Feeds:
Posts
Comments

Posts Tagged ‘બહુમાળી’

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૬. મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?

ભારતમાં તેના ભવિષ્યની આવશ્યકતાનો ખ્યાલ રાખી તેમજ રહેણાંક, વ્યવસાય અને શિક્ષાને ખ્યાલમાં રાખી કેવા મકાન-સંકુલો બનાવવા જોઇએ, હાલના ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારના રહેઠાણોના અને વ્યવસાયોના મકાનોને કેવીરીતે નવસંચના કરી વધારાની જમીનને ઉપલબ્ધ કરી શકાય અને ઉપલબ્ધ જમીન ફાજલ થતેનો સદઉપયોગ કરી શકાય તે આપણે “સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૫” માં જોયું.

ઉત્પાદન અને રોજગાર ની વ્યવસ્થા કેવી હોવી જોઇએ

ખુલ્લી જમીનનો ઉપયોગ ફક્ત વૃક્ષો માટે થશે. અથવા તો તે આપણી દિશા હશે.

એક સંકુલની આસપાસની જગ્યા ફળાઉ અને ઉપજાઉ વૃક્ષો માટે થશે. તેથી તે ઉત્પાદન ઉપર નભતા નાના ઉદ્યોગો તે સંકુલમાં જ ગોઠવી શકાય.

જો શક્ય અને જરુરી હોય તો એક સંકુલની પાસે બીજું એક ઔદ્યોગિક સંકુલ પણ બનાવી શકાય. જો ગામ મોટું હોય તો અને નાના ઉદ્યોગો ભારે યંત્ર સામગ્રીવાળા અને અવાજનું પ્રદુષણ ફેલાવે તેવા હોય તો ઔદ્યોગિક સંકુલ અલગ રાખી શકાય. ગૃહ ઉદ્યોગો તો રહેઠાણના અને વ્યવસાયના સંકુલમાં હોવા જોઇએ.

કયા ઉદ્યોગોને સરકારે વધુ ઉત્તેજન આપવું જોઇએ?

ધરતીને આપણે વનસ્પતિ, હવા અને પાણી સિવાય કશું પાછું આપી શકતા નથી. એટલે કે જ્યારે આપણે ધરતીમાંથી ઉત્ખનન કરીને કાચોમાલ કાઢીએ ત્યારે ધરતીને આપણે તે માલ પાછો આપઈ શકતા નથી. જે કાચામાલનો આપણી પાસે અખૂટ ખજાનો છે તેને આપણે વાપરીએ તે એક વાત છે પણ તે પણ લાંબા ગાળે ખૂટી જશે. તેથી તે વાતને ધ્યાનમાં રાખીને વિકાસ કરવો જોઇએ. જ્યાં કાચો માલ છે ત્યાંજ તેના ઉદ્યોગો થાય તેમ હોવું જોઇએ. વપરાશી માલનું કદ અને દળ ઓછું હોવાથી હેરફેરનો ખર્ચ ઘટશે. કાચા માલની હેરફેરમાં થતો ખર્ચ ઘટશે.

ઉર્જા ઉત્પાદન

ખનિજ કોલસાનો આપણી પાસે અખૂટ ખજાનો છે. તો પણ કુદરતી ઉર્જાસ્રોતોના વિકાસ અને સંશોધન ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. આમાં સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, જળપ્રવાહ ઉર્જા, ભરતી ઓટ ની ઉર્જા નો બહોળો ઉપયોગ કરી શકાય તેમ છે. જોકે લાકડાને અને કોલસાને બાળીને પણ ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. તે બાબતમાં કેટલાક લોકોની માન્યતા છે કે પૃથ્વી ગરમ થઈ જશે. લાંબી તરંગલંબાઈ વાળા પ્રકાશના કિરણો આયનોસ્ફીયરને ભટકાઇને પાછા આવે છે. આ ગરમીના કિરણો ધરતીનું ઉષણતામાન વધારે છે. ધૂમ્રહીન બોઈલરો બનાવી શકાય છે. કોલસી અને મેશનો ઉપયોગ થઈ શકે છે. આ બધી તકનીકી સમસ્યાઓ છે અને તેનો ઉકેલ થઈ શકે.

૫૦૦ વૉટ ની અને ૫૦૦ કિલોવૉટની પવન ચક્કીઓ બને છે. ડૂંગરો ઉપર પવન વધુ હોય છે. જે મકાનો ડુંગર ઉપર હોય છે અથવા તો જ્યાં પવન વધુ હોય છે, ત્યાં ૫૦૦વૉટની એક થી વધુ પવનચક્કીઓના મોડ્યુલોના ઉપયોગ કરી, ચાલુ પ્રણાલીની ઉર્જામાં બચત કરી શકે છે. જ્યાં વધુ ઉર્જાની જરુર હોય ત્યાં ૫૦૦ કિલોવોટ પવનચક્કીનો ઉપયોગ થઈ શકે.

જ્યાં સૂર્યપ્રકાશ ખૂબ હોય છે તેવા રાજસ્થાન, કચ્છ સૌરાષ્ટ્ર, ગુજરાતમાં મકાનોની બહારની દિવાલો ઉપર સૂર્યઉર્જાકોષ રાખવા ફરજીયાત કરી શકાય છે. દરેક મોટી ઓફિસ અને ઉદ્યોગોના મકાનોની દિવાલો અને અગાશીઓ કે છાપરાઓ ઉપર સૂર્યઉર્જાકોષ રાખવા ફરજીયાત કરી શકાય છે.

ઉર્જા સંગ્રાહકો

નિકલ કેડમીયમ અને નિકલ આયર્નના વિદ્યુત સંગ્રાહકોમાં સંશોધન કરી ઉર્જાનો સંગ્રહ કરી શકાય છે. સીસું-સલ્ફ્યુરિક એસીડના વિદ્યુત કોષ વજનમાં ભારે હોય છે અને તેનું આયુષ્ય ઓછું હોય છે. તેથી લાબાં આયુષ્ય વાળા નિકલ કેડમીયમ અને નિકલ આયર્ન વિદ્યુત સંગ્રાહકકોષમાં સંશોધન કરી તેને આર્થિક રીતે પોષાય તેવા કરવા જોઇએ. જો કે આ બધી તકનિકી બાબતો છે અને તેના ઉપાયો પણ છે.  

ગ્રામ્ય સંકુલમાં કયા ઔદ્યોગિક ઉત્પાદનો કરવા જોઇએ?

સંકુલમાં જાતજાતના ઘાસ, અનાજ, શાકભાજી, કંદમૂળ છોડ, ફુલો,

માટીનો ઉદ્યોગ, ફળોના રસનો ઉદ્યોગ, પેકેજ ઉદ્યોગ, માલ પેક કરવાનો ઉદ્યોગ, મુદ્રણ ઉદ્યોગ, કાગળનો ઉદ્યોગ, વણાટકામ, ભરતકામ, છપાઈ કામ, દરજીકામ, મોચીકામ, તેલ ઘાણી, મધમાખી ઉછેર, ગોબર ગેસ, ખાતર, દૂધ અને તેની બનાવટો, બેકરી,

ઘાસ, દૂધ, શાકભાજી, કાંતણ, વણાટકામ અને માટીકામ (ગ્લેઝવાળા માટીના વાસણો) એ મહત્વના ઉદ્યોગ ગણવા જોઇએ. કારણકે આ સ્વાવલંબનમાં તે મહત્વનો ભાગ ભજવે છે. ઉત્પાદનનો વપરાશ સ્થાનિક કક્ષાએ પણ છે અને નિકાસ પણ થાય છે.

કાંતણ અને વણાટને પ્રાધાન્યઃ

જો ગામમાં ગરીબી હોય તો કાંતણ તાત્કાલિક રોજગારી પૂરી પાડે છે. જો પાંચ ત્રાકનો અંબર ચરખો વાપરવામાં આવે તો એક વ્યક્તિ રૂ. ૩૦૦૦ થી રૂ. ૫૦૦૦ ની માસિક આવક જરુર મેળવી શકે છે. આ ઉપરાંત તેની પોતાની કાપડની જરુરીયાત લગભગ મફતમાં પૂરી પડે છે. આ માટે ગાંધીજીએ ચરખાસંઘની રચનાની પ્રણાલી ગોઠવવાની વાત કરેલી. જો સ્થાનિક કક્ષાએ કાંતણ અને વણાટકામ થશે તો તો ખાદીને નામે ગોલમાલ થતી બંધ થશે.

ખાદીમાં હવે ઘણા સંશોધનો થયા છે. અને ખાદીનું કાપડ મીલના કાપડને લગભગ સમકક્ષ જ હોય છે.

જો દરેક કુટુંબ ગોદડા, ગાદલા, કવરો (ખોળો), હાથરુમાલ, ગમછા, પડદા, ટુવાલ, પગલુછણીયા જો ખાદીના વાપરે તો કાંતનારા અને વણનારાને ઘણી રોજી મળે.

ખાદીની ખપત કેવીરીતે વધારી શકાય?

કોણે કયા અને કેવા કપડાં પહેરવા તે વ્યક્તિની મુનસફ્ફીની વાત છે. પણ રોજગારી આપનાર સંસ્થા કે વ્યક્તિ પોતાના કર્મચારીઓને ડ્રેસકોડની ફરજ પાડી શકે છે. જેમકે પોલીસ ને અમુક જ ડ્રેસ પરિધાન કરવાની ફરજ પડાય છે. આવી જ રીતે કેટલીક ખાનગી કંપનીઓ પણ પોતાના કર્મચારીઓને માટે ડ્રેસ કોડ માટે ફરજ પાડે છે.

ડ્રેસકોડ

સરકારે ખાદીને પ્રોત્સાહન આપવું જોઇએ. અને તે માટે સરકારે દરેક સરકારી કર્મચારીનો એક યુનીફોર્મ કોડ એટલે કે વસ્ત્ર પરિધાનની આચાર સહિંતા નક્કી કરવી જોઇએ. જ્યારે સરકારી કર્મચારી જે કોઈપણ હોદ્દો ધરાવતો હોય તો પણ તેણે ડ્રેસ કોડનો અમલ કરવો જ પડશે. જ્યારે તેને નોકરીએ રાખવામાં આવે ત્યારે જ તેની પાસેથી તેની સંમતિ લઈ લેવી જોઇએ. સૌ કર્મચારીઓને સરકાર ત્રણ સેટ વસ્ત્રોનું કપડું સરકાર ખરીદીને આપશે. એક સેટમાં પાટલુન, ખમીશ, બનીયન, કોટ અને સ્વેટર આપશે. જેમને ધોતીયું, જભ્ભો, બંડી, લોંગકોટ જોઇતા હશે તેમને તે આપશે. બે જોડી બુટ અને બે જોડી ચપ્પલ આપશે. કશું મફત મળશે નહીં. જરુર હશે તો વર્ગ -૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓને ચાર ટકાના વ્યાજે લોન આપશે. ખાદીના કાપડની ગુણવત્ત સરકાર નક્કી કરશે.

દરેક શાળા અને કોલેજો પણ પોતાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ડ્રેસકોડ રાખશે.

આમ થવાથી ખાદીના કાંતણ કામ, વણાટકામ, અંબર ચરખા બનાવનાર અને તેને રખરખાવ અને સમારકામ કરવાવાળાઓને રોજી મળશે. દરજીઓને પણ વધુ રોજી મળશે. કારણ કે અત્યારે રેડીમેડ વસ્ત્રોને જે જત્થાબંધ ધોરણે સીવવામાં આવે છે તેમાં કારીગરોનું શોષણ થાય છે.

જ્યારે મોરારજી દેસાઈની જનતા પાર્ટીની સરકાર હતી, ત્યારે તે સરકારે, સરકારી કાપડની ખરીદીમાં ખાદીને ફરજીયાત કરેલી. પણ સરકારી ઉચ્ચ અધિકારીઓની મનોવૃત્તિ “સર્વ પ્રથમ ભારતનું હિત (ઈન્ડીયા ફર્સ્ટ)”ની ન હતી એટલે તેમાં બારીઓ ખોલીને સરક્યુલરનો અનાદર કરેલ.

તો પછી જત્થાબંધ રીતે ઉત્પન્ન થતા કાપડનું શું થશે? આપ્ણો દેશ, મીલના કાપડની વિદેશમાં નિકાસ કરશે.

જો ઘાસની ખેતી સંકુલોમાં થશે તો બળદોનું શું થશે?

સાંઢને બળદ કરવો એ આપણો હક્ક નથી. સાંઢ પાસેથી પણ કામ તો લઈ જ શકાય. તેલ ઘાણીના યંત્રમાં, લીફ્ટના યંત્રમાં, વિદ્યુત જનરેટર ના યંત્રમાં, સામાન્ય હેરફેરને લગતા માલવાહકોની રચનામાં યોગ્ય ફેરફારો કરી પશુઓનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત ગૌવંશના પ્રાણીઓ આપણને શ્રેષ્ઠ અને અમૂલ્ય ખાતર આપે છે.

પશુ સંચાલિત તેલઘાણીઓથી તેલનું ઉત્પાદન ઘટશે, પણ જો તમે સંકુલો બનાવશો તો જમીનની વૃદ્ધિની સીમા અમાપ છે. તમે કદાચ કહેશો કે વનસ્પતીને તો સૂર્ય પ્રકાશ જોઇએ અને સંકુલોમાંની અકુદરતી જમીનને સૂર્યપ્રકાશ તો મળશે નહીં તેથી સંકુલોમાં ઉત્પાદન નહીં થઈ શકે. જો કે આ એક તકનિકી સમસ્યા છે. અને તેનો ઉકેલ આવી શકે. જેમકે તમે દર્પણોને એવી રીતે ગોઠવો કે દરેક માળ ઉપર સૂર્ય પ્રકાશ આવે. આ ઉપરાંત, વિદ્યુત દ્વારા કૃત્રિમ સૂર્યપ્રકાશ ઉત્પન્ન કરી શકાય છે. આ વિદ્યુત કરવા માટે પ્રાણીઓનો ઉપયોગ કરી શકાય.

તેલઘાણીઓ શા માટે? પશુ દ્વારા ચાલતી તેલઘાણીઓ શા માટે?

તેલીબીયાંઓના છોડવાઓ ને સંકુલોમાં ઉગાડી શકાય છે. એટલે તેલીબીયાનું ઉત્પાદન વધારીને તેલનું ઉત્પાદન વધારી શકાય છે. પશુથી ચાલતી તેલઘાણીના તેલના ઉત્પાદનમાં આપણને “ખોળ” અને “સાની” મળે છે. તે પશુઓ અને મનુષ્ય માટે એક સારો અને પૌષ્ટિક ખોરાક છે. આ લાભને અવગણી શકાય નહીં.

તેલની મીલોનું શું થશે?

જો તેલીબીયાંનુ ઉત્પાદન વધુ હોય તો તેના તેલોની નિકાસ કરો.

જો માટીના વાસણોનો ઘરવપરાશના, પ્યાલાઓ, થાળીઓ, કટોરાઓ, ગરમાઓ, તપેલાઓ, માટલાઓ, વિગેરેમાં ઉપયોગ થશે તો, ધાતુના વાસણોની ખપત ઘટી જશે તો તેના કારીગરો અને કારખાનાઓનું શું થશે?

ધાતુ એ એક કિમતી વસ્તુ છે. તે ધરતીમાં નવી ઉત્પન્ન થતી નથી. ધાતુઓનો વિદ્યુત ઉર્જાના વિતરણમાં બહુ જરુરી ઉપયોગ હોય છે. તેથી ધાતુના ઉદ્યોગમાં જેમકે તાર, ખીલીઓ, સ્ક્રુ, પટીઓ, પતરાઓ, યંત્રોની બનાવટ, તેના પૂર્જાઓ, સુશોભનની કળાકૃતિઓ બનાવવામાં ધાતુનો ઉપયોગ કરી શકાય. વૈજ્ઞાનિક સંશોધનોના ઉપકરણોમાં ધાતુનો અમાપ ઉપયોગ હોય છે જ. તેથી કારીગરોએ કારીગરી બદલવી પડશે. કોઈ બેકાર થશે નહીં.

માટીના વાસણો તો અવારનવાર તૂટી જશે. માટીના વાસણો બરાબર સાફ થઈ શકતા નથી. આથી શું સરવાળે તે મોંઘાં નહીં પડે શું?

ના. તે સરવાળે ખાસ મોંઘા નહીં પડે. માટીના વાસણો ઉપર ગ્લેઝ (સીરામીકના વાસણોને હોય છે તેમ) હોવાથી તે સરળતાથી સાફ થઈ શકશે. સ્થાનિક ઉત્પાદન હોવાથી તે વ્યાજબી ભાવે મળશે.

દરેક વ્યક્તિની વૃત્તિઓ અલગ અલગ હોય છે.

વૈજ્ઞાનિક બનવાની મનોવૃત્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી.

તત્વજ્ઞાની બનવાની મનોવૃત્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી.

ચિકિત્સક બનવાની મનોવૃત્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી.

કર્મચારી બનવાની મનોવૃત્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી.

ઘણાને ફક્ત ચિલાચાલુ કામ કરવાની જ વૃત્તિ હોય છે. નવું કામ કે અવનવું કામ કરવાની વૃત્તિ હોતી નથી. જેઓ કચરો વાળે છે તેમને જમીન ખોદવાનું કામ કરવું ગમતું નથી. જો કે કેટલીક વૃત્તિઓ શિક્ષણ દ્વારા બદલી શકાય છે.

દરેક વ્યક્તિમાં આનંદ પામવાની વૃત્તિ અચૂક હોય છે.

આનંદની પ્રાપ્તિ એ દરેકનું મુખ્ય ધ્યેય હોય છે. એટલે સરકારે અને અન્ય સંસ્થાઓએ કર્મચારીઓનો અપ્ટીટ્યુડ ટેસ્ટ એટલે કે માનસિક વલણની ચકાસણી કરતા રહેવું જોઇએ. અનુસંધાન માટે ”… નવ્ય સર્વોદય વાદ ભાગ-૧” અને “શું સરકાર ગરીબીને કાયમ રાખવા માગે છે? જુઓ

આ ફક્ત રુપરેખા છે. શક્ય રીતે સ્વાવલંબન તરફ જવાની દિશા છે. સ્વાવલંબનનો હેતુ, ઉત્પાદન અને વહેંચણીમાં પારદર્શિતા અને રસ્તાઓ ઉપર ઉત્પાદન ની હેરફેરને શક્ય રીતે ઓછામાં ઓછી કરવાનો છે જેથી ઉર્જા ઓછામાં ઓછી વપરાય.

સ્થાનિક ઉત્પાદનને કારણે વપરાશની ચીજોની વૈવિધતા ઓછી થશે તેનું શું?

અવારનવાર થતા મેળાઓ આ સમસ્યાનો આંશિક ઉકેલ છે. વપરાશની ચીજોની વૈવિધતા એ ખરો આનંદ નથી. ખરો આનંદ પર્યટન, જ્ઞાન અને તંદુરસ્તી છે.

ચમત્કૃતિઃ

કિશોરીલાલ મશરુવાળા જ્યારે નાના હતા ત્યારની વાત છે.

અમદવાદથી મુંબઈ બે રેલ્વેગાડી જતી હતી.

એક વહેલી સવારે જાય. તે ગાડી બધા જ સ્ટેશનોએ ઉભી રહે. અને મોડી સાંજે મુંબઈ પહોંચે. આ ટ્રેનમાં ટિકિટભાડું ઓછું.

બીજી એક ટ્રેન રાત્રે ઉપડે. અમુક સ્ટેશનોએ જ ઉભી રહે. સવારે મુંબઈ પહોંચે. એટલે કે ઓછો સમય લે. આ ટ્રેનમાં ટિકિટભાડું વધારે.

બાળ કિશોરીલાલ મશરુવાળાને આ વિચિત્ર લાગ્યું.

જે ટ્રેન દિવસે ઉપડે છે તે બધા જ સ્ટેશનોએ ઉભી રહે છે. તમને સ્ટેશને સ્ટેશને ઉતરવા મળે છે. દરેક સ્ટેશનને જોવાનો આનંદ લઈ શકો છો. દિવસના સમયમાં ચાલુ ગાડીએ તમે બહાર બધું જોઇ શકો છો. તમને વધુ સમય ટ્રેનમાં બેસવા મળે છે. આ બધા ફાયદાઓ હોવા છતાં પણ તેનું ટિકિટભાડું ઓછું છે.

જે ટ્રેન રાત્રે ઉપડે છે. અમુક સ્ટેશનો ઉપર જ ઉભી રહે છે, સ્ટેશને સ્ટેશને ઉતરવા મળતું નથી, તમને રાત્રે ન તો સ્ટેશનો કે નતો ખેતરો કે જંગલ કે ગામના મકાનો કે માણસો કે કશું પણ જોવા મળતું નથી, રાત્રે કશો આનંદ મળતો નથી. ઓછો સમય ટ્રેનમાં બેસવા મળે છે, છતાં પણ આ ટ્રેનનું ટિકિટભાડું વધારે છે. આવું કેમ?

આનંદ માટેની મુસાફરી આવકાર્ય હોવી જોઇએ.

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ કાચો માલ, સ્રોત, મકાન, વ્યવસાય, સંકુલ, રહેઠાણ, ગ્રામ્ય, શહેરી, નવસંરચના, જમીન, ફાજલ, ઉત્પાદન, વૃક્ષ, બહુમાળી, ઔદ્યોગિક, ઉત્પાદન, ઉર્જા, પશુ, કોલસો, પવનચક્કીઓ, સૂર્યપ્રકાશ, ખાદી, કાંતણ, વણાટ, ડ્રેસકોડ, મોરારજી દેસાઈ, ઈન્ડીયા ફર્સ્ટ, તેલઘાણી, માટી, વાસણ, વૃત્તિ, આનંદ

Read Full Post »

શું સરકાર ગરીબીને કાયમ રાખવા માગે છે?

હાજી ઘણા મૂર્ધન્યો અને દંભી માનવ અધિકાર વાદીઓ આવું જ કરવા માગે છે જેથી તેમને ખરીદી શકાય અને પોતાની સંસ્થાનો કારભાર ચાલુ રાખી શકાય.

આમ તો માંદગી અને ગરીબી કોઈને ન ગમે. પણ ઘણી વ્યક્તિઓ એવી હોય છે કે જેમને પોતાની માંદગીની વાતો કરીને અપાર આનંદ મળતો હોય છે. ઘણા પૈસાપાત્ર લોકોનો આ એક શોખ હોય છે કે તેઓ પોતાની માંદગી અને દવાઓની વાતો સંભળાવ્યા કરે. પણ આ બધી માંદગીની વાતોમાં માંદગી ની વાત મૂખ્ય નથી હોતી. તેમાં થતા ખર્ચા પ્રત્યે પોતે કેવા સદ્ધર છે તે બતાવવું મુખ્ય હોય છે. જ્યારે માંદગી અતિગંભીર હોય ત્યારે તેજ વ્યક્તિમાં માંદગીની ચર્ચા કરવાના હોંશ રહેતા નથી.

આવું જ ગરીબીનું છે. ખાધે પીધે બહુ તકલીફ ન હોય તેવા સરખે સરખા લોકો પણ મોંઘવારીની વાતો કરતા હોય છે. પણ જ્યારે પૈસાની અત્યંત તકલીફ હોય ત્યારે તેમને હર્ષપૂર્વક પૈસાની તંગીની વાતો કરવાના હોંશ હોતા નથી.

અંગ્રેજોના સમયમાં ગુજરાતમાં અને દેશમાં ગરીબી હતી તે સમજી શકાય છે.કારણ કે તેઓ આપણો કાચો માલ દેશમાંથી નિકાલ કરતા હતા અને બનાવેલો માલ દેશમાં લાવીને વેચતા હતા. દેશનો પૈસો બહાર ઢસડાઈ જતો હતો. એ વાત ઉપર ભાર દઈને મહાત્મા ગાંધીએ સ્વદેશીની ચળવળ ચલાવેલ. વિદેશી માલનો બહિસ્કાર કરવાની પણ ઝૂંબેશ ચલાવેલ. વિદેશી માલના બહિષ્કારની ચળવળ તે વખતના ઘણા મૂર્ધન્યોના અને મહાન નેતાઓના સમજમાં ન આવેલ. તેઓના નામ આપવા જરુરી નથી. પણ તેમને અંતે તો એ વાતનો ખ્યાલ આવેલ કે મહાત્મા ગાંધીમાં આજનું, કે કાલનું જ નહીં પણ આવનારા ભવિષ્યના અનેક દિવસોનું દેશનું હિત વિચારવાની દૃષ્ટિ હતી.

ગાંધીજીનું અર્થશાસ્ત્ર એક સાંકળ જેવું છે. તે સાંકળને તમારે સ્વિકારવી હોય તો તેને તમારે આખે આખી સ્વિકારવી જોઇએ. જો તમે આમ કરો તો જ તમને તેના ઉત્કૃષ્ટ ફળ મળે. જો તમે તેની અમુક કડીઓને ન સ્વિકારો તો તે સાંકળ તૂટી જાય અને તમને ઉપયોગી ન જ થાય. તમને ખરાબ પરિણામો મળે અને અંધાધુંધી પણ મળે.

ભૂતકાળની વાત કરવાનો કશો અર્થ નથી. પણ ભૂતકાળની ભૂલોને યાદ ન રાખીએ અને તેને દૂર ન કરીએ તો તેનું પુનરાવર્તન થાય. જો આર્ષ દૃષ્ટિ હોય તો નવી ભૂલો ન થાય.

કુદરતી અધિકાર શું છે?

જીવવાનો અધિકારઃ મારો, તમારો અને સૌનો. સૌનો એટલે વધુ વિશાળતાથી અને પરિપક્વ સંવેદનાથી વિચારીએ તો પશુ, પક્ષીઓ, જીવ, જંતુઓ  અને વનસ્પતીઓ પણ આવી જાય. જોકે પ્રાથમિકતા મનુષ્યના જીવવાના અધિકારની આવે છે. બને ત્યાં સુધી મનુષ્ય સમાજને આપત્તિ ન આવે ત્યાં સુધી બીજા સૌ પ્રાણીઓને પણ જીવવાનો અધિકાર છે. તેથી મનુષ્ય જાતિએ સજીવોના જીવવાના અધિકારને રક્ષવો જોઇએ.

આનંદનો અધિકારઃ મારો તમારો અને સૌનો. પણ મનુષ્ય સિવાયના પ્રાણીઓમાં આનંદ માટે ખોરાક છે અને ક્યાં ક્યાંક ખોરાક અને પ્રેમ છે. વસુધૈવ કુટુંબકમ્‌.

અયં નિજઃ (અયં) પરઃ વેત્તિ, ગણના લઘુચેતષામ્‌

ઉદારચરિતાનાં, તુ વસુધૈવ કુટુંબકમ્‌

(આ મારો છે, આ પારકો છે, આવું જે વિચારે છે તે સંકુચિત મન વાળો છે. જેનું મન વિશાળ છે તેને માટે તો આખી ધરતી ઉપરના સૌ કોઈ કુટુંબીજન છે.)

સુરક્ષા અને જ્ઞાનઃ

મનુષ્ય એક એવું પ્રાણી છે જે વિશ્વ અને તેમાં બનતા બનાવો વિષે વિચારે છે. અને તેને સમજવાની કોશિસ કરે છે.

એટલે મનુષ્યને માટે બીજી બે વસ્તુઓ છે જે તેને આનંદ આપે છે.

(૧)સગવડ અને સુરક્ષિતતા, (૨) જ્ઞાન.

સગવડ અને સુરક્ષિતતા માં અન્ન, વસ્ત્ર અને રહેઠાણ આવી જાય. અને જ્ઞાનમાં શિક્ષણ અને સંશોધન આવી જાય.

સગવડ અને સુરક્ષિતતા માટે માનવ સમાજે કાળક્રમે ઠેરવ્યું કે રાજ્ય આનું ધ્યાન રાખશે જેથી સમાજમાં સુલેહ શાંતિ જળવાઈ રહેશે. અને જ્ઞાન (શિક્ષણ) પણ જો સમાજ આપશે તો તેની વૃદ્ધિમાં વેગ આવશે. કારણ કે ફક્ત વિચારો કરવાથી વિશ્વને સમજવાનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી અને તેમાં વૃદ્ધિ થઈ શકતી નથી. તેને માટે બીજા જ્ઞાનીઓની મદદ લેવી પડે છે. ઉપકરણોની પણ જરુર પડે છે.

જ્ઞાન માટેના ઉપકરણોનો પણ વિકાસ

જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના ઉપકરણો આપણી સુખ સગવડો અને સુવિધાઓ વધારવા માટે પણ વાપરી શકીએ છીએ. થયું એવું કે આ ઉપકરણોનો મોટાભાગનો ઉપયોગ સુખસગવડો અને સુવિધાઓ વધારવા માટે થયો.

એવી જાતની સમાજ રચના મંજુર રાખી કે જેમાં વ્યક્તિ કેન્દ્ર સ્થાને રહ્યો અને કાયદાઓ પણ એવા થયા કે જે મનુષ્યેતર પ્રાણી સૃષ્ટિમાં અલિખિત રુપે ચાલે છે કે જે પ્રાણી સક્ષમ હશે તે જ ટકી શકશે એટલે કે સક્ષમ પ્રાણીની પ્રજાતિ જ જીવન રુપી આનંદ મેળવી શકશે.

મનુષ્ય સૃષ્ટિમાં પણ એવું થયું કે જે સક્ષમ હશે તે જ સુખસગવડ ભોગવી શકશે. કાયદાઓ પણ ક્ષતિયુક્ત એવા થયા કે સિદ્ધાંત એવો થયો કે મનુષ્યની સ્વતંત્રતાને હાની થશે નહીં, સિવાય કે તેની સ્વતંત્રતા ભોગવવાની પદ્ધતિથી બીજાના અધિકારને નુકશાન થતું હોય.

ક્ષતિયુક્ત અર્થઘટનો અને પ્રણાલીઓ

તમે જુઓ સેંકડો ઉદ્યોગો પર્યાવરણના સંતુલનને, જમીનને, જળને  અને હવાને નુકશાન પહોંચાડી આસપાસના લોકોના આરોગ્યને નુકશાન પહોંચાડી રહ્યા છે. તમારે ઉદ્યોગ કરવો હોય તો હજાર જાતની મંજુરીઓ લેવી પડે છે. અને આ મંજુરીઓ પણ હંગામી હોય છે. જે તમારે બે પાંચ વર્ષે ફરીથી મંજુર કરાવવી પડે છે. આવું હોવાં છતાં જમીન, પાણી અને હવા દુષિત કર્યા કરવામાં આવે છે.

દુષિત હવા, પાણી ઉપર જીવનારાઓના આરોગ્ય ઉપર જોખમાય છે. તેમના જીવવાના હક્કને હાની પહોંચે છે. પણ આરોગ્ય ખાતું ઉદ્યોગપતિની ધરપકડ કરીને જેલમાં પૂરીને સજા નક્કી કરાવવાને બદલે તેને નોટીસ આપે છે અને કાર્યવાહી પ્રલંબિત કરે છે. જ્યાં સુધી કોઈ મોટો કાંડ ન થાય ત્યાં સુધી કશું અસરકારક થતું નથી. આમાં આરોગ્ય ખાતાના સરકારી નોકરો, પોલીસ, લેબર કમીશ્નર, ન્યાયાલય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની મીલીભગત હોય છે.

ઉદ્યોગપતિ શામાટે માનવીય આચાર સંહિતાનો ભંગ કરે છે?

ઉદ્યોગપતિ સમજે છે કે સક્ષમ બનવું એટલે વધુ પૈસા કમાવા અને વધુ પૈસા વાપરવા. પૈસા હશે તો કાયદાના અર્થઘટનોમાં ગુંચવાડો ઉભો કરી શકાશે. પૈસા હશે તો સરકારી નોકરો પાસે કાયદાકીય પ્રણાલીઓમાં છીંડા ઘુસાવી, દંડમાંથી છટકી શકાશે. પૈસા હશે તો પ્રતિસ્પર્ધીઓની સામે ટકી શકાશે. એટલે જો પૈસા કમાવા હોય તો વધુ ને વધુ નફો કરો. વધુ નફો કરવાના અનેક અમાનવીય રસ્તાઓ છે.

પૈસાનું મહત્વ અને સમસ્યાની સ્થિતિ “જૈસે થે” જેવી

સુખસગવડ અને સુવિધાઓ અને પૈસા કેટલા વધારવા જોઇએ તેની કોઈ કાયદાકીય સીમા નથી. કારણ કે આવી સીમા વ્યક્તિની સ્વતંત્રતાને હાની પહોંચાડે છે. કાયદાનો જે ભંગ થાય છે તેને અટકાવવા તો પ્રજાએ જ જાગૃત થવું પડશે. કાયદો કાયદાનું કામ કરે તે પ્રજાએ જોવું પડશે. સરકારી નોકરો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ કામ નહીં કરે કારણ કે તેઓ પણ પ્રજામાંથી જ આવે છે. એટલે ઓળાઘોળ કરી સમગ્ર પ્રજા ઉપર દોષનો ટોપલો નાખી પ્રસાર માધ્યમના વિશ્લેષકો, મૂર્ધન્યો, વિવેચકો, રાજનીતિજ્ઞો પોતાની જાત પ્રત્યે ધન્યતા અનુભવે છે. એટલે મૂળવાત જ્યાં હતી ત્યાંની ત્યાં જ રહે છે.

જો સત્તાધારીઓ પાસે માનવીય અભિગમ હોય તો કોઈપણ પ્રણાલી કામ કરશે. પણ જો સત્તાધારીઓ પાસે માનવીય અભિગમ નહીં હોય તો કોઈ પણ પ્રણાલી કામ કરી શકશે નહીં. આનો જીવતો જાગતો દાખલો માહિતિ અધિકારને લગતો છે. કાયદો તો ભૂલભૂલમાં થઈ ગયો. પણ હવે તેને કેવી રીતે તદન નહોર વગરનો કરવો અને તે પણ રાજકીય પક્ષો માટે, એ આપણે જોઈ રહ્યા છીએ.

પણ આનો ઉપાય શું?

શ્રમનું મૂલ્ય અને ઉત્પાદનનું મૂલ્ય

આનો ઉપાય છે. બે ઉપક્રમ છે.

એક તો ઓછીને ઓછી દોષયુક્ત સરકાર લાવ્યા કરવી. અને શ્રમનું મહત્તમ અને લઘુતમ મૂલ્ય નક્કી કરવું.

નહેરુવીયન કોંગ્રેસ સરકારે ૫૬+ વર્ષના શાસન પછી પણ શ્રમનું લઘુતમ અને મહત્તમ મૂલ્ય કે કોઈપણ મૂલ્ય નક્કી કર્યું નથી. જો માનવીય શ્રમનું જ મૂલ્ય નક્કી થતું ન હોય તો બીજા ઉત્પાદનના મૂલ્યોની તો વાત જ શી થાય?

કોલસાના ક્ષેત્રો અપાયા અને શરતો નક્કી થઈ પણ તે ક્ષેત્રો એવી વ્યક્તિઓને અપાયા જેની કોઈ યોગ્યતા ન હતી. અને આ ક્ષેત્રો એ વ્યક્તિઓ દ્વારા બારોબાર વેચાઈ ગયા. કોલસો નિકળ્યો નહીં અને ૪૦૦ વર્ષ ચાલે એટલો કોલસો હોવા છતાં પણ કોલસાની આયાત કરવાની પરવાનગીઓ આપવામાં આવી. ૨-જી સ્પેક્ટ્રમ જે માટે વધુ તકનિકી જાણકારીની યોગ્યતા ખાસ જરુરી હતી પણ એવી પૂર્વ શરત રાખવામાં ન આવી અને ટોમ-હેરી-ડીકને વહેંચી દેવામાં આવી અને તેમણે બારોબાર ત્રીજાને વેચી દીધી.

 શું કાયદામાં આવી જોગવાઈ છે કે તમે મનફાવે તેમ ગમે તેને કોન્ટ્રાક્ટ આપી શકો? નાજી આવું કશું નથી. આમ તો મૂડીવાદી પ્રક્રિયામાં જો ટેન્ડર બહાર પાડો ત્યારે તેને ભરનારાની યોગ્યતા નક્કી કરવી પડે છે. તેનો અનુભવ લક્ષમાં લેવો પડે. તેની પાસેથી બાનાની રકમ લેવી પડે. અને આ બધું કર્યા પછી પણ આવેલા ભાવ જો બજારભાવ સાથે સરખામણી કરવા યોગ્ય ન હોય તો એને સ્વિકારી શકાતા નથી. વળી જો આવા જ કામ માટે એક વરસ પહેલાં ભાવ મગાવ્યા હોય અને તે ભાવનું ટેન્ડર અમલમાં હોય તો પણ સરકારી અધિકારી તે ભાવને મંજુર ન કરી શકે કારણ કે બજારભાવ જો ઓછા કે વધુ થઈ ગયા હોય તો જનતાનું હિત જળવાય તે પ્રમાણે ભાવ મંજુર કરવા જોઇએ. આ તો બહુ સામાન્ય સિદ્ધાંત છે. જો કોઈ સરકારી અધિકારી આ નિયમને અવગણો તો તે ગુનેગાર જ ગણાય. પણ આપણા મનમોહન સિંહ કે જેઓ દરેક ખાતા માટે ઉત્તરદેય અને જવાબદાર છે તેમણે સામાન્ય નિયમની પણ અવગણના કરી.

અધિકારીને પોતાના હોદ્દા અનુસાર કામ અને વસ્તુઓના સંપાદન-વહીવટ કરવા માટે આર્થિક સત્તા હોય છે પણ આ સત્ત્તા મનફાવે તેમ ઉપયોગ કરવાની હોતી નથી. આ સત્તા શુદ્ધ બુદ્ધિ અને વિવેકશીલતાના આધારે વાપરવાની હોય છે.

આખરે બધી સત્તા પ્રધાન અને વડાપ્રધાન સહિતના પ્રધાનમંડળ પાસે હોય છે. આ સત્તા થકીના નિર્ણયો પણ શુદ્ધ બુદ્ધિ અને વિવેકશીલતાના  આધારે કરવાના હોય છે. વડાપ્રધાન પાસે એવી સત્તા નથી કે તે તેના કોઈ પ્રધાનને મુનસફ્ફી પ્રમાણે નિર્ણયો કરવાની સત્તા આપી શકે. જો વડાપ્રધાન આવી સત્તા આપે તો ગેરબંધારણીય ગણાય. વડાપ્રધાન તેની બંધારણીય જવાબદારીમાંથી છટકી ન શકે. વળી જો તેના પ્રધાને શુદ્ધબુદ્ધિ અને વિવેકશીલતા વાપર્યા વગર નિર્ણય કર્યો હોય તો તેવા કિસ્સામાં વડાપ્રધાન પણ તે પ્રધાન જેટલો જ ગુનેગાર ગણી શકાય. જે કાર્યવાહી અને સજા પ્રધાનને થાય તેજ કાર્યવાહી અને સજા વડાપ્રધાનને થાય. આમાં કોઈ શક નથી. ૨-જીમાં અને કોલસા કૌભાંડમાં દિવા જેવી સ્પષ્ટ ગેરરીતિ થઈ તો પણ વડાપ્રધાનને આંચ ન આવી તે જ બાબત સિદ્ધ કરે છે કે અર્થઘટનમાં બેઈમાની આચરવામાં આવી. એટલે કે પ્રણાલી પોતે ક્ષતિહીન હોવા છતાં પણ પ્રણાલીને લાગુ કરવાની બાબતમાં રહેલી આચાર હીનતાને સમાચાર માધ્યમોએ અને સૌ કોઈએ વિવાદાસ્પદ બનાવી દીધી.

કામમાં રહેલા શારીરિક શ્રમના વપરાશ, જ્ઞાનરુપી શ્રમના વપરાશનું મૂલ્ય કેવી રીતે નક્કી કરશો?

પહેલાં તો આપણે એ નક્કી કરવું પડે કે માણસને સુખ સગવડ, આનંદ અને સુરક્ષા સહિત જીવવા માટે ઓછામાં ઓછા કેટલા પૈસા જોઇએ. આના આધારે મનુષ્યના આઠ કલાકના કામના શ્રમનું લઘુતમ મૂલ્ય નક્કી કરવું જોઇએ.

માણસને શું શું જોઇએઃ

રહેવાને ઘર જોઇએ. કેવડું ઘર જોઇએ? એક બેઠક રુપ, એક બેડરુમ, એક વાચન અને બાળકો માટેનો રુમ. એક મહેમાન માટેનો બેડ રુમ, રસોડું બાથરુમ અને સંડાસ. જો તમે સ્ટન્ડર્ડાઈઝ બાંધકામ કરો તો ૧૫’બાય૧૫’ ના ચાર રુમમાં બધો સમાવેશ થઈ જાય. એટલે કે ૧૦૦ ચોરસ મીટરનું મકાન (ફ્લેટ એટલે કે એપાર્ટમેન્ટ) જોઇએ. જો કોઈની પાસે આનાથી નાનું હોય તો તેના હાલના ઘરનો કબજો લઈ તેને સરકારે આવડું એપાર્ટમેન્ટ આપવું જોઇએ.

જો તમે ફેબ્રીકેટેડ ટાવર (બહુમાળી મકાન) બનાવો તો ઉપરોક્ત રહેઠાણ ઓછામાં ઓછું ૧૦ લાખ રુપીયામાં પડે. આમાં દિવાલો અને પેસેજ આવી જાય. સરકાર ફક્ત બહારની દિવાલો સાથે ૧૫’x૧૫’ ના ચાર ગાળાઓ જ આપશે.

એક કુટુંબમાં કોણ કોણ હોઈ શકે. પતિ પત્ની, બે બાળકો, અને માતા પિતા. પતિ-પત્ની બંને કમાતા હશે. અને માતા પિતાને પેન્શન આવતું હશે.

એક વ્યક્તિની આવક કેટલી હોવી જોઇએ? એક વ્યક્તિની માસિક આવક ઓછામાં ઓછી રૂ.૧૦,૦૦૦/- હોવી જોઇએ. એટલે એક કુટુંબની આવક રૂ.૩૦૦૦૦/- થઈ.

જોકે ઘણાને આ આવક વધારે પડતી લાગશે. પણ સુખપૂર્વક અને આનંદથી જીવવા માટે આ કંઈ વધારે ન જ કહેવાય. વળી આમાં પણ કામ પર જવા માટેના વાહનવ્યવહાર, માંદગીનો ખર્ચ અને ભણતરનો ખર્ચ સરકાર કે કામ આપનાર માલિક જ ભોગવશે.

પણ આટલા પૈસા લાવીશું ક્યાંથી?

ભારતમાં કુદરતી શ્રોતોની કમી નથી. માળખા કીય કામ તો ન બરાબર છે. આપણી પાસે વૃક્ષ વગરના પર્વતો છે. અફાટ સમુદ્ર છે. બાંધેલા કિનારા વગરની (રીવર ફ્રન્ટ વગરની) નદીઓ છે, કે જેમાંની ઘણી છીછરી છે, ઝોંપડ પટ્ટીઓ છે, પડું પડું થતા જુના મકાનો છે. સુકા, છીછરા બાંધ્યા વગરની કિનારી વાળા તળાવો છે, ન ખતમ થાય તેવી સૂર્ય અને પવન ઉર્જા છે, અફાટ રણ છે. રેલ્વે અને રસ્તાની બંને બાજુએ જોવા મળતા, વપરાયા વગરના જમીનના ટૂકડાઓ છે. વિકસાવ્યા વગરના અને વિકસાવી શકાય તેવા અગણિત પર્યટન સ્થળો છે. પોતાના પૂરથી લોકોને તબાહ કરતી નદીઓ અને સાથે સાથે મોટેભાગે કાયમ સૂકી રહેતી નદીઓ છે. પાણીની તંગી છે, જનતા ટ્રેનોમાં દબાઈને લટકીને મુસાફરીઓ કરેછે, ભણેલા બેકાર છે અને કામવગરના અભણ પણ છે. અનેક સમસ્યાઓ છે. પણ વાસ્તવમાં જોઇએ તો સમસ્યા એ પણ એક શ્રોત(કાચોમાલ)  અને કામ છે. વિજ્ઞાન ના વિકાસ માટે અસીમિત કામ છે. જ્યાં નજર દોડાવો ત્યાં કામ અને કામ છે.  એટલે જો કોઈ એમ કહે કે કામ નથી તો તે સૌથી મોટું જુઠાણું છે અથવા તો તે જૈસે થે ની સ્થિતિ ચાલુ રાખવામાં માને છે એટલે કે ભાગ લેતો કે ન લેતો જાણે અજાણે ઠગ છે.

તમે કહેશો કે કામ માટે પૈસા જોઇએ. પૈસા ક્યાં છે? પણ અર્થ શાસ્ત્રીઓ કહે છે કે કામની સામે તમે કરન્સી છાપી શકો છો. અને જેમ કરન્સીની પ્રવાહિતા વધે તેમ ઓછી કરન્સી જોઇએ. એક માણસની પાસે રહેલા ૧૦૦ રૂપીયા, જો ફરતા રહે તો કમસે કમ ૫૦૦૦ રૂપીયાનું કામ કરી શકે. વળી તમે જુઓ, વિદેશી બેંકોમાં ભારતીયોના ચારસો લાખ કરોડ રૂપીયા પડ્યા છે. આ બધા રૂપીયા આવ્યા ક્યાંથી?

શ્રમનું મહત્તમ મૂલ્ય કેટલું રાખવું જોઇએ?

આમ તો મારા સર્વોદયી મિત્ર બંસીભાઈ પટેલ ના કહેવા પ્રમાણે થોડી અસમાનતા તો રહેવાની જ. પણ આ અસમાનતા સંવાદહીન  બને તેટલી ન જ હોવી જોઇએ. એટલે કે હાથની આંગળીઓની જેમ અલગ અલગ તથા હળીમળીને પણ કામ કરી શકે તેટલી અસામનતામાં ખાસ વાંધો નથી. વ્યક્તિઓ સંવાદહીન કેવી રીતે બને છે. એકલતા (આઈસોલેશન) માણસને સંવેદનહીન પણ કરે છે. પહેલાંના સમયમાં જીવનની મોટાભાગની જરુરીયાતો માટે ગામ સ્વાવલંબી હતા એટલે ભાવો વધતા ન હતા. હવે માણસ આઈસોલેટેડ બન્યો હોવાથી સંવેદનહીન બન્યો છે. વસ્તુનું મૂલ્ય, લેનારની ગરજ અને વેચનારની ગરજના પરિણામી સ્વરુપ ઉપર આધાર રાખતું થયું છે. આનું એક શાસ્ત્ર તૈયાર થયું છે. વેચાણ વૃદ્ધિ પ્રબંધન શાસ્ત્ર. અને તેની સામે ઉપભોગતા હિત પ્રબંધન શાસ્ત્ર. અને આ બે બિલાડીઓને ન્યાય આપનાર સરકારી નોકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલ વાનર ન્યાય પ્રબંધન પ્રણાલી છે.

શ્રમનું મૂલ્ય અને ઉત્પાદનનું? મૂલ્ય કોની ગરજ વધારે છે?

ટૂંકમાં જો તમે મહત્તમ શ્રમ મૂલ્ય નક્કી કરો તો ગેરમાર્ગે જતી કરન્સીની સ્થગિતતાને કે ગેરમાર્ગે જતી કરન્સીની પ્રવાહિતાને નાથી શકો છો અને તેને યોગ્ય દીશામાં વાળી શકો છો.

એટલે કે સમસ્યાની મૂળ વાત એ છે કે શ્રમનું મહત્તમ મૂલ્ય શું હોવું જોઇએ?

આ નક્કી કરવા માટે કેટલાક પરિબળોને લક્ષ્યમાં લેવા પડે.

કોણ લૂંટ કરે છે? અને કોને અમાપ પૈસા જોઇએ છે?

ઉત્પાદન કરનારા માલિઓને વધુને વધુ નફો જોઇએ છે કે જેથી તેઓ ધંધાનો વિકાસ કરી શકે અને સુખ સગવડો પણ ભોગવી શકે અને તેમના સંતાનો પણ આમ જ કરી શકે. તેઓ સંતાનોને તેની આવતી પેઢીઓને પણ નિશ્ચિંતતા બક્ષી શકે એટલું કમાવા માગે છે.

માણસે કેટલો નફો કરવો જોઇએ?

જો તમે ધંધો કરતા હો તો, આયકર વિભાગવાળા તમારી આવક ઉપર ૮ ટકા નફો તો ગણી જ લે છે. તમે કહેશો કે જો પૈસા ઉપર વરસે ૧૦ ટકા વ્યાજ મળતું હોય તો ૮ ટકા વાળો ધંધો કરશે જ કોણ?

પણ વાસ્તવમાં જો તમારી પાસે રૂ. ૧૦૦ હોય અને તમે તેને ઉત્પાદનમાં પ્રવાહિત કરો તો તમને ૮ ટકા મળે છે. એટલે તમારી ધંધાકીય સીમાની અંદર ભલે તે પ્રવાહિતા સમગ્ર દેશના પૈસાની પ્રવાહિતા જેવી એટલે કે ૫૦ ગણી ન હોય. પણ તે ૪ ગણી તો હોય જ. એટલે કે રૂ.૧૦૦૦ ના ટર્નઓવર ઉપર ઉત્પાદકને ૮૦ રૂપીયા મળે.

કરન્સીની પ્રવાહિતતા ચાર ગણી કઈ રીતે?

આપણે કેટલા માનવ દિન વપરાય છે તે જોઇએ

૧      માનવ અને કાચામાલ નું પ્લાનીંગ અને હેરફેર       ૫

૨      કામનું પ્લાનીંગ અને કામની વહેંચણી                ૧

૩      કામ ચાલુ   ૧૨x૭                                  ૮૪

૪      કામની ચકાસણી                                       ૭

૫      કામનું બીલ અને તેની ચૂકવણી માટે રજુઆત        ૧

( ૬ દિવસ બીલની ચૂકવણીની રાહ જુઓ)

કુલ દિવસ મજુર દિવસ                                    ૯૬ દિવસ

આમાં ૧૨ દિવસ મુકાર્દમના છે, જેમાં ૫ દિવસ મજુરની ગોઠવણના છે. ૬ દિવસ કામની દેખરેખના છે. ૧ દિવસ રજાનો છે. બાર મજુરો એક અઠવાડીયા માટે અને એક દિવસ રજાનો એટલે ૧૨ મજુરો સાત દિવસ માટે એમ ચુકવણી માટે ૮૪ દિવસ થયા.

મેનેજરના બે દિવસ છે. અને ૧૨ માનવ ના અઠવાડીયાના લેબર ૮૪ દિવસ છે.

આ વધુમાં વધુ સમય છે. ૧૨+૨ =૧૪ દિવસ અનુત્પાદક અને વહીવટી કામમાં ગયા. જે બીજા કામોમાં વપરાઈ શકે છે. તો પણ ૧૪ એટલે કે ૧૭ ટકા માણસો નિરીક્ષણ અને નિપૂણતામાં રોક્યા. જે બુદ્ધિનો ઉપયોગ કરે છે તે ઓછામાં ઓછા ૧૨ કલાક કામ કરે છે. જે મેનેજર છે તે બુદ્ધિનો ઉપયોગ સુવાના સમયને બાદ કરતાં બધા સમય માટે કરે છે. છતાં આપણે સમજો કે તે ૧૫ કલાક કામ કરે છે.

એટલે જો લેબરને ૧૦ હજાર મળે તો નિરીક્ષકને ૨૦ હજાર સુધી આપી શકાય. મેનેજરને ૪૦ હજાર આપી શકાય. જનરલ મેનેજરને ૬૦ હજાર આપી શકાય. અને પ્રમુખ મેનેજરને ૮૦ હજાર સુધી આપી શકાય. જેમણે પૈસા અને સાહસ રોક્યાં છે તેમને એક લાખ રૂપીયા આપી શકાય અને તેની ઉપર નફો પૈસા રોકાણકર્તાઓમાં વહેંચી શકાય. 

ધારો કે સ્ટેજ હજી એક વધુ છે તો ૧૭ ટકાના ૧૭ ટકા એટલે કે ૧ ટકો જનરલ મેનેજરનો ઉમેરાય. એટલે કે ૧૮ ટકા માનવ શક્તિ થાય. એટલે કે ૨૦ ટકા સમય વહીવટી કામમાં ગયો. આ ગાળો સમયનું પ્રબંધન યોગ્ય રીતે કરીને ઘટાડી શકાય છે. જો કામ મોટું હોય તો પણ આ પ્રમાણ ઘટે. એટલે કે જેમ સંસ્થા મોટી તેમ વહીવટ ખર્ચ ઘટે અને પગાર સારો આપી શકાય.

જોકે સરકારના ધારાધોરણ અલગ છે. સરકાર જો પોતે કોઈ એક કામ કોન્ટ્રાક્ટ ઉપર લે અને બીજાને તે જ કામ સબકોન્ટ્રાક્ટ આપે તો તે વ્યક્તિગત કેસમાં સરકાર, ૪૦ ટકા ચૂકવણું પોતાની પાસે રાખે અને અને સબકોન્ટ્રાક્ટરને ૬૦ ટકા આપે. પણ જો તે કોઈ સંસ્થાને આ કામ આપે તો તેને ૮૦ ટકા આપે. અને ૨૦ ટકા ચૂકવણું પોતાની પાસે રાખે.

કોઈપણ વ્યક્તિ વધુમાં વધુ કેટલી કમાણી કરી શકે? કોઈપણ વ્યક્તિ વધુમાં વધુ કેટલા મોટા ઘરમાં રહી શકે?

જો કમાણીમાં નીચેની સીમા હોય તો ઉપરની સીમા પણ હોવી જોઇએ.

માણસની શ્રમ મૂલ્ય ઉપર આધારિત કમાણી માસિક એક લાખ કરતાં વધુ ન હોવી જોઇએ. જો કે આ એક લાખમાં ઘરનું ભાડું, કામ અર્થે કરાતો વાહનવ્યવહાર, દૂરસંચાર, વીજળી, પાણી, કુકીંગ ગેસ, ફર્નીચર અને રસોઈના ઉપકરણોનો સમાવેશ ન થવો જોઇએ. એટલે કે નોકરીની શરતોમાં આ સગવડ મફતમાં મળતી હોય તો તેને આવકમાં ન ગણવી જોઇએ. તેવીજ રીતે જેને આ સગવડો મફતમાં ન મળતી હોય તેની આવકમાં તેને કર ઉપર આવકના ૨૦ટકાની કર રાહત મળવી જોઇએ. પણ કરમાળખાની વાતો પછી કરીશું

એક માણસ મોટામાં મોટું કેવડું ઘર રાખી શકે અને વાપરી શકે?

એક માણસને બે એન્ટ્રી રુમ, એક બેઠક ખંડ, એક પ્રતિક્ષા ખંડ, એક ચર્ચા ખંડ, એક વાચન ખંડ, એક પુસ્તક ખંડ, એક લેખન ખંડ, એક શયન ખંડ, તેના બે બાળકો માટે એક એક ખંડ, ત્રણ મહેમાન ખંડ, તેના માતા પિતા માટે બે ખંડ, બે કિચન ખંડ, બે ભોજન ખંડ, બે પ્રસાધન ખંડ, એક વ્યાયામ ખંડ, એક ઉપાસના ખંડ, એક સફાઈ ખંડ – વોશરુમ (ત્રણ વોશીંગ મશીનો અને ત્રણ ડીશ વોશર મશીનો), એક એસી રુમ, ત્રણ ગેરેજ, ત્રણ ગેલેરી. આમ ૨૪ રુમ થયા. ત્રણ ગેરેજ અને ત્રણ ગેલેરી એ ત્રણ દીશા ખુલ્લી હોય એવા એપાર્ટમેન્ટની આ વાત છે. પાંચ માળથી કોઈ ઓછામાળ વાળું મકાન બાંધવાની છૂટ્ટી ન હોવી જોઇએ. અને પાર્કીંગ ની સગવડ ફ્રન્ટ યાર્ડ કે બેક યાર્ડમાં ન હોવી જોઇએ. પાર્કીંગ મકાનની અંદર જ હોવું જોઇએ.ગેસ્ટકાર પાર્કીંગ પણ મકાનની અંદર જ હોવું જોઇએ.

આ મહત્તમ વ્યક્તિગત મકાનની વાત થઈ.

કોઈ કંપની તેના કામદારને મોટામાં મોટું કેવડું મકાન ભાડે આપી શકે?

એક પ્રવેશ ખંડ, એક પ્રતિક્ષા ખંડ, એક બેઠક ખંડ, એક ચર્ચા ખંડ, એક શયન ખંડ, એક સંતાન શયન ખંડ, એક મહેમાન ખંડ, એક કીચન, એક સફાઈ ખંડ, એક પ્રસાધન ખંડ, એક ગેલેરી, બે કાર પાર્કીંગ. એટલે કે ૧૦ ખંડ ગેલેરી અને કાર પાર્કીંગ થયા. બધા ખંડ ફુલ્લી ફર્નીશ્ડ રહેશે. નવા આગંતુકને કિચન નવું ફર્નીશ્ડ મળશે. પણ બીજા બધા રુમ માં ફક્ત કવરો જ બદલાવીને અપાશે. કંપની કે સરકાર બે કાર આપશે અને બે શોફર આપશે.

ખંડનું કદ કેટલું  રહેશે?

કોઈ પણ ખંડ ૧૫’ બાય ૧૫’ થી મોટો એટલે કે ૨૫ ચોરસ મીટર થી મોટો નહીં હોય. ૧૫’x૧૫’ ના ગાળાઓ જ આપાશે. તેને તમે એક વખત માટે મરજી પ્રમાણે વિભાગો પાડો. આમાં ફેરફાર કરાવવો હશે તો તેનો ખર્ચ કંપની કે સરકાર આપશે નહીં.

આથી મોટું રહેઠાણ કોઈને પણ ન તો સરકાર કે ન તો કંપની ભાડે આપી શકશે. એટલે કે કોઈને સ્વતંત્ર બંગલો મળશે નહીં. સંકુલમાં જ એપાર્ટમેન્ટ આપી શકાશે. આ સંકુલો બધી રીતે સુરક્ષિત હશે. આ પ્રમાણે, મોટા સરકારી અફસરો, પ્રધાનો, પ્રમુખો, ગવર્નરો, વિગેરે સૌ કોઈ આથી મોટા મકાનોમાં રહી શકશે નહીં. 

હવે બીજી વાત ને જોઇએ.

એક નિપૂણ કારીગર છે.

તે ૩૩.૩૩ ટકા માલની કિમત ઉપર મજુરી લે છે. તે રૂપીયા ૧૦૦૦૦/- ના કાચામાલ ઉપર ૩૩૩૩ રૂપીયા મજુરી લે છે.

એટલે કે બની ગયેલી આઈટેમની કિમત ૧૩૩૩૩ ઉપર મજુરીની કિમત ૩૩૩૩/- થઈ.

આ કામ તેણે ત્રણ દિવસમાં કર્યું. આમાં તેને એક મદદનીશ રાખવો પડ્યો. નિપૂણ કારીગરનો રોજ રૂ. ૧૧૧૧ થયો.

તેણે તેના મદદનીશને ૧/૩ ભાગ આપ્યો. એટલે કે મદદનીશનો રોજ ૩૭૦.૩૩ થયો. ૨૫ દિવસની તેની આવક ૨૫ ગુણ્યા ૩૭૦.૩૩ થઈ. એટલે કે રૂ. ૯૨૫૮.૩૩ થઈ. આને ૧૦ હજાર કરવા માટે ૭૪૨ ઉમેરવા પડે.

રૂ. ૧૩૩૩૩ માં ૭૪૨ ઉમેરો એટલે કે ૧૪૦૭૫ પાકા માલની કિમત થઈ. આમ પાકામાલની કિમતમાં લઘુતમ વેતન લાગુ પાડવા માટે માલની કિમતમાં સાડા પાંચ ટકાનો વધારો કરવો પડે. આ એક ટેબલ કે શેટી બનાવવાની વાત છે. જે હાલના બજાર ભાવ પ્રમાણે છે.

નિપૂણ કારીગરને શું મળે છે?  નિપૂણ કારીગરને રૂ. ૨૨૨૨/- ત્રણ દિવસના મળે છે. પણ તેનો એક દિવસ ગણત્રી કરવામાં, પ્લાનીંગ કરવામાં, મજુર નક્કી કરવામાં, લાકડું લાવવામાં ગયો. એટલે કે તેના ચાર દિવસ ગયા. તેને જે ૨૨૨૨ મળ્યા તેને ૪થી ભાગવા પડશે. એટલે કે તેને રૂ. ૫૫૫.૫ નો રોજ મળ્યો. એટલે કે માસિક ૧૩૮૮૮ મળ્યા કહેવાય. આ નિપૂણ કારીગર સમયનો પ્રબંધ યોગ્ય રીતે કરીને રૂ. ૧૫૦૦૦ કમાઈ શકે. જો તે ત્રણ કારીગર રાખે તો એક દિવસમાં કામ પૂરું થાય. તે દરેક કારીગરને ૩૭૦ લેખે ૧૧૧૧ રૂપીયા આપે. તો તેને પોતાને ૨૨૨૨ મળે. અને તેનો એક દિવસ માલસામાનની ગણત્રી અને હેરફેરમાં ગયેલ. એટલે તેને રોજના ૧૧૧૧ મળ્યા કહેવાય. એટલે કે ૨૫ દિવસના એને ૨૭૭૭૫ રૂપીયા મળ્યા. એટલે કે મહિનાના ૨૭૭૭૫ રૂપીયા મળ્યા.

પણ આ દરેક માટે હમેશમાટે શક્ય નથી. કારણ કે એવા પણ દિવસો આવે કે મજુર કારીગરને કામ ન પણ મળે. જો સરકાર એક નિરીક્ષક અને કામની વહેંચણીની એજન્સી તરીકે વ્યવસ્થા ગોઠવે તો છૂટક કામોમાં મજુરોને અને નિપૂણ મજુરોને કારીગરોને ફાયદો થાય. સરકાર ગુણવત્તાના ધોરણો નક્કી કરે તો ઘરેલુ કામોમાં કારીગરોને આજના બજાર પ્રમાણે પણ ફાયદો થાય. કારણકે મજુરોના પડતર દિવસો ઘટે.

આળસુ અને હળવા કામ જ પસંદ કરવાવાળા માણસોનું શું કરવું?

પાથરણા વાળા, લારી વાળા, સાવરણાવાળા, કોથળાવાળા, પૉલીશવાળા, અર્ધ ભિક્ષુકો અને પૂર્ણ ભિક્ષુકો જેવા લોકોને કેવી રીતે ઉંચા લાવવા?

ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી આ લોકો મહેનત કરવા માગતા નથી. જેઓ સાવરણાવાળા/ળી કે કોથળાવાળા/ળી છે તેમને પાવડા-ત્રીકમ ઉઠાવવા ગમતા નથી. જેઓ વેચાણ વાળા પાથરણાવાળા અને લારીવાળા છે તેમને પણ પોતાનું મહેનત વગરનું કામ બહુ ગમે છે. તેમને કોઈ આકાંક્ષા નથી, સિવાય કે વગર મહેનતે જે કંઈ પાંચ દશ પચીસ રુપીયા મળે તે તેમને પુરતું લાગે છે.

આમાંના જેઓ પરપ્રાંતના હોય છે તેઓ પાર્ટટાઇમ આ ધંધો કરે છે. અથવા તો કોઈ દુકાનદાર કે ફેક્ટરીનો માલ વેચે છે. જેઓના માબાપ અભણ છે તેમના અભણ સંતાનો પણ આ કામ કરીને માબાપને મદદરૂપ થાય છે. આ લોકો દ્વારા મોટા ભાગે ફેક્ટરીઓનો રીજેક્ટેડ કે ચોરેલો માલ વેચાય છે. તેઓ ફેક્ટરીઓના કે વેપારીઓના અર્ધકામગાર હોય છે. તેમને આ મહેનત વગરની નોકરી પસંદ હોય છે. અમુક રોંજીન્દી આઈટેમો દુકાનવાળાઓ, ફેક્ટરીવાળાઓ કે કબાડીઓ પાસેથી રોકડે કે ઉધાર લેવી, અને પછી તેને ફેલાવીને બેસી જવું અને આરામથી ઘરાકની રાહ જોવી અને તેના માલિકે કહેલા ભાવે કે થોડા વધારે ભાવે વેચવી. આવી નોકરી કોને ન ગમે? પોલીસવાળાને રોડનો કે એરિયાનો ગુન્ડો સંભાળી લે અને ગુન્ડાને માલિક સંભાળી લે, અને છાપાંવાળાને ગરીબીના બેલી માનવહિત રક્ષકો સંભાળી લે. અને કહે કે “… ભાઈ … આ લોકો ચોરી તો નથી કરતાને … પછી શું છે? સરકાર એમને નોકરી તો આપતી નથી તેથી નાનો નાનો ધંધો કરીને પેટનો ખાડો પૂરે છે…  તેઓ લૂંટફાટ નથી કરતા માટે તેમનો આભાર માનો….” 

આ લોકોને કેવીરીતે થાળે પાડી શકાય?

આ લોકોને જો ભણાવવામાં આવે તો તેઓ દેખા દેખીમાં ચોક્કસ સન્માર્ગે વળે.

જ્યાં પણ નવા વ્યાપારી સંકુલો બને તેમાં ગ્રાઉન્ડ ફ્લોરની ઉપર અલગ રીતે તેમના લારી ગલ્લા અને પાથરણા માટે સંક્રાન્તિ સમયપૂરતી જગ્યા ફાળવવી જોઇએ. તેમજ તેમને ભણાવવાની અને સુઈ જવા પુરતી જગ્યા આપવી જોઇએ. (જુઓ લારી ગલ્લા વિષેનો લેખ …… )

જેઓ પરપ્રાંતમાંથી હરાયા ઢોરની જેમ આવે છે તેમની ઉપર લઘુતમ વેતન નો નિયમ લાગુ પડશે નહીં. તેઓ ઘર વગર (ખરીદીને કે ભાડે લીધા વગર) બેકાર તરીકે પરપ્રાંતમાં પ્રવેશી શકશે નહીં. તેઓ તેમના ઘરવાળા મિત્રની પાસે મહેમાન તરીકે જ આવી શકશે. જો કે એવો કોઈ કાયદો નથી કે તમે પરપ્રાંતના લોકોને રોકી શકો. પણ તમે તેમને અને કોઈને પણ ગેરકાયદેસર કબજો કરતા રોકી શકો છો. તમે તેમને રોજના રૂ. ૫ કે રૂ. ૧૦ લઈ સુવાની સગવડ આપી શકો.

જો તેઓ આ પૈસા પણ ન ભરી શકે તો તમે તેને ભિક્ષુક ગૃહમાં મોકલી શકો છો. અહીં તેમની પાસે મજુરીનું કામ કરાવાશે અને જમવાની અને સુવાની સગવડ મળશે. ભણવાની સગવડ મળશે નહીં. લઘુતમ વેતનની સગવડ પણ મળશે નહીં. કારણકે તે તેમના માતૃપ્રાંતના રાજ્યની જવાબદારી છે. જો તેઓ ગુજરાતી ભાષા ભણીને ૧૦મી શ્રેણી પાસ કરશે તો તેમને ગુજરાતના લઘુતમ રોજીના અને બીજા બધા જ હક્કો મળશે.

ઘરકામ કરનારા કામગારોનું શું કરવું?

ઘરકામ કરનારાઓ અને ચોકીદારો મોટેભાગે અભણ હોય છે.  આ લોકો કાંતો ડુંગરપુરીયા, કે અભણ રબારણ, વાઘરી, ભરવાડણ, ઠાકરણ, કોળી કે એવા સમકક્ષ હોય છે. તેમને આવી હળવી નોકરી જ કરવી હોય છે. ડુંગર પુરીયાઓ હોળીમાં અને વરસાદની ઋતુમાં  રાજસ્થાન કે પંચમહાલમાં પોતાના ખેતરમાં કામ કરવા પહોંચી જાયછે. હવે જોકે તેઓ ઓછા થઈ ગયા છે કારણ કે તેઓ નોકરીએ લાગી ગયા છે. પણ સ્થાનિક ઘરકામ કરનારા/રીઓ ને સારી સ્થિતિમાં લાવવાનો કોઈ ખાસ ઉપાય હોય તો તે એ છે કે તેમના સંતાનોને કોઈપણ રીતે શિક્ષણ આપો. ગામડામાં અને શહેરમાં રહેતા ગરીબો વહેમ અને લેવડ દેવડના ખોટા રીત રીવાજોમાં બહુ માને છે. તેઓ દેવું પણ કરે છે અને દારુ પણ પીવે છે. લોનના પૈસા પોતાના વ્યવસાયમાં વાપરવાને બદલે બીજા સામાજીક કામોમાં વાપરી નાખે છે. પછી દેવું ન ભરી શકતાં આત્મહત્યા કરે છે.

મધ્યમ વર્ગના અને ઉચ્ચ વર્ગની સ્ત્રીઓ માટે ઘરકામ કરનાર એક વ્યાપક અનિવાર્યતા બની ગયેલી છે. આ ઘરકામ કરવા વાળા સ્થાનિકોને વધુમાં વધુ ૫ થી ૬ હજાર મળે છે. તેઓ છકડામાં બેસીને આવે છે. એટલે ૫૦૦ રૂપીયા તો તેમના આમાં જ જતા. તેઓ તેમના સંતાનોને પણ આમાં જોતરે છે. આ લોકોને ગૃહ ઉદ્યોગશાળામાં દાખલ કરી દેવા જોઇએ જ્યાં તેઓ ભણી પણ શકે અને કમાઈ પણ શકે. ચાની લારીવાળાઓને ત્યાં પણ નાના બાબલાઓ કામ કરતા હોય છે. તેમને પણ ગૃહ ઉદ્યોગ શાળા દાખલ કરી દેવા જોઇએ. ગૃહ ઉદ્યોગની બનાવટ વાપરવી, સરકારી ઓફિસો અને કોર્પોરેશનની ઓફિસોમાં ફરજીયાત કરી દેવી જોઇએ.

જો આવું કરીશું તો ગૃહિણીઓ અને ચાની લારીવાળા કે ગલ્લાવળા શું કરશે?

લારીવાળા, ગલાવાળા, ખુમચાવાળા, પાથરણાવાળા એ દબાણ છે. અને તેમને જાહેર સ્થળો ઉપરથી દૂર કરી, સંકુલોમાં ખસેડી દેવા જોઇએ. તેઓને ભણાવીને નિકાલ કરી દેવો જોઇએ.

ગૃહિણીઓના પ્રશ્નો આળસના છે. તેમણે સફાઈના મશીનો વસાવી લેવા જોઇએ. રહેવાની આદતો બદલવી જોઇએ. ધૂળ કેમ ઓછી થાય.? શહેરની કે ગામડાની ધૂળ ૯૯ ટકા ઓછી કરી શકાય.છે અને ઉષ્ણતામાન ૧૦ ડીગ્રી ઓછું કરી શકાય. આ એક અલગ વિષય છે.   

સરકારી ઓફિસોમાં, સરકારી દવાખાનાઓમાં અને સંકુલોમાં જે સફાઈવાળા રાખવામાં આવે છે તેઓ કામ કરવામાં દગડા હોય છે. સંડાસ તીવ્ર વાસ મારતાં હોય. સાહેબો પોતાની કેબિનમાં અલગ સંડાસ રાખતા હોવાથી તેઓ આ ગંદકી પ્રત્યે બેધ્યાન રહે છે. તેથી કાંતો તેમના અલગ સંડાસ દૂર કરવા જોઇએ અથવા તેમનો ગંદકી બદલ દંડ થવો જોઇએ. ઘણી જગ્યાએ સરકાર કોઈ એજન્સીને સફાઈનો કોન્ટ્રાક્ટ આપે છે. તે કામદારોને પાર્ટ ટાઈમ રાખે છે અને પગાર ઓછો આપે છે. જે એજન્સીઓ લઘુતમ વેતન ન આપતી હોય કે સફાઈ બરાબર ન થતી હોય તો તેને અસરકારક પેનલ્ટી લાગુ પાડવી જોઇએ. અને ત્રીજી વખત ગેરરીતી થાય તો તેનું લાયસન્સ રદ થવું જોઇએ. એજન્સીઓ પોલીસ વેરીફીકેશન થયેલા કામદારોને જ રજીસ્ટર્ડ કરશે.

શિક્ષણ પદ્ધતિમાં ફેરફારઃ

કામનો તૂટો નથી. ઉદ્યોગોને શિક્ષણની જવાબદારી સોંપો. તેઓ તેમના કર્મચારીઓના બાળકોને અને આસપાસના વિસ્તારના બાળકોને પ્રાથમિક શિક્ષણ આપે અને તેમને તેમની ફેક્ટરીને કામ લાગે તેવું કામ પણ શિખવે. ફેક્ટરી ઉદ્યોગોવાળા સ્થાનિકોને રોજગારમાં પ્રાથમિકતા આપે. તેઓનો શૈક્ષણિક ઉદ્ધાર પણ તેઓ જ કરે.

પ્રાથમિક શિક્ષણ ફરજીયાત છે. તેની સાથે ગૃહ ઉદ્યોગ શિખડાવવા જોઇએ. ખાદી પહેરવી ફરજીયાત કરી દે તો શાળાઓ કંઈક અંશે આત્મનિર્ભર બને. ગરીબ વિસ્તારોમાં સરકારી પ્રાથમિક શાળાઓ ખોલવી જોઇએ. તેથી ગરીબના સંતાનો સહેલાઈથી ભણવા આવી શકે. બાબલાંઓને અંગ્રેજી પણ ઘનિષ્ઠતા પૂર્વક શિખડાવવું જોઇએ. જેથી તેઓ પૈસાદારોના બાળકો પાસે નાનમ ન અનુભવે. પ્રાથમિક શિક્ષણ માં જ સફાઈ, સ્વચ્છતા, વ્યવસ્થિતપણું, સૌજન્યતા, નિયમિતતા, નીતિમત્તા, બચત અને શ્રમના મહિમાના પાઠ ભણાવવા જોઇએ. શ્રેષ્ઠ શિક્ષકો પ્રાથમિકશાળામાં જ હોવા જોઇએ. પ્રાથમિક શિક્ષણ દરમ્યાન તેમના અવારનવાર મનોવૃત્તિની ચકાસણી જુદી જુદી સંસ્થાઓ દ્વારા થતી રહેવી જોઇએ. જેથી તેઓ આગળ જતાં યોગ્ય વિષયની લાઈન પકડી શકે.

ગરીબી ચાલુ ન રાખવી હોય તો

ખેતી ઉપરનું ભારણ ઓછું કરવું જ પડશે. વનવાસીઓએ પણ ભણીગણીને નવા કામો શોધવા પડશે. જો આવું કરવામાં ન આવે તો ગરીબી હઠે નહીં. આપણી ગ્રામ્ય સંસ્કૃતિ, વનસંસ્કૃતિ, ગોપાલ, ગોચર, ગોધૂલી, પનિહારી, વિગેરેની કવિતાઓનો આનંદ લેવો સારો લાગે છે. પણ મૂર્ધન્યોનો આ આનંદ તો ગરીબોને ગરીબ રાખવાનું જ કાવતરું કહો તો કાવતરું, રાજકારણીય ખંધાઈ કહો તો ખંધાઈ અને ટૂંકી દૃષ્ટિ કહો તો ટૂંકી દૃષ્ટિ જ છે. જો ખેડૂ જગતનો તાત એવી વાતો કર્યા કરીશું તો આર્થિક અસમાનતાના પરિણામો થી દેશમાં અનેક સમસ્યાઓ ઉમેરાશે. એટલું જ નહીં અરાજકતા અને ખૂનામરકી ફેલાઈ જશે.

આ બધું રોકવા, મોટા મોટા બહુમાળી સંકુલો જ બનાવવા પડશે, ગ્રામ્યવિસ્તારોને સંકુલોમાં ફેરવી જમીન ખેતી કે ફસલ માટે ઉપલબ્ધ કરવી પડશે, પડું પડું થતા શહેર અને ગામના મકાનોને તોડીને સંકુલો બનાવવા પડશે, મકાનના બાંધકામમાં વપરાયેલી જમીન ઉપર જ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ ટેક્ષ લગાવવો પડશે. બહુમાળી મકાનો કરવાથી ટેક્ષ ઓછો થશે. સ્વતંત્ર બંગલાઓ અને ફાર્મ હાઉસો ઉપર અપાર ટેક્ષ નાખવો પડશે. જો આમ કરીશું તો જ જમીન ફાજલ પડશે. કોઈ પણ જમીનને બીનઉપયોગી ત્રણ માસથી વધુ રાખી શકાશે નહીં. તેના ઉપર ઉત્પાદન કરવું પડશે. પડતર જમીન સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ કબજો લેવો પડશે, આ જમીનનો ઉપયોગ શાકભાજી વાવવા કરવો પડશે.

ખેડૂતોએ ભેગા થઈ અનાજને પેક કરવા માટેના સહિયારા મશીનો વસાવવા પડશે અને શહેરમાં વેચવા માટેની સહીયારી દુકાનો ખોલવી પડશે. સ્વાવલંબી વિસ્તારો આંકવા પડશે, શાક ભાજીને ગેલેરીમાં અને અગાશીમાં ઉગાડવા પડશે. મલ્ટીલેયર ખેતી કરવી પડશે. જમવાની આદતો બદલવી પડશે. શાકભાજી અને ફળોનો વપરાશ વધે તેવી આદતો કેળવવી પડશે. કારણ કે આ મલ્ટીલેયર ઉત્પાદન છે. કારણ કે તે વૃક્ષ છે અથવા ઓછી ઉંચાઈના છોડ છે. જે ઓછી ઉંચાઈના છોડ છે તેને મોટા ઝાડ નીચે કે ગેલેરીમાં ઉગાડી શકાય છે. તેને મલ્ટીલેયર બનાવીને પણ ઉત્પાદન કરી શકાય છે. માંસાહાર બંધ કરવો પડશે. કારણ કે જેઓ માંસાહારી છે તેઓ વનસ્પત્યાહારી પ્રાણીઓને જ ખાય છે અને તેમને ઉછેરવા તેમના ખોરાક માટે મનુષ્ય કરતાં છ ગણી જમીન વપરાય છે.

આ બધું કરવા ઉપરાંત સુવિધાઓના ઉપકરણોના નાવિન્ય ઉપર અંકૂશ મુકવા પડશે. એટલે કે જે ઝડપે ટેક્નોલોજીનો વિકાસ થાય છે તે જુના મોડલોને રદબાતલ કરે છે. જુના મોડલો ભંગારમાં જાય છે. આ એક વ્યય છે. વિજ્ઞાન ના વિકાસ માટેના ઉપકરણો અને માનવની સુવિધા, સગવડ અને શોખ માટે ઉપકરણોમાટેના ફંડમાં ક્યાંક ભેદ કરવો પડશે. પ્રધાન્ય વિજ્ઞાન, માળખાકીય સગવડો અને આનંદ (પ્રવાસન અને કળા) ને આપવું પડશે.

આપણે સમજવું પડશે કે માણસ અંતે તો આનંદ માટે છે. આ આનંદ, જ્ઞાન, સુરક્ષા અને સુખસગવડ, સંવાદ, કલા પ્રદર્શન, રમતગમત અને પ્રવાસ દ્વારા મળે છે. સ્પર્ધા અને અસંવેદનશીલતાથી નહીં.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ શ્રમ, ઉત્પાદન, મૂલ્ય, મહત્તમ, લઘુતમ, એપાર્ટમેન્ટ, વધુમાં વધુ, સગવડ, સુખ, આનંદ, સ્પર્ધા, પડતર, જમીન, બહુમાળી, સંકુલ, મલ્ટીલેયર, ફળ, શાકભાઈ, માળખાકીય, કામ, ઉપકરણો, વિજ્ઞાન, પ્રણાલી, ક્ષતિયુક્ત, માનવીય

 

Read Full Post »

ગૌચરની જમીન ઉપર કોંગીનું દે ધનાધન

મહાત્મા ગાંધીના સમયનું ભારતઃ 

મહાત્મા ગાંધી ભારતમાં આવ્યા આઝાદીની લડતે ખરું જોર પકડ્યું. તેમણે આમ-જનતાને લડતમાં સામેલ કરી. આ સમય હતો ૧૯૨૦ થી ૧૯૪૭ સુધીનો. તે વખતે ભારતની સંસ્કૃતિ ગ્રામીણ સંસ્કૃતિ હતી. તે અગાઉ નો સમય પણ ગ્રામીણ સંસ્કૃતિ નો હતો. ગ્રામીણ સંસ્કૃતિ એટલે કે ભારતની મોટા ભાગની વસ્તી ગામડામાં રહેતી હતી. કૃષિ અને ગ્રામોદ્યોગ ઉપર આધારિત હતી.

ભારતમાં ગૃહઉદ્યોગ ના જે સાદાં મશીનો હતાં તેમાં માણસ પોતે પણ મશીનનો એક ભાગ હતો.

આ પ્રકારના ઉત્પાદનની પ્રણાલી વિકેન્દ્રિત ઉત્પાદન ગણાય છે. ઉત્પાદન વિકેન્દ્રિત હોય અને ઉત્પાદક પોતે જ મશીન નો એક ભાગ હોય છે. તે મશીનના એક ભાગ ઉપરાંત, મેનેજર, સંગ્રાહક, વિતરક અને વિક્રેતા પણ તે પોતે જ હોય છે. મોટે ભાગે તે એ જ ગામનો હોય છે જ્યાં ઉત્પાદન કરતો હોય છે. વળી મોટો ગ્રાહક પણ તેનું ગામ જ હોય છે, એટલે ગામ સ્વાવલંબી હોય છે.

પ્રણાલી જ્યારે આવી હોય ત્યારે ૨+૨ કે ૩+૩ કે ૪+૪ વિગેરે લેનના રસ્તાઓની જરુર પડતી નથી. ભારતમાં આ વિકેન્દ્રિત ઉત્પાદન પ્રણાલી હજારો વર્ષથી સફળતા પૂર્વક ચાલતી હતી.

અર્થશાસ્ત્ર નહીં પણ અનર્થશાસ્ત્રઃ

પશ્ચિમમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી અને મશીનો ઉત્પાદન કરતાં થયાં. મશીનો માણસે બનાવ્યા છે. માણસ પણ એક રીતે જોઇએ તો ઈશ્વરે બનાવેલું મશીન છે. એટલે માણસે બનાવેલાં મશીનો, ઈશ્વરે બનાવેલા મશીનો સામે ટક્કર ન લઈ શકે. આ કારણથી અંગ્રેજોને ભારતના કારીગરો ના આંગળાં કાપવાં પડ્યાં.

પશ્ચિમે પોતાનો હજારો ગાઉ દૂર ઉત્પન્ન થતો માલ ગુલામ દેશોમાં ખપાવ્યો. આની પાછળ એક નવું અર્થશાસ્ત્ર રચાયું, ભણાવાયું અને તેની પ્રતિષ્ઠા સ્થાપિત કરવામાં આવી. મનુષ્યના શ્રમનો મહિમા ઓછો થયો. મનુષ્યની બુદ્ધિશક્તિને આ દિશામાં વાળવામાં આવી. જેમણે આ દિશામાં પોતાની બુદ્ધિશક્તિ વાળી તેમને સારા પ્રમાણમાં માનમોભો, શિરપાવ અને વેતન મળવા લાગ્યાં. ભારતનો ગૃહ ઉદ્યોગ નષ્ટ થયો એટલે બેકારી અને ગરીબી ઉત્પન્ન થયાં. તેને પરિણામે નિરક્ષરતા પણ આવી અને વળી વધુ ગરીબી આવી.

આ વાત ઘણી લાંબી, અટપટી અને ગૂંચવણો વાળી છે. ટૂંકમાં એમ કહી શકાય કે જથ્થાબંધ ઉત્પાદન કરવું. તેને દૂર સુદૂર સુધી  લઈ જવું, તેને ખપાવવું, તેને વધુ ખપાવવું, અને આ સઘળી પ્રક્રીયાને લગતા પ્રબંધશાસ્ત્રોને લાગુ કરવાં અને વિકસાવાં જરુરી બન્યાં. આ નવા અર્થશાસ્ત્રને અનુરુપ એક નવી સમાજ વ્યવસ્થા અને તેને બિરદાવતું શિક્ષણ ઉત્પન્ન કરવામાં આવ્યું. પશ્ચિમમાં આ બધું બહુ  ફુલ્યું ફાલ્યું.

પહેલાં શું હતું?

ગાંધીજી આ વાત સમજી શકેલા, કે આ એક અનર્થશાસ્ત્ર છે. તેમને યંત્રો સામે કે સુખસગવડો સામે વિરોધ ન હતો. પણ તેમાં રહેલું શોષણ, અસમાનતા અને ગુલામી સામે વિરોધ હતો.

૧૯૪૭ એટલે કે અંગ્રેજો ગયા ત્યાં સુધીમાં ભારતીય ગામડાંઓ તેજહીન થયેલાં પણ અસ્તિત્વહીન થયાં ન હતાં. નાના ગામમાં તેલની બળદ ઘાણીઓ હતી. કુંભારો હતા, મોચીઓ હતા, લુહારો હતા, કારીગરો હતા, ગોપાળો હતા. જંગલો હતા, આદિવાસીઓ હતા અને ગૌચરો પણ હતાં. ગાંધીજીએ કાંતણ અને હાથવણાટને ઉત્તેજન આપેલ તેથી એક મૃતઃપ્રાય થયેલા ગ્રામોદ્યોગને નવજીવન મળવાના સંજોગો ઉભા થયા હતા. ખાટલે ખોડ એ હતી કે આ સહુ ગરીબ હતા. કારણ કે ખરીદનારા પણ કંઈ પૈસાદાર ન હતા. ઘણી જગ્યાએ જમીનદારો હતા. તેઓ જમીનના ટૂકડા કરી ખેડૂતોને કાંતો ભાગીયા બનાવતા કે મજુરીએ રાખી ખેતી કરાવતા. તે સૌનું શોષણ થતું.

ખેડે એની જમીન નો કાયદો થયો. પણ મુંબઈ રાજય સિવાય બીજે તેનો ખાસ અમલ ન થયો. ખેત મજુરો ગરીબ રહ્યા. કારણકે મશીન કરતાં માણસ સસ્તો હતો. ઓછી જમીન વાળા ખેડૂતો પણ ગરીબ રહ્યા. કારણ કે સરકારી મદદ તેમની પાસે પહોંચે ત્યારે એક રુપીયો ૧૫ પૈસા કે ૫ પૈસા થઈ જતો. પણ તેઓ જીવી શકતા કારણ કે તેઓ ગાય કે ભેંસ રાખી શકતા એટલે આડ પેદાશમાં તેમને દૂધ અને છાસ મળતાં. જ્યારે ઢોર દૂધ ન આપતાં હોય ત્યારે તે સૌ ગૌચરની જમીન ઉપર નભતાં. પણ ગૌચરની જમીનનું કોઈ ધણીધોરી નહીં એટલે જમીન માફીયાઓ તેનો કબજો કરી લેતા. અને જમીન રેકોર્ડમાં ચેડાં કરી વેચીને કાયદેસર કરી દેતાં. સરકારી નોકરો તો આવું બધું કરવા તૈયાર જ હોય. જમીન માફીયા, સરકારી નોકરો (નોકરોમાં સર્વ અધિકારી વર્ગ પણ સામેલ જ ગણવાનો) અને ખરીદનાર ની જ્યારે મીલીભગત હોય પછી કોણ પૂછનાર જ હોય.

ક્યાં ગયું એ બધું?

હવે તમે જુઓ. અમદાવાદની જ વાત કરો. ૧૯૪૭માં મોટાભાગનું અમદાવાદ કોટની અંદર જ રહેતું હતું. કોટની બહાર રહેલા ગામડાઓથી તે ઘેરાયેલું હતું. તે દરેક ગામને પોતાના તળાવ અને ગૌચરની જમીન હતી. પાલડી, કોચરબ, માદલપુર, ઉસ્માનપુરા, નારણપુરા, કાગદીવાડ, વિગેરે જે કંઈ વિસ્તારો છે તે સૌ નાના નાના ગામ હતાં. ૧૯૪૭થી ૧૯૯૬ સુધી વચ્ચેનાં થોડાંક ચાર પાંચ વર્ષોને બાદ કરતાં ગુજરાતમાં નહેરુવીયન કોંગ્રેસનું જ રાજ હતું.

તો ક્યાં ગયાં ઉપરોક્ત ગામોના તળાવો અને ગૌચરની જમીનો? તળાવોની વાત  એટલા માટે થાય છે કે કેટલાંક તળાવો પણ અદૃષ્ય છે.

દરેક ગામમાં કાંતો કોઈ ભરવાડ, રબારી કે ઠાકોરે આ જમીનો કબજે કરી છે. તેઓ ની ઈચ્છાવગર તમે લારી ગલ્લા નો ધંધો પણ કરી શકતા નથી. ઉઘરાણાં તો થતાં જ હોય છે. તમે એસજી રોડ ઉપરના કે ગમે ત્યાંના પાર્ટીપ્લોટ કે રેસ્ટોરાં જુઓ તમને ક્યાંક ને ક્યાંક ભરવાડ, રબારી, ઠાકોર કે ક્યાંક લતિફ મળશે જ. તમે તે જમીનના ૧૦૦ વર્ષના ઇતિહાસની તપાસ કરો. જમીન માફીયા જ મળી આવશે.

ગૌચરની ક્યાં વાત કરો છો? હાઉસીંગ સોસાઈટીનો વહીવટ બરાબર ચાલે છે કે નહીં તે જોવાની જવાબદારી રજીષ્ટ્રાર ઑફ કો-ઓપરેટીવ સોસાઈટીની હોય છે. ચેરમેન અને સેક્રેટરીની ખાઉકડગીરીને લીધે ખાડે ગયેલી અને ફેલ ગયેલી સોસાઈટી ઉપર સરકારે કબજો કરવાનો હોય છે. તેને બદલે માફિયાઓ તેનો કબજો કરી લેછે. રજીષ્ટ્રારની ઓફિસ તો પૈસા બનાવવાનું કારખાનું છે. જમીનના રેકૉર્ડ ગુમ હોય છે.  જે અમદાવાદ જીલ્લામાં થયું તે બધે થયું છે.

તમારે શું કરવું છે?

એક બાજુ ઉદ્યોગીકરણની વાત કરવી, વૈશ્વીકરણની વાત કરવી અને વૈશ્વિક સ્તરે ભારતના પ્રદાનની (જે વૈશ્વિક પ્રદાનના બે ટકા માંડ છે) વાતોના બણગાં ફૂંકવા અને બીજી બાજુ ગ્રામ સ્વરાજની વાત કરવી એ “વદતો વ્યાઘાત” જ નહીં પણ દંભ, વરવું રાજકારણ અને અસામાજીક તત્વોના સ્થાપિત હિતોના રક્ષણની જ વાત છે.

એક બાજુ તમારે પશ્ચિમી અર્થશાસ્ત્રના વધુ ઉત્પાદન, વધુ બજાર, વધુ ઉપભોગ અને તે માટે વધુ સારા વેતનોની વાત કરવી છે અને આ બધાને ઉત્તેજન આપવું છે, અને બીજી તરફ ગ્રામ સ્વરાજની વાત કરવી છે. એકબાજુ વિશ્વ ઇન્ટરનેટ ને કારણે એક વિલેજ બની રહ્યું છે એવી વાત કરવી છે, અને ગામડાંમાં રોજગારી માટે ઉદ્યોગોને સ્થાપવા છે બીજી બાજુ ગામડાંને તેના મૂળ બંધારણમાં રાખવા માટે ગૌચર બચાવવાની વાત કરવી તે નકરા દંભ અને કલુષિત રાજકારણની વાત છે.

ભૂતીયા ગૌચરની લાલીયાવાડીઃ

ગૌચરની જમીનનું અસ્તિત્વ શું છે? શું ગૌચરની જમીન એ કોઈ પૂરતા ઘાસ માટેની જમીન છે? શું ગૌચરની જમીન ઉપર ગામના ઢોર નભી શકે તેમ છે? કેટલા લોકો પોતાના ગૌધન ને ગૌચરની જમીનને ભરોસે મુકી શકશે? ગૌચરની જમીનમાં શું છે? ત્યાં કેટલું ઘાસ ઉગે છે? ગૌધન કોની પાસે છે? ગાય બળદનો ખર્ચો શું છે? કેટલી ગાયભેંસ ઉપર કેટલાને નભાડવા છે?

તમારે ડેરીનું દૂધ પીવું છે કે રબારીનું? રબારીને શહેરમાં રાખવા છે કે તેમની વસાહતો બાંધી તેમને ગૌચરની જમીનનો કબજો આપી દેવો છે જેથી તેઓ તે જમીન શહેરી વિકાસ થતાં બીલ્ડરોને વેચી નાખે અને અથવા પાર્ટીપ્લોટયુક્ત રેસ્ટોરાંનો ધંધો કરી શકે. શું તમારે આવું કરવું છે? તમારે કરવું છે શું?

તમારે સમજી લેવું જોઇએ કે અત્યારના ગામડાં, ૧૯૪૭ પહેલાંના ગામડાં જેવા નથી જેમાં “મીઠી માથે ભાત”, “ગ્રામ્ય માતા”, કે “ઈલાના કાવ્યો” લખી શકાય. અત્યારે તો ભૂદાનમાં મળેલી જમીનના લાભાર્થીઓ, ભૂદાનની જમીન, સર્વોદય મંડળને જણાવ્યા વગર બારોબાર બે ત્રણ જણને ગીરવે મૂકી દેતા હોય છે. અને આવી લોચાવાળી જમીનને હસ્તવગી કરવા માટેના નિષ્ણાતો અસ્તિત્વ ધરાવતા હોય છે. વળી ખેડૂતો પાણીના પૈસા પણ સરકારને ભરતા નથી. પછી સરકારને દેવું માફ કરવું પડે તેનો લાભ પૈસાદાર ખેડૂતોને પણ મળે છે. સરવાળે સરકારી કુલ રાહતમાં મોટો હિસ્સો તો પૈસાવાળા ખેડૂતોને મળ્યો હોય છે જેને વિષે કેશુભાઈ ભયભીતતાની વાતો કરે છે.

પ્રશ્ન સીમાંત ખેડૂતોના કે મોટા ખેડૂતોના કે ગોપાલોના દુર્ગુણોને કારણે, તેમને વગોવવાનો નથી. સમસ્યા છે કે પરિસ્થિતિને કેવી રીતે હલ કરવી!

નરેન્દ્ર મોદી એ શું કર્યું?

જે મદદ કરવી હતી તે સાધનોથી કરી. ગરીબમેળા અને કૃષિમેળા કર્યા અને વસ્તુઓ આપી. તેથી રુપીયામાંથી ૧૫ કે ૫ પૈસાને બદલે સીધો રુપીયો જ મળ્યો. રાજીવગાંધીની જેમ કે મનમોહન ની જેમ પદ્ધતિની કે પરિસ્થિતિની મજબુરીની વાત ન કરી. પદ્ધતિ અને પરિસ્થિતિને શાસક બદલી શકે છે નહેરુવીયન કોંગ્રેસ ૬૦ વર્ષે ન કરી શકી તે નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષમાં સિદ્ધ કર્યું.

મોદી-વિરોધીઓના ગોકીરાઓમાં કઈ ગૌચરની જમીન ઉદ્યોગપતિઓને આપી તે આપણે જાણતા નથી અને તે એક સંશોધનનો વિષય છે.

“ગૌચરની જમીન બચાવો” એ વાત અગર કેટલાકને ભારતીય સંસ્કૃતિ બચાવો ની વાત સાથે જોડવાની પસંદ પડતી હશે, પણ તેમાં સંસ્કૃતિને બચાવવાની વાત કરતાં “સ્થાપિત હિતોના રક્ષણ” અને “ગંજીના કૂતરા” ની વાત સાથે વધુ બંધ બેસતી લાગે છે. ખરાબાની જમીન, પડતર જમીન, કેટલીક કહેવાતી જંગલની જમીન અને ગૌચરની જમીન એ કાંતો આ જમીનોને માફીયાઓના શિકાર માટે સુરક્ષિત રાખવાનો હેતુ હોય છે અથવા  તેને “જેમ છે તેમ” રાખવાની મનોવૃત્તિ “ગંજી ઉપર બેઠેલા કૂતરા” જેવી છે. એટલે કે કામ કરતી સરકારને કામ ન કરવા દેવું.  હવનમાં હાડાકાં નાખવા. અને જો પ્રગતિ ન થાય, તો તો એવું કહેવાનો લાભ લેવો કે પ્રગતિ તો થતી નથી. મોદી-વિરોધીઓએ ખાસ કરીને નહેરુવંશી સરકારોએ ૬૦ વર્ષમાં કશું ન કર્યું અને હવે ડાહી સાસરે જાય નહીં અને ગાંડીને શિખામણ દે એવો ઘાટ થયો.

ગોપાલોએ અને ખેડૂતોએ હવે મનોવૃત્તિ બદલવી પડશે. એટલે કે મફતીયું ખાવાની અને રાહતો ઉપર રાહતોની અપેક્ષા રાખવાની જ નહીં પણ રાહત માત્ર ઉપર આધાર રાખવાની વૃત્તિ બદલવી પડશે. નહેરુવીયન કોંગ્રેસની પાસે દીર્ઘ દૃષ્ટિનો સંપૂર્ણ અભાવ છે તે જનતાએ નહેરુવંશના છ દાયકાના શાસનને પૂરબાહરમાં અનુભવ્યું છે. જનતાએ પણ સમયની માગ ને સમજવી પડશે કે વ્યવસાયીઓએ પગભર થવું પડશે. સરકારનો હેતુ સૌને પગભર કરવાનો હોવો જોઇએ. પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે મદદના મોહતાજ રાખવાનો ન જ હોવો જોઇએ.

ભૂમિઃ શાંતિઃ । વનસ્પતયઃ શાંતિઃ ॥

ખરી સંપત્તિ જમીન અને વનસ્પતિ છે. જમીન હશે તો પુનઃ પુનઃ ઉત્પાદન થશે. જમીન હશે તો વૃક્ષો વવાશે. વૃક્ષોની વૃદ્ધિને અટકાવવી અને જમીનનો દુરુપીયોગ કરવો એ માનવ જાતનો જ નહીં સજીવ સૃષ્ટિ અને પૃથ્વીનો પણ વિનાશ નોંતરી શકે છે.

જમીન ઉપર સૌપ્રથમ વૃક્ષોનો હક્ક છે. જમીન ઉપર ઘાસ ઉગાડવું કે જમીન ઉપર બંગલાઓ બાંધવા એ જમીનનો દુરુપીયોગ છે. જમીન ઉપર અનાજ વાવવું તે પણ જમીનનો દુરુપીયોગ છે. કદાચ આ છેલ્લી બે વાત થી ઘણાને આશ્ચર્ય થશે, પણ એક બે દાયકામાં આ વાત અહિંસક સમાજમાં જેઓ શ્રદ્ધા ધરાવે છે તેમને નહીં સમજાઈ હોય તો સમજાઈ જશે.

ઘાસ અને અનાજને ઉગાડવા માટે ૬ થી આઠ ઈંચ નો જમીન નો સ્તર જોઇએ. તે તમે મલ્ટી લેયર (બહુમાળી) ખેતી માટેના બાંધકામ દ્વારા કરી શકો. પૃથ્વીની જમીનનો ફક્ત વૃક્ષો વાવવા માટે ઉપયોગ કરો. કારણ કે વૃક્ષ પોતે, મલ્ટીલેયર ઉત્પાદન કરે છે. તે ઉપરાંત તે એક નાનો પાણીનો સંગ્રાહક (ડેમ) છે. તે પ્રાણવાયુ આપે છે. તે ઠંડક આપે છે. તે વાતાવરણમાં ભેજને સાચવે છે, તે વરસાદ લાવે છે. તે ખાતર આપે છે. તે ફળો આપે છે, તે જમીનની ફળદ્રુપતા વધારે છે. તે રોજી આપે છે. જો આ બધા ફાયદાઓનો સરવાળો કરીએ તો એક વૃક્ષ ૧૫ વર્ષમાં ૪૦ લાખ રુપીયા જેટલું કામ કરે છે.

ભારતના ગામડાંઓનું હાલનું અસ્તિત્વ એટલે કે હાલની રચના, એ જમીનનો દુરુપયોગ  અને બગાડ છે. તેવીજ રીતે બંગલાઓ અને ચાર પાંચ મજલા વાળી શહેર અને કસ્બાની સોસાઈટીઓ પણ જમીનનો દુરુપયોગ અને બગાડ છે.

જેમ નુક્કડનું વિકસિત સ્વરુપ બહુમાળી બજારો એવા આયામોએ (કોંપ્લેક્સોએ) લીધું છે અથવા લઈ રહ્યા છે અને લઈ લેશે, તેવી જ રીતે હવે રહેણાક માટે અને ગામડાઓ માટે પણ બહુમાળી આયામોએ સ્થાન લેવું પડશે. તેને માટે આપણા સ્થાપત્ય નિષ્ણાતોએ ભેજાનું દહીં કરીને આપણી સંસ્કૃતિને અનુરુપ બહુમાળી આયામોના ઘાટ ઘડવા પડશે. આ અઘરું નથી. આ કોઈ મોટો પડકાર પણ નથી. જેઓ વિરાટકાય ઍરપોર્ટનો ઘાટ ઘડી શકે છે તેઓને માટે તો આ નાનું કામ છે.

અન્ન ઉત્પાદનની પ્રણાલીઓ, ઉર્જાશક્તિ ઉત્પાદનની પ્રણાલીઓ , જીવન જરુરી વસ્તુઓના ઉત્પાદનની પ્રણાલીઓ આપણે વેળાસર બદલવી પડશે. “ગૌચર બચાવો, ગૌચર બચાવો”, કે “ખેડુ જગતનો તાત” કે પનીહારીઓના કાવ્યોનો પાઠ કરવાનો જમાનો નથી.

ભારત સ્વતંત્ર થયું ત્યારે વસ્તી ૩૫ કરોડ હતી. હવે ભારતની વસ્તી સવા અબજની છે. માનવ સમાજ અહિંસક બનવા તરફ જઈ રહ્યો છે. જે સૂઈ રહ્યો છે તેનું ભવિષ્ય સુતેલું રહે છે. જે બેઠેલો છે તેનું ભવિષ્ય બેઠેલું રહે છે. પણ જે ચાલે છે તેનું ભવિષ્ય આગળ ધપે છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગઃ ગ્રામ્ય, સંસ્કૃતિ, ગામડા, સ્વાવલંબી, અનર્થશાસ્ત્ર, ઔદ્યોગિક ક્રાંતિ, ગુલામી, વિકેન્દ્રિત, ઉત્પાદન, ઉર્જાશક્તિ, આયામો, પ્રણાલી, બહુમાળી, ૬૦ વર્ષ, ૫ વર્ષ,

Read Full Post »

%d bloggers like this: