Feeds:
Posts
Comments

Archive for January, 2013

સુજ્ઞ જનોએ બળાપો કરવો કે નહીં?

રામ અને કૃષ્ણ ભગવાનની વાત જાણે સમજ્યા. રામાયણના રામ ચરિત્ર (રામચરિત માનસ્‌ પુસ્તક નહીં) માંથી ચમત્કારો બાદ કરી નાખીએ તો પણ રામનું વ્યક્તિત્વ મુઠી ઉંચેરું રહે છે. કૃષ્ણ ભગવાન વિષે પણ એમ જ કહેવાય. સીતાજીનો તો ત્યાગ પણ હતો. રાણી તરીકેનું સુખ ભોગવવાનો હક્ક રાખ્યો તો સામાજીક પ્રણાલીઓને કારણે રામે કરેલો ત્યાગ પણ સહન કર્યો. પણ રાધાનું શું?

રાધા વિષે કોઈ કશું જાણતું નથી. મૂળ ભાગવત કદાચ મૌન છે. બ્રહ્મ વૈવર્ત પુરાણ કે બીજે ક્યાંક મેં વાચેલું કે રાધા, કૃષ્ણની મામી હતી. શિશુ કૃષ્ણ ને જોઇ ને તેની કામવાસના જાગી ઉઠી. કૃષ્ણ ભગવાન, ભગવાન હોવાથી તે જાણી ગયા. અને તેમણે પુખ્ત સ્વરુપ ધારણ કર્યું. ૬૪ પ્રકારની કામલીલા કરીને રાધાને તૃપ્ત કરી.

આમ તો ઈશ્વરની વાત કરવી એટલે ઈશ્વર એક જ સત્‌ છે. બીજું બધું મીથ્યા છે. પણ આવા ઈશ્વરમાં કોને રસ પડે? આપણે જ્ઞાની છીએ એટલે લોકોને શું ગમશે અને શું નહીં ગમે તેનો પણ ખ્યાલ રાખવો પડે. અને એ આપણું કર્તવ્ય છે.

પણ એક બીજી વાત પણ છે. આપણે અતૃપ્ત પણ છીએ. આપણે જ્ઞાની છીએ અને કેટલા જ્ઞાની છીએ તે તો આપણને જ ખબર છે. આપણા શ્રોતાઓને આપણા અજ્ઞાનની ખબર ન પડવી જોઈએ અને આપણો આર્થિક કે ખ્યાતિ નો ધંધો ચાલવો જોઈએ.

અતૃપ્તની થોડી ઘણી તૃપ્તિ માટે ભગવાનની વાતોમાં થોડો રોમાન્સ પણ લાવીએ તો કદાચ સોનામાં સુગંધ ભળશે.

કદાચ રાધાનું પાત્ર આરીતે ઉમેરાયું હોય. વૈષ્ણવી પુરાણો અને ખાસ કરીને મોટા ભાગના પુરાણોમાં મોટા ભાગના ઉમેરણો ઉત્તર-પ્રાચીન થી પૂર્વ-મધ્યકાલીન સમય સુધી થતાં રહેલા.

કૃષ્ણ ભગવાન તેમના સમયમાં પણ લોક પ્રિય હતા. અને તેમને ભગવાન માનવાનું મોડામાં મોડું ઈ.પૂ. ૪૦૦ વર્ષ થી તો ચાલું હતું જ. રામને ભગવાન માનવાનું પછી ચાલું થયેલું.

હવે રોમાન્સ ની વાત કરીએ તો બાલકૃષ્ણની સાથે રાધાને જોડવી કદાચ મધ્યકાલિન લોકો માટે વધુ અનુકુળ હશે.

રાધાના અસ્તિત્વ સાથે તત્વજ્ઞાન પણ ભરડવામાં આવે છે. જો કૃષ્ણને ભગવાન માનો તો જ રાધાના નામનું અસ્તિત્વ રહે છે. અને રાધા-કૃષ્ણની રોમાન્ટીક વાતો લીલા તરીકે વર્ણવાય છે. જો કૃષ્ણ ને મહામાનવ માત્ર માનીએ તો રાધા સાથેના વર્ણનો કૃષ્ણના ગુણોને કલુશિત કરે છે. હવે એક વખત તમે કૃષ્ણને ભગવાન માની લો એટલે આ બધું માફ.

પણ આમાં કૃષ્ણભગવાન નો કંઈ વાંક નથી. તેમણે તો ધર્મની પૂનર્‌ સ્થાપના કરેલી. અને યાદવોને પૂરા દરીયા કાંઠા ઉપર રાજ કરતા કરેલા. તેથી પણી લોકોને વેપારમાં સુરક્ષા મળી હતી. પૂરા ભારતવર્ષમાં તેમનો જયજય કાર થયેલો. તેમના ભક્તોને આજની તારીખ સુધી ખબર નથી કે કૃષ્ણ ભગવાન ની મહાનતા, વિશ્વમાં અન્યત્ર કયા ગુણોથી સ્વિકાર્ય બનશે.

વિજાયતીય પ્રેમ તમને વિરહમાં કવિ બનાવે છે અને સાંનિધ્યમાં તમને શૃગાર-રસમાં ડૂબાડે છે. કામવાસનાની અતૃપ્તિ તમને તત્વજ્ઞાની બનાવે છે અને અસહ્ય અતૃપ્તિ તમને સોડાલેમન-મીક્સ બનાવે છે. સોડાનું અને લેમનનું પ્રમાણ કેટલું એ તમારા વાંચન ઉપર આધાર રાખે છે.

જો તમારામાં કલાતત્વ હોય તો તમે સારા કવિ થઇ શકો. આના શ્રેષ્ઠ ઉદાહરણો મારા જેવા અલ્પજ્ઞ માટે તુલસીદાસ અને પ્રેમાનંદ છે. તુલસીદાસને બાજુ પર રાખો. પ્રેમાનંદના રાધાકૃષ્ણના વર્ણનો વાંચો તો બ્લ્યુ ફિલ્મો યાદ ન આવે તો ફટ્‌ કહેજો.

બહુગામી કામવાસના સમાજની સુખાકારી અને તંદુરસ્તી માટે ખરાબ છે. પણ તે ઉપર મનુષ્યનો કેટલો કાબુ છે? આ વાત શરીર-રસાયણ-શાસ્ત્રીઓ માટે પણ ગહન સંશોધનનો વિષય છે. માણસ કદાચ ભૌતિક રીતે પોતાના ઉપર કાબુ રાખે પણ મન ઉપર કાબુ રાખવો મુશ્કેલ છે. મનની વાત જબાન ઉપર આવવાની કોશિશ કરતી હોય છે. સાહિત્યકારો ના સાહિત્ય વિષે પણ આવું જ સમજવું.

માણસ ગમે તેટલો વિદ્વાન હોય પણ તેની ઉપવાસ કરવાની ક્ષમતા કે તરસ સહન કરવાની ક્ષમતા તેના શરીરના બંધારણ ઉપર આધાર રાખે છે. શ્રેષ્ઠ રસ્તો એજ છે કે તે પોતાની ક્ષમતા વધારવાની કોશિશ કરે. આ કોશિશ ચાલુ રાખવાની ક્રિયા એ જ તેનો વિજય છે એમ માને.

પણ બધા સાહિત્યકારો આ વાત સમજી શકે તે જરુરી નથી. તેથી પ્રેમાનંદ જેવા અનેક કામ-રસ સાથે ફાલતુ એવી તત્વજ્ઞાનની વાતો જોડી પોતાની અતૃપ્તિને છૂપાવે છે.

જ્યારે ક્યાંક અતિરેક દેખાય ત્યારે અતૃપ્તિ દેખા દે છે. અને ઘણા આશ્ચર્યો સામે આવે છે.

એક કાળે દિલીપ ખાન, રાજકપુર અને દેવાનંદની ત્રીપૂટીમાં ઉત્તર ભારતીય યુવાનો વિભાજીત હતા. દિલીપ ખાન એવા હતા કે દેખાવે સામાન્ય એટલે કોઈ છોકરી સામે થી તો તેમના પ્રેમમાં પડે નહીં. પણ ફીલમમાં સાવ ઉંધું થતું હતું. તેમની ફિલમમાં હીરીબેન સામેથી તેમના પ્રેમમાં પડતી. તેથી અમુક વર્ગના યુવાનો તેમાંથી તાદાત્મ્ય સાધતા.

રાજ કપુર ભાઇ એવા હતા કે લવ કરવા આતુર, અને હીરીબેન એમના પ્રેમમાં પણ પડતા પણ પછી કોઈ સારો કે બીજો મુરતીયો મળતાં રાજકપુરભાઈને વહેતો મુકતા, અને પછી બીજા સાથે લગન કરી નાખતા. જોકે તેમને રાજકપુરભાઈ સાથે સહાનુભૂતિ રહેતી. અને રાજકપુર ભાઈની દયા સૌ કોઈ ખાતા. કદાચ પ્રેમભગ્નતાથી પીડીત કે તેવી પીડાનો કાલ્પનિક ભય રાખતા યુવાનોનો વર્ગ આ રાજકપુરભાઈ સાથે હાઈપોથેટીકલી તાદાત્મ્ય સાધતો.

દેવજીભાઈ પોતે સુંદર (ક્યારેક તેમનું ફીલ્મી નામ પણ મદન રહેતું) તેથી તેમને કન્યાઓનો ડર રહેતો નહીં અને બિન્ધાસ્ત રીતે કન્યા-હીરીબેનની પાછળ ઈવ-ટીઝર બનતા. તેથી અમુક પ્રકારનો યુવાવર્ગ અને કન્યાવર્ગ તૃપ્તિ અનુભવતો.
જો કે આ બધું મીથ્યા હતું. કદી કશું કેટલું તૃપ્ત થાય છે કે કેમ તે સંશોધનનો વિષય છે.

અજાયબીઓ તો આજે પણ ક્યાં ઓછી છે. જે હીરાભાઇઓના(એક્ટરો તો કેમ કહેવાય?)ની એક્ટીંગની કોઈ નકલ કરે ત્યારે સૌને ખબર પડી જાય ફલાણા હીરાભાઈની નકલ છે પણ તમે ફીલમનું નામ ન દઈ શકો. તો તેનો અર્થ શું થયો? તેનો અર્થ એજ થયો કે હીરાભાઈની સ્ટીરીયો ટાઈપ એક્ટીંગ છે. જો તમે હીરાભાઇનું ફીલ્મી નામ ભૂલી જાઓ પણ હીરાભાઈ યાદ રહે તો તે હિરોને ઝીરો જ કહેવાય.

અને છતાં તમે જુઓ, શુક્રવાર તેમને માટે ફીક્સ કર્યો છે તો પણ તેમની વાતો ચાલુ દિવસોમાં ફોટા સહિત આવે છે. હીરીબેનો વિષે પણ તેવું જ છે. કારણ કે જેમનું કશું જ ગણનાપાત્ર રચનાત્મક કે હકારાત્મક અનુદાન નથી અને જેમના ઉપર કોર્ટના કેસો પણ ચાલુ છે તેમના હંગ્યા-પાદ્યાના પણ સમાચારો આવે છે. આ બધું આશ્ચર્ય નથી? શું આ બધું મીથ્યા નથી? ખચિત મીથ્યા જ છે તો પણ માણસો ઉશ્કેરાટ અનુભવતા ઉંચાનીચા થાય છે.

આ ક્રિકેટ જ જુઓ. ખેલાડીઓ મેદાનમાં (પેવેલીયનમાંથી બહાર) આવે તો એમ કહેવાયા કે (નાઉ ધ ફીલ્ડર્સ આર ઇન), જ્યારે એક બેટ્સમેનના ડાંડીયા ઉડી જાય અને તે પેવેલીયનની અંદર જાય તો કહેવાય કે (હિ ઈઝ આઉટ). “સ્કોરર” કશો સ્કોર કરતો નથી. અને રનર ના ખાતામાં કશા રન ઉમેરાતા નથી. એમ્પાયરને મેદાનની બહાર કોઈ ગણતું નથી. “એક્ષસ્ટ્રા” નૃત્ય કરતી નથી. આવી તો ઘણી અસંબદ્ધ વાતો છે.

જો બેટ્સમેનોને બેટ ભેટમાં આપી શકાય તો ફુટબોલના ખેલાડીઓને ફુટબોલ ભેટ આપી શકાતો હશે એમ માનીને ફુટબોલ માટે લડતા બંને ટીમોના ખેલાડીઓને જુનાગઢના નવાબે ભેટ તરીકે એક એક ફુટબોલ આપ્યા. “જાઓ હવે એક દડા માટે અંદર અંદર લડશો નહીં.” મેરાડોનાની ટીમ હારી તેના કરતાં મને મેરાડોના દુખી થયો તેનું વધારે દુઃખ છે. શું આ બધું મીથ્યા નથી?

એક સાવ જ સીધી સાદી વાત. અને છતાં છે સાવ અટપટી. ભારત દેશ પ્રાચીન દેશ. વિદ્વત્તાના પુસ્તકોથી ભરપૂર. ઔતિહાસિક ચમત્કારોથી ભરપૂર. તાજેતરનો જ ચમત્કાર જુઓ. જે દેશના કવિ જનો પણ જે બ્રીટીશ સરકારથી અભિભૂત હતા અને જે દેશની પ્રજા કાળની અકળ લીલા થકી અભણ અને ગરીબ બની ગયેલી, તે પ્રજાને મહાત્મા ગાંધીએ જગાડી અને એક સુસ્થાપિત વિદેશી સામ્રાજ્યની વિરુદ્ધ તે પ્રજાને અહિંસક લડત માટે તૈયાર કરી અને સાથે સાથે સમાજીક પ્રણાલીઓને લલકારી, તે મહાત્માગાંધીનો ચમત્કાર નાનો સુનો હતો?

અને જુઓ આજ પ્રજા અવારનવાર છેતરાયા બાદ પણ એક જ પક્ષની એક જ કૌટુંબિક વારસાને માનતી નિસ્ફળ, દંભી અને વ્યંઢ નેતાગીરીથી છેતરાયા કરે તે ઓછા બળાપાની વાત છે?

જ્હોન હેર્સી ના “એ બેલ ફોર એડાનો” માં એક વાત આવે છે કે “એડાના” ગામના લોકોની પ્રાથમિકતા દેવળનો ઘંટ હતી. ખોરાક અને રોજી તો આવતી કાલની વાત છે.

આનંદ મૂખ્ય વસ્તુ છે. આનંદ સત્‌ છે. બીજું બધું મીથ્યા છે. જગતમાં શું મીથ્યા નથી? જગત આખું તો મીથ્યા છે. બળાપો શેનો કરવો અને શેનો ન કરવો? બસ આનંદ કરો. દરેક ક્રિયાની પાછળનો હેતુ અંતે તો આનંદ પ્રાપ્ત કરવાનો છે.

બહુ ચળ ઉપડતી હોય તો “જનતા જ એવી છે.” તેના દુર્ગુણોની વ્યાપકતા વર્ણવી દો અને “મેં કેવું સરસ કીધું… ?” એમ માની મહાનતા અનુભવો.

સાધ્યં ઈતિ સિદ્ધમ્‌

ચમત્કૃતિઃ
પૂરા એકદા પૃષ્ટવાન પદ્મયોનીં,
ધરિત્રીતલે સારભૂતં કિમસ્તિ?
ચતુર્ભિર્મૂખૈ રીત્યંવોચ્દ્વિરંચૈઃ
સ્તમાખુ સ્તમાખુ સ્તમાખુ સ્તમાખુઃ

એક વખત બ્રહ્માજીને બધા દેવતાઓએ ભેગા થૈને પૂછ્યું કે અત્યારે ધરતી ઉપર સારરુપ શુમ છે? બ્રહ્માજીના ચાર મુખોથી બોલાયું “તમાકુ તમાકુ તમાકુ તમાકુ”

શિરીષ એમ. દવે

સંયમ, કામવાસના, તુલસીદાસ, પ્રેમાનંદ, મેરાડોના, ફુટબોલ, રાધા, કૃષ્ણ, ક્રિકેટ, ફુટબોલ

Read Full Post »

વડાપ્રધાન પદનો ઉમેદવાર અને સમાચાર માધ્યમનું ફરજંદ

 “રાહુલ ગાંધીનું “મહાનુભાવપણું”

આમ તો રાહુલ ગાંધીનું “મહાનુભાવપણું” એ સમાચાર માધ્યમનું ફરજંદ છે. અને હવે આ સમાચાર માધ્યમો તેને વડાપ્રધાન પદે સ્થાપવા વિષે અપાર ચર્ચાઓ વહેતી મુકે છે.

રાહુલ ગાંધીમાં શું વિશેષતા છે તે વિષે કોઈ કશું જાણતું નથી. સમાચાર માધ્યમો પણ જાણતા નથી. રાહુલ ગાંધીમાં કોઈ વિશેષતા છે કે કેમ તે પણ એક શંકાનો વિષય છે. રાહુલ ગાંધી પ્રસિદ્ધિને લાયક છે કે કેમ તે પણ એક ચર્ચાનો વિષય બનાવી શકાય.

રાહુલ ગાંધીની નિસ્ફળતાઓ વિષે આપણે સૌ કોઈ જાણીએ છીએ. ગુજરાતની તાજેતરની ચૂંટણીઓની વાત નકરીએ તો પણ, યુપી અને બિહારની વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ રાહુલ ગાંધીની  નિસ્ફળતાને પુરવાર કરેલી છે. રાહુલ ગાંધીમાં કોઈ આવડત નથી, આયોજન અને વ્યુહરચનાની બુદ્ધિ નથી. વહીવટી ક્ષમતા નથી. વૈચારિક ભાતુ નથી. દીર્ઘ દૃષ્ટિ નથી. નેતાગીરીના કોઈ ગુણ નથી. કોઈ ચિંતન નથી અને ખાસ કશું વાચન નથી. વડા પ્રધાન થવા માટે આ સઘળું હોવું જરુરી છે. જરુરી જ નહીં પણ સરવાળે તેમના પ્રતિસ્પર્ધી કરતાં વિશેષ હોવું આવશ્યક છે.

પરિસ્થિતિ આવી હોવાં છતાં પણ, સમાચાર માધ્યમો રાહુલ ગાંધીનો એકડો કાઢી નાખવાનું વલણ દાખવતા નથી. એટલું જ નહીં પણ આ રાહુલ ગાંધી વડાપ્રધાન પદનો શ્રેષ્ઠ અને યોગ્ય ઉમેદવાર છે તેવું જનતાને મનાવવા અને ઠસાવવા માટે સઘન પ્રયાસ કરી રહ્યા છે. ખચીત આ ચર્ચાનો વિષય બનાવવામાં આવ્યો છે.

ચર્ચાને લાયક નથી

૧૯૭૫-૧૯૭૭ ના કટોકટીના સમયમાં સંજય ગાંધી હિરો હતો અને બેતાજ બાદશાહ ગણાતો. સુષ્ઠુ સુષ્ઠુ નિવેદનોની બોલબાલા હતી. ઈન્દીરાઈ કટોકટીના અંત કાળે ચૂંટણી જાહેર થઈ અને જનતા મોરચાએ પ્રચંડ વિજય મેળવ્યો ત્યારે પત્રકારોએ મોરારજી દેસાઈને સવાલ કર્યો કે “સંજય ગાંધીના કટોકટીના સમય દરમ્યાનના ફલાણા ફલાણા નિવેદન વિષે તમારું શું કહેવું છે?” મોરારજી દેસાઈએ તેમની લાક્ષણિક શૈલીમાં હાથ હલાવીને કહેલ કે “તે (સંજય ગાંધી) કોઈ જવાબને લાયક નથી.”. એટલે કે સંજય ગાંધી અને અથવા તેના નિવેદનો કોઈ જવાબને લાયક નથી. (જનતાએ અને પત્રકારોએ મોરારજી દેસાઈના આ જવાબને લાંબા સમયના તાળીઓના ગડગડાટ થી વધાવી લીધેલ)

કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ એક નેતાના પુત્ર હોવું એ પ્રસિદ્ધિ માટેની લાયકાત બનતી નથી. યુપી બિહારની ચૂંટણી વખતે ગરીબોના ઘરે ભોજન કરતા ફોટા અને પાસ્ટિકના તગારા ઉચકીને મજુરીના ફોટા પડાવી આ કહેવાતા પ્રીન્સ અને તેના પક્ષના કોંગીજનોએ ચૂંટણી પ્રચારમાં કશી કમી રાખી ન હતી. યુપી બિહારની ચૂંટણી જીતવાની વાત તો બાજુપર  રાખો, પણ જો નહેરુવીયન કોંગ્રેસ બીજા કે ત્રીજા સ્થાને પણ આવી હોત તો … તો … પ્રસાર માધ્યમો આ રાહુલગાંધીની ભાટાઈ કરવામાં ફાટીને ધૂમાડે જાત. પણ જ્યારે રાહુલ ગાંધીની નેતાગીરીના વ્યાપક પરાજય જોવા મળ્યો, ત્યારે તેમને મોં સંતાડવાના રસ્તાઓ શોધવા પડ્યા. “ફેસ સેવીંગ ફોર્મ્યુલા” તેમણે એ બનાવી કે “રાહુલ ગાંધી કેમ પત્રકારોને મળતા નથી અને નિસ્ફળતાની જવાબદારી લેવા કેમ બહાર આવતા નથી.?” આવી વાત ટીવી-સંવાદોમાં ટીવીના એંકરો (ઉદ્‌ઘોષકો=ડાચાની લુલી હલાવનારાઓ)એ અવારનવાર ઉઠાવી એટલે દિવસને અંતે રાહુલ ગાંધી અને તેની બહેન બહાર આવ્યાં અને રાહુલે કહ્યું કે “મારી નિસ્ફળતા હું સ્વિકારું છું.” વાત પૂરી. સમાચાર માધ્યમોએ પોતે દાખવેલી તટસ્થતા બદલ પોતાની પીઠ થાબડી.

પ્રસાર માધ્યમો એટલે સમાચાર ખાસ કરીને રાજકીય સમાચાર અને તેમાં પક્ષોના નેતાઓ, તેમના વલણો અને તે ઉપરની ટીકાઓ વિગેરે વિગેરે જેમાં કટાર લેખકો, તંત્રીઓ, ખબર પત્રીઓ, ઉદ્‌ઘોષકો અને વિશ્લેષકો, ટીકાકારો એ સૌને પણ સામેલ ગણવા.

આપણી પાસે સાધ્ય છે

“રાહુલ ગાંધીને વડા પ્રધાન પદ માટે યોગ્ય કેવીરીતે ઠેરવવા.”

રચનાઃ સમાચાર માધ્યમમાં રાહુલ ગાંધીને હકારાત્મક અને વ્યાપકરીતે પ્રસિદ્ધિ આપવી.

જો તેઓશ્રી કંઈપણ બોલે તો તેમનો તેમની તસ્વિરાત્મક અને ચલચત્રિત અનેક વિધ પ્રચાર પદ્ધતિ વડે પ્રચાર કરવો.

તેઓશ્રી ન બોલે તો તેઓ હવે પછી શું કરશે? શું કરવા ધારે? શું કરવું જોઇએ? જનતા તેમની પાસે શી અપેક્ષા રાખે છે? વિગેરે વિગેરે વિષે ધારણાઓ બાંધવી અને તે વિષે લાંબી ચર્ચાઓ ચલાવવી.

 દાખલા તરીકેઃ

મોટી જવાબદારી

જનતા અને ખાસ કરીને યુવા વર્ગ, રાહુલ ગાંધીને કોઈ મોટી જવાબદારી વાળું કામ સોંપાય તે માટે ઝંખી રહ્યો છે અને અપૂર્વ દબાણ કરી રહ્યો છે.

જનતા કાગડોળે રાહ જોઈ રહી છે કે રાહુલ ગાંધી હવે મોટી જવાબદારી ઉઠાવે.

હવે કષ્ટ નિવારક શ્રી ફલાણા ફલાણા … હવે તેઓ કષ્ટ નિવારકની ફરજ બજાવી શકે તેવા હોદ્દા ઉપર નથી તેથી રાહુલ ગાંધીને ધુરા હાથમાં લીધા વગર છૂટકો નથી.

હવે લોકસભાની સામાન્ય ચૂંટણીને એક જ વર્ષનો સમય રહ્યો છે અને ચાર મોટા રાજ્યોમાં વિધાન સભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે રાહુલ ગાંધીએ ઠોસ પગલા લેવાનો સમય આવી ચૂક્યો છે. અને તેથી જ મોવડી મંડળ રાહુલ ગાંધી પોતાના કરિશ્માનો ઉપયોગ કરે તે જોવા આતુર છે.

એટલે જ હવે મોવડી મંડળ ઈચ્છે છે કે રાહુલ ગાંધી કોઈ મોટો હોદ્દો સ્વિકારે.

યુપી, બિહાર ના ઘોર પરાજયની કળ વળે પછી નહેરુવીયન કોંગ્રેસ અને પ્રસાર માધ્યમોએ આવી વાતો ચગાવ્યા કરવાનો ઉપાડો લીધેલ છે.

રાહુલ ગાંધી ને પદનો મોહ નથી… મનમોહન સિંહ, રાહુલ ગાંધી માટે ગમે તે ઘડીએ વડાપ્રધાન પદ ખાલી કરવા તૈયાર છે. મન મોહન સિંહ, રાહુલ ગાંધીને પ્રધાન બનાવવા માટે આતુર છે. રાહુલ ગાંધીને પ્રધાન પદની તૃષ્ણા નથી…. જો કે પ્રધાન પદું કે મોટો હોદ્દો રાહુલ ગાંધીની વાંહેને વાંહે લાગી પડ્યો છે. હવે શું થશે?

જોકે જાણનારા જાણે છે કે રાહુલ ગાંધીના માતુશ્રી, અને રાહુલ ગાંધી પણ, પ્રધાન થવા માટેની ભારતની બંધારણીય  રીતે જરુરી  પ્રાથમિક યોગ્યતા ધરાવતા નથી. ભારતીય બંધારણ પ્રમાણે પ્રધાનપદની પ્રાથમિક લાયકાત એ છે કે જો કોઈ એક નાગરિક બીજા દેશનું નાગરિકત્વ મેળવવાનો અધિકાર ધરાવતો હોય તો તે વ્યક્તિ પ્રધાન પદના શપથ ન લઈ શકે. ઈટાલીના બંધારણ પ્રમાણે જે વ્યક્તિ ઈટાલીયન નાગરિક હોય અને જો તે બીજા દેશનું નાગરિકત્વ સ્વિકારે તો તે વ્યક્તિનો ઈટાલીયન નાગરિકત્વનો અધિકાર રદ થતો નથી. પણ નિલંબિત થાય છે. તે વ્યક્તિ ધારે ત્યારે ઈટાલીયન નગરિત્વનો અધિકાર મેળવી શકે છે. તે ઉપરાંત તેના સંતાન પણ આ જ અધિકાર ભોગવી શકે છે.  આવા કારણસર જ ૨૦૦૪માં નહેરુવીયન કોંગી પક્ષે રાહુલના માતુશ્રીનો “વડાપ્રધાન પદનો ભોગ આપ્યો”  એવો હાઈ પ્રોફાઈલ ડ્રામા કરવો પડેલ. આજ સમસ્યા રાહુલ ગાંધીને પણ પ્રધાનપદ માટેની પૂર્વ શરત તરીકે લાગુ પડી શકે છે. અને તેથી જ તેઓ પ્રદાન પદથી વંચિત છે.

વધુ માહિતી માટે યુટ્યુબ ઉપર સુબ્રહ્મણીયન સ્વામીનું ભાષણ સાંભળો.

હવે રાહુલ ગાંધી વિષે જે ભૂલભૂલમાં કે જાણી જોઇને જે “મહાન જવાબદારી” કે “મહત્વપૂર્ણ હોદ્દા” બાબત જે ગુબ્બારો ચલાવેલ તેને કેવીરીતે સાચવી લેવો?

બાર વરસે બાવો બોલ્યો ની જેમ રાહુલ ગાંધીને નહેરુવીયન કોંગ્રેસ પક્ષનું ઉપપ્રમુખપદ (વાઈસ પ્રેસીડૅન્ટ ની પોસ્ટ) સોંપાયું.

પક્ષના ઉપ પ્રમુખપદની મહાનતા કેવીરીતે સિદ્ધ કરવી?

“પક્ષ ના પ્રમુખપદ કરતાં પણ પક્ષનું ઉપપ્રમુખપદ મહત્વ પૂર્ણ છે. અર્જુન સિંહ પક્ષના ઉપપ્રમુખ  હતા. પક્ષના પ્રમુખપદે કમલાપતિ ત્રીપાઠી હતા. અર્જુનસિંહની સવારી સાથે સો મોટરગાડીઓનો કાફલો જતો. પક્ષ પ્રમુખ શ્રી કમલાપતિ ત્રીપાઠી રીક્ષા કરી ને આવતા જતા.” આવું છાપો.

વાત ખોટી નથી. અને સાચી પણ નથી. સ્વાતંત્ર્ય સંગ્રામના કાળમાં કમલાપતિ ત્રીપાઠી ક્યારેક રીક્ષામાં આવ જા કરતા હશે….  અને કાળક્રમે, અર્જુન સિંહની પાસે સો મોટરગાડીઓનો કાફલો હોઈ શકે. અહીં સુધી વાત સાચી છે. પણ કમલાપતિ ત્રીપાઠી ક્યારેય કોંગ્રેસ પ્રમુખ હતા નહીં. કમલાપતિ ત્રીપાઠી યુપીના મુખ્ય મંત્રી હતા અને તે પછી રેલ મંત્રી હતા. તે વખતે તેઓ રીક્ષામાં બેસીને આવજા કરતા હોય તો સમાચાર પત્રે મોટી શોધ કરી હોય તેમ લાગે છે (અથવા તો પછી “લાગે તો તીર નહીં તો તુક્કો” જેવી વાત લાગે છે)

તેવી જ વાત અર્જુન સિંહના કોંગ્રેસના ઉપપ્રમુખ પદની છે. હા જી. રાજીવ ગાંધી ક્યારેક નહેરુવીયન કોંગ્રેસના ઉપપ્રમુખ પદે હતા. તેમના સુપુત્રે જેમ પ્લાસ્ટીકનું તગારુ ઉચકીને ફોટો પડાવ્યો હતો તેમ કમલાપતિ ત્રીપાઠીએ કે રાજીવ ગાંધીએ રીક્ષામાં બેસવાનો ફોટો પડાવ્યો હોય તો આપણા ગુજ્જુ અખબાર કે આપણા ગુજ્જુ અખબારને જ્યાંથી સમાચાર લાધેલ હોય તે સિવાય કોઈએ આ વાત જાણી નથી કે ફોટો જોયો નથી.

સફળતાનો અભાવ અને નિઇસ્ફળતાઓ

પણ મૂળ સમસ્યા છે રાહુલ ગાંધીની સફળતાઓના અભાવની અને તેમણે મેળવેલી નિસ્ફળતાઓની.

આ નિસ્ફળતાઓને કેવી રીતે મીથ્યા કરવી? આપણા કાંતિભાઈ જેવા કટારીયાઓએ બીડું ઝડપ્યું લાગે છે.

“એવા કયા મહામાનવ છે કે જેઓ ક્યારેય નિસ્ફળ ગયા નથી?” કાંતિભાઈએ આવો પ્રશ્ન ઉભો કર્યો.

જોકે મને ખબર નથી કે જે રવિવારે ખાસ લેખ લખે છે તે કાંતિભાઈ, અને જેઓ રોજ લખે છે તે કાંતિભાઈ એક છે કે જુદા? કારણ કે રોજ રોજ લખવું એ સહેલું તો નથી. જો તમારે રોજ રોજ લખવાનું હોય તો તમે વિષય શોધીને લખો. વિષયને શોધીને લખો કે વિષય તમારી પાસે દોડીને આવે એ બંને માં ફેર તો છે જ. વિષય તમારી પાસે દોડીને આવે ત્યારે તેમાં અંતર્‌સ્ફુરણા હોય છે. સારું અને સચોટ પણ લખાય એવી શક્યતાઓ રહે છે. જો વિષય શોધીને લખીએ તો મગજને કસરત આપવી પડે. પણ આપણે આ ચર્ચા નહીં કરીએ. કટારભાઈનું ધ્યેય રાહુલ બાબાની નિસ્ફળતાઓને ગૌણ બનાવી દેવાનું છે.

તો વાત આ રીતે કહેવાની કે અબ્રાહમ લિંકન, મહાત્મા ગાંધી, ઑપ્રાહ વિન્ફે, ચંદ્ર યાત્રી આર્મ સ્ટ્રોંગ, વિગેરે વિગેરે …. લેખકશ્રીએ તેમની આદત પ્રમાણે ઘણા પાશ્ચાત્ય મહાનુ ભાવોના ઉદાહરણો આપેલા છે. આપણે બે જ વિષે ચર્ચા કરીશું.

અબ્રાહમ લિંકન ની નિસ્ફળતાઓ રાહુલ ગાંધીની નિસ્ફળતાઓ એક સમાન નથી અને બંનેને એક ત્રાજવે તોલી ન શકાય. અબ્રાહમ લિંકન પાસે સ્પષ્ટ નીતિ હતી અને સ્પષ્ટ સંદેશ હતો. અબ્રાહમ લિંકન પાસે ચિંતન હતું અને ધ્યેય હતું. પક્ષની આંતરિક બાબતોમાં થતા વિવાદો કે સંઘર્ષ ને હજું આપણું પત્રકારિત્વ પચાવી શકતું  નથી. આપણા પત્રકારિત્વને વંશવાદ અને લોકશાહીના ફારસનો છોછ નથી, પણ પક્ષનો આંતરિક વિવાદ તેને કઠે છે. આવું શા માટે છે? વાસ્તવમાં આપણું પત્રકારિત્વ પીળું અને અથવા પૂર્વગ્રહ વાળું છે. પૂર્વસ્વાતંત્ર્ય કાળમાં લોકો ટી.ઓ.આઈ. વિષે જ આવો અભિપ્રાય ધરાવતા હતા પણ હવે લગભગ મોટા ભાગના પ્રસાર માધ્યમોના આવા હાલ છે. અબ્રાહમ લિંકન કોઈ પ્રીન્સ ન હતા. કે તેમને રાહુલ જેવો મીડીયા સપોર્ટ ન હતો. નિસ્ફળતાઓ શરમાળપણા કારણે હોતી નથી.  તેમને મળેલી નિસ્ફળતાઓ એ તે વખતની તેમના પક્ષ અને જનતાની ગુલામી નાબુદીના પ્રશ્ને રહેલી માનસિકતા સબબ હતી. તેમણે દેશને અખંડિત રાખી ગુલામી પ્રથા નાબુદ કરેલ. તેઓ આર્ષદૃષ્ટા હતા. આપણા કટારીયા ભાઈએ મેટરને વિકૃત કરીને લખી છે.

આવું જ કંઈક વધુ અંશે તેમણે ગાંધીજી વિષે લખ્યું છે. “ગાંધીજી, દક્ષિણ આફ્રિકામાં વકીલાત માં દલીલો કરતાં ખચકાતા હતા…”

આ વાતમાં હકિકત દોષ છે. વાસ્તવમાં ગાંધીજી બેરીસ્ટર થઈને મુંબઈમાં સ્થાઈ થવા માગતા હતા. પણ મુંબઈમાં તેમની વકીલાત ચાલતી ન હતી. એક કેસ મળ્યો તે પણ તે ચલાવી ન શક્યા. તે પછી તેઓ રાજકોટ સ્થાઈ થયા અને ત્યાં વકીલાત કરવા લાગ્યા. પણ ત્યાં તેઓ અરજીઓ કરવાનું જ કામ બીજા વકીલઓના સહકારમાં કરતા હતા. તેમના ભાઈનું વર્તુળ મોટું હતું એટલે તેમને માસિક ૩૦૦ રુપીયા જેવી કમાણી થતી. જે તે વખતમાં ખરાબ તો ન જ કહેવાય. તેમના ભાઈએ, ગાંધીજીને દાદા અબ્દુલ્લાના કેસમાં મદદ માટે મોકલી આપેલ. દાદા અબ્દુલ્લાના વકીલોને લખાપટ્ટી વાળા એક વકીલની જરુર હતી તેથી ત્યાં જવા માટે ગાંધીજીને સધિયારો હતો કે તેમને કૉર્ટમાં જવું પડશે નહીં. જો કે ગાંધીજીને કૉર્ટમાં કેસ લડવાની આવડત કેળવવાની મહાત્વાકાંક્ષા તો હતી જ. પણ તેમનામાં તે વખતે એટલું “પ્રેઝન્સ ઓફ માઈન્ડ” કેળવાયેલું હતું નહીં. તેથી તેઓ કૉર્ટમાં કેમ દલીલો કરવી તે જાણતા નહીં. બેરીસ્ટર થયા પછી તેમણે કાયદાઓ વાંચ્યા અને સમજ્યા. લોકોની અરજીઓ લખી લખીને તેઓ જ્ઞાતા થયેલ. અને આફ્રિકામાં તેમણે દાદા અદ્બુલ્લાના કેસનો વિગતવાર ઝીણાવટ પૂર્વક અભ્યાસ કર્યો અને તેમને લાધ્યું કે કેસનો વિગતથી અભ્યાસ કરવાથી આત્મવિશ્વાસ આવે છે. ગાંધીજીને કોઈએ ધક્કા મારીને મહાન બનાવ્યા ન હતા. ગાંધીજી પૈસાદાર કુટુંબના (ઉપલા મધ્યમ વર્ગની કક્ષાના) હતા જરુર. પણ તેઓ પ્રીન્સ ન હતા.

ટૂંકમાં વડાપ્રધાનના પુત્ર હોવાને કારણે, ગોરા કે સુંદર હોવાને કારણે, કે પ્રમાણપત્રો હોવાને કારણે કે,  વાચન ને કારણે, કે સફરો કરવાને કારણે યોગ્યતા આવતી નથી. યોગ્યતા માટે સાક્ષરતા એટલે કે સમસ્યાની માહિતી, સમજણ અને ઉકેલની સુઝ હોવાની પ્રજ્ઞા હોવી જરુરી છે. વાચન તો જે એલ નહેરુનું પણ હતું, સુંદરતા અને ગોરાપણ તો અનેકમાં હોય છે. પ્રમાણ પત્રો તો મનમોહન સિંહ પાસે પણ ઘણા છે. સફર તો સોનીયાજીએ પણ ઘણી કરી છે. સલાહકારો તો પૈસા હોય તો અનેક મળી રહે. પણ આ બધું લાંબા ગાળે તો નુકશાન જ કરે છે. વૈચારિક અને શારીરિક મહેનત કરનારા અને ફળની અપેક્ષા રાખ્યા વગરના પ્રજ્ઞાવાન લોકો જ અંતે દેશનું ભલું કરી શકવાની યોગ્યતા ધરાવતા હોય છે.

કાંતિભાઈના ડબલ કાટાલાં

જો શ્રી કાંતિભાઇ, રાહુલગાંધીની પ્રતિભાથી આટલા બધા અભિભૂત (પરાજીત) થઈ શકતા હોય તો નરેન્દ્ર મોદીથી તો પ્રભાવિત થવા જ જોઇએ. પણ તેમ નથી. તેથી શંકાઓ ઉત્પન્ન થાય છે. ખેર ૧૯૬૫-૬૬માં સમાચાર માધ્યમોનું વલણ નહેરુવંશીઓ પ્રત્યે આવું જ હતું. ઈન્દીરા ગાંધી વડાપ્રધાન પદ માટે યોગ્ય હતા અને મોરારજી દેસાઈ અયોગ્ય હતા.   

કાંતિભાઈ ભટ્ટ આપણા જાણીતા કટાર લેખક છે. ચંદ્રકાંત બક્ષી ની જેમ કાંતિભાઈ ભટ્ટ પણ ગમે એવા છે. પણ કાંતિભાઈ ભટ્ટના ઘણા લખાણો કૃત્રિમ અથવા સહેતુક અથવા ન ગમે તેવા પણ હોય છે. મગજ ફોડીને પણ અષ્ટમ પષ્ટમ રીતે અમુક વ્યક્તિને કે માન્યતાને સિદ્ધ કરી દેવી એવું તેમનું ધ્યેય હોય એવી વાસ આવે છે. કેટલાક અળવીતરા લોકો “પેઈડ સમાચાર”નો એટલે કે ઠીકઠીક પેઈડ કરીને  પરાણે લખાવેલ લેખ હોય એવું પણ માનવા પ્રેરાય તો તેમને ક્ષમા કરી શકાય.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ગાંધીજી, લિંકન, નહેરુવીયન કોંગ્રેસ, રાહુલ, સોનીયા, વકીલાત, આફ્રિકા, દાદા અબ્દુલ્લા, નહેરુ, ઈન્દીરાઈ, કટોકટી, મોરારજી દેસાઈ, અર્જુન સિંહ, કમલાપતિ,   નરેન્દ્ર મોદી, પ્રમુખપદ, ઉપપ્રમુખપદ, કાંતિભાઇ ભટ્ટ               

Read Full Post »