ઘડપણ કોણે મોકલ્યું ની વાત જવાદો, અણઘડપણ કોણે મોકલ્યું?
જો વ્યક્તિ પોતાને કેન્દ્રમાં રાખીને વર્તે તો પરિણામે આપણે તેને ક્યારેક જ નહીં પણ મોટેભાગે અણઘડ જ કહીશું.
જ્યારે આ વસ્તુ બહુ વ્યાપક બને ત્યારે આપણે તેને મને કમને સ્વિકારી લઈએ છીએ. પણ તેને પરિણામે થતા સામાજીક નુકશાનને સમજી શકતા નથી.
વ્યક્તિગત અણઘડપણુ આમ તો સમાજીક અણઘડપણાને લીધે ટકે છે. સામાજીક અણઘડપણાને રોકવા માટે કાયદાનું શાસન હોય છે. પણ કાયદાનું શાસન ચલાવવાનું જેમનું કર્તવ્ય હોય છે અને જેને માટે તેમને વેતન મળે છે તેમને આપણે સરકારી નોકરો કહી છીએ. આ સરકારી નોકરો જ જો અણઘડ હોય તો તમે વ્યક્તિગત રીતે શું કરો? આ માટે આપણે એક વ્યવસ્થા ગોઠવી છે. અને આપણે તેને રાજકીય વ્યવસ્થા એમ કહીએ છીએ. આ રાજકીય વ્યવસ્થામાં આપણે આપણા પ્રતિનિધિઓ ચૂંટીએ છીએ અને તેમને દેખરેખની સત્તા આપીએ છીએ.
આ લોકો પણ અણઘડ
હવે આ લોકો પણ અણઘડ હોય તો? જો આ લોકો પોતાનો બચાવ કરવા માટે વિતંડાવાદ ચલાવે તો? આવું બધું રોકવા માટે કાયદાનું યોગ્ય અર્થઘટન કરી સામાજીક હિતમાં જો જે તે કાયદાની જોગવાઈ અનુરુપ ન હોય તો તેને સુધારવાની અથવા જો કાયદો બરાબર હોય તો જેને તેને દંડિત કરવા માટે ન્યાયતંત્રની જોગવાઈ કરી છે. તેથી કરીને, ક્યાંક તો સારો વ્યક્તિ આવશે અને સામાજીક ન્યાય કરશે તેવી ધારણા સાથે સમાજ આગળ વધશે.
સમાચાર માધ્યમોનું કર્તવ્ય
સૌનો અવાજ સંભળાય અને સાચા ખોટા વિષે ચર્ચા થાય એ માટે સમાચાર માધ્યમો છે. આ સમાચાર માધ્યમોનું કર્તવ્ય ફક્ત સમાચાર આપવાનું નથી પણ સમાજને કેળવવાનું પણ છે. સમાચારને તેના યોગ્ય સંદર્ભમાં અને યોગ્ય માત્રામાં વ્યક્ત કરવા તે વિવેકશીલતા સમાચાર માધ્યમના સંચાલકોમાં હોવી જોઇએ. પણ જો બધી જગ્યાએ સ્વકેન્દ્રિત (અણઘડ) વૃત્તિઓ કામ કરતી હોય તો શું થાય?
આપણો દેશ તેનો ઉત્તમ નમૂનો છે.
અણઘડપણું અને નિરક્ષરતામાં શું ફેર?
આણઘડપણા અને નિરક્ષરતામાં કશો ફેર નથી. આ બાબતમાં નારણભાઈ દેસાઈએ (ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ) કરેલી નિરક્ષરતાની વ્યાખ્યા સમજવા જેવી છે.
નિરક્ષર એટલે શું? નિરક્ષર એટલે સામાજિક સમસ્યાને ન જાણવી અને ન સમજવી તે. જો તમારામાં અક્ષરજ્ઞાન હોય તો તમે વાંચી શકો અને સારા નરસા વિષે વિચારકરવાની વૃત્તિ હોય તો તમે વાતને કે સમસ્યાને સમજી શકો. પણ જો તમારી પાસે અક્ષરજ્ઞાન હોય પણ વાંચવાની જ વૃત્તિ ન હોય તો? હવે જો આવું જ હોય તો તમારામાં અને અક્ષરજ્ઞાનહીનતા વાળામાં શું ફેર? તેવી જ રીતે જો વાંચો પણ સમજવાની વૃત્તિ જ નહોય તો વાંચ્યા ન વાંચ્યામાં ફેર શો? કદાચ તેથી જ નરેન્દ્ર મોદી “ગુજરાત વાંચે”ની ઝુંબેશ ચલાવે છે.
આ અણઘડતા, વિષય સાથે સંબંધિત હોય છે. પણ સામાજીક વ્યવસ્થા પણ એક વિષય છે. અને મનુષ્યમાત્ર સામાજીક પ્રાણી છે. એટલે તેની વ્યવસ્થાને સમજવી અનિવાર્ય છે. આ વાત જે ન સમજે તેને અણઘડ જ કહેવાય.
આ અણઘડતાનું પરિણામ શું છે?
વાસ્તવમાં ભ્રષ્ટાચાર એ આ અણઘડતાની નીપજ છે.
સૌથી વ્યાપક ભ્રષ્ટાચાર બાંધકામ ક્ષેત્રમાં છે. લોકોને ચાલવામાં અને વાહનવ્યવહારમાં મુશ્કેલી ન પડે તે હેતુથી બાંધકામના નિયમો બનાવ્યા. તે નિયમોનું છડે ચોક ઉલંઘન થયું. વ્યાપક તકલીફો ઉત્પન્ન થઈ. જે પગારદારોને જનતાના પૈસે રોક્યા હતા તેમણે નિયમોના ઉલંઘનમાં બિલ્ડરોને સાથ આપ્યો. કટકી કરી. ગેરકાયદેસર બાંધકામ ગરજમંદોને વેચાયું. અગવડો ઉત્પન્ન થઈ. સુખેથી ચાલવાની જગા ન રહી. વાહનોને ગોબા પડ્યા. જેઓને લોકોએ ચૂંટીને નિગરાની માટે મોકલ્યા હતા તેમણે આ અણઘડ લોકો સાથે હાથ મિલાવ્યા અને ભાગીદારી કરી પોતે તેમની મંડળીમાં ભળી ગયા.
લવીંગકેરી લાકડીએ રામે સીતાને માર્યા લોલ
પણ કોઈ માઈનો લાલ કોર્ટે ચડ્યો. ન્યાયાલયને પાનો ચડાવ્યો. ન્યાયાલયે હૂંકાર કર્યો. જવાબ આપો? આ તો બધું વ્યાપક હતું. એટલું જ નહીં ફોજદારી ગુનો પણ બનતો હતો. જો ફોજદારી ગુનો વ્યાપક હોય, તો ઉંડી તપાસ કરવી જોઇએ. અને તે ગુનાની વ્યાપકતાને રેકોર્ડ ઉપર લઈ, તમામે તમામ સામે કામ ચલાવવું જોઇએ. આ ગુનાઓની તપાસ માટે એક તપાસ કમીશન નિમાવવું જોઇએ. જો સરકાર આ વહીવટી કામ ન કરે તો ન્યાયાલયે આદેશો બહાર પાડવા જોઇએ. ગુનાઓને તો તમે છાવરી શકો જ નહીં. અને વળી અહીં તો, ચોર, ચોરી કરનાર, ચોરી કરાવનાર, ચોકીદાર, ચોરીનો માલ, ચોરને સાથ આપનાર બધાજ હાજર છે અને હાથવગા પણ છે. એટલે ન્યાયાલયે તો ફક્ત આદેશ જ આપવાનો હતો અને છે, કે “તપાસ પંચ કમીશન નીમો”. જેમ સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ “પોસ્ટ ગોધરા રમખાણો” માટે નીમી છે તેમ આ વ્યાપક ગુનાખોરીની તપાસ કરવા માટે પણ તપાસ પંચ નીમો અને એફઆઈઆર દાખલ કરો. સમય મર્યાદા નક્કી કરો. પણ ન્યાયાલયે શાબ્દિક પૂણ્યપ્રકોપ કર્યો “જવાબ આપો”? (લવીંગકેરી લાકડીએ રામે સીતાને માર્યા લોલ).
ગુનેગારોએ અંદર અંદર ચર્ચા મસલત કરી
અણઘડોએ ઉર્ફે ચોરોએ ઉર્ફે સામુહિક રીતે કરેલી ગુનાખોરીના ગુનેગારોએ અંદર અંદર ચર્ચા મસલત કરી જવાબ આપ્યો અમે કાયદો બદલીએ છીએ. અને તે ઉપરાંત જે કંઈ તકલીફો ઉભી થઈ છે તેનું આ કાયદા થકી ધ્યાન રાખીશું. ઘણા થયેલા નુકશાનોને “અનડન” કરવા અથવા પૂર્તિ કરવા મુશ્કેલ જ નહીં અશક્ય પણ હોય છે. અને અણઘડ લોકોના લેબલો લાગેલા આ સરકારી ગુનેગારો ની દાનત ખોરી જ હોય તો તમે અશક્યનું લેબલ બિન્ધાસ્ત લગાડી શકો. તેઓ કેવા નિર્ણયો લેશે તેનું ભવિષ્ય તો તાજુ જન્મેલું બાબલું પણ ભાખી શકે. પણ ન્યાયાલયે કહ્યું “ઓકે.. જલ્દી માપદંડ બનાવો.” હવે આવા ન્યાયાલયને આપણે શું કહીશું?
સંસ્કૃતમાં એક શ્લોક છે “અથવા મૃદુવસ્તુ હિંસિતું મૃદુનૈવારભતે પ્રજાન્તક …” ( એક રાજાની સૌંદર્યવાન નાજુક રાણી ઉપર ફુલ પડ્યું અને તે બેભાન થઈ ગઈ) એટલે કાલીદાસે લખ્યું કે ઈશ્વર મૃદુ વ્યક્તિને તાડિત કરવા માટે મૃદુ વસ્તુથી શરુઆત કરે છે.
આ બધા મૃદુ છે?
બિલ્ડરો, સરકારી નોકરો અને તેની ઉપર નીગરાની રાખવા વાળા આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બધા બહુ મૃદુ વ્યક્તિઓ છે. એટલે તેમને તાડન કરવા માટે મૃદુ તાડન થવું જોઇએ. જોકે કાલીદાસે તો “તાડનના આરંભની વાત જ કરેલ” પણ અહીં તો આ પૂર્ણવિરામ જ લાગે છે અને તાડન તો છે જ નહીં.
ભોજ રાજાની વાત
ભોજ રાજાની એક વાત કંઈક આવી છે. ભોજરાજા ના રાજ્યમાં પોલીસે ચાર યુવકોને જુગાર રમવા બદલ પકડ્યા. આ ચારમાં એક બ્રાહ્મણ હતો. બીજો વાણીયો હતો અને ત્રીજો શુદ્ર હતો. (મહેરબાની કરી કોઈએ આમાંથી જ્ઞાતિવાદને લગતો બોધપાઠ કે તારવણી ન કરવી. હાલના રકમબંધ બ્રાહ્મણો કોઈને પણ અભડાવે એવા છે).
રાજાએ બ્રાહ્મણ યુવકને કહ્યું “ધીસ ઈઝ વેરી બેડ” અને તેને સજા કર્યાવગર છોડી દીધો.
વણિક યુવકને ધમકી આપી કે હવેથી જો જુગાર રમીશ તો જેલની સજા કરીશ. જા જતો રહે. અને શુદ્ર યુવકને એકમાસની જેલની સજા કરી.
પ્રધાનજીને ભોજરાજાના આ ન્યાયથી આશ્ચર્ય થયું. તેમણે ભોજરાને પૃચ્છા કરી. “એક અને સરખા પ્રમાણના ગુનાસામે અલગ અલગ વ્યક્તિને અલગ અલગ સજા કેમ. રાજા એ કહ્યું એકમાસ પછી વાત. સમયાન્તરે પ્રધાનજીએ તે વાત યાદ દેવડાવી. રાજાભોજ પ્રધાનજીને નગરચર્યા માટે લઈ ગયા. બ્રાહ્મણને ઘરે તપાસ કરી તો તે બ્રાહ્મણ યુવકે ઘરે આવીને રાત્રે પશ્ચાતાપમાં આત્મહત્યા કરી નાખેલી. વાણીયાને ઘરે તપાસ કરી, જાણવા મળ્યું કે તે વણિક યુવક ગૃહત્યાગ કરી આત્મબળે કમાણી કરવા બીજે દેશ ચાલ્યો ગયેલો. શુદ્રને ઘરે તપાસ કરી તો એક ઝાડનીચે તેના બીજા મિત્રો સાથે તે જુગાર રમી રહ્યો હતો.
શું ભારતીય ન્યાયાલય એમ માને છે આ બિલ્ડરો, સરકારી નોકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભોજરાજાના બ્રાહ્મણો છે?
નાજી. કારણકે ન્યાય કરવાવાળો ક્યાં ભોજરાજા છે? ક્યાં રાજા ભોજ અને ક્યાં ….!!
હવે તો ઈમ્પેક્ટ ફી આવશે. અને તે જેને લૂટી લીધેલો છે તેની પાસેથી વસુલ કરવામાં આવશે.
શું બિલ્ડરો, સરકારી નોકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને દંડિત કરી શકાય તેમ નથી?
કશું અશક્ય નથી.
આ ત્રણે પાસેથી પૈસા વસુલ કરો. હે ન્યાયાલય વાસીઓ જો તમારે દયાવૃત્તિ બતાવવી જ હોય તો ઈમ્પેક્ટ ટેક્ષ જે સામાન્ય ટેક્ષ કરતાં છ ગણો હોય તેટલો દરવર્ષે ડબલ થાય તેટલો આ ત્રણે પાસેથી વસુલ કરો. અને તે પૈસામાં પાર્કીંગ ની વ્યવસ્થા કરો. જો આમાં વધુ દયા બતાવવી હોય તો તેઓ જેટલા વખતથી વપરાશમાં છે અને તેને જ્યાં સુધી તોડી ન નાખે ત્યાં સુધી આ ત્રણે પાસેથી વસુલ કર્યા કરો. ગેરકાયદેસર બાંધકામો અને દબાણો આપોઆપ હઠી જશે અને વધુ બંધાતા બંધ થઈ જશે.
તમે કદાચ કહેશો કે આ છ ગણો ટેક્ષ કયા આધારે નક્કી કર્યો?
રેલ્વેમાં તમે જેટલો સામાન અધિકૃત છે તેથી વધુ લઈ જાઓ તો વધારાના સામાન ઉપર છ ગણો દર લગાવવામાં આવે છે.
જો તમે એક વખત અસામાજિક ગુનો કરો તો બીજી વખત ગુનો કર્યાની સજા બમણી કે તેથી પણ વધુ થઈ શકે છે.
બાંધકામ ઉપર દરવર્ષે ટેક્ષ લેવામાં આવે છે. ગેરકાયદેસર બાંધકામ એ એક ગુનો છે. તમે છ ગણો ટેક્ષ ભરો એટલે એ વખત પૂરતી વાત પતી ગઈ. પણ બીજે વર્ષે, કારણ કે તમે તે ગેરકાયદેસ બાંધકામના ગુનાનું અસ્તિત્વ ચાલુ રાખ્યું તેથી બમણી સજા થવી જોઇએ.
તમે ચોરીનો ગુનો કર્યો હોય અને તેની સજા થઈ હોય અને તે ભોગવી હોય એટલે તમને તે ચોરીના પૈસા ભોગવાની મંજુરી મળી જતી નથી.
ધારો કે તમે હેલમેટ ન પહેરીને કાયદાનો ભંગ કર્યો હોય અને દંડના ધારોકે રુપીયા ૫૦ ભર્યા હોય, તો કંઈ તમને જીંદગી ભર હેલમેટ પહેરવામાંથી મૂક્તિ મળી જતી નથી. હેલમેટ ન પહેરવી તે તો સીવીલ ઓફેન્સ છે. પણ જમીન ઉપરનું ગેરકાયદેસર બાંધકામ અને દબાણ અને તે માટે કરાયેલા વ્યવહારો તો ફોજદારી ગુનાઓ છે. અને તેનું સાતત્ય તે ગુનાઓનું પુનરાવર્તન છે.
“આક્રમણની” વ્યાખ્યા
યાદ કરો યુનોમાં ભારતે કરેલી ગોવા ઉપરના ભારતીય આક્રમણની વિષે “આક્રમણની” વ્યાખ્યા. એક દેશની જમીનના એક હિસ્સા ઉપર બીજા દેશનો કબજો એ “સતત આક્રમણ” છે અને આક્રમણનો હિંસક પ્રતિકાર એ માનવીય હક્ક છે.
ગેરકાયદેસર બાંધકામ અને અતિક્રમણ પણ માનવીય હક્ક ઉપરનું “સતત આક્રમણ” છે.
શું આ વાત સુઘડ ન્યાયાલયો સમજશે?
શિરીષ મોહનલાલ દવે
અણઘડ, ન્યાયાલય, સરકારી નોકરો, બિલ્ડરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ચોર, ચોકીદાર, નીગરાની, પગારદાર, સતત આક્રમણ,ગુનાનું અસ્તિત્વ