Feeds:
Posts
Comments

Posts Tagged ‘રાવણ’

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ-૫ / ૯

સીતાનું હરણ થઈ ગયું.

સીતાની શોધ માટે રામ અને લક્ષ્મણ ભટકવા લાગ્યા.

રામને હનુમાન અને સુગ્રીવ મળ્યા.

હનુમાન, સુગ્રીવ, આદિ કોણ હતા?

આ લોકો નિશ્ચિત રીતે કેરાલાના હતા. આ લોકો મલ્લ વિધ્યા (માર્શલ આર્ટ) માં તે સમયમાં પણ નિપૂણ હતા. એ વાત પણ નિશ્ચિત છે કે તેઓ સૌ મનુષ્ય હતા. તેઓ સાચેસાચ વાંદરા હોય તે શક્ય નથી. કારણ કે વાંદરાની મોંઢાની રચના જ એવી હોય છે કે તે સ્વર અને વ્યંજનના ઉચ્ચારો માણસો જેવા અને સમજાય એવા કરી ન શકે. વાનરનો અર્થ એ નિકળી શકે. अपि एतत्‍ नरः अस्ति वा नरः न अस्ति वा. શું આ નર (પ્રજાતિનો) છે કે આ એમ નથી. વાનર.

હનુમાનની માતા વાંદરી ન હતી. હનુમાનના પિતા પણ વાનર ન હતા. હનુમાનના પિતા મરુત હતા. સંભવ છે કે આ લોકોની શારીરિક ચપળતા જોઇએ અને રંગ જોઇને, કદાચ તેમને “વાનર” નામ આપ્યું હોય. હનુમાન મરુતના પુત્ર હતા એટલે તેમને મરુતપુત્ર, મારુતી કહેવાય છે. જેમનામાં પવન (મરુત) છે તે મારુતી. मरुतः यस्मिन्‍ अस्ति सः मारुतिन्‍. (तस्य प्रथमा एक वचन मारुती).

સુગ્રીવ અને વાલી

સુગ્રીવ અને વાલી બે ભાઈ હતા. વાલી મોટો હોવાથી કિષ્કિંધાનો રાજા હતો. વાલી અજેય હતો. તેણે મયાસુરને હરાવેલ. મયાસુરને બે પુત્રો હતા. દંદુભી અને માયાસુર. દંદુભીને વાલીએ માર્યો હતો. માયાસુર તેનો બદલો લેવા વાલી ઉપર એક રાત્રે ચડી આવ્યો. અને કિષ્કિંધાના નગરીના કોટના દ્વારા જોરથી ખખડાવવા લાગ્યો. વાલી ગુસ્સે થયો. અને બહાર આવ્યો. સુગ્રીવ પણ પાછળ પાછળ આવ્યો. માયાસુર માર ખાવાથી ભાગવા લાગ્યો. સુગ્રીવ તેની પાછળ દોડ્યો. માયાસુર ભૂગર્ભ ગુફામાં પેસી ગયો. વાલીએ સુગ્રીવને કહ્યું કે હું તેને મારીને આવું છું. તું મારી રાહ જોજે. સુગ્રીવ બહાર ઉભો રહ્યો. ઘણા વખત પછી ગુફામાંથી લોહી આવવા માંડ્યું. રાક્ષસોના અવાજ સંભળાતા હતા પણ વાલીનો કોઈ અવાજ આવતો ન હતો. એટલે સુગ્રીવ સમજ્યો કે વાલી મરાયો લાગે છે. તેથી તેણે મોટી શીલા વડે ગુફા બંધ કરી દીધી જેથી અંદર રહેલા રાક્ષસો કિષ્કિંધા ઉપર ચડી ન આવે. સુગ્રીવ નમ્ર હતો. તેને રાજા બનાવવામાં આવ્યો. પણ થોડા વખત પછી વાલી તો ગુફાના બધા જ રાક્ષસોને મારીને બહાર આવ્યો. તેણે જોયું કે સુગ્રીવ રાજા બની ગયો છે. વાલી અધીર હોવાથી તેણે સુગ્રીવની એક પણ વાત ન સાંભળી. સુગ્રીવ ભાગતો ભાગતો ઋષ્યમૂક પર્વતના જંગલમાં આવેલા મતંગ ઋષિના આશ્રમમાં આવી ગયો. કારણ કે આ મતંગ  ઋષિના શ્રાપને લીધે વાલી અહીં આવી શકે તેમ ન હતો. અહીં સુગ્રીવ સુરક્ષિત હતો. સુગ્રીવને મુખ્ય વાંધો તેની પત્ની તારાનો હતો. તારા સુગ્રીવની પત્ની હતી. વાલીએ તેની સાથે લગ્ન કરી લીધેલ.

સુગ્રીવે રામને પોતાની સમસ્યા જણાવી. સુગ્રીવનો ભાઈ વાલી તેના મોટાભાઈથી ત્રસ્ત હતો. વાલી કિષ્કિન્ધાનો રાજા હતો. તે બળવાન, ગર્વિષ્ઠ અને અધીર હતો. તે ઇન્દ્રનો પુત્ર હતો કે પુત્ર સમાન હતો. તે મલ્લવિદ્યામાં અજેય હતો. તેની લડવાની અને ચપળતા બતાવની રીત જ એવી હતી કે તેનાથી સામેના પ્રતિસ્પર્ધીની તાકાત અડધી થઈ જતી. અને આમ થવાથી પણ વાલીનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધતો. તેથી એવી માન્યતા હતી કે આ દૈવી વરદાન હતું કે તે જ્યારે યુદ્ધ કરે ત્યારે તેના પ્રતિસ્પર્ધીનું બળ અડધું થઈ જતું અને તે બળ વાલીમાં આવી જતું.  “બ્રુસ લી” ની જેમ. સંભવ છે કે મલ્લ વિદ્યા અને કળ વિદ્યા (કરાટે, જુડો, ફેંગ સુઈ …)  દક્ષિણ ભારતમાં થી પૂર્વના દેશોમાં ખાસ કરીને જાપાન ચીન માં ગઈ હશે. હનુમાન સાથે તેલ પણ જોડાયેલું છે. કેરાલા તેલના ઉપચારો માટે વિશ્વ વિખ્યાત છે.

રામ આમ તો ભગવાન ન હતા.

રામનું ધ્યેય પોતાની પત્નીને શોધવાનું હતું. જો કોઈ તેનું હરણ કરી ગયું હોય તો હરણ કરવા વાળાને હરાવવાનો હતો. આમ કરવાથી રામ પોતાને મળેલી નાલેશી દૂર કરી શકે.

રામની પાસે બે વિકલ્પ હતા.

એક એ કે તે વાલીને મળીને મળી સુગ્રીવ સાથે તેની સંધિ કરાવે. પછી વાલીની મદદ લઈ સીતાને શોધે. પણ રામને સુગ્રીવ પાસેથી જાણવા મળ્યું કે વાલી બહુ જ અધીર છે. એટલે આ કામમાં સફળતા મળે પણ ખરી અને સફળતા ન પણ મળે. વળી જો સફળતા ન મળે તો રામને બે દુશ્મન ઉભા થાય. એક વાલી સાથે દુશ્મનાવટ તો થાય જ અને સુગ્રીવ કે જે રામનો આશ્રિત બનેલો અને લક્ષ્મણે રામની શૂરવીરતા  બાબતમાં જે વાતો કરેલી તે બધી બણગાંમાં ખપી જાય. રામનું તો ખરાબ દેખાય જ પણ સાથે સાથે પોતે જે અયોધ્યા સામ્રાટ ભરતનું પ્રતિનિધિત્વ કરે છે તે ભરતનું પણ નીચા જોણું થાય અને રઘુવંશનું પણ અપમાન થાય. એટલે રામ એક રાજગુણને હિસાબે અનિશ્ચિતતામાં રહેવા માગતા ન હતા.

જો કોઈ સાથે યુદ્ધ કરવાનો પ્રસંગ ઉભો થાય. અને દુશ્મન અતિ શક્તિશાળી હોય તો રાજનીતિ કરવી જ પડે. સુગ્રીવ પાસે કોઈ સૈન્ય તો હતું જ નહીં. વળી એ પોતે પણ જો આ આશ્રમની બહાર નિકળે તો વાલી એને મારી જ નાખે. વાલી તો સુગ્રીવને શોધતો જ હતો.

બીજો વિકલ્પ એ હતો કે સુગ્રીવ પોતે જ વાલીને લલકારે અને બંને વચ્ચે મલ્લ યુદ્ધ થાય. અને રામ છુપાઈને વાલીને મારે. એટલે રામે છુપાઈને વાલીને માર્યો.

કોઈ મહાપુરુષો રામના આ નિર્ણયની નિંદા કરે છે. કેટલાક રામનો બચાવ કરે છે. વાનર તો “શાખા મૃગ” કહેવાય અને રાજાઓ મૃગયા રમવા જાય તે તેમનો ધર્મ છે. એટલે રામ ક્ષત્રીય હોવાથી વાલીને પોતાને મનગમતી રીતે મારી શકે. આ વાત બરાબર નથી. પણ આવી ચર્ચા આપણે નહીં કરીએ. આ ચર્ચા અસ્થાને છે.

“વાલી વધ”ને પ્રસંગના પરિપેક્ષ્યમાં જુઓ.

એક તો રામની સ્ત્રી ખોવાઈ હતી. પોતાની સ્ત્રીનું અપહરણ થયું હોય તો પોતાની સ્ત્રીની કેવી દશા હશે તેની પણ રામને પારાવાર ચિંતા હશે. રામ નિરાશામાં પણ હોય. એક એવો પ્રક્ષેપ પણ છે કે શિવજી આવીને રામને મનુષ્યની જીંદગીમું રહસ્ય સમજાવે છે. આ બોધને શિવ-ગીતા કહેવામાં આવે છે. પણ શિવજી કંઈ આવે નહીં. એમ હોઈ શકે કે રામે આત્મમંથન કર્યું હોય અને પોતાની જાતને સંભાળી હોય. આવા રામની માનસિકતાનો ખ્યાલ રાખ્યા વગર તેમની એક ભગવાનના રુપમાં અને મર્યાદા પુરુષોત્તમમાં પ્રતિમા રાખી ટીકા કરી દોષી ન ઠેરવી શકાય.

ધારો કે રામે વાલી સાથે સંધિ કરી તો શું?

એક શક્તિશાળી અને અધિર રાજા એવા વાલીનો ભરોસો કેટલો કરી શકાય?

આપણે જોઇએ છીએ કે પાકિસ્તાને અમેરિકા સાથે દોસ્તી કરી તો તેના હાલ કેવા થયા છે. નહેરુએ ચીન અને રશિયા સાથે દોસ્તી કરી તો ચીને ભારતની ૭૧૦૦૦ ચોરસમાઈલ ભૂમિ કબજે કરી લીધી.

“લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય.”  રામે આવું બધું પણ વિચાર્યું હોય. તેથી રામે સુગ્રીવના પક્ષે રહેવાનું વિચાર્યું. રાજાઓએ લાંબુ વિચારવું જોઇએ. રામે વાલીને મારી સુગ્રીવનો રાજ્યાભિષેક કર્યો. સુગ્રીવને ઉપકારવશ કરી રામે પોતાનો હાથ ઉપર રાખ્યો. વાલીનું સૈન્ય પણ રામને મળ્યું. રામને જે યોગ્ય લાગ્યું તે રામે કર્યું. જો કે આ સુગ્રીવ પણ રાજગાદી પર બેઠા પછી રંગરાગમાં પડી જાય છે એવું દર્શાવવામાં આવ્યું છે. પણ રામ તેના ઉપર ગુસ્સે થઈ તેની શાન ઠેકાણે લાવે છે. જો કે આ તો કથાને રસમય બનાવવા જોડવામાં પણ આવ્યું હોય. પણ ધારો કે વાલીએ આવું કર્યું હોત તો શું રામ, વાલીની શાન ઠેકાણે લાવી શકત?

સુગ્રીવ સજ્જ થઈ જાય છે. અને ચારે દિશામાં પોતાના માણસોને સીતાને શોધવા મોકલી દે છે. પછી ખબર પડે છે કે રાવણ સીતાનું હરણ કરીને દક્ષિણ બાજુ ગયો છે. હનુમાનજી દક્ષિણ તરફ જાય છે અને લંકામાં સીતાને અશોકવાટિકામાં જુએ છે. સીતાને મળે છે. તે પછી હનુમાનજી પકડાઈ જાય છે. રાવણ હનુમાનના પૂંછડાને કપડાઓ બાંધી આગ લગાવી છોડી દે છે. કોઈ કહેશે કે જો હનુમાન વાંદરા ન હતા તો તેમને પૂંછડું કેવી રીતે આવ્યું. પણ આપણે આને ફેશનમાં ગણી શકીએ. આવી ફેશન આજે પણ દુનિયામાં ક્યાંક ક્યાંક હોય છે. શીંગડાવાળા ટોપા પહેરવાની પણ તહેવારોમાં અને એ સિવાય પણ  ફેશન હોય છે. હનુમાને એજ અગ્નિથી લંકામાં ક્યાંક ક્યાંક આગ લગાવી હશે. પણ અતિશયોક્તિ અલંકાર રુપે લંકાને આગ લગાવી એવું કહેવાયું. લંકાના સૈન્યના માણસો પોતાના ઘરને વ્યવસ્થિત કરવામાં પડી જાય તો રામને સેતુ બનાવવાનો સમય મળી જાય.

રામ સેતૂ બન્યો હતો કે નહીં?

ભૂસ્તર શાસ્ત્રીઓને હિસાબે લંકા જ નહીં પણ ક્યારેક પૂરી પૃથ્વીની જમીન મળેલી હતી. કાળક્રમે જમીન ઉપર તડો પડવા માંડી અને જમીનના ટૂકડા થવા લાગ્યા. વચ્ચે સમુદ્ર આવવા લાગ્યો. પાંચ દશ હજાર વર્ષ પહેલાં સંભવ છે કે લંકા અને ભારત વચ્ચે સમૂદ્ર છીછરો હોય. કોઈક કોઈક જગ્યાએ ચાલવા લાયક હોય પણ શસ્ત્ર સરંજામ અને વાહનો લઈ જવા માટે અનુકુળ ન હોય. એટલે રસ્તો બનાવવો જરુરી હોય.  આ રસ્તો જ્યારે બને ત્યારે ભરતીના દિવસોમાં  પુલ જ લાગે ને. સંભવ છે કે નીચેનો હિસ્સો કુદરતી જમીન હોય પણ ઉપરનો હિસ્સો માનવ સર્જિત હોય. એટલે કે રામે બનાવ્યો હોય. લોકકથાઓ પાછળ ક્યાંક અને ક્યાંક તો કંઈક સત્ય છૂપાયેલું હોય છે.

લક્કા એ લંકા?

એક એવી ધારણા છે કે “લક્કા” નામનો એક પ્રદેશ મધ્યપ્રદેશમાં છે તે જ લંકા છે. એવું એક ઇતિહાસકાર કહે છે. તે  ઇતિહાસકાર એમ કહે છે કે રામ, હાલના શ્રીલંકામાં ગયા જ ન હતા. રામ તો આ “લક્કા”માં ગયા હતા. આ લક્કાની આસપાસ જે જમીન છે ત્યાં પાણીના ઘણા ખાડાઓ જોવા મળે છે. રાવણ તો ગધેડા ઉપર બેસીને પંચવટી ગયો હતો. આને આવી જગ્યા ઉપર તો ગધેડાઓ જ ચાલી શકે. રામ, શ્રીલંકા ગયા જ ન હતા. કારણ કે રામે નર્મદા ઓળંગી જ ન હતી. લંકા ઓળંગ્યા વગર રામ લંકા જઈજ કેવી રીતે શકે? રાવણે શણના કપડાં પહેર્યાં હતાં. આ શણ તો મધ્યપ્રદેશમાં થાય છે. અહીં કેટલાક લોકો આજે પણ રાવણને પૂજે છે.

જો કે ઇતિહાસકારે વિરોધાભાષી વાતો પણ કરી છે. જેમ કે શણ અહીં પેદા થાય છે એવું એક જગ્યાએ લખે છે તો બીજી જગ્યાએ એમ લખે છે કે દારુનો કુંજો રોમથી આવતો હતો. જો દારુ અને દારુનો કુંજો રોમથી આવી શકતો હોય તો શણ મધ્યપ્રદેશ થી તો શું બંગાળ માંથી પણ આવી જ શકે ને. ઈજીપ્તના મમી ઉપર નું કાપડ જો ભારતમાંથી જતું હોય એ સ્વિકારતા હોઈએ તો શણના કાપડવાળી દલીલ ટકી ન શકે. પંચવટી થી લંકા જવું હોય તો સિંધુ, બનાસ, સરસ્વતી, સાબરમતી, મહી ન આવે, અને નર્મદા પણ ન આવે.  શ્રી લંકાની ભાષા સિંહાલી છે તે બિહારી હિન્દીને મળતી છે. આ બધી વાતો વધુ ન કરીએ, પણ મધ્યપ્રદેશમાં રામસેતૂ નથી મળતો. શિવજીનું સ્થાન કૈલાસ છે પણ તેઓની પૂજા દક્ષિણમાં પણ થાય છે. વિષ્ણુ કાળા છે તો પણ તેમની પૂજા ઉત્તરમાં પણ થાય છે.

મૂળવાત પર આવીએ.

રાજા રામ

રામ અને રાવણનું યુદ્ધ થયું રાવણ મમત ઉપર ગયો. તેણે યુદ્ધ કર્યું. રાવણ મરાયો. રામ પોતાની પત્ની સીતાને મળ્યા.

રામના ચરિત્રને ચાર ચાંદ લગાવવા વાળી તેમની રાજધર્મની પરીક્ષાની વાત હવે ચાલુ થાય છે. મોટા ભાગના વિવેચકો, મૂર્ધન્યો, વિદ્વાનો રામના રાજધર્મને મુલવવામાં અહીં થી જ ભટકી જાય છે.

રામમાં એવા કયા સંસ્કાર છે કે જે તેમને અતિમાનવ કે મુઠી ઉંચેરો માનવી બનાવે છે? એવા તે પણ કેવા, કે આજે હજારો વર્ષ પછી પણ લોકો તેમને ઈશ્વર જેટલું કે તેથી પણ વધુ માન આપે છે.

કૃષ્ણ “કંસારિ”, “કેશવ”, “મુરારિ”, વિગેરે નામ થી ઓળખાય છે. પણ રામ “રાવણને હણનાર રાવણારિ”, “ખર રાક્ષસને હણનાર ખરારિ”, વિગેરે નામ થી ઓળખાતા નથી.

રામના જીવનનો કયો હિસ્સો છે કે જે તેમને અતિમાનવ તરફ લઈ જાય છે? રામ હમેશા “રાજા રામ” અને “સીતા રામ” તરીકે ઓળખાય છે. એટલે કે રામ માટે “ રાજાની એકમાત્ર આદર્શ ઉપમા” રાજાનું એકમાત્ર શ્રેષ્ઠ રુપ રાજા રામ છે.

બીજું નામ છે, “સીતારામ” સીતાના રામ એટલે કે સીતાના પતિ રામ એટલે કે સીતા વાળા રામ. એક પરશુવાળા રામ હતા. અને એક સીતાવાળા રામ હતા. એટલે સીતાને પણ મહાન ગણવા આવી છે. એટલે રામ બે રીતે પ્રખ્યાત હતા. “રાજા રામ” અને “સીતા રામ”.

શું રામે રાજગાદીનો ત્યાગ કર્યો એટલે મહાન હતા?

શું રામ પિતાની આજ્ઞાથી વનમાં ગયા એટલે મહાન હતા?

શું રામે રાક્ષસોને માર્યા એટલે મહાન હતા?

શું રામે રાવણને માર્યો એટલે મહાન હતા?

શું આ બધાના સરવાળાથી રામ  પૂજનીય બન્યા?

ના જી.

રાજગાદીનો ત્યાગ તો ઘણા રાજાઓએ કર્યો છે. કેટલાય રાજાઓએ વનવાસ પણ કર્યો છે. કેટલાય રાજાઓએ રાક્ષસોનો સંહાર કર્યો છે. રાવણને હરાવવાવાળા અને તેને ભગાડવા વાળા પણ ઘણા લોકો હતા.

તો એવી તે કઈ વાત છે જે રામને મહાન બનાવે છે?

(ચાલુ)

 

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝ; રામ, રાવણ, સીતા, હરણ, લંકા, લક્કા, શણ, દારુ હનુમાન, સુગ્રીવ, વાલી, રાક્ષસ, મહામાનવ, અતિમાનવ, ભગવાન, પંચવટી

Read Full Post »

Where is he lost, the man who walked on this earth with flesh and blood? Part-4 / 9 (GUJARATI)

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ – ૪ / ૯

રાજગાદી કોને મળવી જોઇએ? રામને કે ભરતને ?

દશરથ રાજાએ કૈકેયીના પિતાને વિશ્વાસ આપ્યો હતો કે જો પટ્ટરાણીને પણ પુત્ર થશે તો પણ કૈકેયીના પુત્રનો જ રાજ્યભિષેક થશે.

હવે થયું એવું કે પટ્ટરાણી સૌ પ્રથમ ગર્ભવતી થઈ. એટલે કે જ્યેષ્ઠપુત્ર કૌશલ્યાને થયો. કૈકેયી પછી ગર્ભવતી થઈ એટલે એનો પુત્ર જ્યેષ્ઠ પુત્ર ન બન્યો. પ્રણાલી એવી હતી કે જ્યેષ્ઠપુત્રને રાજગાદી મળે. અથવા તો જે સૌથી વધુ લોકપ્રિય રાજકુંવર હોય તેને રાજગાદી મળૅ. રામ લોકપ્રિય પણ હતા અને જ્યેષ્ઠ પુત્ર પણ હતા.

હવે શું કરવું?

બધી લડાઈ મીકી માઉસ જેવી બનાવી?

આ સમસ્યામાં જે દેવી તત્વોની રમત રમવાની જે વાતો કહી છે તેની આપણે ચર્ચા કરવી જરુરી નથી તેથી તે ચર્ચા નહીં કરીએ. જો કે ટૂંકમાંતે વાત આમ છે, કે દશરથ રાજાએ રામના યુવરાજ પદની ઘોષણા કરી એટલે ઈંદ્રાદિ દેવો મુંઝાયા. જો રામ અયોધ્યાના રાજા થઈ જશે તો તેઓ રાજકાજમાં વ્યસ્ત થઈ જશે. જો આમ થશે તો રાવણના ત્રાસમાંથી આપણને છોડાવશે કોણ? એટલે કંઈક તો કરવું પડશે.

કૈકેયી આમ તો સારી છે. એટલે તેને પૂર્ણ રીતે વાંકમાં લેવાની જરુર નથી. તો શું કરીશું? મંથરા જે કૈકેયીની દાસી છે તેને પટમાં લાવો. બલિનો બકરો (બલિની બકરી) તેને બનાવો. ભાઈઓ અને બહેનો, આ કૈકેયી તો બહુ જ સારી હતી. એટલે તો દશરથ રાજાને ગમતી હતી. પણ દૈવી શક્તિઓ સામે કૈકેયી બીચારી શું કરે?

આમ તો ઈન્દિરા ગાંધી સારી હતી કારણકે જવાહરલાલ નહેરુની પુત્રી હતી.

જવારહરલાલ તો કેટલા બધા સારા હતા. જુઓને જવાહર લાલે કેવા કેવા ભોગ આપેલા. સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમના ઘરમાં પડ્યા પાથર્યા રહેતા હતા. તેમની આગતા સ્વાગતા થતી હતી. ચા અને નાસ્તાપાણી થતા હતા. ભલે જે કંઈ ખર્ચ થતો હતો, એ પૈસા તેઓ કમાયા ન હતા પણ તેમના પિતાશ્રીના તો હતા જ ને ? જો પિતાના વારસા ઉપર તેમનો હક્ક હોય તો પોતે ( ભલે પછી તે, મહાત્મા ગાંધી આગળ ત્રાગું કરીને) મેળવેલા વડાપ્રધાનપદ હોય પણ આ પદનો વારસો ઇન્દિરા ગાંધીને મળે તેવી જોગવાઈ તો તેમણે કરવી જ પડે ને ! આવા સુંદર, ચપળ, પોતાનું વારસાગત ઘર ત્યાગી ને દેશને સમર્પણ કરનાર, દેશી વિદેશી નેતાઓના સંપર્કોવાળા એવા નહેરુની પુત્રી તો સારી જ હોયને.

હા આ કટોકટીમાં એણે તેના વિરોધીઓને જેલમાં પૂર્યા એ વાત ખરી. પણ એમાં બિચારી ઇન્દિરા ગાંધીનો કંઈ વાંક ન હતો. તે તો રાજીનામુ આપવા તૈયાર હતી. પણ સંજય ગાંધી એવો હતો કે જેણે ઇન્દિરાગાંધીની ઉપર ઇમોશનલ કે બ્લેકમેલની ધમકી રુપી દબાણ કર્યું. આમ તો સંજય ગાંધી પણ એવો ન હતો. પણ એ ચંડાળ ચોકડીની વાતોમાં ચડી ગયો. અને ઈન્દિરા ગાંધી દ્વારા કટોકટી લદાવી. ઇન્દિરા ગાંધી બિચારી કંઈ કટોકટી લાદીને ખુશ થઈ ન હતી.

આ મનમોહન સિંગ ની જ વાત કરોને. બિચારા સાબ ગરીબડા છે. સોનીયા પણ કંઈ એવી ખરાબ નથી. આ તો ડીએમકે અને સોનીયાના સાથી પક્ષો જ એવા છે. ભાઈ રાજકારણ છે જ એવું હોય છે. તેર સાંધો અને ત્રેપન તૂટે. બિચારા મન મોહન અને સોનીયા કરે પણ શું !!

જો આપણા હાલના સમાચાર માધ્યમોના ખેરખાંઓની અને મૂર્ધન્યોની આવી અવદશા હોય તો જેમને એક મહાપુરુષની કથાને રસમાય કરવાની હોય તેઓ તો કંકને કંઈક જોડે જ ને.

કૈકેયીનો કેસ ઇન્દિરાગાંધી જેવો નબળો નહતો. તેણે જે માગણી મુકી અને આચરણ કર્યું તે તેનો હક્ક હતો.

પુરાણકારોમાં એક વાત સામાન્ય હતી. અસુર, દૈત્ય, રાક્ષસ, દાનવ પોતાની ઉન્નતિ માટે બ્રહ્માજી, શિવજી આદિ કોઈનું તપ કરે અને તેમને પ્રસન્ન કરે. તેમની પાસેથી મનોવાંચ્છિત વરદાન મેળવે. પછી દેવોને ડરાવે, દેવોની હકાલ પટ્ટી કરે પરેશાન કરે. આવું બધું થાય, પછી વિષ્ણુ કે શિવ, કે ગણેશ કે કાર્તિકેય કે માતાજી ઓ આ રાક્ષસી શક્તિઓ સામે મહાયુદ્ધ કરે અને દેવોની રક્ષા કરે. જનતાને પણ આ રીત ગોઠી ગઈ હતી.

આ રીતમાં જેટલું ઉમેરવું હોય તેટલું ઉમેરાય અને જેટલું લંબાવવું હોય તેટલું લંબાવાય. જનતા ભાગી ન જાય. અત્યારની ટીવી સીરીયલોના ડીરેક્ટરો જેવું ન હતું કે એક પાત્ર એક વાક્ય બોલે અને કેમેરા ડક્ઝન બંધ પાત્રોના મોઢા ઉપર કેમેરા ડઝનેકવાર ફેરવવા માંડે. પાત્રોના વાક્યે વાક્યે આવું થાય. ડાયરેક્ટરને થાય કે આ તો “તાજ સીગરેટ જેવું થાય છે” ધીમી બળે છે અને વધુ લહેજત આપે છે. જો કે પુરાણ કારોનું સાવ આવું ન હતું. પુરાણ, એપીસોડ જેવું સાવ સ્લો થઈ જતું નહીં, કે અમુક દર્શકો સીરીયલો જોવી બંધ કરી દે.

દેવોએ મંથરાને પોતાની રીતે ઉશ્કેરી ઉકસાવી. મંથરાએ કૈકેયીને ઉશ્કેરી.

દશરથ રાજા માટે ધર્મ સંકટ ઉભું થયું. ત્રણ પ્રણાલીઓ સામસામે આવી. સંભવ છે કે દશરથ રાજા અને તેમના મંત્રીમંડળે એવો રસ્તો કાઢ્યો કે ત્રણે પ્રણાલીઓ ને સન્માન મળે. આ પ્રમાણે રામ ૧૪ વર્ષ વનમાં જાય. ભરત ૧૪ વર્ષ નિશ્ચિંત થઈને રાજ કરે. જો ભરત સુચારુ રુપે રાજ કરશે તો જનતા તેને જ રાજા તરીકે ચાલુ રાખશે.

રામને વનવાસ શા માટે?

રામને વનવાસ એ માટે કે રામ લોક પ્રિય હતા. જનતા રામના પક્ષમાં રસ્તા ઉપર ઉતરી આવે તો ભરતે રાજગાદી છોડવી પડે. રામની ગેરહાજરીમાં ભરત, જનતાનો પ્રેમ હાંસલ કરી લે.

રામ સાથે સેના પણ નહીં. વનવાસ એટલે વનવાસ. જો રામ સેના રાખે તો રામ એજ સેના થી બીજા મુલકો જીતીને રાજા થઈ જાય. પછી અયોધ્યા ઉપર પણ કબજો કરી લે તો !!

રઘુવંશના રાજાઓ કે એ વખતના રાજાઓ મનમાની કરી શકતા ન હતા. રાજાએ જો વચન આપ્યું હોય તો તે વચન પાળવું જ પડે. પ્રણાલીઓનું પાલન કરવું જ પડે. રામે દશરથ રાજાની વાત કબુલ રાખી.

લક્ષ્મણે તો રામની સાથે જ રહેવાનું હતું.

સીતાએ વિચાર્યું હોઈ શકે કે જે વ્યક્તિ જુના પ્રકારનું અટપટું ધનુષ વાપરવામાં પણ પાવરધી હોય તે વનવાસ દરમ્યાન ચૂપ બેસશે નહીં. માટે આ વ્યક્તિ ઉપર નજર તો રાખવી જ પડશે. કદાચ સીતા અને લક્ષ્મણની પત્ની ઉર્મલા બંન્નેએ મસલત કરી આ નિર્ણય લીધો હોય. સીતા, રામ અને લક્ષ્મણ પર નજર રાખે, અને ઉર્મિલા અયોધ્યામાં જે કંઈ થાય તેના ઉપર નજર રાખે.

આમ તો રામાયણ ચમત્કારોથી ભરપુર છે. તેમાં દંતકથાઓ અને બીજા ઉમેરણો પુષ્કળ છે. પહેલે થી જ રામ દ્વારા ઘણા રાક્ષસોની હત્યા થયેલી, આકાશમાંથી પુષ્પ વર્ષા થતી, અહલ્યાનો ઉદ્ધાર, રામ જન્મ થવાથી દેવતાઓ અયોધ્યામાં આવે અને રામના રુપમાં રહેલા વિષ્ણુ ભગવાનના દર્શન કરી ખુશ થાય. વિષ્ણુ અવતાર લે એટલે બીજા દેવો પણ અવતાર લે જેમકે કોઈ પ્રધાન બહારગામ જાય એટલે તેમની સાથે સુરક્ષાદળો, સચિવ, સ્ટેનો અને બીજો સ્ટાફ પણ મદદમાં જાય (અને શોપીંગ પણ કરી લે). યજમાન પ્રદેશના સુયોગ્ય લેવલના મહાનુભાવ પ્રોટોકોલ નિભાવે. આ બધી વાતો વ્યર્થ છે.

શુર્પણખા અને રામ-લક્ષ્મણ

રામ લક્ષ્મણ અને સીતા પંચવટીમાં રહે છે. રામ હમેશા પોતાને સમ્રાટ ભરતના પ્રતિનિધિ તરીકે પ્રસ્તૂત કરતા રહે છે. યથા યોગ્ય રીતે વનવાસીઓની સુરક્ષા કરતા રહે છે.

રાવણની બહેન શુર્પણખા

એક દિવસ શુર્પણખા ફરતાં ફરતાં પંચવટી આવે છે. રામના રુપથી એ મોહિત થાય છે. તે રામ પાસે લગ્નનો પ્રસ્તાવ મુકે છે. રામ તો આદર્શ પુરુષ છે. તેઓ એક પત્નીવ્રતમાં માનતા હોય છે. વળી સીતા પ્રત્યક્ષ નહીં તો પંચવટીમાં તો હતી જ. “આવ પથરા પગ ઉપર” એવું શું કામ કરવું? એટલે રામ શુર્પણખાને સૂચન કરે છે કે તે લક્ષ્મણને પ્રપોઝ કરે.

શુર્પણખા લક્ષ્મણને જુએ છે. એ પણ કંઈ ખોટો ન લાગ્યો. શુર્પણખા લક્ષ્મણને પ્રપોઝ કરે છે. પણ લક્ષ્મણ તેને ફરીથી રામ પાસે મોકલે છે. આમ આ બંને અવારનવાર એકબીજા પાસે શુર્પણખાને મોકલીને જુદી જાતના “ઈવ ટીઝીંગ” નો લાભ લે છે. શુર્પણખાને અંતે ટ્યુબલાઈટ થાય છે કે આ બંને મને ભઠાવે છે. આવા સંજોગોમાં સ્ત્રીનો અધિકાર છે કે તે ગુસ્સો કરે. અને શુર્પણખા તો મોટા ઘરની હતી તેથી આ બંને સાથે મારપીટ ઉપર ઉતરી આવે છે. આપણા દેશમાં મંત્રીનો છોકરો સ્વમાન ભંગ થતાં મારપીટ ઉપર ઉતરી આવે છે. આપણા રામ અને લક્ષ્મણ, બે પુરુષ તે શુર્પણખાને નાક અને કાન ઉપર ઈજા પહોંચાડે છે. જોકે યુપીના મુંહાવરા પ્રમાણે નાક કાન કટા એમ કહે છે. શુર્પણખા, પોતાના ભાઈ, રાવણ પાસે જઈને રામ અને લક્ષ્મણ વિરુદ્ધ ફરીયાદ કરેછે.

સીતા હરણ

સીતા હરણ શું થયું હશે? એક પાઠ પ્રમાણે સીતા પોતાની મેળે લંકા જતી રહી હતી. ક્યાંક વળી સીતાને રાવણની પુત્રી બતાવી છે. પણ મોટાભાગના પાઠ પ્રમાણે રાવણ સીતાનું અપહરણ કે હરણ કરી કરી ગયો હતો.

સુવર્ણ મૃગની વાત આવે છે. મરિચી જે રાવણનો મામા હતો તે પોતાની માયાવી શક્તિથી સુવર્ણ મૃગ બની જાય છે. સીતાને લોભાવે છે. આપણે બહુરુપીયાઓની કળાઓથી પરિચિત છીએ. પણ આ અતિશયોક્તિ કે ઉમેરણ હોઈ શકે.

સીતા, રામને આ સુવર્ણ મૃગને લઈ આવવાનું કહે છે. રામ જાય છે. મરિચી રામને દૂરદૂર લઈ જાય છે. રામ એને તીર મારે છે. મરિચી રામના જેવા અવાજમાં લક્ષ્મણ લક્ષ્મણ એમ બુમો પાડે છે.

સીતા લક્ષ્મણને તપાસ કરવાનું કહે છે. તે માટે લેખક સીતાના મોઢામાં કડવા શબ્દો પણ મુકે છે. પણ લક્ષ્મણ એક રેખા દોરીને સીતાને કહે છે કે આ રેખાનું ઉલ્લંઘન ન કરશો. કારણકે આ રેખાની અંદરની દિશામાં હશો ત્યાં સુધી હું તમને જોઈ શકીશ. આવું જ કંઈક હશે. કારણ કે જેવી વર્ણવવામાં આવી છે એવી ચમત્કારિક રેખા કોઈ દોરી ન શકે.

રાવણ સાધુના વેશમાં આવે છે અને ભિક્ષા માગે છે. આમાં પણ નાટ્યકરણ છે. સીતા એક પગ ઉંચો કરીને રેખાની બહાર લંબાવે છે. રાવણ તે પગને ખેંચીને સીતાને ઉઠાવી લે છે.

રામ તો વિષ્ણુ ભગવાન છે. સીતા સાક્ષાત લક્ષ્મી છે. સીતા તો વલ્કલ પહેરતી હતી. રાવણ આવી સીતાનો ઉંચો થયેલો પગ ખેંચીને પોતાના ખભા ઉપર ઉઠાવી લે છે.

સીતા આવી નિર્માલ્ય અને નિર્બળ કેવી રીતે હોઈ શકે? માતા લક્ષ્મીની આવી અવમાનના થઈ જ કેવી રીતે શકે !!

કોઈને જ્યારે ભગવાન બનાવી દઈએ અને કોઈ સ્ત્રીને દેવી બનાવી દઈએ ત્યારે સર્વશક્તિમાન ભગવાન અને માતાજી વિષે આવી મુસીબતો ઉભી થાય છે.

પણ ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કર્યા ટેકા.

અરે ભાઈ આ બધી તો ભગવાનની લીલા છે. ભગવાન તો સંકલ્પમાત્રથી બધું જ કરી શકે છે. ભગવાનોએ તો લીલા પણ કરવાની હોય છે. એટલે તો ભગવાન આવું બધું કરે છે.

કોઈ કહેશે અરે ભાઈ એવી કેવી લીલા કે લક્ષ્મીજીની ઈજ્જત જતી રહે. લક્ષ્મીજીની બેઈજ્જતી કેમ થવા દીધી?

આનો પણ ઉત્તર છે. જુઓ. ભાઈઓ અને બહેનો … જ્યારે રામ વનવાસ માટે નિકળ્યા ત્યારે લક્ષ્મીજી તો વૈંકુંઠ પાછા જતા રહ્યા. રામની સાથે જે સીતા ગઈ એ કંઈ સાક્ષાત લક્ષ્મીદેવી ન હતાં. એ તો લક્ષ્મીની છાયા હતી.લક્ષ્મીજી તો રામની પાસે પોતાની છાયાને રાખીને ગયાં હતાં. જે સીતા હતી તે છાયાલક્ષ્મી હતી. ઇતિ સિદ્ધમ્‌.

આ તો ચમત્કાર થયો. હા ભાઈ. પણ યાદ રાખો તમારો શ્રોતાગણ. એ તો ચમત્કાર વિષે પ્રશ્ન નહીં ઉઠાવે. માટે તમે નિશ્ચિંત રહો.

બસ એટલું જ સમજો કે સીતા લંકા પહોંચી ગઈ.

રાવણને સીતામાં કોઈ રસ હતો? શું રાવણને સીતા સાથે લગ્ન કરવું હતું? શું રાવણે સીતા ઉપર અત્યાચાર કરેલ?

આવું કશું હતું નહીં. રાવણને સીતામાં કોઈ રસ ન હતો. ન તો રાવણને સીતા સાથે લગ્ન કરવું હતું. ન તો રાવણ સીતાને પરેશાન કરવા માગતો હતો. જે રાવણે કૌશલ્યાને દશરથ સાથે છોડી દીધી અને પોતાની ઈચ્છા જતી કરી, એને સીતામાં કેવી રીતે રસ હોય? જે રાવણ દશરથ અને કૌશલ્યા એમ બંનેનું એક સાથે અપહરણ કરી શકતો હોય અને પછી છોડી પણ દેતો હોય, તેને સીતામાં કોઈ રસ ન હોઈ શકે. ઘણા પુરુષોની પ્રકૃતિ એવી હોય કે તેમને સ્ત્રી ઉપર દબાવ લાવવો પસંદ ન હોય. રાવણને તો ફક્ત રામનું અપમાન કરવું હતું. આ તેણે કરીને બતાવ્યું. રાવણે પોતાની બહેન પર કરવામાં આવેલ “ઈવ ટીઝીંગ” નો જવાબ આપી દીધો. રાવણે સીતાને અશોકવાટિકામાં છૉડી દીધી. મશ્કરીનો જવાબ બે ગણી મશ્કરી થી આપી દીધો.

રામનું અપમાન તો થઈ જ ગયું.

પણ રામ એમ કંઈ ગાંજ્યા જાય તેવા ન હતા.

(ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રામ, લક્ષ્મણ, સીતા, દશરથ, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી, મંથરા, ઈંદ્ર, ઈંદિરા, જવાહર લાલ, નહેરુ, કટોકટી, સંજય, ચંડાળ ચોકડી, શિવ, વિષ્ણુ, રાક્ષસ, તપ, વરદાન, અપહરણ, ઈવ ટીઝીંગ, રાવણ

Read Full Post »

where is he lost who walked on this earth in flesh and blood? Part-3 / 9

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ?  ભાગ – ૩/૯

દશરથ રાજાઃ

વૈવસ્વતઃ મનુ એ સૂર્યવંશનો પ્રથમ રાજા હતો. તેના પછી ૬૩મા ક્રમે રાજા દશરથ (દશરથ-૨) આવે છે. રામચંદ્ર, આ દશરથ રાજાના પ્રથમ પુત્ર હતા. ઉપરોક્ત મનુરાજા ૧૪ મન્વન્તરોમાંથી ૭મા મન્વ ન્તર નો પહેલો રાજા ગણાય છે. આ મન્વન્તરની કાળગણનાની વાતને માનો કે ન માનો તેથી કોઈ ફેર પડતો નથી. પુરાણોમાં ઇતિહાસ છે અને તેમાં દશરથ નું નામ છે અને તેનો સૌથી મોટો પુત્ર રામ છે. કોઈ રાજા બે નામથી પણ ઓળખાતો હોય છે. રામના પિતા દશરથ, દશરથ-૨ હતા.

અયોધ્યાને નકારવું જરુરી નથી.

દશરથે કૈકેયી સાથે લગ્ન કર્યું. કૈકેયી કેકેય પ્રદેશની હતી. કેકેય પ્રદેશ અયોધ્યાની પશ્ચિમે લાંબા અંતરે આવેલો પ્રદેશ છે. કુરુક્ષેત્રને પસાર કર્યા પછી પણ ઘણી નદીઓને પસાર કર્યા પછી તે આવે છે. એ જમાનામાં તેજ ગતિથી દોડતા ઘોડાઓ હતા તો પણ અયોધ્યાથી ત્યાં પહોંચતાં સાત દિવસ થતા હતા. કેકેય પછી ગાંધાર આવતું હતું. એટલે આ અંતરને નકારવું જરુરી નથી.

દશરથ રાજાને પોતાની બે રાણીઓથી કોઈ પુત્ર થયેલ નહીં. એટલે દશરથે કેકેયની રાજકન્યા પસંદ કરી. આપણે એવું માની શકીએ કે ભારતીય સંસ્કૃતિ તે વખતે પણ ગાંધાર સુધી ફેલાયેલી હતી. આમ તો ઇશુની પહેલી સદી સુધી ભારતીય રાજાઓ ઈરાન સુધી રાજ કરતા હતા એવું અમને “કમળા શંકર સુંદરલાલ” ના પાઠ્યપુસ્તક દ્વારા ભણાવવામાં અવેલ..

કૈકેયીની સાથે લગ્ન કર્યા પછી પણ દશરથ રાજાને સંતાન થયેલ નહીં. દશરથ રજા પુત્રેષ્ટી યજ્ઞ કરે છે.

પુત્રેષ્ટી યજ્ઞ શું હતો?

વાસ્તવમાં આ એક ઉપચાર જ હોવો જોઇએ. આયુર્વેદમાં દૂધ, ખાંડ અને ચોખાના નિત્યસેવનને પુત્રપ્રાપ્તિનો એક ઉપચાર માનવામાં આવે છે. યજ્ઞ એટલે જોડવું. એનો એવો અર્થ પણ થાય છે. વિશેષ અર્થ એ પણ થાય કે કુશળતા પૂર્વક અને ઓતપ્રોત થઈને જોડવું. આ યજ્ઞને ઉપચારની પ્રક્રિયા તરીકે સમજી શકાય.

બધી રાણીઓ ગર્ભવતી થઈ. સુમિત્રાને લક્ષ્મણ અને શત્રુઘ્ન એમ બે પુત્રો થયા. લગ્ન પછી થોડા લાંબા સમયે જોડકા પુત્રો જન્મવાની શક્યતા થોડી ઘણી વધે છે. એટલે તેનું કારણ શોધવાની જરુર નથી. પણ લેખકે એવું જોડી દીધું કે કૌશલ્યા અને સુમિત્રાએ પોતાના ભાગમાંથી ખીર આપી. આનું કશું મહત્વ નથી. કૌશલ્યાએ રામને જન્મ આપ્યો. કૈકેયીએ ભરતને જન્મ આપ્યો.

ભાઈઓની જોડી જુદી રીતે થઈ.

સામાન્ય રીતે જોડકા ભાઈઓ વચ્ચે ગાઢ મૈત્રી થાય કારણકે તેઓ સાથે સાથે જ ઉછરે છે. પણ રામાયણમાં રામ – લક્ષ્મણની જોડી થઈ અને ભરત-શત્રુઘ્નની જોડી થઈ.

“રામ – લક્ષ્મણની જોડી અને ભરત-શત્રુઘ્નની જોડી” આવું શા માટે થયું?

શક્યતા છે જ કે પ્રારંભથી જ આ વાત નિશ્ચિત ન હતી કે દશરથનો અનુગામી રાજા કોણ થશે.

એટલે કે “રામને રાજગાદી સોંપવી કે ભરતને રાજગાદી સોંપવી?”

આ બાબતમાં ત્રણે રાણીઓમાં અનિશ્ચિતતા હતી. ઓછામાં ઓછું સુમિત્રાના મનમાં તો હતું જ કે રામને રાજગાદી મળે પણ ખરી અને ન પણ મળે. ભરતને પણ રાજગાદી મળવાની શક્યતા હતી. આ કારણ થી સુમિત્રાએ એક પુત્રને રામ સાથે લાગુ કરી દીધો અને બીજા પુત્રને ભરત સાથે લાગુ કરી દીધો.

આમ કરવાથી જો રામને રાજગાદી મળે તો લક્ષ્મણ નું ભવિષ્ય નિશ્ચિંત થાય અને જો ભરતને રાજગાદી મળે તો શત્રુઘ્નનું ભવિષ્ય નિશ્ચિંત થાય. ભરત અને શત્રુઘ્ન તો જોડીયા ભાઈ જ હતા તેથી બંને એકબીજાનું ધ્યાન રાખી શકે. આમ સુમિત્રા પોતે પણ સુરક્ષિત થઈ જાય.

ભરતને રાજગાદી મળવાની શક્યતા કેવી રીતે હતી?

જ્યારે દશરથ રાજા કેકેય નરેશ પાસે તેની પુત્રીનો હાથ માગવા ગયા ત્યારે દશરથ રાજાને પ્રશ્ન પૂછાયો હશે એવી શક્યતા હતી જ. ક્યાંક આ ઉલ્લેખ પણ છે. આ વાતની શક્યતાને નકારી ન શકાય.

કેકેય નરેશને ખબર હતી કે દશરથ ને બીજી રાણીઓથી સંતાન નથી. અને તેથી દશરથ રાજા સાથે પોતાની પુત્રી પરણાવીએ તો તેના પુત્રને જ રાજગાદી મળશે. પણ તેને એ પ્રશ્ન પણ થયો કે પટ્ટરાણી તો કૌશલ્યા હતી. અને જો પાછળથી કૌશલ્યાને પણ પુત્ર થાય તો પોતાની પુત્રીનો પુત્ર, રાજગાદીનો હક્ક ગુમાવે. આવું થાય તો, તે, કેકેય નરેશને મંજુર ન હતું. તેથી તેણે દશરથ રાજા પાસેથી વચન લીધું કે મારી પુત્રીના પુત્રને જ રાજ ગાદી મળવી જોઇએ. દશરથ અને કેકેય બંને માન્યું હશે કે જો કૌશલ્યાએ હજુ સુધી પુત્રને જન્મ આપ્યો નથી તો હવે પછી તો નહી આપે. અને ધારો કે કૌશલ્યા પુત્રને જન્મ આપશે તો તે કૈકેયીના પુત્ર કરતાં તો નાનો જ હશે.

મોટો પુત્ર હોય તેને રાજગાદી મળે તેવી પ્રણાલી હતી.

કૈકેયી શુરવીર અને મેધાવી હતી. દશરથ રાજાને કૈકેયી પ્રિય પણ હતી. પણ પટ્ટરાણી કૌશલ્યા હતી. તે સમયની પ્રણાલી પ્રમાણે પટ્ટરાણી પદ એકવાર આપ્યું એટલે આપ્યું. એનો ફેરબદલો ન કરી શકાય.

ચારેય પુત્રોએ વિશ્વામિત્ર ઋષિ પાસે અસ્ર શસ્ત્રની વિદ્યા પ્રાપ્ત કરી. વિશ્વામિત્ર કેવી રીતે આવ્યા અને વિશ્વામિત્રે દશરથ રાજા અને તેમના મંત્રીમંડળ સાથે શું સંવાદ કર્યો તેનું વર્ણન કરવું અહીં જરુરી નથી. કારણકે આ બધો સંવાદ અને વર્ણન છે . આ બધું લેખકની ધારણા, કલ્પના ઉપર આધાર રાખે છે. જે પ્રસંગો બનાતા હોય તેના ક્રમના આધારે ઇતિહાસનું અનુમાન લગાવી શકાય છે.

શિવ ધનુષ ઉપર શરસંધાન કરવું

દક્ષ રાજાએ એક યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞનો ધ્વંશ ઈશ્વર શિવે કર્યો હતો. પણ આવું બને નહીં. ઈશ્વર પોતે આવું ન કરી શકે. પણ વીરભદ્ર અને ભદ્રકાળીને શિવે ઉત્પન્ન કર્યા હતા અને આ બંને એ યજ્ઞનો નાશ કર્યો હતો.

વીરભદ્ર કોણ હતો?

એ કોઈ રાજા હશે. જેને દક્ષ સાથે તાત્વિક વાંધો પડ્યો હશે. જેમ કૃષ્ણને ઈંદ્રની પૂજા વિષે વાંધો પડ્યો હતો તેમ. પણ આની શાસ્ત્રીય ચર્ચા આપણે નહીં કરીએ.

આ વીરભદ્રનું ધનુષ્ય કાળક્રમે કોઈ પણ રીતે જનક રાજા પાસે આવ્યું. આ અદભૂત ધનુષ્ય કે વિશિષ્ઠ ધનુષ્ય હતું. તેને કદાચ કળથી જ પકડાતું હશે અને શરસંધાન પણ કરવાની રીત પણ વિશિષ્ઠ જ હશે. આ કામ મહાનબાણાવળીઓમાં થી પણ જુજ બાણાવળીઓ જ કરી શકતા હશે. રામે શ્રેષ્ઠ બાણાવળી બનવાનું શિક્ષણ લીધું હતું અને બન્યા પણ હતા. તેથી જ તેઓ ગુરુને પ્રિય બન્યા હતા.

એક આડવાત કરવી પડશે. આ વાત “યાજ્ઞવલ્ક રામાયણ”માં લખી છે. આ શ્રીરામ, કોઈ એક વખતે બહુ ઉદાસીન થઈ ગયેલ. કારણકે તેમણે જાણ્યું કે મનુષ્યનું ભાવી નિશ્ચિત છે. ગ્રહો ઉપર વ્યક્તિના ભવિષ્યનો આધાર છે. ગ્રહોની ગતિ નિશ્ચિત છે. આમ મનુષ્ય પોતે ગમે તેટલા પ્રયત્નો કરે પણ તે જે નક્કી છે તેને બદલી શકતો નથી. તો આવા જીવનનો અર્થ શો? જે થવાનું છે તે તો થવાનું જ છે. મારા બધા કામો નિરર્થક છે. આમ શ્રી રામ મૌન અને ઉદાસ રહેવા લાગ્યા અને દુબળા થવા લાગ્યા. દશરથ રાજાને ચિંતા થવા માંડી. તેમણે વિશ્વામિત્રને પોતાની ચિંતા જણાવી. વિશ્વામિત્રે તપાસ કરી કે રામને કોઈ પણ જાતનું વ્યસન ન હતું. તેઓ દુરાચારી પણ ન હતા. તેમનું કોઈએ અપમાન પણ કર્યું ન હતું. તેઓ સૌને પ્રિય પણ હતા. એટલે વિશ્વામિત્રે તેમને વિશ્વાસમાં લઈને વાતચીત કરી. રામે પોતાનો મનોભાવ જણાવ્યો. એટલે વિશ્વામિત્રે તેમને જણાવ્યુમ કે પુરુષાર્થ આગળ અને દૃઢ નિર્ણય આગળ ગ્રહો બધા નકામા છે. જેમ ખેલાડી પોતાના ડંડા વડે દડાને મનોવાંછિત દિશામાં ફંગોળે છે તેમ પુરુષાર્થી અને દૃઢ નિશ્ચયી મનુષ્ય પોતાના ભવિષ્યને ધારે તેવું કરી શકે છે. તેના ડંડાથી ગ્રહો પણ ડરે છે. આમ કહી વિશ્વામિત્ર અમુક ઉદાહરણો આપે છે. આ ઉદાહરણોની વાત આપણે નહીં કરીએ. પણ વિશ્વામિત્રની વાતોથી રામ નોર્મલ થાય છે. આ વિશ્વામિત્ર રામના અને તેમના ભાઈઓના ગુરુ બને છે.

શિવધનુષ્યની વાત ઉપર આવીએ.

આ શિવ ધનુષ્ય થી બાળ-સીતા રમવા લાગી. સામાન્ય રીતે બાલિકાઓ ઢીંગલીઓ થી રમે. પણ સીતા ધનુષ્યથી રમવા લાગી તેથી જનકને લાગ્યું કે આ સીતા અસામાન્ય છે. તેથી હું, આ વિશિષ્ઠ ધનુષ્યને પણછ બાંધીને જે વ્યક્તિ શ્રેષ્ઠ રીતે શરસંધાન કરશે તેની જોડે સીતાને પરણાવીશ.

આ શિવ ધનુષ્ય, વિશિષ્ઠ ઉપરાંત વજનદાર પણ હશે. તેને કળથી ઉપાડવું પડતું હશે.તેની ઉપર શરસંધાન કરવાની બાબતમાં શું વાત હતી?

જુદા જુદા રાજાઓ સ્વયંવરમાં આવેલ એવી કોઈ વાત નથી. પણ રાજાઓ સમૂહમાં કે છૂટક છૂટક આવેલ. અને સૌ નિસ્ફળ ગયેલા અને પછી ભેગા થઈ તેમણે જનક રાજાની ઉપર આક્ર્મણ કરેલ. જનક રાજાએ તેમને કોઈપણ રીતે હરાવેલ.

રાવણ આ ધનુષ્ય ઉઠાવી ન શકેલ એ વાતમાં તથ્ય નથી. રાવણ ઉંમરમાં મોટો હતો. રાવણને સમજાવવામાં અવેલ કે સીતા તો તેની પુત્રી સમાન છે. તેથી તેણે સ્પર્ધામાં ભાગ ન લેવો એવી વિનંતિ કરાયેલી અને રાવણે તે વાત માન્ય રાખેલ.

જો આ વાત ઉપર શક હોય તો નીચેની વાત વાંચો.

૧૯૫૫માં બૃહદ ગુજરાત સંસ્કૃત વિદ્યાપીઠ દ્વારા સંસ્કૃત પરીક્ષા “મધ્યમા” ના અભ્યાસક્રમમાં એક પાઠ હતો. “કૌશલ્યા હરણમ્‌”. આ પાઠમાં રાવણ ફક્ત કૌશલ્યાને જ નહીં પણ સાથે સાથે દશરથ ને પણ ઉપાડી જાય છે. રાવણને કૌશલ્યા સાથે પરણવું હોય છે પણ તે મોડો પહોંચે છે કે કૌશલ્યા દશરથને પસંદ કરેછે. જે હોય તે. કૌશલ્યા અને દશરથના લગ્ન થઈ ગયા પછી તે પહોંચે છે તેથી રાવણ બંનેનું અપહરણ કરી જાય છે અને લંકા લઈ આવે છે. પણ લંકામાં ઋષિઓ કે તેનું મંત્રીમંડળ રાવણને સમજાવે છે કે કૌશલ્યા તો હવે પરિણિત સ્ત્રી છે. પરિણિત્ર સ્ત્રી સાથે લગ્ન કરવું તારા માટે વર્જિત છે. રાવણ માની જાય છે. તે પછી રાવણ એક લાકડાની મોટી છબડીમાં બંનેને નાખી તેમને સમુદ્રમાં છૂટા મુકી દે છે. જો રાવણ કૌશલ્યાને છોડી શકતો હોય તો આ રાવણ સીતાને પણ છૉડી શકે છે.

ભારતની ગેરહાજરીમાં રામનો યુવરાજ પદ સમારોહ.

“યુવરાજ પદ સમારોહ” એવી કોઈ પ્રણાલી ઇતિહાસમાં બીજી કોઈ જગ્યાએ જોવા મળતી નથી.

શું દશરથ રાજા મુત્સદ્દી હતો?

આપણે થોડા વર્ષ પહેલાં લોકસભાની ચૂંટણી પહેલાં જોયેલ કે ચૂંટણી માટે બીજેપીએ એક સમિતિનું ગઠન કર્યું અને તેની પ્રચાર સમિતિના અધ્યક્ષ સ્થાને નરેન્દ્ર મોદીને નીમ્યા. આ વાતનો ખૂબ પ્રચાર પણ કરવામાં આવ્યો. કારણકે આમાં એક અકથિત એવો સંદેશ હતો કે નરેન્દ્ર મોદી બીજેપીના લોકસભાના નેતા થશે અને વડાપ્રધાનપદના ઉમેદવાર થશે. જેથી અગર કોઈનો નરેન્દ્ર મોદીના પ્રધાનપદના ઉમેદવાર તરીકે વિરોધ હોય તો અત્યારથી જ જાહેરમાં આવી શકે. જેમને વિરોધ કરવો હતો તેમણે કર્યો. જેમને રીસાઈ જવું હતું તેઓ રીસાયા. કોની કેટલી શક્તિ હતી તે મપાઈ ગયું. જનતાના પ્રતિભાવ દ્વારા જનતાનો અભિપ્રાય મપાઈ ગયો. જેઓ વિરોધી હતા તેઓને પણ જનશક્તિનો પરિચય થઈ ગયો.

દશરથ રાજાએ રામની યુવરાજ પદની જાહેરાત અને સમારોહનો સાનુકુળ સમય નિશ્ચિત કર્યો. જ્યારે ભરત પોતાના મોસાળ ગયો ત્યારનો સમય દશરથ રાજાએ પસંદ કર્યો. દશરથની ધારણા હતી કે કદાચ ભરત વિરોધ પ્રગટ કરશે. જનતા તો વિરોધ નહીં જ કરે. તેથી કૈકેયી ને નબળી પાડવા ભરતની ગેરહાજરીનો સમય અનુકુળ હતો. ભરત જયારે પાછો આવશે ત્યારે તેને પણ ખબર પડશે કે રામના યુવરાજપદના નિર્ણયમાં જનતાની સંમતિ હતી તેથી ભરત પણ વિરોધ કરી નહીં શકે.

કોઈ એક સમયે દશરથ રજાએ કૈકેયીને બે વર માગવા કહેલ. આમાં બે પ્રકારના પાઠ છે. જ્યારે દશરથ રાજા સુરોને મદદ કરવા સુરોના પક્ષે રહી અસુરો સામે લડવા ગયેલ ત્યારે યુદ્ધ સમયે કૈકેયી દશરથ રાજાની સારથી બનેલ. અસુરો જ્યારે દશરથ ઉપર ધસી આવ્યા ત્યારે કૈકેયી દશરથ રાજાને બચાવવા રથને યુક્તિ અને કુશળતા પૂર્વક ભગાવીને દૂર દૂર લઈ ગઈ. બીજી વાતનો પાઠ એવો છે કે રથના પૈડાની ધરીમાંથી ઠેસી નિકળી ગઈ અને કૈકેયીએ પોતાની આંગળી ત્યાં ખોસી દીધી જેથી રથનું પૈડું નિકળી ન જાય. કૈકેયીની આંગળી ઇજાગ્રસ્ત થઈ ગઈ અથવા તો કપાઈ ગઈ. દશરથ રાજા કૈકેયીની ચતુરાઈ અને કુશળતાથી ખુશ થયા અને બે વર માગવા કહ્યું. કૈકેયીએ તે પછી ક્યારેક માગશે તેમ કહ્યું.

કેકેય એક સીમાવર્તી પ્રદેશ હતો. સીમાવર્તી પ્રદેશ હમેશા વિદેશી આક્રમણનું પ્રથમ ભક્ષ્ય બને છે. શક્ય છે કે કૈકેયી વિરાંગના હોય એટલા માટે જ કૈકેયીના પિતાએ કૈકેયીના પુત્રને જ રાજગાદી મળે એવી શરત દશરથ આગળ મંજુર કરાવી હોય. રાજાએ વચન પાળવું જોઇએ એ પણ પ્રણાલી હતી અને રાજગાદી જ્યેષ્ઠ પુત્રને મળે એ પણ પ્રણાલી હતી. જનતાને જે મંજુર હોય તેને રાજગાદી મળે તેવી પણ પ્રણાલી હતી તેવો પણ રામાયણમાં ઉલ્લેખ છે.

આનો ઉપાય?

(ચાલુ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ રામ, દશરથ, કૈકેયી, સીતા, જનક, ધનુષ, વીરભદ્ર, ભદ્રકાળી, દક્ષ, યજ્ઞ, શિવ, લંકા, રાવણ, કુબેર, રામાયણ, ઇતિહાસ, તથ્ય, પ્રણાલી

Read Full Post »

ક્યાં ખોવાયા હાડમાંસના બનેલા રામ? ભાગ-૧/૯

રામ કોણ હતા?

એક એવા રામ હતા જે રઘુવંશી દશરાજાના પુત્ર હતા. તેઓ હાડમાંસના બનેલા માત્ર અને માત્ર મનુષ્ય હતા. આમ તો તેઓ એક રાજકુંવર હતા અને એક કુશળ શાસક પણ અવશ્ય હતા. પણ થયું એવું કે એમની અસાધારણ, અદ્વિતીય મહાનતા અને આદર્શને કારણે એમને જનતાએ ભગવાન બનાવી દીધા.

જ્યારે કોઈને ભગવાન બનાવી દઈએ ત્યારે તે વ્યક્તિમાં રહેલી વાસ્તવિકતા, વિદ્વત્તા, નૈતિક દૃઢતા અને ઐતિહાસિકતા નષ્ટ પામે છે. કારણ કે રામની વાત કરવી એ એક ધર્મની વાત બની જાય છે. તેમના અસ્તિત્વને લગતી માન્યતા સહેલાઈથી સહેલાઈથી નકારી શકાય છે. પરધર્મીઓ જ નહીં પણ જેઓ પોતાને તટસ્થ માનવાની ઘેલછા રાખે છે તેઓ પણ આવી વ્યક્તિની ઐતિહાસિકતાને સહજ રીતે જ નકારે છે. જો તમે રામના ઐતિહાસિક અસ્તિત્વને ન નકારો તો તમે ઇતિહાસનું ભગવાકરણ કર્યું કહેવાય. તમને ધર્માંધ પણ કહી શકાય.

ગુજરાત અપરાધી હતું?

૨૦૦૨ માં ગુજરાતમાં હુલ્લડ થયું. આ હુલ્લડનો દોષ નરેન્દ્ર મોદી અને હિન્દુઓ ઉપર ઢોળી દેવાયો. એટલે કેરલના પાઠ્યપુસ્તકમાં ગુજરાતનું અસ્તિત્વ ભારતના નકશામાંથી દૂર કરવામાં આવ્યું. ગુજરાતનું અસ્તિત્વ રદ થયું. કારણકે ગુજરાત અપરાધી હતું.

તમે રામના અસ્તિત્વને નકારો છો? રામને ભગવાન માન્યા એટલે જ ને!  જો તમે રામને ભગવાન માનો તો આમાં રામનો શો અપરાધ છે?

તમે કહેશો આમાં રામ અપરાધી છે તેની વાત ક્યાં આવી? રામ અપરાધી હતા કે નહીં …  અથવા તેમની પ્રત્યે એક અન્યાયી વર્તન દાખવવામાં આવ્યું કે નહીં તે વિષે આગળ ચર્ચા કરીશું.

હાલ તો આપણે સામાન્ય હિન્દુઓ રામને ભગવાન કેમ માને છે અને બીજા તેમના અસ્તિત્વને કેમ નકારે છે તે જોઈશું.

ચમત્કાર અને ભગવાન અને અસ્તિત્વનો નકાર

જે હિન્દુઓ રામને ભગવાન માને છે તેઓ ચમત્કારમાં પણ માને છે. રામે અનેક ચમત્કારો કર્યા. આવા ચમત્કારો તો ભગવાન જ કરી શકે. મનુષ્ય તો ચમત્કાર ન જ કરી શકે. માટે રામ ભગવાન છે. જેઓ ચમત્કારમાં માનતા નથી તેઓ કહેશે કે આ ચમત્કારની વાતો બધી ગપગોળા છે. કારણ કે ચમત્કારો તો થઈ જ ન શકે. એટલે ચમત્કારોનું અસ્તિત્વ હોઈ જ ન શકે. એટલે આ ચમત્કારી વ્યક્તિ એક ગપગોળો છે. રામ કથાનું એક સાહિત્યિક અસ્તિત્વ છે. રામની કથામાં ફક્ત સાહિત્યિક દૃષ્ટિ રાખવી જોઇએ. અવતાર બવતાર જેવું કશું હોતું નથી.

જ્યારે વ્યક્તિ સાહિત્યિક બની જાય ત્યારે તે એક નહીં અનેક બની જાય. વાલ્મિકીના રામ, કાલીદાસના રામ, ભવભૂતિના રામ, તુલસીદાસના રામ …

Ram

આપણે રામને ભગવાન માની લીધા એટલે રામ ધર્મનો વિષય બની ગયા. રામ ધર્મનો વિષય બન્યા એટલે રામ શ્રદ્ધાનો વિષય બની ગયા. રામનું વર્ણન ભારતની ભાષાઓમાંથી ઉદભવ્યું એટલે એ ભારતના છે. ભારતમાં હિન્દુધર્મ પાળવામાં આવે છે એટલે રામ હિન્દુઓના ભગવાન છે. રામ હિન્દુઓના ભગવાન છે એટલે રામ એ હિન્દુઓની શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા, ભગવાન, ચમત્કાર આ બધું કાલ્પનિક છે. કાલ્પનિક વાતોમાં વિશ્વાસ રાખવો અને એવું બધું સ્વિકારવું એ અંધશ્રદ્ધા છે. સમાજમાં અંધશ્રદ્ધાનું બહુમાન ન કરવું જોઇએ. અંધશ્રદ્ધાને આવકારવી ન જોઇએ. જેઓ પોતાને પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક વિચારધારાવાળા માને છે તેઓ કંઈક આવું વિચારે છે. જેઓ “રામજન્મ ભૂમિ ઉપર રામ મંદિર બનાવવાનો આગ્રહ રાખનારાઓનો વિરોધ કરે છે તેઓ પણ આવી માનસિકતા રાખે છે

પોતાને વિદ્વાન, જ્ઞાની અને બુદ્ધિશાળી માનતા માણસો પણ રામને કાલ્પનિક પુરુષ માને છે.

તેઓની માન્યતા પ્રમાણે આનું મુખ્ય કારણ એ છે કે પ્રાચીન અને મધ્યકાલિન ભારતીય પુસ્તકોમાં ચમત્કારની બહુ વાતો છે. આ બધી કપોળકલ્પિત અને અવાસ્તવિક છે. ભારતીય લોકોને ઇતિહાસ લખવાની ટેવ જ ન હતી. જેને જેમ ફાવ્યું અને મગજમાં આવ્યું તેમ લખ્યું છે. ભારતીયોના મનમાં ઇતિહાસ લખવો જોઇએ એવી કોઈ વાત જ ન હતી. એટલે વિદેશી યાત્રીઓએ અને બીનભારતીય ઇતિહાસ કારોએ જે લખ્યું તેને જ આધારભૂત ગણી શકાય. જેમ કે ગ્રીક આક્રમણકારીઓએ, તેમની સાથે આવેલા લોકોએ, અરબસ્તાન, મોંગોલીયાના મુસ્લિમ આક્રમકોએ, મુસાફરોએ, ચીનના મુસાફરોએ જે કંઈ ભારત વિષે, ભારતીય સમાજ વિષે લખ્યું તે જ પ્રમાણભૂત કહેવાય. આપણા લોકો તો રાઈ વગર રાઈનો પહાડ બનાવવામાંથી  અને ચમત્કારો લખવામાંથી ઉંચા જ ક્યાં આવતા હતા!

આમ જોવા જઈએ તો દરેક ધર્મના પુસ્તકોમાં ચમત્કારિક વાતોના વર્ણનો જોવા મળે છે. પણ એ બધા ધર્મોના બધા મહાપુરુષો ઐતિહાસિક છે. કારણકે આ બધામાંના મોટેભાગે છેલ્લા ૨૬૦૦ વર્ષ અંતર્ગત થયા. એ બધા લોકાના કંઇને કંઈ અવશેષો મળી આવે છે એવું મનવામાં આવે છે. એટલે એ બધામાં ચમત્કારી વાતો હોય તો પણ તે બધું ઐતિહાસિક છે અને તે વ્યક્તિઓ પણ ઐતિહાસિક છે.

રામના કોઈ ભૂસ્તરીય અવશેષો મળતા નથી.

જે કંઈ મળે છે તેને રામ સાથે જોડી દેવા એ અંધશ્રદ્ધા જ છે. આવી દૃઢ માનસિકતા આપણા વિદ્વાનોમાં અને મૂર્ધન્યોમાં પ્રવર્તે છે. આપણા ભારતીયો જ જો આવી માનસિકતા રાખતા હોય તો સહજ રીતે જ પરધર્મીઓ, ખાસ કરીને મુસ્લિમો અને ખ્રીસ્તીઓ તો રાખે જ.

શું ઐતિહાસિકતાનો આધાર ફક્ત પૂરાતત્વીય અવશેષો જ હોઈ શકે? ધારો કે ઉત્ખનન થયું  ન હોય તો શું માનવવાનું? ધારોકે ઉત્ખનન શક્ય જ ન હોય તો શું માનવાનું? જો મોહેં જો દેરોની જગ્યાઓએ ઉત્ખનન ન થયું હોત તો ભારતનો ઇતિહાસ ૩૦૦૦ વર્ષથી વધુ પ્રાચીન ન ગણવામાં આવત.

રામજન્મભૂમિની જગ્યા ઉપર બાબરી મસ્જીદ બની ગયેલ. હવે ધારો કે એ જમીન રામજન્મભૂમિ તરીકે ઓળખાતી જ ન હોત તો તેને વિષે કોઈ આંદોલન પણ ન થાત. અને તે બાબરી મસ્જીદ તોડી પાડવામાં પણ ન આવી હોત. અને કોઈએ ન્યાયના દ્વાર પણ ન ખટખટાવ્યા હોત. અને ત્યાં કશું ખોદકામ પણ ન થાત.

જો ખોદકામ ન થાત તો તેની નીચે આવેલા શિવમંદિરના અવશેષો પણ ન મળત. આવા તો અનેક સ્થાનો છે કે જ્યાં વિવાદ ચાલે પણ છે અને વિવાદ નથી પણ ચાલતા. હવે ધારો કે મુસ્લિમો અને ખ્રીસ્તી શાસકોએ, જેમ બીજી જગ્યાએ પ્રાચીન સંસ્કૃતિના નિર્માણોને તોડીને અથવા અને તેના અવશેષો પર પોતાની સંસ્કૃતિને લગતા  નિર્માણો કરી દીધેલ અને ત્યાંની સંસ્કૃતિને કાયમ માટે નષ્ટ કરી દીધેલ અને જનતાને પૂર્ણ રીતે પોતાના ધર્મમાં વટલાવી દીધી એમ ભારતમાં પણ કરી શક્યા હોત તો અહીં પ્રાચીન કાળમાં મંદિર હતું તેની ખબર કેવી રીતે પડત?   પણ ભારતની બાબતમાં થયું એવું કે ભારતીય સંસ્કૃતિ તેની ઉત્કૃષ્ટતા અને સબળતાને કારણે ટકી ગઈ.

ઇતિહાસ કેવીરીતે જળવાઈ રહે છે?

લોક સાહિત્ય, લોકવાયકા, સ્થાપત્ય અને પરંપરાગત પ્રણાલીઓ પાછળ ચાલી આવતી દંતકથાઓ દ્વારા પણ ઇતિહાસ જળવાઈ રહે છે. આપણે અત્યારે તેનું વિશ્લેષણ અને તેની ચર્ચા નહીં કરીએ.

“રામ જન્મ ભૂમિ” નું સ્થળ એ એક પરાપૂર્વથી ચાલી આવતી માન્યતા અનુસારનું નામકરણ હતું. જેવા કામો વિદેશી ધર્મીઓએ બીજા દેશોમાં કર્યાં તેવા જ કામો તેઓએ ભારતમાં જરુર કર્યા. પણ ભારતમાં તેઓ સંપૂર્ણ સફળ ન થયા. તેથી ખંડિત સ્થળોના નામ લોકવાયકામાં પરંપરાગત રીતે ક્યાંક ક્યાંક ચાલુ રહ્યાં. પણ સાથે સાથે ખંડિત સ્થળ પર નવું નિર્માણ થયું તે નામ પણ ઉમેરાયું.   

બીજી એક વાત એ બની કે પાશ્ચાત્ય ઇતિહાસકારો દ્વારા ભારતનો જે નવ્ય ઇતિહાસ લખાયો, તેમાં ભારતીય સાહિત્ય, લોકવાયકાઓ, લોક કથાઓ જ નહીં પણ ભારતીય શાસ્ત્રોમાં રહેલા તાત્વિક ઉંડાણને પણ સ્પર્ષવામાં ન આવ્યાં.

 પરિણામ એ આવ્યું કે ભારતીય સાહિત્યમાં જે ઇતિહાસ, લોકભોગ્ય શૈલીમાં લખવામાં આવેલ તેને ઇતિહાસ તરીકેની માન્યતા જ ન આપી. આનુ પરિણામ એ આવ્યું કે ભારતના વિદ્વાનો ફક્ત પાશ્ચાત્ય વાતોને જ પ્રમાણભૂત માનવા લાગ્યા. આ માનસિકતાનું મૂળ “આર્યન ઈન્વેઝન થીયેરી”  એટલે કે “આર્યજાતિનું ભારત ઉપર આક્ર્મણ” વાળો સિદ્ધાંત છે.

એવું ધારવામાં આવ્યું કે આર્ય એક રખડુ જાતિ હતી જે મધ્ય એશિયા કે પૂર્વ યુરોપ કે એવી કોઈક જગ્યાએ રહેતી ભમતી હતી. તેઓએ મોટું સ્થાળાંતર કર્યું, તે ઇરાન ગઈ. ત્યાં આ જાતિનો એક ભાગ ગ્રીસ ગયો. એક ભાગ થોડા સમય પછી ભારત આવ્યો. અહીંના દ્રવિડો જે બહુ સુસંસ્કૃત અને સ્થાપત્યમાં પ્રવિણ હતા તેમને આ વિચરતી જાતિએ તહસ નહસ કરી નાખ્યા, તેમને ગુલામ બનાવ્યા, તેમના નગરોનો નાશ કર્યો. આ જાતિ પછી અહીં સ્થાઈ થઈ. આ બધી વાતો ભારતમાં દંત કથાઓના રુપમાં અને વેદોની ઋચાઓમાંની તારવણીઓથી સિદ્ધ થઈ શકે છે એવું પાશ્ચાત્ય ઇતિહાસકારોએ તર્કહીન રીતે તુક્કાઓ દ્વારા સિદ્ધ કર્યું.

રામ દંતકથાનું પાત્ર છે. આ પાત્ર ઉત્તરમાંથી દક્ષિણમાં ગયું અને રાવણને હરાવ્યો. એટલે એવું તારવવામાં આવ્યું કે આર્યોએ દ્રવિડોને હરાવ્યા. આ વાતને એક ઉદાહરણ તરીકે ગણવામાં આવ્યું. પાશ્ચાત્ય ઇતિહાસકારોએ તેમના પ્રચ્છન્ન હેતુઓ સિદ્ધ કરવા ઘણા ગપગોળા ચલાવ્યા. આ બધી વાતો અન્યત્ર કરેલી છે. ભારતીય સંસ્કૃતિના અને પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રકાંડ પંડિત શ્રી રાજીવ મલહોત્રા અને બીજા અનેક વિદ્વાનોએ  “આર્યન ઈન્વેઝન થીયેરી” ને ધરાશાયી કરી છે અને તે વિષે પુસ્કળ સાહિત્ય ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે એટલે આની ચર્ચા નહીં કરીએ. આપણી વાત ફક્ત રામની ઐતિહાસિકતા પૂરતી સીમિત રાખીશું.

આપણે પ્રાચીન સાહિત્યની અવગણના નહીં કરી શકીએ. પુરાણો અને મહાકાવ્યોને કપોળ વાતો તરીકે ન જોવા જોઇએ. વાસ્તવમાં આ એક કથન પ્રણાલી હતી. જ્ઞાન પીરસવા અને યાદ રાખવાના અનેક માર્ગો હોય. રુપક, અન્યોક્તિ, વિશેષણ, ઉપમા, રમૂજ, શિખામણ, વર્ણન, પ્રાસ, અનુપ્રાસ, કવિતા, કથા, જોડકણા, કહેવત, દંતકથાઓ, અતિશયોક્તિ, અલંકાર, જેવી અનેક રીતો હોય છે. આમાં ઈશ્વર નિર્ગુણ નિરાકાર હોવા છતાં પણ, આ ઈશ્વર, ક્રોધિત કે ખુશી ખુશી થઈને મનુષ્ય કે અન્ય પ્રાણીના સ્વરુપમાં પાત્ર તરીકે આવી જાય છે.

ધારોકે શિખરણી છંદના સ્વરુપને યાદ રાખવું છે. તો શું કરશું? રસૈઃ રુદ્રૈઃ છિન્ના, યમનસભલાગઃ શિખરણી.

રસ કેટલા હોય છે?

છ રસ હોય છે.

રુદ્ર કેટલા છે?

૧૧ રુદ્ર હોય છે.

છ અક્ષર અને ૧૧ અક્ષર થી આ છંદ કપાયેલો છે. અને તેમાં યમનસભલગ થી બંધાયેલો છે. રસ અને રુદ્ર એ ભૂત સંખ્યા છે. આવી તો ભારતીય પદ્ધતિઓમાં અનેક વાતો છે.

આ રીતે શાસ્ત્રોના સિદ્ધાંતો યાદ રાખવા એવી પ્રણાલી આજે પણ ચાલે છે. જેમકે “ઓલ સીલ્વર ટી કપ્સ.”

“ઓલ” એટલે બધા. સીલ્વર એટલે સાઈન. ટી એટલે ટેન્જન્ટ, કપ્સ એટલે કોસાઈન.

બધા એટલે કોણ?

સાઈન, કોસાઈન અને ટેન્જન્ટ.

સાઈન એટલે શું? કાટખુણ ત્રીકોણમાં કોઈ એક ખૂણો તેની સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર સાઈન કહેવાય છે.

કોસાઈન એટલે શું? કોઈ ખૂણાની પાસેની બાજુ અને કર્ણ વચ્ચેનો ગુણોત્તર કોસાઈન કહેવાય છે.

ટેન્જન્ટ એટલે શું? સામેની બાજુ અને પાસેની બાજુનો ગુણોત્તર ટેન (ટેન્જન્ટ) કહેવાય છે.

પણ ગુણોત્તર ક્યારે ધન હોય અને ક્યારે ઋણ હોય? આ ધન અને ઋણને કેવી રીતે યાદ રાખવા?

જો ખૂણો ૦ થી ૯૦ની વચ્ચે હોય તો બધા જ ધન હોય છે.

જો ખૂણો  ૯૦+ થી ૧૮૦ની વચ્ચે હોય તો સાઈન ની કિમત ધન હોય.

જો ખૂણો ૧૮૦+ થી ૨૭૦ વચ્ચે હોય તો ટેનની કિમત ધન હોય.

જો ખૂણો ૨૭૦+થી ૩૬૦ ની વચ્ચે હોય તો કોસાઈન ની કિમત ધન હોય.

ત્રિકોણમિતિના કોઈ એક મૂલ્યને યાદ રાખવાની આ એક સહેલી રીત છે.

પ્રાચીન ભારતીય સાહિત્યમાં પણ આવી અનેક રીતો પ્રચલિત હતી. અનેક ચમત્કારિક વાતો આનો હિસ્સો છે પણ તેનો હેતુ ફક્ત વાતને, પ્રસંગને, વર્ણનને, કથનને રસમય બનાવવા માટે હોય છે જેથી તે યાદ રહે.

ઈશ્વર-રુદ્ર-શિવ, સૂર્ય-વિષ્ણુ-બ્રહ્મા અને અનેક દેવતાઓ (ઈન્દ્ર, વાયુ, વરુણ …) વિગેરે પાત્ર તરીકે આવે એવી ઘણી વાતો છે. પણ આ બધું ઐતિહાસિક વાતોને રસપ્રદ બનાવવા માટે હોય છે. આજે પણ આ પ્રણાલી એક યા બીજા સ્વરુપે ચાલે છે. ફિલમમાં તમે જોતા હશો કે કોઈ પાત્ર ઉપર આપત્તિ આવે તો પાર્શ્વભૂમિકામાં આકાશમાં કડાકા ભડાકા અને વિજળીઓ બતાવે. કોઈ પાત્રના મનમાં ખળભળાટ હોય તો તોફાની દરિયો બતાવે. ઐતિહાસિક વાર્તાના પુસ્તકોમાં કોઈ વાર્તાલાપમાં આવતા શબ્દ પ્રયોગો, સ્થળોના વર્ણનો, વસ્ત્રોના વર્ણનોના શબ્દ પ્રયોગો, જરુરી નથી કે તે, વાસ્તવમાં જે તે રુપમાં હોય તેજ સ્વરુપમાં વર્ણિત હોય.

દાખલા તરીકે મૈથિલી શરણગુપ્તે સામ્રાટ અશોક ઉપર કોઈ નાટક લખ્યું હોય. કલિંગના યુદ્ધ પછીનો અશોક અને તેની પત્ની તિષ્યરક્ષિતા વચ્ચેનો કોઈ સંવાદ હોય. જરુરી નથી કે આ સંવાદ અક્ષરસઃ સાચો જ અને વાસ્તવિક હોય. એ પણ જરુરી નથી કે આ સંવાદને કારણે જ અશોકનું હૃદય પરિવર્તન થયું હોય. સંભવ છે કે આવો સંવાદ થયો પણ ન હોય. આ બધું હોવા છતાં અશોકના હૃદય પરિવર્તનની સત્યતાને આપણે નકારી ન શકીએ. અશોકના પિતાનું નામ મોટાભાગના ગ્રંથોમાં બિંબિસાર લખ્યું છે. આ વાત આપણે નકારી ન શકીએ.   

મહાકાવ્યોની વાત બાજુપર રાખો. બધા પુરાણોમાં રામનો ઉલ્લેખ છે. રામના પિતા દશરથ હતા તેવો પણ બધા પુરાણોમાં ઉલ્લેખ છે. એટલું જ નહીં. તેમના વંશના બધા રાજાઓનો નામ સાથે ઉલ્લેખ છે. આ બધો ઉલ્લેખ સમાન રીતે છે. એટલે કે નામોનો ક્ર્મ પણ સમાન છે. આ બધા પુરાણો એક સાથે લખાયા નથી. આ પુરાણો એક જ જગ્યાએ પણ લખાયા નથી. આ પુરાણો એક જ વ્યક્તિએ લખ્યા હોય તેવું પણ મનાય તેમ નથી. પુરાણ સતત લખાતા ગયાં. અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા પુરાણો લખાતા ગયા. ઓછામાં ઓછું ઇસ્વીસન પૂર્વે ૧૦મી સદી થી ઇસ્વીસનની ૮ મી સદી કે બારમી સદી સુધી આ પુરાણો લખાતા રહ્યાં. વિશ્વના ઘણા ગ્રંથો આવી રીતે લખાતા રહ્યા છે.

સૌથી પ્રાચીન પુરાણ, વાયુ પુરાણ છે.

વાયુ પુરાણ સૌથી પ્રાચીન શા માટે ગણાય છે?

વાયુ પુરાણના આમ તો છ પાઠ મળે છે. જે સૌથી જુનો પાઠ છે તે અનપાણીનીયન સંસ્કૃતમાં લખાયેલો જોવા મળે છે. પાણીની સંસ્કૃત ભાષાના વૈયાકરણી હતા. પાણીની ઇસ્વીસન પૂર્વે આઠમી સદી થી ઇસ્વીસન પૂર્વે ચોથી સદીની વચ્ચે થઈ ગયા એમ પાશ્ચાત્ય ઇતિહાસકારો પણ માને છે. વાયુ પુરાણની શૈલી પણ પ્રાચીન લાગે છે.  આ પુરાણમાં પણ ઉત્તરોત્તર પ્રક્ષેપ થયા છે. પ્રકરણો પણ મોટા થતા ગયા છે.

વાયુ પુરાણના પ્રાચીન પાઠમાં બુદ્ધ ભગવાનનો ઉલેખ નથી. વિષ્ણુના દશ અવતારની વાત આવે છે ખરી, પણ રામનો વિષ્ણુના અવતાર તરીકે ઉલ્લેખ નથી. સૂર્યવંશના બધા રાજાઓની વંશાવળી છે.  રામનો એક બળવાન રાજા દશરથના પરાક્રમી પુત્ર તરીકે ઉલ્લેખ છે. તેમણે લંકાના રાજા રાવણને હરાવ્યો એવો ઉલ્લેખ છે. બસ આથી વિશેષ કશું નથી.

વાયુ પુરાણમાં એમ તો કૃષ્ણ ભગવાનનો પણ ઉલ્લેખ છે. કૃષ્ણને વિષ્ણુભગવાનના અવતાર પણ માનવામાં આવ્યા છે. કૃષ્ણ વિષે અર્ધું પ્રકરણ છે. વાયુ પુરાણના લેખકને કૃષ્ણ વિષે મુખ્ય વાત સ્યામંતક મણીની ચોરીનું જે આળ આવેલું તે કૃષ્ણ ભગવાને કેવીરીતે દૂર કર્યું તેની કથા લાગી છે. ટૂંકમાં લેખકને કૃષ્ણના જીવનની આ સ્યમંતક મણીની વાત જ ઉલ્લેખનીય લાગી છે. આ ઉપરાંત એમ પણ લખ્યું છે કે કંસ, વસુદેવના પુત્રોને મારી નાખતો હતો. વસુદેવના પુત્રોની નામાવલી પણ આપવામાં આવી છે. એવું લાગે છે કે તે તેમની સાથે યુદ્ધ કરીને મારી નાખતો હોય. વાયુ પુરાણમાં લખવામાં આવ્યું છે કે કંસની આવી આદતથી,  વસુદેવ, પોતાના પુત્ર કૃષ્ણને તેમના મિત્ર નંદને ઘરે મુકી આવે છે.

આમ આ આખા વર્ણનમાં ન તો જેલનો ઉલ્લેખ છે, ન તો કંસ વસુદેવના પુત્રોને જન્મની સાથે મારી નાખતો હતો તેવો ઉલ્લેખ છે, ન તો વસુદેવ મધ્યરાત્રીએ તાજા જન્મેલા કૃષ્ણને યમુનાના પૂરમાં થઈને લઈ જતા હોય તેવો ઉલ્લેખ છે, ન તો યમુના તેમને જગ્યા કરી દેતી હોય તેવો ઉલ્લેખ છે, ન તો નંદને ઘરે પુત્રી જન્મ્યાનો ઉલ્લેખ છે, ન તો કોઈ બચ્ચાંના આદાન પ્રદાન નો ઉલ્લેખ છે. ન તો રાધાઓ કે ગોપીઓનો ઉલ્લેખ છે, ન તો કોઈ બીજા ચમત્કારોનો ઉલ્લેખ છે. એક વાત ચોક્કસ લખી છે કે કૃષ્ણ ભગવાનને  વિષ્ણુના અવતાર માનવામાં આવ્યા છે. સાથે સાથે તેમના મોટાભાઈ બળદેવ પણ વિષ્ણુભગવાનના અવતાર માનવામાં આવ્યા છે.

ત્રીજી સૌથી મહત્વની વાત એ છે કે અનેક શ્લોકોમાં બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર ને બદલે બ્રહ્મા, વિષ્ણુ અને અગ્નિ એ રીતે ત્રણ દેવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુરાણનો આરંભ જ મહેશ ઈશાન (રુદ્ર) ની સ્તૂતિ થી કરવામાં આવ્યો છે.  વેદોમાં અગ્નિનું નામ ઇશાન પણ છે. મહો દેવો (“મહઃ દેવઃ … સો મહો દેવો મર્ત્યાં આવિવેશ” ઋગ્વેદમાં નો અગ્નિનો એક શ્લોક). કહેવાનું તાત્પર્ય એ છે કે વાયુપુરાણમાં અગ્નિ, રુદ્ર, વિશ્વદેવ, મહાદેવ, મહેશ ની એકસુત્રતા સ્પષ્ટ જોવા મળે છે. તેથી જ ઇશ્વરની બાબતમાં ભારતીય શાસ્ત્રીઓએ કશા વિરોધાભાષો જોયા નથી.

“ … ક્ષોભયામાસ યોગેન પરેણ પરમેશ્વર …. રજો બ્રહ્મા, તમો અગ્નિ, સત્વો વિષ્ણુરજાયત    …. એત એવ ત્રયો લોકા, એત એવ ત્રયો ગુણા, એત એવ ત્રયો વેદા, એત એવ ત્રયોગ્નયઃ”. પરમેશ્વર પોતાની માયારુપી પ્રકૃતિ રુપી અંડમાં પ્રવેશ કરી તેને ક્ષોભિત કરે છે અને રજસ તમસ અને સત્વગુણ રુપી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. આ જ ત્રણ લોક છે, આ જ ત્રણ ગુણો છે, આજ ત્રણ વેદ છે આજ ત્રણ અગ્નિઓ છે.

આ પ્રમાણે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રને અગ્નિના ત્રણ રુપ માનવામાં આવ્યા છે. એમ કહ્યું છે કે પરમેશ્વરના (શિવના) ત્રણ અગ્નિઓ છે. શિવને ત્રીમૂર્ત્તિ પણ કહેવાય છે.

“એત એવ” જેવા અનેક શબ્દ પ્રયોગો વાયુપુરાણમાં મળી આવે છે. આ અનપાણીયન શબ્દ પ્રયોગ છે. પાણીનીયન શબ્દ પ્રયોગ “એષઃ એવ” છે.

તમે કહેશો આમાં રામના ઐતિહાસિકપણાની વાત ક્યાં આવી?

(ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રામ, દશરથ, રાવણ, કૃષ્ણ, સ્યમંતક મણી, ચોરીનું આળ, કંસ, વસુદેવ, આર્ય, દ્રવિડ, આર્ય, વિચરતી જાતિ, પ્રણાલી, શિવ, અગ્નિ, પરમેશ્વર, પ્રાચીન, ત્રિમૂર્તિ, ચમત્કાર, ઇતિહાસ, રસપ્રદ          

 

Read Full Post »

%d bloggers like this: