ઇસ્લામની સ્થાપના તુલસીદાસે કરેલી અને સનાતન ધર્મની સ્થાપના બીલ ક્લીંટને કરી હતી. ભાગ-૨
આપણે ટીવી સીરીયલમા જ્યારે કોઈ એક એપીસોડ જોઇએ ત્યારે જાહેરાતો માટેના બ્રેકની તાત્કાલીક પહેલાં, “ ‘સીરીયલનું નામ’ અને પછી ચાલુ હૈ“ એમ નીચેની લાઈનમાં લખેલું બતાવે છે. તેમજ “આગે હૈ” અને પછી શું આવશે તેનો એકાદ હિસ્સો બતાવે છે.
સીરીયલની શરુઆતમાં પૂર્વે બતાવેલા એપીસોડમાં જે બતાવેલું તેનો ઉપસંહાર “આપને દેખા” કે “અબ તક દેખા” કે “તમે જોયું” કે એવી કોઈ હેડ લાઈન હેઠળ બતાવે છે.
“ગયા એપીસોડમાં આ રહી ગયું” એવું આપણને બતાવતા નથી.
પણ, આપણા આ બ્લોગમાં “આ રહી ગયું” એમ કહીને આ બ્લોગના પહેલાભાગમાં જે રહી ગયું તે કહીશું.
“આ રહી ગયું”
કોઈકે વાયરલેસ સંદેશો મોકલ્યો છે. તે વ્યક્તિના અતિમનસમાં ઉભી થયેલી શંકા આપણા અતિમનસમાં પહોંચી છે.
તુલસીદાસે સ્ત્રીને (પોતાની સ્ત્રીને) મારવાની વાત કરેલી તેને મહમ્મદ સાહેબે સુવ્યવસ્થિત રીતે રજુ કરી. અને ઓછામાં ઓછી હિંસાને પ્રસ્થાપિત કરી. સમાજની અહિંસક પ્રણાલીઓ તરફ જવાની ગતિને આધારે આપણે મહમ્મદ સાહેબને તુલસીદાસના અનુગામી સિદ્ધ કર્યા એમ સ્વિકાર્યું.
પણ હવે તમે જુઓ. તુલસીદાસના રામને તો એક જ સ્ત્રી (પોતાની સ્ત્રી) એટલે કે પત્ની હતી. જ્યારે કુરાન તો પુરુષને ચાર પત્ની કરવાની છૂટ આપે છે. ચાર સ્ત્રી માંથી એક સ્ત્રી તરફ જવું એ વ્યવસ્થાની ભૌતિક હિંસાની પળોજણમાં ન પડીએ તો માનસિક રીતે અહિંસા તરફની ગતિ થઈ કહેવાય. એટલે તુલસીદાસજી તો મોહમ્મદ સાહેબના અનુગામી જ કહેવાય ને?
ના જી. તમે તમારી વાતમાં મર્યાદા બાંધો અને પછી તારવણી કરો તે બરાબર નથી. તુલસીદાસની સીતાને અગ્નિપરીક્ષા કરવાનું કહેવામાં આવે છે. એટલે પુરુષનું એક પત્ની વ્રત અને અગ્નિપરીક્ષા એ બેનો સરવાળો કરીએ તો સરવાળામાં આવતી હિંસા, પુરુષની ચાર પત્ની કરવાની કરવાની હિંસા કરતાં અનેક ગણી વધી જાય છે. એટલે અહિંસાની બાબતમાં તુલસીદાસ કરતાં મહમ્મદ સાહેબનું કુરાન ઘણું આગળ છે. એટલે તુલસીદાસ મહમ્મદ સાહેબના અનુગામી છે તે તર્ક ધ્વસ્ત થાય છે. ઇતિ સિદ્ધમ્
બીજું શું રહી ગયું હતું?
સનાતન ધર્મને હિસાબે સ્ત્રી જાતિની કોઈ પણ વ્યક્તિને ગાળ પણ ન દેવાય.
કારણ કે મારા પિતાશ્રી કહેતા હતા કે સ્ત્રી માત્ર દેવી સ્વરુપ છે. એટલે સ્ત્રીને આપેલી તે ગાળ, દેવીને જાય અને આપણને પાપ લાગે.
તુલસીદાસજી કદાચ એમ સમજ્યા હશે કે “ ‘સ્ત્રીને ગાળ ન દેવાય’. ગાળ ન દેવાય એમ જ કહ્યું છે ને! ‘તાડન ન કરાય’ એવું ક્યાં કહ્યું છે? એટલે સ્ત્રીને તાડન તો થાય જ ને વળી.” આમ તુલસીદાસમાં પ્રમાણભાનની પ્રજ્ઞા ન હતી.
ઇતિહાસ કે પુરાણોના વાચન વિષે તુલસીદાસના શોખની વાત ન કરીએ તો સનાતની રાજાઓ સ્ત્રી સાથે યુદ્ધ કરવાનું ટાળતા હતા. આ પરંપરા હેઠળ જ, ભિષ્મે શિખંડી સામે શસ્ત્રોનો ત્યાગ કર્યો હતો. રામ અને લક્ષ્મણે પણ આમ તો સુર્પણખા સામે પોતાનો બચાવ જ કરેલો. અને આ સ્વબચાવમાં જ સુર્પણખાને રામ દ્વારા અજાણતાં નાકે અને લક્ષ્મણ દ્વારા કાને વાગી ગયેલું હશે. પણ વાલ્મિકી અને તુલસીદાસને અતિશયોક્તિની ટેવ હતી તેથી તેમણે નાક અને કાન કાપી નાખ્યા એવી વાત વહેતી કરેલ. વાસ્ત્વમાં તો રામે અને લક્ષ્મણે ગડગડતી મુકી હશે. એટલે કે ભાગી ગયા હશે. કારણ કે એક સ્ત્રી સામે લડવામાં પરાજયની નાલેશી હતી.
રાવણ વિષે પણ એવું કહેવાય છે કે તે એક સ્ત્રી સૈન્ય સામે હારી ગયેલો. રાવણે એકવાર ભૂલ કરી હતી. આ ભૂલમાંથી તે શિખ્યો હતો કે સ્ત્રી સાથે જીવ્હાદ્વારા કે શસ્ત્રો દ્વારા પણ લડવું નહીં. કારણ કે હાર કે જીતની જે શક્યતાઓ છે તે બંનેમાં નાલેશી સિવાય કશું નથી.
રાવણ, તે પછી સ્ત્રીની સાથે બાખડવાનું ભૂલી ગયો હતો. તેથી જ તેણે સીતાજીનું હરણ કરેલ પણ સીતાજીને કનડ્યો ન હતો. સ્ત્રીઓને ન કનડવાની આ પરંપરા માનવો અને સુરોમાં હતી. પણ આ પરંપરા અસુરોમાં ન હતી. અને તેના ફળ તેમણે ભોગવએલા તે આપણે સુપેરે જાણીએ છીએ.
એવું કહેવાય છે કે અશોકે કલિંગ ઉપર ચડાઈ કરી તો તેણે પુરુષોના સૈન્યને તો જીતી લીધું પણ તે પછી જે સ્ત્રીઓનું સૈન્ય આવ્યું તેને જીતવામાં તેના હાંજા ગગડી ગયેલા. અને તે પછી તેણે યુદ્ધ નહીં કરું તેવી પ્રતિજ્ઞા લીધેલી અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધેલો. જોકે નવા સંશોધન પ્રમાણે તે દુશ્મનોને ધમકી આપ્યા કરતો હતો, કે કલિંગના જેવા તમારા હાલ કરીશ.
મૂળ વાત ઉપર આવીએ તો આ પ્રમાણે પુરુષો માટે કોઈ ખુશીનો સમય હોય તો ફક્ત એટલો કે “ઢોલ, ગંવાર, શુદ્ર પશુ નારી, યે સબ તાડનકે અધિકારી” એ બોલાતું સાંભળીને ખુશ થવું.
અને સાંભળી લો, કે સ્ત્રીઓને (પત્નીઓને) પણ આ વાતની ખબર છે કે પુરુષો (પતિઓ), આ પંક્તિઓ સાંભળી ખુશ થાય છે. તેમને માટે આ એક માત્ર સુખ બચ્યું છે તે પણ સાંભળવાનું. તેથી ઘણી સ્ત્રીઓ જ્યારે સુંદરકાંડની કેસેટ વાગતી હોય ત્યારે પોતાના પતિને ખુશ કરવા અને મજાક ઉડાવવા આ કડીઓનો વારો આવે ત્યારે ટેપરેકોર્ડરનું વોલ્યુમ મોટું કરી દે છે જેથી પતિ દૂર બીજા રુમમાં હોય તો પણ સાંભળી શકે. પુરુષોએ સ્ત્રીઓની આ મજાક કરવાની સ્ટાઈલને દાદ દેવી પડે.
તુલસી રામાયણના પાઠક, શ્રી અશ્વિન ભાઈ પાઠક પણ જાણે છે કે પુરુષોને આખા રામાયણમાં આ કડીઓ જ સૌથી વધુ ગમે છે એટલે અશ્વિનભાઈએ આ કડીઓની આગળ પાછળની દશે દશ કડીઓ માટે જુદો અને લંબાવેલો સુર રાખ્યો છે.
ચાલો …. એ બધું તો જાણે સમજ્યા. પણ બીલ ક્લીંટને સનાતન ધર્મ સ્થાપ્યો એમ કેવી રીતે કહી શકાય?
આ સમજવા માટે તમારે મહાજનોનું તર્કશાસ્ત્ર સમજવું પડશે.
ધારો કે તમારે કોઈને અમુક રીતે ચીતરવો છે તો તમે એવા કેટલાકના નામાંકિત વ્યક્તિઓ વિષે વિવરણ કરો કે જેઓ ઉપરોક્ત “અમુક રીત”ના ન હતા.
આ કંઈ સમજાયું નહીં. કંઈક ફોડ પાડો.
ધારો કે તમારે એમ કહેવું છે કે કોઈ એક નિશ્ચિત વ્યક્તિ જેને તમારે ટાર્જેટ કરવો છે, તે વ્યક્તિ તટસ્થ રીતે વિચારી શકતો નથી. તો તમારે તમારી દૃષ્ટિએ જે વ્યક્તિઓ તટસ્થ હતા તેમને વિષે વિવરણ કરવું. એટલે આપો આપ સિદ્ધ થઈ જશે કે તમારો ટાર્જેટ વ્યક્તિ તટસ્થ નથી. તમારે ફક્ત એમ જ કહેવાનું કે આવી હેસીયત આનામાં (ટાર્જેટેડ વ્યક્તિનું નામ), ક્યાં છે?
કોઈ દાખલો?
કોઈ વ્યક્તિ તટસ્થ ક્યારે કહેવાય?
તટસ્થ એટલે શું?
તટ એટલે કિનારો. જે કિનારા ઉપર છે તે વ્યક્તિને તટસ્થ કહેવાય. વૈચારિક રીતે કહીએ તો જે વ્યક્તિ સાક્ષી ભાવ રાખીને સમસ્યાનું કે ઘટનાનું અવલોકન કરે અને તે પછી અભિપ્રાય આપે તેને તટસ્થ કહેવાય. આપણા મોદીકાકા એ સાક્ષીભાવ ઉપર એક પુસ્તક લખ્યું છે. પણ બધા ગુજરાતી ભાષાવિદ મહાજનોને ખબર ન હોય તેમ એક મહાજને બીજાઓના સાક્ષીભાવ વિષે વિવરણ કરી સિદ્ધ કરી દીધું કે મોદીકાકા ક્યારેય સાક્ષી ભાવે જોઈ નહીં શકે. તે હડહડતા આરએસએસવાદી છે. ઇતિ સિદ્ધમ્.
પણ આપણી વાત તો બીલ ક્લીંટન અને સનાતન ધર્મની છે.
બધા મહાજનોનું તર્કશાસ્ત્ર ભીન્ન ભીન્ન હોય છે. સનાતન ધર્મ ગમે તેવો હોય તો પણ તે એક પત્નીવ્રત પુરુષને શ્રેષ્ઠ માને છે. નિયમ નહિં તો પ્રણાલી તો આવી જ છે. વળી જો નિયમ હોય તો નિયમ તોડવાની પણ પ્રણાલી છે.
જેમ જેમ ભારતીય વધુ સત્તાવાન થતો જાય અથવા કોઈ એને ટોકનાર ન હોય અથવા જે તેને ટોક્નાર હોય તેના કરતાં તે વધુ સક્ષમ હોય તો તે તેનો લાભ લેવાનું ચૂકતો નથી. ટ્રાફિકનિયમોના પાલનની બાબતમાં, વેતનની સામે કામ કરવામાં, ટેક્સ ભરવામાં, તર્કના વિતર્ક કરવામાં આપણે તેની આદતો જાણીએ છીએ.
આપણા ભારતીય બંધારણની અંતર્ગત હિન્દુ કોડ બીલમાં એક પત્નીવ્રતનો સમાવેશ કરવામાં આવ્યો છે. પણ જો કાયદામાં બારી ન રાખીએ તો આપણે હિન્દુ શાના? એટલે હિન્દુઓને રખાત રાખવાની છૂટ રાખવામાં આવી છે. આ જોગવાઈ શરતોને આધિન છે. ધારોકે “શરતોને આધિન” ન હોત તો પણ હિન્દુઓને કંઈ ફેર ન પડત. જો પાશ્ચાત્ય મહાજનો તુક્કા લડાવવામાં બેનમુન છે તો આપણા મહાજનો સ્વબચાવ અર્થે તર્કની બાબતોમાં બેનમુન છે.
આપણો આ બ્લોગ “મહાજનો”, “સ્ત્રી તાડન”, અને “તર્ક” ના પરિપેક્ષ્યમાં સીમિત છે.
આપણા ગુર્જરભાષાના એક મહાજને વાલ્મિકીના રામને વાલ્મિકી રામાયણના આધારે કહેલ કે રામને એક જ પત્ની ન હતી. કારણ કે રામ “સ્ત્રીણાં પ્રિયઃ” એમ વર્ણિત હતા. એટલે કે સ્ત્રીઓને પ્રિય હતા. સ્ત્રી એટલે પત્ની. સ્ત્રીણાં પ્રિયઃ એટલે સ્ત્રીઓને પ્રિય હતા એટલે તેમની પત્નીઓને પ્રિય હતા.
હવે જ્યારે તુલસીદાસ “નારી” શબ્દનો અર્થ પત્ની કરે તો “સ્ત્રી”નો અર્થ “પત્ની” થઈ જ શકે. આ વાત આપોઆપ સિદ્ધ થાય છે. સીતાજી કોઈ પણ કારણસર વનવાસ જવા માટે “રામની વાંહે થયા” તેથી કરીને કંઈ એમ સિદ્ધ ન થાય કે રામને તે એક માત્ર પત્ની હતી. એવું પણ હોય કે બીજી પત્નીઓને સીતાજીના (સુપરવીઝન), ઉપર વિશ્વાસ હોય, તેથી તે બધીઓ રામની “વાંહે ન થઈ” હોય.
જો કે “મહાજનશ્રી”ના આવા અર્થઘટન ઉપર શોર બકોર થયેલો. પોસ્ટખાતાને પણ ઠીક ઠીક કમાણી થઈ હતી. પણ આ જુદો વિષય છે.
નિયમ, નિયમનું અર્થઘટન, નિયમનું પાલન અને જનતાના પ્રતિભાવની પરિપેક્ષ્યમાં જોઇએ તો બીલ ક્લીંટન હિન્દુ ધર્મમાં સુસ્થાપિત છે.
જાતીય વૃત્તિ, જાતીય સંબંધ, પરસ્પર સંમતિ અને નિયમનો સુભગ સમન્વય એટલે ગંગા નાહ્યા.
કોઈ એક ખેલાડી હતો. નામ તો યાદ નથી. પણ ૧૯૯૨-૯૩ની ઘટના છે. એક સ્ત્રી તેને મળવા હોટેલ ઉપર ગઈ. પરસ્પર સંમતિથી સંબંધ બંધાયો. પણ પછી તે ખેલાડી તે સ્ત્રીને વળાવવા માટે હોટેલની રુમના દરવાજા સુધી ન ગયો. એટલે તે સ્ત્રીએ, તે ખેલાડી સામે બળાત્કારનો કેસ માંડ્યો. મારા ખ્યાલ પ્રમાણે તે સ્ત્રી આ કેસ જીતી ગઈ હશે. કારણ કે સ્ત્રીનું માન ન સાચવવું તે એક ગુનો છે. જો ઉપરોક્ત સ્ત્રી પોતાનો કેસ જીતી ગઈ હોય તો તે યોગ્ય જ છે. ન્યાયાલયે પણ ચૂકાદો આપ્યો છે કે જો લગ્નનું પ્રોમીસ આપ્યું હોય અને કોઈ વ્યક્તિ તે સ્ત્રીની સાથે જાતીય સંબંધ બાંધે અને પછી તેની સાથે લગ્ન ન કરે તો તેને બળાત્કાર જ કહેવાય.
બીલ ક્લીંટનના કેસમાં આવું નથી.
બીલ ક્લીંટન મોનિકાના સંબંધો વિષે શોરબકોર તો યુએસમાં પણ થયો. પણ જહોન કેનેડીના મરી ગયા પછી જેક્વેલીને કરેલા પુનર્લગ્ન વિષે જેટલો શોર થયેલો તેના દશમા ભાગ જેટલો પણ નહીં. યુએસમાં વિધવા વિવાહ નવી વસ્તુ નથી. પણ યુએસની જનતા, યુએસમાં નેતા માટે, ભીન્ન માપદંડ રાખે છે. જેક્વેલીને જ્યારે એરીસ્ટોટલ ઓનાસીસ સાથે લગ્ન કર્યું ત્યારે યુએસની જનતાએ કાગારોળ મચાવી દીધી હતી. આબેહુબ જેક્વેલીનના પુતળા બનાવીને વેચવા કાઢ્યા હતા. કિમત ૧૦૦૦૦ થી ૨૫૦૦૦ રુપીયા કે ડોલર હતી. જેક્વેલીનને અપમાન જનક સ્થિતિમાં મુકી દીધી હતી. ભારતમાં મોટાભાગની પ્રજા બહુ વાંચતી નથી. પણ સ્ત્રીઓનું અપમાન કરનારો અમુક વર્ગ જરુર છે.
ટૂંકમાં પુરુષ અને સ્ત્રી બંને માટે યુએસમાં અને ભારતમાં ભીન્ન ભીન્ન માપદંડ છે. જો કે યુએસમાં સમાન સીવીલ કોડ છે. ભારતમાં નથી.
જે સંબંધો સીધા ન હોય તેવા સંબંધોને કારણે ભારતના મહાજનો જેવા કે ઓશો આસારામ, સંત રજનીશમલ, અને એવા ઘણા બધા ચમક્યા છે કે જેમણે ભય અને લાલચને “પરસ્પર સંમતિ” હતી કે “મસ્જિદમાં ગર્યો’તો જ કોણ” એવું સિદ્ધ કરવાની કોશિસ કરી છે.
તમે કહેશો કે સંત રજનીશમલ ઉપર ક્યાં કોઈ કેસ થયેલો?
અરે ભાઈ એમ મુખ્ય મંત્રીઓને ઉથલાવવામાં ઉસ્તાદ એવા ચિમનભાઈ પટેલે, બળવંતરાય મહેતાને ક્યાં ઉથલાવેલા? ચિમનભાઈ પટેલે બળવંતરાય મહેતાને ક્યા કારણસર ઉથલાવ્યા ન હતા?
બળવંતરાય મહેતા વિમાન અકસ્માતમાં ગુજરી ગયા એટલે બચી ગયા. એ પ્રમાણે સંત રજનીશમલ વહેલા ઉકલી ગયા એટલે જેલમાં જવામાંથી બચી ગયા.
તમે કહેશો કે પણ આમાં બીલ ક્લીંટન હિન્દુધર્મના સ્થાપક કેવી રીતે કહી શકાય?
લો બસ. તમે તો એવી વાત કરી કે “સીતાનું હરણ થયું પણ પછી તે હરણની સીતા ક્યારે થઈ?”
જુઓ જાણે વાત એમ છે કે સત્ય વાતાવરણથી સિદ્ધ કરી શકાય અથવા સત્ય તર્કથી સિદ્ધ કરી શકાય. પણ સંત રજનીશમલ તો કહે છે કે તેઓ તર્કમાં માનતા જ નથી. કારણ કે તર્ક તો માહિતિ ઉપર આધાર રાખે છે. જેની પાસે માહિતિ વધુ હોય તે વ્યક્તિ, જેની પાસે ઓછી માહિતિ હોય તે વ્યક્તિને પરાસ્ત કરી શકે. અથવા તો આપણે આપણી આસપાસ આપણા જ વળના એકઠા કરેલા હાજી હા વાળાઓની બહુમતિ થી પણ સત્ય સિદ્ધ કરી શકીએ છીએ. જેમકે શંકર સિંહ વાઘેલા, કેશુભાઈ પટેલના સમર્થકોને “હજુરીયા” એમ કહેતા હતા.
ચાલો એ વાત જવા દો.
શાણા માણસો જે અભિપ્રાય આપે તેને તો સાચો માનવો જ પડે કે નહીં?
દુનિયામાં શાણું કોણ છે?
યુએસએ શાણું છે. કારણ ગમે તે હોય પણ યુએસનો પ્રમુખ દુનિયાનો કાકો ગણાય છે. શાણા માણસના દેશમાં રહેતા માણસોને પણ શાણા જ ગણવા જોઇએ. યુએસમાં રહેતા ભારતીયો કે જેઓ યુએસના નાગરિક છે તેમને પૂછો. પણ તે પહેલાં તેમને એક વાર્તા સંભળાવો.
૧૯૫૫ -૧૯૬૦ દરમ્યાન એક રાજકીય વિવાદ ચાલતો હતો કે “મુંબઈ” મહારાષ્ટ્રમાં જવું જોઇએ કે ગુજરાતમાં જવું જોઇએ?
અમારે ભાવનગરમાં એક સ્યામ સુંદરભાઈ હાસ્ય કલાકાર હતા. જેમ સંસ્કૃત સાહિત્યમાં કહેવાય છે કે “બાણોચ્છિષ્ઠં જગતસર્વમ્” (જગતમાં જે કંઈ લખાયું છે તે બધું જ કવિ બાણે લખી નાખ્યું છે. એટલે જે કંઈ કહેવાય છે તેમાં કશું નવું નથી. એટલે કે જગત, કવિ બાણનું એંઠું ખાય છે)
સ્યામસુંદરભાઈની વાર્તા કંઈક આ પ્રમાણે હતી.
મંડળીમાં ચર્ચા ચાલતી હતી. “મુંબઈ”ની સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો?
એક વયસ્ક “કાકા”એ કહ્યું કે આ સમસ્યાનો ઉકેલ છે.
આપણે મુંબઈના ભાગ પાડો.
વિરાર ગુજરાતને આપો, અને અમ્બરનાથ મહારાષ્ટ્રને આપો, વસઈ ગુજરાતને આપો, કલ્યાણ મહારાષ્ટ્રને આપો, બોરીવલી ગુજરાતને આપો થાણા મહારાષ્ટ્રને આપો, અંધેરી ગુજરાતને આપો, મલાડ મહારાષ્ટ્રને આપો, ઘાટકોપર ગુજરાતને આપો, વડાલા મહારાષ્ટ્રને આપો, વાંઈદરા ગુજરાતને આપો અને સાયણ મહારાષ્ટ્રને આપો …. રાજકપુર મહારાષ્ટ્રને આપો અને નરગીસ ગુજરાતને આપો.
હે … હે … હે… કાકા તમે ગઢ્ઢે ગઢપણે આમ રાજકપુર નરગીસનું નામ લો તે તમને શોભે નહીં. જરા ઉમરનું તો ધ્યાન રાખો.
“કાકા”એ કહ્યુંઃ એમાં મેં ખોટું શું કહ્યું છે? રાજકપુર મહારાષ્ટ્રને આપો અને નરગીસ ગુજરાતને આપો. એમાં ખોટું શું છે?
“અરે કાકા, રાજકપુર – નરગીસનું નામ તમારાથી નો લેવાય.”
“લે વળી ઈમાં શું?. જેમ રાયપુર છે, જેમ કાનપુર છે, નાગપુર છે, એમ રાજક-પુર છે.”
“કાકા… તમે તો ભારે કરી… ઠીક ચાલો … તમે રાજકપુરનું તો રાજક-પુર કર્યું … પણ આ નરગીસનું શું?
“લે …. કૈર વાત… પણ નરગીસ તો આપણામાં છે ને … પછી સુ લેવાને વાંઈધો …
આ રીતે આપણ ભારતીય યુએસ નાગરિકોને પણ કહી દેવાનું કે બીલ ક્લીંટન તો આપણામાં છે ને … અને સાથે સાથે હિલેરી ક્લીંટન તો લટકામાં મળે છે…
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ એપીસોડ, ચાલુ હૈ, આગે હૈ, આપને દેખા, તમે જોયું, આ રહી ગયું, અતિમનસ, તુલસીદાસ, સ્ત્રી (પોતાની, પત્ની, અહિંસા, હિંસા, અગ્નિપરીક્ષા, એક પત્નીવ્રત, ચાર પત્ની, સનાતન ધર્મ, સ્ત્રીને ગાળ ન દેવાય, પ્રમાણભાનની પ્રજ્ઞા, રાવણ, શિખંડી, ભિષ્મ, સુર્પણખા, સીતા, અશોક, કલિંગ, સ્ત્રીસેના, ખુશ થવું, સુંદરકાંડ, અશ્વિનભાઈ પાઠક, મહાજનોનું તર્કશાસ્ત્ર, બીલ ક્લીંટન, ટાર્જેટૅડ વ્યક્તિ, મોદીકાકા, કોમન સીવીલ કોડ, ઓશો આસારામ, સંત રજનીશમલ, પરસ્પર સંમતિ, મસ્જીદમાં ગર્યો’તો જ કોણ, સીતાનું હરણ થયું, હરણની સીતા, હજુરીયા, દુનિયાનો કાકો