નહેરુવીયન કોંગ્રેસના જૂઠાણાં: ભાગ – ૩
રાજીવ ગાંધી લાવ્યા દૂરસંચાર ક્રાંતિ
આ પણ એક જૂઠાણું છે. આ જૂઠાણું હજીપણ પહેલાં જેટલું જ ચાલે છે “આર્યનઇન્વેઝન થીયેરી” માં કદાચ થોડા પણ સત્યના અંશો હશે અને સમય નક્કી કરવામાં ઇતિહાસકારોએ ગોથાં ખાધાં હશે. પણ “દૂરસંચાર ક્રાંતિના જનક” રાજીવ ગાંધીને માનવા તે એક મોટું જૂઠાણુંn છે.
પહેલાં આપણે એ સમજી લેવું પડે કે દૂરસંચાર પ્રણાલીની પરિસ્થિતિ નહેરુવીયન શાસન પહેલાં, નહેરુવીયન શાસન દરમ્યાન કેવી હતી અને દૂરસંચારના વિકાસ બાબતમાં નહેરુવીયન સરકાર અને દૂરસંચારના કર્મચારીઓ અધિકારીઓનું વલણ કેવું હતું.
અંગ્રેજ સરકારના વખતમાં ટેલીફોન બહુ જૂજ હતા. મુંબઈમાં એક પ્રાઈવેટ કંપની હતી જે અમદાવાદમાં પણ ટેલીફોનની સેવા આપતી હતી. મોટા રાજાઓએ પોતાના પાટનગરમાં ટેલીફોન એક્સચેન્જ રાખેલ. જેમકે ભાવનગર અને વડોદરાને પોતાના ટેલીફોન એક્સચેન્જ હતા. ભાવનગરનું ૩૦૦ કે ૪૦૦ લાઈનનું ઓટોમેટિક ટેલીફોન એક્સચેન્જ હતું. ઓટોમેટિક એટલે સબ્સ્ક્રાઈબર પોતે જ પોતાને જેની સાથે વાત કરવી છે તેનો ફોન નંબર ડાયલ કરે. સામેવાળાને રીંગ જાય. સામેવાળો ફોનનો હેન્ડસેટ ઉઠાવે એટલે ઓટોમેટિક રીંગ બંધ થાય. વાતચીત શરુ થાય અને ટેલીફોન એક્સચેન્જમાં મીટરીંગ ચાલુ થાય.
ઓટોમેટિક એક્સચેન્જ એ વિકસિત પ્રણાલી ગણાતી હતી. ૧૯૬૫ના અંતે ભારતમાં જૂજ શહેરોમાં આ પ્રણાલી હતી. કદાચ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા (?),સૂરત અને ભાવનગર એમ ત્રણ શહેરોમાં જ ઓટોમેટિક એક્સચેન્જ હતાં. બીજા બધા શહેરોમાં માનવ સંચાલિત ટેલીફોન એક્સચેન્જ હતાં.
માનવ સંચાલિત ટેલીફોન એક્સચેન્જ માં સબસ્ક્રાઈબરે જેની સાથે વાત કરવી હોય તે પાર્ટીનો નંબર ટેલીફોન એક્સચેન્જમાંના ઓપરેટરને કહેવો પડતો હતો. એટલે કે જ્યારે સબસ્ક્રાઇબર પોતાના ટેલીફોન ઈન્સ્ટ્રુમેન્ટનો હેન્ડસેટ ઉઠાવે એટલે ટેલીફોન એક્સચેન્જમાંના બોર્ડ ઉપરના એક સોકેટ ની ઉપરનો લેમ્પ ગ્લો થાય. ઓપરેટર તે સોકેટમાં એક પ્લગ નાખે અને “નંબર પ્લીઝ” બોલે.
સબસ્ક્રાઈબર પોતાને જેની સાથે વાત કરવી છે તે પાર્ટીનો ફોન નંબર બોલે. અને ઓપરેટર તે સામેની પાર્ટીના સોકેટમાં પહેલાના પ્લગનો સંલગ્ન છેડાનો બીજો પ્લગ નાખે અને ટોગલ સ્વીચથી તેને રીંગ આપે. સામેની પાર્ટી પોતાનો ફોન ઉઠાવે તેનું ઈન્ડીકેશન ઓપરેટરને મળે. વાત પૂરી થયાનું પણ ઈન્ડીકેશન મળે. એટલે ઓપરેટર બંન્ને કોર્ડના પ્લગ સોકેટોમાંથી ખેંચી લે. આમ વાત પૂરી થાય.
ટૂંકમાં બે ટેલીફોન જોડાણ ધારકોને વાત કરાવવા જો ઓપરેટરની જરુર પડે તો તેને માનવસંચાલિત ટેલીફોન એક્સચેન્જ કહેવાય.
જે તદન પ્રાથમિક કક્ષાનું ટેલીફોન એક્સચેન્જ થયું તે મેગ્નેટો ટાઈપ હતું. જેમાં સબસ્ક્રાઈબરને ઘરે વિદ્યુત કોષ (બેટરી સેલ) અને ટેલીફોનના ડબલા સાથે સંલગ્ન નાનું હેન્ડ જનરેટર રહેતું. સબસ્ક્રાઈબરે (ટેલીફોન જોડાણ ધારકે) હેન્ડજનરેટરનું હેન્ડલ ઘુમાવીને ટેલીફોન એક્સચન્જના ઓપરેટરનું ધ્યાન દોરવું પડતું.
આ માનવ સંચાલિત ટેલીફોન એક્સચેન્જોમાં ત્રણ જનરેશન હતા. મેગ્નેટો, સીબી નોનમલ્ટીપલ અને સીબી મલ્ટીપલ. આને જનરેશન કરતાં વર્સન કહેવું વધુ યોગ્ય રહેશે. ૧૯૪૭માં કદાચ કોઈક જગ્યાએ કે દરિયા કિનારે મેગ્નેટો એક્સચેન્જ હશે. તે સિવાય મોટાભાગના મધ્યમ કક્ષાના ગામોમાં પોસ્ટઓફિસમાં પબ્લિક પીસીઓ રહેતા.
ભાવનગરના મહારાજાના સમયમાં ભાવનગરના મહારાજાએ તેમના રાજ્યના મોટાભાગના ગામોમાં/ગામડામાં પીસીઓ નાખેલ. ગામડાના પીસીઓ કનેક્સનના ત્રાંબાના તાર થાંભલાઓ દ્વારા જતા. એવું કહેવાતું કે મહારાજા સાહેબ પોતે સવારે તેનું ચેકીંગ કરતા હતા. જો વાત ન થાય તો ભાવનગરનો કે સામેના છેડાનો લાઈનમેન નિકળી પડતો. લાઈનમેનને મહાન ગણવામાં આવતો. તેના સ્વગતમાં કમી ન રહે તેનું બધા ધ્યાન રાખતા. ત્રાબાંના તાર ચોરવાની કોઈની હિંમત રહેતી નહીં. ઉપરાંત તે પ્રમાણેની માનસિકતા પણ પ્રજાજનોમાં ન હતી. ભાવનગરનું ૩૦૦ કે ૪૦૦ લાઈનનું ઓટોમેટિક ટેલીફોન એક્સચેન્જ હતું. દરેક ટેલીફોન જોડાણ ધારકને દુકાને/ઘરે જતા બે તાર ભૂગર્ભ કેબલના રહેતા. કોઈ પણ જગ્યાએ હવામાં વાયરો જોવા મળતા નહીં.
૧૯૪૭માં સ્વતંત્રતા મળી. પોસ્ટ એન્ડ ટેલીગ્રાફ (પી એન્ડ ટી)માં ટેલીફોન, તાર અને પોસ્ટઓફીસનું વિલિનીકરણ થયું. તે પછી ટેલીગ્રાફ અને ટેલીફોન નું ધીમે ધીમે બગડાવું ચાલુ થયું. ત્રાંબાના તારો ચોરાવવાનું ચાલુ થયું. પાંચ દશ વર્ષની અંદર ભાવનગરના મહારાજાએ ગામડે ગામડે અગાઉ જે પીસીઓ રાખેલા તે બંધ થઈ ગયા. મોટા ગામડાના જેમ કે તળાજા, ડૂંગર, ગારિયાધર, ઢસા, લીલીયા મોટા, શિહોર કે જે બધા પોસ્ટ ઓફીસમાં હતા તે ચાલુ રહ્યા. રેલ્વે સ્ટેશનોના ટેલીગ્રાફ કનેક્સનો પીએન્ડ ટી અંતર્ગત આવતા હતા તે ચાલુ રહ્યા. “ટેલીગ્રાફ” (તાર ઓફીસ)નું ટેક્નીકલ કામગીરી અને ટેલીફોન એક્સચેન્જ “ટેલીગ્રાફ” અંતર્ગત આવતા. પોસ્ટમાસ્ટર જનરલ એ રાજ્યના હેડ ગણાતા. તેમની નીચે બે ડાયરેક્ટરો રહેતા. એક “ડાયરેક્ટર ઓફ પોસ્ટ” અને બીજા “ડાયરેક્ટર ઓફ ટેલીગ્રાફ”. ડાયરેક્ટર ઓફ પોસ્ટ ની અંડરમાં બધી પોસ્ટ ઓફીસો અને ટેલીગ્રાફ ઓફીસો રહેતી. ડાયરેક્ટર ઓફ ટેલીગ્રાફની અંડરમાં ટેલીગ્રાફનું ટેક્નીકલ વર્ક, વાયર, કેબલ અને ટેલીફોન એક્સચેન્જીસ રહેતા.
એન્જીનીયરીંગ સુપરવાઈઝર (જે હાલ જુનીયર કહેવાય છે) તે ક્લાસ-૩ ની છેલ્લી નોન-ગેઝેટેડ કેડર ગણાતી. તેમની નીચેની કેડર માં ફોન ઈન્સ્પેક્ટર, લાઈન ઈસ્પેક્ટર, લાઈનમેન, વાયરમેન, મીકેનિક, ઓપરેટર, મોનીટર, વર્કમેન, કેજ્યુઅલ વર્કમેન, કેબલ જોઈન્ટર, એન્જીનીયરીંગ સાઈડના ક્લાર્ક અને હેડક્લાર્ક આવતા. એન્જીનીયરીંગ સુપરવાઈઝર (જે હાલ જુનીયર કહેવાય છે)નું પ્રમોશન આસીસ્ટન્ટ એન્જીનીયરની કેડરમાં થતું.
આસિસ્ટન્ટ એન્જીનીયર અને તેની ઉપરની કેડરો વાળા બધા “સાહેબો” કહેવાતા. અને સાહેબગીરી કરતા અને સાહેબગીરી ભોગવતા.
જુનીયર એન્જીનીયરની નીચેનો સ્ટાફ જુનીયર એન્જીનીયરના ડાયરેક્ટ સુપરવીઝનમાં હોવાથી તે જુનીયર એન્જીનીયરને ન છૂટકે સાહેબ કહેતો. જુનીયર એન્જીનીયરને સાહેબગીરી ભોગવવા ન મળતી. કારણ કે ટેક્નીકલ અને સ્ટાફના કંટ્રોલ માટે તેમના ઉપર જવાબદારી ઠોકવામાં આવતી. જો કે જુનીયર એન્જીનીયર અને તેનો સાહેબ એક જ ગામમાં હોવાથી તેમના સાહેબ એટલે કે આસીસ્ટન્ટ એન્જીનીયર જવાબદારી માંથી સાવ જ છટકી જઈ શકતા નહીં. અને જો કોઈ સમસ્યા હોય તો તે આગળ ઉપર લઈ જતા. પણ નાના શહેરોમાં આમ ન હતું. ત્યાં સાહેબો પૂરી સાહેબગીરી કરતા અને ભોગવતા. કારણ કે તેમના હેડક્વાર્ટર અલગ અલગ રહેતા. નાના શહેરોમાં જુનીયર એન્જીનીયર જ ઇન-ચાર્જ ગણાતો અને તેનો સાહેબ સામાન્ય રીતે તેની કોઈ સમસ્યાનો ઉપાય કરતો નહીં. નાના શહેરોમાં જુનીયર એન્જીનીયર પાસે પોતાના હેડક્વાર્ટરના માનવસંચાલિત ટેલીફોન એક્સચેન્જ ઉપરાંત આજુબાજુના ગામના માનવસંચાલિત ટેલીફોન એક્સચેન્જ તથા ગામડાના નાના ૫૦ લાઈનના સ્ટ્રાઉજર ટાઈપ ટેલીફોન એક્સચેન્જ ના ઇન્સ્ટોલેશન અને રખરખાવ (મેન્ટેનન્સ) કરવા પડતા.
૧૯૫૦ના દશકામાં ભાવનગરનું ઓટોમેટિક એક્સચેન્જ આગલાગવાથી બળી ગયેલ. તેને સ્થાને સીબી મલ્ટીપલ એવું માનવ સંચાલિત ટેલીફોન એક્સચેન્જ નાખવામાં આવેલ.
જે વાતો મોટી ઉમરના સ્ટાફ પાસેથી સાંભળવા મળતી તે ઉપરથી લાગે છે કે સ્વતંત્રતા મળ્યા પછી ટેલીફોન તંત્ર ખાડે જવાની શરુઆત થવા માંડી. ટેલીફોન એક્સચેન્જના નેટવર્કમાં દરેક સબસ્ક્રાઈબરના ટેલીફોનના ડબલામાંથી બે વાયર (એટલે કે એક પેર), ટેલીફોન એક્સચેન્જમાં જતા હોય છે. ટેલીફોન એક્સચેન્જમાં દરેક સબસ્ક્રાઈબર દીઠ એક લાઈન સરકીટ હોય છે, ત્યાં આ વાયર જવા જોઇએ.
સબસ્ક્રાઈબરના વાયર ને ટેલીફોન એક્સચેન્જ સુધી પહોંચાડવાના ત્રણ તબક્કા હોય છે.
ટેલીફોનના ડબલામાંથી નિકળતા વાયરનું મકાનમાં થતું વીન્ડો સુધીનું ફીટીંગ.
તે જમાનામાં સબસ્ક્રાઈબરના વીન્ડોથી વાયર, ખુલ્લા લોખંડના થાંભલા દ્વારા લઈ જવાતા હતા. પણ ઠેઠ ટેલીફોન એક્સચેન્જ સુધી આવી રીતે થાંભલા ઉપર કોઈ તાર એકબીજાને અડે નહીં તે રીતે ન લઈ જઈ શકાય એટલે અમુક હદ પછી ડીસ્ટ્રીબ્યુશન બોક્સનો થાંભલો આવે જ્યાંથી તેને અંડરગ્રાઉન્ડ કેબલ સાથે જોડી દેવામાં આવે. આમ દરેક ટેલીફોન એક્સચેન્જને પોતાનું અંડરગ્રાઉન્ડ કેબલનું નેટવર્ક હોય છે.
જુદાજુદા વિસ્તારોમાંથી આવતા કેબલની પેરોને ટેલીફોન નંબરના ક્રમમાં ગોઠવવાના ઉપકરણની વ્યવસ્થા હોય છે. આ ઉપકરણને એમ. ડી. એફ. (મેઈન ડીસ્ટ્રીબ્યુશન ફ્રેમ) કહેવાય છે. અહીંથી બધી પેર ટેલીફોન એક્સચેન્જમાં જાય.
આ પ્રમાણે હાઉસ વાયર ફીટીંગ (પીવીસી ટ્વીન) , ઓવરહેડ (ગેલ્વેનાઈઝ્ડ આયર્ન વાયર) અને અંડરગ્રાઉન્ડ કેબલ એમ ત્રણ તબકામાં સબસ્ક્રાઈબર ના ટેલીફોનના ડબલામાંથી નિકળતી વાયર પેર ટેલીફોન એક્સચેન્જમાં પહોંચે. આને એક્સસ્ટર્નલ નેટવર્ક કહેવાય. આનો જે રખરખાવ કરે તેને એક્સટર્ન સ્ટાફ કહેવાય. ટેલીફોન એક્સચેન્જના ઉપકરણોનો જે રખરખાવ કરે તેને ઈન્ટર્નલ સ્ટાફ કહેવાય.
એક્સ્ટર્નલ વાયર નેટ વર્ક.
આ એક્સ્ટર્નલ નેટ વર્ક સીસ્ટમમાં આપણી નહેરુવીયન કોંગ્રેસ સરકારે કોઈ ખાસ ફેરફાર કરી શકી ન હતી. તેવી કોઈની દાનત હોય તેવું પણ લાગતું ન હતું.
ઈન્ટર્નલ નેટવર્ક
ઈન્ટર્નલ નેટવર્ક એટલે કે ટેલીફોન એક્સચેન્જની સીસ્ટમમાં ફેરફાર કર્યા વગર છૂટકો હોતો નથી. આમ છતાં પણ ૧૯૬૪ સુધી મેટ્રો સીટીને બાદ કરતાં મોટાભાગના ટેલીફોન એક્સચેન્જ મેન્યુઅલ એટલે કે માનવસંચાલિત એટલે કે “નંબર પ્લીઝ” વાળા હતા હતા. જોકે સરાકારનું પ્લાનીંગ હતું કે એક લાખની વસ્તી વાળા શહેરોના ટેલીફોન એક્સચેન્જોને ઓટોમેટીક સીસ્ટમવાળા એમ. એ. એક્સ. – ૧ કરી દેવા. નાના શહેરોમાં એમ. એ. એક્સ. – ૨ ઉભા કરવા અને ગામડાઓમાં એમ એ એક્સ – ૩ ઉભા કરવા. માનવ સંચાલિત એટલે કે “નંબર પ્લીઝ” ઓપરેટરોવાળા એક્સચેન્જ વધુ જગ્યા રોકે અને વાતોડીયા ઓપરેટર ભાઈ બહેનો “નંબર પ્લીઝ” કહેવામાં વધુ વાર કરે. માનવ મન સર્જિત સમસ્યાઓ પણ વધતી જાય. જેમ સબસ્ક્રાઈબરો વધતા જાય તેમ કોલ લાગતા વાર લાગે એ જુદું.
પ્લાનીંગ કરવું અલગ છે અને તેનો અમલ કરવો અલગ છે.
પ્લાનીંગનો અમલ કરવા માટે ટેલીફોન એક્સચેન્જનું ઉત્પાદન વધારવું જોઇએ. પણ બધું સરકાર હસ્તક હતું. એટલે ડીમાન્ડ અને સપ્લાય વચ્ચેનો ગાળો બહુ મોટો હતો. ટેલીફોન એક્સચેન્જના રખરખાવ માટે જે સ્પેરપાર્ટ્સ જોઇએ તેની આપૂર્તિ પણ થતી ન હતી. એટલે કોલ કપાઈ જવાની ફરીયાદો બેસુમાર હતી. તેવી જ રીતે ટેલીફોનના ડબલા (ઈન્સ્ટ્રુમેન્ટ) ના સ્પેરપાર્ટ્સ જેવા કે કોર્ડ, ટ્રાન્સમીટર, હાઉસવાયર, ઓવરહેડ વાયર, અંડરગ્રાઉન્ડ કેબલ, ડીપી બોક્સ, તેના કનેક્ટીંગ મટીરીયલ વિગેરેની બેસુમાર તંગી રહેતી.
માનવ સંચાલિત ટેલીફોન એક્સચેન્જ અને ઓટોમેટિક એક્સચેન્જના ઉત્પાદન જ ઓછા હતાં. હવે તમે વિચાર કરો. બે લાખની વસ્તીવાળા ભાવનગર શહેરને પણ ઓટોમેટિક એક્સચેન્જ માટે જો ૧૯૬૫માં નંબર લાગે તો નાના શહેરોની તો વાત જ શું કરવી.
ઑટોમેટિક એક્સચેન્જની પ્રણાલી
ઑટોમેટિક એક્સચેન્જની જે પ્રણાલી (સીસ્ટમ) ભારતમાં ઉપયોગમાં લેવાતી તે સ્ટેપ-બાઈ-સ્ટેપ (સ્ટ્રાઉજર સીસ્ટમ) પ્રકારની હતી. એટલે કે તમે જેમ આંકડો ડાયલ કરતા જાઓ તેમ તમે કોલને જોડવામાં આગળ વધતા જાઓ.
ધારો કે તમે એવા ગામમાં છો કે ત્યાં એક જ ટેલીફોન એક્સચેન્જ છે. તો આખા ગામમાં ચાર આંકડાના એટલે કે ૨૩૪૫, કે ૩૪૯૬, ૪૯૭૮ એવા નંબર હશે. તમે હેન્ડસેટ ઉઠાવો એટલે તમારી લાઈન સરકીટને ખબર પડે કે તમે ટેલીફોનનો હેન્ડ સેટ ઉઠાવ્યો છે. તે તમારી લાઈનને ફર્સ્ટ ગ્રુપ સીલેક્ટર સુધી લંબાવી દે. અને તે ફર્સ્ટગ્રુપ સીલેક્ટર તમને ડાયલ ટોન આપે. જ્યાં સુધી તમારી લાઈન સરકીટ તમને ફર્સ્ટ ગ્રુપ સીલેક્ટર ઉપલબ્ધ કરાવી ન શકે ત્યાં સુધી તમને ડાયલ ટોન ન મળે.
ધારોકે અહીં સુધી બધું બરાબર ચાલ્યું તો તમને ડયલ ટોન મળ્યો. હવે તમે “૪” ડાયલ કર્યો. તો તે ફર્સ્ટ ગ્રુપ સીલેક્ટર તમને “૪” થી શરુ થતા ટેલીફોન નંબરો વાળા વિભાગમાં લઈ જાય. અને તમને “૪” વાળું સેકન્ડ ગ્રુપ સીલેક્ટર જો ઉપલબ્ધ હોય તો ફાળવે.
ધારો કે તમને “૪” વાળું સેક્ન્ડગ્રુપ સીલેક્ટર મળી ગયું. તમે “૯” ડાયલ કર્યું. તો હવે તમારી લાઈનને ૪૯થી શરુ થતા વિભાગમાં લઈ જશે. અને તમને ફાઈનલ ગ્રુપ સીલેક્ટર ફાળવશે. હવે તમે “૭” ડાયલ કર્યું. તો આ ફાઈનલ ગ્રુપ સીલેક્ટરના વાઈપર કે જેની સાથે તમારી લાઈન જોડાયેલી છે તે વાઈપરસેટ ૭ સ્ટેપ ઉપર જશે. પછી તમે જ્યારે “૮” ડાયલ કરશો એટલે તે આઠ સ્ટેપ આડા એટલે કે રોટરી લેશે. એટલે કે આ વાયપર હવે તમારી લાઈનનું ઈલેક્ટ્રિક કનેક્સન આઠમા સ્ટેપના ટેગની સાથે લગાડેલા નંબર ૪૯૭૮ ની સાથે કનેક્ટ થઈ જશે. આ ફાયનલ સીલેક્ટરની સરકીટ, તમે ડયલ કરેલા નંબરની લાઈન ઉપર રીંગીંગ કરન્ટ મોકલશે. અને તમે ડાયલ કરેલા નંબરવાળી પાર્ટી જ્યારે પોતાના ટેલીફોનનો હેન્ડસેટ ઉઠાવશે ત્યારે સ્પીચ સરકીટને જોડી દેશે અને મીટરીંગ કરશે.
જો ગામમાં એક કરતાં વધુ પણ ૬ કે તેથી ઓછાં ટેલીફોન એક્સચેન્જ હોય તો ગામની નંબરીંગ સ્કીમ પાંચ ડીજીટની થાય. જેમકે “૨”૪૯૭૮. અને ૨,૩,૪,૫,૬ અને ૭ જે તે ટેલીફોન એક્સચેન્જના કોડ બને. જો ગામમાં ટેલીફોન એક્સચેન્જની સંખ્યા ૬ થી વધુ અને ૭૦થી ઓછા હોય તો પહેલા બે આંકડા એક્સચેન્જનો કોડ બને છે. દા.ત. “૨૦”૪૯૭૮. એમાં એક્સચેન્જ કોડ આ પ્રમાણે હોઈ શકે. ૨૦, ૨૧, ….૩૦, ૩૧, ….. ૬૦, ૬૧, … ૭૦, ૭૨, ૭૯.
સ્ટ્રાઉજર એક્સચેન્જ પ્રણાલીની તકલીફોઃ
આ સીસ્ટમની તકલીફ એ છે કે ગામ બધા નાના મોટા હોય. જો સબસ્ક્રાઇબર ટ્રંક ડાયલીંગ માં ઑટોમેટિક ડાયલીંગ દાખલ કરીએ એટલે એક્સચેન્જની જેમ ગામને પણ કોડ આપવા પડે, રાજ્યને કે એરિયાને પણ કોડ આપવા પડે. આ બધા નાના મોટા હોય એટલે એક જ રાજ્યના જુદા જુદા ગામના ટેલીફોનના કુલ ડાયલ કરવા પડતા આંકડાની સંખ્યા અલગ અલગ થાય. એક જ સબસ્ક્રાઈબર માટે જુદી જુદી જગ્યાએ રહેલ સબસ્ક્રાઈબરોએ અલગ અલગ નંબર ડાયલ કરવા પડે. આનાથી ઘણી ગેરસમજુતીઓ થાય અને મુશ્કેલીઓ પણ થાય.
આનાથી પણ મોટી સમસ્યા કોલ નિસ્ફળ બનવાની થાય. આ ઉપરાંત રોંગ નંબર કનેક્સન અને ડબલ કનેક્સનની પણ થાય. આ ઉપરાંત સ્ટ્રાઉજર એક્સચેન્જ નો રખરખાવ બહુ કાળજી માગી લે તેવો હોય છે. કારણ કે આ ઈલેક્ટ્રો મીકેનીકલ પ્રકારની સરકીટો હોય છે. આ પ્રકારની સરકીટોમાં અવારનવાર ક્ષતિઓ ઉત્પન્ન થાય છે. એટલે કોઈપણ એક સ્ટેજ ઉપર ક્ષતિ આવે તો કોલ નિસ્ફળ જાય છે. હવે આપણે એક ટેસ્ટ કેસ લઈએ.
અમદાવાદમાં ૧૯૭૧માં શું થયું?
ઓછા ટેલીફોન એક્સચેન્જ, ઓછા ટેલીફોન ઈન્સ્ટ્રુમેન્ટ, ઓછા લાઈનવાયર અને ઓછા કેબલના ઉત્પાદનને પરિણામે ટેલીફોન કનેક્સન મેળવવા માટે લાંબા લાંબા વેઈટીંગ લીસ્ટ બનતા જતા હતા. આ વાતને તો બાજુ ઉપર જ મુકી દો. પણ જે ટેલીફોન જોડાણો હતા તેને પણ યોગ્ય સેવા મળતી ન હતી.
ધારો કે રાયપુર ગેટ ટેલીફોન એક્સચેન્જ લઈએ. આ ટેલીફોન એક્સચેન્જ એમ. એ. એક્સ. – ૧ ટાઈપ, સ્ટ્રાઉજર પ્રણાલી નું હતું. ૫૦૦૦ લાઈનન કેપેસીટી હતી.
લોકલ એક્સચેન્જ કોલ નો નિસ્ફળતા અંક ૩૨ હતો. એટલે કે તમે જો રાયપુર ગેટ ટેલીફોન એક્સચેન્જ એરિયામાંના જુદાજુદા ૧૦૦ ટેલીફોન ઉપર કોલ કરો તો તમારા ૩૨ કોલ નિસ્ફળ જાય.
લોકલ એક્સચેન્જથી બીજા એક્સચેન્જના કોલનો નિસ્ફળતા અંક ૬૦+ નો હતો. એટલે કે તમે જો રાયપુર ગેટ ટેલીફોન એક્સચેન્જ થી સેન્ટ્રલ એક્સચેન્જ કે એલીસબ્રીજ એક્સચેન્જ એરિયાના જુદા જુદા ૧૦૦ ટેલીફોન નંબરો ઉપર કોલ કરો તો ૬૦થી વધુ કોલ નિસ્ફળ જાય.
એસ ટી ડી કોલ નિસ્ફળતા અંક ૯૦+ હતો. તે વખતે અમદાવાદ દિલ્લી, અને અમદાવાદ વડોદરા વચ્ચે જ સબ્સ્ક્રાઈબર ટ્રંક ડાયલીંગ સુવિધા હતી. એટલે કે તમે જો ૧૦૦ વખત ડાયલ કરો તો માંડ ૧૦ કોલ સફળ બને.
જો તમે કોલ કરવા માટે હેન્ડસેટ ઉઠાવો તો તમને તૂર્ત ડાયલ ટોન સાંભળવા ન મળે. તમારે ૧૫ સેકંડથી બે મીનીટ કે તેથી પણ વધુ સમય માટે હેન્ડસેટ પકડીને બેઠા રહેવું પડે.
જ્યારે કોઈપણ સંસ્થા બીનકાર્યક્ષમ બને ત્યારે તેમાં ઘણા પરિબળો ભાગ ભજવતા હોય છે. જો ટેલીફોન વિભાગની વાત કરીએ અને તે વખતના અમદાવાદની સ્થિતિની વાત કરીએ તો લાઈન સ્ટાફ, કેબલ સ્ટાફ, સુપરવારઝરી સ્ટાફ, ક્લેરીકલ સ્ટાફ, એકાઉન્ટ વિભાગનો અધિકારી વર્ગ, એન્જીનીઅરીંગ સાઈડનો અધિકારી વર્ગ, અને આ સૌનો ઉચ્ચ અધિકારી. આ પ્રમાણે વ્યવસ્થા હતી.
અમદાવાદની ટેલીફોન સેવાની જે સ્થિતિ હતી લગભગ તેવી જ સ્થિતિ દેશમાં બીજા શહેરોની અને ગામોની સ્થિતિ હતી.
ચાર મેટ્રો શહેરો પછી અમદાવાદનો નંબર લાગતો હતો.
મનુભાઈ શાહે ગુજરાતમાં ઔદ્યોગિક વસાહતો ઉભી કરેલી અને અમદાવાદમાં વિકાસ બહુ ઝડપી હતો. ટેલીફોનની માગ પણ હતી અને સેવા પણ ખરાબ હતી. તે વખતના અમદાવાદના હેડ, ટેલીફોન ડીસ્ટ્રીક્ટ મેનેજર કહેવાતા હતા. ટેલીફોન ડીસ્ટ્રીક્ટ મેનેજર “ડાયરેક્ટર”ને સમકક્ષ હતા. અને તેઓ સીધા ડયરેક્ટર જનરલ ટેલીગ્રાફને રીપોર્ટ કરતા હતા. એટલે કે અમદાવાદ અપગ્રેડ થવાથી ૧૯૭૦માં “ડીવીઝન”માંથી “સર્કલ” થયું હતું. ગુજરાતનો બાકીનો બધો વિસ્તાર ગુજરાત સર્કલ એટલે કે પોસ્ટ માસ્ટર જનરલની અંડરમાં આવતો હતો.
તે વખતે મુખ્ય ચાર ટેલીફોન એક્સચેન્જો હતા. સેન્ટ્રલ એક્સચેન્જ, રાયપુર ગેટ એક્સચેન્જ, કેન્ટોનમેન્ટ એક્સચેન્જ અને એલીસબ્રીજ એક્સચેન્જ. સચીવાલય એક્સચેન્જ, એમ. એ. એક્સ. – ૨ ટાઈપ હતું. અમદાવાદના આ એક એક્સચેન્જને બીજા એક્સચેન્જ સાથે જોડનાર ટેન્ડમ એક્સચેન્જ હતું. ભદ્રમાં એક એસ.ટી.ડી એક હતું જે અમદાવાદને વડોદરા અને દિલ્લી સાથે જોડતું હતું. ભદ્રના કંપાઉન્ડમાં એક માનવસંચાલિત ટ્રંક એક્સચેન્જ હતું જ્યાં બહારગામ કોલ કરવા માટે ટ્રંક કોલ બુક કરવામાં આવતા કોલ લગાવી દેવામાં આવતા હતા. વટવા, નરોડા, ઓઢવ ટેલીફોન એક્સચેન્જ એમ એ એક્સ – ૨ ટાઈપ બનવાના હતા અને તેનો સામાન આવી રહ્યો હતો.
અમદાવાદની ટેલીફોન ખાતાની ફરિયાદ કેન્દ્રની ઓફીસ સુધી પહોંચી. ટેલીફોન ડીસ્ટ્રીક્ટ મેનેજર અમદાવાદનો રીપોર્ટ માગવામાં આવ્યો. તેઓશ્રી બધા ટેલીફોન એક્સચેન્જોમાં ગયા.
એક્સટર્નલ એન્જીનીયરે કહ્યું કે બધો વાંક ઈન્ટર્નલ સ્ટાફનો છે. અમે તો બધું બરાબર જ રાખીએ છીએ. તે વખતે અમદાવાદમાં ડીવીઝન એન્જીનીયર (એક્સટર્નલ અને ઈન્ટર્નલ) એક હતા. આસીસ્ટન્ટ એન્જીનીયર (ઈન્ટર્નલ) ત્રણ હતા અને એન્જીનીયરીંગ સુપરવાઈઝર (ઈન્ટર્નલ) (જે હાલ જુનીયર કહેવાય છે.) તે દશ કે અગીયાર હશે.
આ વખતે ડાયરેક્ટર જનરલ પોસ્ટ એન્ડ ટેલીગ્રાફની દિલ્લીની કોલ ટેસ્ટીંગની ટીમ અમદાવાદ આવી હતી. અને કદાચ કોલ ટેસ્ટીંગ ચાલુ હતું કે પુરું થવાની અણી પર હતું. અને ફેલ્યોર કોલના ફીગર મેં ઉપર જણાવ્યા છે તે હતા. ઓળઘોળ કરીને ટેલીફોન ડીસ્ટ્રીક્ટ મેનેજરે કહ્યું કે મારો એન્જીનીયરીંગ સ્ટાફ એટલો કાબેલ નથી. એટલે મને થોડા સમય માટે કાબેલ જુનીયર એન્જીનીયરો આપો. મહારાષ્ટ્ર કર્નાટકના ત્રણ ચાર કાબેલ ગણાતા જુનીયર એન્જીનીયરો ડૅપુટેશન ઉપર અમદાવાદ આવ્યા. તેઓ એક બે મહિના રહ્યા. પણ કશો ફેર ન પડ્યો. એટલે ડાયરેક્ટર જનરલ ટેલીગ્રાફે ટેલીકોમ ડીસ્ટ્રીક્ટ મેનેજરની જ બદલી કરી દીધી. નવા ટીડીએમ (ટેલીફોન ડીસ્ટ્રીક્ટ મેનેજર) ટી એચ ચૌધરીને આમદાવાદ મુકવામાં આવ્યા. તેઓશ્રી કદાચ મુંબઈમાં ડીવીઝનલ એન્જીનીયર કેબલ્સ હતા.
આ ટી એચ ચૌધરીના મેનેજમેન્ટ સ્કીલ વિષે લખવું હોય તો કમસે કમ એક પુસ્તિકા લખી શકાય.
ટી એચ ચૌધરી સાહેબગીરી કરવામાં માનતા ન હતા. એટલે તેમણે બીજા સાહેબોને સાહેબગીરી કરતા બંધ કર્યા. તેઓ બધી જ કેડરોને મળ્યા. તેમની સમસ્યાઓ જાણી. તેમણે એ પણ જોયું કે જુનીયર એન્જીનીયરની કેડર ટેલીફોન સેવામાં કરોડ રજ્જુ સમાન છે. તેમણે આસીસ્ટન્ટ એન્જીનીયરો ને સૂચના આપી દીધી કે જુનીયર એન્જીનીયરોની બધી સમસ્યાઓનું નિવારણ લાવી દેવું. એકાઉન્ટ વિભાગમાં પણ કહી દીધું કે “ફંડ નથી” કે “પ્રોવીઝન નથી” કે “ફલાણું સર્ટીફીકેટ લાવો” એવી કોઈ વાત કરવી નહીં અને બીલ પાછું મોકલવું નહીં. પહેલાં બીલ કે ડિમાન્ડ પાસ કરી દેવી અને પછી જે કંઈ સર્ટીફીકેટ કે સહી જોઇતી હોય તે તમારા ક્લાર્કને ઓફીસર પાસે મોકલી લઈ લેવી. જો તમને સંતોષ થતો ન હોય તો મારી સાથે સીધી વાત કરી લેવી.
આ પ્રકારના ટેલીફોન ડીસ્ટ્રીક્ટ મેનેજરના ઓર્ડરથી ચમત્કાર થયો.
અમુક ઇલેક્ટ્રો મેગ્નેટિક સ્પેર પાર્ટસ, જે ગવર્નમેન્ટની ફેક્ટરી અને સ્ટોરમાંથી આવતા ન હતા તે બધા અમદાવાદના કારીગરો પાસેથી બનાવડાવવાની છૂટ આપી દીધી. મીકેનિકોને તેમના કામ પ્રમાણે ઓવર ટાઈમ આપવા માંડ્યા. જુનીયર એન્જીનીયરોની માગણી પ્રમાણે કેજ્યુઅલ વર્કમેન વધારી દીધા. કેજ્યુઅલ ટેસ્ટરની એક નવી પોસ્ટ ઉભી કરી. જે બીએસસી કે ડીપ્લોમા હોલ્ડર હોય તેને યોગ્ય ગણ્યા અને તેમને જુનીયર એન્જીનીયરોની સાથે મદદમાં રાખ્યા. તેઓનું કામ જુનીયર એન્જીનીયરની સૂચના પ્રમાણે જુદાજુદા ઉપકરણો બરાબર કામ કરે છે કે નહીં તેનું પેટ્રોલીંગનું કામ સોંપ્યુ. કોલ ઓબ્ઝર્વેશનું કામ પણ સોંપ્યું. જો કે એક વાત સમજી લેવી જોઇએ કે આ બધાં સજેશનો જુનીયર એન્જીનીયરોની તરફથી જ આવતા હતા. આ ટેલીફોન ડીસ્ટૄક્ટ મેનેજર નિર્ણય લઈ શકતા હતા અને જવાબદારી લઈ શકતા હતા. રાયપુર ગેટ એક્સચેન્જ લોકલ કોલ માટે ૩૨ કોલ નિસ્ફળતાના અંકમાંથી શૂન્ય કોલ નિસ્ફળતા ઉપર આવી ગયું. એક એક્સચેન્જથી બીજા એક્સચેન્જ ના કોલ-નિસ્ફળતાનો અંક પણ ૬૦+ માંથી પાંચ ઉપર આવી ગયો. દિલ્લીના કોલ તપાસવા અઘરા હતા. કારણ કે ત્યાંનો સ્ટાફ આપણું કહ્યું ન માને અને કોલને ટ્રેસ ન કરે કે તે કઈ જગ્યાએ નિસ્ફળ ગયો છે. તેથી એસટીડી કોલને અમદાવાદના એસટીડી એક્સચેન્જના છેલ્લા ટેસ્ટપોઇન્ટ ઉપર પહોંચ્યો છે કે નહીં તેટલું જ ચેક કરવાનું રાખ્યું. અને એ પ્રમાણે તેને સફળ કે નિસ્ફળ ગણવો એમ નક્કી થયું. આ પછી દિલ્લીની ડાયરેક્ટર જનરલની કોલ ઓબ્ઝરવેશન ટીમને બોલાવવામાં આવી અને તેનો પણ એવો જ રીપોર્ટ આવ્યો.
અમદાવાદને શ્રેષ્ઠ ટેલીફોન ડીસ્ટ્રીક્ટનો એવૉર્ડ મળ્યો અને રાયપૂર ગેટ એક્સચેન્જ અમદાવાદનું ફ્લેગ હોલ્ડીંગ એક્સચેન્જ ગણાયું.
આ ટી એચ ચૌધરી બધાજ વિભાગોમાં ક્રાંતિ લાવ્યા. પ્લાનીંગ, કેબલીંગ, હાઉસવાયરીંગ, મકાનો ભાડે રાખવા, ભવિષ્યની જરુરીયાતો માટે જમીન પ્લોટોની પ્રાપ્તિ, નવા એક્સચેન્જો માટે દિલ્લી સરકારનું એલોટમેન્ટ, જુનીયર એન્જીનીયરોની ટેક્નીકલ ટ્રેનીંગ માટે ટ્રેનીંગ સેન્ટર, પબ્લિક રીલેશન, સ્ટાફ રીલેશન, આનંદ પ્રમોદ, એક્ટ્રા કેરીક્યુલર એક્ટીવીટી, વિગેરે અનેક ક્ષેત્રોમાં સફળતાઓ જોવા મળી. તેમના ત્રણ ચાર વર્ષના રોકાણ દરમ્યાન અમદાવાદ માઈનોર ટેલીફોન ડીસ્ટ્રીક્ટમાંથી મેજર ટેલીફોન ડીસ્ટ્રીક્ટ બની ગયું. તે મદ્રાસને પાર કરી જવાની સ્થિતિમાં આવી ગયું હતું.
ટી એચ ચૌધરી આ બધું કેવી રીતે કરી શક્યા?
પહેલું કારણ તો તેઓ પોતે જ હતા. બીજું કારણ હેમવતી નંદન બહુગુણા જેઓ તે વખતના સંચાર મંત્રી હતા. આપણે પ્રતિભા પાટિલને એવું કહેતાં સાંભળ્યા છે કે “હું કંઈ જુનો કચરો સાફ કરવા આવી નથી”. આ હેમવતી નંદન બહુગુણા અલગ હતા. તેઓ કહેતા કે જુનો કચરો રહેવો જ ન જોઇએ. જે દશ બાર વર્ષ જુના કેસો હતા તેનો તે અભ્યાસ કરતા અને તેનો નિકાલ લાવી દેતા. તેમણે એક “એડ્વાન્સ લેવલ ટેલીકોમ ટ્રેનીંગ સેન્ટર”નો પ્રોજેક્ટ બનાવેલ. જે ૧૯૭૮માં પૂરો થયેલ. અહીં સાઉથએશીયાના બીજા દેશોના સ્ટુડન્ટ પણ ભણવા આવતા.
આ હેમવતીનંદન બહુગુણાથી એક ભૂલ થઈ ગઈ. તેઓની ખ્યાતિ વધવા માંડી. ઈંદિરા ગાંધીને તેમનામાં પોતાના પ્રતિસ્પર્ધી દેખાયા. અને તેમને રાજીનામું આપવું પડ્યું. કદાચ તેમને પક્ષમાંથી પણ ફારેગ કરેલ. જો કે તેમનો સુપુત્ર કે સુપુત્રી આજે નહેરુવીયન કોંગ્રેસને શોભાવી રહ્યા છે. એમ તો ચરણ સીંગ અને જગ્ગુદાદાના પુત્ર પણ નહેરુવીયન કોંગ્રેસને શોભાવી રહ્યા છે.
પણ વાત અહીં પૂરી થતી નથી.
૧૯૬૫ સુધી ભારતમાં એમજ માનવામાં આવતું હતું ક્રોસબાર એક્સચેન્જ તો નાના નાના એક્સચેન્જો માટે અનુકુળ છે.અમદાવાદમાં જેમ બીઆરટીએસ બરાબર ચાલે છે અને સક્સેસફુલ ગઈ તેમ મનાય છે. પણ તે બીજે બધે ફેઈલ ગયા છે એમ ભારતમાં સ્ટ્રાઉજર ટાઈપ એક્સચેન્જ ફેલ ગયાં. ૧૯૭૨ સુધીમાં ખ્યાલ આવી ગયો કે સ્ટ્રાઉજર એક્સચેન્જને છોડ્યા વગર છૂટકો નથી. એટલે હેમવતી નંદન બહુગુણાએ સમસ્યાના ઉકેલ માટે સરીન કમિટી બેસાડી.
આપણે જોયું કે સ્ટ્રાઉજર એક્સચેન્જો, સબ્સ્ક્રાઈબર ટ્રંક ડાયલીંગ (એસટીડી) માટે તેમજ ઈન્ટર્નેશનલ ટ્રંક ડાયલીંગ (આઈ એસ ડી) માટે અનુકુળ નથી.
ક્રોસબાર એક્સચેન્જ આ માટે ચાલે. હવે નાના એક્સચેન્જો એમ એ એક્સ – ૩ તો આપણે બનાવીએ જ છીએ. પણ જ્યારે બીજા દેશો ક્રોસબાર સ્ક્રેપ કરી ઈલેટ્રોનિક એક્સચેન્જ તરફ જઈ રહ્યા હતા ત્યારે આપણે ૧૯૭૩માં નવું જે કંઈ પણ કરીએ તે ક્રોસબાર કરવું એવું નક્કી કર્યું. આ સરકારી કમીટીએ સરકારી રાહે કામ કર્યું. બધા હેડ ઓફ સર્કલના અભિપ્રાય માગ્યા. આપણા ચૌધરી સાહેબે સ્ટાફની જનરલ મીટીંગ બોલાવી અને અભિપ્રાય માગ્યા. હવે એક વસ્તુ સમજવા જેવી છે કે આપણા સરકારી નોકરો પોતાના ચીલાચાલુ કામથી આગળનું વધુ વિચારી શકતા નથી. એટલે કેટલાકે સ્ટ્રાઉજર ની ભલામણ કરી તો કેટલાકે ક્રોસબારની ભલામણ કરી.
૧૦૦૦૦ લાઈનના સ્ટ્રાઉજર અને ક્રોસબાર એક્સચેન્જના ઇન્સ્ટોલેશને પૂરું થતાં અનુક્રમે ૧૮ માસ અને બે વર્ષ લાગે. બંનેમાં છતની ઉંચાઈ ૧૪ ફુટથી વધુ જોઇએ. સ્વીચરુમના હોલ પણ મોટા જોઇએ. પાવર સપ્લાય અને બેટરી પણ (૧૫૦૦૦ એમ્પીયર અવર) જેટલો જોઇએ.
ક્રોસબાર એક્સચેન્જ સીસ્ટમ શું છે?
ક્રોસબાર સીસ્ટમ સંપૂર્ણરીતે ઈલેક્ટ્રોમેગ્નેટિક સીસ્ટમ છે. અહીં કોઈ મીકેનિકલ સીલેક્ટરો હોતા નથી. ક્રોસબારમાં કોમન કન્ટ્રોલ હોય છે. સબસ્ક્રાઈબર ડાયલ કરે તે પહેલાં બધું સંગ્રહ થઈ જાય. પછી સામેની પાર્ટીને શોધીને તેને અને ડાયલીંગ પાર્ટીને કનેક્સન રેકમાં કનેક્ટર માર્ક કરી કનેક્ટસ કરવામાં આવે.
ક્રોસબાર સિવાય ઉદ્ધાર નથી આ માન્યતા ૧૯૭૭ સુધી ચાલુ રહી. કોઈને ઈલેક્ટ્રોનિક એક્સચેન્જનો વિચાર પણ આવ્યો હોય તેવું લાગતું નથી. તેનું પણ એક કારણ હતું. દિલ્લીમાં ટેલીકોમ રીસર્ચ સેન્ટર (ટીઆરસી) છે. તેણે કેનોટ પ્લેસ પાસે એક ૩૦૦ લાઈનનું ઈલેક્ટ્રોનિક એક્સચેન્જ બનાવેલ. આ એક્સચેન્જ એવું કે તે ગમેત્યારે બંધ પડી જાય. તેને ફરીથી ચાલુ કરવામાં વાર લાગે. એટલે તેની પાસે જ એક ૩૦૦ લાઈનનું એમ એ એક્સ – ૨ બનાવવામાં આવેલ. સબસ્ક્રાઈબર ની લાઈનો ટર્મીનેટ કરવા માટે “મેઈન ડીસ્ટૄબ્યુશન ફ્રેમ” કોમન રાખવામાં આવેલ. દરેક સબસ્ક્રાઈબર લાઈન માટે એક ચેન્જઓવર સ્વીચ રાખવામાં આવેલ. જેવું ઈલેક્ટ્રોનિક એક્સચેન્જ બંધ પડે કે તરત જ બધો સ્ટાફ એક પછી એક બધી લાઈનોને ચેન્જઓવર સ્વીચો દ્વારા એમ એ એક્સ – ૨ સાથે કનેક્ટ કરી દે. આવી હતી આપણા ઈલેક્ટોનિક એક્સચેન્જની દશા.
ઈન્ડીયન ટેલીફોન ઈન્ડસ્ટ્રીઝ બેંગલોરનું પેન્ટાકોન્ટા બનાવતું હતું. પણ તે પૂરતું ન હતું. બેલ્જીયમ અને જાપાનને પણ ક્રોસબારના ઓર્ડર આપવામાં આવેલ જેનો સામાન ૧૯૮૨ સુધી આવતો રહ્યો.
૧૯૭૭માં નહેરુવીયન કોંગ્રેસ ઇન્દિરાઈ કટોકટીને કારણે હારી.
જોર્જ ફર્નાડીસ કોમ્યુનીકેશન મીનીસ્ટર થયા. મોરારજી દેસાઈ ગાંધીવાદી હતા. પણ ગાંધીજીની માન્યતા એવી હતી કે જે વસ્તુ આપણે ન બનાવી શકીએ તેની આયાત કરવામાં વાંધો નહીં. સમાજવાદને નામે વિકાસ અટકાવી ન શકાય. જોર્જ ફર્નાડીસે ઈલેક્ટ્રોનિક એક્સચેન્જ તે પણ ડીજીટલ એક્સચેન્જના ટેક્નોલોજી ટ્રાન્સ્ફર સહિતનું ગ્લોબલ ટેન્ડરનો મુસદ્દો તૈયાર કરાવ્યો. આ એક નવું અને અઘરું કામ હતું. વિકસિત દેશો પણ વિકાસશીલ દેશોને છેતરવામાં પાવરધા હોય છે. ટેન્ડર ડોક્યુમેન્ટનો ટેક્નીકલ પાર્ટ, વૉરંટી ની શરતો અને ટેક્નોલોજી ટ્રાન્સફરની શરતો ઘડવામાં ઘણું ધ્યાન અને કાળજી રાખવી પડે છે. નહેરુવીયન કોંગ્રેસની સરકાર તો હાઈવે બનાવવાના ટેન્ડર બનાવવામાં, ફ્લોટ કરવામાં અને ઈવેલ્યુએશન કરવામાં પાંચ વર્ષ કાઢી નાખે છે.
૧૮માસમાં જનતા પાર્ટીની સરકાર પડી ગઈ. પણ ઈલેક્ટ્રોનિક એક્સચેન્જના ટેન્ડર ફ્લોટ થઈ ગયા હતા. ઈન્દિરા ગાંધીની ગવર્નમેન્ટ પાછી આવી ગઈ. પરોઠના પગલાં ભરાય તેમ ન હતું. સમાજવાદી કહેવાતી તે સમયની ફ્રાંસની અલ્કાટેલ કંપનીનું ટેક્નોલોજી ટ્રાન્સ્ફર સાથેનું “ડીજીટલ ઈલેક્ટ્રોનિક વર્સન ઈ૧૦બી” ટાઈપ ટેલીફોન એક્સચેન્જ સીસ્ટમ માટેનું ટેન્ડર પાસ થયું.
આમ ૧૯૮૨માં ભારતીય એન્જીનીયરોને ઇન્સ્ટોલેશન, મેન્ટેનન્સ ની ટ્રેનીંગ આપવી, ઈન્ડીયન ટેલીફોન ઈન્ડસ્ટ્રીઝના એન્જીનીયરોને પ્રોડક્સન કાર્ડ રીપેરની ટ્રેનીંગ આપવી, ૬૦ હજાર લાઈનના એક્સચેન્જો સપ્લાય કરવા, સૌ પ્રથમ ઈ૧૦બી એક્સચેન્જ વર્લીમાં ફ્રેન્ચ એન્જીનીયરોએ ઈન્સ્ટોલ કરવું જેનું સ્વિકારનું ટેસ્ટીંગ ભારતીય ટીમ કરશે.
ફ્રેન્ચ એન્જીનીયરોનો સ્ટાન્ડર્ડ ઇન્સ્ટોલેશન પૂરું કરવાનો ટાઇમ ૧૧ માસ નો હતો. પણ પહેલું એક્સચેન્જનું ઇન્સ્ટોલેશન પૂરું કરવામાં તેમણે ૧૮ માસ લીધા. એ પછી ભારતીય એન્જીનીયરો આ કામ ૧૦માસમા પૂરું કરવા લાગ્યા. આમ રાજીવ ગાંધીનો રાજ્યાભિષેક ઝૈલસીઘે કર્યો ત્યારે મુંબઈ કફ પરેડમાં ૩૦૦૦ લાઈનનું સેટેલાઈટ ડીજીટલ એક્સચેન્જ, વર્લીમાં ૧૦૦૦૦ લાઈનનું ડીજીટલ ટેલીફોન એક્સચેન્જનું ટેસ્ટીંગ ચાલતું હતું, મુંબઈ અંધેરીમાં, અને અમદાવાદ રેલ્વેપુરામાં ૧૦૦૦૦ લાઈનના ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ ભારતીય એન્જીનીયરો બનાવી રહ્યા હતા.
આ ઉપરાંત ઘાટ કોપર, કુપરેજ, મરોલ ના દશ દશ હજાર લાઈનના ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ પાઈપ લાઈનમાં હતા.
આ પ્રમાણે ટેલીકોમ ક્રાંતિનો પાયો ૧૯૭૭-૭૯માં નંખાઈ ગયો હતો. એટલે એમ કહેવું કે ટેલીકોમ ક્રાંતિ રાજીવ ગાંધી લાવ્યા એ એક જુઠાણું છે.
હા એક વાત ખરી કે રાજીવ ગાંધીના મિત્ર સેમ પીટ્રોડાએ સી-ડોટ નામના ૨૫૬, ૫૧૨ ના મોડ્યુલવાળા નાના એક્સચેન્જ બનાવેલ. પણ તે મોટા શહેરો માટે કામ લાગે તેમ ન હતા. એ બધી કથા જુદી છે.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ રાજીવ ગાંધી, ટેલીકોમ ક્રાંતિ, દૂરસંચાર, ડાયરેક્ટર, ટેલીફોન ડીસ્ટ્રીક્ટ મેનેજર, રાયપુરગેટ એક્સચેન્જ, ડીવીઝનલ એન્જીનીયર, આસીસ્ટન્ટ એન્જીનીયર, જુનીયર એન્જીનીયર, એક્સટર્નલ, ઈન્ટર્નલ, એકાઉન્ટ, ક્લાર્ક, જોર્જ ફર્નાન્ડીસ, મોરારજી દેસાઈ, ગાંધીવાદી, ટ્રેનીંગ સેન્ટર, અમદાવાદ, ભાવનગર, વડોદરા, મુંબઈ, એસટીડી, આઈએસડી, સ્ટ્રાઉજર, એમ એ એક્સ, ડાયલ ટોન, સીલેક્ટર, ક્રોસબાર, ઈલેક્ટ્રોનિક્સ, ઓબ્ઝર્વેશન, ટેક્નોલોજી ટ્રાન્સ્ફર