Feeds:
Posts
Comments

Posts Tagged ‘ટ્રેક્ટર’

અહિંસક સમાજ  શું શક્ય છે? ભાગ (માંસાહાર અને શાકાહાર)

ગુજરાતના એક ક્રાંતિકારી વિચારક મનાતા સ્વામિ

ગુજરાતના એક ક્રાંતિકારી વિચારક મનાતા સ્વામિએ ગૌ-હત્યા બંધીને અહિંસાનો અતિરેક ગણાવ્યો છે. તેઓશ્રીએ એક પુસ્તક લખ્યું છે “ત્યાગ, અહિંસા અને આતંકવાદ”.

આપણે “અહિંસા” પુરતી આપણી ચર્ચાને મર્યાદિત રાખીશું. જ્યારે ગાંધીજીને અને અહિંસાને સાંકળીએ તો ગાંધીજીને અન્યાય ન થાય તે માટે ગાંધીજીની “અહિંસા” ની વ્યાખ્યાને સમજી લેવી જોઇએ. “સત્યાગ્રહ”ની વ્યાખ્યાને પણ સમજી લેવી જોઇએ.

“અહિંસા”, સાપેક્ષ હોય છે. ઓછામાં ઓછી હિંસા, એટલે અહિંસા. જબલપુરના એક ચાર રસ્તા ઉપર ગાંધીજીનું પુતળું છે. તેની નીચે લખ્યું છે કે “જો મારે કાયરતા અને હિંસા વચ્ચે પસંદગી કરવાની આવે તો હું હિંસા પસંદ કરું”.

જો કોઈ એક કામ એક લાકડી મારવાથી પતી જતું હોય તો બે લાકડી ન મારવી. અહિંસાનું શસ્ત્ર તેની સામે જ ઉઠાવી શકાય જે કાયદાના શાસનમાં માનતો હોય અને તેને તમારા ઉપર પ્રેમ હોય. જો કે તમે તેનું પારખું કરી શકો. કાઠીયાવાડના એક બાપુ પાસે ગાંધીજી સત્યાગ્રહ કરવા ગયા. સત્યાગ્રહ ઉપર (ઉપવાસ ઉપર) બેઠા પણ ખરા.  તે બાપુ તો વાટાઘાટો કરવા પણ તૈયાર ન હતા. વળી તે બાપુએ કહ્યું કે મારે તો સારું થશે કે જો ગાંધીજી ઉપવાસમાં મરી જશે તો મારું ગામ તો તીરથ થશે. ગાંધીજી ઉપવાસ બંધ કરીને ભાગી ગયા હતા.

greatness depends upon treatment of animal

અહિંસાનો અતિરેક છે?

ઉપરોક્ત સ્વામીજીને લાગે છે કે ગાય અને બળદ ની હત્યાની બંધી કરવી અને તેના માંસની બંધી કરવી તે અહિંસાનો અતિરેક છે. કોઈ પણ બાબતમાં અતિરેક યોગ્ય નથી. તે વાત સાચી છે.

અહિંસામાં અતિરેક કોને કહેવો તે નક્કી કરવું અઘરું છે અને તે વ્યક્તિગત પણ છે. વળી તે બીજા ઘણા પરિબળો ઉપર અવલંબે છે.

જોકે સ્વામીજી તે બાબતમાં આગળ વધુ લખે છે. ગાય અને બળદ (ખસી કરેલો સાંઢ), આર્થિક રીતે પોષાય તેમ નથી. સાંઢને ખસી કરવી તે પણ હિંસા છે પણ તે વગર છૂટકો નથી. કારણ કે સાંઢ આક્રમક હોય છે.  સો ગાયો વચ્ચે એક સાંઢ પૂરતો હોય છે. એટલે બાકીના સાંઢને ખસી કરી બળદ બનાવવા જ પડે. આજનો જમાનો ટ્રેક્ટરનો છે. બળદ હવે નિરુપયોગી થઈ ગયા છે. ગાય સતત દુઝણી હોતી નથી. ગૌશાળાઓમાં પણ હવે ગાય અને બળદ આર્થિક રીતે પોષાય તેમ રહ્યા નથી. આ બધા કારણસર તેમની કતલ કરવી જરુરી છે અને જેઓ માંસાહાર કરતા હોય તો તેમને માંસાહાર કરવા દેવો.  સ્વામીજીની પાસે પોતાની ગૌશાળા છે અને ગૌશાળાનો તેમને અનુભવ છે. તેના આધારે તેઓ માને છે કે ગૌશાળા આર્થિક રીતે પોષાય તેમ નથી.

શું ગૌશાળા આર્થિક રીતે પોષાય તેમ નથી?

આજ બ્લોગ સાઈટ ઉપર “ગૌ હત્યાબંધી વિષે દંભીઓનું દે ધનાધન” વિષે બે લેખ આપેલા છે, તેને વાંચી જવા વિનંતી છે. આમ કહેવા પાછળનો હેતુ, પુનરાવર્તન ન કરવાનો છે.

જ્યાં સુધી માનવસમાજ જમીન ઉપર ખેતી કરે છે ત્યાં સુધી પશુઓ અનિવાર્ય છે.

આપણે બધા પ્રાણીઓ માટે બળદ શબ્દ વાપરીશું. બળ એટલે ઉર્જા અને “દ” એટલે ઉર્જા આપનાર. બળદ દ્વારા થતી ખેતી કુદરતી છે. આ ખેતી શ્રેય છે. જો કે માણસ જે કંઈ વિચારે અને કરે તે બધું જ કુદરતી છે. પણ ઈશ્વરે માણસને બુદ્ધિ આપી છે એટલે માણસની જવાબદારી વધે છે. માણસ વિરોધાભાસી નિર્ણયો લઈ શકે છે. પણ પૃથ્વી ઉપર વાતાવરણનું સંતુલન જળવાઈ રહે તે જવાબદારી માણસની છે.

“ટ્રેક્ટરનો જમાનો છે એટલે બળદ નકામા થઈ ગયા છે”. જમાનો ટ્રેક્ટરનો છે તે પર્યાવરણવાદીઓને માન્ય નથી.

સર્વોદય કાર્યકર જુગતરામ કાકા પાસે ઝીણાભાઈ દરજી ગયા હતા અને તેમને મોટર કાર આપવાની ઈચ્છા વ્યક્ત કરી. જુગતરામ કાકાએ સપ્રેમ ના પાડી. તેથી તેમણે ટ્રેક્ટર આપવાની ઈચ્છા વ્યક્ત કરી. એટલે જુગતરામ કાકાએ પૂછ્યું કે “તમારું ટ્રેક્ટર પોદળો મૂકે છે?”

 “ગૌ સૃષ્ટિના પ્રાણીઓ આર્થિક રીતે પરવડે કે નહીં?”  તેનું અર્થ શાસ્ત્ર અને ગણિત તમે સરવાળા-બાદબાકીમાં ન કરી શકો. એક કિલોગ્રામ અનાજ અને એક કિલોગ્રામ સોનું એમાં મોઘું કોણ તે સામાજીક અર્થશાસ્ત્રના નિયમોને આધારે નક્કી કરાય છે. વાસ્તવમાં જમીન અને અન્ન અમૂલ્ય છે.  પહેલું પૂનર્પ્રાપ્ય નથી, બીજું પૂનર્પ્રાપ્ય છે. આપણે જમીનની માલિકીના, ગામડાની સંરચનાના અને શહેરોની સંરચનાના ખ્યાલો બદલવા પડશે. અને તે માટે મન ખુલ્લું રાખી કાયદાઓ અને નિયમો ઘડવા પડશે. ન્યાયાલયો ઉપર સૌથી મોટો બોજો સ્થાવર મિલ્કતની માલિકીને લગતા, અને અણઘડ સરકારી અમલદારોએ લીધેલા ચૂકાદાની સામે થયેલી અપીલોના કેસોનો જ છે.

ટ્રેક્ટર એક મશીન છે. ટ્રેક્ટર દ્વારા ખેતી કરવી એ એક રીત છે.

ટ્રેક્ટરનું આયુષ્ય કેટલું?

ટ્રેક્ટર દ્વારા ખેતી કરવી તે રીતનું પણ આયુષ્ય કેટલું?

ટ્રેક્ટર એક અવિદ્યા છે. બળદ કે પાડો, એ વિદ્યા છે. અવિદ્યા એ અધૃવ છે.

ટ્રેક્ટર એક અવિદ્યા છે. બળદ કે પાડો, એ વિદ્યા છે. અવિદ્યા એ અધૃવ છે. વિદ્યા એ ધૃવ છે. જે ધૃવ ને છોડીને અધૃવનું સેવન કરે છે તેનું ધૃવ પણ નાશ પામે છે અને અધૃવ તો નાશ પામેલું જ છે. તમે ટ્રેક્ટરને લાવ્યા એટલે બળદ નકામો થઈ ગયો. અને ટ્રેક્ટર તો નાશ પામવાનું જ છે. ભૂગર્ભતેલના ભંડાર અમાપ નથી. તે ૪૦ વર્ષ ચાલે એટલા છે. તે પછી શું?

ટ્રેક્ટર માણસે બનાવેલું મશીન છે. બળદ ઈશ્વરે (પ્રકૃતિએ) બનાવેલું મશીન છે. મનુષ્ય ઈશ્વરથી કુશળ ન હોઈ શકે.

પ્રકૃતિ રહી દુર્જેય પરાજિત હમ સબ ભૂલે થે મદમેં

હાં કિ, ગર્વરથમેં તુરંગસા જો ચાહે જિતના જુત લે (પ્રલય મહાકાવ્ય)

સરકાર ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ નક્કી કરી આપે. ખેડૂતોના દેવા માફ કરવા તે સાચો ઉપાય નથી. આવા ઉપાયોને અવારનવાર સ્વિકૃતિ આપી ન શકાય. આવા ઉપાયો કરવાથી ખેડૂતોની આદતો બગડે છે. ખેડૂતો દ્વારા થતી આત્મહત્યાઓ ઉપર સંશોધન થવું જોઇએ. સામાજીક રીતરિવાજોના ખર્ચાઓને કારણે પણ તેમને પૈસાની તંગી પડતી હોય છે. વિલાયતી ખાતર બનાવતા કારખાનાઓ સદંતર બંધ કરી દેવા જોઇએ. દેશી ખાતર જ શ્રેષ્ઠ ખાતર છે. ભલે ઓછું ઉત્પાદન થતું હોય પણ લાંબા ગાળે અને સરવાળે તે ખાતર જ જમીનને માટે અને ઉત્પાદનની વૃદ્ધિ માટે યોગ્ય છે. ટપક પદ્ધતિ, ખેત તલાવડી, અપાર વૃક્ષો, ગૌ મૂત્રનો વ્યાપક ઉપયોગ, કૃષિ આધારિત ઉદ્યોગો અને તેના વેપારનું ખેડૂતો દ્વારા જ સંચાલન, ખેડૂતોનો ઉદ્ધાર કરી શકશે.

ગૌસૃષ્ટિનો સભ્ય પર્યાવરણનો રક્ષક છે. ગૌસૃષ્ટિનો સભ્ય પોદળો મુકે છે. તેનું ખાતર બનાવી શકાય છે અને તેનું બળતણ પણ કરી શકાય છે. ટ્રેક્ટર પ્રદુષણ યુક્ત ધુમાડો છોડે છે. ટ્રેક્ટર બગડે તો કુશળ કારીગરની જરુર પડે છે. ગૌસૃષ્ટિનો સભ્ય અને ટ્રેક્ટરની સરખામણી થઈ ન શકે.

તમે હિસાબ માંડો. ગૌસૃષ્ટિનો સભ્ય કેટલું ખાતર આપે છે? ગૌસૃષ્ટિનો સભ્ય કેટલી જમીન સુધારે છે? ગૌસૃષ્ટિનો સભ્ય પોતાની દવા પોતે કરી શકે છે. ગૌસૃષ્ટિનો સભ્ય પોતાની મેળે ઘરે આવી શકે છે.  ગૌસૃષ્ટિનો સભ્ય પોતાનો બચાવ પોતે કરી શકે છે. ગૌસૃષ્ટિનો સભ્ય રીપ્રોડક્ટીવ છે. ટ્રેક્ટર આમાંનું કશું જ નથી. તમે એનો પણ હિસાબ લગાવો કે વિલાયતી ખાતરના કારખાના પાછળ કેટલો ખર્ચો થાય છે. તે કેટલી જમીન રોકે છે. આ ખાતરના કારખાના કેટલી જમીન બરબાદ કરે છે. ખાતરના ટ્રાન્સ્પોર્ટેશનમાં કેટલો ખર્ચો થાય છે. ખાતરના કારખાનાને જે કંઈ સવલતો સરકારે આપી છે તેનો પણ હિસાબ કરો. આ બધાની કિંમતનો સરવાળો કરો અને તેને દેશી ખાતરથી થતી ખેતીના ખર્ચામાંથી અને ગૌશાળાના ખર્ચામાંથી બાદ કરો.

એપ્રોપ્રીએટ ટેક્નોલોજી

જો તમે ટૂંકા ગાળાનો હિસાબ માંડતા હો તો …. આ બધી વાતો છોડો. આપણે હિસાબ જુદી રીતે લગાવીએ. ગૌસૃષ્ટિનું કોઈ પણ પ્રાણી નિરુપયોગી નથી. દરેક પ્રાણી ઉર્જાવાન છે. પણ આપણે તેની ઉર્જાના ઉપયોગની શક્યતાઓને વિચારી નથી. તેથી તેની ઉર્જાનો ઉપયોગ કરી શકાય તેવી તકનિકીઓ વિકસાવી નથી. આપણે ધારી લીધું છે કે આવી તકનિકીઓ વિકસી જ ન શકે.

દરેક પ્રાણીને કેળવી શકાય છે. તમે પ્રાણીઓની ઉર્જાથી વિજળી ઉત્પન્ન કરી શકો છો. તેના થી લીફ્ટ ચલાવી શકો (ગ્રામ્ય વિસ્તારોમાં). તમે તેલઘાણીમાં તે ઉર્જાનો ઉપયોગ કરી શકો છો. તેલઘાણીનો ખોળ પશુઓ માટે શ્રેષ્ઠ વિટામીન છે. તમે નાના અંતરમાં તેનો વાહન ચલાવવામાં ઉપયોગ કરી શકો છો. તેના ખાતરનો અને તેમાંથી નિકળતા ગેસનો ઉપયોગ ગેસના સીલીન્ડર ભરવાની ટેકનિક વિકસાવીને કરી શકો છો. તમે બીજી અનેક રીતે તેની ઉર્જાનો ઉપયોગ કરી શકો છો. આપણી ટેક્નોલોજી એપ્રોપ્રીએટ ટેક્નોલોજી હોવી જોઇએ. નફા તોટાનો હિસાબ, તમે હિસાબ કેવી રીતે કરો છો તેના ઉપર આધાર રાખે છે.

જો મનુષ્યજાતિએ સ્વકેન્દ્રી થવું ન હોય તો, પ્રાકૃતિક યંત્રો સાથે મનુષ્યના યંત્રો સ્પર્ધા જ ન કરી શકે. જો આમ ન હોત તો પશ્ચિમી સત્તાને ભારતમાં વણકરોના આંગળા કાપી નાખવાની જરુર પડી ન હોત. મહાત્મા ગાંધીએ ખાદીનો પ્રચાર શા માટે કરેલો? મહાત્મા ગાંધીનો પહેલો સવાલ એ હતો કે “તમે ભારતના ગરીબોને તાત્કાલિક રોજી, કેવી રીતે આપી શકશો?

આજ બ્લોગ સાઈટ ઉપર “નવ્ય સર્વોદયવાદ” ઉપલબ્ધ છે. વિસ્તૃત માહિતિ માટે તમને તે વાંચવાની વિનંતિ છે.

“ભારતીય સંસ્કૃતિમાં ગૌ-સૃષ્ટિ સાથે જે લાગણીશીલતાનું પરિબળ સંકળાયેલું છે તેની સદંતર અવગણના કરી ન શકાય. ભારતીયોને તમે કૃતઘ્ન (હરામખોર) થવાની ફરજ પાડી ન શકો. દરેક દેશને પોતાની માનસિકતા હોય છે.

ગૌ-હત્યા બંધીનો વિરોધ વાસ્તવમાં કોને છે?

મુસ્લિમોને ગૌ-હત્યા બંધી સામે વિરોધ નથી. જે કંઈ વાંધો છે તે સામ્યવાદીઓને અને ખ્રીસ્તીઓને છે. સામ્યવાદીઓને એટલા માટે છે કે તેઓ જ્યારે સત્તામાં ન હોય ત્યારે વિખવાદ અને અરાજકતા ફેલાવવામાં માને છે. પ્રણાલીઓને ધર્મ સાથે જોડી તેઓ વિખવાદ ઉત્પન્ન કરે છે. વિભાજન દ્વારા તેઓ અરાજકતા ફેલાવવા માગે છે.

સામાન્ય ખ્રીસ્તીઓ નિરુપદ્રવી છે. પણ તેમના શાસકો અને પાદરીઓ લાંબાગાળાનું વિચારે છે. જો તેમને સમજવા હોય તો તમારે રાજીવ મલહોત્રાએ લખેલ પુસ્તકો જેમકે “બ્રેકીંગ ઈન્ડિયા”, “વી આર ડીફરન્ટ”, “ઈન્દ્રાજ઼ નેટ” અને “બેટલ ફોર સંસ્કૃત” જરુર વાંચવા. યુ-ટ્યુબ ઉપર તેમના પ્રવચન અને સંવાદો ઉપલબ્ધ છે.  અમેરિકા ભલે પોતાને “માનવીય હક્કો”નો પુરસ્કર્તા માનતું હોય પણ તેની કાર્યશૈલી “મુસ્લિમ આતંક”વાદીઓ પ્રત્યે ભેદભાવ વાળી જ રહી છે. તેમને મન કેટલાક આતંકવાદીઓ ગ્રુપો સારા અને કેટલાક આતંકવાદી ગ્રુપો ખરાબ હોય છે. ખ્રીસ્તી આતંકવાદથી તો તે પોતાને સાવ અજ્ઞાની જ રાખે છે. ભારતમાં સામ્યવાદીઓનો, ખ્રીસ્તી પાદરીઓનો અને કટ્ટર મુસ્લિમોનો એક સમાન એજન્ડા છે. આપણામાંના કેટલાક સુજ્ઞ લોકો તેમના તર્કશાસ્ત્રથી ભોળવાઈ જાય છે. તેથી તેઓ તેમની પ્રત્યે કંઈક વધુ પડતા (તેને આપણે અતિરેક કહીશું), સહિષ્ણુ અને રીસ્પેક્ટફુલ બની ગયા છે.

ગાંધીજી જવાહરના માનસને સમજી શકતા હતા

ગાંધીજી જ્યારે જીવતા હતા ત્યારે તેમના વ્યક્તિત્વને કારણે કોંગ્રેસી નેતાઓ તેમના સિદ્ધાંતોને નકારી શકતા ન હતા. ગાંધીજીએ કહેલ કે તેઓ “જવાહરને સમજી શકે છે. પણ તેમના સમાજવાદને સમજી શકતા નથી”.

ગાંધીજી “જવાહર”ને સમજી શકે છે તેમાં  ઘણું સમાયેલું છે.  ગાંધીજી સમજતા હતા કે નહેરુ એક “નૉટી બૉય” છે. નહેરુનું તત્કાલિન કોંગ્રેસ સંગઠન ઉપર એટલું બળ ન હતું. પણ નહેરુ યુવાનોના પોસ્ટર બૉય હતા. એટલે તેઓ કોંગ્રેસને તોડવા માટે સક્ષમ હતા. જો તે વખતના નાજુક સમયમાં કોંગ્રેસ તૂટે તો દેશના બે કરતાં વધુ, એટલે કે કદાચ છ થી સાત ભાગલા પડી શકે તેમ હતા. એટલે મહાત્મા ગાંધીએ વ્યુહરચનાના ભાગરુપે, કોઈએ ભલામણ કરી ન હતી તે છતાં પણ, નહેરુને વડાપ્રધાન બનાવ્યા. આ એક હંગામી વ્યવસ્થા હતી. પણ તે પછી થોડા જ સમયમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ મરી ગયા. નહેરુએ એક પછી એક તેમના પ્રતિસ્પર્ધીઓને દૂર કર્યા. પરિણામ સ્વરુપે શું થયું તે આપણે જાણીએ છીએ. આપણે ત્યાં બહુમતિ ઉપર દમન થયું અને આપણા સુજ્ઞ લોકો મૂર્ખતા કે સ્વાર્થને કારણે તેના હાથા બન્યા.

આઝાદીની શરુઆતમાં ગાંધી-વિચારોનું પ્રબલ્ય રહ્યું હતું. તેથી જ ગૌ-હત્યા બંધી, દારુ-બંધી, અહિંસક સમાજ જેવા સિદ્ધાંતોને ભારતીય બંધારણમાં “આદેશાત્મક સિદ્ધાંતો તરીકે જગા મળી”. પણ નહેરુ ખંધા હતા એટલે તેમણે તેને લગતા કાયદા અને અમલનું કામ રાજ્યો ઉપર છોડ્યું. “જા બીલ્લી કુત્તેકો માર”

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ
હા તે જરુર શાકાહારી છે
કોણ કહે છે કે પેલો માંસાહારી છે?
પેલો પણ આમ તો શાકાહારી છે, પણ તે માંસાહારી વાનગીઓ ઉપર પણ હાથ મારે છે. શાકાહાર વગર તેને ચાલતું નથી. માંસાહાર સંપૂર્ણ ખોરાક છે જ નહીં.
જો પેલો એમ માનતો હોત કે તે માંસાહારી છે તો તે
હાડકાના ભૂકાના રોટલા ખાત,
કોથમીરને બદલે મચ્છર અને માખીઓ વાપરત,
તેલને બદલે ટેલો વાપરત,
મીઠાને બદલે મંકોડા નાખત,
મરચાને બદલે લાલ કીડીઓ નાખત,
દાડમને બદલે દાંત નાખત,
પાણી ને બદલે લોહી પીવત…

ટેગ્ઝઃ ગુજરાતના ક્રાંતિકારી વિચારક, અહિંસા, અતિરેક, ગાંધીજી, સત્યાગ્રહ, કાયરતા, કાઠીયાવાડી, ગૌ સૃષ્ટિ, ગાય, બળદ, સાંઢ, બકરી ઘેટાં, ઊંટ, ભેંસ, પાડા, માનવ સમાજ, ઈશ્વર, બુદ્ધિ, પૃથ્વી, વાતાવરણ, પર્યાવરણ, સંતુલન, કુદરતી, પ્રાકૃતિક, ટ્રેક્ટર, ખેતી, પોદળો, વિલાયતી ખાતર, ગૌમૂત્ર, સંરચના, ન્યાયાલય, વિદ્યા, અવિદ્યા, ધૃવ, અધૃવ, મશીન, જવાહર, સમાજવાદ, સામ્યવાદ, ખ્રીસ્તી પાદરીઓ, શાકાહારી, માંસાહારી

 

Read Full Post »

જલવાયુ પ્રદુષણનું દે ધનાધન ભાગ – ૩

જલવાયુ પ્રદુષણનું દે ધનાધન ભાગ

નૈતિક પ્રદુષણ, છેલ્લા શતકમાં જલવાયુ પ્રદુષણ ઉપર હામી થયું છે.

“અમે ગરીબોના બેલી છીએ. ગરીબોની સેવા માટે અમે પ્રતિબદ્ધ છીએ”

દેશ ઉપર છ દશકા સુધી શાસન કરનાર અને હજી શાસન કરવા માટે ની ઇચ્છા અને પ્રયત્નો કરનાર નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ આ પ્રમાણે ઉચ્ચારણો કરતા આવ્યા છે.

છ દશકા એટલે ચાર પેઢીઓ એવું માની શકાય.  અગાઉ કહ્યા પ્રમાણે એક વૃક્ષને મોટું થતાં વધુમાં વધુ ૧૫ વર્ષ લાગે છે.

કોઈ પણ એક પરિકલ્પના (પ્રોજેક્ટ) પૂરી કરવા માટે પાંચ વર્ષ જોઇએ.  એક બંધને બાંધવામાં  માટેની પરિકલ્પના પણ પાંચ વર્ષમાં પૂરી કરવી જોઇએ.

પણ ખીસ્સા ભરવા માટે અને રાજકીય લાભ લેતા રહેવા માટે કોઈ પણ એક પરિકલ્પના (દાખલા તરીકે બંધ બાંધવા માટેનો પ્રોજેક્ટ)  પૂરી કરવા માટે નહેરુવીયન કોંગ્રેસ પ્રણાલી અને સાંસ્કૃતિક ધરોહર, દશથી અનંત વર્ષો લે છે.

આપણે ગુજરાતની જ વાત કરીએ.

નર્મદા ની પરિકલ્પના ભાઈલાલભાઈ પટેલની હતી. આ પરિકલ્પના ૧૯૩૦ના દશકાની છે. અંગ્રેજો આ પરિકલ્પના પૂરી ન કરે તે આપણે સમજી શકીએ છીએ, પણ નહેરુવીયન કોંગ્રેસને આમાં રાજકીય લાભ દેખાયો. આ યોજના ક્યારે પૂરી થશે તે વિષે આગાહી કરવામાં જ્યોતિષ શાસ્ત્રીઓ પણ ડરતા હતા.

ભાવનગર તારાપુર ની રેલ્વે લાઈનની પરિકલ્પના ૧૯૫૦ના પૂર્વાર્ધની છે તે ક્યારે પૂરી થશે તે ભૃગુ ઋષિ જીવતા હોત તો પણ ન કહી શકત.

કલ્પસર ની પરિકલ્પના પણ ભાવનગર તારાપુર રેલ્વે ની પરિકલ્પના જેટલી જ જુની છે.

ભાવનગરમાં મશીન ટુલ્સના મુખ્ય કારખાનાની પરિકલ્પના પણ  એટલી જ જુની છે.

આવી તો અનેક વાતો છે કે તમે સમસ્યા અને પરિકલ્પનાને એટલી હદ સુધી અવગણો કે તે આપોઆપ મૃત્યુ પામે.

આના અનેક દાખલાઓ છે.

જેમકે;

કાશ્મિરના લાખો હિન્દુઓની યાતનાઓ

૧૯૮૯-૯૦માં ઉઘાડે છોગ હજારો હિન્દુઓની કતલ કરી. લાખો હિન્દુઓને અનેક પ્રકારે ધમકીઓ આપીને તેમને નિર્વાસિત કર્યા.

નહેરુવીયન કોંગ્રેસે અને તેના સાંસ્કૃતિક સાથીઓએ વ્યાપક રીતે મુસ્લિમોની માનસિકતાને વકરાવી તેમને બેફામ આચારણ કરતા કરી દીધા. આજે તે વાતને ત્રણ દશકા થવા આવ્યા. અનુપમ ખેર જેવા કશ્મિરી હિન્દુઓના પુનર્‍ વસન માટે બળાપો કરે છે તો, નસરુદ્દીન જેવા એમ કહે કે અનુપમ ખેર કશ્મિરમાં તો રહેતા નથી અને શેના બળાપો કરે છે?

નસરુદ્દીન અને તેમના પ્રત્યે અહોભાવ રાખનારાઓ કેવો વિતંડાવાદ કરે છે? તે પણ જાણી લો. તેઓ કહે છે કે કાશ્મિરમાંથી હિન્દુઓનું બહાર જવું નહેરુના પરદાદાઓથી ચાલુ થયેલું છે. આપણા એક ડીબીના સંક્ષિપ્તનામે ઓળખાતા ગુજરાતી સમાચાર પત્રના એક કટારીયા ભાઈ  અનુપમ ખેર અને નસરુદ્દીન શાહની જન્મોત્રી અને ખ્યાતિની માંડીને વાત કરે છે. આવા વ્યક્તિગત અભિપ્રાય ના આધારે તેઓશ્રી તારવે છે કે અનુપમભાઈ કેટલા કનિષ્ઠ છે અને નસરુદ્દીનભાઈ કેટલા મહાન છે. તેઓશ્રી  તારવણીની આ વાતને સ્વયં સિદ્ધ માને છે.  આવી માનસિકતા પાછળ તેમનો આપવા લાયક સંદેશો એ જ કે કાશ્મિરના હિન્દુઓની સમસ્યાને પ્રમાણહીન રીતે મોળી પાડી દેવી કારણ કે નસરુદ્દીનભાઈ તો કેવા મહાન છે. તેમનો તો બચાવ કરવો જ જોઇએને.

આપણે આ વાતની ચર્ચા નહીં કરીએ. પણ તમે સમસ્યાને એટલી હદ સુધી અવગણો કે તેનું આપોઆપ મોત થઈ જાય. તમે વિસ્થાપિતોને તંબુમાં રાખો કે એક રુમમાં બે ત્રણ કુટૂંબને રાખો તો શું તેઓ અનેક દશકાઓ સુધી તેવી જ સ્થિતિમાં રહ્યા કરશે? તેઓ તેમનો રસ્તો જાતે શોધી લેશે. અને તે પછી સમસ્યા મરી જશે. કોમવાદીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ કહેશે “સમસ્યા છે જ ક્યાં?”

પરિકલ્પનાઓના અમલમાં પણ આવું જ થાય છે. આ એક નૈતિક પ્રદુષણ છે.

નદીઓ ઉપર બંધ બાંધવા જરુરી છે?

ઉત્તર છે ના, અને હા.

નદી ઉપર બંધ બાંધવાનો અને તેની કેનાલો બાંધવાનો ખર્ચ કેટલો થશે, વિસ્થાપિતોના પુનર્‍ વસનનો કેટલો ખર્ચ થશે, અને કેટલા સમયમાં આ કામ પુરું થશે તેની ગણત્રી કરો. કેટલી જમીન ગુમાવશો, કેટલી જમીનની સિંચાઈ કરશો અને અન્ય લાભ શું થશે તેની ગણત્રી કરો. જો સરવાળે ફાયદો થાય તેમ હોય તો જ આવા પ્રોજેક્ટો કરવા જોઇએ.

વૃક્ષો પણ એક નાના બંધનું કામ આપે છે. એક વૃક્ષ ઉગાડવા વધુમાં વધુ ૧૫ વર્ષ જોઇએ.

વૃક્ષો કેવી રીતે અને ક્યાં ઉગાડાય?

Plantation of tree

જ્યાં સુધી આપણે અન્ન ઉત્પાદન માટે કૃષિ સંકુલ નો ઉપયોગ ન કરીએ (કારણ કે આ કામ હાલની વ્યવસ્થાને ખોરવ્યા વગર અને તબક્કાવાર જ કરી શકાય છે.) ત્યાં સુધી જમીન નો ઉપયોગ અન્ન ઉત્પાદન માટે થતો રહેશે.

કૃષિ ક્ષેત્ર અને વૃક્ષો

ખેતરોને બની શકે તેટલા મોટા રાખો, કે જેથી ટ્રેક્ટર તેને બરાબર ખેડી શકે. જો કે કેટલાક ગાંધી વાદીઓ કહેશે કે ગાંધીજી તો બળદથી ખેડવામાં જ માનતા હતા. ખેતરને ટ્રેક્ટરથી ખેડી જ કેવીરીતે શકાય? આનો ઉત્તર એ છે કે આપણે બળદ (સાંઢ) કે પાડાનો બીજા ઉપયોગો પણ કરીએ છીએ. જેમકે તેલ ઘાણી, ઉર્જા ઉત્પાદન, માલગાડી, સિંચાઈ વિગેરે. ટ્રેક્ટર એક વિકલ્પ છે. જો  બળદો કે પાડાઓ ફાજલ હોય તો ટેક્ટર નો ઉપયોગ ન કરવો. કારણ કે ટ્રેક્ટર પોદળો મુકતું નથી અને કુદરતે આપેલા રીપ્રોડક્ટીવ ટ્રેક્ટરો (બળદો કે પાડાઓ) ફાજલ છે.

ખેતરનું પાણી વહી ન જાય તે માટે તેની ચારે બાજુ વૃક્ષોની ત્રણ કે વધુ હરોળો બનાવો. મોટા વૃક્ષોની હરોળો  પૂર્વથી પશ્ચિમ રાખો અને નાના વૃક્ષોની હરોળો ઉત્તરથી દક્ષિણ રાખો.

નદીઓ અને સરોવરોના કિનારાઓ

બંધ બાંધવાને બદલે નદીઓ અને સરોવરોને વિકસિત કરવા વધુ જરુરી છે. ફાયદા કારક પણ આ જ છે.

બંધ બાંધવા હોય તો પહાડો ઉપર નદીના પ્રવાહને રોકનારા બંધોને બદલે સમુદ્ર પાસે નદીના પાણીને રોકો. સમુદ્ર પાસે નદીના કિનારા ઉપર રીવરફ્રંટ બનાવો. નદીઓમાંથી જેટલી રેતી અને પત્થરો ઉઠાવવા હોય તેટલા ઉઠાવો અને નદીઓને ઉંડી કરો. નદીઓને સમગ્ર રીતે પૂરી લંબાઈમાં રીવર ફ્રંટ બનાવવા હોય તો બનાવો.

નદીઓને જોડવાના કામોને પ્રાથમિકતા આપો. યુદ્ધના ધોરણે આ કામ કરો.

સરોવરોને પૂરવાના કામ બંધ કરો. સરોવરો વિકસાવી શકાય તેમ છે. ભારતની પ્રાચીન સભ્યતાએ આપણને દરેક ગામડે એક એક તળાવ આપ્યા છે. આ બધા તળાવોને ડમ્પીંગ ગ્રાઉન્ડ બનાવવાને બદલે તેના કિનારાઓને વિકસાવી શકાય છે. દરેક તળાવની ચારે તરફ ૨૫૦ મીટર દૂર રહેણાંકના સંકુલ બનાવી શકાય છે.  આ સંકુલનું ડ્રેનેજનું પાણી શુદ્ધ કરી આ તળાવમાં ઠાલવી શકાય છે.

નદી અને તળાવના કિનારાના ૨૫૦ મીટરના પટામાં વૃક્ષોદ્વારા અચ્છાદિત માર્ગ અને બગીચાઓ બનાવી શકાય છે.  તળાવોના કિનારાઓ અને નદીઓના કિનારાઓ વિકાસના બહુમોટા સ્રોત છે.  તેને પ્રદુષિત કરવાને બદલે તેના વિકાસ દ્વારા સમસ્યાઓના હલ નીપજાવી શકાય છે.

ફાજલ જમીનઃ

કેટલીક જમીનો એવી હોય છે કે તે વપરાયા વગરની પડી હોય છે કારણ કે તે બીલ્ડરોએ ખરીદી રાખી હોય છે, અથવા સંસ્થાઓની હોય છે, અથવા સરકારી હોય છે. ક્યારેક આવી જમીનનો ઉપયોગ, વેચાણના પ્રદર્શનો કે આનંદ મેળાઓ યોજવામાં થાય છે.

કેટલીક જમીનો એવી હોય છે કે તે શહેરી કે ગામના રસ્તાની બંને બાજુ ખૂલ્લી પડી હોય છે.  સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે રાજ્યની સરકારો આવી જમીનની દરકાર કરતી નથી. જો આ જમીન સરકારી હોય તો ત્યાં લારી, ગલ્લા, કબાડી, ગેરેજવાળા અને ધાબા ટાઈપ હોટલવાળા કબજો કરી લે છે. આ રીતે આ દબાણો, સરકારી નોકરો માટે આડે હાથની કમાણીનું સાધન બને છે.

આવી જમીનોનો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ કામ ચલાઉ કબજો લઈ લેવો જોઇએ. આવી જમીનને સમતલ કરી આ જમીનનો ઉપયોગ શાકભાજી અને ઘાસના ઉત્પાદન માટે થવો જોઇએ. જો આવી જમીન ખાનગી સંસ્થાઓ કે ખાનગી માલિકીની હોય તો પણ તેનો કબજો લઈ લેવો જોઇએ. આવી જમીનને પણ સમતલ કરી તેનો ઉપયોગ શાકભાજી અને ઘાસ ઉગાડવા માટે થવો જોઇએ. સ્થાનિક સ્વરાજની સંસ્થાએ આવી  જમીનોનો કામ ચલાઉ કબજો લીધા પછી ત્રણ મહિના માટે શાકભાજી ઉગાડવા વાળાઓને ભાડે આપવો જોઇએ. દર ત્રણ માહિને આ કરાર રીન્યુ કરવો જોઇએ. ૮૦ ટકા ભાડું માલિકને આપવું અને ૨૦ ટકા ભાડું સરકારમાં જમા કરાવવું. આ કામની વ્યવસ્થા ગોઠવી શકાય.

એવું પણ જોવા મળ્યું છે કે શાકભાજી વેચવા વાળા રસ્તાઓ ઉપર લારી રાખી રસ્તાઓ ઉપર દબાણ કરે છે. દા.ત. અમદાવદમાં માનસી ચાર રસ્તા, શાસ્ત્રી નગર ત્રણ રસ્તા, ગુરુકુલ રોડ જેવા અનેક રસ્તાઓ છે કે જ્યાં ખાલી જમીનો પડી છે છતાં પણ રોડ ઉપર શાકભાજીવાળાઓનો કબજો હોય છે.

સુઘડ રીતે કામ કરવું તે સરકારી નોકરોના લોહીમાં નથી

વસ્ત્રાપુર તળાવ પાસે એક સરકારી ખાલી પ્લોટમાં ગુજરાત સરકારે ઓર્ગેનિક શાક માર્કેટ કામચલાઉ ધોરણે બે હરોળમાં શનિ-રવિ પૂરતી, ઓર્ગેનિક  શાક માર્કેટ બનાવી છે. આમાં સરકારી કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની અણઘડતા દેખાઈ આવે છે. એવું લાગે છે કે જે કંઈ કરવું તે ગંદી રીતે કરવું. જમીનને સમતલ કરી નથી. મંડપના લીરેલીરા ઉખડી ગયા છે. ચાલવા માટે ઈંટર લોક ટાઈલ્સ નથી. સુઘડ રીતે કામ કરવું તે સરકારી નોકરોના લોહીમાં નથી. કામ ચલાઉ વેચાણ પ્રદર્શનોમાં અને આનંદ મેળાઓમાં પણ આ જ હાલ હોય છે. જવાબદારી જો નિશ્ચિત કરવામાં આવે તો આ બધું નિવારી શકાય.

કામ ચલાઉ રસ્તાઓ ઈન્ટર-લોકીંગ સીમેન્ટ ટાઈલ્સથી બનાવી શકાય. ઈન્ટર લોકીંગ ટાઈલ્સની ગુણવત્તા નક્કી કરી શકાય. પણ સરકારી નોકરો મહાત્મા મંદિરમાં પણ આવું નથી કરી શકતા તો અમદાવાદમાં તો કરે જ ક્યાંથી?

સરકારી નોકરો બારદાન છે.

બારદાન એટલે પેકેજીંગ.  તમે એક ઉત્કૃષ્ટ ઉત્પાદન કર્યું. પણ તેનું પેકેજીંગ નબળું હોય તો ગ્રાહકને તૂટ્યો ફુટ્યો માલ મળે. નરેન્દ્ર મોદી કે જે તે સરકારો આયોજન પૂર્વક ગમે તેવી સારી યોજના બનાવે પણ સરકારી નોકરો તેને બગાડી નાખવામાં નિષ્ણાત હોય છે.

દા.ત.

ગાંધીનગરમાં  સરકારે ચીપ શોપીંગ સેન્ટર બનાવેલ. કોણ જાણે કેમ, પણ આ શોપીંગ સેન્ટરોમાં અમુક કે બધી દુકાનો  ખાલી રહેતી. અને બાજુના રસ્તા ઉપર લારીવાળાઓનો કબજો રહેતો હતો. હજી પણ આવું જ હશે.

ગુજરાત હાઈકૉર્ટમાં કેન્ટીન છે. પણ તેની અંદરના ખુલ્લા પ્લૉટની  જગ્યામાં ખાણીપીણી વાળા રીસેસમાં કબજો કરી લે છે. કેન્ટીનના કોન્ટ્રાક્ટનો નિવેડો લાવવામાં આવ્યો ન હતો.

નવી મુંબઈમાં પણ સરકારે શાકમાર્કેટના મકાનો બનાવેલ. પણ આ મકાનોમાં દુકાનોનો કબજો ઢોર ઢાંખર પાસે રહેતો. એટલે કે ઢોર ઢાંખર ના આશ્રય સ્થાન બનતા અને શાકભાજીની લારીઓ રસ્તા ઉપર વેચાણ કરતી. આનું કારણ એ કે જો રસ્તા ઉપર વેચાણ કરો તો સરકારી ગુંડાઓ પૈસા ઉઘરાવી શકે છે.

વિકસિત દેશોમાં કોઈપણ ખુલ્લી જગ્યા ઉપર યાતો ઘાસ ઉગાડવામાં આવતું હોય છે અથવા તો વૃક્ષો ઉગાડેલા હોય છે.

SAM_0836

રસ્તાઓ બંને બાજુના અંતસુધી પાકા હોય છે અને ફુટપાથો વ્યવસ્થિત રીતે બંધાયેલી હોય છે.

SAM_0832

જો આ પ્રમાણે હોય તો તમે વાતાવરણનું ઉષ્ણતામાન ૧૦ ડીગ્રી જેટલું નીચું લાવી શકો. કારણ કે ઘાસ ઉગાડેલી જમીન ગરમ થતી નથી. હવામાં ધૂળના રજકણો પ્રમાણમાં સાવ જ ઓછાં હોય છે. એટલે હવા ઓછી ગરમ થાય છે.

આ બધું શું આપણા દેશમાં શક્ય નથી?

કશું અશક્ય નથી. મ્યુનીસીપલ કમીશ્નરમાં (આઈ એ એસ અધિકારીઓમાં) પોતાના શહેરની પ્રત્યે પ્રેમ અને કામ કરવાની નિષ્ઠા બતાવવાની તાલાવેલી હોવી જોઇએ. ચૂંટાયેલા જન પ્રતિનિધિઓમાં પણ સરકારી અધિકારોને દંડવાની તાકાત જોઇએ નહીં કે “હું પૈસા નહીં બનાવું તો કોઈ બીજો બનાવશે, તો પછી હું જ શા માટે પૈસા ન બનાવું?” વાળું વલણ.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્જ઼ઃ નૈતિક પ્રદુષણ, જલવાયુ પ્રદુષણ, ગરીબોની સેવા, નહેરુવીયન કોંગ્રેસ, રાજકીય લાભ, પરિકલ્પના, પ્રોજેક્ટ, ભાવનગર તારાપુર રેલ્વે લાઈન, નર્મદા યોજના, ભાઈલાલભાઈ પટેલ, કલ્પસર, કાશ્મિરના હિન્દુઓની યાતનાઓ, નસરુદ્દીન, અનુપમ ખેર, નદીઓ ઉપર બંધ, બળદ (સાંઢ), પાડો, ટ્રેક્ટર, ઉર્જા, વૃક્ષોની હરોળ, નદીઓ અને સરોવરના કિનારાઓ, રીવર ફ્રંટ, ફાજલ જમીન, લારી ગલ્લા ગેરેજ ધાબા હોટેલ, સ્થાનિકસ્વરાજ્યની સંસ્થા, મ્યુનીસીપલ કમીશ્નર, શાકભાજી, માનસી ચાર રસ્તા, શાસ્ત્રી નગર ત્રણ રસ્તા, ગુરુકુલ રો, સુઘડ, સરકારી નોકરો, બારદાન, ચીપ શોપીંગ સેન્ટર

Read Full Post »

%d bloggers like this: