ગાંધીવાદીમાંની સાદાઈ અને સાદાઈમાં ગાંધીવાદ
આમ તો મે માસ આવશે. એટલે જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ આવશે એટલે કેટલાક મૂર્ધન્યોના હાથને ચળ આવશે.
સાલુ આમ તો નહેરુની ટૂંકી દીર્ઘ દૃષ્ટિના અભાવને લીધે અને તેમના સંતાનોના સ્વાર્થી નિર્ણયોને લીધે દેશ અવનતિનીમાં ગર્ત થયેલો છે. પણ નહેરુની ઐતિહાસિકતાને તો સૂપેરે મુલવવી જ પડશે એવું ઘણા મૂર્ધન્યો માને છે. જેમ ૨૦મી સદીના પૂર્વાર્ધમાં પોતાને સંવેદનશીલ ગણાવનારાઓમાં સમાજવાદી કે સામ્યવાદી વિચારધારામાં મોહાન્ધ થવાની ફેશન હતી, તેમ ભારતના કેટલાક પોતાને રેશનાલીસ્ટ ગનાવનારાઓમાં નહેરુપ્રત્યે મોહભાવના હતી.
સંમોહન
આમ તો સંમોહન વિષે ગીતાએ પણ ફોડ પાડીને કહ્યું છે કે તેથી બુદ્ધિ નષ્ટ પામે છે. પુરુષો પણ પુરુષોને સંમોહિત કરી શકે છે. પુરુષ પણ ઘણા પરિબળો જો પ્રાપ્ય હોય તો તે તેનો ઉપયોગ કરીને લોકોને સંમોહિત કરી શકે છે.
નહેરુ પણ બીજાને સંમોહિત કરી શકતા હતા. ગાંધીજી પણ બીજાને સંમોહિત કરી શકતા હતા. પણ બંનેના પરિબળો અલગ અલગ હતા. ગાંધીજી પાસે વૈચારિક અને આચારોનું પરિબળ હતું. નહેરુ પાસે પૈસા અને પ્રદર્શનીય આચારોનું પરિબળ હતું.
સ્વાતંત્ર્યની ચળવળના સમયમાં નહેરુએ તેમનું ઘર ધર્મ શાળા જેવું બનાવી દીધું હતું. બધા નેતાઓ તેમને ત્યાં ઉતરતા અને નહેરુના ઘરમાં નોકરચાકરો દ્વારા તેમનું ધ્યાન રખાતું હતું. વળી ગાંધીજીની અહિંસક ચળવળ અને તેમની વૈચારિક વ્યુહરચનાઓનો અમલ થતો હતો. એટલે મહાવીર ત્યાગી જેવા નેતાઓ પણ નહેરુથી સંમોહિત થતા હતા.
સંમોહિત થવું આમ તો સહેલું છે. પણ જ્યારે વૈચારિક અને આચારના વિરોધાભાષો ઉભા થાય અને જે પરિણામોની આશા રાખવામાં આવી હતી તે પરિણામો પ્રમાણમાં સંતોષજનક ન હોય અને અથવા ઉંધા હોય તો મોહભંગ થઈ શકાય છે.
આવો મોહભંગ ભોગીભાઈ ગાંધીને સામ્યવાદીઓથી અને લોહીયાને નહેરુના સમાજવાદથી થઈ ગયો હતો.
સ્વતંત્રતા મેળવ્યા પછી, ઘણા લોકોને નહેરુ પ્રત્યેના મોહનો ભંગ થવા માંડ્યો હતો. ગાંધીજીને કદાચ સૌ પ્રથમ મોહભંગ થયો હશે. પણ ગાંધીજી સ્વાતંત્ર્ય મેળવ્યા પછી જીવ્યા નહીં તેથી નહેરુનો ખુલ્લો બહિષ્કાર જોવા ન મળ્યો. પણ મહાવીર ત્યાગી, રામમનોહર લોહીયા જેવા ઘણાએ તેમની ખુલ્લેઆમ ટીકા કરેલી. આ બંને પણ સમાજવાદી જ હતા. એક કોંગ્રેસમાં હતા અને એક કોંગ્રેસની બહાર હતા.
આપણું ધ્યેય નહેરુને પ્રગતિશીલ બતાવવાનું છે
નહેરુના વલણનું પૃથક્કરણ કરવું અને તેનું મૂલ્યાંકન કરવું અને મોહભંગ થવું એ બધી જ વ્યક્તિઓની પ્રાથમિકતા ન હોય. એટલે ઘણા મૂર્ધન્યો, સમાચારપત્રોના વિદ્વાનો અને મહાપુરુષોનો મોહ નહેરુ જીવ્યા ત્યાં સુધી અને તે પછી પણ ચાલુ રહ્યો. અને હજી પણ તે દેખા દે છે. ખાસ કરીને નહેરુનો જન્મદિન નજીક આવે ત્યારે.
આપણા આવા એક મૂર્ધન્ય નો લેખ ૨૮મી એપ્રીલ ૨૦૧૩ રવિવારના દિવ્યભાસ્કરમાં જોવા મળ્યો.
આપણા આ લેખકશ્રી માનનીય છે. તેમની તટસ્થતા માટે તેઓ જાણીતા છે એ વિષે બે મત નથી. પણ ક્યારેક તો વિવાદ ઉત્પન્ન થાય જ. કેટલીક વખત સત્ય કરતાં ધ્યેયને વધુ મહત્વ આપી દેવાય તો આવી ભૂલ થાય છે.
કોઈ વ્યક્તિનો જન્મદિન હોય તો તેને શ્રાપ તો ન જ અપાય. બહુ બહુ તો મૌન રહી શકાય. પણ મૌન રહીએ તો આ એક અવસર જતો રહે એટલે મૌન ન રહી શકતા હોઈએ તો મભમ મભમ બોલીયે. પણ આપણ્રે જો નક્કી જ કર્યું હોય કે આપણે તરફમાં જ બોલવું છે તો પછી મગજને કસરત આપવી જ પડે.
નહેરુ ગાંધી વચ્ચે નો વિસંવાદનો સંવાદ
નહેરુની લોકપ્રિયતા, સ્વાતંત્ર્યની ચળવળ દરમ્યાન તેમણે કરેલી કારકિર્દીને કારણે હતી. ખાદી, સાદગી, યંત્રોના વપરાશ અને સરળતા બાબતમાં નહેરુ અને ગાંધીજી વચ્ચે કેવા મતભેદો હતા તે વિષે આપણા જેવા સામાન્ય માણસો જાણતા નથી. પણ બીજાઓ કંઈક જાણે છે તેવું આપણને લાગે છે. હવે જો આપણે આપણા ઉપરોક્ત લેખકની વાતોને અને તારણોને સાચા માનીએ તો નહેરુનું મૂલ્યાંકન કેટલું સાચું છે તે વાત તો જવા જ દો, પણ ગાંધીજીને તો ભારોભાર અન્યાય થાય છે.
ઉપરોક્ત લેખકશ્રીને થયું, ચાલો શબ્દોની રમત રમીએ અને નહેરુ કેવા પ્રગતિશીલ હતા તે સિદ્ધ કરીએ.
આપણા મૂર્ધન્યશ્રીએ અમુક શબ્દો પકડ્યા. શાશ્વત સત્ય, અશાશ્વત સત્ય. શાશ્વત ગાંધી, અશાશ્વત ગાંધી.
આપણા મૂર્ધન્યશ્રીએ રેંટીયો અને ખાદી એટલે અશાશ્વત ગાંધી એવું કંઈક તારવ્યું છે. સંદેશ તો એવો જ લાગે છે.
શું ગાંધીજી પોતે જ ખાદીને શાશ્વત માનતા હતા? એવું લાગતું તો નથી જ. પણ આવું અશાશ્વત ગાંધીજીને નામે કેમ ચડાવી દીધું? જે વાત ગાંધીજીએ કહી નથી, એટલે કે જે ગાંધીજીનું નથી તે ગાંધીજીને નામે ચડાવી દેવું અને પછી બીજાને સાચા પાડવા માટે ગાંધીજીને ખોટા પાડવા. આને કેવી રમત કહેવી?
રજનીશને આવી કળા હસ્તગત હતી. જોકે આવી ટેવને કળા કહેવી એ કળાનું અપમાન છે. રજનીશના ચાહકોની નજર એવી તીક્ષ્ણ ન હતી કે તેઓ રજનીશની આ ચાલાકી પકડી શકે. તેમની કક્ષા તો બકરીની ત્રણ ટાંગની ચર્ચા જેવી હતી. જોકે હું આ મૂર્ધન્યશ્રીને રજનીશ સાથે નહીં સરખાવું. કારણ કે રજનીશની તો આવી આદત હતી. આપણા મૂર્ધન્યશ્રીની આ આદત નથી. પણ ઘણીવાર એવું બને કે આપણે તાનમાંને તાનમાં ઉંડું વિચાર્યા વગર કહી નાખીએ એવું કદાચ આ મૂર્ધન્યશ્રી વિષે બન્યું હોય.
ગાંધીજીને ખાદી વિષે શું કહેવું હતું?
ખાદી વિષે તો ગાંધીજીએ પુસ્તક લખ્યું છે. જેઓ ઉંડું વિચારી શકે છે તેઓ આ પુસ્તક ન વાંચે તો પણ ચાલે. ગાંધીજીને જ્યારે એવો સવાલ કરવામાં આવ્યો કે ખાદી શા માટે?
ગાંધીજીનો જવાબ શું હતો? “મારી સામે ભારતની બેકાર ગરીબ જનતા છે. તેમને તમે તાત્કાલિક કઈ રોજી આપી શકો તેમ છો?”
ગાંધીજીનો જવાબ અને તેમનો સવાલ જ ઘણું બધું કહી જાય છે.
તમે એવી ઘૃષ્ટતા તો નહીં જ કરો કે ગાંધીજી ભારતની જનતાને બેકાર અને ભૂખે ટળવળતી રાખવા માગતા હતા. તો પછી ગાંધીજીની ખાદીની વાત ગાંધીજીની દૃષ્ટિએ પણ અશાશ્વત જ હતી. ગાંધીજીની ખાદીની પ્રસ્તુતિ સમયની માગને અનુરુપ હતી.
જો માણસની જીંદગીની લંબાઈ જેટલા સમયગાળા દરમ્યાન પણ નહેરુના વાદને કારણે બેસુમાર લોકો બેકારી અને ગરીબી સબડતા હોય તો તેમને માટે તો ખાદી શાશ્વત જ ગણાય. આપ મૂઆ ફિર ડૂબ ગઈ દુનિયા.
ટૂંકમાં જ્યાં સુધી ખાદી કે જેની અશાશ્વતતા (ઈર્રેલેવન્સ, અપ્રસ્તુતિ) પાકી નથી તેને તમે કેવી રીતે “અપ્રસ્તુત” જાહેર કરી શકો?
ફેશનના મોહમાં અંધ થવું
જેમ નરેન્દ્ર મોદીને ૨૦૦૨ સાથે સાંકળવાની પોતાને સેક્યુલર માનતા સ્યુડો સેક્યુલર લોકોની ફેશન છે તેમ ગાંધીજી, યંત્રના વિરોધી હતા એવું માનવાની કેટલાક અર્ધદગ્ધ લોકોની એક ફેશન છે.
ગાંધીજી યથાયોગ્ય (એપ્રોપ્રીએટ) ટેક્નોલોજીમાં માનતા હતા. સીલાઈ મશીન પણ એક યંત્ર છે. ગાંધીજી તેના વિરોધી ન હતા. મનુષ્યના શ્રમને ઓછો કરે તેમાં ગાંધીજીને વાંધો ન હતો. સગવડોના ગુલામ થવું અને અથવા સમાજવ્યવસ્થા એવી ગોઠવવી કે જેથી સક્ષમ લોકો સગવડોના ગુલામ થઈ જાય અને સમાજમાં લોકોમાં એવી અસમાનતા ઉત્પન્ન થાય કે તેઓ સહકાર અને સંવાદ જ ન કરી શકે તો એવી અસંવેદનશીલ વિઘાતક સગવડોનો અર્થ શો?
સગવડોને ઓછી ભોગવવી, કરકસર કરવી વિગેરે જેવી અનેક બાબતો ગાંધીજીએ પોતાના જીવનમાં વણી લીધેલી. તેનું કારણ ગરીબો પ્રત્યેની તેમની સંવેદનશીલતા હતી.
નહેરુની આત્મવંચના
ગાંધીવાદીઓ વિષે નહેરુના ઉચ્ચારણ કંઈક આવા હતા, “કૃશ શરીર અને નિસ્તેજ દેખાવમાં જ સાધુતા રહેલી છે એવી કલ્પના આ ગાંધીવાદીઓમાં ઘરઘાલી બેઠી છે.” આવું આપણા મૂર્ધન્યશ્રીએ ઉદ્ધૃત કર્યું છે.
ધારો કે ગાંધીવાદીઓ આવા છે. તો તેઓ બે કારણસર આવા હોઈ શકે.
કાંતો તેઓ ગાંધીજીને જે પ્રમાણે સમજ્યા તે પ્રમાણે તેઓ સ્વેચ્છાએ આવા છે
અથવા તો તેઓ ગરીબાઈને લીધે અછતને કારણે આવા છે.
હવે જો તેઓ ગરીબાઈને કારણે આવા હોય તો તે ગરીબાઈ તેમને સ્વેચ્છાએ મળેલી છે કે તે ગરીબાઈ તેમને અણઆવડત અને નિસ્ફળતાને કારણે મળેલી છે?
આ પ્રશ્નોના જવાબો તમે ન આપો અને ગાંધીવાદીઓની બુરાઈ કરો તો તમે જનતાને એક જુદો જ સંદેશો આપો છો. નહેરુના મનમાં તો દંભ હતો જ, પણ જો તમે તેને પુરસ્કૃત કરો તો તમારા અસંપ્રજ્ઞાત માનસમાં દંભ બેઠેલો છે એવું નિસ્પન્ન થાય છે.
મેં જેટલા ગાંધીવાદીઓને જોયા છે તેઓ સૌ સ્વેચ્છાએ સ્વિકારેલી સાદગીમાં અને કરકસરમાં જીવે છે. તેઓમાંના ઘણા તો ઉચ્ચ શિક્ષણ લીધેલા છે અને તેમણે ઉચ્ચ હોદ્દાઓ પણ ભોગવેલા છે. બાકીનાઓ પણ આવડતમાં કંઈ કમ નથી.
ગાંધીવાદીઓની સાદાઈ અને કરકસરના મૂળમાં તેમનો કોઇ ફોબીયા નથી. જો નહેરુ અને નહેરુથી મોહિત મૂર્ધન્યો જો ગાંધીવાદીઓમાં કોઈ પ્રકારનો ફોબીયા જુએ તો એ અણઘડપણાની જ નહીં પણ પોતાની અંદર રહેલી રાક્ષસી ન્યુનતાને છૂપાવવાનો પ્રપંચ અને એક માયાજાળ છે.
મજબુરીકા નામ મહાત્મા ગાંધી
નહેરુ જેવું વલણ રાખવું એ કંઈ નવી વાત નથી. આવો ભળતો તર્ક ઘણી જગ્યાએ જોવા મળે છે. જેમકે “મજબુરીકા નામ મહાત્મા ગાંધી”. સત્યાગ્રહ અને અહિંસાને પણ કાયરતા છૂપાવવાની ચેષ્ટા તરીકે જોવામાં આવે છે. જોકે ગાંધીજીએ સ્પષ્ટ કહ્યું છે કે જો કાયરતા અને હિંસા વચ્ચે પસંદગી કરવાની કરવાની હોય તો હું હિંસાની પસંદગી કરું.
એટલે જ ઝવેરચંદ મેઘાણીએ કહ્યું છે કે “… અમારે ઘર હતા, વહાલાં હતાં, … અમે વતનને કાજે બધું છોડીને નિકળી પડેલા… ભાઈ … કદાચ અમારી હયાતીમાં સ્વતંત્રતા આવે કે ન આવે. પણ ધારો કે ભવિષ્યમાં તમારા જુદી જાતના પ્રયત્નોથી સ્વતંત્રતા આવે તો અમને પણ એક પળ માટે યાદ કરી લેજો, ભલે અમને લાખો ધિક્કાર આપજો અને ભાન ભૂલેલા કહેજો, પણ કદીય અશક્ત (કાયર) ન કહેશો.
કાર્યશીલ ગાંધીવાદીઓ તો તીર્થભૂમિ છે. તીર્થક્ષેત્રે કૃતં પાપં વજ્રલેપ ભવિષ્યતિ. એટલે કે તીર્થમાં કરેલું પાપ વજ્રલેપ જેવું કદીય દૂર ન થાય તેવું હોય છે.
જોકે નહેરુના સમયમાં ઘણા સંનિષ્ઠ મહાનુભાવ ગાંધીવાદીઓ કાર્યરત હતા. આજે પણ છે. ખાદીમાંથી સરકારી અને વહીવટી ભાવનાત્મકતા જતી રહી હશે. છતાં ઘણામાં એ સંવેદના છે કે જો આપણે ગૃહઉદ્યોગો દ્વારા થતા ઉત્પાદનને પ્રાધાન્ય આપીશું તો જેઓ બેકાર અને ગરીબ છે તેમને થોડા તો મદદ રુપ થતાં હોઈશું. આવું વિચારીને પણ તેઓ ખાદી છોડી શકતા નથી.
ચમત્કૃતિઃ
“ગાંધી? એ બુઢ્ઢો તો બડો નાટકીય અને દંભી હતો” નહેરુ વદ્યા એક વિદેશી પાસે.
નહેરુને ગાંધીજી પસંદ ન હતા. જો તમે ન જાણતા હો તો આ વાત જાણો. ખંડિત ભારતના વડા પ્રધાન જવાહર લાલ નહેરુની વાત છે. ૧૯૫૫ની વાત છે. કેનેડાના પ્રધાનમંત્રી લેસ્ટર પીયરસન ભારત આવ્યા હતા. કેનેડાના આ પ્રધાનમંત્રીની નહેરુ સાથે મુલાકાત થયેલી. આ મુલાકાત નો લેસ્ટર પીયરસને તેમણે લખેલા પુસ્તક “ધ ઈન્ટર્નેશનલ હેયર્સ” માં ઉલ્લેખ કર્યો છે. તેઓ શ્રી લખે છે કે “આ દિલ્લીમાં થયેલી મુલાકાત દરમ્યાન મને નહેરુને ઠીકઠીક રીતે સમજવાનો મોકો મળ્યો. મને તે રાત યાદ છે. તે રાત અમે બંને (લેસ્ટર પીયરસન અને જવાહરલાલ નહેરુ) એક સાથે બેઠેલા હતા. રાત્રીના સાત વાગ્યા હશે. ચાંદની રેળાઇ રહેલી હતી. પાર્ટીમાં નાચ ગાનનો પ્રોગ્રામ હતો, નૃત્ય ચાલુ થાય એ પહેલાં એક નૃત્યકાર દોડીને આવ્યો અને તેણે નહેરુના ચરણ સ્પર્ષ કર્યા. પછી અમે વાતો કરવા લાગ્યા. એમણે મહાત્મા ગાંધી વિષે ચર્ચા કરી. એ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. નહેરુએ ગાંધી કેવા કુશળ અભિનેતા હતા. તેમણે અંગ્રેજો સાથેના વ્યહવારમાં કેવી ચાલાકી બતાવી. પોતાની આસપાસ એવું નેટવર્ક વણ્યું કે જે અંગ્રેજોને અપીલ કરે. મારા સવાલના જવાબમાં નહેરુએ કહ્યું “ઓહ તે ભયંકર ઢોંગી ડોસો (oh, that awful old hypocrite)” [ગ્રન્થ વિકાસ, ૩૭ રાજપાર્ક, આદર્શ નગર, જયપુર દ્વારા પકશિત સર્યનારાયણ ચૌધરીની ‘રાજનીતિકે અધખુલે ગવાક્ષ’ પુસ્તકમાંથી ઉદ્ધૃત]
તમે કદાચ કહેશો કે નહેરુને દારુનો શોખ હતો એટલે દારુના નશામાં એલફેલ બોલ્યા હશે. જો આમ હોય તો દારુનો નશો જ માણસના આંતરમનને પ્રતિબિંબિત કરે છે. એટલે તેને અવગણી ન શકાય. બે ચહેરાવાળા ઘણા માણસો હોય છે. નહેરુનો તેમના ઘરની ચાર દિવાલો વચ્ચે જુદો ચહેરો હશે હશે ને હશે જ. નહેરુએ આ વાત તેમના ઉચ્ચારણોમાં તે પછી પણ ઘણીવાર સિદ્ધ કરી છે.
વધુ માટે વાંચો “ ચોક્ખું ઘી અને હાથી” વેબપેજ treenetram.wordpress.com
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ ગાંધીજી, નહેરુ, ખાદી, યંત્ર, શાશ્વત, અશાશ્વત, સાદગી, કરકસર, ગરીબી, બેકારી, મૂર્ધન્ય, સમાજવાદ, ફોબીયા, દંભ, માયાજાળ, મોહ, મોહાંધ