Feeds:
Posts
Comments

Posts Tagged ‘પ્રકાશ’

ભૂતભાઈ/ભૂતબેન હોય છે કે નહીં? પાર્ટ – ૨

હવે ભૂતભાઈ વિષેની ખોજ આગળ ચલાવીએ.

આ વાત આમ તો ૧૯૬૨-૬૩ની છે. ગણિતશાસ્ત્રના એમ.એસસી. થયેલા પ્રોફેસર સાહેબે તો હાથ ધોઈ નાખ્યા. પણ ઘણી વખત સાહેબ કરતાં વિદ્યાર્થી વધુ હોંશીયાર હોઈ શકે એ ધારણાએ મેં ભૌતિકશાસ્ત્રના એમ.એસસીના વિદ્યાર્થિઓની નાની મંડળીને પૂછ્યું.

પ્રશ્ન એમ હતો કે ભૂતભાઈ અદૃષ્ય કેવી રીતે થઈ શકે?

કારણ કે જો કોઈ વસ્તુ અદૃષ્ય થઈ ગઈ તો તેનો એક અર્થ એમ થાય કે તે ઉર્જામાં પરિવર્તિત થઈ ગઈ એટલે કે તેનો નાશ થયો. હવે જો કોઈ વસ્તુ નાશ પામે તો પ્રચંડ ગરમી ઉત્પન્ન થાય. પણ ભૂતભાઈ અદૃષ્ય થાય ત્યારે આવી કોઈ ગરમી ઉત્પન્ન થતી નથી.

બીજી અદૃષ્ય થવાની રીતે એ છે કે ભૂતભાઈ પ્રચંડ ગતિથી બીજી જગ્યાએ જતા રહે. જો આમ હોય તો આપણને તે અદૃષ્ય થઈ ગયેલા લાગે કારણ કે આપણે ફક્ત એક સેકંડના ૧૭મા કે ૨૦મા ભાગને જ અનુભવી શકીએ છીએ. હવે જો ભૂતભાઈ આ રીતે અદૃષ્ય થતા હોય તો હવાને મોટો ધક્કો લાગે અને તેથી તેની અનુભૂતિ દૂર દૂર સુધી થાય. ભૂતભાઈ જો જમીન ઉપર ઉભા હોય અને જે દિશામાં ગયા હોય તેની વિરુદ્ધ દિશામાં તેમણે જમીન ઉપર પગ વડે ધક્કો મારવો પડે, એટલે જમીન ઉપર કોઈ નિશાની તો પડે જ. વળી જો તે કાચી જમીન હોય તો ત્યાં ઠીક ઠીક રીતે ખાડો પડવો જોઇએ. પણ આવું કશું થતું નથી. વળી ભૂતભાઈમાં આવી શક્તિ આવી ક્યાંથી?

ભૂતભાઈનું વજન શું હોઈ શકે?

જો ભૂતભાઈ એ મનુષ્યનો જીવ હોય તો જ્યારે તે મનુષ્ય, જે ક્ષણ સુધી મરણાસન્ન હતો અને તે પછીની ક્ષણે તે જીવ નિકળી ગયો હોય તો જીવિત શરીરના વજન અને મૃત શરીરના વજન વચ્ચેનો જે તફાવત હોય તે ભૂતભાઈનું વજન હોવું જોઇએ. ધારો કે આપણે માની લઈએ કે આ બે વજન વચ્ચે તફાવત છે. તો આ તફાવત હજી જાણવા મળ્યો નથી.

ધારોકે આપણું વિજ્ઞાન આ તફાવત જાણવા સક્ષમ નથી એમ જો માનીએ તો આ તફાવત નજીવો જ હોઈ શકે. જો આ તફાવત નજીવો હોય તો તે જીવ અમુક સમયે દેખાય અને અમુક સમયે ન દેખાય એવું કેવી રીતે બની શકે?

કોઈ વસ્તુ દેખાય છે તેનો અર્થ શું?

જ્યારે પ્રકાશના કિરણો કોઈ ભૌતિક વસ્તુ સાથે અથડાય ત્યારે તેનો અમુક હિસ્સો તે વસ્તુમાં શોષાઈ જાય. અને બાકીનો હિસ્સો પરાવર્તન પામે. આ પરાવર્તન પામેલો હિસ્સો આપણી આંખમાં જાય એટલે તે વસ્તુની આકૃતિ પેદા કરે. આપણા જ્ઞાન તંતુઓ આ આકૃતિને મગજમાં મોકલે. મગજ તેનો અર્થ કાઢે. અને આપણે સમજીએ કે આ આકૃતિ શું છે. જો વસ્તુ પારદર્શક હોય તો પ્રકાશનો મોટો હિસ્સો વસ્તુની આરપાર નિકળી જાય. અને આપણને તે વસ્તુ ન દેખાય. પણ કારણ કે વસ્તુની પરદર્શિતા હવા કરતાં ઓછી વત્તી હોય એટલે આપણને આ વસ્તુની પાછળની બીજી  વસ્તુઓ  વક્રીભૂત લાગે. હવે જો આમ હોય તો કાં તો જીવ હવા જેવો પાતળો છે કે પાણી કે કાચ જેવો પારદર્શી છે. જો હવા જેટલો પાતળો હોય તો પવનમાં ભૂતભાઈ હવા સાથે તણાઈ જાય. પણ ભૂતભાઈ વિષે એવું થતું નથી. એટલે ભૂતભાઈ કાચ કે પાણી કે એવા બીજા પદાર્થો જેવા પારદર્શી હોવા જોઇએ. જો આમ હોય તો તેમનું વજન ઠીક ઠીક હોય અને વૈજ્ઞાનિકો તેનું વજન કરવા સક્ષમ છે. જો આવા ભૂતભાઈ પ્રચંડ ગતિથી અદૃષ્ય થાય તો હવામાં પ્રચંડ કડાકા ભડાકા થાય. અને આ કડાકા ધડાકા તેમના સમગ્ર માર્ગ ઉપર થાય. પણ આવું થતું સાંભળ્યું નથી.

બે ડાઈમેન્શન

બીજો જવાબઃ ભૂતભાઈને પાંચ ડાઈમેન્શન હોય છે.

 એક વિદ્યાર્થી ભાઈનો આપ્રમાણે ઉત્તર હતો.

આપણે બધા લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈ એમ ત્રણ ડાઈમેન્શનમાં જીવીએ છીએ. જ્યારે ભૂતને ચાર ડાઈમેન્શન હોય છે. એટલે જ્યારે ભૂત આપણા ત્રણ ડાઈમેન્શનમાં આવે ત્યારે જ આપણને તે દેખાય. જ્યારે તે ચોથા ડાઈમેન્શનમાં જતો રહે ત્યારે તે ન દેખાય.

જેમકેઃ

ધારોકે આપણે લંબાઈ અને પહોળાઈ એવી બે ડાયમેન્શનમાં જીવીએ છીએ. અને ભૂતભાઈ ત્રણ ડાઈમેન્શનમાં જીવે છે. જ્યાં સુધી ભૂતભાઈ આપણી લંબાઈ પહોળાઈ વાળા સમતલમાં ન આવે ત્યાં સુધી તે આપણને દેખાય નહી. જેવા આપણા સમતલ ઉપર આવે તેવા તે દેખાવા ચાલુ થાય. ધારો કે આપણા સમતલ ઉપર એક દડો મૂકવામાં આવ્યો તો તે આપણઅને એક ટપકા જેવો દેખાય. જેમ જેમ તે આપણા સમતલમાંથી પસાર થતો જાય તેમન આ ટપકું મોટું થતું જાય. અને જ્યારે દડો અર્ધો પસાર થાય ત્યારે તે દડો એક મોટા વર્તુળાકાર પ્લેટ જેવો એટલે કે તેને વ્યાસ પરિઘ જેવો દેખાય અને જ્યારે આપણા સમતલમાંથી જતો રહે ત્યારે નાનો થતાં થતાં અદૃષ્ય થઈ જાય.

હવે ભૂતભાઈની વાત ઉપર આવીએ.

આપણે જોયું કે જો આપણે બે પરિમાણમાં અસ્તિત્વ ધરાવતા હોઈએ અને દડારૂપી ભૂતભાઈ જે ત્રણ પરિમાણમાં અસ્તિત્વ ધરાવતા હોય તેઓ જ્યારે આપણા બે પરિમાણ વાળા સમતલમાં આવે ત્યારે તેઓશ્રી તેમનો જેટલો હિસ્સો આપણા  સમતલમાં હોય તેટલા પ્રમાણમાં વ્યાસવાળા વર્તુળ જેવા દેખાય.

તેવી જ રીતે જો આપણે ત્રણ પરિમાણ વાળા હોઈએ અને ભૂતભાઈ ચાર પરિમાણ વાળા હોય તો તેઓ જ્યારે તેમના આપણા પરિમાણમાં રહેલા હિસ્સાના પ્રમાણમાં આપણને દેખાય. આ પ્રમાણે તેઓ આપણી સામે દૃષ્ટિગોચર થાય અને અદૃષ્ય પણ થાય. આમાં કડાકા ભડાકા થવાની કે સુસવાટા થવાની કે પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થવાની શક્યતા રહેતી નથી. શૂન્યમાંથી સર્જન થતું નથી કે સર્જનનું શૂન્ય થતું નથી. ભૌતિક શાસ્ત્રના નિયમો અકબંધ રહે છે.

જો કે આ ધારણા પણ અનેક પ્રશ્નો ઉભા કરે છે.

વાસ્તવિક રીતે જોઇએ તો આપણે સૌ એટલે કે સજીવો અને કહેવાતા નિર્જીવો સૌ કોઈ ચાર પરિમાણોમાં રહીએ છીએ. ચોથું પરિમાણ ટાઈમ છે. લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈ (એક્સ, વ્હાય અને ઝેડ) એ ત્રણે એક બીજાને લંબ છે. હવે જો આપણે એમ સમજીએ કે આપણે ત્રણ વત્તા એક એવા ચાર પરિમાણોમાં અસ્તિત્વ ધરાવીએ છીએ અને ભૂતભાઈ આપણાથી એક વધુ પરિમાણમાં છે એવું માનીએ તો આપણે ઉપરનો દડાવાળો દાખલો લાગુ પાડી શકીએ ખરા.

પણ પ્રશ્ન એ થાય કે લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈ ના જે પરિમાણ છે તે તો એકબીજાને લંબ છે. તો ટાઈમ સિવાયનું જે પાંચમું પરિમાણ આપણે લાગુ પાડ્યું તે શું લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈના પરિમાણ ને લંબ છે? લંબ તો હોવું જ જોઇએ. પણ હવે જો આપણે લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈના પરિમાણને પરસ્પર અદલાબદલી કરી શકીએ છીએ. એટલે કે લંબાઈને પહોળાઈ કહીએ અને પહોળાઈને લંબાઈ કહીએ તો ગણત્રીમાં કશો ફેર પડતો નથી. તો શું આ પાંચમા પરિમાણને આપણે લંબાઈ પહોળાઈ અને ઉંચાઈના પરિમાણ સાથે અદલા બદલી કરી શકીએ છીએ?

આપણે આ વિષે કશું જાણતા નથી. પણ ન જાણવું એ બચાવ ન હોઈ શકે. આપણે ધારીએ કે જેમ ટાઈમ કે જેને આપણે સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અનુભવી શકીએ છીએ, પણ જોઈ શકતા નથી તેમ પાંચમું પરિમાણ પણ ટાઈમ જેવું હોઈ શકે કે જેને આપણે ન જોઈ શકીએ.

આ બધી ચર્ચા સાઠના દશકાના ઉત્તરાર્ધમાં થતી હતી. તે વખતે  વિશ્વને સમજવા માટે કેટલા પરિમાણો હોઈ શકે તે વિષે બધા અંધારામાં હતા. કેટલાક ફાવે તેટલા પરિમાણો કે અનંત પરિમાણો હોઈ શકે તેમ માનતા હતા. પણ આ બધી હવામાં વાતો હતી.

એક પ્રશ્ન એવો પણ કરી શકાય કે જો ભૂત એ મનુષ્યના જીવિત શરીરનો જીવાત્મા હોય તો જ્યાં સુધી તે શરીરમાં હોય ત્યાં સુધી તે ૩+૧ પરિમાણોમાં હોય અને જેવો એ શરીરમાંથી બહાર નિકળે તેવો તે ૩+૧+૧=૫ પરિમાણવાળો બની જાય તેવું શા માટે?

વળી જો એમ માનીએ કે શરીર અને આત્મા (કે જીવાત્મા એવું જે કહો તે), જુદા છે તો, આ આત્માએ અમુક નિશ્ચિત શરીરમાં ઘુસ્યો કઈ રીતે. શરીરમાં ઘુસવા માટેની અને શરીરને છોડવા માટેની શરતોનો કે પરિસ્થિતિઓનો કયા આધારે નક્કી કરી?

આત્મા કે જીવાત્મા એ છે શું?

આઈન્‌સ્ટાઈન ની યુનીફાઈડ ફિલ્ડ થીયેરી ગણિત થકી પુરસ્કૃત કરી શકાતી ન હતી. જે ચાર બળ કે ક્ષેત્ર છે તેને સૌને સાંકળતું એક સમીકરણ ન હતું.

આત્મા (કે જીવાત્મા) જો શરીરથી જુદા મૂળભૂત તત્વોના બનેલા હોય તો આઈન્‌સ્ટાઈનની યુનીફાઈડ ફીલ્ડ થીયેરી અને શંકરાચાર્યની અદ્વૈતની થીયેરી ધ્વસ્ત થાય છે.

હવે જો આપણને ભૂત ભાઈ જા આવી ને કહે કે લો હું આ રહ્યો … મને તપાસી લો અથવા મને જે કંઈ પૂછવું હોય તે પૂછો.

હાજી એક ભૂત સંશોધક અને ભૂતભાઈ વચ્ચે કંઈક આ પ્રકારનો વાર્તાલાપ થયેલ.

GHOST CAN DO ANYTHING

પ્રશ્નકર્તાઃ તમે અદૃષ્ય કેવી રીતે થઈ જાઓ છો?

ભૂતભાઈઃ અમારામાં જન્મજાત એવી શક્તિ છે કે અમે વિચારીએ કે અમુક જગ્યાએથી અદૃશ્ય થવું છે એટલે અમે અદૃષ્ય થઈ જઈએ.

પ્રશ્નકર્તાઃ તમે શેના બનેલા છો? અને અવનવા આકાર-આકૃતિઓ કેવી રીતે બનાવો છો?

ભૂતભાઈઃ અમે વાયુ સ્વરુપે હોઈએ છીએ એટલે જે આકાર ધારણ કરવો હોય તે આકાર ધારણ કરી શકીએ છીએ.

WE CAN CHANGE OUR SHAPE

પ્રશ્ન કર્તાઃ પણ આ વાયુસ્વરુપ એટલે શું?

ભૂતભાઈઃ અમે ઉર્જાનું વાયુસ્વરુપ હોઈએ છીએ.

પ્રશ્નકર્તાઃ તમારો ખોરાક શું હોય છે?

ભૂતભાઈઃ અમારે પેશાબવાળી ભીની માટી ખાવી પડે છે વિષ્ટા પણ ખાવી પડે છે. અમને આનાથી ઘણો ત્રાસ થાય છે પણ અમને આવી આજ્ઞા છે અને અમારે આવું કરવું પડે છે.

પ્રશ્નકર્તાઃ તમે મનુષ્યનો ભોગ લો છો તે વાત ખરી છે?

ભોગ

ભૂતભાઈઃ હા. અમારામાં કેટલાક ઉપર અન્યાય થયો હોય છે અને તેથી તેમનું મોત થયું હોય છે. એટલે તેઓ ગમે તેનો ભોગ લઈ લેતા હોય છે.

પ્રશ્નકર્તાઃ તમે મીઠાઈઓ અને ભોજનથાળ એવું બધું કેવી રીતે ક્ષણમાત્રમાં લાવી શકો છો. શૂન્યમાંથી સર્જન તો થઈ શકે નહીં.

ભૂતભાઈઃ અમે વાયુસ્વરુપ હોવાથી ક્ષણમાત્રમાં એક સ્થળેથી બીજે સ્થળે હાથ લંબાવી શકીએ છીએ એટલે કે બીજે સ્થળેથી કોઈક દુકાનમાંથી ઉઠાવી વાનગી ઉઠાવી લઈએ છીએ. ક્યારેક અમે આજુ બાજુની ઉર્જામાંથી ઘન પદાર્થો થકી વાનગીઓ બનાવી લઈએ છીએ.

પ્રશ્નકર્તાઃ તમને કોઈ વશ કરે કે તમે કોઈથી ડર લાગે એવું ખરું?

ભૂતભાઈઃ હા. કેટલાક જાદુગરો અમને પ્રસન્ન કરીને પોતાનો ધંધો કરતા હોય છે. અમે તેમને મદદ કરીએ છીએ. પણ જ્યારે તેઓ અમારું  નામ જાહેર કરે એટલે અમે તેમને છોડી દઈએ છીએ. અમને કેટલાક ભૂવાઓ અમુક મંત્રોથી વશ કરતા હોય છે. અમે તેમની આગળ લાચાર બની જઈએ છીએ.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ

 

Read Full Post »

નાસ્તિકતાની ધૂન કે નાસ્તિકતાનો ઘમંડ? ભાગ-૨

નાસ્તિકતાની ધૂન કે નાસ્તિકતાનો ઘમંડ? ભાગ-૨

ઈશ્વર આપણને દેખાતા નથી અને અનુભવાતા પણ નથી. ઘણા બાવાઓ ઝીકાઝીક કરે છે કે તેમણે જોયા છે એટલે કે અનુભવ્યા છે. આવા અનેક પોતાને બ્ર્હ્મજ્ઞાની માનતા થઈ ગયા છે, હાલ પણ અસ્તિત્વમાં છે અને એવા થતા રહેશે.

આ બાવાજીઓ પોતાના શિષ્યો દ્વારા પોતાને સંત, મહાત્મા, ઓશો, ભગવાન, ઇશ્વરાનન્દ જેવા લેબલો લગાવશે અથવા તો તેમના શિષ્યો જ હરખપદુડા થઈને આવા લેબલો પોતાના ગુરુને લગાવી દેશે.

પણ હિન્દુઓ શું કહે છે?

હિન્દુઓ કહે છે કે આ વિશ્વ પોતે જ એક સજીવ છે. તે ન કળી શકાય તેવું છે એટલે કે અનિર્વચનીય છે.  આ વિશ્વ એ ઈશ્વરનું શરીર છે. એટલે આપણે બધા અને જે કંઈ આ વિશ્વમાં છે તે બધું ઈશ્વરનો અંશ છે. ઈશ્વર પોતે નિર્ગુણ અને નિરાકાર છે, અને તે અજ, અવિનાશી, અપરિવર્તનીય (અવિકારી) બ્રહ્મસ્વરુપે છે તે આપમેળે જ બ્ર્હ્મને વિકૃત (બ્રહ્મમાં ફેરફાર) કર્યા વગર બ્રહ્મમાંથી વિશ્વરુપે પ્રગટ થાય છે. તેણે વિશ્વના વર્તનના નિયમો નક્કી કર્યા છે અને તે પ્રમાણે વિશ્વ વર્તે છે. બધું જ સજીવ છે અને આપણે પણ સજીવ છીએ.

what-is-produced

પણ આપણે શા માટે છીએ?

આપણે આનંદ માટે છીએ.

આપણને આનંદ ક્યારે થાય?

આપણને સગવડો અને સુવિધાઓથી શારીરિક આનંદ થાય. આપણને જ્ઞાનથી માનસિક આનંદ થાય, આપણને વાર્તાલાપથી માનસિક આનંદ થાય, આપણને પ્રસંગો યાદ કરવાથી આનંદ થાય છે. આપણને ચમકી જવાથી આનંદ થાય છે. આપણને વિચિત્રતાથી આનંદ થાય છે. આપણને બીજાને આપણી ઓળખ થાય તેનાથી આનંદ થાય છે. આપણને લયબદ્ધ જીવન અને લયબદ્ધ દિનચર્યાથી આનંદ થાય છે. આપણને સમૂહમાં વધુ આનંદ થાય, આપણને આનંદની ગેરેન્ટીથી (સુરક્ષાથી) આનંદ થાય.  તહેવારો અને પ્રસંગો એ બધું સામુહિક આનંદ માટે છે. બીજાને આનંદ થાય તો આપણને પણ આનંદ થાય. શરીર હોય તો મન છે એટલે માનસિક આનંદ પણ એક રીતે તો શારીરિક આનંદ છે. શરીર બરાબર કામ આપતું હોય તો બરાબર આનંદ થાય. એટલે ભોજનથી આનંદ થાય. સમૂહ ભોજનથી વધુ આનંદ થાય.

(૫) તો શું મૃત્યુ પાછળનું જમણ આનંદ માટે હોય છે?

ના જી … મૃત્યુ પાછળનું ભોજન આનંદ માટે હોતું નથી. પણ મૃતાત્માની તૃપ્તિ માટે હોય છે. આ ભોજન નાનાઓ માટે હોય છે. વળી મૃત્યુની તારીખ યાદ રાખવા માટેનો આ એક માનશાસ્ત્રીય એપ્રોચ પણ છે. શ્રાદ્ધના દિવસનું જમણ પણ આ માટે જ હોય છે. જો કે આ બધું હવે બંધ થવા માડ્યું છે. અને ધીમે ધીમે તે સાવ બંધ થઈ જશે. કદાચ ગીતા પાઠન ચાલુ રહેશે કારણ કે ગીતા એક એવો માનસશાસ્ત્રીય ગ્રંથ છે કે જે શાશ્વત રહી શકે તેવો છે.

આપણો હિન્દુ ધર્મ અદ્ભૂત છે. હિન્દુધર્મે, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, કાવ્ય અને ભૌતિકશાસ્ત્ર નો સમન્વય કરી લોકભોગ્ય બનાવી તેમને અમર કરી દીધા છે. વિશ્વમૂર્ત્તિ ઈશ્વરને આપણે આપણા સામાજિક જીવનમાં વણી લીધા છે.

we-are-all-the-part-and-parcel-of-him

હિન્દુઓએ સમાજને, ફક્ત માનવ સમાજ તરીકે જાણ્યો નથી. આપણે સમાજને વૈશ્વિક સમાજ કે જેની અંદર, પ્રકૃતિ, તેની શક્તિઓ, પ્રાણીઓ, જીવ જંતુઓ, પશુઓ, વનસ્પતિઓ નક્ષત્રો, આકાશ, અને મનુષ્ય એ બધાં આવી જાય છે.

હિન્દુઓમાં માણસના નામમાં કે વિશેષણના પ્રત્યય તરીકે કુદરત વણાયેલી છે. આકાશ, સિંહ, મોર, કોયલ, વૃક્ષ, ગાય, પ્રકાશ, આશા, અશ્વ, ચોખા, ધન, ધાન, આનંદ, વડ, ઝાકળ, વિગેરે સારું સારું બધું જ આવે.  તમે કોઈ યુરોપીયનનું નામ પિકૉક, સ્કાય, પ્લેઝર કે વીશ કે એન્ટોનીજીસસ, જહોનગોડ, રોબર્ટયાકુબ કે જેનીમેરી એવું કંઈક સાંભળ્યું છે? પણ હિન્દુઓમાં તુષાર, ચંદ્રમોહન, વિજયશંકર, આત્મારામ, કંચનગૌરી,  શશિકલા … એવાં નામ હોય છે.

હા જી પશ્ચિમ એશિયાના દેશો સુધી આપણી વિશ્વભાવનાની અસર ખરી. મુસ્લિમોમાં તમને શબનમ નામ જોવા મળશે. પણ મયુરી નામ નહીં મળે.

હિન્દુઓના ઇતિહાસમાં ભગવાન પણ પોતાનો રોલ અદા કરે છે.

આપણા તત્ત્વજ્ઞાનમાં કાવ્યો આવે. ખગોળશાસ્ત્ર ને આપણે જ્યોતિષશાસ્ત્રના સ્વરુપે જીવિત રાખ્યું. હવે જે વિદ્વાનોએ મહેનત પૂર્વક જ્યોતિષ શાસ્ત્રના ગણિતને ભણ્યા છે, તમારે તેમને  રોટલા પૂરા પાડવા પડશે. શું તમારી એટલે કે સમાજની આ ફરજ નથી? 

આથી સમાજે જન્મ કૂંડળીને ઈન્ટ્રોડ્યુસ કરી. ફલાદેશને ઈન્ટ્રોડ્યુસ કર્યો. ફલાણા ઇતિહાસ (પુરાણ) ભણ્યા છે તો જનતાને કહો કે તે પારાયણ બેસાડે.

ખેતરમાં પાક ઉગી નિકળ્યો છે. પણ કમાણીની વાર છે. તો તમે “પૉરો” ખાવ અને ભાગવત સપ્તાહ બેસાડો. પાક તૈયાર થઈ ગયો છે અને લણી પણ લીધો છે તો તમે દાંડીયા રાસ રમો. પાકના પૈસા પણ આવી ગયા તો તો તમારે દિવાળી આવી ગઈ છે. નવા વરસની ઉજવણી કરો. બહેનને પણ અવારનવાર મજા કરાવો.

તમે તમારા સંતાનનું લગન લીશું છે. તો ઉત્સવ કરો. સગાંઓને બોલાવો. ખમતીધર હો તો ચોરાસી કરો. ચાદર જેટલી સોડ તાણો.

શિયાળુ પાક આવી ગયો છે? તો હવે વિશ્વદેવને યાદ કરો અને ઠંડીને વિદાય આપો. વસંતને વધાવો. અને જે કંઈ સૂકું છે તેને બાળી નાખો. બધાને રંગી નાખો. આ પ્રમાણે આપણા હિન્દુ પૂર્વજોએ બારે માસ આનંદમય અને આનંદને લયબદ્ધ કરી દીધો.

(૬) પણ ભાઈ આ બધા બગાડ થાય છે તેનું શું?

અરે બગાડ બગાડ શું કરો છો? તમે જે કંઈ કરો છો તે આનંદ માટે કરો છો. તમે આનંદની કિમત આંકો અને પછી સરવાળો કરો …. તમને નફો અને નફો નફો જ દેખાશે. વહેમમાં પણ આનંદ મળતો હોય તો વહેમ પણ રાખો. ફેશનમાં આનંદ મળતો હોય તો ફેશન પણ રાખો. ફેશન પણ વહેમ છે, કાવ્ય પણ એક વહેમ, કળા પણ એક વહેમ છે અને નૃત્ય પણ એક વહેમ છે.

તમે કેટલાક કહેવાતા પરાવિજ્ઞાનીઓને ઇલેક્ટ્રોનિક યંત્રો લઈ કોઈ એકાંત સ્થળે અંધારામાં કે ખંડેરમાં ભૂત (મૃતાત્મા, અતૃપ્તાત્મા કે પ્રેતાત્મા)ના અસ્તિત્વની શોધ કે સંશોધન માટે જોયા હશે. તેઓ બોલતા હશે “હે આત્મા, અમે તમને કોઈ હાનિ કરવા આવ્યા નથી, અમે તમને દુભવવા આવ્યા નથી પણ જો તમે અહીં હો તો તમે આ મીટરના કાંટા ઉપર ડીફ્લેક્સન આપો.” અને પછી આપણને કાંટો ઝટકો મારે છે તે બતાવવામાં આવે છે.

આવી જ રીતે એક સંશોધક બેન, કોઈ એક ભાઈને સુવાડી તેમને કહેવાતી રીતે હિપ્નોટાઈઝ કરે કે બનાવટ કરે અને પછી તેમને તેમના પાછલા અનેક જન્મોમાં લઈ જાય. તેમને સવાલો કરે. જેમકે “ઓહ! તમે એરપોર્ટ ઉપર છો? ક્યા દેશમાં છો? એર ટિકિટનો નંબર શો છે…” પેલા ભાઈ આ બધા સવાલના જવાબ આપે. તમે જાણી લો, કોઈ પણ જન્મમાં બનાવોનો ક્ર્મ હોય છે. એક વખત એ જન્મનું ચક્ર પૂર્ણ થયું પછી તેના ક્ર્મમાં ફેરફાર થાય નહીં. જો હવે તમે જાતકને કહો કે તમે એર ટિકિટનો નંબર પૂછો અને તે જવાબ આપે તો તેનોઅર્થ એમ થયો કે તમે અને તેણે પણ તેના બનાવના ક્રમમાં ભાગ ભજવ્યો. ધારો કે પૂર્વ જન્મ હોય તો પણ તમે તેના પૂર્વ જન્મના બનેલા બનાવોના નાનામાં નાના ક્રમમાં ફેરફાર કરી શકતા નથી. એટલે કે જાતકે જે બનાવોના ક્રમમાં જીવન પસાર કર્યું હોય તેમાં તમે ખલેલ પાડી શકો નહીં.

ટૂંકમાં આ બધું ભણેલાઓનું ધત્તીંગ છે.

પહેલાના કિસ્સામાં આપણે જોયું કે અન્વેષક ટીમ એમ કહે છે કે “હે આત્મા, અમે તમને કોઈ હાનિ કરવા આવ્યા નથી, અમે તમને દુભવવા આવ્યા નથી પણ જો તમે અહીં હો તો તમે આ મીટરના કાંટા ઉપર ડીફ્લેક્સન આપો.”

energy-is-always-associated-with-matter

મીટરના કાંટાને જે હલતો બતાવવામાં આવે છે તે કેવળ અને કેવળ ધત્તીંગ છે. પ્રેક્ષકોએ સમજવું જોઇએ કે “ઉર્જા”, “શક્તિ” કે “એનર્જી” એ કોઈ અદૃષ્ય વાદળ જેવું નથી. ઉર્જા કે શક્તિનું કોઈ સ્વતંત્ર અસ્તિત્ત્વ નથી. ઉર્જા કે શક્તિ કે એનર્જી હમેશા જડ પદાર્થ સાથે સંકળાયેલી છે. જેમકે ગતિ શક્તિ (કાઈનેટિક એનર્જી), સ્થિતિ શક્તિ (પોટેન્શીયલ એનર્જી) (તમે પત્થરને ઉંચે ફેંક્યો હોય ત્યારે જેમ ઉંચે જાય તેમ તેનામાં સ્થિતિ શક્તિ વધે છે) આ બધી શક્તિઓ ગુરુત્ત્વાકર્ષણ ક્ષેત્રને લીધે છે. આવું જ બીજા ક્ષેત્રો વિષે હોય છે. ટૂંકમાં ઈલેક્ટ્રિક મીટરના કાંટાને હલતો બતાવવામાં આવે છે આ બધા ધત્તીંગ છે. એટલું જ નહીં પણ ઉર્જા એટલે શું તે વિષેની તેમની સમજ ભૂલભરેલી છે.

પૂનર્જન્મ અને પૂર્વ જન્મ અને તેમાં ભાગ લેવો એ બધું જ ધત્તીંગ છે. પૂનર્જન્મ જેવું કશું હોતું નથી. પૂનર્જન્મની શક્યતા શૂન્ય બરાબર છે. આપણું અસ્તિત્ત્વ અને તેની અનુભૂતિ આપણી સ્મૃતિઓને લીધે છે. મગજ નષ્ટ પામે એટલે આપણી અનુભૂતિ પણ નષ્ટ થાય. જેમકે આપણું મગજ સુઈ જાય ત્યારે આપણે સ્વપ્નવિહીન નિદ્રામાં હોઈએ છીએ. આપણને આપણા અસ્તિત્ત્વની અનુભૂતિ થતી નથી. એટલે અસ્તિત્ત્વ હોવું અને તેની અનુભૂતિ થવી તે બંને અલગ અલગ વસ્તુ છે.

જ્ઞાન છે તે સત્ય છે. તે સમાજમાં જળવાઈ રહે છે. અને સમાજ વધુ ને વધુ સુખ તરફ ગતિ કરે છે.

અષ્ટાદશપુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયં, પરોપકારઃ પુણ્યાય, પાપાય પરપીડનમ્ 

અઢાર પુરાણો દ્વારા (ઇતિહાસ) બતાવે છે કે તમે જે બીજાના ભલા માટે કરો છો તે શ્રેય છે અને બીજાને દુઃખ આપો છો તે અશ્રેય છે.

આલોક જે દૃષ્યમાન છે તેને અવગણી જે લોક (પરલોક) દેખાતો નથી, તેના સુખમાટે બીજાના ખૂન કરવા તે પાપ જ છે અને તે અક્ષમ્ય છે. માટે તેવા લોકોની ચિંતા કરો અને જનતાને આનંદ આપો. જનતાને આનંદ ન આપો તો કંઈ નહીં, પણ તે જો આનંદ કરતી હોય તો તેને રોકો નહીં.

જનતાએ પણ ઈશાવાસ્યવૃત્તિ અપનાવી “મા ગૃધઃ કસ્યશ્વિત્‍ ધનં”ને અનુસરવું.

તો શું આપણે

“ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનં કથં ભવેત્‌ , તસ્માત્‌ યાવત જિવેત્‌ સુખં જીવેત્‍ , ઋણં કૃત્વા ઘૃતં પિબેત્‌” (જે શરીર ભસ્મ થઈ ગયું તેનું પુનરાગમન કેવી રીતે થાય? માટે જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો. દેવું કરો અને ઘી પીઓ.) એ અસત્ય છે એમ સમજવુ?

મૂળ વાત હવે આવે છે. જો આત્મા શરીરમાં હોય અને તે કાળ ક્રમે નિકળી જતો હોય તો સવાલ એ થાય છે કે એ શરીરમાં જાય છે જ શા માટે? અને પછી નિકળી શા માટે જાય છે? આ વાત ચાર્વાક ઋષિ સમજાવી શકતા નથી. માણસ મરી જાય અને તેનું જડ શરીર નાશ પામે. માણસનું શરીર તો જડ જ છે. જ્યારે તે જીવતો હતો ત્યારે પણ જડ જ હતું અને મરી ગયો ત્યારે પણ જડ જ હતું. માણસ અનેક અબજ કોષોનો બનેલો છે. આ બધા કોષ જડ જ છે. તમે જડ પદાર્થોને અબજો કે પરાર્ધોની સંખ્યામાં પરસ્પર અબજો કે પરાર્ધો રીતે ગોઠવો, તમારી કોઈ પણ ગોઠવણ તેને સજીવ ન બનાવી શકે છે. ચાર્વાક ઋષિ કે બૃહસ્પતિ ઋષિ કે અન્ય કોઈ પણ ઋષિ જડમાંથી ચેતન કેવી રીતે પ્રગટ્યું તે સમજાવી શક્યા નથી અને સમજાવી શકે તેમ નથી.

આ વસ્તુ સમજવી હોય તો સૌથી નાનામાં નાનું જે એકમ છે જેનું આ વિશ્વ બનેલું છે તે સજીવ હોવું જોઇએ. જેમ અમીબામાંથી મનુષ્ય ઉત્ક્રાંતિ દ્વારા એક અબજ વર્ષે નીપજ્યો, તેમ આ સુક્ષ્માતિ સુક્ષ્મ પદાર્થ આપસી સંયોજનો દ્વારા ક્વાર્કસ, સબ એટમિક કણો, પરમાણુ, અણુ અને સંકીર્ણ સંયોજનોમાં પરિણમ્યો. 

તો હવે “ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનં કથં ભવેત્‌ , તસ્માત્‌ યાવત જિવેત્‌ સુખં જીવેત્‍ , ઋણં કૃત્વા ઘૃતં પિબેત્‌” એ વિષે શું સમજવુ?

કૂર્મ પુરાણમાં એક શ્લોક છે. આ શ્લોક મહા ભારતમાં પણ છે.

આત્મનઃ પ્રતિકુલાનિ, પરેષાં ન સમાચરેત્  જે (પરિસ્થિતિ) તમારે માટે પ્રતિકુળ છે તે બીજા ઉપર ન લાદવી.

એટલે કે જો તમે બીજા પાસેથી પૈસા ઉધાર લો અને તેનું ઘી પીઓ, તો બીજાએ તમને જે ગુડ ફેથમાં પૈસા આપ્યા, તેનું શું થશે? જો કોઈ તમારી સાથે આવું કરે તો તમને ગમશે?

જો સમાજમાં આવી સ્થિતિ સર્જવામાં આવશે તો તે સમાજનું ભાવી શું?

જે કંઈ પ્રણાલીઓ છે જે કંઈ વિધિઓ છે તે સમાજમાં સામાજીક પરિસ્થિતિને અનુરુપ દાખલ થયેલી હોય છે કે જેથી સમાજમાં લય અને સંતુલન જળવાઈ રહે. સગાંઓ અને મિત્રો જ નહીં પણ પશુ, પક્ષીઓ, જીવ જંતુઓ સાથે પણ સંતુલન અને સંબંધો જળવાઈ રહે અને સાથે સાથે સામુહિક આનંદ પણ પ્રાપ્ત થયા કરે. જે પ્રણાલીઓ ઉપયોગી ન હોય તેને શાંતિ પૂર્વક છોડી દો.

કુદરત પાસેથી લીધેલું કુદરતને પાછું આપો. યજ્ઞના હોમ પાછળ પણ આ જ ભાવના છે.  હોમમાં દરેક સ્વાહામાં બે દાણા જ નાખવાના હોય છે.

વૃક્ષ ઉપરથી પક્વ ફળ પડે છે, તે વૃક્ષે ત્યજેલું છે. તેન (વૃક્ષેણ) ત્યક્તેન, ભૂંજિથાઃ (ખાઓ). વૃક્ષે જે ફળ (તમારા માટે) ત્યાગ્યું છે તે તમે ખાઓ. તમે ચૂંટીને કશું લેશો નહીં. (મા ગૃધઃ કસ્યશ્વિત્‍ ધનં).

જે ફળ તમે લીધું તેનો ગોટલો કે ઠળીયો જમીનને પાછો આપો.

એટલે હિન્દુઓ એમ કહે છે કે

સર્વેત્ર સુખિનઃ સન્તુ, સર્વે સન્તુ નિરામયા,

સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત્‍ દુઃખભાગ્‍ ભવેત્‍

બધા જ સુખી થાય. બધા જ તંદુરસ્ત થાય, બધા જ કલ્યાણને પામે, કોઈ પણ દુઃખી ન થાય.

શિરીષ મોહનલાલ દવે

તા.ક.

“૧૬ સંસ્કાર અને રીત-રિવાજો” ઉપર અંજલીબેન પંડ્યાએ (anjaleepandya@gmail.com) બહુ મહેનત કરીને એક પુસ્તક લખ્યું છે. જો કે આ નાગર બ્રાહ્મણ માટે છે. પણ દરેક જ્ઞાતિને કામ લાગે એવું છે. અંજલી બેને આ સંકલન “સ્કંદપુરાણ” અને અનેક ગોર મહારાજાઓને મળીને કર્યું છે. સૌ કોઈએ વાંચવા અને વસાવવા જેવું છે.

sam_2216

ટેગ્ઝઃ વિશ્વ સજીવ, અનિર્વચનીય, શરીર, નિર્ગુણ, નિરાકાર, અવિનાશી, બ્રહ્મ, વિશ્વરુપ, આનંદ, સગવડ, સુવિધા, માનસિક આનંદ, શારીરિક આનંદ, લયબદ્ધ, ભોજન, મૃત્યુની તારીખ, માનસશાસ્ત્રીય, વૈશ્વિક સમાજ, આકાશ, સિંહ, મોર, કોયલ, વૃક્ષ, ગાય, પ્રકાશ, આશા, અશ્વ, ચોખા, ધન, ધાન, આનંદ, વડ, ઝાકળ, ચંદ્રમોહન, વિજયશંકર, કંચનગૌરી, તત્ત્વજ્ઞાન, કાવ્ય, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, જન્મ કૂંડળી, ફલાદેશ, પારાયણ, પરાવિજ્ઞાની, હિપ્નોટાઈઝ, પૂર્વ જન્મ, ધત્તીંગ, ઈશાવાસ્યવૃત્તિ, જડ શરીર, ચાર્વાક ઋષિ, બૃહસ્પતિ, ક્વાર્કસ, સબ એટમિક કણો, પરમાણુ, અણુ, સંકીર્ણ સંયોજન, લય, સંતુલન

Read Full Post »

%d bloggers like this: