Feeds:
Posts
Comments

Posts Tagged ‘વ્યવહાર’

હા, અમે જુદા હૉ,

તેલંગણાનું જુદું રાજ થવાનું જાણી, સૌરાષ્ટ્ર-કચ્છ અથવા સૌરાષ્ટ્ર તથા કચ્છના અલગ રાજ્ય વિષે કેટલાકની દાઢ સળકી અને કદાચ વધુ સળકશે. કદાચ દાઢ ન પણ સળકે. એ જે હોય તે પણ આપણા રજનીશીયા તર્કવાળા કાન્તિભાઈ (ભટ્ટ) જેવા અખબારી મૂર્ધન્યો કે કટારીયા લેખકો ની તો દાઢ સળકવા માંડી છે (દિવ્યભાસ્કર ૧લી ઑગષ્ટ). હાજી, કેટલાક સ્થાનિક રાજકારણીયોની અને તેમાં પણ હોદ્દા વગરના રહી ગયેલા રાજકારણીઓની દાઢ ન સળકે તો જ આશ્ચર્ય કહેવાય.

તેલંગણનું થયું એટલે બીજા વિસ્તારો જેઓ અલગ રાજ્ય માગતા હતા તેમનો પણ  હવે હક્ક બનશે એવી શક્યતાઓ ને આધારે નવા રાજ્યોની રચના  ટીવી ચેનલો માટે હૉટ ટૉપિક બનશે, અને ન બને તો પણ બનાવવો જ જોઇએ કારણ કે આવી ચર્ચાઓથી નેતાઓ પણ ખુશ થશે અને આપણે પણ ખુશ.

અમુક કામો એવાં હોય છે જેને નીપટાવવા તમારે રાજ્યના પાટનગરમાં જવું પડે. જેમકે તમને અન્યાય થયો હોય અને જીલ્લા કક્ષાએ તમને ન્યાય મળ્યો નથી એવું લાગતું હોય તો તમારે સચિવાલયમાં જવું પડે અને જિલ્લાઅધિકારીથી પણ ઉંચા હોદ્દેદારને રૂબરૂ રજુઆત કરી શકાય. જોકે જીલ્લા કક્ષાએ ન્યાયાલયો હોય છે. પણ કૉર્ટના ચક્કરમાં ન પડવું હોય તો તમે અંદર અંદર પતાવટ કરવા માટે સચીવાલય જવાનું નક્કી કરી શકો. જો કે આ એક વહીવટી સમસ્યા છે અને તેને પ્રણાલીઓ સુધારીને નિવારી શકાય છે. હવે તો માહિતિ અધિકાર પણ મળ્યો છે અને ઈન્ટરનેટ પણ આવી ગયાં છે. એટલે તમે ઘરે બેઠાં બેઠાં પણ ઘણું બધું કરી શકો છો. જો આ બધી વિદ્યાઓનો ઉપયોગ કરવામાં આવે તો મોટાભાગની સમસ્યાઓ નિવારી શકાય છે.

તો પછી પાટનગર શા માટે જવું પડે?

તમારે નાના મોટા ઉદ્યોગો સ્થાપવા હોય તો તમારે પાટનગર જવું પડે. તમારે મોટી લાગવગ લગાડવી હોય અને છૂટ છાટ જોઇતી હોય તો પાટનગર જવું પડે. સ્થાનિક સરકારી અધિકારીને દબાવવા હોય તો તમારે પાટનગર જવું પડે. અને ખાસ તો તમારે જો મંત્રી, કે મુખ્ય મંત્રી સામે આંદોલન કરવું હોય તો તમારે જરુર પાટનગર જવું પડે. અને આ બાબત આપણી આંદોલનપ્રિય ખાસ કરીને ગુજ્જુ નહેરુવીયન કોંગ્રેસનાનેતાઓને ખાસ લાગુ પડે છે. તેઓ નવરા ધૂપ છે અને કેન્દ્રમાં તેમના માઈબાપ પાસે ઘણા પૈસા છે.

નવા રાજ્યોનો મુખ્ય ફાયદો તો રાજકારણીઓ માટેનો છે. ચીફ મીનીસ્ટ્રરની પોસ્ટ વધે એટલે બીજા પ્રધાનો અને ઉપપ્રધાનો વધે, સ્પીકરો વધે. ગવર્નરો વધે. પાટનગરો પણ નવા થાય અને તેના હોદ્દેદારો પણ વધે. સ્થાનિક સંસ્થાઓની ઉપર નિગરાની રાખવા માટેના જનપ્રતિનિધિઓ વધે. જેને હોદ્દાઓ ન આપી શકાયા હોય તેને હોદ્દાઓની (દાખલા તરીકે ચેરમેનો)  લહાણી કરી શકાય. એટલે કે કામ તો એટલું ને એટલું જ. પણ જનપ્રતિનિધિઓ નો જનતા ઉપર ભાર વધે.       

   બીજો ફાયદો આઈએએસ અધિકારીઓને છે કારણ કે ચીફ સેક્રેટરીઓ વધે, જોઈન્ટ ચીફ સેક્રેટરીઓ વધે, સેક્રેટરીઓ વધે, રજીસ્ટ્રારો વધે, ચીફ રજીસ્ટ્રારો વધે. અને આ બધા અધિકારીઓ વધે એટલે પ્રમોશન પણ જલ્દી મળે.

નવું રાજ્ય થવાથી ઉચ્ચ ન્યાયાલયો વધે, ન્યાયાધીશો વધે. પણ આ બધાંનો તો વાંધો નહીં. નવાં રાજ્યો કર્યા વગર પણ તમે ઉચ્ચન્યાયાલયની બેન્ચ અલગ અલગ જગ્યાએ રાખી શકો છો.

અફસર સાહેબો કહે છે કે આ રાજકારણી લોકો અમે તેમના કહ્યામાં ન રહીએ તો અમારી બદલી કરી નાખે છે. વાપી થી તાપી કરે ત્યાં સુધી તો વાંધો નહીં પણ એ તો ઉમરગામથી ઉમરેઠ અને ગોધરાથી બગોધરા જ નહીં બગસરા પણ કરી નાખે છે. એટલે નાના રાજ્યો હોય તો કમસે કમ એ લોકો અમને નારાજ થાય તો પણ બહુ દૂર દૂર તો ન મુકી શકે.

જો કે આ વાત તદન બોગસ છે. સરકારી નોકરોના મોટાભાગના ચાલુ હોય છે. અને જો બચાવવા વાળો હોય તો લુંટ કરવામાં વાંધો શાનો એવી તેમની મનોવૃત્તિ હોય છે. જેઓ કાર્યકુશળ હોય છે તેમની હમેશા માંગ રહેતી હોય છે. જે મહેનતાણું અને માન મળે છે તેને માટે અને સત્ય માટે ભોગ આપવો જ પડે. નહિ કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિં તાત ગચ્છતિ. જે સારું કામ કરે છે તે કદી અપયશ ને પામતો નથી.    

સ્વાતંત્ર્ય પહેલાંના સમયમાં એટલે કે અંગ્રેજોના સમયમાં અને સ્વાતંત્ર્યની ચળવળ દરમ્યાન, રાજ્યોની પૂનર્‌રચનાની વાત ગાંધીજીએ કરેલી. આ વાત શા માટે કરેલી?

ગાંધીજીએ રાજ્યોની પુનર્‌રચનાની વાત કરેલ. કારણ કે તે વખતે બધા ઢંગ ધડા વગરના રાજ્યો હતા. તેમાં મૂખ્યત્વે  દેશી રજવાડાંના વિસ્તારો અને અંગ્રેજ રેસીડન્સીના વિસ્તારો હતા. જેમકે ગુજરાતમાં સો ઉપરના દેશી રજવાડાં હતાં. તે સૌ અલગ અલગ રાજ્યો હતા. અને બાકી જે વિસ્તારો બચ્યા તે મુંબઈ પ્રોવીન્સમાં આવતા. આમાં રાજસ્થાનના વિસ્તારો, સિંધના વિસ્તારો, ગુજરાતના વિસ્તારો, મહારાષ્ટ્ર,  કોંકણ અને કર્ણાટક ના વિસ્તારો આવતા. ભાષાઓ પણ ઘણી હતી. પણ સરકારી ભાષા અંગ્રેજી હતી તેથી બધું ચાલ્યું જતું.

અંગ્રેજોએ પ્રજા સાથે સંવાદ થઈ શકે તે માટે કોંગ્રેસની સ્થાપના કરેલ

અંગ્રેજોએ પ્રજા સાથે સંવાદ થઈ શકે તે માટે કોંગ્રેસની સ્થાપના કરેલ જેમાં બધા વ્હાઈટ કોલરવાળા ખાધે પીધે સુખી નેતાઓ સભ્ય થઈ શકતા હતા.

ગાંધીજી આવ્યા અને તેમણે આમ જનતા માટે કોંગ્રેસના દ્વાર ખુલ્લા મુક્યા. એક સુતરની આંટી અથવા ચાર આના એમ સભ્ય પદની કિમત રાખી. પણ એ વાત જુદી છે. ઘણા રજવાડાંઓ તો સ્થાનિક ભાષામાં વહીવટ કરતા હતા. પણ અંગ્રેજ સરકાર સાથે તો અંગ્રેજીમાં વહીવટ કરવો પડતો હતો. ગાંધીજીને આ વાત કઠી હતી. જનતા ની ભાષામાં રાજ્ય સંવાદ કરી શકે તે માટે તેમણે ભાષાવાર પ્રાંત રચના ની વાત કરેલ અને કોંગ્રેસમાં આ પ્રમાણેનો ઠરાવ પણ પસાર કરાવેલ. આ ઉપરાંત ગાંધીજીએ ગ્રામ પંચાયતો બને અને આ પંચાયતોને પણ થોડી સ્વતંત્રતા મળે અને ગ્રામજનોની પણ વાત સંભળાય તેવા ઠરાવો પણ પાસ કરાવેલ.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તો તે વખતે પણ હતી. પણ સ્વતંત્રતા મળ્યા પછી આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વધારો થયો, ફેરફારો પણ  થયા અને સત્તામાં વધારો પણ થયો. લોકપ્રતિનિધિત્વ પણ વધ્યું. જેમકે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગર પાલિકાઓ, મહાનગર પાલિકાઓ, રાજ્ય વિધાન સભાઓ, શહેરી વિકાસ પ્રાધિકરણો, રજીસ્ટ્રારો, સહયોગી સંસ્થાઓ, ગ્રામીણ બેંકો, વિગેરે વિગેરે.

ભાષાવાર રાજ્ય રચના સમજી શકાય તેમ છે.

કારણ કે જો બહુભાષી રાજ્ય હોય તો સંવાદ બરાબર ન થાય.  સરકારમાં અરજી કરવા માટેના જાતજાતના અને અવનવી જાતના ફોર્મ હોય અને તેમાં સમયે સમયે વૃદ્ધિ કરવામાં આવતી હોય. આ બધા જ ફોર્મ બે કે ત્રણ ભાષામાં છાપવાં પડે. જો તમે અલગ અલગ ભાષાના અલગ અલગ ફોર્મ રાખો તો અમુક ભાષાના અમુક ફોર્મ અમુક જગ્યાએ ન પણ હોય અને તે જલ્દી ન પણ આવે અથવા તો નથી એવું બારોબાર કહી દેવામાં આવે તેવી પણ શક્યતા ન કારી ન શકાય. એટલે એક ફોર્મમાં બે કે ત્રણ ભાષામાં છપાવવાં પડે અને સ્ટેશનરી નો વ્યય થાય. અને જો આપણે પર્યાવરણવાદીઓની ભાષામાં કહીએ તો વધુ વૃક્ષો કપાય. ટૂંકમાં ભાષાવાર પ્રાંત રચના અનિવાર્ય ગણી શકાય.

પેટમાં દુખે છે પણ કૂટે છે માથું.

તો હવે નવા રાજ્યોની રચના માટે આધારો કયા કયા છે?

આપણા અમુક રાજકારણીઓ કહે છે કે અમે જુદા છીએ. અમારો પ્રદેશ અલગ છે. અમે અલગ જાતના છીએ. અમારો સ્વભાવ અલગ છે. અમારી સંસ્કૃતિ અલગ છે. અમારી બોલી (ભાષા નહીં હૉ!) અલગ છે. અમે કૈયે કે ન્યાં કણે ખાઈડ્યો સે અટલે લગીર ટપીને હાલ્યા આવજો. પણ ઈવડા ઈ, હઈમજ્યે તૈંયેં ને? માટે અમારે અલગ રાજ્ય જોઇએ.

આપણા એક કટારીયા ભાઈએ કેવાં કારણો આપ્યા છે?

ગુજરાતથી અલગ સંસ્કૃતિ, કળા, વ્યવહાર, રિવાજ, ખાનપાન ધરાવતું સૌરાષ્ટ્ર કેમ અલગ રાજ્ય નહીં? જો કે સંસ્કૃતિ, કળા, વ્યવહાર, રિવાજ વિગેરેમાં શું અલગતા છે તે વિષે કટારીયા ભાઈએ ફોડ પાડ્યો નથી. ખાનપાન તો જીલ્લે જીલ્લે પણ અલગ હોઈ શકે અને વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોઈ શકે. ભાવનગરીઓને સવારે ચા સાથે ગાંઠીયા જોઇએ. અને એ તો અમને અમદાવાદમાં પણ મળે છે. અને અમેરિકામાં પણ મળે છે. સુરેન્દ્ર નગર વાળાને પરાઠાં જોઇએ. અમરેલીવાળાને જમણમાં અચૂક રૉટલા જોઇએ. જ્યારે હળવદ ધ્રાંગધ્રા વાળાને સાંજે અચૂક મગનીદાળની ખીચડી જોઇએ. પોરબંદરવાળાને નાસ્તામાં ખાજાં જોઇએ.

હવે રીત રિવાજ તો જ્ઞાતિએ જ્ઞાતિએ અલગ હોય છે તેથી તેની વાત નહીં કરીએ. જો કે આ પણ રજણીશીયા તર્કના આધારે લક્ષ્યમાં લેવા જેવો મુદ્દો ખરો. એમ તો મહમદ અલી ઝીણા એ એમ જ કહ્યું હતું ને કે અમે મુસલમાનો અલગ સંસ્કૃતિ છીએ એટલે અમારે અલગ દેશ જોઇએ. જોકે તેમના પિતાજી અને દાદાશ્રી મજાના હળી મળીને રહેતા હતા.

વળી જો કાદુ મકરાણીને તેના વખતમાં ઝીણાભાઈ (મહમ્મદ અલી ઝીણા) જેવા કોઇએ જો કહ્યું હોત કે અલ્યા કાદુ, તું તો કંઈ કચ્છનો નથી. તું તો પાકિસ્તાની છે. આવી જા પકિસ્તાન ભેગો…. તો શું થાત? કાદુએ તો તેને ભડાકે દીધો હોત. આ વાત અવગણી શકાય તેમ નથી.

પણ આતો થઈ દેશ રાષ્ટ્રની વાત. સૌરાષ્ટ્ર માં રાષ્ટ્ર સમાયેલું છે. અને મહારાષ્ટ્રમાં એક રાજ્ય માત્ર સમાયેલું છે. મુંબઈ ઈલાકામાં રાષ્ટ્ર (સૌરાષ્ટ્ર), મહા(રાષ્ટ્ર), રાજ(સ્થાન), સિન્ધુ(દેશ) સમાયેલા હતા. બધું જે તે સમયની સગવડતા પ્રમાણે હતું.

અમે કાઠીયાવાડીઓના દિલ અને અમારા દિલની વાત

હવે બાકી રહ્યા કળા વ્યવહાર અને રિવાજ. કળાને કોઇ બંધન હોતું નથી. વ્યવહાર ની વાત કરીએ. એટલે કે સંસ્કાર. આ વાતમાં થોડું તથ્ય ખરું. પણ એ તથ્ય તો આપણા કટારીયા ભાઈએ જે છે તેનાથી ઉંધું કહ્યું? તેમણે કહ્યું કે “ અમે તો તડ અને ફડ કહી દઈએ. દિલમાં એક વાત અને જીભ ઉપર બીજીવાત એવી બનાવટ અમને સૌરાષ્ટના લોકોને સદતી નથી. (એટલે કે અમે સૌરાષ્ટ્રના લોકો દિલનીવાત તડ અને ફડની રીતે કહી જ દઈએ).”

કાંતિ ભાઈ, તમે અહીં ભારે ભૂલ કરી છે. અમે કાઠીયાવાડીઓ ડીપ્લોમસીમાં ઉસ્તાદ છીએ. અમે અમારા મનની વાત કહેતા જ નથી. અમારા મનમાં શું છે એ જો અમે કહીએ તો અમે કાઠીયાવાડી નહીં. જેટલા અમારી પાઘડીમાં વળ તેનાથી વધુ અમારા પેટમાં વળ. આના તો અમે હજાર દાખલા આપી શકીએ. આ બાબતમાં તો ઓબામા અને ચર્ચીલ પણ અમારી આગળ પાણી ભરે હૉ! કોઈ મોટો અંગ્રેજ જેવો કે વાઈસરોય, ક્રીપ્સ, કે માઉન્ટ બેટન જ્યારે ભારત આવવા નિકળતા ત્યારે તેમને ઈંગ્લેન્ડમાં એક ખાસ શિખામણ અપાતી, કે જ્યારે તેઓ ગાંધી બાપુને મળે ત્યારે બોલવામાં બહુ સાવધ રહે. તેમની આગળ બહુ લાંબી ન ફાડે. કારણ કે એ ગાંધી બહુ અષ્ટકૂટ છે, એ તમને એવા સકંજામાં લેશે કે તમે છટકી નહીં શકો.

એટલે હું હમજ્યા તમે? આ ગાંધી ભલે વાણીયો પણ કાઠીયાવાડી ભાયડો હતો. જે અમારી સાથે કૂડ કપટ કરવા આવશે તેની સાથે જ અમે કાઠીયાવાડીઓ કૂડાકપટ કરીશું. જે અમારી સાથે કૂડ કપટ કરવા આવ્યો હોય, તેની સાથે અમે એવું કુડ કપટ કરીએ કે તે ભૉં ભેગો થઈ જાય.

હે કાન્તિભાઈ કટારીયા, જો તમને આ વાતની ખબર ન હોય તો તમે ભાવનગરનું બંદર પ્રભાશંકર પટ્ટણીએ કેવી રીતે બચાવ્યું તે વાત જાણી લેજો. વળી હા, અમારા બોલવામાં જરા પણ ગુજરાતી (અમદાવાદી-સુરતી) જેવું બરછટપણું (એગ્રીકલ્ચર) નહીં.. આ તો તમે અમારા મોઢામાં આંગળા નાખી બોલાવો છો એટલે તમને કહીએ છીએ. અમે આપબડાશ મારીએ નહીં.

કાન્તિભાઈએ તો જે તડ અને ફડ વાળી અમારા માટે વાત કરી એ તો એમની દાળમાં કોળું ગયું. આ “તડ અને ફડ” ના લખવાવાળા તો ગુજરાતી અને પાકા ગુજરાતી છે. આ “તડ અને ફડ” વાળા કટારીયા તો કટોકટી વખતે કઈ તડમાં પેસી ગયા હતા તે રામ જાણે. “તડ અને ફડ” તમ ગુજરાતીઓ ખાસ કરીને ઉત્તર ગુજરાત મેહાણા અને ચરોતર સુધીમાં વ્યાપક છે. હુર્તીઓ ગાળો બોલે ખરા પણ એ તો બહુ ભાઈબંધી થઈ ગઈ હોય તો, અથવા દુશ્મનાવટ થઈ હોય તો જ.

અમારા આ કટારીયા ભાઈ કહે છે કે  નરેન્દ્ર મોદીનું વડનગરી કલ્ચર એટલે હુક્કુ ભઠ્ઠ.

ભાઈ, કાન્તિ, આવું બધું તમે બોલો એ કાંતો મુંબઈ કે અમદાવાદની અસર છે. કાઠીયાવાડી કે કચ્છી આવી ભાષા ન વાપરે. અમે તો જેનું જે સારું હોય તે જ જોઇએ. અરે અમે તો કચ્છ વિષે પણ એમ જ કહીયે કે “કચ્છડો બારે માસ”( શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો કછડો બારે માસ). અમે મરતાને મર ન કહીયે.

અમે એવું માનતા નથી કે નરેન્દ્ર ભાઈ મોદી હુક્કા ભઠ્ઠ છે. અને જીવરાજ મહેતા કે જે સૌરાષ્ટ્ર હોવાના એક માત્ર કારણથી ભલા ભોળા અને પ્રેમાળ હતા એવું પણ અમે માનતા નથી.

જીવરાજ મહેતા ધારોકે કે ભલા કે અથવા ભોળા હતા, તેટલા માત્રથી તમે એમ સિદ્ધ થયેલું માની ન શકો કે નરેન્દ્ર ભાઈ તેનાથી ઉંધા છે. આ તમારું કેવી જાતનું લોજીક છે? અમારું કાઠીયાવાડી લોજીક આવું ન હોય. આ તો રજનીશીયા કે અંગ્રેજીયા લોજીક છે કે ભળતી વાત કરીને ભળતો આભાસ ઉભો કરવો અને પછી એ જ આભાસને અધાર માની મનફાવે તેવી તારવણી કરવી. જીવરાજ ભાઈ તો નહેરુના ખાસ માણસ હતા. મોરારજી દેસાઈએ નાણાપ્રધાન તરીકે ગુજરાતને નવું રાજ્ય થયા પછી સરકારી નોકરોના પગાર વધારવા માટે ગ્રાન્ટ આપેલી. આ ગ્રાન્ટ તેમણે કેન્દ્ર સરકારને પરત કરેલી. આવા તો તે ભલા હતા. વળી તેમને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખે (ઠાકોરભાઈ દેસાઈ) કહેલ કે તમે, જેઓ ઉપર આક્ષેપો છે તેવાઓને પ્રધાનમંડળમાં ન લેશો. પણ તેમણે તેમને ધરાર લીધેલા (રતુભાઈ અદાણી અને રસિકલાલ પરીખ), આવા તો એ ભોળા હતા. તમારી ભલા અને ભોળાની વ્યાખ્યા ઈન્દીરાઈ લાગે છે.

આમ પણ ગુજરાત રાજ્યે ઘણું ગુમાવ્યું છે. એ વાત ક્યારેક કરીશું.

નહેરુએ જીવરાજભાઈને પછી યુકે ના હાઈકમિશ્નર તરીકે મુકેલા. અને જ્યારે ઈન્દીરા ગાંધીએ બળવો કરીને પોતાની નહેરુવીયન કોંગ્રેસ રચી ત્યારે આ જ જીવરાજભાઈ અને રસિકભાઈ એન્ડ કું., તે કોંગ્રેસમાં કૂદી પડેલા. આને તમે શું કહેશો? ભોળપણ કે ભલાઈ?

કટારીયા ભાઈ, તમને ખબર નહીં હોય પણ નરેન્દ્રભાઈ બાળકોમાં અત્યંત પ્રિય છે. આ નરેન્દ્રભાઈ તો શાળાના બાળકો સાથે સીધી વાતો કરે છે. શાળા ઉત્સવો કરી તેઓ પોતે બાળકોને તેડીને લઈ જાય છે. આવું તો બાલદિનવાળા નહેરુએ પણ કર્યું ન હતું. જો કે ઓબામા બાળકો સાથે સીધી વાતો કરે છે. નહેરુ પણ કરી શક્યા હોત.

તો શું આ કટારીયા ભાઈ આ બધું નહીં જાણતા હોય?

જાણતા હોય પણ ખરા. પણ તેમનો પોતાનો જાત અનુભવ નથી ને, એટલે કદાચ એમ કહેતા હોય !!

પણ કટારીયા ભાઈ તો નરેન્દ્ર મોદીથી ઉંમરમાં ઘણા મોટા છે. એટલે જ્યારે કટારીયાભાઈ બાળક હતા ત્યારે નરેન્દ્ર મોદી તેમને કેવી રીતે આવો અનુભવ કરાવી શકે?

કટારીયાભાઈ શું કહે છેઃ “ એ હું કંઈ ન જાણું. મેં જે કહ્યું તે બ્રહ્મ સત્ય. અને સત્યને કાળનું બંધન હોતું નથી.” ઈતિ સિદ્ધમ્‌.

અરે ભાઈ તમારે જીવરાજ મહેતાને જે કહેવું હોય તે કહો. પણ જીવરાજ મહેતા અમુક હતા અને તેથી કરીને નરેન્દ્રભાઈ તે નથી એવું કહીને નરેન્દ્રભાઈ મોદીને ગોદા શા માટે મારી લો છો?

અત્યાર સુધીમાં ગુજરાતમાં કેટલા ચીફ મીનીસ્ટરો થયા? જીવરાજ મહેતા, ઘનશ્યામભાઈ ઓઝા, બળવંતરાય મહેતા, હિતેન્દ્ર દેસાઈ, બાબુભાઈ જશભાઈ પટેલ, ચિમનભાઈ પટેલ, માધવસિંહ, અમરસિંહ છબીલભાઈ મહેતા, સુરેશ મહેતા, દિલિપભાઈ પરિખ, કેશુભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદી. આ તેરમાંથી  સાત ચીફ મીનીસ્ટરો તો સૌરાષ્ટ્ર-કચ્છના જ હતા. એટલે સૌરાષ્ટ્રને અન્યાય થાય તેવી કોઈ વાત કરીએ તો સૌરાષ્ટ્રની જ બુરાઈ કરી કહેવાય. અરે આખું ગાંધીનગર મંકોડી, મચ્છર, માંકડ, અન્જારીયા, અંધારીયા, સરવૈયા, ચૂડાસમા, દવે, રાવલ, બુચ, પરમાર, રાયજાદા, જાડેજા, ગોહેલ. વિગેરેથી ભરેલું છે. અને બધો વહીવટ તેઓ જ કરેછે. લ્યો હાઉં!

નરેદ્ન્ર મોદીએ કચ્છ અને સૌરાષ્ટ્રનો જે વિકાસ કર્યો છે તે ઉપરથી એમ તો ન જ કહેવાય કે નરેન્દ્ર ભાઈ ભેદભાવ રાખે છે. અમારે પડાણાના (જામનગર) ભાઈઓ તો ખુશખુશાલ છે.  અમારો મજોકૉઠો (મચ્છુ કાંઠો) પણ ખુશખુશાલ છે. અમારે ધોલેરાથી ઘોઘા થઈને એય સોમનાથ દાદા, દ્વારકા અને માંડવી સુધી અમારે ઘણી પ્રગતિ થઈ છે અને પવન ચક્કીઓ વીંઝોણા કરેછે. આવું કરતાં જીવાભાઈને કે હિતુભાઈને કે ચિમણરાવને કોણે રોક્યા હતા?

પણ એ બધી વાત્યું જાવા દ્યો. અમે કાઠીયાવડીઓ અને કચ્છીઓ દિલના ઉદાર છીએ. ભલાઈનો બદલો ભલાઈ જ વાળીએ છીએ. અમે એવા ન ગુણા નથી. અરે અમે તો દુશ્મની પણ વાત જે તે વાત પુરતી મર્યાદિત રાખીએ છીએ. જોગીદાસ ખુમાણની વાત તો તમે જાણી જ હશે. વહેવાર એટલે વહેવાર. અને વટના કટકા એટલે વટના કટકા.

ભારતી ભોમની વંદુ તનયાવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી.

અમે મુંબઈ હોઈએ કે મોંબાસા, અમદાવાદ હોઈએ કે અમેરિકા, અમે અમારી ચાલ (ચરિત્ર) ન બદલીયે (રેલગાડીને ઉપડી જવું હોય તો ઉપડી જાય પણ અમે તેને પકડવા અમારી ચાલ ન બદલીયે). હા અમે વટના કટકા.

વસ્તીને અલગ રાજ્યનો શું આધાર બનાવી શકાય? નાજી. એક માત્ર વસ્તીને આધાર ન બનાવી શકાય. જો આવું કરીયે તો મુંબઈના જ અનેક ભાષા વાળા રાજ્યો થઈ જાય. વિસ્તાર અને વસ્તીના સુયોગ્ય માપદંડ વાપરીને એક ભાષા હોય તો પણ તેનું વિભાજન કરી શકાય. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ યુ.પી. છે. પૂર્વ યુ.પી. અને પશ્ચિમ યુ.પી.

ભૌગોલિક સ્રોતો અને આધારે અને ભૌગોલિક અસમાનતાના આધારે શું અલગ રાજ્ય કરી શકાય? એટલે કે એક રાજ્ય નો એક વિસ્તાર પહાડી હોય અને બીજો મૈદાની હોય, એક હિસ્સમાં ઘણા ખનિજ તત્વોની ખાણ હોય અને બીજામાં કૃષિ ઉત્પાદન થતું હોય તો શું તેને અલગ કરી શકાય? નાજી આ આધારો વાહિયાત છે. જો આવો અલગતાવાદ પોષવામાં આવે તો જેમ નિતીશકુમારે અને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાને ગુજરાતની મદદ લેવાની ના પાડી, તેમ એક રાજ્ય રાજકીય મડાગાંઠ ઉભી થાય ત્યારે બીજા રાજ્યનો બહિસ્કાર કરે. નહેરુવીયન કોંગ્રેસ જેવી જો કેન્દ્ર સરકાર હોય તો તે તેમાં સુર પણ પુરાવે. ઈન્દીરા ગાંધીએ જેમ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા પ્રોજેક્ટને ટલ્લે ચડાવેલ તે આપણે જાણીએ છીએ.

ટૂંકમાં સંસ્કૃતિ, વ્યવહાર, ટેવ, ખાણી પીણી, રિવાજ જુદા હોય પણ જો ભાષા એક હોય તો એક રાજ્યમાં કશો વાંધો ન આવે. કારણ કે મુખ્ય સમસ્યા ભાષાની હોય છે. કચ્છી ભાઈઓની બોલી અલગ છે. પણ કચ્છી ભાષામાં કોઈ કાયદાઓ લખાયા નથી. તમે શું કરશો? તમે કચ્છીમાં કાયદા લખાવશો? પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં આપશો? સૌરાષ્ટ્રની તો ગુજરાતી ભાષા જ, ગુજરાતીઓ માત્ર કરતાં વધુ શુદ્ધ અને સમૃદ્ધ છે.  રાજ્યોનું અલગ પણું બોલીની રીત, કે રિવાજો વિગેરેથી અલગ ન પાડી શકાય. ગુજરાતના પૂર્વનો કિનારો આદિવાસી છે. દરિયા કિનારો માછીમારો નો છે. શું તમે તેમને પણ ગુજરાત, સૌરાષ્ટ્ર બનાવ્યા પછી અલગ રાજ્ય આપશો? તો તો તમારે જીલ્લે જીલ્લે અને જ્ઞાતિએ જ્ઞાતિએ અલગ અલગ રાજ્યો કરવા પડશે.

વધુ માટે વાંચો આની અગાઉની પોસ્ટ જે મેં “THE INDIANS” તારીખ ૧૪ ડીસેમ્બર ૨૦૦૯ના રો જ લખેલી તે અહીં શૅર કરી છે. “હમારી ભી સૂનો … “

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

કચ્છમાં ડોંગરે મહારાજની કથા ચાલે છે.

ડોંગરે મહારાજઃ “અને મારા કાનાનું મુખારવિંદ જોઇને રાધાજી હસ્યાં.. “

“હેં! આ મુખારવિંદ એટલે શું?” એક બેને બીજા બેનને પૂછ્યું

“ઠાકોરજીજો ડાચો?” બીજા બેને જવાબ આપ્યો.

 

ટેગ્ઝઃ ભાષા, રાજ્ય, સૌરાષ્ટ્ર, કચ્છ, સોરઠ, ગુજરાત, વાગડ, અલગ, પૂનર્‌ રચના, આધાર, સંસ્કૃતિ, કળા, વ્યવહાર, રિવાજ, ખાનપાન, અખબારી કટારીયા, મૂર્ધન્ય, રજનીશીયા, ઈન્દીરા, નહેરુવીયન,

Read Full Post »

ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ રોકવાના ઉપાયો

આ લેખ અગાઉના લેખના અનુસંધાનમાં છે.

રેવન્યુ ડિપાર્ટમેન્ટના રજીસ્ટ્રાર અને રજીસ્ટ્રાર ઓફ કોઓપરેટીવ સોસાઈટીઝ બંને અલગ અલગ છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટના રજીસ્ટ્રાર ડીસ્ટ્રીક્ટ કલેક્ટરની સીમામાં આવે છે.

હાલ આપણે રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝ ની વાત કરીશું

કોઓપરેટીવ સંસ્થાઓ રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝ ની નીચે આવે છે. એટલે કે કો-ઓપરેટીવ સંસ્થાઓની કાર્યવાહી ઉપર આ રજીસ્ટ્રારે નીગરાની રાખવાની હોય છે.

રજીસ્ટ્રાર ઑફ કોઓપરેટીવ સોસાઈટીઝ

રજીસ્ટ્રાર ઑફ કોઓપરેટીવ સોસાઈટીના બધા રેકોર્ડઝ ઓન લાઈન હોવા જોઇએ. તમે તમારી ઓળખ આપીને જે તે સોસાઈટી વિષે માહિતિ લેવા ઓન લાઈન જઈ શકો છો.

હાલમાં જ્યારે પ્રોપર્ટી ની લે વેચ થાય ત્યારે તલાટી, કોઓપરેટીવ સોસાઈટીની કે કોઈપણ જમીનના ખરીદનાર/વેચનારના હોદ્દાની ખરાઈની તપાસ કરતા નથી. તેમજ રજીસ્ટ્રાર ઓફ કોઓપરેટીવ સોસાઈટીઝ, સોસાઈટીના કારભાર ઉપર કોઈ નીગરાની રાખતા નથી. તેથી ગોલમાલ ચાલ્યા જ કરેછે.

જોકે સરકાર હવે ખરીદનાર કે વેચનાર પાવર ઓફ એટર્ની દ્વારા દસ્તાવેજો થવા દેતી નથી.

સરકાર હવે ખરીદનાર અને વેચનારને જાતે હાજર રહેવાની ફરજ પાડે છે. તેમના “પાન કાર્ડ” અને ઇન્કમટેક્સ ક્લીઅરન્સ સર્ટીફીકેટ (?) માગે છે. પણ શ્રી દેશબંધુ ગુપ્તા ના કહેવા પ્રમાણે દેશના ૪૦ ટકા પાનકાર્ડ બોગસ છે. તેમના હિસાબે આધારકાર્ડ એક કૌભાન્ડ છે. આ ઉપરાંત આધારકાર્ડ એ નાગરિક-કાર્ડ નથી.

નાગરિકતા માટે અને વ્યક્તિની ખરી ઓળખ માટે પાસપોર્ટ જ ખરી ઓળખ બને છે

રેવન્યુ રજીસ્ટ્રાર અને કો ઓપરેટીવ સોસાઈટીઝના રજીસ્ટ્રાર પાસે દરેક વ્યક્તિના પાસપોર્ટ કે નાગરિકતા કાર્ડ ઓન લાઈન હોવા જોઇએ. જેથી તે બનાવટ કરે છે કે કેમ તે તપાસી શકાય. કેટલાક માણસો જે અસામાજીક તત્વો છે તેમની પાસે એક કરતાં વધુ પાસ પોર્ટ હોઈ શકે છે. પણ સરકાર ધારે તો સરખામણી ના વિશિષ્ઠ પ્રોગ્રામ દ્વારા બનાવટ પકડી શકે.

રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝ તેમની ફરજ બજાવતા નથી, તેથી જ કોઓપરેટીવ્ઝ સોસાઈટીના હોદ્દેદારો ગોલમાલ કરે છે. આમાં બીલ્ડરો કે ડેવેલપરો જે કહો તે, સ્થાનિક સ્વરાજની સંસ્થાના અધિકારીઓ અને જનતા દ્વારા ચૂંટાયેલા સભ્યો પોતપોતાના ક્ષેત્રને લગતી બાબતોમાં તેમજ સામુહિક રીતે સહકાર પૂર્વક ગોલમાલો કરે છે. આમાંના કોઈપણ અસરકારક ફરજો બતાવતા નથી.

રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝનું મુખ્ય કામ શું છે?

કો ઓપરેટીવ્ઝ સોસાઈટીઓ તેના નિયમો પ્રમાણે કામ કરે.

એટલે કે પ્રમોટરોની ઓળખ, તેઓનું રજીસ્ટ્રેશન, સોસાઈટીનું રજીસ્ટ્રેશન, સભ્યોની નોંધણી, હોદ્દેદારોની ચૂંટણી, કાર્યવાહીઓ, ખરડાઓ, નિયમિત સભાઓ માટેના પત્રવ્યવહારો, સભાના એજન્ડા બનાવવા, તેને સભ્યોમાં યોગ્યરીતે વહેંચવા, સભાની નોટીસ, સભાની કાર્યવાહી, હિસાબો, ઓડીટ, નવા કામો, વિગેરેની નોંધણી, અને તે પછી સભાસદોને તેની વહેંચણી, વિગેરે અનેક પ્રકારની કાર્યવાહીની નોંધણીઓ હિસાબ કિતાબ, વિગેરે કામો કો ઓપરેટીવ સોઆઈટીએ કરવાના હોય છે અને તે સૌની વિગતોના રીપોર્ટો રજીસ્ટ્રાર ઓફ કોઓપરેટીવઝ સોસાઈટીઝને મોકલી આપવાના હોય છે.

આ રજીસ્ટ્રાર ઓફ કોઓપરેટીવઝ સોસાઈટીઝ, કોઈપણ જાતની નીગરાની રાખતા નથી. વર્ષો સુધી  કોઈપણ જાતના રીપોર્ટ ન મળે તો પણ તેમના પેટનું પાણી હાલતું નથી. એટલું જ નહીં પણ અગર કોઈ રીપોર્ટ મળ્યા હોય તો પણ તેની ખરાઈની ચોકસાઈ કરતા નથી, એટલું જ નહીં પણ તેઓ કોઈપણ રેકોર્ડ જરુર પડે ગુમ પણ કરાવી દે છે.

આ રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝને જવાબદાર બનાવવો. એટલું જ પૂરતું નથી, આ રજીસ્ટ્રારનું કાર્યક્ષેત્ર વાસ્તવિક રીતે સક્ષમ અને જનતાગામી બને તે માટે એક ઝોન દીઠ એક રજીસ્ટ્રાર નિયુક્ત કરો.

દરેક કોઓપરેટીવ્ઝ સોસાઈટીના રીપોર્ટોને,  કોઓપરેટીવઝ સોસાઈટીઝના રજીસ્ટ્રારે, ઓનલાઈન મુકવા જોઇએ. કોઓપરેટીવઝ સોસાઈટીઝના રજીસ્ટ્રાર જ સોસાઈટીમાં થતા ક્રમબદ્ધ ફેરફારોનો પૂરો ઈતિહાસ રાખશે. અને તેજ અધિકૃત ગણાશે.

રજીસ્ટ્રેશનઃ

એવી કઈ કઈ બાબતો છે જેમાં રજીસ્ટ્રેશન જરુરી છે?

જાહેર જનતા સાથે જે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા વ્યવહાર કરતી હોય તેનું રજીસ્ટ્રેશન હોવું જરુરી હોવું જોઇએ.

દુકાનો, ફેક્ટરીઓ, પેઢીઓ, સેવા સંસ્થાઓ, ટ્રસ્ટો, શિક્ષણ સંસ્થાઓ, ઓફિસો, મનોરંજન સંસ્થાઓ, હોટલો, રેસ્ટોરાંઓ, વાહનો, કોંન્ટ્રાક્ટરો, મંદિરો, વિગેરે. સેવાસંસ્થાઓમાં સરકારી ઓફીસો અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને તેની કાર્યવાહીઓ પણ આવી જાય.

જે કોઈ સંસ્થાને લાઈસન્સ આપવામાં આવે અને તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવે તેની પૂરતી માહિતિ તે સરકારી અને તે સંસ્થાની વેબસાઈટ ઉપર હોવી જોઇએ.

દરેક સંસ્થાની પછી ભલે તે વ્યક્તિગત, કૌટુંબિક સંસ્થા હોય, ભાગીદારી, પ્રાઈવેટ લીમીટેડ,  કે  પબ્લીક લીમીટેડ સંસ્થા હોય, તે સૌની વેબસાઈટ ઓન લાઈન હોવી જ જોઇએ.

દરેક વેબસાઈટ ઉપર તે સંસ્થા કઈ જાતની છે અને જનતા તેની વિષે કઈ જાતની માહિતિની અપેક્ષા રાખી શકે તેને અનુરુપ સરકારે તેને ઓછામાં ઓછી જરુરી ગણી વેબસાઈટ ડીઝાઈન કરવી જોઇએ. તે સંસ્થાએ તેમાં માહિતિ અપલોડ કરી સરકારને સીડી આપવી જોઇએ. સરકાર તેને ઓન લાઈન મુકશે.

દાખલા તરીકે એક દુકાન

દુકાનના માલિક કે માલિકોના પૂરા નામ, તેના ફોટા, તેની ઓળખ નગારિક કાર્ડ, મ્યુનીસીપાલીટીના રેકોર્ડ પ્રમાણે (સ્થાનિક લોકસ્વરાજની ઓફિસના રેકોર્ડ પ્રમાણે) તેનું સરનામુ, સંસ્થાનું સરનામું, વ્યક્તિની અને સંસ્થાની પ્રોફાઈલ, ધંધાની વિગત, ફોન નંબરો, ઈમેલ એડ્રેસ, નજીકના ભવિષ્યની (છ માસની અંતર્ગત) યોજનાઓ, ધંધાદારી સંબંધિત સંસ્થાના નામ અને લીંક, ગ્રીવન્સીસ કે મેસેજ બોક્સ, સેલ્સ ટેક્સ, વેટ, આઈ.ટી. એકાઉન્ટનંબર, સ્થાનિકસ્વરાજ્યની સંસ્થાએ આપેલ રજીસ્ટ્રેશન નંબરો, ટ્રેડમાર્ક જેવી માહિતિઓથી સભર એક સ્ટાન્ડર્ડ વેબસાઈટ સરકારે બનાવવી જોઇએ.

આ કેવીરીતે થઈ શકે?

જે અરજી પત્રક હોય તેમાં આ બધી વિગતોની કોલમો હોય અને તેને જ્યારે લાયસન્સ મળે ત્યારે તેની વિગત ભરાઈ જાય. જે તે વ્યક્તિને જે તે માહિતિની જરુર હોય અને સરકારે તેને આપવા યોગ્ય રાખી હોય તે માહિતિ તે વ્યક્તિ ઓન લાઈન દ્વારા લઈ શકે છે. સરકાર પાસે તો બધી જ માહિતિ હોવી જોઇએ.

તો પછી માહિતિ અધિકારીની જરુર શા માટે?

જેમને ઈન્ટરનેટ કનેક્સન ન હોય અને જેમને તેવી આવડત ન હોય, તેઓ માહિતિ અધિકારી પાસેથી માહિતિ માગી શકે. અને કારણ કે માહિતિ અધિકારી એક સુશિક્ષિત અધિકારી છે તે અરજદારો પાસેથી મહેનતની ફી વસુલ કરી અરજદારને અધિકૃત હાર્ડ કોપી આપશે.

વેબસાઈટ ફરજીયાત બનાવોઃ

દરેક દુકાનના સાઈનબોર્ડ ઉપર તેના રજીસ્ટ્રેશન નંબર, વેબસાઈટનું નામ ધ્યાન જાય એ રીતે ફરજીયાત લખેલું હોવું જોઇએ. તેમજ દુકાનના બીલ ઉપર અને લેટરહેડ ઉપર પણ આ બે વિગતો હોવીજ જોઇએ. જ્યારે ક્યારેય પણ આ દુકાન ઓનલાઈન સંવાદ કરે ત્યારે આ વિગતો તેના ઈ-સંવાદના પેજ ઉપર આવવી જોઇએ.

જાહેર જનતા સાથે વ્યવહાર કરતી કોઈપણ સંસ્થા કે વ્યક્તિ ની વેબસાઈટ હોવીજ જોઇએ. તે સિવાય કોઈપણ વ્યક્તિ કે સંસ્થા જાહેર જનતા સાથે વ્યવહાર ન કરી શકે. આમાં પાથરણા, લારી, ગલ્લા અને ફૂટપાથીયા બધાનો સમાવેશ થઈ જાય છે.

પાથરણા, લારી, ગલ્લા અને ફૂટપાથીયાઃ

આ લોકોને કેવીરીતે જમીન માફીયામાં ગણી શકાય?

જેઓ અણહક્કની જમીન ઉપર કબજો જમાવે છે અને જેઓ તેમના તે હક્ક માટે લડે છે તે બધા જમીનના માફીયા જ કહેવાય. આ લોકો ગરીબ હશે પણ તેમને આ હક્ક અપાવનારા કે તે માટેની લડતો ચલાવનારા ગરીબ નથી. વાસ્તવમાં આ લોકો પડદા પાછળ છે અને પૈસા કમાય છે. આ વાત આપણે આગળ કરી ગયા છીએ.

આ લોકોને કેવીરીતે ઠેકાણે પાડવા?

જ્યાં આ લોકો ધંધો કરે છે ત્યાં તેમને ખબર ન પડે તેવા સીસી કેમેરા ગોઠવી દો. અને તેનું છ માસ માટે રેકોર્ડીંગ કરો.

તેઓ જુદો જુદો માલ ક્યાંથી માલ લાવે છે તેની વ્યક્તિ દીઠ તપાસ કરો અને રેકોર્ડ બનાવો.

તેઓ ક્યાં રહે છે, કેટલા વખતથી રહે છે અને પહેલાં ક્યાં ક્યાં રહેતા હતા તેની તપાસ કરો અને રેકોર્ડ બનાવો. જો તેઓ બંગ્લાદેશી કે પાકિસ્તાની હોય તો તેમને અલગ તારવો.

તેઓ કેટલું કમાય છે અને કોને કેટલો હપ્તો ચૂકવે છે અને કોણે તેમને અહીંની જગ્યા અપાવી તેની તપાસ કરો.

આ કામ અઘરું નથી. લોકલ ઈન્ટેલીજન્સ અને એક પ્રાઈવેટ સર્વે એજન્સી જેવી કે તાતા મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યુટ બંને ભેગા મળી ડેટા એકઠા કરે તો કેટલા ખરેખર ગરીબ છે અને કેટલા પડદા પાછળના ગુનેગારો છે તે વીડીયો કેમેરામાંની તપાસમાં કેદ થઈ જાય. કયા ગરીબો કેટલી અવડતવાળા છે તે પણ નક્કી થઈજાય. તેમના ઓળખના ડેટા પણ તૈયાર થઈ જાય.

અમદાવાદના કોટ વિસ્તારમાં એવા ઘણા વિસ્તારો છે જેમાં મકાનો પડુ પડુ અવસ્થામાં છે. ત્યાં એ મકાનો કબજે કરાય. અને ત્યાં એક પાર્કીંગ, હોકર્સપાર્ક, શોપીંગ ખાણીપીણી મોલ, અને ઝોંપટ્ટીમાં રહેતા લોકોને થાળે પાડવાના ગાળાઓ આપી શકાય. કોટની અંદરનો જે વિસ્તાર છે તેની કાયાપલટ થઈ જશે.

જુઓ અનુસંધાન લીંકઃ 

ઝોંપડપટ્ટીઓ અને દબાણોનું ઓછા ખર્ચે અને વાસ્તવિક નિવારણઃ

 https://treenetram.wordpress.com/2013/02/20/%E0%AA%9D%E0%AB%8B%E0%AA%82%E0%AA%AA%E0%AA%A1%E0%AA%AA%E0%AA%9F%E0%AB%8D%E0%AA%9F%E0%AB%80%E0%AA%93-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82/

જેઓ વિદેશી ઘુસણખોર છે તેમને મીઠાના અગરોમાં કેદી તરીકેની મજુરીના કામમાં રાખો.

જેઓ પડદા પાછળ હતા તેમની સામે ગેરકાયદેસર કામ કરવા બદલ અથવા તેને પ્રોત્સાહન આપવા બદલ કામ ચલાવો અને તે દ્વારા તેમને કાંતો દંડ કે જેલની સજા જે પસંદ હોય તે કરો અને તેમના ઉપર નીગરાની રાખો.

 જેઓ કોટની બહાર છે અને ફુટપાથ અને રોડ કબજે કરીને અડ્ડો જમાવીને બેઠા છે તેમનો પણ ઉપર પ્રમાણેનો સર્વે અને ડેટા તૈયાર થઈ શકે. જેઓ પૈસાદાર છે તેમને તો દંડ અને સજા જ કરવાના છે. જેઓ ગરીબ છે તેમને પાર્કીંગ કમ હોકર્સ પાર્ક કમ મોલ કમ રહેઠાણ બનાવીને કોટના વિસ્તારની જેમ થાળે પાડી શકાય. કોટવિસ્તારની બહાર પણ ઘણા ગામઠાણ વિસ્તારો અને મેદાનો છે.

જે અમદાવાદ જેવા શહેરમાં કરી શકાય તેમ છે તેવું જ ગામડાઓમાં અને બીજા શહેરોમાં થઈ શકે.

રસ્તા ઉપર થતા પાર્કીંગ અને ગીચતાની સમસ્યા ઉકલી જશે.

મફતમાં માલિકી નહીં

સરકાર કોઈને જે જગ્યા ફાળવશે તે માલિકીની નહીં હોય તેમ જ ફેરબદલની પણ નહીં હોય. આને માટે બાય-લોઝ (પેટા કાયદા ઓ ઘડી શકાય). ભાડા ઉઘરાણીનું અને સુરક્ષાનું વ્યવસ્થિત તંત્ર બનાવી શકાય. કોઈને કશું મફતમાં નહીં.

સ્થાનિક લોકો માટે ૮૦ ટકા આરક્ષણ રહેશે. જેઓ પરપ્રાંતના હશે તેમને ૨૦ ટકામાંથી ફાળાવણી થશે. બાકીનાની, યાતો બીજે ગામના ૨૦ટકા ક્વોટામાં ફાળવણી થશે યાતો તેઓ તેમના ગામ પરત જશે.

જેઓને અહીં ભાડાનું અથવા પોતાનું રહેઠાણ હશે તેઓ જ રહી શકશે. ગેરકાયદેસર જગ્યા કબજે કરી કોઈ રહી શકશે નહીં. કાયદો પણ આજ કહે છે. જેઓ ગુજરાતમાં જન્મ્યા છે અથવા જેઓએ ગુજરાતી સાથે પ્રાથમિક શિક્ષણ લીધું છે તેઓ જ ગુજરાતી કહેવાશે.

નાથીયા તું નાગો થા અને મને પોતડી આપ એવી વાત ન ચલાવી શકાય.    

સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થાઓઃ

માહિતિ અધિકારની સંસ્થા સ્વાયત્ત હોવી જોઇએ

હાલમાં જેતે ખાતાઓમાં જેતે ખાતાના માહિતિ અધિકારીઓ હોય છે. તેથી તેમની વૃત્તિ માહિતિ યેનકેન કારણો આપી છૂપાવવાની કે વિલંબમાં નાખવાની હોય છે. માહિતિ અધિકારીઓ કોઈ ખાતા સાથે સંકળાયેલા ન હોવા જોઇએ. પણ તેઓ સુપ્રશિક્ષિત હોવા જોઇએ. એક ઝોન દીઠ એક માહિતિ અધિકારી હોવો જોઇએ. આ ઝોન એક ભૌગોલિક વિસ્તાર હશે. અને તે ઝોનમાં રહેતી વ્યક્તિઓની અરજીઓ આ અધિકારી લેશે અને તેની ઉપર આગળની કાર્યવાહી કરશે.

માહિતિનો અધિકારઃ

રાઈટ ટુ ઈન્ફર્મેશન અંતર્ગત, જનતાને માહિતિનો અધિકાર છે. જો આ અધિકાર છે તો તે માહિતિને જ્યાં સુધી કોઈ ન માગે ત્યાં સુધી ખાનગી રાખવાનો કોઈ અર્થ નથી. આ અધિકાર ભારતના નાગરિકને જ મળી શકતો હોવાથી જો તે પોતાની ઓળખાણની સાબિતી આપે તો તે જે માહિતિઓ જાણવા માટે અધિકારી છે તે માહિતિ તેને ઓન લાઈન મળવી જોઇએ.

આ માટે ભારતનો કોઈપણ નાગરિક સક્ષમ અધિકારી પાસે જઈ પોતાની નોંધણી કરાવી દે એટલે તે પોતાના પાસવર્ડનો ઉપયોગ કરી જે તે માહિતિ મેળવી શકે. આમ કરવાથી માહિતિ અધિકારી ઉપરનો બોજ ઘણો ઘટશે. જે વ્યક્તિને અધિકૃત કોપી જોઈતી હોય તે વ્યક્તિ નિશ્ચિત યુઆરએલ બતાવી માહિતિ અધિકારી પાસેથી અધિકૃત કોપી લઈ શકે. અથવા અરજી આપી થોડી વધુ ફી ભરી, માહિતિ અધિકારી પાસેથી અધિકૃત માહિતિ લઈ શકે છે.

રેવન્યુ ડીપાર્ટમેન્ટ ના રેકોર્ડ ઓન લાઈન હોવા જોઈએ. તમે તામારી ઓળખ આપીને જે તે વેબસાઈટ ઉપર માહિતિ લેવા ઓન લાઈન જઈ શકો.

હાલ ફક્ત ન્યાય તંત્ર એક માત્ર સ્વાયત્ત અને સ્વતંત્ર સંસ્થા છે. ન્યાયતંત્રને પોતાનો સ્ટાફ છે અને પોતાની સ્વતંત્ર ઓફીસો પણ છે.

ચૂંટણી પંચ અને વસ્તી પંચ સંસ્થાઓ સંપૂર્ણ સ્વતંત્ર નથી. ચૂંટણી પંચને પોતાનો મોટાભાગનો સ્ટાફ ઉછીનો લેવો પડે છે. આવી જ સ્થિતિ વસ્તીગણત્રી પંચની છે. કારણ કે તેમનું કાર્યક્ષેત્ર અને સમય મર્યાદિત રાખ્યો છે.

ચૂંટણી પંચઃ

કો ઓપરેટીવ્ઝ સોસાઈટીઝ, વસ્તી ગણત્રી અને ચૂંટણી, આ ત્રણેયને એક પંચ હેઠળ લાવી દેવું જરુરી છે.

ચૂંટણી પંચ ફક્ત સ્થાનિકસ્વરાજની સંસ્થાઓના જનપ્રતિનિધિની ચૂંટણી પૂરતું જ પોતાનું કાર્ય ક્ષેત્ર રાખે છે. વાસ્તવમાં કોઈપણ કાયદા અંતર્ગત (સ્ટેચ્યુટરી પ્રોવીઝન હેઠળ) થતી દરેક ચૂંટણીઓ અને સભાઓ, ચૂંટણી પંચની નીગરાની હેઠળ જ થવી જોઇએ.

એટલે કે મઝદુર યુનીયન, કર્મચારી યુનીયનો, અધિકારી યુનીયનો, સહકારી સંસ્થાઓ, ગૃહનિર્માણ સોસાઈટીઓ, તેના સભ્યોની નોંધણી, તેમાં થતા ફેરફારોની નોંધણી, તેના પરિપત્રો, હોદ્દેદારોની ચૂંટણીઓ, કાર્યવાહીઓ અને રેકોર્ડ ચૂંટણી પંચની કડક નીગરાની હેઠળ અને તેના દ્વારા સંચાલિત થવી જોઇએ. જો આમ થાય તો તેમાં થતી ગેરરીતીઓ અટકી જાય કારણકે જો ગેરરીતી થાય તો તરત જ જવાબદારી લાદી શકાય. જાણી લો કે સરકારી વ્યક્તિ જ એક માત્ર એવી વ્યક્તિ છે જેનું એતત્‌કાલિન સ્થાન રેકોર્ડ ઉપર હોય છે અને તેને સોંપેલી જવાબદારી ફીક્સ હોય છે અને અથવા ફીક્સ કરવી સહેલી છે.

હાલ સ્થિતિ એવી છે કે જ્યારે ચૂંટણી આવે તે અગાઉ ચૂંટણી પત્રક્ની કાર્યવાહી આરંભાય છે. વાસ્તવમાં ચૂંટણીપત્રક હમેશા આધુનિક (અપટુડેટ) હોવું જોઇએ.

વસ્તીગણત્રી પંચ અને ચૂંટણી પંચ વાસ્તવમાં ગાઢ રીતે સંકળાયેલા છે.આ બંને કાર્યશાળાને એકઠી કરી દેવી જોઇએ. આ સંસ્થાને સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા બનાવવાની છે.

વસ્તીગણત્રી – ચૂંટણી પંચ ની ઓફિસ અને કર્મચારીગણ તેમના પોતાના હોવા જોઇએ.

ચૂંટણી-વસ્તી પંચઃ આ સંસ્થા કાયમી કાર્યરત બનવાથી દરેક વ્યક્તિની નોંધણી થશે. તેના દરેક સ્થાનોની નોંધ રહેશે, વ્યક્તિ ક્યાં રહે છે અને ક્યાં  વહેવાર કરેછે તે નિશ્ચિત થશે. પરપ્રાંતમાંથી કેટલા આવેલા છે તે સંખ્યા નિશ્ચિત થશે. બેકાર કેટલા છે અને કેટલા ક્યાં નોકરી કરે છે અને શું કરે છે તે પણ નિશ્ચિત થશે.

ચૂંટણીઃ

ચૂંટણીમાંથી પૈસાની બાદબાકી થઈ જશે.

ઝોન દીઠ એક ચૂંટણી અધિકારી હોવો જોઇએ.

મદદનીશ અધિકારી પાંચ કે દશ પોલીંગબુથ દીઠ એક હોવો જોઇએ. આને આપણે મતદાર મંડળ કહી શકીએ.

આ મતદાર મંડળને એટલે કે મદદનીશ ચૂંટણી અધિકારીને પોતાની ઓફીસ હશે અને એક કાયમી સભાખંડ હશે. આ કાયમી સભા ખંડમાં એક પ્લેટફોર્મ ઉપર જ ચૂંટણીના ઉમેદવારો અને મતદારો પોતાનો અવાજ રજુ કરશે. આ સિવાય ક્યાંય સભા કરવાની છૂટ રહેશે નહીં. ટીવી ચેનલો ઉપર તેમને એક જ પ્લૅટફોર્મ ઉપર બોલાવાશે અને તેઓ પોતાનો પક્ષ અને વાત રજુ કરશે. આ બધી વ્યવસ્થા વસ્તી-ચૂંટણી પંચ જ કરશે. જે ઉમેદવારને જનતાને કે સભાસદોને જે કંઈ કહેવું હશે તે આ મંચ ઉપર આવીને જ કહેશે અને તેની નોંધ લેવાશે.

પક્ષને કે ઉમેદવારને જે કંઈ હોર્ડીંગ લગાવવા હશે તે આ ખંડમાં જ લગાવી શકશે. દરેકનો ચૂંટણી ઢંઢેરો અહીં લગાવવામાં આવશે.

પક્ષ કે વ્યક્તિ પોતે જે કોઈ બીલ લાવવા માગતા હોય તેની કોપી તે ચૂંટણી અધિકારીને આપશે અને જો તે ચૂંટાશે તો તે જનતાને ઉપલબ્ધ કરી શકાશે. ચૂંટણી પૂર્વે ચૂંટણી ઢંઢેરામાં ન ઉલ્લેખાયા હોય અને ચૂંટણી પંચને ન આપ્યા હોય તેવા કોઈ પણ બીલ, કોઈ પક્ષ કે વ્યક્તિ ધારાસભામાં રજુકરી કરી શકશે નહીં. જેમકે સંસદ સભ્યોના પગાર વધારા અને તેમના પેન્શનને લગતા બીલ કોઈપણ પક્ષના ચૂંટણી ઢંઢેરામાં હતા નહીં તો પણ તે બીલ બનાવીને પસાર કરેલ.

રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવ સોસાઈટીઝ, ચૂટણી અને વસ્તીગણત્રી એક જ પંચ હેઠળ શા માટે?

સભ્યપદ, મતદાતા, હોદ્દેદારો અને તેની યાદીઓ વિગેરે એક યા બીજા પ્રકારની ચૂંટણી સાથે સંકળાયેલા છે.

સભ્ય અને મતદાતા ની ઓળખ કરવાની એક પ્રક્રીયા હોય છે.

યાદી બનાવવી એ પણ ચૂંટણીની એક પ્રક્રીયા છે.

હોદ્દેદારો ચૂંટાય છે અને તેમને અધિકૃત કરાય છે.

જેઓ દેશમાં રહેછે તેમની વસ્તી ગણત્રી થાય છે, પણ તેઓ બધા મતદારો હોતા નથી.

જેઓ ઘુસણખોરો છે તેઓ પણ વસ્તીગણત્રીમાં તો આવી જ જાય. પણ તેઓ દેશના નાગરિક નથી. પણ તેમના માનવ અધિકારો તો છે જ. એટલે જ્યાં ક્યાંય પણ કાયદેસર યાદી બનતી હોય, મતદાન થતું હોય અને હોદ્દેદારોની ચૂંટણી થતી હોય અને હોદ્દેદારો અધિકૃત થતા હોય. સભાની કાર્યવાહીઓ થતી હોય, કાયદા, પેટા કાયદાઓ વિગેરે થતા હોય અને આ બધું કાયદેસરની પ્રક્રીયામાં આવતું હોય તો ચૂંટણીપંચ, વસ્તીગણત્રીપંચ અને હાલ જેને આપણે રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવ સોસાઈટીઝ કહીએ છીએ તે સૌને એક પંચતંત્ર હેઠળ મુકવા જોઇએ. જેથી દરેક જાતના સભ્યપદ, યાદીઓ, સભાઓ, ચૂંટણીઓ, હોદ્દેદારો અને કાર્યવાહી, તેની ચકાસણીઓ એક જ પંચ હેઠળ આવે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ સભ્ય, મતદાતા, મતદાર મંડળ, સભા, હોદ્દેદાર, અધિકૃત, અધિકારી, ચૂંટણી, વસ્તી, ગણત્રી, પંચ, વેબ સાઈટ, માહિતિ, રજીસ્ટ્રેશન, નોંધણી, સ્થાનિક સ્વરાજ, સંસ્થા, સ્વાયત્ત, સ્વતંત્ર, નીગરાની, સ્થાનિક, કોઓપરેટીવ, સોસાઈટી, સંસ્થા, વ્યવહાર, રજીસ્ટ્રાર

Read Full Post »

%d bloggers like this: