Feeds:
Posts
Comments

Posts Tagged ‘પોલીસ’

ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ભાગ-૨

ગેરકાયદેસર બાંધકામ, દબાણ, ટ્રાફીક ડીપાર્ટમેન્ટની અને શહેર સુધરાઈનું અણઘડપણું અને ખાયકી જનતાને અસંસ્કૃત, ગંદી આદતોવાળી અને અનીતિમાન બનાવે છે.

ટ્રાફિક નિયમોના ભંગ કરનાર જનતાને અશિક્ષિત, અસંસ્કૃત, ગંદી આદતોવાળી અને અનીતિમાન કહેવું સહેલું છે. પણ તેના મૂળમાં શહેરસુધરાઈના અધિકારીઓ અને ટ્રાફિક પોલીસના અધિકારીઓનું અણઘડપણું, અજ્ઞાનતા, ખુદના સફાઈના નીચા ધોરણો અને ખાયકી જવાબદાર છે.

પહેલાં તો આપણે એ જાણી લેવું પડે કે કઈ જાતનું અણઘડઆપણું અને અસંસ્કારિતા

સરકારમાં છે અને ચલાવી લેવામાં આવેછે.

હવે ધારોકે ૩ + ૩ લેનનો રસ્તો છે.

સેન્ટર લાઈન સાતત્ય વાળી હોવી જોઇએ. અથવા રોડ ડીવાઈડર હોવો જોઇએ.

લેન ની ગણત્રી સેન્ટરલાઈનથી ફૂટપાથ તરફની ગણીએ તો ૧, ૨ અને ૩ એમ થાય. ૧ નંબર ની લેન ફાસ્ટ લેન છે.

શહેરની અંદર મેન રોડ ઉપર સ્પીડ લીમીટ ૪૦ કીલો મીટરથી વધુ ન હોઈ શકે. એટલે સ્પીડ લીમીટનું બોર્ડ હોવું જોઇએ.

બે લેન વચ્ચે ધોળા પટ્ટાની ત્રૂટક લાઈન હોવી જોઇએ. બીજી લેનની સ્પીડ લીમીટ ટ્રાફીક પ્રમાણે એટલેકે ૪૦ કિ.મિ. થી તો ઓછી જ હોય છે.

જો તમે ૪૦ની સ્પીડથી લેન-૧ પર જતા હો તો પાછળ વાળાએ તમને હોર્ન મારવું ન જોઇએ.

જ્યારે પણ ટર્નીંગ માટેની ગલી કે રોડ ક્રોસ આવે તેના કમસે કમ ૨૦૦મીટર  અગાઉ તમારે તમારી લેન પકડી લેવી જોઇએ. જો વાહન દ્વી ચક્રી કે ત્રી ચક્રી હોય તો તેને લેનના ડાબા હિસ્સામાં અને જો વાહન ચતુસ્ચક્રી હોય તો હમેશાં લેનના મધ્યભાગમાં ચલાવવું જોઇએ. આ રીતે જો તમે વાહન ન ચલાવો તો તે અવ્યવસ્થિત ડ્રાઈવીંગ કહેવાય અને તે દંડને પાત્ર થાય.

તમે છેલ્લી ઘડીએ લેન-૩ કે લેન-૨ માંથી ડાબી બાજુ વળવા માટે  લેન-૧ ઉપર જઈ ન શકો. સીધા જવું હોય તો તમારે લેન-૨ પકડવી પડે અને જમણી બાજુ વળવું હોય તો લેન-૩ પકડી લેવી જોઇએ.

ઝીબ્રાક્રોસીંગ અગાઉ એક પટ્ટો હોય છે. જો લાલ લાઈટ હોય તો તમે તેથી આગળ જઈ ન શકો.

જો ટ્રાફીક સીગ્નલ ન હોય તો તમારે રોડ ક્રોસીંગ ના ૨૦૦ મીટર અગાઉ (ટ્રાફીક હોય કે નહોય તો પણ) તમારા વાહનને પહેલા ગીયરમાં જ લાવી દેવું જોઇએ, અને સ્પીડ ડેડ સ્લો કરી દેવી  જોઇએ. જમણી બાજુથી આવનારા જેઓએ તેમની તરફનો ઝીબ્રાક્રોસીંગ આગળનો પટ્ટો ક્રોસ કરી દીધો હોય અને તેમની પાછળના જે કોઈ વાહનો એકબીજા વચ્ચે ૨૦ મીટરથી ઓછા અંતરે હોય તે સૌ વાહનોને પહેલાં જવા દેવા પડે. 

સામાન્ય ૨+૨ લેનનો નમૂનો ડાયાગ્રામમાં આપેલો  છે.

Road Crossing

 

ટ્રાફીક માર્કીંગ હોતા નથી.

સામાન્ય રીતે રસ્તા ઉપર પાર્કીંગની પરવાનગી હોતી નથી. પણ જો પાર્કીંગની પરવાનગી હોય તો ત્યાં પાર્કીંગ ની સીમાઓ અને ગાળાઓ માર્ક થયેલા હોવા જોઇએ. જો ગાળાના સેન્ટરમાં વાહન પાર્ક થયું ન હોય તો તે અવ્યવસ્થિત પાર્કીંગ થયું કહેવાય. અવ્યવસ્થિત પાર્કીંગ પણ દંડને પાત્ર છે.  

ખોટી લેન ઉપર વાહન ચલાવવું

જો તમારે ડાબી બાજુ વળવાનું હોય તો તમારે સીગ્નલ આપી, સામેના મીરરમાં અને ડાબી બાજુના મીરરમાં પાછળનો ટ્રાફીક જોઇ લેન-૩ ઉપર આવી જવું જોઇએ.

કારણ વગર લેન બદલવી એ અવ્યવસ્થિત ડ્રાઈવીંગ કહેવાય. તે દંડને પાત્ર છે.

અણઘડપણું:

ટ્રાફીક માટેના માર્કીંગઃ

લેન માર્કીંગઃ લેના માર્કીંગ ઘણી જાગ્યાએ હોતા જ નથીં તો કેટલીક જગ્યાએ ઝાંખા હોય છે અને કેટલીક જગ્યાએ ખોટા હોય છે.

તમે કહેશો કે ખોટા માર્કીંગ કેવીરીતે હોઈ શકે?

સ્ટોપ લાઈન એ જગ્યાએ હોવી જોઇએ કે ડાબી બાજુ જે વાહનને વળવું છે તેને પૂરતી જગ્યા મળે અને તેનો પાછલો ભાગ તેની ડાબી બાજુની લેન ઉપર સીધા જનાર વાહનને ભટકાય નહીં.

વાસ્તવમાં અનેક વાર પરિસ્થિતિ એવી બને છે કે સીધા જનારા વાહનો ડાબી બાજુ જનારા વાહન માટે જગ્યા રાખતા જ નથી. ડાબી બાજુ વાળા માટે ગ્રીન સીગ્નલ હોવા છતાં ડાબી બાજુ જવાવાળા જઈ શકતા નથી. ખોટી જગ્યાએ વાહનને ઉભું રાખવું પણ દંડને પાત્ર બને છે.

આ બધા દંડ શા માટે વસુલ થતા નથી?

ટ્રાફીક પોલીસને બે જાતના ક્વોટા હોય છે. દંડની વસુલાતની પરચીનો ક્વોટા અને હપ્તાનો ક્વોટા. હપ્તાનો ક્વોટા તેઓ દબાણ વાળા, છકડાવાળા અને શેર-એ-રીક્ષાવાળા પાસેથી વસુલ કરી લે છે. વધારાની તસ્દી શા માટે લેવી.

ટ્રાફિક સંસ્કાર કેવીરીતે લાવી શકાય?

જો વાહનવાળાઓની અરાજકતા વ્યાપક અને જત્થાબંધ હોય તો ટ્રાફીક પોલીસ વાહનોને અટકાવી પરચી ફાડી દંડ વસુલ ન કરી શકે. ધારોકે તે આમ કરવા જાય તો ટ્રાફીક જામ થઈ જાય. અને કેટલાક માલેતુજાર કે અસામાજીક વાહકો પોલીસ સાથે ચર્ચામાં ઉતરે છે અને ટ્રાફિક પોલીસની તાકાત નથી કે તે દરેકને સરકારી કામમાં રુકાવટ કરવા બદલ અને ટ્રાફિકને અડચણ કરવા સબબ ફોજદારી સબબ ગુન્હો દાખલ કરે.

સીસી કેમેરાઓઃ

સીસી કેમેરા દરેક રોડ ઉપર અમુક અંતરે અને રોડ ક્રોસીંગ ઉપર લગાવી દેવા જોઇએ. કન્ટ્રોલ રુમમાં જ તેની ઉપર નિરીક્ષણ અને રેકોર્ડીંગ થયા કરવું જોઇએ. સોફ્ટવેર એવું હોવું જોઇએ કે દરેક વાહનની ઓવરસ્પીડ, વાહનના નંબર, અવ્યવસ્થિત ગતિ, વિગેરે દરેક જાતના ટ્રાફિક નિયમના ભંગ રજીસ્ટર થાય અને પ્રીન્ટ-પ્રીવ્યુ રેકોર્ડ થાય.

આ બધાની સાથે તે વાહનના રજીસ્ટ્રેશન નંબર ઉપરથી તે માલિક ઉપર ચલાન બને, સ્પીડ પોસ્ટનું પોસ્ટેજ કવર એડ્રેસ સાથે તેની સાથે પ્રીન્ટ થઈને બહાર આવે. ચલાનમાં ચલાન નંબર આરટીઓ એકાઉન્ટ નંબર અને ચેક અથવા કેશ સ્વિકારનારી બેંકોના નામનું લીસ્ટ પણ હોય, ટાઈમ લીમીટ પણ હોય અને જો નિયમભંગની સાબિતી જોઇતી હોય તો પ્રીન્ટ આઉટ રીપોર્ટ લેવા માટે કેટલા વધારાના પૈસા ભરવા પડશે તે પણ લખ્યું હોય.  જો વાહન માલિકે ઈમેલ એડ્રેસ આરટીઓમાના રેકોર્ડમાં રજીસ્ટર ન કરાવ્યું હોય તો  આરટીઓ સ્પીડ પોસ્ટનો પોસ્ટલ ચાર્જ પણ વસુલ કરી શકે.

એક વાહન બીજા વાહન સાથે ભટકાયું હોય તો તે ગુનો પણ નોંધાય અને તે અવ્યવસ્થિત ડ્રાઈવીંગ બદલ તેનું ચલન પણ વાહન માલિકને પહોંચતું થાય. નુકશાની વીમા કંપની પાસેથી જે તે વ્યક્તિ વસુલ કરી લેશે. પણ પોલીસ તો દંડ કરશે જ.

ધારોકે કોઈ ગુન્હાઈત વાહન માલિકે દંડ ન ભર્યો હોય તો ૧૫ દિવસ પછી વધુ દંડની રકમ સાથેનું ચલાન વાહન માલિકને પહોંચતું થાય. ૧૫ દિવસની ત્રણ મુદતમાં જો દંડની રકમ ભરવામાં ન આવે તો તેનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ થાય. સોફ્ટવેર જ આને રજીસ્ટર કરે અને જ્યારે આ વાહન રોડ ઉપર આવે ત્યારે તેને ઓળખે અને પકડી પાડે અને જે પોલીસવાન પેટ્રોલીંગ કરતી હોય તેને વાહના લોકેશનો સાથેનો વોઈસ મેસેજ આપે.

આ ઉપરાંત આડ ફાયદાઓ પણ થશે જે દબાણો, ગેરકાયદેસર બાંધકામ અને ચોરી ને લગતા હશે. આ સીસી કેમેરા ઠીક ઠીક રીઝોલ્યુશન વાળા અને આછા પ્રકાશમાં પણ કામ આપી શકે તેવા હોવા જોઇશે.

આ પ્રકારની ગોઠવણનો ફાયદો એ થશે કે મોટો ચમર બંધી પણ કાયદાનો ભંગ કરી શકશે નહીં. આરટીઆઈ (રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ) હેઠળ કોઈ પણ નાગરિક કોઈપણ રોડ ઉપરની ફૂટેજ માગી શકશે અને ટાફીક પોલીસની પાસે તેને કરેલા અને તેણે ભરેલા દંડની વિગતો માગી શકશે. કારણ કે ગુનો, ન્યાય અને દંડની પ્રક્રીયા સાર્વજનિક માહિતિનો વિષય છે. સરકાર તેને છૂપાવી શકે નહીં.

આ બધું જ શક્ય છે. પણ સરકારી અમલદારો આવું સોફ્ટવેર બનવા દેવડાવશે નહીં. તેઓ સીસી કેમેરા ગોઠવશે તે પણ સાદા અને ફુલપ્રુફ ન હોય તેવા સોફ્ટવેર રાખશે જેમાં મોટાભાગનો માનવીય કંટ્રોલ રહેશે. આથી કરીને ચાર રસ્તાઓ ઉપર તમને ગપાટા મારતા અને તમાકુ ચાવતા ટ્રાફીક પોલીસો જોવા મળશે.

આનું કારણ શું?

કારણમાં તો હપ્તાઓની કમાઈનો અભાવ, ટૂંકી દૃષ્ટિ અને અણઘડપણું જ છે.

ફુટપાથો, રોડ રીસરફેસીંગ અને સફાઈના કામોમાં કમાઈ

અમદાવાદમાં જે હશે તે બીજે પણ હશે જ. એટલે આપણે અમદાવાદની જ વાત કરીએ.

અંગ્રેજીમાં મુહાવરું છે કે સ્મોલ ઈઝ બ્યુટીફુલ. પણ જ્યારે તમે લાર્જસ્કેલ ઉપર જાવ ત્યારે સ્મોલ ઈઝ અગ્લી એ બંધબેસતું થાય છે.

શહેર સુધરાઈનું મુખ્ય કામ શહેરને સ્વચ્છ રાખવાનું છે. આ જ તેની પ્રાથમિકતા છે. પણ કમીશ્નર સાહેબો આ કામ ને અંતિમ નંબર આપે છે.

જો શહેરને સ્વચ્છ રાખવું હોય તો શહેરના રસ્તાઓ સમતલ હોવા જોઇએ.

ફુટપાથો પણ સમતલ અને દબાણ રહિત હોવી જોઇએ જેથી

સ્ટ્રોલર (બાબાગાડી) અને વ્હીલચેર ચલાવી શકાય. 

અમદાવાદમાં શું છે? તમને ૨૦૦ મીટરની પણ સળંગ ફૂટપાથ મળશે નહીં. જો ગલી હશે તો ગેટ ઉપર ગેટ આવશે અને દરેક ગેટ પાસે ફૂટપાથનો અભાવ રાખવામાં આવશે. એકેએક સોસાઈટી વાળા બે થી ત્રણ ગેટ તો રાખશે જ. વિકસિત દેશોમાં આવું હોતું નથી. ધારો કે ગેટ આવે તો પણ ફૂટપાથ તો અકબંધ જ રહે છે. ફૂટપાથ ફક્ત ક્રોસ રોડ પાસે જ બ્રેક થાય છે. તેમાં પણ સ્ટ્રોલર અને વ્હીલચેર માટે ઢાળ આપવામાં આવે છે.

જો તમે દુકાનદારોને કે લારી ગલ્લાવાળાને ધંધો કરવાની મંજુરી આપી હોય તો તેમણે સ્વચ્છતા જાતે જાળવવી જોઇએ.  જો ફૂટપાથો અને ગલીઓના રોડ સમતલ ન હોય તો રોડ યોગ્ય રીતે સફાઈદાર ન થાય.

શહેર સુધરાઈ આવું શા માટે ચાલવા દે છે?

ગલીઓના અને ફૂટપાથના નાના નાના ટેન્ડરો બનાવવામાં આવે છે. નાનું ટેન્ડર એટલે રકમ પણ ઓછી. રકમ ઓછી એટલે મંજુરી પણ નાના અધિકારીના અધિકાર ક્ષેત્રમાં આવી જાય. મોટા અધિકારીઓ મોટા કામમાં ભાગબટાઈ કરે. નાના અધિકારીઓ નાના કામમાં થી કમાણી કરે. નાના કામોની સંખ્યા વધે એટલી મોટા અધિકારીની જવાબદારી ઘટે. એટલી સર્વોચ્ચ અધિકારીઓની જવાબદારી પણ ઘટે.

કાયદેસર રીતે જોકે આવું નથી. જ્યારે કામ સફાઈદાર ન હોય અને આ વાત વ્યાપક હોય તો બધા જ અધિકારીઓ જવાબદાર બને છે. જેની પ્રાથમિક જવાબદારી છે તેને તો સસ્પેન્ડ કરીને કામ ચલાવીને પાણીચું જ આપવું જોઇએ. તેના ઉપરી  અધિકારીને નીચી પાયરીએ ઉતારી દેવો જોઇએ અને તેની પરના અધિકારીના અનિયત કાળમાટે ઈન્ક્રીમેન્ટ બંધ કરવા જોઇએ, અને તેની ઉપરના અધિકારીના ત્રણ ઈન્ક્રીમેન્ટ બંધ કરવા જોઇએ અને સર્વોચ્ચ અધિકારીને ચેતવણી આપીને પ્રણાલીમાં કેવો ફેરફાર કરીને આનું પુનરાવર્તન અટકાવશે તે જવાબ માગવો જોઇએ.  

શહેર સુધારાઈવાળા સફાઈના કામના કોન્ટ્રાક્ટ આપે છે. ટ્રેક્ટર ટ્રેલરવાળા અડધો કચરો ભરે ન ભરે એવું કરે છે. ટ્રેલરને ઓવરફ્લો કરે એટલું જ નહીં, ટ્રેલરના બહારની બાજુના હુક ઉપર પણ થેલાઓ લટકાવે. આવું કરવા પાછળ તેમનો હેતુ મોટેભાગે તેમણે વધુ ફેરા કર્યા છે એમ બતાવી શકાય. જ્યાં શોપીંગ છે ત્યાં તેઓ સફાઈ કરતા નથી. કારણ કે આ જગ્યા તો શોપીંગ રોની સોસાઈટીની માલિકીની હોય છે. ફુટપાથ અને શોપીંગ રો વચ્ચે દિવાલ તો રાખી જ નથી હોતી. એટલે શોપીંગવાળાને દબાણની સુવીધા રહે છે. પાણીપૂરીના લારીવાળા અને પાન તમાકુના ગલ્લાવાળા ને પણ સુવીધા રહે છે. એટલે ગંદકી માટે કોઈની જવાબદારી છે એવું કમીશ્નર સાહેબ જોતા નથી. પણ ગુન્ડા તત્વો અને અધિકારીઓના હપ્તા તો ચાલુ જ રહે છે.  

ગલીઓના રસ્તાનું રીસર્ફેસીંગ પણ સફાઈદાર હોતું નથી. તે પણ ગુણવત્તા વગરનું હોય છે. ગલીઓના રી-સરફેસીંગના કોંટ્રાક્ટ પણ નાના હોય છે. તેઓ ફક્ત નામપૂરતી ડામરવાળી કપચી ભભરાવી ગલીનું રીસરફેસીંગ કરી દીધું માને છે. એટલે ખાયકી તો આમાં પણ ફૂટપાથ જેવી જ હોય છે. ગલીની કિનારીઓ અને ગટરના ઢાંકણાવાળી જગ્યા તો તમારા ટાયરને ફાડી નાખે તેમ હોય છે. વચ્ચે જો ટેલીફોન કેબલવાળા કેબલ ફોલ્ટ શોધવા માટે ખાડા કરી ગયા તો તે તમારા સ્કુટરને સ્લીપ કરવા તૈયાર રહે છે. રોડ ઉપર પાઈપ લાઈન ના ખોદાણ કર્યા પછી તેનું રીસરફેસીંગ પણ એવું જ ગુણવત્તા વગરનું અને તે પણ અતિ-વિલંબને અંતે થાય છે.

આ બધાનો શું ઉપાય છે?

હાજી, સીસી કેમેરાઓની જોગવાઈના સોફ્ટવેરમાં એવી જોગવાઈ પણ કરી શકાય કે જે આ બધા સીવીલ કામનું નિરીક્ષણ થાય અને રેકોર્ડ પણ થાય. કોન્ટ્રાક્ટરના કામના બીલ સાથે આની ક્લીપ પણ અધિકારી એટેચ કરે જેમાં સ્પેસીફીકેશન, વર્ક ઓર્ડર, કામચાલુ કર્યાની તારીખ, કામ પુરું કર્યાની તારીખ, અને  ચૂકવણા વિષેની માહિતિ આપે. આ બધું શહેર સુધરાઈની વેબસાઈટ ઉપર ઓટોમેટિક આવે. જે નાગરિકને જોવું હોય તે જોઇ લે અને અધિકૃત કોપી જોઇતી હોય તો આરટીઆઈ હેઠળ અરજી કરીને માગે. જો તેને વેબસાઈટ અને અધિકૃત કોપીમાં ફેરલાગે તો તે આ વાત કમીશ્નરને જણાવે અને કમીશ્નર સાહેબ અધિકારી અને કોંટ્રાક્ટરને દંડિત કરે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ શહેર સુધરાઈ, કમીશ્નર, ગલી, રસ્તા, ગેટ, ફૂટપાથ, ગટર, રી-સરફેસીંગ, અધિકારી, હપ્તા, ક્વોટા, કોંન્ટ્રાક્ટર, ગુણવત્તા, સીસી કેમેરા, સોફ્ટવેર, પોલીસ, ટ્રાફીક, ગુન્ડા, દબાણ 

Read Full Post »

ઝોંપડપટ્ટીઓ અને દબાણોનું ઓછા ખર્ચે અને વાસ્તવિક નિવારણઃ

નહેરુવીયન કોંગ્રેસ સરકારે, પોતે ગરીબો પ્રત્યે કેવી સંવેદનશીલ છે અને તે ગરીબોને મદદ કરવા કેવી સારી સ્કીમો લાવે છે તે વાત આંકડા દ્વારા બતાવવા અર્થહીન સ્કીમો બનાવે છે. ઈન્દીરા આવાસ યોજના, કે સંપાદન કરેલી જમીનોમં પછાત વર્ગ માટે અમુક ટકા હિસ્સો અનામત રાખવો, મનરેગા, વિગેરે પૈસા અને જમીનના વ્યયના ઉત્તમ ઉદાહરણો છે.

જમીનસંપાદનઃ

જમીન સંપાદન કરતી વખતે જે જમીના હિસ્સાઓ ગરીબો માટે અનામત રાખવામાં આવે છે તે હિસ્સાઓ કેવી રીતે ખમતીધર માણસો કબજે કરી લેછે તેનાથી કંઈ સરકાર માહિતગાર નથી એ વાત સાચી નથી. સરકારને બધી ખબર હોય છે અને સરકારી નોકરો માટે આ એક કમાણીનું સાધન હોય છે. આ કામ માટેના એજન્ટો હોય છે. તેમાં સરકારી કર્મચારીઓ અને રીટાયર્ડ અધિકારીઓ પણ એકબીજાની મીલીભગતમાં સામેલ હોય છે.  આવું જ રાહતોના ખેરાતદ્વારા બંધાયેલા કે બાંધીને રાહત દરે ખેરાત કરેલા મકાનોની દશા થાય છે.

જે ઝુંપડપટ્ટીઓ હોય છે તે ગેરકાયદેસર જ હોય છે અને સરકારી જમીન ઉપર હોય છે. આવી જમીનો ગૌચરની પણ હોય છે.

જમીનના ૧૦૦ બસો વાર ટૂકડા ગરીબોને રાહત દરે ફાળવવા કે જમીન ઉપર રૉ હાઉસ પ્રકારના નાના મકાનો બનાવીને રાહત દરે ખેરાત કરવા એ લાંબે ગાળે અર્થહીન બને છે. આવી જમીનો ગરીબ લોકો વેચી નાખે છે. અને આવા મકાને કાળક્રમે નજીકનું શહેર વિકસે એટલે રાહત દરે મળેલા આ રૉ-હાઉસો પણ આ ગરીબો વેચી નાખે

મકાનો કેવા હોવા જોઇએ?

ગામડાને સુંદર બનાવવા માટે અને જમીનનો વ્યય અટકાવવા માટે ગામડાની અંદર પણ મકાનો સંકુલ (હાઉસીંગ કોંપ્લેક્સ) પ્રકારના હોવા જોઇએ. સરકાર ગરીબોનું ભલું કર્યું છે તે બતાવવા ગામડામાં આવાસ યોજનાઓ હેઠળ મફતમાં કે સબસીડી દ્વારા જે રાહતની ખેરાત કરે છે તે જમીનનો વ્યય છે. આપણા ઘનીષ્ઠ વસ્તી વાળા દેશને આવો જમીનનો વ્યય પોષાય નહીં.

આપણે સમજવું પડશે કે એક માળીયા (જી), કે બે માળીયા (જી+૧), કે ત્રણ કે ચાર માળીયા (જી+૨, જી+૩) પણ જમીનનો વ્યય ગણાશે. વધુ માળવાળા મકાનોની અવગણના કરી શકાશે નહીં. વધુ માળવાળા મકાનો માટે સીમેન્ટ અને લોખંડની જરુર પડશે. જો કે લાકડું (સાગનું), કંઈક અંશે ૪ માળ સુધી સીમેન્ટ અને લોખંડની અવેજીમાં વાપરી શકાય તેથી નાના ગામડાઓ માટે જો આ લાકડું ઉપલબ્ધ કરી શકાતું હોય તો કરવું. પણ એક વાત સમજવા જેવી છે કે લાકડાના મકાનનું આયુષ્ય ટૂંકું હોય છે. અને જો જરુરી લાકડું ટૂંક સમયમાં ઉગાડી શકાતું હોય તો જ આવા લાકડાના મકાનોને સ્વિકારી શકાય.

ગાંધીજીએ એવી વાત કરેલી કે રૂ. ૫૦૦/- માં એક રહેઠાણ પડવું જોઇએ. અને ઘરમાંથી આકાશ દેખાવું જોઇએ. નાના ભૂલકાઓને રમવાની ખુલ્લી જગ્યા હોવી જોઇએ. હવે તેમણે જે વખતે મકાનની કિમત કે જે રૂ. ૫૦૦/- સૂચવેલી તે વખતે ઘી એક રુપીયાનું અઢીશેર મળતું હતું. આજે એટલું ચોક્ખું ઘી કદાચ ૪૦૦ રૂપીયે મળે. એટલે ૫૦૦ ગુણ્યા ૪૦૦ એટલે ૨૦૦૦૦૦ રૂપીયા કિમત થઈ. જો તમે આરસીસીના માળખા જ જો બનાવો તો એક ચોરસવારની કિમત રૂ. ૫૦૦૦/- થાય. જેઓ હાલ તુરત ગરીબ છે તેમને પૃથ્વીની જમીન ઉપર ઘર આપો તો તેમાં જમીનનો વ્યય પણ થાય અને મોંઘું પણ પડે. એટલે ૧૫ ફુટ બાય ૧૫ ફુટ ના ફ્લેટ આપી શકાય. આની અંદર સંડાસ અને રસોડું સામેલ હશે. આ રહેણાકોની રચના વિષે અલગથી વાત કરીશું.

સ્થાનિક સત્તામંડળ મકાનો બનાવીને ભાડે આપશે. મકાનો વહેંચશે કે વેચશે નહીં. તેમજ પેટા ભાડવાત તરીકે આપવા પણ દેશે નહીં.

બધી જમીન આમ તો સરકારી જ ગણાય. સરકાર કાંતો ફાજલ જમીનનો ઉપયોગ કરે છે અથવા જમીન ખરીદીને પ્રાપ્ત કરે છે. આ ખરીદીનો ખર્ચ તે પોતાના બજેટ ફંડમાંથી મેળવે છે.

ઝોંપડ પટ્ટીઓ જો દૂર કરવી હોય તો સરકારે એ જાણવું જોઇએ કે ઝોંપડ પટ્ટીઓમાં કોણ રહે છે.

ઝોંપડપટ્ટીઓમાં મજુરો રહે છે. તેઓ છૂટક મજુરી કરતા હોય છે કે નોકરી કરતા હોય છે. જેઓ નોકરી કરતા હોય છે તેમને અલગ તારવવા પડશે. આવા લોકોનું ભાડું એમ્પ્લોયર કોન્ટ્રાક્ટ્રરો પાસેથી એડ્વાન્સમાં વસુલ કરવામાં આવશે.

રહેણાક કેવું હશે?

એક ચારમાળના બીલ્ડીંગ બ્લોકમાં ૧૫ બાઈ ૧૫ ફુટના ગાળાઓ હશે. સામસામેના બે ગાળા વચ્ચે ૧૫ ફુટ ની પહોળાઈનો જવા આવવાનો રસ્તો હશે.

એક કુટુંબને એક ગાળો ભાડે આપવામાં આવશે.

૧૫x૧૫=૨૨૫ ચો.ફુટ = ૨૫ ચો.વાર વત્તા ૫૦ ટકા કોમન સ્પેસ=૧૨.૫. એટલે કે ૩૭.૫ વત્તા  ૨.૫ દાદરો = ૪૦ ચોરસવાર થયું.

૨૭.૫ચો.વાર ફ્લેટ જેમાં ૨.૫ દાદરાનો હિસ્સો સામેલ છે. તેમાં ૨.૫ ચો.વાર. પાર્કીંગના ઉમેરો તો એક ગાળાનો ખર્ચ એક કુટુંબ માટે રૂ. ૩૦x6000=180000. આ ખર્ચ, ગાંધીજીએ આપેલીની સીમા પ્રમાણે થાયો કહેવાય. આમાં આપણે જમીનની કિમત ગણી નથી. જો કે આમાં પેસેજ નો વિસ્તાર ઉમેર્યો નથી. તે સરકાર જાળવણી ખર્ચમાં ગણશે. આમ તો વાસ્તવિક ખર્ચ ૨૪૨૫૦૦ થાય છે. પણ સામાન્ય વપરાશનું બાંધકામ કે જગ્યા છે તે સરકારની ગણાશે.

સરકારે કોઈને કશું ફોગટમાં આપવાનું નથી. એટલે કે ભાડું લેવાનું છે.

ભાડાની ગણત્રીઃ

ભાડાની ગણત્રી બે રીતે થઈ શકે મકાનની કિમતના સોમા ભાગનું દર મહિને ભાડું. એટલે કે ૧૮૦૦ રૂપીયા ભાડું. આ ભાડું પોષાય ખરું? ૨૦ ટકા હાઉસરેન્ટ ઓછું કરો. એટલે કે ૧૮૦૦-૩૬૦=૧૪૪૦ રૂપીયા માસિક ભાડું થયું. આ ભાડું પોષણક્ષમ છે. અને જેઓ બેકાર નથી તેઓ આપી જ શકે. જાળવણી ખર્ચ અલગથી વસુલ કરવામાં આવશે. આ હાઉસરેન્ટ ની કપાત જેમને હાઉસરેન્ટ મળતું નથી તેમને જ અપાય.

ભાડા વસુલીની રીત અને જાળવણીઃ

વર્ક ઓર્ડર પર મજુરોને ભાડે આપો. પણ ભાડું એમ્પ્લોયર પાસેથી વસુલ કરવાનું રહેશે. મજુર કાયદાની જોગવાઈઓમાં બીજી સામાન્ય જોગવાઈઓ ઉપરાંત ઘણી જોગવાઈઓ હોય છે.

જે કોન્ટ્રાક્ટરો મજુરો રાખે છે તેમણે મજુરકાયદા પ્રમાણે રહેઠાણની જગ્યા આપવાની હોય છે અને તેમાં સંડાસ પાણી અને વિજળીની સગવડ આપવાની હોય છે.

દરેક કામ વર્કઓર્ડર પ્રમાણે થાય છે.

એટલે વર્ક ઓર્ડરના અધારે અને પ્રમાણે લેબર ઓફીસર લેબર-લાઈસન્સ કાઢી આપે છે.

હાલમાં લેબર કમીશ્નરનો સ્ટાફ ડાબા હાથના પૈસા લઈ લેબર લાઈસન્સ કાઢી આપે છે. અને સાઈટ વીઝીટમાં ફાલતુ નોટીસ આપી પૈસા ઉઘરાવી ઘરભેગા કે ઓફીસ ભેગા થઈ જાય છે.

પણ જો કોન્ટ્રાક્ટરને આ રહેણાકો રાખવાની ફરજ પાડવામાં આવે એટલે કે જો કોઈ રસ્તા ઉપર, ફૂટપાથ ઉપર કે જાહેર જનતાની જગ્યાનો રહેણાક તરીકે ઉપયોગ કરે તો તેની દબાણ કર્તા તરીકે ધરપકડ કરવી પડશે અને જે તે કોન્ટ્રાક્ટર ને પેનલ્ટી લગાડી ને બ્લેક લીસ્ટ કરવો અને તેનું લાયસન્સ રદ કરવું જોઇએ. કોન્ટ્રાક્ટર પાસેથી એડ્વાન્સમાં ભાડું વસુલ કરવામાં આવશે. જેની રોજગારી/નોકરી કાયમી હશે તેનું ભાડું તેમના પગારમાંથી કાપી લેવામાં આવશે. પણ કોન્ટ્રાક્ટર આ ભાડું એમ્પ્લોયર એડ્વાન્સમાં ભરશે.

આ માટે એક સીસ્ટમ અમલમાં મુકી શકાય.

જેઓ પાર્ટટાઈમ કામ કરે છે તેનું રજીસ્ટ્રેશન એમ્પ્લોયમેન્ટ એજન્સી લેબર કમીશ્નરની ઓફીસમાં કરાવે અને તે પૈસા ભરે. પાર્ટ ટાઈમ એમ્પ્લોયરો રોજીના પૈસા એમ્પ્લોયમેન્ટ એજન્સીને ભરશે. જો આ કામ એમ્લ્પોયમેન્ટ એજન્સીને ન સોંપવું હોય તો સરકાર પોતે પણ આવું એક ખાતું દરેક ગામમાં કે વૉર્ડમાં ચલાવે અને  પાર્ટ ટાઈમ એમ્પ્લોયરો રોજીના પૈસા સરકારી ખાતામાં જમા કરે અને આ ખાતું રોજીનો હિસ્સો ભાડા તરીકે ભરે.

જો મજુર છૂટો થાય કે તેને છૂટો કરવામાં આવે તો અને તે બેકાર થાય તો તેને ટ્રાન્ઝીટ કેમ્પમાં ફક્ત સુવાની સગવડ આપવામાં આવે અને તેની પાસેથી રૂ. ૧૦ વસુલ કરવામાં આવે. તેને સરકાર પરચુરણ કામ આપે. જેમ જેલના કેદીઓ પાસેથી કામ કરાવવામાં આવે છે તેમ તેમની પાસેથી કામ કરાવવામાં આવશે.

જો તે વ્યક્તિ આ કામ નહીં કરવા માગતી હોય તો તે પોતાની બચતમાંથી એડ્વાન્સમાં ઓછામાં ઓછું એક માસનું ભાડું એડ્વાન્સમાં જમા રાખવું પડશે. નહીં તો સરકાર કે સ્થાનિક મંડળ તેને ખાલી કરવાની કાર્યવાહી ચાલુ કરી દેશે.

જેઓને પોતાનું રહેણાક ખરીદવું છે તેઓ કોઈ આ બાંધકામો ખરીદી શકશે નહીં. તેને માટે હાઉસીંગબોર્ડ જુદી ભાડા ખરીદ પદ્ધતિવળી સ્કીમો બનાવશે અને તેમાં જમીનની કિમત ઉમેરવામાં આવશે અને જે હાઉસરેન્ટ ૨૦ટકા બાકાત મળતું હતું તે ઉમેરવામાં આવશે.

ભાડાની માસિક દરની રકમ કેવી રીતે નક્કી કરવી?

 જો મજુરનો રોજ રૂ.૧૦૦ હોય તો માસિક ૩૦૦૦ રૂપીયા આવક થઈ. જો પતિ પત્ની બે જણા કમાતા હોય તો રૂ. ૬૦૦૦ માસિક આવક થઈ. તો  આ ભાડું આવકના ૨૪ ટકા થયું.

હવે જો જમીનની કિમત ગણીએ તો મકાનની બહારની જમીન પણ ગણવી પડે. તેને આટલી જ ગણો. શહેરમાં જમીનનો ભાવ ઘણો જ હોય છે. ગામડામાં ઓછો હોય છે. વળી તે બદલાતો પણ હોય છે. તેથી તેને અનુલક્ષીને ભાડું નક્કી કરવું વાસ્તવિક બનશે નહીં.

જે ભાડું, મકાનના બાંધકામના ખર્ચના આધારે હોય છે અને તે એક વખત થઈ ગયું તેથી તે બાંધકામના ખર્ચ ને અનુલક્ષીને જ સરકારને પોષાય તેવું ભાડું મળવું જોઇએ. જાળવણી ખર્ચ બદલાતો રહેશે. દા.ત. ભાડાના ૫ ટકા જાળવણી ખર્ચ અને ૫ ટકા વહીવટી ખર્ચ એટલે ૧૪૪૦ + ૧૪૪ = ૧૫૮૪ થાય. જેમાં ૧૪૪ છે તે મોંઘવારીના આંકડા સાથે સાંકળવામાં આવશે. 

જાળવણી અને વ્યવસ્થા માટે જવાબદાર એક બીલ્ડીંગ બ્લોક દીઠ એક પોલીસ કર્મચારી રાખવામાં આવશે. આ પોલીસ કર્મચારી ત્યાં જ એક ગાળામાં રહેશે.

પોલીસ કર્મચારીને રાખવાનું કારણ એ છે કે લોકોને ડાઈરેક્ટ પોલીસ એક્સનનો ભય રહે.

જો કોઈ ભાડું ભરવામાં ચૂક કરે તો?

સરકારે ઓછામાં ઓછા એક માસનું ભાડું અગાઉથી લેવાનું હોવાથી જેવું એકમાસ બાકી રહે અને ભાડવાત ભાડા-ચૂકમાં આવે કે તરત તેને નોટીસ જાય કે ફલાણી તારીખે તેના રહેણાંકનો કબજો લઈ લેવામાં આવશે. આ નોટિસ પોલીસ જ આપશે કારણે તેની ડ્યુટી જ આ છે અને તે ત્યાં જ ડ્યુટી કરતો હોવાથી અને રહેતો હોવાથી તેને તત્કાળ નોટીસ બજવી શકશે.

જે ભાડવાત ચૂક કરે છે તેનું શું કરવુ?

આવા ભાડવાતને આશ્રયહીન અને આવકહીન ગણી ટ્રાન્ઝીટ હંગામી રહેણાંકમાં સીફ્ટ કરવો જ્યાં તેને ફક્ત સુવાની જગ્યા હશે અને સ્ત્રી પુરુષ અલગ અલગ રાખવામાં આવશે. આ ટ્રાન્ઝીટ રહેઠાણમાં પણ રૂ.૧૦ રોજના લેવામાં આવશે. જેલના કેદીઓની જેમ તેની પાસે કામ કરાવી પૈસા વસુલ કરવામાં આવશે.

જોકે આ બાબતમાં રાજ્યની સરકારે અને સ્થાનિક સ્વરાજ ની સંસ્થાએ કટીબદ્ધ થવું જોઇએ. કોન્ટ્રાક્ટરે કે એમ્પ્લોયરે ઓળખકાર્ડ ફરજીયાત આપવા પડે. જો કે મજુર કાયદાઓમાં આ જોગવાઈઓ છે જ. પણ લેબર કમીશ્નર, વર્ક ઓર્ડર આપનાર અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મીલી ભગતમાં બધું લોલં લોલ ચાલવા દેવામાં આવે છે.

એક વિસ્તાર પૂર્વકના ફાળવણીના, ભોગવટાના,  નીગરાનીના, નોધણીના (રેકૉર્ડઝના), જાળવણીના અને નીરીક્ષણના બાય-લોઝ બનાવવા જોઇએ.

એક બીલ્ડીંગ બ્લોક માં ૧૪૨ કુટુંબોને એક એક ૧૫ ફુટ બાય ૧૫ ફુટનો ગાળા ફાળવી શકાય

માસિક આવક રૂ. ૨૨૪૯૨૮ થાય જેમાં ૨૦૪૪૮ સામેલ છે.

સુવાના ૨૯૬ સીમેન્ટની પથારીઓ છે. જેની રોજની આવક રૂ. ૨૯૬૦ થાય. એક માસની આવક રૂ. ૮૮૮૦૦ થાય.

જો તેઓ ભાડા ભરવામાં ચૂક કરે તો તેમને હંગામી સુવાની જગામાં ખસેડી શકાય.

એક બ્લોક દીઠ આઠ પોલીસ કર્મીઓને નોકરી મળશે. બે સફાઈ કામદારોને રોજી મળશે. સરકારને નહીં નફો નહીં નુકશાનનો ધંધો થશે.

જો વધુ આવક કરવી હશે તો બેઝમેન્ટમાં ૩૦૦ લારી, ગલ્લા અને પાથરણા વાળાને ભાડે જગાની ફાળવણી કરી શકાશે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રહેણાંક, સંકુલ, હંગામી, સુવાની જગ્યા, પોલીસ, ગાળા, બાય લૉ, ભાડવાત, સ્થાનિક સ્વરાજ, સંસ્થા, હાઉસીંગ બૉર્ડ, સરકાર

Drg01

Read Full Post »

સવાલઃ તમે કેટલો ઇન્કમટેક્સ ભરો છો?

જવાબઃ ઓછામાં ઓછો. (કાયદેસર શબ્દ અધ્યાહાર છે).

કાયદો એટલે શું?

 જે પાળવાનો હોય તે કાયદો.

પણ કાયદાની ઘણી કેટેગરીઓ હોય છે.

કાયદા જે કદી પાળવા માટે હોતા નથી.(પોલીસની હાજરી વગરના ટ્રાફીક સીગ્નલો)

કાયદા ન પાળવા હોય તો ન પાળો પણ પકડાઈ ન જવાય તેમ ન પાળો (લાયસન્સ વગરના કામો)

કાયદા પાળવા હોય તો પાળો અને ન પાળવા હોય તો ન પાળો (પ્રોપર્ટીની લે વેચની ખરી કિમત)

કાયદા ન પાળવા હોય તો ન પાળો (જાહેર સ્વાસ્થ્યને લગતા)

કાયદા ન પાળવા હોય તો લાગતા વળગતાને પૈસા ખવડાવતા રહો અને કાયદા ન પાળો (સરકારી જમીન ઉપર કામચલાઉ દબાણ)

કાયદા ન પાળવા હોય તો ન પાળો પણ લાગતા વળગતાઓને ઠીક ઠીક પૈસા ખવડાવો, તો લાગતા વળગતાઓ તમારો કૉર્ટમાં બચાવ કરશે. (ગેરકાયદેસર બાંધકામ),

 

કાયદા ન પાળવા હોય તો ન પાળો પણ લાગતા વળગતાઓને ભાગીદાર બનાવો અથવા તેમની અંગત શરતોને માન્ય રાખો, લગતા વળગતાઓ તેને મંજુરી આપી દેશે (વિદેશી બેંકોમાંના પૈસા),

કાયદા પાળવા જ પડશે. (લાગતા વળગતાની સામે પડ્યા છો?)

કાયદેસર જ બધું કરવું છે? અને અમે એવા લાગતાવળગતાઓ પાસે થી મફતમાં જ કામ કરાવી દેશને પ્રગતિને રસ્તે ચડાવવો છે? (ઢીશુમ્‌ ઢીશુમ્‌) (ન્યુઝ લાઇન અકસ્માતે મૃત્યુ)

કાયદો તો પળાય જ કેમ? (ફક્ત નહેરુવંશીઓ અને તેમના ખાસમખાસ ભક્તો)

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

કોણ હડતાલ ઉપર ન જઈ શકે? 

સરકારના કે કોઈના પણ અન્યાયકારી વ્યવહાર કે વર્તન સામે અહિંસક માર્ગે પ્રતિકાર કરી પ્રતિભાવ આપવો એ લોકશાહીમાં માન્ય પ્રણાલી છે.

આપણે સરકારની સામે વ્યક્ત કરવામાં આવતા પ્રતિભાવોની અને તે પણ “હડતાલ” દ્વારા વ્યક્ત થતા વિરોધ વિષે જ વાત કરીશું.

 આમ તો સરકાર વિષે વાત કરીએ ત્યારે આપણે આપણી વિષે જ કે દેશ હિત વિષે જ વાત કરીએ છીએ તેમ માની શકાય. અને જો સરકારના અંગો બરાબર કામકરતા હોય તો વિરોધની તો વાત જ ન થાય. બહુબહુ તો સંવાદ અને ચર્ચા થાય જેથી સરકારના અંગોની કાર્યદક્ષતા અને ચર્ચામાં ભાગલેનારા અને ચર્ચાને લક્ષમાં લેનારાઓના જ્ઞાન વધે.

અન્યાય એટલે શું?

મૂળભૂત રીતે જોઇએ તો કોઈ વ્યક્તિને તેના સમૂહને પૂરતા લક્ષમાં ન લેવો તેને તેની ઉપર અન્યાય કર્યો છે એમ કહેવાય. પણ કોઈ  વ્યક્તિને આપણે લક્ષમાં ક્યારે લઈએ છીએ?

 વ્યક્તિની ઓળખ તેના કામથી થાય છે. આ કામ તેને સોંપેલું અને અથવા તેણે સ્વિકારેલું હોય અને પુરસ્કાર રુપે, બદલારુપે, કે ભાવનાત્મક રીતે કે સ્થૂળ રીતે જે કંઈ આપવામાં આવે અને તેનાથી જો તે વ્યક્તિને સંતોષ થાય કે તેની “યોગ્ય કદર થઈ છે” એમ તેને લાગે તો તેને ન્યાય થયો છે. આમાં જો કોઈ નકારાત્મક ક્ષતિ આવે તો તેને અન્યાય થયો છે તેમ લાગે તો અને અથવા તેને અન્યાય થયો કહેવાય.

સરકારના અંગોમાં જે વ્યક્તિઓ કામ કરતી હોય છે તેને ભાવનાત્મક બદલા રુપે અને વિભાગીકરણ અર્થે નામ પાડેલા હોદ્દાઓ અને વેતનો આપવામાં આવે છે. તેઓ કામ સરળતાથી કરી શકે શકે તે માટે સગવડો આપવામાં આવે છે. આમાં ક્યારેક કર્મચારીઓને કોઈપણ જગ્યાએ કોઈ કારણસર અસંતોષ થાય તો અન્યાયની ભાવના ઉભી થાય છે. સરકારને પણ જો એમ લાગે કે કર્મચારીનું કામ બરાબર થતું નથી તો તેનામાં પણ અન્યાયની ભાવના ઉભી થાય છે. અન્યાયની ભાવના બન્ને તરફ હોય છે.

સરકારનું કામ સ્વસ્થ સમાજ બનાવવાનું છે.

તેમાટે અને સૌને માટે નિયમો બનાવ્યા હોય છે. કામ કરવાના નિયમો અને સરકારી પ્રતિભાવોના (સજાના) નિયમો. કર્મચારી માટે કામકરવાની પદ્ધતિના નિયમો, અને પ્રતિભાવ (આવેદન પત્ર, હડતાલ વિગેરે) વ્યક્ત કરવાની પદ્ધતિના નિયમો.

સરકારના અંગો ઘણા છે. તેમાં આપણે ફક્ત ન્યાયતંત્રના વકિલો, પોલીસ અને સરકારી સુશ્રુષા રુગ્ણાલયોના કાર્મિકો જેવા કે ચિકિત્સકો.

 જ્યાં ક્યાંય અને જ્યારે ક્યારેય ક્યાંય અન્યાય થાય ત્યારે તે અને તેનું પ્રમાણ નક્કી કરવાનું આખરી કામ ન્યાયતંત્ર કરે. આમાં નિયમોને સમજવામાં જેમને નિષ્ણાત સમજવામાં આવ્યા છે એવા હોદ્દાનામ ધારી ન્યાયધીશ હોય અને રજુઆત કરનાર વકીલ હોય.

સરકારી દ્રષ્ટિએ સમાજની સ્વસ્થતા અને આમ જનતાની સગવડો માટે જે નિયમો બનાવ્યા છે તેનો બરાબર અમલથાય તે માટે અલગ અલગ હોદ્દાનામ ધારી કર્મચારી ગણ હોય છે. સ્વસ્થ સમાજ માટે વ્યક્તિએ શરીરનું અને પોતાની અર્જિત સગવડોનું (મિલ્કતનું) પણ રક્ષણ કરવાનું હોય છે તે માટે પોલીસ તંત્ર હોય છે.

જનતાના પ્રતિનિધિઓઃ
આ અમલ કરનારા ગણ ઉપર નિરક્ષણ કરવાનું અને જરુર પડે નવા કાયદાઓ અને પદ્ધતિઓ બનાવવાનું કામ આમ જનતાના પ્રતિનિધિઓ ને સોંપેલું હોય છે.

 વ્યક્તિને અન્યાય બે રીતે થાય. કાયદાના ખોટા અર્થ ઘટન થી અન્યાય થાય. અને કોઈ કાયદાના અભાવથી અન્યાય થાય.

 કાયદાના યોગ્ય અર્થ ઘટનની રજુઆત કરવાનું કામ વકીલોનું છે.

 ન્યાયધીશોનું કામ તેની ઉપર નિર્ણય કરવાનું છે. જો કાયદો જ અન્યાયકારી હોય તેવી રજુઆત ન્યાયધીશને યોગ્ય લાગે તો તે તેને રદ જાહેર કરી શકે અથવા તો તેને યોગ્યરીતે સુધારવાનો સરકારને આદેશ આપી શકે. અથવા નવો કાયદો બનાવવાનો આદેશ આપી શકે. જો સરકાર કાયદો ન બનાવે તો? તો જનતા તેના પ્રતિનિધિઓને બીજી વખત પ્રતિનિધિ ન બનાવે.
સૌ પ્રથમ વકીલ ની વાત કરીએ.

વકીલભાઈઓ તો કાયદાના જાણકાર અને યોગ્ય અર્થઘટન માટ્ટે રજુઆત કરનારા હોય છે. એટલે જો તેમને અન્યાય થાય તો તેઓ તો તૂર્ત જ પોતે પોતાનો કેસ ન્યાયાલયમાં રજુ કરી ન્યાય મેળવી શકે અથવા જરુરી આદેશ મેળવી શકે. જો કાયદાનો અભાવ હોય તો ન્યાયાલય જરુરી આદેશ સરકારને અપાવી આપી શકે. (આપણે કોઈ દિવસ કાયદાના અભાવને લીધે વકીલો હડતાલ ઉપર ગયા હોય એવું સાંભળ્યું નથી. પણ વકીલભાઇઓને “વહીવટ”માં પડેલી મુશ્કેલીઓને ન્યાયખંડની બહાર હડતાલ રુપી શસ્ત્રથી દબાણ ઉભું કરી વહીવટી નિર્ણયો કરાવવાના પ્રયત્નો કરે છે)

 જો આ રીતે વકીલભાઈઓ હડતાલ ઉપર જાય તો જેઓને તેમની ઉપર થયેલા અન્યાય સામે વકીલભાઈઓ થકી ન્યાયાલયમાં ગયેલા છે તેમના કામ અટકી પડે છે. તેથી ન્યાયનું કામકાજ અટકી પડે. એટલે કે ન્યાયિક પ્રક્રીયા જ અટકી પડે. વકીલભાઈઓએ તો જો તેમને કોઈપણ જાતનો અન્યાય થયો હોય તો તેઓએ તો ન્યાય મેળવવા માટે ન્યાય તંત્રનો આશરો લેવો જોઇએ. તેઓ તો પોતે જ વકીલ હોય છે. એટલે વગર પૈસે જ રજુઆત કરી શકે.

ન્યાયધીશોએ કદીય પોતાને થયેલા અન્યાય વિરુદ્ધ હડતાલનો માર્ગ અપનાવ્યો હોય એવું સાંભળ્યું નથી. જો તેઓ હડતાલ ઉપર જાય તો તેમને માટે પણ આજ વાત લાગુ પડે છે.

 પોલિસ તંત્ર

પોલિસ તંત્રનું કામ લોકોના જાનમાલનું રક્ષણ કરવાનું હોય છે. જો તેઓ હડતાલ ઉપર જાય તો આમપ્રજાના જાનમાલ જોખમમાં આવે જ. મનુષ્યનો કુદરતી અધિકાર એ જીવવાનો અધિકાર છે. જો પોલીસો હડતાલ ઉપર જાય તો મનુષ્યના આ અધિકારને હાની થાય છે. આ અધિકારનું હનન કદી ભરપાઈ થઈ ન શકે. આ કારણસર પોલિસગણ પણ હડતાલ ઉપર ન જઈ શકે.

 ડોક્ટર ભાઈઓનું કામ લોકોના રોગોને દૂર કરવાનું છે. એટલે કે દર્દીની ચિકિત્સા કરવાનું છે. જો ડોક્ટરો હડતાલ ઉપર જાય અને ચિકિત્સા કરવાનું બંધ કરે તો, દર્દીની ઉપર જાનનું જોખમ આવી જાય એટલું જ નહીં ઘણા દર્દીઓનો જાન જતો પણ રહે. જો કોઈ ડોક્ટર દર્દીની જાણી જોઈને ચિકિત્સા ન કરે અને તે દર્દી મરી જાય તો આ તો ખુન જ ગણાય. એટલે ડોક્ટરો અને સંલગ્નગણ પણ હડતાલ ઉપર ન જઈ શકે.

 વકીલો અને ન્યાયધીશોને જ્યાં લાગે વળગે છે ત્યાં તેઓ તો ન્યાય માટે ખુદ લડી શકે છે. ન્યાયમાં ઝડપ વધારવી કે ઘટાડવી તેને માટે તેઓ ખુદ જવાબદાર છે.

તો પછી હડતાલનું શસ્ત્ર કોણ ઉગામી શકે?

 કારણ કે દરેક કર્મચારીગણ એક યા બીજી રીતે આમ જનતાના જાનમાલના રક્ષણ માટે જવાબદાર છે. પણ પોલીસ તંત્ર અને ડોક્ટરો નિરપેક્ષરીતે સીધાજ જવાબદાર છે. તેથી ન્યાય મેળવવા માટે તેઓ પોતાની સુખાકારી માટે બીજા મનુષ્યોના પ્રાણની આહુતિ આપી ન શકે.

આમ જનતા કે જે તમને થતા અન્યાય માટે જવાબદાર નથી તેને બાનમાં લઈ તેને નુકશાન થાય તે રીતે કોઈ હડતાલ ઉપર ન જ જઈ શકે.

 કામ નહીં તો દામ નહીં

એટલે કે કામ નહીં તો વેતન નહીં. આવું અર્થઘટન સર્વોચ્ચ ન્યાયાલયે કરેલું છે. તેનું અર્થઘટન કે તારવણી એ પણ થઈ શકે કે વેતન નહીં તો કામ નહીં. એટલે કે જો તમને વેતન ન આપવામાં આવે તો તમે કામ બંધ કરી શકો. લેબર કમીશ્નર સામે ચાલીને વેતન નહીં આપવા બદલ માલિકને દંડિત કરી શકે છે.

અપ્રમાણ વેતનની એવી તારવણી થઈ શકે કે વેતનમાં અપૂર્ણતા હોય કે અવાસ્તવિક હોય એટલે કે અન્યાયકારી હોય તો તેને અનુરુપ પ્રમાણમાં કામ કરી શકાય. પણ આ વિષે કોણ નક્કી કરી શકે? ન્યાયાલય જ કરી શકે. જો કે આ માટે લેબર કમીશ્નરો હોય છે. અને વિશેષ ટ્રીબ્યુનલો રચી શકાય. વાસ્તવિકરીતે હડતાલ ઉપર જવાની જરુર પડતી નથી.

 એવું સાંભળવા મળેલ કે જાપાનમાં વાસ્તવિક રુપે હડતાલ ઉપર જવાતું નથી. જ્યારે વિવાદ ઉત્પન્ન થાય ત્યારે કર્મચારી ગણ નોટીસ આપી પોતાનો કેસ રજુ કરે અને પછી હડતાલની નોટીસ આપે. અને પછી હડતાલ જાહેર કરે. આ હડતાલમાં કામ તો કરવાનું જ. પણ “હું હડતાલ ઉપર છું એવી પટ્ટી લગાવવાની. ટ્રીબ્યુનલ ચૂકાદો આપે ત્યારે તેનો પાછલી તારીખથી અમલ કરવાનો. ભારતમાં પણ આવી રસમ અપનાવી શકાય.

 વાસ્તવિક રીતે પડતી હડતાલમાં હિંસા રહેલી છે. હડતાલ અને બંધ સમગ્ર જનતા જ પાડી શકે અને તેમાં પણ આવશ્યક સેવાઓ તો ચાલુ જ રાખવી પડે. કોઈ એક જુથ પોતાની સુખાકારી કે કહેવાતા અન્યાયને દૂર કરવા માટે હડતાલ કે બંધ પાડી કે પડાવી ન શકે. તે માટે તો ન્યાયાલયો છે. અને કાયદાનો અભાવ હોય તો કાયદો ઘડવા માટે જનપ્રતિનિધિઓ છે,

 

પણ જો સરકાર કે સંસ્થા દાદ ન આપે તો શું? આવી બાબતમાં લેબર કમીશ્નરે પોતાની ફરજ સમજવી જોઇએ. અને જો કોઈ સરકારી સેવાની ક્ષતિને કારણે કે સંસ્થાની ક્ષતિને કારણે અન્યાય પામે તો લેબર કમીશ્નરે ખુદ ન્યાયાલય પાસે જવું જોઇએ.

 સરઘસ, દેખાવો, ધરણા, ઉપવાસ અને સંવાદઃ

લોકજાગૃતિ માટે કામબંધ રાખ્યાવગર અને સંવાદ ચાલુ રાખીને આ બધું થઈ શકે. પણ લેબર કમીશ્નરની ફરજ છે કે આવા પ્રસંગો એટલે કે સરઘસ, દેખાવો અને ધરણા એ પણ હિંસા છે અને આમજનતાને અવગડરુપ બને છે. ઉપવાસ એ ગંભીર અન્યાય સામેનું શસ્ત્ર છે. અને જો કોઇને આનો સહારો લેવો પડે તો જવાબદાર સંસ્થાને યોગ્ય સજા થવી જોઇએ.

 જનતાના માહિતિના અધિકારનું જો યોગ્ય પાલન કરવામાં આવે તો અને જવાબદાર કર્મચારી ને ક્ષતિ કરવા બદલ યોગ્ય નશ્યત કરવામાં આવે તો વ્યક્તિગત રીતે કોઈને અન્યાય ન થાય.

 મોટા ભાગના અન્યાયો આર્થિક અન્યાયો હોય છે. શિક્ષણ અને આરોગ્ય મફત હોય અને સૌને માટે સુવાધાઓ સુલભ હોય તો હડતાલોને ટાળી શકાય. આ અશક્ય નથી.

 પણ હાલતૂર્ત તો વકીલ, ડોક્ટર અને પોલીસ ગણની હડતાલ ઉપર કાયદેસર બંધી હોવી જોઇએ.

શિરીષ મોહનલાલ દવે

Tags:

અન્યાયઉપવાસગણઘેરાવજનતાના,ડોક્ટરતંદુરસ્તધરણાન્યાયન્યાયધીશ,

Read Full Post »

%d bloggers like this: