Feeds:
Posts
Comments

Archive for September, 2022

નવા ભદ્રંભદ્રો પણ એકબીજાથી વિરુદ્ધ તો જુના ભદ્રંભદ્રનું શું થશે

ડીબીભાઈના (દિવ્ય ભાસ્કર ભાઈના) છાપામાં એક રીતે જોઇએ તો બે વિરોધાભાસી માહિતિઓ હતી.

પાના-૨ ઉપર સમાચાર હતા કે કચ્છના નખત્રાણામાંના બ્રાહ્મણોએ દશેરાના રાવણ દહનના કાર્યક્રમનો બહિષ્કાર કરી વિરોધ કરવાના છે. કારણ કે રાવણ તો બ્રાહ્મણ હતો. રાવણ મહાન શિવભક્ત હતો. રાવણ વેદોમાં પારંગત હતો. આજે જે સ્વરુપમાં વેદો, આપણી સમક્ષ છે, તે સ્વરુપના વેદોનો જન્મદાતા રાવણ હતો. આવા મહાન રાવણના પુતળાનું દહન કરવું અને તે પણ દરવર્ષે, દહન કરવું તે બ્રાહ્મણ જાતિનું અપમાન છે. અમે બ્રાહ્મણો આ ચલાવી નહીં લઈએ. અમે બહિષ્કાર કરીશું.

ભારતના દલિતો ને પણ આ રાવણ-દહન પસંદ નથી.

હાજી, સાવ સાચી વાત છે. પણ કારણ તદ્દન ભીન્ન છે. કારણ કે તેમના હિસાબે રાવણ તો દલિત હતો. ખૂબ વખત પહેલાં આવી એક ફિલમ પણ ઉતરી હતી. એમ તો દશાવતારની ફિલમ પણ ઉતરી હતી. (જેમાં ગાંધીજી અને બુદ્ધ બન્નેને વિષ્ણુના અવતાર બતાવવામાં આવ્યા હતા. પણ તે વખતે બાબા સાહેબે પોતાનો ધર્મથકીનો વાડો, જુદો બનાવ્યો ન હતો. પણ તે વિષે વળી ક્યારેક ચર્ચા કરીશું)

રામે એક દલિતને માર્યો અને પછી આ રામના માણસો, દશેરાના (શુક્લ અશ્વિન દસમના) દિવસે રાવણનું પુતળું બાળે છે અને દર વર્ષે બાળ્યા જ કરે તે અમારાથી સહન જ કેમ થાય?

આ મનુવાદીઓને તો સીધા કરવા જ પડશે.

તો શું હવે મુલ્લાયમ – અખિલેશે ચલાવેલા સૂત્ર  “મુસ્લિમ, યાદવ ભાઈ ભાઈ”, ની જેમ એક નવું સૂત્ર રચાવા તરફ જઈ રહ્યું છે કે “દલિત, બ્રાહ્મણ ભાઈ ભાઈ”?

સૂત્રોની તો બહુ મોટી માયા જાળ છે.

“તિલક, તરાજુ ઔર તલવાર, ઉસકો મારો જુતે ચાર” આ સૂત્રની જન્મદાત્રી માયાવતી કે તેના ગુરુ કાંશીરામ હતા.

પણ પછી માયાવતીએ “આ હાથી નહીં …  ગણેશ છે” એવું સૂત્ર પ્રચલિત કરી બ્રાહ્મણ – દલિત ને એકસૂત્રમાં બાંધવા પ્રયત્ન કરેલ. પણ “મુસ્લિમ – યાદવ ભાઈ ભાઈ” આગળ આ સૂત્ર પરાજિત થયેલ.   

દલિત બ્રાહ્મણ ભાઈ ભાઈ

દલિત બ્રાહ્મણ ભાઈ ભાઈ જેવું સૂત્ર તો લુટ્યનોને (કોંગી, આર.જે.ડી., સી.પી.એમ., અને વામમાર્ગીઓને) કોઈ કાળે ન ખપે.

કેમ?

ચંદ્રગુપ્ત મૌર્ય (મુરા દાસીનો છોકરો) અને કૌટીલ્યએ ભેગા મળીને ધનનંદના સામ્રાજ્યને ઉથલાવીને, નંદના સામ્રાજ્યથી  પણ મોટું સામ્રાજ્ય સ્થાપેલ. તેમ જ સેલ્યુકસ નીકેતર કે જે બધે જ જીતતો જીતતો આવતો હતો તેને પણ પરાજિત કરેલ. આ વાત તો ભલાભોળા નાજુક લીબરલ  વામમાર્ગીઓને પસંદ ન જ પડે ને!! વામમાર્ગી = વામપંથી = લેફ્ટીસ્ટ લીબરલ, આ એવા લીબરલ કે સત્તામાટે તેમણે લાખો માણસોની દરેક જગ્યાએ કતલ કરેલી.

“આર્યન ઈન્વેઝન થીએરી” જેણે પુરસ્કૃત કરેલી તે મેક્સમુલરે તેની પાછલી જીંદગીના દિવસોમાં પાછી ખેંચી લીધેલી. તે થીએરી એક બનાવટી થીએરી હતી. તેને કશો આધાર ન હતો. ન તો તે થીએરી ભૂસ્તરશાસ્ત્રથી સિદ્ધ થતી હતી, ન તો તે ખગોળશાસ્ત્રથી સિદ્ધ થતી હતી, કે ન તો તે ભાષાશાસ્ત્રથી સિદ્ધ થતી હતી. તેમાં તુક્કાઓ સિવાય કશું ન હતું. અને જો તુક્કાઓ લગવવાની છૂટ હોય તો તમે કોઈપણ વાત સિદ્ધ કરી શકો.

દા.ત.

વેદ સમયના ભારતીયો કુતરા સિવાયના પ્રાણીઓની વિષે જાણતા ન હતા. સંસ્કૃતમાં કુતરાને “શ્વા” કહે છે. સંસ્કૃતમાં “અ” એટલે “નહીં” એવો અર્થ થાય છે. કારણકે વેદકાળના લોકો કુતરા સિવાય બીજા પ્રાણીઓને જાણતા નહીં, તેથી તેઓ બીજા બધાને “ અ   શ્વ “ એમ કહેતા હતા. એટલે કે અશ્વ. આવી તો પાશ્ચાત્ય પંડિતોની અનેક વાતો છે.

વાર્તા વિષય, આર્ય અને અનાર્યના ભેદવિષેનો હતો.

આપણા હેલ્પેશભાઈ, તેઓશ્રી જ્યારે ભાવનગરની પ્રાથમિક શાળા “ધ ભૂતા ન્યુ ઈંગ્લીશ સ્કુલ”માં (૧૯૫૨) હતા ત્યારે જ તેમણે તેમના વર્ગ શિક્ષક અમુભાઈને પ્રશ્ન કરેલ; જો આર્યો ગાયને પૂજતા હોય અને અનાર્યો સાંઢને પૂજતા હોય તો આને વિરોધાભાસ કેમ કહેવાય? આ તો સમાનતા કહેવાય. જેઓ ગાયને પૂજતા હોય તે સાંઢને પૂજતા પણ હોઈ શકે.

ત્યારે અમુભાઈએ કહ્યું કે આ તો બધી બનાવટ છે. વાસ્તવમાં આ યુરોપીઅનોને આપણે પ્રાચીન સમયમા અસ્પષ્ટ ઉચ્ચારણોને કારણે હાંકી કાઢેલા અને પછી તેઓ પાછા આવ્યા. આપણે ક્યાંય બહારથી આવ્યા નથી.

પણ આપણે આની ચર્ચા નહીં કરીએ. કારણકે તે વિષયાંતર થશે.

પણ કોમળ લેફ્ટીસ્ટ લીબરલોને નહીં ગમે તેનું શું?

“આર્ય અને અનાર્ય, સવર્ણ અને અસવર્ણ, શ્વેત અને સ્યામ, માલિક અને દાસ, વેદજ્ઞાતા અને અજ્ઞાની, સુખી અને પીડિત, … આવા ભેદભરમ અને કળાઓ ઉપર તો આપણી દુકાન ચાલે છે. આપણે કંઈ આ અનાર્ય, દલિત, પીડિત, … નો  ઉદ્ધાર કરવાનો ઠેકો લીધો નથી. આ અનાર્ય, દલિત, પીડિત  જાય ચુલ્હામાં. આ શસ્ત્રના આધારે તો આપણે રશિયા અને ચીન કબજે કર્યા. અર્ધું જર્મની કબજે કર્યું. આપણા અમેરિકન બંધુઓ પણ આવી થીએરીને આધારે તો ત્યાં સત્તા ઉપર આવેલા અને બધાને ખ્રીસ્તી બનાવેલ. તે ઉપરાંત ભારતમાં આ શસ્ત્રનો ઉપયોગ કરી આપણે ઘણું મેળવ્યું છે. બીજાઓને વિભાજિત કરવા, એ પણ આપણા માટે પ્રાપ્ત કર્યું જ કહેવાય.” લેફ્ટીસ્ટ લીબરલ એન્ડ કું. ઉવાચ.

દયાનંદ સરસ્વતી, વિવેકાનંદ, સાતવળેકર અને હાલના રાજિવ મલહોત્રા, શ્રીની કલ્યાણરામન અને બીજા અગણિત વિદ્વાનોએ અથાગ મહેનત કરી આર્યન ઈન્વેઝન થીએરીને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી છે. તો પછી હજીપણ કેટલાક કટારીયા  એટલે કે છાપામાંના  કોલમીસ્ટો હજી “આર્ય – અનાર્ય” ના ભેદભાવની વાતો કેમ કરે છે.?

શું આ સંશોધનનો વિષય છે?

સંશોધનનો વિષય એટલે શું?   હેલ્પેશ ભાઈના હિસાબે દાળમાં કંઈ કાળું શોધવાની જરુર જ નથી. આખી દાળ જ કાળી છે.

જો બાબાસાહેબ આંબેડકર જેવા પણ અંગ્રેજી ઇતિહાસકારોએ લખેલા ભારતના ઇતિહાસથી સંતુષ્ટ હોય તો અક્ષરજ્ઞાન ધરાવતા (“સાક્ષર” શબ્દના આવા અર્થમાં), જન્મે દલિત એવા જનો, બાબા સાહેબથી શા માટે અસંતુષ્ટ રહે? અને જો જરા અક્કલ ચલાવે અને અસંતુષ્ટ રહે તો કહે પણ કોને? … તો પછી શું કરીશું? બસ એજ કે “બુદ્ધ ભગવાન કહે તે બ્રહ્મ વાક્ય. બાબા સાહેબ કહે તે બ્રહ્મ વાક્ય.”. બાબા સાહેબે કીધું કે આપણે બૌદ્ધ. અને બુદ્ધ ભગવાન હિંદુ નહીં એટલે આપણે પણ માની લેવાનું કે બુદ્ધ ભગવાન હિંદુ નહીં એટલે અમે હિંદુઓથી જુદા. અમારો વાડો જુદો. જેમ મુસ્લિમોનો વાડો જુદો છે, જેમ ખ્રીસ્તીઓનો વાડો જુદો છે, જેમ સિખ લોકોને અંગ્રેજોએ સિખોને તેમનો જુદોવાડો બનાવી આપેલ કારણ કે ૧૯૫૭ના સંગ્રામ વખતે સિખ લોકોએ અંગ્રેજોને મદદ કરેલી અને તેના ઇનામ તરીકે, જેમ જૈનોને કોંગી સરકારે અલગવાડો બનાવી આપેલ તેમ અમને પણ બાબા સાહેબે નહેરુને પટાવી અમારો અલગ વાડો બનાવેલ.

આ અલગવાડો શું છે?

આ વસ્તુનું સચોટ જ્ઞાન હેલ્પેશભાઈના ખાસમ ખાસ મિત્ર સ્વ. ડાહ્યાભાઈ એન. સોલંકી પાસે હતું. પણ ટૂંકમાં એવું છે કે બધું પોથીમાંના રીંગણા જેવું છે. “કહ્યું કશું … અને લહ્યું કશું, આંખનું કાજલ ગાલે ઘસ્યું.” સાવ આવું તો નહીં પણ ઘણું ઘણું તો ખરું.

વાડાઓને ધર્મ સાથે કશી લેવા દેવા નથી. જો સત્તા હોય અને અથવા ન હોય, તે માટે જો વાડામાં ફાયદો મળતો હોય તો તે લેવા માટે તેનો ઉપયોગ કરવો કે લીધા કરવો. એ સિવાય કશું નહીં.

પણ આમાં ભદ્રં ભદ્ર ક્યાં આવ્યા?

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

શું આપણે જ્ઞાતિવાદ તરફ ગતિ કરી રહ્યા છીએ – ૩
લાગે છે તો એવું કે અમુક લોકો જ્ઞાતિવાદી માનસિકતા રાખે છે.
આમાં કેવા લોકોનો સમાવેશ થાય છે.
(૧) જેઓ વાચાળ છે અને નેતાગીરી કરવામાં માને છે,
(૨) જેઓ તેમના વરવા રાજકારણને ત્યજવા નથી માનતા,
(૩) જેઓ તર્કમાં માનતા નથી,
(૪) જેઓ દેશના હિતમા શું છે તે સમજવા માનતા નથી,
(૫) જેઓ નરેંદ્ર મોદી-ફોબિયા, બીજેપી-ફોબીયા, આર.એસ.એસ.-ફોબીયા, હિંદુ-ફોબીયા (પ્રણાલીગત હિંદુ ધર્મના અર્થમાં), … આ બધાથી પીડિત છે પણ તેમને કદાચ ખબર નથી અથવા તો તેમને ખબર છે છતાં પણ તેઓનો એક એજંડા સુનિશ્ચિત છે તેઓ,
(૬) આમાં એવા લોકોનો પણ સમાવેશ થઈ શકે છે કે જેઓ એવી ગેર સમજ ધરાવે છે કે બાબા સાહેબ આંબેડકર જે કંઈ કહે તે બ્રહ્મ સત્ય, અને તે ઉપરાંત બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધીને  પોતાના દુશ્મન માનતા   હતા કારણ કે મહાત્મા ગાંધી દલિતોના દુશ્મન હતા. આવું તેમણે માની લીધું છે અને તેનાથી ભીન્ન માન્યતા તેમને પસંદ નથી. કારણ કે આ સ્થિતિ તેમને ગોઠી ગઈ છે.
(૭) જેઓ પોતાને સામ્યવાદી ક્રાંતિકારી વિચારધારા વાળા માને છે.
આ બધા પ્રકારના જત્થાઓનું આપણે અગાઉ પણ વિશ્લેષણ કર્યું છે. ખાસ કરીને જેઓ સામ્યવાદી વિચારધારા એટલે કે સાધન શુદ્ધિમાં અને તર્કમાં માનતા જ નથી, તેઓમાં ઉપરોક્ત ગુણો મિશ્રિત અવસ્થામાં હોય છે.
અગાઉ આપણે જોઇ ગયા કે સમાજમાં જો માનવીય મૂલ્યોને સ્થાપિત કરવામાં આવે તો જ્ઞાતિવાદને દૂર કરી શકાય. પણ જ્યારે રાક્ષસીતત્વો (સ્વાર્થી હેતુવાળા, સત્તા લાલચુ અને સાધન શુદ્ધિમાં નહીં માનનારા લોકો) ફક્ત સક્રીય જ નહીં પણ  મરણીયા જ થયા હોય ત્યારે સમાજ વિભાજન પ્રતિ જ ગતિ કરે છે.  આવી સ્થિતિમાં જો “રાષ્ટ્ર પ્રથમ” વાળા લોકો નિસ્ક્રીય રહે તો દેશમાં અરાજકતા ઉત્પન્ન થાય. જો “રાષ્ટ્ર  પ્રથમ”વાળા લોકો અલ્પમતમાં આવી જાય તો  દેશ એક યુગ જેટલો પાછળ પડી જાય.
દુર્ગુણને જો નાથવામાં ન આવે તો તે ચેપી  રોગ બની જાય છે. તેના દાખલાઓ અનેક છે. મોતિલાલ નહેરુએ અપત્યપ્રેમને કારણે જવાહરને ઠેકાણે પાડવાની, ગાંધીજીને ભલામણ કરી. તે વખતે તો રાજકીય સત્તા હતી નહીં, તેથી આર્થિક કારણોસર જવાહરને ગાંધીજીએ આગળ કર્યા. જવાહરનું ઘર મધ્યમ કક્ષાના નેતાઓ સુધી (અલ્લાહબાદમાં) ધર્મશાળા બની ગયું. તે વખત માટે આ ઉપકાર મોટો હતો. પણ અહીં વંશવાદનું બીજ રોપાયું હતું. જવાહરે પોતાની ભૂલો ખાસ કરીને વિદેશનીતિમાં કરેલી ભૂલોને છૂપાવવા પોતાની પૂત્રી ઇંદિરાને પોતાની અનુગામી બનાવવાની જોગવાઈ કરી. તે વખતે તેઓ એ વાત સાનુકુળતાને કારણે ભૂલી ગયા કે આ લોકશાહી મૂલ્યોને અનાદર છે. સાધન શુદ્ધિના વસ્ત્રને ન અપનાવવાળી નગ્ન વ્યક્તિ શું કરી શકે અને જનતામાં કેટલી મૂલ્ય હીનતા સ્થાપી શકે તે આપણે જોયું. આર્ષદૃષ્ટિ-હીન કહેવાતા સુજ્ઞ લોકોએ ઈંદિરાને વધાવી લીધી. વંશવાદ ફુલ્યો ફાલ્યો જે આપણે આજે જોઇ શકીએ છીએ.
રાજકારણમાં વંશવાદની પુરસ્કૃતિ એ જ્ઞાતિવાદને ઉત્તેજન આપવા બરાબર છે. અને તમે જુઓ, ભારતના વિપક્ષો જ્ઞાતિવાદને ઉત્તેજન આપવા માંડ્યા. યોગ્ય વ્યક્તિને પક્ષમાં નંબર વન સ્થાન, આપવાને બદલે કોંગી, સ.પા. બ.સ.પા., ટી.એમ.સી., ડી.એમ.કે., એન.સી., પી.ડી.પી., … બધા વંશ વાદી થઈ ગયા. રાક્ષસના લોહીનું એક ટીપું જો જમીન પર પડે તો તેમાંથી હજાર રાક્ષસ ઉત્પન્ન થાય, એ પૌરાણિક કથાઓનું પ્રગટીકરણ   આપણે જોઈ રહ્યા છીએ. બીજેપી આ દુર્ગુણ થી વિમુખ છે અને બીજેપીમાં યોગ્ય વ્યક્તિને યોગ્યતા પ્રમાણે પદભાર આપવામાં આવે છે.
હવે તમે જુઓ. કોંગીનો રાહુલ ગાંધી, વંશવાદને કેવી રીતે મૂલવે છે.
આપણે વાત પક્ષમાં “નંબર વન” કોને બનાવવો એ કરીએ છીએ.  રાહુલ ગાંધી આ વાતને “ડૉક્ટરનો દિકરો ડૉક્ટર બને, એંજીનીયરનો દિકરો એંજીનીયર બને, વેપારીનો દિકરો બને તો પછી રાજકારણીનો દિકરો રાજકારણી  બને” સાથે સરખાવે છે. અરે ભાઈ રાજકારણીનો દિકરો રાજકારણી બને એનો કોઈને વાંધો નથી. પણ નંબર વન એટલે કે પક્ષના પ્રમુખ નો દિકરો, બીજા નેતાઓના હક્ક ડૂબાવી પક્ષનો પ્રમુખ બને એનો વાંધોં છે. પણ આ વાત વંશવાદનો વિરોધ કરનારા પણ સમજવા માગતા નથી.
નહેરુ, વલ્લભભાઈ પટેલ અને બાબા સાહેબ આંબેડકરનો હક્ક ડુબાડી નંબર વન બનેલ,
ઈંદિરા ગાંધી, મોરારજી દેસાઈનો હક્ક ડુબાડી વડાપ્રધાન બનેલ,
રાજિવ ગાંધી, પ્રણવમુખર્જીનો હક્ક ડુબાડી, વડાપ્રધાન બનેલ,
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી માટે વડાપ્રધાન થવું ભારતીય સંવિધાન અનુસાર થવું શક્ય ન હતું, એટલે તેમને પક્ષ પ્રમુખ બનાવ્યા અને “નેશનલ એડવાઈઝરી કમીટી”ના પ્રમુખ બનાવી સત્તા પોતાની પાસે રાખવાનો પ્રયાસ કર્યો. અને નરસિંહ રાવને વડા પ્રધાન બનાવ્યા. નેશનલ એડવાઈઝરી  કમીટી ગેરસંવિધાનીય હતી, અને તેથી નરસિંહરાવ તેને ગાંઠતા નહીં, તેથી નરસિંહરાવ દેશના વિકાસમાં ક્રાંતિકારી પગલાં લઈ શક્યા અને દુનિયામાં તેની નોંધ લેવાઈ.
કોંગીના સ્થાપિત હિતો નરસિંહ રાવની મનમાનીને મંજુર કરતા ન હતા. કારણ કે નરસિંહરાવ, નહેરુવીયનોને ગાંઠતા ન હતા. કોંગી પક્ષમાં ડખો હતો. કારણ કે નરસિંહ રાવ સુબ્રહ્મનીયન સ્વામી જેવાને સલાહકાર રાખતા હતા.
મનમોહન ના સમયમાં હર્શદ મહેતા જેવું કૌભાંડ થયુ, પણ નાણામંત્રી મનમોહને હાથ ઉંચા કરી દીધા અને કહ્યું હવે આવું નહીં થાય.  કોંગી હારી. બીજેપી જીતી. અટલ બિહારી બાજપાઈ વડાપ્રધાન થયા. બાજપાઈ દેશને વિકાસ પંથ પર લઈ ગયા એ ખરું પણ તેઓ દાવપેચમાં હોંશિયાર ન હતા. જનતા સુધી વિકાસની માહિતિ પહોંચી ન હતી. તેમજ માયાવતી, મમતા અને જય લલિતા જેવી મહિલાઓ નખરાં કરીને વારે વારે સપોર્ટ પાછો ખેંચી લેવાની ધમકીઓ આપતી હતી.
સ્થાપિત હિતો:
સંસદની બહારના પરિબળો જેવા કે મીડીયામાં રહેલા, ન્યાયાલયમાં રહેલા, નોકરશાહીમાં રહેલા સ્થાપિત હિતોને તો “જૈસે થે”-વાદ જ પસંદ હતો, તે સૌની સહાયતાથી કોંગીનું ગઠબંધન ચૂંટણી જીતી ગયું. અનેક હિમાલયન કૌભાંડો કરવા છતાં ૨૦૦૪ થી ૨૦૧૪ એમ ૧૦ વર્ષ સુધી વધુ રાજ કર્યું. અડવાણીને બબ્બે વખત મોકો મળ્યો પણ તેઓ બીજેપીને  બહુમતિ અપાવવામાં નિસ્ફળ નીવડ્યા.
ગુજરાતમાં મોરારજી દેસાઈના ગયા પછી કોંગીના ગુજરાતના નેતાઓનું કશું ઉપજતું ન હતું. આમ જનતામાં રોષ તો હતો જ. કોંગી નબળી પડી ગઈ હતી. ઇંદિરા ગાંધીને તો ગુજરાત પર ગુસ્સો જ હતો. ગુજરાતને કોઈ વિકાસની યોજના મળતી ન હતી. જે કંઈ હતી તે પણ ટલ્લે ચડતી હતી.  અંતે ૧૯૯૫માં બીજેપી સત્તા ઉપર આવી. કેશુભાઈએ ઠીક ઠીક સારું કામ કર્યું. પણ કુદરતી આફત એવા ભૂકંપથી થયેલી પાયમાલીને તેઓ સંભાળી શક્યા નહીં. સરકારી નોકરો અને સામાન્ય કક્ષાના બીજેપી સદસ્યોને આડે માર્ગે પૈસા પડાવવાનો ચસકો લાગ્યો. પરિણામે અમદાવાદ, કે જે બીજેપીનો ગઢ ગણાતો હતો, તેની મહાનગરપાલિકાની ચૂટણી, કોંગી જીતી ગયું. ત્યારે બીજેપી મોવડી મંડળની આંખા ઉઘડી. નરેંદ્ર મોદીની ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે  પસંદગી થઈ.

ગુજરાતમાં નરેંદ્ર મોદીની પસંદગી મુખ્યમંત્રી તરીકે થઈ, તેથી ગુજરાતના રાજકારણમાં પલટો આવ્યો. નરેંદ્ર મોદી ગુજરાતનું રાજકારણ કેટલું જાણતા હતા તે સંશોધનનો વિષય છે. પણ નરેંદ્ર મોદી, ભ્રષ્ટ સરકારી અધિકારીઓ ઉપર તવાઈ લાવ્યા અને તેમની રુખસદ કરી. ભૂકંપથી તબાહ થયેલા કચ્છને નવી રોનક આપી. જો કે નરેંદ્ર મોદીને ત્રણ મોરચે લડવાનું હતું. બીજેપીના ભૂતપૂર્વ મુખ્ય મંત્રીઓ નરેંદ્ર મોદીની પાછળ આદુ ખાઈને પડેલા, જેમાં કેશુભાઈ પટેલ મુખ્ય હતા, સ્થાનિક અખબારો નરેંદ્ર મોદીની પાછળ પડેલા, રાષ્ટ્રીય મીડીયાના ખેરખાંઓ નરેંદ્ર મોદીની પાછળ પડેલા, રાષ્ટ્રીયનેતાઓ નરેંદ્ર મોદીની પાછળ પડેલા, અને ૨૦૦૨ના મુસ્લિમ દંગાઓને કારણભૂત બનાવી નરેંદ્ર મોદી ઉપર છાણા થાપવા માંડેલા. નરેંદ્ર મોદીએ આ બધાં સામે જે લડત આપેલી તે દાદ માગીલે એવી હતી. નરેંદ્ર મોદીએ ગુજરાત માટે શું ન કર્યું તે જ એક ન જડે તેવો પ્રશ્ન છે.
જ્યારે બીજા રાજ્યોના ભલભલા નેતાઓ (નેહરુ થી શરુ કરીને વિદ્યમાન નહેરુવીયનો, મમતાઓ, માયાવતીઓ, મુલ્લાયમો, કેજ્રીઓ, , વિધાન સભાની ચૂંટણી જીતવા માટે, સ્થાનિક લોકોને અન્યાય થાય છે, બાહરીઓને ધુત્કારો, જેવા અનેક ઉચ્ચારણો કરી સ્થાનિક લોકોને ભડકાવે છે અને ચૂંટણીઓ જીતે છે પણ ખરા. પણ નરેંદ્ર મોદી તો આનાથી ઉલટું જ બોલતા અને કહેતા કે બહારના લોકોએ પણ ગુજરાતના વિકાસમાં ઘણો ફાળો આપ્યો છે.  ગુજરાતની જનતા તેમની આભારી છે. આની બાર વર્ષે એ અસર પડી કે મોદીને રાષ્ટ્રીય નેતા થવામાં સ્વિકૃતિ મળી. કારણ કે ગુજરાતનો વિકાસ આંખે ઉડીને વળગે એવો હતો.
હવે તમે જુઓ. જેઓ સશક્ત છે અને જ્ઞાતિવાદનો વિરોધ કરે છે તેઓ જ પરોક્ષ રીતે જ્ઞાતિવાદને સુસ્થાપિત કરવા માગે છે. આ બધાની નેતાગીરી કરવા વાળા, પોતાને તેમના ખીસ્સામાં તેમની કોમ્યુનીટીના મત છે એમ માને છે.  તેઓ જ્ઞાતિવાદના પ્રચારક છે અને લાગ આવે ત્યારે પોતાની જ્ઞાતિ માટે આરક્ષણની ઝુંબેશ ચલાવે છે.
વાણિયા પછી માલદાર જ્ઞાતિ પટેલ જ્ઞાતિ આવે છે. એચ પટેલ જેવા ફુટકળ નેતા ફુટી નીકળે છે અને આનંદીબેન પટેલ જેવા તેથી આનંદ પામે છે,
મૌર્ય લોકોએ ભારત ઉપર સૌથી મોટું સામ્રાજ્ય સ્થાપ્યું, તેઓ આરક્ષણ માગે છે,
યાદવોએ ભગવાન પેદા કર્યા, તે ભગવાનના વંશજો આરક્ષણ માગે છે,
રામના વંશજો સૂર્યવંશીઓ પણ યાદવોની જેમ આરક્ષણ માગે છે,
મોગલો પછી મરાઠાઓએ રાજ કર્યું તેઓ પણ આરક્ષણ માગે છે,
સૌ પોતાની જ્ઞાતિને ગરીબ માને છે અને આરક્ષણ માટે આંદોલન ચલાવે છે.
બ્રાહ્મણની વાત આવે એટલે “એક ગરીબ બ્રાહ્મણ હતો …” ત્યાંથી વાતની શરુઆત થાય. તો કેટલાક બ્રાહ્મણોને પણ અનામતનો ચસ્કો લાગે છે અને આવા પથભ્રષ્ટ બ્રાહ્મણો પણ ક્યારેક આરક્ષણની વાતો કરે છે. 
ઉપરોક્ત કેટલીક જ્ઞાતિઓ માટે આરક્ષણ છે પણ ખરું.
વાસ્તવમાં જો કોઈ જ્ઞાતિને આરક્ષણની જરુર હોય તો તમે બાબા સાહેબ આંબેડકરને યાદ કરો. તેમણે ફક્ત “અસ્પૃષ્યો માટે” આરક્ષણની વાત કરેલી.  અને તે પણ ફક્ત ૧૦ વર્ષ માટે. પણ નહેરુને આરક્ષણમાં કોંગ્રેસનું ઉજ્જ્વળ ભાવી દેખાયું અને તેમણે  અન્ય જ્ઞાતિઓના સમાવેશ  માટે ઓ.બી.,    એસ.સી.,    અધર એસ.સી,    બી.સી.,    ઓ.બી.સી.,  … એવા નામની અનેક આરક્ષણ માટે ની  જ્ઞાતિઓ  પેદા કરી. આઓ ભૈલા આવો… તમે આમાં ક્યાં છો,  તે તમે, અમારી ખાસ તમારા માટે બનાવેલી મંડળી પાસે સાબિત કરી દો. હોવ્વે … ધમકી આપવાની પણ છૂટ્ટી છે …. બાપલા … કોના બાપની દિવાળી …
અમે તો માલેતુજાર છીએ અને ચૂંટાવા પાછળ કાયદેસર રીતે વીસ વીસ લાખ જેટલી મોટી રકમ ચૂટણીમાં ખર્ચ કરીએ છીએ અને અમે તેવા સક્ષમ પણ છીએ ,  તે ઉપરાંત ચૂંટાયા પછી, અનેક સવલતો જ નહીં પણ પેંશન પણ લઈએ છીએ અને તે પણ જેટલીવાર ચૂંટાઈ આવીએ તેટલા પેંશન લઈએ છીએ. તો અમને તો શો વાંધો હોય … બાપલા…
બાબા સાહેબ આંબેડકર બિચારા ભોળા ભટાક હતા. તેમને તો એમ કે, આ નહેરુની સરકાર એટલી તો નિપૂણ હશે જ કે તે ૧૦ વર્ષમાં તો અસ્પૃષ્યતા નિવારણ કરીને અસ્પૃષ્ય ભાઈ બહેનોનું આર્થિક સ્તર સામાન્ય મનુષ્યની કક્ષામાં લાવી દેશે.
પણ મારા ભાઈ સાહેબ, આ નહેરુ તો પૂરા તિકડમબાજ નિકળ્યા. અને તેમણે તો અસ્પૃષ્યતા કાઢતા જ્ઞાતિવાદનું ઊંટ પેસાડ્યું. અને દશવર્ષને બદલે અનિયંત્રિત અને સદાકાળ પર્યંત માટે રાખ્યું.
હવે શું કરવું?
… જેવી કોઈ વાત કરે કે આરક્ષણ વિષે પુનર્વિચારની જરુર છે. તો આપણે  લુટ્યેન નેતાઓએ દલિતોને નામે  તેમની ઉપર તૂટી પડવું …  કે …. આ આર.એસ.એસ.વાળા … આ બ્ર્હ્મ રાક્ષસો … આ મનુવાદીઓને … આ આતતાયીઓને … આપણું મેડીકલ, એંજીનીઅરીંગની … શિક્ષણમાંનું આરક્ષણ, સરકારી નોકરીઓમાંનું આરક્ષણ ખૂંચે છે. અને તેઓ તેને દૂર કરવા માગે છે. હે મારા વ્હાલા પ્યારા  દલિત બંધુઓ તમે તેમના થી ચેતો. તેઓ તમને પછાત અને પછાત જ રાખવા માગે છે.
વાસ્તવમાં આ દલિતબંધુ નેતાઓ ભલે પોતે આરક્ષણ દ્વારા ભણી ગણીને ઉચ્ચ પદ પ્રાપ્ત કરીલે પણ તેઓ પોતાને દલિત જ માને છે. અને પોતાના પુત્રો પુત્રીઓ, પ્ર-પૌત્રો પ્રપૌત્રીઓને પણ આરક્ષણનો લાભ આપવા માંગે છે. ભલેને આને લીધે તેમના જ દલિતો બંધુઓ જેમને આરક્ષણની જરુર છે તેઓ આરક્ષણના લાભથી વંચિત રહે. આ ઉચ્ચ સ્તરે પહોંચેલા તથા કથિત દલિતો એવું માને છે કે;
આપણે આવે સમયે આપણી ઉપર થયેલા અત્યાચારોની જ વાતો કરવી અને આ ઉચ્ચવર્ણો આપણને કેવી કેવી રીતે સતાવતા હતા એની વાતો જ કર્યા કરવી પછી ભલેને તે કપોળ કલ્પિત હોય અને સેંકડો વર્ષોની બનાવટી વાતો હોય. અરે આપણે પોતે દલિત ન હોઈએ તો પણ આપણે આવી ક્રુરતાની વાતો કરી ધિક્કાર ફેલાવવો.
મોદીને તો આવી રીતે જ કાઢી શકાશે. 
બાબા સાહેબ જિંદાબાદ … જય બુદ્ધ … જય  સંત રજનીશમલ … જય ધમ્મમ્ … જય સંઘમ્ … જય ભીમ … જય સહદેવ … જય નકુલ … જય એકલવ્ય … જય શંબુક … જય કર્ણ … જય રાવણ … જય હોલિકા … 
(“પણ રાવણ તો બ્રાહ્મણ હતો અને એ તો હરિયાણામાં જન્મ્યો હતો …!
ના ભાઈ ના … અમે એકવાર કહ્યુંને કે તે દલિત હતો …. એટલે સૌએ માની લેવાનું કે એ દલિત હતો.)
આ બ્રાહ્મણ અને ક્ષત્રીયોએ જેમને જેમને માર્યા તે બધા જ દલિતો હતા. બસ વાત પુરી.

(ઈતિ સિદ્ધમ્)

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »