Feeds:
Posts
Comments

Posts Tagged ‘સહયોગ’

અહિંસક સમાજ  શું શક્ય છે? ભાગ – ૧ (માંસાહાર અને શાકાહાર)

જો તમારે તર્કનો આભાસ ઉત્પન્ન કરવો હોય તો તમે માંસાહારની તરફેણમાં ઘણું લખી શકો.

અનેક ટૂચકાઓ છે

જેમકેઃ
જીવો જીવસ્ય ભક્ષણં
દરેકમાં જીવ છે એટલે કોઇપણ ખોરાક અહિંસક નથી.
જ્યાં માનવસંસ્કૃતિ સૌથી જુની છે ત્યાંના લોકો માંસાહારી છે.
દુધ પણ માંસાહાર છે
રામ પણ માંસાહારી હતા
કૃષ્ણ પણ માંસાહારી હતા,
બુદ્ધ પણ માંસાહારી હતા,
ચિંપાન્ઝીઓ જે માણસોના પૂર્વજો છે તે એકબીજાને ખાઇ જાય છે,
માંસ ખાવાથી માણસ હિંસક બનતો નથી કારણકે દલાઇ લામા હિંસક નથી..
શાકાહારી લોકો પણ હુલ્લડ કરે છે શું કીધું? કળલા કાય?

અને આવા તો અનેક ટૂચકાઓ પ્રદર્શિત કરી શકાય,
સૌ પ્રથમ આપણે એ સમજવું જોઇએ કે આપણું શરીર કેવા ખોરાક માટે બનેલું છે!

આપણા નખ અને દાંત એવા નથી કે જે ચામડાને ચીરી શકે. માણસને ઈશ્વરે બુદ્ધિ આપી તેથી માણસ અગ્નિને પ્રજ્વલિત કરી શકે છે. માણસને ઈશ્વરે બુદ્ધિ આપી તેથી તે શસ્ત્રો બનાવી શકે છે અને શિકાર કરી શકે છે. અને આ કારણથી તે માંસને પોતાના શરીરને યોગ્ય બનાવી શકે છે.

તો શું આ વાતને કુદરતી સમજવી? જો આવું જ હોય તો માણસને અહિંસાની અને માંસાહાર ન કરવાની વાત પણ ન જ સુઝવી જોઇએ. પણ બે વાત એક સાથે ચાલે છે. તો ટકી રહેવા માટે કઇ વાત સારી?

માણસ પહેલાં કુદરતી અવસ્થામાં રહેતો હતો. તે સીધો ચિંપાન્ઝી, ઉરાંગઉટા કે ગોરીલામાંથી અવતરિત થયો નથી. વાનર એક ઉત્ક્રાંતિનું પગથીયું હતું. તે પછી ઘણા પગથીયાં આવ્યાં. અને જ્યારે છેલ્લા પગથીયે આવ્યો ત્યારે તે ઝાડ ઉપરથી ગુફામાં આવ્યો. તે ફળો અને પાંદડા જ ખાતો હતો અને ક્યારેક મૂળ પણ ખાતો હતો. તે સમુહમાં રહેતો હોવાથી પોતાનું રક્ષણ કરી શકતો હતો. જ્યારે અગ્નિ અને શસ્ત્રો શોધાયા ત્યારે તે વધુ નિશ્ચિંન્ત થયો. અને બીજા શાકાહારી પ્રાણીઓને લાગ્યું કે આ માણસના સાંનિધ્યમાં આપણે પણ આપણી જાતને સુરક્ષિત રાખી શકીએ છીએ. તેથી ગાય, ભેંસ, બકરાં, ઘેટાં, ઘોડા, વિગેરે તેની આસપાસ રહેવા માંડ્યા. તેથી માણસે તેનું દૂધ પીવાનું પણ ચાલુ કર્યું. અને ખોરાકની તંગીમાં તે તેમને ખાવા લાગ્યો હશે.

જેમ જેમ મનુષ્યનું માનસિકસ્તર અને બૌદ્ધિકસ્તર ઉંચુ થયું તેમ તેને અગમ્ય શક્તિ અને અહિંસાનો મહિમા સમજાયો. માનસિક સંઘર્ષનું બીજારોપણ હવે થયું હશે.

વેદકાળ અને માંસાહાર

ભારતની વાત કરીએ તો વેદોમાં પશુનું બલિદાન કરવું ત્યાજ્ય ગણાવાયું છે. અને તેથી ઘણા લોકો તેનો એવો અર્થ કરે છે કે વેદકાળમાં હિંસાયજ્ઞો થતા હતા. અમૂક અંશે આ વાત સાચી છે. કારણકે હુલ્લડ થતા હોય તો જ “હુલ્લડ કરવા ખરાબ છે” એ વાત ઉત્પન્ન થાય. અને તેનું એક એવું પણ તારણ નિકળે કે વેદકાળના સુજ્ઞજનો હિંસાયજ્ઞનોની વિરુદ્ધમાં હતા. તેથી વેદજ્ઞાતા શંકરાચાર્યે હિંસાયજ્ઞને વેદપ્રમાણ નથી તેમ દર્શાવેલું.

સૌથી જુના પુરાણ “વાયુપૂરાણ” કે જે પાણિનીની પહેલાં લખાયેલું તેમાં હિંસાયજ્ઞ અને માંસ ખાવું કે નહીં તેનો પ્રસંગ વર્ણવેલો છે. ઋષિમંડળ મનુ રાજા પાસે ગયું અને પૂછ્યું કે યજ્ઞમાં માંસ હોમાય કે નહીં અને માંસ ખવાય કે નહીં? ત્યારે મનુ એ કહ્યું કે યજ્ઞમાં માંસ હોમવું અને જો માંસ યજ્ઞમાં હોમાયેલું હોય તો તે માંસ ભોજ્ય છે. જ્યારે ઈશ્વરને શિવને આ વાતની ખબર પડી ત્યારે તેમણે ઋષિઓને અને મનુને ઠપકો આપ્યો. મનુને એટલા માટે કે તેનું તે કાર્યક્ષેત્ર ન હતું. ઋષિઓને એટલા માટે કે તેમણે યોગ્ય અધિકારી વ્યક્તિને ન પૂછતાં અયોગ્ય વ્યક્તિની સલાહ લીધી. પ્રણાલીઓમાં પરિવર્તન કરવાનો અધિકાર ફક્ત મહર્ષિઓને જ હોય છે. પછી તે પૂરાણમાં આગળ એમ લખાયું કે આ રીતે યજ્ઞમાં આહુતિ આપીને ઋષિઓ માંસ ખાતા થયા. પણ આવું જ્યારે લખાયું ત્યારે એવું તો સિદ્ધ થાય છે જ કે માંસાહારને યોગ્ય માનવામાં આવતો ન હતો.

હવે રામ અને કૃષ્ણની વાત કરીએ તો આ સૌથી જુના પૂરાણમાં રામને વિષે એક જ લાઈન લખવામાં આવી છે કે મહા પરાક્રમી દશરથના આ પૂત્રે લંકાના રાજા રાવણને યુદ્ધમાં હરાવ્યો. રામને વિષ્ણુના અવતારોમાં સ્થાન આપ્યું નથી. પરશુરામને આ સ્થાન આપવામાં આવ્યું છે. કૃષ્ણને અને બલરામને પણ વિષ્ણુના દશ અવતારોમાં સ્થાન આપવામાં આવ્યું છે. કૃષ્ણ વિષે એક જ પેરાગ્રાફ આપવામાં આવ્યો છે અને તેમાં સ્યંમંતક મણી ચોરાયાનું જે આળ કૃષ્ણ ભગવાન ઉપર આવેલું અને તે આળ તેમણે કેવીરીતે દૂર કર્યું તે વાત વર્ણવી છે. અને બીજી કેટલીક વાતો જેમાં કંસ વસુદેવના પૂત્રોને (તેમના  મોટા થયા પછી) યુદ્ધ કરીને મારી નાખતો હતો તેથી કૃષ્ણને વસુદેવ પોતાના મિત્ર નંદને ત્યાં મૂકી આવે છે એમ જણાવેલ છે. કોઈ ચમત્કારની વાત નથી.

ટૂંકમાં આ પૂરાણ પોતાની પ્રાચીનતા, તેની અનપાણીનીયન ભાષાના આધારે પણ સિદ્ધ કરે છે. પણ પછી જે કાળક્રમે લખાયું તેમાં ઘણા ઉમેરા થયા. અને આ બધું પ્રારંભિક મધ્યયુગ સુધી ચાલુ રહ્યું. રામ અને કૃષ્ણની વાતોનું ઉમેરણ ઈશુની પ્રારંભિક સદીઓથી ચાલુ કરી દશમી બારમી સદી સુધી ચાલુ રહ્યું. વાલ્મિકીનું રામાયણ અને વ્યાસનું મહાભારત જ્યારે લખાયું ત્યારે માંસાહાર જોરમાં હતો. એટલે રામ કૃષ્ણના જીવનની બધી જ વાતોને ઇતિહાસ કે ધર્મ સાથે કે તત્વજ્ઞાન સાથે જોડવી યોગ્ય નથી. એમતો મનુસ્મૃતિમાં પણ યજ્ઞનું માંસ ખાવાની બ્રાહ્મણને છૂટ આપવામાં આવી છે. પણ વેદજ્ઞાતા શંકરાચાર્યે, સાયણાચાર્યે, સાતવળેકરે કે દયાનંદ સરસ્વતીએ માંસને માન્યતા આપી નથી. જે ઉપનિદો તત્વજ્ઞાનની વાતો કરે છે તેઓ પણ માંસાહારની યોગ્યતાની વાત કરતા નથી.

માંસાહારી માણસ કઇ કક્ષામાં આવે?

જો કોઇ એક સમાજમાં બધા જ માંસાહારી હોય તો જે માણસ પોતાના વાચન અને વિચારો થકી શાકાહારી બને તો સ્વાભાવિક રીતે જ ઉંચી કક્ષામાં આવ્યો ગણાય કારણકે અહિંસા એ સહયોગ તરફના પ્રયાણનું એક કદમ છે. આદતો છોડવી એ એક અઘરું કામ છે. જ્યારે રુઢિચુસ્તતા હતી ત્યારે બ્રાહ્મણો લસણ ડુંગળી, ગાજર, બીટ ખાતા ન હતા. પણ રેસ્ટોરામાં જવાની પ્રક્રિયા ચાલુ થઇ એટલે હવે ઘણા બ્રાહ્મણો પણ લસણ, ડુંગળી, ગાજર, બીટ ખાતા ચાલુ થઇ ગયા.

હવે ઘણા બ્રાહ્મણો ફેશનમાં નોન-વેજ પણ ખાય છે. પણ તેઓ જાણે છે કે આ સારું નથી અને વડીલોને ગમશે નહીં. પહેલાં દારુ પીવો એ પતનની નિશાની ગણાતી હતી. હવે ફેશન ગણાય છે.

અહિંસા, સહકાર, શાકાહાર એકબીજા સાથે જોડાયેલા છે. માનવ સમાજ અહિંસા અને સહકાર તરફ પ્રગતિ કરતો હોય તો ખચિત સમજવું જોઇએ કે તે શાકાહાર તરફની ગતિ છે. પણ અનાજની તંગીનો કાલ્પનિક ભય અને તેથી કરીને માંસાહારનું સમર્થન એ સ્વાદતુષ્ટિનું સમર્થન છે.

You may start with donkey

જો માંસાહાર નહીં કરીએ તો પશુઓ વધી જશે

એક પશુના માંસ માટે તે પશુની માવજત અને જીવાડવા માટે છ ગણી જમીન જોઇએ. એટલે કે તમે છ ગણું અનાજ ઉત્પન્ન કરી શકો. પણ જો તમે તેનો ભોજન માટે ઉછેર ન કરો અને તમારી ખેતીની જરુરીયાત માટે રાખો તો તમને તે પર્યાવરણીય ખાતર પૂરું પાડે છે જે તમને વધુ ફળોનું ઉત્પાદન આપે છે. આ ઉપરાંત ઘેટાં બકરાંના વાળ તમને ગરમ કાપડનો કાચો માલ પુરો પાડે છે.

પશુઓ ઇશ્વરે બનાવેલા ઉર્જા મશીન છે. ઉપરાંત પશુઓ વનસ્પતિ સૃષ્ટિ માટેનો ખોરાક છે. આ બધા પશુઓ, મનુષ્ય ઝાડ ઉપરથી જમીન ઉપર આવ્યો તે પહેલાંના લાખો વર્ષથી અસ્તિત્વમાં છે. એટલે મનુષ્યે એવું વિચારવાની જરુર નથી કે મનુષ્ય જો તેમને ખાશે નહીં તો તેમની વસ્તી અમાપ વધી જશે.

મનુષ્યને અહિંસાનો વિચાર શા માટે આવ્યો?

મનુષ્યને પર્યાવરણના સંતુલનનો વિચાર શા માટે આવ્યો?

મનુષ્યને બ્રહ્માણ્ડને સમજવાનો વિચાર શા માટે આવ્યો?

અને મનુષ્યો વચ્ચે વિરોધાભાસ શા માટે ઉત્પન્ન થયો?

જો મનુષ્યો વચ્ચે વિરોધાભાસ ન હોત તો અને મનુષ્યના મનમાં પણ દ્વંદ્વ ન હોત.

જો મનુષ્યો વચ્ચે વિરોધાભાસ ન હોત અને   મનુષ્યના મનમાં પણ દ્વંદ્વ ન હોત  તો તેની બુદ્ધિનો વિકાસ ન થઈ શકત. વૈચારિક વિભીન્નતાના પરિણામ સ્વરુપે મનુષ્યની બુદ્ધિનો વિકાસ થયો.  મનુષ્યને બ્રહ્માણ્ડને સમજવાનો વિચાર આવ્યો. મનુષ્યને અહિંસાનો વિચાર આવ્યો. મનુષ્યને પર્યાવરણના સંતુલનનો વિચાર આવ્યો.

પર્યાવરણનું શ્રેષ્ઠ સંતુલન ક્યારે થઈ શકે?

વૃક્ષો કાપીને ધરતીને સપાટ કરીને તેની ઉપર ખેતીના પાક માટે હળ ચલાવવું એ પર્યાવરણના સંતુલન ઉપર પ્રહાર નથી શું?

શું સંવેદનશીલ મનુષ્યે પક્વ અને રસાદાર ફળોના આહાર તરફ ગતિ કરવી જોઇએ?

માનવસમાજને ગોવંશ અને વૃક્ષ બન્નેની પર્યાવરણના સંરક્ષણ માટે જરુર છે? ગોવંશ જમીનને ફળદ્રુપ બનાવે છે અને વધુ વૃક્ષોને વધુ ફળાઉ બનાવે છે?

વૃક્ષોની નીચેની જમીનમાં થતું ઘાસ ગોવંશીઓ આરોગે છે. મનુષ્ય તેમના રક્ષણના બદલામાં દુધ લે છે. ઇતિહાસમાં ગોરક્ષાકાજે માનવે પોતાના જાન આપ્યા છે. આને આપણે શું કહીશું?

શું આ બલીદાનો આપનારાઓને આપણે બેવકુફી કહીશું?

મનુષ્યની સંવેદનશીલતાની દીશા કૃતજ્ઞ થવા તરફની હોવી જોઇએ કે કૃતઘ્નતા તરફની હોવી જોઇએ?

ગોવંશમાં ગાય, ભેંસ, બળદ, પાડા, ઘોડા, બકરા, ઘેટાં, ઉંટ બધાં જ આવી જાય છે કારણકે તેઓ પોતે અહિંસક અને શાકાહારી છે અને મનુષ્યથી રક્ષણ પામે છે.

જીવદયા પ્રેમી અને પર્યાવરણના રક્ષકોએ આગળ આવવું જોઇએ અને એવી માગણી માગણી કરવી જોઇએ કે જે પ્રોડક્ટ બનાવવામાં જીવહિંસા થતી હોય તેવા સાધનો પણ વપરાતાં હોય તો તે પણ લખવું જોઇએ. ફક્ત પ્રોડક્ટના બંધારણીય તત્વોના લીસ્ટથી કામ નહીં ચાલે.

અન્ન અને ફળની અંદર રહેલું બીજ એ સુસુપ્તજીવ છે. તેને પણ પોતાનું જીવન પ્રફુલ્લિત કરવાનો હક્ક છે. તેથી અનાજ અને ફળના બીજ પણ ન ખાવાં જોઇએ. ખેતી કરવી એ પર્યાવરણથી વિરુદ્ધ દીશાની ગતિ છે. ખેતી વાસ્તવમાં વનસ્પતિ સૃષ્ટિને વિકસવામાં અવરોધરુપ છે. ઘાસ તેની રીતે ઉગી જશે અને અન્ન પણ તેમની રીતે પશુઓને જેટલી જરુર પડશે તેટલું ઉગી જશે.

હવે તમે જુઓ આપણે ખેતી કરવી બંધ કરીને જમીન ઉપર ફક્ત વૃક્ષો જ વાવીશું તો ઉત્પાદન અનેક ગણું વધી જશે. કારણ કે ફળોનું ઉત્પાદન મલ્ટી લેયર છે. જ્યારે અનાજના પાકનું ઉત્પાદન સીંગલ લેયર છે. એક ગુંઠામાં ફેલાયેલું વૃક્ષ એક ગુંઠામાં વાવેલા અનાજ કરતાં દશગણું કે તેથી વધુ ઉત્પાદન આપે છે અને ખાસ મહેનત વગર આપે છે. માનવ શક્તિનો પણ બચાવ થાય છે અને પર્યાવરણનો પણ બચાવ થાય છે. વૃક્ષ પાણીનો સંચય કરે છે, વૃક્ષ પાણીને વહેતું અટકાવે છે. વૃક્ષ ઉષ્ણતામાન ઘટાડે છે, વૃક્ષ છાંયો આપે છે, વૃક્ષ આશરો આપે છે, વૃક્ષ ભેજ આપે છે, વૃક્ષ વાદળાં ખેચી લાવે છે, વૃક્ષ બહુમાળી ઉત્પાદન કરે છે એટલે કે વૃક્ષ અનેક ઉંચાઈઓ ઉપર ફળ આપે છે. વૃક્ષ લાકડું આપે છે. આ બધું લક્ષ્યમાં લઈએ તો વૃક્ષની કિમત એક કરોડ રુપીયા થાય.

જો માનવ સમાજ અવકાશી સિદ્ધિઓ પ્રાપ્ત નહીં કરે અને જો માંસાહાર, અન્નાહાર ચાલુ રાખશે અને રહેવા માટે ઝુંપડા કે બંગલાઓમાં રહેશે તો તેણે જમીનનો વ્યય કર્યો ગણાશે. તેથી મનુષ્યે ઈશ્વરે આપેલી બુદ્ધિનો સદુપયોગ કરી મલ્ટીલેયર ઉત્પાદન અને મલ્ટીલેયર ઘરોમાં જ રહેવું પડશે.

જો માનવજાત આવું નહીં કરે અને અવકાશી સિદ્ધિમાં નવી જગ્યાઓ શોધવામાં પૂરતો સફળ નહીં થાય તો માનવજાતનો માંસાહાર પોતાનો રંગ બતાવી તેનો નાશ કરશે.

સમજણપૂર્વકના શાકાહારી અને પ્રણાલીગત શાકાહારી

માણસનો આહાર સામાન્યરીતે પ્રણાલીગત હોય છે. કેટલાક માણસો સમજણ પૂર્વકના શાકાહારી હોય છે. તેવીજ રીતે કેટલાક માણસો પ્રણાલી ગતરીતે માંસાહારી હોય છે.

સમજણપૂર્વકના શાકાહારી લોકો ઓછા હોય છે. જેઓ સમજણપૂર્વકના શાકાહારી હોય છે તેઓ માંસાહારી થઇ શકતા નથી.

જેઓ પ્રણાલીગત રીતે શાકાહારી હોય છે તેઓ યોગ્ય અથવા ભાવતા શાકાહારના અભાવમાં અથવા ફેશનમાં ક્યારેક અથવા અવારનવાર માંસાહાર કરે ત્યારે તેમાં એક વર્ગ એવો ઉભો થાય છે જે માંસાહારની યોગ્યતાનો અને અથવા શાકાહારની અપૂર્ણતાનો અને અથવા નિરપેક્ષ અહિસક ખોરાકના અનસ્તિત્વ નો એક વિસંવાદ જેવો સંવાદ ઉભો કરે છે.

વાસ્તવમાં આ વિતંડાવાદ છે. ભારતીય પૂર્વજો શાકાહારી હતા કે માંસાહારી હતા એના ઉપર આપણા ભોજનનો પ્રકાર નક્કી થાય તે જરુરી નથી. વેદકાળના ઋષિઓ શાકાહારી હતા તે વિષે શક નથી.

તેનું ઉદાહરણઃ
અગ્ને યં યજ્ઞં અધ્વરં, વિશ્વતઃ પરિભૂરસિં । સ ઇદ્‌ દેવેષુ ગચ્છતિ ॥
(ઋગવેદ મંડળ-૧, સુક્ત-૧, ઋચા-૪)

હે અગ્નિદેવ તમે આ હિંસારહિત યજ્ઞ દ્વારા બધી બાજુથી દેવત્વ તરફ લઈ જાઓ છો.

(અધ્વર યજ્ઞ એટલે અહિંસક યજ્ઞ)

રામ અને કૃષ્ણ શું ખાતા હતા તે નક્કી કરવું મુશ્કેલ છે. તેમને જેઓ ભગવાન માને છે તેઓને કદાચ દુઃખ થાય પણ વાલ્મિકીએ માંસાહારની વાત કરી છે. અને તેમને ભગવાન પણ માન્યા છે. તેનો અર્થ એજ થાય કે “રામાયણ”ના વાલ્મિકીના સમયમાં માંસાહાર નિષિદ્ધ ન હતો.

જે વ્યાસ વાયુપૂરાણ લખે છે તે વ્યાસ મહાભારત પણ લખે છે. વ્યાસ ભાગવત પૂરાણ લખે છે. આ વાત શક્ય નથી. કારણકે સમયનો ગાળો બહુ લાંબો છે. તે જ પ્રમાણે વાલ્મિકી વિષે પણ માનવું પડે. તુલસીદાસની તો વાત જ ન કરી શકાય. જે વાયુ પૂરાણ રામને વિષ્ણુના અવતાર માનવા પણ તૈયાર નથી, તે જ રામને, તુલસીદાસ “પરમ બ્રહ્મ” માને છે.

“અલ્યા રાવણ મારુ નામ… તેં દીઠા નથી મારા કામ… બન્દીવાન… કીધા મેં દેવ… તેમની પાસે વણાવું સેવ…” આવું મહાકવિ પ્રેમાનંદ, રાવણ થકી હનુમાન સામે બોલાવડાવે છે. તો આનો અર્થ એ તો ન જ થઇ શકે કે રાવણના સમયમાં “સેવ” એક વાનગી હતી. પણ એટલું જરુર કહી શકીએ પ્રેમાનંદના સમયમાં “સેવ” એક વાનગી હતી.

વેદનો અર્થ વેદના જ્ઞાતાઓ જ કરી શકે. તેથી ઉપનિષદોમાં જે લખ્યું હોય અને ઐતિહાસિક કાળમાં થયેલા શંકરાચાર્યે, સાયણાચાર્યે જે અર્થઘટન કર્યું હોય તે વધુ ગ્રાહ્ય માનવું જોઇએ. તે ઉપરાંત સાતવળેકરે અને દયાનંદ સરસ્વતીએ જે કંઇ કહ્યું હોય તેના ઉપર પણ વિચાર કરવો જોઇએ.

શું આપણે નિર્ણય કરવા સક્ષમ નથી?

માનવસમાજ માટે શું યોગ્ય છે તે નક્કી કરવાની ક્ષમતા આપણા આધુનિક માનવ પાસે છે જ. હાલમાં નહીં હોય તો વહેલી મોડી આવશે જરુર.

માણસો પોતાને પસંદ પડે તે જીવવા આનંદ અને ફેશન માટે ખાય છે.

માંસાહારને ક્યારેય શ્રેષ્ઠ ગણાવાયો નથી. બાઈબલમાં પહેલા કરારમાં ઈશ્વરે વેજ-આહાર જ ભોજ્ય ગણાવ્યો છે. બીજા કરારમાં નોન-વેજ ની છૂટ આપી છે.

કુરાનમાં પણ અન્ન અને ફળોની સુંદરતાનું અને પૌષ્ટિકતાના વખાણ કરવામાં આવ્યાં છે. અને જીવતા રહેવા માટે પ્રાણીઓને ભોજ્ય ગણ્યા છે. પણ પ્રાણીઓને સુંદર આહાર તરીકે વર્ણવ્યા નથી.

દેવળ કે મસ્જિદમાં પણ કદી પશુઓ ભોજન માટે કત્લ કરાતા નથી કે ખવાતા નથી. તમે દેવળ અને મસ્જીદમાં ફળ લઈ જઈ શકો છો અને ઇબાદત ન કરતા હો ત્યારે ખાઈ શકો છો.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝ ઃ

અહિંસક સમાજ, માંસાહાર, શાકાહાર, તર્ક, વિતંડવાદ, ટૂચકા, રામ, કૃષ્ણ, બુદ્ધ, ઋષિ, મહર્ષિ, ઈશ્વર, બુદ્ધિ, મનુષ્ય, માણસ, કુદરતી, ઉત્કાંતિ, સુરક્ષા, દૂધ, માનસિક સ્તર, વેદકાળ, હિંસાયજ્ઞ, વેદજ્ઞતા, શંકરાચાર્ય, વાયુ પુરાણ, શિવ, ઈશ્વર, અધિકારી, સાયણાચાર્યે, સાતવળેકર, દયાનંદ સરસ્વતી, સહયોગ, સંવેદનશીલતા, લસણ, ડુંગળી, ગાજર, બીટ, નોન-વેજ, પર્યાવરણ, ઉર્જા મશીન, બ્રહ્માણ્ડ, સંતુલન, કૃતજ્ઞ, કૃતઘ્ન, પ્રણાલીગત

Read Full Post »

નવ્યસર્વોદયવાદ એટલે સમસ્યાઓનું સમાધાન  – ૮ નરેન્દ્ર મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?

હાલની કેળવણી અને નવ્યસર્વોદયવાદમાં સૂચિત કરેલી કેળવણીમાં ફેર શો છે?

ભારવાળું ભણતર

ગયા લેખમાં આપણે શિક્ષણના સ્તરો જોયા.

માતા પિતા ગુરુ

આપણા શિક્ષણના સ્તરો બાળક જન્મે કે તરત જ ચાલુ થાય છે.

દોઢ વર્ષનું થાય ત્યાં સુધી તે માતા પિતાની પાસે જ રહે છે. માતા પિતા તેના ગુરુ છે. માતા પિતા બંનેને બાળમાનસની કેળવણી આપવામાં આવી છે. દરેક સ્ત્રીને તેની પ્રાથમિક કક્ષાના શિક્ષણ દરમ્યાન બાળ ઉછેરની ઘનિષ્ઠ કેળવણીનું એટલે કે બાળક છ વર્ષનું થાય ત્યાં સુધી તેને કેવી રીતે કેળવવું તેનું શિક્ષણ આપવામાં આવ્યું છે. જો સ્ત્રી વધુ ઉચ્ચકક્ષાની એટલે કે જો વધુ આવક વાળી નોકરી કરતી હોય તો તે આયા રાખી શકે. એટલે કે જે બાળા હજુ ભાણતી હોય પણ તેના માતા પિતાને મદદરુપ થવા નોકરી કરવા ઈચ્છતી હોય તો તે આયાની નોકરી સ્વિકારી શકે.

ભારવાળા ભણતરને ભારવિહીન ભણતર કરો.

હાલનું ભણતર બાળકના માનસિક વલણ સાથે જોડાયેલું નથી. પરીક્ષામાં મેળવેલા ગુણાંકના આધારે પ્રવેશ આપવામાં આવે છે. આ ગુણાંક તમારી યાદ શક્તિ અને મહેનતના કલાકોના સમન્વય ઉપર આધાર રાખે છે. શિક્ષણનું ખાનગીકરણ હોવાથી શાળા ચલાવતી સંસ્થાઓએ શિક્ષણને પૈસા કમાવાનો એક ધંધો બનાવી દીધો છે. ભણતર ભારવાળું થઈ ગયું છે. બાળકને મુક્ત રીતે વિચારવાનો સમય હોતો નથી. વળી શિક્ષણનું માધ્યમ માતૃભાષા ન હોવાથી, તેના વિષયો પરત્વેના વિચારો સ્પષ્ટ હોતા નથી. ઇતરવાચન અને ઈતર વિચારોનો વિદ્યાર્થીની પાસે સમય નથી.

શાળાઓ અને ટ્યુશનક્લાસો બબ્બે પાળીઓમાં ચાલે છે. વાસ્તવમાં વિદ્યાર્થીને સમયનું બંધન નડવું ન જોઇએ. ભણતર ક્રમે ક્રમે સ્વયંસંચાલિત હોવું જોઇએ. પુસ્તકો બધાં શાળામાં જ હોવા જોઇએ. વિદ્યાર્થી મુક્ત હાથે શાળામાં આવવો જોઇએ. શાળા છોડ્યા પછી તેના ઉપર અભ્યાસનો કોઈ ભાર ન હોવો જોઇએ. વિદ્યાર્થીને જો મુક્ત રીતે વિચાર કરતો કરવામાં આવ્યો હશે તો તે ફક્ત અભ્યાસશીલ નહીં પણ સંશોધનશીલ પણ બનશે.

ખેલ કુદ, વ્યાયામ, કળા, ગૃહ ઉદ્યોગ અને કારીગીરી (સ્કીલ)ની અનિવાર્ય પ્રાધાન્યઃ

દેશી રમતો, ઓલંપિક્સ માન્ય રમતો, યોગ સહિતના વ્યાયામ અને કળાઓની પસંદગી વિદ્યાર્થી માટે અનિવાર્ય બનાવવી જોઇએ. આ બધું શરીર અને મનની કસરતો છે.

પ્રાથમિક શિક્ષણ આઠ વર્ષનું છે અને તે દરેક વ્યક્તિમાટે અનિવાર્ય છે.

કારીગીરીનું ભણતર (સ્કીલ ડેવેલપમેન્ટ)

પ્રાથમિક શિક્ષણ વિદ્યાર્થીને સ્વાવલંબી બનાવે તે જરુરી છે. તેથી ઓછામાં ઓછો એક ગૃહઉદ્યોગ અને એક કારીગીરી તો વિદ્યાર્થીને આવડવા જ જોઇએ. નરેન્દ્ર મોદીએ ૫૦૦ ઉપરના સ્કીલ ડેવેલપમેન્ટના વિષયો શોધાવડાવ્યા છે. જેઓને જેમાં રુચિ છે તેમાં તે નૈપૂણ્ય મેળવશે. તાલુકા કક્ષાએ દરેક કારીગીરીનું ભણતર ઉપલબ્ધ હશે. અઠવાડીયાનો એક સળંગ દિવસ એક કારીગીરી માટે ફાળવવામાં આવશે. જે કારીગીરીનો વિષય ગ્રામ્યક્ષેત્રે ઉપલબ્ધ નહીં હોય તે કારીગીરી શિખવા વિદ્યાર્થી તાલુકા કક્ષાએ ગોઠવવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે સરકાર બસની વ્યવસ્થા કરશે. સરકાર તેમને રોજી અપાવશે.

આકાશ દર્શનઃ

નવ્ય સર્વોદયવાદી શિક્ષણમાં આપણે ખગોળ શાસ્ત્ર (આકાશ દર્શન) ઉમેર્યું છે. વિશ્વની વિશાળતા અને મનુષ્યની અલ્પતા સમજવા અને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે આ બહુ જરુરી છે. તેવીજ રીતે વિદ્યાર્થીમાં પોતાની માનવ સમાજ પ્રત્યેની ફરજ સમજવા અને વૈશ્વિક ભાવના ઉત્પન્ન કરવા માટે સંસ્કૃતના નીતિશાસ્ત્રના શ્લોકો કંઠસ્થ કરાવવાનો સમાવેશ કરાવ્યો છે. ચિત્રવાર્તાઓ બાલવાર્તાઓનો સમાવેશ કરાવ્યો છે જેથી વિદ્યાર્થીની વિચાર શક્તિ ખીલે. વિદ્યાર્થી સકુ્ચિત મનનો ન થાય અને ધર્માંધ પણ ન થાય તે જરુરી છે.

ઈતિહાસ અને સંસ્કૃતિઃ

પૂર્વ પ્રાથમિક કક્ષાઓમાં ભારતના પ્રાચીન અને મધ્યયુગી ઈતિહાસને વાર્તાઓના સ્વરુપમાં, ચિત્રકથાઓના સ્વરુપમાં અને ચલચિત્રોના સ્વરુપમાં ભણાવાવામાં આવશે. આર્યોનું આગમન અને અનાર્યો સાથેના તેના યુદ્ધો જેવી બનાવટી વાતોને ખોટી ઠેરવવામાં કરવામાં આવશે. ઉત્તર પ્રાથમિક કક્ષાએ વેદિક કાળની સંસ્કૃતિ, ઉપનિષત્ અને દર્શનકાળ ની સંસ્કૃતિ, પૌરાણિક કાળ અને સરસ્વતી નદીની સંસ્કૃતિ, અને આ બધાની એકસૂત્રતા જે સહેલાઈથી સમજાવી શકાય છે તેને સમજાવવામાં આવશે.

આર્યોના આક્રમણ અને અનાર્ય ઉપરના વિજયને લગતી વાતોમાં જે વિરોધાભાસો છે તે સમજાવવામાં આવશે. પ્રાચીન ભારતની સંસ્કૃતિમાં રહેલી પ્રતિકાત્મક શૈલીને સમજાવવામાં આવશે. સંસ્કૃતના શ્લોકોમાં રહેલા ગુઢ અર્થોને સમજાવવામાં આવશે. પણ આ બધું ફક્ત જાણકારી તરીકે આપવામાં આવશે જેથી વિદ્યાર્થીને ભારતીય સંસ્કૃતિ વિષે ગૌરવ થાય.

ભાષાઓઃ

ઉત્તર પ્રાથમિક શાળામાં માતૃભાષા ઉપરાંત એક વધુ દેશી ભાષાનો ઉમેરો થાય છે. જે ફક્ત બોલવા પૂરતી અને વાંચવા પૂરતી શિખવવામાં આવશે.

શિક્ષણ પદ્ધતિઃ

ઉત્તર પ્રાથમિક શાળાથી ભણતર નાના નાના જુથો બનાવીને આપવામાં આવશે. એક અર્ધગોળાકાર ટેબલની આસપાસ વિદ્યાર્થીઓ કોઈ એક વિષયના અભ્યાસ માટે બેસશે. એક જ વિષયના અનેક જુથો હશે. કોઈ એક વિષયની ભણવાની શરુઆત કેવી રીતે કરવી અને આગળ કેવી રીતે વધાવું તેનું માર્ગદર્શન જે તે વિષયનો નિષ્ણાત શિક્ષક કરશે. ત્યાર બાદ નિષ્ણાત શિક્ષક આ જુથો કેવી રીતે અભ્યાસ કરે છે અને કેવી રીતે પ્રગતિ કરે છે તેનું ધ્યાન રાખશે. સલાહ સૂચન કરશે. શિક્ષક વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરીને વિદ્યાર્થીઓના જુથ બનાવશે. એક જુથ, છ વિદ્યાર્થીઓથી વધુ મોટું નહીં હોય. દરેક વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર આપવામાં આવશે. જે કંઈ લખવાનું હશે તે સ્લેટ પેનથી લખવાનું થશે. કાગળ નો વપરાશ કરવા દેવામાં આવશે નહીં. એવા આઈ પેડ વિકસવાની તૈયારીમાં છે જેમાં તમે સ્ક્રીન ઉપર ડમી પેનથી લખી શકો છો. લખવાની ટેવ પાડવી એટલા માટે જરુરી છે કે તમારા અક્ષરો સુધરે. તમે ટેવોના ગુલામ ન થઈ જાઓ.  

સભ્યતા અને સ્વસ્થતા

ઘણા વિદ્યાર્થીઓ શરમાળ અને ડરપોક હોય છે. તેઓ શિક્ષકોને સાચી વાત કહી શકતા નથી. કેટલાક વિદ્યાર્થીઓ તોફાની, પરપીડનવૃત્તિવાળા અને અસભ્ય હોય છે. આ પરિસ્થિતિ શિક્ષણની કચાશ અને શિક્ષકસાથેની સંવાદહીનતા કે સંવાદની ઉણપને કારણે હોય છે. વિદ્યાર્થીમાં સહયોગથી કામ કરવાની અને ભણવાની પદ્ધતિ જન્મે અને વિકસે એ શિક્ષકનું કર્તવ્ય છે. સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનો એક બીજાને માનથી બોલાવે અને શિક્ષક પણ વિદ્યાર્થીઓને માનથી બોલાવે તો સભ્યવર્તન વિકસશે. તેવીજ રીતે ભૂલ કેવી રીતે સ્વિકારવી, ભૂલ થઈ જાય તો માફી કેવી રીતે માગવી. લેખિત કે મૌખિક ફરિયાદ કેવી રીતે કરવી, વિગેરે નાગરિક સભ્યતા માટે શિક્ષકે વિદ્યાર્થીઓ ઉપર ભાર મુકવો પડશે. ટ્રાફિકના નિયમો અને તેના પાલનની અનિવાર્યતા આત્મસાત કરાવવી પડશે. ફરજો બજાવવી, સભતા દાખવવી, સુખડતાનું અને સુવ્યવસ્થાનું પાલન કરવું, નીતિમત્તા રાખવી એ બધું દેશસેવા, દેશપ્રેમ અને દેશના ગૌરવમાં આવે છે તે બધું આત્મસાત કરાવવું પડશે.

પૂર્વ અને ઉત્તર (ઉચ્ચ) માધ્યમિક શાળાઓઃ

આ શિક્ષણ અનિવાર્ય નથી. પણ જેમને આગળ ભણવું છે તેઓ ભણી શકશે. અહીં જે ભાષાઓ ભણાવવામાં આવશે તે વાંચવા, સમજવા ઉપરાંત લખતાં અને સામાન્ય વાતચીત કરતાં પણ આવડે એટલી ભણાવવામાં આવશે.

શિક્ષા પદ્ધતિ પણ ઉત્તર પ્રાથમિક શિક્ષણ જેવી રહેશે. એટલે કે વિદ્યાર્થીઓ નાના જુથમાં ભણશે. જે તે વિષયનો નિષ્ણાત શિક્ષક તેમને માર્ગ દર્શન આપશે.

માધ્યમિક શિક્ષણમાં ક્રમશઃ વિષયો, વધુ ઘનિષ્ટતાથી ભણાવવામાં આવશે.

દરેક વિષયના અનેક સ્તર (પાઠ ચેપ્ટર) હશે. એક સ્તરનો અભ્યાસ કર્યા પછી તેની પરીક્ષા લેવાશે. આ પરીક્ષા એક સ્વતંત્ર સંસ્થા લેશે. આ કોમ્પ્યુટરાઈઝ્ડ હશે. તેમાં ઉત્તીર્ણ થવું પડશે. પણ આ પહેલાં શિક્ષક પોતાના વિદ્યાર્થીઓની પ્રાથમિક પરીક્ષા લેશે.

માધ્યમિક શિક્ષણનો હેતુ વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે તૈયાર કરવાનો છે.

માધ્યમિક શિક્ષણ ૪+૨ = ૬ વર્ષનું છે.

પહેલા વર્ષે બધાજ વિષયોની રુપરેખા અને તેના કાર્યક્ષેત્ર વિષે સમજ આપવામાં આવશે. બીજા વર્ષથી પોતાને ગમતા વિષયોની પસંદગી કરવાની રહેશે.

પણ કળા અને ખેલકુદમાં પહેલા વર્ષથી જ એક કળા અને એક ખેલકુદની પસંદગી કરવાની રહેશે.

૧     ત્રણે અનિવાર્ય

૧.૧    માતૃભાષા,

૧.૨    સંસ્કૃત ભાષા

૧.૩    બીજી એક દેશી ભાષા

૨     કોઈપણ બે

૨.૧    ગણિત અને ભૌતિક શાસ્ત્ર

૨.૨    ગણિત અને રસાયણ શાસ્ત્ર

૨.૩    ગણિત અને કારીગીરી

૨.૪    શરીર શાસ્ત્ર અને વનસ્પતિ શાસ્ત્ર

૨.૫    ખગોળ શાસ્ત્ર

૩ કોઈપણ બે

૩.૧    સમાજશાસ્ત્ર અને ઈતિહાસ,

૩.૨    ભૂગોળ અને પ્રવાસન

૩.૩    નાગરિક શાસ્ત્ર

૩.૪    સુરક્ષા અને વ્યવસ્થાશાસ્ત્ર

૩.૫    શિક્ષણ શાસ્ત્ર

૩.૬    તત્વજ્ઞાન અને તર્કશાસ્ત્ર      

૪     કોઈપણ એક

કળાઃ સુગમ સંગીત, શાસ્ત્રીય સંગિત, ગ્રામ્ય નૃત્ય, શાસ્ત્રીય નૃત્ય, નાટ્ય લેખન, અભિનય, દિગ્દર્શન, ચિત્રકામ, સુશોભન, વક્તૃત્વ કળા,  

૫     કોઈપણ એક

ખેલકુદઃ વ્યાયામ, યોગ, દેશી રમતો, વિદેશી રમતો, તરણ, દોડ, પર્વતારોહણ, અન્વેષણ, વિગેરે

દરેક શાળામાં જે તે વિષયની પ્રયોગશાળાઓ હશે.

પ્રાથમિક શિક્ષણ પુરું કર્યા પછી માધ્યમિક શિક્ષણમાં પ્રવેશ મળશે. પણ તેને ક્યારે પુરું કરવું તે વિદ્યાર્થી ઉપર આધાર રાખશે. જેમ જેમ એક સ્તરીય પરીક્ષા (ચેપ્ટર)માં ઉત્તિર્ણ થવાતું જશે તેમ તે પછીના ચેપ્ટરોના અભ્યાસમાં પ્રવેશ મળતો જશે.

જે તે વિષયના નિષ્ણાત પોતાના વિષયની ઑન-લાઈન શાળા ચલાવી શકશે. પણ પ્રયોગશાળા માટે તેમણે સ્કુલ સાથે ગોઠવણ કરવી પડશે. ઉદ્યોગોને પણ આવી શાળા ચલાવવી હશે તો ચલાવી શકશે. પણ બધી શાળાઓના વર્ગ ખંડો અને પ્રયોગશાળાના સ્થાન જે તે વિસ્તારના વિદ્યાર્થીઓને અનુકુળ પડે તેમ એક જ સંકુલમાં રાખવામાં આવશે. પરીક્ષા એક સ્વતંત્ર વ્યવસ્થા હોવાથી, પરીક્ષા માટેની ગોઠવણ સરકાર કરશે.

માધ્યમિક શાળાના અભ્યાસક્રમો, તેને લગતા પુસ્તકો, શિક્ષકો, શાળાઓના સ્થાનની વિગતો, વિગેરે બધું જ ઑન-લાઈન ઉપલબ્ધ કરવામાં આવશે.

વિશ્વવિદ્યાલય કક્ષાનું શિક્ષણ જે તે વિશ્વ વિદ્યાલયો નક્કી કરશે. પણ સરકાર પોતાના નક્કીકરેલા ન્યૂનતમ ધારાધોરણ તેમજ જે તે વિશ્વવિદ્યાલયોએ સરકાર સાથે સમજુતી પૂર્વક નક્કી કરેલા વધારાના ધારાધોરણોનું બરાબર પાલન થાય છે કે નહીં તેનું ધ્યાન રાખશે. સંશોધન ક્ષેત્રે વિશ્વવિદ્યાલયો ઉદ્યોગો સાથે સમજુતી કરશે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ પૂર્વ પ્રાથમિક, ઉત્તર પ્રાથમિક, પૂર્વ માધ્યમિક, ઉત્તર માધ્યમિક, ભાષા, સંસ્કૃત, માતૃભાષા, સહયોગ, નાગરિક, સભ્યતા, નીતિમત્તા, દેશપ્રેમ, દેશસેવા, ઈતિહાસ, ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, કળા, વ્યાયામ, ખેલકુદ

Read Full Post »

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૨. મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?

INDIA OF OUR DREAM

જ્યારે સ્વપ્નના ગામ વિષે વિચારીએ ત્યારે એ પણ જાણી લેવું જોઇએ કે ગામ માટે કોણે કેવા સ્વપ્નો જોયા છે! અને તેના બદલાતા સમાજ સાથે કદમ મિલાવી શકે અને એટલે કે સ્થાયીપણા માટેની તેની ક્ષમતા કેટલી હતી!
આ લેખને વાંચતા પહેલાં
“સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય ગાંધીવાદ – ૧” ના શિર્ષક વાળો લેખ વાંચવો.

ગાંધીજીના સમયે શું પરિસ્થિતિ હતી?

ગાંધીજી હિન્દુસ્તાનના સાત લાખ ગામડાઓની વાત કરતા હતા. તે અખંડ હિન્દુસ્તાન હતું. હવે કદાચ પાંચ લાખ ગામડાં હશે. એ જે હોય તે. આપણે તેની સમસ્યાઓ અને નિવારણની શક્યતાઓ ગાંધીવાદની રીતે વિચારીશું.

(૧) ગાંધીજીનું સ્વપ્ન એ હતું કે ગામડાં સ્વાવલંબી હોય,
(૨) રહેવાને માટે સૌને સુંદર અને સગવડવાળું ઘર હોવું જોઇએ.
(૩) સૌને સુખી અને તંદુરસ્ત રીતે જીવન જીવવા માટેની જરુરીયાતો સરળતાથી ઉપલબ્ધ હોવી જોઇએ. આ માટે પ્રાથમિક શિક્ષણ, સક્ષમ અને ફરજીયાત હોવું જોઇએ. સહયોગ અને મદદ કરવાની વૃત્તિ, સામાજીક વર્તનમાં સંસ્કારિતા અને નાગરિક ફરજો (સીવીક સેન્સ) એ પ્રાથમિક શિક્ષણનું અભિન્ન અંગ હોવું જોઇએ.
(૪) સમાજમાં શોષણ ન હોય, એટલે કે માલિક, મજુરનું શોષણ ન કરે.
મશીન મનુષ્યનું ગુલામ હોવું જોઇએ. મનુષ્ય મશીનનો ગુલામ ન હોવો જોઇએ.
(૫) ગામડાંમાં થતું ઉત્પાદન અને શહેરમાં થતું ઉત્પાદન એકબીજાને પૂરક હોય,
(૬) જ્ઞાનના દરવાજા સૌને માટે ખુલ્લા હોવા જોઇએ.
(૭) સરકારી દખલ ન્યૂનતમ હોવી જોઇએ. અને સરકારી વ્યવહારમાં પારદર્શિતા હોવી જોઇએ.
(૮) સમાજના વર્ગો વચ્ચે અને વ્યક્તિઓ વચ્ચે સંવાદ હોવો જોઇએ મનુષ્ય મનુષ્ય વચ્ચે સંવાદ હોવો જોઇએ.
(૯) બહ્માન્ડ ના વર્તનની અને નિયમોની સમજણને વિજ્ઞાન સમજવું અને તેના ઉપકરણોને યંત્ર સમજવા. આ યંત્રનો ઉપયોગ લાંબાગાળાના સુખ માટે કરીએ તેને ત્યાજ્ય ન ગણવું. પણ ધ્યાન એ રાખવું કે તેમાં સામાજીક અને પ્રાકૃતિક લય જળવાઈ રહે.
(૧૦) મનુષ્ય જીવનનું ધ્યેય આનંદ પ્રાપ્તિનું છે. આનંદ, નિરોગી શરીરથી મળે છે. આનંદ, જ્ઞાન અને “સ્વ”ની ઓળખ(આઈડેન્ટીફીકેશન અને વિશેષતાને મળતી સામાજીક માન્યતા) અને બીજાને મદદરુપ થવાને ને કારણે મળે છે. સ્વના આનંદ માટે સ્પર્ધા કે બીજાને પરાજય આપવો જરુરી હોતો નથી. કળા અને જ્ઞાનના વિકાસ દ્વારા પણ “સ્વ”ની ઓળખ મળે છે.

જ્યાં સુધી ઉપરોક્ત બાબતો સમજવામાં ન આવે અને તેનો સ્વપ્નના ગામાની સંરચના કે પૂનર્રચનામાં સમાવેશ ન કરવામાં આવે ત્યાં સુધી તે આદર્શ, સુખી અને સુઘડ ગામ બની ન શકે.

ગામડાનું સ્વવલંબનઃ

આ એક બહુ છેતરામણો શબ્દ છે. અને આ બાબત ઉપર ઘણું રાજકારણ ખેલાય છે અને અનીતિઓ આચરાય છે.

ગામડું એટલે શું?

(૧) ગામડું એટલે સૌ નજીક નજીક રહેતા હોય,

(૨) ગામડામાં સૌ એકબીજાને ઓળખતા હોય એટલે કે સંવાદ કરવાનીઅવસ્થામાં હોય,

(૩) સૌ કામ કરતા હોય, અને કૌટૂંબિક ભાવનાથી જીવતા હોય,

(૪) મોટાભાગની વસ્તુઓ ગામડામાં જ ઉપલબ્ધ હોય એટલે મનુષ્ય અને માલના પરિવહનનો ખર્ચ લઘુતમ હોય.

(૫) સૌને હવા ઉજાસ વાળું અને સગવડવાળું ઘર હોય,

(૬) રમવાને અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરવા માટે મોકળાશ હોય,

(૭) કુદરતી સૌંદર્ય એટલે કે ઝાડપાન સહજ હોય,

જો આ બધી બાબતોની સમગ્રતાને ધ્યાનમાં રાખીએ તો ગામડું, કસ્બો, મધ્યમ કક્ષાનું ગામ કે શહેરના વિસ્તારો જેવા કે પોળ, શેરી, સોસાઈટી, લત્તો, એ બધાને જ આપણે “ગામડું” એવી વ્યાખ્યામાં લઈ શકીએ અને તે પ્રમાણે તેની સંરચના/પૂનર્ રચના કરી શકીયે.

આમાં કયા એકમો અને પરિબળો અને નિયમો ભાગ લે છે તે પહેલાં સમજી લેવું જોઇએ. અને તે વિષેના આપણા ખ્યાલો સુધારવા જોઇએ.

આપણે શહેરોને તોડી શકવાના નથી. પણ હયાત શહેરોમાં સુધારા કરી શકીશું.

જમીન, મકાન, ઉત્પાદકો, કાચોમાલ, ઉત્પાદન, ઉત્પાદનની પ્રક્રિયાઓ, સુખસગવડના સાધનો, માલિકીના હક્કો અને મનુષ્યના વલણો વિષે ચર્ચા કરવી જોઇએ અને તેમાં ફેરફાર કરવા જોઇએ.

જમીન અને જમીનના ભોગવટાના હક્કોઃ

વિનોબા ભાવે અને મહાત્મા ગાંધીના કહેવા પ્રમાણે પણ જમીનની માલિકી કોઈ વ્યક્તિની ન હોઈ શકે. જમીન એ ધરતી છે. ધરતી એ સૌ સજીવોની સામુહિક માતા છે. તે સૌની છે. અને સૌ સૌનો જુદી જુદી રીતે ભોગવટાનો હક્ક છે. પણ મનુષ્ય સમાજ આ ભોગવટાનું નિયંત્રણ કરશે.

મહાત્મા ગાંધીનો સમય એ એવો સમય હતો કે જ્યારે અખંડ ભારત બહુ વિશાળ દેશ હતો. વસ્તિ વધારાની સમસ્યા ન હતી. ગામડાઓ મહદ અંશે સ્વાવલંબી હતા જો કે તેની ભાંગવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ હતી. પણ તે રોકી શકાય એમ છે તેમ માનવામાં આવતું હતું.

ગામડાંને સ્વાવલંબી કરવા માટેની કાર્યવાહી થઈ શકે તેવી ઈચ્છા શક્તિ ન હતી. મૂડીવાદ અને અતિ-મૂડીવાદ (સામ્યવાદ) ની વિચાર સરણીઓ અને તેની ચાહના પ્રત્યેની વૃત્તિઓ પ્રબળ અને વિકાસશીલ બનતી જતી હોવાથી, સ્વતંત્ર ભારતના રાજકર્તાઓ કોઈ દૂરદર્શિતા અપનાવી શક્યા નહીં. આ ઉપરાંત સર્ચોચ્ચ શાસક દ્વારા પોતાના સ્વકેન્દ્રી (જવાહરલાલ નહેરુ, ઈન્દીરા ગાંધી), વંશ કેન્દ્રી (સત્તાનું કેન્દ્ર નહેરુવંશી માટે જ આરક્ષિત) સત્તાલાલસાને કારણે નીતિમત્તાને જાણી જોઈને અવગણવામાં આવી. કાયદાના રાજનું પતન થયું અને સમાજ નો મોટોભાગ નીતિહીન બન્યો.

જે રીતે શહેરોનો વિકાસ કરવામાં આવ્યો તેમાં યોગ્ય આયોજન કરવામાં આવ્યું નહીં ને જે કંઈ આયોજન થયું તેનો અધિકારીઓની (ન્યાયાલય અને જનપ્રતિનિધિઓ સહિતની) અનીતિમત્તાએ અમલ ન કર્યો એટલે જમીનના વહીવટમાં અરાજકતા આવી. જમીન અને તેના ઉપયોગે દેશને દિશાહીન કર્યો.
વસ્તિવધારો અંકુશમાં રાખી શકાયો નથી. અને અથવા માનવ શક્તિનો તેના સુયોગ્ય શ્રોત તરીકે ઉપયોગમાં લેવામાં ન આવ્યો તેથી પણ જમીન અને તેના ઉપયોગમાં પાયમાલી આવી.

આવી પરિસ્થિતિનો સુયોગ્ય સામનો કઈ રીતે થઈ શકે?

જમીનની માલિકી દેશની ગણવી પડશે.

આનો અર્થ એ થયો કે જમીનની માલિકી રાજયની રહેશે. કેન્દ સરકાર તેના ઉપયોગના નિયમો બનાવશે. સ્થાનિક કક્ષાએ તેનો અમલ થશે. અને કેન્દ્ર સુધીના સત્તાધીશો તેની ઉપર નજર રાખશે.

સૌ પ્રથમ સમજી લો કે જમીન અને વનસ્પતિ અમૂલ્ય છે. વનસ્પતિમાં વૃદ્ધિ કરી શકાય છે. પણ જમીન વિષે શું છે?

જમીન વધી શકે છે?

હાજી જમીન વધી શકે છે.

જમીન કેવી રીતે વધી શકે?

ખરાબાની જમીનને નવસાધ્ય કરોઃ ખરાબાની જમીન એ એક કાચો માલ છે. તેને એક માનવશક્તિના ઉપયોગનો અવસર સમજો.

જે જમીન છે, તેનો વ્યય ન કરો.

(૧) ઝોંપડ પટ્ટી એ જમીનનો વ્યય છે,

(૨) એકમાળી કે ચાર-પાંચમાળી મકાનો એ પણ જમીનનો વ્યય છે.

(૩) ફળદ્રુપ જમીન ઉપરની ખેતી એ પણ જમીનનો વ્યય છે કારણ કે અનાજના ઉત્પાદન માટે આપણે બે ઈંચથી છ ઈંચના ઉંડાણ સુધીની જમીનનો જ ઉપયોગ કરીએ છીએ. અનાજનું ઉત્પાદન એક માળી ઉત્પાદન છે. વૃક્ષ ઉપર થતું ઉત્પાદન બહુમાળી ઉત્પાદન છે. બહુ માળી ઉત્પાદન ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને જમવાની આદતો બદલો.

(૪) ખારાશવાળી જમીનને નવસાધ્ય કરીને યોગ્ય માવજત દ્વારાઅનાજનું ઉત્પાદન કરી શકાય. ઉત્પાદન મકાનની અગાશીમાં, ગેલેરીઓમાં કે ખાસરીતે ખેતી માટે જ બનાવેલા બહુમાળી મકાનોમાં કે તેના હિસ્સાઓમાં અનાજનું ઉત્પાદન કરી શકાય છે.

(૫) ગોચરની માટે જમીન અલગ ફાળવવી એ પણ જમીનનો વ્યય છે. જમીન ઉપર ઘાસ ઉગાડવું એ જમીનનો વ્યય છે. ઘાસનું ઉત્પાદન પણ ઉપરોક્ત અનાજના ઉત્પાદનની જેમ કરી શકાય.

(૬) વાહનો ના પાર્કીગ માટે જમીન ફાળવવી એ જમીનનો વ્યય છે. વાહનોના પાર્કીંગં માટે ભોંય તળીયા અને અન્ય માળ ઉપર આયોજન સાથે જગ્યા ફાળવી શકાય.

(૭) વિમાનતળ ની જગ્યા એ જમીનનો વ્યય છેઃ આજના ઝડપી જમાનામાં કે તે સિવાય પણ આપણે વિમાનોને નષ્ટ કરી શકીશું નહીં. વિમાન ના ઉતરાણ માટે રનવે જોઇએ. જ્યાં સુધી નવી શોધ ન થાય ત્યાં સુધી આપણા વિમાની મથકો અસ્તિત્વમાં રહેશે અને તે ઉપરાંત નવા વિમાન મથકો પણ બનાવવા પડશે. વિમાનના રનવે માટે લાંબી જમીનની સખત પટ્ટી ઓ જોઇએ. વિમાનની મહત્તમ પહોળાઈ જેટલી તો જોઇએ જ. બાકીની જગ્યામાં તમે ઘાસ અને અનાજ ઉગાડી શકો. જો કે પક્ષીઓનો ઉપદ્રવ થાય. પણ પક્ષીઓને અને તીડોને ભગાડવા માટે અમૂક કંપનો વાળો અશ્રાવ્ય અવાજ આ સમસ્યાને ઉકેલી શકે છે.

(૮) શું તળાવ અને નદીઓ જમીનનો વ્યય છે?

નાજી. તળાવ અને નદીઓ જમીનનો વ્યય નથી. પણ નહેરોને તમે ભૂગર્ભ કરી ને કે તેના ઉપર સોલર પેનલો રાખીને બનાવી શકો.

(૯) શું રસ્તાઓ જમીનનો વ્યય છે?

હા અને ના.

જો આયોજન વગર રસ્તાઓ બનાવ્યા હોય તો તે ખર્ચાળ અને મુશ્કેલીઓ ઉભા કરનારા બને છે.
રસ્તાઓ માટે વપરાતી જમીનનો કરકસર ભર્યો ઉપયોગ કેવી રીતે કરવો?

(૧) રસ્તાઓ પણ ભૂગર્ભ અને બહુમાળી બનાવી શકાય છે.

(૨) જળમાર્ગો બનાવી શકાય, જેથી જળ વધુ જમીનમાં ઉતરે અને સંચય થાય.

(૩) ઉત્પાદનને અને ખાસ કરીને અન્ન, શાકભાજી અને ફળફળાદિના ઉત્પાદનને વધુને વધુ પ્રમાણમાં સ્થાનિક બનાવીને રસ્તાઓ ઉપરનું દબાણ ઓછું કરી શકો.

(૪) વાહનોની ગતિને અવરોધતા ઓછામાં ઓછી કરીને રસ્તાઓ ઉપરનું દબાણ ઓછું કરી શકો.

(૫) રસ્તાઓ બનાવવા માટે આસપાસનીની બંને બાજુએથી માટી લઈ રસ્તાની જમીનને ઉંચી કરવી પડે છે. રસ્તાઓ અને રેલ્વે માર્ગને સમાંતર રાખી તેની બંને બાજુએ નહેરોને બનાવી શકાય. તે ઉપરાંત ફ્ળોના વૃક્ષોની હરોળો રાખી ફળ અને ઘાસનું ઉત્પાદન કરી શકાય.

(૬) રસ્તાઓની બંનેબાજુ ટ્રાન્સમીશન ટાવરો અને તેની ઉપર પવન ચક્કીઓ રાખીને પ્રાકૃતિક ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે.

(૭) ટ્રાન્સમીશન ટાવરો ના ફ્રેમવર્ક ઉપર સોલરપેનલો ગોઠવી વિદ્યુત ઉર્જા બનાવી શકાય.

(૮) સંભવ છે કે વખત જતાં રસ્તા ઉપરના આ ઉર્જાશ્રોતો વાહનો માટે ઉર્જા આપનારા બની રહે.

(૯) હાલનો જમાનો ઈન્ટરનેટનો જમાનો છે. તેથી ઘણા જ કર્મચારીઓને તમે તેઓ ઘરે બેઠા બેઠા કામ કરે તેવી વ્યવસ્થા ઉત્પન કરી શકાય તેમ છે. આમ કરવાથી વાહન વ્યવહારનો રસ્તા ઉપરનો બોજો ઘટશે.

(૧૦) રસ્તાઓ અને ઝડપ ઘણા ઉપયોગી છે અને જ્ઞાન, સંવાદ, આદાનપ્રદાન, પ્રવાસન ઉદ્યોગને બહુ ઉપયોગી છે. તે ઉપરાંત વિપત્તિના સમયે તે બહુ ઉપકારક બને છે.

જમીનને નવસાધ્ય કેવી રીતે કરી શકાય?

 Saline land to be converted to furtile land

ખરાબાની જમીન જો તે સામાન્ય ક્ષારવાળી હોય તો તેને સેન્દ્રીય અને જૈવિક ખાતરોથી ફળદ્રુપ બનાવી શકાય છે. ખરાબાની જમીન પણ આવા પ્રકારમાં આવે છે. તેને ફળદ્રુપ કરવા માટેના હજાર રસ્તાઓ છે.

દરીયાઈ ક્ષારવાળી રણની જમીનઃ આ જમીનને ફળદ્રુપ કરી શકાય છે અને તકનિકી દ્વારા મીઠું (નમક), શુદ્ધ પાણી, ખેત તલાવડી, ખેતી, ઘાસ, ઉર્જા આપે તેવા પાક, વૃક્ષ, અને સૌર ઉર્જાનું ઉત્પાદન કરી શકાય છે. કાળક્રમે તેનું જંગલમાં રુપાંતર કરી શકાય છે.

તળાવ અને નદીના કિનારાઓને વિકસાવી ત્યાં ઉત્પાદન, પ્રવાસન અને રહેણાકના ક્ષેત્રો સુયોગ્ય આયોજન દ્વારા બનાવી શકાય છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ મહાત્મા ગાંધી, જમીન, ભૂમિ, ભોગવટા, હક્ક, માલિકી, સોલર સેલ, પવન ચક્કી, વસ્તિ, ગામડાં, સ્વાવલંબી, ઉત્પાદન, રસ્તા, ભારણ, આનંદ, સુખ સગવડ, પ્રાથમિક, શિક્ષણ, સહયોગ, શોષણ, જ્ઞાન, સરકાર, સંરચના, નાગરિક, નદી, તળાવ, વિકાસ

Read Full Post »

જાહોજલાલીમાં પૂર્ણ વિરામ  કે અલ્પવિરામની શોધ કરો

જાહોજલાલીની વ્યાખ્યા શું?

જો કડક વ્યાખ્યા એટલે કે જેને આપણે નિરપેક્ષ વ્યાખ્યા કહીયે તેવી વ્યાખ્યા કરવી હોય તો એમ કહેવાય કે જો એક કુટુંબની જરુરીયાત એક ગાયની હોય અને તેની પાસે બે ગાય હોય અને બીજા પાસે એક પણ ગાય ન હોય તો બે ગાયવાળો  માલેતુજાર કહેવાય.  એટલે પહેલા કુટુંબે બીજા કુટુંબને એક ગાય કોઈ એક નક્કી કરેલી પ્રણાલી પ્રમાણે બીજા કુટુંબને આપી દેવી જોઇએ.

હવે ધારો કે પહેલા કુટુંબે એક ગાય જે વધારાની ગણાઈ હતી તે બીજા કુટુંબને આપી દીધી.

પણ હવે એવું થયું કે પહેલા કુટુંબની પરિસ્થિતિ બદલાઈ, તેનું કુટુંબ વધ્યું કે તેના કુટુંબમાં કોઈ માંદુ પડ્યું કે જે એક ગાય હતી તે એક ગાયે દુધ આપવાનું બંધ કર્યું કે દુધ ઓછું આપવાનું શરુ કર્યું કે એ ગાય મરી ગઈ, તો હવે શું કરવું?

પણ હવે આ સમસ્યા આ રીતે ઉકેલી નહીં શકાય.

આપણે ફક્ત બે કુટુંબનું એકમ લીધું. આપણે એક ગામને એકમ લેવું જોઇએ. ગામમાં ઘણી ગાયો હોઈ શકે. બધાને એક એક ગાય કદાચ આપી પણ ન શકાય. ધારોકે આપી શકાય તેમ હોય તો ઉપર જણાવેલ સમસ્યા તો ઉભી થવાની જ. માટે ઉત્પાદના કે સુખસગવડના બીજા કામો ઉભા કરો. અને અમુક લોકોને એમાં રોકો. દા.ત. ખેતી.

કામની વહેંચણી અને વર્ગનું સર્જન

ખેતી માટે ઓજારો જોઈશે, એટલે અમુક લોકોને ઓજારો બનાવવાનું કામ સોંપો. એટલે ઓજારો બનાવનારા માણસો, ખેતી કરનારા માણસો અને ગાયનું દુધ ઉત્પન્ન કરનારા માણસો એવા ત્રણ વર્ગ પડશે. આ બધાની વહેંચણી કરવામાં ગણત્રીઓ કરવી પડશે. એટલે અમુક લોકોને ગણત્રી કરવાનું ગમતું હશે. અને તે કેવી રીતે કરવી તે શિખવવાનું પણ ગમતું હશે. આવું બધું વિસ્તરે એટલે એક શિક્ષક વર્ગ પણ ઉભો થશે. હવે ગણત્રી કરવામાં જરુરીયાતો અને નિયમો નક્કી કરવા પડે એટલે કેટલાક સમજુ અને વિવેક કરવા વાળા સર્વ સ્વિકૃત વિશ્વસનીય માણસો જોઇશે. એટલે શિક્ષકોમાં એક વિભાગ પડશે જેને ન્યાયનું કામ આપવામાં આવશે. પણ દેશમાં એક ગામ તો હોય નહીં. એટલે બીજા ગામવાળા તમારા ગામમાં હસ્તક્ષેપ કરે તો તેની સામે રક્ષણ માટે વળી પાછો એક વર્ગ બનાવવો પડશે. પણ આ તો રક્ષણની વાત થઈ. તેમાં તો વ્યુહ રચનાઓ કરવી પડે. જેમ ઝાઝા રસોયા રસોઈ બગાડે તેમ એક કરતા વધુ વ્યુહરચનામાંથી શ્રેષ્ઠ રચના કઈ એ નક્કી કરવું પડે. એટલે એક નેતા નક્કી કરવો પડે જે રક્ષણ કરવા અને બૌદ્ધિક રીતે સક્ષમ હોય.

કાળ ક્રમે ઉત્પાદકો, કારીગરો, શિક્ષકો, ન્યાયધીશો કે અને રાજાઓ, સૈનિકો અને મજુરોના વર્ગો અસ્તિત્વમાં આવ્યા હશે. એક કરતાં વધુ ગામો હોય અને સલાહ સંપથી રહી શકવાના પ્રયત્નોના ભાગ રૂપે  રાજાઓ, મહારાજાઓ અને ચક્રવર્તી રાજાઓ બન્યા હશે. નિયમો જટીલ બનાવવા પડ્યા હશે. અને અન્યાયો પણ ચાલુ થયા હશે. અને સુખાકારી માટે જુદી જુદી પ્રણાલીઓ અસ્તિત્વમાં આવી હશે અને વિકસી હશે.

સવાલ એ છે કે આ બધું શું કામ થાય છે?

માણસને જોઇએ છે શું?

માણસે શા માટે સમૂહમાં રહેવાનું નક્કી કર્યું?

સમૂહમાં રહેવાથી મનુષ્યની શક્તિમાં ગુણોત્તર પ્રમાણમાં વધારો થાય છે. એટલે સુરક્ષા પણ મળે છે. અને નિશ્ચિંતતા પણ મળે છે. ટૂંકમાં માણસની બુદ્ધિએ માણસને સામાજીક પ્રાણી તરીકે રહેવાનું શિખવ્યું.

સમુહમાં જીવવાથી માણસ શારીરિક અને બૌદ્ધિક વિકાસ સાધી શકે છે જેથી તે વધુ આનંદ પ્રાપ્ત કરી શકે છે.

મનુષ્ય તો મરી જાય, સમાજ તો જીવતો રહે છે. એટલે મનુષ્યનું જ્ઞાન સમાજમાં જળવાઈ રહે છે. સમાજ એક એકમ તરીકે સુધરતો સુધરતો સદાકાળ (?), જીવતો રહી શકે. આવા સાતત્યને લીધે પેઢી દર પેઢીના મનુષ્યો વ્યક્તિગત રીતે વધુ આનંદપૂર્વક જીવી શકે.

સમાજનો મુખ્ય ગુણ ધર્મ શો?

સંવાદ, કામની વહેંચણી, સહયોગ અને સહકાર આ સમાજના મુખ્ય ગુણધર્મ હોવા જોઇએ. સહયોગ અને સહકારમાં ફેર શો? સહયોગ એ પ્રણાલી બદ્ધ છે. જ્યારે સહકારમાં મનોભાવ સંકળાયેલો છે. મુખ્ય ગુણધર્મ તો સંવાદ માત્ર છે. સંવાદના કારણે કામની વહેંચણીની સ્વિકૃતિ, સહયોગ અને સહકારની ભાવનાઓ ઉત્પન્ન થઈ. ટૂંકામાં સંવાદ સિવાયના બાકીના બધા તો આનંદ પ્રાપ્તિની ખોજના પ્રયાસોની આડ પેદાશ છે. વધુને વધુ સંવાદ માટે ભાષાનો વિકાસ થયો.

મનુષ્ય સામાજીક પ્રાણી છે. સમાજનું એકમ મનુષ્ય છે. જો મનુષ્યનો વિકાસ થશે તો સમાજનો વિકાસ થશે. અને જો સમાજ વિકસિત થતો હશે તો મનુષ્યને વધુ સરળ રીતે આનંદ મળતો થશે .

તો પછી કેન્દ્રમાં કોણ હોવું જોઇએ? સમાજ કે મનુષ્ય?

જ્યાં મનુષ્યને કેન્દ્રમાં રખાયો તેને મુડીવાદ કહેવામાં આવ્યો. જ્યાં સમાજને કેન્દ્રમાં રખાયો તેને સામ્યવાદ કે સમાજવાદ કહેવાયો.

જ્યારે મનુષ્ય પોતાના સુખને કે પોતાના કુટુંબના સુખને કેન્દ્રમાં રાખે અને બુદ્ધિનો તેમાં ઉપયોગ કરે ત્યાં દંભ ઉભો થાય છે. જ્યારે મુડીવાદમાં અને સમાજવાદમાં દંભનું મિશ્રણ થાય ત્યારે તે પોતાનું સૈધાન્તિક પોત ગુમાવે છે. એવું જ થયું છે.

મુડીવાદે અને સમાજવાદે (સામ્યવાદે) માણસોને અળગા, સંવાદહીન અને કંઈક અંશે સંવેદનહીન  કર્યા.

સામ્યવાદ સંવાદહીનતાને કારણે અપારદર્શક બન્યો અને લગભગ નષ્ટ થયો.

મૂડીવાદી સમાજ અસ્થિરતામાં ફસાયેલો રહે છે. એટલે કે મંદીના મોજાંઓ આવ્યા કરે અને માણસો, આર્થિક અને માનસિક યાતનાઓના ભોગ બનતા રહે. આ મંદીઓ અક્ષમ્ય છે. જે દેશપાસે, અતિવિદ્વાન એવા અર્થશાસ્ત્રીઓ હોય, હિસાબો ત્રણ ત્રણ મહિને ચકાસાતા હોય, ચાલુ નિયમોને અવારનવાર સમજણ પૂર્વક અને પરિણામી અસરોને અનુલક્ષીને મઠારવવામાં આવતા હોય, આવી જ્યાં વ્યવસ્થાઓ હોય, ત્યાં રાતોરાત મંદી આવી જય અને હજારો લાખો લોકો યાતનાઓમાં ડૂબી જાય, અને આવું થયા પછી પણ કોઈની જવાબદારી પણ નક્કી ન થઈ શકે અને કોઈને કશો દંડ પણ ન થઈ શકે, તે મૂડીવાદને કેવીરીતે યોગ્ય ગણાવી શકાય? આમાં વ્યાપક રીતે અપારદર્શિતા તો છે જ, અને દંભ પણ છે.

ક્ષતિ ક્યાં છે?

ખાટલે મોટી ખોડ એ છે કે સમાજને કેન્દ્રમાં રખાયો તો નથી જ. પણ ગણીગાંઠી વ્યક્તિઓએ તત્કાલિન સત્તા અને સુખાકારી માટે દંભ આચર્યો અને અપારદર્શિતા રાખી અને અથવા જનતાને ગુમરાહ કરી. ખેરખાંઓ એ જાહેર કર્યું કે અવારનવાર મંદીઓ તો આવ્યાજ કરશે. આ તો મુડીવાદનું લક્ષણ છે. ઈતિ સિદ્ધમ્‌ તથા પૂર્ણમ્‌.

નફાનું ધોરણ શું અને શ્રમનું મૂલ્ય શું?

નફાનું ધોરણ મનસ્વી. શ્રમનું મૂલ્ય પણ લગભગ મનસ્વી.

શા માટે આ બધું મનસ્વી રીતે છે?

ઉત્પાદનમાં કોઈ સીમા રાખી નથી અને જેને જે ઉત્પાદન કરવું હોય તે કરે. તેથી સ્પર્ધા થશે અને નફા ઉપર આપોઆપ અંકૂશ આવશે. શ્રમના મૂલ્ય નક્કી કરવામાં પણ આવું જ થશે. શ્રમજીવીઓ પોતાનું સંગઠન કરશે અને માલિક ઉપર દબાણ લાવી શ્રમનું મૂલ્ય વધારશે.

શ્રમ એક એવી વપરાશની વસ્તુ બનશે. તેનો કામચલાઉ રીતે અભાવ ઉત્પન્ન કરવામાં આવે તો માલિક તેના પ્રતિસ્પર્ધિઓ સામે ટકી ન શકે. આમ માલિક અને શ્રમજીવી (બુદ્ધિ જીવી સહિત) સૌ કોઈ વપરાશની વસ્તુ તરીકે પોતાનું મૂલ્ય નક્કી કરાવશે. માલિક પણ એક ખરીદનાર તરીકે તે વસ્તુના બજારી જત્થાના વેચનારની/વેચાનારની ગરજના  વ્યસ્ત પ્રમાણમાં અને પોતાની જરુરીયાતના સમપ્રમાણના આધારે તેનું મૂલ્ય નક્કી કરશે. આ પ્રક્રિયામાં કુદરતી અને માનવીય મૂલ્યોનો નાશ થશે. છતાં બધું કાયદેસર ગણાશે.

દા.ત.

સરકારી નોકરોની જવાબદારીઓ નક્કી કરવામાં આવી આ જવાબદારીઓ દ્વારા તેમની સેવાઓ લેવામાં આવી. આ સેવાઓની સામે તેમના કામના નક્કી કરાયેલા શ્રમના મૂલ્ય પ્રમાણે તેમને વેતન મળે છે. જ્યારે આ નોકરો સેવા બજાવતા હતા ત્યારે તેમને અન્ય બીજો કોઈ વ્યવસાય કરવાની છૂટ ન હતી. આ સરકારી નોકરોને વૃદ્ધાવસ્થા આવે અને શારીરિક રીતે (માનસિક રીતે અશક્ત થાય) તે માટે એક વય નક્કી કરવામાં આવી અને તે સમયે તેમનું પેન્શન નક્કી કરવામાં આવ્યું.

WHO IS DRIVING THE TRAIN

આ સરકારી નોકરોના કામ ઉપર નીગરાની રાખવા અને તેમને કામદ્વારા થતી ધ્યેય પ્રાપ્તિમાં આવતી સમસ્યાઓના નિવારણ માટે જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગોઠવવામાં આવ્યા. આ પ્રતિનિધિઓ કહે અમને પણ વેતન જોઇએ. તેમને વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું. જોકે મંત્રી મંડળ સિવાય કોઈપણ પ્રતિનિધિની કોઈ જવાબદારી ન હતી. તેટલું જ નહીં પણ તેમને પોતાના બીજા એક કે અનેક વ્યવસાય કરવાની છૂટ પણ હતી. તો પણ તેમને વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું. તેમની મૂદત પાંચ વર્ષ ની હતી. પાંચ વર્ષ પછી જો તેઓ ફરીથી ચૂંટાઈને ન આવે તો પણ તેમને પેન્શન મળશે તેવું નક્કી કરવામાં આવ્યું. એટલું જ નહીં પણ જો વિધાન સભા કે સંસદ, મૂદત પહેલાં બરખાસ્ત થાય તો પણ તેમને તેટલું જ પેન્શન મળશે તેવું નક્કી કરવામાં આવ્યું. આ ઉપરાંત તેઓ ખમતીધર હોવાં છતાં તેમને ભત્થાં, રહેણાંક, સુરક્ષા અને અત્યંત ઓછા ભાવે ભોજન આપવાનું નક્કી કરવામાં આવ્યું.

સમાજ સેવા માટે કઈ પદ્ધતિ સારી એ વાત ઉપર ખૂરસીઓ અને માઈર્કોફોન અને પેપરો, પેપરવેટ ફેંકીને પોતે પોતાના સૈધાંતિક વિરોધમાં કેટલા પ્રબળ છે તે દર્શાવતા આ પ્રતિનિધિઓ વેતન, પેન્શન અને સગવડો માટે હાથ મિલાવતા થયા.

જો પોતાની સુખસગવડોને વધારવા માટે ભૌતિક રીતે લડનારા આ પ્રતિનિધિઓ જેમના હલન ચલન અને વ્યવહારો પારદર્શક બનાવવામાં આવ્યા છે તેઓ પણ જો સંપીને કામ કરતા હોય તો ઉત્પાદન અને વહેંચણીના માલિકો કેમ સંપી ન શકે? તેઓ પણ સંપી જ જાય છે. જો ક્ષેત્ર વિશાળ બને તો સંપી જવાની શક્યતાઓ ઘટે. જો સંવાદના ઉપકરણો વધે તો વળી સંપીને નફો રળવાની શક્યતાઓ વધે.

જો દરેક જગ્યાએ પારદર્શિતાને લાવવામાં આવે તો જનતાને ખબર પડે કે પોતે ક્યાં છેતરાય છે. પણ જેમ દરેક વ્યક્તિને પોતાની અમુક બાબતો ખાનગી રાખવાનો હક્ક હોય છે. તેમ સંસ્થાઓને પણ આવા હક્ક આપવામાં આવ્યા હોય છે.

ટૂંકમાં સમાજનું મુખ્ય લક્ષણ સંવાદ છે અને આનંદ તેનું ધ્યેય છે. પણ સમાજનું પોત એવું બને છે કે ત્યાં સંવાદની વ્યાપકતામાં ખામી ઉત્પન્ન થાય છે. સુખના પ્રમાણમાં દુઃખ વધુ ઉત્પન્ન થાય છે.

સંવાદ માટે હાનિકારક શું છે?

સુખ સગવડોના ભોગવટામાં અસાધારણ અસમાનતા, મનુષ્યમાં અસંતોષની લાગણી ઉત્પન્ન કરેછે. અસંતોષ દુઃખ દાયક હોય છે. આ અસમાનતા મનુષ્યને એકલો પાડી દે છે. તેને વિસંવાદ અને અસંવાદની સ્થિતિ ઉપર લાવી મુકે છે. આથી મનુષ્યમાં રહેલી સહકાર અને સહયોગની ભાવનાને અપાર ક્ષતિ પહોંચે છે. એટલે થાય છે એવું કે જેઓ સમાન સગવડો ભોગવે છે તેઓ સંવાદ અને સહયોગ કરી શકે છે પણ અસમાન જુથો વચ્ચે વર્ગ વિગ્રહ થાય છે. વર્ગ વિગ્રહ થાય તો સહયોગ તો થાય જ કેવી રીતે?

WHO WERE INSIDE CONFIDENTIAL

જો સમાજના પોતમાં સંવાદ, સહકાર, સહયોગ ક્ષતિયુક્ત હોય તો કામનું યોગ્ય મૂલ્ય રોગિષ્ટ થાય છે.

આવી પરિસ્થિતિમાં સમાજનું શું થશે?

અંતે તો વ્યક્તિની સુખાકારી સમાજની તંદુરસ્તી ઉપર જ અવલંબે છે. જો સમાજ જ તંદુરસ્ત ન હોય તો તે નષ્ટ જ થાય. જેમ વ્યક્તિનું થાય તેવું જ સમાજનું થાય. જો તમે વ્યક્તિના હક્ક માન્ય રાખો, સંસ્થાના હક્કો માન્ય રાખો તો સમાજના હક્કો પણ માન્ય રાખવા જ જોઇએ.

કુદરતે શું નક્કી કર્યું છે?

કુદરત પણ એક વ્યક્તિ છે. તે એક વૈશ્વિક સમાજ છે. આનું બંધારણ અલગ જ છે. આના ઘટકોમાં મનુષ્ય, પ્રાણીઓ, વનસ્પતિ, હવા, પાણી, પૃથ્વી, સૂર્ય મંડળ, આકાશ ગંગા અને ખુદ બ્રહ્માણ્ડ અને અનંત કોટિ બ્રહ્માણ્ડોના સમૂહયુક્ત મહાબ્રહ્માણ્ડ ખુદ છે. આ અનંત કોટિ બ્રહ્માણ્ડો જેનું શરીર છે તે વિશ્વમૂર્તિ શિવ પાસે પારવિનાની શક્યતાઓ પડેલી છે. તેને એક રજકણના પણ અતિસુક્ષ્મ કદની પૃથ્વી ઉપરના થોડા હજાર વર્ષ જુના માનવ સમાજની ખાસ પડી ન પણ હોય. તેણે તો નિયમો બનાવીને માનવજાતને તેમના કર્મના ભરોસે છોડી દીધી. માનવજાતને બુદ્ધિ આપી કે જેથી તે પોતાની સામુહિક બુદ્ધિ દ્વારા પોતાની સમસ્યાઓ દૂર કરી  સુખપ્રાપ્તિ કરી શકે છે.

સમાજ તેના કર્મોને આધારે શેરબજારની જેમ વાંકો ચૂકો પડી આખડી આગળ વધે પણ ખરો અને નષ્ટ પણ થાય. જો જણનારીમાં જોર ન હોય તો ઈશ્વર બિચારો શું કરે?

જો આપણે સમસ્યાઓ જ વર્ણવીએ અને તેના જ રોદણાં જ રોઈએ તો એક નકારાત્મક વાતાવરણ ઉત્પન્ન થાય.                 

મહાત્મા ગાંધીએ સમન્વયનો રસ્તો બતાવ્યો. છે. સ્વમાં અને સંસ્થામાં અને સરકારમાં પારદર્શિતા લાવો. શ્રમનું મૂલ્ય નિશ્ચિત કરો. જે સગવડો બધા ન ભોગવી શકે તે ઉપર અંકુશ લાવો. તમે જે કંઈ પ્રપ્ત કર્યું તેના ઉપર સમાજનો પણ અધિકાર છે. માટે તમે તેના ટ્રસ્ટી બનો. આ ટ્રસ્ટીશીપને તમે તમારી ઓળખ માનો. તેજ તમારું ફળ છે. આ વાતે તમે સંતુષ્ટ બનો.

ત્યક્તેન ભૂંજીથાઃ

ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છે કે “તેન ત્યક્તેન ભૂંજીથાઃ”  તેથી કરીને એટલે કે ત્યાગીને ભોગવો. ત્યાગ થકી જે આનંદ પ્રાપ્ત થાય તે આનંદને ભોગવો. ભોગવી તો જુઓ. જો તમે આવા આનંદને ભોગવશો તો તમને ખ્યાલ આવશે કે આ રીતે આવેલો આનંદ કેટલો બધો આનંદ દાયક હોય છે. રવિશંકર મહારાજે તો તે હદ સુધી કહ્યું કે તમે ઘસાઈને ઉજળા બનો. બીજાને ઉપયોગી થાઓ.

તો આ બધા માટે કેવી પ્રણાલી કઈ રીતે ગોઠવવી? (ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ જાહોજલાલી, વિરામ, પૂર્ણ વિરામ, સમસ્યા, કુટુંબ, એકમ, ગામ, દેશ, સમાજ, સામાજીક, ઉત્પાદન, વહેંચણી, સુખ સગવડ, ખેતી, ઓજારો, વર્ગ, શિક્ષક, ન્યાય, નેતા, રાજા, સૈનિકો, સહકાર, સહયોગ, સંવાદ, આનંદ, વિકાસ, કેન્દ્ર, મનુષ્ય, બુદ્ધિ, પોત, દંભ, મુડીવાદ, સામ્યવાદ, સમાજવાદ, મંદી, પારદર્શિતા

Read Full Post »

%d bloggers like this: