Feeds:
Posts
Comments

Posts Tagged ‘સંવાદ’

હેલ્પેશભાઈ અને ફિલમી દુનિયા

હેલ્પેશભાઈ અને ફિલમી દુનિયા

શું હેલ્પેશભાઈ ફિલમી દુનિયાના માણસ છે?

શું હેલ્પેશભાઈ ફિલમી દુનિયાના ચાહક છે?

શું હેલ્પેશભાઈ ફિલમી દુનિયાના દુશ્મન છે?

20200714_164218[1]

ના ભાઈ ના. આવું કશું નથી.

એક ચોખવટ કરી લઈએ.

હિરા ભાઈ એટલે ફિલમનો મુખ્ય એક્ટર (હિરો), સાઈડ એક્ટર, અને ગેસ્ટ એક્ટર. જે તે જગ્યાએ જે તે અનુરુપ હોય તે સમજવું.

હિરા બેન એટલે ફિલમની મુખ્ય એક્ટ્રેસ (હિરોઈન) સાઈડ એક્ટ્રેસ અને ગેસ્ટ એક્ટ્રેસ. જે તે જગ્યાએ જે તે અનુરુપ હોય તે સમજવું.

સેલીબ્રીટીઃ

સેલીબ્રીટી શબ્દ જ્યારે વપરાય ત્યારે આમ તો તેનો અર્થ ખ્યાતિવાળો/પ્રખ્યાત વ્યક્તિ થાય. એટલે આમ તો બધા મહાનુભાવો સેલીબ્રીટીમાં આવી જાય. પણ સામાન્ય રીતે આ શબ્દ હિરાભાઈ/હિરાબેન કે ફિલમબનવાના કોઈ હિસ્સા સાથે પોતાનું યોગ દાન આપનારી વ્યક્તિ માટૅ પણ વપરાય છે. જો કે કોઈવાર ખેલકુદ ના ખેલાડી વ્યક્તિને પણ ગણવામાં આવે છે.

એટલે ટૂંકમાં નર માદા …  એક્ટ્રરો, સંગીતકારો, ગીતકારો, વાર્તા-લેખકો, નિર્દેશકો, નિર્માતાઓ … આ બધાને સેલીબ્રીટી ગણવામાં આવે છે. નર-માદા શબ્દ એક્ટરોને વધુ લાગુ પડે છે. શા માટે? તે આપણે પછી જોઈશું. અને તેની  ચર્ચા હેલ્પેશભાઈને લક્ષ્યમાં રાખીને  કરીશું.

હેલ્પેશભાઈએ  કેટલી ફિલમો જોઈ છે કે જેથી કરીને તેઓ ફિલમ ઉપર વિવેચન કરવાનો પોતાને અધિકાર છે તેમ માને છે?

હેલ્પેશભાઈ જ્યારે ઉમરમાં સીંગલ ડીજીટમાં હતા ત્યારે તેઓ જન્મથી લઈને તેઓ તે વખતે જે ઉમરે પહોંચ્યા હતા તે દરમ્યાન સુધીની બધી જોયેલી બધી ફિલમોના નામ ગણાવી શકતા હતા. આ સંખ્યા પણ આશરે ૧૫ ની હતી.

હેલ્પેશભાઈ ફિલમમાં શું સમજતા હતા?

કશું જ નહીં. હેલ્પેશ ભાઈની ફિલમ જોવાની શરુઆત ધ્રાંગધ્રા થી થઈ હતી. કારણ કે વિઠ્ઠલગઢ કે નદીસરમાં ટોકીઝ હતી નહીં.

“શેઠ સગાળશા” ફિલમ માં છેલ્લે ભગવાન આવે છે તેટલું હેલ્પેશભાઈ સમજ્યા હતા.

“કામ પડ્યું છે આ જ તારું, ઓ બાલુડા … કામ પડ્યું છે આજ તારું.” આ ગીત તેમને મોટાભાગનું મોઢે હતું. “કામ પડ્યું છે આ જ તારું “ એનો અર્થ હેલ્પેશભાઈ સમજતા નહીં. પણ  “કામપડ્યું”  કોઈ વસ્તુમાટે નો એક શબ્દ છે તેમ સમજતા. જેમકે  રમકડાનો પોપટ. ફિલમમાં ભગવાનને આટલા થોડા સમય માટે કેમ બતાવે છે તે હેલ્પેશભાઈને સમજાતું ન હતું. ધાર્મિક ફિલમોમાં ભગવાનને ઘણો સમય બતાવે એટલે હેલ્પેશભાઈને ધાર્મિક ફિલમો ગમતી.   

નાટકો કરતાં ફિલમ વધારે ગમતી. નાટકમાં એકનું એક દૃષ્ય રહે તે હેલ્પેશભાઈને ન ગમે. ફિલમ ગમે તેવી હોય પણ એમાં દૃષ્યો બદલાતા રહે છે. તેથી હેલ્પેશભાઈને ફિલમો ગમતી.

રામ-રાજ્યઃ

હેલ્પેશભાઈ,  એક્ટર એક્ટ્રેસને ઓળખી શકવાની ઉચ્ચતા સુધી પહોંચ્યા ન હતા. રામ, ભરત, લક્ષ્મણનો પાત્રનો ભેદ સમજી શકતા નહીં. પણ એક સ્ત્રી કે જે સીતા હતી, તે સતત રડ્યા કરતી. અને તેને બધા “સીતાજી” એમ કહેતા તે હેલ્પેશભાઈને ગમતું નહીં. એક તો આ બૈરી જ્યારે ત્યારે રડ્યા કરતી હોય છે અને તેને બધા માનવાચક રીતે સીતા”જી”, એમ કહે છે એ હેલ્પેશભાઈને યોગ્ય લાગતું ન હતું.

કારિયાભાઈઃ

હેમુભાઈ કારિયા ઉર્ફે કારિયાભાઈ,  એ રાજકોટમાં ઉભા ક્વાર્ટર્સમાં તેમના મોટાભાઈની સાથે   રહેતા હતા. કારિયાભાઈ  સરખામણીમાં ઘણા મોટા હતા. રાજકોટના મુખ્ય બજારમાં તેમની પાનની દુકાન હતી. તેઓ હેલ્પેશભાઈના મોટા (વચલા) ભાઈના સમવયસ્ક ન હોવા છતાં ખાસમખાસ  મિત્ર હતા. તેઓ હેલ્પેશભાઈ અને તેમના ક્વાર્ટર્સના મિત્રોને અવારનવાર ફિલમો બતાવતા. ખાસ કરીને ગેસ્ફર્ડ ટોકીઝમાં લઈ જતા.  પણ હેલ્પેશભાઈ અને મિત્રોને ફિલમ કરતા ઇન્ટર્વલમાં વધુ રસ રહેતો. કારણ કે કારિયા ભાઈ આમ તો થર્ડક્લાસમાં (ટેકાવગરની બેંચ ઉપર બેસવાનું) ફિલમ બતાવે પણ ઇન્ટર્વલમાં ભેળ પણ ખવડાવે. હેલ્પેશભાઈ બ્રાહ્મણ. પણ કારિયા ભાઈ કહે “દુકાનવાળો તો બ્રાહ્મણ છે” માટે ખવાય. એટલે હેલ્પેશભાઈ બેધડક ખાય.

હેલ્પેશભાઈના એક માસી બહુ રુપાળા અને વાંકડીયા વાળવાળા હતા. એટલે હેલ્પેશભાઈ બધી હિરોઈનોને વીરબાળા માસી જ સમજતા. જ્યારે હિરોઈનોને પ્રસંગોપાત રોવાનું આવતું તો હેલ્પેશભાઈને અચરજ થતું.

એક ફિલમ (વિજ્યા કે વિદ્યા)માં દેવજીભાઈ (દેવાનન્દ) એક પાત્રને માર મારે છે. અને ફિલમમાં બધા તેને બિરદાવે છે.  હેલ્પેશભાઈને આશ્ચર્ય થયેલ.

કાળક્રમે હેલ્પેશભાઈ ડબલ ડીજીટની ઉંમરમાં પ્રવેશ્યા. એટલે તેમને હિરાભાઈ અને હિરીબેનોની મહાનતા જાણવા મળી. આ બધું તેમને તેમનાથી મોટી ઉમરની વ્યક્તિઓની ચર્ચા દ્વારા જાણવા  મળ્યું. જો કે હેલ્પેશભાઈને તે ચર્ચાઓમાં સમજણ પડતી નહીં. પણ એટલું અધિગત થતું કે આ હિરાભાઈઓ અને હિરાબેનો મહાન છે.

શા માટે હેલ્પેશ ભાઈને હિરાભાઈઓ અને હિરાબેનો મહાન લાગ્યા?

હિરાભાઈ અને હિરાબેન તત્કાલ વાર્તાલાપ કરીને ફિલમમાં વાર્તાને આગળ ચલાવતા.

હિરાભાઈ અને હિરાબેન તત્કાલ કવિતા બનાવતા હતા,

હિરાબેન જરુર પડે રોઈ શકતા હતા અને હિરાભાઈ જરુર પડે ટકાટકી કરી શકતા હતા.

કાળક્રમે હેલ્પેશભાઈને ખબર પડી કે સંવાદ લેખક જુદા હોય છે. પણ તેથી હેલ્પેશભાઈને ખાસ ફેર પડ્યો નહીં. કારણકે આખી સંવાદની ચોપડીને યાદ રાખી લેવી એ કંઈ જેવી તેવી વાત તો ન જ કહેવાય.         

પણ હજી સુધી હેલ્પેશભાઈના મનમાં પસંદગી વાળા હિરાભાઈ એટલે કે પ્રેરણાદાતા હિરાભાઈનો જન્મ થયો ન હતો.

હેલ્પેશભાઈ ભાવનગરમાં આવ્યા પછી તેમની પસંદગીના હિરાભાઈનો જન્મ થયો.

બોલો આ કોણ હશે?

આ હિરાભાઈ હતા ભગવાનદાસભાઈ,

હેલ્પેશભાઈને ભગવાનદાસભાઈ  કેમ ગમતા હતા?

ભગવાનદાસભાઈ તલવાર બાજી સારી કરતા હતા. તે અરસામાં “નિશાન” ફિલમ આવેલી. તેમાં પણ તલવાર બાજીના દૃષ્યો હતા. પણ તે ફિલમમાં કાનમાં કડી હરેલા હિરો હતા તેથી હેલ્પેશભાઈને અજુગતું લાગતું હતું.

ભગવાનદાસ ભાઈની તલવાર બાજીની એક વિશિષ્ઠતા હતી. આમ તો પ્રેમનાથભાઈ પણ તલવાર બાજી કરતા હતા. ભગવાન દાસ ભાઈની અદાઓ હતી. ભગવાનદાસભાઈ પોતાના પ્રતિસ્પર્ધીને રમાડતા રમાડતા ચપટીવારમાં હરાવી દેતા હતા. શિવાજી ની એક ફિલમ હતી જેમાં શંકર ભગવાન અને પાર્વતીજી ને બતાવવામાં અવેલા. શંકર ભગવાન શિવાજી તરીકે જન્મ લે છે અને કોઈ એક મુસ્લિમ રાજાને તલવારબાજીથી થોડી સેકંડોમાં ખતમ કરી નાખે છે. આજે બાળકોને ડૅન્સ કરતા હિરાભાઈઓ મનપસંદ હોય છે.

ડેઈઝી ઈરાની જે બાબલા તરીકે આવતો હતો તે હેલ્પેશભાઈને ગમતો. તેનું નામ ચટપટ હતું. બેબી તબસ્સુમ પણ હતી. પણ તેની ઠાવકી ભાષા હેલ્પેશભાઈ સમજી શકતા ન હતા. પ્રેક્ષકો બેબી તબસ્સુમ ના બોલાવાથી ખડખડાટ હસતા. પણ હેલ્પેશભાઈને બધું હવામાં જતું. જેમકે એક ફિલમમાં બેબી તબસ્સુમ કહે છે “મારે જ બધું કામ કરવું પડે છે” આવું સાંભળીને પ્રેક્ષકો હસે છે. પણ હેલ્પેશભાઈને અચરજ થાય છે કે આમાં હસવાનું શું છે?

કદાચ અનારકલી અને સગાઈ નામની ફિલમથી હેલ્પેશભાઈને ફિલમમાં થોડી થોડી સમજ પડવા માંડી. અનારકલી અને સગાઈના હિરાબેન હેલ્પેશભાઈને  રુપાળા લાગેલ. એ સિવાયની હિરાબેનો, હેલ્પેશભાઈને રુપાળી લાગતી જ નહીં.

હેલ્પેશભાઈને હિરાભાઈઓ કે હિરાબેનો પ્રત્યે કદીય અહોભાવ ઉત્પન્ન થયો નહીં. કારણ કે અહોભાવ થવાની માનસિક ઉચ્ચતા પર  હેલ્પેશભાઈ પહોંચે તે  પહેલાં જ તેમને ખબર પડી ગઈ કે;

આ હિરાભાઈઓ અને હિરાબેનો પોતે સંવાદ બનાવતી નથી.

તે ઉપરાંત

આ હિરાભાઈઓ અને હિરાબેનો પોતે ગીતો બનાવતી નથી તેથી હેલ્પેશભાઈ, હિરાભાઈ અને હિરાબેનો શીઘ્ર કવિ છે તે  શીઘ્ર કવિની માન્યતા ધરાશાયી થયેલ.

આ હિરાભાઈઓ અને હિરાબેનો કશું સળંગ મોઢે રાખતાં નથી,

આ હિરાભાઈઓ અને હિરીબેનો  એક જ ઘાએ અભિનય કરતાં નથી,

આ હિરાભાઈઓ અને હિરાબેનો ના અનેકવારના અભિનયના પ્રયત્નો કરાવ્યા પછી તેને સ્વિકારમાં આવે છે.

આ હિરાભાઈઓ અને હિરાબેનો જ્યારે અભિનયના પ્રયત્નો ચાલુ હોય ત્યારે બોલવામાં અક્ષમ્ય ભૂલો કરતા હોય છે. તેમને ઘણા જ રી-ટેક કરવા પડતા હોય છે.

આ બધા કારણસર જ્યારે હેલ્પેશભાઈ કોલેજમાં પહોંચ્યા તે પૂર્વી જ  હિરાભાઈ અને હિરાબેનોની મજાક ઉડાવતા થઈ ગયા હતા.

હેલ્પેશભાઈના એક મિત્રના મિત્ર આવ્યા. તેઓશ્રી દિલીપકુમારના ભક્ત હતા. તેઓશ્રી દિલીપકુમારની ફિલમ પડે એટલે એ ફિલમ વીસ-પચીસ વાર જુએ.

એટલે હેલ્પેશભાઈએ કહ્યું “આ દિલીપકુમારને તમે કોઈ પણ રોલ આપો પછી ભલે તે મજુરનો હોય, કે ગામડીયાનો હોય કે રાજકુમારનો હોય કે પ્રેમલા-પેમલી હોય કે બંદરનો, એ હમેશા એક જ સ્ટાઈલમાં બોલે છે. … ઇન્સાઈયત નામની એક ફિલમ આવેલી. આ ફિલમમાં દિલીપભાઈને મેક-અપ વગર ઉતારેલા અથવા વધુ કદરુપા કરીને ઉતારેલા.  આ ફિલમમાં એક વાંદરો (વાંઈદરો) પણ રોલ કરતો હતો…. બાબુરાવ પટેલે કહેલ કે આ વાંદરાનો અભિનય , દિલીપકુમાર કરતાં સારો હતો.”

helpeshbhai

એટલે આ મિત્રના મિત્રે કહ્યું “અરે યાર, આપણે બધા નકામા એક બીજા સાથે લડી મરીએ  છીએ, આ બધા હિરો તો એકબીજા મિત્રો ખાસ મિત્રો હોય છે.”

મારા મિત્રે પેલા મિત્રને કહ્યું કે આ હેલ્પેશભાઈ તો બધા જ હિરોની વિરુદ્ધમાં છે. તુ એમની જોડે ચર્ચા ન કરીશ. તમે બંને નકામા ઝગડી પડશો.

એક વખત જબલપુરમાં સહાધ્યાયીઓ સાથે  ચર્ચા ચાલી.

પોતાનો માનીતો હિરો કોણ?

હેલ્પેશભાઈએ બધાની ટીકા કરી. દિલીપકુમાર, દેવાનંદ અને રાજકપુરની એક્ટીંગની અવૈવિધ્યતા બતાવી. અને મજાકમાં કહી દીધું કે શ્રેષ્ઠ હિરો તો પ્રદીપ કુમાર છે. અને મારા સહાધ્યાયીઓ દ્વારા પ્રદીપકુમાર કૂટાઈ ગયો.

દિલીપકુમાર, દેવાનંદ અને રાજકપુર;

દિલીપકુમાર ભાઈ, રાજકપુરભાઈ અને દેવજીભાઈ (દેવાનન્દભાઈ) આ ત્રણે     હિરાભાઈઓમાં દિલીપકુમારભાઈ ઓછા દેખાવડા. જો કે મુસ્લિમ બહેનોમાં તેઓ લોકપ્રિય ખરા. આ વાતની તમે તેમની ફિલમ જોવા જાવ એટલે ખબર પડે.

બધાને પ્રેમમાં પડવું તો હોય જ.

દિલીપભાઈની ખાસીયત એ કે તેમની ફિલમમાં હિરાબહેનો તેમના પ્રેમમાં સામે થી પડે. આવું કેમ થતું હશે તે સંશોધનનો વિષય છે. તૈયાર માલ મળી જાય એ કોને ન ગમે?

એ નાતે દિલીપભાઈના અંતરાત્મામાં એવો ગર્ભિત ભય ખરો કે આપણે બહુ રુપાળા નથી તેથી જો કૃષ્ણ ભગવાનના ચાળે ચડશું તો કૂટાઈ જઈશું. એના કરતાં એવી જ ફિલમ કથા પસંદ કરવી કે માલ (હિરાબેન)  સામેથી જ આવે. જે ભાઈઓ દિલીપકુમારભાઈ જેવી મનોવૃત્તિ ધરવતા હોય તેવા ભાઈઓ દિલીપકુમારને પસંદ કરતા અને તેમની સાથે તાદાત્મ્ય સાધતા કે ક્યારેક તો કોઈ સ્ત્રી આવીને આપણા ઉપર મરશે.

રાજકપુર ભાઈને એવું કે તેમને હિરાબેન સાથે પ્રેમ તો થાય. પણ સંજોગો એવા ઉત્પન્ન થાય કે હિરાબેન સંજોગોવશ રાજકપુર ભાઈને છોડી દે. એક જ ફિલમમાં આવું એકથી વધુ વાર બને. રાજકપુરભાઈ એકાદ કરુણતાપૂર્ણ ગીત ઠપકારી દે. હે પ્રેક્ષકો,  દુનિયાના તાલ જુઓ. અને મારી દયા ખાવ. રાજકપુરભાઈ આમ કારુણ્યના કીંગ હતા, જેમ મીનાબેન (મીનાકુમારી) કારુણ્યની રાણી (ટ્રેજડી ક્વીન). હેલ્પેશભાઈ તેને “અઘેલી વાણીયણ” તરીકે ઓળખાવતા.

તમે કોઈ ફિલમ એવી જોઈ છે જેમાં રાજકપુર ભાઈ બીડી/સીગરેટ ન હોય?

હાજી, વાલ્મિકી ફિલમ એકમાત્ર એવી ફિલમ છે કે જેમાં રાજકપુરભાઈએ નારદમુનીનો રોલ કરેલો. બોલો… કેવીરીતે રાજકપુરભાઈ સીગરેટ/બીડી પી શકે?

દેવજીભાઈ (દેવાનંદ) સાપેક્ષે રુપાળા. એટલે તેઓશ્રી તો પોતાને કામણગારો  કૃષ્ણ કનૈયો જ સમજે. દેવજી ભાઈ બધી જ ફિલમોમાં એક નિશ્ચિત હિરાબેનની છેડતી કર્યા કરે. ફિલમની અંદર કાળક્રમે આ હિરાબેન દેવજીભાઈ સાથે પાણીગ્રહણ કરે.

વાસ્તવમાં પણ એવું જ હતું. બહેનો બધી જ દેવજીભાઈ ઉપર ફિદા હતી. આ બધી બહેનો પણ જે તે ફિલમમાં તત્કાલીન હિરાબેન સાથે તાદાત્મ્ય સાધતી હશે કે ક્યારેક આવો કામણગારો પુરુષ આપણને છેડશે અને પછી આપણે તેની સાથે પાણીગ્રહણ કરીશું.

જોકે કેટલીક બહેનો  અઘેલી વાણીયણ ની જેમ (મીનાકુમારીની જેમ) દુઃખી જીંદગી માટે મીના કુમારીનો વહેમ રાખતી અને તેની સાથે તાદાત્મ્ય સાધતી.   

દેવજીભાઈની એક અદા (સ્ટાઈલ) હતી. તેઓ હાથ લુલા રાખીને ઝુમતા ઝુમતા અભિનય કરતા. એક “ડાલ્ડા દેવાનંદ” નામના ભાઈ, તેમની સ્ટાઈલ મારતા. દેવજી ભાઈએ તેમની સ્ટાઈલ બંધ કરી હતી કે નહીં તેની ખબર નથી.

આ બધા મુખ્ય હિરાભાઈ હતા. બીજા પણ હિરાભાઈઓ હતા. સંજીવકુમાર, બલરાજ સહાની, જયરાજ … આપણે લેખ લખવો છે પુસ્તક નહીં.

પહેલે થી જ બધી હિરાબેનો માદા તરીકે  વર્તતી. પહેલાંની હિરાબેનોને સામાન્ય રીતે શાસ્ત્રીય નૃત્ય આવડતું નહીં. તેથી તેઓ બંને હાથ અવનવી રીતે હલાવીને નૃત્ય કરતી જાણે કે એમ લાગે કે તેમના હાથોને આંટી પડી જશે તો શું થશે?  જોકે વયસ્ક હિરાબેનોમાં લલિતા પવાર વૈવિધ્ય પૂર્ણ અભિનય કરતી. ભદ્રા બેન (શબાના આઝમી) અને હસુબેન (માલા સિંહા) વૈવિધ્યતા પૂર્ણ અભિનય કરતા. ઉજમબેન (નિરુપા રૉય) એમાં અપવાદ હતા. પણ ગુજરાતી બહેનોમાં તે લોકપ્રિય હતા.

હેલ્પેશભાઈની બદલી અમદાવાદ અને પછી  મુંબઈ થઈ પછી કામના ભારણને લીધે ફિલમો જોવી બહુ જ ઓછી થઈ ગઈ. હેલ્પેશભાઈ  “છોડા ચેતન” નામની ફિલમ તેમની ભત્રીજી ને બતાવવા લઈ ગયેલ. પછી તો કાળક્રમે તેમની ભત્રીજી   મોટી થઈ, તેના લગ્ન થયા. અને તેને બાબો આવ્યો. અને તે બાબલાને લઈને હેલ્પેશભાઈ એક ફિલમ જોવા  ગયા. આ બે ફિલમો ની વચ્ચે નો સમય પંદરેક વર્ષનો હશે તે દરમ્યાન કોઈ ફિલમ જોએલી નહીં. આ બીજી ફિલમનું નામ હતું “છોટા ચેતન”. જો કે તે છોટા ચેતનનું  નવું વર્સન હતું.

આજે પણ હિરાબેનો કંઈક વધુ અંશે, માદા તરીકે જ વર્તે છે. જ્યારે આવું ન હોય ત્યારે હિરાબેનો પશ્ચિમી હિરાબેનોની સ્ટાઈલ મારે છે.

હાલના હિરાભાઈઓ પોતાને એક્ટર કરતાં નર તરીકે વધુ પ્રદર્શિત કરવામાં માને છે. કેટલાક વર્ષોથી  હિરાભાઈઓ દાઢી રાખતા થઈ ગયા છે.

હિરાભાઈઓ દ્વારા  દાઢી રાખવાના મુખ્ય કારણો કયા છે?

કટ્ટર મુસ્લિમોએ દાઢી રાખવી જ જોઇએ. પશ્ચિમના દેશોમાં આતંકી હુમલાઓ પછી, દાઢીવાળા મુસ્લિમો ઉપર એરપોર્ટ ઉપર સઘન ચેકીંગ શરુ થયું.

આ અન્યાય હતો એવું કેટલાકને લાગ્યું. માલદાર મુસ્લિમ દેશોએ પશ્ચિમના  હિરાભાઈઓને ફોડ્યા. અને આ હિરાભાઈઓએ  દાઢી રાખવી શરુ કરી. તંગલો નાચ્યો એટલે તંગલી નાચી. આપણા દેશી હિરાભાઈઓએ પણ દાઢી રાખવી શરુ કરી.

શરુઆતમાં તો હકલાભાઈએ દાઢી વધારી. ડી-ગેંગ (દાઉદની ગેંગના નેટવર્કના લોકો) “શાહરુખ ખાનને “હકલા” તરીકે ઓળખે છે.  ચીકના ભાઈએ પણ દાઢી વધારી. અમીરખાનને ડી-ગેંગ ચીકના તરીકે ઓળખે છે. તેથી બીજા દેશી હિરાભાઈઓએ પણ દાઢી વધારી. એટલે પછી મોડેલીંગનું કામ કરતા ભાઈઓને પણ થયું કે અમે કંઈ હિરાભાઈઓથી કમ છીએ શુ? એટલે મોડેલીંગ વાળા ભાઈઓ પણ દાઢી રાખવા માંડ્યા. આવું થયું એટલે બધા જ વાદીલા (વાદે ચડેલા-રવાડે ચડેલા) જુવાન લોકોએ દાઢી રાખવી ચાલુ કરી દીધી. પછી તો વયસ્ક હોય પણ પોતાને જુવાન માનતા હૈ તેવા લોકોએ પણ દાઢી રાખવી શરુ કરી દીધી.

આપણા, હકલા અને ચીકનાએ દાઢી રાખવી બંધ કરી દીધી. કારણ કે “સાધ્યં ઈતિ સિદ્ધમ્‌”.

આપણા દેશી ભાઈઓને એમ છે કે આપણી (દેશી) માદાઓ “રફ એન્ડ ટફ” પુરુષોને વધુ પસંદ કરે છે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

ભારતમાં લોકશાહીને સુરક્ષિત રાખવાનું દે ધનાધન

ભારતમાં લોકશાહીને સુરક્ષિત રાખવાનું દે ધનાધન

ભારતમાં લોકશાહીને સુરક્ષિત કોણે રાખી?

ભારતરત્ન

શું આ સળગતી સમસ્યા છે?

“ના જી. આ સળગતી સમસ્યા નથી. અરે સમસ્યા પણ નથી.

“હા પણ કોંગીઓ માટે, જો નહેરુને, આ માટે નહેરુના યોગદાનને, માન્યતા ન આપીએ તો કોંગીઓનો, એકમાત્ર હકારાત્મક મુદ્દો, (ભલે તો વિવાદાસ્પદ હોય) નષ્ટ પામી જાય.

પણ આપણને શો ફેર પડે?

“હા ભાઈ, અમને ફેર પડે કારણ કે અમે કોંગીને મૂળ કોંગ્રેસ માનીએ છીએ. મૂળ કોંગ્રેસ એટલે કે જે કોંગ્રેસે સ્વાતંત્ર્યની ચળવળમાં પોતાની જાતને હોમી દીધી હતી. જવાહર લાલ નહેરુએ પણ કોંગ્રેસની અંદર રહીને પોતાની જાતને હોમી દીધી હતી. ઇન્દિરા, રાજીવ, સોનિયા, રાહુલ, પ્રિયંકા … નહેરુ સાથે પ્રાણીશાસ્ત્ર પ્રમાણે સંબંધિત છે, તેથી કોંગ્રેસ પણ મૂળ કોંગ્રેસ છે. સાધ્યં ઇતિ સિદ્ધમ્‌.

“પણ મૂળ કોંગ્રેસમાં તો બીજા લોકો પણ હતા. અને આ બીજા લોકોએ પણ પોતાની જાતને સ્વાતંત્ર્યની ચળવળમાં હોમી દીધી હતી, તેનું શું? જેમ કે લોહિયા, જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, રાજ ગોપાલાચારી, વિનોબા ભાવે … આવા અસંખ્ય મહાનુભાવો છે.

“ અરે ભાઈ …, તેઓ કોંગ્રેસમાંથી નિકળી ગયેલા. તેઓ એ તો પોતાની કોંગ્રેસ સ્થાપેલી… જેમકે કોંગ્રેસ રીયલ, કોંગ્રેસ સંસ્થા … એટલે તેમને નહીં ગણવાના … પછી ભલે તેમણે નહેરુના દાવપેચને કારણે કે વંશવાદને કારણે કે સિદ્ધાંતોને કારણે કોંગ્રેસ છોડી હોય. તેમનું લોકશાહી માટેનું યોગદાન શૂન્ય ગણવાનું અને લોકશાહીને જીવતી રાખવાનું શ્રેય, નહેરુને જ આપવાનું. કારણ કે સત્તા તો તેમની પાસે હતી ને? જે સત્તાના શિર્ષ સ્થાન ઉપર હોય, તેને જ બધા શ્રેય આપવાના અને જે દુષણો/ક્ષતિઓ હોય તે જે તે ખાતાના મંત્રીઓને આપાવાના. હા ભાઈ હા, જમવામાં જગલો અને કૂટાવામાં ભગલો. ખબર નથી તમને? ઇતિ.

 “ભારતમાં લોકશાહી ક્યા કારણોસર સ્થપાઈ અને કયા કારણોસર ચાલુ રહી? શા માટે આપણા પડોશી દેશોમાં લોકશાહી ચાલુ ન રહી શકી? આપણા પાડોશી દેશોમાં ચાલુ ન રહી શકી, અને આપણા દેશમાં ચાલુ રહી, તે માટે આપણે કોને તો શ્રેય આપવું જોઇએ? નહેરુને શા માટે આ શ્રેય ન આપવું?

જો દેશના મૂર્ધન્યો અમુક બારીઓ ખુલ્લી ન રાખે તો ભલે તેઓ કોઈ પણ ઉંમરે પહોંચે તો પણ તેમની માન્યતા ન બદલી શકે.

પૂર્વગ્રહ વાસ્તવમાં છે શું?

ધારો કે આપણને એક કોટડીમાં રાખ્યા છે, કે આપણે જાતે તેમાં ગયા છીએ, અને તેમાં રહીએ છીએ… આપણે અંદર ગયા છીએ એટલે એક બારણું તો હોવું જ જોઇએ… એટલે ત્યાંથી તો પવન અને પ્રકાશ આવે … પવન એટલે બહારનું વાતાવરણ. અને પ્રકાશ એટલે અજવાળું.

આ “કોટાડી”ને તમે એક વૈચારિક કોટડી સમજી લો … આ કોટડીને ગોળાકાર કોટડી સમજી લો.

બારીઓ વિષે શું છે?

બધી બારીઓ વિષે તમે જાણતા નથી, અથવા

ક્યાં ક્યાં બારીઓ છે તે તમે જાણો છો પણ અમુક જ બારીઓ તમારે ખોલવી છે. અથવા,

બીજી બારીઓ તમારે બંધ રાખવી છે.

બારીઓમાંથી માહિતિઓ આવે છે.

દરેક ખૂલ્લી રાખલી બારીમાં તમે ડોકીયું કરી શકો છો અને જે તે બારીમાંથી તમને બહારની ભીન્ન ભીન્ન પરિસ્થિતિનો ક્યાસ તમને મળે છએ અથાવા તો તમે તે ક્યાસ મેળવવા સક્ષમ છો.

હા જી. લોકશાહી ચાલુ રહી તે તો આપણી માનસિક વિકાસની પારાશીશી છે. તો હવે તેનું શ્રેય કોને આપીશું? આ શ્રેય જો તમારે ઓળઘોર કરીને જ કોઈને આપવું હોય તો તમે ગમે તેને આપી શકો છો. રાજિવ ગાંધીને “ભારતરત્ન”નો ખિતાબ આપેલો જ છે ને!

કોંગ્રેસ અને કોંગી એ બેની વચ્ચેનો જે વૈચારિક અને કાર્યશૈલી વચ્ચેનો ભેદ છે તે જેઓ સમજ્યા નથી, કે સમજવા માગતા નથી કે સમજવા માટે તૈયાર નથી તેઓ કોઈપણ રીતે કે રીત વગર આ ચાલુ રહેલી લોકશાહીનો યશ નહેરુને આપવા માગે છે.

આ એક ફરેબી વાત છે.

દેશ, રાષ્ટ્ર, લોકશાહી, જનતંત્ર અને ગુલામી … આ બધી વ્યવસ્થા ભીન્ન ભીન્ન છે.

“દેશ” એ એક રાજકીય વિસ્તાર છે. રાષ્ટ્ર એ એક સાંસ્કૃતિક વિસ્તાર છે.

ભારત દેશ, બ્રીટીશ સામ્રાજ્યમાં હોવા છતાં પણ બ્રીટીશ હિન્દના તાબાના પ્રદેશોમાં ચૂંટણી થતી હતી. તેના જનપ્રતિનિધિઓ હતા. જ્યાં દેશી રાજ્યો હતા ત્યાં દેશી રાજાઓનું રાજ હતું. જોકે અંતિમ નિર્ણય બ્રીટીશ સામ્રાટનો ગણાતો. પણ કાયદાનું રાજ્ય હતું.

તે વખતે મૂર્ધન્યોની માનસિકતા કેવી હતી?

“દેખ બિચારી બકરીનો પણ કોઈ ન પકડે જાતાં કાન,

એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન” (કવિ દલપત રામ)

પણ આમાં કવિ દલપતરામનો વાંક ન હતો. તેમણે પેશ્વાના રાજને પણ જોએલું. તેમના સમયની અરાજકતા તેમણે અનુભવેલી કે સાંભળેલી. અને તે પછી કાયદાના રાજવાળું બ્રીટીશ શાસન તેમણે અનુભવેલું. ભારત દેશ ગુલામ હોવા છતાં પણ પેશ્વાના રાજ કરતાં વધુ સ્વતંત્ર હતો કારણ કે કાયદાનું રાજ હતું. અન્યાય ઓછો હતો.

વળી ભારત “વસુધૈવ કુટૂંબકમ્‌” ની ભાવના વાળો હતો એટલે પીંઢારા અને પેશ્વાના સુબેદારો ના શાસન કરતાં અંગ્રેજોને સારા ગણતો હતો. સામાન્ય રીતે અંગ્રેજો સારા હતા અને તેઓ કાયદાને માન આપતા હતા. ખામી ફક્ત એ હતી કે કાયદો બદલવાનો હક્ક ભારતીયોને ન હતો અને કાયદો ત્યારે જ બદલાતો જ્યારે બ્રીટીશ ક્રાઉન નો સીક્કો વાગતો. બ્રીટીશ ક્રાઉનનો સીક્કો ત્યારે જ વાગતઓ જ્યારે બ્રીટીશ સંસદ જે તે ઠરાવને મંજૂરી આપતી.

આ એક સુક્ષ્મ ભેદ હતો.

આવા બ્રીટીશ રાજ્ય સામે ભારતની નેતાગીરીને વિદ્રોહ માટે તૈયાર કરવી એ ઘણું અઘરું કામ હતું.

૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ નિસ્ફળ જવાના કારણો વિષે, ઘણા નેતાઓએ મનોમંથન અને આત્મ મંથન કર્યું હતું અને કરતા રહ્યા હતા. આ નેતાઓમાં બે પ્રકારના નેતાઓ હતા. એક દેશપ્રેમી અને બીજા રાષ્ટ્રપ્રેમી.

દેશપ્રેમી લોકોમાંના મોટા ભાગના બ્રીટીશ શિક્ષણનું ઉત્પાદન હતા. અને રાષ્ટ્રપ્રેમી નેતાઓ સામાન્ય રીતે સંસ્કૃતભાષાના પંડિતો હતા. રાજા રામમોહન રોય, બ્રીટીશ શિક્ષણનું ઉત્પાદન હતા. દયાનંદ સરસ્વતી સંસ્કૃત ભાષાનું ઉત્પાદન હતા.

ભારત રાષ્ટ્રની નેતાગીરી, શાસ્ત્રો ઉપર અને તેમના ગૌરવ ઉપર પ્રચ્છન્ન રીતે આધારિત હતી. ભારતદેશની નેતાગીરી બ્રીટીશ રાજના શિક્ષણ અને કાયદાઓ ઉપર આધારિત હતી. કેટલાક દેશપ્રેમીઓનો ભ્રમ વિવેકાનંદના આવ્યા પછી ભાંગવા માંડ્યો હતો. બાલ ગંગાધર ટીળકનો ભ્રમ તૂટ્યો. રૉલેટ એક્ટ આવ્યા પછી અને જલીયાવાલા બાગની ઘટના પછી ગાંધીજીનો પણ ભ્રમ તૂટી ગયો. આ બંને નેતાઓ ભારતદેશના નેતાઓ હતા. (ભારત રાષ્ટ્રના નહીં). ૧૯૧૬માં ગાંધીજી ભારતમાં આવ્યા અને કાલાંતરે ચંપારણનો સત્યાગ્રહ કર્યો, આ અંતરાલમાં ગાંધીજી “ભારતરાષ્ટ્ર”ના નેતા બની ગયા. ગાંધીજીને ખ્યાલ આવી ગયો કે ભારતદેશ કરતાં ભારતરાષ્ટ્ર વધુ સુસંસ્કૃત છે અને ઉચ્ચ છે. ભારતની સમાજવ્યવસ્થા અંગ્રેજ સરકારની સમાજ વ્યવસ્થા કરતાં વધુ ઉચ્ચ અને વધુ શ્રેય છે. ભારતની જનતા માટે ભારતરાષ્ટ્રની શાસ્ત્રીય વ્યવસ્થા ભારતની જનતા માટે વધુ ગ્રાહ્ય છે. ગાંધીજીને એ વાતની અનુભૂતિ થઈ કે ભારતમાં વ્યાપ્ત સનાતન ધર્મ વ્યવસ્થાને કારણે જ ભારતમાં સનાતન ધર્મ, સેંકડો આક્રમણો છતાં ટકી રહ્યો. ઈટાલી, ગ્રીસ, ઈજીપ્ત, અને મેક્સીકોની સંસ્કૃતિઓ પણ સુવિકસિત સંસ્કૃતિઓ હતી, પણ તે સંસ્કૃતિઓ આંગળીના વેઢે ગણી શકાય એટલા દશકાઓમાં વિદેશી આક્રમણોથી પરાજિત થઈ ગઈ હતી અને તેના ધર્મો, સો ટકા નષ્ટ પામી ગયા. બીજી બાજુ ભારતની સંસ્કૃતિ હજારો વર્ષ જુની હોવા છતાં, અને  સૈકાઓ લાંબા વિદેશી આક્રમણોથી પરાજિત થવાં છતાં, પોતાની રાષ્ટ્રીય સંસ્કૃતિ જાળવી રાખી શકી છે. શું આને તમે નહેરુનું યોગદાન ગણશો?

ભારત દેશ કદાચ શહેરોમાં થોડો ઘણો જીવતો હશે. પણ ભારતરાષ્ટ્ર, ગ્રામ્ય ભારતમાં જીવે છે. અંગ્રેજો આવ્યા ત્યારે ભારતરાષ્ટ્ર શહેરોમાં પણ જીવતું હતું. તે વખતે શહેરોમાં (તાલુકાઓ સહિત) ભારતીય પાઠશાળાઓ હતી. બંગાળમાં જ બ્રીટન કરતાં વધુ પાઠશાળાઓ હતી.

અંગ્રેજોના બે ધ્યેય હતા.

(૧) ભારતને ગરીબ બનાવી દેવો. (૨) જેઓ અંગ્રેજી શિક્ષણ વ્યવસ્થાને સ્વિકારે તેને જ નોકરી આપવી.

આ માટે અંગ્રેજોએ કેવા પગલાઓ લીધાં તે આપણે જાણીએ છીએ. એટલે તેને વિષે ચર્ચા નહીં કરીએ.

ગાંધીજી અંગ્રેજોની અમલમાં મુકેલી વ્યવસ્થાને સમજી ગયેલા.

ગાંધીજીએ “સ્વદેશી નો પ્રચાર અને વિદેશી માલનો બહિષ્કાર” ની ચળવળ ચલાવી. જો કે ભલભલા ખેરખાં એવા નેતાઓએ, આ બાબતમાં ગાંધીજીની ટીકા કરેલ. કેટલાકે તો સવિનય કાનૂનભંગની લડતનો પણ વિરોધ કરેલ. આ બધાના નામ આપી શકાય તેમ છે. પણ આપણું ધ્યેય કોઈની ટીકા કરવાનું નથી. તેથી આની ચર્ચા નહીં કરીએ.

ભારત રાષ્ટ્રનો સમાજ એક ખૂલ્લો સમાજ છે.

અંગ્રેજોના શાસનકાળમાં તે થોડોક બંધિયાર થઈ ગયેલ. તેનું કારણ ગરીબી હતી. લાચારી હતી. સાયણાચાર્યે મુસ્લિમ યુગમાં, સાતવળેકરે અને દયાનંદ સરસ્વતીએ બ્રીટીશ યુગમાં વેદોની અંદર રહેલા જ્ઞાનને ઉજાગર કર્યું. વિવેકાનન્દ પણ આ જ્ઞાન સામાન્ય કક્ષાની જનતા પાસે લઈ ગયા અને ભારત રાષ્ટ્રનો મહિમા સમજાવ્યો.

ગાંધીજી પણ સમજી ગયા હતા કે વેદોમાં રહેલું જ્ઞાન ઉત્કૃષ્ટ છે. રાષ્ટ્રપ્રેમ જાગૃત કર્યા વગર સ્વતંત્રતા મળશે નહીં.

ન્યુટન – આઈન્સ્ટાઈન અને પાદરી.મુલ્લાં.સંત – ગાંધીજી

પદાર્થની ગતિમાં ફેરફાર પદાર્થ ઉપર લાગતા બળના પ્રમાણ અને બળની દિશામાં હોય છે. આ ન્યુટનનો નિયમ હતો.

આઇન્સ્ટાઈન નો નિયમ હતો કે પદાર્થની આસપાસ ફીલ્ડ (ક્ષેત્ર) હોય છે. ફિલ્ડને દિશા અને શક્તિ હોય છે. એટલે પદાર્થની ગતિનો ફેરફાર ફીલ્ડ ની શક્તિ અને ફિલ્ડની દિશાને કારણે હોય છે.

આપણે બધા ભૌતિક વિશ્વમાં જ રહીએ છીએ. આપણો વિચાર એ એક ફીલ્ડ છે. આચાર એ ગતિ છે. પાદરી.મુલ્લા.સંતો વ્યક્તિને પકડે છે અને વ્યક્તિના વિચારમાં પરિવર્તન લાવવાનું કામ કરે છે. (જો કે બધા સંતોને આ વાત લાગુ પડતી નથી).

ગાંધીજી વિચારને ફિલ્ડ સમજ્યા અને તેને બળવત્તર કરવા અને અનુભૂતિ કરાવવા તેને અનુરુપ સામુહિક કાર્યક્રમો આપ્યા. એટલે સામુહિક ફિલ્ડની એક શક્તિ ઉત્પન્ન થઈ. દરેક વ્યક્તિને લાગ્યું કે તે સ્વાતંત્ર્યની ચળવળનો એક સૈનિક છે. આમ વ્યક્તિ એક વ્યક્તિ ન રહેતાં એક સમૂહ બની ગયો. આમ સામુહિકરીતે સ્વદેશી પ્રચાર અને સામુહિક રીતે વિદેશી માલનો બહિષ્કાર એ સરકારની સામે એક મોટું શસ્ત્ર બની ગયું.

પ્રાર્થના સભા, પ્રભાતફેરી, સ્વદેશીનો સામુહિક રીતે પ્રચાર, વિદેશી માલના બહિષ્કારના સામુહિક કાર્યક્રમો … આ બધાનો ફાયદો એ થયો કે આમ જનતામાં સંવાદ વધ્યો અને વૈચારિક જાગૃતિ માટેના માધ્યમો ટાંચા હોવા છતાં પણ વૈચારિક જાગૃતિ ઝડપથી આવી અને ઝડપથી પ્રસરી.

કાર્લ માર્ક્સે જો કશું સત્ય કહ્યું હોય તો તે એજ કે સમાજમાં માલનું ઉત્પાદન કેવીરીતે  થાય છે અને માલનું વિતરણ કેવીરીતે થાય છે, આ વ્યવસ્થાઓ  સમાજનું ચારિત્ર્ય ઘડે છે.

ગાંધીજીએ આ નિયમનો પૂરો લાભ લીધો.

રાજસત્તાનું વિકેન્દ્રીકરણ અને જનપ્રતિનિધિત્વની વ્યવસ્થા એ એક રીતે એકબીજાના પર્યાય છે.

લોકશાહીને કોણે જીવતી રાખી?

ભારતમાં લોકશાહીના મૂળ ઉંડા છે. ભારતમાં લોકશાહીના મૂળ ઉંડા છે તે ઉજાગર કરવાનું કરવાનું કામ ગાંધીજી કરતા હતા. જો કે આપણા દેશપ્રેમી બધા નેતાઓ અને કેટલાક રાષ્ટ્રપ્રેમી નેતાઓ આ વાત સમજી શકતા ન હતા. કારણ કે દેશપ્રેમીઓ માનસિક રીતે અંગ્રેજોના અથવા તો પાશ્ચાત્ય સભ્યતાના વૈચારિક ગુલામ હતા, જ્યારે કેટલાક રાષ્ટ્રપ્રેમી નેતાઓમાં માનસિક વિકાસનો અભાવ હતો, એટલે કે તેઓ પોતાની વિચાર શક્તિના અભાવમાં ગાંધીજીના વિરોધી હતા.

લોકશાહીની વ્યાખ્યા શી?

પાશ્ચાત્ય વિદ્વાનોએ કહ્યું લોકો થકી લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી. પણ લોકો એટલે શું?

આનો સીધો અર્થ બહુમતિ જ થાય.

આ બહુમતિને બદલવાના ઘણા શસ્ત્રો ઉપલબ્ધ હોય છે. બહુમતિના માનસિક સ્તર પર બહુમતિની કાર્યશૈલી અવલંબે છે.

પુરુષોત્તમ માવળંકરે એવી વ્યાખ્યા કરેલી

“જ્યાં સત્યનો આદર થાય તે લોકશાહી”

પણ સત્ય સમજવા માટે જનતાનું માનસ સક્ષમ હોવું જોઇએ.       

એટલે કે જો જનતા સાક્ષર હોય તો લોકશાહી યોગ્ય છે.

પણ સાક્ષર એટલે શું?

નારાયણભાઈ દેસાઈએ “સાક્ષર”ની વ્યાખ્યા “જે સમસ્યાને જાણે છે અને સમસ્યાને સમજે છે” તે સાક્ષર. એટલે કે જાગૃત નાગરિક.

તો પછી નાગરિકને જાગૃત કોણ કરે?

આ માટે ભારતમાં ઋષિમુનીઓ હતા અને તેમણે શાસ્ત્રો લખેલા. આ શાસ્ત્રોને સમજવાવાળા આચાર્યો હતા. આચાર્યો ઉત્પન્ન કરવા માટે વિદ્યાપીઠો હતી. આ આચાર્યો નિડર હતા.

નિડર એટલે શું?

નારાયણભાઈ દેસાઈએ નિડરની વ્યાખ્યા કરેલ

“ સત્ય (શ્રેય)ની સ્થાપના માટે જે કોઈથી ડરે નહી, અને જેનાથી કોઈ ડરે નહીં તે”.

કૌટીલ્ય, શંકરાચાર્ય, સાયણાચાર્ય, સાતવળેકર, દયાનંદ સરસ્વતી જેવા અનેક આચાર્યો ભારતમાં હતા અને છે. હાલમાં પણ એવા આચાર્યો છે જેઓ વિદ્વાન અને વિચારક છે અને નિષ્કામ રીતે કર્મ કરે છે. તેઓ કોઈ હોદ્દો ભોગવવામાં માનતા ન હતા. ધન અને સંપત્તિના તેઓ દાસ ન હતા.

૧૯૩૩ પછી ગાંધીજીએ ઋષિત્ત્વ ગુણ આત્મસાત કર્યો. તેમણે ધન સંપત્તિનો ત્યાગ તો ઘણા સમય પહેલાં કર્યો હતો. તેમણે પદનો પણ ત્યાગ કર્યો. જેથી તેમના અભિપ્રાય ઉપર મૂક્ત ચર્ચા થઈ શકે.

પણ જો સત્તા ઉપર બેઠેલો વ્યક્તિ ઋષિ કે આચાર્ય ન હોય અને પોતે ક્રાંતિકારી (એટલે કે સમાજ ઉપર પોતાના મનગઢંત વૈચારિક ફેરફારનું આરોપણ કરનારો ) થઈ જાય તો તે સમાજ માટે ભયજનક બની શકે છે. જેમકે નહેરુ અને ઇન્દિરા ગાંધી કે જેમણે તેમના આચારો દ્વારા દેશના જનમાનસને, નૈતિક રીતે પાયમાલ કર્યું.

નરેન્દ્ર મોદીની માનસિકતા શું છે?

નરેન્દ્ર મોદી હોદ્દો ધરાવે છે … ક્રાંતિકારી વિચારો ધરાવે છે … અને કેટલાક લોકો તેનાથી ડરે પણ છે …

સમાજ જે સ્તર ઉપર છે તેને કારણે નરેન્દ્ર મોદીને સુરક્ષા આપવી આવશ્યક છે.

નરેન્દ્ર મોદી સગાંવ્હાલાં અને મિત્રોને ફાયદો કરી દેવાની વૃત્તિ અને આચાર રાખતો નથી.

તમે સંસ્કૃત શ્લોકને યાદ કરો …

પરદાર પરદ્રવ્ય પરદ્રોહ પરાઙ્ગ મુખઃ

ગંગા બૃતે કદાગત્ય મામયં પાવયિષ્યતિ

 ગંગા કહે છે કે પરસ્ત્રી, બીજાનું ધન અને બીજાએ કરેલું અપમાન એ બધાથી વિરક્ત વ્યક્તિ ક્યારે આવીને મને પવિત્ર કરશે?

બીજાની સ્ત્રી પરત્વે વિરક્તિ રાખવી એ પ્રથમ પાદ છે.

તેનાથી અઘરું કામ બીજાના ધનથી વિરક્ત રહેવું એ દ્વિતીય પાદ છે.

બીજાએ કરેલા અપમાનથી (સ્વાર્થહીન) વિરક્તિ રાખવી તે તૃતીય પાદ છે.

નરેન્દ્ર મોદીએ આ ત્રણેય ગુણો કેળવ્યા છે.

નરેન્દ્ર મોદી તો પરસ્પરની સંમતિથી પોતાની પત્નીથી પણ દૂર રહ્યો છે.   

નરેન્દ્ર મોદીને તેના હોદ્દાની રુએ જે ભેટ સોગાદો મળે છે અને તેના જે વસ્ત્રો છે, તેની તે હરાજી કરી, સ્ત્રીઓના ઉત્કર્ષ માટે દાનમાં આપી દે છે. બીજાના ધન ઉપર પોતાના માટે  કુદૃષ્ટિ કરવાની તો વાત જ નથી.

અમેરિકાએ તેને વીસા ન આપ્યા. આ વિસા માટેની અરજી આમ તો સરકારી વિસા માટેની અરજી હતી અને ગવર્નમેંટ ઓફ ઈન્ડિયાએ અનુરોધ સાથે મોકલેલી. અને તેનો અનાદર કરવો એ ભારતનું અપમાન હતું. આનાથી પણ વિશેષ ભારતના અપમાનો ૧૯૬૯-૭૧ના અમેરિકાના તત્કાલિન પ્રમુખ નિક્સને કરેલ. પણ તત્કાલિન ભારતીય સરકારે અમેરિકા સાથેના રાજદ્વારી સંબંધો તોડી નાખેલ નહીં. આ બધાં એક લોકશાહી વ્યવસ્થાવાળી સરકારે કરેલાં આચારો હતા.

નરેન્દ્ર મોદી ભારતના હિતમાં આ બધાં અપમાનો ગળી જાય છે.

જો કે કેટલાક લોકો અફવા ફેલાવે છે કે મોદી નિક્સનને મળ્યો હતો. કેટલાક આવી વાતોમાં કેવી રીતે આવી જાય છે તે સ્મજાતું નથી.

રીચાર્ડ નિક્સન ૧૯૬૯ થી ૧૯૭૪ સુધી યુએસનો પ્રેસીડેન્ટ હતો. આ નિક્સન ૧૯૧૩માં જન્મ્યો હતો અને ૧૯૯૪માં મરી ગયો હતો. જો મોદી મળ્યો હોય તો તેને ક્યારે મળ્યો તેની ચોખવટ મોદી વિરોધીઓ કરતા નથી. આમ તો સુભાષબાબુ પણ હીટલરને મળ્યા હતા. ગાંધીજી પણ ભારતના ઘોર વિરોધી ચર્ચીલને મળવા માગતા હતા. પણ ચર્ચીલે મળવાની ના પાડી હતી. ગાંધીજી અને સુભાષબાબુ આ બંનેના હેતુ ભારતદેશને નુકશાન કરવાના ન હતા.

નરેન્દ્ર મોદીનો હેતુ પણ ભારતને નુકશાન કરવાનો ન હોઈ શકે. નરેન્દ્ર મોદી તેમને ૧૯૭૫ પછી મળ્યા હોય તો પણ. ૨૦૦૧ સુધી નરેન્દ્ર મોદી એવા કોઈ મહત્ત્વના વ્યક્તિ ન હતા કે યુએસ પ્રમુખ તેમને મળે. સંશોધનનો વિષય છે.

મોદી વિરોધીઓનું કહેવું છે કે બંગ્લાદેશની ચળવળમાં પાકિસ્તાની સેનાએ બંગ્લાદેશમાં ૪૦ લાખ લોકોને મારી નાખેલા અને તેમાં ૩૦ લાખ બંગ્લાભાષી હિન્દુઓ હતા અને ૧૦ લાખ બંગ્લાભાષી મુસલમાનો હતા. નિક્સને આ કતલના સમાચારો દુનિયાથી દબાવેલા.

ભારતમાં જ્યારે લાખોની સંખ્યામાં બંગ્લાદેશી નિર્વાસિતો ઘુસી આવ્યા હોય અને આપણી પ્રધાન મંત્રી કે એના મંત્રીમંડળને કે એની ઈન્ટેલીજન્સ એજન્સીને ખબર ન હોય એટલી હદ સુધી અમેરિકાના નિક્સનની પહોંચ હોય કે તે આવા લાખ્ખોની કતલના સમાચારોને દાયકાઓ નહીં તો વર્ષો સુધી દબાવી રાખી શકે એ વાત માન્યામાં આવી શકે તેવી નથી.

બંગ્લાદેશમાં મુજીબુર રહેમાનનુ શાસન આવ્યા પછી પણ આ નરસંહારની કોઈ તપાસ થઈ શકી નહીં. મુજીબુરને મારીને લશ્કરી શાસન આવી ગયું. ઈન્ટર્નેશનલ ક્રાઇમ ટ્રીબ્યુનલ એક્ટ ૧૯૭૩ બનાવ્યો હતો. પણ ૧૯૭૫માં વિવાદોની વચ્ચે રદ થયો. ૨૦૦૮માં અવામી લીગ સત્તા ઉપર ૨/૩ બહુમતિથી આવી. તેણે તપાસ શરુ કરી અને લગભગ દોઢ હજાર વ્યક્તિઓ ઓળખાઈ અને તેમની ઉપર કાર્યવાહી શરુ થઈ.

અમેરિકામાં કત્લેઆમ થઈ હોય અને તેનું શાસન તેને છૂપાવી શકે તે કદાચ માની લેવાય કારણ કે ૧૯૮૯-૯૦માં હિન્દુઓની કશ્મિરમાં થયેલી કત્લેઆમ અને આતંકને ભારતનીકોંગી અને તેના સમાચાર માધ્યમ સહિતના સાંસ્કૃતિક સાથીઓએ ઠીક ઠીક છૂપાવી હતી.

હવે જો આપણે ૧૯૬૯ થી ૧૯૭૩ સુધી નેશનલ સીક્યોરીટી એડ્વાઇઝર હોવાને નાતે હેન્રી કીસીંન્જરને વાંકમાં લેવો હોય તો પણ નીક્સન તેના વાંકમાંથી છટકી શકે નહીં. વળી હેન્રી કીસીન્જર ૧૯૭૩માં યુએસનો સેક્રેટરી ઓફ સ્ટેટ બન્યો. એના નામની “નોબેલ પ્રાઈસ ફોર પીસ” ભલામણ પણ થઈ. તો વાંક તો આખા યુએસનો જ કહેવાય. એટલું જ નહીં આને ઇન્દિરાની વિદેશનીતિની ભયંકર નિસ્ફળતા કહેવાય. ઇન્દિરા, નહેરુ કરતાં તો વધુ મૂર્ખ હતી જ તેને માટે આજ દાખલો પુરતો છે.

 પ્રમાણભાનની પ્રજ્ઞા, સંદર્ભની પ્રજ્ઞા અને પ્રાથમિકતાની પ્રજ્ઞાની આખી દુનિયામાં ખોટ હોય છે. જો મહાપુરુષોમાં આ સ્થિતિ દૃષ્ટિગોચર થાય તો તેને માટે કાંતો કહેવાતા મહાપુરુષોના “અમુક બારીઓ બંધ રાખવાના” પૂર્વગ્રહ જવાબદાર હોય છે અથવા તો તેના રાજકીય કારણો હોય છે. પાશ્ચાત્ય દેશો અને આપણો દેશ એમાં અપવાદ નથી. બીજાઓની વાત જવા દો. 

સૌથી અઘરી વાત પોતાનું અંગત અપમાન દેશ-હિત ખાતર ગળી જવું તે છે, કે જેની ગંગા રાહ જુએ છે.

શિરીષ મોહનલાલ મહાશંકર દવે

https://www.treenetram.wordpress.com

 

Read Full Post »

કોંગી (ઇન્દિરા નહેરુ કોંગ્રેસ = આઈ.એન.સી. I.N.C.) જીવશે કે નહીં?

કોંગી (ઇન્દિરા નહેરુ કોંગ્રેસ = આઈ.એન.સી. I.N.C.) જીવશે કે નહીં?

કેટલાક મૂર્ધન્યો જેમાં કેટલાક તાજા જન્મેલા છે, કેટલાક કોંગી કટોકટીની આસપાસ જન્મેલા છે અને કેટલાક વાર્ધક્યથી પીડિત છે તેમને આ લેખ ગમશે નહીં. પણ સમયની માંગ છે કે આવું લખવું.

કોંગી (ઇન્દીરાઈ કોંગ્રેસ) એ કોંગ્રેસ નથી.

આ કોંગી ૧૩૩ વર્ષ જુની છે જ નહીં. અને જે કોંગ્રેસે સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લીધો હતો તે કોંગ્રેસને હાલની કોંગ્રેસ સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. આ વાત અગાઉ પણ કહેવાઈ ગઈ છે. દુઃખ એ વાતનું છે કે આપણા કેટલાક મૂર્ધન્યો આ સમજતા નથી. સૌથી વધુ દુઃખ તો એ વાતનું છે કે જેઓએ સિદ્ધાંત અને પક્ષની પરિભાષા અને ઐતિકાસિક ઘટનાઓને જાણતાં જાણતાં વાર્ધક્ય (વૃદ્ધાવસ્થા)ને ભેટ્યા છે તેઓ પણ  કોંગીને ૧૩૩ વર્ષ જુના પક્ષ તરીકે ઓળખાવે છે.

CONGRESS WHO FOUGHT FOR FREEDOM

પક્ષ એટલે શું?

આ કોઈ અઘરો પ્રશ્ન નથી કે મૂર્ધન્યો તેનાથી અજાણ હોય. પક્ષ હમેશા તેના વિચારો (સિદ્ધાંતો) થકી ઓળખાય છે. પણ આ પૂરતું નથી. પક્ષ પોતાના વિચારો પ્રમાણેના આચારો ધરાવતો હોય તો વિચારોનું મહત્વ રહે છે. શક્ય છે કે ૧૦૦ પ્રતિશત આચારો તે પક્ષમાટે શક્ય ન હોય પણ તેના આચારોની દિશા તો તે જ હોવી જોઇએ. અને ક્રમશઃ તે દિશામાં તે આગળ જવો જોઇએ. પોતાના સ્થાપિત સિદ્ધાંતોથી તે ઉંધી દિશામાં તો જવો જ ન જોઇએ.

૧૮૮૫ વાળી કોંગ્રેસ ૧૯૧૮માં બદલાઈ ગઈ.

ગાંધીજી ૧૯૧૬-૧૭માં ભારતમાં આવ્યા. કોંગ્રેસ પક્ષમાં પરિવર્તન લાવ્યા. તેમણે કોંગ્રેસમાં કયા સિદ્ધાંતો અપનાવ્યા?

કોંગ્રેસ હિંદ સ્વાતંત્ર્યની લડત ચલાવશે.

કોંગ્રેસ આ લડત અહિંસાના માર્ગે ચલાવશે.

લડતમાં પારદર્શિતા રાખશે,

પક્ષનો સદસ્ય સરકાર અને તેના હોદ્દેદારો કે કોઈના પણ પ્રતિ કટૂતા નહીં રાખે,

લડતના અંગ તરીકે સત્યનો આગ્રહ રાખશે, ચર્ચા માટે ખુલ્લાપણું રાખશે,

પક્ષ દ્વારા સ્થાપિત નિયમોની આચાર સંહિતા પ્રમાણે જ લડત ચલાવશે. જેમકે ઉપવાસ, કાનૂનભંગ, સભા સરઘસ જેવા લડતના શસ્ત્રોનો ઉપયોગ કરતાં પહેલાં તે સરકાર સાથે સંવાદ કરશે, પોતાનો પક્ષ અને હેતુ સમજાવશે, અને જો સરકારનું વલણ સહયોગવાળું હશે, અને સરકાર જો મુદત માગશે તો મુદત આપશે. જો સરકાર જનહિતની માગણીઓ ઉપર સંમત ન થાય તો તે પછી તે લડત માટેની નોટીસ આપશે.

પક્ષના સદસ્ય સજા માટે તૈયાર રહેશે, સજા ભોગવશે અને તે દરમ્યાન પણ કોઈના પ્રત્યે કટૂતા રાખશે નહીં.

પક્ષનો સદસ્ય સ્વાર્થના કામો માટે કદી લડત ચલાવશે નહી. લડતના કેન્દ્રમાં હમેશા સામાન્ય જનહિત જ રહેશે.

સદસ્ય નૈતિકતાના બધા જ નિયમો પાળશે અને જામિન ઉપર જવાની માગણી કરશે નહીં અને સત્યને ખાતર જામિન ઉપર જશે પણ નહીં.

ખાદી અપનાવશે. અને સ્વદેશીનો આગ્રહ રાખશે.

આ ઉપરાંત સામાજિક સુધારના પણ કેટલાક લક્ષ્યો ગાંધીજીએ કોંગ્રેસમાં સામેલ કરેલા,

જ્ઞાતિઓની ઉચ્ચ નીચ પ્રથામાં માનશે નહીં.

સામાજિક વ્યવહારોમાં ઉપયોગીતાને નજર સમક્ષ રખાશે.

દારુ અને વ્યસનોને ત્યાજ્ય ગણશે,

ગૌવંશ હત્યા બંધીનો સમર્થક રહેશે,

અહિંસક સમાજની સ્થાપના માટે પ્રયત્નશીલ રહેશે.

સર્વધર્મ સમભાવ રાખશે.

ગાંધીજીની કોંગ્રેસ માટે આ બધું જ લખેલું છે. જનસેવક માટે તો આનાથી પણ કઠોર નિયમો છે.    

હવે તમે એક પછી એક નિયમોનો ચકાશો.

૧૯૪૭માંના કોંગ્રેસી સદસ્યોને લો અને તેમને અત્યારના કોંગી સદસ્યને તેની સાથે સરખાવો.

ધારો કે ૧૯૪૭માં ૭૦ ટકા કોંગ્રેસીઓ ઉપરના બધા જ નિયમો પાળતા હતા. જો કે આનાથી ઘણા વધારે કોંગ્રેસીઓ ઉપરના નિયમોને પાળતા હતા. નેતાઓમાં તો ઓછામાં ઓછા ૯૫ % નેતાઓ અતિ શુદ્ધ હતા.

હાલના કોંગીઓને જુઓ. તેઓ કઈ દિશામાં જઈ રહ્યા છે? સામાન્ય કોંગીઓની વાત જવા દો. કોંગીના ટોચના નેતાઓની જ વાત કરો. તેઓ કઈ દિશામાં જઈ રહ્યા છે?

હવે જે પક્ષમાં સિદ્ધાંતો જેવું કશું રહ્યું જ ન હોય. સિદ્ધાંતો ફક્ત પોથીના રીંગણા જ રહ્યા હોય. સિદ્ધાંતોનો ખૂલ્લે આમ ભંગ કરતા હોય અને છતાં પણ પોતાને કોંગ્રેસી માનતા હોય. અને વાર્ધ્યક્ય પીડિત મૂર્ધન્યો પણ આ કોંગ્રેસ ને ૧૩૩ વર્ષ જુની કોંગ્રેસ માનવાનો આગ્રહ રાખતા હોય તો આપણે “પક્ષ”ની અધિકૃત પરિભાષાને અવગણી તેને “ધણ” એવું નામ આપવું જોઇએ.

જો આવું કરીએ તો કોંગી પક્ષને ૧૩૩ વર્ષ જુનો પક્ષ કહી ન શકાય, અને જો કહીએ તો તેને ભાષા ઉપર બળાત્કાર જ કહેવાય.

ગાંધીજીની કોંગ્રેસનો એક પણ ગુણ હાલની કોંગીમાં નથી.

ક્યાર થી આવું છે?

જ્યારથી નહેરુએ સરદાર વલ્લભ ભાઈ પટેલને કોમવાદી કહ્યા અને હૈદરાબાદના તેમના આચારને વખોડ્યો ત્યારથી કોંગ્રેસ મરી ગઈ. અને કોંગી જન્મી.

(૧) નહેરુએ સ્વાતંત્ર્યની લડતમા ઠીક ઠીક યોગદાન આપ્યું છે. પણ તેમનું તે યોગદાન પ્રચ્છન્ન રીતે સ્વકેન્દ્રી હતું, જે તે વખતે દૃશ્યમાન ન હતું. શેતાન પણ જો સારું કામ કરે તો તેને તમે વધાવો. એટલે ભલે નહેરુએ સ્વ ને કેન્દ્રમાં રાખી યોગદાન આપ્યું હોય તો પણ તેમને ક્રેડિટ આપો.

(૨) પણ ગાંધીજીએ જોયું કે ઉપરોક્ત કારણથી ઘણા જ નેતાઓ ગાંધીજી ઉપર પોતાની વગ વાપરી સરકારમાં યોગ્ય હોદ્દો આપવા ભલામણ કરવા લાગ્યા હતા. એટલે ગાંધીજીએ કોંગ્રેસનો વિલય કરી દેવાની વાત કરેલી.

કોંગ્રેસનો વિલય કરવો કે નહીં તે એક ચર્ચાને યોગ્ય વિષય છે. સામાજિક ક્રાંતિના સિદ્ધાંતો શાસન કરતા રાજકીય નેતા (પક્ષ) તરફથી આવે તે ગાંધીજીને મંજુર ન હતું. ગાંધીજીની આ વાતને સમજવામાં મૂર્ધન્યોમાં પણ જેઓ મૂર્ધન્યો ગણાય તેમણે પણ ગોથાં ખાધા છે તો સમાચાર માધ્યમોના પીળા પત્રકારોની તો વાત જ શી કરવી?

(૩) નહેરુના ભારતની સંસ્કૃતિ વિષે કયા ખ્યાલો હતા? ગાંધીજીએ કહેલ કે જે ઋષિઓ વેદ અને ઉપનિષદો લખી શક્યા તેઓ યંત્રો પણ બનાવી શક્યા હોત તેની મને શંકા નથી. પણ તેઓ માનવ જાત ઉપર યંત્રો હામી થઈ જાય તેમાં માનતા ન હતા. તેથી તેઓએ પ્રકૃતિ સાથે જીવવાવાળી જીવન પદ્ધતિ અપનાવી. જો કે આ વાત ચર્ચાસ્પદ છે પણ તેને નકારી ન શકાય. નહેરુનું “ડિસ્કવરી ઓફ ઈન્ડિયા” એ ફક્ત પશ્ચિમી ઇતિહાસકારોએ લખેલા ફરેબી ઇતિહાસની નકલ જ છે. જો નહેરુએ શંકરાચાર્યના અદ્વૈતવાદ અને આઈનસ્ટાઈનની યુનીફાઈડ ફીલ્ડ થીએરી વિષે એક પ્રકરણ પાઠવ્યું હોત અને દક્ષિણભારતના સામ્રાજ્યો વિષે વિસ્તૃત વાતો કરી હોત તો એમ કહી શકાત કે તેમણે કશુંક જે અજાણ્યું હતું તે જાણીતું કર્યુ. ફરેબી ઇતિહાસને ધ્વસ્ત કરનારું પુસ્કળ સાહિત્ય અત્યારે “ઓન લાઈન” ઉપલબ્ધ છે. જેમને પોતાના કોશેટામાંથી બહાર આવવું હોય તેમને માટૅ સરળતા થી આવી શકાય એવું છે. નહેરુએ તો એમ કહેલું કે હું આચારે મુસ્લિમ છું, વિચારોમાં ઈસાઈ છું અને જન્મે હિન્દુ છું. વાસ્તવમાં તેઓ આવા હતા કે કેમ તે વિવાદાસ્પદ છે પણ તેમના આવા ઉચ્ચારણો ઘણું બધું કહી જાય છે.

(૪) નહેરુએ ઘણી બધી હિમાલય જેવડી ભૂલો કરેલી. નહેરુએ તેની કબુલાત પણ કરેલી. પણ નહેરુ તેમની ભૂલોના ફળ ભોગવવા તૈયાર ન હતા. તેમના નામને બટ્ટો ન લાગે તે માટે તેઓ “સીન્ડીકેટ” બનાવીને ગયા હતા કે જેથી તેમની અનુગામી તેમની ફરજંદ બને. એક ફરેબી જનતંત્રવાદી, વાસ્તવમાં સરમુખત્યાર અને વંશવાદી હતો. મોદી આ વંશવાદનો વિરોધ કરે તેમાં કશું ખોટું નથી. લોકશાહીમાં વંશવાદ એક રાક્ષસનું કામ કરે છે. એક રાક્ષક મરે તો તેના લોહીના ટીપાંમાંથી અનેક રાક્ષસો ઉત્પન્ન થાય તેમ આ રાક્ષસે (કોંગી પક્ષે) તો તેનાથી પણ ઉપરવટ જઈ પોતાના જીવતાં જ અનેક વંશવાદી પક્ષો ઉત્પન્ન કર્યા છે. આપણા મૂર્ધન્યો આ વંશવાદી ફરજંદોની ભાટાઈ કરે છે.

(૫) વાસ્તવમાં જોઇએ તો મોરારજી દેસાઈવાળી કોંગ્રેસ (સંસ્થા), મૂળ કોંગ્રેસની વધુ નજીક હતી. પણ મોરારજી દેસાઈએ ૧૯૮૦માં સક્રીય રાજકારણમાંથી વિદાઈ લીધી એટલે તે કોંગ્રેસના સદસ્યો સાગમટે કોંગીમાં ભળી ગયા. અમદાવાદના મેયર કૃષ્ણવદન જોષી જેવા પણ કોંગીમાં ભળી ગયા તે વિધીની વક્રતા છે. આથી વધુ કમનસીબી બીજી કઈ હોઈ શકે? ન્યાયપાલિકાએ ૧૯૬૯ના કેસનો ચૂકાદો ૧૯૮૧માં આપ્યો, જે અર્થ હીન હતો.

(૬) દારુ બંધી કે ગૌવંશ હત્યા બંધી કે અહિંસક સમાજની દિશામાં જવા માટે કોંગીએ કોઈ સકારાત્મક પગલાં લીધાં છે ખરા? ના જી. એક વાત તો ચોક્કસ જ છે કે તેનાથી વિરુદ્ધ દિશાના અને તેને વિરુદ્ધની વાતને પ્રોત્સાહન આપવાના અનેક પગલાં લીધાં છે. જો તમે આ વાત ન જાણતા હો તો કહો.

(૭) સમાજ સેવા માટે સત્તા પ્રાપ્ત કરવી કે નહીં તે ચર્ચાસ્પદ વિષય છે. પણ ધારો કે તમારે સત્તા પ્રાપ્ત કરવી છે તો તમારે તે માટે બંધારણીય માર્ગે જવું જોઇએ. સત્તા માટે ગેરબંધારણીય માર્ગે જવું અને પછી કોર્ટ તમને ગેરલાયક ઠેરવે એટલે તમારા વિરોધી નેતાઓને અને લોકોને જેલમાં ઠોકી દેવા એ ક્યાંનો ન્યાય છે? એક બાજુ એમ કહે છે કે “હમારા ધ્યેય સબસે નમ્ર વ્યવહાર” (કટોકટીનું પોસ્ટર) અને વાસ્તવમાં અનેક નિર્દોષ લોકો જેલમાં હોય. તે જ વંશના ફરજંદો વળી એમ બોલે કે “હમ દેંગે ન્યાય” …  જુઠ્ઠું બોલવુ જેની ઓળખ છે અને અવારનવાર જુઠ્ઠું બોલીને તેને કોંગીઓ સિદ્ધ થયેલું ઠેરવવામાં માને છે.  “તેઓ ધિક્કાર ફેલાવે છે, અમે પ્રેમ કરીએ છીએ” એમ રાહુલ અને સોનિયા બોલે છે. અને બીજી બાજુ “મોદીને બેગમેં કરોડોં રુપયે લેકર અનિલ અંબાણીકો દે દીયે. મોદીજીને ૫૦૦૦ કરોડ એકડ જમીન અંબાણીકો દાનમેં દે દી…. અબ તો નરેન્દ્ર મોદીકી ચોરીકા સમર્થન કોર્ટને ભી કિયા હૈ …” અને આ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા (જેની અદાઓ ઉપર આપણા કાન્તિભાઈ ફીદા છે અને તેના જેવી માસુમ વડા પ્રાધાન ની જનતા રાહ જુએ છે) પોતે બોલે છે “ચોકીદાર” અને સામે રહેલા બાળકો પાસે બોલાવે છે  કે બોલો  “ચોર હૈ” અને કુદરતે બનાવેલા આ માસુમ બાળકો  બોલે છે “ચોર હૈ” … આમ “ચોકિદાર … ચોર હૈ” ના નારાઓ ચગાવે છે. આપણા કાન્તિભાઈને આ પ્રિયંકાના નારાઓ સંભળાયા નહી એટલે તેમણે બેધડક કહ્યું “પ્રિયંકા હમેશા સુષ્ઠુ સુષ્ઠુ જ બોલે છે.” ક્યા બાત હૈ!!

KONGI FOR FAMILY

(Thanks to Cartoonist)

(૮) જો રાહુલ-સોનિયા ગેંગે જામિન ન માગ્યા હોત તો શું થાત? તો ચોક્કસ મૂળ કોંગ્રેસનો એક ગુણ તો તેમનામાં ગણાત જ. તેઓ જેલમાં રહીને પણ તેમની હાર ને નાની કરી શક્યા હોત.

(૯) ભારતના મૂર્ધન્યોએ જો કોંગ્રેસ ઉર્ફે કોંગીને જીવાડવી હોય તો તેમણે શું કરવું જોઇએ?

“નરેન્દ્ર મોદી આર્થિક અને સમાજિક ક્ષેત્રે નિસ્ફળ ગયા છે” એ મુદ્દાની ઉપર માથું પછાડવાને બદલે રાહુલ ગેંગને જામિન ન માગવાની અને જેલમાં જવાની સલાહ આપવા જેવી હતી.

(૧૦) ભારતના મૂર્ધન્યોએ પોતાની શક્તિઓ ક્યાં ખર્ચી?

(૧૦.૧) ભારતને સબળ વિરોધપક્ષની જરુર છે.

(૧૦.૨) પ્રચંડ બહુમતિ પક્ષને બે લગામ બનાવે છે,

(૧૦.૩) પ્રચંડ બહુમતિ વાળો નેતા આપખુદ બને છે,

(૧૦.૪) ગઠબંધન વાળી સરકારો પ્રચંડ બહુમત વાળી સરકારો કરતાં સારું કામ કરે છે,

(૧૦.૫) આજના મહા ગઠબંધન અને ૧૯૭૭નું ઇન્દિરા સામેનું ગઠબંધન એક સમાન છે.

(૧૦.૬) નરેન્દ્ર મોદી માટે શબ્દકોષના જે કોઈ ખરાબ વિશેષણના શબ્દો હોય તે નરેન્દ્ર મોદી માટે વાપરો.

અને આ નરબંકા રાહુલભાઈ કે જેનાથી અધધ ફરેબી મૂર્ધન્યો સહેતુક આફ્રિન છે તે રાહુલભાઈ કહે છે કે કોંગ્રેસ એક વિચાર છે. આ તે કેવી અર્થહીન ફિલોસોફીકલ ઉક્તિ છે જે ફક્ત વાણીવિલાસની જ ગરજ સારે છે. જો વિચાર નો અર્થ સિદ્ધાંત કહીએ અને સિદ્ધાંત જે આચારમાં મૂકાયો હોય તો તે આચાર કેવો છે તે નીચે જુઓ. જ્યાં રાહુલભાઈ ધન્ય ધન્ય છે.

MOTILAL VOHRA

એવું બની શકે કે, કાલે જો ભારતની આર્થિક અને સમાજિક સ્થિતિ નરેન્દ્ર મોદી ઉજ્જ્વળ કરવામાં સફળ બને તો આ જ મુર્ધન્યો એમ કહીને પોતાનો બચાવ કરશે કે અમે મોદીને સરમુખત્યાર બનતા રોક્યો હતો. કોંગ્રેસને જીવતી રાખવામાં અમારો હેતુ તો સબળ વિરોધ પક્ષ બનાવવાનો જ હતો જેથી ભારતનું જનતંત્ર જીવિત રહી શકે.

હાજી. આવો દંભ કરવો આપણા મૂર્ધન્યો માટે અજાણ્યો અને અસંભવ નથી. આવો દંભ કરવામાં તો તેઓ કોંગીના મોટા ભાઈની ગરજ સારે છે. કોંગી નેતાઓ કહે છે જ ને અમે ભારતમાં લોકશાહી જીવતી રાખી છે. તેઓ ભૂલી જાય છે કે ભારતની લોકશાહી ના મૂળમાં મહાત્મા ગાધીએ વ્યાપક રીતે બનાવેલ કોંગ્રેસનું વ્યાપક સંગઠન હતું, જેનો લાભ નહેરુ એ લીધો છે. ઇન્દિરાએ તેને તહસ નહસ કરી નાખ્યું. ત્યારથી કોંગીનું નામુ નંખાઈ ગયું છે.

 હરિ અનંતો હરિ લીલા અનંતા

 હાજી. હરિ અનંતો હરિ લીલા અનંતા. તેજ રીતે રાક્ષસો પણ અનંત છે અને તેમની માયા પણ અનંત છે. પણ આ રાક્ષસોની લીલા પણ હરિ લીલામાં જ આવી જાય. માટે સુજ્ઞ જનોએ બોલીને બફાટ ન કરવો. જો ટકલો કામ ન કરતો હોય તો પ્રેક્ષક બની જોયા કરવું.

મૂર્ધન્યોએ વિપક્ષની ચિંતા કરવી નહીં. સબળ વિપક્ષ આપ મેળે જ ઉત્પન્ન થશે. રામનો વિકલ્પ રાવણ ન હોઈ શકે. રાવણ તો એક પ્રતિક છે. વાસ્તવમાં તો  પૃથ્વિરાજ ચૌહાણનો વિકલ્પ મહમ્મદ ઘોરી ન હોઈ શકે.

શિરીષ મોહનલાલ મહાશંકર દવે

 

Read Full Post »

ગુજરાતીભાષા ક્યાં સુધી જીવશે?

ગુજરાતીભાષા ક્યાં સુધી જીવશે?

ગુજરાતી ભાષા ક્યાં સુધી જીવશે તે પ્રશ્ન ઘણાને આશ્ચર્યમાં મુકશે. તો કેટલાકને આ પ્રશ્ન સ્વાભાવિક લાગશે.

માણસની જેમ ભાષા પણ જન્મે છે, વિકાસ પામે છે માંદી પડે છે અને મરે છે. પણ આપણે ભાષાશાસ્ત્રની શુષ્ક વાતો નહીં કરીએ.

गुर्जरी वीणा वादिनी

ભાષા કેવી રીતે જન્મી તે ટૂંકમાં જોઇએ તો એમ કહેવાય કે માણસ દેકારા પડકારાના જુદા જુદા અવાજ કરી સંદેશાઓની આપ લે કરતો હતો. તે પોત પોતાના ટોળામાં રહેતો હતો એટલે દરેક ટોળાની ભાષા જુદી હોય. થોડીક સમાનતા પણ હોય. પણ જે ટોળી બીજી ઉપર હામી થઈ જાય તેના દેકારા પડકારા સ્વિકૃત થઈ જાય. માણસનું શારીરિક બંધારણ સરખું હોવાથી દેકારા પડકારામાં અમુક સમાનતા પણ આવે. જેમ કે અમદાવાદના કુતરાઓ અને સૂરતના કુતરાઓ કદી એક બીજાને મળ્યા ન હોય તો પણ ગુસ્સે થાય ત્યારે એક સરખો જ અવાજ કરે. આક્રમણ અને રુદન પણ એક સરખા અવાજોમાં કરે છે.

માણસના પણ ટોળાં મોટાં થતાં ગયા હશે એક બીજા સાથે લડતાં લડતાં વસાહતો બનાવતા હશે. સંવાદોમાં ગેર સમજુતીઓ ન થાય તે માટે સ્પષ્ટતાઓ ઉમેરાતી ગઈ હશે.

સંવાદની સ્પષ્ટતાએ ભાષાને જન્મ આપ્યો

જ્યારે માનવ સંસ્કૃતિ વિકાસ પામે ત્યારે તેને સંવાદોમાં વધુ ને વધુ સચોટતા જોઇએ. એટલે કાળાંતરે ભાષાનો ઉદ્ભવ થયો હશે. માણસે જ્યારે આનંદ માટે કળાનો આવિષ્કાર કર્યો હશે ત્યારે લેખનનો પણ આવિષ્કાર થયો હશે. શરુઆતમાં સંભવ છે કે ચિત્રલિપિ રહી હોય પણ પછી શબ્દલિપિ અને અક્ષરલિપિનો આવિષ્કાર થયો હશે.

કેટલાક એવું માને છે કે સેંકડો હજારો વર્ષ સુધી મનુષ્યે બધું મોઢે જ રાખ્યું અને પછી લેખિત ભાષાનો જન્મ થયો. જો કે આ વાત શક્ય નથી. જેમ કે વેદોની બાબતમાં આપણને પાશ્ચાત્ય ઇતિહાસકારો દ્વારા કહેવામાં આવ્યું કે વેદોને શ્રુતિ કહેવામાં આવે છે એટલે કે વેદો સાંભળીને યાદ રાખી લેવામાં આવતા હતા. ઋગવેદના જ એકલાખ શ્લોક છે. યજુર્વેદ અને સામવેદના જુદા. આ બધા શ્લોકો યાદ રાખી શકાય નહીં. કાશ્મિર થી કન્યાકુમારી અને સૌરાષ્ટ્રથી આસામ સુધી વેદ એક જેવા જ મળે છે. કશ્યપ ઋષિ કાશ્મિરમાં હતા, રાવણ લંકામાં હતો, કુબેર આસામમાં હતો, ભૃગુઋષિ ભરુચમાં હતા અને કૈકેયીના બાપા અફઘાનીસ્તાનમાં હતા.  રામાયણનો સમય આકાશીય ગ્રહોના નક્ષત્રોમાંના સ્થાનના વર્ણનને હિસાબે સાડા પાંચ હજાર વર્ષનો ગણી શકાય. પણ પાશ્ચાત્ય ઇતિહાસકારોને હિસાબે વેદો ગ્રંથબદ્ધ (લેખન બદ્ધ) માંડ અઢી હજાર વર્ષ પહેલાં થયા. તો આવા વ્યાપક હિન્દુસ્તાનમાં વેદ, ઉપનિષદ, દર્શનશાસ્ત્રો જેવા સેંકડો ગ્રંથો મોઢે રાખી ન જ શકાય. જો રાખવામાં આવે તો તે એકસરખા રહી જ ન શકે. લેખિત અક્ષરો વગરના ઉચ્ચારો એક સરખા રહી જ ન શકે. આત્યારે અંગ્રેજી ભાષા લેખિત સ્વરુપમાં જોવા મળે છે તો પણ તે શબ્દ લિપિ હોવાના કારણે “સી.એચ.એ.આઈ.આર. (ચેર)” નો ઉચ્ચાર ભારતમાં જુદી જુદી ૧૪ રીતે જોવા મળે છે. જો શબ્દ લિપિની જ આવી દશા હોય તો જેને ફક્ત સાંભળીને જ યાદ રાખવાનું છે તેની તો કેવીય દશા થાય.

લિપિ અને વ્યાકરણ ભાષાને શુદ્ધ રાખે છે

અક્ષરલિપિ દ્વારા જળવાયેલી ભાષામાં પણ કાળક્રમે વેપારધંધાના વિકાસને હિસાબે ફેરફાર થયા કરે છે. પણ વ્યાકરણને હિસાબે મૂળભાષા પણ જળવાઈ રહે છે. આપણી ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી ઉતરી આવેલી એક ભારતીય ભાષા છે. સિદ્ધરાજ જયસિંહના સમયમાં એનું વ્યાકરણ લખાયું અને પ્રેમાનંદે તેનો વિકાસ કરી તેની પ્રતિષ્ઠા સ્થાપી.

શુદ્ધ અને સ્પષ્ટ ગુજરાતી લખવા માટે સંસ્કૃતભાષાનો સામાન્ય અભ્યાસ જરુરી છે. ગુજરાતી ભાષાને પોતાની આગવી વિશિષ્ઠતા પણ છે. ઓગણીસમી સદીમાં અને વીસમી સદીના ઉત્તરાર્ધમાં જન્મેલા ગુજરાતી ભાષાના મૂર્ધન્યોએ ગુજરાતી ભાષાનો અભૂતપૂર્વ વિકાસ કર્યો છે.

તો શું સ્વાતંત્ર્ય મેળવ્યા પછીના કાળમાં ગુજરાતી ભાષાની અવનતિના મંડાણ થયાં?

 ગુજરાતીભાષાનું આયુષ્ય લંબાવવામાં ગાંધીજીનો અને ગાંધીયુગના ગુજરાતી લેખકોનો મહદ્‌ અંશે હિસ્સો રહ્યો. ગાંધી યુગના મૂર્ધન્યો કે જેઓએ પોતે અંગ્રેજી ભાષામાં શિક્ષણ લીધેલ પણ લોલં લોલ કે માતૃભાષાની મહત્તાની અનુભૂતિને કારણે ગુજરાતી સાહિત્યમાં પોતાનો ફાળો આપ્યો તે પ્રશંસનીય છે.

ભાષાવાર પ્રાંત (રાજ્ય) રચનાને કારણે પણ ગુજરાતી ભાષાનો વિકાસ થયો. કારણ કે સ્થાનિક સ્તરે ગુજરાતી ભાષા વહીવટી ભાષા બની. તેથી ગુજરાતી ભાષા માંદી પડતી અટકી છે.

ઓગણીસો પચાસના દાયકામાં ગુજરાતી ભાષાનો અભૂતપૂર્વ વિકાસ થયો. આનું શ્રેય જો કોઈને આપવું હોય તો માત્ર અને માત્ર ગુજરાત કોંગ્રેસને આપી શકાય. અને તે પણ મોરારજી દેસાઈ, મગનભાઈ દેસાઈ અને ઠાકોરભાઈ દેસાઈને આપી શકાય.

ગ્રામ્ય અને શહેરી શિક્ષણના ભેદ દૂર થયા.

શું વાત છે?

બનતા સુધી ૧૯૩૫થી સ્થાનિક સ્વરાજને (હોમ રુલને) કારણે, મુંબઈ ઇલાકામાં ધોરણ એક થી ચાર પ્રાથમિક શિક્ષણ ગણાતું હતું. આ પ્રાથમિક શિક્ષણનું માધ્યમ સંપૂર્ણ રીતે ગુજરાતી (સ્થાનિક) ભાષા હતી.

ગામડાઓમાં એકથી સાત ધોરણની પ્રાથમિક શાળાઓ ઘણા લાંબા સમયથી ચાલતી હતી.

આ શાળાઓ સંપૂર્ણ રીતે ગુજરાતી માધ્યમવાળી શાળાઓ હતી.

પણ શહેરોમાં એકથી ચાર પ્રાથમિક, અને તે પછી ફર્સ્ટ થી સેવન્થ(મેટ્રીક) એટલે કે પાંચથી અગીયાર એટલે એસએસસીવાળી માધ્યમિક શાળાઓ હતી. અહીં આ ફર્સ્ટથી અંગ્રેજી શિખવવામાં આવતું હતું. પણ બાકીના વિષયો ગુજરાતીમાં શિખવવામાં આવતા હતા. આ અગાઉ એટલે કે ૧૯૩૫ પહેલાં, શહેરોની એટલે કે ફર્સ્ટથી સેવન્થ (મેટ્રીક)ની શાળાઓમાં બધા જ વિષયો અંગ્રેજીમાં શિખવવામાં આવતા હતા. ગુજ્રાતી પણ અંગ્રેજીમાં શિખવવામાં આવતું હતું અને સંસ્કૃત પણ અંગ્રેજીમાં જ શિખવવામાં આવતું હતું.

હવે જો કોઈ ગામડામાંથી એક થી સાત કરીને આવે તો તેને શહેરની ફર્સ્ટથી થર્ડ સુધીનું અંગ્રેજી તો તે ન ભણ્યો હોવાથી તેને માટે આગળ ભણવું અઘરું પડે. ટૂંકમાં તે આગળ ભણી જ ન શકે.

એટલે સરકારે ૧૯૫૩માં, ગ્રામ્ય અને શહેરી શાળાઓમાં એક સૂત્રતા લાવવા માટે શહેરોમાં ચાલતી માધ્યમિક શાળાઓમાં ચાલતા ધોરણો એટલે કે ફર્સ્ટથી સેવન્થનું નવ નામાંકરણ કર્યું. આ નવ નામાંકરણ “પાંચ થી અગીયાર” એમ કર્યું. અંગ્રેજી ભાષાને આઠમા ધોરણથી ભણાવવી એમ નક્કી કર્યું. શહેરોમાં આ અગાઉ પાંચમા ધોરણથી અંગ્રેજીભાષા ભણાવવામાં આવતી હતી.

ઠાકોરભાઈ પાંચમા અને ઠાકોરભાઈ આઠમા

પચાસના દાયકાના ઉત્તરાર્ધમાં “અંગ્રેજી પાંચમા ધોરણથી ભણાવવું કે આઠમા ધોરણથી ભણાવવું” એ એક મોટો ચર્ચાનો વિષય બનેલો. જ્ઞાનીજનોમાં પણ બે વિભાગ પડી ગયેલા.

ખાસ રમૂજની વાત એ હતી કે અમદાવાદની કોઈ એક શાળાના આચાર્ય, ઠાકોરભાઈ ઠાકોર હતા. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ઠાકોરભાઈ દેસાઈ હતા. ઠાકોરભાઈ ઠાકોર પાંચમા ધોરણથી અંગ્રેજી શિખવવાના હિમાયતી હતા. ઠાકોરભાઈ દેસાઈ, આઠમા ધોરણથી અંગ્રેજી શિખવવાના હિમાયતી હતા. આ બંને ઠાકોરોને અનુક્રમે “ઠાકોરભાઈ પાંચમા” અને “ઠાકોરભાઈ આઠમા” તરીકે ઓળખવાની પ્રણાલી પડેલી.

શિક્ષણનું વર્ગીકરણ કંઈક આવું હતુંઃ

ધોરણ એક થી સાતઃ પ્રાથમિક શાળા

ધોરણ આઠ થી અગીયાર (મેટ્રીક) માધ્યમિક શાળા

કોલેજ ફર્સ્ટ ઈયરઃ પ્રી-યુનીવર્સીટી,

કોલેજ સેકંડ ઈયરઃ ઈન્ટર,

કોલેજ થર્ડ ઈયરઃ જુનીયર

કોલેજ ફોર્થ ઈયરઃ ગ્રેજ્યુએશન

એન્જીનીયરીંગ અને મેડીકલમાં ઈન્ટર સાયન્સ પછી જવાતું હતું.  

ગુજરાતમાં એવું નક્કી કરવામાં આવેલું કે ૧૯૫૬થી કોલેજોમાં પણ બધું માતૃભાષા એટલે કે ગુજરાતીમાં ભણાવવું. એટલે ગુજરાતીમાં વિજ્ઞાન અને વાણીજ્ય વિષયક ઘણા પુસ્તકો લખાયા. જેઓ ૧૯૩૫ પહેલાં બધા જ વિષયો અંગ્રેજીમાં ભણેલા તેમણે તેમનો અનન્ય ફાળો ગુજરાતીભાષાના સર્વાંગી વિકાસમાં આપ્યો.

પણ આ વિકાસની કક્ષા ફક્ત કોલેજના સેકંડ ઇયર (ઈન્ટર) સુધીની જ રહી હતી. કોલેજ થર્ડ ઈયર (જુનીયર) થી વિજ્ઞાન અને કદાચ વાણીજ્યમાં પણ બધું અંગ્રેજી માધ્યમમાં જ ભણવું પડતું હતું.

ગુજરાતી ભાષાના મૂર્ધન્યોના પેટમાં શું પાપ હતું?

આપણે અગાઉ જોયું કે અંગ્રેજી ક્યા ધોરણથી ભણાવવું તે એક વિવાદાસ્પદ પ્રશ્ન હતો. ગામડાની લાખો શાળામાં અંગ્રેજી શિક્ષકોને કેવી રીતે પહોંચતા કરવા તે યક્ષ પ્રશ્ન હતો. ગામડાનો અર્થ પાંચેક હજારની અંદરની વસ્તીવાળા ગામડા એમ કરવો. એથી મોટા ગામડાઓમાં અંગ્રેજી, ફર્સ્ટ થી મેટ્રીકની શાળાઓ સરકાર કે ખાનગી સંસ્થાઓ ચલાવતી હતી. જો કે હાલની પરિસ્થિતિથી ઉલટું સરકારી શાળાઓ તે વખતે સામાન્ય રીતે સારી ગણાતી હતી. અમદાવાદની ખબર નથી. ઉપરોક્ત તથ્યથી કોઈ મૂર્ધન્ય અજાણ ન હતા. પણ તેમને કશી કબુલાત કરવી ન હતી.

શા માટે મૂર્ધન્યોને કબુલાત કરવી ન હતી.?

તે વખતના મૂર્ધન્યો પોતાને મહાત્મા ગાંધીવાદી સમજતા હતા. મહાત્મા ગાંધીની વિચારધારા પ્રમાણે શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવું જોઇએ. પણ આ કબુલાત ગુજરાતી ભાષાના મૂર્ધન્યોને કરવી ન હતી. પણ પોતે માતૃભાષાના પ્રેમી અને હિમાયતી છે તે બતાવવું પણ હતું. હવે આ બન્ને વાતનો મેળ કેમ કરીને પાડવો?

સમાચાર પત્રોમાં ચર્ચાઓ ઘણી આવતી. અને આ મૂર્ધન્યોએ પોતાની અનુકુળતા માટે નેતાઓના જે બે પક્ષ પડી ગયેલા તેમને આ રીતે ઓળખાતા કરી દીધેલા.

સરકારી પાંખ અને શૈક્ષણિક પાંખ

જેઓ સરકારમાં હતા અને મહાત્માગાંધીની માતૃભાષાને લગતી વિચારધારામાં માનતા હતા, તેમને “સરકારી પાંખવાળા” છે એ રીતે ઓળખવામાં આવતા. આમાં કોણ આવતા હતા અને કોણ આવતા ન હતા તે આપણે પછી ક્યારેક જોઇશું. પણ માતૃભાષાની બાબતમાં, ગાંધીવિચાર ધારા સાથે સંમત થનારાઓને “સરકારી પાંખવાળા તરીકે ઓળખવામાં આવતા હતા જેથી ગાંધીજીને ગોદો ન વાગી જાય.

અમદાવાદ એજ્યુકેશન સોસાઈટી સાથે જોડાયેલી સંસ્થાઓમાંના વિદ્વાનોને સાથે સાથે જે બાકી રહી ગયેલા અંગ્રેજીપ્રેમીઓ હતા તેમને “શૈક્ષણિક પાંખવાળા” એ રીતે ઓળખવામાં આવતા હતા.

આપણા કેટલાક મહામૂર્ધન્ય સાહિત્યકારોનો “શૈક્ષણિક પાંખવાળા”માં સમાવેશ થતો હતો.

મહામૂર્ધન્યનું બભમ્‌ બભમ્‌

આપણી ગુજરાતી ભાષાના મહામહિમ ગણાતા (તેમના પ્રશંસકો દ્વારા ગણાતા) એક મૂર્ધન્ય કે જેમનું નામ આપણે નહીં લઈએ, કારણકે સુજ્ઞજનોને તેમના નામની ખબર જ છે. અને જો નહીં હોય તો આ મહામહિમ મૂર્ધન્યનું એક કથન પ્રગટ કરીશું એટલે નહીં સમજેલા સુજ્ઞજનો સમજી જશે. આ મહામહિમ મૂર્ધન્યે એમ કહેલ કે “આપણે સ્વતંત્ર થયા છીએ. રાષ્ટ્રભાષા (દેશની વહીવટી ભાષા) હિન્દી થશે. એટલે કે અંગ્રેજીનું સ્થાન હિન્દી લેશે. તે વાત ખરી. પણ રાજ્યોમાં અને ખાસ કરીને ગુજરાતમાં બધી જ જગ્યાએ અંગ્રેજીનું સ્થાન, હિન્દી ભાષા નહીં લે”. પૂર્ણ વિરામ ….. પૂર્ણ વિરામ ….. પૂર્ણ વિરામ ….. .

આ મહા મૂર્ધન્ય જ્યારે પણ ભાષાની વાત આવે ત્યારે આ જ વાક્ય બોલ્યા કરે. તેમણે કદીય તેમના આ કથનનું સ્પષ્ટીકરણ કર્યું નથી. એટલે કે ક્યાં ક્યાં અને કયા કયા ક્ષેત્રોમાં અંગ્રેજીભાષાનું સ્થાન ગુજરાતીભાષા લેશે તે વાત તેમણે કરી જ નથી. જાણી જોઇએ તેમણે આ વાત કરી ન હતી. શિક્ષણનું માધ્યમ દરેક ક્ષેત્રમાં ગુજરાતી જ રહેશે તેવું આ મહા મૂર્ધન્યે કદીય ચીપિયો પછાડીને કે ચીપિયો પછાડ્યા વગર પણ કહ્યું નથી.

વાસ્તવમાં પોતાના ચાહકો દ્વારા પ્રતિષ્ઠિત ગુજરાતી ભાષાના આ મહામૂર્ધન્ય તરફથી આવા અસ્પષ્ટ ઉચ્ચારણ અને તે પણ અવારનવાર કરવામાં આવે ત્યારે તેમના મનમાં રહેલા ભાવ  વિષે અમારા જેવા અલ્પજ્ઞને શંકા જતી હતી. બીજા અનેક બની બેઠેલા મહાત્મા ગાંધીવાદીઓની જેમ આ મહામહિમ મૂર્ધન્ય પણ દંભી ગાંધીવાદી હતા, તે આપણા જેવા ચીપિયો ઠોકીને પણ કહી શકે. પણ આપણા ચીપિયા પાસે માઈક ન હોય તે સૌ કોઈ જાણે છે.

આવા સમયના તકાજા, ભારતમાં અને ગુજરાતમાં ઘણી વખત આવ્યા છે. અને ઘણાએ જોયું છે કે આવા મૂર્ધન્યોનું ઘોડું જરુર પડ્યે દોડ્યું નથી.

આ બધું કહેવાનો અર્થ શો છે?

મૂર્ધન્યોના આવા વર્તાવથી જ ગુજરાતી ભાષાનો બહુ ક્ષેત્રીય વિકાસ થતો અટકી ગયો.

તો મહાત્મા ગાંધીવાદીઓએ શું કર્યું?

મહાત્મા ગાંધીવાદીઓએ તેમની આદત પ્રમાણે કર્યું. એટલે કે એક વખત તેમણે કહી દીધું કે શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવી જોઇએ. વાત પૂરી.

જો કે કાકા કાલેલકર જેવા કેટલાક સ્પષ્ટ વક્તા હતા. કાકા કાલેલકરે કહેલ કે અંગ્રેજી ભાષા તો વિદ્યાર્થી જ્યારે કોલેજમાં જાય ત્યારે જ, જો તેને શિખવી હોય તો, શિખવવી જોઇએ. વિદેશમાં પણ જો કોઈને ભારતીય ભાષા શિખવી હોય તો તે જ્યારે કોલેજના સ્તરે જાય ત્યારે જ તેને શિખવવામાં આવે છે. દાદા ધર્માધિકારીએ કહેલ કે ભારતીયોનું અંગ્રેજી કાચું જ રહે તે ઇચ્છવા યોગ્ય છે.

જેઓ સાચા ગાંધીવાદી ન હતા અને શિક્ષણસંસ્થાઓ ચલાવતા હતા તેઓએ તેમની કોલેજોમાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી જ રાખેલું.

શિક્ષણના વ્યાપારીકરણના બીજ અહીંથી વવાયાં

ગુજરાતમાં તે વખતે ત્રણ વિશ્વવિદ્યાલયો હતા. ગુજરાત યુનીવર્સીટી, સયાજીરાવ યુનીવર્સીટી અને વલ્લભ વિદ્યાપીઠ.

ગુજરાત યુનીવર્સીટીએ તો સરકારી હોવાથી ઇન્ટર સુધી ગુજરાતી માધ્યમ રાખ્યું. વડોદરાની સયાજીરાવ યુનીવર્સીટીએ અંગ્રેજી માધ્યમ જ ચાલુ રાખ્યું. વલ્લભ વિદ્યાપીઠે થોડો વખત કદાચ હિન્દી રાખેલ અને પછી અંગ્રેજી માધ્યમ કરી દીધેલ.

અમે ૧૯૫૪માં જ્યારે માધ્યમિકશાળામાં હતા ત્યારે સરકારશ્રી તરફથી એક સર્ક્યુલર આવેલ. સર્ક્યુલરની વિગતો શું હતી તેની જાણ નથી. પણ અમને કહેવામાં આવ્યું કે અંગ્રેજીનું અને સંસ્કૃતનું મહત્વ ઘટાડવામાં આવી રહ્યું છે. સંસ્કૃતનું મહત્ત્વ શા માટે ઘટાડવામાં આવી રહ્યું હતું તે વાત તે સમયે સમજાઈ ન હતી. આ વાત આપણે પછી સમજીશું. અંગ્રેજીનું મહત્ત્વ એટલા માટે ઘટાડવામાં આવી રહ્યું હતું કે હવે રાષ્ટ્રભાષા હિન્દી બનતી હતી. જો કે સંસ્કૃતના અને અંગ્રેજીના અભ્યાસક્રમમાં કશો ફેરફાર થયો ન હતો. પણ તેના પીરીયડો ઘટાડવામાં આવ્યા હતા.

આઘાતજનક સમાચાર

અમે ૧૯૫૭માં જ્યારે કોલેજના પ્રથમ વર્ષમાં પહોંચ્યા ત્યારે અમને એક સમાચાર એવા મળ્યા કે જે અમારે માટે આઘાત જનક હતા.

અમારો ફાલ “પાંચમાથી અંગ્રેજી” વાળો ન હતો કે ન તો અમારો ફાલ “આઠમાથી અંગ્રેજીવાળો” હતો. અમને અંગ્રેજી સાતમા ધોરણથી શિખવવાનું ચાલુ કરેલ. અમારા અંગ્રેજી પાઠ્યપુસ્તકનું નામ હતું “કુપર્સ ઇંગ્લીશ કોર્સ ભાગ – ૧” આ પુસ્તકના અમુક પ્રકરણો અમને સાતમા ધોરણમાં ભણાવવામાં આવ્યા અને બાકીના આઠમા ધોરણમાં ભણાવવામાં આવ્યા હતા.

અમે જ્યારે કોલેજના પ્રથમ વર્ષમાં હતા ત્યારે એક સમાચાર એવા આવ્યા કે હવે સરકાર પાંચમા ધોરણથી અંગ્રેજી ભણાવવાનું ચાલુ કરશે. એટલે કે અમારા પછીનો “ફાલ” અમારાથી અંગ્રેજીમાં આગળ નિકળી જશે. અમારા ઘરમાં અમારો નંબર ત્રીજો આવે અને અમારા બંને મોટા ભાઈઓ અંગ્રેજીમાં અમારાથી હજારો માઈલ આગળ હતા. એ લોકો અંગ્રેજીની અઘરી અઘરી અને મોટી મોટી ચોપડીઓ વાંચતા હતા. વળી તેમનું ગુજરાતી પણ સારું જ હતું. અમારા પિતાજી તો સંસ્કૃત અને ગુજરાતી પણ અંગ્રેજીમાં જ ભણેલા. એટલે તેમની તો વાત જ ન થાય. વળી તેઓશ્રી તો પિતાજી હતા.એટલે તેમની તો ઈર્ષા પણ ન થાય. આમેય અમારા મોટાભાઈઓની પણ ઈર્ષા ન થાય. કારણ કે તેઓ તો મોટા હતા.

પણ જેઓ સમાજમાં અમારાથી નાના હતા તેઓ અંગ્રેજીમાં અમારાથી ઘણા આગળ નિકળી જશે અને સરકારની નીતિના અમે નાહકના બલિ બની ગયા એવો વસવસો અમને થતો. પણ આ વસવસો અમારા હિન્દીના પ્રોફેસર જયેન્દ્ર ત્રીવેદીએ દૂર કરી દીધો. તેમણે અમને કહ્યું કે તમારે ડરવાની જરુર નથી. અંગ્રેજી ભાષા વધારે વર્ષ ભણાવવાથી કોઈને અંગ્રેજી આવડી જતું નથી. જે રીતે અંગ્રેજી ભણાવવામાં આવે છે તે રીતે તમારા પછીના ફાલને પહેલા ધોરણથી ભણાવવામાં આવશે તો પણ તેઓ તમારાથી આગળ તો નિકળી જઈ શકશે જ નહીં. અમને થયું હાંશ !! તો ઠીક …

અમારા “ફાલ”ને “મગન માધ્યમ”ના નામે વગોવવામાં આવતો હતો. જો કે ઈન્ટર પછી અમે બધું અંગ્રેજીમાં જ ભણેલ તો પણ. આમેય ગુજરાતીઓને ગુજરાત બહાર નોકરી મેળવવી અઘરી હોય છે. એમાં નોન-ગુજરાતીઓને તો “દોડવું હતું ને ઢાળ મળ્યો” એવું થયું.

માતૃભાષા માધ્યમ એટલે અંગ્રેજીનો ઇન્કાર

શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાની વાત કરીએ તો તેને અંગ્રેજીની અવગણના તરીકે ખપાવી દેવામાં આવે છે. પહેલાં પણ એવું જ હતું.

ભરુચના નર્મદા કિનારે એક સ્વામીજીનો આશ્રમ હતો. મારા મિત્રના એ કૌટૂંબિક ગુરુ હતા. વાતવાતમાં વાત નિકળી તો મેં કહ્યું કે ગુજરાતમાં શિક્ષણનું માધ્યમ ગુજરાતીભાષા જ હોવી જોઇએ. તેમણે અને તેમના ફોરીન રીટર્ન વયસ્ક બેને કહ્યું “પણ ગુજરાતીમાં વિજ્ઞાનના પુસ્તકો જ ક્યાં છે?” મેં કહ્યું કે “તરવું હોય તો પાણીમાં પડવું જોઇએ. એમ તો ન જ કહેવાય કે પહેલાં હવામાં હાથપગ હલાવવાની બરાબર પ્રેક્ટીસ કરી લો. પછી પાણીમાં પડવાની વાત. રશિયામાં એવી ઘણી ભાષાઓ હતી જેને પોતાની લિપિ પણ ન હતી. તો પણ તેમણે તે ભાષાને શિક્ષણનું માધ્યમ બનાવેલ.”  (આવું મેં તે વખતે વાંચેલ એટલે તેનું ઉચ્ચારણ કરેલ). તે વખતે હું માંડ વીસ વર્ષનો હોઈશ અને તેઓ સૌ પોતાને અતિવિદ્વાન માનતા એટલે નાના મોઢે મોટી વાત ન શોભે તેવો તેમનો પ્રત્યાઘાત રહેલ.

આવા પ્રત્યાઘાત સમાજમાં સામાન્ય હોય છે. સર્વોદયવાદી નેતાઓ પણ આમાંથી બકાત નથી.

દ્વારકા પ્રસાદ જોષી સમક્ષ મેં કહેલ કે “અનામતનો પ્રશ્ન” એ સમસ્યા જ નથી. તમે ઘણી બધી મેડિકલ કોલેજો ખોલી દો. જેને જોઇએ તેને પ્રવેશ આપો. પરીક્ષાનું ધોરણ તમે હળવું ન કરો. જે મહેનતુ, હોંશીયાર અને યોગ્ય હશે તે પાસ થતો જશે.  એટલે દ્વારકા પ્રસાદ જોષીએ પ્રત્યાઘાત આપેલ કે “તૂં મોટો થાય ત્યારે તેવું કરજે…” આ રીતે ઘણીવાર મોટા માણસમાં નાનો માણસ વસતો હોય છે. મોટે ભાગે તો આવું જ હોય છે.

 ૧૯૬૪માં જ્યારે હું જબલપુરમાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાંથી આવતા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યો અને જોયું કે તેઓ બધા જ અંગ્રેજીમાં અને જ્ઞાનમાં ગુજરાતીઓને સમકક્ષકે કે તેથી ઉતરતી કક્ષાના હતા ત્યારે “મગન માધ્યમ”ની લઘુતાગ્રંથી (જે મારામાં તો હતી જ નહીં પણ મારા ગુજરાતી સહાધ્યાયીઓમાં હતી) તે દૂર થઈ હતી.

સમગ્ર ભારતના બધાં જ રાજ્યોમાં શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવી જોઇએ. જેમને અંગ્રેજીભાષામાં ભણવું હોય તેમને ખાનગી શાળાઓ અને કોલેજો ભલે ભણાવે. સરકાર તેમનામાં દખલ કરશે નહીં. તેમને મદદ પણ કરશે નહીં. તેમને માન્યતા પણ આપશે નહીં.  કેન્દ્રીય સ્તરે કાં તો સંસ્કૃતને રાખો કે હિન્દી અને તમિલને રાખો. યાદ રાખો સંસ્કૃતભાષા રાષ્ટ્રભાષા બનવામાં અંગ્રેજી સામે માત્ર અને માત્ર એક મતથી પરાજિત થયેલ. આ એક મત જવાહરલાલ નહેરુનો હતો. એટલે નહેરુએ પરિપત્ર ઇસ્યુ કરાવેલ કે સંસ્કૃતનું મહત્વ ઓછું કરો. તેની સામે ગુજરાતે અંગ્રેજીને પણ જોડી દીધી. કારણકે અંગ્રેજીને ફક્ત દશવર્ષ સુધી ચાલુ રાખવાની જોગવાઈ હતી. ૧૯૬૨ના અરસામાં આ મુદત પુરી થતી હતી. કોઈનું ધ્યાન જ ન હતું કે આવતા મહિનાથી કે આવતી કાલથી અંગ્રેજીની મુદત પુરી થતી હતી. તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને આ વાત પર ધ્યાન દોર્યું. દક્ષિણ ભારતમાં ધમાલ થઈ. બંગાળીઓને થયું અમે પણ શું કામ પાછળ રહીએ. તેમણે પણ કોઈના ચડાવ્યે કે એમ જ ધમાલ કરી. નહેરુને તો ભાવતું હતું અને વૈદે કહ્યું. તેમણે વટ હુકમ દ્વારા અંગ્રેજીને અનિયતકાળ સુધી ચાલુ રાખાવ્યું.

 સદભાગ્યે ગુજરાતી ભાષા વહીવટી ભાષા છે એટલે ગુજરાતમાં ગુજરાતીભાષાનું મૃત્યુ દેખાતું નથી. પણ આ પુરતું નથી. ગુજરાતમાં નોકરી કરવી હોય તો ગુજરાતીની એચ.એસ.સી. (બારમાની)ની પરીક્ષા પાસ કરવી જ પડશે. ગુજરાતીભાષાનો સર્વાંગી વિકાસ કરવો પડશે. તે માટે વિજ્ઞાનના પુસ્તકોનું ગુજરાતીમાં ભાષાંતર કરી ઉપલબ્ધ કરાવવાં પડશે. પારિભાષી શબ્દો માટે સંસ્કૃતનો સહારો લેવો પડશે. પારિભાષી શબ્દો સમગ્ર ભારત માટે સમાન રાખવા પડશે. જો આવું કરવામાં આવશે તો ગુજરાતી ભાષા મરશે નહીં.

ઘણી ભાષાઓ મરી ગઈ છે.

કચ્છી ભાષા મરી જશે. પંજાબી ભાષા મરી જશે. કાશ્મિરીની ભાષા મરી જવાની ઘડીઓ ગણાય છે અથવા મરી ગઈ છે એમ સમજો તો પણ ચાલે, (આ કાશ્મિરીઓને હાસ્યાસ્પદ આધારે સ્વતંત્ર રાષ્ટ્ર જોઇએ છે. જે જીવતી જાગતી પોતાની ભાષા ન સંભાળી શક્યું તે શું સ્વતંત્રતા સંભાળી શકશે?) “રાઉઆ કા કરતની?” વાળી ભોજપુરી ભાષા મરી જશે. ભલુ થજો આદિત્યનાથ યોગીનું જેમણે સંસ્કૃતને અનિવાર્ય કરી છે.

વિશ્વની અનેક ભાષાઓ મરી ગઈ છે. જેમકે માયા સંસ્કૃતિવાળી જેને પ્રોટો-માયન ભાષા કહે છે તે કોઈ બોલતું નથી. તેની અનુગામી ભાષાઓ ક્યારે મરી જશે તે કહેવાય તેમ નથી કારણ કે વ્યવહાર બધો સ્પેનીશ ભાષામાં જ થાય.  ઈજીપ્તની પ્રાચીન ભાષાની પણ આ જ દશા છે. ભાષાને નિરુપયોગી કરી દો એટલે તે મરી જશે. જ્યારે એક સંસ્કૃતિ ઉપર બીજી સંસ્કૃતિ હામી થઈ જાય ત્યારે પહેલી સંસ્કૃતિના બધા જ અંગો ફક્ત ઇતિહાસના પૃષ્ઠોમાં સમાઈ જાય છે.

રામકૃષ્ણ મિશનવાળા વિદેશમાંભારતીય બાળકોને ભારતીય ભાષાઓ શિખડાવે છે. જોઈએ તેઓ કેટલું કરી શકે છે. તેઓ કદાચ હિન્દુ ધર્મને જીવતો રાખી શકશે પણ ભાષાઓ વિષે કશું કહી શકાય નહીં.

 ગુજરાતી ભાષા જ્યારે વહીવટમાંથી ગાયબ થશે થશે ત્યારે તેનું પણ મૃત્યુ થશે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

એકદા સુપ્રભાતે તે, વિશ્વયાત્રી નારદે,

કીધો નિશ્ચય પ્રવાસાર્થે તે ગુર્જર દેશનો,

વિવાદ વકર્યો છે બોધભાષાનો, જ્યાં સઘળે અત્ર તત્ર હા,

બોધભાષા શું થવી?,  ગુર્જરી હો કે આંગ્લ હો?

બ્ર્હમપુત્ર મુંઝાયા તો, કર્યો વિચાર કોને પૂછું?

ગયા તે તો પિતા પાસે, પ્રશ્ન કર્યો તે ઉત્તમ …

બોધભાષા કા કૂર્યાત્‍ બ્રુહી મામ્‍ હે શતધૃતિ,

સંતતિના નિયમન અર્થે મારે તો ઘણું કામ છે,

બોલ્યા બ્ર્હમા સ્વપુત્રને ને વળગ્યા વળી સ્વ કામને,

ગયા તેથી તે કને વિષ્ણુ કર્યો પ્રશ્ન ફરી ફરી,

બોધભાષા શું થવી તે ગહન પ્રશ્ન ગુજરાતનો,

બોલ્યા તે ઘનશ્યામ વિષ્ણુ, નારદે વિણાવાદકે,

મારે તો ઘણું કામ છે અન્નને અર્થ શાસ્ત્રનું,

મળો તમે ઈશને તેથી,

જો કે છે ચિંતા તેમને ઘણી, શાંતિને વળી નાશની,

તથાપિ તે મહાદેવા ઈશ્વરા પરમેશ્વરા,

જ્ઞાન વિજ્ઞાનને વિદ્યા કેરા દેવ ગણાય છે.

કૈલાસે તે ગયા નારદ, મહામૂની મહર્ષિં હા,

કીધો પ્રશ્ન પરમેશને કે બોધભાષા શું હવી?

ઉચર્યા તે મહાદેવા ઈશ્વરા પરમેશ્વરા,

બોધભાષા તે જ હો, જે ભાષા ઘરમાં વસે.

(૧૯૬૨માં લખાયેલ જેમાંનું જેટલું યાદ રહ્યું તેટલું)

ટેગ્ઝઃ ગુજરાતી ભાષા, ગુર્જરી, ભાષાશાસ્ત્ર, દેકારા પડકારા, સંવાદ, સ્પષ્ટતા, ચિત્રલિપિ, શબ્દલિપિ, અક્ષરલિપિ, શ્રુતિ, સ્મૃતિ, વેદ, ઋગ્વેદ, ઉપનિષદ, કાશ્મિર, કન્યાકુમારી, કશ્યપ, કુબેર, ભૃગુઋષિ, કૈકેયી, રામાયણ, વ્યાકરણ, મૂર્ધન્ય, મહામૂર્ધન્ય, કોંગ્રેસ, મોરારજી દેસાઈ, ઠાકોરભાઈ, પાંચમા, આઠમા, મગનભાઈ દેસાઈ, મગન માધ્યમ, ભાષાનો વિકાસ, પારિભાષી શબ્દ, મહાત્મા ગાંધીવાદી, ભાષાવાર પ્રાંત રચના, મોરારજી દેસાઈ, સંસ્કૃત ભાષા, સરકારી પાંખ, શૈક્ષણિક પાંખ, બભમ બભમ, કાકા કાલેલકર, દાદા ધર્માધિકારી, શિક્ષણનું વ્યાપારી કરણ, ગુજરાત યુનીવર્સીટી, સયાજીરાવ યુનીવર્સીટી, વલ્લભ વિદ્યાપીઠ, જયેન્દ્ર ત્રીવેદી, દ્વારકા પ્રસાદ જોષી, જબલપુર, લઘુતાગ્રંથી, નહેરુ

Read Full Post »

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ – ૮

સીતા ધરતીમાં સમાઈ ગઈ. એક વાત એ પણ છે કે વાલ્મિકી પોતે જ સીતાની શુદ્ધતા શપથ પૂર્વક કહે અને વશિષ્ઠ તેને પ્રમાણ માને.

પણ રામનું માનવું છે એવું જ હોઈ શકે કે આવી કોઈ પ્રણાલી છે જ નહીં. જો પોતાના માટે આવું કરવામાં આવે તો તે પોતાને સ્પેશીયલ ટ્ટ્રીટામેન્ટ્ આપી કહેવાય. રાજાને આ જાતની સ્પેશીયલ ટ્રીટમેન્ટ આપવાની પ્રણાલી નથી માટે આવી પ્રણાલીની સ્થાપના અમાન્ય જ ગણાય. વળી આવી પ્રણાલી સ્થાપવી અને તેને સમાજમાં વ્યાપક કરવી તે પણ શક્ય નથી.  એટલે કે વશિષ્ઠ આને વાલ્મિકી કંઈ બધાને ઉપાબ્ધ ન હોય. રાજા માટે જુદા માપદંડ ન હોઈ શકે. એટલે રામનું માનવું એમ જ રહ્યું કે આ સમસ્યાનો ઉકેલ ફક્ત અગ્નિપરીક્ષા જ છે.

સીતાએ અગ્નિ પરીક્ષા માટે શું કામ તૈયાર ન થઈ? સીતાને આમ વારંવાર અગ્નિ-પરીક્ષાની વાત અપમાન જનક લાગી. તેને જીવન સમાઅપ્ત કરવું વધુ યોગ્ય આગ્યું. આ વાતનો જનતા ઉપર વધુ પ્રભાવ પડશે. અને એટલે જનતાના હૃદયમાં સીતાનું સ્થાન રામ જેટલું જ આદરણીય બની જાય છે.

રામ અને નહેરુવીયન કોંગ્રેસના નેતાની ગેંગ

રામની સત્ય અને પ્રણાલીઓની ઉપરની નિષ્ઠા કઠોર હતી કે જો આપણે નહેરુથી શરુ કરી આજ પર્યંતના નહેરુના વંશજ કે અનુયાયીઓની જનતંત્ર ઉપરની નિષ્ઠા અને કર્તવ્ય પરાયણતાની સરખામણી કરીએ તો તેઓ સૌ માટે આત્મહત્યા કર્યા સિવાય કશો માર્ગ બચતો નથી.

રાજાજ્ઞા અને રાજાજ્ઞાના શબ્દોનું અર્થઘટન

રામ તો તે વખતે અજેય થઈ ગયા હતા. રામરાજ્યનો કારભાર પણ સ્થાપિત અને આદર્શ પરંપરા અનુસાર થઈ રહ્યો હતો.

એક ઋષિ આવે છે. તેઓશ્રી રામ સાથે મહત્વપૂર્ણા અને સંપૂર્ણ ગુપ્ત રહે એવી વાત કરવા માગે છે. તેઓશ્રી એવો પણ આગ્રહ રાખે છે કે જ્યાં સુધી વાતચીત સમાપ્ત ન થાય ત્યાં સુધી કોઈએ ખંડમાં પ્રવેશ પણ ન કરવો. રામ આ વાતની ચોકસી રાખવા લક્ષ્મણને બોલાવે છે. સંવાદ માટેના ખંડના બારણા પાસે લક્ષ્મણને ઉભા રહીને ચોકસી રાખવાનું કામ સોંપે છે. એ પણ ચેતવણી આપે છે કે જો કોઈપણ વ્યક્તિ અંદર આવશે તો તેણે રાજાજ્ઞાનો ભંગ કર્યો ગણાશે અને તેનો દંડ માત્ર મોતની સજા હશે.

રામ અને તે ઋષિ સંવાદ ખંડમાં જાય છે. લક્ષ્મણ દ્વારપાળ બની જાય છે. દરવાજાને બંધ કરવામાં આવે છે. સંવાદ ખંડની અંદર રામ અને ઋષિ વચ્ચે ગોષ્ટિ ચાલુ થાય છે.

કેટલાક સમય પછી દુર્વાસા ઋષિ આવે છે. તેઓ લક્ષ્મણને કહે છે રામને બોલાવ. મારે રામને તાત્કાલિક મળવું છે. લક્ષ્મણ કહે છે કે રામ તો ગુપ્ત મંત્રણામાં છે અને અત્યારે ત્યાં જવાની સંપૂર્ણ મનાઈ છે. દુર્વાસા પોતાનો આગ્રહ જારી રાખે છે. તેઓ લક્ષ્મણને ધમકી પૂર્વક એમ પણ કહે છે કે જો મને તત્કાલ મળવા દેવામાં નહીં આવે તો હું પૂરી અયોધ્યાને ભસ્મ કરી દઈશ.

વાસ્તવમાં લક્ષ્મણ અને દુર્વાસા વચ્ચે શું વાત થઈ હશે તે આપણે જાણતા નથી. આવી ધમકી આમ સાચી તો ન પડી શકે. તે વખતે ચમત્કારમાં માનવા વાળા કેટલા હતા અને લક્ષ્મણ પણ ચમત્કારમાં માનતા હતા કે નહીં તે પણ આપણે જાણતા નથી. પણ દુર્વાસાની ધમકી થી લક્ષ્મણને થયું કે તેમણે ગુપ્ત ગોષ્ટિ કરી રહેલા રામ અને ઋષિને વિક્ષુબ્ધ કરવા જ પડશે. આમ વિચારી લક્ષ્મણ બારણું ખોલે છે. તેજ સમયે રામ અને ઋષિ તેમના આસન ઉપરથી ઉભા થાય છે કારણ કે તેમની ગોષ્ટિ પૂરી થઈ હોય છે. 

“ગોષ્ટિ પૂરી થઈ” એની વ્યાખ્યા શું?

ગોષ્ટિનો પ્રારંભ તો રામ અને ઋષિ અંદર જાય અને બારણું બંધ થાય ત્યારથી થયો કહેવાય. પણ સંવાદનો અંત ક્યારે થયો કહેવાય?

શું સંવાદનો અંત  જ્યારે રામ અને ઋષિ બોલવાનું બંધ કરે ત્યારે થયો કહેવાય?

શું સંવાદનો અંત  જ્યારે રામ અને ઋષિ આસન ઉપરથી ઉઠે ત્યારે થયો કહેવાય?

શું સંવાદનો અંત  રામ અને ઋષિ દ્વાર પાસે આવે ત્યારે થયો કહેવાય?

શું સંવાદનો અંત  રામ અને ઋષિ દ્વારની બહાર આવી જાય ત્યારે થયો કહેવાય?

રામને હિસાબે સંવાદનો અંત જ્યાં સુધી દ્વારની બહાર બંને આવે ત્યારે જ થયો કહેવાય.

 જ્યારે રામ અને ઋષિ બોલવાનું બંધ કરે ત્યારથી જો ગોષ્ટિ પૂરી થઈ એમ ન માની શકાય. કારણ કે વાતચીત ચાલતી હોય ત્યારે વચ્ચે કોઈ વિચારમાં પડી જાય અને થોડું મૌન પણ ધરી લે. અને પછી બોલવાનું શરુ કરે.

જ્યારે રામ અને ઋષિ આસન ઉપરથી ઉઠે ત્યારે પણ ગોષ્ટિ પૂરી થઈ એમ ન કહેવાય. કારણ કે તે બંને માંથી કોઈને નવી વાત યાદ આવે તો તેઓ ફરી થી પણ આસન ઉપર બેસી જાય.

જ્યારે રામ અને ઋષિ બારણા પાસે આવે ત્યારે પણ ગોષ્ટિ પૂરી થઈ એમ ન માની શકાય. કારણ કે તેઓ બારણું ખોલ્યા વગર કંઇક યાદ આવે તો ફરી થી પાછા જાય અને આસન ઉપર બેસીને ગોષ્ટિ ચાલુ કરે.

ફક્ત ચોકીદાર માટે જ નહીં પણ રામ, ઋષિ અને બધા જ માટે જ્યાં સુધી રામ અને ઋષિ બારણું ખોલીને બહાર ન આવે ત્યાં સુધી સંવાદનો અંત આવ્યો તેમ માની ન શકાય.

તો હવે રાજા રામે કહ્યા પ્રમાણે રાજાજ્ઞાનાના અનાદર માટે લક્ષ્મણને દેહાંત દંડ આપવો જોઇએ.

લક્ષ્મણ જે રામની સાથે રહ્યો અને દશરથની આજ્ઞા ન હોવા છતાં પણ રામ સાથે વનવાસ ભોગવ્યો, અનેક દુઃખ અને અપમાન સહન કર્યાં. લક્ષ્મણનો ત્યાગ અને ભ્રાતૃભાવ અનુપમ હતો. આ લક્ષ્મણે અયોધ્યાની જનતાના રક્ષણ માટે રાજાજ્ઞાનો જો શાબ્દિક વ્યાખ્યાથી થતા અર્થઘટન પ્રમાણે રાજાજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ન હતું. વાસ્તવિક રીતે તો રાજાજ્ઞાનું ઉલ્લંઘન થયું ન હતું. જે ઋષિ રામ સાથે ગોષ્ટિ કરી રહ્યા હતા, તેમને હિસાબે પણ રાજાજ્ઞાનું ઉલ્લંઘન થયું ન હતું. પણ ક્ષુરસ્ય ધારા (અસ્ત્રાની અણીવાળી ધાર) પર ચાલવા વાળા રામ અને લક્ષ્મણને લાગ્યું કે રાજાજ્ઞાનું ઉલ્લંઘન થયું હતું.

સંભવ છે કે રામ અને ઋષિનો વાસ્તવિક સંવાદ ચાલુ જ હોય ને છેલ્લા વાક્યો બોલાતાં હોય ત્યારે જ લક્ષ્મણ ખંડની અંદર પહોંચ્યા હોય. ઋષિને લાગ્યું હોય કે હવે કશું ગુપ્ત કહેવાનું બાકી રહ્યું નથી તેથી લક્ષ્મણના પ્રવેશને હવે રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન ન ગણવું. પણ રામને આવું ન લાગ્યું હોય.

રામે વશિષ્ઠને પૂછ્યું. વશિષ્ઠની માન્યતા પ્રમાણે રાજાજ્ઞાનું ઉલ્લંઘન થયું હતુ. તેથી લક્ષ્મણ માટે દેહાંતદંડની  સજા નિશ્ચિત બનતી હતી. પણ તે સમયમાં દેહાંતદંડના અર્થઘટન પર એક બીજી પ્રણાલી પણ હતી કે જે વ્યક્તિ ઉપર દેહાંત દંડ ની સજા લાગુ પડતી હોય તે જો કોઈ મહાપુરુષ હોય તો તેને સ્વદેશ ત્યાગની આજ્ઞા કરી શકાય. આ સજા, તેને માટે દેહાંતદંડની સમક્ક્ષ જ ગણાય.

લક્ષ્મણ અયોધ્યાની બહાર નિકળી જાય છે. અને સરયુ નદીમાં આત્મવિલોપન કરે છે.

આવી હતી રઘુવંશના તત્કાલિન શાસન અને પ્રણાલી પ્રત્યેની માનાસિકતા આને વલણો.

આ માનસિકતાને ભારતની જનતાએ માન્ય રાખી બહુમાન કર્યું. આધુનિક યુગના કેટલાક મૂર્ધન્યોને બાદ કરતાં કોઈએ રામની નિંદા ન કરી. ન તો કોઈએ સીતા અને લક્ષ્મણની નિંદા કરી. હાજી આપણા એતદ્‍કાલિન એટકે પ્રવર્તમાન કેટાલાક મૂર્ધન્યોએ રામના અમુક કાર્યોની કુત્સિત ટીકા કરી. કારણ કે અનેક વિશ્લેષકોનું ધ્યેય “પોતે કેવા તટસ્થ વિશ્લેષક છે કે રામને પણ છોડે નહીં” એ પ્રદર્શિત કરવાનું હોય છે.

રામ સામાજિક પ્રણાલીઓનું જે નિષ્ઠા પૂર્વક વળગી રહ્યા. સત્યનું ઉગમસ્થાન ગમે તે નિમ્ન સ્તરેથી આવતું હોય તો પણ તેમણે તે સત્યનો હમેશા આદર કર્યો  અને તેને અનુરુપ આચાર કર્યો. રામે, શાસકની સત્તાની જે સૈધાંતિક સીમા અને પરિભાષા રાખી હતી, તે સમજવા અને પચાવવા હાલના વિશ્વના વિદ્વાનો અને શાસકો પણ સક્ષમ નથી.

રામનું સૌથી મોટું અપમાન શું આજ છે?

ના જી. નહેરુવંશી અને દંભી ધર્મનિરપેક્ષવાદીઓએ રામના ઘણા મોટાં અપમાન કર્યાં છે. 

(ચાલુ) 

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

જાહોજલાલીમાં પૂર્ણ વિરામ  કે અલ્પવિરામની શોધ કરો

જાહોજલાલીની વ્યાખ્યા શું?

જો કડક વ્યાખ્યા એટલે કે જેને આપણે નિરપેક્ષ વ્યાખ્યા કહીયે તેવી વ્યાખ્યા કરવી હોય તો એમ કહેવાય કે જો એક કુટુંબની જરુરીયાત એક ગાયની હોય અને તેની પાસે બે ગાય હોય અને બીજા પાસે એક પણ ગાય ન હોય તો બે ગાયવાળો  માલેતુજાર કહેવાય.  એટલે પહેલા કુટુંબે બીજા કુટુંબને એક ગાય કોઈ એક નક્કી કરેલી પ્રણાલી પ્રમાણે બીજા કુટુંબને આપી દેવી જોઇએ.

હવે ધારો કે પહેલા કુટુંબે એક ગાય જે વધારાની ગણાઈ હતી તે બીજા કુટુંબને આપી દીધી.

પણ હવે એવું થયું કે પહેલા કુટુંબની પરિસ્થિતિ બદલાઈ, તેનું કુટુંબ વધ્યું કે તેના કુટુંબમાં કોઈ માંદુ પડ્યું કે જે એક ગાય હતી તે એક ગાયે દુધ આપવાનું બંધ કર્યું કે દુધ ઓછું આપવાનું શરુ કર્યું કે એ ગાય મરી ગઈ, તો હવે શું કરવું?

પણ હવે આ સમસ્યા આ રીતે ઉકેલી નહીં શકાય.

આપણે ફક્ત બે કુટુંબનું એકમ લીધું. આપણે એક ગામને એકમ લેવું જોઇએ. ગામમાં ઘણી ગાયો હોઈ શકે. બધાને એક એક ગાય કદાચ આપી પણ ન શકાય. ધારોકે આપી શકાય તેમ હોય તો ઉપર જણાવેલ સમસ્યા તો ઉભી થવાની જ. માટે ઉત્પાદના કે સુખસગવડના બીજા કામો ઉભા કરો. અને અમુક લોકોને એમાં રોકો. દા.ત. ખેતી.

કામની વહેંચણી અને વર્ગનું સર્જન

ખેતી માટે ઓજારો જોઈશે, એટલે અમુક લોકોને ઓજારો બનાવવાનું કામ સોંપો. એટલે ઓજારો બનાવનારા માણસો, ખેતી કરનારા માણસો અને ગાયનું દુધ ઉત્પન્ન કરનારા માણસો એવા ત્રણ વર્ગ પડશે. આ બધાની વહેંચણી કરવામાં ગણત્રીઓ કરવી પડશે. એટલે અમુક લોકોને ગણત્રી કરવાનું ગમતું હશે. અને તે કેવી રીતે કરવી તે શિખવવાનું પણ ગમતું હશે. આવું બધું વિસ્તરે એટલે એક શિક્ષક વર્ગ પણ ઉભો થશે. હવે ગણત્રી કરવામાં જરુરીયાતો અને નિયમો નક્કી કરવા પડે એટલે કેટલાક સમજુ અને વિવેક કરવા વાળા સર્વ સ્વિકૃત વિશ્વસનીય માણસો જોઇશે. એટલે શિક્ષકોમાં એક વિભાગ પડશે જેને ન્યાયનું કામ આપવામાં આવશે. પણ દેશમાં એક ગામ તો હોય નહીં. એટલે બીજા ગામવાળા તમારા ગામમાં હસ્તક્ષેપ કરે તો તેની સામે રક્ષણ માટે વળી પાછો એક વર્ગ બનાવવો પડશે. પણ આ તો રક્ષણની વાત થઈ. તેમાં તો વ્યુહ રચનાઓ કરવી પડે. જેમ ઝાઝા રસોયા રસોઈ બગાડે તેમ એક કરતા વધુ વ્યુહરચનામાંથી શ્રેષ્ઠ રચના કઈ એ નક્કી કરવું પડે. એટલે એક નેતા નક્કી કરવો પડે જે રક્ષણ કરવા અને બૌદ્ધિક રીતે સક્ષમ હોય.

કાળ ક્રમે ઉત્પાદકો, કારીગરો, શિક્ષકો, ન્યાયધીશો કે અને રાજાઓ, સૈનિકો અને મજુરોના વર્ગો અસ્તિત્વમાં આવ્યા હશે. એક કરતાં વધુ ગામો હોય અને સલાહ સંપથી રહી શકવાના પ્રયત્નોના ભાગ રૂપે  રાજાઓ, મહારાજાઓ અને ચક્રવર્તી રાજાઓ બન્યા હશે. નિયમો જટીલ બનાવવા પડ્યા હશે. અને અન્યાયો પણ ચાલુ થયા હશે. અને સુખાકારી માટે જુદી જુદી પ્રણાલીઓ અસ્તિત્વમાં આવી હશે અને વિકસી હશે.

સવાલ એ છે કે આ બધું શું કામ થાય છે?

માણસને જોઇએ છે શું?

માણસે શા માટે સમૂહમાં રહેવાનું નક્કી કર્યું?

સમૂહમાં રહેવાથી મનુષ્યની શક્તિમાં ગુણોત્તર પ્રમાણમાં વધારો થાય છે. એટલે સુરક્ષા પણ મળે છે. અને નિશ્ચિંતતા પણ મળે છે. ટૂંકમાં માણસની બુદ્ધિએ માણસને સામાજીક પ્રાણી તરીકે રહેવાનું શિખવ્યું.

સમુહમાં જીવવાથી માણસ શારીરિક અને બૌદ્ધિક વિકાસ સાધી શકે છે જેથી તે વધુ આનંદ પ્રાપ્ત કરી શકે છે.

મનુષ્ય તો મરી જાય, સમાજ તો જીવતો રહે છે. એટલે મનુષ્યનું જ્ઞાન સમાજમાં જળવાઈ રહે છે. સમાજ એક એકમ તરીકે સુધરતો સુધરતો સદાકાળ (?), જીવતો રહી શકે. આવા સાતત્યને લીધે પેઢી દર પેઢીના મનુષ્યો વ્યક્તિગત રીતે વધુ આનંદપૂર્વક જીવી શકે.

સમાજનો મુખ્ય ગુણ ધર્મ શો?

સંવાદ, કામની વહેંચણી, સહયોગ અને સહકાર આ સમાજના મુખ્ય ગુણધર્મ હોવા જોઇએ. સહયોગ અને સહકારમાં ફેર શો? સહયોગ એ પ્રણાલી બદ્ધ છે. જ્યારે સહકારમાં મનોભાવ સંકળાયેલો છે. મુખ્ય ગુણધર્મ તો સંવાદ માત્ર છે. સંવાદના કારણે કામની વહેંચણીની સ્વિકૃતિ, સહયોગ અને સહકારની ભાવનાઓ ઉત્પન્ન થઈ. ટૂંકામાં સંવાદ સિવાયના બાકીના બધા તો આનંદ પ્રાપ્તિની ખોજના પ્રયાસોની આડ પેદાશ છે. વધુને વધુ સંવાદ માટે ભાષાનો વિકાસ થયો.

મનુષ્ય સામાજીક પ્રાણી છે. સમાજનું એકમ મનુષ્ય છે. જો મનુષ્યનો વિકાસ થશે તો સમાજનો વિકાસ થશે. અને જો સમાજ વિકસિત થતો હશે તો મનુષ્યને વધુ સરળ રીતે આનંદ મળતો થશે .

તો પછી કેન્દ્રમાં કોણ હોવું જોઇએ? સમાજ કે મનુષ્ય?

જ્યાં મનુષ્યને કેન્દ્રમાં રખાયો તેને મુડીવાદ કહેવામાં આવ્યો. જ્યાં સમાજને કેન્દ્રમાં રખાયો તેને સામ્યવાદ કે સમાજવાદ કહેવાયો.

જ્યારે મનુષ્ય પોતાના સુખને કે પોતાના કુટુંબના સુખને કેન્દ્રમાં રાખે અને બુદ્ધિનો તેમાં ઉપયોગ કરે ત્યાં દંભ ઉભો થાય છે. જ્યારે મુડીવાદમાં અને સમાજવાદમાં દંભનું મિશ્રણ થાય ત્યારે તે પોતાનું સૈધાન્તિક પોત ગુમાવે છે. એવું જ થયું છે.

મુડીવાદે અને સમાજવાદે (સામ્યવાદે) માણસોને અળગા, સંવાદહીન અને કંઈક અંશે સંવેદનહીન  કર્યા.

સામ્યવાદ સંવાદહીનતાને કારણે અપારદર્શક બન્યો અને લગભગ નષ્ટ થયો.

મૂડીવાદી સમાજ અસ્થિરતામાં ફસાયેલો રહે છે. એટલે કે મંદીના મોજાંઓ આવ્યા કરે અને માણસો, આર્થિક અને માનસિક યાતનાઓના ભોગ બનતા રહે. આ મંદીઓ અક્ષમ્ય છે. જે દેશપાસે, અતિવિદ્વાન એવા અર્થશાસ્ત્રીઓ હોય, હિસાબો ત્રણ ત્રણ મહિને ચકાસાતા હોય, ચાલુ નિયમોને અવારનવાર સમજણ પૂર્વક અને પરિણામી અસરોને અનુલક્ષીને મઠારવવામાં આવતા હોય, આવી જ્યાં વ્યવસ્થાઓ હોય, ત્યાં રાતોરાત મંદી આવી જય અને હજારો લાખો લોકો યાતનાઓમાં ડૂબી જાય, અને આવું થયા પછી પણ કોઈની જવાબદારી પણ નક્કી ન થઈ શકે અને કોઈને કશો દંડ પણ ન થઈ શકે, તે મૂડીવાદને કેવીરીતે યોગ્ય ગણાવી શકાય? આમાં વ્યાપક રીતે અપારદર્શિતા તો છે જ, અને દંભ પણ છે.

ક્ષતિ ક્યાં છે?

ખાટલે મોટી ખોડ એ છે કે સમાજને કેન્દ્રમાં રખાયો તો નથી જ. પણ ગણીગાંઠી વ્યક્તિઓએ તત્કાલિન સત્તા અને સુખાકારી માટે દંભ આચર્યો અને અપારદર્શિતા રાખી અને અથવા જનતાને ગુમરાહ કરી. ખેરખાંઓ એ જાહેર કર્યું કે અવારનવાર મંદીઓ તો આવ્યાજ કરશે. આ તો મુડીવાદનું લક્ષણ છે. ઈતિ સિદ્ધમ્‌ તથા પૂર્ણમ્‌.

નફાનું ધોરણ શું અને શ્રમનું મૂલ્ય શું?

નફાનું ધોરણ મનસ્વી. શ્રમનું મૂલ્ય પણ લગભગ મનસ્વી.

શા માટે આ બધું મનસ્વી રીતે છે?

ઉત્પાદનમાં કોઈ સીમા રાખી નથી અને જેને જે ઉત્પાદન કરવું હોય તે કરે. તેથી સ્પર્ધા થશે અને નફા ઉપર આપોઆપ અંકૂશ આવશે. શ્રમના મૂલ્ય નક્કી કરવામાં પણ આવું જ થશે. શ્રમજીવીઓ પોતાનું સંગઠન કરશે અને માલિક ઉપર દબાણ લાવી શ્રમનું મૂલ્ય વધારશે.

શ્રમ એક એવી વપરાશની વસ્તુ બનશે. તેનો કામચલાઉ રીતે અભાવ ઉત્પન્ન કરવામાં આવે તો માલિક તેના પ્રતિસ્પર્ધિઓ સામે ટકી ન શકે. આમ માલિક અને શ્રમજીવી (બુદ્ધિ જીવી સહિત) સૌ કોઈ વપરાશની વસ્તુ તરીકે પોતાનું મૂલ્ય નક્કી કરાવશે. માલિક પણ એક ખરીદનાર તરીકે તે વસ્તુના બજારી જત્થાના વેચનારની/વેચાનારની ગરજના  વ્યસ્ત પ્રમાણમાં અને પોતાની જરુરીયાતના સમપ્રમાણના આધારે તેનું મૂલ્ય નક્કી કરશે. આ પ્રક્રિયામાં કુદરતી અને માનવીય મૂલ્યોનો નાશ થશે. છતાં બધું કાયદેસર ગણાશે.

દા.ત.

સરકારી નોકરોની જવાબદારીઓ નક્કી કરવામાં આવી આ જવાબદારીઓ દ્વારા તેમની સેવાઓ લેવામાં આવી. આ સેવાઓની સામે તેમના કામના નક્કી કરાયેલા શ્રમના મૂલ્ય પ્રમાણે તેમને વેતન મળે છે. જ્યારે આ નોકરો સેવા બજાવતા હતા ત્યારે તેમને અન્ય બીજો કોઈ વ્યવસાય કરવાની છૂટ ન હતી. આ સરકારી નોકરોને વૃદ્ધાવસ્થા આવે અને શારીરિક રીતે (માનસિક રીતે અશક્ત થાય) તે માટે એક વય નક્કી કરવામાં આવી અને તે સમયે તેમનું પેન્શન નક્કી કરવામાં આવ્યું.

WHO IS DRIVING THE TRAIN

આ સરકારી નોકરોના કામ ઉપર નીગરાની રાખવા અને તેમને કામદ્વારા થતી ધ્યેય પ્રાપ્તિમાં આવતી સમસ્યાઓના નિવારણ માટે જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગોઠવવામાં આવ્યા. આ પ્રતિનિધિઓ કહે અમને પણ વેતન જોઇએ. તેમને વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું. જોકે મંત્રી મંડળ સિવાય કોઈપણ પ્રતિનિધિની કોઈ જવાબદારી ન હતી. તેટલું જ નહીં પણ તેમને પોતાના બીજા એક કે અનેક વ્યવસાય કરવાની છૂટ પણ હતી. તો પણ તેમને વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું. તેમની મૂદત પાંચ વર્ષ ની હતી. પાંચ વર્ષ પછી જો તેઓ ફરીથી ચૂંટાઈને ન આવે તો પણ તેમને પેન્શન મળશે તેવું નક્કી કરવામાં આવ્યું. એટલું જ નહીં પણ જો વિધાન સભા કે સંસદ, મૂદત પહેલાં બરખાસ્ત થાય તો પણ તેમને તેટલું જ પેન્શન મળશે તેવું નક્કી કરવામાં આવ્યું. આ ઉપરાંત તેઓ ખમતીધર હોવાં છતાં તેમને ભત્થાં, રહેણાંક, સુરક્ષા અને અત્યંત ઓછા ભાવે ભોજન આપવાનું નક્કી કરવામાં આવ્યું.

સમાજ સેવા માટે કઈ પદ્ધતિ સારી એ વાત ઉપર ખૂરસીઓ અને માઈર્કોફોન અને પેપરો, પેપરવેટ ફેંકીને પોતે પોતાના સૈધાંતિક વિરોધમાં કેટલા પ્રબળ છે તે દર્શાવતા આ પ્રતિનિધિઓ વેતન, પેન્શન અને સગવડો માટે હાથ મિલાવતા થયા.

જો પોતાની સુખસગવડોને વધારવા માટે ભૌતિક રીતે લડનારા આ પ્રતિનિધિઓ જેમના હલન ચલન અને વ્યવહારો પારદર્શક બનાવવામાં આવ્યા છે તેઓ પણ જો સંપીને કામ કરતા હોય તો ઉત્પાદન અને વહેંચણીના માલિકો કેમ સંપી ન શકે? તેઓ પણ સંપી જ જાય છે. જો ક્ષેત્ર વિશાળ બને તો સંપી જવાની શક્યતાઓ ઘટે. જો સંવાદના ઉપકરણો વધે તો વળી સંપીને નફો રળવાની શક્યતાઓ વધે.

જો દરેક જગ્યાએ પારદર્શિતાને લાવવામાં આવે તો જનતાને ખબર પડે કે પોતે ક્યાં છેતરાય છે. પણ જેમ દરેક વ્યક્તિને પોતાની અમુક બાબતો ખાનગી રાખવાનો હક્ક હોય છે. તેમ સંસ્થાઓને પણ આવા હક્ક આપવામાં આવ્યા હોય છે.

ટૂંકમાં સમાજનું મુખ્ય લક્ષણ સંવાદ છે અને આનંદ તેનું ધ્યેય છે. પણ સમાજનું પોત એવું બને છે કે ત્યાં સંવાદની વ્યાપકતામાં ખામી ઉત્પન્ન થાય છે. સુખના પ્રમાણમાં દુઃખ વધુ ઉત્પન્ન થાય છે.

સંવાદ માટે હાનિકારક શું છે?

સુખ સગવડોના ભોગવટામાં અસાધારણ અસમાનતા, મનુષ્યમાં અસંતોષની લાગણી ઉત્પન્ન કરેછે. અસંતોષ દુઃખ દાયક હોય છે. આ અસમાનતા મનુષ્યને એકલો પાડી દે છે. તેને વિસંવાદ અને અસંવાદની સ્થિતિ ઉપર લાવી મુકે છે. આથી મનુષ્યમાં રહેલી સહકાર અને સહયોગની ભાવનાને અપાર ક્ષતિ પહોંચે છે. એટલે થાય છે એવું કે જેઓ સમાન સગવડો ભોગવે છે તેઓ સંવાદ અને સહયોગ કરી શકે છે પણ અસમાન જુથો વચ્ચે વર્ગ વિગ્રહ થાય છે. વર્ગ વિગ્રહ થાય તો સહયોગ તો થાય જ કેવી રીતે?

WHO WERE INSIDE CONFIDENTIAL

જો સમાજના પોતમાં સંવાદ, સહકાર, સહયોગ ક્ષતિયુક્ત હોય તો કામનું યોગ્ય મૂલ્ય રોગિષ્ટ થાય છે.

આવી પરિસ્થિતિમાં સમાજનું શું થશે?

અંતે તો વ્યક્તિની સુખાકારી સમાજની તંદુરસ્તી ઉપર જ અવલંબે છે. જો સમાજ જ તંદુરસ્ત ન હોય તો તે નષ્ટ જ થાય. જેમ વ્યક્તિનું થાય તેવું જ સમાજનું થાય. જો તમે વ્યક્તિના હક્ક માન્ય રાખો, સંસ્થાના હક્કો માન્ય રાખો તો સમાજના હક્કો પણ માન્ય રાખવા જ જોઇએ.

કુદરતે શું નક્કી કર્યું છે?

કુદરત પણ એક વ્યક્તિ છે. તે એક વૈશ્વિક સમાજ છે. આનું બંધારણ અલગ જ છે. આના ઘટકોમાં મનુષ્ય, પ્રાણીઓ, વનસ્પતિ, હવા, પાણી, પૃથ્વી, સૂર્ય મંડળ, આકાશ ગંગા અને ખુદ બ્રહ્માણ્ડ અને અનંત કોટિ બ્રહ્માણ્ડોના સમૂહયુક્ત મહાબ્રહ્માણ્ડ ખુદ છે. આ અનંત કોટિ બ્રહ્માણ્ડો જેનું શરીર છે તે વિશ્વમૂર્તિ શિવ પાસે પારવિનાની શક્યતાઓ પડેલી છે. તેને એક રજકણના પણ અતિસુક્ષ્મ કદની પૃથ્વી ઉપરના થોડા હજાર વર્ષ જુના માનવ સમાજની ખાસ પડી ન પણ હોય. તેણે તો નિયમો બનાવીને માનવજાતને તેમના કર્મના ભરોસે છોડી દીધી. માનવજાતને બુદ્ધિ આપી કે જેથી તે પોતાની સામુહિક બુદ્ધિ દ્વારા પોતાની સમસ્યાઓ દૂર કરી  સુખપ્રાપ્તિ કરી શકે છે.

સમાજ તેના કર્મોને આધારે શેરબજારની જેમ વાંકો ચૂકો પડી આખડી આગળ વધે પણ ખરો અને નષ્ટ પણ થાય. જો જણનારીમાં જોર ન હોય તો ઈશ્વર બિચારો શું કરે?

જો આપણે સમસ્યાઓ જ વર્ણવીએ અને તેના જ રોદણાં જ રોઈએ તો એક નકારાત્મક વાતાવરણ ઉત્પન્ન થાય.                 

મહાત્મા ગાંધીએ સમન્વયનો રસ્તો બતાવ્યો. છે. સ્વમાં અને સંસ્થામાં અને સરકારમાં પારદર્શિતા લાવો. શ્રમનું મૂલ્ય નિશ્ચિત કરો. જે સગવડો બધા ન ભોગવી શકે તે ઉપર અંકુશ લાવો. તમે જે કંઈ પ્રપ્ત કર્યું તેના ઉપર સમાજનો પણ અધિકાર છે. માટે તમે તેના ટ્રસ્ટી બનો. આ ટ્રસ્ટીશીપને તમે તમારી ઓળખ માનો. તેજ તમારું ફળ છે. આ વાતે તમે સંતુષ્ટ બનો.

ત્યક્તેન ભૂંજીથાઃ

ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છે કે “તેન ત્યક્તેન ભૂંજીથાઃ”  તેથી કરીને એટલે કે ત્યાગીને ભોગવો. ત્યાગ થકી જે આનંદ પ્રાપ્ત થાય તે આનંદને ભોગવો. ભોગવી તો જુઓ. જો તમે આવા આનંદને ભોગવશો તો તમને ખ્યાલ આવશે કે આ રીતે આવેલો આનંદ કેટલો બધો આનંદ દાયક હોય છે. રવિશંકર મહારાજે તો તે હદ સુધી કહ્યું કે તમે ઘસાઈને ઉજળા બનો. બીજાને ઉપયોગી થાઓ.

તો આ બધા માટે કેવી પ્રણાલી કઈ રીતે ગોઠવવી? (ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ જાહોજલાલી, વિરામ, પૂર્ણ વિરામ, સમસ્યા, કુટુંબ, એકમ, ગામ, દેશ, સમાજ, સામાજીક, ઉત્પાદન, વહેંચણી, સુખ સગવડ, ખેતી, ઓજારો, વર્ગ, શિક્ષક, ન્યાય, નેતા, રાજા, સૈનિકો, સહકાર, સહયોગ, સંવાદ, આનંદ, વિકાસ, કેન્દ્ર, મનુષ્ય, બુદ્ધિ, પોત, દંભ, મુડીવાદ, સામ્યવાદ, સમાજવાદ, મંદી, પારદર્શિતા

Read Full Post »

ત્રીનેત્ર એ સનાતન ધર્મીઓ માટે જાણીતો શબ્દ છે. વિશ્વદેવ જેને ઋગવેદમાં વર્ણવવામાં આવ્યા છે. તેમને ત્રણ નેત્રો છે. સૂર્ય, ચન્દ્ર અને અગ્નિ.

“જે પીણ્ડે છે તે બ્રહ્માણ્ડે છે”. એટલે કે જો એ રીતે સરખામણી કરીએ તો
આપણે ચન્દ્રના અજવાળામાં જોઇ શકીએ છીએ. હવે “જોવું” એ શબ્દનો અર્થ જાણવું કરીએ તો ચન્દ્રના અજવાળામાં આપણે જે કંઈ જોઇએ તે સ્પષ્ટ ન હોઇ શકે. અને આપણા મનને આપણે મદદમાં લેવું પડે. અથવા અજાણતાં પણ આપણે તેમ કરીએ છીએ. તેથી ચંદ્ર એ મન છે. “ચન્દ્રોમા મનસિ જાતઃ” એમ પણ કહ્યું છે. તેનો અર્થ એ પણ થઇ શકે કે ચંદ્ર આપણા મન ઉપર અસર કરે છે.

સૂર્યના અજવાળામાં આપણને બધું સ્પષ્ટ દેખાય છે. મતલબ કે જોઇ સમજી શકીએ. પણ આપણી વાત તૃતીય નેત્ર વિષેની છે. જ્યારે સૂર્ય પણ આકાશમાં ન હોય અને ચંદ્ર પણ આકાશમાં ન હોય ત્યારે આપણે અગ્નિથી કામ ચલાવીએ છીએ. વળી અગ્નિ આપણું અન્ન રાંધે છે અને આ પક્વ અન્ન આપણને આનંદથી જીવાડે છે.

અગ્નિ સર્વને બાળીને અદ્રશ્ય કરે છે. તે બધું ક્યાં જાયછે? તે બધું વિશ્વમાં દ્રવિત થાય છે. “મૂખાત્ અગ્નિ અજાયતઃ” અગ્નિ એ વિશ્વદેવનું મુખ છે. અને જે કંઈ મુખમાં જાય છે તેથી કુદરતી શક્તિઓનું પોષણ થાય છે. વળી અગ્નિ એ પુરોહિત છે. એટલે કે તે સર્વ શક્તિઓનો પ્રમુખ છે. “અગ્નિમીળે પુરોહિતં.”

અગ્નિ એ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયો. તેથી તેને “બ્રાહ્મણ” કહેવાય છે. અને તેથી વૈદિક ધર્મને “બ્રાહ્મણ ધર્મ” કહેવાય છે. અગ્નિને ઘરમાં “દીપ”ના સ્વરુપમાં  રાખવામાં આવે છે. તેથી તે “ગાર્હપત્ય” છે.  આ ત્રીજું નેત્ર અગ્નિ એ શું નથી? અગ્નિ એ જ્ઞાન છે. જ્ઞાન એ ત્રીજું નેત્ર છે. પણ જ્ઞાન એટલે શું? પંચેન્દ્રીયો થકી કે કંઇ જોવામાં આવે અને મગજમાં સંગ્રહવામાં આવે અને તે ઉપર મનન ચિંતન કરી સમજવામાં આવે તેને જ્ઞાન કહેવાય.

જ્ઞાન શું કરે છે? જ્ઞાન એ મનુષ્યમાં પ્રજ્ઞા ઉત્પન્ન કરે છે. આ પ્રજ્ઞા એટલે સાચા નિર્ણય કરવાની ક્ષમતા. સંબદ્ધતાની પ્રજ્ઞા, પ્રમાણભાનની પ્રજ્ઞા અને પ્રાથમિકતાની પ્રજ્ઞા. આ ત્રણે પ્રજ્ઞાઓ સમાજનો સામાજીક અને વૈજ્ઞાનિક વિકાસ કરે છે.

ટૂંકમાં સામાજીક ઉન્નતિ માટેની ચર્ચાઓ,  સંબદ્ધતાની પ્રજ્ઞા, પ્રમાણભાનની પ્રજ્ઞા અને પ્રાથમિકતાની પ્રજ્ઞા ની પરિસીમામાં થવી જરુરી છે.

આ તૃતીયનેત્ર એ જ્ઞાન સ્વરુપ છે. અને સર્વ સમસ્યાઓનો સંવાદ આવકાર્ય બનાવેછે.

Read Full Post »

%d bloggers like this: