Feeds:
Posts
Comments

Posts Tagged ‘સુવ્યવસ્થિત’

પપ્પુભાઈની રામાયણ

 વિકાસ ગાંડો થયો છે. એ પતંગીયું કેવું ઉડ્યું તે આપણે જાણીએ છીએ. બીજેપી વિરોધીઓ અને તેથી કરીને સાથે સાથે આવા લોકો મોદી વિરોધી પણ હોય છે. જ્યારે તેમનો ટકલો કામ ન કરે ત્યારે પતંગીયા ઉડાડે અને બીજું કંઈક લખતા હોય તો પણ વચ્ચે વચ્ચે મોદી-બીજેપીને ગોદા પણ મારી લે.

મૂર્ખ અને ડાહ્યો

“ફેંકુ” પતંગીયુ બહુ જીવી શક્યું નહીં. પણ બીજેપી સમર્થકોએ ઉડાડેલું “પપ્પુ” હજી ઉડે છે. તે એટલી હદ સુધી કે ચૂંટણી આયુક્તે તેને બાન કરવું પડ્યું. આમ તો પપ્પુ એ કંઈ ખરાબ શબ્દ નથી. સિંધી મારવાડીઓમાં “પપન”, પરમાનન્દ, પુરુષોત્તમ વિગેરે નામ વાળાને “પપ્પુ” એવા ટૂંકા નામથી બોલાવે છે, જેમ સરોજ, સરયુ, સરસ્વતીને “સરુ” એવા ટૂંકા નામથી બોલાવવામાં આવે છે. પણ જેનું નામ પપન, પુરુષોત્તમ, પરમાનન્દ ન હોય ત્યારે અને તે પણ ગુજરાતમાં પપ્પુ શબ્દ રાહુલ ગાંધી માટે પ્રયોજાયા પછી તે શબ્દનો  અર્થ બદલાઈ ગયો છે. પપ્પુ શબ્દને ઢબ્બુનો અને બુદ્ધુનો સમાનાર્થી શબ્દ ગણવાનું ચાલુ થયું. કદાચ સુબ્રહ્મનીયમ સ્વામીએ બુદ્ધુ શબ્દને રાહુલ ગાંધી માટે પ્રયોજેલો તે પછી આવું થયું છે. પણ બુદ્ધુ શબ્દ સુચારુતા અન્વયે અપ્રમાણિત હોવાથી, રાહુલ ગાંધી માટે કદાચ પપ્પુ શબ્દ વપરાશમાં આવ્યો હોય. પપ્પુ, ઢબ્બુ અને બુદ્ધુ આમ તો ગુજરાતમાં સમાનાર્થી ગણવામાં આવે છે. આ “પપ્પુ” શબ્દને જ્યા સુધી સુચારુતા માટે અપ્રમાણિત ઘોષિત કરવામાં ન આવે ત્યાં સુધી આ પપ્પુ શબ્દ ગુજરાતની બહાર પણ એટલો જ અસુચારુ થઈ ગયો. ચૂંટણી આયુક્તે “પપ્પુ” શબ્દનો અર્થ જે ગુજરાતીમાં છે તે અર્થને માન્ય રાખ્યો અને તેને અપ્રમાણિત ઘોષિત કર્યો.

ટુથપેસ્ટ છે તો ટુથપાવડર શા માટે?

જુના વખતમાં રેડિયો ઉપર કોલગેટ ટુથપાવડરની એક જાહેરાત આવતી હતી. જો કોલગેટની ટુથપેસ્ટ આવે છે તો પછી ટુથપાવડર શા માટે? જવાબ એ હતો કે “જેમને ટુથપાવડર પસંદ છે ખાસ તેમને માટૅ…”

પપ્પુ શબ્દ વિષે પણ આમ જ સમજવું જોઈએ. પણ હવે આ શબ્દ બાન થઈ ગયો છે.

પપ્પુ શબ્દ વધુ શા માટે ચાલ્યો?

કેટલાક શબ્દો એવા હોય છે કે તેમાં આવતા પ્રાસાનુપ્રાસને લીધે સમાનાર્થી ગણી લેવામાં આવે છે. જો કે ક્યારે તેઓ વિરુદ્ધ અર્થવાળા કે વિશિષ્ઠ અર્થવાળા પણ હોય છે.  જેમકે નીતિ અને નિયત. નીતિ જાહેર કરેલી પણ તે નીતિને લાગુ કરવાની નિયત નહેરુવીયન કોંગ્રેસમાં ન હતી. આવું કહેતા આપણે નરેન્દ્ર મોદીને સાંભળીએ છીએ.  પણ આપણે વિરોધાભાષી અર્થવાળા પ્રાસાનુપ્રાસ શબ્દોની વાતો નહીં કરીએ. પપ્પુ, ઢબ્બુ, બુદ્ધુ આ શબ્દો ગુજરાતીમાં સમાનાર્થી બની ગયા છે.

શું ભારતમાં એક જ પપ્પુ છે?

ના ભાઈ ના. અનેકાનેક પપ્પુઓ છે.

અનેકાનેક પપ્પુઓ કેવીરીતે છે?

પણ પપ્પુની વ્યાખ્યા શી?

જે પપ્પુભાઈઓ અસંબદ્ધ ઉપમાઓ આપે (સરખામણીઓ કરે) કે હાસ્યાસ્પદ સરખામણી કરે તો તેવી સરખામણી કરવા વાળાઓને પપ્પુ કહી શકાય. અથવા તો હાસ્ય (રમૂજ) ઉત્પન્ન કરવા માટે તમે સરખામણી કરો પણ તેનો કોઈ આધાર ન હોય તો પણ સરખામણી કરવાવાળાની બુદ્ધિને પપ્પુભાઈની બુદ્ધિની સમકક્ષ ગણી શકાય. કારણ કે સામેવાળો તેને બુમરેંગ બનાવી શકે.

મૌતકા સોદાગર, ફેંકુ, સફ્રોન આતંકવાદ, વિકાસ ગાંડો થયો, સુવ્યવસ્થિત લૂંટ (ઓર્ગેનાઈઝ્ડ લૂટ) વિગેરેની જો તાર્કિક ચર્ચા કરીએ તો તે “અંધારા ઓરડામાં અસ્તિત્વ ન ધરાવતી બિલાડી”ને શોધવા જેવું થાય.

વિવાદાસ્પદ બાબતો વિષે તમે, તમને પસંદ ધારણાઓને આધારે નિષ્કર્ષો તારવી ન શકો. તમે તમારે માટે અલગ અને તમારા વિરોધીઓ માટે અલગ માપદંડ રાખી ન શકો. જો તમે આવું કરો તો કાંતો તમે કાવત્રાખોર છો એટલે તમારો હેતુ જન જાગૃતિનો કે શૈક્ષણિક નથી પણ સ્વહિત નો છે. સ્વહિત એટલે કમસે કમ આત્મ ખ્યાતિનો કે ગુંચવાડો ઉભો કરવાનો હોઈ શકે. જો કે તેના પરિણામ સ્વરુપ તમે અવિશ્વસનીય બનો છો. અને તેથી કરીને તમે એવી સ્થિતિ પર પણ પહોંચી જાઓ કે “હું મરું પણ તને રાંડ કરું” અથવા તો “ભલે મારું નાક કપાય પણ તને તો અપશુકન કરાવું જ.”

અંતે તો ઉપરોક્ત વલણવાળા બધા પપ્પ્પુ ભાઈઓ જ ગણાય પછી ભલે તે તમે હો કે પપ્પુભાઈ પોતે હોય, કે પપ્પુભાઈના મળતીયા હોય કે બીજેપી-મોદીને યેનકેન પ્રકારેણ પછાડવાના હેતુવાળા કટારીયા લેખકો હોય બધા પપ્પુભાઈ જ કહેવાય.

તમને ક્યારે દુઃખ થાય?

જે વ્યક્તિ વિષે તમારો સારો અભિપ્રાય હોય તે જ્યારે આવા પપ્પુભાઈની નજીક પહોંચે તો તમને દુઃખ થાય.

આ “પપ્પુભાઈની નજીક” એટલે શું?

એક પાદરી એ કહ્યુઃ “હું સ્વર્ગમાં ગયો. ત્યાં મેં જીસસ જોયા. જીસસની આસપાસ ઘણા માણસો બેઠા હતા. પણ એક માણસ જીસસની ખૂબક નજીક હતો. મેં તેને ધારીને જોયો. અરે આ માણસ તો નોન-ખ્રીસ્તી હતો. અને તે તો જીસસની સાવ જ નજીક હતો. હા જી. આ માણસ નોન-ક્રીશ્ચીયન હતો અને તે જીસસની ખૂબ જ નજીક બેઠો હતો. જીસસ અને તે “નજીકનો માણસ” એ બંને લળી લળીને વાતો કરતા હતા. તે માણસ કોણ હતો? તે માણસ ગાંધી હતો. મહાત્મા ગાંધી. માણસની મહાનતાને ધર્મ સાથે લેવા દેવા નથી. માણસની મહાનતાને માનસિકતાની સાથે સંબંધ છે.

જો કોઈ જીસસની નજીક હોઈ શકે તો કોઈ પપ્પુભાઈની નજીક પણ હોઈ શકે.

નીતિ, નિયત અને નિષ્ઠાઃ

નરેન્દ્ર મોદી આવા શબ્દ પ્રયોગ કરે છે. દાખલાઓ છે; આતંકવાદ સામેની લડત, બનાવટી ચલણી નાણું, કાળાનાણાં અને બેનામી સંપત્તિ ઉપર અંકૂશ, કરચોરી ઉપર અંકૂશ, કરવેરાનું સરળીકરણ વિગેરે જેવા અનેક દાખલાઓ આપી શકાય. નહેરુવીયન કોંગ્રેસ પણ કહેતી હતી કે અમારી આ નીતિ છે. પણ તેની નિયત ન હતી. તો જનતાને ચોક્કસ નહેરુવીયન કોંગ્રેસની નિષ્ઠા ઉપર શંકા જાય જ.

આતંકવાદસામેની લડતઃ

 હમાણાં આવેલ સમાચાર પ્રમાણે ભારતીય સેનાના એક ઉચ્ચ અધિકારીએ જણાવેલ કે તેઓ નહેરુવીયન કોંગ્રેસના શાસન કાળમાં એક સમયે સર્જીકલ સ્ટ્રાઈક માટે સજ્જ હતા પણ તે સમયના વડા પ્રધાન મનમોહન સિંહે તેમને રોક્યા હતા. નહેરુવીયન કોંગ્રેસના આવા વલણના નિયત અને નિષ્ઠા ઉપરાંતના અનેક સૂચિતાર્થો નિકળી શકે છે.

બનાવટી નોટો સરકારી બેંકોં દ્વારા સંચાલિત એટીએમ મશીનમાંથી પણ નિકળતી હતી. આ બાબત બનાવટી નોટોની વ્યપકતા દર્શાવે છે. રીઝર્વબેંકે કેટલી નોટો છાપી અને દેશમાં કેટલી નોટો ફરે છે તે રીઝર્વબેંકના ગવર્નરને ખબર હોય જ. બનાવટી નોટો કંઈ ભૂતિયા નોટો નથી કે તે અદૃશ્ય રહીને ફરતી હોય. બનાવટી નોટો ક્યાંથી આવે છે તે બાબતથી ભારતનું જાસુસી તંત્ર અજાણ હોય તેવું ન બની શકે.

“બનાવટી નોટોનું અસ્તિત્વ” અને “વિમુદ્રીકરણ” શબ્દ પ્રયોગો, નહેરુવીયન કોંગ્રેસ માટે અજાણ્યા ન હતા. પણ નહેરુવીયન કોંગ્રેસમાં નિયતની અને નિષ્ઠાની ખોટ હતી.

બજારમાં ફરતી નોટોને હિસાબ કિતાબમાં લાવવા માટે વિમુદ્રીકરણ જરુરી હતું. આ કામ નરેન્દ્ર મોદીની સરકારે કરી બતાવ્યું. કારણ કે તેમની નીતિ વિષે તેમની નિયત હતી અને તેમની નિષ્ઠા પણ હતી. તેમને ભારતની જનતામાં પણ નિષ્ઠા હતી કે જનતા તેમને સાથ આપશે જ. અને તેમજ થયું.

સરકારી કાર્યવાહી ચાલુ થઈઃ

ભારતમાં કેટલાક ધંધા ૬૦ ટકા થી લઈને ૯૫ ટકા બીલ વગર જ થતા હતા. આ વાત ઓછામાં ઓછી ૬૦ વર્ષ જુની છે. બીલ વગરના ધંધા થાય એટલે સરકારને કર (ટેક્ષ) તો ન જ મળે. સ્થાવર મિલ્કતના હસ્તાંતરણમાં કાળું નાણું ૪૦ ટકાથી ૬૦ ટકા હોય છે. કાળા નાણાંની આ હેરફેર એક સામાન્ય વાત છે. આ નાણાંની હેરફેર સરકારી ચોપડે નોંધાતી નથી. એટલે તે દ્વારા થતી આવક પણ ન જ નોંધાય. નોટબંધી દ્વારા સરકારને ખબર તો પડી જ કે ક્યાં અને કેટલું આવું નાણું કોઈ એક ક્ષણે કોની પાસે કેટલું હતું. એટલે લાખો માણસો ચોપડે નોંધાયા. એટલે સરકારી કાર્યવાહી ચાલુ થઈ.

આ નોટબંધીને વિશ્વવિદ્યાલયોના પ્રમાણપત્રો દ્વારા પ્રમાણિત અર્થશાસ્ત્રી એવા આપણા ભૂતપૂર્વ  વડાપ્રધાને “આયોજન પૂર્વકની લૂંટ” તરીકે ઓળખાવી. આવી વ્યક્તિ અવિશ્વસનીય બને તો શું બને? કાં તો આવી વ્યક્તિ પોતાની જાતને ધૂર્ત સિદ્ધ કરે છે કાંતો પોતાને પપ્પુ સિદ્ધ કરે છે. આપણા પપ્પુ ભાઈ ગુડ્ઝ સર્વીસ ટેક્ષને ગબ્બર સિંહ ટેક્ષ તરીકે ઓળખાવે છે. કારણ કે તેમાં જી.એસ.ટી.નો પ્રાસ છે. પ્રાસ મળતો હોય તો અર્થ પણ સમાનાર્થી જ ગણી લેવાનો. સાધ્યં ઈતિ સિદ્ધં . આપો આપ સિદ્ધ થઈ જાય છે એટલે સિદ્ધ કરવાની ભાંજગડ નહીં. એવો તર્ક અમુક સુજ્ઞ જનોમાં પ્રવર્તે છે.

આ રીતના સાધ્યં ઈતિ સિદ્ધમાં માનવાવાળા બીજા સુજ્ઞ લોકો કોણ છે?

રજ્જુ અને સર્પ

અદ્વૈતની માન્યતાનું પ્રતિપાદન કરનારા શંકરાચાર્યે એક “રજ્જુ સર્પ” નો દાખલો આપતા હતા.

“રજ્જુ અને સર્પ” એ વળી શું છે?

જો કોઈ એક જગ્યાએ દૂર એક દોરડું પડ્યું હોય તો કોઈ દોરડાને સાપ માની લે અને તેનાથી ભય પામે. પણ જ્યારે એને ખબર પડે કે આ તો દોરડું છે ત્યારે તેનો તે ભય દૂર થઈ જાય. એટલે કે ફક્ત બાહ્ય અને તેપણ દૂરના દેખાવ ઉપરથી ધારણા બાંધી લેવી તે અતાર્કિક અને અજ્ઞાન છે. જ્યારે આ અજ્ઞાન દૂર થાય ત્યારે હકિકતનું ભાન થાય છે અને ભય દૂર થાય છે.

આ તો શંકરાચાર્યના વખતની ચર્ચા છે. તે વખતે પણ હાલના કટારીયા મૂર્ધન્યોની જેમ વિતંડાવાદીઓ હતા. તેમાંના એકે એવી દલીલ કરી કે જો દોરડા ઉપરથી સર્પની કલ્પના થઈ કે જે સર્પ અસ્તિત્વ ધરાવતો ન હતો. પણ ક્યાંક બીજે તો સર્પ અસ્તિત્વ ધરાવતો હતો જ. એટલે દોરડું અને સર્પ બંને અસ્તિત્વ તો ધરાવે જ છે. તેથી જો “બે વસ્તુ અસ્તિત્વ ધરાવતી હોય” તો અદ્વૈત-વાદનો ધ્વંસ થાય છે. શંકરાચાર્યે કહ્યું કે ઉપરોક્ત સરખામણીમાં ઉપમાને સરખાવી છે. ઉપમા જે છે તે અજ્ઞાનની છે. ભયનું કારણ અજ્ઞાન છે. અભયનું કારણ જ્ઞાન છે.

પણ જો કોઈ લોકો દોરડાને, સર્પ જ સમજાવવામાં માનતા હોય તો?

જો કે એવા વિદ્વાનો શંકરાચાર્યના યુગમાં હતા કે નહીં તે આપણે સચોટ રીતે જાણતા નથી. કારણ કે જેમણે જેમણે શંકરાચાર્યે ચર્ચા કરી તેમણે પોતાનો પરાજય સ્વિકારી લીધેલ. પણ હાલના જમાનામાં વિદ્વાનોમાં આવી માનસિકતા નથી. હાલના વિદ્વાનો તો કદાચ પોતે તો સમજતા પણ હોય, પણ તેઓ એવું ઈચ્છતા નથી કે જનતા આ સમજે. તેઓ એવું ઈચ્છતા નથી કે જનતા સમજે કે વિમુદ્રીકરણ અને જી.એસ.ટી. રુપી દોરડાને દોરડું માને અને સમજે કે આ દોરડાથી પાણીની સગવડ થશે અને ચોરોને બાંધી શકાશે. આજના વિદ્વાનો તો જનતાને એમ જ સમજાવવા માગે છે કે આ વિમુદ્રીકરણ અને જી.એસ.ટી. તો કાળોતરો વિષધર નાગ છે અને તે સમાજને ભરખી જશે.

એક કટારીયા લેખકની માનસિકતા જુઓ

વિમુદ્રી કરણ વિષે એક કટારીયા વિદ્વાનની નિમ્નલિખિત સમજણ વાંચો કે તેઓશ્રી જનતાને કેવો સંદેશ આપે છે.

એક તળાવ હતું. તેમાં મોટી સંખ્યામાં માછલીઓ રહેતી હતી. આ તળાવમાં મગરમચ્છ પણ હતા. મગરમચ્છને મારવાના હતા. એટલે તળાવનું પાણી કાઢી નાખ્યું. તો હવે શું થયું? પાણીના અભાવે માછલીઓ મરી ગઈ. મગરમચ્છો તો બીજે ચાલ્યા ગયા.

આને જો તાર્કિક ભાષામાં લખીએ તો એમ લખાય કે એક તળાવમાં રૂ.૫૦૦/- અને રૂ.૧૦૦૦/-ના ચલણરૂપી પાણીમાં ગરીબો રૂપી માછલીઓ અને કાળાનાણાંધારી મગરમચ્છો રહેતા હતા.

હેતુ પાણીને શુદ્ધ કરવાનો અને મગરમચ્છોને પકડવાનો હતો. પાણીને શુદ્ધ કરવા માટે દુષિત પાણીને કાઢી નાખ્યું. એટલે ગરીબો મરી ગયા. અને મગરમચ્છોએ પોતાનો રસ્તો કરી લીધો.

પાણી=૫૦૦ અને ૧૦૦૦ ચલણી નોટો.

માછલીઓ=ગરીબ માણસો

મગરમચ્છો=કાળાનાણાંવાળાઓ

નહેરુવીયન કોંગ્રેસીઓની સરકારે આપેલા આંકડા પ્રમાણે ભારતના ૯૫% માણસોની માસિક આવક રૂ.૫૦૦૦થી ઓછી છે. અને શૂન્ય પછીના આવતા દશાંશ બિન્દુ પછી એક થી વધુ શૂન્ય લખીને (૦.૦૦… ટકા )આંકડો પાડીએ તેટલા લોકો આવકવેરાના ફોર્મ ભરે છે. આવકવેરો તો તેથી પણ ઓછા લોકો ભરે છે. એટલે વાસ્તવમાં જે લોકો નોટો બદલાવવા ઉભા હતા તેઓમાંના મોટાભાગના તો કોઈકની સેવા કરતા હતા.

ગળાડૂબ કાદવમાં રહેલા પાડાઓ

એટલે આમ જુઓ તો તળાવના ચારે તરફના કિનારાઓ ના કાદવમાં જે પાડાઓ હતા તે કાદવને કાઢી નાખ્યો એટલે કે જે પાડાઓ બધા કાદવમાં પડ્યા પાથર્યા ગળાડૂબ રહેતા હતા અને મસ્તી કરતા હતા તે બધા દેખાતા થઈ ગયા. કાદવ કરતાં પાતળું પાણી (રૂ.૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ચલણી નોટો) હતું તેમાં રહેલી માછલીઓને તો કશો વાંધો ન આવ્યો.  

હવે તમે જુઓ. પાણી એટલે  ૫૦૦ અને ૧૦૦૦ ની ચલણી નોટો નથી. પાણીમાં રૂ. ૫, ૧૦, ૨૦, ૫૦, ૧૦૦ ની નોટો પણ આવે. ગરીબ માણસોની પાસે તો આવી જ નોટો હોય. તેમની પાસે કદીય ૨૫૦૦૦ રૂપીયા અને તેપણ ૫૦૦ની કે ૧૦૦૦ની ચલણી નોટોમાં અને તે પણ મહિનાની આખર તારીખના દિવસોમાં હોય જ નહીં. અમારા જેવા ગ્રુપ-એમાં આવતા કેન્દ્રીય કર્મચારી નિવૃત્ત થયા ત્યાં સુધી રૂ.૫૦૦ કે રૂ. ૧૦૦૦ની  ચલણી નોટોમાં પગાર મેળવવા ભાગ્યશાળી થયા નથી. તેમજ નિવૃત્ત થયા પછી પણ દશ પંદર વર્ષ સુધી (૨૦૧૨સુધી) નોકરી કરી તો પણ રૂ.૫૦૦ કે રૂ. ૧૦૦૦ની  ચલણી નોટોમાં પગાર મેળવવા ભાગ્યશાળી થયા નથી. હવે જો હાલના ગરીબો મહિનાના આખરના દિવસોમાં પણ ૨૫૦૦૦થી વધુ મૂલ્યની  રૂ.૫૦૦ કે રૂ. ૧૦૦૦ની  ચલણી નોટો રાખી શકતા હોય તો નહેરુવીયન કોંગ્રેસના નેતાગણે અને તેમના સાંસ્કૃતિક સાથીઓએ નરેન્દ્ર મોદીને સલામ ભરવી જોઇએ કે જે નરેન્દ્ર મોદીએ ભારતના ગરીબોની હાલત આટલી બધી સારી અને તેપણ ફક્ત ત્રણ વર્ષમાં જ કરી દીધી.

કટારીયા વિદ્વાનો કે જેઓ તળાવ, માછલાં અને મગરમચ્છના ઉદાહરણ કે તેને સમકક્ષ ઉદાહરણો આપતા હોય તેઓ કાંતો ઠગ છે કે કાં તો તેઓ પપ્પુભાઈ છે. આ બે માંથી એક વાત તો તેમણે કબુલ કરવી જ પડશે.

નહેરુને જનોઈ આપ્યું

મૂંગા રહ્યા હોત તો પણ ચાલત. પણ પપ્પ્પ્પુ ભાઈઓ થોડા મૂંગા રહી શકે?

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

એક ભાઈ વિદેશથી આવેલા. તેમની સાથે તેમના મિત્ર પણ હતા. મિત્રભાઈએ કહ્યું “હું તારી સાથે નહીં આવું. કારણ કે તું ગપ્પાં બહુ મારે છે. એટલે વિદેશથી આવેલ ભાઈએ કહ્યું, કે જ્યારે તને એવું લાગે કે હું ગપ્પું મારું છું ત્યારે તારે મને ચેતવવા “છીસ…” એમ સિસકારો કરવો એટલે હું મારું મારું ગપ્પું સુધારી દઈશ.

વિદેશથી આવેલા આ ભાઈ અને તેમના મિત્ર, એક મંડળીમાં બેઠા હતા. વિદેશથી આવેલા ભાઈ બોલ્યા કે “અમારે ત્યાં તો સો સો માઈલ લાંબા સાપ હોય છે.”

મિત્રે “છીસ … “ કરીને સિસકારો બોલાવી સંકેત આપ્યો.

એટલે આ ભાઈ બોલ્યાઃ” પણ આવા લાંબા સાપ તો અમે જોયેલા નથી. પણ અમારા વિસ્તારમાં તો એકાદ માઈલ લાંબા જ સાપ હોય”.

મિત્રે “છીસ … “ કરીને સિસકારો બોલાવી ફરીથી સંકેત આપ્યો.

એટલે આ ભાઈ બોલ્યાઃ જો કે આવા સાપ પણ આમ તો દૂર દૂર. પણ અમારા પોતાના વિસ્તારમાં તો એકાદ ફર્લાંગ જેટલા લાંબા જ સાપ થતા હતા.

મિત્રે “છીસ … “ કરીને સિસકારો બોલાવી ફરીથી સંકેત આપ્યો.

એટલે આ ભાઈ બોલ્યા “છીસ.. ને બીસ…, હવે તો હું એક તસુ પણ ઓછું નહીં કરું”

આપાણા પપ્પુભાઈ બોલ્યાઃ “નરેન્દ્ર મોદીએ ૪૫૦૦૦ કરોડ એકર ભૂમિ ઉદ્યોગપતિને દાનમાં આપી દીધી.” આ “જીભ લપસી ગઈ” એમ નથી. તેઓશ્રી બે સભામાં આવું બોલ્યા હતા. હવે આપણા પપ્પુભાઈને “છીસ … કારો” કરવા વાળા તો હોવા જોઇએ કે નહીં? પણ નથી. કારણ કે બધા પપ્પુભાઈઓ જ છે.

Read Full Post »

સ્માર્ટ સીટીનું બભમ બભમ

“સ્માર્ટ સીટી”ના ગુણધર્મો, વ્યાખ્યા અને વિવરણ આપણને “ઓલ ઈન વન” જેવા લાગશે પણ સમજી લો એ બધું ભ્રામક છે. જે ગુણધર્મો બતાવ્યા છે તે સરકારી શબ્દોમાં છે. સરકારી શબ્દો અને વાક્ય રચના હમેશા અસ્પષ્ટ છે અને ભ્રામક હોય છે.

તમે શી આશા રાખો છો?

જેની માંદગી દૂર થઈ નથી તેવા માંદા માણસને,  તમે દોડવાનું કહી શકશો? જો તે દોડશે તો તે અમદાવાદથી મુંબઈ ક્યારે પહોંચશે? જે વ્યક્તિ અમદાવાદ રેલ્વે સ્ટેશનથી ભદ્ર સુધી દોડી શકતો નથી તે શું મુંબઈ સુધી દોડશે?

જે માણસ અભણ છે અને જે ખેતરનું ક્ષેત્રફળ શોધવા સક્ષમ નથી તેને તમે પૃથ્વિથી ચંદ્રનું અંતર માપવાની રીત શોધવાનું કહી શકશો?

જે ચોર છે તેને તમે તિજોરી સાચવાનું કામ સોંપી શકશો?

આ વાત સમજો.

જેને ત્યાં ચોરી થઈ છે તે ફરીયાદી હાજર છે,

જે ચોકીદાર હતો અને જેની ડ્યુટી હતી રખેવાળી કરવાની તે હાજર છે,

જે ચોર હતો અને ચોરી કરી હતી તે હાજર છે,

ચોરીનો માલ હાજર છે,

જે ન્યાયધીશે ચોરને સજા કરવાની હતી તે પણ હાજર છે.

તો હવે બાકી શું રહ્યું?

સજા કરવાની ક્રિયા બાકી રહી,

તો શું સજા થઈ?

ના જી અને હા જી,

સજા તો થાય છે. પણ કોને?

ચોરને સજા થતી નથી.

જે ચોકીદારે ફરજ ન બજાવી તે ચોકીદારને પણ સજા થતી નથી.

જે ચોરીનો માલ છે તે પણ તેના માલિકને એટલે કે ફરિયાદીને પાછો મળતો નથી.

તે માલ ચોરને જ રાખવાનું કહેવાય છે.

પણ જેનો માલ ચોરાયો હતો તેને સજા થાય છે. તેને એવું કહેવામાં આવે છે કે “તમારી અને ચોર વચ્ચે જે કંઈ બન્યું તેમાં ચોકીદારને નુકશાન થયું છે. આવા તો હજારો લાખો ચોર છે એમાં અમે અમારો સમય બરબાદ કરવામાં માનતા નથી. એટલે આ નુકશાન જેને લૂંટવામાં આવ્યો છે તેણે એટલે કે લૂંટાયેલ વ્યક્તિએ  “ઈમ્પેક્ટ ફી” તરીકે ચોકીદારને અમૂક રકમ આપી દેવી.

ગેરકાયદેસર બાંધકામ, રસ્તાઓ  અને ફૂટપાથો પર ફેરિયાઓ તથા દુકાનદારો દ્વારા દબાણ, માન્ય એફ એસ આઈ કરતાં  વધુ બાંધકામ કરવું, રસ્તાઓ સાંકડા અને ભીડભાડ વાળા થઈ જાય તેવા ગેરકાયદેસર નિર્ણયો લેવા, આ બધું સરકારી નોકરોના અને સ્થાપિત હિતોના સંસ્કાર થઈ ગયા છે. આ વિષયમાં આપણી બ્લોગસાઈટ ઉપર અનેકવાર ચર્ચા થઈ ગઈ છે. તેથી તેની વિગતોમાં ઉતરીશું નહીં. પણ સરકારી નોકરો દ્વારા કામની વ્યાખ્યાઓ કરાવવી અને તેમની દ્વારા જ “સ્કૉપ ઑફ વર્ક” નક્કી કરાવવું એ વ્યર્થ છે. પણ આવું જ થાય છે કારણ કે જરુર પડે સરકારે પોતાનો કેસ ન્યાયાલયમાં સુનિશ્ચિત રીતે હારી જવાની તૈયારીમાં રહેવાનું હોય છે.

મુંબઈના “રીડેવલપમેંટને લગતા કાયદાઓ”  જુઓ, કે અમદાવાદના “સીજી રોડ રોડની દશા” જુઓ, કે પ્રેમચંદનગર રોડની દશા જુઓ કે અમદાવાદના કોઈપણ રોડની દશા જુઓ કે રેસ્ટોરાંમાં પડતા દરોડાઓ જુઓ કે ખાણીપીણીના ખૂમચાઓ, લારીઓ, ગલ્લાઓએ કરેલા દબાણો જુઓ,  બધે જ સરકારી (મ્યુનીસીપાલી, ગુજરાત હાઉસીંગ બોર્ડ, આરટીઓ, ટ્રાફિક પોલીસ, ન્યાયાલય, ગાંધીનગરનું સચિવાલય અને અસામાજીક તત્વો ની ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમના કામ માટેની મિલીબહગત છે.

“લૂંટ કરવી એ અમારો હક્ક છે”

કોઈપણ કામ ખરાબ અને ખોટી રીતે કરવું એમાં સરકારી નોકરો નિપૂણ છે. સરકારી નોકરોમાં સાદા કર્મચારીઓ જ નહીં પણ સર્વોચ્ચ અધિકારીઓનો અને મંત્રીઓનો પણ સમાવેશ થઈ જાય છે. ઉચ્ચસ્તર પર બેઠેલા અધિકારીઓ ક્ષતિપૂર્ણ “સ્કૉપ ઑફ વર્ક” બનાવે જેથી નીચેના સ્તરના નોકરો ખાયકી કરી શકે, અને સૌને પોતાનો હિસ્સો મળ્યા કરે.

એક દાખલોઃ

ટ્રાફીક પોલીસને કેમેરા (મોબાઈલ) આપી દો એટલે તે ખોટી રીતે પાર્ક થયેલા વાહનનો ફોટો પાડી દંડ વસુલ કરી શકે. આ દંડની રકમ વાહનના માલિકના ઘરે ટીકીટ મોકલી કે વાહન ચાલક પાસેથી ઓન લાઈન પણ વસુલ કરી શકે. વાહનનો ફોટો પાડવો એ કામ ટ્રાફિક પોલીસને સોંપો એટલે “”કોઈ વાહનનો ફોટો પાડવો કે ન પાડવો” એ ટ્રાફિક પોલીસની મુનસફ્ફી પર નિર્ભર રહે અને તેની ખાયકી ચાલુ રહે.

વધુ એક દાખલોઃ

સરકારે વિચાર્યું કે આપણે જનતાનું સ્વાસ્થ્ય સારું રહે માટે “ફાર્મ ફ્રેશ વેજીટૅબલ માર્કેટ” બનાવીએ. એટલે સરકારે દાખલા તરીકે વસ્ત્રાપુર તળાવ (અમદાવાદ-૧૫) પાસે એક પ્લોટને નક્કી કર્યો. આ પ્લોટ મ્યુનીસીપાલીટીનો હતો.

અમદાવાદની વાત સમજીએ તે પહેલાં આ “ફાર્મફ્રેશ વેજીટેબલ માર્કેટ” વિકસિત દેશોમાં કેવીરીતે ચાલે છે તે આપણે જોઇ લઈએ.

ફાર્મ ફ્રેશ માર્કેટ (અમેરિકા)

farm fresh market 01

કોઈ એક ખુલ્લી જગ્યા તો વિદેશમાં પણ નક્કી થાય છે. પણ ત્યાં જમીનને બરાબર સમતલ અને મજબુત (ક્ઠણ) બનાવવામાં આવે છે. પછી જમીનના આખા પ્લોટ ઉપર ઈન્ટરલોકીંગ સીમેંટની ઈંટો પાથરવામાં આવે છે. ખેડૂતોના માલ અને માલના વાહનના પાર્કીંગ માટે પદ્ધતિસરનું પ્લાનીંગ વાળું દેખી શકાય તેવું સુવ્યવસ્થિત માર્કીંગ કરવામાં આવે છે. જે ગ્રાહકો આવે તેમના વાહનો માટે પણ અલગ રીતે સુવ્યવસ્થિત રીતે દેખી શકાય તેવું માર્કીંગ કરવામાં આવે છે. દરેક સ્ટૉલ પાસે એક સ્વચ્છ અને સુંદર કચરા પેટી હોય છે.

અમદાવાદમાં સરકારે શું કર્યું?

વસ્ત્રાપુર તળાવ સામે એક ખાલી પ્લોટ તો સુનિશ્ચિત કર્યો.

આ એક ખાડા ટેકરા થી ભરપૂર પ્લોટ હતો.

તેને સમતલ કર્યો?

નાજી. હરિ હરિ કરો…

જમીનને મજબુત કરી?

નાજી. હરિ હરિ કરો…

તેના ઉપર ઇન્ટ્રલૉકીંગ ઈંટો પાથરી?

નાજી. હરિ હરિ કરો …

સ્ટોલમાટે માર્કીંગ કર્યું?

નાજી. હરિ હરિ કરો …

સ્ટોલના ખેડૂતના વાહન માટે પાર્કીંગનું માર્કીંગ કર્યું?

નાજી. હરિ હરિ કરો …

ગ્રાહકોના વાહનના પાર્કીંગ માટે માર્કીંગ કર્યું?

નાજી. હરિ હરિ કરો.

તો પછી કર્યું શું?

“ફાર્મ ફ્રેશ માર્કેટ” માટેનો કોંટ્રાક્ટ આપી દીધો

કોંટ્રાક્ટરે શું કર્યું?

પ્લૉટની અંદર બહારના રોડને સમાંતર એક પાંચેક મીટરની પહોળાઈવાળું અને ૨૫/૩૦મીટરની  લંબાઈમાં લીલુ શણીયા જેવું કપડું સીધે સીધું પાથરી દીધું. તે કપડું ખસી ન જાય તે માટે ફાવે તેમ ખીલાઓ ઠોકી દીધા. ગ્રાહકો અને વેપારી ઉપર તડકો ન આવે તે માટે લાંબા પહોળા શણીયાના ટૂકડાઓ થાંભલાના સહારે બાંધી દીધાં. ભાડું પણ કોંટ્રાક્ટર જ વસુલ કરે.  વાત પૂરી.

એક વાર છાપામાં જાહેરાત પણ આપી દીધી. જેમણે તે દિવસનું જે તે છાપુ વાંચ્યું અને જાહેરાત વાંચી, અને તેમાંથી જેમને રસ હતો તેવા લોકો “ફાર્મ-ફ્રેશ” શાકભાજી ખરીદવા ગયા. આ માર્કેટ ફક્ત શનિ-રવિ માટે જ હતું. શરુઆતમાં પચાસેક લારીઓ હતી. પછી ધીમે ધીમે લારીઓ ઘટતી ગઈ.

લારીઓની કે શાક રાખવા માટેના ટેબલો સંખ્યા લગભગ ત્રીજા ભાગની થઈ ગઈ. કોંટ્રાક્ટર કહે કે તમે ભલે શનિ-રવિ શાકભાજી વેચો, હું તો અઠવાડીયાના બધા દિવસો લેખે જ ભાડું લઈશ. સરકારે આદત પ્રમાણે કોંટ્રાક્ટરના હિતમાં સુર પૂરાવ્યો. એવું કહેવાય છે કે સર્વોચ્ચ સાહેબ બદલાઈ ગયા. (નવા વહેવારની ચર્ચા કોઈએ કરવી કે નહીં?) વાતની વિગતમાં આપણે નહીં જઈએ. પણ જુલાઈના ત્રીજા સપ્તાહમાં ખેડૂતોએ ત્યાં શાક વેચવાનું બંધ કર્યું. ખેડૂતો વસ્ત્રાપુર તળાવની ફૂટપાથ પર આવી ગયા. ગયે શનિવારે અમે શાકલેવા ગયા ત્યારે ખેડૂતો રસ્તા ઉપર શાક વેચતા હતા. એક વાત નોંધવા જેવી છે કે આ “ફાર્મ-ફ્રેશ” શાક-ભાજીની ગુણવત્તા બીજા લારી વાળાઓ કરતાં સારી હોય છે. શાકભાજીનો  ભાવ પણ યથા યોગ્ય હોય છે.

અમારા જેવા ગ્રાહકો ખુશ હતા કે ચાલો અમદાવાદમાં એક વિશ્વસનીય માર્કેટ તો થયું. પણ સરકારી અધિકારીઓની અધકચરી નીતિને કારણે “ફાર્મ-ફ્રેશ” માર્કેટ મૃત્યુને આરે આવી ગયું.

વસ્ત્રાપુર તળાવની ફૂટપાથ ઉપર આ માર્કેટ ચાલુ રહેશે?

આ માટે તો જ્યોતિષશાસ્ત્રીઓને પૂછવું પડશે.

આમ તો બપોરથી શરુ કરી રાત્રીના ૧૦/૧૧ વાગ્યા સુધી અહીં ખૂમચાવાળાઓ, લારીવાળાઓ સહિત ફૂટપાથીયા ખાણીપીણીના ટેબલ ખૂરસીઓ રસ્તાની બંને બાજુએ ગોઠવાઈ જાય છે. ગુન્ડાઓને કોણ વધુ ભાડું આપશે તેના ઉપર પણ આધાર હોઈ શકે છે(!!). ભાઈ, કશું મફત થતું નથી.

જે સરકારી અધિકારીઓ એક સુવ્યવસ્થિત “ફાર્મ-ફ્રેશ વેજીટેબલ માર્કેટ” ન બનાવી શકે તેઓ આખા નગરને સ્માર્ટ સીટી કેવી રીતે બનાવી શકશે?

જે સરકારી અધિકારીઓમાં દબાણો અને ગેરકાયદેસર બાંધકામો અટકાવવાની પહોંચ નથી તેઓ સ્માર્ટ સીટી કેવી રીતે બનાવી શકશે? નરેન્દ્ર મોદીએ સમજવું જોઇએ કે “જેઓમાં પાદવાની પહોંચ નથી, તેઓના નામ તમે તોપખાનામાં નોંધાવી ન શકો.”

અથવા તો પછી એવું થશે કે જેમ મનમોહન સિંહે જાહેર કરેલ કે “અમે ગઈ ચૂંટણીમાં જે કંઈ વચનો આપેલાં તે બધાં પૂરા કરી દીધા છે.” વચનો તો બધા બભમ બભમ હોય છે. વચનોમાં વચન જેવું કશું હોતું નથી. ઈન્દિરાએ કહ્યું (૧૯૭૦) ”હું કહું છું ગરીબી હટાવો તેઓ કહે છે ઈન્દિરા હટાવો.” તે પછી નહેરુવીયન કોંગ્રેસે ૨૫+ વર્ષ રાજ કર્યું પણ ગરીબી તો ન જ હટી. અને મનમોહને કહ્યું કે અમે બધા વચનો પૂરા કરી દીધા છે. કહેતા ભી દિવાના ઔર સૂનતા ભી દિવાના.

જો રસ્તા ઉપરથી ઢોર હટાવવાની વાત હોય તો સરકારી નોકરો કહેશે કે અમે આ વરસમાં અત્યાર સુધીમાં “આટલા” ઢોર હટાવેલ અને “આટલો” દંડ વસુલ કરેલ. “આટલા” કૂતરા પકડેલ અને “આટલા” કૂતરાને ખસી કરેલ અને “આટલી” કૂતરીઓને કોપર ટી મૂકેલ. અમે સ્વચ્છતા માટે “આટલી” માનવ સાંકળો રચેલ અને “આટલી” જન જાગૃતિની મીટીંગો કરેલ. “આટલી” જગ્યાઓ ઉપર અમે કચરા પેટી મૂકેલ અને “આટલા” ટન કચરાનું સ્થળાંતર કરેલ.

અરે ભાઈ તમે કોઈ પણ એક દિવસ, વીડિયો કેમેરા લઈને નિકળો અને જુઓ કે કેટલા ઢોર રસ્તા ઉપર છે, કેટલા કૂતરાઓ રસ્તા ઉપર છે, કેટલો કચરો રસ્તા ઉપર છે …. રસ્તાની હાલત તો વાત જ જવા દો.

“ … કોઈની તાકાત નથી ….” નરેન્દ્ર મોદી

“જો દેશનો દરેક નાગરિક નક્કી કરશે કે પોતે રસ્તા ઉપર કચરો નહીં નાખે તો દુનિયાની કોઈ એવી તાકાત નથી કે તે ભારતને સ્વચ્છ થતું રોકી શકે” આ આખી વાત જ હાસ્યાસ્પદ છે. નરેન્દ્ર મોદીનું ઉચ્ચારણ એમ હોવું જોઇએ કે “જે સરકારી નોકરોને જે કામ કરવા માટે વેતન મળે છે તે કામ જો તેઓ નહીં કરે તો તત્કાલ તેઓ અચૂક ઘર ભેગા થશે. અને ખાલી પડેલી જગ્યા ઉપર જેઓ વેઈટીંગ લીસ્ટ ઉપર છે તેઓને તત્કાલ નોકરી માટે લેવામાં આવશે. મોટો ચમરબંધી અધિકારી હશે તેની પણ આવી જ દશા થશે.” જો આવું થશે તો જનતા જ કહેશે કે “ભારત સ્વચ્છ થયું છે.”

જેઓને કામ કરવાની સામે વેતન મળે છે તેને દંડિત કરો

જે પ્રાણીઓને પાળવામાં આવે છે તેઓ જન્મે કે તરત જ તેમનું રજીસ્ટ્રેશન થવું જોઇએ. જો વાહનોનું રજીસ્ટ્રેશન થતુ હોય તો જે હળનું વહન કરે છે, જે દૂધનું વહન કરે છે, જે માલનું વહન કરે છે, જે મનુષ્યનું વહન કરે છે તે સૌને રજીસ્ટ્રેશન નંબર આપવા જોઇએ. આમ કરવાથી  તે કતલ ખાને પણ જશે નહીં અને રસ્તાઓ ઉપર અડ્ડો પણ જમાવી શકશે નહીં.

જોકે પ્રાણીઓને રજીસ્ટ્રેશન નંબર આપવાથી કેટલાક પંચાતિયા લોકો અનેક પ્રશ્નો ઉભા કરશે.

જેમકે નંબર ક્યાં લગાવવો?

સમાચાર માધ્યમોને, કેટલાક કટારીયા લેખકોને, એનજીઓને અને એનીમલ-ક્ર્યુએલ્ટી પ્રીવેન્ટર્સના હિમાયતીઓને અનેક વાંધા પડશે. જો તમે પશુનો રજીસ્ટ્રેશન નંબર ઓઈલપેન્ટથી લખશો તો તે ભૂસાઈ જશે, જો તેને ડામ દઈને લખશો તો એનજીઓને અને એનીમલ-ક્ર્યુએલ્ટી પ્રીવેન્ટર્સના હિમાયતીઓને વાંધા પડશે. જો તમે પશુના ગળે નંબર પ્લેટ બાંધશો તો તે ક્યાંક ભરાઈ જવાના બનાવટી પ્રસંગો બનશે. નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના જેવા “જૈસે થે” માનસિકતા વાળા રસ્તા ઉપર આવી જશે. પણ આ બધાનો સામનો કરવા માટે સરકારે તૈયાર રહેવું પડશે.

ગુનો કર્યો એટલે દંડાયો જ

રોડ ટ્રાફિકને સીસીટીવી કેમેરાની પ્રોગ્રામ્ડ સીસ્ટમ દ્વારા મોનીટર કરી શકાય છે, આ સીસ્ટમ દ્વારા જ, મારામાર (પૂરપાટ) બાઈક ચલાવનારા, બાઈક ઉપર સ્ટંટ કરનારા, અવારનવાર લેવા દેવા વગર લેન ચેન્જ કરનારા, ખોટી દિશામાંથી ઓવરટેક કરનારા, ટુ વ્હીલર અને થ્રી વ્હીલરને ઓવર લોડ કરનારા, સીગ્નલને તોડનારા, સીગ્નલ પાસે ડાબી બાજુની લેનને બ્લોક કરનારા, સ્પીડ લીમીટ થી ૧૦ટકા વધુ સ્પીડથી ગાડી ચલાવનારા, આડેધડ પાર્કીંગ કરનારા, સફાઈ કોન્ટ્રાક્ટરોના ગાર્બેજ ટ્ર્કને ઓવર લોડ કરનારા અને રસ્તા ઉપર કચરો વેરનારા, દબાણ કરનારા, ચોરી કરનારા  સૌને ૧૦૦ ટકા દંડિત કરી શકાય છે. ગુનો કર્યો એટલે દંડાયો જ, એવી પરિસ્થિતિ નિર્માણ કરી શકાય છે. પણ સરકારને કરવી નથી. (નોકરો કહે છે અમે લૂંટીશું કેવી રીતે?)

જો આમ કરવામાં આવશે તો જ લોકોમાં રહેલી અરાજકતા અને અસામાજીક વર્તણુક દૂર થશે. જનતા કાયદાનું પાલન કરે તે જોવાની જેમની ડ્યુટી છે અને જેમને તે માટે પૈસા ચૂકવવામાં આવે છે તેમને જ્યાં સુધી દંડવામાં નહીં આવે ત્યાં સુધી “જનતાએ સુધરવું જોઇએ” એવી વાતો કરવી એ સરકારી નોકરોને છાવરવાની વાત છે.

કામનો બોજો કર્મચારીને બહાનાખોર બનાવે છે

જો તમે કામ ન કરો અથવા તો તમારા બોસે ચીંધેલુ જ કામ કરો અને બીજું તમારી ફરજમાં આવતું તમારું કામ ન કરો અથવા તો આરામથી કરો તો કામનો બોજ વધ્યા કરે છે અને તેથી કામનો ભાર લાગવા માંડે છે. જ્યારે કામ બોજા રુપ થઈ જાય ત્યારે તમારા કામમાં ક્ષતિઓ આવવાની છે. એટલે તમે કામ ઓછું કરવાના કે ન કરવાના બહાના શોધો છો. તમે ફરીયાદી થઈ જાઓ છો. તમારી વિચાર શક્તિ ઘટે છે અને તમારી કુશળતા પણ ઘટે છે. સરકારી નોકરોને સરકારે આવા કરી દીધા છે. આમાં ન્યાયાધિશો પણ આવી જાય છે.

તમે દારુની મહેફિલમાં મજા માણતા પકડાયેલા માલેતુજારોને લગતા સમાચારો વાંચ્યા હશે. પણ તમે તેના કેસ કેવી રીતે ચાલે છે, કેસની કૉર્ટની કાર્યવાહી કેવીરીતે ચાલે છે, તેના વાર્તાલાપો, દલીલો અને ન્યાયાધીશના ચૂકાદાઓની વિગતો તમને સમાચાર માધ્યમો દ્વારા જાણવા નહીં મળે. આ બધું બાંધી મુઠ્ઠીમાં રહેશે. ભાઈ કશું મફત થતું નથી.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ સ્માર્ટ સીટી, ગુણધર્મો, પાદવાની પહોંચ, તોપખાનુ, ચોર, ચોકીદાર, માલિક, ન્યાયાધીશ, ચોરીનો માલ, સજા, ઇમ્પેક્ટ ફી, રીડેવેલપમેન્ટ, અમદાવાદ, મુંબઈ, ખાણી પીણી, ગલ્લા, ખૂમચા, દબાણ, ગેરકાયદેસર, પ્રેમચંદનગર રોડ, સીજી રોડ, એસ જી રોડ, ટ્રાફિક પોલીસ, મોબાઈલ, સચિવાલય, સરકારી નોકરો, વાહન, પશુ, વસ્ત્રાપુર, ફાર્મ ફ્રેશ વેજીટેબલ માર્કેટ, ઈંટરલોકીંગ ઈંટો, ખેડૂત, પાર્કીંગ, સુવ્યવસ્થિત, હરિ હરિ, શાકભાજી

Read Full Post »

%d bloggers like this: