Feeds:
Posts
Comments

Posts Tagged ‘ગૌશાળા’

Mahatma Gandhi

ભૂમિ-પુત્ર

ઘણા વખતથી વિચાર કરતો હતો કે મારા નીચેના પત્ર ને જાહેર કરવો કે નહીં.
મને મહાત્મા ગાંધીવાદીઓ એટલે કે સર્વોદયવાદી અને ખાસ કરીને સર્વોદય કાર્યકરો પ્રત્યે ઘણું માન છે. તેમની ત્યાગ વૃત્તિ અને તેની સાથે સંકળાયેલો તેમનો આચાર પ્રશંસનીય છે અને અનુકરણીય છે. ઘણા સર્વોદય કાર્યકરોએ, અગર સર્વોદય કાર્યકર થવાનું ટાળીને, સામાન્ય માણસની જેમ જીંદગી જીવવાનું પસંદ કર્યું હોત તો તેઓ, સીધા રસ્તે પણ કરોડો રુપીયા કમાઈ શક્યા હોત.

આવા સર્વોદય કાર્યકરોની મારે ઋણાત્મક ટીકા કરવાનું હું ટાળું છુ. પણ “ન્યાયાર્થે નિજ બંધુકો ભી દંડ દેના યોગ્ય હૈ” એમ વિચારી મને લાગ્યું કે એકવાર તો ટીકા કરવી જોઇએ એમ મને લાગ્યું.

કોઈ વ્યક્તિ અણીશુદ્ધ, ક્ષતિહીન કે દુર્ગુણહીન કે અગુણી હોતો નથી. પણ જ્યારે આપણી આકાંક્ષાઓને તે વ્યક્તિનું વલણ આપણને અસંતોષજનક કે અન્યાય વાળું લાગે ત્યારે આપણે તેની ટીકા કરવા પ્રેરાઈએ છીએ.

મારે વિષે પણ આવું જ થયું.

“ભૂમિપૂત્ર”માં એક લેખ પ્રગટ થયેલ

તેના પ્રતિભાવ રુપે મેં, ભૂમિપુત્રના સંપાદક/તંત્રીશ્રીને પત્ર સ્વરુપે પ્રતિભાવ ગણો તો પ્રતિભાવ અથવા લેખ સ્વરુપે ગણો તો એક લેખ લખેલો. રજીસ્ટર્ડ કરીને મોકલેલો.

મેં બે ત્રણ મહિના રાહ જોયેલી કે મારા પત્રને પ્રતિભાવ તરીકે (વાચકોના પ્રતિભાવ તરીકે છાપે છે) કે લેખ તરીકે છાપે છે. મારા પત્રનો કોઈપણ જાતનો ઉલ્લેખ ન થયો એટલે મેં ભૂમિપુત્રની ઓફીસમાં ફોન કર્યો. ઓફિસમાં બેત્રણ વાર ફોન કર્યા પણ મારું રજીસ્ટર્ડ મળ્યું છે કે નહીં તે પણ કહી ન શક્યા. કારણ કે જે સંપાદક ભાઈઓ છે તે જ આ વાત કહી શકે. કર્મચારીઓ નહીં.

મેં મારા એક સર્વોદય મિત્ર જે અગાઉ ગુજરાત સર્વોદય મંડળના પ્રમુખ હતા તેમને વાત કરી. તેમણે મને એક નંબર આપ્યો.

મેં ત્યાં ફોન કર્યો. તેમને મેં બધી વિગત કહી. અને એ પણ કહ્યું કે તમારે મારા લેખને જે છે તે સ્વરુપે છાપવો કે સારના પ્રતિભાવ રુપે છાપવો કે ન છાપવો તે તમારી મુનસફ્ફી ઉપર છોડું છું. એમ તો ઈન્દીરા ગાંધી, પોતાની સરકારની વિરુદ્ધમાં આવેલા હાઈકોર્ટના જજમેન્ટ પણ સેન્સર કરતી હતી અને તેને છાપામાં પ્રકાશિત થવા દેતી ન હતી. ભૂમિપુત્ર તો તમારું છાપું છે એટલે તમે અબાધિત અધિકાર ભોગવો તો તમને મારાથી કંઈ કહી શકાય નહીં.

એટલે સંપાદકશ્રીએ (રામ ભરોસે) કહ્યું કે ના ના અમે કંઈ એવા નથી. પણ તમારા લેખમાં તમે જે આંકડાઓ આપ્યા છે તે ખોટા છે.

મેં કહ્યુ કે હું આંકડાઓમાં માનતો જ નથી. અને મેં મારા લેખમાં કોઈ આંકડા લખ્યા નથી. મારી ઈચ્છા છે કે તમે ન વાંચ્યો હોય તો વાંચી જાઓ, અને જો વાંચ્યો હોય તો ફરીથી વાંચી જાઓ તો મને આનંદ થશે. તેઓશ્રી કબુલ થયા. તે પછી મેં બે ત્રણ ફોન કર્યા. પણ મને લાગ્યું કે તેમણે તેવું કંઈ કર્યું હોય તેવું લાગ્યું નહીં. વાચકોના પ્રતિભાવોમાં પણ મારું કશું આવ્યું નહીં. આજે નવ માસ થયા.

દરેક મેગેઝીનને વાચકો જોઇએ. દરેકના વ્યક્તિના મનમાં વિચારો કુદકા મારતા હોય. તે શબ્દ સ્વરુપે અને ક્યારેક લેખ સ્વરુપે દૃષ્યમાન થાય. તેને માટે વ્યક્તિ સમય કાઢે છે અને મેગેઝીનને કે મિત્રોને મોકલે. મેગેઝીન વાળા છાપે. અને તેની નકલો અનેક જગ્યાએ પહોંચે. કોઈ વાચકને આ લેખ પસંદ પડે કે ન પડે તો તે લેખ વિષે પોતાનો પ્રતિભાવ આપવાનું નક્કી કરે. તે માટે તે સમય કાઢે અને વિચારોને શબ્દોમાં ગોઠવે અને પ્રતિભાવ રુપે ઉતારે.

પણ આપણે જોયું છે કે વિશાળવાચકવર્ગ ધરાવતા મેગેઝીનના તંત્રીઓ જો તમે જાણીતા ન હો તો તમારી દરકાર કરતા નથી અને ઉત્તર પણ ન પાઠતા નથી. કારણ કે તમારા જેવા તો તેમને માટે અનેક છે. આવા મેગેઝીના તંત્રીઓ વ્યવસ્થાહીન હોય છે.

પણ જો તમે ગાંધીવાદી હો તો ગાંધીને અનુરુપ તમારું વલણ પ્રદર્શિત થવું જોઇએ. મારા કિસ્સાની બાબતમાં લેખક અને તંત્રી/સંપાદકશ્રી એક જ વ્યક્તિ છે. અને પ્રતિભાવક હું છું.

મારા અનુભવ પ્રમાણે અને મારી માન્યતા પ્રમાણે જે અતિ-પ્રતિષ્ઠિત ગાંધીવાદીઓ છે તેઓ તમારા પત્રનો જવાબ આપવામાં માનતા નથી, સિવાય કે તમે પોતે પ્રતિષ્ઠિત હો. (જો કે ગાંધીજી આવા ન હતા. અને તે માટે મારી પાસે ઉદાહરણો છે). હા તમને જવાબ ન મળે જો તમે પત્રમાં ગાળો આપી હોય તો.
મારા માનવા પ્રમાણે ગાંધીવાદીઓએ એકાંગી ન બનવું જોઇએ. ટીકા આવકાર્ય હોવી જોઇએ. અને તેને પણ પ્રસિદ્ધ કરવી જોઇએ જેથી દરેકને પોતાની ભૂલ હોય તો ભૂલ અને સચ્ચાઈ હોય તો સચ્ચાઈ વધુ સારી રીતે સમજવાની તક મળે. પછી તે પોતે તંત્રી/સંપાદક પોતે જ શું કામ ન હોય?

તો આ કારણથી હું મારા પત્રને ખુલ્લો કરું છું.

શિરીષ દવે.

——————————

દિનાંકઃ ૨૬મી ઓગષ્ટ ૨૦૧૩.
પ્રતિ શ્રી સંપાદક,
ભૂમિપુત્ર, યજ્ઞ પ્રકાશન,
હુજરતપાગા, હિંગળાજ માતાની વાડી, વડોદરા-૧.

માનનીય શ્રી સંપાદકજી,

વિષયઃ “અમર્ત્યસેન અને જગદીશ ભગવતીના વિચારો અંગેનું વાક્યુદ્ધ” નો પ્રતિભાવક લેખ.

મેં ભૂમિપુત્ર વાંચવાનું શરુ કર્યું છે.

વચ્ચે ૧૯૮૬થી ૨૦૧૨ સુધી ભૂમિપુત્રનું વાચન બંધ કરેલ. હવે શરુ કર્યું છે. સંતોષ પણ થાય છે અને આઘાત પણ થાય છે. મહેન્દ્રભાઈનું સંકલન અને ગોવર્ધનભાઈનું સમાજ વિદ્યાનું વ્યુત્પત્તિ શાસ્ત્ર કે જે કહો તે વાંચવાની મઝા પડે. બીજા સમાજ સેવાને લગતા વ્યક્તિઓ અને કાર્યને લગતા લેખો વાંચીને કંઈક સંતોષ પણ થાય છે. આશા-વિરેન્દ્રની લઘુ કથાઓ પણ ભૂમિપુત્રને અનુરુપ હોય છે.

આમ તો ભૂમિપુત્રના પહેલા પાને જ લખેલું છે કે “ભૂદાન મૂલક ગ્રામોદ્યોગ પ્રધાન અહિંસક ક્રાંતિનું મુખ પત્રક” જો મારી ભૂલ ન થતી હોય તો મારી સમજ એવી છે કે ભૂમિપુત્રમાં પ્રગટ થતા વિચારો સર્વોદય વિચાર અથવા તો ગાંધીજીના સમાજશાસ્ત્રને અનુરુપ હોય છે અથવા તો હોવા જોઇએ. એ પણ વાત ખરી કે તેનાથી વિરોધી વિચારો પણ હોઇ શકે અને તે શૈક્ષણિક હેતુ માટે ચર્ચામાં સામેલ થઈ શકે. પણ ભૂમિપુત્ર ખુદ જો જાણ્યે અજાણ્યે એકાંગી અવલોકનો અને તારણો પ્રગટ કરવા માંડે અને એક માનનીય હોદ્દાવાળી વ્યક્તિ વિષે અસંબદ્ધ વાતો અને વિશેષણો વાપરવા માંડે ત્યારે ગાંધી વિચારમાં જેમને શ્રદ્ધા કે માન છે તેમને ભૂમિપુત્રના વલણમાં હિંસા દેખાય જ.

હાજી હું ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની જ વાત કરું છું.

ભૂમિપુત્રમાં પ્રગટ થતા કેટલાક લેખો અને સમાચારોની બાંધણીમાં એવું સ્પષ્ટ દેખાય છે કે નરેન્દ્ર મોદીના કાર્યો અને નીતિ, ભૂમિપુત્રને પસંદ નથી. આ માટે મુખ્યત્વે બે કારણો હોઈ શકે. એક છે તેમની કામ કરવાની રીત. બીજું છે તેમની વિકાસની નીતિ. એટલે કે તેમની રાજનીતિ. તેમની રાજનીતિમાં આપણે તેમની અર્થનીતિ અને વિકાસ માટેના તેમના અભિગમનો પણ સમાવેશ ગણી લઈશું.
આમ તો વિકાસ એટલે ફક્ત આર્થિક શક્તિનો વિકાસ, એકલો તો ન જ ગણાય, પણ સાથે સાથે તેમાં માનવીય મૂલ્યો, તંદુરસ્તી, શિક્ષણ અને સુખસગવડના વિકાસ પણ આવી જાય. આ વિકાસ અહિંસક રીતે થવો જોઇએ.

એટલે હવે મૂળ વાત પર આવીએ તો ભૂમિપુત્રમાં “અમર્ત્યસેન અને જગદીશ ભગવતીના વિચારો અંગેનું વાક્યુદ્ધ” નો લેખ વાંચીને પ્રતિભાવ આપવાની ઈચ્છા રોકી ન શકાઈ.

“બે વ્યક્તિઓ વચ્ચેનું વાક્યુદ્ધ” એવું જ્યારે ખબર પડે એટલે સહજ રીતે શું પ્રશ્નોત્તરી થઈ અને તે કેવા પ્રકારની થઈ તે વિષે માહિતિ મળશે તેવી અપેક્ષા રખાય. લગભગ ૧૭૦ લાઈનના (એક પાનાના બે કોલમમાં ૮૦ લાઈનો લેખે), આ લેખમાં લગભગ ૭૦ લીટીઓ સુધી તો કોઈ વાક્યુદ્ધ કે અર્થનીતિ વિષે કશી ચર્ચા નથી. અને બાકીની સો લાઈનોમાં અદ્ધર અદ્ધર વાતો અને રાજકારણ વધુ છે.
“રાજકારણીઓની ગોલા લડાઇઓ … બે અર્થશાસ્ત્રીઓ વચ્ચે કુસ્તી જેવું દંગલ. નોબેલ પ્રાઈઝ પરત …” વિગેરે.

આ ઉપરાંત જે વ્યક્તિ ચર્ચામાં ભાગ જ લેતી નથી તેની વાતો છે. એટલે કે નરેન્દ્ર મોદી વિષેની વાતો, તે પણ તથા કથિત, કે કથા કથિત વર્ણનવાળી. કારણ કે “આર્થિક નીતિના કે વિકાસની નીતિના વિવાદની જડ એટલે નરેન્દ્ર મોદી છે”, તેથી તેની વાતો છે.

હવે જો આપણે નરેદ્ન્ર મોદીનું નામ લઈએ એટલે હરિૐ.

આ હરિૐ શું છે?

તમને ખબર નથી? ૐ તો બ્રહ્મ છે. પણ હરિ તો ૐ કરતાં પણ વિશેષ છે. એટલે પહેલાં હરિ બોલો અને પછી ૐ બોલો. વૈષ્ણવોની આ એક પ્રણાલી છે. અદ્યતન ધર્મનિરપેક્ષ કટારીયા અને દૃષ્ય-શ્રાવ્ય સંચાર માધ્યમોમાંના મૂર્ધન્યોમાં પણ, એક પ્રણાલી કહો તો પ્રણાલી, અને વરણાગીયપણું (ફેશન) કહો તો વરણાગીયાપણું, અસ્તિત્વ ધરાવે છે. તે દાખવે જ છૂટકો.

આ ફેશન શું છે?

આ એ ફેશન છે કે જો તમે નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરો તો તમારે બીજી કોઈ પણ વાત કરતાં પહેલાં, કે પછી વચ્ચે વચ્ચે, કે ગમે ત્યારે ૨૦૦૨ના દંગાની વાત નો ઉલ્લેખ કરવાનો અને કરવાનો જ. અને તેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એક ગોદો નરેન્દ્ર મોદીને મારી દેવાનો જ.

કારણ કે નરેન્દ્ર મોદી ભ્રમ છે. અને તેની પહેલાં, ૨૦૦૨ના દંગા એક માત્ર સત્ય છે.
આ લેખમાં આ ઉપરાંત નરેન્દ્ર મોદીના કાર્યક્રમોને કથા કથિત રીતે તેની બુરાઈના રુપમાં વર્ણવવામાં આવ્યા છે. શબ્દોની પસંદગી અને વાક્ય રચના એવો સંદેશ આપે છે કે નરેન્દ્ર મોદી, પ્રજા સાથે એક રમત અને નાટક કરી રહ્યા છે. એટલે કે તેઓ જે વાત કરે છે તે બધી અસ્તિત્વહીન અને ફરેબ છે.

આમ તો, આ લેખ અમર્ત્યસેન અને જગદીશ ભગવતીના વિચારો અંગેનું વાક્યુદ્ધ એ વિષયને લગતો છે. તો એમાં નરેન્દ્ર મોદી ની કથા કથિત બુરાઈઓને દોહરાવવાની શી જરુર છે? અનિવાર્ય રીતે આ ચર્ચા શૈક્ષણિક અને અર્થશાસ્ત્ર અને વિકાસ વિષે ના મુદ્દાઓથી સભર હોવી જોઈએ.

અપ્રાસ્તુત્ય

અમર્ત્યસેન કોણ હતા, ક્યાં જન્મ્યા, તેમના પિતાશ્રી કોણ હતા, તેમના પિતાશ્રી શું કરતા હતા, અમર્ત્યસેન કઈ જ્ઞાતિના હતા, શું ભણ્યા, શું શું વાંચ્યું, ક્યાં ક્યાં રહ્યા, શું કર્યું, કયા કયા પ્રમાણ પત્રો મેળવ્યા, કયા ચંદ્રકો મળ્યા, તેમની અત્યારની ઉંમર કેટલી, આવી વાતોને “અમર્ત્યસેન અને જગદીશ ભગવતીના વિચારો અંગેનું વાક્યુદ્ધ” ના વિષયમાં સ્થાન આપવું એ વિષયાંતર, તર્કહીન અને અપ્રસ્તુત્ય છે. એવું લાગે છે કે કદાચ લેખકભાઈ સંદેશો એ આપવા માગે છે, આવા ઉચ્ચ જ્ઞાતિમાં જન્મેલ, સુજ્ઞ પિતાશ્રીના સુજ્ઞ સુપુત્ર, વિદ્યાવિભૂષિત, ઈનામોથી નવાજીત માનનીય અર્થશાસ્ત્રી, જો નરેદ્ન્ર મોદીની કાર્ય શૈલી નો વિરોધ કરતું ઉચ્ચારણ કરે તો હે વાચકો તમે તેને બ્રહ્મ સત્ય છે એમ માનો.

વૈજ્ઞાનિક રીતે જોઇએ તો તર્કશુદ્ધતા નક્કી કરવામાં “તર્ક શું છે તે મહત્વનું છે. તર્ક ક્યાંથી આવ્યો તેના આધારે નિર્ણય કરી શકાતો નથી.
૭૦ લીટીઓ અહીં પૂરી થઈ.

ગોદા, નરેન્દ્રભાઈ મોદીને માર્યા પણ આંકડાઓ આપ્યા દેશના.

વાત થઈ જીડીપી ની. જીડીપી એટલે શું? જોકે જે વાચકો સુજ્ઞ છે તેઓ જાણે છે. પણ જો સર્વાંગી વિકાસની ચર્ચા હોય તો જીડીપી જેવી ઘણી ટર્મીનોલોજી છે જેને ઉલ્લેખ થવો જોઇએ અને આ બે મહાનુભાવોએ કર્યો પણ હશે. જેમકે જનરલ ડોમેસ્ટીક કંઝંપ્શન, જનરલ ડોમેસ્ટીક પ્રાઈસ ઈન્ડેક્સ, ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્સન વિગેરે. ચલો આ વાત પણ જવા દઈએ,

વાત કઈ કઠે છે? આંકડાઓમાં ગુજરાતની વાત ન થઈ. દેશની વાત થઈ. નરેન્દ્રભાઈ મોદીને ગોદા માર્યા છે તો દેશની વાત કરવાને બદલે ગુજરાતની અને બાકીના રાજ્યોની પ્રજા સ્થિતિની વાત પણ કરવી જોઇએ.

જો તમે આ લેખ એક સંકલિત લેખ તરીકે પ્રગટ કર્યો હોય તો, આ સંકલન, પ્રાસ્તુત્યના પ્રમાણભાન સાથે પ્રતિબિંબિત થતું નથી.

એક વાત સમજવા જેવી છે તે સમજી લો. તે એ છે કે સુજ્ઞ જનોમાં અને અસુજ્ઞ જનોમાં એક વર્ગ છે. અને તે એવો મોટો વર્ગ છે કે જે આંકડાઓને અને તારણોને ભ્રામક માને છે.

આંકડાઓ બ્રહ્મ નથી. મોટે ભાગે આંકડાઓ ભ્રમ જ પેદા કરે છે.

શંકરાચાર્યે આ વાત બીજી રીતે કરી છે. વેદ એ સત્ય છે. વેદ એ પ્રમાણ છે. પણ પ્રત્યક્ષ પ્રમાણનું શુ? શંકરાચાર્ય કહે છે. પ્રત્યક્ષ પ્રમાણ એ વેદથી પણ ઉપર છે. જો પ્રત્યક્ષ પ્રમાણ અને વેદપ્રમાણમાં વિરોધાભાસ હોય તો પ્રત્યક્ષ પ્રમાણ એ સત્ય છે. આપણે લાંબી વાત નહીં કરીએ, પણ શંકરાચાર્ય એક દાખલો આપે છે કે ધારો કે વેદ કહે કે અગ્નિ શીતલ છે. પણ પ્રત્યક્ષપણું એમ કહે છે કે અગ્નિ ઉષ્ણ છે. તો પ્રત્યક્ષ પ્રમાણ છે તેને સ્વિકારો.

જો વાક્યુદ્ધની વાત કરતા હોઈએ તો મુદ્દાની જ વાત કરવી જોઇએ. શ્રી જગદીશ મહેતાએ અમર્ત્યસેન સાથે ઝગડો કેમ કર્યો તે દર્શાવવું એ અપ્રસ્તુત ગણવું જોઇએ. ભૂમિપુત્રે આવા પૂર્વગ્રહો પેદા કરવામાંથી દૂર રહેવું જોઇએ.

જો નરેન્દ્ર મોદીને ગોદા મારવાની લાલચ ન રોકી શકાતી હોય અને બે મહાનુભાવોના ઝગડાનું કારણ નરેન્દ્ર મોદી છે, અને વાત, ગુજરાતના વિકાસના વિશ્લેષણની હોય, તો અમર્ત્યસેને ભલે દેશની વાત પણ કરી હોય, પણ તેનો ગુજરાતનો સંદર્ભ પણ બતાવવો જોઇએ.

અમર્ત્યસેનને હિસાબે, માળખાકીય વિકાસ એટલે જ વિકાસ છે એમ નથી. એટલે કે ભણતર, તંદુરસ્તીમાં પણ વિકાસ થવો જોઇએ એમ લેખમાં જણાવ્યું છે. સંદેશ એવો છે ગુજરાતમાં ભણતર અને તંદુરસ્તીનો વિકાસ બીજા રાજ્યો જેવો નરેન્દ્ર મોદીએ કર્યો નથી. ભણતર, તંદુરસ્તી, ની સાથે સાથે સ્વચ્છતા, સભ્યતા, સંસ્કાર, વિગેરે પણ ઉમેરી શકાય.

શિક્ષણ નો વ્યાપક અર્થ કરવો જોઇએ એટલે કે અક્ષરજ્ઞાન, વાચન, વિચાર, આચાર, સ્વભાવ, સંસ્કાર બધાનો સમાવેશ કરવો જોઇએ. બાકી જે વિકાસ રહ્યો, તે આર્થિક વિકાસ. આ આર્થિક વિકાસ, ઉત્પાદન અને નાણાની પ્રવાહિતા ઉપર આધાર રાખે છે.

હવે શંકરાચાર્યના પ્રત્યક્ષ પ્રમાણને યાદ કરો.

શું ગુજરાતમાં ગરીબો ને અવગણવામાં આવ્યા છે? અને તેઓ ગરીબ જ રહ્યા છે? જો આમ હોય તો ગરીબો વધી જવા જોઇએ અને મજુરીનો દર નીચે જવો જોઈએ. પણ અમારા મિત્ર બંસીભાઈ પટેલ કહે છે કે “અમે ૩૦૦ રૂપીયા આપવા તૈયાર છીએ પણ મજુરો મળતા નથી. મજુરો મેળવવા એક માથાનો દુખાવો છે.”
આ વાત જવા દો.

ગુજરાતમાં મજુરી કરવા માટે રાજસ્થાન, ઉત્તર ભારત, ઓરીસ્સા વિગેરે રાજ્યોમાંથી ઉત્તરોત્તર વધુને વધુ લોકો શા માટે આવે છે? મુંબઈ સિવાયના બીજા પ્રદેશોમાં ગુજરાતી મજુરો કેટલા? આ જ વાત નોકરીયાતોને લાગુ પડે છે.
સાથે સાથે સંસ્કારની પણ વાત કરી લઈએ. મેં મુંબઈ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આસામ અને શિલોંગમાં કે દેશના બધા જ રાજ્યોમાં ત્યાંના પરપ્રાંતીયો, પોતાની દુકાનમાં કે ધંધામાં પોતાના પ્રાંતના લોકોને જ રાખે છે એવું જોયું છે.

ગુજરાતીઓ જ્યારે પરપ્રાંતમાં હોય ત્યારે સ્થાનિકોને રાખે છે. એટલું જ નહીં તેઓ ત્યાંની સ્થાનિક ભાષા પણ શિખી જાય છે. આ એક સંસ્કાર છે અને તેના ઘણા સૂચિતાર્થો છે.

નહેરુએ સત્તાના લોભમાં મુંબઈમાં અભદ્ર ઉચ્ચારણો કરી મરાઠીઓને ગુજરાતી વિરુદ્ધ ભડકાવેલા અને દંગા કરાવેલા. એ બાદ કરતાં ગુજરાતીઓને પરપ્રાંતમાં ક્યારેય તકલીફ પડી નથી. તેમજ પરપ્રાંતીયોને ગુજરાતમાં ક્યારેય તકલીફ પડી નથી. આ ગુજરાતનું શિક્ષણ છે અને આ ગુજરાતના સંસ્કાર છે. નરેન્દ્ર મોદીએ તેને વિકસાવ્યા છે પણ બીજા રાજ્યોની જેમ ગુજરાતીઓને બહેકાવ્યા નથી.

નરેન્દ્ર મોદીએ શિક્ષણ ને ૬૦ ટકાના સ્તરેથી ૮૦ ટકાના સ્તરે લઈ ગયા છે. “વાંચે ગુજરાત”, શાળા પ્રવેશ, આશ્રમ શાળાઓ, ખેલ મહાકુંભ, વિગેરે પ્રવૃત્તિઓ અમલમાં મુકી છે. આ બાબતોનો ઉલ્લેખ અને ચર્ચા હોવી જોઇએ.
સખી માંડળો કરોડોનો રુપીયાનો ધંધો કરે છે. તે વિષે પણ ચર્ચા હોવી જોઈતી હતી. અમર્ત્યસેન આ બાબતમાં શું કહે છે તે આપણે જાણતા નથી. અને જો તેમણે આ બાબતો વિષે કંઈક કહ્યું હોય તો આ લેખમાં તેનો ઉલ્લેખ નથી. મારા ખ્યાલ પ્રમાણે ભૂમિપુત્રના કોઈપણ અંકમાં તેનો બીજાઓ દ્વારા પણ ઉલ્લેખ નથી.

ખેતીની જમીન અને તેનું સંપાદન

“ખેતીની જમીન અને તેનું સંપાદન” એમાં સમસ્યા કરતાં અનેક ગણું વધારે રાજકારણ છે. યાદ કરો, સાઠના દશકામાં ગાંધીનગર શહેર, અને તાલુકે તાલુકે બનેલી એવી ૧૮૨ ઔદ્યોગિક વસાહતો (જે મનુભાઈ શાહે ઉભી કરેલી) માં ખેતીની જમીન જ વપરાઈ છે. ગુજરાતમાં અસંખ્ય જંગલો કપાયાં છે. ૧૯૫૦ના દશકામાં પંચમહાલ જંગલોથી ભરચક હતું. ગોધરાથી લુણાવાડા ના રેલરોડ ઉપર ઘટાટોપ જંગલ હતું. બધા ડુંગરાઓ પણ વૃક્ષોથી ભરપૂર હતા. આ બધા જંગલો કપાઈ ગયા છે.

નરેન્દ્ર મોદીએ આવું કશું કર્યું નથી. તેની નોંધ લેવી જોઇએ. નરેન્દ્ર મોદીએ ખરાબાની જમીનોને નવસાધ્ય કરી છે. એટલે કે અમર્ત્યસેન સહિત જે લોકોએ આ બાબતને લક્ષ્યમાં લીધી નથી તેઓ નરેન્દ્ર મોદીને વગોવવાની યોગ્યતા ધરાવતા નથી.

પર્યાવરણ ઉપર પહેલો પ્રહાર

એક વસ્તુ પર્યાવરણવાદીઓએ સમજી લેવી જોઇએ કે પર્યાવરણની સમતુલા ઉપર પહેલો પ્રહાર એટલે ખેતી. ભલે આ પ્રહાર પાંચ દશ હજાર વર્ષ પહેલાં થયો હોય પણ જો સમજણ આવી હોય તો તેમાં સુધારાને અવકાશ છે.

બીજી એટલી જ મહત્વની વાત હોય તો ગામડા અને અલ્પમાળી મકાનોને લગતી છે. જો જમીનનું મૂલ્ય સમજાતું હોય તો ગ્રામ્ય સંસ્કૃતિની માનસિકતામાંથી અને જમીન ઉપર વ્યક્તિના માલિકીના હક્કોની માનસિકતામાંથી બહાર નિકળવું પડશે. માંસાહાર છોડવો પડશે. કારણ કે જેઓ માંસાહારી છે તેઓ શાકાહારી પ્રાણીઓને ખાય છે. શાકાહારી પ્રાણીઓનો ઉછેર કરવો પડે છે અને તેને માટે છ ગણી જમીન વપરાય છે.

ઘરે ઘરે ગાય બાંધવી અને મફતમાં ગૌચરનો ચારો મેળવવો એ માનસિકતામાંથી પણ બહાર નિકળવું પડશે. હવે તો ગાયો ગૌશાળામાં જ શોભશે.

બહુમાળી મકાનો બાંધી, જમીન ફાજલ કરવી પડશે. ગામડાઓને બહુમાળી સંકુલોમાં ફેરવવા પડશે. સ્વતંત્ર બંગલાઓ ટેનામેન્ટના મોહમાંથી દૂર થવું પડશે. જમીનનો ઉપયોગ મોટાભાગે વૃક્ષો માટે જ કરવો પડશે જેથી ફળો અને લાકડું મળી શકે. અનાજ અને શાક માટે અગાશીઓ, ગેલેરીઓ અને બહુમાળી બાંધકામનો ઉપયોગ કરવો પડશે.

મોઢું ફુઆવીને ફરવાની જરુર નથી

વાસ્તવમાં માળખાકીય વિકાસમાં દેશ શું કે ગુજરાત શું, પાશેરામાં પહેલી પૂણી પણ નથી. એટલે માળખાકીય સુવિધાઓમાં થતા વિકાસની બાબતમાં અત્યારથી જ મોઢું ફુલાવીને ફરવું તે ટૂંકી દૃષ્ટિ છે. (માળખાકીય બાંધકામમાં આપણે ૧૦૦ વર્ષ કરતાં પણ વધુ પાછળ છીએ)

મોરારજી દેસાઈએ જ્યારે ખાદીના વપરાશને સરકારી ઓફીસોમાં ફરજીયાત કર્યો, ત્યારે કેટલાક અર્થશાસ્ત્રીઓએ બળાપો વ્યક્ત કર્યો કે, જો બધા ખાદી પહેરશે તો મીલના કાપડનું શું કરીશું? જવાબ હતો, કે મીલના કાપડને નિકાસ કરીશું અને વિદેશી હુંડીયામણ રળીશું. તો સામો સવાલ હતો કે તો પછી વિદેશી હુંડીયામણ નો ભરાવો થઈ જશે. આ વિદેશી હુંડીયામણનું કરીશું?

વાત ગધુભાઈને તાવ આવે એવી હતી એટલે વાત જવા દો.

નરેન્દ્ર મોદીનું મગજ કેવું ચાલે છે તે જુઓ.

નરેન્દ્ર મોદી પાસે એક કંપની આવી. તેને ટાયરનું કારખાનું નાખવું હતું. નરેન્દ્ર મોદીએ પૂછ્યું રબર ક્યાંથી લાવશો? તેણે કહ્યું કેરાલામાંથી. નરેન્દ્ર મોદીએ કહ્યું ના તમે અહીં જ રબર વાવો. અને ટાયર પણ બનાવો. અને તેમ થયું.

નરેન્દ્ર મોદીએ પતંગના કારીગરોને પૂછ્યું પતંગમાં કોનો કોનો હિસ્સો હોય છે? ગણત્રી કરીને તેઓએ કહ્યું ૨૯ જાતના કામ હોય છે. કાગળ, વાંસ, દોરા, રીલ, ફીરકી, જુદા જુદા કટીંગ, જોડાણો, ગુંદર, કાતર, જુદા જુદા ટ્રાન્સપોર્ટ, વેપારી, એજન્ટો, વિગેરે.

નરેન્દ્ર મોદીએ પૂછ્યું વાંસ ક્યાંથી આવે છે?

“આસામથી.

નરેન્દ્ર મોદી; “આપણે ત્યાં પણ વાંસ ઉગે છે. આસામથી શા માટે લાવવો પડે છે?

“આસામના વાંસમાં બે ગાંઠો વચ્ચે વધુ અંતર હોય છે. તેથી સારા પતંગ બને છે.

નરેન્દ્ર મોદી; “આપણા કૃષિવૈજ્ઞાનિકોએ સંશોધન કરીને એવા વાંસ બનાવવા જોઇએ.
(ગુજરાતના કૃષિવૈજ્ઞાનિકોએ તે કામ કર્યું)

નરેન્દ્ર મોદીએ કહ્યું શેરડીમાં પણ બે ગાંઠો વચ્ચેનું અંતર વધારી શકાય. ગુજરાતના કૃષિ વૈજ્ઞાનિકોએ તે કામ પણ કર્યું. શેરડીના સાંઠાએ ૨૦ ટકા વધુ રસ આપ્યો.

આવી તો ઘણી વાતો છે જેમાં નરેન્દ્ર મોદીએ અંગત રસ લીધો. નરેન્દ્ર મોદીની આ માનસિકતા છે. આની તમે નોંધ લીધી? નરેન્દ્ર મોદી જેતે વિસ્તારના સ્વાવલંબનમાં માને છે અને જ્યાં શક્ય છે ત્યાં તે પ્રમાણે વર્તે છે, જેથી ટ્રાન્સ્પોર્ટના અનુત્પાદક ખર્ચાઓ ઘટાડી શકાય. આને આપણે ગાંધી વાદ કહી શકીએ. મને એવું લાગે છે કે કેટલાક ગાંધીવાદીઓ કરતાં નરેન્દ્ર મોદી ગાંધીની વધુ નજીક છે.

નરેન્દ્ર મોદીના સદ્ભાવના આંદોલનને પણ જ્યારે અવળ અને વક્ર દૃષ્ટિકોણથી જોવામાં આવે તો બીજી આશા તો રાખી જ કેમ શકાય? મને લાગે છે કે નરેન્દ્ર મોદીને સમજવામાં ગાંધીપ્રબોધિત દૃષ્ટિકોણ રાખવામાં આવતો નથી.

હવે તમે એક અચરજની વાત જુઓ. ખાદી ગ્રામોદ્યોગવાળી સંસ્થાની, ખાદી વિચાર પરત્વેની સમજણ કેવી છે?

ગુજરાતમાં ખાદી ભંડારની ખાદી

ખાદી ભંડારમાં ખાદી લેવા જઈએ તો પરપ્રાંતની ખાદી ખડકેલી હોય. ગુજરાતની ખાદી તો નામ માત્રની હોય. પરપ્રાંતની ખાદીને ગુજરાતમાં લાવીને વેચવી એ ગાંધી વિચારધારાથી વિપરીત છે. જે તે વિસ્તારની ખાદી તે જ વિસ્તારમાં વેચાવી જોઇએ. કારણ કે ખાદી જે તે વિસ્તારના વસ્ત્રમાટેના સ્વાવલંબન માટે છે.
પરપ્રાંતની ખાદી એ ખરેખર ખાદી છે કે કેમ? પરપ્રાંતની ખાદીનું પોત જોઈને તો પરપ્રાંતની ખાદી, ખાદી પરત્વે શંકા ઉભી કરે તેવી હોય છે. એટલું જ નહીં જો પરપ્રાંતના લોકો ખાદી ન પહેરતા હોય અથવા ઓછી ખાદી પહેરતા હોય તો પરપ્રાંતની ખાદી ગુજરાત માટે ખાદી કહેવાય જ નહીં. વાસ્તવમાં ખાદી તો જીલ્લા કક્ષાની, તાલુકા કક્ષાની અને ગ્રામ્ય કક્ષાની હોવી જોઇએ. ખરી ખાદી તો ગ્રામ્ય કક્ષાની જ કહેવાય.

ચાલો જોઇએ ભૂમિપુત્રનો પ્રતિભાવ કેવો છે.

શિરીષ મોહનલાલ દવે

એ-૮૪, જ્યુપીટર ટાવર, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૪.
ફોન નં. ૦૭૯- ૨૬૮૫૫૫૫૪,

Read Full Post »

શું દેશને બદલવો છે? ગાંધીજી એ રસ્તો તો બતાવ્યો છે

પણ આપણે કેટલા તૈયાર છીએ ગાંધીજીને સમજવા માટે?

તાત્કાલિક ઉપાય જરુરી હતોઃ

ગાંધીજીના વખતમાં દેશની ૮૫ ટકા તેથી પણ વધુ વસ્તી ગામડામાં વસતી હતી. જમીનદારી અને જાગીરદારી પ્રચલિત હતી. લગભગ બધાજ ગરીબ હતા. સરકારી નોકરીઓ નહીં જેવી હતી. લાંચ રુસ્વત તે વખતે પણ હતી. ઉદ્યોગો નહીંવત હતા. ભણેલા પણ વર્ષો સુધી બેકાર રહેતા હતા.  તેથી ભણતર પણ ઓછું હતું. જીવન સાદું હતું. પણ જ્ઞાતિવાદ હતો અને તેના નીતિ નિયમોને કારણે કંકાસ ઓછા હતા. રાજવાડાઓમાં કેટલાક રાજા અત્યાચારો કરતા પણ પ્રમાણ ઓછું હતું. રાજવાડાઓમાં ચોરી ચપાટી અને દંગાઓ ઉપર અંકુશ સારો હતો.

કુદરતી આફતો વખતે લોકો લાખોની સંખ્યામાં મરતા. કારણ કે ચિકિત્સા ક્ષેત્ર એટલું વિકસિત ન હતું અને પ્રચલિત પણ નહતું. બાળમરણ ઘણું હતું તેથી વસ્તીવધારાનો પ્રશ્ન ન હતો.

આવા સંજોગોમાં તાત્કાલિક અસરકારક ઉપાય એજ હતો કે ગામડાઓ ગૃહ ઉદ્યોગો દ્વારા સ્વાવલંબી બને જેથી દરેકને રોજી મળે. યંત્રો સાદા હોય જેથી ઓછું ભણેલા પણ તેનું સમારકામ કરી શકે. ગાંધીજીએ વ્યક્તિગત શ્રમને ઘટાડનાર અને બીજાને બેકાર ન કરનાર યંત્રોનો વિરોધ કર્યો ન હતો. આનું ઉદાહરણ સીલાઈ મશીન છે.  તેઓ માળખાકીય વિકાસ કામોના વિરોધી ન હતા. તેઓ એપ્રોપ્રીએટ ટેક્નોલોજીમાં માનતા હતા. સગવડો જો બધાને જ મળતી હોય તો તેઓ સગવડોના વિરોધી ન હતા.

માનવશક્તિના સંશાધનોનો યથા યોગ્ય ઉપયોગ થાય અને માનવીય મન બગડે નહીં તેવી ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા એવી ગોઠવાય કે જેથી શોષણ અને માનવીય મૂલ્યોને નુકશાન ન પહોંચે. આવું ગાંધીજી માનતા હતા. તે સમયે જે પરિસ્થિતિ હતી અને તેના ઝડપી નિવારણ માટે અને તેને અનુલક્ષીને તેમણે સૂચનો કરેલ.

હવે જો આપણા જે એલ નહેરુ માનવીય અભિગમો અને માનવીના મનને અવગણીને વિકાસ સાધવાનો પ્રયત્ન કરે તો વિકાસ તો પ્રમાણમાં ઓછો થાય પણ દુરાચાર વધુ થાય. જેમનું મન યોગ્યરીતે શિક્ષિત નથી અને જે વ્યક્તિઓ જે હોદ્દાને અને કામને લાયક નથી તેઓ ને એવા હોદ્દા, કામ અને સત્તાઓ આપવામાં આવે અને તેમની ઉપર નીગરાની રાખવાવાળા પ્રજાના પ્રતિનીધિઓ નીગરાની રાખવાને બદલે પૈસાને જોરે ચૂંટાઈ આવેલા હોવાથી ભ્રષ્ટ થાય તો દુરાચારો જ ફેલાય. ઉત્પાદનના અને વિતરણનું કેન્દ્રીકરણ કરણ અને અપારદર્ષિતા એ બધાનો સમન્વય દેશને અરાજકતાના રસ્તે જ લઈ જાય.

ગાંધીજીએ કહેલ જ કે હું કાપડની મીલોનો નાશ કરવાની વાત કરતો નથી પણ જો કાપડની મીલો તેમના દુરાચારોને કારણે બંધ પડે તો સ્વદેશી સરકાર તેને મદદ કરવા આવશે નહીં. આ વાત તેમણે એવે સમયે કરેલી કે જ્યારે મીલો ધૂમ કમાણી કરતી હતી. મીલો બંધ પડી શકે તેવી કલ્પના તે વખતના મૂડીવાદી મહાન અર્થશાસ્ત્રીઓ પણ કરી શકતા ન હતા.

અપાત્રે સત્તા એટલે લૂંટો અને લૂંટવા દોઃ

અને તમે જુઓ શું થયું? સ્વતંત્ર ભારતના નહેરુવીયન કોંગ્રેસના નિર્વિરોધ શાસના પહેલા દશકાના અંત ભાગથી જ મીલો બંધ પડવા લાગી. આ સરકારે આ સમસ્યા એવી તો ટલ્લે ચડાવી કે અગણિત કામદારો પાયમાલ થયા. માલિકો અને સરકારી નોકરો મલાઈ ખાઈ  ગયા.         

મહાત્મા ગાંધીએ કહેલું કે ભિખારીઓ અને કરોડપતિઓ એક જ રોગના બે ચાંદાઓ છે. એટલે જ એક વ્યક્તિ પાસે મહેલ જેવા રહેણાક/રહેણાકો હોય છે જે કાયદેસર રીતે હોય છે, જ્યારે બીજો વ્યક્તિ ઝોંપડપટ્ટીમાં રહેતો હોય છે અને તે પણ ગેરકાયદેસર રીતે રહેતો હોય. આવી પરિસ્થિતિ શા માટે છે?

આપણે સૌ કબુલ કરીશું કે હાલની પરિસ્થિતિ આમૂલ પરિવર્તન માગી રહી છે. આના ઉકેલ માટે જુદાજુદા ઉપાયો સૂચવવામાં આવે છે.

એક સૂચન એ છે કે ઉત્પાદન વધવું જોઈએ.* એટલેકે કારખાનાઓમાં ઉત્પાદન વધારવું જોઇએ, વધુ મોટા કારખાનાઓને વિકસાવીને કારખાનાઓમાં પાળીઓ વધારીને ઉત્પાદન વધારી શકાય છે. ઉત્પન્ન થયેલ માલને વધુ જગ્યાએ પહોંચાડીને, અને વપરાશને વધારીને ઉત્પાદનનો નિકાલ કરી શકાય છે.

માલ પેદા થવો અને તેને વાપરનાર સુધી પહોંચાડવો, એ બંને ક્રિયાઓમાં, માલિકો, પ્રબંધકો અને શ્રમ જીવીઓ સંકળાયેલા છે.  જો કે તેની ઉપર નીગરાની રાખનારા (સરકારી કર્મચારીઓને) અને પ્રણાલીને નિયમનમાં રાખવા માટે નિયમો ઘડનારા કર્મચારીઓ ઉપર નીગરાની રાખનારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને હાલતૂર્ત ન ગણીએ તો ઉપરોક્ત. ત્રણેયના જીવનધોરણ સમાન નથી. સુવિધાઓ ભોગવવાની આકાંક્ષાઓ અને બીજી આકાંક્ષાઓ સમાનપણે વિકસી રહી હોય છે. આ આકંક્ષાઓ સમાન પણ બનતી જશે. આથી કરીને તેઓ વચ્ચે ઘર્ષણ ચાલે છે. પગારદારોને વધુ પગાર જોઇએ છે. માલિકોને તેમનું જીવનધોરણ નીચું લાવવું હોતું નથી, બલ્કે વધુ સુવિધાઓ અને વધુ સારી સુવિધાઓ ભગવવી હોય છે. આ માટે ઉત્પન્ન થયેલ માલની કિંમત વધારવી પડે છે. માલની કિમત વધારવામાં બીજાં ઘણાં પરિબળો પણ ભાગ ભજવે છે. પરિસ્થિતિ જ આવી રાખવામાં આવી હોવાથી એક યા બીજા કારણોસર ભાવ વધે છે.

ઉત્પાદન અને વહેંચણીનું આખું માળખું જ એવું એવું ચેઈન એક્સન જેવું છે કે કોઈપણ એક કડી નબળી પડે કે તૂટી જાય તો માલની અછત ઉત્પન્ન થાય અને સ્વિકારી લીધેલા સિદ્ધાંત પ્રમાણે વળી પાછો ભાવ વધારો થાય છે. આ આખી વ્યવસ્થા એવું વાતાવરણ સરજે છે કે જેમાં કોઈ પોતાની જવાબદારી જોતું નથી અને બીજાને નીતિમાન થવાનું કહેવામાં આવે છે.

કેટલાક એમ પણ કહે છે કે સમાજને અનીતિમાન કરવા માટે હાલનું શિક્ષણ જવાબદાર છે. માટે શિક્ષણના માળખામાં ફેરફાર કરવો જોઇએ.

ચોક્કસ રીતે શિક્ષણ તો ખામી યુક્ત છે, કારણ કે તે સ્વાવલંબી નાગરીકો ઉત્પન્ન કરતું નથી. પણ સમાજની નીતિમત્તા તો સમાજમાં ઉત્પાદન અને વિતરણની પ્ર્ણાલી જ ઘડે છે. જો દોષયુક્ત પ્રણાલી હોય તો સમાજ દોષવાળો જ હોય. એવું અન્ન તેવો ઓડકાર.

વધુ જાતની વસ્તુઓ અને વસ્તુઓના વધુ જથ્થાઓ માટે વધુ કારખાનાઓ કરવા, ચાલુ કારખાનાઓને વધુ મોટા કરવા, વધુ મજુરોને રોજગારી આપવી, માલને દૂરદૂર સુધી પહોંચાડવો, તે માટે વધુ વાહકો, વધુ રસ્તાઓ, વધુ લાંબા, વધુ પહોળા બનાવવા વિગેરે વિગેરે થી કદાચ લાંબે ગાળે ભારતમાં ભૂખમરો અને બેકારી નાબુદ થાય પણ ખરી, પણ સમાજમાં અસમાનતા અને બીજા દુષણો રહે છે જ. એટલું જ નહીં વધુ વિકસે છે અને વધુ બળવત્તર બને છે. આ ગાંધીજીના સ્વપ્નનું ભારત નથી.

એક વખત એક ખાદી ગ્રામોદ્યોગ કાર્યકરે ગાંધીજીને જણાવ્યું કે આ વખતે તેમના કેન્દ્રે ગયાવર્ષની સરખામણીમાં આટલી વધુ ખાદી ઉત્પન્ન કરી અને આટલી વધુ ખાદી વેચી. ત્યારે ગાંધીજીએ તેમને જણાવ્યું કે તમે કેટલી ખાદી ઉત્પન્ન કરી અને કેટલી ખાદી વેચી તેમાં મને રસ નથી. પણ તમે કેટલાં ગામડાને ખાદી પહેરતાં કર્યાં તે તમે મને કહો. જો તમે એક ગામને પણ ખાદી પહેરતું કરી સ્વાવલંબી કર્યું હશે તો હું ખુશ થઈશ.

ખાદી અને ગ્રામોદ્યોગ, એ ઉત્પાદનનું વિઘટીકરણ નથી. ગાંધીજીની આદૃષ્ટિ ન હતી. ખાદી અને ગ્રામોદ્યોગોને ગાંધીજી વિકેન્દ્રીકરણ અને સ્વાવલંબનનું સ્વરુપ આપવા માગતા હતા. આ વાત સદંતર વિસરાઇ ગઈ છે. આપણી કાર્ય પદ્ધતિઓ આમ જ કહે છે.

દેશમાં ખૂબ માલ ઉત્પન્ન કરવો અને ખપાવી દેવો તે મહત્વનું નથી. પણ આપણે માલ કેવી રીતે ઉત્પન્ન કરીએ છીએ અને કેવીરીતે વહેંચીએ છીએ તે વસ્તુ મહત્વની છે. અને આજ વસ્તુ રાષ્ટ્રના ચારિત્ર્યનું નિર્માણ કરે છે.

ગાંધીજીના સ્વપ્નનું ગામ એક સંપૂર્ણ પ્રજાસત્તાક છે. તે પોતાની મહત્વની જરુરીયાતો માટે પાડોશના ગામોથી સ્વતંત્ર હશે. તે પોતાની જરુરીયાત જેટલું ધાન, કાપડ માટેનો કપાસ જાતે જ ઉગાડશે. પોતાના ઢોરને ચરવા માટે, બાળકોને રમતગમત માટે અને મોટેરાઓને આનંદ પ્રમોદ માટે જમીન અલગ રાખશે. તે પછી જ ગામ પાસે ફાજલ જમીન હશે તો તેમાં ઉપયોગી બજારમાં વેચી શકાય તેવો પાક લેશે. ગાંજો, તમાકુ, અફીણ, વિગેરે જેવા પાકો નહીં જલે. દરેક ગામને પોતાનું નાટકઘર, પોતાની નિશાળ, સભાગૃહ, નભાવશે. પાયાની કેળવણીના છેવટના ધોરણ સુધીની કેળવણી ફરજીયાત રહેશે. બની શકે ત્યાં સુધી દરેક પ્રવૃત્તિ સહકારી પદ્ધતિના સિદ્ધાંતો પ્રમાણે ચાલશે. ચડતી ઉતરતી શ્રેણીઓવાળી જ્ઞાતિવ્યવસ્થા ત્યાં નહીં હોય. ગામની ચોકી માટે વારાપ્રમાણે ચોકિયાતો પસંદ કરવામાં આવશે. ગામને ધારાસભા હશે. સર્વ નિર્ણયો સર્વસંમતિથી લેવાશે. પોતાના ગામના અને તેની આબરુના રક્ષણને સારુ, દરેક ગ્રામવાસી મરણને ભેટવા તૈયાર હોય એ નિયમથી બધા ગ્રામવાસી બંધાયેલા હશે. ઉદ્યોગને કેળવણીથી જુદો ગણવામાં આવશે નહીં. ગાંધીજીના ગામડાની આ રુપરેખા છે.

ગાંધીજીના સ્વપ્નના ભારતમાં ઉપરોક્ત પ્રકારના ગામડાઓ હશે. હાલના ગમડાઓ આનાથી ઘણા ભીન્ન છે. હાલના ગામડાઓને સુધારવા પડે. તે માટે તેમને સ્વાવલંબી બનાવવા પડે. ગામે સૌ પ્રથમ પોતાની જરુરીયાતો જ ઉત્પન્ન કરવી પડે. આમાં સ્થાપિત હિતો અચૂક આડા આવે. આ નિવારવા ઘણા પ્રયત્નો થયા છે. પણ સફળતા મળી નથી. સ્વાવલંબન વગરનું શિક્ષણ મોંઘું પડે છે. સ્વાવલંબનહીન શિક્ષણ બેકારી દૂર કરી શકતું નથી. ગામડાઓમાં સુવિધાઓ વધતી નથી. ગામડામાં જે કંઈ ઉત્પન્ન થાય છે તેનું ફળ ગણ્યાગાંઠ્યાને મળે છે. બાકીના ગરીબ રહે છે. જેઓ ગરીબ છે તેમની પાસે જમીન નથી. અને જો જમીન હોય તો તેને તેઓ સાચવી શકતા નથી. તેઓ સેવેલી આશાઓની નિસ્ફળતાઓમાં જીવે છે. તેઓને એક યા બીજા પ્રકારની શોષણખોરોની વચ્ચે જ જીવવાનું હોય છે. તેઓ પોતાની જાતને રાજકારણીઓ, અમલદારો, સ્થાપિત હિતો અને સામાજીકવાડાની બદીઓ અને તેમાંથી નિપજતા અહંકારોથી પોતાને બચાવી શકતા નથી અને ટકી શકતા નથી.

જમીન માલિકો અને ઉદ્યોગપતિઓ, યંત્રોનો  ઉપયોગ કરીને મજુરોને શોષી શકે છે. તેઓ મજિરોવગર ભૂખે મરવા બેસતા નથી. જો મજુરો કામ બંધ કરી દેતો, મજુરોને જ ભૂખે મરવાનો વારો આવે છે. પરાવલંબી મજુરો તેમના માલિકસામે શુદ્ધ લડત આપી શકતા નથી અને ટકી પણ શકતા નથી. માલિકોને સરકારની મદદ અને પીઠબળ હોય છે જ. કારખાનુ બંધ થવા થી માલિકો રસ્તે રખડતા થઈ જતા નથી. હાલની વિસંવાદી અને વિષયી પરિસ્થિતિમાં માલિક અને મજુર વચ્ચે તંદુરસ્ત સ્થાઈ અને વ્યાપક સંબંધો સ્થાપવા અત્યંત કઠીન લાગે છે.

આ બધાનો વિકલ્પ સર્વોદય ગ્રામ/નગર હોઇ શકે?

સર્વોદયગ્રામ, હાલના ગામડાઓથી અલગ હશે. તે વસાવવામાં આવ્યું હશે. તે સ્વાવલંબી હશે. તેમાં કોઈ નોકર નહીં હોય. કોઇને નોકરીએ રાખવાનો કોઇને અધિકાર નહીં હોય. ગ્રામવાસી કાર્યદ્વારા પોતે ગામની સેવા કરી રહ્યો છે એમ સમજશે અને માનશે. ગામ પોતે, તેનાગ્રામવાસીઓને જીવન જરુરીયાતો પૂરી પાડીને તેમની સેવા કરશે. ગામમાં બદલાની ભાવનાથી કોઈ કામ થશે નહીં.

સર્વોદય ગ્રામની વ્યાખ્યાઓ અને ધ્યેયઃ

શોષણ વિહીનતાઃ એકના માનવીય હિતનો ભોગ લેવાય તો તેનામાં અન્યાય થયાની ભાવના ઉત્પન્ન થાય. શોષણના મૂળમાં માનવીય હિતોની અવગણના હોય છે. સૌને પુરતું કામ મળી રહે અને કુટુંબ સ્વમાનભેર જીવી શકે તે જરુરી છે. કામને અંતે આરામ પણ મળવો જોઇએ. ભવિષ્ય માટેની નિશ્ચિંતતા હશે. વધુ જ્ઞાન માટેના રસ્તા ખુલ્લા હશે.

સ્વાવલંબન 

            અન્ન વસ્ત્ર અને રહેઠાણની બાબતમાં મોટાભાગની ચીજો ગામમાં ઉત્પન્ન થવી જોઇએ. કમસે કમ અન્ન અને વસ્ત્રની બાબતમાં આમ હોવું જોઇએ. ચૂનો, સીમેન્ટ અને લોખંડ ગામમાં ઉત્પન્ન ન કરી શકાય. તે વાત સમજી શકાય છે. આમ તો જો કુટીર ટાઈપ વનસ્પતીજન્ય છાપરા, ઈંટ અને ગારાના મકાન બનાવો તો આ શક્ય છે. પણ જો બહુમાળી મકાનો ન બનાવીએ તો જમીનનો વ્યય થાય અને ખેતીમાટે જમીન ઓછી રહે. જોકે કેટલાક ગાંધીવાદીઓ માને છે કે માણસને રહેવા માટે પૃથ્વી ઉપર પૂરતી જમીન ઉપલબ્ધ છે. પણ આપણે પૃથ્વીને એકમ તરીકે ન લઈ શકીએ. ભારતમાં અને તેના રાજ્યોમાં જમીન ઓછી છે અને જો ગરીબી કાયમ રહેવાની ન હોય તો, જેઓ ભૂખ્યા સૂઈ જાય છે તેમને કામ આપીશું અને તેમને વ્યવસ્થિત આનંદ પૂર્વક જીવવાની તકો આપીશું તો તેઓ માટે વધુ અનાજની જરુર પડશે. અને તેથી જમીનનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે. હાલનો અનાજનો ભરાવો અને સડો, ગરીબોનો ભૂખમરો એ વાસ્તવમાં સરકારની નીતિ ની સાથે સાથે ચૂંટાયેલા સત્તાધારી પ્રતિનીધિઓ અને ભ્રષ્ટ અમલદારોની મીલીભગત છે.

સમાનતાઃ

ગામમાં સહુ સમાન ગણાશે. સહુને સરખી સગવડો મળશે. કોઈ કોઈને નોકર તરીકે રાખશે નહીં. જે કામ મોટા પાયે અને બહારની એજન્સીઓ પાસેથી કરાવવાના હશે તે સૌ કામો કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટથી કરાવવા પડશે. જો કે આવા કામો રાજ્યની સરકાર કરાવી શકશે અથવા ગ્રામ સભા સાથે મસલત કરી નક્કી કરી શકશે.

વર્ગવિગ્રહ હીનતાઃ કોઈપણ કામને નાનું કે મોટું સમજવામાં આવશે નહીં. સહુને સરખી સગવડો મળશે જે તેમના કામને અનુકુળ હોય. વ્યક્તિ કામ કરીને ગામની સેવા કરી છે તેમ માનશે. તેવી જ રીતે ગામ તેની જરુરીયાતો પૂરી કરીને અને નિશ્ચિંતતા બક્ષીને તેની સેવા કરશે.

સહયોગ, સહકાર અને સેવા પરાયણતાઃ

કોઈ બીજાને નોકર રાખી શકતું નહીં હોવાથી, જુદા જુદા ઉત્પાદન કામની વ્યવસ્થા એવી રીતે ગોઠવવામાં આવશે કે જેથી કામમાં પોતા પણું રાખી શકાય અને છતાં કામ સહયોગથી થાય. ખેતીની જુદી જુદી મોસમોમાં, અકૃષકો પણ કૃષકોને મદદ કરશે. ખેતી અને બીજાં ઉત્પાદનો માટે આયોજન કરવામાં આવશે. દરેકને સરખી રીતે વૈવિધ્યતા મળશે. વ્યક્તિની મુશ્કેલીમાં સહુ પ્રેમ રાખશે અને સેવાપરાયણતાથી મદદ કરશે.

સાદગીઃ

દેશની મોટાભાગની જનતા જ્યારે ગરીબીમાં સબડતી હોય ત્યારે ગ્રામવાસીઓ અવગણી શકાય તેવી સુવિધાઓથી દૂર રહેશે. જે સગવડો સમાનતાથી મળતી હશે તેનાથી ગ્રામવાસીઓ સંતુષ્ટ રહેશે.

વૈજ્ઞાનિક અભિગમઃ

ધર્મને આત્મસુધારણા અને સેવાપરાયતાનું સાધન માનવામાં આવ્શે. સામાજીક રીતરીવાજોમાં ઉપયોગીતા જોવામાં આવશે. તેવા સંદર્ભમાં પાળાવામાં આવશે. ઉત્પાદનમાં શોષણ કરાવનાર અને કુદરતી ચક્રને તોડતાં યંત્રોનો ઉપયોગ ન છૂટકે જ અને ખાસ સંજોગોમાં કરવામાં આવશે. મનુષ્યના શ્રમને ઘટાડનાર અને જ્ઞાનની ક્ષિતીજોને વિસ્તારનાર યંત્ર અને સાધનોનો ઉપયોગ થશે.

બહારની દુનિયા સાથે સંબંધ જાળવી રખાશે. અધ્યયન મંડળ તેની ચર્ચા કરશે.

અનિરક્ષરતાઃ

ગામમાં દરેકને લખતા વાંચતા આવડતું હશે. ગામમાં વાચનાલય અને ગ્રામ પત્રિકા હશે. આનો લાભલેવા સૌને ઉત્તેજવામાં આવ્શે. સહુને દરેક કામનું સામાન્ય જ્ઞાન હશે. સૌ પોતાના કામમાં હોંશીયાર હશે.

સભાનતાઃ

દુનિયાના બનાવો અને પ્રશ્નોથી સહુ માહિતગાર હશે જે કામ કરશે તે સમજ પૂર્વક કરશે. પોતાના ગામના વિકાસ, પ્રશ્નો, અને ભય સ્થાનોથી પૂરા સભાન હશે.

ગૌરવપ્રદતાઃ

પોતાને બીજા ગામના માણસોથી હીન કે ઉચ્ચ માનશે નહીં. પોતે જે કામ કરે છે તે પોતાના ગામ અને દેશમાટે કરેછે તેનો સતત ખ્યાલ રાખશે. પોતે અને પોતાનું ગામ કોઈ વિષચક્રમાં ન ફસાય તેનું હમેશા ધ્યાન અને ગૌરવ રાખશે.

દેશાભિમાનઃ

દુનિયાની ઘણીય મોટી સંસ્કૃતિઓ, કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ, પણ ભારતીય સંસ્કતિ તેના મૂળભૂત મૂલ્યોને યાદ રાખતી અને જાળવતી હજુ પણ ટકી રહી છે. ભારતીય સંસ્કૃતિમાં જે કંઈ નાના મોટા દુષણો કાળક્રમે ઘુસીગયા હોય તેમ લાગે તો તેને દૂર કરી વધુ સમૃદ્ધ સંસ્કૃતિ તરફ જવાની ભાવના સાથે કામ કરવામાં આવશે. ગામની કમાણીનો ઉપયોગ પોતાની અવાંચ્છિત સગવડો વધારવામાં નહીં પણ નવા સર્વોદય ગ્રામ/નગર બનાવવામાં કરવામાં આવશે.

કુદરતી જીવન અને પૌષ્ટિક આહારઃ

એવી આદતો પોષવામાં નહીં આવે કે જેથી આદતો ભાર રુપ થાય કે આદતોના ગુલામ થઈ જવાય. એવી આદતો કેળવામાં આવ્શે કે જેથી ઉત્પાદન સાથે સાથે શરીરને યોગ્ય કસરત મળે. આહારમાં શાક ભાજી, ફળો અને અન્નની યોગ્ય માત્રા રાખવામાં આવશે. જીવન શૈલી એવી રાખવામાં આવશે કે જેથી રોગો સામેની પ્રતિકારાત્મક શક્તિ વધે.

લયતાઃ

મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તેથી જીવન ચર્યા માં લયતા તેનું એક અંગ છે. દિનચર્યા એવી રીતે ગોઠવવામાં આવશે કે જેથી આખું ગામ લયબદ્ધ રીતે જીવતું હોય તેમ લાગે. ઉત્પાદનના કામો, શિક્ષણ, સફાઈ, પ્રાર્થના, પ્રવચન, સંવાદ વિગેરેને દિનચર્યામાં એવીરીતે ગોઠવવામાં આવશે કે જેથી જીવન રસપ્રદ લાગે.

આનંદમયતાઃ

વ્યક્તિ ના જીવનનો મુખ્ય હેતુ સામાજીક ઉન્નતિનો છે. મનુષ્યો તો આવે છે, જ્ઞાન મેળવે છે, કામ કરે છે અને જાય છે. વ્યક્તિનું જ્ઞાન નષ્ટ થાય છે પણ સમાજમાં તેના સ્થુળ અને સુક્ષ્મ કાર્યો અને જ્ઞાનની આપલે કરી તે સમાજમાં અકબંધ રહે છે અને સમાજ એક કદમ આગળ વધે છે.

વ્યક્તિ પોતે જ્ઞાન, કર્મ અને પ્રેમ થકી આનંદ પામે છે. મનુષ્ય નો મૂળ હેતુ આનંદ પ્રાપ્તિનો હોય છે. આ આનંદ નિર્ભેળ અને બિન નુકશાન કારક હોવો જોઇએ. મનુષ્ય પોતે એવું ઇચ્છતો હોય છે કે તેના સ્વમાં રહેલી વિશેષતા બીજા જાણે અને તેને ઓળખે. આવું થવાથી તેને આનંદ થાય છે. પણ તેને માટે સ્પર્ધા એ તેની આવશ્યકતા નથી. લોકોનો પ્રેમ અને લોકોમાં તેની ઓળખ અને લોકો સાથેનો સંવાદ તેને આનંદ આપે છે. લયતા પણ વાસ્તવમાં આનંદ નીપજાવે છે.

વૈવિધ્યતાઃ

માણસનું મન એકની એક વાત થી, કામથી અને સૃષ્ટિથી કંટાળી જાય છે. જો તે શોખ ખાતર કરતો હોય તો તેને કંટાળો આવતો નથી કારણ કે તેમાં તે કંઇકને કંઇક જાણકારી મેળવતો હોય છે તેની જીજ્ઞાસા સંતોષાતી હોય છે અથવા તો તેની તેને આશા હોય છે. વળી તેને તેની સ્વઓળખ બનશે તેનો પણ આનંદ હોઈ શકે. આ બધું પ્રચ્છન્ન હોય છે. કેટલાક કામો તેના શોખના ન હોય તો પણ સમાજ માટે કરવા પડતા હોય છે. આમાં વૈવિધ્યતા લાવવી જોઇએ. તેવી જ રીતે નવાસ્થળો ની મુલાકાત લેવી, નવા માણસોને મળવું, રમતો રમવી, ખેલદીલી પૂર્વકની સ્પર્ધાઓ કરવી, મનોરંજન કાર્યક્રમો કરવા અને જોવા, આવું બધું પણ જીવનમાં આનંદ માટે સામેલ હોય છે.

નિડરતાઃ

માણસ તેના શરીરનુમ મહત્વ સમજે તે રીતે તેને કેળવવામાં આવશે. ગાંધીજીના વિચારોને સમજવાથી જ નહીં પણ આચરવાથી જ આત્મવિશ્વાસ અને નિડરતા આવશે.

સર્વોદય ગ્રામની રૂપરેખાઃ

આ એક વસાવેલું ગામ હશે.

આ ગામ યોજના બદ્ધરીતે તબક્કાવાર બાંધવામાં આવશે

ભૂમિપુત્ર અને બેકાર, મજૂરો અને કારીગરોને તાલીમ અને શિક્ષણ આપીને ગામમાં વસાવવામાં આવશે. શા માટે ભૂમિપુત્રને જ વસાવવા? આ યોજના દરેક રાજ્યમાં થઈ શકે. એટલે એક રાજ્યમાં બીજા રાજ્યોમાંથી ગરીબોને વસાવી દેવા તે બરાબર નથી. “સન ઓફ ધ સોઈલ” લઈએ તો જ તેની અસર દેખાય.

અહીં કોઈ માલિક નહીં હોય અને સૌ સેવા અને ત્યાગ ભાવનાથી કામ કરશે

સહુએ પોતાનું સૂતર પોતે કાંતવું પડશે.

સહુ કોઈએ ઉદ્યોગ કે ખેતી કે શિક્ષણનું કામ કરવું પડશે

જેમને ઉદ્યોગ કરવા હશે તેમને તેને અનુરુપ ગાળા મળશે.

શાકભાજી સૌએ વાવવા પડશે.

જેઓ ખેતી કરવી હશે તેમને જમીન મળશે

દરેક કૃષકની જમીનના ત્રણ હિસ્સા હશે. એક હિસ્સો સહકારી કૃષિનો, એક હિસ્સો મનપસંદ કૃષિનો અને એક હિસ્સો બાગાયતનો.

જેઓ કૃષક હશે તેમનો બળદ ગૌશાળામાં હશે.

જેઓ અકૃષક હશે તેમની ગાય ગૌશાળામાં હશે.

જેમને બકરી કે ઘેટા જોઇતા હશે તેને તે મળશે. તે પણ ગૌ શાળામાં રહેશે. સૌ પોતાના પશુધનની માવજત કરશે.

ગૌશાળા ગામના બિલ્ડીંગ સંકુલના ગ્રાઉન્ડ ફ્લોરની જગામાં હશે.

ગૌશાળાની સાથે ગોબર ગેસ પ્લાંટ સંલગ્ન હશે. અને સૌના રસોડામાં આ ગેસ પહોંચતો કરવામાં આવશે.

ગામની ફરતે બોગનવેલ, થોર, બોરડી કુબાબુલ કે એવી કોઈ કુદરતી અને ગીચ ઝાડીવળી વાડ હશે. ગામની અંદર જતા રસ્તા દ્વારાજ ગામમાં પ્રવેશ થઈ શકશે. ગામની વાડની અંદરની બાજુએ લીમડાની હરોળ હશે. જેમાં લીમડાના વૃક્ષો ઉપરાંત અન્ય જંગલી ફળાઉ કે ઔષધીય વૃક્ષો હશે. લીંબોડીનો ઉપયોગ સાબુ બનાવવા માટે કરવામાં આવશે.

લીમડાની હરોળમાં અને ગામની વાડની વચ્ચે ગોચર અને ઘાસચારો બનાવવાની જગ્યા હશે.

ગામની નીચાણ વાળી જગ્યામાં ખેત તલાવડી અને કે કુવો હશે.

ગામમાં પાંચ ગ્રામસેવકો હશે.

આ ગ્રામ સેવકો ગ્રામવાસીઓની પસંદગી અને શિક્ષણ, પ્રશિક્ષણ વિગેરે કામ કરશે.

ગ્રામ સેવકો સહકાર અને સદ્‍ભાવનાથી ગામની રચનાનું આયોજન, રચના, તેની પ્રવૃત્તિઓ, વિકાસ અને સમસ્યાઓનું સમાધાન વિગેરે ગ્રામવાસીઓને વિશ્વાસમાં લઈ કરશે.

ગામમાં નીચેની પ્રવૃત્તિઓમાંથી જે થઈ શકતી હશે તે કરવામાં આવશે.

જમીનને નવસાધ્ય કરવી, ગ્રામ રચનાનું આયોજન અને વિકાસ,

ખેતી કરવી, ખાતર બનાવવા, ખેતી અને ખેત ઉત્પાદનને લગતા ગૃહઉદ્યોગો સ્થાપવા, ખેત તલાવડી, સીંચાઈ, જાતજાતના જરુરી અને ફળાઉ સહિતના વૃક્ષો વાવવાં, શાકભાજી વાવવાં, ફુલો વાવવાં, મધ ઉછેર કરવો, માટીકામ, તેલઘાણી, પશુપાલન, દુધ ઉત્પાદન, સફાઈ, ચોકી, શિક્ષણ, પ્રશિક્ષણ, કાંતણ, વણાટકામ, સીલાઈ, ચર્મ ઉદ્યોગ, આયાત, નિકાસ વિગેરે

શું તમે સર્વોદય ગ્રામની રચનામાં માનો છો? સૂચનો મોકલો.

સમૂહ પ્રાર્થના, પ્રવચન, વાચન, સંવાદ, રમતો, મનોરંજનના કાર્યક્રમો, ગ્રામ પત્રિકા, ગ્રામસભા, ગ્રામકોષ, વહેંચણી અને સહભોજનના કાર્યક્રમો:

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ગાંધીજી, ગરીબ, સાદગી, ખાદી, ગૃહ ઉદ્યોગ, સ્વાવલંબન, સર્વોદય ગ્રામ, ગૌશાળા, ગ્રામસેવક, સેવા, સફાઈ, ખેતી, રહેણાંક, સંકુલ, ઉત્પાદન, વપરાશ, વિકેન્દ્રી, વિતરણ, સ્પર્ધા, સ્વની ઓળખ, આનંદ

 

 

 

 

Read Full Post »

%d bloggers like this: