ગુજરાતનો વિકાસ તો નરેન્દ્ર મોદી કરી જ રહ્યા હતા. અને સાથે સાથે ૬ કરોડ ગુજરાતીઓનો ખ્યાલ પણ રાખતા હતા તો પણ કેટલાક વિઘ્નસંતોષીઓ અને યેને કેન પ્રકારેણ સત્તા અને અથવા પૈસા હાંસલ કરવાની બદદાનત વાળા રાજકીય અને સમાચાર માધ્યમોના ખેરખાંઓ નરેન્દ્ર મોદીનો ટાંટીયો પકડી હેઠા કેમ પાડવા તેવા દાવપેચમાં વ્યસ્ત રહેતા હતા. નરેન્દ્ર મોદી વ્યક્તિવિકાસની બાબતમાં પણ કોઈ ભેદભાવ રાખતા નથી. અને એટલેજ તેઓ ફક્ત દલિત, આદિવાસી કે વનવિસ્તારોમાં જ નહીં પણ મુસ્લિમ બહુમતી વાળા વિસ્તારોમાં પણ નહેરુવીયન કોંગ્રેસી મતોમાં ફાચરો મારતા હતા. એટલે નહેરુવીયન કોંગ્રેસના કેન્દ્રસ્થ નેતાઓએ તો ગુજરાતમાટે નાહી જ નાખેલું પણ ગુજરાતનો ચેપ બીજે ન ફેલાય એટલે નહેરુવીયન કોંગ્રેસના ગુજ્જુ નેતાઓને કહી રાખેલું કે જો તમે જીવતા છો એમ ગુજરાતની જનતાને જણાવ્યા કરવું હોય તો રોજમરોજ કંઈકને કંઈ મુદ્દો ઉઠાવી નરેન્દ્ર મોદીને ગાલી પ્રદાન કર્યા કરવું. પૈસાની ચિંતા ન કરવી. મેડમ અને સાથીઓએ ઠીક ઠીક દલ્લો ભેગો કર્યો છે તેથી અખબારોના તંત્રીઓ અને તેમના છઠ્ઠી કતારીયા કટાર મૂર્ધન્યો મોં ફાડે તો અમે બેઠા છીએ અને તેમનું મોંઢું એટલું બધું પૈસાથી ભરી દઈશું કે કે તેમને સેડા નિકળી જશે. અને તમારા નિવેદનોને જનતા જોકે લવારી સમજશે પણ તમારે તેની ચિંતા ન કરવી. કારણ કે તમારા વર્નાક્યુલર અખબાર પત્રોના વલણો અમને ગુજરાતની બહાર જીવતા રાખશે. અને અમે રાષ્ટ્રીય આંગ્લભાષી અખબારો અને દ્રષ્યશ્રાવ્ય સમાચાર માધ્યમોના મોઢાંઓમાં હોમતા રહી શું એટલે કમસે કમ ગુજરાતની બહાર નરેન્દ્ર મોદી તરફનો લવેરીયા ફેલાશે નહીં. બાકીનું તો અમે ફોડી લઈશું.
હવે થયું એવું કે નહેરુવંશીય નેતાઓ અને તેમના સાથીઓ ઉપર રામ તો ખફા હતા જ. અને ઈશ્વર પણ રુઠ્યા કે અમેરિકન સરકારે મોદીકાકાના વખાણ કર્યા. અગાઉ તો અમેરિકન સરકારે તાનમાં ને તાનમાં ભારત સરકારે મોદીના વિસા માટેની અરજીને નકારેલી પણ હવે જે થૂંક્યું હોય તે હવે ગળવું કેવી રીતે એ માટે અમેરિકાને શિખવવું પડતું નથી. તે જે હોય તે પણ તેમને મોદીકાકાના વખાણ કર્યા શિવાય છૂટકો ન હતો. ધંધો પણ એક ચીજ છે. અને જો પૈસા ખવડાવ્યા વગર ગુજરાતમાં ધંધો કરી શકાતો હોય તો તેથી રુડું શું? એમાં વળી સૂપ્રીમ કૉર્ટ માઈબાપે મોદીની ઉપર એફાઅઈઆર અને કેસ ચલાવવા બાબતમાં પોતે હસ્તક્ષેપ નહીં કરે એવું કહ્યું એટલે નહેરુવીયન કોંગ્રેસને મોદી કાયદેસર કોમવાદી છે એવો જે ફુગ્ગો ઉડાવેલો તે ફૂટીને ભોંયભેગો પડ્યો એટલે આ નહેરુવીયન કોંગ્રેસ પક્ષના નેતાઓ અને તેમના ભાગીદારો હતઃપ્રભઃ થઈ ગયા.
મોદી કાકાને થયું કે ચાલો આ એક સુયોગ્ય સમય છે કે હું મારા બાકી રહેલા મુસ્લિમભાઇઓને પણ સામાન્ય પ્રવાહમાં સામેલ કરું. નરેન્દ્ર મોદીએ સદભાવના અને ભાઈચારાના સંદેશ સાથે ત્રણ દિવસના ઉપવાસ જાહેર કર્યા.
આપણા નહેરુવીયન કોંગ્રેસનેતાઓ રામદેવ – અન્ના થી પીડિત હતા. અને તેમાં આ મોદીના ઉપવાસના સમાચાર મળ્યા. એટલે તેમને એક વિષય મળ્યો. ચાલો આ સમાચાર માધ્યમો કે જે આપણા ભ્રષ્ટાચારની વાતોની ચૂંથામણ કરે છે તેમાંથી આપણને રાહત આપશે. આપણે પણ આ અંગ્રેજી અને સ્થાનિક દેશી સમાચાર માધ્યમોની સાથે આપણા મનગમતા “મોદી-ભાંડણ લીલા” ના વિષય તરફ નિશ્ચિંત અને બેફામ બની શકીશું. વળી આ સમાચાર માધ્યમો તો તેમના મનગમતા આ સેક્યુલર વિષય ઉપર આપણી સાથે જ છે એટલે ઠીક ઠીક વાછૂટ કરી શકીશું.
આવું થાય અને આપણા ગુજ્જુ અખબારોના અમુક મૂર્ધન્યો પણ શેના ઝાલ્યા રહે. એમાં વળી મોદીકાકાએ પ્રગતિની વાતમાં આમતો ગુજરાતી પ્રજાના સહકારને બીરદાવ્યો પણ નીહિત રીતે પોતાને પણ બિરદાવ્યા તો ખરા જ એવું તારણ તો કાઢી જ શકાય. તો આ વાત કેમ ચલાવી લેવાય. અત્યાર સુધી તો આ વાત છૂટક છૂટક થતી હતી. અને અમે તેનો છૂટક છૂટક વિરોધ કરતા હતા. પણ હવે તો મોદીકાકાએ હદ કરી અને લોકોને એકઠા કરી મોટામસ મંચ ઉપરથી પ્રગતિની વાત કરી. એટલે અમારે પણ સામૂહિક તાલમાં બોલવું પડશે.ઈંદીરા ગાંધીએ ગુજરાતમાંથી ૧૯૭૩-૭૪માં તેલીયા રાજાઓ પાસેથી કેટલા અને ક્યાંથી અને કેવીરીતે પૈસા ઉઘરાવેલ તેની એક પુસ્તિકા ચિમનભાઈ પટેલે છપાવેલ. એમના સૂપુત્ર ઈન્દીરા કોંગ્રેસમાં ભળ્યા. અને બાવા બના હૈ તો હિન્દી તો બોલના જ પડેગા. એટલે કે નહેરુવીયન કોંગ્રેસની વિરુદ્ધમાં જે પક્ષ હોય તેની અને તેના નેતાને ગાલીપ્રદાન કરવું એ લક્ષણ હોવું અતિઆવશ્યક છે. એટલે એ ચિમનભાઇના આ સુપૂત્ર સિધુભાઇ અને ‘ઢવાડિયા ના નિવેદનો તો આવતા જ હતા. શંકરસિંહ બાપુનું પપૂડું પણ વાગતું હતું. તેથી કોઈ જુનું હોય તો સારું કે લોકોને ખબર પડે કે આ ભાઈ પણ પૃથ્વી ઉપર વિચરી રહ્યા છે. એટલે કૃષ્ણકાંત ભાઈને ચળ ઉપડાવી. વખારીયાજીએ નિવેદન ઠોક્યું. આમેય વખારીયા નહેરુવીયન કોંગ્રેસના જણ છે. તેથી મોદી યશ લઈ જાય તે તેમને પસંદ ન પડે તે સ્વાભાવિક છે. જો તંત્રી શ્રીઓની દાઢ સળકે તો મૂર્ધન્યો શેના સખણા રહે. એટલે આપણા સબબંદરકાવેપારીઓમાંના એક એવા કેટાલક આગળ આવ્યા. વાંચો (જો વાંચવું હોય તો દીવ્યભાસ્કરના એક કટાર લેખકને સૌરાષ્ટ્રની પ્રગતિની ઉપર એમણે કરેલા સંશોધન ઉપર. આમ તો સોનાની દ્વારકા ધરાવતી કાઠીયાવાડી પ્રજા અંગ્રેજ સરકારના રાજમાં ગરિબ કેમ બની ગઈ તે વિષે આ મૂર્ધન્ય શ્રીએ સંશોધન ન કર્યું તેથી આશ્ચર્ય ન પામવું. કારણકે અખબારી મૂર્ધન્યોના સંશોધનો હમેશા પૂર્વ નિશ્ચિત તારતમ્યો વાળા હોય છે. તેથી તેમને વધુ પૃચ્છા ન કરવી કે તમે આ કેમ ભૂલી ગયા.
પણ આવા મૂર્ધન્યો જ્યારે સરખામણી અને કારણો ફંફોળવા માંડવામાં ગોથાં ખાય અને મોદીને જશ લેતા રોકે ત્યારે કદાચ આઘાત ન લાગે પણ આ મૂર્ધન્યોની દયા તો આવે જ.
સૌરાષ્ટ્રના વિકાસની બાબતમાં આ મૂર્ધન્યશ્રી કહે છે કે તેમાં મોદીનો કે બીજેપીનો કોઈ હિસ્સો જ નથી. હિસ્સો ફક્ત સૌરાષ્ટ્રની ખમીર વંતી પ્રજાનો જ છે.
અરે ભાઈ ખમીરવંતી પ્રજા કઈ નથી? શું કચ્છીપ્રજા ખમીર વંતી નથી? રાજસ્થાની પ્રજા ખમીર વંતી નથી?
જ્યારે રાજ તરફથી યોગ્ય સહકાર અને સવલત મળે તો પ્રજા પ્રગતિને પંથે પડે. નાના ઉદ્યોગોને જો પ્રોત્સાહન આપ્યું હોય અને તે માટે જો સીસ્ટમ બનાવી હોય તો તેનો યશ મનુભાઈ શાહ અને ઢેબરભાઈને જાય છે. સૌરાષ્ટ્રમાં ૧૯૫૬ સુધી જે કંઈ પ્રગતિ થઈ તેનો યશ ઢેબરભાઈ, મનુભાઈ શાહ, જાદવજી મોદી અને જગુભાઈ પરીખને જરુર આપવો પડે. સૌરાષ્ટ્રને આવી નેતાગીરી મળી તે ત્નું અહોભાગ્ય હતું. પ્રગતિ તો મનુષ્યો જ કરતા હોય છે પછી તે ગુજરાતના હોય કે બંગાળના હોય. પણ તેમની પ્રગતિને ચેનલાઈઝ કરવી અને ઉત્પાદન સુચારુ રુપે થઈ શકે તે માટે અવરોધો દૂર કરવા એ સરકારનું કામ છે.
મહુવાની વાત લો. તે સૌરાષ્ટ્રનું કાશ્મિર ગણાતું હતું. ઢેબરભાઈએ પોતાના શાસનના ૭ વર્ષમાં જ દરેક તાલુકા શહેરને સીમેન્ટ કોંક્રીટ ના રસ્તાઓથી જોડી દીધેલા. રસ્તાઓ હતા તો સૌરાષ્ટ્રનો માલ દેશમાં પહોંચી શકતો હતો. ગુજરાત તો તે વખતે મુંબઈ ઈલાકામાં આવતું અને ગુજરાતને કેન્દ્ર તરફથી અને મુંબઈ રાજ્ય તરફથી અન્યાય થયાની અનેક વાતો તે વખતે થતી હતી. “કોલંબો પ્લાન” હેઠળ જે રસ્તાઓનું આયોજન હતું તેમાં ગુજરાત ઘણું પાછળ હતું. ગુજરાત રાજ્ય થયું એટલે વળી ગુજરાતે પ્રગતિનો પંથ પકડ્યો. અને ગુજરાતની પ્રગતિમાં વેગ આવ્યો.
૧૯૬૨ થી ૧૯૭૨ સુધીમાં તો અમદાવાદ વિકાસની બાબતમાં મદ્રાસને પાછળને પાછળ રાખી દેવાની તૈયારીમાં હતું. પણ ૧૯૭૨માં ઈન્દીરાઈ કોંગ્રેસ આવી અને ગુજરાતનું પતન ચાલુ થયું.
ઉદ્યોગો વિષે એવું છે કે રોજી તો મોટા ભાગે ઉદ્યોગો જ આપી શકે. ખેતી ઉપરનું ભારણ તમને બહુ રોજી ન આપી શકે. તે તમને ગરીબ રાખી શકે. ઊદ્યોગ એક એવી વ્યવસ્થા છે કે તેને હમેશા ટેક્નોલોજીમાં ડેવલપ કરતા રહેવું પડે. જો સરકાર નજર ન રાખે તો તેઓ બંધ પડવા માંડે. મીલો અને નાના ઉદ્યોગોની આજ હાલત થઈ.
બીજેપી એ ગામડાઓ ઉપર ધ્યાન આપ્યું છે અને જે નર્મદા યોજના ઇન્દીરા ગાંધીએ ટલ્લે ચડાવેલી તે યોજના ચીમનભાઈ પટેલે અને તેમના પછી કેશુભાઈ પટેલે નહેરુવીયન કોંગ્રેસીઓની માયાજાળમાંથી બહાર કાઢી.
નરેન્દ્ર મોદીએ નર્મદા યોજનાને વિકસાવી અને સરસ્વતી સાથે સંગમ પણ કર્યો. વીજળીથી ચાલતા પંપો અને ઓઈલથી ચાલતા પંપો, પાણી હોય તો કામ આવે અને તો તેમના ઉદ્યોગોને રોજી મળે. સૌરાષ્ટ્રના ખેડૂતોની સ્થિતી નર્મદાના પાણી થી સુધરી. ખીસામાં પૈસા હોય ખાખરા ખપે.
પીપાવાવ ની યોજના ઘણી જુની છે. તેમાં ગતિ તો નરેન્દ્ર મોદીની સરકાર જ લાવી.
જે જગ્યાએ વધુ વિકાસ થાય ત્યાં રોજી પણ વધે. અને ત્યાં બીજા પ્રદેશના લોકો પણ રોજગારી મેળવવા આવે. ૧૯૫૧માં ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં કેટલા ટકા બીન-ગુજરાતીઓ હતા અને અત્યારે કેટલા ટકા છે તેનો હિસાબ માંડો તો ખબર પડે કે પ્રગતિનો વેગ ક્યારે ક્યારે કેટલો કેટલો વધ્યો છે.
દિવ્યભાસ્કરના મૂર્ધન્ય વળી એમ કહે છે કે; “નરેન્દ્ર મોદીએ ત્રણ ને બદલે તેત્રીસ દિવસના ઉપવાસ કરવા જોઇએ”.
આવું કહેનારું મગજ દયાને પાત્ર છે. જે મગજ સદભાવનાને ન સમજી શકે તેને માનવીય તો શુ સસ્તનધારી સજીવ પણ ન કહી શકાય.
હોય અમૂક સજીવોનું મગજ ઉત્ક્રાંતિમાં પાછળ રહી જાય તો આપણે શું કરીએ?
નરેન્દ્ર મોદી અને “મુસ્લિમ ટોપી નો ટપલી દાવ.”
જ્યાં સુધી નરેન્દ્ર મોદીની અંગત પસંદગીનો સવાલ છે ત્યાં સુધી તેમને મુસ્લિમ ટોપી પહેરવામાં વાંધો ન હોઈ શકે. પણ આ નહેરુવીયન કોંગ્રેસે રાજકારણને બહુ આળું અને વાંક-શોધુ બનાવી દીધું છે. અને તેમાં પ્રમાણભાન વગરના અખબારી મૂર્ધન્યો સામેલ થાય તો તેમાં આશ્ચર્ય ન જ થાય.
શિવાજી વિષે તમે શું કહો છો? તેઓ હિન્દુપ્રેમી હતા કે નહીં?
અનેક લોકો માને છે કે તેમણે ચૂસ્ત મુસ્લિમ ઔરંગઝેબની ઉંઘ હરામ કરી દીધેલી. શિવાજી મહારાજે ભારતમાં હિન્દુરાષ્ટ્ર સ્થાપવા માટે કમર કસી હતી. પણ આ શિવાજી મહારાજ પોતાને માથે મોગલાઈ પાઘડી પહેરતા હતા. શું કામ? કારણ એજ કે વાસ્તવમાં તે વખતે ભારતમાં ધર્માન્ધતા એવી હતી જ નહીં.
જગતમાં યહુદીઓ, ખ્રીસ્તીઓ અને મુસ્લિમો જ ધર્મના મુદ્દે ઝગડ્યા છે. ભારતમાં જો અંગ્રેજો આવ્યા ન હોત તો મુસ્લિમભાઈઓ પણ પારસી અને યહુદીઓની જેમ ભારતની જનતા સાથે સામાન્ય પ્રવાહમાં ભળી ગયા હોત. શિવાજી મહારાજ મુગલાઈ પાઘડી પહેરે તેમાં હિન્દુપ્રજાને કશો વાંધો ન હતો કારણ કે તે ફેશન હોઈ શકે. અને જનતા તે માટે તૈયાર હતી. જો જનતા તૈયાર ન હોય તો નેતા પણ જનમાનસને પ્રતિકુળ પગલાં લઈ ન શકે.
આ બાબતનો અર્વાચીન દાખલો લેવો હોય તો મહાત્મા ગાંધીનો છે.
મહાત્મા ગાંધી વિલાયતથી પાછા આવ્યા અને તેમણે વિદેશ ગયાનું પ્રાયશ્ચિત કર્યું હતું. તેઓ આ પ્રાયશ્ચિતમાં માનતા ન હતા. તેમની જ્ઞાતિ પ્રાયશ્ચિતને અવગણવા માટે માનસિકરીતે તૈયાર ન હતી. એટલે ગાંધીજીએ વિદેશગયાનું પ્રાયશ્ચિત કર્યું. મહાત્મા ગાંધીએ પણ જનતાની માનસિકતાને તબક્કાવાર તૈયાર કરીને સુધારાઓ દાખલ કરેલા.
બીજેપીમાંના કેટલાક તત્વો પણ માનસિક રીતે વાસ્તવિકતાને ઓળખાવા હજી તૈયાર થયા નથી. આ વાત આપણે “જીન્નાની કબરને અડવાણીની માથું ટેકવવાના બનાવથી ઉભી થયેલી અને અથવા કરવામાં આવેલી બબાલ થી સમજી શકીએ છીએ.”
હિન્દુ સંસ્કૃતિ ભલે મૃતદેહના મલાજાને જાળવવાની વાત કરતી હોય, પણ બીજેપીના દરેક નેતાએ કંઈ હિન્દુસંસ્કૃતિને આત્મસાત કરી ન હોય. નહેરુવીયન કોંગ્રેસને તો હિન્દુસંસ્કૃતિ સાથે સૂતક્નો પણ સંબંધ નથી તેથી તે નહેરુના શત્રુ નંબર વન એવા જીન્નાની કબરને અડવાણી પ્રણામ કરે તો તે તો કાગારોળ કરે જ. નહેરુવીયન કોંગ્રેસના નેતાઓને તો દોડવું હોય અને ઢાળ મળ્યો. તેઓ તો આવો લાગ જતો ન જ કરે. પણ બીજેપીના અમૂક તત્વો પણ સંકુચિત અને અવિકસિત માનસિકતાને કારણે “હું મરું પણ તને રાંડ કરું” એવી નરેન્દ્ર મોદી પરત્વે નીતિ અખત્યાર કરી શકે એમ છે.
તેથી નરેન્દ્ર મોદી પણ પેટ ચોળીને પીડા શું કામ ઉભી કરે?
પણ આપણા અખબારી મૂર્ધન્યો રાજકીય પરિપેક્ષ્યતાની સંપ્રજ્ઞાના અભાવે આ વાત સમજી ન શકે તો આપણને આશ્ચર્ય ન થવું જોઇએ. અખબારી કોલમ મળવા થકી વિશ્લેષક થવાતું નથી. સુંઠને ગાંગડે ગાંધી થવાતું નથી.