Feeds:
Posts
Comments

Posts Tagged ‘સોફ્ટવેર’

સ્વાવલંબન શું નિરપેક્ષ છે?

સ્વાવલંબન શું નિરપેક્ષ છે?

આપણે સૌ જાણીએ છીએ કે આઈન્સ્ટાઈને સાપેક્ષ વાદ શોધ્યો. એટલે સામાન્ય રીતે કેટલાક મૂર્ધન્ય સહિતના લોકો, સાપેક્ષવાદને ભૌતિક શાસ્ત્રનો વિષય સમજે છે.

આમ તો સમાજ શાસ્ત્રના નિયમો પણ સાપેક્ષ હોય છે. જેમકે ગાંધીજીએ અહિંસાને પણ સાપેક્ષ જ ગણાવેલી. એટલે કે ઓછામાં ઓછી હિંસા એટલે અહિસા.

આઇન્સ્ટાઈનની બીજી પણ એક થીએરી હતી તે “યુનીફાઈડ ફીલ્ડ થીએરી” હતી.

સંભવ છે કે આ થીએરી આઈન્સ્ટાઈને આદિ શંકરાચાર્યની અદ્વૈતવાદ માંથી કલ્પી હોય. આ અદ્વૈતવાદ, શંકરાચાર્યે વેદોમાંથી પુનર્‍પ્રસારિત કર્યો હતો એમ તેઓ કહેતા હતા.

અદ્વૈતવાદ આમ તો પ્રચ્છન્ન “યુનીફાઈડ થીએરી ઓફ એન્ટીટી” હતો.

આઈન્સ્ટાઈન પોતાની આ થીએરીને સિદ્ધ કરી શક્યા ન હતા. શંકરાચાર્ય અદ્વૈત વાદને સિદ્ધ કરવામાં માનતા ન હતા. પણ તેમણે તે સમયના અસ્તિત્ત્વ ધરાવતા બધા જ વાદોને પરાજિત કર્યા હતા. પણ આપણે આ બધી વાતો  નહીં કરીએ.

સ્વદેશી

મોદી સાહેબે કહ્યું કે આપણે સ્વદેશી ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. ઉત્પાદન આપણે આપણા દેશમાં જ કરીએ અને વિદેશો ઉપર અવલંબન ન રાખીએ. મેક ઈન ઈન્ડિયા નો સિંહ યાદ કરો.

આમ તો ગાંધીજી પણ સ્વદેશી માં માનતા હતા. તેમણે ખાદી અને ગ્રામોદ્યોગોને મહત્વ આપ્યું હતું. જોકે તે વખતે કેટલાક મહાનુભાવોએ તેનો વિરોધ કરેલ. પણ જ્યારે સ્વદેશીના પ્રચારથી જે જનજાગૃતિના પરિણામો આવ્યા તે પછી આ મહાનુભાવોએ તેનો વિરોધ બંધ કરેલ.

આજના જમાનામાં જો મૂર્ધન્યો, સ્વદેશીનો ગાંધીજીના નામ હેઠળ વિરોધ કરે તો તો ભારે ટીકા થાય. કારણકે જમાનો બદલાઈ ગયો છે. કેટલાક મોડર્ન બાવાઓ સ્વદેશી અને અહિંસાનો વિરોધ કરે છે. પણ તેમની વાત આપણે અહીં  નહીં કરીએ. પણ જો કોઈ “તડ અને ફડ”વાળા સુપર વાર્ધક્યમાં પહોંચેલાને જો “સ્વદેશી”નો વિરોધ કરવો હોય તો કેવી રીતે કરે?

નરેન્દ્ર મોદીને ભાંડવાની ફેશન હજુ આઉટ ઓફ ડેટ થઈ નથી, એમ ઘણા લોકો માને છે. આપણા તડ-ફડવાળા મૂર્ધન્ય તેઓમાંના એક હોય એવું લાગે છે.

જો બાવા બન્યા હૈ તો હિન્દી તો બોલના પડેગા. એ નાતે, તટસ્થ બન્યા હૈ તો મોદી કે વિરુદ્ધ તો કભી ન કભી તો બોલના હી પડેગા.

“સ્વદેશી” ભલે ગાંધીજીએ પુરસ્કૃત કરેલો આઇડિયા હોય. પણ આર.એસ.એસ.વાળા પણ સ્વદેશીમાં માને છે. જો કે તેઓ કેટલી ખાદી પહેરે છે કે પહેરતા હતા તેની આપણે ચર્ચા નહીં કરીએ. પણ નરેન્દ્ર મોદી તો ખાદીમાં અને ગૃહ ઉદ્યોગમાં માને છે. સખી મંડળો કરોડો રુપીયાનો ટર્ન ઓવર કરે છે.

સ્વદેશી એટલે શું?

“સ્વદેશી” પણ અહિંસાની જેમ સાપેક્ષ છે. વિદેશમાં થયેલા ઉત્પાદનની સાપેક્ષે દેશમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. બંગાળમાં થયેલા ઉત્પાદનની સાપેક્ષે ગુજરાતમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. સૂરતમાં થયેલા ઉત્પાદનની સાપેક્ષે ભાવનગરમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. વડવા માં થયેલા ઉત્પાદનની સાપેક્ષે કોબડીમાં રહેતા માણસો માટે કોબડીમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. કોબડીમાં થયેલા ઉત્પાદન કરતાં તમારા ઘરમાં જ થયેલું ઉત્પાદન સ્વદેશી છે. પણ ઉત્પાદિત આઈટેમ એ જ હોવી જોઇએ. એટલે ગાંધીજી પૂછતા કે તમે કેટલા ગામોને ખાદી પહેરતા કર્યા એટલે કે ખાદી માટે સ્વાવલંબી કર્યા.

“જે વસ્તુ તમારા દેશમાં ન બનતી હોય કે ન બની શકતી હોય, તમે તેને વિદેશથી આયાત કરી શકો છો.” એમ ગાંધીજી કહેતા.

પણ કઈ વસ્તુનું સ્વદેશી કરણ કરવું તે તેની માંગ ઉપર અવલંબે છે.

મોરારજી દેસાઈની જનતા પાર્ટી અને ઇન્દિરાની કોંગી

ઇન્દિરા ગાંધી પોલીયસ્ટર યાર્નમાંથી ગૃહૌદ્યોગ દ્વારા કાપડ તયાર કરવામાં માનતાં ન હતાં. પણ મોરારજી દેસાઈ પોલીયસ્ટર ખાદીમાં માનતા હતા.

વિકસિત દેશો તેમના ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો ને ભંગારમાં નાખતા હતા ત્યારે ઇન્દિરા ગાંધી દેશમા ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો બનાવતી, અને આયાત પણ કરતી હતી. ૧૯૭૭માં જનતા પાર્ટીના જોર્જ ફર્નાડીસે ડીજીટલ ઇલેક્ટ્રોનીક્સ ટેલીફોન એક્સચેન્જનું ટેક્નોલોજી ટ્રાન્સફર સહિત નું ગ્લોબલ ટેન્ડર બનાવ્યું અને બહાર પણ પાડ્યું. જનતા પાર્ટીની સરકાર પડી ગઈ. પણ આ ટેન્ડરમાં પરોઠા પગલાં ભરવા શક્ય ન હતું તેથી ૧૯૮૦-૮૨માં આ ટેન્ડરોને ઇવેલ્યુએટ કરી ફ્રાન્સની અલ્કાટેલ કંપનીની તરફેણમાં ફાયનલ કરેલ અને તેને ૪૦/૬૦ લાખ લાઈન ટેલીફોન એક્સચેન્જ માટેના ઓર્ડર આપેલ. ૧૯૮૩ની શરુઆતથી જ વર્લી-મુંબઈમાં તેનું ઇન્સ્ટોલેશન પણ ચાલુ થઈ ગયેલ.

યાદ રાખો, તે વખતે આપણા રાજિવ ભાઈ કે તેના મિત્ર સામ પિત્રોડાજી, ક્ષિતિજ ઉપર પણ ક્યાંય દેખાતા ન હતા. ઈલેક્ટ્રોનિક ક્રાંતિના બીજ તો ૧૯૭૯-૮૦મં અંકૂરિત થઈ ગયા હતા. પણ આપણા મહાનુભાવોએ તેનો યશ રાજિવભાઈને આપ્યો. આની ચર્ચા આપણે આ જ બ્લોગ સાઈટ ઉપર અન્યત્ર કરી ચૂક્યા છીએ. એટલે આ વાતને લંબાવીશું નહીં.

મહાત્મા ગાંધીને કે તેમના યથાર્થ અનુયાયીઓને અને ગાંધીજીના માનસપુત્ર વિનોબા ભાવેને વિદેશીમાલનો છોછ ન હતો. તેઓ કોઈ વાદમાં પણ માનતા ન હતા

નરેન્દ્ર મોદીને પણ વિદેશી ઉત્પાદનનો છોછ નથી. આ વાત આપણે સૌ જાણીએ છીએ. પણ તેથી કરીને સ્વદેશી ઉત્પાદનની વાત કરવી અને તેને અનુલક્ષીને પગલાં લેવાં એ કંઈ ગુનો નથી.

નોકરી અને ધંધામાં ફેર શો?

નોકરીમાં આપણે આપણા પૈસાનું રોકાણ કરવું ન પડે. એટલે નોકરીમાં, નોકરીમાંથી ફારેગ થવા સિવાય બીજું કશું ખાસ રીસ્ક હોતું નથી.

ચીલા ચાલુ અર્થમાં, ધંધા બે જાતના હોય છે. ઉત્પાદન કરવાનો ધંધો. ઉત્પાદિત માલની વહેચણીનો ધંધો.

ખાસ કરીને તમે ઉત્પાદન કરવામાં શી રીત રસમો અપનાવો છો અને વહેંચણીમાં પણ કઈ રીત રસમો અપનાવો છો તેની ઉપર તમારું (સમાજનું) ચારિત્ર્યનું ઘડતર અવલંબે છે.

અર્થશાસ્ત્રમાં ઘણા વાદો છે. અને આ વાદોના નિષ્ણાતો હોય છે. આ નિષ્ણાતો, અર્થશાસ્ત્રના પરિબળોને ઓળખતા હોય છે આ પરિબળોને કન્ટ્રોલમાં રાખવા માટે, તેમની પાસે પોતાની માન્યતાઓ અને પોતાની વ્યુહરચનાઓ હોય છે. તમે આ સમજણને જેટલી વધુ ક્લીષ્ટ અને અમૂર્ત (એબસ્ટ્રેક્ટ) બનાવી શકો તેટલા તમે વધુ નિષ્ણાત ગણાવ. આવું ઘણા બધા લોકો (મૂર્ધન્યો સહિત) માનતા હોય છે. દેશના અર્થતંત્રને ખાડે લઈ જનાર, મનમોહન સિંહ મોટા અર્થશાસ્ત્રી મનાય છે. ભણેલ ગણેલ પણ અનીતિમત્તાનો છોછ નહીં, તેથી દોષનો ટોપલો બેક સીટ ડ્રાઈવર સોનિયા ગાંધી ઉપર નાખી દેવામાં આવે છે.

નરેન્દ્ર મોદી તે કંઈ અર્થશાસ્ત્રી છે!!

“સાલુ … નરેન્દ્ર મોદીએ ખરું કર્યું. ૨૦ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું. સ્વદેશીનું ભાષણ આપી દીધું તે જુદું. મોંઘા અને બ્રાન્ડેડ ગોગલ્સ પહેરે છે અને સ્વદેશી અપનાવવાની વાતો કરે છે. આ મોદીનો તો કચરો કરી નાખવો છે.

મોદીને કેવીરીતે વગોવીશુ?

આ મોદી …. એક તો મગન માધ્યમમાં ભણેલો છે. અને તેપણ ગામડાની કોલેજમાં ભણેલો છે. કોને ખબર શું ભણ્યો હશે.

આપણને પ્રધાન મંત્રી તો, હાર્વર્ડ, કેમ્બ્રીજ કે કમસે કમ જીન્ના નહેરુ યુનીવર્સીટી (જે.એન.યુ.)માં ભણેલો હોય એવો જ ખપે. ભલે આપણે મહાત્મા ગાંધીજીની સ્વદેશીની વાતો કરીએ. ગાંધીજી પોતે જ ઈંગ્લેન્ડમાં જ બાર એટ લૉ થયેલા હતા ને!! હાલનો પ્રધાન મંત્રી તો સાવ ગધુભાઈ જેવો છે.

“તડ-ફડ”વાળા મૂર્ધન્ય બોલ્યા;

“મોદી બોલ્યા એમાં મુદ્દા ઓછા અને શબ્દો વધુ હતા” એવું ઠોકો. (આને સિદ્ધ કરવાની જરુર નથી). “ગાંધીજી તો વહેવારુ હતા”….  (એટલે કે નરેન્દ્ર મોદી વહેવારુ નથી એ વાત આપોઆપ સિદ્ધ થઈ ગયેલી માનો).

સ્વદેશીને સાપેક્ષવાદના પરિપેક્ષ્યમાં ન જુઓ. આપણે તો મહા વિદ્વાન અને તટસ્થ છીએ એટલે નિરપેક્ષતામાં માની છીએ, પણ શબ્દોની રમત ચાલુ રાખો. “સ્વદેશી, આત્મનિર્ભરતા, જમાનાની જરુરીયાતો, જમાનાના સંજોગો, ભણતર બધું જે કંઈ સવાસો વર્ષ પહેલાં હતું તેમાંનું આજે બધું બદલાઈ ગયું છે. ગાંધીજીએ કોમ્પ્યુટર ક્યાં જોયું હતું? … “હેં?

“ગાંધીજીનું સ્વદેશીનું સૂત્ર આજના જમાનામાં અસરકારક ન ગણાય. બધું જ પરિવર્તનશીલ છે… ” એવું ઠોકો. “આજના જમાનામાં સ્વદેશી રહેવું પોષાય નહીં. આધુનિક શસ્ત્રો અમેરિકા પાસે થી લેવા જ પડે. અને અમેરિકાએ આપણી પાસે દવાની ભીખ માંગવી પડે. હે મોદી સાહેબ, તમને સત્તા મળી ગઈ એટલે બધું જ્ઞાન પણ મળી ગયું એવું ન માનો. …”.

હવે આપણે થોડી રાજીવ ગાંધીભાઈની પ્રશંસા કરી નાખીએ. તેમની આર્ષ દૃષ્ટિનું વિવરણ નહીં કરીએ. કારણકે એમાં તો ક્યાંક આપણે જ ફસાઈ જઈએ એવી શક્યતા છે. આપણે કંઈક બભમ બભમ કહીએઃ

“આવતી કાલનું ભારત કેવું હોય અને કેવું હોવું જોઇએ તે બાબતનો સૌથી સચોટ અને સૌથી વધારે સ્વિકાર્ય ખ્યાલ રાજીવ ગાંધીએ ૧૯૮૫માં આપ્યો હતો. આજે ભલે એક પેઢી પૂરી થઈ ગઈ હોય. પણ રાજીવ ગાંધીનું આ ઉદ્‌બોધન આજે ય એટલું જ ચોટડૂક (ચોંટેલું) અને એટલું જ પ્રેરણાદાઈ છે…..”

આમાં આપણે સમજવું શું?

આ તો ૧૯૮૫ની વાતો છે. મીસ્ટર ક્લીને યુનીયન કાર્બાઈડના એન્ડરસનને સરકારી વાહનમાં બેસાડી ભગાડી દીધેલ. તે વાતને દબાવી દીધેલી. પણ અહીં એ વાત અસ્થાને છે. જો કે આમ તો આર્ષદૃષ્ટા માણસ માટે અનીતિના દુષ્પરિણામોની આર્ષ દૃષ્ટિ હોવી જોઇએ. પણ એ વાતને જવા દો. રાજીવભાઈએ કરેલું શું? તેમના આઈડીયાઓ કેવા હતા?

તેઓ દેશમાં ડીજીટલ ઈલેક્ટ્રોનિક્સની ક્રાંતિ લાવેલા?  તેઓ દેશમાં કોમ્પ્યુટર લાવેલા? તેઓ દેશમાં સોફ્ટવેર લાવેલા?

ના જી.  ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ ના ઓર્ડર નો પાયો તો ૧૯૭૮માં નંખાયેલો. ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ સોફ્ટવેર પ્રોગ્રામ આધારિત હોય છે. સ્ટ્રોર્ડ પ્રોગ્રામ કન્ટ્રોલની ટ્રેનીંગ ૧૯૭૮માં “એડવાન્સ લેવલ ટ્રેનીંગ સેન્ટર” ગાઝીયાબાદમાં શરુ થઈ ગયેલી. સોફ્ટવેર વગર ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ ચાલે જ નહીં. ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ માટે ડેડીકેટેડ કોમ્પ્યુટર એક ટેસ્ટીંગ પેરીફેરલ હોય છે. એટલે કોમ્પ્યુટર પણ તાજા જન્મેલા બાળક જેવા ન હતા. તમે જ્યારે ડીજીટલ ઈલેક્ટ્રોનીક્સને લાવો એટલે પર્સનલ કોમ્પ્યુટર આવેલા જ હોય છે. વરસાદ પડે એટલે નદીમાં પાણી આવે જ. પહાડો ઉપર ધોધ પડવા શરુ થાય જ. સમયનો સવાલ છે. પણ જે આવવાનું છે તે આવવાનું જ છે.

વાત એમ છે કે રાજીવભાઈએ કોમ્પ્યુટર માટે કેટલીક છૂટછાટ આપેલી. જે આમ તો હાસ્યાસ્પદ હતી. રાજીવભાઈની કોમ્પ્યુટર વિષેની અજ્ઞાનતા દર્શાવતી હતી.

શું હતી આ છૂટ છાટ?

computer paper

તે વખતે ભારતમાં કદાચ મોટેભાગે, પ્રીન્ટર સાથે કન્ટીન્યુઅસ (સળંગ) અને ડાબી-જમણી કિનારીઓ ઉપર પરફોરેટેડ (કાણાવાળો) પેપર વપરાતા હતા. કદાચ રાજીવભાઈનો અને સરકારી અફસરો નો ખ્યાલ એવો હતો કે આવો સળંગ પેપર જ કોમ્પ્યુટરયુગની ઓળખ છે. આ પેપરની રચના એવી હોય છે કે, એક તો તે સળંગ હોય, તેની બંને કિનારઓ ઉપર કાણાઓ હોય છે, જેથી જ્યારે પ્રીંટ થતો હોય ત્યારે તે પેપર સીધો રહે. આવા પેપરને ટેક્ષમાંથી મૂક્તિ આપવામાં આવી હતી. હજી પણ બેંકો આવા પેપર વાપરે છે. બેંકોના કર્મચારીઓને કે સાહેબોને એટલું પ્રાથમિક જ્ઞાન પણ હોતું નથી કે પેપર ના માર્જીન (હાંસીયા) સેટ કરી શકાય છે.  ફોન્ટને પણ સેટ કરી શકાય છે.. આમ કરશું તો જે પ્રીન્ટ થયું છે તેનો અર્થ સરશે. પણ આ તો અલગ વાત છે. આપણા રાજીવ ભાઈ ના કોમ્પ્યુટરના ખ્યાલ કંઈક આવા હતા.

ટેક્નોલોજી હમેશા વિકસતી જ હોય છે. જેઓ તેના ઉપયોગ સાથે સંકળાયેલા હોય છે તેમને ટેક્નોલોજીની નવી નવી ક્ષમતાઓની ખબર હોવી જ જોઇએ. આ ક્ષમતાના ક્ષેત્ર વિષે વિચારીએ તો આપણે અચૂક કહી શકીએ કે રાજીવભાઈ તેમના જમાનામાં રહેલી ટેક્નોલોજીની ક્ષમતા જેટલી હતી અને તે ક્ષમતા વિષે તેમનું જે જ્ઞાન હતું, તેના કરતાં નરેન્દ્ર મોદી હાલમાં પ્રવર્તમાન ટેક્નોલોજીની જે ક્ષમતા છે તેના વિષે વધુ જાણે છે.

આ એક બહુ જ મહત્ત્વની વાત છે. સામાન્ય રીતે મોટા મોટા અધિકારીઓ પણ, ભલે પછી તે કોઈ પણ ક્ષેત્રના હોય, તેઓ પોતે પોતાને શું જોઇએ છે તે વિષે જાણતા હોતા નથી. તકનિકી ક્ષમતાની તો વાત ક્યાં કરવી! આવા અધિકારીઓમાં ઉચ્ચ સરકારી અફસરો સહિતના, અફસરો પ્રથમ ક્રમે આવે છે.

સંરક્ષણ ક્ષેત્રમાં સ્વાવલંબનઃ

આની કલ્પના તો નહેરુને ચીનના ભારત ઉપરના સરળ વિજય પછી લાધી હતી. તે માટે તેમણે સંરક્ષણ ખાતાને બે વિભાગમાં વહેંચ્યું હતું. તેમાનું એક સંરક્ષણ ઉત્પાદન ખાતું હતું. આ તો લાંબી વાત છે. પણ તડ-ફડ વાળા ભાઈ ભૂલી ગયા લાગે છે. નહેરુનો આ રાજકારણીય નિર્ણય હતો. ઓળઘોળ કરીને યુદ્ધની હારનો દોષનો ટોપલો મેનનને માથે નાખી દીધેલો. પણ મેનન તો એમના પાકા ગલગલતા મિત્ર હતા. મેનનને હટાવવાના દબાણને કારણે કેવીરીતે હેમખેમ બહાર આવવું એ નહેરુની સમસ્યા હતી. આ વાત લાંબી છે અને અહીં અપ્રસ્તુત છે. સંરક્ષણ બાબતમાં સ્વાવલંબન સિદ્ધ કરવાનો સંકલ્પ ૧૯૬૨નો છે.

સંરક્ષણ બાબતમાં કેટલું સ્વાવલંબન સિદ્ધ થયું તે બાબત, આ શતાબ્દીના પ્રથમ દશકામાં સેનાએ જ્યારે સંરક્ષણ યંત્રોના સ્પેરપાર્ટ્સની તંગીની વાત રજુ કરી, તેના ઉપરથી ખ્યાલ આવી શકે છે.

ભારતમાં બૌધિક ગરીબાઈ છે?

આપણો દેશ બૌધિક સંપત્તિમાં (ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીમાં) ગરીબ નથી. નવી શોધખોળો માટે સક્ષમ છે. “ટેક્નોલોજી ટ્રાન્સફર સાથે ભારત સંરક્ષણ ક્ષેત્રે જોઇએ તેવું ઉત્પાદન કરવા સક્ષમ છે.

ભારત માટે ખાટલે ક્યાં ખોટ છે.

ભારતમાં સામાજીક અને રાજકીય સમસ્યાઓ અને તે પણ “કોંગી”એ અને તેના સાંસ્કૃતિક સહયોગીઓએ તેઓની પ્રાથમિકતા સ્વકેન્દ્રી હોવાને કારણે ઉભી કરેલી છે.

ગાંધીજી, વિનોબા અને નરેન્દ્ર મોદીના સ્વદેશી (સ્વાવલંબનમાં) ભીન્નતા શું છે?

સૈદ્ધાંતિક રીતે કશી જ નહીં. ગાંધીજી પણ સંરક્ષણ ક્ષેત્રે સ્વવલંબનમાં માનતા હતા. તેઓ એ કહ્યું હતું કે જ્યારે બીજા દેશો અદ્યતન શસ્ત્રોથી સજ્જ હોય ત્યારે આપણે અહિંસાની વાત ન કરી શકીએ. જ્યારે પાકિસ્તાને કાશ્મિર ઉપર આક્રમણ કર્યું ત્યારે સરદાર પટેલ અને નહેરુ ગાંધીજીની સલાહ લેવા ગયા. ગાંધીજીએ ઘડીનો પણ વિલંબ કર્યા વગર કહી દીધું કે કાશ્મિરનુ રક્ષણ કરવું આપણી ફરજ છે.

ગાંધીજી લોકોની અપેક્ષાઓને સમજતા હતા. વિનોબા ભાવે થોડા નિરપેક્ષતા વાદી હતા. કેટલાકના મત પ્રમાણે, વિનોબા ભાવે પ્રત્યે, લોકોની અપેક્ષા શું છે તે વાત તેઓ સમજતા ન હતા. તો કેટલાકના અભિપ્રાય પ્રમાણે લોકોની અપેક્ષાઓને તેઓ સમજતા હતા પણ તે પ્રમાણે તેઓ પોતાની જાતને ઢાળવા માગતા ન હતા. ગાંધીજી અને વિનોબા બંને, કોઈ વાદમાં માનતા ન હતા. વિનોબા ભાવે “વાદ”ને બૌદ્ધિક પછાતપણુ માનતા હતા.

નરેન્દ્ર મોદી, ગાંધીજીના “સ્વદેશી”થી અજ્ઞાત નથી. અને લોકોની તેમના પ્રત્યેની અપેક્ષાઓને પણ તેઓ સમજે છે. નરેન્દ્ર મોદી પોતાના કામના પ્રચારમાં પણ માને છે. જ્યારે જનતાનો પ્રાભાવિક હિસ્સો અજ્ઞાની અને ગરીબ હોય ત્યારે પ્રચાર જરુરી બની જાય છે. જો તમે આમ ન કરો તો તમારા વિરોધીઓ તેનો લાભ લઈ જઈ શકે છે. આ વાતની અનુભૂતિ આપણને ૨૦૦૪ની ચૂંટણીના પરિણામોમાં જોવા મળી હતી. સમાચાર માધ્યમોનો વ્યાપ અતિ વિશાળ હોવા છતાં કોંગીઓ કેવી કેવી અફવાઓ ફેલાવે છે તે આપણે જાણીએ જ છીએ. ટકી રહેવા માટે પણ  પ્રચાર આવશ્યક બની જાય છે.

શું ૧૦૦ ટકા સ્વદેશી વાપરવું આવશ્ય્ક છે?

૧૯૭૭માં જ્યારે જનતા પક્ષની સરકાર આવી ત્યારે મોરારજી દેસાઈએ ખાદીને સરકારી સંસ્થાઓ માટે ફરજીયાત બનાવી હતી. આ વાત ઘણા અર્થશાસ્ત્રીઓને પસંદ ન હતી. તેઓ કહેતા હતા કે જો બધા જ ખાદી પહેરશે તો પછી મીલનું કાપડ વાપરશે કોણ. જવાબ હતો, કે તેની નિકાસ કરો. હુંડીયામણ મળશે. વળતો સવાલ હતો, કે તો પછી આટલા બધા હુંડીયામણને દેશ કરશે શું? આ બેહુદો સવાલ હતો.

નરેન્દ્ર મોદી પણ ખાદી ગ્રામોદ્યોગના ઉત્પાદનના વપરાશને સરકારી ખર્ચાઓમાં ફરજીયાત બનાવી શકે છે. સરકારી નોકરો તેમજ જે સંસ્થાઓ સરકારી સબ્સીડીઓ લે છે તે સૌ માટે પણ સ્વૈચ્છિક રીતે ખાદી પહેરવાની અને ગ્રામોદ્યોગ-વપરાશની ભલામણ કરી શકે છે. ગરીબીને તાત્કાલિક રીતે દૂર કરવાનો આ એક માત્ર રસ્તો છે. કોંગી માટે આ રસ્તો હાથવગો હતો. પણ તેને તો માત્ર દંભ કરવો હતો અને તેની પ્રાથમિકતા માત્ર સત્તા જ હતી.

અન્ન વસ્ત્ર અને રહેઠાણમાં જો ફરજીયાત સ્વાવલંબી થઈએ તો બાકી શું રહેશે?  સરકાર માટે તો ઘણું બાકી રહેશે. પણ જો જનતા સ્વાવલંબી બનશે તો જનતામાંથી આવતા નોકરો જેઓ સરકાર ચલાવે છે તેઓમાં સ્વાવલંબનની ધગશ ઉત્પન્ન થશે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

(તાતસ્ય કૂપોયમીતિ બ્રુવાણા ક્ષારં જલં કા પુરુષા પિબન્તિ) અર્થાત્‌

તાતસ્ય કૂપઃ અયમ્‌ ઈતિ બ્રુવાણાઃ

ક્ષારં જલં કા પુરુષા પિબન્તિ

(આ કૂવો તો બાપાનો છે. માટે ભલે આ કૂવાનું પાણી ખારું હોય તો પણ પીવો. આવું કાપુરુષ કરે છે.)

દાખલોઃ

૧૯૭૦ના દશકામાં વિકસિત દેશો તેમના ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો ને ભંગારમાં નાખતા હતા ત્યારે ઇન્દિરા ગાંધી દેશમા ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો બનાવતી,(અને આયાત પણ કરતી હતી).

Read Full Post »

ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ભાગ-૨

ગેરકાયદેસર બાંધકામ, દબાણ, ટ્રાફીક ડીપાર્ટમેન્ટની અને શહેર સુધરાઈનું અણઘડપણું અને ખાયકી જનતાને અસંસ્કૃત, ગંદી આદતોવાળી અને અનીતિમાન બનાવે છે.

ટ્રાફિક નિયમોના ભંગ કરનાર જનતાને અશિક્ષિત, અસંસ્કૃત, ગંદી આદતોવાળી અને અનીતિમાન કહેવું સહેલું છે. પણ તેના મૂળમાં શહેરસુધરાઈના અધિકારીઓ અને ટ્રાફિક પોલીસના અધિકારીઓનું અણઘડપણું, અજ્ઞાનતા, ખુદના સફાઈના નીચા ધોરણો અને ખાયકી જવાબદાર છે.

પહેલાં તો આપણે એ જાણી લેવું પડે કે કઈ જાતનું અણઘડઆપણું અને અસંસ્કારિતા

સરકારમાં છે અને ચલાવી લેવામાં આવેછે.

હવે ધારોકે ૩ + ૩ લેનનો રસ્તો છે.

સેન્ટર લાઈન સાતત્ય વાળી હોવી જોઇએ. અથવા રોડ ડીવાઈડર હોવો જોઇએ.

લેન ની ગણત્રી સેન્ટરલાઈનથી ફૂટપાથ તરફની ગણીએ તો ૧, ૨ અને ૩ એમ થાય. ૧ નંબર ની લેન ફાસ્ટ લેન છે.

શહેરની અંદર મેન રોડ ઉપર સ્પીડ લીમીટ ૪૦ કીલો મીટરથી વધુ ન હોઈ શકે. એટલે સ્પીડ લીમીટનું બોર્ડ હોવું જોઇએ.

બે લેન વચ્ચે ધોળા પટ્ટાની ત્રૂટક લાઈન હોવી જોઇએ. બીજી લેનની સ્પીડ લીમીટ ટ્રાફીક પ્રમાણે એટલેકે ૪૦ કિ.મિ. થી તો ઓછી જ હોય છે.

જો તમે ૪૦ની સ્પીડથી લેન-૧ પર જતા હો તો પાછળ વાળાએ તમને હોર્ન મારવું ન જોઇએ.

જ્યારે પણ ટર્નીંગ માટેની ગલી કે રોડ ક્રોસ આવે તેના કમસે કમ ૨૦૦મીટર  અગાઉ તમારે તમારી લેન પકડી લેવી જોઇએ. જો વાહન દ્વી ચક્રી કે ત્રી ચક્રી હોય તો તેને લેનના ડાબા હિસ્સામાં અને જો વાહન ચતુસ્ચક્રી હોય તો હમેશાં લેનના મધ્યભાગમાં ચલાવવું જોઇએ. આ રીતે જો તમે વાહન ન ચલાવો તો તે અવ્યવસ્થિત ડ્રાઈવીંગ કહેવાય અને તે દંડને પાત્ર થાય.

તમે છેલ્લી ઘડીએ લેન-૩ કે લેન-૨ માંથી ડાબી બાજુ વળવા માટે  લેન-૧ ઉપર જઈ ન શકો. સીધા જવું હોય તો તમારે લેન-૨ પકડવી પડે અને જમણી બાજુ વળવું હોય તો લેન-૩ પકડી લેવી જોઇએ.

ઝીબ્રાક્રોસીંગ અગાઉ એક પટ્ટો હોય છે. જો લાલ લાઈટ હોય તો તમે તેથી આગળ જઈ ન શકો.

જો ટ્રાફીક સીગ્નલ ન હોય તો તમારે રોડ ક્રોસીંગ ના ૨૦૦ મીટર અગાઉ (ટ્રાફીક હોય કે નહોય તો પણ) તમારા વાહનને પહેલા ગીયરમાં જ લાવી દેવું જોઇએ, અને સ્પીડ ડેડ સ્લો કરી દેવી  જોઇએ. જમણી બાજુથી આવનારા જેઓએ તેમની તરફનો ઝીબ્રાક્રોસીંગ આગળનો પટ્ટો ક્રોસ કરી દીધો હોય અને તેમની પાછળના જે કોઈ વાહનો એકબીજા વચ્ચે ૨૦ મીટરથી ઓછા અંતરે હોય તે સૌ વાહનોને પહેલાં જવા દેવા પડે. 

સામાન્ય ૨+૨ લેનનો નમૂનો ડાયાગ્રામમાં આપેલો  છે.

Road Crossing

 

ટ્રાફીક માર્કીંગ હોતા નથી.

સામાન્ય રીતે રસ્તા ઉપર પાર્કીંગની પરવાનગી હોતી નથી. પણ જો પાર્કીંગની પરવાનગી હોય તો ત્યાં પાર્કીંગ ની સીમાઓ અને ગાળાઓ માર્ક થયેલા હોવા જોઇએ. જો ગાળાના સેન્ટરમાં વાહન પાર્ક થયું ન હોય તો તે અવ્યવસ્થિત પાર્કીંગ થયું કહેવાય. અવ્યવસ્થિત પાર્કીંગ પણ દંડને પાત્ર છે.  

ખોટી લેન ઉપર વાહન ચલાવવું

જો તમારે ડાબી બાજુ વળવાનું હોય તો તમારે સીગ્નલ આપી, સામેના મીરરમાં અને ડાબી બાજુના મીરરમાં પાછળનો ટ્રાફીક જોઇ લેન-૩ ઉપર આવી જવું જોઇએ.

કારણ વગર લેન બદલવી એ અવ્યવસ્થિત ડ્રાઈવીંગ કહેવાય. તે દંડને પાત્ર છે.

અણઘડપણું:

ટ્રાફીક માટેના માર્કીંગઃ

લેન માર્કીંગઃ લેના માર્કીંગ ઘણી જાગ્યાએ હોતા જ નથીં તો કેટલીક જગ્યાએ ઝાંખા હોય છે અને કેટલીક જગ્યાએ ખોટા હોય છે.

તમે કહેશો કે ખોટા માર્કીંગ કેવીરીતે હોઈ શકે?

સ્ટોપ લાઈન એ જગ્યાએ હોવી જોઇએ કે ડાબી બાજુ જે વાહનને વળવું છે તેને પૂરતી જગ્યા મળે અને તેનો પાછલો ભાગ તેની ડાબી બાજુની લેન ઉપર સીધા જનાર વાહનને ભટકાય નહીં.

વાસ્તવમાં અનેક વાર પરિસ્થિતિ એવી બને છે કે સીધા જનારા વાહનો ડાબી બાજુ જનારા વાહન માટે જગ્યા રાખતા જ નથી. ડાબી બાજુ વાળા માટે ગ્રીન સીગ્નલ હોવા છતાં ડાબી બાજુ જવાવાળા જઈ શકતા નથી. ખોટી જગ્યાએ વાહનને ઉભું રાખવું પણ દંડને પાત્ર બને છે.

આ બધા દંડ શા માટે વસુલ થતા નથી?

ટ્રાફીક પોલીસને બે જાતના ક્વોટા હોય છે. દંડની વસુલાતની પરચીનો ક્વોટા અને હપ્તાનો ક્વોટા. હપ્તાનો ક્વોટા તેઓ દબાણ વાળા, છકડાવાળા અને શેર-એ-રીક્ષાવાળા પાસેથી વસુલ કરી લે છે. વધારાની તસ્દી શા માટે લેવી.

ટ્રાફિક સંસ્કાર કેવીરીતે લાવી શકાય?

જો વાહનવાળાઓની અરાજકતા વ્યાપક અને જત્થાબંધ હોય તો ટ્રાફીક પોલીસ વાહનોને અટકાવી પરચી ફાડી દંડ વસુલ ન કરી શકે. ધારોકે તે આમ કરવા જાય તો ટ્રાફીક જામ થઈ જાય. અને કેટલાક માલેતુજાર કે અસામાજીક વાહકો પોલીસ સાથે ચર્ચામાં ઉતરે છે અને ટ્રાફિક પોલીસની તાકાત નથી કે તે દરેકને સરકારી કામમાં રુકાવટ કરવા બદલ અને ટ્રાફિકને અડચણ કરવા સબબ ફોજદારી સબબ ગુન્હો દાખલ કરે.

સીસી કેમેરાઓઃ

સીસી કેમેરા દરેક રોડ ઉપર અમુક અંતરે અને રોડ ક્રોસીંગ ઉપર લગાવી દેવા જોઇએ. કન્ટ્રોલ રુમમાં જ તેની ઉપર નિરીક્ષણ અને રેકોર્ડીંગ થયા કરવું જોઇએ. સોફ્ટવેર એવું હોવું જોઇએ કે દરેક વાહનની ઓવરસ્પીડ, વાહનના નંબર, અવ્યવસ્થિત ગતિ, વિગેરે દરેક જાતના ટ્રાફિક નિયમના ભંગ રજીસ્ટર થાય અને પ્રીન્ટ-પ્રીવ્યુ રેકોર્ડ થાય.

આ બધાની સાથે તે વાહનના રજીસ્ટ્રેશન નંબર ઉપરથી તે માલિક ઉપર ચલાન બને, સ્પીડ પોસ્ટનું પોસ્ટેજ કવર એડ્રેસ સાથે તેની સાથે પ્રીન્ટ થઈને બહાર આવે. ચલાનમાં ચલાન નંબર આરટીઓ એકાઉન્ટ નંબર અને ચેક અથવા કેશ સ્વિકારનારી બેંકોના નામનું લીસ્ટ પણ હોય, ટાઈમ લીમીટ પણ હોય અને જો નિયમભંગની સાબિતી જોઇતી હોય તો પ્રીન્ટ આઉટ રીપોર્ટ લેવા માટે કેટલા વધારાના પૈસા ભરવા પડશે તે પણ લખ્યું હોય.  જો વાહન માલિકે ઈમેલ એડ્રેસ આરટીઓમાના રેકોર્ડમાં રજીસ્ટર ન કરાવ્યું હોય તો  આરટીઓ સ્પીડ પોસ્ટનો પોસ્ટલ ચાર્જ પણ વસુલ કરી શકે.

એક વાહન બીજા વાહન સાથે ભટકાયું હોય તો તે ગુનો પણ નોંધાય અને તે અવ્યવસ્થિત ડ્રાઈવીંગ બદલ તેનું ચલન પણ વાહન માલિકને પહોંચતું થાય. નુકશાની વીમા કંપની પાસેથી જે તે વ્યક્તિ વસુલ કરી લેશે. પણ પોલીસ તો દંડ કરશે જ.

ધારોકે કોઈ ગુન્હાઈત વાહન માલિકે દંડ ન ભર્યો હોય તો ૧૫ દિવસ પછી વધુ દંડની રકમ સાથેનું ચલાન વાહન માલિકને પહોંચતું થાય. ૧૫ દિવસની ત્રણ મુદતમાં જો દંડની રકમ ભરવામાં ન આવે તો તેનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ થાય. સોફ્ટવેર જ આને રજીસ્ટર કરે અને જ્યારે આ વાહન રોડ ઉપર આવે ત્યારે તેને ઓળખે અને પકડી પાડે અને જે પોલીસવાન પેટ્રોલીંગ કરતી હોય તેને વાહના લોકેશનો સાથેનો વોઈસ મેસેજ આપે.

આ ઉપરાંત આડ ફાયદાઓ પણ થશે જે દબાણો, ગેરકાયદેસર બાંધકામ અને ચોરી ને લગતા હશે. આ સીસી કેમેરા ઠીક ઠીક રીઝોલ્યુશન વાળા અને આછા પ્રકાશમાં પણ કામ આપી શકે તેવા હોવા જોઇશે.

આ પ્રકારની ગોઠવણનો ફાયદો એ થશે કે મોટો ચમર બંધી પણ કાયદાનો ભંગ કરી શકશે નહીં. આરટીઆઈ (રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ) હેઠળ કોઈ પણ નાગરિક કોઈપણ રોડ ઉપરની ફૂટેજ માગી શકશે અને ટાફીક પોલીસની પાસે તેને કરેલા અને તેણે ભરેલા દંડની વિગતો માગી શકશે. કારણ કે ગુનો, ન્યાય અને દંડની પ્રક્રીયા સાર્વજનિક માહિતિનો વિષય છે. સરકાર તેને છૂપાવી શકે નહીં.

આ બધું જ શક્ય છે. પણ સરકારી અમલદારો આવું સોફ્ટવેર બનવા દેવડાવશે નહીં. તેઓ સીસી કેમેરા ગોઠવશે તે પણ સાદા અને ફુલપ્રુફ ન હોય તેવા સોફ્ટવેર રાખશે જેમાં મોટાભાગનો માનવીય કંટ્રોલ રહેશે. આથી કરીને ચાર રસ્તાઓ ઉપર તમને ગપાટા મારતા અને તમાકુ ચાવતા ટ્રાફીક પોલીસો જોવા મળશે.

આનું કારણ શું?

કારણમાં તો હપ્તાઓની કમાઈનો અભાવ, ટૂંકી દૃષ્ટિ અને અણઘડપણું જ છે.

ફુટપાથો, રોડ રીસરફેસીંગ અને સફાઈના કામોમાં કમાઈ

અમદાવાદમાં જે હશે તે બીજે પણ હશે જ. એટલે આપણે અમદાવાદની જ વાત કરીએ.

અંગ્રેજીમાં મુહાવરું છે કે સ્મોલ ઈઝ બ્યુટીફુલ. પણ જ્યારે તમે લાર્જસ્કેલ ઉપર જાવ ત્યારે સ્મોલ ઈઝ અગ્લી એ બંધબેસતું થાય છે.

શહેર સુધરાઈનું મુખ્ય કામ શહેરને સ્વચ્છ રાખવાનું છે. આ જ તેની પ્રાથમિકતા છે. પણ કમીશ્નર સાહેબો આ કામ ને અંતિમ નંબર આપે છે.

જો શહેરને સ્વચ્છ રાખવું હોય તો શહેરના રસ્તાઓ સમતલ હોવા જોઇએ.

ફુટપાથો પણ સમતલ અને દબાણ રહિત હોવી જોઇએ જેથી

સ્ટ્રોલર (બાબાગાડી) અને વ્હીલચેર ચલાવી શકાય. 

અમદાવાદમાં શું છે? તમને ૨૦૦ મીટરની પણ સળંગ ફૂટપાથ મળશે નહીં. જો ગલી હશે તો ગેટ ઉપર ગેટ આવશે અને દરેક ગેટ પાસે ફૂટપાથનો અભાવ રાખવામાં આવશે. એકેએક સોસાઈટી વાળા બે થી ત્રણ ગેટ તો રાખશે જ. વિકસિત દેશોમાં આવું હોતું નથી. ધારો કે ગેટ આવે તો પણ ફૂટપાથ તો અકબંધ જ રહે છે. ફૂટપાથ ફક્ત ક્રોસ રોડ પાસે જ બ્રેક થાય છે. તેમાં પણ સ્ટ્રોલર અને વ્હીલચેર માટે ઢાળ આપવામાં આવે છે.

જો તમે દુકાનદારોને કે લારી ગલ્લાવાળાને ધંધો કરવાની મંજુરી આપી હોય તો તેમણે સ્વચ્છતા જાતે જાળવવી જોઇએ.  જો ફૂટપાથો અને ગલીઓના રોડ સમતલ ન હોય તો રોડ યોગ્ય રીતે સફાઈદાર ન થાય.

શહેર સુધરાઈ આવું શા માટે ચાલવા દે છે?

ગલીઓના અને ફૂટપાથના નાના નાના ટેન્ડરો બનાવવામાં આવે છે. નાનું ટેન્ડર એટલે રકમ પણ ઓછી. રકમ ઓછી એટલે મંજુરી પણ નાના અધિકારીના અધિકાર ક્ષેત્રમાં આવી જાય. મોટા અધિકારીઓ મોટા કામમાં ભાગબટાઈ કરે. નાના અધિકારીઓ નાના કામમાં થી કમાણી કરે. નાના કામોની સંખ્યા વધે એટલી મોટા અધિકારીની જવાબદારી ઘટે. એટલી સર્વોચ્ચ અધિકારીઓની જવાબદારી પણ ઘટે.

કાયદેસર રીતે જોકે આવું નથી. જ્યારે કામ સફાઈદાર ન હોય અને આ વાત વ્યાપક હોય તો બધા જ અધિકારીઓ જવાબદાર બને છે. જેની પ્રાથમિક જવાબદારી છે તેને તો સસ્પેન્ડ કરીને કામ ચલાવીને પાણીચું જ આપવું જોઇએ. તેના ઉપરી  અધિકારીને નીચી પાયરીએ ઉતારી દેવો જોઇએ અને તેની પરના અધિકારીના અનિયત કાળમાટે ઈન્ક્રીમેન્ટ બંધ કરવા જોઇએ, અને તેની ઉપરના અધિકારીના ત્રણ ઈન્ક્રીમેન્ટ બંધ કરવા જોઇએ અને સર્વોચ્ચ અધિકારીને ચેતવણી આપીને પ્રણાલીમાં કેવો ફેરફાર કરીને આનું પુનરાવર્તન અટકાવશે તે જવાબ માગવો જોઇએ.  

શહેર સુધારાઈવાળા સફાઈના કામના કોન્ટ્રાક્ટ આપે છે. ટ્રેક્ટર ટ્રેલરવાળા અડધો કચરો ભરે ન ભરે એવું કરે છે. ટ્રેલરને ઓવરફ્લો કરે એટલું જ નહીં, ટ્રેલરના બહારની બાજુના હુક ઉપર પણ થેલાઓ લટકાવે. આવું કરવા પાછળ તેમનો હેતુ મોટેભાગે તેમણે વધુ ફેરા કર્યા છે એમ બતાવી શકાય. જ્યાં શોપીંગ છે ત્યાં તેઓ સફાઈ કરતા નથી. કારણ કે આ જગ્યા તો શોપીંગ રોની સોસાઈટીની માલિકીની હોય છે. ફુટપાથ અને શોપીંગ રો વચ્ચે દિવાલ તો રાખી જ નથી હોતી. એટલે શોપીંગવાળાને દબાણની સુવીધા રહે છે. પાણીપૂરીના લારીવાળા અને પાન તમાકુના ગલ્લાવાળા ને પણ સુવીધા રહે છે. એટલે ગંદકી માટે કોઈની જવાબદારી છે એવું કમીશ્નર સાહેબ જોતા નથી. પણ ગુન્ડા તત્વો અને અધિકારીઓના હપ્તા તો ચાલુ જ રહે છે.  

ગલીઓના રસ્તાનું રીસર્ફેસીંગ પણ સફાઈદાર હોતું નથી. તે પણ ગુણવત્તા વગરનું હોય છે. ગલીઓના રી-સરફેસીંગના કોંટ્રાક્ટ પણ નાના હોય છે. તેઓ ફક્ત નામપૂરતી ડામરવાળી કપચી ભભરાવી ગલીનું રીસરફેસીંગ કરી દીધું માને છે. એટલે ખાયકી તો આમાં પણ ફૂટપાથ જેવી જ હોય છે. ગલીની કિનારીઓ અને ગટરના ઢાંકણાવાળી જગ્યા તો તમારા ટાયરને ફાડી નાખે તેમ હોય છે. વચ્ચે જો ટેલીફોન કેબલવાળા કેબલ ફોલ્ટ શોધવા માટે ખાડા કરી ગયા તો તે તમારા સ્કુટરને સ્લીપ કરવા તૈયાર રહે છે. રોડ ઉપર પાઈપ લાઈન ના ખોદાણ કર્યા પછી તેનું રીસરફેસીંગ પણ એવું જ ગુણવત્તા વગરનું અને તે પણ અતિ-વિલંબને અંતે થાય છે.

આ બધાનો શું ઉપાય છે?

હાજી, સીસી કેમેરાઓની જોગવાઈના સોફ્ટવેરમાં એવી જોગવાઈ પણ કરી શકાય કે જે આ બધા સીવીલ કામનું નિરીક્ષણ થાય અને રેકોર્ડ પણ થાય. કોન્ટ્રાક્ટરના કામના બીલ સાથે આની ક્લીપ પણ અધિકારી એટેચ કરે જેમાં સ્પેસીફીકેશન, વર્ક ઓર્ડર, કામચાલુ કર્યાની તારીખ, કામ પુરું કર્યાની તારીખ, અને  ચૂકવણા વિષેની માહિતિ આપે. આ બધું શહેર સુધરાઈની વેબસાઈટ ઉપર ઓટોમેટિક આવે. જે નાગરિકને જોવું હોય તે જોઇ લે અને અધિકૃત કોપી જોઇતી હોય તો આરટીઆઈ હેઠળ અરજી કરીને માગે. જો તેને વેબસાઈટ અને અધિકૃત કોપીમાં ફેરલાગે તો તે આ વાત કમીશ્નરને જણાવે અને કમીશ્નર સાહેબ અધિકારી અને કોંટ્રાક્ટરને દંડિત કરે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ શહેર સુધરાઈ, કમીશ્નર, ગલી, રસ્તા, ગેટ, ફૂટપાથ, ગટર, રી-સરફેસીંગ, અધિકારી, હપ્તા, ક્વોટા, કોંન્ટ્રાક્ટર, ગુણવત્તા, સીસી કેમેરા, સોફ્ટવેર, પોલીસ, ટ્રાફીક, ગુન્ડા, દબાણ 

Read Full Post »

%d bloggers like this: