Feeds:
Posts
Comments

Posts Tagged ‘હક્ક’

જી.એસ.ટી.માં ચાંચ મારવી કે પૂંછડી?

જી.એસ.ટી.માં ચાંચ મારવી કે પૂંછડી?

સમાજશાસ્ત્રમાં ઇતિહાસ, રાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનો સમાવેશ થઈ જાય. જી.એસ.ટી. આમ તો અર્થશાસ્ત્રમાં આવે. જો તમે અર્થશાસ્ત્રી હો તો અર્થશાસ્ત્રના પરિપેક્ષ્યમાં ચર્ચા કરો. જો તમે રાજશાસ્ત્રી હો તો તેની રાજકીય પરિપેક્ષ્યમાં ચર્ચા કરો. ઇતિહાસકાર હો તો કદાચ તમે તેના અતિ લાંબાગાળાની અસરો વિષે ચર્ચા કરો. જો તમે સમાજશાસ્ત્રી હો તો તમે બધી જ ચર્ચા કરો અને એક પુસ્તક પણ કદાચ લખો. જો કે આ બધી ભેદરેખાઓ બહુ સુક્ષ્મ નથી એટલે તમે કદાચ તેનો લાભ લઈ શકો અને જેમ રાજશાસ્ત્રમાં ડૂબેલા કેટલાક લોકો પોતાની લુલીને (જીવ્હાને) બેફામ રીતે મૂક્ત વિહાર કરવા દે છે તેમ આપણા કેટલાક તંત્રીશ્રી દ્વારા જે તે ક્ષેત્રમાટે પ્રમાણિત કટારીયા (કોલમીસ્ટ), મૂર્ધન્યો પોતાની જીવ્હાને તેમની લેખિની દ્વારા વાચા આપે છે એટલે કે લખે છે.

વાચકોને શું વાંધો પડી શકે?

વાચકોને કોણ પૂછે છે? આપણા ભારતમાં તો જનતંત્ર છે એટલે બધા ભારતીયોને વાણીવિલાસનો જન્મસિદ્ધ અધિકાર છે. સમાચાર માધ્યમોના વિશ્લેષકો એટલે કે કટારીયા ભાઈ-બેનો પણ પોતાનો જન્મસિદ્ધ અધિકાર ભોગવી જ શકે છે. જો કોઈને વાંધો પડતો હોય તો તે, એક રૉટલો વધુ ખાય.

પણ વાત શી છે?

વાત જાણે એમ છે કે આપણે તો સામાન્ય માણસ છીએ, એટલે આપણે કોઈ વિષયમાં નિપૂણ થવું નથી. પણ જે તે વિષયના નિપૂણો જે કંઈ કહે (કે લખે) તે વાંચવું. જેથી આપણા સામાન્ય જ્ઞાનમાં વૃદ્ધિ થાય.

હમણાં હમણાં છાપાઓમાં જી.એસ.ટી.ને લગતું ઘણું બધું  આવે છે. સામાન્ય માણસ જો ધંધો ન કરતો હોય તો, તેને એટલો જ રસ તો હોય જ, કે કઈ વસ્તુ કેટલી મોંઘી થશે કે કેટલી સસ્તી થશે!

જો કે આમ તો અર્થશાસ્ત્રના માન્ય સિદ્ધાંત પ્રમાણે વિકસતા અર્થતંત્રમાં મોંઘવારી વધતી જ જાય છે એટલે જો આપણો દેશ વિકાસશીલ હોય તો આપણા દેશમાં મોંઘવારી તો વધશે. પણ આ મોંઘવારી કોઈ બીજું વધારાનું બહાનું ન શોધે તે જાણી લેવું સારું.

આપણા ડી.બી.ભાઈ (દિવ્યભાસ્કર સમાચાર પત્રવાળા) એક અગ્રગણ્ય છાપું છે. તેમાંના એક કટારીયાભાઈ ડૉ. હરિભાઈ (હરિભાઈ દેસાઈ) કે જેઓશ્રીને ડૉક્ટર હોવાના નાતે સંશોધક તો વાચકોએ ગણવા જ પડે અને તેથી ડી.બી.ભાઈ તેમના નામ નીચે સંશોધક ન લખે તો પણ ચાલે. પણ લખવું સારું કે જેથી કોઈ તેમને “જેવા તેવા” ન સમજે. આ ઉપરાંત હરિભાઈ વિશ્લેષક પણ છે. જો કે સંશોધનનો એક હિસ્સો વિશ્લેષણ પણ હોય છે. વિશ્લેષણનું કામ વિભાગીકરણ અને નામકરણ હોય છે. આ માટે જે તે ક્ષેત્રની નિપૂણતા હોય તો “આઈટેમ”ના ગુણધર્મો સમજી શકાય, અને તેને આધારે વિશ્લેષણ થઈ શકે. હવે આમાં ત્રીજું એક પ્રમાણ પત્ર ઉમેરો એટલે જો કશું આડું અવળું લખાઈ જાય તો ક્ષમ્ય ગણાય. આ પ્રમાણપત્ર છે પત્રકારિત્વનું પ્રમાણપત્ર “પત્રકાર”. એટલે કે “સબ બંદરકા બ્યાપારી”. બંદર એટલે “પૉર્ટ”. વાંદરો નહીં, પણ કૂદાકૂદ કરવાની છૂટ્ટી. એટલે કે “એક વિષય ઉપરથી તે વિષયની વાતને અધૂરી રાખી, બીજા વિષય ઉપર કૂદવું” તેમ સમજવું.

આપણે મુખ્ય વિષય પર આવીએ.

વિષય છે “જી.એસ.ટી.”. કાટારીયા ભાઈ છે ડૉક્ટર, એટલે કે સંશોધક. એટલે વાચકોની સામાન્ય ધારણા હોય કે “જી.એસ.ટી.” ની “ભારતીય અર્થતંત્ર ઉપર કઈ કઈ રીતે કેવી કેવી અસરો પડશે” તે વિષે જાણવા મળશે.

આ જી.એસ.ટી. શું છે?

જી.એસ.ટી. એટલે ગુડઝ(માલ) અને સેવા (સર્વીસ) ઉપર ટેક્સ(કર).  આ ટેક્સને ટૂંકમાં “યુનીફાઈડ ટેક્સ થીએરી(થીએરીને બદલે સીસ્ટમ કહેવું ઠીક રહેશે. સીસ્ટમ=પ્રણાલી)” એમ કહી શકાય. ભૌતિકશાસ્ત્રમાં જેમ “યુનીફાઈડ ફીલ્ડ થીએરી છે અને આ ફીલ્ડ થીએરી બધાં જ ફિલ્ડ પરિબળોની અસરને એક જ સમીકરણમાં કેવીરીતે દર્શાવી શકાય તેની ચર્ચા કરતી અને પ્રતિપાદન કરતી થીએરી છે. તેમ સરકારના બધા ટેક્સ ને એક જ નામ રુપી ટેક્સમાં સાંકળી લેવા તે ટેક્સને જી.એસ.ટી. નામ આપવામાં આવ્યું છે. જો કે આયકર (ઈન્કમટેક્સ)ને આમાં આવરી લેવામાં આવ્યો નથી. એમ તો યુનીફાઈડ ફીલ્ડ થીએરીમાં ગુરુત્વાકર્ષણને આવરી લેવાયું ન હતું. પણ પછી રામનુજમના સમીકરણની ખૂબી સમજાતાં ગુરુત્વાકર્ષણને આવરી લેવામાં આવ્યું હતું. રામાનુજમના સમીકરણને માન્યતા મળી. ભવિષ્યમાં આયકરને નાબુદ કરવામાં આવશે તે શક્યતા નકારી ન શકાય. પણ એ વાત જવા દો.

વાચક એમ માનતો હોઈ શકે કે આ લેખમાં જી.એસ.ટી.ની અસરો વિષેનું લગતું કંઈક હશે.

“હરિ ૐ”

“હરિ ૐ”નું રહસ્ય તમે સમજતા હશો. ન સમજતા હો તો સમજો. હરિ એટલે વિષ્ણુ ભગવાન. ૐ એટલે “પ્રથમ તત્ત્વ” એટલે કે મૂળભૂત તત્વ, પરમતત્ત્વ, બ્રહ્મ કે પરમબ્રહ્મ. હવે જે હરિ છે એમને તો સર્વપ્રથમ માનવાના છે. હરિની પહેલાં કશું હોઈ ન શકે. એટલે ૐથી પણ પહેલાં હરિ ને માનવાના. માટે ૐ ને પહેલાં નહીં બોલવાનો. એટલે કે “ૐ હરિ” ન બોલાય. હરિ ૐ” બોલાય.

તેવી જ રીતે આપણા કટારીયા “હરિભાઈ દેસાઈ” નો પૂર્વગ છે ડૉક્ટર. એટલે કે હરિભાઈ સંશોધક પહેલાં છે અને પછી પત્રકાર છે એમ વાચક ધારણા રાખી શકે. પણ વાચક આમાં “ખાંડ ખાય છે”.

ઘણા પત્રકારોનો એજંડા અલગ હોય છે. આપણા કટારીયા ભાઈનો એજંડા પણ અલગ હોઈ શકે છે. એજંડા કંઈક આવો છે.

CONVERT OBSTRUCTIONS INTO OPPORTUNITY

સાલુ ….. આ મોદીએ તો ભારે … ઘાણી કરી ….

જી.એસ.ટી. લાગુ કર્યું અને તે પણ અડધી રાત્રે અને વળી પાછા આઝાદી એટલે કે “અડધી રાત્રે આઝાદી” સાથે તેને સરખાવે છે.

મુખ્ય વાંધો તો એ છે કે જી.એસ.ટી.ના અમલની અડધી રાત્રે ઉજવણી ગોઠવવામાં આવી. વળી આ ઉજવણીને આર્થિક આઝાદીના દિવસ તરીકે સંસદના સેન્ટ્રલ હોલમાં ઉજવવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. તો હવે આનો વિરોધ કેવી રીતે કરવો?

“જીભ હાબદી તો ઉત્તર ઝાઝા”

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની જીભ તો હાબદી (હાબદી=સાબદી, સજ્જ, તૈયાર) જ હોય છે. નવરા ધૂપ હોવું એ પણ એક “હાબદાઈ”નું પરિબળ બને છે. નહેરુવીયન કોંગ્રેસના સાંસ્કૃતિક સાથીઓ પણ નહેરુવીયન કોંગ્રેસીઓથી ઉણા ઉતરે એવા નથી, કારણ કે તેમનો એજંડા પણ એ જ છે કે “મોદી”ને કોઈ ખ્યાતિ ન મળવી જોઇએ. એટલે જે કોઈ બનાવ હોય તેનો જો મોદી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખ્યાતિ માટે ઉપયોગ કરતો હોય અથવા આપોઆપ થઈ જતો હોય તો તે બનાવને વિવાદાસ્પદ બનાવી દો અને ચર્ચા “વિશ્લેષણાત્મક” બનાવવાને બદલે આડે પાટે ચડાવી દો.

કોઈ એક બનાવને ચર્ચા તરીકે જોવો હોય તો ચર્ચાના મુદ્દાની સકારાત્મ અને નકારાત્મક એમ બંને અસરો વિષે લખવું જોઇએ અને ગુણદોષ જોવા જોઇએ. જે પરિબળ/પરિબળોનો મહત્તમ સરવાળો વધુ પ્રભાવકારી હોય તેના આધારે નિષ્ક્રર્ષ ઉપર પહોંચવું જોઇએ. પણ કટારીયાભાઈનો આવો શૈક્ષણિક એજંડા નથી તે આપણે જાણીએ છીએ. એટલે તેમણે જી.એસ.ટી. ને રાજકીય આઝાદીની સાથેની સરખામણીને ખોટી ઠેરવી.

ચંદ્રમુખી નારાજ થઈ

એક કવિએ એક સ્ત્રીને ચંદ્રમુખીની ઉપમા આપી એટલે તે સ્ત્રી નારાજ થઈ ગઈ.

તે સ્ત્રી શા માટે નારાજ થઈ ગઈ?

ચંદ્રની સપાટી તો ખાડાખડિયા વાળી છે. તે સ્ત્રીને પોતાના મુખારવિંદને ખાડાખડિયાવાળું કહેવાય તે ગમ્યું નહીં.

હવે જો આપણે સરખામણી વિષે આવી રીતે વિચારીએ તો કોઈ પણ સરખામણી થઈ જ ન શકે. ઉપમા નામનો અલંકાર જ નષ્ટ કરી દેવો પડે. જે કવિએ સરખામણી કરી હતી તેમાં સૌદર્ય ની સરખામણી હતી. નહીં કે ચંદ્રની વાસ્તવિક સપાટીની સરખામણી. ધારો કે કોઈ કહે કે અમિત શાહ  તો ચાણક્ય  છે. તો બીજો કહેશે કે પણ અમિત શાહને ચોટલી ક્યાં છે? ચાણક્યને તો ચોટલી હતી. જો આપણે ઉપમા અને ઉપમેયના ભેદ જોવા માંડીએ તો ભેદની સંખ્યા જ વધી જાય. બધી વસ્તુઓ તો મળતી આવે જ નહીં.

આર્થિક ક્રાંતિ

જી.એસ.ટી. ને આર્થિક ક્રાંતિ તરીકે ઓળખવવામાં આવી. ૧૫મી ઓગષ્ટ એ એક રાજકીય ક્રાંતિ હતી. રાજકીય ક્રાંતિ થકી આર્થિક ક્રાંતિ આવી શકે ખરી પણ આર્થિક ક્રાંતિ આપોઆપ ઉત્પન્ન થઈને રાજકીય ક્રાંતિની પાછળ પાછળ આવતી નથી. આર્થિક ક્રાંતિને લાવવી પડે છે. આર્થિક પ્રણાલીઓ બદલવી પડે છે. આર્થિકક્રાંતિનું એક મહત્વનું પરિબળ કર માળખું પણ છે. તેને બદલવામાં આવ્યું. કર (ટેક્સ)ને ભાવ સાથે સંબંધ છે. કર બદલાય એટલે ભાવ પણ બદલાય. અને આ કામ તો શૂન્યકાળથી અમલમાં આવે તેમ કરી શકાય. જેમ પેટ્રોલના ભાવ રાત્રે શૂન્યકાળે જ બદલવામાં આવે છે.

ટૂંકમાં આ આર્થિક કર-પ્રણાલી જુલાઈમાસના પ્રારંભથી (પહેલી તારીખ શૂન્યકાળથી) અમલમાં મૂકવામાં આવી અને તેને માટે મોટા દેકારા પડકારા કરવામાં આવ્યા તે બરાબર નથી એમ આપણા કટારીયાભાઈ માને છે. તેમને હિસાબે આ બધું ચૂપચાપ થવું જોઇએ.

જો કે નહેરુવીયન કોંગ્રેસના એક ફરજંદે તો કટોકટી ૨૬મીના શૂન્યકાળથી અમલમાં મૂકી હતી. તેમાં એવી જોગવાઈ હતી કે શાસકની સામેના વિરોધને શાસનનો વિરોધ ગણવામાં આવશે અને શાસનનો વિરોધ દેશની સામે બળવાના રુપમાં જોવામાં આવશે. અને આવી શંકા પણ દંડને (કારાવાસને) પાત્ર થશે. અને નિયમ પાછલી તારીખથી ગણવામાં આવશે. એટલે કે વિદ્યમાન વ્યક્તિએ (જીવતી વ્યક્તિએ) ૨૬મી જુન ૧૯૭૫, ની પહેલાં કરેલા આવા કામોને પણ ગુનાઈત ગણવામાં આવશે. એટલે જ તો જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, અટલબિહારી બાજપાઈ, મધુ લીમયે વિગેરે હજારોને તેમના તથા કથિત ૨૬મી જુન ૧૯૭૫ની પહેલાં કરેલા નિવેદનોને દેશની સામે બળવો કરવા માટે ઉશ્કેરણીવાળા છે તેમ અર્થઘટિત કરવામાં આવેલ. અને આ બધા લોકોને અનિયતકાલ માટે જેલમાં પૂરવામાં આવેલ.

જો કે બધા શાસકો ગાંડું ન કાઢે. પણ ઈન્દિરા ગાંધી નામના નહેરુવીયન ફરજંદને આવી, પૂર્વ-પ્રભાવી (પૂર્વેના દિવસોથી અમલમાં આવે) કાયદાઓ બનાવવાની આદત હતી. જો કે અત્યારે આ ચર્ચાનો વિષય નથી તેથી  તે વાત આપણે હાલ નહીં કરીએ. પણ તે શાસકના જ અનુગામીઓ, જ્યારે શાસક કાયદેસરની માન્ય પ્રણાલીઓને આગામી નિશ્ચિત તારીખથી અમલમાં મૂકે, તેમાં શો વાંધો હોય તે સમજી શકાતું નથી.

નવી પ્રણાલીને શા માટે ઉજવવી?

આપણા કટારીયા ભાઈ કહે છે કે “ … નવી પ્રણાલીને ઉજવવી અને તેને માટે ખાસ સંસદ-સત્ર બોલાવવું અને રાષ્ટ્રપ્રમુખ પાસે રાત્રે શૂન્ય કલાકે ડંકો વગાડાવવો એ બધું પ્રસિદ્ધિ કાજેનું અંધાનુકરણ છે”.

“અંધાનુકરણ” એ શબ્દ પ્રયોગ સમજાય એવો નથી. જો આનો અર્થ “આંધળું અનુકરણ” ગણીએ તો “કોનું અનુકરણ” પ્રશ્ન ઉભો થાય. તે ઉપરાંત જેનું અનુકરણ કરવામાં આવ્યું તે કર્તાએ જે હેતુને બર લાવ્યો હતો એટલે કે સાધ્યો હતો, તે હેતુ અહીં બર આવ્યો નથી. પણ લોલં લોલ કરીને વ્યંઢ અનુકરણ કરવામાં આવ્યુ છે.

“અંધાનુકરણ”નો સચોટ દાખલો જોઈતો હોય તો તે આ છે.

નરેન્દ્ર મોદીએ ”ચાય પે ચર્ચા” એવું આયોજન કર્યું. એટલે આપણા નહેરુવીયન ફરજંદે “ખાટપે ચર્ચા”નું આયોજન કર્યું. આ અનુકરણને અંધાનુકરણ કહી શકાય કારણ કે “ખાટપે ચર્ચા”નું શું થયું તે આપણે સૌ જાણીએ છીએ.

“સંસદ”નો ઉપયોગ રાજકારણ માટે ન થવો જોઇએ તેવું પણ આપણા કટારીયાભાઈનું કહેવું છે. જો કે આ વાત આમ તો હાસ્યાસ્પદ લાગે છે. નહેરુવીયન ફરજંદે તો “અમે તો સંસદ ચાલવા જ નહીં દઈએ” એમ કહ્યું હતું. ગયે વરસે રાજસભા ઠપ જ થઈ ગયેલી. લોકસભા પણ નહેરુવીયન કોંગ્રેસે અને તેના સાંસ્કૃતિક સાથીઓએ અવારનવાર ખોરવી દીધેલી. એ પણ એટલી હદ સુધી કે તેઓ ખુદ જનતામાં બદનામ થઈ ગયેલ.

બીજેપીવાળા પણ જ્યારે વિપક્ષમાં હતા ત્યારે તેઓએ પણ આવું  કરેલ તેમ હાલના વિપક્ષોનું કહેવું છે પણ જો તમે વિગતો જોશો તો ખ્યાલ આવશે કે પૂર્વનો વિપક્ષ, પ્રશ્નોના ઉત્તર માગતો હતો અને પૂર્વનો શાસક પક્ષ ઉત્તરો આપતો નહતો. જ્યારે હાલનો વિપક્ષ, શાસક પક્ષના ઉત્તરોને સાંભળવાની વાત તો બાજુ પર મૂકો પણ તે તો શાસક પક્ષને સાંભળવા માગતો જ ન હતો. હાલનો વિપક્ષ તો પોતે પ્રશ્ન પૂછવા કે ચર્ચા કરવા તૈયાર જ ન હતો. હાલના વિપક્ષનું ધ્યેય તો તેના નહેરુવીયન કોંગ્રેસના ફરજંદે કહ્યા પ્રમાણે સંસદ જ ન ચાલે તે જ હતું. તો હે કટારીયાભાઈ, “અમે સંસદ ચાલવા જ નહીં દઈએ” એ વાતને “રાજકારણ” નહીં કહો તો શું કહેશો?

નહેરુવીયન કોંગ્રેસ અને તેના અમુક સાંસ્કૃતિક સાથીઓએ તો સંસદને રાજકારણનો અખાડો બનાવ્યો છે. ઈન્દિરા ગાંધી જ્યારે એક વખત વિપક્ષમાં હતી ત્યારે કહ્યું હતું કે શાસકનો વિરોધ કરવો એ અમારો ધર્મ છે અને અમે એમ જ કરીશું. તે વખતના સમાચાર માધ્યમોએ તાલીઓ પાડી હતી. ટૂંકમાં કટારીયાભાઈની માનસિકતા એમ છે કે “જો શાસક, સંસદમાં સારું કામ કરે તો તેને રાજકારણ કર્યું એમ કહેવાય અને ખરાબ કામ કરે તો શાસન કર્યું કહેવાય. અને બીજેપીએ સારા કામોનું રાજકારણ ન ખેલવું જોઇએ.” કટારીયાભાઈનું આવું અવલોકન “અહો ! વૈચિત્ર્યમ્‌ !!” લાગતું નથી શું?

નો ક્રેડીટ ટુ નરેન્દ્ર મોદી

આપણા કટારીયાભાઈને “જી.એસ.ટી.” ના અમલના મુદ્દે નરેન્દ્ર મોદી સરકાર “ક્રેડીટ” લઈ જાય તે પસંદ નથી. કારણ કે નરેન્દ્ર મોદી તે માટે હક્કદાર નથી. હક્કદાર એટલા માટે નથી કે નરેન્દ્ર મોદીએ જ જી.એસ.ટી. વિધેયકનો વિરોધ કરેલો અને તે પણ ત્યારે કે જ્યારે અટલ બિહારી બાજપાઈની સરકાર હતી અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. જો પોતાના પક્ષની જ સરકાર હોય અને જો કોઈ મુખ્ય મંત્રી તેનો વિરોધ કરે ત્યારે સમજવું જ જોઇએ કે વિરોધમાં કંઈક તથ્ય સમાયેલું છે અને તે એ કે જી.એસ.ટી.નું વિધેયક ક્ષતિપૂર્ણ રહ્યું હોઈ શકે. કટારીયા ભાઈએ સમજવું જોઇએ કે હાલનું જી.એસ.ટી. વિધેયક, બાજપાઈની સરકારે રજુ કરેલા જી.એસ.ટી.  વિધેયકની “કાર્બન કોપી” નથી. એટલું જ નહીં, હાલનું જી.એસ.ટી. વિધેયક, નહેરુવીયન કોંગ્રેસની સરકારે રજુ કરેલા જી.એસ.ટી. વિધેયકની પણ કાર્બન કોપી નથી. ત્રણે બીલના પ્રાવધાનો ભીન્ન ભીન્ન છે.

હાલનું વિધેયક  સર્વે પક્ષોના વિચાર વિમર્શના “સમૂદ્ર મંથન”ની નીપજ છે. નહેરુવીયન કોંગ્રેસની સરકારે આવું કશું કર્યું ન હતું. “જી.એસ.ટી. સંકલન સમિતિ” જેવું કશું રચ્યું ન હતું. નહેરુવીયન કોંગ્રેસે તો “ગર્ભ ધારણ” વગરની પ્રસૂતિની પીડા જ જન્માવી હતી. જે કામ નરેન્દ્ર મોદીની સરકાર ત્રણ વર્ષમાં કરી શકી હતી તે કામ લાબાંગાળાનો શાસનનો અનુભવ ધરાવતી નહેરુવીયન કોંગ્રેસ દશવર્ષેય કરી શકી ન હતી. કારણ કે તેની દાનત જ ન હતી. નહેરુવીયન કોંગ્રેસની અંદર જ “બાર પુરબીયા અને તેર ચોકા” જેવી સ્થિતિ હતી. એટલે કટારીયાભાઈએ સમજવું જોઇએ કે નરેન્દ્ર મોદીનો બાજપાઈ સરકારના જી.એસ.ટી. વિધેયકનો વિરોધ નિરર્થક ન હતો. નહેરુવીયન ફરજંદ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીમાં જમીન આસમાનનો ફેર ઉડીને આંખે વળગે તેવો છે.

જો આપણા કટારીયાભાઈ ધાર્યું હોત તો બાજપાઈની સરકારની જી.એસ.ટી. વિધેયક પસાર કરવાની નિસ્ફળતાને ઉજાગર કરી શક્યા હોત. પણ તેમણે તે કર્યું નથી તે સુષ્ઠુ જ છે. બાજપાઈને ભારતની ત્રણ સ્ત્રીઓ(માયા, મમતા, જયા)એ બહુ કનડ્યા હતા અને તે ત્રણેય સ્ત્રીઓ પોતાનો સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેવાની ધમકીઓ, નાના નાના મુદ્દાઓ ઉપર પણ આપ્યા જ કરતી હતી.

નરેન્દ્ર મોદી એ બાજપાઈ નથી. નરેન્દ્ર મોદી એ મનમોહન નથી. નરેન્દ્ર મોદી એ રાહુલ ગાંધી તો હોઈ જ ન શકે. રાજસભામાં બહુમતિ ન હોવા છતાં પણ જી.એસ.ટી. વિધેયક પસાર કેવી રીતે કરાવવું તે નરેન્દ્ર મોદી જાણે છે. અને આ જી.એસ.ટી. વિધેયકને લાગુ કરવાની ઘટનાને ઉજવવી તેમાં પણ નરેન્દ્ર મોદીની ગણત્રીઓ છે. જો કેટલાક સુજ્ઞ જનોને આ વાત ન સમજાય તો તે સંશોધનનો વિષય છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ   જી.એસ.ટી., વિધેયક, રાજસભા, લોકસભા, સંસદ, સેન્ટ્રલ હૉલ, અર્થશાત્રી, રાજકીય, શાસન, શાસક, ઇતિહાસકાર, સમાજશાસ્ત્રી, તંત્રીશ્રી, મૂર્ધન્ય, રાજ્યશાસ્ત્ર, કટારીયા, ડૉક્ટર, વાણીવિલાસ, જન્મસિદ્ધ, હક્ક, અધિકાર, સમાચાર માધ્યમ, વિશ્લેષક, સંશોધક, ડી.બી.ભાઈ, દિવ્યભાસ્કર, ૐ, હરિ ૐ, હરિભાઈ દેસાઈ, જનતંત્ર, નિપૂણ, જેવા તેવા, નહેરુવીયન કોંગ્રેસ, ફરજંદ, ઈન્દિરા ગાંધી, સમીકરણ, યુનીફાઈડ ટેક્સ થીએરી, સાંસ્કૃતિક સાથી, વિવાદાસ્પદ, ચંદ્રમુખી, મુખારવિંદ, અમિત શાહ, ચાણક્ય, ચોટલી, ઉપમા, ઉપમેય, ક્રાંતિ, આર્થિક, નરેન્દ્ર મોદી, શૂન્યકાળ, પ્રણાલી, અંધાનુકરણ, હાસ્યાસ્પદ

 

Read Full Post »

નહેરુવીયન કોંગ ઊંટ કહે આ સમામાં …. ભાગ – ૨

આમ તો નહેરુવીયન કોંગ્રેસનો એકડો ભૂંસાઈ જવાની અણી ઉપર છે. પણ આ કોંગ્રેસે લગભગ છ દાયકા ભારત ઉપર રાજ કર્યું અને તેમાં પણ ૩૦ વર્ષ નિરપેક્ષ બહુમતિથી તથા બે વર્ષ સરમુખત્યારીથી અને બાકીના વર્ષ બહુમતિથી રાજ કર્યું. એટલે તેને હુકમ કર્યા વગર નવરા બેસવું ગમે નહીં. આમ તો તેની પાસે સાતપેઢી તો શું સીત્તેર પેઢી સુધી ચાલે તેટલા પૈસા છે. સત્તામાં રહેવાથી જે ધન સંચયમાં વૃદ્ધિ થયા કરતી હતી તે અટકી ગઈ તેનું તેને દુઃખ ખરું. તે દુઃખને ભૂલવા માટે તેણે કંઈક તો કરવું જ જોઇએ.

પૈસા હાથવગા હોય તો શું અશક્ય છે?

૭૦ પેઢી કોણે જોઇ છે? નહેરુ, જોકે આમ તો પોતાને બ્રાહ્મણ તરીકે પરોક્ષ રીતે પોતાની ઓળખ આપતા હતા પણ બ્રાહ્મણીય પ્રણાલીથી ઉંધું તેમને બાર પેઢી તો શું પાંચ પેઢીના નામ પણ ગોત્યા જડતા ન હતાં (બ્રાહ્મણોમાં દશથી બાર પેઢી સુધી યાદ રાખવું જરુરી મનાય છે. જુઓ મારી પેઢીઓ). એટલે ૭૦ પેઢીની ચિંતા કરવાની જરુર નથી એમ વિચારી સમાચાર માધ્યમોને સાધ્યા હતા. અને આ પ્રમાણે કદાચ પાયો બનાવ્યો.

સમાજવાદી (સામ્યવાદી) વિચારધારાવાળાઓ માટે પ્રચાર લીલા એ મહત્વનું શસ્ત્ર છે. ક્રુશ્ચોવે નહેરુને આ બાબતનો એકડો ઘુંટાવેલો. સમાજવાદી વિચારધારા રાખવી, તે જમાનાની ફેશન હતી. નહેરુએ તો નિરપેક્ષ બહુમતિથી રાજ કરેલ કારણ કે તેમના કરતાં તેમની ટીમ વધુ જોરદાર હતી. જે ખાતાં નહેરુએ પોતાના હસ્તક રાખેલા તેમાં તો તેમણે ભાંગરો જ વાટેલો જેના પરિણામો આપણે આજે પણ ભોગવીએ છીએ.

પ્રચારલીલા કરવાની જરુર ઇન્દિરા ગાંધીને પડેલી.

લોકશાહી એ કોઈ નિરપેક્ષ વ્યવસ્થા નથી. લોકોનો શાસક ઉપરનો કાબુ જેટલો વધુ તેટલી લોકોની શક્તિ વધુ કહેવાય. પણ શાસકો ઉપર કાબુ ધરાવતા લોકોમાં “તૂંડે તૂંડે મતિર્ભીન્ના” એવું હોય છે. એટલે બધાના અભિપ્રાયો જુદા જુદા હોય છે.

જનતામાંના મોટા ભાગનાઓને એકમત કરવા માટે તેના પરિબળોને સમજવા જરુરી હોય છે.

જો શાસક, લોકોમાં વિશ્વસનીય થાય તો શાસક જે અભિપ્રાય ધરાવે તે મોટે ભાગે જનતામાં સ્વિકાર્ય બને. આ વિશ્વસનીયતા ત્યારે જ આવે જ્યારે શાસક અન્ન, વસ્ત્ર અને રહેઠાણની વ્યવસ્થામાં સુધાર લાવે. આ માટે શિક્ષણનો પ્રસાર, કામની તકો અને માળખાકીય સુવિધાઓ વધવી જોઇએ. આ માટે શાસકે દૃઢ સંકલ્પવાળા, કુશળ અને નીતિમાન બનવું પડે. પણ જો વ્યક્તિ કે તેનો એક નાનો સમૂહ કોઈ ખાસ મહેનત વગર જ સત્તા ઉપર આવી જાય ત્યારે તેને મુશ્કેલીઓ પડે. આ મુશ્કેલીઓ ચૂંટણી સ્વરુપે આવે છે.

મુડીવાદી લોકશાહી અને સમાજવાદી (સામ્યવાદી) લોકશાહી

મુડીવાદી લોકશાહી અને સમાજવાદી લોકશાહી એ બંને વિષે સામાન્ય વ્યક્તિને ખાસ ફેર પડતો નથી સિવાયકે તે પોતે શાસનનો હિસ્સો બને.

મૂડીવાદી લોકશાહી એ સરખામણીમાં પારદર્શી છે. તે ઉપરાંત અભિવ્યક્તિની પૂરી છૂટ છે સિવાય કે કોઈની અંગત સ્વતંત્રતા જોખમાતી હોય.

સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં મોટેભાગે બધું અપારદર્શી હોય છે.

મુડીવાદી લોકશાહીમાં પક્ષો ખુલ્લી રીતે જોઈ શકાય છે. આ પક્ષો ખૂલ્લી રીતે એકબીજા સામે અથડાય છે. સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં પણ પક્ષો હોય છે પણ તે અપારદર્શી હોય છે. તેઓ પક્ષની અંદર જુથ તરીકે ઓળખાય છે.  એટલે જેઓ માં’ય પડ્યા છે તેઓ જ આ જુથોને જોઈ શકે છે. અને નથી પણ જોઈ શકતા એવું પણ બને છે.

મુડીવાદી લોકશાહીમાં નેતાઓ કાયદેસર સુખ માણે છે, અને ગેરકાયદેસર રીતે મહાસુખ માણે છે. તેથી જ્યારે તેમની ગેરકાયદેસરતા પકડાઈ જાય ત્યારે તેઓ શાસનમાંથી ફારેગ થાય છે. સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં નેતાઓ જેઓ “માં’ય” પડ્યા છે તેઓ જ મહાસુખ માણે છે.  સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં શાસન સત્તામાંથી ફારેગ થવા માટેનો કોઈ માપદંડ નથી.

એટલે આ બંને કહેવાતા વાદમાં સામાન્ય માણસ માટે ખાસ ભેદ હોતો નથી. જે લોકશાહીમાં સત્યનો આદર થાય એવી પ્રણાલી સ્થપાય તેને વાસ્તવમાં લોકશાહી કહેવાય.

સત્યનો આદર ક્યારે થાય?

જો માહિતિ ઉપલબ્ધ હોય તો, સંવાદ થાય. સંવાદ થાય તો ચર્ચા શક્ય બને. ચર્ચા શક્ય બને તો સત્ય પરખાય.

પણ માહિતિ ઉપલબ્ધ કેવી રીતે થાય?

જો વહીવટમાં પારદર્શિતા હોય તો માહિતિ ઉપલબ્ધ થાય.

આ પ્રમાણે માહિતિનો અધિકાર લોકશાહી સાથે એકરુપ થયેલો અને સહજ (સાથે જન્મેલો) અધિકાર છે. જો તમે કોઈને એક કામ માટે નિયુક્ત કર્યો હોય અને તેનું મહેનતાણું પણ નક્કી કર્યું, તો તમારો એ જાણવાનો કુદરતી હક્ક છે કે તમે સોંપેલું કામ તે કેવી રીતે કરશે અને કેવી રીતે કર્યું. તમે એક નોકર રાખ્યો અને તેને શાક લાવવા માટે મોકલ્યો, તો તમારો એ પૂછવાનો હક્ક છે કે તે શાક લેવા કેવી રીતે ગયો, ક્યાં ગયો, કેટલું શાક કયા ભાવે લીધું અને કેવું લીધું? આને માટે કોઈ કાયદાની જરુર નથી. તેવી રીતે માહિતિ અધિકાર માટે જુદા કાયદાની જરુર નથી.

શાસક ઉપર નજર કોણ રાખી શકે?

શાસક ઉપર જનતા નજર રાખી શકે. આ માટે સરકારે કેટલીક માહિતિ “ઓન લાઈન” રાખેલી છે. બીજેપી શાસિત રાજ્યોમાં આ દિશામાં ઘણી પ્રગતિ થઈ છે. જનતાભિમુખ લોકશાહીની દિશામાંનું આ એક મહત્વનું પગથીયું છે. દિશા સાચી છે, પણ આ બાબતમાં મજલ બહુ લાંબી છે. સમયનો સવાલ છે.

આ સમય દરમ્યાન શું થઈ શકે?

આ જવાબદારી  નિભાવવાની જવાબદારી વિરોધ પક્ષની છે. કારણ કે તે પણ વેતન તો લે જ છે.

ધારો કે એક શેઠે એક નોકર રાખ્યો. શેઠે તેને કહ્યું “જા લઈ આવ”

નોકરે કહ્યું “શું લાવું?”

શેઠે કહ્યુઃ “સામા સવાલો કરે છે? કહ્યું ને કે જા લઈ આવ.”

નોકરે કહ્યું; “અરે પણ એ તો કહો કે શું લાવું?”

શેઠે કહ્યું; “જા તને નોકરીમાંથી છૂટો કરીએ છીએ”

નોકરે કહ્યુઃ “અરે પણ મારો કોઈ ગુનો?”

શેઠે કહ્યુઃ “તું કામ નથી કરતો …. માટે તને દંડ રુપે ફારેગ કરવામાં આવે છે”

લોકશાહીમાં તમે શેઠ છો. તમે બે નોકર રાખ્યા. એક નોકર જે વધુ હોશિયાર અને કુશળ લાગ્યો તેને તમે બધું કામ કરવાનું સોંપ્યું (જેમકે બીજેપી). અને બીજા નોકરને એ કામ સોંપ્યું કે તે બધું જુએ અને તમને જણાવે (જેમકે નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓને જનતાએ બીજા નોકર તરીકે રાખ્યા છે).

શરુઆતમાં તમે આ બીજા નોકરને “કામ કરવાનું” કામ સોંપેલ. પણ તે નપાવટ નિકળ્યો. તે પૈસા ચાઉં કરી જતો હતો. તમારા પૈસે તમારા કરતાં લાખ ગણો પૈસાદાર થઈ ગયો. તે હમેશા સિફત પૂર્વક ખોટું બોલતો હતો. મોટે ભાગે તો કામ જ ન કરે. પાડોશીઓ સાથે અને પાડોશી નોકરો સાથે ઝગડા કરે અને ચોરટા નોકરો સાથે મળીને તમને ખાલી કરવાના પ્લાન કરતો હતો, અને તમને પારાવાર નુકશાન પણ પહોંચાડતો હતો. જ્યારે તેની નોકરીને રીન્યુ કરવાનો સમય આવે ત્યારે પ્રપંચ કરીને આ નોકર, જે નોકર “કામ કરવાનું “ પદ લેવા ઉત્સુક હોય તેની વિષે અફવાઓ એવી સિફત પૂર્વક તમારી આગળ ફેલાવતો કે તમારી પાસે ઓછી માહિતિ હોવાથી તમે, “મેલ કરવત મોચીના મોચી” જેવું કરતા. તમે ઘણું દરગુજર કરેલું. સુદૂરના વિદેશીઓ તમારી મૂર્ખતાથી અને અજ્ઞાનતાથી આશ્ચર્ય પામતા. તમારી આબરુના અને તમારા ઘરની આબરુના કાંકરા થઈ ગયેલા.  એક વખત તો આ નોકરે તમને ૧૮ માસ સુધી એક કમરામાં પૂરી દીધેલ કે તમે સૂર્યનો પ્રકાશ પણ ન જોઇ શકો. ૬૦ વર્ષેને અંતે તમે ત્રસ્ત થઈને આ નોકરને કામ કરવામાંથી ફારેગ કર્યો.

લોકશાહીમાં તમે એક વ્યક્તિ નથી. તમે તો અનેક છો. એટલે પરિસ્થિતિ એવી થઈ કે પેલા નપાવટ નોકરને તમારે પેલા કુશળ નોકર ઉપર નજર રાખવાનું કામ સોંપવું પડ્યું. હવે તો તેને પેલા કામગરા નોકરને વગોવવા સિવાય કશું કામ જ ન રહ્યું. હા એક વાત ખરી કે તે ગેરકાયદેસર પૈસા બનાવતો અટકી ગયો. મહાત્મા ગાંધીએ તો તમને ચેતવ્યા જ હતા. પણ તમે ક્યાં સમજી શકો તેમ હતા !! તમે તો વિભાજિત હતા અને આ નોકરે તમને વધુ વિભાજિત કરેલ.

હવે તમે જુઓ કે શું થાય છે !!

ન્યાયાલયમાં એક કેસ આવ્યો.

હજી દાખલ થયો નથી.

વકિલાત નામુ રજુ કર્યું છે કે નહીં તેની ખબર નથી.

ફરીયાદી કહે છે કે “અ” સામે મારો આરોપ છે કે તે ચોર છે અને નીતિભ્રષ્ટ છે.

ન્યાયધીશ કહે છે. ઓકે. લાવો તમારી ફરીયાદ.

ફરીયાદી કહે છે “ફરીયાદ હું પછી આપીશ. તમે પહેલાં આ આરોપીને દંડિત કરો”

ન્યાયાધીશ કહે છે; “ અરે ભાઈ, આરોપીને દંડવા માટે તમારે પહેલાં ફરીયાદ તૈયાર કરવી પડે. તેમાં તમારે વિગતો લખવી પડે. તમારી વિગતો મારે જોવી પડે. મને પ્રાથમિક રીતે લાગવું જોઈએ કે આ ચલાવવા જેવો કેસ છે. પછી મારે આરોપીને નોટીસ આપવી પડે. એનો જવાબ લેવો પડે. પછી કેસ ચલાવવો પડે. સામસામી દલીલો થાય. એ પછી જ મારાથી ન્યાય કરી શકાય.

ફરીયાદી કહે છે. “ ના સાહેબ. એ બધું પછી કરજો. પહેલાં તમે આરોપીને સજા કરો. આવું નહીં કરો તો હું તમારી કોર્ટ ચાલવા નહીં દઉં.”

ન્યાયાલયમાં જજ શું એમ કહેશે કે હા ચાલો, હું તેને જેલમાં પૂરી દઉં છું. પછી નિરાંતે આપણે કેસ ચલાવીશું?

નાજી ન્યાયધીશ એવું નહીં કહે.

પણ આ આપણા નહેરુવીયન કોંગી નેતાઓ એવું કહેશે.

તેમણે કહ્યું

“પહેલાં વસુંધરા રાજે મુખ્ય પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં સ્મૃતિ ઇરાની પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં શિવરાજ પાટીલ મુખ્ય પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં સુષ્મા સ્વરાજ પ્રધાન પદેથી દૂર થાય,

પછી જ અમે લોકસભા અને રાજસભા ચાલવા દઈશું. લોકસભામાં તો તેઓ લઘુમતિમાં હતા અને તેમણે અસભ્ય વર્તણુંક કરી એટલે સ્પીકરે તેમને સસ્પેન્ડ કર્યા.

પણ આ નહેરુવીયન કોંગીઓએ રાજ સભા તો ચાલવા જ ન દીધી કારણ કે ત્યાં બીજેપીની બહુમતિ નથી. નહેરુવીયન કોંગી નેતાઓએ કહ્યું કે પહેલાં અમે જેની ઉપર આરોપ મુકીએ છીએ તેને દંડિત કરો (પ્રધાનપદે થી દૂર કરો).

સંસદ શા માટે છે?

સંસદ ચર્ચા માટે છે. માહિતિ સભર ચર્ચા અને તાર્કિક ચર્ચા એ સંસદની ગરિમા છે. પણ જો નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ સંસદની આ ગરિમા સાચવવા જ તૈયાર ન થાય તો તેમને માટે કયા શબ્દો વાપરી શકાય?

આ એજ નહેરુવીયન કોંગ્રેસીઓ છે જેમણે સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ છતાં કાળાનાણાની તપાસ માટે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવી ન હતી.

તમે કહેશો કે ઘણા પ્રધાનો પોતાની ઉપર આરોપો થતાં પ્રધાન પદેથી પોતાને દૂર કર્યા હતા. તો પછી બીજેપીના પ્રધાનોએ આ પ્રમાણે શા માટે ન કરવું?

વાસ્તવમાં આ તર્ક અહીં લાગુ પડતો નથી. હા એક વાત ખરી કે એક હાથની આંગળીઓથી ગણી શકાય તેટલી સંખ્યામાં નહેરુવીયન સરકારોના પ્રધાનોએ રાજીનામા આપ્યાં છે. પણ એ બધાં રાજીનામા સરકારે જ નીમેલી સંસ્થાઓએ આપેલ રીપોર્ટમાં તેમને દોષી દર્શાવાયેલા એટલે તેમને રાજીનામાં આપવા પડેલ.

એવા પારાવાર કિસ્સાઓ છે કે જેમાં તપાસ સમિતિના રીપોર્ટ પ્રમાણે દોષી હોય તો પણ અને અથવા ન્યાયાલયે દંડિત કર્યા હોય તો પણ  નહેરુવીયન કોંગ્રેસના પ્રધાનોએ રાજીનામાં આપ્યા ન હતા. આના સૌ પ્રથમ દોષી નહેરુ પોતે હતા. જેમાં મિત્ર પ્રધાન વીકે મેનન અને જીપ કૌભાંડ એમ હતું. તે વખતે વિપક્ષે “તપાસ સમિતિ” નિમવાની વાત કરેલી. તો નહેરુએ કહેલ કે તમે આ મુદ્દા ઉપર આગામી ચૂંટણી લડજો.

લાંબી વાત ન કરીએ તો ઇન્દિરા ગાંધીને ઉચ્ચન્યાયાલયે દોષી ઠેરવેલ અને તેમને સંસદ સદસ્ય માટે છ વર્ષ માટે અયોગ્ય ઠેરવેલ. તેમણે ધરાર રાજીનામુ ન આપેલ અને બીજા હજારોને કેસ ચલાવ્યા વગર જેલમાં ગોંધેલ.

નહેરુવીયનો ગળથુથીમાંથી શિખ્યા છે

ગુનો થયા વગર, કેસ દાખલ થયા વગર, આરોપનામુ દાખલ થયા વગર, કેસ ચલાવ્યા વગર, આરોપીને જેલની સજા કરી દેવી એ આચાર, નહેરુવીયન કોંગી નેતાઓ ગળથુથીમાંથી શિખ્યા છે. આ પ્રણાલી તેમણે પોતાના વિરોધીઓ ઉપર હમેશા લાગુ કરી છે. એટલે જો તેઓ વિપક્ષમાં હોય તો પણ તેઓ કેસ સાંભળ્યા વગર વ્યક્તિને સજા કરવા ઉપર આંદોલન કરે તો તેનાથી જનતાને આશ્ચર્ય થવું ન જોઇએ. નહેરુવીયન કોંગ્રેસીઓ તેમના વિરોધીઓના માનવ-અધિકારોમાં કે કુદરતી અધિકારોમાં માનતા નથી.

નહેરુવીયન કોંગ્રેસીઓએ જોયું કે આપણે જે કંઈ મુદ્દઓ ઉઠાવીએ છીએ તેમાં કશો દમ હોતો નથી. એટલે તેની ચર્ચા તો ન જ થઈ શકે. કારણ કે જો ચર્ચા કરવા જઈશું તો આપણા મુદ્દાથી સો ગણા મોટા મુદ્દા આપણી સામે ઉભા થાય છે અને એક આંગળી આપણે ચીંધવા જઈએ છીએ તો સો આંગળી આપણી સામે ચીંધાય છે. એટલે ચર્ચા થી તો બાર ગાઉ છેટા જ રહેવું સારું.

જીન્ના સાહેબની જેમ ડાયરેક્ટ એક્સન ન જ કરો.

જીન્નાનું “ડાયરેક્ટ એક્સન” તો જ્યાં મુસ્લિમો માટે શક્ય હોય ત્યાં તેઓએ “હિન્દુઓની કતલ કરવી” એમ હતું. જો નહેરુવીયન કોંગ્રેસીઓ આવું કરવા જાય તો તો “કાયદો એનું કામ કરે” અને આ જાતનું આંદોલન તો “આ બૈલ મુઝે માર” એના જેવું થાય.

આંદોલનનો હેતુ જનતામાં જાગૃતિ આવે અને જનતા સમસ્યાને સમજવા માંડે, એ હોય છે. જ્યારે આંદોલનકારી પ્રદર્શન કરે ત્યારે તેના હાથમાં પ્લે-કાર્ડ હોય તેના ઉપર કંઈક લખ્યું હોય. જનતા તે વાંચે. વળી તમે ભાષણ દ્વારા જનતાને વધુ માહિતિ આપો. એટલે જનતાને શાસકની ક્ષતિઓ દેખાય. જનતાને અસંતોષ થાય. જનતાને શાસક પક્ષ પ્રત્યે અસંતોષ થાય એટલે ઘૃણા પણ થાય. આ ઘૃણાને લીધે તે ચૂંટણીમાં જનતા શાસક પક્ષને મત ન આપે. ટૂંકમાં આંદોલનનો હેતુ જનતામાં શાસક પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરવાનો છે.

આંદોલન એટલે શું અને તે કેવું હોવું જોઇએ તે વિષે જનતાને જ્ઞાન નથી. બધાએ ગાંધીજીને વાંચ્યા હોતા નથી. જેઓએ વાંચ્યા છે તેમના મોટા ભાગનાઓ તેમને સમજ્યા નથી કે સમજવા માગતા નથી. એટલે જે સામુહિક આચારો, ધમાલ અને સામાન્ય જીવનમાં અરાજકતા ઉભી કરે તેને આંદોલન માની લેવામાં આવે છે. અને તેને લોકશાહીનો ગુણ અને હક્ક માની લેવામાં આવે છે.

બીજેપી વિરોધીઓ માટે “ચર્ચા” એ આત્મહત્યા નો રસ્તો છેઃ

નહેરુવીયન કોંગ્રેસીઓએ રાજસ્થાનમાં દશકા અગાઉ એક જ્ઞાતિને અનામત અપાવવા માટે ધમાલો કરીને સામાન્ય જનજીવનમાં અરાજકતા ઉભી કરી દીધેલી. બીજેપીએ સત્તા ગુમાવેલી.

આને પરિણામે ગુજરાતમાં પણ નહેરુવીયન કોંગી નેતાઓની દાઢ સળકી. નહેરુવીયન કોંગીઓને લાગ્યું કે મુદ્દાઓ વિષે ગુણવત્તાના આધારે ચર્ચા કરવી એ આત્મહત્યા નો રસ્તો છે. હેતુ સિદ્ધિ માટે મટીરીયલની જરુર નથી. મટીરીયલ વગર પણ અરાજકતા અને ઘૃણા ફેલાવી શકાય છે.

પ્રમેયઃ મટીરીયલ વગર અને ચર્ચા વગર પણ શાસક પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરી શકાય છે

સાધ્યઃ સામાજીક વાતાવરણ દુષિત કરવું.

સાધનોઃ નાણાં, સમાચાર માધ્યમો, અફવાઓ, આક્ષેપો, આપણા મળતીયા મૂર્ધન્યો, રબરના માપદંડો અને અસમાન ત્રાજવાંઓ, દેડકાના કાટલાઓ, સ્વકેન્દ્રી ખ્યાતિપ્રિય વ્ય્ક્તિઓ

રીતઃ

આટલું નકારાત્મક કરોઃ

કદી મટીરીયલ ન આપો.

કદી ચર્ચા ન કરો,

કદી મુદ્દા પ્રમાણે વાત ન કરો,

જો ભૂલથી પણ ચર્ચામાં સામેલ થઈ જવાય તો સામેવાળા કરતાં આપણા અવાજો મોટા રાખો અને સતત અવાજો કર્યા કરો. એંકરને સાધી લો કે તે આપણને બોલતાં ન રોકે પણ સામે વાળાને જો તે મુદ્દની વાત કરતો હોય તો તેને બીજ પ્રશ્નો પૂછી રોકે અને ચર્ચાને આડે માર્ગે દોરે. એમ કરીને તે આપણને બચાવે.

સ્વકેન્દ્રી વ્યક્તિઓને પટાવો તેમને ખ્યાતિની લાલચ પણ આપો કારણકે સમાચાર માધ્યમ તમારા પૈસા થકી તમારે માટે તે હાથવગુ હથીયાર છે.

જે વ્યક્તિઓના જાતિવાદની અને કે ખ્યાતિની ભૂખને ઉત્તેજી શકાય છે તેમને ઉત્તેજો અને તેમની પાસે પ્રતિકારાત્મક અને તારતમ્યાત્મક (કનક્લ્યુઝિવ) ઉચારણો કરાવો. ગાળો પણ બોલાવડાવો. જેમકે “ગાંધીનગરમાં એક ઢુંઢીયો રાક્ષસ બેઠો છે. (કેશુબાપા, નરેન્દ્ર મોદીને અનુલક્ષીને બોલેલા). આપણા સમાચાર માધ્યમ વાળા કેશુભાઈની જબાનની વિરુદ્ધ નહીં બોલે. તે તો એમ જ કહેશે કે કેશુભાઈએ નરેન્દ્ર મોદીને આડે હાથ લીધો. બહુ બહુ તો એમ કહેશે કે હે ભાઈઓ, પટેલો તો આખા બોલા હોય જ ને !!

કેશુભાઈ (ઢુંઢિયા રાક્ષસવાળા) કે સોનીયા (મૌતકા સોદાગરવાળ), કે લાલુ યાદવ (નરભક્ષીવાળા), વિગેરે કરતાં સો ગણા નબળાં વિશેષણો જો સામેવાળો (કોઈ બીજેપીનો નેતા) બોલે તો આપણા પીળા અખબારો સામેવાળાની અસભ્યતાને ઉછાળવા તૈયાર જ હોય છે. ટૂંકમાં આપણે (બીજેપી વિરોધીઓએ) આપણી લૂલીને આપણે લગામ રાખવાની જરુર નથી. આપણને સમાચાર માધ્યમોનો સાથ છે. મોટા ભાગના કટારીયા લેખકો ખ્યાતિ ભૂખ્યા છે તેથી તેઓ હવાઈ તુક્કાવાળી અને તારતમ્યોવાળી વાતો કરશે તો પણ આપણા સમાચાર માધ્યમોવાળા છાપશે. આપણા સાધ્ય માટે દલીલ અને તર્કની જરુર નથી. કારણ કે જો આપણે આની ચર્ચા કરવા જઈશું તો આપણા વાક્યો જ આપણા માટે બુમરેંગ થશે.

થાળીઓ વગાડો, જો કે વગાડવા લાયક વસ્તુ તો ઢોલ છે. પણ ઢોલ તો કેમ વગાડાય.!!  તો તો આપણે ઢોલ બજાણીયામાં ખપી જઈએ. જો કે આપણી માગણીઓ પછાત જ્ઞાતિઓ ભોગવે છે તેવી જ છે. પણ તેથી શું? આપણે ક્યાં મગજ ચલાવવાનું છે !! તર્ક અને ચર્ચાનું તો નામ જ નહીં લેવાનું. રસ્તા રોકો, રેલ રોકો, એસટી બસોને રોકો. એસટી બસોને બાળો, એસટી સ્ટેન્ડો બાળો, લોકલ બસોને બાળો, રેલ્વેના પાટા ઉખેડી નાખો. દુકાનો બંધ કરાવો. શાળા કોલેજ બંધ કરાવો, યાતાયાત અને જનવ્યવહાર ખોરવી દો.. આમ જનતાને ત્રાહી ત્રાહી પોકારી દો.

આ ઉપરાંત, સરઘસો કાઢો, પુતળાં બાળો,  પોલીસો ઉપર પથરા ફેંકો. પોલીસ વાળા તો બધા સંત પુરુષો છે. તેઓ સંત પુરુષો ન હોય તો તેમણે સંત જેવા બનવું જ જોઇએ. આ લોક શાહી છે. તે તેમણે સમજવું જોઇએ અને અમને અમારા પ્રતિભાવો કે ભાવો પ્રગટ કરવાની છૂટ હોય છે તે તેમણે સમજવું જોઇએ અને અમને હાથ પણ અડાડવો ન જોઇએ. જો તેઓ અમને અટકાવશે તો તે તેમની હિંસા કહેવાશે. અને અમે તે માટે તપાસ સમિતિની માગણી કરીશું.

થોડા તકિયા કલમી શબ્દો અને વાક્યો શોધી કાઢો.

૨૦૦૨, રાજધર્મ, અદાણી, રીલાયન્સ, ઈન્ડસ્ટ્રીયાલીસ્ટોને ફાયદો, લાલ જાજમ, ખેડૂતોના આપઘાત, તાનાશાહી, અસુરક્ષિત મુસ્લિમો, આરએસએસ નો રીમોટ કન્ટ્રોલ, સીનીયર લીડરોની અવજ્ઞા, સીનીયર લીડરોને હાંસીયામાં મુક્યા, પાટીદારોની (કે એવી કોઈ બીજી જાતિ કે વર્ગની) ઉપેક્ષા, સરકારનો યુ ટર્ન, સરકારને ન છૂટકે કરવું પડ્યું, સરકારને કોર્ટ દ્વારા ઝટકો, બીજેપી ઉપર પ્રહાર, આડે હાથ લીધા, નરેન્દ્ર મોદીની બોલતી બંધ, નરેન્દ્ર મોદી જવાબ આપે,

અને હવે એક એવું બનાવટી અને ઢંગધડા વગરનું તારણ કાઢો કે માનવ હક્કો અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનું હનન થઈ રહ્યું છે. આપણા પાળીતા  મૂર્ધન્યો દ્વારા સરકારી “ચાંદ્રકો” અને “માનપત્રો” પાછા આપી રહ્યા છે એ વાતને ચગાવો.

આનાથી એવું વાતાવરણ સર્જાશે કે આ બધું નરેન્દ્ર મોદીના આવ્યા પછી થયું છે એટલે જનસમુદાયમાં મોદી શૂન્ય તરફ જઈ રહ્યા છે એવી હવા ઉત્પન્ન કરો. આ બધું કરવું જરુરી છે અને જો આવું નહીં કરીએ તો તેમણે વિદેશોમાં ભારતની પ્રતિભાને જે ઉંચી લાવ્યા છે તેની ચર્ચાઓ થશે અને નરેન્દ્ર મોદી તેમજ મોદીની પ્રતિભા સાતમા આસમાને પહોંચી જશે. આ પરિસ્થિતિ અટકાવવા સમાચાર પ્રસારણનો સમય આપણે વાપરવો જ રહ્યો.

જો બિહારની ચૂંટણીમાં આપણું આ શસ્ત્ર (નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાંસ્કૃતિક સાથીઓનો આ દાવ) સફળ થશે તો બીજેપી ના હવે વળતા પાણી છે એવું અચૂક સિદ્ધ થઈ જશે. આપણી સત્તાની પુનઃપ્રાપ્તિનો દરવાજો ખૂલી જશે. પછી આપણે આપણી સંસ્કૃતિ પ્રમાણે ન્યાયાલયમાં ચાલતા આપણા કુકર્મોના કેસો અને ઈન્વેસ્ટીગેશન ટીમ દ્વારા થતી તપાસોને નિરર્થક બનાવી દઈશું. ખુલ્લે આમ આપણે કટોકટીમાં માનવ અધિકારોનું હનન કરેલ અને હજારો નિર્દોષ લોકોને,  અઢાર અઢાર મહિના સુધી જેલમાં ખોસી દીધેલ તો પણ કોઈ આપણો વાળ વાંકો કરી શક્યા નથી તો “કાળા નાણા અને અસામાજીક તત્વો સાથેની આપણી સાંઠ ગાંઠ” એ વળી કઈ ચીજ છે?

(ક્રમશઃ)

શિરીષ-મોહનલાલ-મહાશંકર-હરિશંકર-લીંબેશ્વર-ત્ર્યંબકેશ્વર-વૈજનાથ-ભવાનીદત્ત-રદેરામ-દવેશ્વર-ગોવર્ધન દવે (દ્વિવેદી)

Date 2015 11 07

ટેગ્ઝઃ નહેરુવીયન કોંગ્રેસ, બહુમતિ, નિરપેક્ષ, સરમુખત્યારી, સીત્તેર પેઢી, સાત પેઢી, પૈસા, બાર પેઢી, સામ્યવાદ, સમાજવાદ, મૂડીવાદ, લોકશાહી, નહેરુ, ઈન્દિરા, વિશ્વસનીયતા, માહિતિ, અધિકાર, પારદર્શિતા, ચર્ચા, વિરોધ પક્ષ, પ્રપંચ, સ્વકેન્દ્રી, ખ્યાતિભૂખ્યા, આંદોલન, અરાજકતા, ધમાલ, હક્ક, અનામત

Read Full Post »

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – 3. મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?
જમીન વિષેની માનસિકતા બદલો.

ગોચરની જમીનની વાત ભૂલી જાઓ. ગોચરમાટે જમીન આરક્ષિત રાખવાના જમાના ગયા. ગોચરમાં ગાય ભેંસ બકરાં ઘેટાં ચરાવી, દૂધ મફત કોણ આપે છે?
પહેલાં એક વાત સમજી લો કે જમીનનું કોઈ મુલ્ય નથી. જમીન અમૂલ્ય છે.
જમીનને બચાવવા પાછળ થતા ખર્ચા અને જમીનને નવસાધ્ય કરવા પાછળ થતા ખર્ચને નફાતોટાના માપદંડથી માપી ન શકાય.

જમીન એટલે શું?

જમીન એટલે ધરતી. તે ફળદ્રુપ જમીન હોઈ શકે, તે ખરાબાની હોઈ શકે. તે પડતર જમીન હોઈ શકે, તે પહાડી જમીન હોઈ શકે. તે કોતરોની જમીન હોઈ શકે, તે રણની જમીન હોઈ શકે, તે ટાપુની જમીન હોઈ શકે, તે ખારાપાટની જમીન હોઈ શકે, તે ડૂબની જમીન હોઈ શકે,

જમીન એ ધરતી છે અને તે આપણી માતા છે અને તેથી તે સૌની છે તેથી તે દેશની છે. તેનો વહીવટ સરકાર કરશે.

જમીન એ ધરતી છે. તેથી તેનો ઉપયોગ અને ઉપયોગની ફેરબદલી કે ઉપયોગકર્તાની ફેરબદલી સરકાર નક્કી કરશે.

INDIA WITH FOREST AND LAKES

જમીનનો ઉપયોગ ફક્ત વૃક્ષો ઉગાડવા માટે થઈ શકશે.

જમીનનો ઉપયોગ ફક્ત વૃક્ષો વાવવા માટે છે તેમાં કેટલી છૂટ આપવામાં આવશે?

જમીનના કોઈ એક નાના (૧૦ ટકા) હિસ્સાનો ઉપયોગ કુવા માટે, બોર માટે, તલાવડી માટે, પવન ચાક્કી માટે, સોલર પેનલ અને ફાર્મ હાઉસ, ગોડાઉન, ગમાણ અને કે મશીનરી માટે સરકારની મંજુરી થી થઈ શકશે.

WE CAN DO THIS

આ પ્રમાણે ૯૦ ટકા જમીનનો ઉપયોગ વૃક્ષો માટે જ કરવો પડશે.

બે વૃક્ષો વચ્ચેનું અંતર વૃક્ષના પ્રકારને આધારે સરકાર દ્વારા જે તે સ્થળને અનુરુપ નક્કી કરવામાં આવશે. તેની સ્થાનિક માર્ગદર્શિકા સરકાર બનાવશે.

કોઈ કુટુંબને એક હેક્ટરથી ૧૦૦૦૦ ચોરસ મીટરથી વધુ ફળદ્રુપ જમીનનો ઉપયોગ કરવાનો હક્ક મળશે નહીં. અન્ય પ્રકારની જમીન માટેનો વિસ્તાર સરકાર નક્કી કરશે.

જમીન નવસાધ્ય કરવી

જે જમીન ફળદ્રુપ નથી તેને નવસાધ્ય કરવા માટે સરાકાર છૂટછાટ આપશે. અને તે જમીન ૫ વર્ષમાં નવસાધ્ય કરવી પડશે. ૫ વર્ષ પછી સરકાર તે વપરાશકારને ૨૦ વર્ષ સુધી તે જમીનને વપરાશનો હક્ક આપશે. જો વપરાશકારને એક હેક્ટર થી વધુ જમીન ન જોઇતી હોય તો વધારાની તે જમીન સરકારને પરત કરશે. સરકાર તે જમીનનો ઉપયોગનો હક્ક બીજાને આપશે અને સરકાર જે ભાવે તે જમીનના ઉપયોગનો હક્ક બીજાને આપશે તેની કિમતના ૮૦ ટકા મૂળ વપરાશકારને ચૂકવામાં આવશે. ૨૦ટકા સરકાર પોતાની પાસે રાખશે.

પાણી સરકારે મફત આપવું પડશે.

જમીનનો ઉપયોગનો હક્ક સરકાર આપશે. અને તેના ઉપયોગનું હસ્તાંતરણ ઉપયોગ કરનાર દ્વારા થઈ શકશે નહીં.

જે કૂટુંબને ઉપયોગનો હક્ક મળશે, તે કુટુંબના કર્તાને, જો તે જમીનના ઉપયોગનો હક્ક વારસામાં પોતાના નજીકના સગા એવા વારસદારને આપવો હોય તો તે આપી શકશે.

જો આ વારસદાર સગીર હશે તો તે વહીવટ કર્તા તે રાખી શકશે. પણ આ વારસદાર પુખ્ત થતાં તે જ તેનો વહીવટ કરશે.

જમીનનો ઉપયોગ કર્તા, મજુરનો ઉપયોગ કરી શકશે પણ તેને લઘુતમ પગાર ધોરણ એટલે કે આજની પ્રાઈસ ઈન્ડેક્સ પ્રમાણે એક કલાકના ૬૦ રુપીયા લેખે આપવા પડશે.

ખેતી ક્યાં થશે? શાક ભાજી ક્યાં વવાશે? ઘાસચારો ક્યાં ઉગાડાશે?

ખાસ પ્રકારના મકાનો બનાવવામાં આવશે જેમાં બહુમાળી ધાબાઓ હશે.

આવા ધાબાઓ ઉપર માટી પાથરીને ખેતી માટે જમીન બનાવવી પડશે.

આ જમીન શાકભાજી, અન્ન અને ઘાસ માટે તૈયાર કરવામાં આવશે. આવી જમીનના ટૂકડાઓના ઉપયોગના હક્કો સરકાર સામાન્ય જનતાને આપશે.

રેલ્વે અને રસ્તાઓની બંને બાજુએ નિયમ અનુસાર ખુલ્લી જગ્યા છોડી દેવામાં આવે છે, તે જમીનમાં પણ ઘાસ ચારો, શાકભાજી અને અનાજ ઉગાડવામાં આવશે.

આવી જમીનના ટૂકડાઓના ઉપયોગના હક્કો સરકાર નિવૃત્ત સુરક્ષાકર્મીઓ જેવા કે પોલીસ, સૈન્યના જવાનોને આપશે. આ જમીન વ્યંઢળોને પણ આપવામાં આવશે.

આ હક્કોનું હસ્તાંતરણ થઈ શકશે નહીં.આ જમીનને પણ વૃક્ષોવાળી જમીનના નિયમો લાગુ પડશે.

ઈંટ સીમેન્ટ ચૂનાના કાયમી મકાનના બાંધકામ થઈ શકશે નહીં.

રસ્તાના કિનારાઓ ઉપર નાના કદના ફળાઉ વૃક્ષો વાવી શકાશે.

રહેવા માટેનું મકાન સંપૂર્ણ રીતે (ફેબ્રીકેટેડ અને તેના ભાગો છૂટા પાડી સ્થળાંતર કરી ફરીથી જોડી શકાય તેવું હશે.

SAM_0948
ગૌશાળા

ગૌ એટલે ઘાસચારા ઉપર નભતી અને મનુષ્ય પાસે સુરક્ષા પામતી સંપૂર્ણ પશુ સૃષ્ટિ સમજવી. આ પશુસૃષ્ટિમાં, ગાય, ભેંસ, સાંઢ, પાડા, ઘોડા, ઘેટાં, બકરાં, ગધેડા વિગેરે પશુઓનો સમાવેશ થાય છે. આ સૌ પશુઓના સામૂહિક નિવાસ સ્થાનને ગૌશાળા કહેવામાં આવશે.

I PROTECT YOU AND YOUR SOIL

ગૌશાળા વિનામૂલ્યે ખાતર આપશે.

ગૌશાળા ગોબરગેસના પૈસા લેશે.

પુંગવોનો ઉપયોગ તેલ ઘાણી, સાદા મશીનો, પંપો, અને ઉર્જા માટે થશે. ટૂંકા અંતરના વાહન વ્યવહાર માટે પણ થશે.

અનાજની તંગી પડશે તેનો ઉકેલ શો?

FRUITS AND VEGETABLES

જમવાની આદતો કાળક્રમે બદલવી પડશે. શાકભાજી, ફળો ને દૂધની વાનગીઓ વધુ ખાવી પડશે.

વૃક્ષોના ઝુંડમાં વચ્ચેની જગ્યાઓમાં ઘાસ વાવી શકાય છે. ઘાસના વાવેતરમાં તકનિકી ક્રાંતિ લાવવી પડશે.

દૂધનું ઉત્પાદન વધારવું પડશે.

I AM NOT LESS THAN A GOD

પશુઓની હત્યા ઉપર સંપૂર્ણ બંધી લાવવાથી દેશી ખાતરનું ઉત્પાદન વધશે.

રસાયણિક ખાતર બનાવવા માટે જે કારખાનાઓ બંધાય છે, આ કારખાનાઓ જે પ્રદૂષણ હવામાં અને જમીન ઉપર ફેલાવે છે, અને તેના ઉપર જે વહીવટી અને વાહન વ્યવહારનો ખર્ચ થાય છે તેનો નફાનુકશાનનો હિસાબ કરવામાં આવે તો દેશી ખાતર જ ફાયદાકારક છે.

મનુષ્યનું ધ્યેય ટૂંકા સમયમાં ઉત્પાદનના વિક્રમો સર્જવા માટે નથી. પણ સુયોગ્ય અને બંધબેસતી તકનિકી (ટેક્નોલોજી) વાપરવી તે છે.

આની અસર શું પડશે?

જ્યાં મકાનો અને રસ્તાઓ નહીં હોય ત્યાં વૃક્ષો જ હશે. તેથી ધરતી સજીવ બનશે.

પર્યાવરણમાં અભૂત પૂર્વ સુધારો થશે.

હવા નિરોગી બનશે.

રોગચાળો ઘટશે,

જમીનની જળસંચયની શક્તિ વધશે.

પૂરની શક્યતાઓ ઘટશે.

જળસ્તર ઉંચું આવશે,

વરસાદ વધશે અને નિયમિત થશે.

અનાવૃષ્ટિ ની શક્યતા નહીંવત રહેશે અથવા નાબુદ થશે.

નવા બંધો બાંધવા નહીં પડે. તેથી નહેરોના ખર્ચમાં ઘટાડો થશે.

નદીઓમાં બારેમાસ પાણી રહેશે.

RIVER FRONTS TO ALL THE RIVERS

દરેક નદીના કિનારાનો વિકાસ કરવાથી અને તેના કિનારાઓની સમાંતર માર્ગ બનાવવાથી અને શક્ય હોય ત્યાં જળમાર્ગ બનાવવાથી માળખાકીય સગવડો વધશે.

કુદરતી આફતોની સામેની સુરક્ષા વધુ સરળ બનશે.

વૃક્ષો નાના બંધ, ઠંડક આપનારા અને હવા હુદ્ધ કરનારા યંત્રો છે.

એક વૃક્ષ જે ઉષ્ણતામાનમાં ઘટાડો કરે છે,

હવામાં ભેજ આપે છે,

ભૂગર્ભમાં જળ સંચય કરે છે,

લાકડું આપે છે,

બહુમાળી ઉત્પાદન (ફળોનું આરોગ્યપ્રદ ઉત્પાદન) આપે છે,

એક વૃક્ષ તેની ૧૫ વર્ષની કિમત ગણો તો તે ૧૯૮૦ની પ્રાઈસ ઈન્ડેક્ષ પ્રમાણે ૪૦ લાખ રુપીયાનું કામ કરે છે.

જો માનવવસ્તિના એકમોને સ્વાવલંબી બને તે રીતે આયોજન કરવામાં આવે તો ખાદ્યપદાર્થો અને તેને સંલગ્ન વસ્તુઓની હેરફેર માટે થતા વાહનવ્યવહારના ખર્ચની જે બચત થાય છે તે તો જુદી જ છે અને વધારાનો લાભ છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ વૃક્ષ, જમીન, ધરતી, ફળ, શાકભાજી, જંગલ, ઉપયોગ, હક્ક, આયોજન, ખેતી, પર્યાવરણ, હવા, ભૂગર્ભ, જળસંચય, સુયોગ્ય, તકનિકી

Read Full Post »

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૨. મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?

INDIA OF OUR DREAM

જ્યારે સ્વપ્નના ગામ વિષે વિચારીએ ત્યારે એ પણ જાણી લેવું જોઇએ કે ગામ માટે કોણે કેવા સ્વપ્નો જોયા છે! અને તેના બદલાતા સમાજ સાથે કદમ મિલાવી શકે અને એટલે કે સ્થાયીપણા માટેની તેની ક્ષમતા કેટલી હતી!
આ લેખને વાંચતા પહેલાં
“સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય ગાંધીવાદ – ૧” ના શિર્ષક વાળો લેખ વાંચવો.

ગાંધીજીના સમયે શું પરિસ્થિતિ હતી?

ગાંધીજી હિન્દુસ્તાનના સાત લાખ ગામડાઓની વાત કરતા હતા. તે અખંડ હિન્દુસ્તાન હતું. હવે કદાચ પાંચ લાખ ગામડાં હશે. એ જે હોય તે. આપણે તેની સમસ્યાઓ અને નિવારણની શક્યતાઓ ગાંધીવાદની રીતે વિચારીશું.

(૧) ગાંધીજીનું સ્વપ્ન એ હતું કે ગામડાં સ્વાવલંબી હોય,
(૨) રહેવાને માટે સૌને સુંદર અને સગવડવાળું ઘર હોવું જોઇએ.
(૩) સૌને સુખી અને તંદુરસ્ત રીતે જીવન જીવવા માટેની જરુરીયાતો સરળતાથી ઉપલબ્ધ હોવી જોઇએ. આ માટે પ્રાથમિક શિક્ષણ, સક્ષમ અને ફરજીયાત હોવું જોઇએ. સહયોગ અને મદદ કરવાની વૃત્તિ, સામાજીક વર્તનમાં સંસ્કારિતા અને નાગરિક ફરજો (સીવીક સેન્સ) એ પ્રાથમિક શિક્ષણનું અભિન્ન અંગ હોવું જોઇએ.
(૪) સમાજમાં શોષણ ન હોય, એટલે કે માલિક, મજુરનું શોષણ ન કરે.
મશીન મનુષ્યનું ગુલામ હોવું જોઇએ. મનુષ્ય મશીનનો ગુલામ ન હોવો જોઇએ.
(૫) ગામડાંમાં થતું ઉત્પાદન અને શહેરમાં થતું ઉત્પાદન એકબીજાને પૂરક હોય,
(૬) જ્ઞાનના દરવાજા સૌને માટે ખુલ્લા હોવા જોઇએ.
(૭) સરકારી દખલ ન્યૂનતમ હોવી જોઇએ. અને સરકારી વ્યવહારમાં પારદર્શિતા હોવી જોઇએ.
(૮) સમાજના વર્ગો વચ્ચે અને વ્યક્તિઓ વચ્ચે સંવાદ હોવો જોઇએ મનુષ્ય મનુષ્ય વચ્ચે સંવાદ હોવો જોઇએ.
(૯) બહ્માન્ડ ના વર્તનની અને નિયમોની સમજણને વિજ્ઞાન સમજવું અને તેના ઉપકરણોને યંત્ર સમજવા. આ યંત્રનો ઉપયોગ લાંબાગાળાના સુખ માટે કરીએ તેને ત્યાજ્ય ન ગણવું. પણ ધ્યાન એ રાખવું કે તેમાં સામાજીક અને પ્રાકૃતિક લય જળવાઈ રહે.
(૧૦) મનુષ્ય જીવનનું ધ્યેય આનંદ પ્રાપ્તિનું છે. આનંદ, નિરોગી શરીરથી મળે છે. આનંદ, જ્ઞાન અને “સ્વ”ની ઓળખ(આઈડેન્ટીફીકેશન અને વિશેષતાને મળતી સામાજીક માન્યતા) અને બીજાને મદદરુપ થવાને ને કારણે મળે છે. સ્વના આનંદ માટે સ્પર્ધા કે બીજાને પરાજય આપવો જરુરી હોતો નથી. કળા અને જ્ઞાનના વિકાસ દ્વારા પણ “સ્વ”ની ઓળખ મળે છે.

જ્યાં સુધી ઉપરોક્ત બાબતો સમજવામાં ન આવે અને તેનો સ્વપ્નના ગામાની સંરચના કે પૂનર્રચનામાં સમાવેશ ન કરવામાં આવે ત્યાં સુધી તે આદર્શ, સુખી અને સુઘડ ગામ બની ન શકે.

ગામડાનું સ્વવલંબનઃ

આ એક બહુ છેતરામણો શબ્દ છે. અને આ બાબત ઉપર ઘણું રાજકારણ ખેલાય છે અને અનીતિઓ આચરાય છે.

ગામડું એટલે શું?

(૧) ગામડું એટલે સૌ નજીક નજીક રહેતા હોય,

(૨) ગામડામાં સૌ એકબીજાને ઓળખતા હોય એટલે કે સંવાદ કરવાનીઅવસ્થામાં હોય,

(૩) સૌ કામ કરતા હોય, અને કૌટૂંબિક ભાવનાથી જીવતા હોય,

(૪) મોટાભાગની વસ્તુઓ ગામડામાં જ ઉપલબ્ધ હોય એટલે મનુષ્ય અને માલના પરિવહનનો ખર્ચ લઘુતમ હોય.

(૫) સૌને હવા ઉજાસ વાળું અને સગવડવાળું ઘર હોય,

(૬) રમવાને અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરવા માટે મોકળાશ હોય,

(૭) કુદરતી સૌંદર્ય એટલે કે ઝાડપાન સહજ હોય,

જો આ બધી બાબતોની સમગ્રતાને ધ્યાનમાં રાખીએ તો ગામડું, કસ્બો, મધ્યમ કક્ષાનું ગામ કે શહેરના વિસ્તારો જેવા કે પોળ, શેરી, સોસાઈટી, લત્તો, એ બધાને જ આપણે “ગામડું” એવી વ્યાખ્યામાં લઈ શકીએ અને તે પ્રમાણે તેની સંરચના/પૂનર્ રચના કરી શકીયે.

આમાં કયા એકમો અને પરિબળો અને નિયમો ભાગ લે છે તે પહેલાં સમજી લેવું જોઇએ. અને તે વિષેના આપણા ખ્યાલો સુધારવા જોઇએ.

આપણે શહેરોને તોડી શકવાના નથી. પણ હયાત શહેરોમાં સુધારા કરી શકીશું.

જમીન, મકાન, ઉત્પાદકો, કાચોમાલ, ઉત્પાદન, ઉત્પાદનની પ્રક્રિયાઓ, સુખસગવડના સાધનો, માલિકીના હક્કો અને મનુષ્યના વલણો વિષે ચર્ચા કરવી જોઇએ અને તેમાં ફેરફાર કરવા જોઇએ.

જમીન અને જમીનના ભોગવટાના હક્કોઃ

વિનોબા ભાવે અને મહાત્મા ગાંધીના કહેવા પ્રમાણે પણ જમીનની માલિકી કોઈ વ્યક્તિની ન હોઈ શકે. જમીન એ ધરતી છે. ધરતી એ સૌ સજીવોની સામુહિક માતા છે. તે સૌની છે. અને સૌ સૌનો જુદી જુદી રીતે ભોગવટાનો હક્ક છે. પણ મનુષ્ય સમાજ આ ભોગવટાનું નિયંત્રણ કરશે.

મહાત્મા ગાંધીનો સમય એ એવો સમય હતો કે જ્યારે અખંડ ભારત બહુ વિશાળ દેશ હતો. વસ્તિ વધારાની સમસ્યા ન હતી. ગામડાઓ મહદ અંશે સ્વાવલંબી હતા જો કે તેની ભાંગવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ હતી. પણ તે રોકી શકાય એમ છે તેમ માનવામાં આવતું હતું.

ગામડાંને સ્વાવલંબી કરવા માટેની કાર્યવાહી થઈ શકે તેવી ઈચ્છા શક્તિ ન હતી. મૂડીવાદ અને અતિ-મૂડીવાદ (સામ્યવાદ) ની વિચાર સરણીઓ અને તેની ચાહના પ્રત્યેની વૃત્તિઓ પ્રબળ અને વિકાસશીલ બનતી જતી હોવાથી, સ્વતંત્ર ભારતના રાજકર્તાઓ કોઈ દૂરદર્શિતા અપનાવી શક્યા નહીં. આ ઉપરાંત સર્ચોચ્ચ શાસક દ્વારા પોતાના સ્વકેન્દ્રી (જવાહરલાલ નહેરુ, ઈન્દીરા ગાંધી), વંશ કેન્દ્રી (સત્તાનું કેન્દ્ર નહેરુવંશી માટે જ આરક્ષિત) સત્તાલાલસાને કારણે નીતિમત્તાને જાણી જોઈને અવગણવામાં આવી. કાયદાના રાજનું પતન થયું અને સમાજ નો મોટોભાગ નીતિહીન બન્યો.

જે રીતે શહેરોનો વિકાસ કરવામાં આવ્યો તેમાં યોગ્ય આયોજન કરવામાં આવ્યું નહીં ને જે કંઈ આયોજન થયું તેનો અધિકારીઓની (ન્યાયાલય અને જનપ્રતિનિધિઓ સહિતની) અનીતિમત્તાએ અમલ ન કર્યો એટલે જમીનના વહીવટમાં અરાજકતા આવી. જમીન અને તેના ઉપયોગે દેશને દિશાહીન કર્યો.
વસ્તિવધારો અંકુશમાં રાખી શકાયો નથી. અને અથવા માનવ શક્તિનો તેના સુયોગ્ય શ્રોત તરીકે ઉપયોગમાં લેવામાં ન આવ્યો તેથી પણ જમીન અને તેના ઉપયોગમાં પાયમાલી આવી.

આવી પરિસ્થિતિનો સુયોગ્ય સામનો કઈ રીતે થઈ શકે?

જમીનની માલિકી દેશની ગણવી પડશે.

આનો અર્થ એ થયો કે જમીનની માલિકી રાજયની રહેશે. કેન્દ સરકાર તેના ઉપયોગના નિયમો બનાવશે. સ્થાનિક કક્ષાએ તેનો અમલ થશે. અને કેન્દ્ર સુધીના સત્તાધીશો તેની ઉપર નજર રાખશે.

સૌ પ્રથમ સમજી લો કે જમીન અને વનસ્પતિ અમૂલ્ય છે. વનસ્પતિમાં વૃદ્ધિ કરી શકાય છે. પણ જમીન વિષે શું છે?

જમીન વધી શકે છે?

હાજી જમીન વધી શકે છે.

જમીન કેવી રીતે વધી શકે?

ખરાબાની જમીનને નવસાધ્ય કરોઃ ખરાબાની જમીન એ એક કાચો માલ છે. તેને એક માનવશક્તિના ઉપયોગનો અવસર સમજો.

જે જમીન છે, તેનો વ્યય ન કરો.

(૧) ઝોંપડ પટ્ટી એ જમીનનો વ્યય છે,

(૨) એકમાળી કે ચાર-પાંચમાળી મકાનો એ પણ જમીનનો વ્યય છે.

(૩) ફળદ્રુપ જમીન ઉપરની ખેતી એ પણ જમીનનો વ્યય છે કારણ કે અનાજના ઉત્પાદન માટે આપણે બે ઈંચથી છ ઈંચના ઉંડાણ સુધીની જમીનનો જ ઉપયોગ કરીએ છીએ. અનાજનું ઉત્પાદન એક માળી ઉત્પાદન છે. વૃક્ષ ઉપર થતું ઉત્પાદન બહુમાળી ઉત્પાદન છે. બહુ માળી ઉત્પાદન ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને જમવાની આદતો બદલો.

(૪) ખારાશવાળી જમીનને નવસાધ્ય કરીને યોગ્ય માવજત દ્વારાઅનાજનું ઉત્પાદન કરી શકાય. ઉત્પાદન મકાનની અગાશીમાં, ગેલેરીઓમાં કે ખાસરીતે ખેતી માટે જ બનાવેલા બહુમાળી મકાનોમાં કે તેના હિસ્સાઓમાં અનાજનું ઉત્પાદન કરી શકાય છે.

(૫) ગોચરની માટે જમીન અલગ ફાળવવી એ પણ જમીનનો વ્યય છે. જમીન ઉપર ઘાસ ઉગાડવું એ જમીનનો વ્યય છે. ઘાસનું ઉત્પાદન પણ ઉપરોક્ત અનાજના ઉત્પાદનની જેમ કરી શકાય.

(૬) વાહનો ના પાર્કીગ માટે જમીન ફાળવવી એ જમીનનો વ્યય છે. વાહનોના પાર્કીંગં માટે ભોંય તળીયા અને અન્ય માળ ઉપર આયોજન સાથે જગ્યા ફાળવી શકાય.

(૭) વિમાનતળ ની જગ્યા એ જમીનનો વ્યય છેઃ આજના ઝડપી જમાનામાં કે તે સિવાય પણ આપણે વિમાનોને નષ્ટ કરી શકીશું નહીં. વિમાન ના ઉતરાણ માટે રનવે જોઇએ. જ્યાં સુધી નવી શોધ ન થાય ત્યાં સુધી આપણા વિમાની મથકો અસ્તિત્વમાં રહેશે અને તે ઉપરાંત નવા વિમાન મથકો પણ બનાવવા પડશે. વિમાનના રનવે માટે લાંબી જમીનની સખત પટ્ટી ઓ જોઇએ. વિમાનની મહત્તમ પહોળાઈ જેટલી તો જોઇએ જ. બાકીની જગ્યામાં તમે ઘાસ અને અનાજ ઉગાડી શકો. જો કે પક્ષીઓનો ઉપદ્રવ થાય. પણ પક્ષીઓને અને તીડોને ભગાડવા માટે અમૂક કંપનો વાળો અશ્રાવ્ય અવાજ આ સમસ્યાને ઉકેલી શકે છે.

(૮) શું તળાવ અને નદીઓ જમીનનો વ્યય છે?

નાજી. તળાવ અને નદીઓ જમીનનો વ્યય નથી. પણ નહેરોને તમે ભૂગર્ભ કરી ને કે તેના ઉપર સોલર પેનલો રાખીને બનાવી શકો.

(૯) શું રસ્તાઓ જમીનનો વ્યય છે?

હા અને ના.

જો આયોજન વગર રસ્તાઓ બનાવ્યા હોય તો તે ખર્ચાળ અને મુશ્કેલીઓ ઉભા કરનારા બને છે.
રસ્તાઓ માટે વપરાતી જમીનનો કરકસર ભર્યો ઉપયોગ કેવી રીતે કરવો?

(૧) રસ્તાઓ પણ ભૂગર્ભ અને બહુમાળી બનાવી શકાય છે.

(૨) જળમાર્ગો બનાવી શકાય, જેથી જળ વધુ જમીનમાં ઉતરે અને સંચય થાય.

(૩) ઉત્પાદનને અને ખાસ કરીને અન્ન, શાકભાજી અને ફળફળાદિના ઉત્પાદનને વધુને વધુ પ્રમાણમાં સ્થાનિક બનાવીને રસ્તાઓ ઉપરનું દબાણ ઓછું કરી શકો.

(૪) વાહનોની ગતિને અવરોધતા ઓછામાં ઓછી કરીને રસ્તાઓ ઉપરનું દબાણ ઓછું કરી શકો.

(૫) રસ્તાઓ બનાવવા માટે આસપાસનીની બંને બાજુએથી માટી લઈ રસ્તાની જમીનને ઉંચી કરવી પડે છે. રસ્તાઓ અને રેલ્વે માર્ગને સમાંતર રાખી તેની બંને બાજુએ નહેરોને બનાવી શકાય. તે ઉપરાંત ફ્ળોના વૃક્ષોની હરોળો રાખી ફળ અને ઘાસનું ઉત્પાદન કરી શકાય.

(૬) રસ્તાઓની બંનેબાજુ ટ્રાન્સમીશન ટાવરો અને તેની ઉપર પવન ચક્કીઓ રાખીને પ્રાકૃતિક ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે.

(૭) ટ્રાન્સમીશન ટાવરો ના ફ્રેમવર્ક ઉપર સોલરપેનલો ગોઠવી વિદ્યુત ઉર્જા બનાવી શકાય.

(૮) સંભવ છે કે વખત જતાં રસ્તા ઉપરના આ ઉર્જાશ્રોતો વાહનો માટે ઉર્જા આપનારા બની રહે.

(૯) હાલનો જમાનો ઈન્ટરનેટનો જમાનો છે. તેથી ઘણા જ કર્મચારીઓને તમે તેઓ ઘરે બેઠા બેઠા કામ કરે તેવી વ્યવસ્થા ઉત્પન કરી શકાય તેમ છે. આમ કરવાથી વાહન વ્યવહારનો રસ્તા ઉપરનો બોજો ઘટશે.

(૧૦) રસ્તાઓ અને ઝડપ ઘણા ઉપયોગી છે અને જ્ઞાન, સંવાદ, આદાનપ્રદાન, પ્રવાસન ઉદ્યોગને બહુ ઉપયોગી છે. તે ઉપરાંત વિપત્તિના સમયે તે બહુ ઉપકારક બને છે.

જમીનને નવસાધ્ય કેવી રીતે કરી શકાય?

 Saline land to be converted to furtile land

ખરાબાની જમીન જો તે સામાન્ય ક્ષારવાળી હોય તો તેને સેન્દ્રીય અને જૈવિક ખાતરોથી ફળદ્રુપ બનાવી શકાય છે. ખરાબાની જમીન પણ આવા પ્રકારમાં આવે છે. તેને ફળદ્રુપ કરવા માટેના હજાર રસ્તાઓ છે.

દરીયાઈ ક્ષારવાળી રણની જમીનઃ આ જમીનને ફળદ્રુપ કરી શકાય છે અને તકનિકી દ્વારા મીઠું (નમક), શુદ્ધ પાણી, ખેત તલાવડી, ખેતી, ઘાસ, ઉર્જા આપે તેવા પાક, વૃક્ષ, અને સૌર ઉર્જાનું ઉત્પાદન કરી શકાય છે. કાળક્રમે તેનું જંગલમાં રુપાંતર કરી શકાય છે.

તળાવ અને નદીના કિનારાઓને વિકસાવી ત્યાં ઉત્પાદન, પ્રવાસન અને રહેણાકના ક્ષેત્રો સુયોગ્ય આયોજન દ્વારા બનાવી શકાય છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ મહાત્મા ગાંધી, જમીન, ભૂમિ, ભોગવટા, હક્ક, માલિકી, સોલર સેલ, પવન ચક્કી, વસ્તિ, ગામડાં, સ્વાવલંબી, ઉત્પાદન, રસ્તા, ભારણ, આનંદ, સુખ સગવડ, પ્રાથમિક, શિક્ષણ, સહયોગ, શોષણ, જ્ઞાન, સરકાર, સંરચના, નાગરિક, નદી, તળાવ, વિકાસ

Read Full Post »

“હું તમારાથી વધારે પવિત્ર છું” ની ગતિ

ઈશુ ખ્રીસ્તે બાયબલમાં કહ્યું કે તારો જમણો હાથ જે (સારું) કામ કરે તેની જમણા હાથને ખબર ન પડવી જોઇએ. આવું ક્યારે બને? જો તમારા જમણા હાથે કરેલું કામ મગજ દ્વારા મન સુધી ન પહોંચે તો. કારણ કે જો મન સુધી પહોંચે તો તે મનોવૃત્તિ ઉપર અસર કરે જ છે. અને જે મનોવૃત્તિ ઉત્પન્ન થઈ તે પણ સ્મૃતિમાં જમા થઈ, એટલે જ્યારે બીજી કોઈ જગ્યાએ વર્તન કરવાનું આવે ત્યારે આ વૃત્તિ મગજ ઉપર નિર્ણય લેવામાં અસર કરે.

કૃષ્ણ ભગવાને આ વાત ગીતામાં સારી રીતે સમજાવી છે. કે તમે જે કર્મ કરો તે અલિપ્ત ભાવે કરો. જો તમે સારા કામો કરો તો તેને અલિપ્ત ભાવે કરો. અને ખરાબ કામો (સમાજના હિત માટે ક્યારેક ક્યારેક વ્યક્તિઓને દંડિત કરવા પડે છે) પણ અલિપ્ત ભાવે કરો. જો કાર્યો અલિપ્ત ભાવે કરવામાં આવે તો તેના સારા અને ખરાબ કર્મો તમારી વૃત્તિઓ ઉપર અસર કરતા નથી.  

આ બાબતનું સચોટ ઉદાહરણ કયું?

જે વેપારી ભાઈઓ છે તેઓ આનું ઉદાહરણ છે. વેપારી ભાઈઓમાં ફક્ત વંશપરંપરાગત રીતે વેપાર કરે છે તેઓ જ આવે એમ નથી. પણ જેઓ સંપત્તિ વધારવાની અને તે વધેલી સંપત્તિ દ્વારા અંગત સુખ સગવડો બીન જરુરી રીતે વધારવાની એક માત્ર વૃત્તિ સાથે કાર્ય કરે છે તે બધા આમાં આવી જાય છે.

જૂના જમાનામાં વેપારીઓ હતા, પણ તેમનામાં આ વૃત્તિ બેફામ ન હતી. અને તેમના ઉપર જે તે જ્ઞાતિના મહાજનોનો થોડો ઘણો અંકૂશ હતો. સમાજરચના પણ એવી હતી કે સ્વાવલંબી એકમોના કદ નાના હતા. અત્યારે આપણે સ્વાવલંબી એકમ તરીકે પૃથ્વીને માનીએ છીએ. તેથી ઉત્પાદકો વેપારીઓ અને વપરાશ કર્તાઓ વચ્ચે સંવાદ જટીલ થયો અને ભાવનાનો લગભગ નાશ થયો. આના મૂળમાં વ્યક્તિ અને સમાન હિત ધરાવતી વ્યક્તિઓની સ્વકેન્દ્રીય વૃત્તિઓ છે.

અમારા મહુવામાં એક શેઠ ઠીક ઠીક પૈસાપાત્ર હતા અને અમુક બાબતોમાં અમુક રીતે પરગજુ હતા. જ્યારે કોઈ પણ મહાનુભાવ મહુવામાં આવે તો તેઓ આગળ પડતા રહેતા. આ શેઠ, તે મહેમાનોની આગતા સ્વાગતામાં જે કંઈપણ ખર્ચ થતો તેનો મોટો ભાગ વહોરવા તૈયાર રહેતા. તેઓ કહેતા પણ ખરા કે આપણે એવું કંઈ નથી કે વૈષ્ણવ સંત આવે તો જ આગતા સ્વાગતા કરવામાં આગળ રહીયે. અમે તો શંકરાચાર્ય આવે તો તેમાં પણ ખર્ચામાં પાછા ન પડીએ. બસ આપણું નામ રહેવું જોઇએ. એટલે કે જે કાર્ય થાય તેની પાછળ નામ જાહેર થવું જોઇએ.

આનો અર્થ એ થયો કે સારા કર્મો પાછળ કીર્તિ મેળવવાની વૃત્તિ હોય છે. તેથી સારું કામ કર્યું તો પણ મન સુધરતું નથી અને બીજા કામોમાં બીજાને નુકશાન થાય તેવી પ્રવૃત્તિઓ કરીએ છીએ. આવું હોય એટલે વ્યક્તિ પોતાના કામમાં અનીતિ આચરશે.

કર્મની લિપ્તતાનું બીજું સ્વરુપ

કર્મની લિપ્તતાનું બીજું એક ઉદાહરણ છે. સારું કામ કરો અને બીજાને કહેતા રહો કે મેં આ કર્યું અને મેં તે કર્યું. અલબત્ત તમે સારું કામ કર્યું પણ તેથી જો તમારું મોઢું ફુલી જાય તો સારા કામ નું ફળ ન મળે.  કારણ કે ઘણીવાર એવું પણ બને કે જ્યારે તમને અન્યાય થયો હોય તેવું લાગે. આવે સમયે તમારી કાર્ય કુશળતા ઉપર અસર થાય છે. અને તમે થોડા ઘણા નિસ્ક્રીય થઈ જાઓ છો. નિસ્ક્રીય થવાથી તમે જે કીર્તિ મેળવી હોય તે ઝાંખી પડીને નષ્ટ થાય. તમારી આસપાસ તમારી સાથે કામ કરતી વ્યક્તિઓ બદલાતી રહે છે. નવી વ્યક્તિઓ તો તમારું વર્તમાન કામ જ જુએ છે. તમારી સાથે કામ કરતી જે વ્યક્તિઓ બદલાઈ તે પણ તમારી વર્તમાન કાર્યશીલતાને જોશે અને તમારી જુની કાર્યશીલતાને  ભૂલી જશે. ટૂંકમાં સારું કાર્ય કર્યાનું અભિમાન તમારે માટે ખરાબ પરિણામો લાવશે.

શું પોતાના કરેલા સારા કર્મો કહેવા જ નહીં?

હાજી. તમારે તમારા સારા કર્મો કહેવા જ નહીં. તમારા સારા કર્મો બીજા લોકો કહેશે. ધારો કે બીજા લોકો કહી શકે તેવી સ્થિતિમાં ન હોય તો? તેવી સ્થિતિમાં જો તમને વાંકમાં લેવામાં આવે તો જે વ્યક્તિ/વ્યક્તિઓ તમને વાંકમાં લે છે તેની ગેરસમજણ દૂર કરવા તમે તેને અલિપ્ત ભાવે કહો, જેથી સામેની વ્યક્તિઓને સુધરવાની તક મળે

શું બીજી વ્યક્તિને સુધારવી એ આપણું કર્તવ્ય છે?

બીજી વ્યક્તિને સુધારવાનું આપણું કર્તવ્ય નથી. પણ આપણો બચાવ કરવો અને તે પણ માહિતિ અને દલીલ સાથે બચાવ કરવો એ સમાજના હિત માટે જરુરી છે. તેવીજ રીતે સામેની વ્યક્તિના દોષોને જરુર પડે ત્યારે માહિતિ અને દલીલ સાથે જણાવવા જોઇએ.

રાજકારણમાં શું થાય છે?

જો કે આ સવાલની પાછળના હેતુઓ વિવાદાસ્પદ હોઈ શકે. પણ તેના વિવાદાસ્પદપણાને લીધે અવગણી ન શકાય. રાજકારણીઓનો વ્યક્તિગત રીતે રાજકારણમાં રહેવાનો ગમે તે હેતુ હોય પણ રાજકારણ બધે જ હોય છે. ફક્ત જનપ્રતિનિધિઓના કર્તવ્યને રાજકારણ ગણવું તે બરાબર નથી. વ્યાપક ચર્ચાને વધુ લાયક કોઈ વિષય હોય તો તે આ જનપ્રતિનિધિઓને લગતું રાજકારણ જ છે.

હાલના જનપ્રતિનિધિઓ બધાજ વિષયોમાં અગત્યનો ભાગ ભજવે છે. એટલે જનતાએ તો તેની ચર્ચામાં ભાગ ભજવવો જ જોઇએ. અને જરુરી ટીકાઓ કરવી જ જોઇએ. જનતા આવું કરે તો જ જે તે રાજકારણીઓ જેમને સુધરવાની ઈચ્છા છે તેઓ સુધરી શકે છે. રાજકારણીઓ પોતાનો પક્ષ બનાવીને જો કાર્ય કરતા હોય તો પક્ષને પણ વ્યક્તિ માનીને તેને સુધરવાની તકનો દીશા નિર્દેશ કરવો જોઇએ.

જનતામાં રહેલી ભિન્નતા

જનતા તો ભિન્ન ભિન્ન ક્ષેત્રોવાળી છે, ભિન્ન ભિન્ન હેતુઓ વાળી હોય છે, વિચારો પણ ભિન્ન ભિન્ન હોય છે અને અભિપ્રાયો પણ ભિન્ન ભિન્ન હોય છે, તો પ્રજામાં એક મતિ કેવીરીતે આવે અને સાચું કે ખોટું, યોગ્ય કે અયોગ્ય કેવી રીતે નક્કી કરી શકાય?

તર્ક શાસ્ત્ર એક જ છે. વિજ્ઞાનમાં પણ ઘણા ક્ષેત્રો છે. અને તેના હેતુઓ પણ જુદા જુદા છે. છતાં પણ વૈજ્ઞાનિકોનીવચ્ચે એવો સંઘર્ષ નથી કે વૈજ્ઞાનિકો હુલ્લડો કરવા ઉપર આવી જાય. કારણ કે તેમના તર્કના સિદ્ધાંતો એક સરખા છે. એટલે મૂળવાત તર્ક ઉપર છે. તર્ક પોતે, માહિતિઓ, પ્રયોગો અને તેના દ્વારા મળેલા પરિણામો ઉપર આધાર રાખે છે. અને તે પ્રમાણે તારણો કાઢવામાં આવે છે. આ તારણો દ્વારા વિદ્યાનો (ટેક્નોલોજી) અને જ્ઞાનનો વિકાસ થાય છે.

સમાજશાસ્ત્ર પણ એક શાસ્ત્ર અને તેનો વિકાસ તેજ રીતે જ થવો જોઇએ

જેઓ રાજકારણને અસ્પૃષ્ય માનતા નથી અને રાજકારણમાં હોદ્દાઓમાં ભાગબટાઈ કરતા નથી તેઓ જ સમાજશાસ્ત્રનો અને સમાજનો વિકાસ સાચી દિશામાં કરી શકે. આ લોકોને જ આપણે સમાજશાસ્ત્રી કહી શકીએ.

રાજકારણમાં હોદ્દાઓમાં ભાગબટાઈ કરનારા પણ સમાજશાસ્ત્રનો વિકાસ કરી શકે છે. પણ વાસ્તવમાં તેઓ પ્રયોગો કરનારા હોય છે. અને સમાજશાસ્ત્રમાં તેઓ એક ઉપકરણ પણ હોય છે. તેથી તેઓએ પોતે કરેલા પ્રયોગો ઉપર અને તારવેલા સિદ્ધાંતો ઉપર સ્વિકૃતિની મહોર તો સમાજશાસ્ત્રીઓએ જ મારવી જોઇએ.

જનતાની સ્થિતિ

સમાજ શાસ્ત્રનું એક પરિબળ સમાજની વ્યક્તિઓ પણ છે અને જે કંઈપણ નિર્ણયો લેવાય તે જનતા  ઉપર અસર કરે છે તેથી કોઈપણ વાત જનતાથી છાની રાખી શકાય નહીં. સમાજની વ્યક્તિઓ પણ માહિતિનો એક સ્રોત છે અને તેમના પ્રતિભાવો અને ભાવનાઓ  પણ એક જાતની માહિતિ છે.

આ પ્રમાણે જેઓ જનપ્રતિનિધિઓ છે તેમને જનતાએ કોરોચેક આપ્યો નથી કે ન તો કોરી ગીતા કે મનુસ્મૃતિ આપી. તેઓ ફાવે તેમ વર્તી ન શકે. આ જનપ્રતિનિધિઓને, સમાજશાસ્ત્રી કે સમાજસુધારક અન્ના હજારે જેવા પુછે તો આ પ્રતિનિધિઓ એમ ન કહી શકે કે “જનતાના પ્રતિનિધિઓ તો અમે છીએ. તમે કોણ છો અમને પૂછનારા?” વાસ્તવમાં જનપ્રતિનિધિઓ સમાજ શાસ્ત્રીઓ છે જ નહીં. તેઓ તો પ્રયોગો કરનારાઓ ઉપર નજર નાખનારા ચોકીદાર છે. પ્રયોગ કરનારા તો સરકારી નોકરો છે. અને પ્રયોગોમાં સુધારા સૂચવનારા સમાજશાસ્ત્રીઓ છે. આ સમાજશાસ્ત્રીઓ જાહેરમાં ચર્ચાઓ કરશે અને પ્રજાની સ્થિતિનો ક્યાસ કાઢશે, તેની અનુભૂતિઓને લક્ષ્યમાં લેશે. પદ્ધતિમાં જરુરી ફેરફારોની એક બ્લ્યુપ્રીંટ બનાવશે. અને પ્રજા સામે “ખરડાના સ્વરુપમાં” રજુ કરશે. જે પક્ષ પોતાને સમાજશાસ્ત્રીઓનો સમૂહ માનતો હોય, તે પોતાને યોગ્ય લાગે તે સુઝાવને “કાયદાકીય સ્વરુપની ભાષામાં બદ્ધ”  પ્રસ્તાવ (ખરડાના) ના સ્વરુપમાં પ્રજા સમક્ષ (મતદાર મંડળો સમક્ષ) રજુ કરશે અને જાહેર મંચ ઉપર ચર્ચા કરશે.. આ બધું ત્યારે જ બને જ્યારે મતદાર મંડળો બને અને તે પણ ક્યારે કે જ્યારે આ મતદાર મંડળોને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હોય તો.

સમાજસુધારો ફક્ત પ્રચાર નથી.

સમાજમાં સુધારાની વાત પ્રચારની નથી પણ ચર્ચાની છે. તેથી પ્રચાર વગરની ચર્ચા થવી જોઇએ.  આવી ચર્ચા એક મંચ પર થવી જોઇએ. આવા મંચ દરેક મતદાન મથકમાં હોવાં જોઇએ. અને તેનું સંચાલન અધિકૃત અધિકારી પાસે હોવું જોઇએ. જે દરેકને પોતાનો અભિપ્રાય મુકવાની છૂટ આપે. સમગ્ર કાર્યવાહીની સંપૂર્ણ નોંધ રાખે અને પછી સૂચિત ખરડા ઉપર મતદાન કરીને તેનો આલેખ ઉપરના સ્તર ઉપર મોકલી આપે. (આ વાત આપણે  “नरेन्द्र मोदी जब प्रधान मंत्री बन जाय, तब भारतीय जनता उनसे क्या अपेक्षा रखती है” ની લેખમાળામાં વિસ્તારથી કરી છે).

આવી જોગવાઈઓ બંધારણ દ્વારા ન થાય અને રાજકારણમાં વૈચારિક બળને બદલે પૈસાના અને પાશવિક બળો જો કામ કરતા હોય ત્યારે જો કોઈ એમ માને કે અમે તો પવિત્ર છીએ અને રાજકારણ તો અપવિત્ર છે તેથી તેનાથી અમે અલિપ્ત રહીશું તો તેઓ પોતાની ફરજ ચૂકે છે. હા એ જરુર મંજુર છે કે આ તમારો વિષય નથી અને તેથી જ તમે તેનાથી દૂર રહેવા માગો છો. પણ તો પછી તમે સમાજની સ્થિતિ વિષે બળાપો કરવાનો અધિકાર પણ ગુમાવો છો.

જેઓ સામાન્ય અથવા અસામાન્ય છે અને તેઓ ચર્ચા કરવા માગે છે અને અથવા સમાજશાસ્ત્રી પણ છે અને જનપ્રતિનિધિ પણ બનવા માગે છે તેમણે શું કરવું જોઇએ?

આવા લોકોની ચર્ચા હમેશા મુદ્દા અને માહિતિ સભર હોવી જોઇએ

જેમકે નહેરુવીઅન કોંગ્રેસી નેતાઓ ભારતીય જનતા પાર્ટીને કોમવાદી કહે છે. તેના સમર્થનમાં તેઓ તેનો આરએસએસ સાથેનો સંબંધ કહે છે. તો સવાલ એ થાય કે આર એસ એસ કેવી રીતે કોમવાદી છે? આરએસએસના કયા ઉચ્ચારણો અને કઈ માન્યતાઓ તેમને કઈ રીતે કોમવાદી ઠેરવે છે? ઉચ્ચારણો ઉપર ચર્ચા થવી જોઇએ. માન્યતાઓની ગુણવત્તા ઉપર ચર્ચા થવી જોઇએ.

નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો થાય તો તેની વિગતો અને આધારો ઉપર ચર્ચા થવી જોઇએ. નહેરુવીયન કોંગ્રેસીઓ સામેથી બીજેપીને ભ્રષ્ટાચારી કહે તો તેથી કોંગ્રેસીઓના ભ્રષ્ટાચારનો બચાવ થઈ જતો નથી. જો કોંગ્રેસીઓ, બીજેપીના કોઈ એક ભૂતપૂર્વ નેતાના ભ્રષ્ટાચારને સો વખત બોલે એટલે તેના સો ભ્રષ્ટાચાર થઈ જતા નથી.

આમઆદમી પક્ષ

બીજેપી જો એમ કહે કે આમઆદમી પક્ષે કહેલ કે અમે કોઈ ભ્રષ્ટાચારી પક્ષને સમર્થન કરીશું નહીં અને તેમનું સમર્થન લઈશું નહીં. નહેરુવીયન કોંગ્રેસે તેને શરતો વગરનું સમર્થન કર્યું. તે ખોટું કર્યું તો બીજેપીની આ વાત બરાબર નથી. કારણ કે જે સમર્થન આપ્યું છે તે શરતો વગરનું છે. જો આમઆદમી પક્ષને સારા હેતુ માટે શેતાન મદદ કરતો હોય તો તે મદદ જરુરી હોય અને તે મદદના અભાવમાં સારું કામ થઈ શકતું ન હોય તો સમર્થન લેવું અને શેતાનના ખાતામાં પણ આ સારા કામને જમા કરવું. જોકે એ વાત જુદી છે કે આ શેતાને ભૂતકાળમાં દરેક વખતે દગો કર્યો છે. પણ આ શેતાનની સાથે શું વ્યુહ રચના રાખવી તે આમઆદમી પક્ષની હોંશીયારી ઉપર છોડી દેવું.

આમઆદમી પક્ષ પોતાના સિવાય બધા પક્ષોને ભ્રષ્ટ કહે તે વાત પણ બરાબર નથી. જ્યાં સુધી એફ આઈ આર ન નોંધાય, કોર્ટને પ્રાથમિક માહિતિ વિશ્વસનીય ન લાગે, કોર્ટ અરોપનામું ન પાઠવે અને સજા ન કરે ત્યાં સુધી ત્યાં સુધી આરોપીને કાયદેસર રીતે ભ્રષ્ટ ન જ કહેવાય. પણ તેની ઉપરના આરોપોની ગુણવત્તા ઉપર ચર્ચા કરી શકાય.

દિલ્લીની વિધાનસભામાં ચૂટાઈને આવેલા બધાજ પ્રતિનિધિઓને એટલા જ કારણસર ભ્રષ્ટ ન કહી શકાય કે તેમના પક્ષને આપણે ભ્રષ્ટ કહ્યો છે. આ બધા બંધારણીય રીતે ચૂંટાઈ આવ્યા છે અને તેઓ જનતાના પ્રતિનિધિઓ છે. તેઓ પક્ષના પ્રતિનિધિઓ નથી. આનું કારણ એ છે કે જનતાએ તેમના નામ સામે મત આપ્યા છે. પક્ષે તો તેમને પ્રસ્તૂત કર્યા છે. આ પ્રતિનિધિઓનું ઉત્તરદાયિત્વ જનતા સાથે છે. પક્ષ સાથે નથી.

જનતાના બંધારણીય હક્કોનું જનહિતમાં અર્થઘટન

જોકે સંસદે એક ખરડો પાસ કરીને જનપ્રતિનિધિઓને પક્ષને વફાદાર રહેવાનું સૂચવ્યું છે. આ વાત વ્યક્તિના બંધારણીય હક્કની વિરુદ્ધ જાય છે. સંસદ, કોર્ટ, પક્ષ કે જનતાનો અમુક વર્ગ આ વાત ન સમજે પણ આમઆદમી ના કેજરીવાલે આ વાત સમજવી જોઇએ. ભારતીય બંધારણ આ પ્રતિનિધિને “જનપ્રતિનિધિ” કહે છે. પણ પક્ષ કહે છે કે અમે તેને પ્રસ્તૂત કર્યો છે તેથી અમે તેને પદભ્રષ્ટ કરી શકીએ. આ વાત તો એવી થઈ કે તમે એક એજન્સીને કહ્યું કે તમે અમને ચોકીદાર આપો. તેણે આપ્યો. તમે મંજુર કર્યો. તમે તેને પગાર અને સવલતો આપવાનું પણ શરુ કર્યું. પણ તમને લાગ્યું કે આ ચોકીદાર વિશ્વસનીય નથી. આ એજન્સીના ઘણા જ ચોકીદારો અવિશ્વસનીય નિકળ્યા. છતાં પણ એજન્સી કહે છે કે ના અમે તેમને નિલંબિત નહીં કરીએ. વાસ્તવમાં ચોકીદારને નોકરીએ રાખ્યો તેની સાથે જ તેને નિલંબિત કરવાનો જનતાનો અધિકાર આવી જાય છે. પક્ષ કહે છે બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી તેથી તમે એવું કરી ન શકો. જો કે આ માનવીય હક્કની વાત છે. જે ચૂંટે છે, જે તેને પગાર આપે છે તેની પાસે તેને દૂર કરવાનો અધિકાર આપોઆપ આવી જાય છે. જોકે તેને માટે કોઈ પ્રક્રિયા બંધારણમાં નથી. કોઈ ન્યાયાધીશ એવો થયો નથી કે આવું અર્થઘટન કરી બાંધી મુદતમાં પ્રક્રિયા ઘડવાનો આદેશ આપે. પણ જો મતદારો અધિકૃત અધિકારી કે ન્યાયધીશ પાસે જઈને એફીડૅવીટ કરીને આપે કે અમને અમારા આ પ્રતિનિધિમાં વિશ્વાસ નથી અને જો આ ટકાવારી કુલ મતદારોના ૫૦ટકા થી સહેજ વધુ હોય તો ન્યાયાલય તેને બરતરફના હુકમ કરી જ શકે.

બેફામ આક્ષેપો

પણ હાલ આવું કરવામાં આવતું નથી. આ પરિસ્થિતિમાં પક્ષના નેતાઓને બેફામ આક્ષેપો કરવાનો પરવાનો મળી ગયો એવું તેઓ માને છે.

મજાની વાત એ છે કે જેની પાસે કેન્દ્રમાં સત્તા છે અને જેની ફરજ છે કે સમાજમાં થતા વ્યવહારોમાં ક્યાં ચૂક થાય છે તેનું ધ્યાન રાખે. તેટલું જ નહીં જે અધિકારીએ ચૂક કરી તેની ઉપર કામ ચલાવે. પણ આ સત્તાધારી પક્ષના નેતાઓ પહેલાં આરોપ મુકવાનું કામ કરે છે અને તેને માધ્યમો દ્વારા જાહેરમાં બદનામ કરવાનું કામ કરે છે.

જેના ઉપર આરોપ મુકવામાં આવ્યો હોય અને તપાસ ચાલુ હોય તે માહિતિના અધિકારમાં આવતું નથી. જ્યારે અહીં તો આરોપોને આધાર માની વ્યક્તિ/પક્ષને બદનામ કરવામાં આવે છે. આમ જુઓ તો કેન્દ્ર સરકારે રાજ્યોની કાર્યવાહી ઉપર નજર રાખવાની ફરજ અદા કરવાની હોય છે. આ કેન્દ્ર સરકાર એક તો પોતે પોતાની ફરજમાં ચૂકે છે અને રાજ્ય સરકાર ઉપર આરોપ મુકે છે. બંધારણ તો આ નહેરુવીયન કોંગ્રેસ સરકારે જ ઘડ્યું છે. પણ સમાચાર માધ્યમો મુદ્દા ઉપરની ચર્ચાઓ ટાળે છે અને બદનામી અને ધારણાઓની વાતોને ચગાવે છે.

જો સરકાર ચલાવતા પક્ષો અને તેને વેચાયેલા સમાચાર માધ્યમો મુદ્દાની વાત બાજુપર રાખી લૂલીને લગામ ન રાખે તો તેનો પ્રતિભાવ પણ સામે પક્ષે એવો જ મળશે. જેઓ નરેન્દ્ર મોદીને મૌતકા સોદાગર, ગોડસે, ખૂની, હિટલર, વાંદરો, ફેંકુ, મકોડો, ઉંદર, કાકીડો, ગરોળી, દેડકો, ચાવાળો વિગેરે વિગેરે  પોતાની આત્મતુષ્ટિ માટે કહે છે તેઓને વાસ્તવમાં દુઃખે છે પેટમાં અને કૂટે છે માથું. આ લોકો નરેન્દ્રમોદીના દરેક પગલામાં રાજકારણ જુએ છે અને નરેન્દ્ર મોદીને નિમ્નસ્તરનો આલેખવાની કોશિસ કરે છે. તમે સમજી લો કે આ લોકોએ પોતાને સુધરાવાની લાયકાત ગુમાવી દીધી છે

શિરીષ મોહનલાલ દવે

smdave1940@yahoo.com

smdave1940@gmail.com

http://ww.treenetram.wordpress.com

ટેગ્ઝઃ મતદાર, મંડળ, જનપ્રતિનિધિ, અલિપ્ત, કર્મ, મનોવૃત્તિ, નહેરુવીયન, કોંગ્રેસ, બીજેપી, નરેન્દ્ર મોદી, આમઆદમી, પક્ષ, કેજરીવાલ, ભ્રષ્ટ, ભારતીય બંધારણ, હક્ક, ઉત્તરદાયિત્વ, મહેનતાણુ, વિશ્વસનીય, મુદ્દા, ગુણવત્તા, ચર્ચા, સમાન મંચ, પ્રસ્તાવ

Read Full Post »

જમીનના હક્કો અને ગાંધીવાદની માયા જાળ

નરેન્દ્ર મોદીની સરકાર ઉદ્યોગો માટે જમીન સંપાદન કરે અને ઉદ્યોગોને આપે એટલે કેટલાકને ન ગમે તે સ્વાભાવિક છે. કોઈપણ કામ સારું હોય કે ખરાબ હોય તેનો અમુક જુથ તરફથી વિરોધ તો થવાનો જ. ઔદ્યોગિક ગૃહો કે વ્યક્તિગત ઉદ્યોગો સ્થાપવાની ઈચ્છા ધરાવનારાઓ પણ જ્યારે ઉદ્યોગ સ્થાપવા માટે અરજી કરે ત્યારે સરકાર પોતે પણ એટલે કે સરકારી અધિકારીઓ પણ વાંધા વચકા પાડે. ઉદ્યોગસ્થાપનારાઓ સરકારી અધિકારીઓના સંસ્કાર અને આદતોથી જાણકાર હોવાથી, તેમના લાગાઓને પણ એક પરિબળ માની તેને ખર્ચની ગણત્રીમાં લેતા હોય છે. આ ખર્ચને નાબુદ કરવા અનેક નરેન્દ્ર મોદીઓની સરકારને જરુર પડશે. જો કે આપનાર અને લેનાર સંપીને આ સમસ્યાનો નીવેડો લાવતા હોય છે તેથી આવી વાતો બહાર આવતી નથી. છૂટા છવાયા પકડાઈ જવાના બનાવો છાપામાં આવે છે. પણ તેની વિગતો બહાર આવતી નથી.

પણ જ્યારે સરકાર પોતે પોતાની આતુરતા ઉદ્યોગ સ્થાપવા માટે બતાવે ત્યારે તેનાથી જનતાને થતા લાંબા અને ટૂંકા ગાળાના લાભોને ધારોકે આપણે અવગણીએ અને જમીન સંપાદનની ક્રિયામાં જે વાડાઓ અને જુથો તરફથી અવરોધો ઉત્પન્ન થાય છે અને થવાના છે તેને સરકારી અધિકારીઓ લક્ષમાં લેતા હોય તેવું લાગતું નથી.

ગાંધીજીએ કહેલું કે તમે સારું કામ કરો તો પણ તેના અમુક ખરાબ પરિણામો પણ મળવાના જ. આનું કારણ લોકોની કે તેમના જુથોની કાર્ય કે સિદ્ધાંતોની અધૂરી સમજણ હોય છે. અને જો આમાં દૂન્યવી રાજકારણ કે જેમાં સ્વખ્યાતિ કે “ટકો લે પણ મને ગણ” એવી માનસિકતા ભળે એટલે કેટલીક ચર્ચાઓ, સંવાદો, અસંવાદો, વિસંવાદો અને વિતંડાવાદો પણ ઉજાગર થાય.આમાં ભલભલા ગોથાં ખાય તો સામાન્ય જનતાનું તો ગજું જ શું!

સત્યાગ્રહનો સીધો સાદો દાખલો

ગાંધીજીએ આપેલું હથીયાર એટલે કે સત્યાગ્રહ દ્વારા વિરોધ કરવો. એટલે કે આત્મપીડન (ઉપવાસ કે સજા સહિતની તૈયારી સાથે સવિનય કાનુન ભંગ) માટે તૈયાર રહી કોઈ બાબતનો વિરોધ કરવો. આ એક અહિંસક કાર્ય છે. ગાંધીજી અહિંસામાં માનતા હોવાથી તેમણે સત્યાગ્રહને સામુહિક હિતના આધારે પુરસ્કૃત કરેલ. જો કે સત્યાગ્રહ કરતાં પહેલાં તેની અમુક શરતો ગાંધીજીએ પ્રસ્તૂત કરી છે. પણ જો આ શરતો પ્રત્યે સત્યાગ્રહી અજ્ઞાન હોય, અથવા આત્મખ્યાતિ સહિતના બદઈરાદાવાળો હોય તો આપણને સત્યાગ્રહના પણ ખરાબ પરિણામો જોવા મળે.

જેમકે જેના અસંખ્ય ભક્તો છે તેવા રજનીશે પોતે કેવા જ્ઞાની છે અને મહાત્માગાંધીથી પણ કેટલા બધા આગળ વધેલા મહાન વિચારક છે તે દર્શાવવા તેમણે ગાંધીજીના સત્યાગ્રહની ટીકા ચાલુ કરીને સ્વખ્યાતિ માટે મેદાનમાં કૂદી પડેલ. તેમણે દાખલો આપેલ કે એક વેશ્યાએ કે જેનો પ્રેમ એક તરફી હતો તેણે પોતાને મનપસંદ વ્યક્તિને પોતાને પરણવા માટે સત્યાગ્રહ (ઉપવાસ)નો આશરો લીધો. “મને પરણ નહીં તો હું તારા ઘરની સામે ઉપવાસ કરીને મરી જઈશ”.

આ એક બળજબરી થઈ. બળ જબરી એક હિંસા છે. એટલે સત્યાગ્રહની એક આડ પેદાશ હિંસા હોય છે. એટલે સત્યાગ્રહમાં પણ હિંસાનું તત્વ છે. આમ રજનીશે ગાંધીજીના સત્યાગ્રહના નિયમોનો અભ્યાસ કર્યા વગર જ પોતાને અહિંસાના ગાંધી કરતાં વધુ જ્ઞાની સાબિત કરી દીધેલ. તેમણે નિરપેક્ષ અહિંસાની વાત કરેલ. કે જેમાં પોતાની પરાશક્તિ દ્વારા એક પાદરીએ બીજી વ્યક્તિનું દૂરદૂર રહ્યે વિચાર પરિવર્તન કરી દીધેલ. એવો એક કપોળકલ્પિત દાખલો પણ આપેલ. મૂળ વાત એમ છે કે જ્યારે તર્કશાસ્ત્રનું અધકચરું જ્ઞાન હોય, સમજણ પણ ઓછી હોય, વાચન પણ અધૂરું હોય અને તમારા શ્રોતાગણ કે વાચકગણ તમારી કક્ષાથી પણ ઉતરતી કક્ષાના હોય ત્યારે તમે તમારી ખ્યાતિ વાણી વિલાસ દ્વારા વધારી શકો છે.

જેમણે બકરી જોઇ નથી તેવા શ્રોતા ગણ આગળ તમે બકરીને ત્રણ ટાંગ હોય છે એટલું જ નહીં તેને ટાંગ વગરની પણ સાબિત કરી શકો છો. જો તમે સત્યાગ્રહના આધારરુપ સ્તંભોને ન જાણતા હો તો તમે સત્યાગ્રનો અયોગ્યરીતે ઉપયોગ કરી, ખરાબ પરિણામો ઉત્પન્ન કરી શકો છો.

સત્યાગ્રહની પૂર્વ શરતો છે.

અહિંસક આંદોલન આચરતાં પૂર્વે, તે દરમ્યાન અને તે પછી પણ, આ બાબતો તો અસ્તિત્વ ધરાવતી હોવી જ જોઇએ. સમાજનું ભલું (નિસ્વાર્થી પણું), તાર્કિક સંવાદ અને તેનું સાતત્ય, પરસ્પર પ્રેમ અને પરસ્પર વિશ્વાસ આ હોવાં જરુરી છે.

જો કે ગાંધીજીએ કહેલ કે તમે સારું અને શુદ્ધબુદ્ધિથી કામ કરો તો પણ અમુક દુસ્પરિણામ તો આવી શકે છે. પણ આવા દુસરિણામોનું પ્રમાણ ઓછું રહેશે અને સુપરિણામોનું પ્રમાણ ઘણું વધુ રહેશે. તેથી સરવાળે ઘણો લાભ જ થશે.

જેવું રજનીશનું હતું તેવું કેટલેક અંશે સરકાર દ્વારા ઔદ્યોગિક જગતમાટે જમીન સંપાદનની બાબતમાં તેનો વિરોધમાં આંદોલન કરનારા રાજકીય નેતાઓ, કહેવાતા કર્મશીલો, કેટલાક અખબારી મૂર્ધન્યો, ગાંધીવાદી અને ખુદ સરકારી અમલદારોના વલણ વિષે પણ આવું જ કહી શકાય.

જમીન સંપાદન ના દરેક કિસ્સાને એક એક કરીને જ જોઇ શકાય. જમીન સંપાદનમાં જમીનના દરેક કિસ્સાની કથા અલગ અલગ હોય છે. જો બંને પક્ષે સામાજીક હિતની સમજણ, અન્યાય ન થાય તેવી વૃત્તિ ધરાવતા હોય અને સંવાદમાં જો તર્ક શુદ્ધતા રાખતા હોય તો જમીન સંપાદન એ કોઈ અશક્ય કામ નથી અને આંદોલનનો વિષય પણ નથી.

તર્કની અશુદ્ધતાઃ

અમારે જમીન આપવી જ નથી.

અમારે ખેતી જ કરવી છે.

અમે જમીન નહીં આપીએ કારણ કે

જમીન ઉપર અમારો હક્ક છે.

જમીન આપી દઈએ તો અમે કરીશું શું?

તમે જે વળતર આપશો તે કંઈ અમારે જીંદગી ભર ચાલશે નહીં. એ પૈસા તો વપરાઈ જશે. તે પછી અમે શું કરીશું?

તમે અમારી પાસેથી સસ્તાભાવે જમીન લઈ ઉદ્યોગોને (પાણીના મુલે) જમીન આપો છો. અમને (જમીનના) માલિકમાંથી (કરખાનાના) મજુર બનાવી દો છો.

અમે શું કામ અમારું ગામ છોડીએ?

ગામની જમીન ઉપર ગામનો જ હક્ક છે.

જો ગ્રામ પંચાયત મંજુર ન કરે તો તમે ગૌચર કે ખરાબાની કે પડતર જમીન પણ ન લઈ શકો.

અમારા ઢોર ચરશે ક્યાં?

માલધારીઓનું શું થશે?

ગાંધીજીએ પ્રબોધેલા ગ્રામ સ્વરાજ ની ભાવનાનો અહીં ધ્વંશ થાય છે.

ઉદ્યોગો થી પર્યાવરણનો નાશ થશે,

ગ્રામ્ય જનતાનું શોષણ થશે.

અમારે તો ખેતી જ કરવી છે. જમીન આપવી જ નથી.

શું આ શાશ્વત નિર્ણય છે?

ધારો કે “હા” એમ છે.

આપણે અમદાવાદની જ વાત કરીએ. કારણ કે અમદાવાદને જે લાગુ પડે છે તે બધા શહેરો, કસ્બાઓ અને ગામને પણ લાગુ પડશે.

૧૯૪૨માં મોટાભાગની વસ્તી કોટ વિસ્તારમાં જ વસતી હતી. ચારે બાજુ નાના ગામડાઓ હતા. ૧૯૪૮ સુધી પણ લગભગ આજ સ્થિતિ હતી. ચારે બાજુ ખેતરો હતાં. રાયપુર દરવાજાથી કાંકરીયા જોઇ શકાતું હતું. કાંકરીયાથી મણીનગર જવાના રસ્તા ઉપરથી મણીનગર સ્ટેશન જોઈ શકાતું હતું. ૧૯૫૨માં પણ ગીતા મંદીરથી વેદ મંદીર જોઇ શકાતું હતું. શાહઆલમનો રોજો જોઇ શકાતો હતો. હજારો ખેડૂતો ખેતી કરતા હતા. આજે અમદાવાદ કોટની રાંગથી ચારે બાજુ ૧૦થી પણ વધુ કીલોમીટર સુધી બાંધકામો થઈ ગયાં છે. અહીં હજારો ખેતરો હતાં. આ હજારો ખેતરોમાંથી એક પણ ખેતર બચ્યું નથી. આ બધા ખેડૂત ભાઈઓમાંથી કેમ એવા કોઈ જ ન નિકળ્યા કે જેમણે કહ્યું અને કર્યું કે અમારે તો અમારી જમીન વેચવી જ નથી અને માત્રને માત્ર ખેતી જ કરવી છે. તે વખતે શું ખેડૂત ભાઈઓ વધુ ભણેલ હતા? તે વખતે શું ખેડૂતભાઇઓ બીજો ધંધો કરવાની વધુ આવડત ધરાવતા હતા?

નાજી આવું કશું જ ન હતું. તે વખતે તો ખેડૂતો વધુ ગરીબ હતા.

શું ૨૦૦૨ પછી જ ઉદ્યોગો ગુજરાતમાં સ્થપાયા? નાજી ઉદ્યોગો ગુજરાતમાં પહેલાં પણ સ્થપાતા હતા.

શું પહેલાંના સ્થપાયેલા ઉદ્યોગો પર્યાવરણને હાની કારક ન હતા? ચોક્કસ હતા. અને હજી પણ છે.

પહેલાંના ઉદ્યોગો ચોક્કસ પર્યાવરણને હાનીકારક હતા. અને તે વખતે તો પર્યાવરણને લગતા કાયદાઓ બહુ નબળા હતા. તો પણ મનુભાઈ શાહે દરેક તાલુકા સ્તરે ઔદ્યોગિક વસાહતો સ્થાપેલ અને આ બધી જમીનો ખેતરાઉ જમીનો જ હતી. આ બધી જ ઔદ્યોગિક વસાહતો ગામેગામ હતી અને તેનો વિસ્તાર ગામને સમકક્ષ હતો. આખું ગાંધીનગર શહેર ખેતરોને ઉખેડીને બનાવેલ.

આજે ડાહી ડાહી વાતો કરનારા તે વખતના કોંગ્રેસીઓ અને તે વખતના નૂતન કોંગ્રેસીઓ તે વખતે ક્યાં હતા? સનત મહેતા જેવા પ્રજાસમાજવાદીઓને મહુવામાં “નૂતન કોંગ્રેસીઓ” એ નામની ઓળખવામાં આવતા હતા, અને અત્યારે આજ સનત મહેતા એક સમાચાર પત્રમાં કટારીયા મૂર્ધન્ય બની ગયા છે અને ડાહી ડાહી વાતો લખે છે.

૧૯૪૮ થી ૧૯૯૫ સુધીમાંનો સમય લક્ષ્યમાં લઈએ તો બધાં શહેરો, સરવાળે હજારો ચોરસ કીલોમીટર વિકસ્યા અને ગામડાને ગળી ગયાં. તો તે હજારો ગામડાંઓની હજારો ગોચરની જમીનો ક્યાં ગઈ?

બગીચો કેવી રીતે ઉકરડો બન્યો?

૧૯૮૧ પછી ગુજરાતમાં નહેરુવીયન ઈન્દીરાઈ કોંગ્રેસ સોળે કળાએ વિકસી. ઉદ્યોગો અને સરકારી અફસરો વચ્ચેની ખાઈકી નો ધંધો પણ સોળેકળાએ વિકસ્યો. મનુભાઈ શાહે સ્થાએલી ઔદ્યોગિક વસાહતો (જી આઈ ડી સી), જે બગીચા જેવી લાગતી હતી તે બધી ગંદકીથી ખદબદવા લાગવાનું શરુ થયું. જો તમે દા.ત. વટવા જી. આઈ. ડી. સી.ના સરકારી કે ખાનગી ચિકીત્સકોને મળશો તો તેઓ તમને “ઑફ ધ રેકોર્ડ” આરોગ્ય ખાતાના અધિકારીઓની, પર્યાવરણના અધિકારીઓની અને ઔદ્યોગિક એકમના માલિકો વચ્ચેની મીલીભગતની ચોંકાવનારી વાતો કરશે. હાલ પર્યાવરણને લગતા કાયદા ઘણા કડક છે. ૧૯૮૧થી ચાલુ થયેલો ખાયકીના ધંધાનું ઉઠમણું થઈ શકે છે પણ તેને માટે નરેન્દ્ર મોદીએ ફુલ ટાઈમ અને તે પણ આ એક માત્ર પર્યાવરણનું જ કામ કરવું જોઇએ.

આરોગ્ય ખાતા પાસે અમર્યાદ સત્તા છે. પણ જેમ પોલીસ તંત્ર જેમ દારુબંધીનો અમલ કરવામાં ઠાગા ઠૈયા કરે છે, જેમ લેબર કમીશ્નર મજુરકાયદાના અમલમાં ઠાગા ઠૈયા કરે છે, જેમ મ્યુનીસીપલ કમીશ્નરો ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવવામાં ઠાગાઠૈયા કરે છે, અને નહેરુવીયન કોંગ્રેસ જેમ વિદેશી બેંકોમાં રહેલું કાળું-લાલ નાણું પકડવામાં અને ગરીબી હટાવવામાં ઠાગાઠૈયા કરે છે તેમ આરોગ્ય ખાતાવાળા (પર્યાવરણવાળા સહિત) પ્રદૂષણ અટકાવવામાં ઠાગા ઠૈયા કરે છે.

ગંગા મૈલી ક્યું? તમે ગંગામાં કચરો નાખવો બંધ કરો તો એક ચોમાસું ગયા પછી આપોઆપ ચોક્ખી થયેલી જોવા મળશે.

અહીં ગાંધીવાદ અને ગાંધી વાદીઓની વાત ક્યાં આવી?

જમીન બચાવોના આંદોલનમાં ઈન્દીરાઈ કોંગ્રેસીઓ, નૂતન કોંગ્રેસીઓ, કહેવાતા કર્મશીલો, અખબારી મૂર્ધન્યો, સાથે ગાંધીવાદીઓ પણ સામેલ છે. નહેરુવીયન કોંગ્રેસીઓના વલણમાં વિરોધાભાસ હોય તે સિદ્ધ કરવાની જરુર નથી. તે સ્વયં સિદ્ધ છે. ૧૯૭૫-૧૯૭૭ સુધી ઈન્દીરા ગાંધીએ ચલાવેલી કટોકટી સ્વયંસિદ્ધ દંભી અને વિરોધાભાષી અને ગુન્હાહિત વલણોવાળી આતંકવાદી રહી હતી. એ પહેલાંના અને તે પછીના નહેરુવીયન કોંગ્રેસના વલણો પણ દંભી અને વિરોધાભાષી રહ્યા છે પણ તે બધા વિતંડા વાદ કરીને વિવાદાસ્પદ બનાવી શકાય તેમ હતા અને તેમ છે. પણ ૧૯૭૫-૧૯૭૭ તો ન્યાયાલય સંસ્થાના દસ્તાવેજો ઉપર છે. તેથી તેને અવગણી શકાય નહીં.

કેટલાક ગાંધી વાદીઓ મૂંગા રહેલ પણ ઘણા ગાંધી વાદીઓએ લડત અને ભોગ આપેલા. તેઓ સલામને પાત્ર છે. પણ “ન્યાયાર્થે નિજ બંધુકો ભી દંડ દેના યોગ્ય હૈ” એ કૃષ્ણ ભગવાનની અને કૌટીલ્યની ફિલોસોફી પ્રમાણે અમુક ગાંધીવાદીઓની ટીકા કરવી જોઇએ.

ભૂમિપુત્ર એ સર્વોદય વાદીઓનું મુખ પત્ર છે. તે ગાંધીવાદી હોય તે અપેક્ષા આપણે રાખવી જોઇએ. જો સરકારની ટીકા ન કરીએ તો સરકારને સુધરવાનો ચાન્સ ન મળે તેવું નરેન્દ્ર મોદી પણ કહે છે. તેથી ભૂમિપુત્ર પણ ગાંધીવાદમાંથી ચલિત ન થાય તે આપણી અપેક્ષા હોવી જોઇએ. કમસે કમ ભૂમિપુત્ર એક તરફી વાતો ન કરે તે જરુરી છે. કારણ કે માત્ર એક પક્ષી વાતો રજુ કરવી તે ગાંધીવાદી પ્રણાલી નથી.

જમીન બચાવો એટલે શું?

ખેતી માટેની જમીન અને જંગલોની જમીન ઓછી ન થવી જોઇએ.

ધારોકે ખેતી માટેની જમીન બીજા હેતુ માટે વાપરી તો તેટલી જ જમીન ખેડાણને લાયક કરવી જોઇએ. એટલે કે જે જમીન પડતર છે અને ખરાબાની છે તેને નવસાધ્ય કરવી જોઇએ. જંગલો ન કપાવાં જોઇએ. નહેરુવીયન કોંગ્રેસના રાજમાં પુસ્કળ જંગલો કપાયાં અને હજુ પણ કપાય છે. ૧૯૯૩-૧૯૯૫ના અરસામાં શિલોંગથી ચેરાપૂંજીના રસ્તે આવતા પહાડો અને ટેકરીઓ વૃક્ષો વિહીન થઈ ગઈ હતી. શિલોંગથી ગુવાહટ્ટી જવાના રસ્તે જંગલો માં ઝાડને ગેરકાયદેસર રીતે આગ લગાડી ખેતર માટે કે બીજા હેતુ માટે જમીન નો ટૂકડો બનાવમાં આવતો હતો એ મેં નજરે જોયું છે. આવી જ ક્રિયા સહ્યાદ્રીના ડૂંગરોમાં ચાલે છે. ૯૫ ટકા પંચમહાલનું જંગલ ૧૯૬૫ સુધીમાં નષ્ટ કરીદેવામાં આવેલ. ગોધરાથી લુણાવાડા વચ્ચે ઘટાદાર જંગલ હતું તે વાત કોઈ આજે માને પણ નહીં. ૧૯૪૭ પહેલાં પંચ મહાલના જંગલોમાં ૯૦” વરસાદ પડતો હતો તે વાત પણ કોઈ માને નહીં. જો કે સર્વોદય વાદીઓનો જંગલો નષ્ટ કરવાની બાબતમાં ચણભણાટ ચાલુ હતો.

જમીન બચાવવી હોય તો જમીન ઉદ્યોગોને આપવી ન જોઇએ. કારણ કે ખેતીમાટે એટલી જમીન ની ઘટ પડે છે. અને જો ઉદ્યોગોને અપાતી જમીનો સામે આંદોલનો આપણે કરતા હોઈએ તો આપણે જ્યાં જ્યાં ખેતીની જમીનમાં બીજી કોઈપણ રીતે ઘટ પાડવામાં આવતી હોય ત્યાં ત્યાં વિરોધ પ્રદર્શિત કરી આંદોલન ચલાવવા જોઇએ.

જમીનની ઘટ કઈ કઈ રીતે પડે છે?

જમીનના ટૂકડાઓની ખેરાત કરવાથી જમીનની ઘટ પડે છે. આવી ખેરાતોનો ચીલો ઈન્દીરા ગાંધીએ પાડેલો છે. રહેણાંક માટે સરકારી નોકરોને, પત્રકારોને, ન્યાયધીશોને, જનપ્રતિનીધિઓને ગરીબોને, પછાત વર્ગોને જમીન ફાળવવી એ જમીનનો વ્યય છે. વ્યક્તિઓને જમીનના ટૂકડા ફાળવા એ જમીનનો વ્યય છે.

ઝોંપડ પટ્ટીઓ ઉભી થવાથી જમીનની ઘટ પડે છે,

લારી ગલ્લાઓ અને પાથરણાઓ જમીન રોકે છે, તેથી જમીનની ઘટ પડે છે,

રો-હાઉસ વાળી દુકાનો કરવાથી જમીનની ઘટ પડે છે,

સ્વતંત્ર બંગલાઓ અને રો-હાઉસો વાળી હાઉસીંગ સોસાઈટીઓ અને ફાર્મ હાઉસોવાળી હાઉસીંગ સોસાઈટીઓ અને સંકુલો થવાથી જમીનની ઘટ પડે છે,

ઓછામાળવાળી (બે, ત્રણ કે ચાર) બહુ માળી સોસાઈટીઓ કે સંકુલો કરવાથી જમીનની ઘટ પડે છે,

જુના ખખડધજ પડુ પડુ થતાં મકાનો પણ પરોક્ષ રીતે જમીનની ઘટ પાડે છે.

ખુલ્લી જગ્યામાં પાર્કીંગ માટે જમીન ફાળવવાથી જમીનની ઘટ પડે છે.

રસ્તાઓ ઉપર વાહન પાર્કીંગ ઉભા કરવાથી પણ જમીનની પરોક્ષ રીતે ઘટ પડે છે.

આમ તો પહોળા રસ્તાઓ અને રેલ્વે કરવાથી પણ જમીનની ઘટ પડે છે. નહેરો કરવાથી પણ જમીનની ઘટ પડે છે. ખેતરોના નાના ટૂકડાઓ કરવાથી પણ પરોક્ષ રીતે જમીનની ઘટ પડે છે, નદી ઉપર બંધ બાંધવાથી પણ જમીન ડૂબમાં જાય છે. આના પણ ઉપાયો છે. પણ તે લાંબા ગાળાના ઉપાયો છે. પણ તેની ચર્ચા પછી કરીશું.

આ બધી જે કોઈપણ રીતે જમીનની ઘટ પડે છે તેને દૂર કરી શકાય છે. એટલું જ નહીં પણ  પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે જમીન ઉત્પન્ન કરી શકાય છે.

જમીનની માલિકી

જમીનની માલિકી કોઈ એક વ્યક્તિની હોઈ જ ન શકે. જમીનની માલિકી ગામની પણ ન હોઈ શકે. એટલે કે ગામડાની પણ ન હોઈ શકે.  જો ભારતના દરેક નાગરિકને દેશમાં ગમે ત્યાં જવાનો અને સ્થાયી થવાનો હક્ક હોય તો જમીનનો વ્યવહાર રાષ્ટ્રીય રીતે જ થઈ શકે. જો જમીનમાંથી થતું ઉત્પાદન દેશમાં બધી જગ્યાએ વેચાઈ શકતું હોય તો કોઈ ગામડું, ગામ કે શહેર ઉપર સૌનો સરખો હક્ક હોવો જોઇએ. જો દેશની કેન્દ્રસ્થ સત્તા દેશ માટે એક વ્યાપક જમીનને લગતી નીતિ ન ઘડી શકતી હોય તો સક્ષમ રાજ્ય સત્તા પોતાના રાજ્ય પૂરતી નીતિ ઘડી શકે. કારણ કે જમીનને લગતી નીતિના વ્યાપક પરિમાણો હોય છે. એટલે જમીનને લગતી નીતિ ઘડવાના અધિકારો ગ્રામ પંચાયતને અબાધિત રીતે ન આપી શકાય. ગ્રામ પંચાયતના વાંધા વચકાનું જરુર નિરાકરણ લાવી શકાય. પણ હવે ગ્રામસ્વરાજ અને ખેડૂત જગતનો તાત કે જંગલ ની સંપત્તિ ઉપર વનવાસીઓનો અધિકાર તે બાબતો ઉપર પુનર્‌ વિચારણા થવી જોઇએ. હાલના ઈન્ટરનેટ યુગમાં વિશ્વ આખું એક ગામડું થઈ જવાની તૈયારીમાં છે. ત્યારે કમસે કમ આપણે આપણા રાજ્યને એક ગામડું સમજવાના અને બનાવવાના પ્રયત્નો કરીએ. આ ત્યારે જ બને જ્યારે આપણે આપણા રાજ્યમાં એક સૂત્રતા લાવીએ અને રાજ્યના હિતનો વિચાર કરીએ. જુના જમાનામાં એક ગામડું ૫૦ ખોરડાથી ૫૦૦ ખોરડાનું રહેતું. આજે એક સંકુલ એક હજાર કુટુંબોને સમાવતું હોય છે. એટલે ગામડાને આપણે એક સંકુલ સમજવું પડશે અને તેને એક વાસ્તવિક સંકુલ બનાવવું પડશે. જો આમ કરીશું તો જ જમીનનો યોગ્ય ઉપયોગ થઈ શકશે.

જો જમીન બચાવવાનો હેતુ રાજકીય કે સ્વખ્યાતિનો ન હોય અને ફક્ત ખેતીની અને જંગલની જમીન બચાવવાનો હોય તો જ્યાં જ્યાં જમીનનો દુરુપયોગ થાય છે ત્યાં ત્યાં આંદોલનો થવા જોઇએ અને કરવા જોઇએ. જેઓનું ધ્યેય રાજકીય નથી અને સ્વખ્યાતિનું નથી તેવા ગાંધીવાદીઓએ આ વાત સમજવી પડશે. નહીં તો જનતામાં તેમની વિશ્વસનીયતા નહીં રહે.

જ્યારે કેન્દ્રીય સરકારની નીતિઓની બુરાઈની અને ગેર વહીવટની વાત કરવી હોય ત્યારે “નહેરુવીયન કોંગ્રેસનું નામ લઈને કે જે એલ નહેરુ, ઈન્દીરા ગાંધી, રાજીવ ગાંધી કે મનમોહન સિંઘનું નામ લઈને ટીકા થતી નથી. પણ “સરકાર” અને “રાજકારણીઓ” એવો શબ્દ પ્રયોગ કરાય છે. નહેરુવીયન કોંગ્રેસના નેતાઓના અને નહેરુવંશીઓના નામ ન લઈને તેમના દુરાચારોને છૂપાવીને હળવા કરી દેવાય છે. જ્યારે ગુજરાતની બીજેપી સરકારની વાત આવે ત્યારે બીજેપી અને નરેન્દ્ર મોદીનું નામ લઈ નરેન્દ્ર મોદી ઉદ્યોગોને જમીનની લાણી કરે છે, નરેન્દ્ર મોદી ખેડૂતોને અન્યાય કરે છે, નરેન્દ્ર મોદી વનવાસીઓને અન્યાય કરે છે, નરેન્દ્ર મોદી વિકાસને નામે ગામડાંઓને ઉજાડી રહી છે, નરેન્દ્ર મોદી વિકાસની વાતોના જુઠાણાઓ ફેલાવે છે.  નરેન્દ્ર મોદી સરદાર પટેલનું બાવલું મુકી જનતાના ખર્ચે ખ્યાતિ મેળવવા માગે છે. ગાંધીવાદી નેતાઓએ નરેન્દ્ર મોદીના ગાંધીનગરના મહાત્મા મંદીર સામે પણ વિરોધ નોંધાવેલ. તમે ગાંધીજી ના સ્મારકને મંદીર નામ આપો કે આશ્રમ નામ આપો કે સ્મૃતિ નામ આપો તેથી શો ફેર પડે છે? નરેન્દ્ર મોદી ગાંધીજીના વિચારોના સ્મૃતિ ચિન્હ તરીકે કે સરદાર પટેલની સ્મૃતિ માટે કંઈ પણ કરે તેમાં જો પોતાને ગાંધીવાદી ગણાવતા મહાનુભાવો મોદીની ટીકા કરે તે ગાંધીજીના સિદ્ધાંતોને અનુરુપ તો નથી જ અને નથી જ.

આ પણ જાણે અધુરું હોય તેમ તેઓ નરેન્દ્ર મોદીના સદ્‍ભાવના પ્રસારના કાર્યક્રમોની પણ ટીકા કરે છે, નરેન્દ્ર મોદીની સરકારે કરેલા ઉર્જાના કુદરતી શ્રોતોના વિકાસ અને ખરાબાની જમીનને નવસાધ્ય કરી હોય તેને લક્ષમાં ન લે, પશુમેળા, કૃષિમેળા, સખી મંડળ, પાણી મંડળીઓની રચના જેવા અનેક કામોને લક્ષ્યમાં ન લે તો આ બધું પૂર્વગ્રહ યુક્ત જ ગણાય. જો આ બધું યોગ્ય ન હોય તો તેની મુદ્દા સર ટીકા કરે તો તે પણ આવકાર્ય ગણાય. જો સરકારની ક્ષતિઓ જો સરકારના ધ્યાનમાં લાવવામાં આવે તો સરકારને સુધરવાની તક મળે. નરેન્દ્ર મોદી વિષે જો ગાંધીવાદીઓ પણ ગુજરાતની આજની સરકાર વિષે નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ જેવા વિશેષણો વાપરશે તો તેમને ખુદને માટે યોગ્ય નહીં કહેવાય.

કાયદાકીય લડાઈઓ

જમીન સંપાદન ના મુદ્દે ગાંધીવાદીઓ જે કાયદાકીય લડાઈ લડી રહ્યા છે તે આવકાર્ય છે. કારણ કે કાયદાકીય લડાઈ તો સરકારી નોકરોની ખામી યુક્ત કાર્યવાહીને સુધારવા માટે છે. કેટલાક સરકારી અધિકારીઓમાં પ્રણાલીગત આપખુદી અને અહંકાર હોય છે. તેને ન્યાયાલય દ્વારા સુધારી શકાય છે.

જમીન, જંગલ, પાણી, ઉર્જા, શિક્ષણ, રોજગાર એવા કોઈ પ્રશ્નો હોઈ જ ન શકે. વિજ્ઞાન અને વિદ્યા (ટેક્નોલોજી) ના ક્ષેત્રમાં અસીમ તકો અને રોજગારીઓ પડેલી છે.

જમીન ઉપરની કૃષિ ઉપર કેટલું ભારણ મુકીશું? ઉદ્યોગો દ્વારા વધતી સુખસગવડો ને કેટલી હદ સુધી લઈ જઈશું?

ક્યાં કેટલો રોજગાર ઉભો કરીશું.

જ્ઞાન, શ્રમ અને વહીવટદારોને કેટલું વળતર આપીશું?

દરેક જગ્યાએ શ્રમ પડેલો છે તેને શ્રમને બદલે સેવામાં પરિવર્તિત કરવો પડશે. જો સેવાનું વળતર એવું હશે કે માનવીઓ એકબીજાથી વિમુખ નહીં બને પણ હળી મળીને રહેશે તો સૌને સુખ મળશે.

આ બધું જ થઈ શકે તેમ છે. કાયદાઓ છે. પણ તેનું માનવીય અને સામાજીક હિતને અનુરુપ અર્થઘટન નથી તેનો અમલ નથી. (ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ગાંધીવાદીઓ, નરેન્દ્ર મોદી, વિશેષણ, અફસરો, અધિકારીઓ, આપખુદ, અહંકારી, સત્યાગ્રહ, આત્મપીડન, રજનીશ, દંભ, સ્વખ્યાતિ, કાયદાકીય, લડાઈ, જમીન, હક્ક, માલિકી, ગામડું, શહેર,

Read Full Post »

%d bloggers like this: