Feeds:
Posts
Comments

Posts Tagged ‘લય’

નાસ્તિકતાની ધૂન કે નાસ્તિકતાનો ઘમંડ? ભાગ-૨

નાસ્તિકતાની ધૂન કે નાસ્તિકતાનો ઘમંડ? ભાગ-૨

ઈશ્વર આપણને દેખાતા નથી અને અનુભવાતા પણ નથી. ઘણા બાવાઓ ઝીકાઝીક કરે છે કે તેમણે જોયા છે એટલે કે અનુભવ્યા છે. આવા અનેક પોતાને બ્ર્હ્મજ્ઞાની માનતા થઈ ગયા છે, હાલ પણ અસ્તિત્વમાં છે અને એવા થતા રહેશે.

આ બાવાજીઓ પોતાના શિષ્યો દ્વારા પોતાને સંત, મહાત્મા, ઓશો, ભગવાન, ઇશ્વરાનન્દ જેવા લેબલો લગાવશે અથવા તો તેમના શિષ્યો જ હરખપદુડા થઈને આવા લેબલો પોતાના ગુરુને લગાવી દેશે.

પણ હિન્દુઓ શું કહે છે?

હિન્દુઓ કહે છે કે આ વિશ્વ પોતે જ એક સજીવ છે. તે ન કળી શકાય તેવું છે એટલે કે અનિર્વચનીય છે.  આ વિશ્વ એ ઈશ્વરનું શરીર છે. એટલે આપણે બધા અને જે કંઈ આ વિશ્વમાં છે તે બધું ઈશ્વરનો અંશ છે. ઈશ્વર પોતે નિર્ગુણ અને નિરાકાર છે, અને તે અજ, અવિનાશી, અપરિવર્તનીય (અવિકારી) બ્રહ્મસ્વરુપે છે તે આપમેળે જ બ્ર્હ્મને વિકૃત (બ્રહ્મમાં ફેરફાર) કર્યા વગર બ્રહ્મમાંથી વિશ્વરુપે પ્રગટ થાય છે. તેણે વિશ્વના વર્તનના નિયમો નક્કી કર્યા છે અને તે પ્રમાણે વિશ્વ વર્તે છે. બધું જ સજીવ છે અને આપણે પણ સજીવ છીએ.

what-is-produced

પણ આપણે શા માટે છીએ?

આપણે આનંદ માટે છીએ.

આપણને આનંદ ક્યારે થાય?

આપણને સગવડો અને સુવિધાઓથી શારીરિક આનંદ થાય. આપણને જ્ઞાનથી માનસિક આનંદ થાય, આપણને વાર્તાલાપથી માનસિક આનંદ થાય, આપણને પ્રસંગો યાદ કરવાથી આનંદ થાય છે. આપણને ચમકી જવાથી આનંદ થાય છે. આપણને વિચિત્રતાથી આનંદ થાય છે. આપણને બીજાને આપણી ઓળખ થાય તેનાથી આનંદ થાય છે. આપણને લયબદ્ધ જીવન અને લયબદ્ધ દિનચર્યાથી આનંદ થાય છે. આપણને સમૂહમાં વધુ આનંદ થાય, આપણને આનંદની ગેરેન્ટીથી (સુરક્ષાથી) આનંદ થાય.  તહેવારો અને પ્રસંગો એ બધું સામુહિક આનંદ માટે છે. બીજાને આનંદ થાય તો આપણને પણ આનંદ થાય. શરીર હોય તો મન છે એટલે માનસિક આનંદ પણ એક રીતે તો શારીરિક આનંદ છે. શરીર બરાબર કામ આપતું હોય તો બરાબર આનંદ થાય. એટલે ભોજનથી આનંદ થાય. સમૂહ ભોજનથી વધુ આનંદ થાય.

(૫) તો શું મૃત્યુ પાછળનું જમણ આનંદ માટે હોય છે?

ના જી … મૃત્યુ પાછળનું ભોજન આનંદ માટે હોતું નથી. પણ મૃતાત્માની તૃપ્તિ માટે હોય છે. આ ભોજન નાનાઓ માટે હોય છે. વળી મૃત્યુની તારીખ યાદ રાખવા માટેનો આ એક માનશાસ્ત્રીય એપ્રોચ પણ છે. શ્રાદ્ધના દિવસનું જમણ પણ આ માટે જ હોય છે. જો કે આ બધું હવે બંધ થવા માડ્યું છે. અને ધીમે ધીમે તે સાવ બંધ થઈ જશે. કદાચ ગીતા પાઠન ચાલુ રહેશે કારણ કે ગીતા એક એવો માનસશાસ્ત્રીય ગ્રંથ છે કે જે શાશ્વત રહી શકે તેવો છે.

આપણો હિન્દુ ધર્મ અદ્ભૂત છે. હિન્દુધર્મે, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, કાવ્ય અને ભૌતિકશાસ્ત્ર નો સમન્વય કરી લોકભોગ્ય બનાવી તેમને અમર કરી દીધા છે. વિશ્વમૂર્ત્તિ ઈશ્વરને આપણે આપણા સામાજિક જીવનમાં વણી લીધા છે.

we-are-all-the-part-and-parcel-of-him

હિન્દુઓએ સમાજને, ફક્ત માનવ સમાજ તરીકે જાણ્યો નથી. આપણે સમાજને વૈશ્વિક સમાજ કે જેની અંદર, પ્રકૃતિ, તેની શક્તિઓ, પ્રાણીઓ, જીવ જંતુઓ, પશુઓ, વનસ્પતિઓ નક્ષત્રો, આકાશ, અને મનુષ્ય એ બધાં આવી જાય છે.

હિન્દુઓમાં માણસના નામમાં કે વિશેષણના પ્રત્યય તરીકે કુદરત વણાયેલી છે. આકાશ, સિંહ, મોર, કોયલ, વૃક્ષ, ગાય, પ્રકાશ, આશા, અશ્વ, ચોખા, ધન, ધાન, આનંદ, વડ, ઝાકળ, વિગેરે સારું સારું બધું જ આવે.  તમે કોઈ યુરોપીયનનું નામ પિકૉક, સ્કાય, પ્લેઝર કે વીશ કે એન્ટોનીજીસસ, જહોનગોડ, રોબર્ટયાકુબ કે જેનીમેરી એવું કંઈક સાંભળ્યું છે? પણ હિન્દુઓમાં તુષાર, ચંદ્રમોહન, વિજયશંકર, આત્મારામ, કંચનગૌરી,  શશિકલા … એવાં નામ હોય છે.

હા જી પશ્ચિમ એશિયાના દેશો સુધી આપણી વિશ્વભાવનાની અસર ખરી. મુસ્લિમોમાં તમને શબનમ નામ જોવા મળશે. પણ મયુરી નામ નહીં મળે.

હિન્દુઓના ઇતિહાસમાં ભગવાન પણ પોતાનો રોલ અદા કરે છે.

આપણા તત્ત્વજ્ઞાનમાં કાવ્યો આવે. ખગોળશાસ્ત્ર ને આપણે જ્યોતિષશાસ્ત્રના સ્વરુપે જીવિત રાખ્યું. હવે જે વિદ્વાનોએ મહેનત પૂર્વક જ્યોતિષ શાસ્ત્રના ગણિતને ભણ્યા છે, તમારે તેમને  રોટલા પૂરા પાડવા પડશે. શું તમારી એટલે કે સમાજની આ ફરજ નથી? 

આથી સમાજે જન્મ કૂંડળીને ઈન્ટ્રોડ્યુસ કરી. ફલાદેશને ઈન્ટ્રોડ્યુસ કર્યો. ફલાણા ઇતિહાસ (પુરાણ) ભણ્યા છે તો જનતાને કહો કે તે પારાયણ બેસાડે.

ખેતરમાં પાક ઉગી નિકળ્યો છે. પણ કમાણીની વાર છે. તો તમે “પૉરો” ખાવ અને ભાગવત સપ્તાહ બેસાડો. પાક તૈયાર થઈ ગયો છે અને લણી પણ લીધો છે તો તમે દાંડીયા રાસ રમો. પાકના પૈસા પણ આવી ગયા તો તો તમારે દિવાળી આવી ગઈ છે. નવા વરસની ઉજવણી કરો. બહેનને પણ અવારનવાર મજા કરાવો.

તમે તમારા સંતાનનું લગન લીશું છે. તો ઉત્સવ કરો. સગાંઓને બોલાવો. ખમતીધર હો તો ચોરાસી કરો. ચાદર જેટલી સોડ તાણો.

શિયાળુ પાક આવી ગયો છે? તો હવે વિશ્વદેવને યાદ કરો અને ઠંડીને વિદાય આપો. વસંતને વધાવો. અને જે કંઈ સૂકું છે તેને બાળી નાખો. બધાને રંગી નાખો. આ પ્રમાણે આપણા હિન્દુ પૂર્વજોએ બારે માસ આનંદમય અને આનંદને લયબદ્ધ કરી દીધો.

(૬) પણ ભાઈ આ બધા બગાડ થાય છે તેનું શું?

અરે બગાડ બગાડ શું કરો છો? તમે જે કંઈ કરો છો તે આનંદ માટે કરો છો. તમે આનંદની કિમત આંકો અને પછી સરવાળો કરો …. તમને નફો અને નફો નફો જ દેખાશે. વહેમમાં પણ આનંદ મળતો હોય તો વહેમ પણ રાખો. ફેશનમાં આનંદ મળતો હોય તો ફેશન પણ રાખો. ફેશન પણ વહેમ છે, કાવ્ય પણ એક વહેમ, કળા પણ એક વહેમ છે અને નૃત્ય પણ એક વહેમ છે.

તમે કેટલાક કહેવાતા પરાવિજ્ઞાનીઓને ઇલેક્ટ્રોનિક યંત્રો લઈ કોઈ એકાંત સ્થળે અંધારામાં કે ખંડેરમાં ભૂત (મૃતાત્મા, અતૃપ્તાત્મા કે પ્રેતાત્મા)ના અસ્તિત્વની શોધ કે સંશોધન માટે જોયા હશે. તેઓ બોલતા હશે “હે આત્મા, અમે તમને કોઈ હાનિ કરવા આવ્યા નથી, અમે તમને દુભવવા આવ્યા નથી પણ જો તમે અહીં હો તો તમે આ મીટરના કાંટા ઉપર ડીફ્લેક્સન આપો.” અને પછી આપણને કાંટો ઝટકો મારે છે તે બતાવવામાં આવે છે.

આવી જ રીતે એક સંશોધક બેન, કોઈ એક ભાઈને સુવાડી તેમને કહેવાતી રીતે હિપ્નોટાઈઝ કરે કે બનાવટ કરે અને પછી તેમને તેમના પાછલા અનેક જન્મોમાં લઈ જાય. તેમને સવાલો કરે. જેમકે “ઓહ! તમે એરપોર્ટ ઉપર છો? ક્યા દેશમાં છો? એર ટિકિટનો નંબર શો છે…” પેલા ભાઈ આ બધા સવાલના જવાબ આપે. તમે જાણી લો, કોઈ પણ જન્મમાં બનાવોનો ક્ર્મ હોય છે. એક વખત એ જન્મનું ચક્ર પૂર્ણ થયું પછી તેના ક્ર્મમાં ફેરફાર થાય નહીં. જો હવે તમે જાતકને કહો કે તમે એર ટિકિટનો નંબર પૂછો અને તે જવાબ આપે તો તેનોઅર્થ એમ થયો કે તમે અને તેણે પણ તેના બનાવના ક્રમમાં ભાગ ભજવ્યો. ધારો કે પૂર્વ જન્મ હોય તો પણ તમે તેના પૂર્વ જન્મના બનેલા બનાવોના નાનામાં નાના ક્રમમાં ફેરફાર કરી શકતા નથી. એટલે કે જાતકે જે બનાવોના ક્રમમાં જીવન પસાર કર્યું હોય તેમાં તમે ખલેલ પાડી શકો નહીં.

ટૂંકમાં આ બધું ભણેલાઓનું ધત્તીંગ છે.

પહેલાના કિસ્સામાં આપણે જોયું કે અન્વેષક ટીમ એમ કહે છે કે “હે આત્મા, અમે તમને કોઈ હાનિ કરવા આવ્યા નથી, અમે તમને દુભવવા આવ્યા નથી પણ જો તમે અહીં હો તો તમે આ મીટરના કાંટા ઉપર ડીફ્લેક્સન આપો.”

energy-is-always-associated-with-matter

મીટરના કાંટાને જે હલતો બતાવવામાં આવે છે તે કેવળ અને કેવળ ધત્તીંગ છે. પ્રેક્ષકોએ સમજવું જોઇએ કે “ઉર્જા”, “શક્તિ” કે “એનર્જી” એ કોઈ અદૃષ્ય વાદળ જેવું નથી. ઉર્જા કે શક્તિનું કોઈ સ્વતંત્ર અસ્તિત્ત્વ નથી. ઉર્જા કે શક્તિ કે એનર્જી હમેશા જડ પદાર્થ સાથે સંકળાયેલી છે. જેમકે ગતિ શક્તિ (કાઈનેટિક એનર્જી), સ્થિતિ શક્તિ (પોટેન્શીયલ એનર્જી) (તમે પત્થરને ઉંચે ફેંક્યો હોય ત્યારે જેમ ઉંચે જાય તેમ તેનામાં સ્થિતિ શક્તિ વધે છે) આ બધી શક્તિઓ ગુરુત્ત્વાકર્ષણ ક્ષેત્રને લીધે છે. આવું જ બીજા ક્ષેત્રો વિષે હોય છે. ટૂંકમાં ઈલેક્ટ્રિક મીટરના કાંટાને હલતો બતાવવામાં આવે છે આ બધા ધત્તીંગ છે. એટલું જ નહીં પણ ઉર્જા એટલે શું તે વિષેની તેમની સમજ ભૂલભરેલી છે.

પૂનર્જન્મ અને પૂર્વ જન્મ અને તેમાં ભાગ લેવો એ બધું જ ધત્તીંગ છે. પૂનર્જન્મ જેવું કશું હોતું નથી. પૂનર્જન્મની શક્યતા શૂન્ય બરાબર છે. આપણું અસ્તિત્ત્વ અને તેની અનુભૂતિ આપણી સ્મૃતિઓને લીધે છે. મગજ નષ્ટ પામે એટલે આપણી અનુભૂતિ પણ નષ્ટ થાય. જેમકે આપણું મગજ સુઈ જાય ત્યારે આપણે સ્વપ્નવિહીન નિદ્રામાં હોઈએ છીએ. આપણને આપણા અસ્તિત્ત્વની અનુભૂતિ થતી નથી. એટલે અસ્તિત્ત્વ હોવું અને તેની અનુભૂતિ થવી તે બંને અલગ અલગ વસ્તુ છે.

જ્ઞાન છે તે સત્ય છે. તે સમાજમાં જળવાઈ રહે છે. અને સમાજ વધુ ને વધુ સુખ તરફ ગતિ કરે છે.

અષ્ટાદશપુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયં, પરોપકારઃ પુણ્યાય, પાપાય પરપીડનમ્ 

અઢાર પુરાણો દ્વારા (ઇતિહાસ) બતાવે છે કે તમે જે બીજાના ભલા માટે કરો છો તે શ્રેય છે અને બીજાને દુઃખ આપો છો તે અશ્રેય છે.

આલોક જે દૃષ્યમાન છે તેને અવગણી જે લોક (પરલોક) દેખાતો નથી, તેના સુખમાટે બીજાના ખૂન કરવા તે પાપ જ છે અને તે અક્ષમ્ય છે. માટે તેવા લોકોની ચિંતા કરો અને જનતાને આનંદ આપો. જનતાને આનંદ ન આપો તો કંઈ નહીં, પણ તે જો આનંદ કરતી હોય તો તેને રોકો નહીં.

જનતાએ પણ ઈશાવાસ્યવૃત્તિ અપનાવી “મા ગૃધઃ કસ્યશ્વિત્‍ ધનં”ને અનુસરવું.

તો શું આપણે

“ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનં કથં ભવેત્‌ , તસ્માત્‌ યાવત જિવેત્‌ સુખં જીવેત્‍ , ઋણં કૃત્વા ઘૃતં પિબેત્‌” (જે શરીર ભસ્મ થઈ ગયું તેનું પુનરાગમન કેવી રીતે થાય? માટે જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો. દેવું કરો અને ઘી પીઓ.) એ અસત્ય છે એમ સમજવુ?

મૂળ વાત હવે આવે છે. જો આત્મા શરીરમાં હોય અને તે કાળ ક્રમે નિકળી જતો હોય તો સવાલ એ થાય છે કે એ શરીરમાં જાય છે જ શા માટે? અને પછી નિકળી શા માટે જાય છે? આ વાત ચાર્વાક ઋષિ સમજાવી શકતા નથી. માણસ મરી જાય અને તેનું જડ શરીર નાશ પામે. માણસનું શરીર તો જડ જ છે. જ્યારે તે જીવતો હતો ત્યારે પણ જડ જ હતું અને મરી ગયો ત્યારે પણ જડ જ હતું. માણસ અનેક અબજ કોષોનો બનેલો છે. આ બધા કોષ જડ જ છે. તમે જડ પદાર્થોને અબજો કે પરાર્ધોની સંખ્યામાં પરસ્પર અબજો કે પરાર્ધો રીતે ગોઠવો, તમારી કોઈ પણ ગોઠવણ તેને સજીવ ન બનાવી શકે છે. ચાર્વાક ઋષિ કે બૃહસ્પતિ ઋષિ કે અન્ય કોઈ પણ ઋષિ જડમાંથી ચેતન કેવી રીતે પ્રગટ્યું તે સમજાવી શક્યા નથી અને સમજાવી શકે તેમ નથી.

આ વસ્તુ સમજવી હોય તો સૌથી નાનામાં નાનું જે એકમ છે જેનું આ વિશ્વ બનેલું છે તે સજીવ હોવું જોઇએ. જેમ અમીબામાંથી મનુષ્ય ઉત્ક્રાંતિ દ્વારા એક અબજ વર્ષે નીપજ્યો, તેમ આ સુક્ષ્માતિ સુક્ષ્મ પદાર્થ આપસી સંયોજનો દ્વારા ક્વાર્કસ, સબ એટમિક કણો, પરમાણુ, અણુ અને સંકીર્ણ સંયોજનોમાં પરિણમ્યો. 

તો હવે “ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનં કથં ભવેત્‌ , તસ્માત્‌ યાવત જિવેત્‌ સુખં જીવેત્‍ , ઋણં કૃત્વા ઘૃતં પિબેત્‌” એ વિષે શું સમજવુ?

કૂર્મ પુરાણમાં એક શ્લોક છે. આ શ્લોક મહા ભારતમાં પણ છે.

આત્મનઃ પ્રતિકુલાનિ, પરેષાં ન સમાચરેત્  જે (પરિસ્થિતિ) તમારે માટે પ્રતિકુળ છે તે બીજા ઉપર ન લાદવી.

એટલે કે જો તમે બીજા પાસેથી પૈસા ઉધાર લો અને તેનું ઘી પીઓ, તો બીજાએ તમને જે ગુડ ફેથમાં પૈસા આપ્યા, તેનું શું થશે? જો કોઈ તમારી સાથે આવું કરે તો તમને ગમશે?

જો સમાજમાં આવી સ્થિતિ સર્જવામાં આવશે તો તે સમાજનું ભાવી શું?

જે કંઈ પ્રણાલીઓ છે જે કંઈ વિધિઓ છે તે સમાજમાં સામાજીક પરિસ્થિતિને અનુરુપ દાખલ થયેલી હોય છે કે જેથી સમાજમાં લય અને સંતુલન જળવાઈ રહે. સગાંઓ અને મિત્રો જ નહીં પણ પશુ, પક્ષીઓ, જીવ જંતુઓ સાથે પણ સંતુલન અને સંબંધો જળવાઈ રહે અને સાથે સાથે સામુહિક આનંદ પણ પ્રાપ્ત થયા કરે. જે પ્રણાલીઓ ઉપયોગી ન હોય તેને શાંતિ પૂર્વક છોડી દો.

કુદરત પાસેથી લીધેલું કુદરતને પાછું આપો. યજ્ઞના હોમ પાછળ પણ આ જ ભાવના છે.  હોમમાં દરેક સ્વાહામાં બે દાણા જ નાખવાના હોય છે.

વૃક્ષ ઉપરથી પક્વ ફળ પડે છે, તે વૃક્ષે ત્યજેલું છે. તેન (વૃક્ષેણ) ત્યક્તેન, ભૂંજિથાઃ (ખાઓ). વૃક્ષે જે ફળ (તમારા માટે) ત્યાગ્યું છે તે તમે ખાઓ. તમે ચૂંટીને કશું લેશો નહીં. (મા ગૃધઃ કસ્યશ્વિત્‍ ધનં).

જે ફળ તમે લીધું તેનો ગોટલો કે ઠળીયો જમીનને પાછો આપો.

એટલે હિન્દુઓ એમ કહે છે કે

સર્વેત્ર સુખિનઃ સન્તુ, સર્વે સન્તુ નિરામયા,

સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત્‍ દુઃખભાગ્‍ ભવેત્‍

બધા જ સુખી થાય. બધા જ તંદુરસ્ત થાય, બધા જ કલ્યાણને પામે, કોઈ પણ દુઃખી ન થાય.

શિરીષ મોહનલાલ દવે

તા.ક.

“૧૬ સંસ્કાર અને રીત-રિવાજો” ઉપર અંજલીબેન પંડ્યાએ (anjaleepandya@gmail.com) બહુ મહેનત કરીને એક પુસ્તક લખ્યું છે. જો કે આ નાગર બ્રાહ્મણ માટે છે. પણ દરેક જ્ઞાતિને કામ લાગે એવું છે. અંજલી બેને આ સંકલન “સ્કંદપુરાણ” અને અનેક ગોર મહારાજાઓને મળીને કર્યું છે. સૌ કોઈએ વાંચવા અને વસાવવા જેવું છે.

sam_2216

ટેગ્ઝઃ વિશ્વ સજીવ, અનિર્વચનીય, શરીર, નિર્ગુણ, નિરાકાર, અવિનાશી, બ્રહ્મ, વિશ્વરુપ, આનંદ, સગવડ, સુવિધા, માનસિક આનંદ, શારીરિક આનંદ, લયબદ્ધ, ભોજન, મૃત્યુની તારીખ, માનસશાસ્ત્રીય, વૈશ્વિક સમાજ, આકાશ, સિંહ, મોર, કોયલ, વૃક્ષ, ગાય, પ્રકાશ, આશા, અશ્વ, ચોખા, ધન, ધાન, આનંદ, વડ, ઝાકળ, ચંદ્રમોહન, વિજયશંકર, કંચનગૌરી, તત્ત્વજ્ઞાન, કાવ્ય, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, જન્મ કૂંડળી, ફલાદેશ, પારાયણ, પરાવિજ્ઞાની, હિપ્નોટાઈઝ, પૂર્વ જન્મ, ધત્તીંગ, ઈશાવાસ્યવૃત્તિ, જડ શરીર, ચાર્વાક ઋષિ, બૃહસ્પતિ, ક્વાર્કસ, સબ એટમિક કણો, પરમાણુ, અણુ, સંકીર્ણ સંયોજન, લય, સંતુલન

Read Full Post »

%d bloggers like this: