Feeds:
Posts
Comments

Posts Tagged ‘લોકશાહી’

ભારતમાં લોકશાહીને સુરક્ષિત રાખવાનું દે ધનાધન

ભારતમાં લોકશાહીને સુરક્ષિત રાખવાનું દે ધનાધન

ભારતમાં લોકશાહીને સુરક્ષિત કોણે રાખી?

ભારતરત્ન

શું આ સળગતી સમસ્યા છે?

“ના જી. આ સળગતી સમસ્યા નથી. અરે સમસ્યા પણ નથી.

“હા પણ કોંગીઓ માટે, જો નહેરુને, આ માટે નહેરુના યોગદાનને, માન્યતા ન આપીએ તો કોંગીઓનો, એકમાત્ર હકારાત્મક મુદ્દો, (ભલે તો વિવાદાસ્પદ હોય) નષ્ટ પામી જાય.

પણ આપણને શો ફેર પડે?

“હા ભાઈ, અમને ફેર પડે કારણ કે અમે કોંગીને મૂળ કોંગ્રેસ માનીએ છીએ. મૂળ કોંગ્રેસ એટલે કે જે કોંગ્રેસે સ્વાતંત્ર્યની ચળવળમાં પોતાની જાતને હોમી દીધી હતી. જવાહર લાલ નહેરુએ પણ કોંગ્રેસની અંદર રહીને પોતાની જાતને હોમી દીધી હતી. ઇન્દિરા, રાજીવ, સોનિયા, રાહુલ, પ્રિયંકા … નહેરુ સાથે પ્રાણીશાસ્ત્ર પ્રમાણે સંબંધિત છે, તેથી કોંગ્રેસ પણ મૂળ કોંગ્રેસ છે. સાધ્યં ઇતિ સિદ્ધમ્‌.

“પણ મૂળ કોંગ્રેસમાં તો બીજા લોકો પણ હતા. અને આ બીજા લોકોએ પણ પોતાની જાતને સ્વાતંત્ર્યની ચળવળમાં હોમી દીધી હતી, તેનું શું? જેમ કે લોહિયા, જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, રાજ ગોપાલાચારી, વિનોબા ભાવે … આવા અસંખ્ય મહાનુભાવો છે.

“ અરે ભાઈ …, તેઓ કોંગ્રેસમાંથી નિકળી ગયેલા. તેઓ એ તો પોતાની કોંગ્રેસ સ્થાપેલી… જેમકે કોંગ્રેસ રીયલ, કોંગ્રેસ સંસ્થા … એટલે તેમને નહીં ગણવાના … પછી ભલે તેમણે નહેરુના દાવપેચને કારણે કે વંશવાદને કારણે કે સિદ્ધાંતોને કારણે કોંગ્રેસ છોડી હોય. તેમનું લોકશાહી માટેનું યોગદાન શૂન્ય ગણવાનું અને લોકશાહીને જીવતી રાખવાનું શ્રેય, નહેરુને જ આપવાનું. કારણ કે સત્તા તો તેમની પાસે હતી ને? જે સત્તાના શિર્ષ સ્થાન ઉપર હોય, તેને જ બધા શ્રેય આપવાના અને જે દુષણો/ક્ષતિઓ હોય તે જે તે ખાતાના મંત્રીઓને આપાવાના. હા ભાઈ હા, જમવામાં જગલો અને કૂટાવામાં ભગલો. ખબર નથી તમને? ઇતિ.

 “ભારતમાં લોકશાહી ક્યા કારણોસર સ્થપાઈ અને કયા કારણોસર ચાલુ રહી? શા માટે આપણા પડોશી દેશોમાં લોકશાહી ચાલુ ન રહી શકી? આપણા પાડોશી દેશોમાં ચાલુ ન રહી શકી, અને આપણા દેશમાં ચાલુ રહી, તે માટે આપણે કોને તો શ્રેય આપવું જોઇએ? નહેરુને શા માટે આ શ્રેય ન આપવું?

જો દેશના મૂર્ધન્યો અમુક બારીઓ ખુલ્લી ન રાખે તો ભલે તેઓ કોઈ પણ ઉંમરે પહોંચે તો પણ તેમની માન્યતા ન બદલી શકે.

પૂર્વગ્રહ વાસ્તવમાં છે શું?

ધારો કે આપણને એક કોટડીમાં રાખ્યા છે, કે આપણે જાતે તેમાં ગયા છીએ, અને તેમાં રહીએ છીએ… આપણે અંદર ગયા છીએ એટલે એક બારણું તો હોવું જ જોઇએ… એટલે ત્યાંથી તો પવન અને પ્રકાશ આવે … પવન એટલે બહારનું વાતાવરણ. અને પ્રકાશ એટલે અજવાળું.

આ “કોટાડી”ને તમે એક વૈચારિક કોટડી સમજી લો … આ કોટડીને ગોળાકાર કોટડી સમજી લો.

બારીઓ વિષે શું છે?

બધી બારીઓ વિષે તમે જાણતા નથી, અથવા

ક્યાં ક્યાં બારીઓ છે તે તમે જાણો છો પણ અમુક જ બારીઓ તમારે ખોલવી છે. અથવા,

બીજી બારીઓ તમારે બંધ રાખવી છે.

બારીઓમાંથી માહિતિઓ આવે છે.

દરેક ખૂલ્લી રાખલી બારીમાં તમે ડોકીયું કરી શકો છો અને જે તે બારીમાંથી તમને બહારની ભીન્ન ભીન્ન પરિસ્થિતિનો ક્યાસ તમને મળે છએ અથાવા તો તમે તે ક્યાસ મેળવવા સક્ષમ છો.

હા જી. લોકશાહી ચાલુ રહી તે તો આપણી માનસિક વિકાસની પારાશીશી છે. તો હવે તેનું શ્રેય કોને આપીશું? આ શ્રેય જો તમારે ઓળઘોર કરીને જ કોઈને આપવું હોય તો તમે ગમે તેને આપી શકો છો. રાજિવ ગાંધીને “ભારતરત્ન”નો ખિતાબ આપેલો જ છે ને!

કોંગ્રેસ અને કોંગી એ બેની વચ્ચેનો જે વૈચારિક અને કાર્યશૈલી વચ્ચેનો ભેદ છે તે જેઓ સમજ્યા નથી, કે સમજવા માગતા નથી કે સમજવા માટે તૈયાર નથી તેઓ કોઈપણ રીતે કે રીત વગર આ ચાલુ રહેલી લોકશાહીનો યશ નહેરુને આપવા માગે છે.

આ એક ફરેબી વાત છે.

દેશ, રાષ્ટ્ર, લોકશાહી, જનતંત્ર અને ગુલામી … આ બધી વ્યવસ્થા ભીન્ન ભીન્ન છે.

“દેશ” એ એક રાજકીય વિસ્તાર છે. રાષ્ટ્ર એ એક સાંસ્કૃતિક વિસ્તાર છે.

ભારત દેશ, બ્રીટીશ સામ્રાજ્યમાં હોવા છતાં પણ બ્રીટીશ હિન્દના તાબાના પ્રદેશોમાં ચૂંટણી થતી હતી. તેના જનપ્રતિનિધિઓ હતા. જ્યાં દેશી રાજ્યો હતા ત્યાં દેશી રાજાઓનું રાજ હતું. જોકે અંતિમ નિર્ણય બ્રીટીશ સામ્રાટનો ગણાતો. પણ કાયદાનું રાજ્ય હતું.

તે વખતે મૂર્ધન્યોની માનસિકતા કેવી હતી?

“દેખ બિચારી બકરીનો પણ કોઈ ન પકડે જાતાં કાન,

એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન” (કવિ દલપત રામ)

પણ આમાં કવિ દલપતરામનો વાંક ન હતો. તેમણે પેશ્વાના રાજને પણ જોએલું. તેમના સમયની અરાજકતા તેમણે અનુભવેલી કે સાંભળેલી. અને તે પછી કાયદાના રાજવાળું બ્રીટીશ શાસન તેમણે અનુભવેલું. ભારત દેશ ગુલામ હોવા છતાં પણ પેશ્વાના રાજ કરતાં વધુ સ્વતંત્ર હતો કારણ કે કાયદાનું રાજ હતું. અન્યાય ઓછો હતો.

વળી ભારત “વસુધૈવ કુટૂંબકમ્‌” ની ભાવના વાળો હતો એટલે પીંઢારા અને પેશ્વાના સુબેદારો ના શાસન કરતાં અંગ્રેજોને સારા ગણતો હતો. સામાન્ય રીતે અંગ્રેજો સારા હતા અને તેઓ કાયદાને માન આપતા હતા. ખામી ફક્ત એ હતી કે કાયદો બદલવાનો હક્ક ભારતીયોને ન હતો અને કાયદો ત્યારે જ બદલાતો જ્યારે બ્રીટીશ ક્રાઉન નો સીક્કો વાગતો. બ્રીટીશ ક્રાઉનનો સીક્કો ત્યારે જ વાગતઓ જ્યારે બ્રીટીશ સંસદ જે તે ઠરાવને મંજૂરી આપતી.

આ એક સુક્ષ્મ ભેદ હતો.

આવા બ્રીટીશ રાજ્ય સામે ભારતની નેતાગીરીને વિદ્રોહ માટે તૈયાર કરવી એ ઘણું અઘરું કામ હતું.

૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ નિસ્ફળ જવાના કારણો વિષે, ઘણા નેતાઓએ મનોમંથન અને આત્મ મંથન કર્યું હતું અને કરતા રહ્યા હતા. આ નેતાઓમાં બે પ્રકારના નેતાઓ હતા. એક દેશપ્રેમી અને બીજા રાષ્ટ્રપ્રેમી.

દેશપ્રેમી લોકોમાંના મોટા ભાગના બ્રીટીશ શિક્ષણનું ઉત્પાદન હતા. અને રાષ્ટ્રપ્રેમી નેતાઓ સામાન્ય રીતે સંસ્કૃતભાષાના પંડિતો હતા. રાજા રામમોહન રોય, બ્રીટીશ શિક્ષણનું ઉત્પાદન હતા. દયાનંદ સરસ્વતી સંસ્કૃત ભાષાનું ઉત્પાદન હતા.

ભારત રાષ્ટ્રની નેતાગીરી, શાસ્ત્રો ઉપર અને તેમના ગૌરવ ઉપર પ્રચ્છન્ન રીતે આધારિત હતી. ભારતદેશની નેતાગીરી બ્રીટીશ રાજના શિક્ષણ અને કાયદાઓ ઉપર આધારિત હતી. કેટલાક દેશપ્રેમીઓનો ભ્રમ વિવેકાનંદના આવ્યા પછી ભાંગવા માંડ્યો હતો. બાલ ગંગાધર ટીળકનો ભ્રમ તૂટ્યો. રૉલેટ એક્ટ આવ્યા પછી અને જલીયાવાલા બાગની ઘટના પછી ગાંધીજીનો પણ ભ્રમ તૂટી ગયો. આ બંને નેતાઓ ભારતદેશના નેતાઓ હતા. (ભારત રાષ્ટ્રના નહીં). ૧૯૧૬માં ગાંધીજી ભારતમાં આવ્યા અને કાલાંતરે ચંપારણનો સત્યાગ્રહ કર્યો, આ અંતરાલમાં ગાંધીજી “ભારતરાષ્ટ્ર”ના નેતા બની ગયા. ગાંધીજીને ખ્યાલ આવી ગયો કે ભારતદેશ કરતાં ભારતરાષ્ટ્ર વધુ સુસંસ્કૃત છે અને ઉચ્ચ છે. ભારતની સમાજવ્યવસ્થા અંગ્રેજ સરકારની સમાજ વ્યવસ્થા કરતાં વધુ ઉચ્ચ અને વધુ શ્રેય છે. ભારતની જનતા માટે ભારતરાષ્ટ્રની શાસ્ત્રીય વ્યવસ્થા ભારતની જનતા માટે વધુ ગ્રાહ્ય છે. ગાંધીજીને એ વાતની અનુભૂતિ થઈ કે ભારતમાં વ્યાપ્ત સનાતન ધર્મ વ્યવસ્થાને કારણે જ ભારતમાં સનાતન ધર્મ, સેંકડો આક્રમણો છતાં ટકી રહ્યો. ઈટાલી, ગ્રીસ, ઈજીપ્ત, અને મેક્સીકોની સંસ્કૃતિઓ પણ સુવિકસિત સંસ્કૃતિઓ હતી, પણ તે સંસ્કૃતિઓ આંગળીના વેઢે ગણી શકાય એટલા દશકાઓમાં વિદેશી આક્રમણોથી પરાજિત થઈ ગઈ હતી અને તેના ધર્મો, સો ટકા નષ્ટ પામી ગયા. બીજી બાજુ ભારતની સંસ્કૃતિ હજારો વર્ષ જુની હોવા છતાં, અને  સૈકાઓ લાંબા વિદેશી આક્રમણોથી પરાજિત થવાં છતાં, પોતાની રાષ્ટ્રીય સંસ્કૃતિ જાળવી રાખી શકી છે. શું આને તમે નહેરુનું યોગદાન ગણશો?

ભારત દેશ કદાચ શહેરોમાં થોડો ઘણો જીવતો હશે. પણ ભારતરાષ્ટ્ર, ગ્રામ્ય ભારતમાં જીવે છે. અંગ્રેજો આવ્યા ત્યારે ભારતરાષ્ટ્ર શહેરોમાં પણ જીવતું હતું. તે વખતે શહેરોમાં (તાલુકાઓ સહિત) ભારતીય પાઠશાળાઓ હતી. બંગાળમાં જ બ્રીટન કરતાં વધુ પાઠશાળાઓ હતી.

અંગ્રેજોના બે ધ્યેય હતા.

(૧) ભારતને ગરીબ બનાવી દેવો. (૨) જેઓ અંગ્રેજી શિક્ષણ વ્યવસ્થાને સ્વિકારે તેને જ નોકરી આપવી.

આ માટે અંગ્રેજોએ કેવા પગલાઓ લીધાં તે આપણે જાણીએ છીએ. એટલે તેને વિષે ચર્ચા નહીં કરીએ.

ગાંધીજી અંગ્રેજોની અમલમાં મુકેલી વ્યવસ્થાને સમજી ગયેલા.

ગાંધીજીએ “સ્વદેશી નો પ્રચાર અને વિદેશી માલનો બહિષ્કાર” ની ચળવળ ચલાવી. જો કે ભલભલા ખેરખાં એવા નેતાઓએ, આ બાબતમાં ગાંધીજીની ટીકા કરેલ. કેટલાકે તો સવિનય કાનૂનભંગની લડતનો પણ વિરોધ કરેલ. આ બધાના નામ આપી શકાય તેમ છે. પણ આપણું ધ્યેય કોઈની ટીકા કરવાનું નથી. તેથી આની ચર્ચા નહીં કરીએ.

ભારત રાષ્ટ્રનો સમાજ એક ખૂલ્લો સમાજ છે.

અંગ્રેજોના શાસનકાળમાં તે થોડોક બંધિયાર થઈ ગયેલ. તેનું કારણ ગરીબી હતી. લાચારી હતી. સાયણાચાર્યે મુસ્લિમ યુગમાં, સાતવળેકરે અને દયાનંદ સરસ્વતીએ બ્રીટીશ યુગમાં વેદોની અંદર રહેલા જ્ઞાનને ઉજાગર કર્યું. વિવેકાનન્દ પણ આ જ્ઞાન સામાન્ય કક્ષાની જનતા પાસે લઈ ગયા અને ભારત રાષ્ટ્રનો મહિમા સમજાવ્યો.

ગાંધીજી પણ સમજી ગયા હતા કે વેદોમાં રહેલું જ્ઞાન ઉત્કૃષ્ટ છે. રાષ્ટ્રપ્રેમ જાગૃત કર્યા વગર સ્વતંત્રતા મળશે નહીં.

ન્યુટન – આઈન્સ્ટાઈન અને પાદરી.મુલ્લાં.સંત – ગાંધીજી

પદાર્થની ગતિમાં ફેરફાર પદાર્થ ઉપર લાગતા બળના પ્રમાણ અને બળની દિશામાં હોય છે. આ ન્યુટનનો નિયમ હતો.

આઇન્સ્ટાઈન નો નિયમ હતો કે પદાર્થની આસપાસ ફીલ્ડ (ક્ષેત્ર) હોય છે. ફિલ્ડને દિશા અને શક્તિ હોય છે. એટલે પદાર્થની ગતિનો ફેરફાર ફીલ્ડ ની શક્તિ અને ફિલ્ડની દિશાને કારણે હોય છે.

આપણે બધા ભૌતિક વિશ્વમાં જ રહીએ છીએ. આપણો વિચાર એ એક ફીલ્ડ છે. આચાર એ ગતિ છે. પાદરી.મુલ્લા.સંતો વ્યક્તિને પકડે છે અને વ્યક્તિના વિચારમાં પરિવર્તન લાવવાનું કામ કરે છે. (જો કે બધા સંતોને આ વાત લાગુ પડતી નથી).

ગાંધીજી વિચારને ફિલ્ડ સમજ્યા અને તેને બળવત્તર કરવા અને અનુભૂતિ કરાવવા તેને અનુરુપ સામુહિક કાર્યક્રમો આપ્યા. એટલે સામુહિક ફિલ્ડની એક શક્તિ ઉત્પન્ન થઈ. દરેક વ્યક્તિને લાગ્યું કે તે સ્વાતંત્ર્યની ચળવળનો એક સૈનિક છે. આમ વ્યક્તિ એક વ્યક્તિ ન રહેતાં એક સમૂહ બની ગયો. આમ સામુહિકરીતે સ્વદેશી પ્રચાર અને સામુહિક રીતે વિદેશી માલનો બહિષ્કાર એ સરકારની સામે એક મોટું શસ્ત્ર બની ગયું.

પ્રાર્થના સભા, પ્રભાતફેરી, સ્વદેશીનો સામુહિક રીતે પ્રચાર, વિદેશી માલના બહિષ્કારના સામુહિક કાર્યક્રમો … આ બધાનો ફાયદો એ થયો કે આમ જનતામાં સંવાદ વધ્યો અને વૈચારિક જાગૃતિ માટેના માધ્યમો ટાંચા હોવા છતાં પણ વૈચારિક જાગૃતિ ઝડપથી આવી અને ઝડપથી પ્રસરી.

કાર્લ માર્ક્સે જો કશું સત્ય કહ્યું હોય તો તે એજ કે સમાજમાં માલનું ઉત્પાદન કેવીરીતે  થાય છે અને માલનું વિતરણ કેવીરીતે થાય છે, આ વ્યવસ્થાઓ  સમાજનું ચારિત્ર્ય ઘડે છે.

ગાંધીજીએ આ નિયમનો પૂરો લાભ લીધો.

રાજસત્તાનું વિકેન્દ્રીકરણ અને જનપ્રતિનિધિત્વની વ્યવસ્થા એ એક રીતે એકબીજાના પર્યાય છે.

લોકશાહીને કોણે જીવતી રાખી?

ભારતમાં લોકશાહીના મૂળ ઉંડા છે. ભારતમાં લોકશાહીના મૂળ ઉંડા છે તે ઉજાગર કરવાનું કરવાનું કામ ગાંધીજી કરતા હતા. જો કે આપણા દેશપ્રેમી બધા નેતાઓ અને કેટલાક રાષ્ટ્રપ્રેમી નેતાઓ આ વાત સમજી શકતા ન હતા. કારણ કે દેશપ્રેમીઓ માનસિક રીતે અંગ્રેજોના અથવા તો પાશ્ચાત્ય સભ્યતાના વૈચારિક ગુલામ હતા, જ્યારે કેટલાક રાષ્ટ્રપ્રેમી નેતાઓમાં માનસિક વિકાસનો અભાવ હતો, એટલે કે તેઓ પોતાની વિચાર શક્તિના અભાવમાં ગાંધીજીના વિરોધી હતા.

લોકશાહીની વ્યાખ્યા શી?

પાશ્ચાત્ય વિદ્વાનોએ કહ્યું લોકો થકી લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી. પણ લોકો એટલે શું?

આનો સીધો અર્થ બહુમતિ જ થાય.

આ બહુમતિને બદલવાના ઘણા શસ્ત્રો ઉપલબ્ધ હોય છે. બહુમતિના માનસિક સ્તર પર બહુમતિની કાર્યશૈલી અવલંબે છે.

પુરુષોત્તમ માવળંકરે એવી વ્યાખ્યા કરેલી

“જ્યાં સત્યનો આદર થાય તે લોકશાહી”

પણ સત્ય સમજવા માટે જનતાનું માનસ સક્ષમ હોવું જોઇએ.       

એટલે કે જો જનતા સાક્ષર હોય તો લોકશાહી યોગ્ય છે.

પણ સાક્ષર એટલે શું?

નારાયણભાઈ દેસાઈએ “સાક્ષર”ની વ્યાખ્યા “જે સમસ્યાને જાણે છે અને સમસ્યાને સમજે છે” તે સાક્ષર. એટલે કે જાગૃત નાગરિક.

તો પછી નાગરિકને જાગૃત કોણ કરે?

આ માટે ભારતમાં ઋષિમુનીઓ હતા અને તેમણે શાસ્ત્રો લખેલા. આ શાસ્ત્રોને સમજવાવાળા આચાર્યો હતા. આચાર્યો ઉત્પન્ન કરવા માટે વિદ્યાપીઠો હતી. આ આચાર્યો નિડર હતા.

નિડર એટલે શું?

નારાયણભાઈ દેસાઈએ નિડરની વ્યાખ્યા કરેલ

“ સત્ય (શ્રેય)ની સ્થાપના માટે જે કોઈથી ડરે નહી, અને જેનાથી કોઈ ડરે નહીં તે”.

કૌટીલ્ય, શંકરાચાર્ય, સાયણાચાર્ય, સાતવળેકર, દયાનંદ સરસ્વતી જેવા અનેક આચાર્યો ભારતમાં હતા અને છે. હાલમાં પણ એવા આચાર્યો છે જેઓ વિદ્વાન અને વિચારક છે અને નિષ્કામ રીતે કર્મ કરે છે. તેઓ કોઈ હોદ્દો ભોગવવામાં માનતા ન હતા. ધન અને સંપત્તિના તેઓ દાસ ન હતા.

૧૯૩૩ પછી ગાંધીજીએ ઋષિત્ત્વ ગુણ આત્મસાત કર્યો. તેમણે ધન સંપત્તિનો ત્યાગ તો ઘણા સમય પહેલાં કર્યો હતો. તેમણે પદનો પણ ત્યાગ કર્યો. જેથી તેમના અભિપ્રાય ઉપર મૂક્ત ચર્ચા થઈ શકે.

પણ જો સત્તા ઉપર બેઠેલો વ્યક્તિ ઋષિ કે આચાર્ય ન હોય અને પોતે ક્રાંતિકારી (એટલે કે સમાજ ઉપર પોતાના મનગઢંત વૈચારિક ફેરફારનું આરોપણ કરનારો ) થઈ જાય તો તે સમાજ માટે ભયજનક બની શકે છે. જેમકે નહેરુ અને ઇન્દિરા ગાંધી કે જેમણે તેમના આચારો દ્વારા દેશના જનમાનસને, નૈતિક રીતે પાયમાલ કર્યું.

નરેન્દ્ર મોદીની માનસિકતા શું છે?

નરેન્દ્ર મોદી હોદ્દો ધરાવે છે … ક્રાંતિકારી વિચારો ધરાવે છે … અને કેટલાક લોકો તેનાથી ડરે પણ છે …

સમાજ જે સ્તર ઉપર છે તેને કારણે નરેન્દ્ર મોદીને સુરક્ષા આપવી આવશ્યક છે.

નરેન્દ્ર મોદી સગાંવ્હાલાં અને મિત્રોને ફાયદો કરી દેવાની વૃત્તિ અને આચાર રાખતો નથી.

તમે સંસ્કૃત શ્લોકને યાદ કરો …

પરદાર પરદ્રવ્ય પરદ્રોહ પરાઙ્ગ મુખઃ

ગંગા બૃતે કદાગત્ય મામયં પાવયિષ્યતિ

 ગંગા કહે છે કે પરસ્ત્રી, બીજાનું ધન અને બીજાએ કરેલું અપમાન એ બધાથી વિરક્ત વ્યક્તિ ક્યારે આવીને મને પવિત્ર કરશે?

બીજાની સ્ત્રી પરત્વે વિરક્તિ રાખવી એ પ્રથમ પાદ છે.

તેનાથી અઘરું કામ બીજાના ધનથી વિરક્ત રહેવું એ દ્વિતીય પાદ છે.

બીજાએ કરેલા અપમાનથી (સ્વાર્થહીન) વિરક્તિ રાખવી તે તૃતીય પાદ છે.

નરેન્દ્ર મોદીએ આ ત્રણેય ગુણો કેળવ્યા છે.

નરેન્દ્ર મોદી તો પરસ્પરની સંમતિથી પોતાની પત્નીથી પણ દૂર રહ્યો છે.   

નરેન્દ્ર મોદીને તેના હોદ્દાની રુએ જે ભેટ સોગાદો મળે છે અને તેના જે વસ્ત્રો છે, તેની તે હરાજી કરી, સ્ત્રીઓના ઉત્કર્ષ માટે દાનમાં આપી દે છે. બીજાના ધન ઉપર પોતાના માટે  કુદૃષ્ટિ કરવાની તો વાત જ નથી.

અમેરિકાએ તેને વીસા ન આપ્યા. આ વિસા માટેની અરજી આમ તો સરકારી વિસા માટેની અરજી હતી અને ગવર્નમેંટ ઓફ ઈન્ડિયાએ અનુરોધ સાથે મોકલેલી. અને તેનો અનાદર કરવો એ ભારતનું અપમાન હતું. આનાથી પણ વિશેષ ભારતના અપમાનો ૧૯૬૯-૭૧ના અમેરિકાના તત્કાલિન પ્રમુખ નિક્સને કરેલ. પણ તત્કાલિન ભારતીય સરકારે અમેરિકા સાથેના રાજદ્વારી સંબંધો તોડી નાખેલ નહીં. આ બધાં એક લોકશાહી વ્યવસ્થાવાળી સરકારે કરેલાં આચારો હતા.

નરેન્દ્ર મોદી ભારતના હિતમાં આ બધાં અપમાનો ગળી જાય છે.

જો કે કેટલાક લોકો અફવા ફેલાવે છે કે મોદી નિક્સનને મળ્યો હતો. કેટલાક આવી વાતોમાં કેવી રીતે આવી જાય છે તે સ્મજાતું નથી.

રીચાર્ડ નિક્સન ૧૯૬૯ થી ૧૯૭૪ સુધી યુએસનો પ્રેસીડેન્ટ હતો. આ નિક્સન ૧૯૧૩માં જન્મ્યો હતો અને ૧૯૯૪માં મરી ગયો હતો. જો મોદી મળ્યો હોય તો તેને ક્યારે મળ્યો તેની ચોખવટ મોદી વિરોધીઓ કરતા નથી. આમ તો સુભાષબાબુ પણ હીટલરને મળ્યા હતા. ગાંધીજી પણ ભારતના ઘોર વિરોધી ચર્ચીલને મળવા માગતા હતા. પણ ચર્ચીલે મળવાની ના પાડી હતી. ગાંધીજી અને સુભાષબાબુ આ બંનેના હેતુ ભારતદેશને નુકશાન કરવાના ન હતા.

નરેન્દ્ર મોદીનો હેતુ પણ ભારતને નુકશાન કરવાનો ન હોઈ શકે. નરેન્દ્ર મોદી તેમને ૧૯૭૫ પછી મળ્યા હોય તો પણ. ૨૦૦૧ સુધી નરેન્દ્ર મોદી એવા કોઈ મહત્ત્વના વ્યક્તિ ન હતા કે યુએસ પ્રમુખ તેમને મળે. સંશોધનનો વિષય છે.

મોદી વિરોધીઓનું કહેવું છે કે બંગ્લાદેશની ચળવળમાં પાકિસ્તાની સેનાએ બંગ્લાદેશમાં ૪૦ લાખ લોકોને મારી નાખેલા અને તેમાં ૩૦ લાખ બંગ્લાભાષી હિન્દુઓ હતા અને ૧૦ લાખ બંગ્લાભાષી મુસલમાનો હતા. નિક્સને આ કતલના સમાચારો દુનિયાથી દબાવેલા.

ભારતમાં જ્યારે લાખોની સંખ્યામાં બંગ્લાદેશી નિર્વાસિતો ઘુસી આવ્યા હોય અને આપણી પ્રધાન મંત્રી કે એના મંત્રીમંડળને કે એની ઈન્ટેલીજન્સ એજન્સીને ખબર ન હોય એટલી હદ સુધી અમેરિકાના નિક્સનની પહોંચ હોય કે તે આવા લાખ્ખોની કતલના સમાચારોને દાયકાઓ નહીં તો વર્ષો સુધી દબાવી રાખી શકે એ વાત માન્યામાં આવી શકે તેવી નથી.

બંગ્લાદેશમાં મુજીબુર રહેમાનનુ શાસન આવ્યા પછી પણ આ નરસંહારની કોઈ તપાસ થઈ શકી નહીં. મુજીબુરને મારીને લશ્કરી શાસન આવી ગયું. ઈન્ટર્નેશનલ ક્રાઇમ ટ્રીબ્યુનલ એક્ટ ૧૯૭૩ બનાવ્યો હતો. પણ ૧૯૭૫માં વિવાદોની વચ્ચે રદ થયો. ૨૦૦૮માં અવામી લીગ સત્તા ઉપર ૨/૩ બહુમતિથી આવી. તેણે તપાસ શરુ કરી અને લગભગ દોઢ હજાર વ્યક્તિઓ ઓળખાઈ અને તેમની ઉપર કાર્યવાહી શરુ થઈ.

અમેરિકામાં કત્લેઆમ થઈ હોય અને તેનું શાસન તેને છૂપાવી શકે તે કદાચ માની લેવાય કારણ કે ૧૯૮૯-૯૦માં હિન્દુઓની કશ્મિરમાં થયેલી કત્લેઆમ અને આતંકને ભારતનીકોંગી અને તેના સમાચાર માધ્યમ સહિતના સાંસ્કૃતિક સાથીઓએ ઠીક ઠીક છૂપાવી હતી.

હવે જો આપણે ૧૯૬૯ થી ૧૯૭૩ સુધી નેશનલ સીક્યોરીટી એડ્વાઇઝર હોવાને નાતે હેન્રી કીસીંન્જરને વાંકમાં લેવો હોય તો પણ નીક્સન તેના વાંકમાંથી છટકી શકે નહીં. વળી હેન્રી કીસીન્જર ૧૯૭૩માં યુએસનો સેક્રેટરી ઓફ સ્ટેટ બન્યો. એના નામની “નોબેલ પ્રાઈસ ફોર પીસ” ભલામણ પણ થઈ. તો વાંક તો આખા યુએસનો જ કહેવાય. એટલું જ નહીં આને ઇન્દિરાની વિદેશનીતિની ભયંકર નિસ્ફળતા કહેવાય. ઇન્દિરા, નહેરુ કરતાં તો વધુ મૂર્ખ હતી જ તેને માટે આજ દાખલો પુરતો છે.

 પ્રમાણભાનની પ્રજ્ઞા, સંદર્ભની પ્રજ્ઞા અને પ્રાથમિકતાની પ્રજ્ઞાની આખી દુનિયામાં ખોટ હોય છે. જો મહાપુરુષોમાં આ સ્થિતિ દૃષ્ટિગોચર થાય તો તેને માટે કાંતો કહેવાતા મહાપુરુષોના “અમુક બારીઓ બંધ રાખવાના” પૂર્વગ્રહ જવાબદાર હોય છે અથવા તો તેના રાજકીય કારણો હોય છે. પાશ્ચાત્ય દેશો અને આપણો દેશ એમાં અપવાદ નથી. બીજાઓની વાત જવા દો. 

સૌથી અઘરી વાત પોતાનું અંગત અપમાન દેશ-હિત ખાતર ગળી જવું તે છે, કે જેની ગંગા રાહ જુએ છે.

શિરીષ મોહનલાલ મહાશંકર દવે

https://www.treenetram.wordpress.com

 

Read Full Post »

“શું ભારત સાચેસાચ સ્વતંત્ર થયું છે?” એક વિતંડાવાદ

“શું ભારત સાચેસાચ સ્વતંત્ર થયું છે?” નો એક વિતંડાવાદ

જેઓ સોસીયલ મીડીયા ઉપર સક્રિય છે તેઓ જાણતા હશે કે ભારતે મેળવેલી સ્વતંત્રતા બાબતમાં ઘણા લોકો ગંભીર રીતે શંકા ધરાવે છે. શરુઆતમાં આપણે તેને અવગણીએ તે ઠીક હતું. પણ પછી જોવામાં આવ્યું કે જેઓ ઠીક ઠીક જાણકારી, બીજા વિષયોમાં પણ ધરાવતા હતા તેઓ પણ આ વિષયમાં ભાગ લેવા માંડ્યા. એટલે મારા જેવા કેટલાક લોકોએ ઉત્તર આપવાનું શરુ કર્યું. પણ એવું જોવામાં આવ્યું કે તેમને આપણો ઉત્તર સમજવામાં રસ ન હતો.

આ વિષયની ચર્ચામાં રસ લેનારાઓમાં મોટા ભાગના એવા હતા કે જેઓ પૂર્વગ્રહથી પીડિત હતા અને તેમની માન્યતા છોડવા તૈયાર જ ન હતા. અને આ માન્યતાના લીસ્ટમાં તેઓની માન્યતાઓ નીચે પ્રમાણે હતી.

ભારતના ભાગલાઓ માટે ગાંધીજી જવાબદાર હતા.

હિન્દુ-મુસ્લિમ હુલ્લડોમાં ગાંધીજી મુસ્લિમોના પક્ષમાં રહેતા હતા અને જ્યાં મુસ્લિમો વધુ પ્રમાણમાં મરાયા હતા ત્યાં તેઓ દોડી જતા હતા. મુસ્લિમ તૂષ્ટીકરણની નીતિના જન્મદાતા ગાંધીજી હતા, આનું મુખ્ય કારણ તેઓએ દક્ષિણ આફ્રિકામાં મુસ્લિમ વેપારીનો કેસ લડ્યા તે હતું.

ગાંધીએ બોઅર યુદ્ધમાં અંગ્રેજોનો પક્ષ લીધો હતો.

ગાંધીએ ખિલાફત આંદોલનમાં ધર્માંધ મુસ્લિમોનો પક્ષ લીધો હતો.

મોપલાઓએ હિન્દુઓની જે કત્લેઆમ કરી હતી તે કત્લેઆમને ગાંધીએ અનુમોદન આપ્યું હતું.

ગાંધીએ ભગતસિંહને બચાવવા કશું કર્યું ન હતું,

જલીયાવાલા બાગમાં અંગ્રેજોએ કરેલી કતલમાં ગાંધીએ જનરલ ડાયરનો પક્ષ લીધો હતો

પાકિસ્તાનને ૫૫ કરોડ અપાવવા માટે તેઓ આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલ, પણ ભારતના ભાગલા પડતા અટકાવવા માટે તેઓ આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા ન હતા.

ગોડસે એક મહાન વ્યક્તિ હતો અને તે પરમ દેશભક્ત હતો. તેણે ગાંધીનો વધ કર્યો તે યોગ્ય જ હતું. તેણે કોર્ટમાં જે નિવેદન આપેલ તેને સરકારે જાહેર કર્યું નથી તે જ બતાવે છે કે સરકાર સત્યને છૂપાવવા માગે છે. ચલણી નોટો ઉપર ગાંધીને બદલે ગોડસેનું ચિત્ર હોવું જોઇએ. ખરો શહીદ તો ગોડસે જ હતો.

ગાંધી સાઉથ આફ્રિકામાં નિસ્ફળ નીવડ્યા હતા એટલે ભારત પરત થયા હતા.

ગાંધી અંગ્રેજ સરકારના એજન્ટ હતા,

ગાંધી એક ઐયાશી વ્યક્તિ હતા. ગાંધી દુરાચારી હતા. તેઓ ભીન્ન ભીન્ન સ્ત્રીઓને સહશયન માટે ફરજ પાડતા હતા.

ગાંધીએ હિન્દુ નિરાશ્રિતોને કહેલ કે તમારે તમારી મા-દિકરી-બહેનોને મુસ્લિમોને હવાલે કરી દેવી જોઇતી હતી. આ જ તમારો ધર્મ હતો.

આવી તો અનેક વાતો ગાંધી-ફોબીયાથી પીડિત લોકો લખતા. આપણે આ બધી જ વાતોનું તર્ક પૂર્વક ખંડન કરીએ તો પણ તેઓ સમજવા તૈયાર જ ન હ્તા. એટલું જ નહીં મોટા ભાગના તો વાંચતા જ નહીં અને અદ્ધર અદ્ધર રીતે આપણા તર્ક નકારી કાઢતા હતા. આ બધા જ ગાંધી-ફોબિયા પીડિત જ નહીં મુસ્લિમ-વિરોધી-ફોબિયાથી પણ પીડિત લોકો હતા.

આમાંના કેટલાકના વિષયો એ પણ હતા કે

ભારતને આઝાદી મળી જ નથી. હજુ પણ તે અંગ્રેજોનું ગુલામ છે. આ માટેની તેમની દલિલો નીચે પ્રમાણે છે.

INDIA FIRST

INDIA FIRST

(૧) ૧૫મી ઑગષ્ટે જે થયું તે “સત્તાનું હસ્તાંતરણ (ટ્રાન્સ્ફર ઑફ પાવર) થયું છે.

(૨) આ દસ્તાવેજ કદી બહાર પાડવામાં આવ્યો નથી.

સત્તાના હસ્તાંતરણને સ્વતંત્રતા ન કહેવાય,

(૩) કોમનવેલ્થ રાષ્ટ્રોની પ્રમુખ કાયમ માટે બ્રીટનની રાણી (બ્રીટીશ ક્રાઉન) છે. ભારતે બ્રીટનની રાણીને ખંડણી આપવી પડે છે.

(૪) ગવર્નમેન્ટ ઑફ ઈન્ડીયા એક્ટ ૧૯૩૫, આ જે પણ લાગુ છે.

(૫) આપણને જે સત્તા મળી છે તે ૯૯ વર્ષના પટ્ટે મળી છે.

૯૯ વર્ષ પછી આપણે ભારતની સત્તા બ્રીટનને પાછી સોંપી દેવી પડશે. એટલે આવા કરારને સ્વતંત્રતા કહેવાય જ નહીં.

(૬) બ્રીટનની રાણીને ૨૧ તોપોની સલામી અપાય છે. બ્રીટનની રાણીને ભારતનો વિસા લેવાની જરુરત પડતી નથી.

(૭) નાગરિક કાયદાનો હવાલો આપી એવું તારણ કરવામાં આવે છે કે આપણે ભારતીય બંધારણને હિસાબે પણ ગુલામ જ છીએ.

(૮) આ બધામાં વળી એક રાજીવ દિક્ષિતનો વીડીયો સામેલ કરવામાં આવ્યો છે જેમાં રાજીવ દિક્ષિત “ટ્રાન્સ્ફર ઑફ પાવર”નું પોતાનું અર્થ ઘટન કરતા બતાવ્યા છે.

આ બધા ઉભી કરેલી માન્યતાઓનું આપણે તર્કશુદ્ધ રીતે ખંડન કરીએ તો પણ આ વિવાદો ચાલુ રાખવામાં આવે છે.

સોસીયલ મીડીયામાં આ વિવાદો ત્રણચાર વરસોથી ચાલે છે. આ વિવાદોની સ્થિતિ “ગાંધી-ફોબિયા પીડિત” જ છે. એટલે કે તમારા ઉત્તરો ઉપર, કોઈ ચર્ચા કરવા તૈયાર થતા નથી. આ બધું આપણે અટકાવી શકતા નથી. કારણ કે લોકશાહીમાં વાણીસ્વાતંત્ર્યમાં બધાને પોતાના તર્કહીન  વિચારો વ્યક્ત કરવાનો હક્ક છે. આપણા તર્કશુદ્ધ વિચારો માન્ય રાખવા કે ન રાખવા તે તેની મુનસફ્ફીની વાત છે.

આવી સ્થિતિ હોય ત્યારે આપણે અમુક હદ પછી તેવા લોકોની માન્યતાઓ ઉપર પ્રતિભાવ આપવાનું બંધ કરીએ તે સ્વાભાવિક છે.

ડીબી (દિવ્યભાસ્કર)માં પણ અમુક કટારીયા લેખકોને બાદ કરતાં બાકીના બધા કટારીયા લેખકો કદાચ સમાચારપત્રના એજન્ડા પ્રમાણે લખતા હોય તેમ તેઓની બહુમતિ હોવાને નાતે આપણે માની શકીએ.

પણ જે લેખકો પોતાની તર્કશુદ્ધતા જાળવી રાખે છે તેમને વિષે આપણે એવું કહી ન શકીએ કે તેઓ વર્તમાનપત્રના એજન્ડા પ્રમાણે લખતા હશે. આવા લેખકોમાં ડૉ. ગુણવંત શાહ, વિનોદ ભટ્ટ, મધુરાય, નગીનભાઈ સંઘવી અને સંજયભાઈ વોરાનો સમાવેશ અચૂક કરી શકીએ. કાન્તિભાઈ ભટ્ટ પણ જો નરેન્દ્ર મોદીને ન સ્પર્શે ત્યાં સુધી માહિતિ-પૂર્ણ લખે છે. રોજ કટાર લખવી એ ઘણું અઘરું હોય છે. તો પણ ન છૂટકે આ બાબતની આપણે અવારનવાર ટીકા કરી છે. પણ જવા દો.  દરેકને પોતાના વિચારો, પોતાનું મન અને પોતાના ગમા-અણગમા હોય છે.

સંજયભાઈ વોરા ડીબીમાં રોજ લખે છે. અને દરેક લેખ માહિતિપૂર્ણ હોય છે. અને તર્કશુદ્ધ પણ હોય છે. નાની નાની વાતો મિસ-ફાયર થાય તો તેને ક્ષમ્ય ગણવું જ જોઇએ. પણ સંજય ભાઈ વોરાએ જ્યારે “શું આપણે સાચેચાચ સ્વતંત્ર થયા છીએ તે વિષય ઉપર પ્રશ્નચિન્હ લગાવ્યું ત્યારે તેની ગંભીરતાને સમજવી પડે. તેમના મુદ્દાઓમાં કેટલાક બ્રીટીશ નાગરિકતા વાળા સનદી અધિકારીઓ સેવામાં ચાલુ રહ્યા, અને તે પણ ભારતીય રાજબંધારણ અમલમાં આવ્યું તે પછી પણ ચાલુ રહ્યા તે, અને તેને સમકક્ષ બીજા મુદ્દાઓ, નવા મુદ્દા તરીકે જાણવા મળ્યા.

“ટ્રાન્સ્ફર ઑફ પાવર” એગ્રીમેન્ટ

આ કરારનું અર્થઘટન એવું કરવામાં આવ્યું કે “ટ્રાન્સ્ફર ઑફ પાવર એ “સ્વતંત્રતા” નથી. એક ની જગ્યાએ બીજો આવ્યો. તેમાં સ્વતંત્રતા ક્યાં આવી?

ચૂંટણીના પરિણામો પછી એક વ્યક્તિને બદલે બીજી વ્યક્તિ સત્તા સંભાળે છે. જેમકે એક વ્યક્તિ વડાપ્રધાન છે. ચૂંટણી પછી નવો પક્ષ બહુમતિ મેળવે તો તેનો નેતા દેશનું વડાપ્રધાન પદ સંભાળે છે. “ટ્રાન્સ્ફર ઑફ પાવર” તેના જેવું છે.

આપણે સમજવું જોઇએ કે “ટ્રાન્સ્ફર ઑફ પાવર” અને “ટ્રાન્સ્ફર ઑફ ચાર્જ” એ બંને ભીન્ન ભીન્ન છે. અ બંને સમાનાર્થી શબ્દો નથી. એક વ્યક્તિ કે જે વડા પ્રધાન છે તેની પાસેથી નવી વ્યક્તિ વડાપ્રધાન પદ લે, તેને ટ્રાન્સ્ફર ઑફ ચાર્જ કહેવાય. આમાં કોઈ એગ્રીમેન્ટ થતું નથી. જે કંઈ થયું તે બંધારણ અનુસાર થાય છે. સરકારી અધિકારીઓની બદલી થાય ત્યારે તેઓ પોતાનો ચાર્જ બીજા અધિકારીને આપે છે. તેને એકે “ચાર્જ લીધો” અને બીજાએ “ચાર્જ આપ્યો” એમ કહેવાય છે ગણાય છે. પ્રધાનો પાસે દસ્તાવેજોનો ચાર્જ હોતો નથી. સચિવો અને મૂખ્ય સચિવ બધો ચાર્જ રાખે છે. દરેક ફાઈલની હેરફેર નોંધાતી હોય છે. અંગત સ્ટાફ ની ફાઈલ મંત્રીશ્રી પોતાની પાસે કે પોતાના અંગત સચિવ (રહ્સ્ય સચિવ) પાસે રાખે છે.

સત્તાની ફેરબદલીની રીતો

સત્તાની ફેરબદલી બે રીતે થાય છે. એક છે બળપૂર્વક થતી સત્તાની ફેરબદલી. અને બીજી છે પરસ્પર સમજુતીથી થતી સત્તાની ફેર બદલી. ૧૮૫૭માં થયેલા સ્વાતંત્ર્યતાના સંગ્રામમાં જો ભારતનો વિજય થયો હોત તો, “ટ્રાન્સ્ફર ઑફ પાવર”ના એગ્રીમેન્ટની જરુર પડી ન હોત. પૂર્વપાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં બંગ્લાદેશનું સર્જન થયું તેમાં “ટ્રાન્સ્ફ્રર ઑફ પાવર”ના એગ્રીમેન્ટની જરુર પડી નથી.

બળપૂર્વક થતા સત્તાના હસ્તાંસ્તરણમાં નવી સત્તાએ જુના કાયદાઓ માનવા સિવાય છૂટકો હોતો નથી, સિવાય કે પોતાના કાયદાઓ હયાત હોય.  જુના વખતમાં ન્યાયધીશો કે રાજા કે રાજાદ્વારા સ્થપિત વ્યક્તિઓ, રાજકારભારના અને ફરિયાદોને લગતા નિર્ણયો લેતા. તેમને કોઈ નિયમો નડતા ન હતા. તે પોતાની મુનસફ્ફી પ્રમાણે કે શુદ્ધબુદ્ધિથી નિર્ણયો લેતા.

જ્યારે ભારતને ૧૫મી ઑગષ્ટે “સ્વતંત્રતા” મળી ત્યારે ભારતનું બંધારણ અસ્તિત્વમાં ન હતું. ભારતમાં સર્વોચ્ચ સત્તા વાઈસરોય પાસે હતી. વાઈસરોય ઉપર બ્રીટનની પ્રણાલીઓ દ્વારા સ્થપાયેલ બંધારણ અને ઈન્ડીયન ગવર્નમેન્ટ એક્ટ નું બંધન રહેતું. ભારત સ્વતંત્ર થયું એટલે કામચલાઉ વ્યવસ્થા વડાપ્રધાન અને ગવર્નર જનરલની થઈ. બ્રીટનની પાર્લામેન્ટે પસાર કરેલા “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ” ના આધારે આ નક્કી થયું હતું. જ્યાં સુધી ભારતનું પોતાનું બંધારણ તૈયાર ન થાય ત્યાં સુધી, ભારતની સંસદ જે કંઈ પણ વહીવટી કાયદાઓ પસાર કરે તેને માટે બ્રીટનના ક્રાઉનની મંજુરી લેવી જરુરી હતી. એટલે કે ભારતની સંસદ એ બ્રીટનની સંસદને સમકક્ષ હતી. પાકિસ્તાનની પણ આ જ સ્થિતિ હતી.

સ્વાતંત્ર્ય મળ્યા પૂર્વે અખંડ ભારતમા ચૂંટણીઓ થઈ હતી. ચૂંટાએલી સરકારો/મંડળો બ્રીટીશ એજન્સીના પ્રત્યક્ષ વહીવટ હેઠળના પ્રદેશો ઉપર રાજ કરતી હતી. આને “સ્થાનિક સ્વરાજ્ય” કહેવાતું હતું. પણ આ બધા વાઈસરોયના તાબામાં એટલે કે બ્રીટીશ ક્રાઉનના તાબામાં હતા. ૧૫ ઑગષ્ટે સ્વરાજ્ય મળ્યું એટલે ભારતને કેન્દ્રમાં “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ” અને “ગવર્નમેન્ટ ઈન્ડિયા એક્ટ”ની મર્યાદા હેઠળ સત્તા મળી.

રાજાઓની સત્તાઓ તેમની પાસે રહી પણ તેમણે જનતાની ઈચ્છા અનુસાર “પાકિસ્તાન સાથે જોડાવું“, કે “ભારત સાથે જોડાવું” કે “સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે રહેવું” તે નક્કી કરવાનું હતું. “જનતાની ઈચ્છા” જાણવાની પ્રક્રિયાને “પ્લેબીસાઈટ” કહેવામાં આવી હતી. આ કામ કેન્દ્ર સરકારની નિગરાનીમાં કરવાનું હતું જેથી જનતાની સાચી ઈચ્છા જાણી શકાય. આ પ્રમાણે જે મોટા રાજ્યો હતા તેમના પ્રાંત અલગ હતા. પણ આ બધા જ અંતે તો “બ્રીટીશ ક્રાઉન”ના તાબામાં હતા. એટલે ૧૫ ઑગષ્ટ “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ” ની અંતર્ગત રહેલ “ઈન્ડીપેન્ડન્સ” શબ્દની રુએ, “ઈન્ડીપેન્ડન્સ ડે” ગણાયો. જેમાં બધા જ સત્તાધારી પદો ઉપર ભારતીયો  આવ્યા.

એક વાત સમજવાની છે કે “ઈન્ડિયન સીવીલ સર્વીસ”ની પરીક્ષા બ્રીટીશ સરકાર લેતી હતી અને સીવીલ સર્વીસ પ્રોવાઈડર બ્રીટીશ સરકાર હતી. એટલે તેની સર્વીસની શરતો બ્રીટને નક્કી કરી હતી. જે કોઈ આઈસીએસ અધિકારીઓ ભારતમાં રહ્યા તેઓ આ સર્વીસ કન્ડીશન્સની જોગવાઈને આધારે સ્વેચ્છાએ રહ્યા. બ્રીટીશ અફસરો ભારતમાં નોકરીએ ચાલુ રહ્યા તે કારણસર ભારત ગુલામ હતુ એમ ન કહી શકાય.

એક વાત સ્વિકારવી પડે કે ભારત જ્યાં સુધી પોતાનું સ્વતંત્ર બંધારણ અમલમાં ન લાવ્યું ત્યાં સુધી ભારતે સાર્વભૌમત્વ મેળવ્યું ન હતું. ભારતની સંસદ, લોકોએ ચૂંટેલી હતી અને તેના થકી ભારતનું બંધરણ ૧૯૫૦માં અમલમાં આવ્યું. આ ભારતીય બંધારણમાં નિર્દેશિત પ્રક્રિયા પ્રમાણે ચૂંટણીઓ થઈ.

કોમનવેલ્થ રાષ્ટ્રઓનું જુથ

કોમન વેલ્થ રાષ્ટ્રોના જુથમાં, જે રાષ્ટ્રો અગાઉ બ્રીટીશ ક્રાઉનના તાબામાં હતાં તે બધા રાષ્ટ્રોનો સમાવેશ થાય છે. બ્રીટન પોતે પણ બ્રીટીશ ક્રાઉનના તાબામાં હતું. કોમનવેલ્થ રાષ્ટ્રોના જુથના બંધારણમાં જ આવી જોગવાઈ છે અને તે સહજ છે કે તેનું પ્રમુખ પદ બ્રીટીશ ક્રાઉન પાસે રહે. આ બાબતમાં કોઈ રાષ્ટ્રે નાનમ અનુભવવાની જરુર નથી. વળી તમે એક સંસ્થા ચલાવો તો બધા સભ્યોએ ફાળો તો આપવો જ પડે પછી ભલે તે જી-૮ હોય કે જી-૨૪ હોય કે સાર્ક રાષ્ટ્રોની સંસ્થા હોય. આ ફાળાને આપણે ખંડણી તરીકે ખપાવી ન શકીએ.

બ્રીટનની રાણીને ૨૧ તોપોની સલામી.

જે બ્રીટને આપણને યુદ્ધ વિના શાંતિથી સ્વતંત્રતા આપી તેનું માન રાખવું એ આપણી કૃતજ્ઞતા દર્શાવે છે. આપણે ઇતિહાસનો નાશ કરી શકતા નથી. બ્રીટનની રાણીને ૨૧ તોપોની સલામી આપવાથી આપણે ગુલામ થઈ જતા નથી. કોઈપણ દેશ કોઈ મહાનુભાવ વ્યક્તિનું સન્માન કરી શકે છે. તેને નાગરિકતા પણ આપી શકે છે. ખાન અબ્દુલ ગફારખાનને ભારતરત્નનો ખિતાબ અપાયેલો છે. તો શું પાકિસ્તાન આપણો ગુલામ દેશ છે?

કોઈ એક વ્યક્તિને ભારતીય નાગરિકતા આપવાની કે નકારવાની સત્તા

આ મુદ્દો સોસીયલ મીડીયા ઉપર બહુ ચગાવવામાં આવેલ. સ્વાતંત્ર્યતા પૂર્વે કેટલીક વ્યક્તિઓ જુદા જુદા સંજોગોમાં અનન્ય પરિસ્થિતિમાં ભારતની બહાર હતી. નિશ્ચિત મુદતમાં ભારતમાં આવવા માટે અસમર્થ હતી. તેના ઉપર નિર્ણય લેવા સક્ષમ અધિકારીઓ હ્તા. અનુચ્છેદ ૬ માં આને લગતી જોગવાઈઓ છે. વિવરણ પણ છે. આ અનુચ્છેદને ફક્ત અને ફક્ત સાંકળીને કેટલાક લોકો રામભરોસે એવું અર્થઘટન કરતા કે ભારત સ્વતંત્ર થયું જ નથી. તેઓ કશું વિવરણ કે દાખલાઓ આપવામાં માનતા નહીં પણ જ્યારે તેમને પૂછવામાં આવતું કે તમે ભારતીય બંધારણની કલમ તો બતાવો અને તેનું અર્થઘટન કરીને તમારી વાત તો સમજાવો !! પણ તેઓ આવું કશું કરવામાં માનતા ન હતા.

૯૯ વર્ષના પટ્ટે ભારતનો વહીવટ કરવાની કરવાની સ્વતંત્રતા

આવી જોગવાઈ કઈ જગ્યાએ છે અને બંધારણમાં આને કઈ જગ્યાએ માન્યતા આપવામાં આવી છે તે કહેવા કોઈ તૈયાર નથી. કોઈક આપણને (આખે આખો)  “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ”નો હવાલો આપે છે. એટલે કે આપણા વિપક્ષીને સાચા ઠેરવવા માટે આપણે આખ્ખે આખ્ખો ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ વાંચીને એ શોધી કાઢવાનું કે ભારતને ૯૯ વર્ષના પટ્ટે સ્વતંત્રતા મળી છે. એટલે કે અંધારા ઓરડામાં અસ્તિત્વ ન ધરાવતી કાળી બિલાડી આપણે શોધવાની.

ગુલામ રાષ્ટ્ર, સ્વતંત્ર રાષ્ટ્ર અને લોકશાહી રાષ્ટ્ર

આ ત્રણેના ભેદ સમજવા જેવા છે.

ગુલામ રાષ્ટ્ર એટલે બીજા રાષ્ટ્રનો વ્યક્તિ/વ્યક્તિ સમૂહ કે અધિકૃતવ્યક્તિ/અધિકૃતવ્યક્તિ સમૂહ આપણા રાષ્ટ્ર ઉપર શાસન કરતો હોય તો આપણું રાષ્ટ્ર ગુલામ કહેવાય. બ્રીટીશ યુગમાં આપણે ગુલામ હતા.

મોગલયુગમાં જ્યારે મોગલ રાજાઓએ આપણા દેશને પોતાનો દેશ ગણ્યો ત્યારે આપણે ગુલામ દેશ મટી ગયા.

ઈસ્વીસન પૂર્વેથી ઇસ્લામયુગસુધી  ભારત સ્વતંત્ર રાષ્ટ્ર હતું કારણ કે શાસકો ભારતીય હતા.

લોકશાહી એ એક સાપેક્ષ સુવ્યવસ્થા છે.

જ્યાં સત્ય ગમે તે સ્તરેથી આવતું હોય પણ જો તેને અસત્ય ઠેરવવું અશક્ય હોય અને તેનો આદર થતો હોય તો તેને લોકશાહી કહેવાય. પણ સત્ય વિવાદાસ્પદ હોય છે. શ્રેય પણ વિવાદાસ્પદ હોય છે. આ બંને સાપેક્ષ પણ હોય છે. આ માટે જે વ્યવસ્થામાં મૂક્ત ચર્ચા ઉપલબ્ધ હોય અને તે આદરણીય હોય તેને લોકશાહી વ્યવસ્થા કહેવાય. “રામરાજ્ય” ભલે એક રાજાશાહી વ્યવસ્થા હોય પણ ત્યાં સત્યનો આદર થતો હતો. એટલે તેને લોકશાહી કહી શકાય.

જો કે રાજાશાહી વ્યવસ્થામાં આશ્રિત લોકશાહી દીર્ઘજીવી હોતી નથી. કારણ કે તે વંશપરંપરાગત હોય છે. એક રાજા પછી તેનું સંતાન યોગ્યતા વગર જ શાસક બને છે. યોગ્યતા વગર બનેલી વ્યક્તિ લોકશાહીનું રક્ષણ કરી ન શકે. આ વિષે ભારતને વંશવાદી પક્ષોનો અને ખાસ કરીને નહેરુવંશી ઈન્દિરા ગાંધીનો ઠીક ઠીક અનુભવ છે.

ભારતની વાસ્તવિક પરિસ્થિતિ શું છે?

ભારત એક સાર્વભૌમત્વવાળું રાષ્ટ્ર છે. ભારતના રાજબંધારણમાં કોઈપણ એવી કલમ નથી કે જેમાં એમ કહેવામાં આવ્યું હોય કે આ વ્યવસ્થા ૯૯ વર્ષ માટે જ છે.

ભારતના રાજબંધારણમાં અનેક ફેરફાર સંશોધન થયા છે પણ આપણે ક્યારેય આ સંશોધનોને માન્યતા અપાવવા માટે બ્રીટીશ ક્રાઉન પાસે મોકલ્યા નથી. કારણકે આ માટે ભારતના રાજબંધારણમાં ક્યાંય લખ્યું નથી કે બ્રીટીશક્રાઉનની અનુમતિ જરુરી છે.

ભારતના રાજબંધારણમાં ક્યાંય એવી જોગવાઈ નથી કે આપણે, કોઈપણ એક સંશોધન માટે બ્રીટીશ ક્રાઉનની અનુમતિ લેવી અનિવાર્ય છે.

ભારતના રાજબંધારણમાં આપણે માનવીય મૂળભૂત હક્કો અને કુદરતી હક્કોની ઉપરવટ જઈને આ હક્કોને હાની થાય તેવા ફેરફાર કરી શકતા નથી. કારણ કે ભારતીય રાજબંધારણ એક લોકશાહી વ્યવસ્થા માટે રચાયેલું છે અને તેમાં સત્ય અને ભારતીય જનતા સર્વોપરી છે. .   

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

નહેરુવીયન કોંગ ઊંટ કહે આ સમામાં …. ભાગ – ૨

આમ તો નહેરુવીયન કોંગ્રેસનો એકડો ભૂંસાઈ જવાની અણી ઉપર છે. પણ આ કોંગ્રેસે લગભગ છ દાયકા ભારત ઉપર રાજ કર્યું અને તેમાં પણ ૩૦ વર્ષ નિરપેક્ષ બહુમતિથી તથા બે વર્ષ સરમુખત્યારીથી અને બાકીના વર્ષ બહુમતિથી રાજ કર્યું. એટલે તેને હુકમ કર્યા વગર નવરા બેસવું ગમે નહીં. આમ તો તેની પાસે સાતપેઢી તો શું સીત્તેર પેઢી સુધી ચાલે તેટલા પૈસા છે. સત્તામાં રહેવાથી જે ધન સંચયમાં વૃદ્ધિ થયા કરતી હતી તે અટકી ગઈ તેનું તેને દુઃખ ખરું. તે દુઃખને ભૂલવા માટે તેણે કંઈક તો કરવું જ જોઇએ.

પૈસા હાથવગા હોય તો શું અશક્ય છે?

૭૦ પેઢી કોણે જોઇ છે? નહેરુ, જોકે આમ તો પોતાને બ્રાહ્મણ તરીકે પરોક્ષ રીતે પોતાની ઓળખ આપતા હતા પણ બ્રાહ્મણીય પ્રણાલીથી ઉંધું તેમને બાર પેઢી તો શું પાંચ પેઢીના નામ પણ ગોત્યા જડતા ન હતાં (બ્રાહ્મણોમાં દશથી બાર પેઢી સુધી યાદ રાખવું જરુરી મનાય છે. જુઓ મારી પેઢીઓ). એટલે ૭૦ પેઢીની ચિંતા કરવાની જરુર નથી એમ વિચારી સમાચાર માધ્યમોને સાધ્યા હતા. અને આ પ્રમાણે કદાચ પાયો બનાવ્યો.

સમાજવાદી (સામ્યવાદી) વિચારધારાવાળાઓ માટે પ્રચાર લીલા એ મહત્વનું શસ્ત્ર છે. ક્રુશ્ચોવે નહેરુને આ બાબતનો એકડો ઘુંટાવેલો. સમાજવાદી વિચારધારા રાખવી, તે જમાનાની ફેશન હતી. નહેરુએ તો નિરપેક્ષ બહુમતિથી રાજ કરેલ કારણ કે તેમના કરતાં તેમની ટીમ વધુ જોરદાર હતી. જે ખાતાં નહેરુએ પોતાના હસ્તક રાખેલા તેમાં તો તેમણે ભાંગરો જ વાટેલો જેના પરિણામો આપણે આજે પણ ભોગવીએ છીએ.

પ્રચારલીલા કરવાની જરુર ઇન્દિરા ગાંધીને પડેલી.

લોકશાહી એ કોઈ નિરપેક્ષ વ્યવસ્થા નથી. લોકોનો શાસક ઉપરનો કાબુ જેટલો વધુ તેટલી લોકોની શક્તિ વધુ કહેવાય. પણ શાસકો ઉપર કાબુ ધરાવતા લોકોમાં “તૂંડે તૂંડે મતિર્ભીન્ના” એવું હોય છે. એટલે બધાના અભિપ્રાયો જુદા જુદા હોય છે.

જનતામાંના મોટા ભાગનાઓને એકમત કરવા માટે તેના પરિબળોને સમજવા જરુરી હોય છે.

જો શાસક, લોકોમાં વિશ્વસનીય થાય તો શાસક જે અભિપ્રાય ધરાવે તે મોટે ભાગે જનતામાં સ્વિકાર્ય બને. આ વિશ્વસનીયતા ત્યારે જ આવે જ્યારે શાસક અન્ન, વસ્ત્ર અને રહેઠાણની વ્યવસ્થામાં સુધાર લાવે. આ માટે શિક્ષણનો પ્રસાર, કામની તકો અને માળખાકીય સુવિધાઓ વધવી જોઇએ. આ માટે શાસકે દૃઢ સંકલ્પવાળા, કુશળ અને નીતિમાન બનવું પડે. પણ જો વ્યક્તિ કે તેનો એક નાનો સમૂહ કોઈ ખાસ મહેનત વગર જ સત્તા ઉપર આવી જાય ત્યારે તેને મુશ્કેલીઓ પડે. આ મુશ્કેલીઓ ચૂંટણી સ્વરુપે આવે છે.

મુડીવાદી લોકશાહી અને સમાજવાદી (સામ્યવાદી) લોકશાહી

મુડીવાદી લોકશાહી અને સમાજવાદી લોકશાહી એ બંને વિષે સામાન્ય વ્યક્તિને ખાસ ફેર પડતો નથી સિવાયકે તે પોતે શાસનનો હિસ્સો બને.

મૂડીવાદી લોકશાહી એ સરખામણીમાં પારદર્શી છે. તે ઉપરાંત અભિવ્યક્તિની પૂરી છૂટ છે સિવાય કે કોઈની અંગત સ્વતંત્રતા જોખમાતી હોય.

સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં મોટેભાગે બધું અપારદર્શી હોય છે.

મુડીવાદી લોકશાહીમાં પક્ષો ખુલ્લી રીતે જોઈ શકાય છે. આ પક્ષો ખૂલ્લી રીતે એકબીજા સામે અથડાય છે. સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં પણ પક્ષો હોય છે પણ તે અપારદર્શી હોય છે. તેઓ પક્ષની અંદર જુથ તરીકે ઓળખાય છે.  એટલે જેઓ માં’ય પડ્યા છે તેઓ જ આ જુથોને જોઈ શકે છે. અને નથી પણ જોઈ શકતા એવું પણ બને છે.

મુડીવાદી લોકશાહીમાં નેતાઓ કાયદેસર સુખ માણે છે, અને ગેરકાયદેસર રીતે મહાસુખ માણે છે. તેથી જ્યારે તેમની ગેરકાયદેસરતા પકડાઈ જાય ત્યારે તેઓ શાસનમાંથી ફારેગ થાય છે. સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં નેતાઓ જેઓ “માં’ય” પડ્યા છે તેઓ જ મહાસુખ માણે છે.  સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં શાસન સત્તામાંથી ફારેગ થવા માટેનો કોઈ માપદંડ નથી.

એટલે આ બંને કહેવાતા વાદમાં સામાન્ય માણસ માટે ખાસ ભેદ હોતો નથી. જે લોકશાહીમાં સત્યનો આદર થાય એવી પ્રણાલી સ્થપાય તેને વાસ્તવમાં લોકશાહી કહેવાય.

સત્યનો આદર ક્યારે થાય?

જો માહિતિ ઉપલબ્ધ હોય તો, સંવાદ થાય. સંવાદ થાય તો ચર્ચા શક્ય બને. ચર્ચા શક્ય બને તો સત્ય પરખાય.

પણ માહિતિ ઉપલબ્ધ કેવી રીતે થાય?

જો વહીવટમાં પારદર્શિતા હોય તો માહિતિ ઉપલબ્ધ થાય.

આ પ્રમાણે માહિતિનો અધિકાર લોકશાહી સાથે એકરુપ થયેલો અને સહજ (સાથે જન્મેલો) અધિકાર છે. જો તમે કોઈને એક કામ માટે નિયુક્ત કર્યો હોય અને તેનું મહેનતાણું પણ નક્કી કર્યું, તો તમારો એ જાણવાનો કુદરતી હક્ક છે કે તમે સોંપેલું કામ તે કેવી રીતે કરશે અને કેવી રીતે કર્યું. તમે એક નોકર રાખ્યો અને તેને શાક લાવવા માટે મોકલ્યો, તો તમારો એ પૂછવાનો હક્ક છે કે તે શાક લેવા કેવી રીતે ગયો, ક્યાં ગયો, કેટલું શાક કયા ભાવે લીધું અને કેવું લીધું? આને માટે કોઈ કાયદાની જરુર નથી. તેવી રીતે માહિતિ અધિકાર માટે જુદા કાયદાની જરુર નથી.

શાસક ઉપર નજર કોણ રાખી શકે?

શાસક ઉપર જનતા નજર રાખી શકે. આ માટે સરકારે કેટલીક માહિતિ “ઓન લાઈન” રાખેલી છે. બીજેપી શાસિત રાજ્યોમાં આ દિશામાં ઘણી પ્રગતિ થઈ છે. જનતાભિમુખ લોકશાહીની દિશામાંનું આ એક મહત્વનું પગથીયું છે. દિશા સાચી છે, પણ આ બાબતમાં મજલ બહુ લાંબી છે. સમયનો સવાલ છે.

આ સમય દરમ્યાન શું થઈ શકે?

આ જવાબદારી  નિભાવવાની જવાબદારી વિરોધ પક્ષની છે. કારણ કે તે પણ વેતન તો લે જ છે.

ધારો કે એક શેઠે એક નોકર રાખ્યો. શેઠે તેને કહ્યું “જા લઈ આવ”

નોકરે કહ્યું “શું લાવું?”

શેઠે કહ્યુઃ “સામા સવાલો કરે છે? કહ્યું ને કે જા લઈ આવ.”

નોકરે કહ્યું; “અરે પણ એ તો કહો કે શું લાવું?”

શેઠે કહ્યું; “જા તને નોકરીમાંથી છૂટો કરીએ છીએ”

નોકરે કહ્યુઃ “અરે પણ મારો કોઈ ગુનો?”

શેઠે કહ્યુઃ “તું કામ નથી કરતો …. માટે તને દંડ રુપે ફારેગ કરવામાં આવે છે”

લોકશાહીમાં તમે શેઠ છો. તમે બે નોકર રાખ્યા. એક નોકર જે વધુ હોશિયાર અને કુશળ લાગ્યો તેને તમે બધું કામ કરવાનું સોંપ્યું (જેમકે બીજેપી). અને બીજા નોકરને એ કામ સોંપ્યું કે તે બધું જુએ અને તમને જણાવે (જેમકે નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓને જનતાએ બીજા નોકર તરીકે રાખ્યા છે).

શરુઆતમાં તમે આ બીજા નોકરને “કામ કરવાનું” કામ સોંપેલ. પણ તે નપાવટ નિકળ્યો. તે પૈસા ચાઉં કરી જતો હતો. તમારા પૈસે તમારા કરતાં લાખ ગણો પૈસાદાર થઈ ગયો. તે હમેશા સિફત પૂર્વક ખોટું બોલતો હતો. મોટે ભાગે તો કામ જ ન કરે. પાડોશીઓ સાથે અને પાડોશી નોકરો સાથે ઝગડા કરે અને ચોરટા નોકરો સાથે મળીને તમને ખાલી કરવાના પ્લાન કરતો હતો, અને તમને પારાવાર નુકશાન પણ પહોંચાડતો હતો. જ્યારે તેની નોકરીને રીન્યુ કરવાનો સમય આવે ત્યારે પ્રપંચ કરીને આ નોકર, જે નોકર “કામ કરવાનું “ પદ લેવા ઉત્સુક હોય તેની વિષે અફવાઓ એવી સિફત પૂર્વક તમારી આગળ ફેલાવતો કે તમારી પાસે ઓછી માહિતિ હોવાથી તમે, “મેલ કરવત મોચીના મોચી” જેવું કરતા. તમે ઘણું દરગુજર કરેલું. સુદૂરના વિદેશીઓ તમારી મૂર્ખતાથી અને અજ્ઞાનતાથી આશ્ચર્ય પામતા. તમારી આબરુના અને તમારા ઘરની આબરુના કાંકરા થઈ ગયેલા.  એક વખત તો આ નોકરે તમને ૧૮ માસ સુધી એક કમરામાં પૂરી દીધેલ કે તમે સૂર્યનો પ્રકાશ પણ ન જોઇ શકો. ૬૦ વર્ષેને અંતે તમે ત્રસ્ત થઈને આ નોકરને કામ કરવામાંથી ફારેગ કર્યો.

લોકશાહીમાં તમે એક વ્યક્તિ નથી. તમે તો અનેક છો. એટલે પરિસ્થિતિ એવી થઈ કે પેલા નપાવટ નોકરને તમારે પેલા કુશળ નોકર ઉપર નજર રાખવાનું કામ સોંપવું પડ્યું. હવે તો તેને પેલા કામગરા નોકરને વગોવવા સિવાય કશું કામ જ ન રહ્યું. હા એક વાત ખરી કે તે ગેરકાયદેસર પૈસા બનાવતો અટકી ગયો. મહાત્મા ગાંધીએ તો તમને ચેતવ્યા જ હતા. પણ તમે ક્યાં સમજી શકો તેમ હતા !! તમે તો વિભાજિત હતા અને આ નોકરે તમને વધુ વિભાજિત કરેલ.

હવે તમે જુઓ કે શું થાય છે !!

ન્યાયાલયમાં એક કેસ આવ્યો.

હજી દાખલ થયો નથી.

વકિલાત નામુ રજુ કર્યું છે કે નહીં તેની ખબર નથી.

ફરીયાદી કહે છે કે “અ” સામે મારો આરોપ છે કે તે ચોર છે અને નીતિભ્રષ્ટ છે.

ન્યાયધીશ કહે છે. ઓકે. લાવો તમારી ફરીયાદ.

ફરીયાદી કહે છે “ફરીયાદ હું પછી આપીશ. તમે પહેલાં આ આરોપીને દંડિત કરો”

ન્યાયાધીશ કહે છે; “ અરે ભાઈ, આરોપીને દંડવા માટે તમારે પહેલાં ફરીયાદ તૈયાર કરવી પડે. તેમાં તમારે વિગતો લખવી પડે. તમારી વિગતો મારે જોવી પડે. મને પ્રાથમિક રીતે લાગવું જોઈએ કે આ ચલાવવા જેવો કેસ છે. પછી મારે આરોપીને નોટીસ આપવી પડે. એનો જવાબ લેવો પડે. પછી કેસ ચલાવવો પડે. સામસામી દલીલો થાય. એ પછી જ મારાથી ન્યાય કરી શકાય.

ફરીયાદી કહે છે. “ ના સાહેબ. એ બધું પછી કરજો. પહેલાં તમે આરોપીને સજા કરો. આવું નહીં કરો તો હું તમારી કોર્ટ ચાલવા નહીં દઉં.”

ન્યાયાલયમાં જજ શું એમ કહેશે કે હા ચાલો, હું તેને જેલમાં પૂરી દઉં છું. પછી નિરાંતે આપણે કેસ ચલાવીશું?

નાજી ન્યાયધીશ એવું નહીં કહે.

પણ આ આપણા નહેરુવીયન કોંગી નેતાઓ એવું કહેશે.

તેમણે કહ્યું

“પહેલાં વસુંધરા રાજે મુખ્ય પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં સ્મૃતિ ઇરાની પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં શિવરાજ પાટીલ મુખ્ય પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં સુષ્મા સ્વરાજ પ્રધાન પદેથી દૂર થાય,

પછી જ અમે લોકસભા અને રાજસભા ચાલવા દઈશું. લોકસભામાં તો તેઓ લઘુમતિમાં હતા અને તેમણે અસભ્ય વર્તણુંક કરી એટલે સ્પીકરે તેમને સસ્પેન્ડ કર્યા.

પણ આ નહેરુવીયન કોંગીઓએ રાજ સભા તો ચાલવા જ ન દીધી કારણ કે ત્યાં બીજેપીની બહુમતિ નથી. નહેરુવીયન કોંગી નેતાઓએ કહ્યું કે પહેલાં અમે જેની ઉપર આરોપ મુકીએ છીએ તેને દંડિત કરો (પ્રધાનપદે થી દૂર કરો).

સંસદ શા માટે છે?

સંસદ ચર્ચા માટે છે. માહિતિ સભર ચર્ચા અને તાર્કિક ચર્ચા એ સંસદની ગરિમા છે. પણ જો નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ સંસદની આ ગરિમા સાચવવા જ તૈયાર ન થાય તો તેમને માટે કયા શબ્દો વાપરી શકાય?

આ એજ નહેરુવીયન કોંગ્રેસીઓ છે જેમણે સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ છતાં કાળાનાણાની તપાસ માટે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવી ન હતી.

તમે કહેશો કે ઘણા પ્રધાનો પોતાની ઉપર આરોપો થતાં પ્રધાન પદેથી પોતાને દૂર કર્યા હતા. તો પછી બીજેપીના પ્રધાનોએ આ પ્રમાણે શા માટે ન કરવું?

વાસ્તવમાં આ તર્ક અહીં લાગુ પડતો નથી. હા એક વાત ખરી કે એક હાથની આંગળીઓથી ગણી શકાય તેટલી સંખ્યામાં નહેરુવીયન સરકારોના પ્રધાનોએ રાજીનામા આપ્યાં છે. પણ એ બધાં રાજીનામા સરકારે જ નીમેલી સંસ્થાઓએ આપેલ રીપોર્ટમાં તેમને દોષી દર્શાવાયેલા એટલે તેમને રાજીનામાં આપવા પડેલ.

એવા પારાવાર કિસ્સાઓ છે કે જેમાં તપાસ સમિતિના રીપોર્ટ પ્રમાણે દોષી હોય તો પણ અને અથવા ન્યાયાલયે દંડિત કર્યા હોય તો પણ  નહેરુવીયન કોંગ્રેસના પ્રધાનોએ રાજીનામાં આપ્યા ન હતા. આના સૌ પ્રથમ દોષી નહેરુ પોતે હતા. જેમાં મિત્ર પ્રધાન વીકે મેનન અને જીપ કૌભાંડ એમ હતું. તે વખતે વિપક્ષે “તપાસ સમિતિ” નિમવાની વાત કરેલી. તો નહેરુએ કહેલ કે તમે આ મુદ્દા ઉપર આગામી ચૂંટણી લડજો.

લાંબી વાત ન કરીએ તો ઇન્દિરા ગાંધીને ઉચ્ચન્યાયાલયે દોષી ઠેરવેલ અને તેમને સંસદ સદસ્ય માટે છ વર્ષ માટે અયોગ્ય ઠેરવેલ. તેમણે ધરાર રાજીનામુ ન આપેલ અને બીજા હજારોને કેસ ચલાવ્યા વગર જેલમાં ગોંધેલ.

નહેરુવીયનો ગળથુથીમાંથી શિખ્યા છે

ગુનો થયા વગર, કેસ દાખલ થયા વગર, આરોપનામુ દાખલ થયા વગર, કેસ ચલાવ્યા વગર, આરોપીને જેલની સજા કરી દેવી એ આચાર, નહેરુવીયન કોંગી નેતાઓ ગળથુથીમાંથી શિખ્યા છે. આ પ્રણાલી તેમણે પોતાના વિરોધીઓ ઉપર હમેશા લાગુ કરી છે. એટલે જો તેઓ વિપક્ષમાં હોય તો પણ તેઓ કેસ સાંભળ્યા વગર વ્યક્તિને સજા કરવા ઉપર આંદોલન કરે તો તેનાથી જનતાને આશ્ચર્ય થવું ન જોઇએ. નહેરુવીયન કોંગ્રેસીઓ તેમના વિરોધીઓના માનવ-અધિકારોમાં કે કુદરતી અધિકારોમાં માનતા નથી.

નહેરુવીયન કોંગ્રેસીઓએ જોયું કે આપણે જે કંઈ મુદ્દઓ ઉઠાવીએ છીએ તેમાં કશો દમ હોતો નથી. એટલે તેની ચર્ચા તો ન જ થઈ શકે. કારણ કે જો ચર્ચા કરવા જઈશું તો આપણા મુદ્દાથી સો ગણા મોટા મુદ્દા આપણી સામે ઉભા થાય છે અને એક આંગળી આપણે ચીંધવા જઈએ છીએ તો સો આંગળી આપણી સામે ચીંધાય છે. એટલે ચર્ચા થી તો બાર ગાઉ છેટા જ રહેવું સારું.

જીન્ના સાહેબની જેમ ડાયરેક્ટ એક્સન ન જ કરો.

જીન્નાનું “ડાયરેક્ટ એક્સન” તો જ્યાં મુસ્લિમો માટે શક્ય હોય ત્યાં તેઓએ “હિન્દુઓની કતલ કરવી” એમ હતું. જો નહેરુવીયન કોંગ્રેસીઓ આવું કરવા જાય તો તો “કાયદો એનું કામ કરે” અને આ જાતનું આંદોલન તો “આ બૈલ મુઝે માર” એના જેવું થાય.

આંદોલનનો હેતુ જનતામાં જાગૃતિ આવે અને જનતા સમસ્યાને સમજવા માંડે, એ હોય છે. જ્યારે આંદોલનકારી પ્રદર્શન કરે ત્યારે તેના હાથમાં પ્લે-કાર્ડ હોય તેના ઉપર કંઈક લખ્યું હોય. જનતા તે વાંચે. વળી તમે ભાષણ દ્વારા જનતાને વધુ માહિતિ આપો. એટલે જનતાને શાસકની ક્ષતિઓ દેખાય. જનતાને અસંતોષ થાય. જનતાને શાસક પક્ષ પ્રત્યે અસંતોષ થાય એટલે ઘૃણા પણ થાય. આ ઘૃણાને લીધે તે ચૂંટણીમાં જનતા શાસક પક્ષને મત ન આપે. ટૂંકમાં આંદોલનનો હેતુ જનતામાં શાસક પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરવાનો છે.

આંદોલન એટલે શું અને તે કેવું હોવું જોઇએ તે વિષે જનતાને જ્ઞાન નથી. બધાએ ગાંધીજીને વાંચ્યા હોતા નથી. જેઓએ વાંચ્યા છે તેમના મોટા ભાગનાઓ તેમને સમજ્યા નથી કે સમજવા માગતા નથી. એટલે જે સામુહિક આચારો, ધમાલ અને સામાન્ય જીવનમાં અરાજકતા ઉભી કરે તેને આંદોલન માની લેવામાં આવે છે. અને તેને લોકશાહીનો ગુણ અને હક્ક માની લેવામાં આવે છે.

બીજેપી વિરોધીઓ માટે “ચર્ચા” એ આત્મહત્યા નો રસ્તો છેઃ

નહેરુવીયન કોંગ્રેસીઓએ રાજસ્થાનમાં દશકા અગાઉ એક જ્ઞાતિને અનામત અપાવવા માટે ધમાલો કરીને સામાન્ય જનજીવનમાં અરાજકતા ઉભી કરી દીધેલી. બીજેપીએ સત્તા ગુમાવેલી.

આને પરિણામે ગુજરાતમાં પણ નહેરુવીયન કોંગી નેતાઓની દાઢ સળકી. નહેરુવીયન કોંગીઓને લાગ્યું કે મુદ્દાઓ વિષે ગુણવત્તાના આધારે ચર્ચા કરવી એ આત્મહત્યા નો રસ્તો છે. હેતુ સિદ્ધિ માટે મટીરીયલની જરુર નથી. મટીરીયલ વગર પણ અરાજકતા અને ઘૃણા ફેલાવી શકાય છે.

પ્રમેયઃ મટીરીયલ વગર અને ચર્ચા વગર પણ શાસક પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરી શકાય છે

સાધ્યઃ સામાજીક વાતાવરણ દુષિત કરવું.

સાધનોઃ નાણાં, સમાચાર માધ્યમો, અફવાઓ, આક્ષેપો, આપણા મળતીયા મૂર્ધન્યો, રબરના માપદંડો અને અસમાન ત્રાજવાંઓ, દેડકાના કાટલાઓ, સ્વકેન્દ્રી ખ્યાતિપ્રિય વ્ય્ક્તિઓ

રીતઃ

આટલું નકારાત્મક કરોઃ

કદી મટીરીયલ ન આપો.

કદી ચર્ચા ન કરો,

કદી મુદ્દા પ્રમાણે વાત ન કરો,

જો ભૂલથી પણ ચર્ચામાં સામેલ થઈ જવાય તો સામેવાળા કરતાં આપણા અવાજો મોટા રાખો અને સતત અવાજો કર્યા કરો. એંકરને સાધી લો કે તે આપણને બોલતાં ન રોકે પણ સામે વાળાને જો તે મુદ્દની વાત કરતો હોય તો તેને બીજ પ્રશ્નો પૂછી રોકે અને ચર્ચાને આડે માર્ગે દોરે. એમ કરીને તે આપણને બચાવે.

સ્વકેન્દ્રી વ્યક્તિઓને પટાવો તેમને ખ્યાતિની લાલચ પણ આપો કારણકે સમાચાર માધ્યમ તમારા પૈસા થકી તમારે માટે તે હાથવગુ હથીયાર છે.

જે વ્યક્તિઓના જાતિવાદની અને કે ખ્યાતિની ભૂખને ઉત્તેજી શકાય છે તેમને ઉત્તેજો અને તેમની પાસે પ્રતિકારાત્મક અને તારતમ્યાત્મક (કનક્લ્યુઝિવ) ઉચારણો કરાવો. ગાળો પણ બોલાવડાવો. જેમકે “ગાંધીનગરમાં એક ઢુંઢીયો રાક્ષસ બેઠો છે. (કેશુબાપા, નરેન્દ્ર મોદીને અનુલક્ષીને બોલેલા). આપણા સમાચાર માધ્યમ વાળા કેશુભાઈની જબાનની વિરુદ્ધ નહીં બોલે. તે તો એમ જ કહેશે કે કેશુભાઈએ નરેન્દ્ર મોદીને આડે હાથ લીધો. બહુ બહુ તો એમ કહેશે કે હે ભાઈઓ, પટેલો તો આખા બોલા હોય જ ને !!

કેશુભાઈ (ઢુંઢિયા રાક્ષસવાળા) કે સોનીયા (મૌતકા સોદાગરવાળ), કે લાલુ યાદવ (નરભક્ષીવાળા), વિગેરે કરતાં સો ગણા નબળાં વિશેષણો જો સામેવાળો (કોઈ બીજેપીનો નેતા) બોલે તો આપણા પીળા અખબારો સામેવાળાની અસભ્યતાને ઉછાળવા તૈયાર જ હોય છે. ટૂંકમાં આપણે (બીજેપી વિરોધીઓએ) આપણી લૂલીને આપણે લગામ રાખવાની જરુર નથી. આપણને સમાચાર માધ્યમોનો સાથ છે. મોટા ભાગના કટારીયા લેખકો ખ્યાતિ ભૂખ્યા છે તેથી તેઓ હવાઈ તુક્કાવાળી અને તારતમ્યોવાળી વાતો કરશે તો પણ આપણા સમાચાર માધ્યમોવાળા છાપશે. આપણા સાધ્ય માટે દલીલ અને તર્કની જરુર નથી. કારણ કે જો આપણે આની ચર્ચા કરવા જઈશું તો આપણા વાક્યો જ આપણા માટે બુમરેંગ થશે.

થાળીઓ વગાડો, જો કે વગાડવા લાયક વસ્તુ તો ઢોલ છે. પણ ઢોલ તો કેમ વગાડાય.!!  તો તો આપણે ઢોલ બજાણીયામાં ખપી જઈએ. જો કે આપણી માગણીઓ પછાત જ્ઞાતિઓ ભોગવે છે તેવી જ છે. પણ તેથી શું? આપણે ક્યાં મગજ ચલાવવાનું છે !! તર્ક અને ચર્ચાનું તો નામ જ નહીં લેવાનું. રસ્તા રોકો, રેલ રોકો, એસટી બસોને રોકો. એસટી બસોને બાળો, એસટી સ્ટેન્ડો બાળો, લોકલ બસોને બાળો, રેલ્વેના પાટા ઉખેડી નાખો. દુકાનો બંધ કરાવો. શાળા કોલેજ બંધ કરાવો, યાતાયાત અને જનવ્યવહાર ખોરવી દો.. આમ જનતાને ત્રાહી ત્રાહી પોકારી દો.

આ ઉપરાંત, સરઘસો કાઢો, પુતળાં બાળો,  પોલીસો ઉપર પથરા ફેંકો. પોલીસ વાળા તો બધા સંત પુરુષો છે. તેઓ સંત પુરુષો ન હોય તો તેમણે સંત જેવા બનવું જ જોઇએ. આ લોક શાહી છે. તે તેમણે સમજવું જોઇએ અને અમને અમારા પ્રતિભાવો કે ભાવો પ્રગટ કરવાની છૂટ હોય છે તે તેમણે સમજવું જોઇએ અને અમને હાથ પણ અડાડવો ન જોઇએ. જો તેઓ અમને અટકાવશે તો તે તેમની હિંસા કહેવાશે. અને અમે તે માટે તપાસ સમિતિની માગણી કરીશું.

થોડા તકિયા કલમી શબ્દો અને વાક્યો શોધી કાઢો.

૨૦૦૨, રાજધર્મ, અદાણી, રીલાયન્સ, ઈન્ડસ્ટ્રીયાલીસ્ટોને ફાયદો, લાલ જાજમ, ખેડૂતોના આપઘાત, તાનાશાહી, અસુરક્ષિત મુસ્લિમો, આરએસએસ નો રીમોટ કન્ટ્રોલ, સીનીયર લીડરોની અવજ્ઞા, સીનીયર લીડરોને હાંસીયામાં મુક્યા, પાટીદારોની (કે એવી કોઈ બીજી જાતિ કે વર્ગની) ઉપેક્ષા, સરકારનો યુ ટર્ન, સરકારને ન છૂટકે કરવું પડ્યું, સરકારને કોર્ટ દ્વારા ઝટકો, બીજેપી ઉપર પ્રહાર, આડે હાથ લીધા, નરેન્દ્ર મોદીની બોલતી બંધ, નરેન્દ્ર મોદી જવાબ આપે,

અને હવે એક એવું બનાવટી અને ઢંગધડા વગરનું તારણ કાઢો કે માનવ હક્કો અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનું હનન થઈ રહ્યું છે. આપણા પાળીતા  મૂર્ધન્યો દ્વારા સરકારી “ચાંદ્રકો” અને “માનપત્રો” પાછા આપી રહ્યા છે એ વાતને ચગાવો.

આનાથી એવું વાતાવરણ સર્જાશે કે આ બધું નરેન્દ્ર મોદીના આવ્યા પછી થયું છે એટલે જનસમુદાયમાં મોદી શૂન્ય તરફ જઈ રહ્યા છે એવી હવા ઉત્પન્ન કરો. આ બધું કરવું જરુરી છે અને જો આવું નહીં કરીએ તો તેમણે વિદેશોમાં ભારતની પ્રતિભાને જે ઉંચી લાવ્યા છે તેની ચર્ચાઓ થશે અને નરેન્દ્ર મોદી તેમજ મોદીની પ્રતિભા સાતમા આસમાને પહોંચી જશે. આ પરિસ્થિતિ અટકાવવા સમાચાર પ્રસારણનો સમય આપણે વાપરવો જ રહ્યો.

જો બિહારની ચૂંટણીમાં આપણું આ શસ્ત્ર (નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાંસ્કૃતિક સાથીઓનો આ દાવ) સફળ થશે તો બીજેપી ના હવે વળતા પાણી છે એવું અચૂક સિદ્ધ થઈ જશે. આપણી સત્તાની પુનઃપ્રાપ્તિનો દરવાજો ખૂલી જશે. પછી આપણે આપણી સંસ્કૃતિ પ્રમાણે ન્યાયાલયમાં ચાલતા આપણા કુકર્મોના કેસો અને ઈન્વેસ્ટીગેશન ટીમ દ્વારા થતી તપાસોને નિરર્થક બનાવી દઈશું. ખુલ્લે આમ આપણે કટોકટીમાં માનવ અધિકારોનું હનન કરેલ અને હજારો નિર્દોષ લોકોને,  અઢાર અઢાર મહિના સુધી જેલમાં ખોસી દીધેલ તો પણ કોઈ આપણો વાળ વાંકો કરી શક્યા નથી તો “કાળા નાણા અને અસામાજીક તત્વો સાથેની આપણી સાંઠ ગાંઠ” એ વળી કઈ ચીજ છે?

(ક્રમશઃ)

શિરીષ-મોહનલાલ-મહાશંકર-હરિશંકર-લીંબેશ્વર-ત્ર્યંબકેશ્વર-વૈજનાથ-ભવાનીદત્ત-રદેરામ-દવેશ્વર-ગોવર્ધન દવે (દ્વિવેદી)

Date 2015 11 07

ટેગ્ઝઃ નહેરુવીયન કોંગ્રેસ, બહુમતિ, નિરપેક્ષ, સરમુખત્યારી, સીત્તેર પેઢી, સાત પેઢી, પૈસા, બાર પેઢી, સામ્યવાદ, સમાજવાદ, મૂડીવાદ, લોકશાહી, નહેરુ, ઈન્દિરા, વિશ્વસનીયતા, માહિતિ, અધિકાર, પારદર્શિતા, ચર્ચા, વિરોધ પક્ષ, પ્રપંચ, સ્વકેન્દ્રી, ખ્યાતિભૂખ્યા, આંદોલન, અરાજકતા, ધમાલ, હક્ક, અનામત

Read Full Post »

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ ૬ / ૯

રાજા રામ

રામને માટે આપણે રાજા રામ એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. આનું કારણ પણ છે અને એક સંદેશ પણ છે. રામ એક ચક્રવર્તી રાજા હતા. તો પણ આપણે એમને “ચક્રવર્તી રાજા રામ” કે “ચક્રવર્તી રામ” કે સામ્રાટ રામ” એમ કહેતા નથી. રાજ્યને જે ચલાવે તે રાજા કહેવાય. રાજાઓમાં ચક્રવર્તી રાજાઓ પણ આવી જાય છે. રામે જે રીતે રાજ કર્યું અને તેમણે પ્રણાલીઓ કે જે તે વખતે આદર્શ મનાતી હતી અને તે પછી પણ આદર્શ મનાતી હતી તે પ્રણાલીઓ ચલાવી અને તેમને માન આપ્યું. આ કારણથી રામ એક આદર્શ રાજા ગણાયા છે અને તે પૂજનીય પણ બન્યા છે.

આદર્શ રાજાની વ્યાખ્યા શું?

જે રાજા પ્રસ્થાપિત પ્રણાલીયોનું પાલન કરાવે અને પોતે પણ તે આદર્શ ગણાતી પ્રણાલીઓનું પાલન કરે તે આદર્શ રાજા કહેવાય. પાલન પણ એવી રીતે કરે કે કોઈ પણ તે વિષે જરાપણ શંકા ઉઠાવી ન શકે તેવું આચરણ કરે તો તે રાજા આદર્શ કહેવાય.    

પ્રણાલી એટલે શું?

સમાજમાં વ્યક્તિઓના વ્યવહારની કોઈ હેતુ કે ધ્યેય માટેની રીત કે પ્રક્રિયાને પ્રણાલી કહેવાય. પ્રવર્તમાન નીતિ નિયમોનુ પાલન પણ પ્રણાલીઓની અંતર્ગત આવી જાય છે. જુદા જુદા જુથોની  વ્યક્તિઓનો કારભાર પણ પ્રણાલીઓથી બંધાએલો હોય છે. કર્મકાંડ, પૂજા અર્ચના પણ પ્રણાલીની અંતર્ગત આવી જાય છે.

રાજાએ પણ પરાપૂર્વથી આદર્શ મનાતી પ્રણાલીઓનું નિષ્ઠા પૂર્વક પાલન કરવું પડે. રાજા પોતે નવી પ્રણાલી ન સ્થાપી શકે. તેમ જ રાજા પોતે કોઈ પ્રણાલીમાં ફેરફાર ન કરી શકે. રાજા પોતે કોઈ પ્રણાલીને સ્થગિત કરી ન શકે કે રદ ન કરી શકે. કારણ કે રાજાને આવો અધિકાર નથી.

રામે રાવણને હરાવ્યો અને લંકાની રાજગાદી રાવણના ભાઈ વિભીષણને આપી દીધી. વિભીષણે રામને રાવણના રહસ્યો કહેલાં અને અવાર નવાર મદદ કરી રહ્યો હતો.. રામે વિભીષણને લંકાની રાજગાદી આપવાનું વચન આપેલ. રામ એક ક્ષત્રિયને શોભે તે રીતે કૃતજ્ઞ રહેલ. રાજાનો આ ધર્મ છે. રામે લંકાને જીતતાં પહેલાં વિભીષણનો લંકાધિપતિ તરીકે રાજ્યાભિષેક પણ કરી દીધેલ. આને તમે રામની પારદર્શિતા અને મુત્સદ્દીગીરી કહી શકો. કારણ કે આ રીતે બંને વચન બદ્ધ થઈ ગયેલ.

રામે રાવણને હરાવ્યો. સીતા મુક્ત થઈ ગઈ. રામે પોતાની પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરી લીધી. પણ સીતા તો અપહરણ થયા પછી રાવણના અધિકારમાં હતી. એ વાત સાચી હોઈ શકે કે રાવણે સીતાને પોતાના મહેલમાં રાખી ન હતી. તે માટેના સાક્ષી હનુમાન હતા. પણ હનુમાન તો રામના દૂત અને સલાહકાર હતા. હનુમાન તો રામથી પ્રભાવિત અને અભિભૂત હતા. એમનું કહેવાનું કેવી રીતે માની લેવાય? રાજા કે કોઈ પણ પુરુષ, જો કોઈ એક સ્ત્રી પરાયા પુરુષના ઘરે ગઈ હોય અને રહી હોય, તેને પવિત્ર માની ન શકે.  પરપુરુષને ઘરે રહેલી સ્ત્રીને પવિત્ર કેવી રીતે માની લેવાય?

તો હવે શું કરવું જોઇએ?

સીતાએ પોતાની પવિત્રતા સિદ્ધ કરવી જોઇએ.

આ પવિત્રતા સિદ્ધ કરવા માટે કઈ પ્રણાલી હતી?

અગ્નિ પરીક્ષા.

અગ્નિ પરીક્ષા એટલે શું?

ચિતા-પ્રવેશ અથવા અંગારાઓ ઉપર ચાલવું.

કોઈ વ્યક્તિ ચિતા પ્રવેશ કરે અને બળ્યા વગર રહે તો તે ચમત્કાર જ કહેવાય. ચમત્કારો થઈ શકે નહીં. પણ આજે કેટલાય લોકો અંગારા ઉપર ચાલીને એક છેડે થી બીજે છેડે ચાલ્યા જવાના ટૂંકા અંતરના ખેલ ખેલે છે.

અગ્નિ પરીક્ષા એક વિશેષ અર્થમાં પણ સમજી શકાય. માનસિક પરીક્ષા. જેમકે કોઈ કેમીકલ (નાર્કોટિક ટેસ્ટ) દાખલ કરવું અથવા તેમ કર્યા વગર કોઈ માન્ય માનસશાસ્ત્રી કોઈ વ્યક્તિની પ્રશ્નોત્તરી કરે કે ઉલટ તપાસ કરે અને આ પરીક્ષા ખૂબ ત્રાસજનક હોય. એને પણ અગ્નિ પરીક્ષા નામ આપી શકાય.

યક્ષ પ્રશ્ન

આપણે યક્ષ પ્રશ્નની વાત લઈએ. યક્ષ પ્રશ્ન એટલે શું? આ એક એવો પ્રશ્ન છે કે જેનો ઉત્તર શોધવો જ પડે. જો તેનો ઉત્તર ન શોધી શકો તો મૃત્યુ નિશ્ચિત છે. આવી સમસ્યાને કે પ્રશ્નને યક્ષ પ્રશ્ન કહેવાય છે.

“સન ૨૦૦૧ માં ભૂકંપ પીડિત ગુજરાતને પુનઃસ્થાપિત કરી, પ્રગતિને પંથે લઈ જવું” અને “૨૦૦૨ ના ગુજરાતમાં થયેલ કોમી હુલ્લડોને કારણે સમાચાર માધ્યમો દ્વારા ખંડિત  ગુજરાતની અસ્મિતાને પુનઃસ્થાપિત કરવાનો પ્રશ્ન” નરેન્દ્ર મોદી માટે “યક્ષ પ્રશ્ન” હતો. ૨૦૦૨ ની ચંટણી જીતવી એ અગ્નિ પરીક્ષા હતી.

સીતાએ તત્કાલિન પ્રચલિત અગ્નિપરીક્ષા પાસ કરી. રામે સીતાનો સ્વિકાર કર્યો.

રામ, સીતા અને લક્ષ્મણ અને હનુમાન સૌ કોઈ અયોધ્યા આવ્યા.

ભરત પણ પ્રસ્થાપિત પ્રણાલીઓને માનનાર હતો.

રામ પિતાની આજ્ઞા પ્રમાણે ૧૪ વર્ષ વનમાં ગયેલ. પણ ભરત પાછો આવ્યો ત્યારે તેને બધી વાતની ખબર પડી એટલે તે રામને મળવા લશ્કર સાથે ગયો. રામને અયોધ્યાનું રાજ સ્વિકારવા વિનંતિ કરી પણ રામે કહ્યું કે પિતાની આજ્ઞાથી આ વિરુદ્ધ વાત છે. તેથી તે રાજ સ્વિકારી ન શકે. એટલે ભરતે રામને કહ્યું કે હવે દશરથ રાજા જીવિત  નથી. હું હવે રાજા તરીકે તમને કહું છું કે તમે અયોધ્યાની રાજગાદી સ્વિકારો. ત્યારે રામે કહ્યું કે પિતાની આજ્ઞાથી વિરુદ્ધ કંઈ પણ થાય તો પિતાના વચનની કંઈ કિમત ન રહે. એટલે ભરતે રામની પાદુકા લઈ તેને સિંહાસન પર રાખી, રામને બદલે રાજકાજ સંભાળ્યું. જો કે આ બધી વાતોમાં શું શબ્દ વ્યવહાર થયો હશે તે આપણે કહી ન શકીએ. રામ, લંકાથી અયોધ્યા પાછ્યા આવ્યા અને ભરતે રામને રાજગાદી પાછી આપી દીધી એટલે ઉપરોક્ત પ્રમાણે થયું હોય તેવો અણસાર આવે છે.

રામ બહુ સારી રીતે રાજકાજ કરવા માંડ્યા.

હવે દરેક રાજાનું કામ છે કે તે પ્રજાની સુખાકારી ઉપરાંત પ્રજા શું વિચારે છે અને અભિપ્રાય રાખે છે તેનાથી પણ માહિતગાર રહે. રામની બાબતમાં એક વિવાદ એ ચાલતો હતો કે પરપુરુષને ત્યાં રહી આવેલી સીતાને  રામ કેવી રીતે અપનાવી શકે!!

પરપુરુષને ઘરે રહી આવેલી સ્ત્રીને પવિત્ર માની શકાય?

રામના વખતની વાત છોડો. આજે કાયદેસર શું પરિસ્થિતિ છે?

જો કોઈ સ્ત્રી અને એક પરપુરુષ એક ઘરમાં એક સાથે રાત દિવસ એકલા રહેતા હોય તો તે સ્ત્રીને પવિત્ર માની લેવામાં આવે છે? (પવિત્રતાની બાબતમાં પુરુષ અને સ્ત્રી બંનેને સમજી લો).

જો કોઈ એક સ્ત્રી અને પુરુષ, એક સાથે એક ઘરમાં સાથે રહેતા હોય, તો તેમની વચ્ચે શારીરિક સંબંધ નથી બંધાયો એવું આજે પણ કોર્ટ માનતી નથી. એ સ્ત્રીનો પતિ તે સ્વિકારે કે ન સ્વિકારે, તે જુદી વાત છે. પણ જો તે સ્ત્રીનો પતિ, તેને ન સ્વિકારવા માટે એવું સાબિત કરી દે કે પોતાની ઈચ્છા વિરુદ્ધ તે સ્ત્રી, અને તે પરપુરુષ, બંને એક સાથે રાત દિવસ સાથે રહ્યાં છે તો ન્યાયાલય તે બંને વચ્ચે શારીરિક સંબંધ થયાની વાત સ્વિકારી લે છે. અને સ્ત્રીને વ્યભિચારી માની લે.

કારણ કે એક પુરુષ એક સ્ત્રીને ઇબાદત (પૂજા) માટે રાખતો નથી. આમ તે સ્ત્રીનો પતિ તે સ્ત્રીથી છૂટા છેડા લઈ શકે છે. તેવી જ રીતે એક સ્ત્રીને પણ એવા પતિથી છૂટા છેડા મળી શકે જો તેણે પરસ્ત્રી સાથે એક ઘરમાં એકલો રહ્યો હોય.

જો આજે પણ ન્યાયાલયનું આવું વલણ હોય તો દશ હજાર વર્ષ પહેલાં તો આવું વલણ અસ્તિત્વ ધરાવતું હોય તો તે આશ્ચર્યની વાત ન ગણાય.

આપણે ક્યાં ભૂલ કરીએ છીએ?

ફિલમમાં હિરાભાઈ અને હિરીબેન (હિરોઈન) વચ્ચે કે હિરીબેનના પિતાશ્રી વચ્ચે ઘણી ગેર સમજુતીઓ થતી હોય. પ્રેક્ષકો વાસ્તવિકતાથી માહિતગાર હોય એટલે તે હિરાભાઈ કે હિરીબેનની દયા ખાત હોય કે “જોને આને બિચારાને (કે બિચારીને કેવું કેવું ખોટા કારણથી) દુઃખી થવું પડે છે. પણ કથા વસ્તુ પ્રમાણે પાત્રોને દુઃખી થવું પડે.

રામાયણની બાબતમાં પણ એવું છે. રામાયણના શ્રોતાઓને ખબર છે અને તેઓ સ્વિકારી લે છે કે સીતા પવિત્ર છે. અને આવું સ્વિકારીને આગળ ચર્ચા કરે છે.

 શ્રોતાઓ સ્વિકારી લે છે કે સીતાને તો રાવણે જુદી જગ્યાએ રાખેલી. જેમ કે “અશોક વાટિકા”. સીતાને કંઈ રાવણે પોતાના મહેલના પોતાના ખંડમાં રાખી ન હતી.

શ્રોતાઓ એ યાદ કરતા નથી કે રાજાઓ દરેક રાણીને એક અલગ મહેલ (આવાસ) આપતા હતા. એવા આવાસની આસપાસ બગીચો પણ હોય. તેનું નામ અશોકવાટિકા પણ હોઈ શકે. રાજા ત્યાં રાત્રી રોકાણ પણ કરી શકતો હોય અને કરતો પણ હોય.

આપણે સ્વિકારી લઈએ છીએ કે સીતા પાસે પોતાની દૈવીશક્તિ હતી તેથી રાવણ સીતાને સ્પર્શી શકતો ન હતો. આ તો ચમત્કાર કહેવાય. આવા ચમત્કાર અસ્વિકાર્ય છે. જે રાવણ સીતાને ઉપાડીને અપહરણ કરી શકતો હોય તે બધું જ કરી શકે.

રામે લંકામાં સીતાની અગ્નિપરીક્ષા કરેલી અને તે અગ્નિપરીક્ષામાં સીતા ઉત્તિર્ણ થઈ હતી. તેથી તેનો સ્વિકાર અયોધ્યાના લોકોએ કરવો જોઇએ. પણ આ પરીક્ષા એવા લોકોની હાજરીમાં થઈ હતી જેઓ રામથી ઉપકૃત હતા અને રામથી પ્રભાવિત હતા. આમાં કોઈ થર્ડ પાર્ટી (તટસ્થ વ્યક્તિ) ન હતી તેથી આવી પરીક્ષા અયોગ્ય, અસ્વિકાર્ય ગણી શકાય. આવી પરીક્ષાથી સીતાની પવિત્રતા સિદ્ધ થતી નથી. અને આ વાત અયોધ્યામાં ઉછાળવામાં આવી.

સત્યનો આદર

“ જે તંત્રમાં સત્યનો આદર થાય આને તેને સ્વિકારવામાં આવે ભલે ને પછી તે સત્ય ગમે તે સ્તરની વ્યક્તિ તરફથી આવ્યું હોય. આવા તંત્રને જનતંત્ર કહેવાય”.

સત્ય તર્કથી સિદ્ધ થાય છે. જે તર્કની વાતને નકારી ન શકાય તે વાત જનતા તરફથી કે એક વ્યક્તિ તરફથી આવી હોય અને તે વાતનો જો શાસન આદર કરે તો તે શાસનને જનતંત્ર (લોકશાહી) કહેવાય.

રામ જનતંત્રમાં માનતા હતા. રામે અને તેમનું તંત્ર જે તર્કને નકારી ન શક્યું. તે તર્કનો આદર કર્યો. આદર કર્યો એટલે કે તેને અનુરુપ પગલાં લીધાં. આદર્શ રાજા તરીકે પ્રણાલીઓ સ્વિકારવી અનિવાર્ય હતી. પ્રણાલીઓને રામ ક્ષતિગ્રસ્ત કરવા માગતા ન હતા.

હવે તમે કહેશો કે રામ તો રાજા હતા. એક યુગપુરુષ હતા. એક પૂર્ણપુરુષ હતા. શું રામ પોતાનું મગજ ચલાવી શકતા ન હતા?

રામ ચોક્કસ રીતે પોતાનું મગજ ચલાવી શકતા હતા. રામે પોતાનું મગજ ચલાવ્યું પણ ખરું

રામે કેવી રીતે પોતાનું મગજ ચલાવ્યું? રામે કોઈ ભૂલ કરી ખરી? કે રામે કોઈ ભૂલ કરી નથી?

(ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રાજારામ, સીતા, રામ, પરશુરામ, સ્ત્રી, પવિત્ર, અપવિત્ર, અગ્નિ, પરીક્ષા, યક્ષ પ્રશ્ન, થર્ડ પાર્ટી, સત્ય, પ્રણાલી, આદર, તર્ક, જનતંત્ર, લોકશાહી

Read Full Post »

%d bloggers like this: