Feeds:
Posts
Comments

Posts Tagged ‘સર્વોદય ગ્રામ’

શું દેશને બદલવો છે? ગાંધીજી એ રસ્તો તો બતાવ્યો છે

પણ આપણે કેટલા તૈયાર છીએ ગાંધીજીને સમજવા માટે?

તાત્કાલિક ઉપાય જરુરી હતોઃ

ગાંધીજીના વખતમાં દેશની ૮૫ ટકા તેથી પણ વધુ વસ્તી ગામડામાં વસતી હતી. જમીનદારી અને જાગીરદારી પ્રચલિત હતી. લગભગ બધાજ ગરીબ હતા. સરકારી નોકરીઓ નહીં જેવી હતી. લાંચ રુસ્વત તે વખતે પણ હતી. ઉદ્યોગો નહીંવત હતા. ભણેલા પણ વર્ષો સુધી બેકાર રહેતા હતા.  તેથી ભણતર પણ ઓછું હતું. જીવન સાદું હતું. પણ જ્ઞાતિવાદ હતો અને તેના નીતિ નિયમોને કારણે કંકાસ ઓછા હતા. રાજવાડાઓમાં કેટલાક રાજા અત્યાચારો કરતા પણ પ્રમાણ ઓછું હતું. રાજવાડાઓમાં ચોરી ચપાટી અને દંગાઓ ઉપર અંકુશ સારો હતો.

કુદરતી આફતો વખતે લોકો લાખોની સંખ્યામાં મરતા. કારણ કે ચિકિત્સા ક્ષેત્ર એટલું વિકસિત ન હતું અને પ્રચલિત પણ નહતું. બાળમરણ ઘણું હતું તેથી વસ્તીવધારાનો પ્રશ્ન ન હતો.

આવા સંજોગોમાં તાત્કાલિક અસરકારક ઉપાય એજ હતો કે ગામડાઓ ગૃહ ઉદ્યોગો દ્વારા સ્વાવલંબી બને જેથી દરેકને રોજી મળે. યંત્રો સાદા હોય જેથી ઓછું ભણેલા પણ તેનું સમારકામ કરી શકે. ગાંધીજીએ વ્યક્તિગત શ્રમને ઘટાડનાર અને બીજાને બેકાર ન કરનાર યંત્રોનો વિરોધ કર્યો ન હતો. આનું ઉદાહરણ સીલાઈ મશીન છે.  તેઓ માળખાકીય વિકાસ કામોના વિરોધી ન હતા. તેઓ એપ્રોપ્રીએટ ટેક્નોલોજીમાં માનતા હતા. સગવડો જો બધાને જ મળતી હોય તો તેઓ સગવડોના વિરોધી ન હતા.

માનવશક્તિના સંશાધનોનો યથા યોગ્ય ઉપયોગ થાય અને માનવીય મન બગડે નહીં તેવી ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા એવી ગોઠવાય કે જેથી શોષણ અને માનવીય મૂલ્યોને નુકશાન ન પહોંચે. આવું ગાંધીજી માનતા હતા. તે સમયે જે પરિસ્થિતિ હતી અને તેના ઝડપી નિવારણ માટે અને તેને અનુલક્ષીને તેમણે સૂચનો કરેલ.

હવે જો આપણા જે એલ નહેરુ માનવીય અભિગમો અને માનવીના મનને અવગણીને વિકાસ સાધવાનો પ્રયત્ન કરે તો વિકાસ તો પ્રમાણમાં ઓછો થાય પણ દુરાચાર વધુ થાય. જેમનું મન યોગ્યરીતે શિક્ષિત નથી અને જે વ્યક્તિઓ જે હોદ્દાને અને કામને લાયક નથી તેઓ ને એવા હોદ્દા, કામ અને સત્તાઓ આપવામાં આવે અને તેમની ઉપર નીગરાની રાખવાવાળા પ્રજાના પ્રતિનીધિઓ નીગરાની રાખવાને બદલે પૈસાને જોરે ચૂંટાઈ આવેલા હોવાથી ભ્રષ્ટ થાય તો દુરાચારો જ ફેલાય. ઉત્પાદનના અને વિતરણનું કેન્દ્રીકરણ કરણ અને અપારદર્ષિતા એ બધાનો સમન્વય દેશને અરાજકતાના રસ્તે જ લઈ જાય.

ગાંધીજીએ કહેલ જ કે હું કાપડની મીલોનો નાશ કરવાની વાત કરતો નથી પણ જો કાપડની મીલો તેમના દુરાચારોને કારણે બંધ પડે તો સ્વદેશી સરકાર તેને મદદ કરવા આવશે નહીં. આ વાત તેમણે એવે સમયે કરેલી કે જ્યારે મીલો ધૂમ કમાણી કરતી હતી. મીલો બંધ પડી શકે તેવી કલ્પના તે વખતના મૂડીવાદી મહાન અર્થશાસ્ત્રીઓ પણ કરી શકતા ન હતા.

અપાત્રે સત્તા એટલે લૂંટો અને લૂંટવા દોઃ

અને તમે જુઓ શું થયું? સ્વતંત્ર ભારતના નહેરુવીયન કોંગ્રેસના નિર્વિરોધ શાસના પહેલા દશકાના અંત ભાગથી જ મીલો બંધ પડવા લાગી. આ સરકારે આ સમસ્યા એવી તો ટલ્લે ચડાવી કે અગણિત કામદારો પાયમાલ થયા. માલિકો અને સરકારી નોકરો મલાઈ ખાઈ  ગયા.         

મહાત્મા ગાંધીએ કહેલું કે ભિખારીઓ અને કરોડપતિઓ એક જ રોગના બે ચાંદાઓ છે. એટલે જ એક વ્યક્તિ પાસે મહેલ જેવા રહેણાક/રહેણાકો હોય છે જે કાયદેસર રીતે હોય છે, જ્યારે બીજો વ્યક્તિ ઝોંપડપટ્ટીમાં રહેતો હોય છે અને તે પણ ગેરકાયદેસર રીતે રહેતો હોય. આવી પરિસ્થિતિ શા માટે છે?

આપણે સૌ કબુલ કરીશું કે હાલની પરિસ્થિતિ આમૂલ પરિવર્તન માગી રહી છે. આના ઉકેલ માટે જુદાજુદા ઉપાયો સૂચવવામાં આવે છે.

એક સૂચન એ છે કે ઉત્પાદન વધવું જોઈએ.* એટલેકે કારખાનાઓમાં ઉત્પાદન વધારવું જોઇએ, વધુ મોટા કારખાનાઓને વિકસાવીને કારખાનાઓમાં પાળીઓ વધારીને ઉત્પાદન વધારી શકાય છે. ઉત્પન્ન થયેલ માલને વધુ જગ્યાએ પહોંચાડીને, અને વપરાશને વધારીને ઉત્પાદનનો નિકાલ કરી શકાય છે.

માલ પેદા થવો અને તેને વાપરનાર સુધી પહોંચાડવો, એ બંને ક્રિયાઓમાં, માલિકો, પ્રબંધકો અને શ્રમ જીવીઓ સંકળાયેલા છે.  જો કે તેની ઉપર નીગરાની રાખનારા (સરકારી કર્મચારીઓને) અને પ્રણાલીને નિયમનમાં રાખવા માટે નિયમો ઘડનારા કર્મચારીઓ ઉપર નીગરાની રાખનારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને હાલતૂર્ત ન ગણીએ તો ઉપરોક્ત. ત્રણેયના જીવનધોરણ સમાન નથી. સુવિધાઓ ભોગવવાની આકાંક્ષાઓ અને બીજી આકાંક્ષાઓ સમાનપણે વિકસી રહી હોય છે. આ આકંક્ષાઓ સમાન પણ બનતી જશે. આથી કરીને તેઓ વચ્ચે ઘર્ષણ ચાલે છે. પગારદારોને વધુ પગાર જોઇએ છે. માલિકોને તેમનું જીવનધોરણ નીચું લાવવું હોતું નથી, બલ્કે વધુ સુવિધાઓ અને વધુ સારી સુવિધાઓ ભગવવી હોય છે. આ માટે ઉત્પન્ન થયેલ માલની કિંમત વધારવી પડે છે. માલની કિમત વધારવામાં બીજાં ઘણાં પરિબળો પણ ભાગ ભજવે છે. પરિસ્થિતિ જ આવી રાખવામાં આવી હોવાથી એક યા બીજા કારણોસર ભાવ વધે છે.

ઉત્પાદન અને વહેંચણીનું આખું માળખું જ એવું એવું ચેઈન એક્સન જેવું છે કે કોઈપણ એક કડી નબળી પડે કે તૂટી જાય તો માલની અછત ઉત્પન્ન થાય અને સ્વિકારી લીધેલા સિદ્ધાંત પ્રમાણે વળી પાછો ભાવ વધારો થાય છે. આ આખી વ્યવસ્થા એવું વાતાવરણ સરજે છે કે જેમાં કોઈ પોતાની જવાબદારી જોતું નથી અને બીજાને નીતિમાન થવાનું કહેવામાં આવે છે.

કેટલાક એમ પણ કહે છે કે સમાજને અનીતિમાન કરવા માટે હાલનું શિક્ષણ જવાબદાર છે. માટે શિક્ષણના માળખામાં ફેરફાર કરવો જોઇએ.

ચોક્કસ રીતે શિક્ષણ તો ખામી યુક્ત છે, કારણ કે તે સ્વાવલંબી નાગરીકો ઉત્પન્ન કરતું નથી. પણ સમાજની નીતિમત્તા તો સમાજમાં ઉત્પાદન અને વિતરણની પ્ર્ણાલી જ ઘડે છે. જો દોષયુક્ત પ્રણાલી હોય તો સમાજ દોષવાળો જ હોય. એવું અન્ન તેવો ઓડકાર.

વધુ જાતની વસ્તુઓ અને વસ્તુઓના વધુ જથ્થાઓ માટે વધુ કારખાનાઓ કરવા, ચાલુ કારખાનાઓને વધુ મોટા કરવા, વધુ મજુરોને રોજગારી આપવી, માલને દૂરદૂર સુધી પહોંચાડવો, તે માટે વધુ વાહકો, વધુ રસ્તાઓ, વધુ લાંબા, વધુ પહોળા બનાવવા વિગેરે વિગેરે થી કદાચ લાંબે ગાળે ભારતમાં ભૂખમરો અને બેકારી નાબુદ થાય પણ ખરી, પણ સમાજમાં અસમાનતા અને બીજા દુષણો રહે છે જ. એટલું જ નહીં વધુ વિકસે છે અને વધુ બળવત્તર બને છે. આ ગાંધીજીના સ્વપ્નનું ભારત નથી.

એક વખત એક ખાદી ગ્રામોદ્યોગ કાર્યકરે ગાંધીજીને જણાવ્યું કે આ વખતે તેમના કેન્દ્રે ગયાવર્ષની સરખામણીમાં આટલી વધુ ખાદી ઉત્પન્ન કરી અને આટલી વધુ ખાદી વેચી. ત્યારે ગાંધીજીએ તેમને જણાવ્યું કે તમે કેટલી ખાદી ઉત્પન્ન કરી અને કેટલી ખાદી વેચી તેમાં મને રસ નથી. પણ તમે કેટલાં ગામડાને ખાદી પહેરતાં કર્યાં તે તમે મને કહો. જો તમે એક ગામને પણ ખાદી પહેરતું કરી સ્વાવલંબી કર્યું હશે તો હું ખુશ થઈશ.

ખાદી અને ગ્રામોદ્યોગ, એ ઉત્પાદનનું વિઘટીકરણ નથી. ગાંધીજીની આદૃષ્ટિ ન હતી. ખાદી અને ગ્રામોદ્યોગોને ગાંધીજી વિકેન્દ્રીકરણ અને સ્વાવલંબનનું સ્વરુપ આપવા માગતા હતા. આ વાત સદંતર વિસરાઇ ગઈ છે. આપણી કાર્ય પદ્ધતિઓ આમ જ કહે છે.

દેશમાં ખૂબ માલ ઉત્પન્ન કરવો અને ખપાવી દેવો તે મહત્વનું નથી. પણ આપણે માલ કેવી રીતે ઉત્પન્ન કરીએ છીએ અને કેવીરીતે વહેંચીએ છીએ તે વસ્તુ મહત્વની છે. અને આજ વસ્તુ રાષ્ટ્રના ચારિત્ર્યનું નિર્માણ કરે છે.

ગાંધીજીના સ્વપ્નનું ગામ એક સંપૂર્ણ પ્રજાસત્તાક છે. તે પોતાની મહત્વની જરુરીયાતો માટે પાડોશના ગામોથી સ્વતંત્ર હશે. તે પોતાની જરુરીયાત જેટલું ધાન, કાપડ માટેનો કપાસ જાતે જ ઉગાડશે. પોતાના ઢોરને ચરવા માટે, બાળકોને રમતગમત માટે અને મોટેરાઓને આનંદ પ્રમોદ માટે જમીન અલગ રાખશે. તે પછી જ ગામ પાસે ફાજલ જમીન હશે તો તેમાં ઉપયોગી બજારમાં વેચી શકાય તેવો પાક લેશે. ગાંજો, તમાકુ, અફીણ, વિગેરે જેવા પાકો નહીં જલે. દરેક ગામને પોતાનું નાટકઘર, પોતાની નિશાળ, સભાગૃહ, નભાવશે. પાયાની કેળવણીના છેવટના ધોરણ સુધીની કેળવણી ફરજીયાત રહેશે. બની શકે ત્યાં સુધી દરેક પ્રવૃત્તિ સહકારી પદ્ધતિના સિદ્ધાંતો પ્રમાણે ચાલશે. ચડતી ઉતરતી શ્રેણીઓવાળી જ્ઞાતિવ્યવસ્થા ત્યાં નહીં હોય. ગામની ચોકી માટે વારાપ્રમાણે ચોકિયાતો પસંદ કરવામાં આવશે. ગામને ધારાસભા હશે. સર્વ નિર્ણયો સર્વસંમતિથી લેવાશે. પોતાના ગામના અને તેની આબરુના રક્ષણને સારુ, દરેક ગ્રામવાસી મરણને ભેટવા તૈયાર હોય એ નિયમથી બધા ગ્રામવાસી બંધાયેલા હશે. ઉદ્યોગને કેળવણીથી જુદો ગણવામાં આવશે નહીં. ગાંધીજીના ગામડાની આ રુપરેખા છે.

ગાંધીજીના સ્વપ્નના ભારતમાં ઉપરોક્ત પ્રકારના ગામડાઓ હશે. હાલના ગમડાઓ આનાથી ઘણા ભીન્ન છે. હાલના ગામડાઓને સુધારવા પડે. તે માટે તેમને સ્વાવલંબી બનાવવા પડે. ગામે સૌ પ્રથમ પોતાની જરુરીયાતો જ ઉત્પન્ન કરવી પડે. આમાં સ્થાપિત હિતો અચૂક આડા આવે. આ નિવારવા ઘણા પ્રયત્નો થયા છે. પણ સફળતા મળી નથી. સ્વાવલંબન વગરનું શિક્ષણ મોંઘું પડે છે. સ્વાવલંબનહીન શિક્ષણ બેકારી દૂર કરી શકતું નથી. ગામડાઓમાં સુવિધાઓ વધતી નથી. ગામડામાં જે કંઈ ઉત્પન્ન થાય છે તેનું ફળ ગણ્યાગાંઠ્યાને મળે છે. બાકીના ગરીબ રહે છે. જેઓ ગરીબ છે તેમની પાસે જમીન નથી. અને જો જમીન હોય તો તેને તેઓ સાચવી શકતા નથી. તેઓ સેવેલી આશાઓની નિસ્ફળતાઓમાં જીવે છે. તેઓને એક યા બીજા પ્રકારની શોષણખોરોની વચ્ચે જ જીવવાનું હોય છે. તેઓ પોતાની જાતને રાજકારણીઓ, અમલદારો, સ્થાપિત હિતો અને સામાજીકવાડાની બદીઓ અને તેમાંથી નિપજતા અહંકારોથી પોતાને બચાવી શકતા નથી અને ટકી શકતા નથી.

જમીન માલિકો અને ઉદ્યોગપતિઓ, યંત્રોનો  ઉપયોગ કરીને મજુરોને શોષી શકે છે. તેઓ મજિરોવગર ભૂખે મરવા બેસતા નથી. જો મજુરો કામ બંધ કરી દેતો, મજુરોને જ ભૂખે મરવાનો વારો આવે છે. પરાવલંબી મજુરો તેમના માલિકસામે શુદ્ધ લડત આપી શકતા નથી અને ટકી પણ શકતા નથી. માલિકોને સરકારની મદદ અને પીઠબળ હોય છે જ. કારખાનુ બંધ થવા થી માલિકો રસ્તે રખડતા થઈ જતા નથી. હાલની વિસંવાદી અને વિષયી પરિસ્થિતિમાં માલિક અને મજુર વચ્ચે તંદુરસ્ત સ્થાઈ અને વ્યાપક સંબંધો સ્થાપવા અત્યંત કઠીન લાગે છે.

આ બધાનો વિકલ્પ સર્વોદય ગ્રામ/નગર હોઇ શકે?

સર્વોદયગ્રામ, હાલના ગામડાઓથી અલગ હશે. તે વસાવવામાં આવ્યું હશે. તે સ્વાવલંબી હશે. તેમાં કોઈ નોકર નહીં હોય. કોઇને નોકરીએ રાખવાનો કોઇને અધિકાર નહીં હોય. ગ્રામવાસી કાર્યદ્વારા પોતે ગામની સેવા કરી રહ્યો છે એમ સમજશે અને માનશે. ગામ પોતે, તેનાગ્રામવાસીઓને જીવન જરુરીયાતો પૂરી પાડીને તેમની સેવા કરશે. ગામમાં બદલાની ભાવનાથી કોઈ કામ થશે નહીં.

સર્વોદય ગ્રામની વ્યાખ્યાઓ અને ધ્યેયઃ

શોષણ વિહીનતાઃ એકના માનવીય હિતનો ભોગ લેવાય તો તેનામાં અન્યાય થયાની ભાવના ઉત્પન્ન થાય. શોષણના મૂળમાં માનવીય હિતોની અવગણના હોય છે. સૌને પુરતું કામ મળી રહે અને કુટુંબ સ્વમાનભેર જીવી શકે તે જરુરી છે. કામને અંતે આરામ પણ મળવો જોઇએ. ભવિષ્ય માટેની નિશ્ચિંતતા હશે. વધુ જ્ઞાન માટેના રસ્તા ખુલ્લા હશે.

સ્વાવલંબન 

            અન્ન વસ્ત્ર અને રહેઠાણની બાબતમાં મોટાભાગની ચીજો ગામમાં ઉત્પન્ન થવી જોઇએ. કમસે કમ અન્ન અને વસ્ત્રની બાબતમાં આમ હોવું જોઇએ. ચૂનો, સીમેન્ટ અને લોખંડ ગામમાં ઉત્પન્ન ન કરી શકાય. તે વાત સમજી શકાય છે. આમ તો જો કુટીર ટાઈપ વનસ્પતીજન્ય છાપરા, ઈંટ અને ગારાના મકાન બનાવો તો આ શક્ય છે. પણ જો બહુમાળી મકાનો ન બનાવીએ તો જમીનનો વ્યય થાય અને ખેતીમાટે જમીન ઓછી રહે. જોકે કેટલાક ગાંધીવાદીઓ માને છે કે માણસને રહેવા માટે પૃથ્વી ઉપર પૂરતી જમીન ઉપલબ્ધ છે. પણ આપણે પૃથ્વીને એકમ તરીકે ન લઈ શકીએ. ભારતમાં અને તેના રાજ્યોમાં જમીન ઓછી છે અને જો ગરીબી કાયમ રહેવાની ન હોય તો, જેઓ ભૂખ્યા સૂઈ જાય છે તેમને કામ આપીશું અને તેમને વ્યવસ્થિત આનંદ પૂર્વક જીવવાની તકો આપીશું તો તેઓ માટે વધુ અનાજની જરુર પડશે. અને તેથી જમીનનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે. હાલનો અનાજનો ભરાવો અને સડો, ગરીબોનો ભૂખમરો એ વાસ્તવમાં સરકારની નીતિ ની સાથે સાથે ચૂંટાયેલા સત્તાધારી પ્રતિનીધિઓ અને ભ્રષ્ટ અમલદારોની મીલીભગત છે.

સમાનતાઃ

ગામમાં સહુ સમાન ગણાશે. સહુને સરખી સગવડો મળશે. કોઈ કોઈને નોકર તરીકે રાખશે નહીં. જે કામ મોટા પાયે અને બહારની એજન્સીઓ પાસેથી કરાવવાના હશે તે સૌ કામો કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટથી કરાવવા પડશે. જો કે આવા કામો રાજ્યની સરકાર કરાવી શકશે અથવા ગ્રામ સભા સાથે મસલત કરી નક્કી કરી શકશે.

વર્ગવિગ્રહ હીનતાઃ કોઈપણ કામને નાનું કે મોટું સમજવામાં આવશે નહીં. સહુને સરખી સગવડો મળશે જે તેમના કામને અનુકુળ હોય. વ્યક્તિ કામ કરીને ગામની સેવા કરી છે તેમ માનશે. તેવી જ રીતે ગામ તેની જરુરીયાતો પૂરી કરીને અને નિશ્ચિંતતા બક્ષીને તેની સેવા કરશે.

સહયોગ, સહકાર અને સેવા પરાયણતાઃ

કોઈ બીજાને નોકર રાખી શકતું નહીં હોવાથી, જુદા જુદા ઉત્પાદન કામની વ્યવસ્થા એવી રીતે ગોઠવવામાં આવશે કે જેથી કામમાં પોતા પણું રાખી શકાય અને છતાં કામ સહયોગથી થાય. ખેતીની જુદી જુદી મોસમોમાં, અકૃષકો પણ કૃષકોને મદદ કરશે. ખેતી અને બીજાં ઉત્પાદનો માટે આયોજન કરવામાં આવશે. દરેકને સરખી રીતે વૈવિધ્યતા મળશે. વ્યક્તિની મુશ્કેલીમાં સહુ પ્રેમ રાખશે અને સેવાપરાયણતાથી મદદ કરશે.

સાદગીઃ

દેશની મોટાભાગની જનતા જ્યારે ગરીબીમાં સબડતી હોય ત્યારે ગ્રામવાસીઓ અવગણી શકાય તેવી સુવિધાઓથી દૂર રહેશે. જે સગવડો સમાનતાથી મળતી હશે તેનાથી ગ્રામવાસીઓ સંતુષ્ટ રહેશે.

વૈજ્ઞાનિક અભિગમઃ

ધર્મને આત્મસુધારણા અને સેવાપરાયતાનું સાધન માનવામાં આવ્શે. સામાજીક રીતરીવાજોમાં ઉપયોગીતા જોવામાં આવશે. તેવા સંદર્ભમાં પાળાવામાં આવશે. ઉત્પાદનમાં શોષણ કરાવનાર અને કુદરતી ચક્રને તોડતાં યંત્રોનો ઉપયોગ ન છૂટકે જ અને ખાસ સંજોગોમાં કરવામાં આવશે. મનુષ્યના શ્રમને ઘટાડનાર અને જ્ઞાનની ક્ષિતીજોને વિસ્તારનાર યંત્ર અને સાધનોનો ઉપયોગ થશે.

બહારની દુનિયા સાથે સંબંધ જાળવી રખાશે. અધ્યયન મંડળ તેની ચર્ચા કરશે.

અનિરક્ષરતાઃ

ગામમાં દરેકને લખતા વાંચતા આવડતું હશે. ગામમાં વાચનાલય અને ગ્રામ પત્રિકા હશે. આનો લાભલેવા સૌને ઉત્તેજવામાં આવ્શે. સહુને દરેક કામનું સામાન્ય જ્ઞાન હશે. સૌ પોતાના કામમાં હોંશીયાર હશે.

સભાનતાઃ

દુનિયાના બનાવો અને પ્રશ્નોથી સહુ માહિતગાર હશે જે કામ કરશે તે સમજ પૂર્વક કરશે. પોતાના ગામના વિકાસ, પ્રશ્નો, અને ભય સ્થાનોથી પૂરા સભાન હશે.

ગૌરવપ્રદતાઃ

પોતાને બીજા ગામના માણસોથી હીન કે ઉચ્ચ માનશે નહીં. પોતે જે કામ કરે છે તે પોતાના ગામ અને દેશમાટે કરેછે તેનો સતત ખ્યાલ રાખશે. પોતે અને પોતાનું ગામ કોઈ વિષચક્રમાં ન ફસાય તેનું હમેશા ધ્યાન અને ગૌરવ રાખશે.

દેશાભિમાનઃ

દુનિયાની ઘણીય મોટી સંસ્કૃતિઓ, કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ, પણ ભારતીય સંસ્કતિ તેના મૂળભૂત મૂલ્યોને યાદ રાખતી અને જાળવતી હજુ પણ ટકી રહી છે. ભારતીય સંસ્કૃતિમાં જે કંઈ નાના મોટા દુષણો કાળક્રમે ઘુસીગયા હોય તેમ લાગે તો તેને દૂર કરી વધુ સમૃદ્ધ સંસ્કૃતિ તરફ જવાની ભાવના સાથે કામ કરવામાં આવશે. ગામની કમાણીનો ઉપયોગ પોતાની અવાંચ્છિત સગવડો વધારવામાં નહીં પણ નવા સર્વોદય ગ્રામ/નગર બનાવવામાં કરવામાં આવશે.

કુદરતી જીવન અને પૌષ્ટિક આહારઃ

એવી આદતો પોષવામાં નહીં આવે કે જેથી આદતો ભાર રુપ થાય કે આદતોના ગુલામ થઈ જવાય. એવી આદતો કેળવામાં આવ્શે કે જેથી ઉત્પાદન સાથે સાથે શરીરને યોગ્ય કસરત મળે. આહારમાં શાક ભાજી, ફળો અને અન્નની યોગ્ય માત્રા રાખવામાં આવશે. જીવન શૈલી એવી રાખવામાં આવશે કે જેથી રોગો સામેની પ્રતિકારાત્મક શક્તિ વધે.

લયતાઃ

મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તેથી જીવન ચર્યા માં લયતા તેનું એક અંગ છે. દિનચર્યા એવી રીતે ગોઠવવામાં આવશે કે જેથી આખું ગામ લયબદ્ધ રીતે જીવતું હોય તેમ લાગે. ઉત્પાદનના કામો, શિક્ષણ, સફાઈ, પ્રાર્થના, પ્રવચન, સંવાદ વિગેરેને દિનચર્યામાં એવીરીતે ગોઠવવામાં આવશે કે જેથી જીવન રસપ્રદ લાગે.

આનંદમયતાઃ

વ્યક્તિ ના જીવનનો મુખ્ય હેતુ સામાજીક ઉન્નતિનો છે. મનુષ્યો તો આવે છે, જ્ઞાન મેળવે છે, કામ કરે છે અને જાય છે. વ્યક્તિનું જ્ઞાન નષ્ટ થાય છે પણ સમાજમાં તેના સ્થુળ અને સુક્ષ્મ કાર્યો અને જ્ઞાનની આપલે કરી તે સમાજમાં અકબંધ રહે છે અને સમાજ એક કદમ આગળ વધે છે.

વ્યક્તિ પોતે જ્ઞાન, કર્મ અને પ્રેમ થકી આનંદ પામે છે. મનુષ્ય નો મૂળ હેતુ આનંદ પ્રાપ્તિનો હોય છે. આ આનંદ નિર્ભેળ અને બિન નુકશાન કારક હોવો જોઇએ. મનુષ્ય પોતે એવું ઇચ્છતો હોય છે કે તેના સ્વમાં રહેલી વિશેષતા બીજા જાણે અને તેને ઓળખે. આવું થવાથી તેને આનંદ થાય છે. પણ તેને માટે સ્પર્ધા એ તેની આવશ્યકતા નથી. લોકોનો પ્રેમ અને લોકોમાં તેની ઓળખ અને લોકો સાથેનો સંવાદ તેને આનંદ આપે છે. લયતા પણ વાસ્તવમાં આનંદ નીપજાવે છે.

વૈવિધ્યતાઃ

માણસનું મન એકની એક વાત થી, કામથી અને સૃષ્ટિથી કંટાળી જાય છે. જો તે શોખ ખાતર કરતો હોય તો તેને કંટાળો આવતો નથી કારણ કે તેમાં તે કંઇકને કંઇક જાણકારી મેળવતો હોય છે તેની જીજ્ઞાસા સંતોષાતી હોય છે અથવા તો તેની તેને આશા હોય છે. વળી તેને તેની સ્વઓળખ બનશે તેનો પણ આનંદ હોઈ શકે. આ બધું પ્રચ્છન્ન હોય છે. કેટલાક કામો તેના શોખના ન હોય તો પણ સમાજ માટે કરવા પડતા હોય છે. આમાં વૈવિધ્યતા લાવવી જોઇએ. તેવી જ રીતે નવાસ્થળો ની મુલાકાત લેવી, નવા માણસોને મળવું, રમતો રમવી, ખેલદીલી પૂર્વકની સ્પર્ધાઓ કરવી, મનોરંજન કાર્યક્રમો કરવા અને જોવા, આવું બધું પણ જીવનમાં આનંદ માટે સામેલ હોય છે.

નિડરતાઃ

માણસ તેના શરીરનુમ મહત્વ સમજે તે રીતે તેને કેળવવામાં આવશે. ગાંધીજીના વિચારોને સમજવાથી જ નહીં પણ આચરવાથી જ આત્મવિશ્વાસ અને નિડરતા આવશે.

સર્વોદય ગ્રામની રૂપરેખાઃ

આ એક વસાવેલું ગામ હશે.

આ ગામ યોજના બદ્ધરીતે તબક્કાવાર બાંધવામાં આવશે

ભૂમિપુત્ર અને બેકાર, મજૂરો અને કારીગરોને તાલીમ અને શિક્ષણ આપીને ગામમાં વસાવવામાં આવશે. શા માટે ભૂમિપુત્રને જ વસાવવા? આ યોજના દરેક રાજ્યમાં થઈ શકે. એટલે એક રાજ્યમાં બીજા રાજ્યોમાંથી ગરીબોને વસાવી દેવા તે બરાબર નથી. “સન ઓફ ધ સોઈલ” લઈએ તો જ તેની અસર દેખાય.

અહીં કોઈ માલિક નહીં હોય અને સૌ સેવા અને ત્યાગ ભાવનાથી કામ કરશે

સહુએ પોતાનું સૂતર પોતે કાંતવું પડશે.

સહુ કોઈએ ઉદ્યોગ કે ખેતી કે શિક્ષણનું કામ કરવું પડશે

જેમને ઉદ્યોગ કરવા હશે તેમને તેને અનુરુપ ગાળા મળશે.

શાકભાજી સૌએ વાવવા પડશે.

જેઓ ખેતી કરવી હશે તેમને જમીન મળશે

દરેક કૃષકની જમીનના ત્રણ હિસ્સા હશે. એક હિસ્સો સહકારી કૃષિનો, એક હિસ્સો મનપસંદ કૃષિનો અને એક હિસ્સો બાગાયતનો.

જેઓ કૃષક હશે તેમનો બળદ ગૌશાળામાં હશે.

જેઓ અકૃષક હશે તેમની ગાય ગૌશાળામાં હશે.

જેમને બકરી કે ઘેટા જોઇતા હશે તેને તે મળશે. તે પણ ગૌ શાળામાં રહેશે. સૌ પોતાના પશુધનની માવજત કરશે.

ગૌશાળા ગામના બિલ્ડીંગ સંકુલના ગ્રાઉન્ડ ફ્લોરની જગામાં હશે.

ગૌશાળાની સાથે ગોબર ગેસ પ્લાંટ સંલગ્ન હશે. અને સૌના રસોડામાં આ ગેસ પહોંચતો કરવામાં આવશે.

ગામની ફરતે બોગનવેલ, થોર, બોરડી કુબાબુલ કે એવી કોઈ કુદરતી અને ગીચ ઝાડીવળી વાડ હશે. ગામની અંદર જતા રસ્તા દ્વારાજ ગામમાં પ્રવેશ થઈ શકશે. ગામની વાડની અંદરની બાજુએ લીમડાની હરોળ હશે. જેમાં લીમડાના વૃક્ષો ઉપરાંત અન્ય જંગલી ફળાઉ કે ઔષધીય વૃક્ષો હશે. લીંબોડીનો ઉપયોગ સાબુ બનાવવા માટે કરવામાં આવશે.

લીમડાની હરોળમાં અને ગામની વાડની વચ્ચે ગોચર અને ઘાસચારો બનાવવાની જગ્યા હશે.

ગામની નીચાણ વાળી જગ્યામાં ખેત તલાવડી અને કે કુવો હશે.

ગામમાં પાંચ ગ્રામસેવકો હશે.

આ ગ્રામ સેવકો ગ્રામવાસીઓની પસંદગી અને શિક્ષણ, પ્રશિક્ષણ વિગેરે કામ કરશે.

ગ્રામ સેવકો સહકાર અને સદ્‍ભાવનાથી ગામની રચનાનું આયોજન, રચના, તેની પ્રવૃત્તિઓ, વિકાસ અને સમસ્યાઓનું સમાધાન વિગેરે ગ્રામવાસીઓને વિશ્વાસમાં લઈ કરશે.

ગામમાં નીચેની પ્રવૃત્તિઓમાંથી જે થઈ શકતી હશે તે કરવામાં આવશે.

જમીનને નવસાધ્ય કરવી, ગ્રામ રચનાનું આયોજન અને વિકાસ,

ખેતી કરવી, ખાતર બનાવવા, ખેતી અને ખેત ઉત્પાદનને લગતા ગૃહઉદ્યોગો સ્થાપવા, ખેત તલાવડી, સીંચાઈ, જાતજાતના જરુરી અને ફળાઉ સહિતના વૃક્ષો વાવવાં, શાકભાજી વાવવાં, ફુલો વાવવાં, મધ ઉછેર કરવો, માટીકામ, તેલઘાણી, પશુપાલન, દુધ ઉત્પાદન, સફાઈ, ચોકી, શિક્ષણ, પ્રશિક્ષણ, કાંતણ, વણાટકામ, સીલાઈ, ચર્મ ઉદ્યોગ, આયાત, નિકાસ વિગેરે

શું તમે સર્વોદય ગ્રામની રચનામાં માનો છો? સૂચનો મોકલો.

સમૂહ પ્રાર્થના, પ્રવચન, વાચન, સંવાદ, રમતો, મનોરંજનના કાર્યક્રમો, ગ્રામ પત્રિકા, ગ્રામસભા, ગ્રામકોષ, વહેંચણી અને સહભોજનના કાર્યક્રમો:

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ગાંધીજી, ગરીબ, સાદગી, ખાદી, ગૃહ ઉદ્યોગ, સ્વાવલંબન, સર્વોદય ગ્રામ, ગૌશાળા, ગ્રામસેવક, સેવા, સફાઈ, ખેતી, રહેણાંક, સંકુલ, ઉત્પાદન, વપરાશ, વિકેન્દ્રી, વિતરણ, સ્પર્ધા, સ્વની ઓળખ, આનંદ

 

 

 

 

Read Full Post »