Posts Tagged ‘સરમુખત્યારી’
નહેરુવીયન કોંગ ઊંટ કહે આ સમામાં …. ભાગ – ૨
Posted in માનવીય સમસ્યાઓ, tagged અધિકાર, અનામત, અરાજકતા, આંદોલન, ઈન્દિરા, ખ્યાતિભૂખ્યા, ચર્ચા, ધમાલ, નહેરુ, નહેરુવીયન કોંગ્રેસ, નિરપેક્ષ, પારદર્શિતા, પૈસા, પ્રપંચ, બહુમતિ, બાર પેઢી, માહિતિ, મૂડીવાદ, લોકશાહી, વિરોધ પક્ષ, વિશ્વસનીયતા, સમાજવાદ, સરમુખત્યારી, સાત પેઢી, સામ્યવાદ, સીત્તેર પેઢી, સ્વકેન્દ્રી, હક્ક on November 8, 2015| Leave a Comment »
નહેરુવીયન કોંગ ઊંટ કહે આ સમામાં …. ભાગ – ૨
આમ તો નહેરુવીયન કોંગ્રેસનો એકડો ભૂંસાઈ જવાની અણી ઉપર છે. પણ આ કોંગ્રેસે લગભગ છ દાયકા ભારત ઉપર રાજ કર્યું અને તેમાં પણ ૩૦ વર્ષ નિરપેક્ષ બહુમતિથી તથા બે વર્ષ સરમુખત્યારીથી અને બાકીના વર્ષ બહુમતિથી રાજ કર્યું. એટલે તેને હુકમ કર્યા વગર નવરા બેસવું ગમે નહીં. આમ તો તેની પાસે સાતપેઢી તો શું સીત્તેર પેઢી સુધી ચાલે તેટલા પૈસા છે. સત્તામાં રહેવાથી જે ધન સંચયમાં વૃદ્ધિ થયા કરતી હતી તે અટકી ગઈ તેનું તેને દુઃખ ખરું. તે દુઃખને ભૂલવા માટે તેણે કંઈક તો કરવું જ જોઇએ.
પૈસા હાથવગા હોય તો શું અશક્ય છે?
૭૦ પેઢી કોણે જોઇ છે? નહેરુ, જોકે આમ તો પોતાને બ્રાહ્મણ તરીકે પરોક્ષ રીતે પોતાની ઓળખ આપતા હતા પણ બ્રાહ્મણીય પ્રણાલીથી ઉંધું તેમને બાર પેઢી તો શું પાંચ પેઢીના નામ પણ ગોત્યા જડતા ન હતાં (બ્રાહ્મણોમાં દશથી બાર પેઢી સુધી યાદ રાખવું જરુરી મનાય છે. જુઓ મારી પેઢીઓ). એટલે ૭૦ પેઢીની ચિંતા કરવાની જરુર નથી એમ વિચારી સમાચાર માધ્યમોને સાધ્યા હતા. અને આ પ્રમાણે કદાચ પાયો બનાવ્યો.
સમાજવાદી (સામ્યવાદી) વિચારધારાવાળાઓ માટે પ્રચાર લીલા એ મહત્વનું શસ્ત્ર છે. ક્રુશ્ચોવે નહેરુને આ બાબતનો એકડો ઘુંટાવેલો. સમાજવાદી વિચારધારા રાખવી, તે જમાનાની ફેશન હતી. નહેરુએ તો નિરપેક્ષ બહુમતિથી રાજ કરેલ કારણ કે તેમના કરતાં તેમની ટીમ વધુ જોરદાર હતી. જે ખાતાં નહેરુએ પોતાના હસ્તક રાખેલા તેમાં તો તેમણે ભાંગરો જ વાટેલો જેના પરિણામો આપણે આજે પણ ભોગવીએ છીએ.
પ્રચારલીલા કરવાની જરુર ઇન્દિરા ગાંધીને પડેલી.
લોકશાહી એ કોઈ નિરપેક્ષ વ્યવસ્થા નથી. લોકોનો શાસક ઉપરનો કાબુ જેટલો વધુ તેટલી લોકોની શક્તિ વધુ કહેવાય. પણ શાસકો ઉપર કાબુ ધરાવતા લોકોમાં “તૂંડે તૂંડે મતિર્ભીન્ના” એવું હોય છે. એટલે બધાના અભિપ્રાયો જુદા જુદા હોય છે.
જનતામાંના મોટા ભાગનાઓને એકમત કરવા માટે તેના પરિબળોને સમજવા જરુરી હોય છે.
જો શાસક, લોકોમાં વિશ્વસનીય થાય તો શાસક જે અભિપ્રાય ધરાવે તે મોટે ભાગે જનતામાં સ્વિકાર્ય બને. આ વિશ્વસનીયતા ત્યારે જ આવે જ્યારે શાસક અન્ન, વસ્ત્ર અને રહેઠાણની વ્યવસ્થામાં સુધાર લાવે. આ માટે શિક્ષણનો પ્રસાર, કામની તકો અને માળખાકીય સુવિધાઓ વધવી જોઇએ. આ માટે શાસકે દૃઢ સંકલ્પવાળા, કુશળ અને નીતિમાન બનવું પડે. પણ જો વ્યક્તિ કે તેનો એક નાનો સમૂહ કોઈ ખાસ મહેનત વગર જ સત્તા ઉપર આવી જાય ત્યારે તેને મુશ્કેલીઓ પડે. આ મુશ્કેલીઓ ચૂંટણી સ્વરુપે આવે છે.
મુડીવાદી લોકશાહી અને સમાજવાદી (સામ્યવાદી) લોકશાહી
મુડીવાદી લોકશાહી અને સમાજવાદી લોકશાહી એ બંને વિષે સામાન્ય વ્યક્તિને ખાસ ફેર પડતો નથી સિવાયકે તે પોતે શાસનનો હિસ્સો બને.
મૂડીવાદી લોકશાહી એ સરખામણીમાં પારદર્શી છે. તે ઉપરાંત અભિવ્યક્તિની પૂરી છૂટ છે સિવાય કે કોઈની અંગત સ્વતંત્રતા જોખમાતી હોય.
સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં મોટેભાગે બધું અપારદર્શી હોય છે.
મુડીવાદી લોકશાહીમાં પક્ષો ખુલ્લી રીતે જોઈ શકાય છે. આ પક્ષો ખૂલ્લી રીતે એકબીજા સામે અથડાય છે. સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં પણ પક્ષો હોય છે પણ તે અપારદર્શી હોય છે. તેઓ પક્ષની અંદર જુથ તરીકે ઓળખાય છે. એટલે જેઓ માં’ય પડ્યા છે તેઓ જ આ જુથોને જોઈ શકે છે. અને નથી પણ જોઈ શકતા એવું પણ બને છે.
મુડીવાદી લોકશાહીમાં નેતાઓ કાયદેસર સુખ માણે છે, અને ગેરકાયદેસર રીતે મહાસુખ માણે છે. તેથી જ્યારે તેમની ગેરકાયદેસરતા પકડાઈ જાય ત્યારે તેઓ શાસનમાંથી ફારેગ થાય છે. સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં નેતાઓ જેઓ “માં’ય” પડ્યા છે તેઓ જ મહાસુખ માણે છે. સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં શાસન સત્તામાંથી ફારેગ થવા માટેનો કોઈ માપદંડ નથી.
એટલે આ બંને કહેવાતા વાદમાં સામાન્ય માણસ માટે ખાસ ભેદ હોતો નથી. જે લોકશાહીમાં સત્યનો આદર થાય એવી પ્રણાલી સ્થપાય તેને વાસ્તવમાં લોકશાહી કહેવાય.
સત્યનો આદર ક્યારે થાય?
જો માહિતિ ઉપલબ્ધ હોય તો, સંવાદ થાય. સંવાદ થાય તો ચર્ચા શક્ય બને. ચર્ચા શક્ય બને તો સત્ય પરખાય.
પણ માહિતિ ઉપલબ્ધ કેવી રીતે થાય?
જો વહીવટમાં પારદર્શિતા હોય તો માહિતિ ઉપલબ્ધ થાય.
આ પ્રમાણે માહિતિનો અધિકાર લોકશાહી સાથે એકરુપ થયેલો અને સહજ (સાથે જન્મેલો) અધિકાર છે. જો તમે કોઈને એક કામ માટે નિયુક્ત કર્યો હોય અને તેનું મહેનતાણું પણ નક્કી કર્યું, તો તમારો એ જાણવાનો કુદરતી હક્ક છે કે તમે સોંપેલું કામ તે કેવી રીતે કરશે અને કેવી રીતે કર્યું. તમે એક નોકર રાખ્યો અને તેને શાક લાવવા માટે મોકલ્યો, તો તમારો એ પૂછવાનો હક્ક છે કે તે શાક લેવા કેવી રીતે ગયો, ક્યાં ગયો, કેટલું શાક કયા ભાવે લીધું અને કેવું લીધું? આને માટે કોઈ કાયદાની જરુર નથી. તેવી રીતે માહિતિ અધિકાર માટે જુદા કાયદાની જરુર નથી.
શાસક ઉપર નજર કોણ રાખી શકે?
શાસક ઉપર જનતા નજર રાખી શકે. આ માટે સરકારે કેટલીક માહિતિ “ઓન લાઈન” રાખેલી છે. બીજેપી શાસિત રાજ્યોમાં આ દિશામાં ઘણી પ્રગતિ થઈ છે. જનતાભિમુખ લોકશાહીની દિશામાંનું આ એક મહત્વનું પગથીયું છે. દિશા સાચી છે, પણ આ બાબતમાં મજલ બહુ લાંબી છે. સમયનો સવાલ છે.
આ સમય દરમ્યાન શું થઈ શકે?
આ જવાબદારી નિભાવવાની જવાબદારી વિરોધ પક્ષની છે. કારણ કે તે પણ વેતન તો લે જ છે.
ધારો કે એક શેઠે એક નોકર રાખ્યો. શેઠે તેને કહ્યું “જા લઈ આવ”
નોકરે કહ્યું “શું લાવું?”
શેઠે કહ્યુઃ “સામા સવાલો કરે છે? કહ્યું ને કે જા લઈ આવ.”
નોકરે કહ્યું; “અરે પણ એ તો કહો કે શું લાવું?”
શેઠે કહ્યું; “જા તને નોકરીમાંથી છૂટો કરીએ છીએ”
નોકરે કહ્યુઃ “અરે પણ મારો કોઈ ગુનો?”
શેઠે કહ્યુઃ “તું કામ નથી કરતો …. માટે તને દંડ રુપે ફારેગ કરવામાં આવે છે”
લોકશાહીમાં તમે શેઠ છો. તમે બે નોકર રાખ્યા. એક નોકર જે વધુ હોશિયાર અને કુશળ લાગ્યો તેને તમે બધું કામ કરવાનું સોંપ્યું (જેમકે બીજેપી). અને બીજા નોકરને એ કામ સોંપ્યું કે તે બધું જુએ અને તમને જણાવે (જેમકે નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓને જનતાએ બીજા નોકર તરીકે રાખ્યા છે).
શરુઆતમાં તમે આ બીજા નોકરને “કામ કરવાનું” કામ સોંપેલ. પણ તે નપાવટ નિકળ્યો. તે પૈસા ચાઉં કરી જતો હતો. તમારા પૈસે તમારા કરતાં લાખ ગણો પૈસાદાર થઈ ગયો. તે હમેશા સિફત પૂર્વક ખોટું બોલતો હતો. મોટે ભાગે તો કામ જ ન કરે. પાડોશીઓ સાથે અને પાડોશી નોકરો સાથે ઝગડા કરે અને ચોરટા નોકરો સાથે મળીને તમને ખાલી કરવાના પ્લાન કરતો હતો, અને તમને પારાવાર નુકશાન પણ પહોંચાડતો હતો. જ્યારે તેની નોકરીને રીન્યુ કરવાનો સમય આવે ત્યારે પ્રપંચ કરીને આ નોકર, જે નોકર “કામ કરવાનું “ પદ લેવા ઉત્સુક હોય તેની વિષે અફવાઓ એવી સિફત પૂર્વક તમારી આગળ ફેલાવતો કે તમારી પાસે ઓછી માહિતિ હોવાથી તમે, “મેલ કરવત મોચીના મોચી” જેવું કરતા. તમે ઘણું દરગુજર કરેલું. સુદૂરના વિદેશીઓ તમારી મૂર્ખતાથી અને અજ્ઞાનતાથી આશ્ચર્ય પામતા. તમારી આબરુના અને તમારા ઘરની આબરુના કાંકરા થઈ ગયેલા. એક વખત તો આ નોકરે તમને ૧૮ માસ સુધી એક કમરામાં પૂરી દીધેલ કે તમે સૂર્યનો પ્રકાશ પણ ન જોઇ શકો. ૬૦ વર્ષેને અંતે તમે ત્રસ્ત થઈને આ નોકરને કામ કરવામાંથી ફારેગ કર્યો.
લોકશાહીમાં તમે એક વ્યક્તિ નથી. તમે તો અનેક છો. એટલે પરિસ્થિતિ એવી થઈ કે પેલા નપાવટ નોકરને તમારે પેલા કુશળ નોકર ઉપર નજર રાખવાનું કામ સોંપવું પડ્યું. હવે તો તેને પેલા કામગરા નોકરને વગોવવા સિવાય કશું કામ જ ન રહ્યું. હા એક વાત ખરી કે તે ગેરકાયદેસર પૈસા બનાવતો અટકી ગયો. મહાત્મા ગાંધીએ તો તમને ચેતવ્યા જ હતા. પણ તમે ક્યાં સમજી શકો તેમ હતા !! તમે તો વિભાજિત હતા અને આ નોકરે તમને વધુ વિભાજિત કરેલ.
હવે તમે જુઓ કે શું થાય છે !!
ન્યાયાલયમાં એક કેસ આવ્યો.
હજી દાખલ થયો નથી.
વકિલાત નામુ રજુ કર્યું છે કે નહીં તેની ખબર નથી.
ફરીયાદી કહે છે કે “અ” સામે મારો આરોપ છે કે તે ચોર છે અને નીતિભ્રષ્ટ છે.
ન્યાયધીશ કહે છે. ઓકે. લાવો તમારી ફરીયાદ.
ફરીયાદી કહે છે “ફરીયાદ હું પછી આપીશ. તમે પહેલાં આ આરોપીને દંડિત કરો”
ન્યાયાધીશ કહે છે; “ અરે ભાઈ, આરોપીને દંડવા માટે તમારે પહેલાં ફરીયાદ તૈયાર કરવી પડે. તેમાં તમારે વિગતો લખવી પડે. તમારી વિગતો મારે જોવી પડે. મને પ્રાથમિક રીતે લાગવું જોઈએ કે આ ચલાવવા જેવો કેસ છે. પછી મારે આરોપીને નોટીસ આપવી પડે. એનો જવાબ લેવો પડે. પછી કેસ ચલાવવો પડે. સામસામી દલીલો થાય. એ પછી જ મારાથી ન્યાય કરી શકાય.
ફરીયાદી કહે છે. “ ના સાહેબ. એ બધું પછી કરજો. પહેલાં તમે આરોપીને સજા કરો. આવું નહીં કરો તો હું તમારી કોર્ટ ચાલવા નહીં દઉં.”
ન્યાયાલયમાં જજ શું એમ કહેશે કે હા ચાલો, હું તેને જેલમાં પૂરી દઉં છું. પછી નિરાંતે આપણે કેસ ચલાવીશું?
નાજી ન્યાયધીશ એવું નહીં કહે.
પણ આ આપણા નહેરુવીયન કોંગી નેતાઓ એવું કહેશે.
તેમણે કહ્યું
“પહેલાં વસુંધરા રાજે મુખ્ય પ્રધાન પદેથી દૂર થાય,
“પહેલાં સ્મૃતિ ઇરાની પ્રધાન પદેથી દૂર થાય,
“પહેલાં શિવરાજ પાટીલ મુખ્ય પ્રધાન પદેથી દૂર થાય,
“પહેલાં સુષ્મા સ્વરાજ પ્રધાન પદેથી દૂર થાય,
પછી જ અમે લોકસભા અને રાજસભા ચાલવા દઈશું. લોકસભામાં તો તેઓ લઘુમતિમાં હતા અને તેમણે અસભ્ય વર્તણુંક કરી એટલે સ્પીકરે તેમને સસ્પેન્ડ કર્યા.
પણ આ નહેરુવીયન કોંગીઓએ રાજ સભા તો ચાલવા જ ન દીધી કારણ કે ત્યાં બીજેપીની બહુમતિ નથી. નહેરુવીયન કોંગી નેતાઓએ કહ્યું કે પહેલાં અમે જેની ઉપર આરોપ મુકીએ છીએ તેને દંડિત કરો (પ્રધાનપદે થી દૂર કરો).
સંસદ શા માટે છે?
સંસદ ચર્ચા માટે છે. માહિતિ સભર ચર્ચા અને તાર્કિક ચર્ચા એ સંસદની ગરિમા છે. પણ જો નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ સંસદની આ ગરિમા સાચવવા જ તૈયાર ન થાય તો તેમને માટે કયા શબ્દો વાપરી શકાય?
આ એજ નહેરુવીયન કોંગ્રેસીઓ છે જેમણે સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ છતાં કાળાનાણાની તપાસ માટે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવી ન હતી.
તમે કહેશો કે ઘણા પ્રધાનો પોતાની ઉપર આરોપો થતાં પ્રધાન પદેથી પોતાને દૂર કર્યા હતા. તો પછી બીજેપીના પ્રધાનોએ આ પ્રમાણે શા માટે ન કરવું?
વાસ્તવમાં આ તર્ક અહીં લાગુ પડતો નથી. હા એક વાત ખરી કે એક હાથની આંગળીઓથી ગણી શકાય તેટલી સંખ્યામાં નહેરુવીયન સરકારોના પ્રધાનોએ રાજીનામા આપ્યાં છે. પણ એ બધાં રાજીનામા સરકારે જ નીમેલી સંસ્થાઓએ આપેલ રીપોર્ટમાં તેમને દોષી દર્શાવાયેલા એટલે તેમને રાજીનામાં આપવા પડેલ.
એવા પારાવાર કિસ્સાઓ છે કે જેમાં તપાસ સમિતિના રીપોર્ટ પ્રમાણે દોષી હોય તો પણ અને અથવા ન્યાયાલયે દંડિત કર્યા હોય તો પણ નહેરુવીયન કોંગ્રેસના પ્રધાનોએ રાજીનામાં આપ્યા ન હતા. આના સૌ પ્રથમ દોષી નહેરુ પોતે હતા. જેમાં મિત્ર પ્રધાન વીકે મેનન અને જીપ કૌભાંડ એમ હતું. તે વખતે વિપક્ષે “તપાસ સમિતિ” નિમવાની વાત કરેલી. તો નહેરુએ કહેલ કે તમે આ મુદ્દા ઉપર આગામી ચૂંટણી લડજો.
લાંબી વાત ન કરીએ તો ઇન્દિરા ગાંધીને ઉચ્ચન્યાયાલયે દોષી ઠેરવેલ અને તેમને સંસદ સદસ્ય માટે છ વર્ષ માટે અયોગ્ય ઠેરવેલ. તેમણે ધરાર રાજીનામુ ન આપેલ અને બીજા હજારોને કેસ ચલાવ્યા વગર જેલમાં ગોંધેલ.
નહેરુવીયનો ગળથુથીમાંથી શિખ્યા છે
ગુનો થયા વગર, કેસ દાખલ થયા વગર, આરોપનામુ દાખલ થયા વગર, કેસ ચલાવ્યા વગર, આરોપીને જેલની સજા કરી દેવી એ આચાર, નહેરુવીયન કોંગી નેતાઓ ગળથુથીમાંથી શિખ્યા છે. આ પ્રણાલી તેમણે પોતાના વિરોધીઓ ઉપર હમેશા લાગુ કરી છે. એટલે જો તેઓ વિપક્ષમાં હોય તો પણ તેઓ કેસ સાંભળ્યા વગર વ્યક્તિને સજા કરવા ઉપર આંદોલન કરે તો તેનાથી જનતાને આશ્ચર્ય થવું ન જોઇએ. નહેરુવીયન કોંગ્રેસીઓ તેમના વિરોધીઓના માનવ-અધિકારોમાં કે કુદરતી અધિકારોમાં માનતા નથી.
નહેરુવીયન કોંગ્રેસીઓએ જોયું કે આપણે જે કંઈ મુદ્દઓ ઉઠાવીએ છીએ તેમાં કશો દમ હોતો નથી. એટલે તેની ચર્ચા તો ન જ થઈ શકે. કારણ કે જો ચર્ચા કરવા જઈશું તો આપણા મુદ્દાથી સો ગણા મોટા મુદ્દા આપણી સામે ઉભા થાય છે અને એક આંગળી આપણે ચીંધવા જઈએ છીએ તો સો આંગળી આપણી સામે ચીંધાય છે. એટલે ચર્ચા થી તો બાર ગાઉ છેટા જ રહેવું સારું.
જીન્ના સાહેબની જેમ ડાયરેક્ટ એક્સન ન જ કરો.
જીન્નાનું “ડાયરેક્ટ એક્સન” તો જ્યાં મુસ્લિમો માટે શક્ય હોય ત્યાં તેઓએ “હિન્દુઓની કતલ કરવી” એમ હતું. જો નહેરુવીયન કોંગ્રેસીઓ આવું કરવા જાય તો તો “કાયદો એનું કામ કરે” અને આ જાતનું આંદોલન તો “આ બૈલ મુઝે માર” એના જેવું થાય.
આંદોલનનો હેતુ જનતામાં જાગૃતિ આવે અને જનતા સમસ્યાને સમજવા માંડે, એ હોય છે. જ્યારે આંદોલનકારી પ્રદર્શન કરે ત્યારે તેના હાથમાં પ્લે-કાર્ડ હોય તેના ઉપર કંઈક લખ્યું હોય. જનતા તે વાંચે. વળી તમે ભાષણ દ્વારા જનતાને વધુ માહિતિ આપો. એટલે જનતાને શાસકની ક્ષતિઓ દેખાય. જનતાને અસંતોષ થાય. જનતાને શાસક પક્ષ પ્રત્યે અસંતોષ થાય એટલે ઘૃણા પણ થાય. આ ઘૃણાને લીધે તે ચૂંટણીમાં જનતા શાસક પક્ષને મત ન આપે. ટૂંકમાં આંદોલનનો હેતુ જનતામાં શાસક પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરવાનો છે.
આંદોલન એટલે શું અને તે કેવું હોવું જોઇએ તે વિષે જનતાને જ્ઞાન નથી. બધાએ ગાંધીજીને વાંચ્યા હોતા નથી. જેઓએ વાંચ્યા છે તેમના મોટા ભાગનાઓ તેમને સમજ્યા નથી કે સમજવા માગતા નથી. એટલે જે સામુહિક આચારો, ધમાલ અને સામાન્ય જીવનમાં અરાજકતા ઉભી કરે તેને આંદોલન માની લેવામાં આવે છે. અને તેને લોકશાહીનો ગુણ અને હક્ક માની લેવામાં આવે છે.
બીજેપી વિરોધીઓ માટે “ચર્ચા” એ આત્મહત્યા નો રસ્તો છેઃ
નહેરુવીયન કોંગ્રેસીઓએ રાજસ્થાનમાં દશકા અગાઉ એક જ્ઞાતિને અનામત અપાવવા માટે ધમાલો કરીને સામાન્ય જનજીવનમાં અરાજકતા ઉભી કરી દીધેલી. બીજેપીએ સત્તા ગુમાવેલી.
આને પરિણામે ગુજરાતમાં પણ નહેરુવીયન કોંગી નેતાઓની દાઢ સળકી. નહેરુવીયન કોંગીઓને લાગ્યું કે મુદ્દાઓ વિષે ગુણવત્તાના આધારે ચર્ચા કરવી એ આત્મહત્યા નો રસ્તો છે. હેતુ સિદ્ધિ માટે મટીરીયલની જરુર નથી. મટીરીયલ વગર પણ અરાજકતા અને ઘૃણા ફેલાવી શકાય છે.
પ્રમેયઃ મટીરીયલ વગર અને ચર્ચા વગર પણ શાસક પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરી શકાય છે
સાધ્યઃ સામાજીક વાતાવરણ દુષિત કરવું.
સાધનોઃ નાણાં, સમાચાર માધ્યમો, અફવાઓ, આક્ષેપો, આપણા મળતીયા મૂર્ધન્યો, રબરના માપદંડો અને અસમાન ત્રાજવાંઓ, દેડકાના કાટલાઓ, સ્વકેન્દ્રી ખ્યાતિપ્રિય વ્ય્ક્તિઓ
રીતઃ
આટલું નકારાત્મક કરોઃ
કદી મટીરીયલ ન આપો.
કદી ચર્ચા ન કરો,
કદી મુદ્દા પ્રમાણે વાત ન કરો,
જો ભૂલથી પણ ચર્ચામાં સામેલ થઈ જવાય તો સામેવાળા કરતાં આપણા અવાજો મોટા રાખો અને સતત અવાજો કર્યા કરો. એંકરને સાધી લો કે તે આપણને બોલતાં ન રોકે પણ સામે વાળાને જો તે મુદ્દની વાત કરતો હોય તો તેને બીજ પ્રશ્નો પૂછી રોકે અને ચર્ચાને આડે માર્ગે દોરે. એમ કરીને તે આપણને બચાવે.
સ્વકેન્દ્રી વ્યક્તિઓને પટાવો તેમને ખ્યાતિની લાલચ પણ આપો કારણકે સમાચાર માધ્યમ તમારા પૈસા થકી તમારે માટે તે હાથવગુ હથીયાર છે.
જે વ્યક્તિઓના જાતિવાદની અને કે ખ્યાતિની ભૂખને ઉત્તેજી શકાય છે તેમને ઉત્તેજો અને તેમની પાસે પ્રતિકારાત્મક અને તારતમ્યાત્મક (કનક્લ્યુઝિવ) ઉચારણો કરાવો. ગાળો પણ બોલાવડાવો. જેમકે “ગાંધીનગરમાં એક ઢુંઢીયો રાક્ષસ બેઠો છે. (કેશુબાપા, નરેન્દ્ર મોદીને અનુલક્ષીને બોલેલા). આપણા સમાચાર માધ્યમ વાળા કેશુભાઈની જબાનની વિરુદ્ધ નહીં બોલે. તે તો એમ જ કહેશે કે કેશુભાઈએ નરેન્દ્ર મોદીને આડે હાથ લીધો. બહુ બહુ તો એમ કહેશે કે હે ભાઈઓ, પટેલો તો આખા બોલા હોય જ ને !!
કેશુભાઈ (ઢુંઢિયા રાક્ષસવાળા) કે સોનીયા (મૌતકા સોદાગરવાળ), કે લાલુ યાદવ (નરભક્ષીવાળા), વિગેરે કરતાં સો ગણા નબળાં વિશેષણો જો સામેવાળો (કોઈ બીજેપીનો નેતા) બોલે તો આપણા પીળા અખબારો સામેવાળાની અસભ્યતાને ઉછાળવા તૈયાર જ હોય છે. ટૂંકમાં આપણે (બીજેપી વિરોધીઓએ) આપણી લૂલીને આપણે લગામ રાખવાની જરુર નથી. આપણને સમાચાર માધ્યમોનો સાથ છે. મોટા ભાગના કટારીયા લેખકો ખ્યાતિ ભૂખ્યા છે તેથી તેઓ હવાઈ તુક્કાવાળી અને તારતમ્યોવાળી વાતો કરશે તો પણ આપણા સમાચાર માધ્યમોવાળા છાપશે. આપણા સાધ્ય માટે દલીલ અને તર્કની જરુર નથી. કારણ કે જો આપણે આની ચર્ચા કરવા જઈશું તો આપણા વાક્યો જ આપણા માટે બુમરેંગ થશે.
થાળીઓ વગાડો, જો કે વગાડવા લાયક વસ્તુ તો ઢોલ છે. પણ ઢોલ તો કેમ વગાડાય.!! તો તો આપણે ઢોલ બજાણીયામાં ખપી જઈએ. જો કે આપણી માગણીઓ પછાત જ્ઞાતિઓ ભોગવે છે તેવી જ છે. પણ તેથી શું? આપણે ક્યાં મગજ ચલાવવાનું છે !! તર્ક અને ચર્ચાનું તો નામ જ નહીં લેવાનું. રસ્તા રોકો, રેલ રોકો, એસટી બસોને રોકો. એસટી બસોને બાળો, એસટી સ્ટેન્ડો બાળો, લોકલ બસોને બાળો, રેલ્વેના પાટા ઉખેડી નાખો. દુકાનો બંધ કરાવો. શાળા કોલેજ બંધ કરાવો, યાતાયાત અને જનવ્યવહાર ખોરવી દો.. આમ જનતાને ત્રાહી ત્રાહી પોકારી દો.
આ ઉપરાંત, સરઘસો કાઢો, પુતળાં બાળો, પોલીસો ઉપર પથરા ફેંકો. પોલીસ વાળા તો બધા સંત પુરુષો છે. તેઓ સંત પુરુષો ન હોય તો તેમણે સંત જેવા બનવું જ જોઇએ. આ લોક શાહી છે. તે તેમણે સમજવું જોઇએ અને અમને અમારા પ્રતિભાવો કે ભાવો પ્રગટ કરવાની છૂટ હોય છે તે તેમણે સમજવું જોઇએ અને અમને હાથ પણ અડાડવો ન જોઇએ. જો તેઓ અમને અટકાવશે તો તે તેમની હિંસા કહેવાશે. અને અમે તે માટે તપાસ સમિતિની માગણી કરીશું.
થોડા તકિયા કલમી શબ્દો અને વાક્યો શોધી કાઢો.
૨૦૦૨, રાજધર્મ, અદાણી, રીલાયન્સ, ઈન્ડસ્ટ્રીયાલીસ્ટોને ફાયદો, લાલ જાજમ, ખેડૂતોના આપઘાત, તાનાશાહી, અસુરક્ષિત મુસ્લિમો, આરએસએસ નો રીમોટ કન્ટ્રોલ, સીનીયર લીડરોની અવજ્ઞા, સીનીયર લીડરોને હાંસીયામાં મુક્યા, પાટીદારોની (કે એવી કોઈ બીજી જાતિ કે વર્ગની) ઉપેક્ષા, સરકારનો યુ ટર્ન, સરકારને ન છૂટકે કરવું પડ્યું, સરકારને કોર્ટ દ્વારા ઝટકો, બીજેપી ઉપર પ્રહાર, આડે હાથ લીધા, નરેન્દ્ર મોદીની બોલતી બંધ, નરેન્દ્ર મોદી જવાબ આપે,
અને હવે એક એવું બનાવટી અને ઢંગધડા વગરનું તારણ કાઢો કે માનવ હક્કો અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનું હનન થઈ રહ્યું છે. આપણા પાળીતા મૂર્ધન્યો દ્વારા સરકારી “ચાંદ્રકો” અને “માનપત્રો” પાછા આપી રહ્યા છે એ વાતને ચગાવો.
આનાથી એવું વાતાવરણ સર્જાશે કે આ બધું નરેન્દ્ર મોદીના આવ્યા પછી થયું છે એટલે જનસમુદાયમાં મોદી શૂન્ય તરફ જઈ રહ્યા છે એવી હવા ઉત્પન્ન કરો. આ બધું કરવું જરુરી છે અને જો આવું નહીં કરીએ તો તેમણે વિદેશોમાં ભારતની પ્રતિભાને જે ઉંચી લાવ્યા છે તેની ચર્ચાઓ થશે અને નરેન્દ્ર મોદી તેમજ મોદીની પ્રતિભા સાતમા આસમાને પહોંચી જશે. આ પરિસ્થિતિ અટકાવવા સમાચાર પ્રસારણનો સમય આપણે વાપરવો જ રહ્યો.
જો બિહારની ચૂંટણીમાં આપણું આ શસ્ત્ર (નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાંસ્કૃતિક સાથીઓનો આ દાવ) સફળ થશે તો બીજેપી ના હવે વળતા પાણી છે એવું અચૂક સિદ્ધ થઈ જશે. આપણી સત્તાની પુનઃપ્રાપ્તિનો દરવાજો ખૂલી જશે. પછી આપણે આપણી સંસ્કૃતિ પ્રમાણે ન્યાયાલયમાં ચાલતા આપણા કુકર્મોના કેસો અને ઈન્વેસ્ટીગેશન ટીમ દ્વારા થતી તપાસોને નિરર્થક બનાવી દઈશું. ખુલ્લે આમ આપણે કટોકટીમાં માનવ અધિકારોનું હનન કરેલ અને હજારો નિર્દોષ લોકોને, અઢાર અઢાર મહિના સુધી જેલમાં ખોસી દીધેલ તો પણ કોઈ આપણો વાળ વાંકો કરી શક્યા નથી તો “કાળા નાણા અને અસામાજીક તત્વો સાથેની આપણી સાંઠ ગાંઠ” એ વળી કઈ ચીજ છે?
(ક્રમશઃ)
શિરીષ-મોહનલાલ-મહાશંકર-હરિશંકર-લીંબેશ્વર-ત્ર્યંબકેશ્વર-વૈજનાથ-ભવાનીદત્ત-રદેરામ-દવેશ્વર-ગોવર્ધન દવે (દ્વિવેદી)
Date 2015 11 07
ટેગ્ઝઃ નહેરુવીયન કોંગ્રેસ, બહુમતિ, નિરપેક્ષ, સરમુખત્યારી, સીત્તેર પેઢી, સાત પેઢી, પૈસા, બાર પેઢી, સામ્યવાદ, સમાજવાદ, મૂડીવાદ, લોકશાહી, નહેરુ, ઈન્દિરા, વિશ્વસનીયતા, માહિતિ, અધિકાર, પારદર્શિતા, ચર્ચા, વિરોધ પક્ષ, પ્રપંચ, સ્વકેન્દ્રી, ખ્યાતિભૂખ્યા, આંદોલન, અરાજકતા, ધમાલ, હક્ક, અનામત
ભગત સિંહ, બ્રીટીશ અને સુભાષ ના સ્વપ્નનું ભારત બનાવો
Posted in માનવીય સમસ્યાઓ, tagged અતિમૂડીવાદ, ઉત્પાદન, ઐતિહાસિક, ગાંધી, દીપક સોલિયા, દેશી, નહેરુ, પટેલ, માનવતા, યંત્રો, શોષણ, સમાજવાદ, સરદાર, સરમુખત્યારી on November 11, 2013| Leave a Comment »
ભગત, બ્રીટીશ અને સુભાષ ના સ્વપ્નનું ભારત બનાવો.
ભગત એટલે કોઈ સંત રજનીશમલ, ઓશો આશારામ, કે નિર્મલ બાબા નહીં. ભગત, એટલે ભગત સિંહ કે જેઓ ભારતની આઝાદી ખાતર શહિદ થયેલ. બ્રીટીશ એટલે જેઓએ આપણને ભારતવાસીઓને કે જેઓ દેડકાની પાંચશેરી જેવા અડૂક દડૂક હતા અને હમેશા ગુલામ રહેવા જ સર્જાયેલા હતા એવું માનનારાઓ છે તેમને મતે જે શાસને આપણને એક કર્યા. સુભાષ એટલે કે સુભાસ ચંદ્ર બોઝ કે જેમણે આપણને સ્વતંત્ર કરવા માટે આઝાદ સેના રચી. આ ત્રણેયની પાસે આપણા દેશને ક્યાં લઈ જવો કે તેમણે શું કરવું એ માટેના સ્વપ્નો કે વિચારો હતા. આ ત્રણેનો શું સમન્વય ન થઈ શકે?
જો કે વાત થોડી વિચિત્ર લાગે. પણ વિચિત્રતાઓ ક્યાં નથી? અહો વૈચિત્ર્યં કે વિરોધાભાષોમાં એકતા જોવી એ આપણી ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. આ લક્ષણને બિરદાવવું જ રહ્યું.
ગાંધી, નહેરુ અને સરદારના સ્વપ્નનું ભારત
હાજી, આમ તો દીપક ભાઈ સોલિયા સારું અને રસપ્રદ લખે છે. ૮ નવેમ્બર ૨૦૧૩, શુક્રવારના દિવ્ય ભાસ્કરમાં એક લેખ લખેલો. ગાંધી, નહેરુ અને સરદારના સ્વપ્નનું ભારત બનાવો. જો દૂધ, ખાંડ અને મીઠું (નમક) ને ભેગા કરી દૂધ પાક બનાવી શકાતો હોય તો ભગત, સુભાષ અને બ્રીટીશ ની ઈચ્છા પૂર્વકનું અથવા ગાંધી, સરદાર અને નહેરુને ભેગા કરી નવભારતનું સર્જન કરી શકાય.
દૂધ અને ખાંડ તો ભેગા થઈ શકે. તેમાં ઉષ્મા રુપી પરિશ્રમ નાખી સુંદર, સ્વાદિષ્ટ અને તૃપ્તીનો આનંદ આપે તેવો દૂધપાક પણ થઈ શકે. પણ જો આ દૂધપાકમાં મીઠું પણ નાખો તો સ્વાદનો તમારો બધો આનંદ ગાયબ થઈ જાય. ભગત સિંહ અને સુભાષ પણ ભેગા થઈ શકે પણ જો તેમાં બ્રીટીશનું રાજકીય તત્વ ઉમેરાય તો કૂતરો તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણી એવો ઘાટ થાય. આમ તો મીઠું કંઈ ખરાબ વસ્તુ નથી. મીઠાને ગળ્યા સિવાય ની બધી વાનગીઓમાં નખાય. મીઠાનું પ્રમાણ માફકસરનું હોવું જોઇએ. તેવું જ સગવડો વિષેનું છે. સગવડો જરુર પૂરતી હોવી જોઇએ. સગવડો આપણને ગુલામ કરી દે તે હદ સુધીની ન હોવી જોઇએ. ગાંધીજીએ મીઠાનો અને સગવડોનો ત્યાગ કરેલ. બ્રીટીશ લોકોનો સ્વાર્થ હતો. ભગત સિંહ અને સુભાષ બાબુને કશો સ્વાર્થ ન હતો. નહેરુ ને સત્તા રુપી સગવડ અને ખ્યાતિનો સ્વાર્થ હતો.
જો કે આતો સરખામણી છે. અને જ્યારે સરખામણી કરવા બેસીએ ત્યારે કંઈ બધું જ મળતું આવે તે જરુરી નથી. જ્યારે અજ્ઞાન હોય ત્યારે દોરડામાં સર્પનો આભાસ થાય. પણ જ્યારે જ્ઞાન આવે ત્યારે ખબર પડે કે અરે આતો સર્પ નથી, આ તો દોરડું છે. બ્રહ્મ વિષે શંકરાચાર્ય આમ જ કહે છે. તો વિરોધીઓ એમ કહે છે કે જો દોરડાને સર્પમાની લીધું અને પછી ખબર પડી કે આ તો દોરડું છે તો તેનો અર્થ એમ થયો કે ક્યાંક તો સર્પ અસ્તિત્વ ધરાવે જ છે. માટે ભલે અહીં એક જ વસ્તુ છે, પણ બે વસ્તુઓ તો અસ્તિત્વ ધરાવે જ છે. એક દોરડું છે કે જે અહીં છે. અને બીજી વસ્તુ તે સર્પ છે જે બીજે ક્યાંક અસ્તિત્વ ધરાવે છે. માટે આતો અદ્વૈતવાદ ધ્વસ્ત થયો કહેવાય.
શંકરાચાર્યે જવાબ આપ્યો. આ તો અજ્ઞાનતા અને અસત્ય નો સંબંધ દર્શાવવા માટે સરખામણી કરી છે. બધી વસ્તુઓ મળતી આવવી જરુરી નથી. જો તમે એક સ્ત્રીને ચંદ્ર મુખી કહો તો એનો અર્થ એવો નથી કે તેના ગાલ ઉપર ચંદ્ર જેવા ખાડા ટેકરા છે.
ગાંધીજી અને તેમના સ્વપ્નનું ભારત કેવું હતું?
આ માટે ચર્ચાનો અવકાશ નથી. ગાંધીજીનું બધું જ કામ વ્યવસ્થિત હતું. તેમણે તો બધું લખીને જ આપ્યું છે. જેથી કોઈ એમ ન કહી શકે ગાંધીજીએ તો આમ કહ્યું હતું અને ગાંધીજી એ તેમ કહ્યું હતું કે ગાંધીજીએ કંઈ આવું કહ્યું ન હતું. જો કે ગાંધીજીના સિદ્ધાંતો અને સમસ્યાના હલ સ્પષ્ટ હોવાં છતાં તેમની વાતોમાં પ્રાથમિકતા કોને આપવી તેવા વિવાદો તો રહ્યા જ છે. જેમકે ગાંધીજીને માટે દારુબંધી પ્રાથમિકતા હતી. નહેરુમાટે કે નહેરુવીયન કોંગ્રેસ માટે દારુબંધી લીસ્ટમાં જ આવતી નથી.
ગાંધીજીની અહિંસામાં (શોષણ હીનતા), માનવીય અભિગમ, સાક્ષરતા, અને વૈજ્ઞાનિક અભિગમમાં માનતા હતા.
શોષણ હીનતામાં વિકેન્દ્રીકરણ આવે, અને વિકેન્દ્રી કરણમાં સત્તા અને ઉત્પાદન પણ આવે. એટલે ગ્રામ સ્વરાજ પણ આવી જાય.
માનવીય અભિગમ
અમાનવીય અભિગમમાં યંત્રો અને વહીવટ દ્વારા થતી માનવોની ગુલામી અને તેના થકી થતી વધુ પડતી આર્થિક અસામનતા આવી જાય છે. આમ માનવીય અભિગમને માટે બેકારીનો તાત્કાલિક ઉકેલ જોઇએ. તાત્કાલિક ઉકેલ માટે સૌને કામ આપવા માટે સાદાં યંત્રો જેવાં કે રેંટિયો, હાથશાળ, કુંભારનો ચાકડો જોઈએ. કુદરત સાથેની સમજુતી અને સહવાસ આવી જાય. આ રીતે કુદરતી ઉપચારો અને સ્વચ્છતા અને સાદગી પણ આવી જાય.
સાક્ષરતામાં વાચન ક્ષમતા ઉપરાંત સમસ્યાની સમજણ અને સંવાદ પણ આવી જાય.
વૈજ્ઞાનિક અભિગમમાં, વિજ્ઞાનમાંના આવિષ્કારો ઉપરાંત પોતાને એક બાજુ પર મુકી તટસ્થ રીતે કેવી રીતે વિચારવું તે પણ આવી જાય. ઈશાવાસ્ય વૃત્તિ પણ વૈજ્ઞાનિક અભિગમનો એક ભાગ અથવા આડ પેદાશ છે.
વાંચોઃ
ચોક્ખું ઘી અને હાથી.
https://treenetram.wordpress.com/2010/10/22/%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%96%E0%AB%81%E0%AA%82-%E0%AA%98%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80/
સરદારના સ્વપ્નનું ભારતઃ
સરદાર પટેલ નું ભારતવિષે કેવું સ્વપ્ન હતું તે વિષે કોઈ ચર્ચા થતી નથી કદાચ આપણે જાણતા પણ નથી. પણ કોંગ્રેસના સંગઠનમાં સરદારનું વ્યક્તિત્વ જ એવું હતું કે તેમની આર્ષદૃષ્ટિ અને વહીવટી ક્ષમતાને કારણે એ અદ્વિતીય અને પ્રચંડ હતા. સરદાર પટેલ, સાદગીમાં, વ્યવસ્થિતતામાં અને દૃઢતામાં સંપૂર્ણ રીતે ગાંધીવાદી હતા. તદઉપરાંત તેઓ વાસ્તવવાદી હતા.
નહેરુનું સ્વપ્ન
નહેરુનું સ્વપ્ન શું હતું. જો આપણે ઓગણીસમી સદીના અંતીમ દશકાઓની અને વીસમી સદીના પ્રારંભિક દશકાઓની વાત કરીએ તો સમાજવાદ એ એક યૌવનની ધૂન હતી. કદાચ ગાંડપણ પણ હોઈ શકે. સૌ યુવાનોને કંઈ કરી નાખવાની તમન્ના હોય. આ તમન્ના ધૂંધળી પણ હોય. નહેરુ પણ આમાંથી બકાત ન હતા. તેથી જ ગાંધીજીએ નહેરુને કહેલ કે તેઓ નહેરુને સમજી શકે છે પણ તેમના સમાજવાદને સમજી શકતા નથી.
જેમ નહેરુવીયન કોંગ્રેસનો ગાંધીવાદ, સાચા ગાંધીવાદ સાથે મેળ ખાઈ ન શકે, તેમ રશીયાનો સમાજવાદ, લેનીનના (કે કાર્લમાર્ક્સના), સમાજવાદ સાથે મેળ ન ખાય. ગાંધીજી સમજતા હતા કે જો ઉત્પાદનના પદ્ધતિઓ અને વહેંચણીઓ સમાજવાદમાં અને મૂડીવાદમાં સમાન હોય તો તેના પરિણામો પણ લગભગ સમાન જ હોય. સમાજવાદ તો વાસ્તવમાં અતિ-મૂડીવાદ છે. નહેરુ વિજ્ઞાનના સ્નાતક હતા. છતાં તેમનામાં તર્ક શક્તિ કેમ ન હતી તે વિસ્મયકારક છે. પણ મનમોહન સિંહના અર્થશાસ્ત્રના પ્રમાણ પત્રો અને તેમની અર્થ નીતિઓને જોઇને એવા વિસ્મય હવે રહેતા નથી. વાચન અને પ્રમાણ પત્રો એક વાત છે, જ્ઞાન અને ચિંતન બીજી વાત છે.
જ્યારે મોરારજી દેસાઈ અર્થમંત્રી હતા ત્યારે નહેરુ અને મોરારજી દેસાઈમાં નહેરુની આગાહીઓ ખોટી પડતી અને મોરારજી દેસાઈની ધારણાઓ સાચી પડતી. દા.ત. કે નહેરુ આવકનાસ્રોતો વિષે એમ માનતા કે “આટલી” આવક જાહેર ક્ષેત્રના ઉદ્યોગો માંથી થશે. જ્યારે મોરારજી દેસાઈની ધારણા એવી રહેતી કે નહેરુનું લક્ષ્ય ઉંચું છે. જાહેર ક્ષેત્રો ખોટ ન કરે તો સારું. નફાની વાત તો દૂર રહી, પણ જાહેર સાહસો ખોટ બતાવતાં.
આવા નહેરુને, વાસ્તવવાદી સરદાર પસંદ ન પડે તે સ્વાભાવિક હતું.
નહેરુને સરદાર સહિત ઘણા નેતાઓ દંભી માનતા. જ્યારે ગાંધીજી જીવતા હતા ત્યારે પણ એક વખત નહેરુએ રાજીનામાની ધમકી આપી હતી. ત્યારે સરદારે ગાંધીજીને કહેલ કે તેમની ધમકી ઠાલી છે. તે કદી રાજીનામું નહીં આપે.
નહેરુના શાસન વખતે કોંગ્રેસમાં અને કોંગ્રેસની બહાર ઘણા સેવાભાવી નેતાઓ જીવતા હતા. આ નેતાઓને કારણે જુદા જુદા ખાતઓ સુપેરે ચાલતા હતા. જે કંઈ ગોલમાલ થઈ તે નહેરુના ખુદના અને તેમના મિત્રો ખાતાઓમાં થઈ. આ ખાતાઓ વિદેશ નીતિ, યોજના આયોગ અને સંરક્ષણ હતા.
આ ક્ષેત્રોમાં નીવડેલી નિસ્ફળતાના ફળ આપણે હજુ સુધી ભોગવી રહ્યા છીએ. આ હિમાલયન બ્લંડર વિષે મહાભારતથી પણ મોટાં અનેક ગ્રંથો લખી શકાય. આ બ્લંડરોની અનેક આડ પેદાશો છે. આમાંથી ક્યારે છૂટકારો થશે તે વિષે જ્યોતિષ શાસ્ત્રીઓ પણ આગાહી કરતાં ડરે છે. નહેરુએ અનેક વખત સંસદને ગેર માર્ગે દોરી છે. આચાર્ય ક્રિપલાનીએ તેના વિષે વિગતે પોતાની આત્મકથામાં લખ્યું છે.
સ્વતંત્રતા પૂર્વે
સ્વતંત્રતા પૂર્વે અને સ્વતંત્રતાની ચળવળમાં નહેરુનો હિસ્સો ઠીક ઠીક હતો. તેઓ ખવડાવવા પિવડાવવામાં ઉદાર હતા. તેઓ મહેનતુ હતા. યુવાનોમાં અને ખાસ કરીને યુપી માં લોકપ્રિય હતા. એટલે ગાંધીજીને ડર હતો કે જો નહેરુને નંબર વન નહીં કરીએ તો કોંગ્રેસના ટૂકડા થઈ જશે. અને હાલના તબક્કે એટલે કે સ્વતંત્ર મળે તે સમય અને બધું ઠરીને ઠામ થાય અને ચૂંટણી થાય ત્યાં સુધીના ગાળામાં કોંગ્રેસના ભાગલા (કે જે દેશના વધુ ભાગલા તરફ પણ દોરી જાય) દેશને પોષાય તેમ નથી. આ વાત ગાંધીજીએ સરદાર પટેલને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરેલ. અને તેથી જ સરદાર પટેલે ગાંધીજીને ખાત્રી આપેલ કે તેઓ કોંગ્રેસને અકબંધ રાખશે. ન છૂટકે સરદાર પટેલે, નહેરુને ચીન વિષે લખાણ દ્વારા ચેતવેલ. પણ નહેરુ ઉચ્ચ આર્થિક સ્થિતિ અને અથવા બીજા કોઈપણ કારણ થી આપખુદ હતા. અને કાશ્મિરનો પ્રશ્ન પ્રધાનમંડળની મંજુરી લીધાવગર અને સરદાર પટેલને પૂછ્યા વગર યુનોમાં લઈ જવાની ઓલ ઈન્ડીયા રેડિઓ ઉપર જાહેરાત કરી દીધેલ.
દેશને એક રાખવા માટે સરદાર પટેલને ગૃહ ખાતુ આપ્યા વગર છૂટકો ન હતો. નહેરુએ કશ્મિરનો પ્રશ્ન હાથમાં લઈ તેને ચૂંથી નાખ્યો. જો નહેરુ ગૃહ પ્રધાન થયા હોત તો દેશ આખો અનેક ટૂકડામાં વિભાજિત થઈ જાત. ગાંધીજી જીવતા હતા ત્યારે પણ સરદાર પટેલની તબિયત સારી રહેતી ન હતી. અને ૧૯૫૦ સુધીમાં તો ઘણી નાજુક થઈ ગયેલી. ઘણા અખબારી અને આરએસએસ- બીજેપીના વિદ્વાનોને આ વાતની ખબર નથી એટલે તેઓ દેશના ભાગલા માટે ગાંધીજીને માથે માછલાં ધોવે છે. જોકે એક વાત નોંધનીય છે કે ૧૯૪૨-૧૯૪૭ના કોમી હુલ્લડોએ દેશના ભાગલા નક્કી કરી દીધેલા. જો તે વખતે ભાગલા ન થયા હોત તો કોમી દાવાનળને કોઈ બુઝવી શકે તેમ ન હતું. ગાંધીજી પણ નહીં. એટલે જ ગાંધીજીએ આ ભાગલાની આડે આવ્યા ન હતા. તેમનો વિચાર એવો હતો કે એક વખત જો બધું ઠરીને ઠામ થાય પછી જનતાને જ એકતા માટે તૈયાર કરવી અને નેતાઓની ખાસ કરીને પાકિસ્તાનના નેતાઓની શાન ઠેકાણે લાવવી. કારણ કે ગાંધીજી જાણતા હતા કે પાકિસ્તાનના નેતાઓ વિભાજિત હતા.
અવિભક્ત ભારત માટેનો યોગ્ય પ્રસંગ ૧૯૫૪ પૂર્વેના તૂર્તના એક ગાળામા બનેલ જેમાં સુહરાવર્દી નુને ભારતની મુલાકાત લીધેલ અને નિર્વાસિતોની સંપત્તિના પ્રશ્નો ના ઉકેલ માટે પણ તૈયારી બતાવેલ. આ મુલાકતનો પ્રારંભ આનંદ પમાડે એવો હતો. નુનના પત્ની એરોપ્લેનમાં ઉતરતા હતાં ત્યારે તેમના સેન્ડલ નિકળી ગયેલ અને તે સેંડલ નીચે લસરી પડેલ. નહેરુ નીચે સીડી પાસે ઉભેલા. નહેરુએ પોતે સ્ત્રીદાક્ષિણ્યની ભાવનાની રૂએ તે સેંડલને નીચે પકડી લીધેલ. અને નુનનાં પત્નીને હાથોહાથ પરત કરેલ. તેથી નુન અને તેમના પત્ની ભાવ વિભોર બની ગયેલ. ભારત પકિસ્તાનના સંબંધો તદન સુધરી જશે તેવી આશા બંધાયેલ. પણ આ સમય દરમ્યાન ભારત અને યુએસના સંબંધ વણસી ગયેલ. અને કદાચ યુએસએ જ પાકિસ્તાનમાં લશ્કરી બળવો કરાવેલ એ શક્યતા અવગણી ન શકાય. ૧૯૫૪માં પાકિસ્તાનમાં લશ્કરી બળવો થયેલ અને તે વખતના પ્રમુખ ઈસ્કંદર મિરઝાએ નહેરુને સમવાય તંત્ર સ્થાપવા માટે આમંત્રણ આપેલ. આ આમંત્રણ નહેરુએ પ્રધાન મંડળની સલાહ લીધા વગર ધુત્કારી નાખેલ. એટલું જ નહીં લશ્કરી સરમુખત્યારશાહીની વગોવણી કરતી લૂલીને છૂટ્ટો દોર આપી દીધેલ. જોકે આજ નહેરુને સવાઈ બીન લોકશાહીવાળા રશિયા અને ચીન સામે કશો વાંધો ન હતો. એટલું જ નહીં, દિવસરાત પિતાની સાથે જ રહેનારી તેમની પૂત્રી ઈન્દીરાએ લશ્કરી સરમુખત્યારોને પણ અભડાવે એવી કટોકટી લાદેલ. જે નહેરુમાં પ્રચ્છન્ન હતું તે ઈન્દીરામાં ઉઘાડે છોગ હતું.
ટૂંક્માં નહેરુને કોઈ સ્પષ્ટ સિદ્ધાંતો કે સ્વપ્નો ન હતા. ઓળઘોળ કરીને નિસ્પન્ન થતું સ્વપ્ન એ હતું કે નંબર વન રહેવું. ગોલ્ડ કન્ટ્રોલ, કામરાજ યોજના અને સીન્ડીકેટની રચના ની વ્યુહ રચનાઓના પરિણામો જોયા પછી નહેરુને બીજા કોઈ સ્વપ્નો હોય એવું લાગતું નથી. છતાં જેઓ નહેરુના ફિલોસોફી વાળા ઉચ્ચારણોથી અભિભૂત છે તેઓ તેવી જાતના ઉચ્ચારણોથી નહેરુની પ્રશંસા કરશે જ. (નહેરુના ઉચ્ચારણો કેવા હતાં? ભારતની સીમા નિયંત્રણ રેખા કોઈ સ્થૂળ રેખા નથી. સીમા નિયંત્રણ રેખાની કોઈ વ્યાખ્યા નથી. યુનો દ્વારા કોઈ સમસ્યા ઉકેલાતી નથી. તે ભૂમિ તો બંજર ભૂમિ છે.) મેક મોહન લાઈન અને તીબેટને બફર સ્ટેટ નો દરજ્જો અને ચીન સાથેના બ્રીટનના કરાર ને આ પ્રમાણે નહેરુએ નજર અંદાજ કરેલ. અને આથી જ ચીનને ભારત ઉપર આસાન વિજય મળી ગયેલ.
નરેન્દ્ર મોદી પાસે ઘણો દારુગોળો છે.
નરેન્દ્ર મોદીએ જે નહેરુવીયન કોંગ્રેસદ્વારા થયેલી સરદાર પટેલની અવગણના વિષે ટોણો માર્યો છે તે હકિકત છે. નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ અકળાઈને અદ્ધર અદ્ધર રીતે નરેન્દ્ર મોદીની બુરાઈ કરે છે.
નહેરુવીયન કોંગ્રેસ દ્વારા થયેલી સરદાર પટેલની અવગણના તો અનેક ઉદાહરણો છે. અને તેને માટે વાંચો
નહેરુવીયનો દ્વારા થતા ગુજરાત અને ગુજરાતીઓને અન્યાય
https://treenetram.wordpress.com/2012/12/12/%E0%AA%A8%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AB%81%E0%AA%B5%E0%AB%80%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%97%E0%AB%81/
નહેરુવીયન કોંગ્રેસ સામે તો અનેક બોંબ ફોડી શકાય તેમ છે. નરેન્દ્ર મોદીએ તો હજુ એક ફટાકડી જ ફોડી છે.
સરદાર પટેલ ગુજરાતના હતા. અહીંના કોંગ્રેસના કાર્યાલયનું નામ ભવન (નહેરુવીયન કોંગ્રેસ કાર્યાલય) શું છે? રાજીવ ગાંધી ભવન. નહેરુવીયન કોંગ્રેસના નેતાઓને સ્વતંત્રતા માટે લડનારી કોંગ્રેસનો વારસો જોઇએ છે પણ તેમને નહેરુવંશીઓ સિવાય કશું દેખાતું નથી. મહાત્મા ગાંધી પણ દેખાતા નથી. દિલ્લીના બધા એરપોર્ટોના નામ શું છે. ગાંધીના ઘાટ પાસે નહેરુ, ઈન્દીરા, સંજય, રાજીવ, બધાના ઘાટ બનાવી દીધા જાણે એ બધા મહાત્મા ગાંધીની સમકક્ષ ન હોય? જે નેતાના અનુયાયીઓ નેતા ભક્તિમાં આટલા બધા અંધ હોય તેઓ દેશનું શું ઉકાળી શકવાના છે?
ત્રિપુટીઃ
દિપકભાઈ સોલીયા લખે છે કે આપણી પાસે તો ભલા ભોળા શંકર ભગવાન હતા. બહાર થી આર્યો આવ્યા અને તેઓ બ્રહ્મા અને વિષ્ણુને લાવ્યા. ભારતે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવનો સમન્વય કર્યો. તેથી હિન્દુ ધર્મ અખંડ રહ્યો. તેવી જ રીતે આપણે ગાંધી, સરદાર અને નહેરુનો સમન્વય કરવો જોઇએ. જોકે દિપકભાઈએ આ વાત કહેવા ખાતર કહી નાખી લાગે છે. બ્રહ્મા વિષ્ણુ પરદેશી ન હતા. [એવું લાગે છે કે આપણે વિઘાતક અને બનાવટી આર્યન ઈન્વેઝન થીયેરી (આઈએટી) માંથી બહાર નિકળતા પેઢીઓ વીતી જશે. જ્યારે પશ્ચિમી ઈતિહાસ કારો કહેશે કે (જો કે મેક્સ મુલરે તેના અંતિમ મંતવ્યોમાં કહ્યું છે કે આર્યો ભારતના જ હતા) એ.આઈ.ટી બકવાસ હતી ત્યારે આપણા અમુક મૂર્ધન્યો સ્વિકારશે.]
ગાંધી, સરદાર અને નહેરુ પણ દેશી જ હતા. ગાંધી સરદાર તો પોતાને સાવ જ દેશી માનતા હતા. નહેરુ પોતાને વિષે કંઈક જુદુ માનતા. તેઓ કહેતા કે પોતે જન્મે હિન્દુ છે. પણ કર્મે અને વિચારે હિન્દુ નથી પણ અનુક્રમે મુસ્લિમ અને ખ્રીસ્તી છે. ગાંધીજી ગૌવધબંધીના હિમાયતી હતા. પણ નહેરુને ગૌવધ બંધી મંજુર ન હતી. તેઓ તો વડાપ્રધાન પદેથી રાજીનામું આપવા પણ તૈયાર થઈ ગયેલ (નોન- ઓફીસીયલ બીલ ૧૯૫૪). આમ જુઓ તો ગાંધી અને નહેરુ વચ્ચે કોઈ સમાનતા ન હતી.
આ ત્રણેને ભેગા કરવાની કોઈ જરુર પણ નથી. ઐતિહાસિક અફવાઓ ફેલાવા કરતાં તેઓને તેમના ઉચ્ચારણો અને પુસ્તકો દ્વારા તેમના સ્થાને રહેવા દો.
વિનોબા ભાવે એ કંઈક આવું કહ્યું છે. અર્થશાસ્ત્રનો વાદ એ નિરર્થક છે. વિજ્ઞાનના યુગમાં નીચેનું સમીકરણ જ યોગ્ય છે.
(કુદરતી) સ્રોતો+માનવતા+ટેક્નોલોજી=પ્રગતિ+આનંદ
શિરીષ મોહનલાલ દવે.
ટેગ્ઝઃ ગાંધી, સરદાર, પટેલ, નહેરુ, સમાજવાદ, અતિમૂડીવાદ, ઉત્પાદન, યંત્રો, માનવતા, શોષણ, સરમુખત્યારી, દેશી, ઐતિહાસિક, દીપક સોલિયા