Feeds:
Posts
Comments

Archive for April, 2022

માનનીય મુખ્ય મંત્રીશ્રી,

તેમજ

માનનીય ગુજરાત બીજેપી પક્ષ પ્રમુખશ્રી,

આપ સર્વે પુનર્વિચારણા કરો અને સુનિશ્ચિત કરો કે  ક્રીમીનલ કેસો પાછા ખેંચવા એ સિદ્ધાંત વિહોણી માનસિકતા છે.

એચ. પાટીદાર કોણ છે?

જેનું નામ પણ લેવું ન ગમે તે, જેનું નામ માત્ર લેવાથી આપણું મોઢું ગંધાય અને જેણે સરદાર પટેલની જાતિનું ઘોર અપમાન કર્યા કર્યું, એચ. પાટીદાર છે. આ સખ્સ, એચ. પાટીદારે  દેશની સંપત્તિને અબજો રુપીયાનું નુકશાન કરીને પોતાની ન્યૂસન્સ વેલ્યુ ઉભી કરીને ખ્યાતિ મેળવી હતી.

આ પાટીદારી ફરજંદે કરેલા/કરાવેલા  કરતૂતો બદલ, તેની ઉપર અપરાધના કેસ કરવામાં આવ્યા હતા. આઘાતની વાત એ છે કે તેની ઉપર કરવામાં આવેલા અપરાધના કોર્ટ કેસો પાછા ખેંચી લેવાના છે. અને તે માટે ગુજરાત સરકારે નીચલી કોર્ટમાં અરજી આપી હતી. સદભાગ્યે નીચલી કોર્ટે આ અરજીઓ અમાન્ય રાખી છે.

નીચલી અદાલતનો સંદેશ

અદાલતનો આ એક પ્રકારનો સંદેશ છે કે ગુજરાત સરકાર નીતિમત્તામાં પીછેહઠ ન કરે. પણ એવું લાગે છે કે બીજેપી ની ગુજરાત સરકાર આ સંદેશને સમજવા તૈયાર નથી. તે માને છે કે રાજકીય લાભ માટે રાજકારણમાં બધું ચાલે અને બધું ક્ષમ્ય છે. અને તેથી કરીને તો ગુજરાત સરકાર હવે અપીલમાં ગઈ છે.

ગુજરાત સરકારનો વહીવટ ભારતીય જનતા પક્ષ ચલાવે છે. એટલે એમજ કહેવાય કે સાધન શુદ્ધિમાં બીજેપીની ગુજરાત સરકારને વિશ્વાસ નથી. જો નરેંદ્ર મોદી, ગુજરાત સરકારને નીતિમત્તાના પાઠ ભણાવવામાં નિસ્ફળ જાય તો નરેંદ્ર મોદી દેશમાં નીતિમત્તા કેવીરીતે સ્થાપિત કરી શકશે?

જો ભારતીય જનતા પક્ષ એમ માનતો હોય તો કે ગુજરાતની પ્રજા માટે બીજેપીને મત આપવા સિવાય છૂટકો નથી. માટે તમતમારે દીધે રાખો.

બીજેપીની આ માન્યતા ભૂલ ભરેલી છે

એચ. પટેલ કયા કયા પક્ષોમાં જઈ આવેલો છે તે વાતથી બીજેપીના નેતાઓ અજાણ હોય તેવા મૂર્ખ નથી. આ પાટીદાર ફરજંદ, કોંગી અને સીવ (ગટર) સેના  જેવા વંશવાદી, કોમવાદી, જાતિવાદી, પ્રદેશવાદી દેશના ભાગલા વાદી પક્ષોમાં આંટો મારી આવેલો છે. ત્યાં તેની કેટલી દાળ ગળી  તે બીજેપીએ સમજવાની જરુર નથી. તેના ભૂતકાળના બીજેપીના નેતાઓ વિષેના ઉચ્ચારણો જો બીજેપી લક્ષ્યમાં લેશે તો તે પણ પૂરતું છે.

બીજેપીએ સમજવું જોઈએ કે જે વ્યક્તિએ તોફાનો દ્વારા ગુજરાતને અબજો રુપીયાનું  નુકશાન કર્યું હોય અને ગુજરાત સરકારે તેની ઉપર આવા કારણોસર ફોજદારી મુકદ્દમાઓ દાખલ કર્યા હોય , અને તે પછી તથા કથિત રાજકીય લાભની અપેક્ષાએ તે વ્યક્તિ ઉપરના મુકદ્દમાઓ પાછા ખેંચી લે. તો તે બીજેપી માટે  એ અક્ષમ્ય છે.

ગુજરાત બીજેપીએ વિચારવું જોઇએ કે ગુજરાત સરકારના આવા પગલાંથી ગુજરાતના સુજ્ઞમતદારોને શો સંદેશ મળશે? જો તમે સુજ્ઞ મતદારોને અવગણવા માગતા હો તો ક્યારેક તો તેઓ તમારા નામનું નાહી નાખશે.

શું એચ.પાટીદાર વગર, ગુજરાત બીજેપી પંગુ છે?

શું આ પાટીદાર ફરજંદના મુકદ્દમાઓ બોગસ હતા?

જો આમ હતું તો જાહેર કરો અને જાહેરમાં આ પાટીદાર ફરજંદની માફી માગો. એટલું જ નહીં પણ તેની બીજેપી અને તેના નેતાઓની વિરુદ્ધના ઉચ્ચારણોના સુરમ્ય અર્થઘટનો કરો. જો તમે બીજેપીમાં, આ પાટીદાર ફરજંદના અભાવે પંગુપણું અનુભવતા હો તો તેને ગુજરાત પ્રદેશ બીજેપીનો પક્ષ પ્રમુખ બનાવી દો.

ભૂતકાળમાં બીજેપીના મુખ્યમંત્રીઓ ઘણી નાની મોટી ભૂલો કરી છે.

કેશુભાઈના રેઢિયાળ શાસનમાં ભૂકંપ નીમિત્તે દાનમાં મળેલી ચીજ વસ્તુઓ ધોળે દિવસે ખૂલ્લે આમ વેચાતી હતી.  હાજી, આ સાચી વાત છે.

બીજેપીનો ગઢ ગણાતી અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન, બીજેપીએ ગુમાવેલી. ન છૂટકે આવા મુખ્યમંત્રીઓને હટાવવા પડ્યા હતા. આ પછી પણ સત્તા વિહીન કેશુભાઈ પટેલ, નરેંદ્ર મોદી વિરુદ્ધ  ઘણું ઑક્યા હતા.

આનંદીબેન પટેલે પણ પોતાનું પાટીદારપણું એમ કહીને બતાવેલ; “પટેલ હોવાને નાતે, આપણો યુવાન, એચ. પટેલ, ભલે નેતા તરીકે તેના આંદોલન દ્વારા આગળ આવે”. આ ઉચ્ચારણ આનંદીબેન પટેલ વિષે અક્ષમ્ય ગણવું જોઇએ. એક મુખ્ય મંત્રીને આવા ઉચ્ચારણો શોભે નહીં. પણ નરેંદ્ર મોદીએ મોટું મન રાખી તેમને  સંઘર્યા હતા.

જાતિવાદી અને પ્રદેશવાદી વ્યક્તિઓની બીજેપીમાં જગા ન હોવી જોઇએ. આ બધા દુર્ગુણો વિપક્ષમાં પ્રચૂર માત્રામાં છે. અને તે ત્યાં શોભે છે.

બીજેપીમાં સમજ હોવી આવશ્યક છે.

બીજેપીમાં એ સમજ હોવી જોઇએ કે જો બીજેપીમાં થોડી પણ અનીતિમત્તા હશે તો, દેશદ્રોહી અને બીજેપી-વિરોધી તત્ત્વો, તેને વિશાળ કરીને બતાવે છે. રાઈનો પર્વત કરશે.

બીજેપીએ એ પણ સમજવું જોઇએ કે ફોજદારી કેસો પાછા ખેંચવા એ નાની અનીતિ નથી. એચ. પટેલ પાસેથી નુકશાની વસુલ કરવાને બદલે તેની સામેના મુકદ્દમાઓ પાછા ખેંચી લેવા એ નરી બેઈમાની છે.

સમાજવાદી પક્ષના શાસનમાં ઉત્તર પ્રદેશમાં  શું બન્યું હતું?

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષે રાજકીય લાભ માટે કેટલીક વ્યક્તિઓ સામેના ફોજદારી કેસો પાછા ખેંચી લેવાની ભલામણ કરેલી. ન્યાયાલયે માન્યતા આપી ન હતી. અને તેથી ગુનેગારો સામે કેસ ચાલ્યા હતા. ગુનેગારો દંડિત થયા હતા. નરેંદ્ર મોદીએ આ મુદ્દાને ઉજાગર કરીને બીજેપીને જીત અપાવી હતી.

શું ગુજરાત બીજેપી આ વાત સમજવાને સક્ષમ નથી?

ગુજરાત બીજેપીએ નીતિમત્તા અપનાવવામાં દેશની આગેવાની લેવાની છે. કેટલીક વાતો ગુજરાત બીજેપીના નેતાઓ સમજતા નથી કે સમજવા માગતા નથી. બીજેપી નેતાઓએ સમજવું જોઇએ કે બીજેપીની વિશ્વસનીયતાને આંચ ન આવવી જોઇએ.

જાતિવાદી, પ્રદેશવાદી તેમજ ભાગલાવાદી પરિબળો મજબુત ન જ થવા જોઇએ.

જેમ સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતની એકતાના પ્રતિક હતા. તેમને અનુસરીને સર્વ જાતિઓએ એકતાના પ્રતિક તરીકે આચરણ કરવું જોઇએ.

એક પક્ષમાંથી બીજા પક્ષમાં જતા, કમસે કમ વામણા નેતાઓને તો, આવકારવા ન જ જોઇએ. કારણ કે આવા સ્વકેંદ્રી અને વાંઈદરાની (વાંદરાની) જેમ કૂદાકૂદ  નેતાઓ વિશ્વસનીય અને નીતિમાન હોઈ શકે જ નહીં. બીજેપીએ આ વાત ખાસ સમજવી જોઇએ.

૧૯૪૨માં કોંગ્રેસના આમ સદસ્યની વિશ્વસનીયતા કેવી હતી તે યાદ કરો.

એક બહેન કે જે બ્રીટીશ સરકાર સામે આંદોલન કરતા હતા, પોલીસે તેમની ધરપકડ કરી. ત્યારે તે બહેને પોતાના ઘરેણા ઉતારી એક ધોળી ટોપીવાળાને કહ્યું કે મારું આ સરનામું છે. તમે મારા ઘરે આ ઘરેણા પહોંચાડી દેજો. અને ઘરે સંદેશો આપજો કે મને પોલીસ,  જેલમાં લઈ ગયા છે. ચિંતા ન કરે.

પેલા ધોળી ટોપીવાળા ભાઈએ કહ્યું કે તમે મને ઓળખતા નથી. મારું નામ પણ જાણતા નથી. છતાં પણ તમે આ કિમતી ઘરેણા, હું તમારા ઘરે પહોંચાડીશ તેવો વિશ્વાસ કેવી રીતે  રાખી શકો છે?

પેલા સત્યાગ્રહી બહેને ઉત્તર આપ્યો. “તમે કોંગ્રેસી છોને એટલે?”

આવી હતી કોંગ્રેસ ૧૯૪૨માં.

આવી કોંગ્રેસને  તેના એક નેતાએ, ફક્ત પાંચ વર્ષમાં, હતી ન હતી કરી નાખી. એ નેતાને સીધા કરવા માટે મહાત્મા ગાંધીને, તે કોંગ્રેસને, વિખેરી નાખવાનું કહેવું પડ્યું. એ કોંગ્રેસ, ડીસેંબર ૧૯૫૦ થી કોંગી બની ગઈ. છતાં કેટલાક મૂર્ધન્યો હજી આ કોંગીને, 135 વર્ષ જુની કોંગ્રેસ માને છે. કારણ શું છે? કારણ ફક્ત એજ કે વંશવાદને મંજુરી. ભારતના કહેવાતા સુજ્ઞ જનો જ્યારે આ કક્ષાએ હોય ત્યારે ભારતની આમ જનતાને તો સહેલાઈથી ભોળવી શકાય છે.

જો બીજેપી નેતાઓ પણ અનીતિમત્તા રાખશે, અને એચ. પાટીદાર જેવા શખ્સોની ઉપરના મુકદ્દમાઓ પાછા ખેચશે તો તે શીઘ્ર ગતિએ નહીં તો ધીમી ગતિએ પણ આત્મઘાતી માર્ગે જશે જ. આ શક્યતા બીજેપી નેતાઓએ સમજવી જ પડશે.

ગામે ગામ નરેંદ્ર મોદીઓ પેદા કરી શકાતા નથી.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

શતેષુ જાયતે શૂરઃ, સહસ્રેષુ ચ પંડિતઃ ।

વક્તા દશસહસ્રેષુ, દાતા ભવતિ વા ન વા ॥

[સોએ એક વીર પાકે છે, પંડિત જન્મે હજારે છે,

ભાષણકર્તા દશહજારે છે, ત્યાગી જન્મે, ન જન્મે પણ]

Read Full Post »