નરેન્દ્ર મોદી, બીજેપી, દંભી સેક્યુલરીસ્ટો અને વર્તમાન પત્રો.
ધોકાવાળી કરવા માટે ધોકો પણ જુદો અને ન્યાય તોલવા માટે બાટ પણ જુદા.
વર્તમાન પત્રોની વાત જવા દો. કેન્દ્રમાં કોંગીનું રાજ હોય તો કોંગીને સાવ બાજુપર તો ન જ મુકી દેવાય. વર્તમાન પત્રો ને વાચકો પણ જોઇએ છે. આ વાચકોમાં ભૂત, પિશાચ, અસુરા અને રાક્ષસી મનોવૃત્તિ વાળા પણ આવવા જોઇએ. કારણ કે તેઓ પણ આપણા દેશમાં એકલ દોકલની સંખ્યામાં નથી. ભારત કંઈ યક્ષ ગાંધર્વ અને કિન્નર અને માનવગણવાળો ફક્ત કળા કારીગરોનો દેશ નથી. તેથી સમાચાર પત્રના માલિકોએ બધાને બહુ નહીં તો થોડો થોડો પણ સંતોષ થાય તેવા સમાચારો ચગાવવા પડે અને હેડીંગો બાંધવા પડે છે.
આ વાત પત્રકારો અંગતવાતચિતમાં કબુલ કરી લે છે પણ ખરા. કારણકે જ્યારે દેશ ઉપર ભ્રષ્ટ અને દંભી બીનસાંપ્રદાઈકતાનું ભૂત ધૂણતું હોય ત્યારે તેવા માહોલથી તદન “આઉટ ઑફ ફ્રીક્વન્સી” વાળું અલગ વાજુ ન વગાડી શકાય. ગાંધી બાપુ અને વિનોબાભાવેની વાત અલગ હતી. આપણે શહીદ થવું નથી.
પણ જે મહાનુભાવો કટારો (માણસની પીઠ કે છાતી ઉપર ખોસવાની કટાર નહીં પણ છાપાના પૃષ્ઠ ઉપરની વિભાગીય કોલમો)ઉપર કબજો ધરાવે છે તેમની પાસે સામાન્ય જનતા કંઇક આશા રાખે તો અજુગતું ન કહેવાય. માનનીય ગુણવંતભાઈ શાહ નો લેખ (દિવ્યભાસ્કર ૨૮મી માર્ચ ૨૦૧૦ રવિવાર) અત્યંત પ્રસંશનીય અને ચિંતનીય છે તે વિષે બે મત ન હોઇ શકે.
બીજેપી વાળા, કંઈક અંશે વીએચપી અને આરએસએસના નેતા બંધુઓ અને આમ જનતાનો મોટો ભાગ એક સવાલ તો પૂછી શકે તેમ છે જ કે હિંદુઓના કયા ગુણોને મિથ્યાભિમાનમાં ખપાવી શકાય? બીજેપી ઉપર બભમ બભમ જેવા આવા આક્ષેપો અને પ્રહારો સામાન્ય થઇ ગયા છે. અને તેપણ એટલી હદે કે માહિતિપ્રસારણ-માંધાતાઓ આ બાબત ઉપર ફોડ પાડવાનું અને વિસ્તારથી કહેવાનું જરુરી પણ સમજતા નથી. અને તેઓ આ એક ફેશન હોય તેમ વર્તે છે.
આ બાબત જેઓએ “ભારત દેશ મહાન” ને આત્મસાત કર્યું છે તેમને તો કઠે જ કઠે, પણ જેઓ સમજે છે કે આપણે સુધરવા માટે તૈયાર છીએ તેઓને પણ કઠે છે. આમ જનતાને માહિતિથી વંચિત રાખવામાં આવે છે, તે પણ તેમને કઠે છે. લોકશાહી એ એવી વ્યવસ્થા છે કે જેમાં બગડેલાને સુધરવાની તક હોય છે અને આવી તક આપવામાં પણ આવે છે. પણ જો તમે તેને બતાવો નહીં કે તે કઇ બાબતમાં બગડેલો છે અને તેના ઉપર સતત ગાલીપ્રદાન જ કર્યા કરો તો તે એક અત્યાચાર છે. અને તમે સમજો કે સામાન્ય માણસ “બકાસુર” નથી જ નથી જ.
બીજેપીવાળાઓને કે આરએસએસના ભાઇઓને કે વીએચપી બંધુઓને કે કોઇપણ સ્વાભિમાની હિન્દુને દાખલા દલીલો કે સ્પષ્ટતા વગર મિથ્યાભિમાની કહેતા રહેવાનું રટ્યા કરવું તે એક રાજકીય દુરાચાર છે. સ્વાભિમાની હિન્દુઓની કેટલીક ઐતિહાસિક માન્યતાઓ છે જે પાશ્ચાત્ય ઇતિહાસકારોથી જુદી પડે છે. અને આ હિન્દુઓ એવું ઇચ્છે છે કે બીજી ઐતિહાસિક માન્યતાઓ સાથે તેમની આ પરાપૂર્વથી ચાલી આવતી માન્યતાનો પણ સમાવેશ કરવામાં આવે. તેમની પાસે તે માટે પ્રમાણભૂત દલિલો પણ છે.
બીજો સવાલ રામ મંદિરનો છે. રામમંદિરને મિથ્યાભિમાન સાથે સાંકળી ન શકાય. અને જો સાંકળવો જ હોય તો તેની વિષે ચર્ચા થવી જોઇએ. અને આ માટે બી્જેપીના હિતેચ્છુઓ તૈયાર પણ છે. વાસ્તવમાં દંભી બિનસાંપ્રદાઈક મહાનુભાવો અને તેને સમકક્ષ મૂર્ધન્યો કાં તો પ્રચ્છન્ન મનોરોગિષ્ઠ છે અથવા મલિન રાજકારણ રમવા માગે છે. અને પોતાની મલિનતા છૂપાવવા ઈંદીરાઈ દાવ કે ” કોઇ આપણને કાણો કહે તે પહેલાં આપણે સામાવાળાને સો વાર કાણો કહી દેવો”. અને તેથી જ આ દંભી બિનસાંપ્રદાયિક મહાનુભાવો અને તેને સમકક્ષ મૂર્ધન્યોએ એવી હવા ફેલાવી છે કે બીજેપી “રામમંદિર ઉપર રાજકારણ રમી રહી છે અને તે મુદ્દાને સદાકાળ માટે જીવતો રાખવા માગે છે.”
વાસ્તવમાં નહેરુવીયન કોંગ્રેસબંધુઓને રામમંદિરના હલ માટે કોઈએ રોક્યા નથી. દડો એમના પોતાના કૉટમાં છે અને ફટકોમારવાનું સામાવાળાને કહેવામાં આવે છે. ભારતમાં જો ચૂંટણીઓ ધાર્મિક મુદ્દાઓ ઉપર જ લડાતી હોત અને જીતાતી હોત તો હિન્દુઓએ ક્યારનુંય ભારત સર કરી લીધું હોત અને નહેરુવીયન કોંગ્રેસનું નામોનિશાન ન રહેત.
ભારતમાં ચૂંટણીઓનું વોટ પોલીટીક્સ અલગ છે. “ગરમ હવા” ના કહેવા પ્રમાણે “ધર્મથી પણ બઢકર એક ચીજ છે. તે છે રીશ્વત”. અને જે દેશને ગરીબી, નિરક્ષરતા અને બેકારીથી પાયમાલ કરી દેવામાં આવ્યો હોય તેને માટે ન તો રામ મંદિર ક્યારેય મુદ્દો હોય છે કે નતો ધર્મ કે ધાર્મિક મિથ્યાભિમાન મુદ્દો બની શકે છે. પણ જુઓ, કોંગ્રેસબંધુઓ છાસવારે લઘુમતિને લગતા નિવેદનો કરતા રહેતા હતા અને બીજેપીને સાંપ્રદાયિક તત્વો સાંપ્રદાયિક તત્વો તરીકે ભાંડતા રહેતા હતા.
જો તમારે ચૂંટણી જીતવી હોય તો તમે “ગુજ્જરોને મીનાઓ સાથે ભીડાવો, પટેલોને ક્ષત્રીયો સાથે ભીડાવો, ગામડાને શહેરો સાથે ભીડાવો, દક્ષિણભારતીયોને ઉત્તરભારતીયો સાથે ભીડાવો, શિવસેનાઓ અને મહારાષ્ટ્ર સેનાઓને ભીડાવો, દલિતો અને સવર્ણોને ભીડાવો, ઐતિહાસિક વિવાદોને ચગાઓ જેથી મર્ધન્યો પોતાની પ્રાથમિકતાઓ ભૂલે. ચૂંટણી જીતવાના હજાર રસ્તાઓ છે.
અને જુઓ તદ્દન વિરોધી વાત. શ્રી નરેન્દ્ર મોદીએ આમાંનો એક પણ રસ્તો ન અપનાવ્યો. તેમણે સર્વ ક્ષેત્રીય પ્રગતિનો રસ્તો કોતરીને બતાવ્યો. શું નરેન્દ્રમોદીનો માર્ગ કંટક રહિત છે? ના જી. મહાત્મા ગાંધીનો માર્ગ પણ ક્યાં કંટક રહિત હતો?