સુજ્ઞ જનોએ બળાપો કરવો કે નહીં?
રામ અને કૃષ્ણ ભગવાનની વાત જાણે સમજ્યા. રામાયણના રામ ચરિત્ર (રામચરિત માનસ્ પુસ્તક નહીં) માંથી ચમત્કારો બાદ કરી નાખીએ તો પણ રામનું વ્યક્તિત્વ મુઠી ઉંચેરું રહે છે. કૃષ્ણ ભગવાન વિષે પણ એમ જ કહેવાય. સીતાજીનો તો ત્યાગ પણ હતો. રાણી તરીકેનું સુખ ભોગવવાનો હક્ક રાખ્યો તો સામાજીક પ્રણાલીઓને કારણે રામે કરેલો ત્યાગ પણ સહન કર્યો. પણ રાધાનું શું?
રાધા વિષે કોઈ કશું જાણતું નથી. મૂળ ભાગવત કદાચ મૌન છે. બ્રહ્મ વૈવર્ત પુરાણ કે બીજે ક્યાંક મેં વાચેલું કે રાધા, કૃષ્ણની મામી હતી. શિશુ કૃષ્ણ ને જોઇ ને તેની કામવાસના જાગી ઉઠી. કૃષ્ણ ભગવાન, ભગવાન હોવાથી તે જાણી ગયા. અને તેમણે પુખ્ત સ્વરુપ ધારણ કર્યું. ૬૪ પ્રકારની કામલીલા કરીને રાધાને તૃપ્ત કરી.
આમ તો ઈશ્વરની વાત કરવી એટલે ઈશ્વર એક જ સત્ છે. બીજું બધું મીથ્યા છે. પણ આવા ઈશ્વરમાં કોને રસ પડે? આપણે જ્ઞાની છીએ એટલે લોકોને શું ગમશે અને શું નહીં ગમે તેનો પણ ખ્યાલ રાખવો પડે. અને એ આપણું કર્તવ્ય છે.
પણ એક બીજી વાત પણ છે. આપણે અતૃપ્ત પણ છીએ. આપણે જ્ઞાની છીએ અને કેટલા જ્ઞાની છીએ તે તો આપણને જ ખબર છે. આપણા શ્રોતાઓને આપણા અજ્ઞાનની ખબર ન પડવી જોઈએ અને આપણો આર્થિક કે ખ્યાતિ નો ધંધો ચાલવો જોઈએ.
અતૃપ્તની થોડી ઘણી તૃપ્તિ માટે ભગવાનની વાતોમાં થોડો રોમાન્સ પણ લાવીએ તો કદાચ સોનામાં સુગંધ ભળશે.
કદાચ રાધાનું પાત્ર આરીતે ઉમેરાયું હોય. વૈષ્ણવી પુરાણો અને ખાસ કરીને મોટા ભાગના પુરાણોમાં મોટા ભાગના ઉમેરણો ઉત્તર-પ્રાચીન થી પૂર્વ-મધ્યકાલીન સમય સુધી થતાં રહેલા.
કૃષ્ણ ભગવાન તેમના સમયમાં પણ લોક પ્રિય હતા. અને તેમને ભગવાન માનવાનું મોડામાં મોડું ઈ.પૂ. ૪૦૦ વર્ષ થી તો ચાલું હતું જ. રામને ભગવાન માનવાનું પછી ચાલું થયેલું.
હવે રોમાન્સ ની વાત કરીએ તો બાલકૃષ્ણની સાથે રાધાને જોડવી કદાચ મધ્યકાલિન લોકો માટે વધુ અનુકુળ હશે.
રાધાના અસ્તિત્વ સાથે તત્વજ્ઞાન પણ ભરડવામાં આવે છે. જો કૃષ્ણને ભગવાન માનો તો જ રાધાના નામનું અસ્તિત્વ રહે છે. અને રાધા-કૃષ્ણની રોમાન્ટીક વાતો લીલા તરીકે વર્ણવાય છે. જો કૃષ્ણ ને મહામાનવ માત્ર માનીએ તો રાધા સાથેના વર્ણનો કૃષ્ણના ગુણોને કલુશિત કરે છે. હવે એક વખત તમે કૃષ્ણને ભગવાન માની લો એટલે આ બધું માફ.
પણ આમાં કૃષ્ણભગવાન નો કંઈ વાંક નથી. તેમણે તો ધર્મની પૂનર્ સ્થાપના કરેલી. અને યાદવોને પૂરા દરીયા કાંઠા ઉપર રાજ કરતા કરેલા. તેથી પણી લોકોને વેપારમાં સુરક્ષા મળી હતી. પૂરા ભારતવર્ષમાં તેમનો જયજય કાર થયેલો. તેમના ભક્તોને આજની તારીખ સુધી ખબર નથી કે કૃષ્ણ ભગવાન ની મહાનતા, વિશ્વમાં અન્યત્ર કયા ગુણોથી સ્વિકાર્ય બનશે.
વિજાયતીય પ્રેમ તમને વિરહમાં કવિ બનાવે છે અને સાંનિધ્યમાં તમને શૃગાર-રસમાં ડૂબાડે છે. કામવાસનાની અતૃપ્તિ તમને તત્વજ્ઞાની બનાવે છે અને અસહ્ય અતૃપ્તિ તમને સોડાલેમન-મીક્સ બનાવે છે. સોડાનું અને લેમનનું પ્રમાણ કેટલું એ તમારા વાંચન ઉપર આધાર રાખે છે.
જો તમારામાં કલાતત્વ હોય તો તમે સારા કવિ થઇ શકો. આના શ્રેષ્ઠ ઉદાહરણો મારા જેવા અલ્પજ્ઞ માટે તુલસીદાસ અને પ્રેમાનંદ છે. તુલસીદાસને બાજુ પર રાખો. પ્રેમાનંદના રાધાકૃષ્ણના વર્ણનો વાંચો તો બ્લ્યુ ફિલ્મો યાદ ન આવે તો ફટ્ કહેજો.
બહુગામી કામવાસના સમાજની સુખાકારી અને તંદુરસ્તી માટે ખરાબ છે. પણ તે ઉપર મનુષ્યનો કેટલો કાબુ છે? આ વાત શરીર-રસાયણ-શાસ્ત્રીઓ માટે પણ ગહન સંશોધનનો વિષય છે. માણસ કદાચ ભૌતિક રીતે પોતાના ઉપર કાબુ રાખે પણ મન ઉપર કાબુ રાખવો મુશ્કેલ છે. મનની વાત જબાન ઉપર આવવાની કોશિશ કરતી હોય છે. સાહિત્યકારો ના સાહિત્ય વિષે પણ આવું જ સમજવું.
માણસ ગમે તેટલો વિદ્વાન હોય પણ તેની ઉપવાસ કરવાની ક્ષમતા કે તરસ સહન કરવાની ક્ષમતા તેના શરીરના બંધારણ ઉપર આધાર રાખે છે. શ્રેષ્ઠ રસ્તો એજ છે કે તે પોતાની ક્ષમતા વધારવાની કોશિશ કરે. આ કોશિશ ચાલુ રાખવાની ક્રિયા એ જ તેનો વિજય છે એમ માને.
પણ બધા સાહિત્યકારો આ વાત સમજી શકે તે જરુરી નથી. તેથી પ્રેમાનંદ જેવા અનેક કામ-રસ સાથે ફાલતુ એવી તત્વજ્ઞાનની વાતો જોડી પોતાની અતૃપ્તિને છૂપાવે છે.
જ્યારે ક્યાંક અતિરેક દેખાય ત્યારે અતૃપ્તિ દેખા દે છે. અને ઘણા આશ્ચર્યો સામે આવે છે.
એક કાળે દિલીપ ખાન, રાજકપુર અને દેવાનંદની ત્રીપૂટીમાં ઉત્તર ભારતીય યુવાનો વિભાજીત હતા. દિલીપ ખાન એવા હતા કે દેખાવે સામાન્ય એટલે કોઈ છોકરી સામે થી તો તેમના પ્રેમમાં પડે નહીં. પણ ફીલમમાં સાવ ઉંધું થતું હતું. તેમની ફિલમમાં હીરીબેન સામેથી તેમના પ્રેમમાં પડતી. તેથી અમુક વર્ગના યુવાનો તેમાંથી તાદાત્મ્ય સાધતા.
રાજ કપુર ભાઇ એવા હતા કે લવ કરવા આતુર, અને હીરીબેન એમના પ્રેમમાં પણ પડતા પણ પછી કોઈ સારો કે બીજો મુરતીયો મળતાં રાજકપુરભાઈને વહેતો મુકતા, અને પછી બીજા સાથે લગન કરી નાખતા. જોકે તેમને રાજકપુરભાઈ સાથે સહાનુભૂતિ રહેતી. અને રાજકપુર ભાઈની દયા સૌ કોઈ ખાતા. કદાચ પ્રેમભગ્નતાથી પીડીત કે તેવી પીડાનો કાલ્પનિક ભય રાખતા યુવાનોનો વર્ગ આ રાજકપુરભાઈ સાથે હાઈપોથેટીકલી તાદાત્મ્ય સાધતો.
દેવજીભાઈ પોતે સુંદર (ક્યારેક તેમનું ફીલ્મી નામ પણ મદન રહેતું) તેથી તેમને કન્યાઓનો ડર રહેતો નહીં અને બિન્ધાસ્ત રીતે કન્યા-હીરીબેનની પાછળ ઈવ-ટીઝર બનતા. તેથી અમુક પ્રકારનો યુવાવર્ગ અને કન્યાવર્ગ તૃપ્તિ અનુભવતો.
જો કે આ બધું મીથ્યા હતું. કદી કશું કેટલું તૃપ્ત થાય છે કે કેમ તે સંશોધનનો વિષય છે.
અજાયબીઓ તો આજે પણ ક્યાં ઓછી છે. જે હીરાભાઇઓના(એક્ટરો તો કેમ કહેવાય?)ની એક્ટીંગની કોઈ નકલ કરે ત્યારે સૌને ખબર પડી જાય ફલાણા હીરાભાઈની નકલ છે પણ તમે ફીલમનું નામ ન દઈ શકો. તો તેનો અર્થ શું થયો? તેનો અર્થ એજ થયો કે હીરાભાઈની સ્ટીરીયો ટાઈપ એક્ટીંગ છે. જો તમે હીરાભાઇનું ફીલ્મી નામ ભૂલી જાઓ પણ હીરાભાઈ યાદ રહે તો તે હિરોને ઝીરો જ કહેવાય.
અને છતાં તમે જુઓ, શુક્રવાર તેમને માટે ફીક્સ કર્યો છે તો પણ તેમની વાતો ચાલુ દિવસોમાં ફોટા સહિત આવે છે. હીરીબેનો વિષે પણ તેવું જ છે. કારણ કે જેમનું કશું જ ગણનાપાત્ર રચનાત્મક કે હકારાત્મક અનુદાન નથી અને જેમના ઉપર કોર્ટના કેસો પણ ચાલુ છે તેમના હંગ્યા-પાદ્યાના પણ સમાચારો આવે છે. આ બધું આશ્ચર્ય નથી? શું આ બધું મીથ્યા નથી? ખચિત મીથ્યા જ છે તો પણ માણસો ઉશ્કેરાટ અનુભવતા ઉંચાનીચા થાય છે.
આ ક્રિકેટ જ જુઓ. ખેલાડીઓ મેદાનમાં (પેવેલીયનમાંથી બહાર) આવે તો એમ કહેવાયા કે (નાઉ ધ ફીલ્ડર્સ આર ઇન), જ્યારે એક બેટ્સમેનના ડાંડીયા ઉડી જાય અને તે પેવેલીયનની અંદર જાય તો કહેવાય કે (હિ ઈઝ આઉટ). “સ્કોરર” કશો સ્કોર કરતો નથી. અને રનર ના ખાતામાં કશા રન ઉમેરાતા નથી. એમ્પાયરને મેદાનની બહાર કોઈ ગણતું નથી. “એક્ષસ્ટ્રા” નૃત્ય કરતી નથી. આવી તો ઘણી અસંબદ્ધ વાતો છે.
જો બેટ્સમેનોને બેટ ભેટમાં આપી શકાય તો ફુટબોલના ખેલાડીઓને ફુટબોલ ભેટ આપી શકાતો હશે એમ માનીને ફુટબોલ માટે લડતા બંને ટીમોના ખેલાડીઓને જુનાગઢના નવાબે ભેટ તરીકે એક એક ફુટબોલ આપ્યા. “જાઓ હવે એક દડા માટે અંદર અંદર લડશો નહીં.” મેરાડોનાની ટીમ હારી તેના કરતાં મને મેરાડોના દુખી થયો તેનું વધારે દુઃખ છે. શું આ બધું મીથ્યા નથી?
એક સાવ જ સીધી સાદી વાત. અને છતાં છે સાવ અટપટી. ભારત દેશ પ્રાચીન દેશ. વિદ્વત્તાના પુસ્તકોથી ભરપૂર. ઔતિહાસિક ચમત્કારોથી ભરપૂર. તાજેતરનો જ ચમત્કાર જુઓ. જે દેશના કવિ જનો પણ જે બ્રીટીશ સરકારથી અભિભૂત હતા અને જે દેશની પ્રજા કાળની અકળ લીલા થકી અભણ અને ગરીબ બની ગયેલી, તે પ્રજાને મહાત્મા ગાંધીએ જગાડી અને એક સુસ્થાપિત વિદેશી સામ્રાજ્યની વિરુદ્ધ તે પ્રજાને અહિંસક લડત માટે તૈયાર કરી અને સાથે સાથે સમાજીક પ્રણાલીઓને લલકારી, તે મહાત્માગાંધીનો ચમત્કાર નાનો સુનો હતો?
અને જુઓ આજ પ્રજા અવારનવાર છેતરાયા બાદ પણ એક જ પક્ષની એક જ કૌટુંબિક વારસાને માનતી નિસ્ફળ, દંભી અને વ્યંઢ નેતાગીરીથી છેતરાયા કરે તે ઓછા બળાપાની વાત છે?
જ્હોન હેર્સી ના “એ બેલ ફોર એડાનો” માં એક વાત આવે છે કે “એડાના” ગામના લોકોની પ્રાથમિકતા દેવળનો ઘંટ હતી. ખોરાક અને રોજી તો આવતી કાલની વાત છે.
આનંદ મૂખ્ય વસ્તુ છે. આનંદ સત્ છે. બીજું બધું મીથ્યા છે. જગતમાં શું મીથ્યા નથી? જગત આખું તો મીથ્યા છે. બળાપો શેનો કરવો અને શેનો ન કરવો? બસ આનંદ કરો. દરેક ક્રિયાની પાછળનો હેતુ અંતે તો આનંદ પ્રાપ્ત કરવાનો છે.
બહુ ચળ ઉપડતી હોય તો “જનતા જ એવી છે.” તેના દુર્ગુણોની વ્યાપકતા વર્ણવી દો અને “મેં કેવું સરસ કીધું… ?” એમ માની મહાનતા અનુભવો.
સાધ્યં ઈતિ સિદ્ધમ્
ચમત્કૃતિઃ
પૂરા એકદા પૃષ્ટવાન પદ્મયોનીં,
ધરિત્રીતલે સારભૂતં કિમસ્તિ?
ચતુર્ભિર્મૂખૈ રીત્યંવોચ્દ્વિરંચૈઃ
સ્તમાખુ સ્તમાખુ સ્તમાખુ સ્તમાખુઃ
એક વખત બ્રહ્માજીને બધા દેવતાઓએ ભેગા થૈને પૂછ્યું કે અત્યારે ધરતી ઉપર સારરુપ શુમ છે? બ્રહ્માજીના ચાર મુખોથી બોલાયું “તમાકુ તમાકુ તમાકુ તમાકુ”
શિરીષ એમ. દવે
સંયમ, કામવાસના, તુલસીદાસ, પ્રેમાનંદ, મેરાડોના, ફુટબોલ, રાધા, કૃષ્ણ, ક્રિકેટ, ફુટબોલ