Feeds:
Posts
Comments

Posts Tagged ‘ચર્ચા’

“શું ભારત સાચેસાચ સ્વતંત્ર થયું છે?” એક વિતંડાવાદ

“શું ભારત સાચેસાચ સ્વતંત્ર થયું છે?” નો એક વિતંડાવાદ

જેઓ સોસીયલ મીડીયા ઉપર સક્રિય છે તેઓ જાણતા હશે કે ભારતે મેળવેલી સ્વતંત્રતા બાબતમાં ઘણા લોકો ગંભીર રીતે શંકા ધરાવે છે. શરુઆતમાં આપણે તેને અવગણીએ તે ઠીક હતું. પણ પછી જોવામાં આવ્યું કે જેઓ ઠીક ઠીક જાણકારી, બીજા વિષયોમાં પણ ધરાવતા હતા તેઓ પણ આ વિષયમાં ભાગ લેવા માંડ્યા. એટલે મારા જેવા કેટલાક લોકોએ ઉત્તર આપવાનું શરુ કર્યું. પણ એવું જોવામાં આવ્યું કે તેમને આપણો ઉત્તર સમજવામાં રસ ન હતો.

આ વિષયની ચર્ચામાં રસ લેનારાઓમાં મોટા ભાગના એવા હતા કે જેઓ પૂર્વગ્રહથી પીડિત હતા અને તેમની માન્યતા છોડવા તૈયાર જ ન હતા. અને આ માન્યતાના લીસ્ટમાં તેઓની માન્યતાઓ નીચે પ્રમાણે હતી.

ભારતના ભાગલાઓ માટે ગાંધીજી જવાબદાર હતા.

હિન્દુ-મુસ્લિમ હુલ્લડોમાં ગાંધીજી મુસ્લિમોના પક્ષમાં રહેતા હતા અને જ્યાં મુસ્લિમો વધુ પ્રમાણમાં મરાયા હતા ત્યાં તેઓ દોડી જતા હતા. મુસ્લિમ તૂષ્ટીકરણની નીતિના જન્મદાતા ગાંધીજી હતા, આનું મુખ્ય કારણ તેઓએ દક્ષિણ આફ્રિકામાં મુસ્લિમ વેપારીનો કેસ લડ્યા તે હતું.

ગાંધીએ બોઅર યુદ્ધમાં અંગ્રેજોનો પક્ષ લીધો હતો.

ગાંધીએ ખિલાફત આંદોલનમાં ધર્માંધ મુસ્લિમોનો પક્ષ લીધો હતો.

મોપલાઓએ હિન્દુઓની જે કત્લેઆમ કરી હતી તે કત્લેઆમને ગાંધીએ અનુમોદન આપ્યું હતું.

ગાંધીએ ભગતસિંહને બચાવવા કશું કર્યું ન હતું,

જલીયાવાલા બાગમાં અંગ્રેજોએ કરેલી કતલમાં ગાંધીએ જનરલ ડાયરનો પક્ષ લીધો હતો

પાકિસ્તાનને ૫૫ કરોડ અપાવવા માટે તેઓ આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલ, પણ ભારતના ભાગલા પડતા અટકાવવા માટે તેઓ આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા ન હતા.

ગોડસે એક મહાન વ્યક્તિ હતો અને તે પરમ દેશભક્ત હતો. તેણે ગાંધીનો વધ કર્યો તે યોગ્ય જ હતું. તેણે કોર્ટમાં જે નિવેદન આપેલ તેને સરકારે જાહેર કર્યું નથી તે જ બતાવે છે કે સરકાર સત્યને છૂપાવવા માગે છે. ચલણી નોટો ઉપર ગાંધીને બદલે ગોડસેનું ચિત્ર હોવું જોઇએ. ખરો શહીદ તો ગોડસે જ હતો.

ગાંધી સાઉથ આફ્રિકામાં નિસ્ફળ નીવડ્યા હતા એટલે ભારત પરત થયા હતા.

ગાંધી અંગ્રેજ સરકારના એજન્ટ હતા,

ગાંધી એક ઐયાશી વ્યક્તિ હતા. ગાંધી દુરાચારી હતા. તેઓ ભીન્ન ભીન્ન સ્ત્રીઓને સહશયન માટે ફરજ પાડતા હતા.

ગાંધીએ હિન્દુ નિરાશ્રિતોને કહેલ કે તમારે તમારી મા-દિકરી-બહેનોને મુસ્લિમોને હવાલે કરી દેવી જોઇતી હતી. આ જ તમારો ધર્મ હતો.

આવી તો અનેક વાતો ગાંધી-ફોબીયાથી પીડિત લોકો લખતા. આપણે આ બધી જ વાતોનું તર્ક પૂર્વક ખંડન કરીએ તો પણ તેઓ સમજવા તૈયાર જ ન હ્તા. એટલું જ નહીં મોટા ભાગના તો વાંચતા જ નહીં અને અદ્ધર અદ્ધર રીતે આપણા તર્ક નકારી કાઢતા હતા. આ બધા જ ગાંધી-ફોબિયા પીડિત જ નહીં મુસ્લિમ-વિરોધી-ફોબિયાથી પણ પીડિત લોકો હતા.

આમાંના કેટલાકના વિષયો એ પણ હતા કે

ભારતને આઝાદી મળી જ નથી. હજુ પણ તે અંગ્રેજોનું ગુલામ છે. આ માટેની તેમની દલિલો નીચે પ્રમાણે છે.

INDIA FIRST

INDIA FIRST

(૧) ૧૫મી ઑગષ્ટે જે થયું તે “સત્તાનું હસ્તાંતરણ (ટ્રાન્સ્ફર ઑફ પાવર) થયું છે.

(૨) આ દસ્તાવેજ કદી બહાર પાડવામાં આવ્યો નથી.

સત્તાના હસ્તાંતરણને સ્વતંત્રતા ન કહેવાય,

(૩) કોમનવેલ્થ રાષ્ટ્રોની પ્રમુખ કાયમ માટે બ્રીટનની રાણી (બ્રીટીશ ક્રાઉન) છે. ભારતે બ્રીટનની રાણીને ખંડણી આપવી પડે છે.

(૪) ગવર્નમેન્ટ ઑફ ઈન્ડીયા એક્ટ ૧૯૩૫, આ જે પણ લાગુ છે.

(૫) આપણને જે સત્તા મળી છે તે ૯૯ વર્ષના પટ્ટે મળી છે.

૯૯ વર્ષ પછી આપણે ભારતની સત્તા બ્રીટનને પાછી સોંપી દેવી પડશે. એટલે આવા કરારને સ્વતંત્રતા કહેવાય જ નહીં.

(૬) બ્રીટનની રાણીને ૨૧ તોપોની સલામી અપાય છે. બ્રીટનની રાણીને ભારતનો વિસા લેવાની જરુરત પડતી નથી.

(૭) નાગરિક કાયદાનો હવાલો આપી એવું તારણ કરવામાં આવે છે કે આપણે ભારતીય બંધારણને હિસાબે પણ ગુલામ જ છીએ.

(૮) આ બધામાં વળી એક રાજીવ દિક્ષિતનો વીડીયો સામેલ કરવામાં આવ્યો છે જેમાં રાજીવ દિક્ષિત “ટ્રાન્સ્ફર ઑફ પાવર”નું પોતાનું અર્થ ઘટન કરતા બતાવ્યા છે.

આ બધા ઉભી કરેલી માન્યતાઓનું આપણે તર્કશુદ્ધ રીતે ખંડન કરીએ તો પણ આ વિવાદો ચાલુ રાખવામાં આવે છે.

સોસીયલ મીડીયામાં આ વિવાદો ત્રણચાર વરસોથી ચાલે છે. આ વિવાદોની સ્થિતિ “ગાંધી-ફોબિયા પીડિત” જ છે. એટલે કે તમારા ઉત્તરો ઉપર, કોઈ ચર્ચા કરવા તૈયાર થતા નથી. આ બધું આપણે અટકાવી શકતા નથી. કારણ કે લોકશાહીમાં વાણીસ્વાતંત્ર્યમાં બધાને પોતાના તર્કહીન  વિચારો વ્યક્ત કરવાનો હક્ક છે. આપણા તર્કશુદ્ધ વિચારો માન્ય રાખવા કે ન રાખવા તે તેની મુનસફ્ફીની વાત છે.

આવી સ્થિતિ હોય ત્યારે આપણે અમુક હદ પછી તેવા લોકોની માન્યતાઓ ઉપર પ્રતિભાવ આપવાનું બંધ કરીએ તે સ્વાભાવિક છે.

ડીબી (દિવ્યભાસ્કર)માં પણ અમુક કટારીયા લેખકોને બાદ કરતાં બાકીના બધા કટારીયા લેખકો કદાચ સમાચારપત્રના એજન્ડા પ્રમાણે લખતા હોય તેમ તેઓની બહુમતિ હોવાને નાતે આપણે માની શકીએ.

પણ જે લેખકો પોતાની તર્કશુદ્ધતા જાળવી રાખે છે તેમને વિષે આપણે એવું કહી ન શકીએ કે તેઓ વર્તમાનપત્રના એજન્ડા પ્રમાણે લખતા હશે. આવા લેખકોમાં ડૉ. ગુણવંત શાહ, વિનોદ ભટ્ટ, મધુરાય, નગીનભાઈ સંઘવી અને સંજયભાઈ વોરાનો સમાવેશ અચૂક કરી શકીએ. કાન્તિભાઈ ભટ્ટ પણ જો નરેન્દ્ર મોદીને ન સ્પર્શે ત્યાં સુધી માહિતિ-પૂર્ણ લખે છે. રોજ કટાર લખવી એ ઘણું અઘરું હોય છે. તો પણ ન છૂટકે આ બાબતની આપણે અવારનવાર ટીકા કરી છે. પણ જવા દો.  દરેકને પોતાના વિચારો, પોતાનું મન અને પોતાના ગમા-અણગમા હોય છે.

સંજયભાઈ વોરા ડીબીમાં રોજ લખે છે. અને દરેક લેખ માહિતિપૂર્ણ હોય છે. અને તર્કશુદ્ધ પણ હોય છે. નાની નાની વાતો મિસ-ફાયર થાય તો તેને ક્ષમ્ય ગણવું જ જોઇએ. પણ સંજય ભાઈ વોરાએ જ્યારે “શું આપણે સાચેચાચ સ્વતંત્ર થયા છીએ તે વિષય ઉપર પ્રશ્નચિન્હ લગાવ્યું ત્યારે તેની ગંભીરતાને સમજવી પડે. તેમના મુદ્દાઓમાં કેટલાક બ્રીટીશ નાગરિકતા વાળા સનદી અધિકારીઓ સેવામાં ચાલુ રહ્યા, અને તે પણ ભારતીય રાજબંધારણ અમલમાં આવ્યું તે પછી પણ ચાલુ રહ્યા તે, અને તેને સમકક્ષ બીજા મુદ્દાઓ, નવા મુદ્દા તરીકે જાણવા મળ્યા.

“ટ્રાન્સ્ફર ઑફ પાવર” એગ્રીમેન્ટ

આ કરારનું અર્થઘટન એવું કરવામાં આવ્યું કે “ટ્રાન્સ્ફર ઑફ પાવર એ “સ્વતંત્રતા” નથી. એક ની જગ્યાએ બીજો આવ્યો. તેમાં સ્વતંત્રતા ક્યાં આવી?

ચૂંટણીના પરિણામો પછી એક વ્યક્તિને બદલે બીજી વ્યક્તિ સત્તા સંભાળે છે. જેમકે એક વ્યક્તિ વડાપ્રધાન છે. ચૂંટણી પછી નવો પક્ષ બહુમતિ મેળવે તો તેનો નેતા દેશનું વડાપ્રધાન પદ સંભાળે છે. “ટ્રાન્સ્ફર ઑફ પાવર” તેના જેવું છે.

આપણે સમજવું જોઇએ કે “ટ્રાન્સ્ફર ઑફ પાવર” અને “ટ્રાન્સ્ફર ઑફ ચાર્જ” એ બંને ભીન્ન ભીન્ન છે. અ બંને સમાનાર્થી શબ્દો નથી. એક વ્યક્તિ કે જે વડા પ્રધાન છે તેની પાસેથી નવી વ્યક્તિ વડાપ્રધાન પદ લે, તેને ટ્રાન્સ્ફર ઑફ ચાર્જ કહેવાય. આમાં કોઈ એગ્રીમેન્ટ થતું નથી. જે કંઈ થયું તે બંધારણ અનુસાર થાય છે. સરકારી અધિકારીઓની બદલી થાય ત્યારે તેઓ પોતાનો ચાર્જ બીજા અધિકારીને આપે છે. તેને એકે “ચાર્જ લીધો” અને બીજાએ “ચાર્જ આપ્યો” એમ કહેવાય છે ગણાય છે. પ્રધાનો પાસે દસ્તાવેજોનો ચાર્જ હોતો નથી. સચિવો અને મૂખ્ય સચિવ બધો ચાર્જ રાખે છે. દરેક ફાઈલની હેરફેર નોંધાતી હોય છે. અંગત સ્ટાફ ની ફાઈલ મંત્રીશ્રી પોતાની પાસે કે પોતાના અંગત સચિવ (રહ્સ્ય સચિવ) પાસે રાખે છે.

સત્તાની ફેરબદલીની રીતો

સત્તાની ફેરબદલી બે રીતે થાય છે. એક છે બળપૂર્વક થતી સત્તાની ફેરબદલી. અને બીજી છે પરસ્પર સમજુતીથી થતી સત્તાની ફેર બદલી. ૧૮૫૭માં થયેલા સ્વાતંત્ર્યતાના સંગ્રામમાં જો ભારતનો વિજય થયો હોત તો, “ટ્રાન્સ્ફર ઑફ પાવર”ના એગ્રીમેન્ટની જરુર પડી ન હોત. પૂર્વપાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં બંગ્લાદેશનું સર્જન થયું તેમાં “ટ્રાન્સ્ફ્રર ઑફ પાવર”ના એગ્રીમેન્ટની જરુર પડી નથી.

બળપૂર્વક થતા સત્તાના હસ્તાંસ્તરણમાં નવી સત્તાએ જુના કાયદાઓ માનવા સિવાય છૂટકો હોતો નથી, સિવાય કે પોતાના કાયદાઓ હયાત હોય.  જુના વખતમાં ન્યાયધીશો કે રાજા કે રાજાદ્વારા સ્થપિત વ્યક્તિઓ, રાજકારભારના અને ફરિયાદોને લગતા નિર્ણયો લેતા. તેમને કોઈ નિયમો નડતા ન હતા. તે પોતાની મુનસફ્ફી પ્રમાણે કે શુદ્ધબુદ્ધિથી નિર્ણયો લેતા.

જ્યારે ભારતને ૧૫મી ઑગષ્ટે “સ્વતંત્રતા” મળી ત્યારે ભારતનું બંધારણ અસ્તિત્વમાં ન હતું. ભારતમાં સર્વોચ્ચ સત્તા વાઈસરોય પાસે હતી. વાઈસરોય ઉપર બ્રીટનની પ્રણાલીઓ દ્વારા સ્થપાયેલ બંધારણ અને ઈન્ડીયન ગવર્નમેન્ટ એક્ટ નું બંધન રહેતું. ભારત સ્વતંત્ર થયું એટલે કામચલાઉ વ્યવસ્થા વડાપ્રધાન અને ગવર્નર જનરલની થઈ. બ્રીટનની પાર્લામેન્ટે પસાર કરેલા “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ” ના આધારે આ નક્કી થયું હતું. જ્યાં સુધી ભારતનું પોતાનું બંધારણ તૈયાર ન થાય ત્યાં સુધી, ભારતની સંસદ જે કંઈ પણ વહીવટી કાયદાઓ પસાર કરે તેને માટે બ્રીટનના ક્રાઉનની મંજુરી લેવી જરુરી હતી. એટલે કે ભારતની સંસદ એ બ્રીટનની સંસદને સમકક્ષ હતી. પાકિસ્તાનની પણ આ જ સ્થિતિ હતી.

સ્વાતંત્ર્ય મળ્યા પૂર્વે અખંડ ભારતમા ચૂંટણીઓ થઈ હતી. ચૂંટાએલી સરકારો/મંડળો બ્રીટીશ એજન્સીના પ્રત્યક્ષ વહીવટ હેઠળના પ્રદેશો ઉપર રાજ કરતી હતી. આને “સ્થાનિક સ્વરાજ્ય” કહેવાતું હતું. પણ આ બધા વાઈસરોયના તાબામાં એટલે કે બ્રીટીશ ક્રાઉનના તાબામાં હતા. ૧૫ ઑગષ્ટે સ્વરાજ્ય મળ્યું એટલે ભારતને કેન્દ્રમાં “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ” અને “ગવર્નમેન્ટ ઈન્ડિયા એક્ટ”ની મર્યાદા હેઠળ સત્તા મળી.

રાજાઓની સત્તાઓ તેમની પાસે રહી પણ તેમણે જનતાની ઈચ્છા અનુસાર “પાકિસ્તાન સાથે જોડાવું“, કે “ભારત સાથે જોડાવું” કે “સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે રહેવું” તે નક્કી કરવાનું હતું. “જનતાની ઈચ્છા” જાણવાની પ્રક્રિયાને “પ્લેબીસાઈટ” કહેવામાં આવી હતી. આ કામ કેન્દ્ર સરકારની નિગરાનીમાં કરવાનું હતું જેથી જનતાની સાચી ઈચ્છા જાણી શકાય. આ પ્રમાણે જે મોટા રાજ્યો હતા તેમના પ્રાંત અલગ હતા. પણ આ બધા જ અંતે તો “બ્રીટીશ ક્રાઉન”ના તાબામાં હતા. એટલે ૧૫ ઑગષ્ટ “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ” ની અંતર્ગત રહેલ “ઈન્ડીપેન્ડન્સ” શબ્દની રુએ, “ઈન્ડીપેન્ડન્સ ડે” ગણાયો. જેમાં બધા જ સત્તાધારી પદો ઉપર ભારતીયો  આવ્યા.

એક વાત સમજવાની છે કે “ઈન્ડિયન સીવીલ સર્વીસ”ની પરીક્ષા બ્રીટીશ સરકાર લેતી હતી અને સીવીલ સર્વીસ પ્રોવાઈડર બ્રીટીશ સરકાર હતી. એટલે તેની સર્વીસની શરતો બ્રીટને નક્કી કરી હતી. જે કોઈ આઈસીએસ અધિકારીઓ ભારતમાં રહ્યા તેઓ આ સર્વીસ કન્ડીશન્સની જોગવાઈને આધારે સ્વેચ્છાએ રહ્યા. બ્રીટીશ અફસરો ભારતમાં નોકરીએ ચાલુ રહ્યા તે કારણસર ભારત ગુલામ હતુ એમ ન કહી શકાય.

એક વાત સ્વિકારવી પડે કે ભારત જ્યાં સુધી પોતાનું સ્વતંત્ર બંધારણ અમલમાં ન લાવ્યું ત્યાં સુધી ભારતે સાર્વભૌમત્વ મેળવ્યું ન હતું. ભારતની સંસદ, લોકોએ ચૂંટેલી હતી અને તેના થકી ભારતનું બંધરણ ૧૯૫૦માં અમલમાં આવ્યું. આ ભારતીય બંધારણમાં નિર્દેશિત પ્રક્રિયા પ્રમાણે ચૂંટણીઓ થઈ.

કોમનવેલ્થ રાષ્ટ્રઓનું જુથ

કોમન વેલ્થ રાષ્ટ્રોના જુથમાં, જે રાષ્ટ્રો અગાઉ બ્રીટીશ ક્રાઉનના તાબામાં હતાં તે બધા રાષ્ટ્રોનો સમાવેશ થાય છે. બ્રીટન પોતે પણ બ્રીટીશ ક્રાઉનના તાબામાં હતું. કોમનવેલ્થ રાષ્ટ્રોના જુથના બંધારણમાં જ આવી જોગવાઈ છે અને તે સહજ છે કે તેનું પ્રમુખ પદ બ્રીટીશ ક્રાઉન પાસે રહે. આ બાબતમાં કોઈ રાષ્ટ્રે નાનમ અનુભવવાની જરુર નથી. વળી તમે એક સંસ્થા ચલાવો તો બધા સભ્યોએ ફાળો તો આપવો જ પડે પછી ભલે તે જી-૮ હોય કે જી-૨૪ હોય કે સાર્ક રાષ્ટ્રોની સંસ્થા હોય. આ ફાળાને આપણે ખંડણી તરીકે ખપાવી ન શકીએ.

બ્રીટનની રાણીને ૨૧ તોપોની સલામી.

જે બ્રીટને આપણને યુદ્ધ વિના શાંતિથી સ્વતંત્રતા આપી તેનું માન રાખવું એ આપણી કૃતજ્ઞતા દર્શાવે છે. આપણે ઇતિહાસનો નાશ કરી શકતા નથી. બ્રીટનની રાણીને ૨૧ તોપોની સલામી આપવાથી આપણે ગુલામ થઈ જતા નથી. કોઈપણ દેશ કોઈ મહાનુભાવ વ્યક્તિનું સન્માન કરી શકે છે. તેને નાગરિકતા પણ આપી શકે છે. ખાન અબ્દુલ ગફારખાનને ભારતરત્નનો ખિતાબ અપાયેલો છે. તો શું પાકિસ્તાન આપણો ગુલામ દેશ છે?

કોઈ એક વ્યક્તિને ભારતીય નાગરિકતા આપવાની કે નકારવાની સત્તા

આ મુદ્દો સોસીયલ મીડીયા ઉપર બહુ ચગાવવામાં આવેલ. સ્વાતંત્ર્યતા પૂર્વે કેટલીક વ્યક્તિઓ જુદા જુદા સંજોગોમાં અનન્ય પરિસ્થિતિમાં ભારતની બહાર હતી. નિશ્ચિત મુદતમાં ભારતમાં આવવા માટે અસમર્થ હતી. તેના ઉપર નિર્ણય લેવા સક્ષમ અધિકારીઓ હ્તા. અનુચ્છેદ ૬ માં આને લગતી જોગવાઈઓ છે. વિવરણ પણ છે. આ અનુચ્છેદને ફક્ત અને ફક્ત સાંકળીને કેટલાક લોકો રામભરોસે એવું અર્થઘટન કરતા કે ભારત સ્વતંત્ર થયું જ નથી. તેઓ કશું વિવરણ કે દાખલાઓ આપવામાં માનતા નહીં પણ જ્યારે તેમને પૂછવામાં આવતું કે તમે ભારતીય બંધારણની કલમ તો બતાવો અને તેનું અર્થઘટન કરીને તમારી વાત તો સમજાવો !! પણ તેઓ આવું કશું કરવામાં માનતા ન હતા.

૯૯ વર્ષના પટ્ટે ભારતનો વહીવટ કરવાની કરવાની સ્વતંત્રતા

આવી જોગવાઈ કઈ જગ્યાએ છે અને બંધારણમાં આને કઈ જગ્યાએ માન્યતા આપવામાં આવી છે તે કહેવા કોઈ તૈયાર નથી. કોઈક આપણને (આખે આખો)  “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ”નો હવાલો આપે છે. એટલે કે આપણા વિપક્ષીને સાચા ઠેરવવા માટે આપણે આખ્ખે આખ્ખો ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ વાંચીને એ શોધી કાઢવાનું કે ભારતને ૯૯ વર્ષના પટ્ટે સ્વતંત્રતા મળી છે. એટલે કે અંધારા ઓરડામાં અસ્તિત્વ ન ધરાવતી કાળી બિલાડી આપણે શોધવાની.

ગુલામ રાષ્ટ્ર, સ્વતંત્ર રાષ્ટ્ર અને લોકશાહી રાષ્ટ્ર

આ ત્રણેના ભેદ સમજવા જેવા છે.

ગુલામ રાષ્ટ્ર એટલે બીજા રાષ્ટ્રનો વ્યક્તિ/વ્યક્તિ સમૂહ કે અધિકૃતવ્યક્તિ/અધિકૃતવ્યક્તિ સમૂહ આપણા રાષ્ટ્ર ઉપર શાસન કરતો હોય તો આપણું રાષ્ટ્ર ગુલામ કહેવાય. બ્રીટીશ યુગમાં આપણે ગુલામ હતા.

મોગલયુગમાં જ્યારે મોગલ રાજાઓએ આપણા દેશને પોતાનો દેશ ગણ્યો ત્યારે આપણે ગુલામ દેશ મટી ગયા.

ઈસ્વીસન પૂર્વેથી ઇસ્લામયુગસુધી  ભારત સ્વતંત્ર રાષ્ટ્ર હતું કારણ કે શાસકો ભારતીય હતા.

લોકશાહી એ એક સાપેક્ષ સુવ્યવસ્થા છે.

જ્યાં સત્ય ગમે તે સ્તરેથી આવતું હોય પણ જો તેને અસત્ય ઠેરવવું અશક્ય હોય અને તેનો આદર થતો હોય તો તેને લોકશાહી કહેવાય. પણ સત્ય વિવાદાસ્પદ હોય છે. શ્રેય પણ વિવાદાસ્પદ હોય છે. આ બંને સાપેક્ષ પણ હોય છે. આ માટે જે વ્યવસ્થામાં મૂક્ત ચર્ચા ઉપલબ્ધ હોય અને તે આદરણીય હોય તેને લોકશાહી વ્યવસ્થા કહેવાય. “રામરાજ્ય” ભલે એક રાજાશાહી વ્યવસ્થા હોય પણ ત્યાં સત્યનો આદર થતો હતો. એટલે તેને લોકશાહી કહી શકાય.

જો કે રાજાશાહી વ્યવસ્થામાં આશ્રિત લોકશાહી દીર્ઘજીવી હોતી નથી. કારણ કે તે વંશપરંપરાગત હોય છે. એક રાજા પછી તેનું સંતાન યોગ્યતા વગર જ શાસક બને છે. યોગ્યતા વગર બનેલી વ્યક્તિ લોકશાહીનું રક્ષણ કરી ન શકે. આ વિષે ભારતને વંશવાદી પક્ષોનો અને ખાસ કરીને નહેરુવંશી ઈન્દિરા ગાંધીનો ઠીક ઠીક અનુભવ છે.

ભારતની વાસ્તવિક પરિસ્થિતિ શું છે?

ભારત એક સાર્વભૌમત્વવાળું રાષ્ટ્ર છે. ભારતના રાજબંધારણમાં કોઈપણ એવી કલમ નથી કે જેમાં એમ કહેવામાં આવ્યું હોય કે આ વ્યવસ્થા ૯૯ વર્ષ માટે જ છે.

ભારતના રાજબંધારણમાં અનેક ફેરફાર સંશોધન થયા છે પણ આપણે ક્યારેય આ સંશોધનોને માન્યતા અપાવવા માટે બ્રીટીશ ક્રાઉન પાસે મોકલ્યા નથી. કારણકે આ માટે ભારતના રાજબંધારણમાં ક્યાંય લખ્યું નથી કે બ્રીટીશક્રાઉનની અનુમતિ જરુરી છે.

ભારતના રાજબંધારણમાં ક્યાંય એવી જોગવાઈ નથી કે આપણે, કોઈપણ એક સંશોધન માટે બ્રીટીશ ક્રાઉનની અનુમતિ લેવી અનિવાર્ય છે.

ભારતના રાજબંધારણમાં આપણે માનવીય મૂળભૂત હક્કો અને કુદરતી હક્કોની ઉપરવટ જઈને આ હક્કોને હાની થાય તેવા ફેરફાર કરી શકતા નથી. કારણ કે ભારતીય રાજબંધારણ એક લોકશાહી વ્યવસ્થા માટે રચાયેલું છે અને તેમાં સત્ય અને ભારતીય જનતા સર્વોપરી છે. .   

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

નહેરુવીયન કોંગ ઊંટ કહે આ સમામાં …. ભાગ – ૨

આમ તો નહેરુવીયન કોંગ્રેસનો એકડો ભૂંસાઈ જવાની અણી ઉપર છે. પણ આ કોંગ્રેસે લગભગ છ દાયકા ભારત ઉપર રાજ કર્યું અને તેમાં પણ ૩૦ વર્ષ નિરપેક્ષ બહુમતિથી તથા બે વર્ષ સરમુખત્યારીથી અને બાકીના વર્ષ બહુમતિથી રાજ કર્યું. એટલે તેને હુકમ કર્યા વગર નવરા બેસવું ગમે નહીં. આમ તો તેની પાસે સાતપેઢી તો શું સીત્તેર પેઢી સુધી ચાલે તેટલા પૈસા છે. સત્તામાં રહેવાથી જે ધન સંચયમાં વૃદ્ધિ થયા કરતી હતી તે અટકી ગઈ તેનું તેને દુઃખ ખરું. તે દુઃખને ભૂલવા માટે તેણે કંઈક તો કરવું જ જોઇએ.

પૈસા હાથવગા હોય તો શું અશક્ય છે?

૭૦ પેઢી કોણે જોઇ છે? નહેરુ, જોકે આમ તો પોતાને બ્રાહ્મણ તરીકે પરોક્ષ રીતે પોતાની ઓળખ આપતા હતા પણ બ્રાહ્મણીય પ્રણાલીથી ઉંધું તેમને બાર પેઢી તો શું પાંચ પેઢીના નામ પણ ગોત્યા જડતા ન હતાં (બ્રાહ્મણોમાં દશથી બાર પેઢી સુધી યાદ રાખવું જરુરી મનાય છે. જુઓ મારી પેઢીઓ). એટલે ૭૦ પેઢીની ચિંતા કરવાની જરુર નથી એમ વિચારી સમાચાર માધ્યમોને સાધ્યા હતા. અને આ પ્રમાણે કદાચ પાયો બનાવ્યો.

સમાજવાદી (સામ્યવાદી) વિચારધારાવાળાઓ માટે પ્રચાર લીલા એ મહત્વનું શસ્ત્ર છે. ક્રુશ્ચોવે નહેરુને આ બાબતનો એકડો ઘુંટાવેલો. સમાજવાદી વિચારધારા રાખવી, તે જમાનાની ફેશન હતી. નહેરુએ તો નિરપેક્ષ બહુમતિથી રાજ કરેલ કારણ કે તેમના કરતાં તેમની ટીમ વધુ જોરદાર હતી. જે ખાતાં નહેરુએ પોતાના હસ્તક રાખેલા તેમાં તો તેમણે ભાંગરો જ વાટેલો જેના પરિણામો આપણે આજે પણ ભોગવીએ છીએ.

પ્રચારલીલા કરવાની જરુર ઇન્દિરા ગાંધીને પડેલી.

લોકશાહી એ કોઈ નિરપેક્ષ વ્યવસ્થા નથી. લોકોનો શાસક ઉપરનો કાબુ જેટલો વધુ તેટલી લોકોની શક્તિ વધુ કહેવાય. પણ શાસકો ઉપર કાબુ ધરાવતા લોકોમાં “તૂંડે તૂંડે મતિર્ભીન્ના” એવું હોય છે. એટલે બધાના અભિપ્રાયો જુદા જુદા હોય છે.

જનતામાંના મોટા ભાગનાઓને એકમત કરવા માટે તેના પરિબળોને સમજવા જરુરી હોય છે.

જો શાસક, લોકોમાં વિશ્વસનીય થાય તો શાસક જે અભિપ્રાય ધરાવે તે મોટે ભાગે જનતામાં સ્વિકાર્ય બને. આ વિશ્વસનીયતા ત્યારે જ આવે જ્યારે શાસક અન્ન, વસ્ત્ર અને રહેઠાણની વ્યવસ્થામાં સુધાર લાવે. આ માટે શિક્ષણનો પ્રસાર, કામની તકો અને માળખાકીય સુવિધાઓ વધવી જોઇએ. આ માટે શાસકે દૃઢ સંકલ્પવાળા, કુશળ અને નીતિમાન બનવું પડે. પણ જો વ્યક્તિ કે તેનો એક નાનો સમૂહ કોઈ ખાસ મહેનત વગર જ સત્તા ઉપર આવી જાય ત્યારે તેને મુશ્કેલીઓ પડે. આ મુશ્કેલીઓ ચૂંટણી સ્વરુપે આવે છે.

મુડીવાદી લોકશાહી અને સમાજવાદી (સામ્યવાદી) લોકશાહી

મુડીવાદી લોકશાહી અને સમાજવાદી લોકશાહી એ બંને વિષે સામાન્ય વ્યક્તિને ખાસ ફેર પડતો નથી સિવાયકે તે પોતે શાસનનો હિસ્સો બને.

મૂડીવાદી લોકશાહી એ સરખામણીમાં પારદર્શી છે. તે ઉપરાંત અભિવ્યક્તિની પૂરી છૂટ છે સિવાય કે કોઈની અંગત સ્વતંત્રતા જોખમાતી હોય.

સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં મોટેભાગે બધું અપારદર્શી હોય છે.

મુડીવાદી લોકશાહીમાં પક્ષો ખુલ્લી રીતે જોઈ શકાય છે. આ પક્ષો ખૂલ્લી રીતે એકબીજા સામે અથડાય છે. સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં પણ પક્ષો હોય છે પણ તે અપારદર્શી હોય છે. તેઓ પક્ષની અંદર જુથ તરીકે ઓળખાય છે.  એટલે જેઓ માં’ય પડ્યા છે તેઓ જ આ જુથોને જોઈ શકે છે. અને નથી પણ જોઈ શકતા એવું પણ બને છે.

મુડીવાદી લોકશાહીમાં નેતાઓ કાયદેસર સુખ માણે છે, અને ગેરકાયદેસર રીતે મહાસુખ માણે છે. તેથી જ્યારે તેમની ગેરકાયદેસરતા પકડાઈ જાય ત્યારે તેઓ શાસનમાંથી ફારેગ થાય છે. સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં નેતાઓ જેઓ “માં’ય” પડ્યા છે તેઓ જ મહાસુખ માણે છે.  સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં શાસન સત્તામાંથી ફારેગ થવા માટેનો કોઈ માપદંડ નથી.

એટલે આ બંને કહેવાતા વાદમાં સામાન્ય માણસ માટે ખાસ ભેદ હોતો નથી. જે લોકશાહીમાં સત્યનો આદર થાય એવી પ્રણાલી સ્થપાય તેને વાસ્તવમાં લોકશાહી કહેવાય.

સત્યનો આદર ક્યારે થાય?

જો માહિતિ ઉપલબ્ધ હોય તો, સંવાદ થાય. સંવાદ થાય તો ચર્ચા શક્ય બને. ચર્ચા શક્ય બને તો સત્ય પરખાય.

પણ માહિતિ ઉપલબ્ધ કેવી રીતે થાય?

જો વહીવટમાં પારદર્શિતા હોય તો માહિતિ ઉપલબ્ધ થાય.

આ પ્રમાણે માહિતિનો અધિકાર લોકશાહી સાથે એકરુપ થયેલો અને સહજ (સાથે જન્મેલો) અધિકાર છે. જો તમે કોઈને એક કામ માટે નિયુક્ત કર્યો હોય અને તેનું મહેનતાણું પણ નક્કી કર્યું, તો તમારો એ જાણવાનો કુદરતી હક્ક છે કે તમે સોંપેલું કામ તે કેવી રીતે કરશે અને કેવી રીતે કર્યું. તમે એક નોકર રાખ્યો અને તેને શાક લાવવા માટે મોકલ્યો, તો તમારો એ પૂછવાનો હક્ક છે કે તે શાક લેવા કેવી રીતે ગયો, ક્યાં ગયો, કેટલું શાક કયા ભાવે લીધું અને કેવું લીધું? આને માટે કોઈ કાયદાની જરુર નથી. તેવી રીતે માહિતિ અધિકાર માટે જુદા કાયદાની જરુર નથી.

શાસક ઉપર નજર કોણ રાખી શકે?

શાસક ઉપર જનતા નજર રાખી શકે. આ માટે સરકારે કેટલીક માહિતિ “ઓન લાઈન” રાખેલી છે. બીજેપી શાસિત રાજ્યોમાં આ દિશામાં ઘણી પ્રગતિ થઈ છે. જનતાભિમુખ લોકશાહીની દિશામાંનું આ એક મહત્વનું પગથીયું છે. દિશા સાચી છે, પણ આ બાબતમાં મજલ બહુ લાંબી છે. સમયનો સવાલ છે.

આ સમય દરમ્યાન શું થઈ શકે?

આ જવાબદારી  નિભાવવાની જવાબદારી વિરોધ પક્ષની છે. કારણ કે તે પણ વેતન તો લે જ છે.

ધારો કે એક શેઠે એક નોકર રાખ્યો. શેઠે તેને કહ્યું “જા લઈ આવ”

નોકરે કહ્યું “શું લાવું?”

શેઠે કહ્યુઃ “સામા સવાલો કરે છે? કહ્યું ને કે જા લઈ આવ.”

નોકરે કહ્યું; “અરે પણ એ તો કહો કે શું લાવું?”

શેઠે કહ્યું; “જા તને નોકરીમાંથી છૂટો કરીએ છીએ”

નોકરે કહ્યુઃ “અરે પણ મારો કોઈ ગુનો?”

શેઠે કહ્યુઃ “તું કામ નથી કરતો …. માટે તને દંડ રુપે ફારેગ કરવામાં આવે છે”

લોકશાહીમાં તમે શેઠ છો. તમે બે નોકર રાખ્યા. એક નોકર જે વધુ હોશિયાર અને કુશળ લાગ્યો તેને તમે બધું કામ કરવાનું સોંપ્યું (જેમકે બીજેપી). અને બીજા નોકરને એ કામ સોંપ્યું કે તે બધું જુએ અને તમને જણાવે (જેમકે નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓને જનતાએ બીજા નોકર તરીકે રાખ્યા છે).

શરુઆતમાં તમે આ બીજા નોકરને “કામ કરવાનું” કામ સોંપેલ. પણ તે નપાવટ નિકળ્યો. તે પૈસા ચાઉં કરી જતો હતો. તમારા પૈસે તમારા કરતાં લાખ ગણો પૈસાદાર થઈ ગયો. તે હમેશા સિફત પૂર્વક ખોટું બોલતો હતો. મોટે ભાગે તો કામ જ ન કરે. પાડોશીઓ સાથે અને પાડોશી નોકરો સાથે ઝગડા કરે અને ચોરટા નોકરો સાથે મળીને તમને ખાલી કરવાના પ્લાન કરતો હતો, અને તમને પારાવાર નુકશાન પણ પહોંચાડતો હતો. જ્યારે તેની નોકરીને રીન્યુ કરવાનો સમય આવે ત્યારે પ્રપંચ કરીને આ નોકર, જે નોકર “કામ કરવાનું “ પદ લેવા ઉત્સુક હોય તેની વિષે અફવાઓ એવી સિફત પૂર્વક તમારી આગળ ફેલાવતો કે તમારી પાસે ઓછી માહિતિ હોવાથી તમે, “મેલ કરવત મોચીના મોચી” જેવું કરતા. તમે ઘણું દરગુજર કરેલું. સુદૂરના વિદેશીઓ તમારી મૂર્ખતાથી અને અજ્ઞાનતાથી આશ્ચર્ય પામતા. તમારી આબરુના અને તમારા ઘરની આબરુના કાંકરા થઈ ગયેલા.  એક વખત તો આ નોકરે તમને ૧૮ માસ સુધી એક કમરામાં પૂરી દીધેલ કે તમે સૂર્યનો પ્રકાશ પણ ન જોઇ શકો. ૬૦ વર્ષેને અંતે તમે ત્રસ્ત થઈને આ નોકરને કામ કરવામાંથી ફારેગ કર્યો.

લોકશાહીમાં તમે એક વ્યક્તિ નથી. તમે તો અનેક છો. એટલે પરિસ્થિતિ એવી થઈ કે પેલા નપાવટ નોકરને તમારે પેલા કુશળ નોકર ઉપર નજર રાખવાનું કામ સોંપવું પડ્યું. હવે તો તેને પેલા કામગરા નોકરને વગોવવા સિવાય કશું કામ જ ન રહ્યું. હા એક વાત ખરી કે તે ગેરકાયદેસર પૈસા બનાવતો અટકી ગયો. મહાત્મા ગાંધીએ તો તમને ચેતવ્યા જ હતા. પણ તમે ક્યાં સમજી શકો તેમ હતા !! તમે તો વિભાજિત હતા અને આ નોકરે તમને વધુ વિભાજિત કરેલ.

હવે તમે જુઓ કે શું થાય છે !!

ન્યાયાલયમાં એક કેસ આવ્યો.

હજી દાખલ થયો નથી.

વકિલાત નામુ રજુ કર્યું છે કે નહીં તેની ખબર નથી.

ફરીયાદી કહે છે કે “અ” સામે મારો આરોપ છે કે તે ચોર છે અને નીતિભ્રષ્ટ છે.

ન્યાયધીશ કહે છે. ઓકે. લાવો તમારી ફરીયાદ.

ફરીયાદી કહે છે “ફરીયાદ હું પછી આપીશ. તમે પહેલાં આ આરોપીને દંડિત કરો”

ન્યાયાધીશ કહે છે; “ અરે ભાઈ, આરોપીને દંડવા માટે તમારે પહેલાં ફરીયાદ તૈયાર કરવી પડે. તેમાં તમારે વિગતો લખવી પડે. તમારી વિગતો મારે જોવી પડે. મને પ્રાથમિક રીતે લાગવું જોઈએ કે આ ચલાવવા જેવો કેસ છે. પછી મારે આરોપીને નોટીસ આપવી પડે. એનો જવાબ લેવો પડે. પછી કેસ ચલાવવો પડે. સામસામી દલીલો થાય. એ પછી જ મારાથી ન્યાય કરી શકાય.

ફરીયાદી કહે છે. “ ના સાહેબ. એ બધું પછી કરજો. પહેલાં તમે આરોપીને સજા કરો. આવું નહીં કરો તો હું તમારી કોર્ટ ચાલવા નહીં દઉં.”

ન્યાયાલયમાં જજ શું એમ કહેશે કે હા ચાલો, હું તેને જેલમાં પૂરી દઉં છું. પછી નિરાંતે આપણે કેસ ચલાવીશું?

નાજી ન્યાયધીશ એવું નહીં કહે.

પણ આ આપણા નહેરુવીયન કોંગી નેતાઓ એવું કહેશે.

તેમણે કહ્યું

“પહેલાં વસુંધરા રાજે મુખ્ય પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં સ્મૃતિ ઇરાની પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં શિવરાજ પાટીલ મુખ્ય પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં સુષ્મા સ્વરાજ પ્રધાન પદેથી દૂર થાય,

પછી જ અમે લોકસભા અને રાજસભા ચાલવા દઈશું. લોકસભામાં તો તેઓ લઘુમતિમાં હતા અને તેમણે અસભ્ય વર્તણુંક કરી એટલે સ્પીકરે તેમને સસ્પેન્ડ કર્યા.

પણ આ નહેરુવીયન કોંગીઓએ રાજ સભા તો ચાલવા જ ન દીધી કારણ કે ત્યાં બીજેપીની બહુમતિ નથી. નહેરુવીયન કોંગી નેતાઓએ કહ્યું કે પહેલાં અમે જેની ઉપર આરોપ મુકીએ છીએ તેને દંડિત કરો (પ્રધાનપદે થી દૂર કરો).

સંસદ શા માટે છે?

સંસદ ચર્ચા માટે છે. માહિતિ સભર ચર્ચા અને તાર્કિક ચર્ચા એ સંસદની ગરિમા છે. પણ જો નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ સંસદની આ ગરિમા સાચવવા જ તૈયાર ન થાય તો તેમને માટે કયા શબ્દો વાપરી શકાય?

આ એજ નહેરુવીયન કોંગ્રેસીઓ છે જેમણે સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ છતાં કાળાનાણાની તપાસ માટે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવી ન હતી.

તમે કહેશો કે ઘણા પ્રધાનો પોતાની ઉપર આરોપો થતાં પ્રધાન પદેથી પોતાને દૂર કર્યા હતા. તો પછી બીજેપીના પ્રધાનોએ આ પ્રમાણે શા માટે ન કરવું?

વાસ્તવમાં આ તર્ક અહીં લાગુ પડતો નથી. હા એક વાત ખરી કે એક હાથની આંગળીઓથી ગણી શકાય તેટલી સંખ્યામાં નહેરુવીયન સરકારોના પ્રધાનોએ રાજીનામા આપ્યાં છે. પણ એ બધાં રાજીનામા સરકારે જ નીમેલી સંસ્થાઓએ આપેલ રીપોર્ટમાં તેમને દોષી દર્શાવાયેલા એટલે તેમને રાજીનામાં આપવા પડેલ.

એવા પારાવાર કિસ્સાઓ છે કે જેમાં તપાસ સમિતિના રીપોર્ટ પ્રમાણે દોષી હોય તો પણ અને અથવા ન્યાયાલયે દંડિત કર્યા હોય તો પણ  નહેરુવીયન કોંગ્રેસના પ્રધાનોએ રાજીનામાં આપ્યા ન હતા. આના સૌ પ્રથમ દોષી નહેરુ પોતે હતા. જેમાં મિત્ર પ્રધાન વીકે મેનન અને જીપ કૌભાંડ એમ હતું. તે વખતે વિપક્ષે “તપાસ સમિતિ” નિમવાની વાત કરેલી. તો નહેરુએ કહેલ કે તમે આ મુદ્દા ઉપર આગામી ચૂંટણી લડજો.

લાંબી વાત ન કરીએ તો ઇન્દિરા ગાંધીને ઉચ્ચન્યાયાલયે દોષી ઠેરવેલ અને તેમને સંસદ સદસ્ય માટે છ વર્ષ માટે અયોગ્ય ઠેરવેલ. તેમણે ધરાર રાજીનામુ ન આપેલ અને બીજા હજારોને કેસ ચલાવ્યા વગર જેલમાં ગોંધેલ.

નહેરુવીયનો ગળથુથીમાંથી શિખ્યા છે

ગુનો થયા વગર, કેસ દાખલ થયા વગર, આરોપનામુ દાખલ થયા વગર, કેસ ચલાવ્યા વગર, આરોપીને જેલની સજા કરી દેવી એ આચાર, નહેરુવીયન કોંગી નેતાઓ ગળથુથીમાંથી શિખ્યા છે. આ પ્રણાલી તેમણે પોતાના વિરોધીઓ ઉપર હમેશા લાગુ કરી છે. એટલે જો તેઓ વિપક્ષમાં હોય તો પણ તેઓ કેસ સાંભળ્યા વગર વ્યક્તિને સજા કરવા ઉપર આંદોલન કરે તો તેનાથી જનતાને આશ્ચર્ય થવું ન જોઇએ. નહેરુવીયન કોંગ્રેસીઓ તેમના વિરોધીઓના માનવ-અધિકારોમાં કે કુદરતી અધિકારોમાં માનતા નથી.

નહેરુવીયન કોંગ્રેસીઓએ જોયું કે આપણે જે કંઈ મુદ્દઓ ઉઠાવીએ છીએ તેમાં કશો દમ હોતો નથી. એટલે તેની ચર્ચા તો ન જ થઈ શકે. કારણ કે જો ચર્ચા કરવા જઈશું તો આપણા મુદ્દાથી સો ગણા મોટા મુદ્દા આપણી સામે ઉભા થાય છે અને એક આંગળી આપણે ચીંધવા જઈએ છીએ તો સો આંગળી આપણી સામે ચીંધાય છે. એટલે ચર્ચા થી તો બાર ગાઉ છેટા જ રહેવું સારું.

જીન્ના સાહેબની જેમ ડાયરેક્ટ એક્સન ન જ કરો.

જીન્નાનું “ડાયરેક્ટ એક્સન” તો જ્યાં મુસ્લિમો માટે શક્ય હોય ત્યાં તેઓએ “હિન્દુઓની કતલ કરવી” એમ હતું. જો નહેરુવીયન કોંગ્રેસીઓ આવું કરવા જાય તો તો “કાયદો એનું કામ કરે” અને આ જાતનું આંદોલન તો “આ બૈલ મુઝે માર” એના જેવું થાય.

આંદોલનનો હેતુ જનતામાં જાગૃતિ આવે અને જનતા સમસ્યાને સમજવા માંડે, એ હોય છે. જ્યારે આંદોલનકારી પ્રદર્શન કરે ત્યારે તેના હાથમાં પ્લે-કાર્ડ હોય તેના ઉપર કંઈક લખ્યું હોય. જનતા તે વાંચે. વળી તમે ભાષણ દ્વારા જનતાને વધુ માહિતિ આપો. એટલે જનતાને શાસકની ક્ષતિઓ દેખાય. જનતાને અસંતોષ થાય. જનતાને શાસક પક્ષ પ્રત્યે અસંતોષ થાય એટલે ઘૃણા પણ થાય. આ ઘૃણાને લીધે તે ચૂંટણીમાં જનતા શાસક પક્ષને મત ન આપે. ટૂંકમાં આંદોલનનો હેતુ જનતામાં શાસક પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરવાનો છે.

આંદોલન એટલે શું અને તે કેવું હોવું જોઇએ તે વિષે જનતાને જ્ઞાન નથી. બધાએ ગાંધીજીને વાંચ્યા હોતા નથી. જેઓએ વાંચ્યા છે તેમના મોટા ભાગનાઓ તેમને સમજ્યા નથી કે સમજવા માગતા નથી. એટલે જે સામુહિક આચારો, ધમાલ અને સામાન્ય જીવનમાં અરાજકતા ઉભી કરે તેને આંદોલન માની લેવામાં આવે છે. અને તેને લોકશાહીનો ગુણ અને હક્ક માની લેવામાં આવે છે.

બીજેપી વિરોધીઓ માટે “ચર્ચા” એ આત્મહત્યા નો રસ્તો છેઃ

નહેરુવીયન કોંગ્રેસીઓએ રાજસ્થાનમાં દશકા અગાઉ એક જ્ઞાતિને અનામત અપાવવા માટે ધમાલો કરીને સામાન્ય જનજીવનમાં અરાજકતા ઉભી કરી દીધેલી. બીજેપીએ સત્તા ગુમાવેલી.

આને પરિણામે ગુજરાતમાં પણ નહેરુવીયન કોંગી નેતાઓની દાઢ સળકી. નહેરુવીયન કોંગીઓને લાગ્યું કે મુદ્દાઓ વિષે ગુણવત્તાના આધારે ચર્ચા કરવી એ આત્મહત્યા નો રસ્તો છે. હેતુ સિદ્ધિ માટે મટીરીયલની જરુર નથી. મટીરીયલ વગર પણ અરાજકતા અને ઘૃણા ફેલાવી શકાય છે.

પ્રમેયઃ મટીરીયલ વગર અને ચર્ચા વગર પણ શાસક પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરી શકાય છે

સાધ્યઃ સામાજીક વાતાવરણ દુષિત કરવું.

સાધનોઃ નાણાં, સમાચાર માધ્યમો, અફવાઓ, આક્ષેપો, આપણા મળતીયા મૂર્ધન્યો, રબરના માપદંડો અને અસમાન ત્રાજવાંઓ, દેડકાના કાટલાઓ, સ્વકેન્દ્રી ખ્યાતિપ્રિય વ્ય્ક્તિઓ

રીતઃ

આટલું નકારાત્મક કરોઃ

કદી મટીરીયલ ન આપો.

કદી ચર્ચા ન કરો,

કદી મુદ્દા પ્રમાણે વાત ન કરો,

જો ભૂલથી પણ ચર્ચામાં સામેલ થઈ જવાય તો સામેવાળા કરતાં આપણા અવાજો મોટા રાખો અને સતત અવાજો કર્યા કરો. એંકરને સાધી લો કે તે આપણને બોલતાં ન રોકે પણ સામે વાળાને જો તે મુદ્દની વાત કરતો હોય તો તેને બીજ પ્રશ્નો પૂછી રોકે અને ચર્ચાને આડે માર્ગે દોરે. એમ કરીને તે આપણને બચાવે.

સ્વકેન્દ્રી વ્યક્તિઓને પટાવો તેમને ખ્યાતિની લાલચ પણ આપો કારણકે સમાચાર માધ્યમ તમારા પૈસા થકી તમારે માટે તે હાથવગુ હથીયાર છે.

જે વ્યક્તિઓના જાતિવાદની અને કે ખ્યાતિની ભૂખને ઉત્તેજી શકાય છે તેમને ઉત્તેજો અને તેમની પાસે પ્રતિકારાત્મક અને તારતમ્યાત્મક (કનક્લ્યુઝિવ) ઉચારણો કરાવો. ગાળો પણ બોલાવડાવો. જેમકે “ગાંધીનગરમાં એક ઢુંઢીયો રાક્ષસ બેઠો છે. (કેશુબાપા, નરેન્દ્ર મોદીને અનુલક્ષીને બોલેલા). આપણા સમાચાર માધ્યમ વાળા કેશુભાઈની જબાનની વિરુદ્ધ નહીં બોલે. તે તો એમ જ કહેશે કે કેશુભાઈએ નરેન્દ્ર મોદીને આડે હાથ લીધો. બહુ બહુ તો એમ કહેશે કે હે ભાઈઓ, પટેલો તો આખા બોલા હોય જ ને !!

કેશુભાઈ (ઢુંઢિયા રાક્ષસવાળા) કે સોનીયા (મૌતકા સોદાગરવાળ), કે લાલુ યાદવ (નરભક્ષીવાળા), વિગેરે કરતાં સો ગણા નબળાં વિશેષણો જો સામેવાળો (કોઈ બીજેપીનો નેતા) બોલે તો આપણા પીળા અખબારો સામેવાળાની અસભ્યતાને ઉછાળવા તૈયાર જ હોય છે. ટૂંકમાં આપણે (બીજેપી વિરોધીઓએ) આપણી લૂલીને આપણે લગામ રાખવાની જરુર નથી. આપણને સમાચાર માધ્યમોનો સાથ છે. મોટા ભાગના કટારીયા લેખકો ખ્યાતિ ભૂખ્યા છે તેથી તેઓ હવાઈ તુક્કાવાળી અને તારતમ્યોવાળી વાતો કરશે તો પણ આપણા સમાચાર માધ્યમોવાળા છાપશે. આપણા સાધ્ય માટે દલીલ અને તર્કની જરુર નથી. કારણ કે જો આપણે આની ચર્ચા કરવા જઈશું તો આપણા વાક્યો જ આપણા માટે બુમરેંગ થશે.

થાળીઓ વગાડો, જો કે વગાડવા લાયક વસ્તુ તો ઢોલ છે. પણ ઢોલ તો કેમ વગાડાય.!!  તો તો આપણે ઢોલ બજાણીયામાં ખપી જઈએ. જો કે આપણી માગણીઓ પછાત જ્ઞાતિઓ ભોગવે છે તેવી જ છે. પણ તેથી શું? આપણે ક્યાં મગજ ચલાવવાનું છે !! તર્ક અને ચર્ચાનું તો નામ જ નહીં લેવાનું. રસ્તા રોકો, રેલ રોકો, એસટી બસોને રોકો. એસટી બસોને બાળો, એસટી સ્ટેન્ડો બાળો, લોકલ બસોને બાળો, રેલ્વેના પાટા ઉખેડી નાખો. દુકાનો બંધ કરાવો. શાળા કોલેજ બંધ કરાવો, યાતાયાત અને જનવ્યવહાર ખોરવી દો.. આમ જનતાને ત્રાહી ત્રાહી પોકારી દો.

આ ઉપરાંત, સરઘસો કાઢો, પુતળાં બાળો,  પોલીસો ઉપર પથરા ફેંકો. પોલીસ વાળા તો બધા સંત પુરુષો છે. તેઓ સંત પુરુષો ન હોય તો તેમણે સંત જેવા બનવું જ જોઇએ. આ લોક શાહી છે. તે તેમણે સમજવું જોઇએ અને અમને અમારા પ્રતિભાવો કે ભાવો પ્રગટ કરવાની છૂટ હોય છે તે તેમણે સમજવું જોઇએ અને અમને હાથ પણ અડાડવો ન જોઇએ. જો તેઓ અમને અટકાવશે તો તે તેમની હિંસા કહેવાશે. અને અમે તે માટે તપાસ સમિતિની માગણી કરીશું.

થોડા તકિયા કલમી શબ્દો અને વાક્યો શોધી કાઢો.

૨૦૦૨, રાજધર્મ, અદાણી, રીલાયન્સ, ઈન્ડસ્ટ્રીયાલીસ્ટોને ફાયદો, લાલ જાજમ, ખેડૂતોના આપઘાત, તાનાશાહી, અસુરક્ષિત મુસ્લિમો, આરએસએસ નો રીમોટ કન્ટ્રોલ, સીનીયર લીડરોની અવજ્ઞા, સીનીયર લીડરોને હાંસીયામાં મુક્યા, પાટીદારોની (કે એવી કોઈ બીજી જાતિ કે વર્ગની) ઉપેક્ષા, સરકારનો યુ ટર્ન, સરકારને ન છૂટકે કરવું પડ્યું, સરકારને કોર્ટ દ્વારા ઝટકો, બીજેપી ઉપર પ્રહાર, આડે હાથ લીધા, નરેન્દ્ર મોદીની બોલતી બંધ, નરેન્દ્ર મોદી જવાબ આપે,

અને હવે એક એવું બનાવટી અને ઢંગધડા વગરનું તારણ કાઢો કે માનવ હક્કો અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનું હનન થઈ રહ્યું છે. આપણા પાળીતા  મૂર્ધન્યો દ્વારા સરકારી “ચાંદ્રકો” અને “માનપત્રો” પાછા આપી રહ્યા છે એ વાતને ચગાવો.

આનાથી એવું વાતાવરણ સર્જાશે કે આ બધું નરેન્દ્ર મોદીના આવ્યા પછી થયું છે એટલે જનસમુદાયમાં મોદી શૂન્ય તરફ જઈ રહ્યા છે એવી હવા ઉત્પન્ન કરો. આ બધું કરવું જરુરી છે અને જો આવું નહીં કરીએ તો તેમણે વિદેશોમાં ભારતની પ્રતિભાને જે ઉંચી લાવ્યા છે તેની ચર્ચાઓ થશે અને નરેન્દ્ર મોદી તેમજ મોદીની પ્રતિભા સાતમા આસમાને પહોંચી જશે. આ પરિસ્થિતિ અટકાવવા સમાચાર પ્રસારણનો સમય આપણે વાપરવો જ રહ્યો.

જો બિહારની ચૂંટણીમાં આપણું આ શસ્ત્ર (નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાંસ્કૃતિક સાથીઓનો આ દાવ) સફળ થશે તો બીજેપી ના હવે વળતા પાણી છે એવું અચૂક સિદ્ધ થઈ જશે. આપણી સત્તાની પુનઃપ્રાપ્તિનો દરવાજો ખૂલી જશે. પછી આપણે આપણી સંસ્કૃતિ પ્રમાણે ન્યાયાલયમાં ચાલતા આપણા કુકર્મોના કેસો અને ઈન્વેસ્ટીગેશન ટીમ દ્વારા થતી તપાસોને નિરર્થક બનાવી દઈશું. ખુલ્લે આમ આપણે કટોકટીમાં માનવ અધિકારોનું હનન કરેલ અને હજારો નિર્દોષ લોકોને,  અઢાર અઢાર મહિના સુધી જેલમાં ખોસી દીધેલ તો પણ કોઈ આપણો વાળ વાંકો કરી શક્યા નથી તો “કાળા નાણા અને અસામાજીક તત્વો સાથેની આપણી સાંઠ ગાંઠ” એ વળી કઈ ચીજ છે?

(ક્રમશઃ)

શિરીષ-મોહનલાલ-મહાશંકર-હરિશંકર-લીંબેશ્વર-ત્ર્યંબકેશ્વર-વૈજનાથ-ભવાનીદત્ત-રદેરામ-દવેશ્વર-ગોવર્ધન દવે (દ્વિવેદી)

Date 2015 11 07

ટેગ્ઝઃ નહેરુવીયન કોંગ્રેસ, બહુમતિ, નિરપેક્ષ, સરમુખત્યારી, સીત્તેર પેઢી, સાત પેઢી, પૈસા, બાર પેઢી, સામ્યવાદ, સમાજવાદ, મૂડીવાદ, લોકશાહી, નહેરુ, ઈન્દિરા, વિશ્વસનીયતા, માહિતિ, અધિકાર, પારદર્શિતા, ચર્ચા, વિરોધ પક્ષ, પ્રપંચ, સ્વકેન્દ્રી, ખ્યાતિભૂખ્યા, આંદોલન, અરાજકતા, ધમાલ, હક્ક, અનામત

Read Full Post »

“હું તમારાથી વધારે પવિત્ર છું” ની ગતિ

ઈશુ ખ્રીસ્તે બાયબલમાં કહ્યું કે તારો જમણો હાથ જે (સારું) કામ કરે તેની જમણા હાથને ખબર ન પડવી જોઇએ. આવું ક્યારે બને? જો તમારા જમણા હાથે કરેલું કામ મગજ દ્વારા મન સુધી ન પહોંચે તો. કારણ કે જો મન સુધી પહોંચે તો તે મનોવૃત્તિ ઉપર અસર કરે જ છે. અને જે મનોવૃત્તિ ઉત્પન્ન થઈ તે પણ સ્મૃતિમાં જમા થઈ, એટલે જ્યારે બીજી કોઈ જગ્યાએ વર્તન કરવાનું આવે ત્યારે આ વૃત્તિ મગજ ઉપર નિર્ણય લેવામાં અસર કરે.

કૃષ્ણ ભગવાને આ વાત ગીતામાં સારી રીતે સમજાવી છે. કે તમે જે કર્મ કરો તે અલિપ્ત ભાવે કરો. જો તમે સારા કામો કરો તો તેને અલિપ્ત ભાવે કરો. અને ખરાબ કામો (સમાજના હિત માટે ક્યારેક ક્યારેક વ્યક્તિઓને દંડિત કરવા પડે છે) પણ અલિપ્ત ભાવે કરો. જો કાર્યો અલિપ્ત ભાવે કરવામાં આવે તો તેના સારા અને ખરાબ કર્મો તમારી વૃત્તિઓ ઉપર અસર કરતા નથી.  

આ બાબતનું સચોટ ઉદાહરણ કયું?

જે વેપારી ભાઈઓ છે તેઓ આનું ઉદાહરણ છે. વેપારી ભાઈઓમાં ફક્ત વંશપરંપરાગત રીતે વેપાર કરે છે તેઓ જ આવે એમ નથી. પણ જેઓ સંપત્તિ વધારવાની અને તે વધેલી સંપત્તિ દ્વારા અંગત સુખ સગવડો બીન જરુરી રીતે વધારવાની એક માત્ર વૃત્તિ સાથે કાર્ય કરે છે તે બધા આમાં આવી જાય છે.

જૂના જમાનામાં વેપારીઓ હતા, પણ તેમનામાં આ વૃત્તિ બેફામ ન હતી. અને તેમના ઉપર જે તે જ્ઞાતિના મહાજનોનો થોડો ઘણો અંકૂશ હતો. સમાજરચના પણ એવી હતી કે સ્વાવલંબી એકમોના કદ નાના હતા. અત્યારે આપણે સ્વાવલંબી એકમ તરીકે પૃથ્વીને માનીએ છીએ. તેથી ઉત્પાદકો વેપારીઓ અને વપરાશ કર્તાઓ વચ્ચે સંવાદ જટીલ થયો અને ભાવનાનો લગભગ નાશ થયો. આના મૂળમાં વ્યક્તિ અને સમાન હિત ધરાવતી વ્યક્તિઓની સ્વકેન્દ્રીય વૃત્તિઓ છે.

અમારા મહુવામાં એક શેઠ ઠીક ઠીક પૈસાપાત્ર હતા અને અમુક બાબતોમાં અમુક રીતે પરગજુ હતા. જ્યારે કોઈ પણ મહાનુભાવ મહુવામાં આવે તો તેઓ આગળ પડતા રહેતા. આ શેઠ, તે મહેમાનોની આગતા સ્વાગતામાં જે કંઈપણ ખર્ચ થતો તેનો મોટો ભાગ વહોરવા તૈયાર રહેતા. તેઓ કહેતા પણ ખરા કે આપણે એવું કંઈ નથી કે વૈષ્ણવ સંત આવે તો જ આગતા સ્વાગતા કરવામાં આગળ રહીયે. અમે તો શંકરાચાર્ય આવે તો તેમાં પણ ખર્ચામાં પાછા ન પડીએ. બસ આપણું નામ રહેવું જોઇએ. એટલે કે જે કાર્ય થાય તેની પાછળ નામ જાહેર થવું જોઇએ.

આનો અર્થ એ થયો કે સારા કર્મો પાછળ કીર્તિ મેળવવાની વૃત્તિ હોય છે. તેથી સારું કામ કર્યું તો પણ મન સુધરતું નથી અને બીજા કામોમાં બીજાને નુકશાન થાય તેવી પ્રવૃત્તિઓ કરીએ છીએ. આવું હોય એટલે વ્યક્તિ પોતાના કામમાં અનીતિ આચરશે.

કર્મની લિપ્તતાનું બીજું સ્વરુપ

કર્મની લિપ્તતાનું બીજું એક ઉદાહરણ છે. સારું કામ કરો અને બીજાને કહેતા રહો કે મેં આ કર્યું અને મેં તે કર્યું. અલબત્ત તમે સારું કામ કર્યું પણ તેથી જો તમારું મોઢું ફુલી જાય તો સારા કામ નું ફળ ન મળે.  કારણ કે ઘણીવાર એવું પણ બને કે જ્યારે તમને અન્યાય થયો હોય તેવું લાગે. આવે સમયે તમારી કાર્ય કુશળતા ઉપર અસર થાય છે. અને તમે થોડા ઘણા નિસ્ક્રીય થઈ જાઓ છો. નિસ્ક્રીય થવાથી તમે જે કીર્તિ મેળવી હોય તે ઝાંખી પડીને નષ્ટ થાય. તમારી આસપાસ તમારી સાથે કામ કરતી વ્યક્તિઓ બદલાતી રહે છે. નવી વ્યક્તિઓ તો તમારું વર્તમાન કામ જ જુએ છે. તમારી સાથે કામ કરતી જે વ્યક્તિઓ બદલાઈ તે પણ તમારી વર્તમાન કાર્યશીલતાને જોશે અને તમારી જુની કાર્યશીલતાને  ભૂલી જશે. ટૂંકમાં સારું કાર્ય કર્યાનું અભિમાન તમારે માટે ખરાબ પરિણામો લાવશે.

શું પોતાના કરેલા સારા કર્મો કહેવા જ નહીં?

હાજી. તમારે તમારા સારા કર્મો કહેવા જ નહીં. તમારા સારા કર્મો બીજા લોકો કહેશે. ધારો કે બીજા લોકો કહી શકે તેવી સ્થિતિમાં ન હોય તો? તેવી સ્થિતિમાં જો તમને વાંકમાં લેવામાં આવે તો જે વ્યક્તિ/વ્યક્તિઓ તમને વાંકમાં લે છે તેની ગેરસમજણ દૂર કરવા તમે તેને અલિપ્ત ભાવે કહો, જેથી સામેની વ્યક્તિઓને સુધરવાની તક મળે

શું બીજી વ્યક્તિને સુધારવી એ આપણું કર્તવ્ય છે?

બીજી વ્યક્તિને સુધારવાનું આપણું કર્તવ્ય નથી. પણ આપણો બચાવ કરવો અને તે પણ માહિતિ અને દલીલ સાથે બચાવ કરવો એ સમાજના હિત માટે જરુરી છે. તેવીજ રીતે સામેની વ્યક્તિના દોષોને જરુર પડે ત્યારે માહિતિ અને દલીલ સાથે જણાવવા જોઇએ.

રાજકારણમાં શું થાય છે?

જો કે આ સવાલની પાછળના હેતુઓ વિવાદાસ્પદ હોઈ શકે. પણ તેના વિવાદાસ્પદપણાને લીધે અવગણી ન શકાય. રાજકારણીઓનો વ્યક્તિગત રીતે રાજકારણમાં રહેવાનો ગમે તે હેતુ હોય પણ રાજકારણ બધે જ હોય છે. ફક્ત જનપ્રતિનિધિઓના કર્તવ્યને રાજકારણ ગણવું તે બરાબર નથી. વ્યાપક ચર્ચાને વધુ લાયક કોઈ વિષય હોય તો તે આ જનપ્રતિનિધિઓને લગતું રાજકારણ જ છે.

હાલના જનપ્રતિનિધિઓ બધાજ વિષયોમાં અગત્યનો ભાગ ભજવે છે. એટલે જનતાએ તો તેની ચર્ચામાં ભાગ ભજવવો જ જોઇએ. અને જરુરી ટીકાઓ કરવી જ જોઇએ. જનતા આવું કરે તો જ જે તે રાજકારણીઓ જેમને સુધરવાની ઈચ્છા છે તેઓ સુધરી શકે છે. રાજકારણીઓ પોતાનો પક્ષ બનાવીને જો કાર્ય કરતા હોય તો પક્ષને પણ વ્યક્તિ માનીને તેને સુધરવાની તકનો દીશા નિર્દેશ કરવો જોઇએ.

જનતામાં રહેલી ભિન્નતા

જનતા તો ભિન્ન ભિન્ન ક્ષેત્રોવાળી છે, ભિન્ન ભિન્ન હેતુઓ વાળી હોય છે, વિચારો પણ ભિન્ન ભિન્ન હોય છે અને અભિપ્રાયો પણ ભિન્ન ભિન્ન હોય છે, તો પ્રજામાં એક મતિ કેવીરીતે આવે અને સાચું કે ખોટું, યોગ્ય કે અયોગ્ય કેવી રીતે નક્કી કરી શકાય?

તર્ક શાસ્ત્ર એક જ છે. વિજ્ઞાનમાં પણ ઘણા ક્ષેત્રો છે. અને તેના હેતુઓ પણ જુદા જુદા છે. છતાં પણ વૈજ્ઞાનિકોનીવચ્ચે એવો સંઘર્ષ નથી કે વૈજ્ઞાનિકો હુલ્લડો કરવા ઉપર આવી જાય. કારણ કે તેમના તર્કના સિદ્ધાંતો એક સરખા છે. એટલે મૂળવાત તર્ક ઉપર છે. તર્ક પોતે, માહિતિઓ, પ્રયોગો અને તેના દ્વારા મળેલા પરિણામો ઉપર આધાર રાખે છે. અને તે પ્રમાણે તારણો કાઢવામાં આવે છે. આ તારણો દ્વારા વિદ્યાનો (ટેક્નોલોજી) અને જ્ઞાનનો વિકાસ થાય છે.

સમાજશાસ્ત્ર પણ એક શાસ્ત્ર અને તેનો વિકાસ તેજ રીતે જ થવો જોઇએ

જેઓ રાજકારણને અસ્પૃષ્ય માનતા નથી અને રાજકારણમાં હોદ્દાઓમાં ભાગબટાઈ કરતા નથી તેઓ જ સમાજશાસ્ત્રનો અને સમાજનો વિકાસ સાચી દિશામાં કરી શકે. આ લોકોને જ આપણે સમાજશાસ્ત્રી કહી શકીએ.

રાજકારણમાં હોદ્દાઓમાં ભાગબટાઈ કરનારા પણ સમાજશાસ્ત્રનો વિકાસ કરી શકે છે. પણ વાસ્તવમાં તેઓ પ્રયોગો કરનારા હોય છે. અને સમાજશાસ્ત્રમાં તેઓ એક ઉપકરણ પણ હોય છે. તેથી તેઓએ પોતે કરેલા પ્રયોગો ઉપર અને તારવેલા સિદ્ધાંતો ઉપર સ્વિકૃતિની મહોર તો સમાજશાસ્ત્રીઓએ જ મારવી જોઇએ.

જનતાની સ્થિતિ

સમાજ શાસ્ત્રનું એક પરિબળ સમાજની વ્યક્તિઓ પણ છે અને જે કંઈપણ નિર્ણયો લેવાય તે જનતા  ઉપર અસર કરે છે તેથી કોઈપણ વાત જનતાથી છાની રાખી શકાય નહીં. સમાજની વ્યક્તિઓ પણ માહિતિનો એક સ્રોત છે અને તેમના પ્રતિભાવો અને ભાવનાઓ  પણ એક જાતની માહિતિ છે.

આ પ્રમાણે જેઓ જનપ્રતિનિધિઓ છે તેમને જનતાએ કોરોચેક આપ્યો નથી કે ન તો કોરી ગીતા કે મનુસ્મૃતિ આપી. તેઓ ફાવે તેમ વર્તી ન શકે. આ જનપ્રતિનિધિઓને, સમાજશાસ્ત્રી કે સમાજસુધારક અન્ના હજારે જેવા પુછે તો આ પ્રતિનિધિઓ એમ ન કહી શકે કે “જનતાના પ્રતિનિધિઓ તો અમે છીએ. તમે કોણ છો અમને પૂછનારા?” વાસ્તવમાં જનપ્રતિનિધિઓ સમાજ શાસ્ત્રીઓ છે જ નહીં. તેઓ તો પ્રયોગો કરનારાઓ ઉપર નજર નાખનારા ચોકીદાર છે. પ્રયોગ કરનારા તો સરકારી નોકરો છે. અને પ્રયોગોમાં સુધારા સૂચવનારા સમાજશાસ્ત્રીઓ છે. આ સમાજશાસ્ત્રીઓ જાહેરમાં ચર્ચાઓ કરશે અને પ્રજાની સ્થિતિનો ક્યાસ કાઢશે, તેની અનુભૂતિઓને લક્ષ્યમાં લેશે. પદ્ધતિમાં જરુરી ફેરફારોની એક બ્લ્યુપ્રીંટ બનાવશે. અને પ્રજા સામે “ખરડાના સ્વરુપમાં” રજુ કરશે. જે પક્ષ પોતાને સમાજશાસ્ત્રીઓનો સમૂહ માનતો હોય, તે પોતાને યોગ્ય લાગે તે સુઝાવને “કાયદાકીય સ્વરુપની ભાષામાં બદ્ધ”  પ્રસ્તાવ (ખરડાના) ના સ્વરુપમાં પ્રજા સમક્ષ (મતદાર મંડળો સમક્ષ) રજુ કરશે અને જાહેર મંચ ઉપર ચર્ચા કરશે.. આ બધું ત્યારે જ બને જ્યારે મતદાર મંડળો બને અને તે પણ ક્યારે કે જ્યારે આ મતદાર મંડળોને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હોય તો.

સમાજસુધારો ફક્ત પ્રચાર નથી.

સમાજમાં સુધારાની વાત પ્રચારની નથી પણ ચર્ચાની છે. તેથી પ્રચાર વગરની ચર્ચા થવી જોઇએ.  આવી ચર્ચા એક મંચ પર થવી જોઇએ. આવા મંચ દરેક મતદાન મથકમાં હોવાં જોઇએ. અને તેનું સંચાલન અધિકૃત અધિકારી પાસે હોવું જોઇએ. જે દરેકને પોતાનો અભિપ્રાય મુકવાની છૂટ આપે. સમગ્ર કાર્યવાહીની સંપૂર્ણ નોંધ રાખે અને પછી સૂચિત ખરડા ઉપર મતદાન કરીને તેનો આલેખ ઉપરના સ્તર ઉપર મોકલી આપે. (આ વાત આપણે  “नरेन्द्र मोदी जब प्रधान मंत्री बन जाय, तब भारतीय जनता उनसे क्या अपेक्षा रखती है” ની લેખમાળામાં વિસ્તારથી કરી છે).

આવી જોગવાઈઓ બંધારણ દ્વારા ન થાય અને રાજકારણમાં વૈચારિક બળને બદલે પૈસાના અને પાશવિક બળો જો કામ કરતા હોય ત્યારે જો કોઈ એમ માને કે અમે તો પવિત્ર છીએ અને રાજકારણ તો અપવિત્ર છે તેથી તેનાથી અમે અલિપ્ત રહીશું તો તેઓ પોતાની ફરજ ચૂકે છે. હા એ જરુર મંજુર છે કે આ તમારો વિષય નથી અને તેથી જ તમે તેનાથી દૂર રહેવા માગો છો. પણ તો પછી તમે સમાજની સ્થિતિ વિષે બળાપો કરવાનો અધિકાર પણ ગુમાવો છો.

જેઓ સામાન્ય અથવા અસામાન્ય છે અને તેઓ ચર્ચા કરવા માગે છે અને અથવા સમાજશાસ્ત્રી પણ છે અને જનપ્રતિનિધિ પણ બનવા માગે છે તેમણે શું કરવું જોઇએ?

આવા લોકોની ચર્ચા હમેશા મુદ્દા અને માહિતિ સભર હોવી જોઇએ

જેમકે નહેરુવીઅન કોંગ્રેસી નેતાઓ ભારતીય જનતા પાર્ટીને કોમવાદી કહે છે. તેના સમર્થનમાં તેઓ તેનો આરએસએસ સાથેનો સંબંધ કહે છે. તો સવાલ એ થાય કે આર એસ એસ કેવી રીતે કોમવાદી છે? આરએસએસના કયા ઉચ્ચારણો અને કઈ માન્યતાઓ તેમને કઈ રીતે કોમવાદી ઠેરવે છે? ઉચ્ચારણો ઉપર ચર્ચા થવી જોઇએ. માન્યતાઓની ગુણવત્તા ઉપર ચર્ચા થવી જોઇએ.

નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો થાય તો તેની વિગતો અને આધારો ઉપર ચર્ચા થવી જોઇએ. નહેરુવીયન કોંગ્રેસીઓ સામેથી બીજેપીને ભ્રષ્ટાચારી કહે તો તેથી કોંગ્રેસીઓના ભ્રષ્ટાચારનો બચાવ થઈ જતો નથી. જો કોંગ્રેસીઓ, બીજેપીના કોઈ એક ભૂતપૂર્વ નેતાના ભ્રષ્ટાચારને સો વખત બોલે એટલે તેના સો ભ્રષ્ટાચાર થઈ જતા નથી.

આમઆદમી પક્ષ

બીજેપી જો એમ કહે કે આમઆદમી પક્ષે કહેલ કે અમે કોઈ ભ્રષ્ટાચારી પક્ષને સમર્થન કરીશું નહીં અને તેમનું સમર્થન લઈશું નહીં. નહેરુવીયન કોંગ્રેસે તેને શરતો વગરનું સમર્થન કર્યું. તે ખોટું કર્યું તો બીજેપીની આ વાત બરાબર નથી. કારણ કે જે સમર્થન આપ્યું છે તે શરતો વગરનું છે. જો આમઆદમી પક્ષને સારા હેતુ માટે શેતાન મદદ કરતો હોય તો તે મદદ જરુરી હોય અને તે મદદના અભાવમાં સારું કામ થઈ શકતું ન હોય તો સમર્થન લેવું અને શેતાનના ખાતામાં પણ આ સારા કામને જમા કરવું. જોકે એ વાત જુદી છે કે આ શેતાને ભૂતકાળમાં દરેક વખતે દગો કર્યો છે. પણ આ શેતાનની સાથે શું વ્યુહ રચના રાખવી તે આમઆદમી પક્ષની હોંશીયારી ઉપર છોડી દેવું.

આમઆદમી પક્ષ પોતાના સિવાય બધા પક્ષોને ભ્રષ્ટ કહે તે વાત પણ બરાબર નથી. જ્યાં સુધી એફ આઈ આર ન નોંધાય, કોર્ટને પ્રાથમિક માહિતિ વિશ્વસનીય ન લાગે, કોર્ટ અરોપનામું ન પાઠવે અને સજા ન કરે ત્યાં સુધી ત્યાં સુધી આરોપીને કાયદેસર રીતે ભ્રષ્ટ ન જ કહેવાય. પણ તેની ઉપરના આરોપોની ગુણવત્તા ઉપર ચર્ચા કરી શકાય.

દિલ્લીની વિધાનસભામાં ચૂટાઈને આવેલા બધાજ પ્રતિનિધિઓને એટલા જ કારણસર ભ્રષ્ટ ન કહી શકાય કે તેમના પક્ષને આપણે ભ્રષ્ટ કહ્યો છે. આ બધા બંધારણીય રીતે ચૂંટાઈ આવ્યા છે અને તેઓ જનતાના પ્રતિનિધિઓ છે. તેઓ પક્ષના પ્રતિનિધિઓ નથી. આનું કારણ એ છે કે જનતાએ તેમના નામ સામે મત આપ્યા છે. પક્ષે તો તેમને પ્રસ્તૂત કર્યા છે. આ પ્રતિનિધિઓનું ઉત્તરદાયિત્વ જનતા સાથે છે. પક્ષ સાથે નથી.

જનતાના બંધારણીય હક્કોનું જનહિતમાં અર્થઘટન

જોકે સંસદે એક ખરડો પાસ કરીને જનપ્રતિનિધિઓને પક્ષને વફાદાર રહેવાનું સૂચવ્યું છે. આ વાત વ્યક્તિના બંધારણીય હક્કની વિરુદ્ધ જાય છે. સંસદ, કોર્ટ, પક્ષ કે જનતાનો અમુક વર્ગ આ વાત ન સમજે પણ આમઆદમી ના કેજરીવાલે આ વાત સમજવી જોઇએ. ભારતીય બંધારણ આ પ્રતિનિધિને “જનપ્રતિનિધિ” કહે છે. પણ પક્ષ કહે છે કે અમે તેને પ્રસ્તૂત કર્યો છે તેથી અમે તેને પદભ્રષ્ટ કરી શકીએ. આ વાત તો એવી થઈ કે તમે એક એજન્સીને કહ્યું કે તમે અમને ચોકીદાર આપો. તેણે આપ્યો. તમે મંજુર કર્યો. તમે તેને પગાર અને સવલતો આપવાનું પણ શરુ કર્યું. પણ તમને લાગ્યું કે આ ચોકીદાર વિશ્વસનીય નથી. આ એજન્સીના ઘણા જ ચોકીદારો અવિશ્વસનીય નિકળ્યા. છતાં પણ એજન્સી કહે છે કે ના અમે તેમને નિલંબિત નહીં કરીએ. વાસ્તવમાં ચોકીદારને નોકરીએ રાખ્યો તેની સાથે જ તેને નિલંબિત કરવાનો જનતાનો અધિકાર આવી જાય છે. પક્ષ કહે છે બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી તેથી તમે એવું કરી ન શકો. જો કે આ માનવીય હક્કની વાત છે. જે ચૂંટે છે, જે તેને પગાર આપે છે તેની પાસે તેને દૂર કરવાનો અધિકાર આપોઆપ આવી જાય છે. જોકે તેને માટે કોઈ પ્રક્રિયા બંધારણમાં નથી. કોઈ ન્યાયાધીશ એવો થયો નથી કે આવું અર્થઘટન કરી બાંધી મુદતમાં પ્રક્રિયા ઘડવાનો આદેશ આપે. પણ જો મતદારો અધિકૃત અધિકારી કે ન્યાયધીશ પાસે જઈને એફીડૅવીટ કરીને આપે કે અમને અમારા આ પ્રતિનિધિમાં વિશ્વાસ નથી અને જો આ ટકાવારી કુલ મતદારોના ૫૦ટકા થી સહેજ વધુ હોય તો ન્યાયાલય તેને બરતરફના હુકમ કરી જ શકે.

બેફામ આક્ષેપો

પણ હાલ આવું કરવામાં આવતું નથી. આ પરિસ્થિતિમાં પક્ષના નેતાઓને બેફામ આક્ષેપો કરવાનો પરવાનો મળી ગયો એવું તેઓ માને છે.

મજાની વાત એ છે કે જેની પાસે કેન્દ્રમાં સત્તા છે અને જેની ફરજ છે કે સમાજમાં થતા વ્યવહારોમાં ક્યાં ચૂક થાય છે તેનું ધ્યાન રાખે. તેટલું જ નહીં જે અધિકારીએ ચૂક કરી તેની ઉપર કામ ચલાવે. પણ આ સત્તાધારી પક્ષના નેતાઓ પહેલાં આરોપ મુકવાનું કામ કરે છે અને તેને માધ્યમો દ્વારા જાહેરમાં બદનામ કરવાનું કામ કરે છે.

જેના ઉપર આરોપ મુકવામાં આવ્યો હોય અને તપાસ ચાલુ હોય તે માહિતિના અધિકારમાં આવતું નથી. જ્યારે અહીં તો આરોપોને આધાર માની વ્યક્તિ/પક્ષને બદનામ કરવામાં આવે છે. આમ જુઓ તો કેન્દ્ર સરકારે રાજ્યોની કાર્યવાહી ઉપર નજર રાખવાની ફરજ અદા કરવાની હોય છે. આ કેન્દ્ર સરકાર એક તો પોતે પોતાની ફરજમાં ચૂકે છે અને રાજ્ય સરકાર ઉપર આરોપ મુકે છે. બંધારણ તો આ નહેરુવીયન કોંગ્રેસ સરકારે જ ઘડ્યું છે. પણ સમાચાર માધ્યમો મુદ્દા ઉપરની ચર્ચાઓ ટાળે છે અને બદનામી અને ધારણાઓની વાતોને ચગાવે છે.

જો સરકાર ચલાવતા પક્ષો અને તેને વેચાયેલા સમાચાર માધ્યમો મુદ્દાની વાત બાજુપર રાખી લૂલીને લગામ ન રાખે તો તેનો પ્રતિભાવ પણ સામે પક્ષે એવો જ મળશે. જેઓ નરેન્દ્ર મોદીને મૌતકા સોદાગર, ગોડસે, ખૂની, હિટલર, વાંદરો, ફેંકુ, મકોડો, ઉંદર, કાકીડો, ગરોળી, દેડકો, ચાવાળો વિગેરે વિગેરે  પોતાની આત્મતુષ્ટિ માટે કહે છે તેઓને વાસ્તવમાં દુઃખે છે પેટમાં અને કૂટે છે માથું. આ લોકો નરેન્દ્રમોદીના દરેક પગલામાં રાજકારણ જુએ છે અને નરેન્દ્ર મોદીને નિમ્નસ્તરનો આલેખવાની કોશિસ કરે છે. તમે સમજી લો કે આ લોકોએ પોતાને સુધરાવાની લાયકાત ગુમાવી દીધી છે

શિરીષ મોહનલાલ દવે

smdave1940@yahoo.com

smdave1940@gmail.com

http://ww.treenetram.wordpress.com

ટેગ્ઝઃ મતદાર, મંડળ, જનપ્રતિનિધિ, અલિપ્ત, કર્મ, મનોવૃત્તિ, નહેરુવીયન, કોંગ્રેસ, બીજેપી, નરેન્દ્ર મોદી, આમઆદમી, પક્ષ, કેજરીવાલ, ભ્રષ્ટ, ભારતીય બંધારણ, હક્ક, ઉત્તરદાયિત્વ, મહેનતાણુ, વિશ્વસનીય, મુદ્દા, ગુણવત્તા, ચર્ચા, સમાન મંચ, પ્રસ્તાવ

Read Full Post »

%d bloggers like this: