Feeds:
Posts
Comments

Posts Tagged ‘ગાંધીવાદીઓ’

ગાંધીબાપુ ક્યાં સુધી જીવશે? – ૨

શું હાલના ગાંધીવાદીઓ ગાંધીવાદને જીવાડી શકશે?

ના જી.

જેમના તરફ થી આશા હતી, તેમાંના કેટલાકે નિરાશ કર્યા છે, તો કેટલાક માની લીધેલા અસ્તિત્વ માટે પથભ્રષ્ટ થયા હોય તેવું લાગે છે.

આ લોકો કોણ હતા.

ગાંધીબાપુ ક્યાં સુધી જીવશે - ૨

પહેલાં તો આપણે સમજવું જોઇએ કે ગાંધીવાદીઓ કોણ હતા અને કોની પાસે આશા રાખી શકાય.

જો પચાસના દશકાની વાત કરીએ તો ઘણા બધા ગાંધીવાદીઓ કોંગ્રેસમાં અને કોંગ્રેસની બહાર હતા.

મોટાભાગનાઓએ તો કોંગ્રેસ છોડી દીધી હતી, અને ગાંધી ચીંધ્યા માર્ગે ગામડાઓમાં અને શહેરોમાં સંસ્થા બનાવી કામ કરતા હતા.

ગાંધીવાદીઓ દેશને બચાવવા પટમાં આવ્યા

સંસ્થાઓ ચલાવતા મોટા ભાગના ગાંધીવાદીઓએ, જ્યારે દેશને નહેરુવીયન કોંગ્રેસની સરમુખત્યારીથી બચાવવાની જરુર પડી ત્યારે પટમાં આવ્યા હતા. તેઓ સૌ વિદ્વાન અને ભણેલા ગણેલા હતા. ગાંધીવાદ વિષે તેમના વિચારો મોટે ભાગે સ્પષ્ટ હતા. નહેરુવીયન કોંગ્રેસને ભાંડ્યા વગર કોઈને આડા આવ્યા વગર, તેઓ ગરીબોનું કામ કરતા હતા કે ગાંધી વિચારધારાને પ્રચારિત કરવાનું કામ કરતા હતા.

કેટલાક કોંગ્રેસમાં રહ્યા. પણ જ્યારે કોંગ્રેસના ભાગલા પડ્યા ત્યારે તેઓ કોંગ્રેસ (ઓ=સંસ્થા) સાથે રહ્યા. મોરારજી દેસાઈ, કૃષ્ણવદન જોષી, હિતેન્દ્ર દેસાઈ, બાબુભાઈ જશભાઈ પટેલ, બાબુભાઈ વાસણવાળા ….

વીવી ગીરી જીતી ગયા

જ્યારે ૧૯૭૧માં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીના ઉમેદવાર વીવી ગીરી જીતી ગયા ત્યારે જશવંત મહેતા, મનુભાઈ શાહ જેવા ઘણા નેતાઓ ઈન્દિરા કોંગ્રેસમાં ભળી ગયા. ૧૯૭૧માં વળી ઇન્દિરા કોંગ્રેસ લોકસભાની ચૂંટણી જીતી ગઈ એટલે વધુ લોકો તેની કોંગ્રેસમાં ભળી ગયા. એટલે કોણ ક્યાં છે અને શા માટે છે તે ઇન્દિરા કોંગ્રેસે સ્પષ્ટ કરાવ્યું.

જ્યારે સૌરાષ્ટ્ર રાજ્ય હતું ત્યારે ઢેબરભાઈ અને તેમનું મંત્રીમંડળ ૫૦૦ રુપિયા માસિક વેતન લેતા હતા. કારણ કે આ ગાંધીજીનો આદેશ હતો. બધા જ પ્રધાનોના આવાસ સાદા હતા. તેમને કોઈને સુરક્ષાની જરુર ન હતી. કારણ કે તેઓના કોઈ દુશ્મન ન હતા. ગુંડાગર્દી જેવું કશું હતું નહીં.

૫૦૦ રુપીયાનો પગાર તે સમયે ઓછો ન ગણાય. પણ બીજા બધાનો પગાર એથી પણ ઓછો હતો.

સરકારી નોકરોનો પગાર ૭૦ રુપીયા હતો. હેડ ક્લાર્ક નો ૧૪૦ રુપીયા હતો. ગેઝેટેડ અધિકારી વર્ગ – ૨ નો પગાર ૨૫૦ હતો. વર્ગ -૧ નો ૩૫૦ રુપીયા હતો. જીવરાજ મહેતાએ સરકારી નોકરોના પગાર વધારા માટેની કેન્દ્રની ગ્રાન્ટ પરત કરેલી. જીવરાજ મહેતા નહેરુના માણસ હતા. અને તેમને તેમના કર્મચારીઓના ભોગે પોતાનો વટ પાડવો હતો. સરકારી નોકરોને, સરકારે  એટલો તો પગાર આપવો જ જોઇએ કે તેઓ સુખેથી જીવન જીવી શકે. તે વખતે નૈતિકતાથી જીવતા કર્મચારીઓ માટે મહિનાના છેલ્લા દિવસો મુશ્કેલી ભરેલા જતા હતા.

૬૦ના દશકાથી કે તે પહેલાંથી લાંચરુશ્વત ચાલુ થઈ ગઈ. એન્જીનીઅરીંગ ખાતાઓમાં અને પોલીસમાં તો પહેલેથી જ ભ્રષ્ટાચાર હતો.

ધીમે ધીમે અમુક જનપ્રતિનિધિઓ તેમની સાથે ભાગ રાખવા લાગ્યા. ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચાર ઓછો હતો. કોંગ્રેસ તૂટી એટલે આ ભ્રષ્ટાચાર પુરબહારમાં ચાલુ થયો. કેન્દ્રમાં ઇન્દિરા કોંગ્રેસની સરકાર આવી એટલે દાણચોરી અને ગુંડાગર્દી પણ પુરબહારમાં ચાલુ થઈ ગઈ.

ગુજરાતમાં ગાંધીવાદીઓ હતા. ધીમે ધીમે બધા ખસવા લાગ્યા.

આજીવન કોંગ્રેસની સામે લડનારા ઇન્દુલાલ યાજ્ઞિક, ઇન્દિરા કોંગ્રેસના વાવટામાં લપેટાઈ પરલોક ગયા. આવું જ હિતેન્દ્ર દેસાઈનું થયું.

કટોકટીમાં કેટલાકે ઇન્દિરા કોંગ્રેસ છોડી પણ જ્યારે કોંગ્રેસ (ઓ) નું વિસર્જન થયું એટલે ઢેબર ભાઈ જેવા પણ ઇન્દિરા કોંગ્રેસમાં જોડાઈ ગયા. રાજિવ ગાંધી સત્તા ઉપર આવ્યા એટલે કૃષ્ણવદન જોષી જેવા પણ ઈન્દિરા કોંગ્રેસમાં જોડાઈ ગયા.

સંસ્થા કોંગ્રેસને પુનર્જિવિત કરવાવાળું કોઈ હતું નહીં.

મોરારજી દેસાઈ પક્ષીય રાજકારણથી નિવૃત્ત થયા હતા.

સીત્તેરના દશકામાં સર્વોદય-પાત્ર, સર્વોદય-સાહિત્ય, લોકસ્વરાજ્ય, શાંતિસેના જેવી સંસ્થાઓ કાર્યરત હતી. આ સંસ્થાઓમાં એના એજ લોકો દેખાતા હતા પણ તેનું અસ્તિત્વ જરુર હતું. હાલ જોઇએ તો ગાંધીજી સાથે સંપર્કમાં રહેલી કે વિનોબા ભાવે સાથે સંપર્કમાં રહેલી અત્યંત જૂજ વ્યક્તિઓ જીવિત છે. તેમાંની કેટલીક વ્યક્તિઓ પથભ્રષ્ટ થઈ ગઈ હોય તેવું લાગે છે.

“પથભ્રષ્ટ” એટલે કે વૈચારિક રીતે સમજવું. આ વ્યક્તિઓ આર.એસ.એસ. પરત્વેના ફોબિયામાંથી મૂક્ત થઈ નથી કે થવામાં માનતી નથી, એવું લાગે છે. આ વ્યક્તિઓ નહેરુવીયન કોંગ્રેસની ભાષા પોતાના શબ્દોમાં બોલે છે. આર.એસ.એસ. ના સારાં કામો તેમને દેખાતાં જ નથી.

હવે તમે સરખાવો.

જ્યારે ઇન્દિરા ગાંધી ૧૯૭૭ની ચૂંટણી હારી ગયાં અને એક વર્ષ ચૂપ રહ્યાં. પણ તે પછી તેણી જ્યારે વિનોબા ભાવેના આશ્રમમાં રહેવા ગયાં ત્યારે આજ લોકોએ તેમને “કટોકટી”ના મહા-અપરાધી હોવાં છતાં બિરદાવ્યાં હતાં. ઇન્દિરા ગાંધીનું આ પ્રાસંગિક વર્તન કેવળ અને કેવળ રાજકીય સ્ટંટ જેવું જ હતું તો પણ તેમને બિરદાવ્યાં હતાં.

લાખો રુપિયામાં મળતા મીંકકોટને ઠાંગી લેનાર ઇન્દિરા ગાંધીને આ સર્વોદય વાદીઓ બિરદાવી શકે છે. હાજારો માણસોને કારણવગર કારાવાસમાં ગોંધી રાખાનાર ઇન્દિરા ગાંધીને આ સર્વોદય વાદીઓ બિરદાવી શકે છે. જયપ્રકાશ નારાયણને મરણતોલ ફટકો મારનાર ઇન્દિરા ગાંધીને આ સર્વોદય વાદીઓ બિરદાવી શકે છે.

આ સર્વોદયવાદીઓનું વલણ નરેન્દ્ર મોદી પ્રત્યે કેવું છે?

ઈન્દિરા પરત્વે જે હતું તેનાથી વિરુદ્ધ તેમનું વર્તન નરેન્દ્ર મોદી પરત્વે છે. તેમના કાટલાં નહેરુવીયન કોંગ્રેસ જેવાં છે.

શું નરેન્દ્ર મોદીએ કોઈને કારણ વગર જેલમાં પૂર્યા છે?

શું નરેન્દ્ર મોદીએ કોઈની ઉપર નગ્નતા પૂર્વકનો પ્રતિશોધ લીધો છે કે વિવાદાસ્પદ પણ પ્રતિશોધ લીધો છે?

શું નરેન્દ્ર મોદી ગેરકાયદેસર કાર્યશૈલી થકી વડાપ્રધાન બન્યા છે?

ના જી આવું તો તેમણે કશું કર્યું નથી.

ઓકે. ચાલો… નરેન્દ્ર મોદીએ વિમુદ્રીકરણ કર્યું હતું તો શું તેમણે સર્વોદયવાદીઓને કે દેશને નુકશાન કરવા માટે કરેલું અને અથવા દેશને એથી કરીને નુકશાન થયું છે?

તેવીજ રીતે જીએસટી કર પ્રણાલી (કે જે નહેરુવીયન કોંગ્રેસની પ્રોડક્ટ હતી) તેને મઠારી, સંવાદ કરી અમલમાં મુકી, તેની પાછળ શું નરેન્દ્ર મોદીનો હેતુ, સર્વોદયવાદીઓને કે ગરીબોને કે દેશને નુકશાન કરવાનો હતો અને અથવા દેશને તેથી નુકશાન થયું છે?

ના જી. આવું તો કશું થયું નથી.

ઓ કે. ચાલો.  નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જે સખી મંડળો ચાલુ કર્યાં, બહેનોને આર્થિક રીતે પગભર કરી, આશ્રમશાળાઓ સ્થાપી, કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું અને વિકાસ કર્યો તે શું ગરીબોના અહિતનું કામ હતું?

ના જી. આવું તો કેમ કહેવાય?

ઓ કે. ચાલો તો પછી નરેન્દ્ર મોદી, જે, ઘરે ઘરે સંડાસ આપવાની યોજના ચલાવે છે, ઉજ્જ્વલા યોજના ચલાવે છે,  અને દરેકને ૨૦૨૨ સુધીમાં ઘર આપવાની સમય બદ્ધ યોજના કરે છે તે શું ગરીબોને નુકશાન કરશે?

ના જી. આવું તો કેમ કહેવાય?

ઓ કે. તો પછી નરેન્દ્ર મોદી સરદાર પટેલને મહત્વ આપે છે તે તમને પસંદ નથી?

ના … ના … એવું તો કેમ કહેવાય?

ઓ કે. તો પછી, નરેન્દ્ર મોદી જેઓશ્રી, મહાત્મા ગાંધીને મહત્વ આપી સ્વચ્છતા અભિયાન ચલાવે છે તે તમને પસંદ નથી?

ના … ના … એવું તો કેમ કહેવાય?

તો તમે તેમના આ બધા કામોને બિરદાવતા કેમ નથી? શું તમે માખીની જેમ ગંદકી જ શોધો છો? આ બધા સારા કામો ગરીબો માટે મહત્વ ધરાવતા નથી?

તમે આ બધી બાબતોમાં નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની ભાષા કેમ બોલો છો?

સર્વોદય વાદીઓ આનો ઉત્તર આપતા નથી.

સમાચાર માધ્યમોની કક્ષાઃ

ગાંધીજીએ સમાચાર માધ્યમોની ઘણી ટીકા કરી છે. અને સમાચારો  વિષે લખ્યું પણ છે. પણ આજના સપરમે દિવસે, સમાચાર માધ્યમો, ગાંધીજીએ પ્રબોધેલી સમાચાર પત્રોની સ્વતંત્રતા વિષે વાચાળ બનશે, પણ ગાંધીજીએ કહેલ તેમના કર્તવ્યો વિષે મૌન રહેશે.

“સીધા સમાચાર” એટલે શું?

આ વાતથી શું હાલના સમાચાર માધ્ય્મઓ અજ્ઞાત છે?

કેટલાક સમયથી બાળકો ઉપરના દુઃષ્કર્મોને લગતા સમાચારોનો રાફડો ફાટ્યો છે. આમાંના મોટા ભાગના તો ખોટા જ હશે અને અથવા વિવાદાસ્પદ જ હશે. પણ સમાચાર પત્રોના ખેરખાંઓને અક્કલ નથી કે બાળમાનસ ઉપર તેની કેવી અસર પડે છે.

પહેલાં શુક્રવારના છાપાંમાં એક પાનું ફિલમને લગતું આવતું. આજે રોજ એક કે વધારે પાના ફિલમને લગતાં હોય છે. અને શુક્રવારે તો ચાર કે વધુ પાનાની પૂર્તિ આવે છે. હિરાભાઈ અને હિરીબેનના અઘ્યા-પાદ્યાના સમાચારોથી આ પાનાઓ ભરાય છે.

“ભૂમિ-પુત્ર” એ સર્વોદયવાદીઓનું મુખપત્ર છે. તે જ્યારથી મોદી રાજકારણમાં આવ્યા છે ત્યારથી એકાંગી પ્રતિભાવો આપતું થઈ ગયું છે. મેં તો તેને છેલ્લા એક વરસથી વાંચવું બંધ કરી દીધું છે. અમારા જેવાને લાગતું નથી કે તે ગાંધીવિચારને પચાવી શક્યું હોય. જો ભૂમિ-પુત્રે તેની વિશ્વસનીયતા ગુમાવી હોય તો ગુ.સ. કે ડીબી વિષે તો કહેવું જ શું?

કટારીયા લેખકોએ સમજવું જોઇએ કે તમારા અસ્તિત્વનો જનતાને અહેસાસ થાય તે મહત્વનું નથી. જનતાની પ્રમાણભાનની પ્રજ્ઞા, સંદર્ભની પ્રજ્ઞા અને પ્રાથમિકતાની પ્રજ્ઞા વિકશે તે મહત્વનું છે. જે લેખકોને લાગુ પડે છે તે જ રાજકીય નેતાઓને લાગુ પડે છે ખાસ કરીને રા.ગા. તેની મમ્મી, અને તેના ઉપાસકોને ખાસ લાગુ પડે છે.

તો પછી ગાંધી-વિચાર ધારાનું શું થશે?

ગાંધીજી એક ઐતિહાસિક પાત્ર માત્ર બની જશે. ગાંધી વિચારધારા, એક શૈક્ષણિક વિષય માત્ર બની રહેશે. સિવાય કે એક મહાયુદ્ધ થાય. બધું તહસ નહસ થઈ જાય. અને સમાજને નવેસરથી બનાવવો પડે, અને તે સમયે જો ગાંધી-સાહિત્ય ઉપલબ્ધ હશે તો કામ આવશે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

અતિ-રમણિયે કાવ્યે પિશુનોઽન્વેષયતિ દુષણાન્યેવ

અતિ-રમણીયે વપુષિ ક્ષણમેવ હિ મક્ષિકા નિકટે

અર્થઃ અતિ સુંદર શરીરમાં, માખી, ક્ષણમાં જ “ઘા”ને શોધી લે છે,

તેવી જ રીતે નિંદાખોર લોકો અત્યંત સુંદર કાવ્યમાં ભૂલો શોધે છે.

Read Full Post »

જમીનના હક્કો અને ગાંધીવાદની માયા જાળ

નરેન્દ્ર મોદીની સરકાર ઉદ્યોગો માટે જમીન સંપાદન કરે અને ઉદ્યોગોને આપે એટલે કેટલાકને ન ગમે તે સ્વાભાવિક છે. કોઈપણ કામ સારું હોય કે ખરાબ હોય તેનો અમુક જુથ તરફથી વિરોધ તો થવાનો જ. ઔદ્યોગિક ગૃહો કે વ્યક્તિગત ઉદ્યોગો સ્થાપવાની ઈચ્છા ધરાવનારાઓ પણ જ્યારે ઉદ્યોગ સ્થાપવા માટે અરજી કરે ત્યારે સરકાર પોતે પણ એટલે કે સરકારી અધિકારીઓ પણ વાંધા વચકા પાડે. ઉદ્યોગસ્થાપનારાઓ સરકારી અધિકારીઓના સંસ્કાર અને આદતોથી જાણકાર હોવાથી, તેમના લાગાઓને પણ એક પરિબળ માની તેને ખર્ચની ગણત્રીમાં લેતા હોય છે. આ ખર્ચને નાબુદ કરવા અનેક નરેન્દ્ર મોદીઓની સરકારને જરુર પડશે. જો કે આપનાર અને લેનાર સંપીને આ સમસ્યાનો નીવેડો લાવતા હોય છે તેથી આવી વાતો બહાર આવતી નથી. છૂટા છવાયા પકડાઈ જવાના બનાવો છાપામાં આવે છે. પણ તેની વિગતો બહાર આવતી નથી.

પણ જ્યારે સરકાર પોતે પોતાની આતુરતા ઉદ્યોગ સ્થાપવા માટે બતાવે ત્યારે તેનાથી જનતાને થતા લાંબા અને ટૂંકા ગાળાના લાભોને ધારોકે આપણે અવગણીએ અને જમીન સંપાદનની ક્રિયામાં જે વાડાઓ અને જુથો તરફથી અવરોધો ઉત્પન્ન થાય છે અને થવાના છે તેને સરકારી અધિકારીઓ લક્ષમાં લેતા હોય તેવું લાગતું નથી.

ગાંધીજીએ કહેલું કે તમે સારું કામ કરો તો પણ તેના અમુક ખરાબ પરિણામો પણ મળવાના જ. આનું કારણ લોકોની કે તેમના જુથોની કાર્ય કે સિદ્ધાંતોની અધૂરી સમજણ હોય છે. અને જો આમાં દૂન્યવી રાજકારણ કે જેમાં સ્વખ્યાતિ કે “ટકો લે પણ મને ગણ” એવી માનસિકતા ભળે એટલે કેટલીક ચર્ચાઓ, સંવાદો, અસંવાદો, વિસંવાદો અને વિતંડાવાદો પણ ઉજાગર થાય.આમાં ભલભલા ગોથાં ખાય તો સામાન્ય જનતાનું તો ગજું જ શું!

સત્યાગ્રહનો સીધો સાદો દાખલો

ગાંધીજીએ આપેલું હથીયાર એટલે કે સત્યાગ્રહ દ્વારા વિરોધ કરવો. એટલે કે આત્મપીડન (ઉપવાસ કે સજા સહિતની તૈયારી સાથે સવિનય કાનુન ભંગ) માટે તૈયાર રહી કોઈ બાબતનો વિરોધ કરવો. આ એક અહિંસક કાર્ય છે. ગાંધીજી અહિંસામાં માનતા હોવાથી તેમણે સત્યાગ્રહને સામુહિક હિતના આધારે પુરસ્કૃત કરેલ. જો કે સત્યાગ્રહ કરતાં પહેલાં તેની અમુક શરતો ગાંધીજીએ પ્રસ્તૂત કરી છે. પણ જો આ શરતો પ્રત્યે સત્યાગ્રહી અજ્ઞાન હોય, અથવા આત્મખ્યાતિ સહિતના બદઈરાદાવાળો હોય તો આપણને સત્યાગ્રહના પણ ખરાબ પરિણામો જોવા મળે.

જેમકે જેના અસંખ્ય ભક્તો છે તેવા રજનીશે પોતે કેવા જ્ઞાની છે અને મહાત્માગાંધીથી પણ કેટલા બધા આગળ વધેલા મહાન વિચારક છે તે દર્શાવવા તેમણે ગાંધીજીના સત્યાગ્રહની ટીકા ચાલુ કરીને સ્વખ્યાતિ માટે મેદાનમાં કૂદી પડેલ. તેમણે દાખલો આપેલ કે એક વેશ્યાએ કે જેનો પ્રેમ એક તરફી હતો તેણે પોતાને મનપસંદ વ્યક્તિને પોતાને પરણવા માટે સત્યાગ્રહ (ઉપવાસ)નો આશરો લીધો. “મને પરણ નહીં તો હું તારા ઘરની સામે ઉપવાસ કરીને મરી જઈશ”.

આ એક બળજબરી થઈ. બળ જબરી એક હિંસા છે. એટલે સત્યાગ્રહની એક આડ પેદાશ હિંસા હોય છે. એટલે સત્યાગ્રહમાં પણ હિંસાનું તત્વ છે. આમ રજનીશે ગાંધીજીના સત્યાગ્રહના નિયમોનો અભ્યાસ કર્યા વગર જ પોતાને અહિંસાના ગાંધી કરતાં વધુ જ્ઞાની સાબિત કરી દીધેલ. તેમણે નિરપેક્ષ અહિંસાની વાત કરેલ. કે જેમાં પોતાની પરાશક્તિ દ્વારા એક પાદરીએ બીજી વ્યક્તિનું દૂરદૂર રહ્યે વિચાર પરિવર્તન કરી દીધેલ. એવો એક કપોળકલ્પિત દાખલો પણ આપેલ. મૂળ વાત એમ છે કે જ્યારે તર્કશાસ્ત્રનું અધકચરું જ્ઞાન હોય, સમજણ પણ ઓછી હોય, વાચન પણ અધૂરું હોય અને તમારા શ્રોતાગણ કે વાચકગણ તમારી કક્ષાથી પણ ઉતરતી કક્ષાના હોય ત્યારે તમે તમારી ખ્યાતિ વાણી વિલાસ દ્વારા વધારી શકો છે.

જેમણે બકરી જોઇ નથી તેવા શ્રોતા ગણ આગળ તમે બકરીને ત્રણ ટાંગ હોય છે એટલું જ નહીં તેને ટાંગ વગરની પણ સાબિત કરી શકો છો. જો તમે સત્યાગ્રહના આધારરુપ સ્તંભોને ન જાણતા હો તો તમે સત્યાગ્રનો અયોગ્યરીતે ઉપયોગ કરી, ખરાબ પરિણામો ઉત્પન્ન કરી શકો છો.

સત્યાગ્રહની પૂર્વ શરતો છે.

અહિંસક આંદોલન આચરતાં પૂર્વે, તે દરમ્યાન અને તે પછી પણ, આ બાબતો તો અસ્તિત્વ ધરાવતી હોવી જ જોઇએ. સમાજનું ભલું (નિસ્વાર્થી પણું), તાર્કિક સંવાદ અને તેનું સાતત્ય, પરસ્પર પ્રેમ અને પરસ્પર વિશ્વાસ આ હોવાં જરુરી છે.

જો કે ગાંધીજીએ કહેલ કે તમે સારું અને શુદ્ધબુદ્ધિથી કામ કરો તો પણ અમુક દુસ્પરિણામ તો આવી શકે છે. પણ આવા દુસરિણામોનું પ્રમાણ ઓછું રહેશે અને સુપરિણામોનું પ્રમાણ ઘણું વધુ રહેશે. તેથી સરવાળે ઘણો લાભ જ થશે.

જેવું રજનીશનું હતું તેવું કેટલેક અંશે સરકાર દ્વારા ઔદ્યોગિક જગતમાટે જમીન સંપાદનની બાબતમાં તેનો વિરોધમાં આંદોલન કરનારા રાજકીય નેતાઓ, કહેવાતા કર્મશીલો, કેટલાક અખબારી મૂર્ધન્યો, ગાંધીવાદી અને ખુદ સરકારી અમલદારોના વલણ વિષે પણ આવું જ કહી શકાય.

જમીન સંપાદન ના દરેક કિસ્સાને એક એક કરીને જ જોઇ શકાય. જમીન સંપાદનમાં જમીનના દરેક કિસ્સાની કથા અલગ અલગ હોય છે. જો બંને પક્ષે સામાજીક હિતની સમજણ, અન્યાય ન થાય તેવી વૃત્તિ ધરાવતા હોય અને સંવાદમાં જો તર્ક શુદ્ધતા રાખતા હોય તો જમીન સંપાદન એ કોઈ અશક્ય કામ નથી અને આંદોલનનો વિષય પણ નથી.

તર્કની અશુદ્ધતાઃ

અમારે જમીન આપવી જ નથી.

અમારે ખેતી જ કરવી છે.

અમે જમીન નહીં આપીએ કારણ કે

જમીન ઉપર અમારો હક્ક છે.

જમીન આપી દઈએ તો અમે કરીશું શું?

તમે જે વળતર આપશો તે કંઈ અમારે જીંદગી ભર ચાલશે નહીં. એ પૈસા તો વપરાઈ જશે. તે પછી અમે શું કરીશું?

તમે અમારી પાસેથી સસ્તાભાવે જમીન લઈ ઉદ્યોગોને (પાણીના મુલે) જમીન આપો છો. અમને (જમીનના) માલિકમાંથી (કરખાનાના) મજુર બનાવી દો છો.

અમે શું કામ અમારું ગામ છોડીએ?

ગામની જમીન ઉપર ગામનો જ હક્ક છે.

જો ગ્રામ પંચાયત મંજુર ન કરે તો તમે ગૌચર કે ખરાબાની કે પડતર જમીન પણ ન લઈ શકો.

અમારા ઢોર ચરશે ક્યાં?

માલધારીઓનું શું થશે?

ગાંધીજીએ પ્રબોધેલા ગ્રામ સ્વરાજ ની ભાવનાનો અહીં ધ્વંશ થાય છે.

ઉદ્યોગો થી પર્યાવરણનો નાશ થશે,

ગ્રામ્ય જનતાનું શોષણ થશે.

અમારે તો ખેતી જ કરવી છે. જમીન આપવી જ નથી.

શું આ શાશ્વત નિર્ણય છે?

ધારો કે “હા” એમ છે.

આપણે અમદાવાદની જ વાત કરીએ. કારણ કે અમદાવાદને જે લાગુ પડે છે તે બધા શહેરો, કસ્બાઓ અને ગામને પણ લાગુ પડશે.

૧૯૪૨માં મોટાભાગની વસ્તી કોટ વિસ્તારમાં જ વસતી હતી. ચારે બાજુ નાના ગામડાઓ હતા. ૧૯૪૮ સુધી પણ લગભગ આજ સ્થિતિ હતી. ચારે બાજુ ખેતરો હતાં. રાયપુર દરવાજાથી કાંકરીયા જોઇ શકાતું હતું. કાંકરીયાથી મણીનગર જવાના રસ્તા ઉપરથી મણીનગર સ્ટેશન જોઈ શકાતું હતું. ૧૯૫૨માં પણ ગીતા મંદીરથી વેદ મંદીર જોઇ શકાતું હતું. શાહઆલમનો રોજો જોઇ શકાતો હતો. હજારો ખેડૂતો ખેતી કરતા હતા. આજે અમદાવાદ કોટની રાંગથી ચારે બાજુ ૧૦થી પણ વધુ કીલોમીટર સુધી બાંધકામો થઈ ગયાં છે. અહીં હજારો ખેતરો હતાં. આ હજારો ખેતરોમાંથી એક પણ ખેતર બચ્યું નથી. આ બધા ખેડૂત ભાઈઓમાંથી કેમ એવા કોઈ જ ન નિકળ્યા કે જેમણે કહ્યું અને કર્યું કે અમારે તો અમારી જમીન વેચવી જ નથી અને માત્રને માત્ર ખેતી જ કરવી છે. તે વખતે શું ખેડૂત ભાઈઓ વધુ ભણેલ હતા? તે વખતે શું ખેડૂતભાઇઓ બીજો ધંધો કરવાની વધુ આવડત ધરાવતા હતા?

નાજી આવું કશું જ ન હતું. તે વખતે તો ખેડૂતો વધુ ગરીબ હતા.

શું ૨૦૦૨ પછી જ ઉદ્યોગો ગુજરાતમાં સ્થપાયા? નાજી ઉદ્યોગો ગુજરાતમાં પહેલાં પણ સ્થપાતા હતા.

શું પહેલાંના સ્થપાયેલા ઉદ્યોગો પર્યાવરણને હાની કારક ન હતા? ચોક્કસ હતા. અને હજી પણ છે.

પહેલાંના ઉદ્યોગો ચોક્કસ પર્યાવરણને હાનીકારક હતા. અને તે વખતે તો પર્યાવરણને લગતા કાયદાઓ બહુ નબળા હતા. તો પણ મનુભાઈ શાહે દરેક તાલુકા સ્તરે ઔદ્યોગિક વસાહતો સ્થાપેલ અને આ બધી જમીનો ખેતરાઉ જમીનો જ હતી. આ બધી જ ઔદ્યોગિક વસાહતો ગામેગામ હતી અને તેનો વિસ્તાર ગામને સમકક્ષ હતો. આખું ગાંધીનગર શહેર ખેતરોને ઉખેડીને બનાવેલ.

આજે ડાહી ડાહી વાતો કરનારા તે વખતના કોંગ્રેસીઓ અને તે વખતના નૂતન કોંગ્રેસીઓ તે વખતે ક્યાં હતા? સનત મહેતા જેવા પ્રજાસમાજવાદીઓને મહુવામાં “નૂતન કોંગ્રેસીઓ” એ નામની ઓળખવામાં આવતા હતા, અને અત્યારે આજ સનત મહેતા એક સમાચાર પત્રમાં કટારીયા મૂર્ધન્ય બની ગયા છે અને ડાહી ડાહી વાતો લખે છે.

૧૯૪૮ થી ૧૯૯૫ સુધીમાંનો સમય લક્ષ્યમાં લઈએ તો બધાં શહેરો, સરવાળે હજારો ચોરસ કીલોમીટર વિકસ્યા અને ગામડાને ગળી ગયાં. તો તે હજારો ગામડાંઓની હજારો ગોચરની જમીનો ક્યાં ગઈ?

બગીચો કેવી રીતે ઉકરડો બન્યો?

૧૯૮૧ પછી ગુજરાતમાં નહેરુવીયન ઈન્દીરાઈ કોંગ્રેસ સોળે કળાએ વિકસી. ઉદ્યોગો અને સરકારી અફસરો વચ્ચેની ખાઈકી નો ધંધો પણ સોળેકળાએ વિકસ્યો. મનુભાઈ શાહે સ્થાએલી ઔદ્યોગિક વસાહતો (જી આઈ ડી સી), જે બગીચા જેવી લાગતી હતી તે બધી ગંદકીથી ખદબદવા લાગવાનું શરુ થયું. જો તમે દા.ત. વટવા જી. આઈ. ડી. સી.ના સરકારી કે ખાનગી ચિકીત્સકોને મળશો તો તેઓ તમને “ઑફ ધ રેકોર્ડ” આરોગ્ય ખાતાના અધિકારીઓની, પર્યાવરણના અધિકારીઓની અને ઔદ્યોગિક એકમના માલિકો વચ્ચેની મીલીભગતની ચોંકાવનારી વાતો કરશે. હાલ પર્યાવરણને લગતા કાયદા ઘણા કડક છે. ૧૯૮૧થી ચાલુ થયેલો ખાયકીના ધંધાનું ઉઠમણું થઈ શકે છે પણ તેને માટે નરેન્દ્ર મોદીએ ફુલ ટાઈમ અને તે પણ આ એક માત્ર પર્યાવરણનું જ કામ કરવું જોઇએ.

આરોગ્ય ખાતા પાસે અમર્યાદ સત્તા છે. પણ જેમ પોલીસ તંત્ર જેમ દારુબંધીનો અમલ કરવામાં ઠાગા ઠૈયા કરે છે, જેમ લેબર કમીશ્નર મજુરકાયદાના અમલમાં ઠાગા ઠૈયા કરે છે, જેમ મ્યુનીસીપલ કમીશ્નરો ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવવામાં ઠાગાઠૈયા કરે છે, અને નહેરુવીયન કોંગ્રેસ જેમ વિદેશી બેંકોમાં રહેલું કાળું-લાલ નાણું પકડવામાં અને ગરીબી હટાવવામાં ઠાગાઠૈયા કરે છે તેમ આરોગ્ય ખાતાવાળા (પર્યાવરણવાળા સહિત) પ્રદૂષણ અટકાવવામાં ઠાગા ઠૈયા કરે છે.

ગંગા મૈલી ક્યું? તમે ગંગામાં કચરો નાખવો બંધ કરો તો એક ચોમાસું ગયા પછી આપોઆપ ચોક્ખી થયેલી જોવા મળશે.

અહીં ગાંધીવાદ અને ગાંધી વાદીઓની વાત ક્યાં આવી?

જમીન બચાવોના આંદોલનમાં ઈન્દીરાઈ કોંગ્રેસીઓ, નૂતન કોંગ્રેસીઓ, કહેવાતા કર્મશીલો, અખબારી મૂર્ધન્યો, સાથે ગાંધીવાદીઓ પણ સામેલ છે. નહેરુવીયન કોંગ્રેસીઓના વલણમાં વિરોધાભાસ હોય તે સિદ્ધ કરવાની જરુર નથી. તે સ્વયં સિદ્ધ છે. ૧૯૭૫-૧૯૭૭ સુધી ઈન્દીરા ગાંધીએ ચલાવેલી કટોકટી સ્વયંસિદ્ધ દંભી અને વિરોધાભાષી અને ગુન્હાહિત વલણોવાળી આતંકવાદી રહી હતી. એ પહેલાંના અને તે પછીના નહેરુવીયન કોંગ્રેસના વલણો પણ દંભી અને વિરોધાભાષી રહ્યા છે પણ તે બધા વિતંડા વાદ કરીને વિવાદાસ્પદ બનાવી શકાય તેમ હતા અને તેમ છે. પણ ૧૯૭૫-૧૯૭૭ તો ન્યાયાલય સંસ્થાના દસ્તાવેજો ઉપર છે. તેથી તેને અવગણી શકાય નહીં.

કેટલાક ગાંધી વાદીઓ મૂંગા રહેલ પણ ઘણા ગાંધી વાદીઓએ લડત અને ભોગ આપેલા. તેઓ સલામને પાત્ર છે. પણ “ન્યાયાર્થે નિજ બંધુકો ભી દંડ દેના યોગ્ય હૈ” એ કૃષ્ણ ભગવાનની અને કૌટીલ્યની ફિલોસોફી પ્રમાણે અમુક ગાંધીવાદીઓની ટીકા કરવી જોઇએ.

ભૂમિપુત્ર એ સર્વોદય વાદીઓનું મુખ પત્ર છે. તે ગાંધીવાદી હોય તે અપેક્ષા આપણે રાખવી જોઇએ. જો સરકારની ટીકા ન કરીએ તો સરકારને સુધરવાનો ચાન્સ ન મળે તેવું નરેન્દ્ર મોદી પણ કહે છે. તેથી ભૂમિપુત્ર પણ ગાંધીવાદમાંથી ચલિત ન થાય તે આપણી અપેક્ષા હોવી જોઇએ. કમસે કમ ભૂમિપુત્ર એક તરફી વાતો ન કરે તે જરુરી છે. કારણ કે માત્ર એક પક્ષી વાતો રજુ કરવી તે ગાંધીવાદી પ્રણાલી નથી.

જમીન બચાવો એટલે શું?

ખેતી માટેની જમીન અને જંગલોની જમીન ઓછી ન થવી જોઇએ.

ધારોકે ખેતી માટેની જમીન બીજા હેતુ માટે વાપરી તો તેટલી જ જમીન ખેડાણને લાયક કરવી જોઇએ. એટલે કે જે જમીન પડતર છે અને ખરાબાની છે તેને નવસાધ્ય કરવી જોઇએ. જંગલો ન કપાવાં જોઇએ. નહેરુવીયન કોંગ્રેસના રાજમાં પુસ્કળ જંગલો કપાયાં અને હજુ પણ કપાય છે. ૧૯૯૩-૧૯૯૫ના અરસામાં શિલોંગથી ચેરાપૂંજીના રસ્તે આવતા પહાડો અને ટેકરીઓ વૃક્ષો વિહીન થઈ ગઈ હતી. શિલોંગથી ગુવાહટ્ટી જવાના રસ્તે જંગલો માં ઝાડને ગેરકાયદેસર રીતે આગ લગાડી ખેતર માટે કે બીજા હેતુ માટે જમીન નો ટૂકડો બનાવમાં આવતો હતો એ મેં નજરે જોયું છે. આવી જ ક્રિયા સહ્યાદ્રીના ડૂંગરોમાં ચાલે છે. ૯૫ ટકા પંચમહાલનું જંગલ ૧૯૬૫ સુધીમાં નષ્ટ કરીદેવામાં આવેલ. ગોધરાથી લુણાવાડા વચ્ચે ઘટાદાર જંગલ હતું તે વાત કોઈ આજે માને પણ નહીં. ૧૯૪૭ પહેલાં પંચ મહાલના જંગલોમાં ૯૦” વરસાદ પડતો હતો તે વાત પણ કોઈ માને નહીં. જો કે સર્વોદય વાદીઓનો જંગલો નષ્ટ કરવાની બાબતમાં ચણભણાટ ચાલુ હતો.

જમીન બચાવવી હોય તો જમીન ઉદ્યોગોને આપવી ન જોઇએ. કારણ કે ખેતીમાટે એટલી જમીન ની ઘટ પડે છે. અને જો ઉદ્યોગોને અપાતી જમીનો સામે આંદોલનો આપણે કરતા હોઈએ તો આપણે જ્યાં જ્યાં ખેતીની જમીનમાં બીજી કોઈપણ રીતે ઘટ પાડવામાં આવતી હોય ત્યાં ત્યાં વિરોધ પ્રદર્શિત કરી આંદોલન ચલાવવા જોઇએ.

જમીનની ઘટ કઈ કઈ રીતે પડે છે?

જમીનના ટૂકડાઓની ખેરાત કરવાથી જમીનની ઘટ પડે છે. આવી ખેરાતોનો ચીલો ઈન્દીરા ગાંધીએ પાડેલો છે. રહેણાંક માટે સરકારી નોકરોને, પત્રકારોને, ન્યાયધીશોને, જનપ્રતિનીધિઓને ગરીબોને, પછાત વર્ગોને જમીન ફાળવવી એ જમીનનો વ્યય છે. વ્યક્તિઓને જમીનના ટૂકડા ફાળવા એ જમીનનો વ્યય છે.

ઝોંપડ પટ્ટીઓ ઉભી થવાથી જમીનની ઘટ પડે છે,

લારી ગલ્લાઓ અને પાથરણાઓ જમીન રોકે છે, તેથી જમીનની ઘટ પડે છે,

રો-હાઉસ વાળી દુકાનો કરવાથી જમીનની ઘટ પડે છે,

સ્વતંત્ર બંગલાઓ અને રો-હાઉસો વાળી હાઉસીંગ સોસાઈટીઓ અને ફાર્મ હાઉસોવાળી હાઉસીંગ સોસાઈટીઓ અને સંકુલો થવાથી જમીનની ઘટ પડે છે,

ઓછામાળવાળી (બે, ત્રણ કે ચાર) બહુ માળી સોસાઈટીઓ કે સંકુલો કરવાથી જમીનની ઘટ પડે છે,

જુના ખખડધજ પડુ પડુ થતાં મકાનો પણ પરોક્ષ રીતે જમીનની ઘટ પાડે છે.

ખુલ્લી જગ્યામાં પાર્કીંગ માટે જમીન ફાળવવાથી જમીનની ઘટ પડે છે.

રસ્તાઓ ઉપર વાહન પાર્કીંગ ઉભા કરવાથી પણ જમીનની પરોક્ષ રીતે ઘટ પડે છે.

આમ તો પહોળા રસ્તાઓ અને રેલ્વે કરવાથી પણ જમીનની ઘટ પડે છે. નહેરો કરવાથી પણ જમીનની ઘટ પડે છે. ખેતરોના નાના ટૂકડાઓ કરવાથી પણ પરોક્ષ રીતે જમીનની ઘટ પડે છે, નદી ઉપર બંધ બાંધવાથી પણ જમીન ડૂબમાં જાય છે. આના પણ ઉપાયો છે. પણ તે લાંબા ગાળાના ઉપાયો છે. પણ તેની ચર્ચા પછી કરીશું.

આ બધી જે કોઈપણ રીતે જમીનની ઘટ પડે છે તેને દૂર કરી શકાય છે. એટલું જ નહીં પણ  પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે જમીન ઉત્પન્ન કરી શકાય છે.

જમીનની માલિકી

જમીનની માલિકી કોઈ એક વ્યક્તિની હોઈ જ ન શકે. જમીનની માલિકી ગામની પણ ન હોઈ શકે. એટલે કે ગામડાની પણ ન હોઈ શકે.  જો ભારતના દરેક નાગરિકને દેશમાં ગમે ત્યાં જવાનો અને સ્થાયી થવાનો હક્ક હોય તો જમીનનો વ્યવહાર રાષ્ટ્રીય રીતે જ થઈ શકે. જો જમીનમાંથી થતું ઉત્પાદન દેશમાં બધી જગ્યાએ વેચાઈ શકતું હોય તો કોઈ ગામડું, ગામ કે શહેર ઉપર સૌનો સરખો હક્ક હોવો જોઇએ. જો દેશની કેન્દ્રસ્થ સત્તા દેશ માટે એક વ્યાપક જમીનને લગતી નીતિ ન ઘડી શકતી હોય તો સક્ષમ રાજ્ય સત્તા પોતાના રાજ્ય પૂરતી નીતિ ઘડી શકે. કારણ કે જમીનને લગતી નીતિના વ્યાપક પરિમાણો હોય છે. એટલે જમીનને લગતી નીતિ ઘડવાના અધિકારો ગ્રામ પંચાયતને અબાધિત રીતે ન આપી શકાય. ગ્રામ પંચાયતના વાંધા વચકાનું જરુર નિરાકરણ લાવી શકાય. પણ હવે ગ્રામસ્વરાજ અને ખેડૂત જગતનો તાત કે જંગલ ની સંપત્તિ ઉપર વનવાસીઓનો અધિકાર તે બાબતો ઉપર પુનર્‌ વિચારણા થવી જોઇએ. હાલના ઈન્ટરનેટ યુગમાં વિશ્વ આખું એક ગામડું થઈ જવાની તૈયારીમાં છે. ત્યારે કમસે કમ આપણે આપણા રાજ્યને એક ગામડું સમજવાના અને બનાવવાના પ્રયત્નો કરીએ. આ ત્યારે જ બને જ્યારે આપણે આપણા રાજ્યમાં એક સૂત્રતા લાવીએ અને રાજ્યના હિતનો વિચાર કરીએ. જુના જમાનામાં એક ગામડું ૫૦ ખોરડાથી ૫૦૦ ખોરડાનું રહેતું. આજે એક સંકુલ એક હજાર કુટુંબોને સમાવતું હોય છે. એટલે ગામડાને આપણે એક સંકુલ સમજવું પડશે અને તેને એક વાસ્તવિક સંકુલ બનાવવું પડશે. જો આમ કરીશું તો જ જમીનનો યોગ્ય ઉપયોગ થઈ શકશે.

જો જમીન બચાવવાનો હેતુ રાજકીય કે સ્વખ્યાતિનો ન હોય અને ફક્ત ખેતીની અને જંગલની જમીન બચાવવાનો હોય તો જ્યાં જ્યાં જમીનનો દુરુપયોગ થાય છે ત્યાં ત્યાં આંદોલનો થવા જોઇએ અને કરવા જોઇએ. જેઓનું ધ્યેય રાજકીય નથી અને સ્વખ્યાતિનું નથી તેવા ગાંધીવાદીઓએ આ વાત સમજવી પડશે. નહીં તો જનતામાં તેમની વિશ્વસનીયતા નહીં રહે.

જ્યારે કેન્દ્રીય સરકારની નીતિઓની બુરાઈની અને ગેર વહીવટની વાત કરવી હોય ત્યારે “નહેરુવીયન કોંગ્રેસનું નામ લઈને કે જે એલ નહેરુ, ઈન્દીરા ગાંધી, રાજીવ ગાંધી કે મનમોહન સિંઘનું નામ લઈને ટીકા થતી નથી. પણ “સરકાર” અને “રાજકારણીઓ” એવો શબ્દ પ્રયોગ કરાય છે. નહેરુવીયન કોંગ્રેસના નેતાઓના અને નહેરુવંશીઓના નામ ન લઈને તેમના દુરાચારોને છૂપાવીને હળવા કરી દેવાય છે. જ્યારે ગુજરાતની બીજેપી સરકારની વાત આવે ત્યારે બીજેપી અને નરેન્દ્ર મોદીનું નામ લઈ નરેન્દ્ર મોદી ઉદ્યોગોને જમીનની લાણી કરે છે, નરેન્દ્ર મોદી ખેડૂતોને અન્યાય કરે છે, નરેન્દ્ર મોદી વનવાસીઓને અન્યાય કરે છે, નરેન્દ્ર મોદી વિકાસને નામે ગામડાંઓને ઉજાડી રહી છે, નરેન્દ્ર મોદી વિકાસની વાતોના જુઠાણાઓ ફેલાવે છે.  નરેન્દ્ર મોદી સરદાર પટેલનું બાવલું મુકી જનતાના ખર્ચે ખ્યાતિ મેળવવા માગે છે. ગાંધીવાદી નેતાઓએ નરેન્દ્ર મોદીના ગાંધીનગરના મહાત્મા મંદીર સામે પણ વિરોધ નોંધાવેલ. તમે ગાંધીજી ના સ્મારકને મંદીર નામ આપો કે આશ્રમ નામ આપો કે સ્મૃતિ નામ આપો તેથી શો ફેર પડે છે? નરેન્દ્ર મોદી ગાંધીજીના વિચારોના સ્મૃતિ ચિન્હ તરીકે કે સરદાર પટેલની સ્મૃતિ માટે કંઈ પણ કરે તેમાં જો પોતાને ગાંધીવાદી ગણાવતા મહાનુભાવો મોદીની ટીકા કરે તે ગાંધીજીના સિદ્ધાંતોને અનુરુપ તો નથી જ અને નથી જ.

આ પણ જાણે અધુરું હોય તેમ તેઓ નરેન્દ્ર મોદીના સદ્‍ભાવના પ્રસારના કાર્યક્રમોની પણ ટીકા કરે છે, નરેન્દ્ર મોદીની સરકારે કરેલા ઉર્જાના કુદરતી શ્રોતોના વિકાસ અને ખરાબાની જમીનને નવસાધ્ય કરી હોય તેને લક્ષમાં ન લે, પશુમેળા, કૃષિમેળા, સખી મંડળ, પાણી મંડળીઓની રચના જેવા અનેક કામોને લક્ષ્યમાં ન લે તો આ બધું પૂર્વગ્રહ યુક્ત જ ગણાય. જો આ બધું યોગ્ય ન હોય તો તેની મુદ્દા સર ટીકા કરે તો તે પણ આવકાર્ય ગણાય. જો સરકારની ક્ષતિઓ જો સરકારના ધ્યાનમાં લાવવામાં આવે તો સરકારને સુધરવાની તક મળે. નરેન્દ્ર મોદી વિષે જો ગાંધીવાદીઓ પણ ગુજરાતની આજની સરકાર વિષે નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ જેવા વિશેષણો વાપરશે તો તેમને ખુદને માટે યોગ્ય નહીં કહેવાય.

કાયદાકીય લડાઈઓ

જમીન સંપાદન ના મુદ્દે ગાંધીવાદીઓ જે કાયદાકીય લડાઈ લડી રહ્યા છે તે આવકાર્ય છે. કારણ કે કાયદાકીય લડાઈ તો સરકારી નોકરોની ખામી યુક્ત કાર્યવાહીને સુધારવા માટે છે. કેટલાક સરકારી અધિકારીઓમાં પ્રણાલીગત આપખુદી અને અહંકાર હોય છે. તેને ન્યાયાલય દ્વારા સુધારી શકાય છે.

જમીન, જંગલ, પાણી, ઉર્જા, શિક્ષણ, રોજગાર એવા કોઈ પ્રશ્નો હોઈ જ ન શકે. વિજ્ઞાન અને વિદ્યા (ટેક્નોલોજી) ના ક્ષેત્રમાં અસીમ તકો અને રોજગારીઓ પડેલી છે.

જમીન ઉપરની કૃષિ ઉપર કેટલું ભારણ મુકીશું? ઉદ્યોગો દ્વારા વધતી સુખસગવડો ને કેટલી હદ સુધી લઈ જઈશું?

ક્યાં કેટલો રોજગાર ઉભો કરીશું.

જ્ઞાન, શ્રમ અને વહીવટદારોને કેટલું વળતર આપીશું?

દરેક જગ્યાએ શ્રમ પડેલો છે તેને શ્રમને બદલે સેવામાં પરિવર્તિત કરવો પડશે. જો સેવાનું વળતર એવું હશે કે માનવીઓ એકબીજાથી વિમુખ નહીં બને પણ હળી મળીને રહેશે તો સૌને સુખ મળશે.

આ બધું જ થઈ શકે તેમ છે. કાયદાઓ છે. પણ તેનું માનવીય અને સામાજીક હિતને અનુરુપ અર્થઘટન નથી તેનો અમલ નથી. (ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ગાંધીવાદીઓ, નરેન્દ્ર મોદી, વિશેષણ, અફસરો, અધિકારીઓ, આપખુદ, અહંકારી, સત્યાગ્રહ, આત્મપીડન, રજનીશ, દંભ, સ્વખ્યાતિ, કાયદાકીય, લડાઈ, જમીન, હક્ક, માલિકી, ગામડું, શહેર,

Read Full Post »

%d bloggers like this: