સ્વિકાર્ય ખ્યાલ રાજીવ ગાંધીએ ૧૯૮૫માં આપ્યો હતો. આજે ભલે એક પેઢી પૂરી થઈ ગઈ હોય. પણ રાજીવ ગાંધીનું આ ઉદ્‌બોધન આજે ય એટલું જ ચોટડૂક (ચોંટેલું) અને એટલું જ પ્રેરણાદાઈ છે…..”

આમાં આપણે સમજવું શું?

આ તો ૧૯૮૫ની વાતો છે. મીસ્ટર ક્લીને યુનીયન કાર્બાઈડના એન્ડરસનને સરકારી વાહનમાં બેસાડી ભગાડી દીધેલ. તે વાતને દબાવી દીધેલી. પણ અહીં એ વાત અસ્થાને છે. જો કે આમ તો આર્ષદૃષ્ટા માણસ માટે અનીતિના દુષ્પરિણામોની આર્ષ દૃષ્ટિ હોવી જોઇએ. પણ એ વાતને જવા દો. રાજીવભાઈએ કરેલું શું? તેમના આઈડીયાઓ કેવા હતા?

તેઓ દેશમાં ડીજીટલ ઈલેક્ટ્રોનિક્સની ક્રાંતિ લાવેલા?  તેઓ દેશમાં કોમ્પ્યુટર લાવેલા? તેઓ દેશમાં સોફ્ટવેર લાવેલા?

ના જી.  ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ ના ઓર્ડર નો પાયો તો ૧૯૭૮માં નંખાયેલો. ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ સોફ્ટવેર પ્રોગ્રામ આધારિત હોય છે. સ્ટ્રોર્ડ પ્રોગ્રામ કન્ટ્રોલની ટ્રેનીંગ ૧૯૭૮માં “એડવાન્સ લેવલ ટ્રેનીંગ સેન્ટર” ગાઝીયાબાદમાં શરુ થઈ ગયેલી. સોફ્ટવેર વગર ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ ચાલે જ નહીં. ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ માટે ડેડીકેટેડ કોમ્પ્યુટર એક ટેસ્ટીંગ પેરીફેરલ હોય છે. એટલે કોમ્પ્યુટર પણ તાજા જન્મેલા બાળક જેવા ન હતા. તમે જ્યારે ડીજીટલ ઈલેક્ટ્રોનીક્સને લાવો એટલે પર્સનલ કોમ્પ્યુટર આવેલા જ હોય છે. વરસાદ પડે એટલે નદીમાં પાણી આવે જ. પહાડો ઉપર ધોધ પડવા શરુ થાય જ. સમયનો સવાલ છે. પણ જે આવવાનું છે તે આવવાનું જ છે.

વાત એમ છે કે રાજીવભાઈએ કોમ્પ્યુટર માટે કેટલીક છૂટછાટ આપેલી. જે આમ તો હાસ્યાસ્પદ હતી. રાજીવભાઈની કોમ્પ્યુટર વિષેની અજ્ઞાનતા દર્શાવતી હતી.

શું હતી આ છૂટ છાટ?

computer paper

તે વખતે ભારતમાં કદાચ મોટેભાગે, પ્રીન્ટર સાથે કન્ટીન્યુઅસ (સળંગ) અને ડાબી-જમણી કિનારીઓ ઉપર પરફોરેટેડ (કાણાવાળો) પેપર વપરાતા હતા. કદાચ રાજીવભાઈનો અને સરકારી અફસરો નો ખ્યાલ એવો હતો કે આવો સળંગ પેપર જ કોમ્પ્યુટરયુગની ઓળખ છે. આ પેપરની રચના એવી હોય છે કે, એક તો તે સળંગ હોય, તેની બંને કિનારઓ ઉપર કાણાઓ હોય છે, જેથી જ્યારે પ્રીંટ થતો હોય ત્યારે તે પેપર સીધો રહે. આવા પેપરને ટેક્ષમાંથી મૂક્તિ આપવામાં આવી હતી. હજી પણ બેંકો આવા પેપર વાપરે છે. બેંકોના કર્મચારીઓને કે સાહેબોને એટલું પ્રાથમિક જ્ઞાન પણ હોતું નથી કે પેપર ના માર્જીન (હાંસીયા) સેટ કરી શકાય છે.  ફોન્ટને પણ સેટ કરી શકાય છે.. આમ કરશું તો જે પ્રીન્ટ થયું છે તેનો અર્થ સરશે. પણ આ તો અલગ વાત છે. આપણા રાજીવ ભાઈ ના કોમ્પ્યુટરના ખ્યાલ કંઈક આવા હતા.

ટેક્નોલોજી હમેશા વિકસતી જ હોય છે. જેઓ તેના ઉપયોગ સાથે સંકળાયેલા હોય છે તેમને ટેક્નોલોજીની નવી નવી ક્ષમતાઓની ખબર હોવી જ જોઇએ. આ ક્ષમતાના ક્ષેત્ર વિષે વિચારીએ તો આપણે અચૂક કહી શકીએ કે રાજીવભાઈ તેમના જમાનામાં રહેલી ટેક્નોલોજીની ક્ષમતા જેટલી હતી અને તે ક્ષમતા વિષે તેમનું જે જ્ઞાન હતું, તેના કરતાં નરેન્દ્ર મોદી હાલમાં પ્રવર્તમાન ટેક્નોલોજીની જે ક્ષમતા છે તેના વિષે વધુ જાણે છે.

આ એક બહુ જ મહત્ત્વની વાત છે. સામાન્ય રીતે મોટા મોટા અધિકારીઓ પણ, ભલે પછી તે કોઈ પણ ક્ષેત્રના હોય, તેઓ પોતે પોતાને શું જોઇએ છે તે વિષે જાણતા હોતા નથી. તકનિકી ક્ષમતાની તો વાત ક્યાં કરવી! આવા અધિકારીઓમાં ઉચ્ચ સરકારી અફસરો સહિતના, અફસરો પ્રથમ ક્રમે આવે છે.

સંરક્ષણ ક્ષેત્રમાં સ્વાવલંબનઃ

આની કલ્પના તો નહેરુને ચીનના ભારત ઉપરના સરળ વિજય પછી લાધી હતી. તે માટે તેમણે સંરક્ષણ ખાતાને બે વિભાગમાં વહેંચ્યું હતું. તેમાનું એક સંરક્ષણ ઉત્પાદન ખાતું હતું. આ તો લાંબી વાત છે. પણ તડ-ફડ વાળા ભાઈ ભૂલી ગયા લાગે છે. નહેરુનો આ રાજકારણીય નિર્ણય હતો. ઓળઘોળ કરીને યુદ્ધની હારનો દોષનો ટોપલો મેનનને માથે નાખી દીધેલો. પણ મેનન તો એમના પાકા ગલગલતા મિત્ર હતા. મેનનને હટાવવાના દબાણને કારણે કેવીરીતે હેમખેમ બહાર આવવું એ નહેરુની સમસ્યા હતી. આ વાત લાંબી છે અને અહીં અપ્રસ્તુત છે. સંરક્ષણ બાબતમાં સ્વાવલંબન સિદ્ધ કરવાનો સંકલ્પ ૧૯૬૨નો છે.

સંરક્ષણ બાબતમાં કેટલું સ્વાવલંબન સિદ્ધ થયું તે બાબત, આ શતાબ્દીના પ્રથમ દશકામાં સેનાએ જ્યારે સંરક્ષણ યંત્રોના સ્પેરપાર્ટ્સની તંગીની વાત રજુ કરી, તેના ઉપરથી ખ્યાલ આવી શકે છે.

ભારતમાં બૌધિક ગરીબાઈ છે?

આપણો દેશ બૌધિક સંપત્તિમાં (ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીમાં) ગરીબ નથી. નવી શોધખોળો માટે સક્ષમ છે. “ટેક્નોલોજી ટ્રાન્સફર સાથે ભારત સંરક્ષણ ક્ષેત્રે જોઇએ તેવું ઉત્પાદન કરવા સક્ષમ છે.

ભારત માટે ખાટલે ક્યાં ખોટ છે.

ભારતમાં સામાજીક અને રાજકીય સમસ્યાઓ અને તે પણ “કોંગી”એ અને તેના સાંસ્કૃતિક સહયોગીઓએ તેઓની પ્રાથમિકતા સ્વકેન્દ્રી હોવાને કારણે ઉભી કરેલી છે.

ગાંધીજી, વિનોબા અને નરેન્દ્ર મોદીના સ્વદેશી (સ્વાવલંબનમાં) ભીન્નતા શું છે?

સૈદ્ધાંતિક રીતે કશી જ નહીં. ગાંધીજી પણ સંરક્ષણ ક્ષેત્રે સ્વવલંબનમાં માનતા હતા. તેઓ એ કહ્યું હતું કે જ્યારે બીજા દેશો અદ્યતન શસ્ત્રોથી સજ્જ હોય ત્યારે આપણે અહિંસાની વાત ન કરી શકીએ. જ્યારે પાકિસ્તાને કાશ્મિર ઉપર આક્રમણ કર્યું ત્યારે સરદાર પટેલ અને નહેરુ ગાંધીજીની સલાહ લેવા ગયા. ગાંધીજીએ ઘડીનો પણ વિલંબ કર્યા વગર કહી દીધું કે કાશ્મિરનુ રક્ષણ કરવું આપણી ફરજ છે.

ગાંધીજી લોકોની અપેક્ષાઓને સમજતા હતા. વિનોબા ભાવે થોડા નિરપેક્ષતા વાદી હતા. કેટલાકના મત પ્રમાણે, વિનોબા ભાવે પ્રત્યે, લોકોની અપેક્ષા શું છે તે વાત તેઓ સમજતા ન હતા. તો કેટલાકના અભિપ્રાય પ્રમાણે લોકોની અપેક્ષાઓને તેઓ સમજતા હતા પણ તે પ્રમાણે તેઓ પોતાની જાતને ઢાળવા માગતા ન હતા. ગાંધીજી અને વિનોબા બંને, કોઈ વાદમાં માનતા ન હતા. વિનોબા ભાવે “વાદ”ને બૌદ્ધિક પછાતપણુ માનતા હતા.

નરેન્દ્ર મોદી, ગાંધીજીના “સ્વદેશી”થી અજ્ઞાત નથી. અને લોકોની તેમના પ્રત્યેની અપેક્ષાઓને પણ તેઓ સમજે છે. નરેન્દ્ર મોદી પોતાના કામના પ્રચારમાં પણ માને છે. જ્યારે જનતાનો પ્રાભાવિક હિસ્સો અજ્ઞાની અને ગરીબ હોય ત્યારે પ્રચાર જરુરી બની જાય છે. જો તમે આમ ન કરો તો તમારા વિરોધીઓ તેનો લાભ લઈ જઈ શકે છે. આ વાતની અનુભૂતિ આપણને ૨૦૦૪ની ચૂંટણીના પરિણામોમાં જોવા મળી હતી. સમાચાર માધ્યમોનો વ્યાપ અતિ વિશાળ હોવા છતાં કોંગીઓ કેવી કેવી અફવાઓ ફેલાવે છે તે આપણે જાણીએ જ છીએ. ટકી રહેવા માટે પણ  પ્રચાર આવશ્યક બની જાય છે.

શું ૧૦૦ ટકા સ્વદેશી વાપરવું આવશ્ય્ક છે?

૧૯૭૭માં જ્યારે જનતા પક્ષની સરકાર આવી ત્યારે મોરારજી દેસાઈએ ખાદીને સરકારી સંસ્થાઓ માટે ફરજીયાત બનાવી હતી. આ વાત ઘણા અર્થશાસ્ત્રીઓને પસંદ ન હતી. તેઓ કહેતા હતા કે જો બધા જ ખાદી પહેરશે તો પછી મીલનું કાપડ વાપરશે કોણ. જવાબ હતો, કે તેની નિકાસ કરો. હુંડીયામણ મળશે. વળતો સવાલ હતો, કે તો પછી આટલા બધા હુંડીયામણને દેશ કરશે શું? આ બેહુદો સવાલ હતો.

નરેન્દ્ર મોદી પણ ખાદી ગ્રામોદ્યોગના ઉત્પાદનના વપરાશને સરકારી ખર્ચાઓમાં ફરજીયાત બનાવી શકે છે. સરકારી નોકરો તેમજ જે સંસ્થાઓ સરકારી સબ્સીડીઓ લે છે તે સૌ માટે પણ સ્વૈચ્છિક રીતે ખાદી પહેરવાની અને ગ્રામોદ્યોગ-વપરાશની ભલામણ કરી શકે છે. ગરીબીને તાત્કાલિક રીતે દૂર કરવાનો આ એક માત્ર રસ્તો છે. કોંગી માટે આ રસ્તો હાથવગો હતો. પણ તેને તો માત્ર દંભ કરવો હતો અને તેની પ્રાથમિકતા માત્ર સત્તા જ હતી.

અન્ન વસ્ત્ર અને રહેઠાણમાં જો ફરજીયાત સ્વાવલંબી થઈએ તો બાકી શું રહેશે?  સરકાર માટે તો ઘણું બાકી રહેશે. પણ જો જનતા સ્વાવલંબી બનશે તો જનતામાંથી આવતા નોકરો જેઓ સરકાર ચલાવે છે તેઓમાં સ્વાવલંબનની ધગશ ઉત્પન્ન થશે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

(તાતસ્ય કૂપોયમીતિ બ્રુવાણા ક્ષારં જલં કા પુરુષા પિબન્તિ) અર્થાત્‌

તાતસ્ય કૂપઃ અયમ્‌ ઈતિ બ્રુવાણાઃ

ક્ષારં જલં કા પુરુષા પિબન્તિ

(આ કૂવો તો બાપાનો છે. માટે ભલે આ કૂવાનું પાણી ખારું હોય તો પણ પીવો. આવું કાપુરુષ કરે છે.)

દાખલોઃ

૧૯૭૦ના દશકામાં વિકસિત દેશો તેમના ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો ને ભંગારમાં નાખતા હતા ત્યારે ઇન્દિરા ગાંધી દેશમા ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો બનાવતી,(અને આયાત પણ કરતી હતી).

Read Full Post »

%d bloggers like this: