“૨૫મી જુન” ઈન્દિરાઈ કટોકટી એક અધમાધમ કૃત્ય
હાજી, આજનો દિવસ ભારત માટે, ભારતના જનતંત્રીય ઇતિહાસના પ્રકરણોમાં કાળો દિવસ છે.
પ્રાચીન ભારતનો ઇતિહાસ “સત્યના આદર” દર્શાવતા અનેક પ્રકરણોથી સુશોભિત છે. મધ્યયુગી કાલીમાઓ થી કલંકિત પણ છે. પણ આ મધ્યયુગી કાલીમાઓમાં પણ સુવર્ણમય પ્રકરણોનો તૂટો નથી.
૧૯૪૭માં નહેરુએ પોતાનું પોત પ્રકાશ્યું. ગાંધીજી સામે ત્રાગુ કર્યું અને ગાંધીજીએ તેમને કામ ચલાઉ સમય માટે વડા પ્રધાન પદ તરીકે સ્થાપવા માટે ભલામણ કરી. લોકશાહીમાં કશું કાયમી હોતું નથી. આ વાત ગાંધીજી પણ જાણતા હતા. પણ ભારતની જનતા અભણ અને અબુધ હોવાના કારણે, નહેરુના એ અપ્રત્યક્ષ પ્રચારમાં આવી ગઈ કે નહેરુને તો યાવત ચંદ્ર દિવાકરૌ માટે વડા પ્રધાન પદ પર સ્થાપ્યા છે. ભારતના દુર્ભાગ્યે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ વહેલા ગુજરી ગયા અને તે પછી ભારતના મૂર્ધન્યો પણ ઉણા ઉતર્યા. આમ થવાથી ૧૯૭૫માં ચાલુ થનારી કાળરાત્રીના બીજ વવાયાં.
આમ તો નહેરુએ લોકશાહીના બણગાં બહુ ફૂંકેલા. અયુબખાનના માર્શલ લૉની ભર્ત્સના અને ઇસ્કંદર મીર્ઝાએ પ્રસ્તૂત કરેલા જોડાણનો પ્રસ્તાવ પણ લોકશાહીના મુદ્દા ઉપર જ ઠૂકરાવેલ.
આ બધું નહેરુએ પોતાની સર્વોચ્ચતા જાળવી રાખવા માટેની વ્યુહરચનાના ભાગ રુપે કર્યું હોય તેવું લાગે છે.
જનતંત્રનું હાર્દ
૧૯૬૨માં ચીને ભારત ઉપર જે સરળતાથી વિજય પ્રાપ્ત કરેલ, તે જોતાં અને નહેરુએ તે પરત્વે ઘર આંગણે જે રીતરસમો અપનાવી તે જોતાં નહેરુની નૈતિક જવાબદારી હતી કે તે વડાપ્રધાનપદે થી રાજીનામું આપી દે. જનતંત્રનું આ હાર્દ છે. પણ નહેરુની જનતંત્રની ઓળખ નૈતિકતાના આધાર ઉપર રચાયેલી ન હતી. ભારતના મૂર્ધન્યોની સમજ પણ કેટલાક અંશે તેવી જ હતી. તેથી ૧૯૬૨ના કારમા પરાજય પછી પણ આ મૂર્ધન્યોએ ફક્ત સંરક્ષણ પ્રધાનના રાજીનામાની જ વાત કરેલ. અને તે પણ નહેરુએ નકારેલ અને પોતાની વાત ઉપર અડગ રહેલ.
પણ પછી થયું એવું કે તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ રાધાકૃષ્નને નહેરુને ગર્ભિત ધમકી આપી કે તેઓ વડાપ્રધાન બદલી શકે છે ત્યારે નહેરુની શાન ઠેકાણે આવી અને સંરક્ષણખાતાના બે હિસ્સા કરી નાખ્યા. સંરક્ષણનો શસ્ત્રોત્પાદનનો હિસ્સો મેનનને આપ્યો. સંરક્ષણનો વહીવટી હિસ્સો યશવંત રાવ ચવાણને આપ્યો.
નહેરુને ખ્યાલ આવી ગયો કે હવે તેમના વળતા પાણીની શરુઆત થઈ ગઈ છે અને તેમણે કરેલી હિમાલય જેવડી ભૂલોના પાપ છાપરે ચડીને પોકારશે. પોતે શારીરિક રીતે અશક્ત થઈ ગયા હોવાં છતાં પણ તેઓશ્રી આ બધું દબાવવા વડાપ્રધાન પદે ચાલુ રહ્યા. અને એવી ગોઠવણ કરી કે તેમના પછી તેમના અનુગામી તેમના ફરજંદ જ બને. આ બધાં વલણો લોકશાહી મનોવૃત્તિના નથી જ નથી જ.
આ બધી વાતો શું મૃત્યુ પામેલી વાતો (ડેડ ટોપિક) નથી?
આ બધી વાતોને શા માટે યાદ કરવી જોઇએ? આ બધી વાતોની ચર્ચાનો અત્યારે સંદર્ભ શું અને આ બધી વાતોનું પ્રાસ્તૂત્ય શું?
આપણા ભારતની પૌરાણિક વાર્તાઓમાં રાક્ષસ આવતા હોય છે. તેમાં કોઈએક રાક્ષસને વરદાન મળ્યું હોય છે કે તેનું લોહીનું ટીપું જો જમીન ઉપર પડે તો તેમાંથી અનેક રાક્ષસ ઉત્પન્ન થાય. આમ તો આ બધી વાતો ઇતિહાસને રસપ્રદ બનાવવા માટે હોય છે પણ ક્યારેક રુપકો દ્વારા બોધ પણ હોય છે.
જે રાક્ષસીય વૃત્તિનું વલણ મનમાં પ્રચ્છન્ન રુપે પડેલું હોય છે તે સૌ પ્રથમ શરુઆતમાં અપ્રચ્છન્ન રુપે તે અને બીજા સ્વરુપે આવે. જોકે આ અપ્રચ્છન્ન સ્વરુપ ભવિષ્યમાં આવનાર અઘોર અપ્રચ્છન્ન સ્વરુપનો અણસાર તો આપે જ છે. પણ આ પ્રારંભિક અપ્રચ્છન્ન સ્વરુપ માયાવી હોવાથી કેટાલાક મૂર્ધન્યો ઓળખી શકતા નથી.
જેઓ ૧૯૬૩માં બાબાગાડીથી ચાલતા ન હતા તેઓ નહેરુના “કામરાજ પ્લાન”ને યાદ કરે. નહેરુની આપખુદી મનોવૃત્તિનું આ અપ્રચ્છન્ન સ્વરુપ હતું. પણ તે માયાવી હતું. તેથી કેટાલાક મૂર્ધન્યોએ તાલીઓ પણ પાડેલી. કેટલાકે તેમાં પોતાનો રાજકીય લાભ જોયો, એટલે ખૂશ થયા. કેટલાક મોરારજી દેસાઈને પોતાના રાજકીય શત્રુ માનતા હતા એટલે ખુશ થયા અને તાલીઓ પાડી.
જ્યારે ઇન્દિરા ગાંધીએ રાજાઓના સાલીયાણા અને વિશેષાધિકારો નાબુદ કર્યા ત્યારે આજ લોકોએ તાલીઓ પાડેલી. બેંકોના રાષ્ટ્રીયકરણની પણ આજ લોકોએ તાલીઓ પાડેલ. નહેરુવીયનોમાં પ્રચ્છન્ન રીતે પડેલી આપખુદી મનોવૃત્તિને આપણા મૂર્ધન્યો જાણવા છતાં અજ્ઞ રહ્યા.
૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા પડ્યા અને નહેરુવીયન કોંગ્રેસ ખુલ્લી રીતે “ગાયવાછરડાના ચિન્હ સાથે” બહાર આવી. તેને લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ મળી. ૧૯૭૧માં ના રાજ્યોની ચૂંટણીમાં પણ પ્રચંડ બહુમતિ મળી.
“કેટલાક લોકો અમને કામ કરવા દેતા ન હતા” ઇન્દિરા ઉવાચ
“કેટલાક લોકો (આ ગઢ્ઢા બુઢ્ઢા લોકો) અમને કામ કરવા દેતા ન હતા. આજ લોકો મારા પિતશ્રીને (બાપાને) પણ કામ કરવા દેતા ન હતા. “
ઇન્દિરાના આ બહાનાને મૂર્ધન્યોએ માન્ય રાખ્યું. ૧૯૭૦થી ૧૯૭૫ સુધીનો સમય ઇન્દિરાગાંધી માટે જનસમુદાયને આપેલા વચનો પાળવા માટે રાજકીય રીતે યોગ્ય સમય હતો.
સમસ્યાઓ કઈ હતી?
(૧) ગરીબી, નિરક્ષરતા, બેકારી
(૨) જીવન જરુરી વસ્તુઓની તંગી
(૩) એક કરોડ બાંગ્લાદેશી ઘુસણખોરોની વાપસી
ઇન્દિરા ગાંધી માટે કોઈ બહાનું ન હતું કે તે પોતાના ઉપરોક્ત આપેલા વચનો આંશિક રીતે પણ પૂરા ન કરી શકે.
પણ થયું તેથી ઉંધું
ગરીબી અને નિરક્ષરતા તો એકબીજા સાથે સંકળાયેલા છે. બેકારી અને અછત પણ એકબીજાના વિરોધાભાષી છે. દૂધ, કોલસા, ગોળ, ખાંડ, અનાજ, સીમેન્ટ, લોખંડ, કાપડ (જાડું કાપડ), વિગેરે જેવી અનેક વસ્તુઓની પારાવાર તંગી હતી. અને તેના કાર્ડ અથવા પરમીટ બનતી હતી. અને આવી પરિસ્થિતિ વધુને વધુ વિકટ થતી જતી હતી. બંગ્લાદેશી ઘુસણખોરોની સંખ્યા તો વધતી જતી હતી. ઇન્દિરાએ પાકિસ્તાનના શરણાર્થી ૯૨૦૦૦+ સૈનિકોને છોડી દીધા હતા. પણ પાકિસ્તાને પૂર્વપાકિસ્તાન સરહદે પકડાયેલા ૪૫૦ ભારતીય સૈનિકોને છોડ્યા નહીં.
આમ આ નહેરુવીયન ફરજંદમાં તેમાં રહેલા સ્વકેન્દ્રીય અને આપખુદી દુર્ગુણો તેના નગ્ન સ્વરુપે પ્રકટ થયા. આ જ દુર્ગુણો નહેરુમાં શરુઆતમાં પ્રચ્છન્ન રીતે રહેલા હતા અને તે પછી તે દુર્ગુણો માયાવી રીતે અપ્રચ્છન્ન થયા હતા.
ભ્રમભરી માન્યતા
આ બધું હોવા છતાં પણ આજની તારીખમાં કેટલાક મૂર્ધન્યો ઇન્દિરાને એક નિડર અને બાહોશ વ્યક્તિમાને છે. તેઓ ઇન્દિરાની આપખુદીને એક બાજુ મુકી દે છે અને કહે છે કે એ બધું ખરું પણ તેણે એક વખત તો પાકિસ્તાનને હરાવી દીધું ને? તેને કેવો પાઠ ભણાવી દીધો?
વાસ્તવમાં આ એક ભ્રમ છે
આ ભ્રમની વિગતવાર ચર્ચા આજ બ્લોગ સાઈટ ઉપર અન્યત્ર વિસ્તારથી બતાવી છે.
પહેલાં તો એ સમજી લેવું જોઇએ કે તત્કાલિન પૂર્વ પાકિસ્તાનની જનતા, પશ્ચિમ પાકિસ્તાનથી અલગ થવા આંદોલન કરતી હતી. તત્કાલિન પાકિસ્તાનનું લશ્કર અનેક મોરચે લડતું હતું. ભારતીય લશ્કરને પૂર્વપાકિસ્તાની જનતાનો સાથ હતો. કોઈ પણ યુદ્ધ જનતાના સાથ વગર જીતી સકાતું નથી. ભારતના લશ્કરને આ યુદ્ધ જીત્યા છૂટકો ન હતો. અને એક વાત લખી લો. ભારતીય લશ્કરને જ્યારે સજ્જ રાખવામાં આવ્યું હોય ત્યારે તે કદી હાર્યું નથી. જેમ ૧૯૬૨નું યુદ્ધ હારવામાં નહેરુની મૂર્ખામી કારણભૂત હતી, તેમ સિમલા કરારમાં ઇન્દિરાની મુર્ખામી કારણભૂત હતી. ઇન્દિરાએ જિતેલા યુદ્ધને સંપૂર્ણ પરાજયમાં ફેરવું નાખ્યું.
સિમલા કરાર
ભુટ્ટો સાથે ઇન્દિરાએ પ્રચ્છન્ન રીતે શી લેવડદેવડ કરી આપણે જાણતા નથી. પણ સિમલા કરાર અગાઉ ઇન્દિરા ગાંધીએ ઘણા ફડાકા માર્યા હતા કે આવખતે તો પેકેજ ડીલ જ કરી શું અને ભારત-પાકિસ્તાન વચ્ચેની દરેક સમસ્યાનો નિવેડો લાવીશું.
આથી વિશેષ પાકિસ્તાનને દબાવવાનો સારો મોકો મળવાનો ન હતો. જો ઇન્દિરાએ ધાર્યું હોત તો પાકિસ્તાન અને ભારત વચ્ચેની દરેક સમસ્યાનું નિવારણ કરી શકાયું હોત. પણ એવું કશું થયું નહીં. પાકિસ્તાનને બધું જ આપી દીધું. એટલી હદ સુધી કે પાકિસ્તાન હસ્તક કાશ્મિરનો જે હિસ્સો ભારતીય લશ્કરે જીત્યો હતો તે પણ પાકિસ્તાનને પરત કર્યો. (વાસ્તવમાં આ ગેરબંધારણીય છે).
ભારતને કશું જ મળ્યું નહી. કાશ્મિરના મુદ્દે પણ સમાધાન ન કર્યું.
ભૂટ્ટોએ કહ્યું “હે ઇન્દિરાબેન, ધારો કે આપણે કાશ્મિરની સમસ્યાનો નિવેડો લાવતો કરાર કરીએ અને હું પાકિસ્તાન જાઉં તે પછી મારું ખૂન થઈ જાય તો આવા કરારનો અર્થ શો રહેશે?”
ઇન્દિરાના ભેજામાં આ તર્ક શીરાની જેમ ઉતરી ગયો અને એક વ્યંઢ કરાર કર્યો કે “કાશ્મિરનો પ્રશ્ન, ફક્ત દ્વિપક્ષીય વાતચીતથી જ હલ કરીશું”.
ઊંટે કાઢ્યા ઢેકા તો (ઊંટથી વધુ બુદ્ધિશાળી) માણસે કર્યા ટેકા. પાકિસ્તાનના રાજકીય નેતાઓએ ઇન્દિરાની બેવકુફી (જો ટેબલ નીચે ઇન્દિરા ગાંધીએ ભૂટ્ટો પાસેથી કશી લેવડ ન કરી હોય તો ખચિત રીતે આમેય નહેરુવીયન કોંગ્રેસ કે જેના અઢારે અંગ વાંકા છે તે સિદ્ધ થયું) સિદ્ધ કરી.
પાકિસ્તાને સમય જતાં આતંકવાદ દ્વારા અને ધર્મના નામ દ્વારા કાશ્મિરને અશાંત કર્યું. અત્યારની દરેક સમસ્યાના મૂળ, નહેરુ-ઈન્દિરાનું શાસન છે. પણ કેટલાક મૂર્ધન્યો આ નહીં સમજે કારણકે તેમના માટે પોતાના રાજકીય અસ્તિત્વનો સવાલ છે.
જેઓ કટોકટીના કાળમાં જન્મ્યા ન હતા કે, જેઓ તે સમયે બાબાગાડી ચલાવતા હતા અને ભારતના રાજકારણના અર્વાચીન કાળના ઇતિહાસથી અજ્ઞ રહ્યા તેઓ, અને જેઓ, કટોકટી વખતે ઠીક ઠીક વયસ્ક હતા પણ પોતાના રાજકીય અસ્તિત્વ (પોતાની કટારોના રક્ષણ) માટે દેશને નહેરુવીયન કોંગ્રેસના કાળા કરતૂતોથી અજ્ઞ રાખવા માગે છે તેઓ ઘણા સત્યો છૂપાવશે.
શું કટોકટી સિમલા કરારની બેવકુફીને કારણે લદાઈ હતી?
ના ભાઈ ના. જો આપણા મૂર્ધન્યો એટલા સજાગ હોત તો ૧૯૫૨માં જ નહેરુવીયન કોંગ્રેસનો ખાત્મો થઈ ગયો હોત.
આ કટોકટી સામે લડનારાઓમાં હિરો કોણ કોણ હતા?
આમ તો ગુજરાતના નવનિર્માણના આંદોલનને કટોકટી સાથે ઘનિષ્ટ સંબંધ છે. આ આંદોલનને કારણે જયપ્રકાશ નારાયણ (મહાત્મા ગાંધીના અનુયાયી અને સર્વોદય નેતા) ને લાગ્યું કે જે ગુજરાતમાં થઈ શકે છે તે દેશમાં પણ થઈ શકે છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં નહેરુવીયન કોંગ્રેસનો અશ્વમેઘી પરાજ્ય પણ કારણભૂત છે. પણ સૌથી મોટું કારણ અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલય દ્વારા ઇન્દિરાની લોકસભાની સદસ્યતા રદ થવી તે અને ઇન્દિરાને છ વર્ષ માટે ચૂંટણી લડવામાટે અયોગ્ય જાહેર કરવી તે હતું.
જે વ્યક્તિની સંસદ સદસ્યતા રદ થઈ હોય અને તે માટે અયોગ્ય જાહેર થઈ હોય તે વ્યક્તિ વડાપ્રધાન પદ ઉપર કે સાદા પ્રધાન પદ ઉપર પણ રહી જ ન શકે. કારણ કે જે વ્યક્તિ સંસદ સદસ્ય બનવાની યોગ્યતા જ ન ધરાવતી હોય તે છ મહિનામાં સંસદ સદસ્યતા પ્રાપ્ત જ ન કરી શકે. કાયદેસર અને નૈતિક રીતે પણ ઇન્દિરા ગાંધીએ વડાપદ છોડવું જ જોઇએ.
નહેરુવીયનોના નૈતિક મૂલ્ય યુકેના નેતાઓથી ઘણા ઉતરતી કોટીના છે.
બ્રીટનના વડાપ્રધાન “યુરોપીયન યુનીયનમાંથી બ્રીટન ખસી જાય” એ મુદ્દા ઉપર જનમત લે અને એ જનમતમાં જો પરિણામ પોતે જેની હિમાયત કરતા હોય તેથી વિરુદ્ધ આવે તો પણ રાજી નામું આપી દે છે. પણ અહીં ભારતમાં તો નહેરુવીયન સંસ્કાર હતા જે કહેવાતા સમાજવાદી સંસ્કાર હતા. અને સમાજવાદીઓ (સામ્યવાદીઓ) કદી શાધનશુદ્ધિમાં માનતા જ નથી. સત્તાપ્રાપ્તિ અને સત્તાની જાળવણી માટે તેઓ ગમે તે હદે જઈ શકે છે. ઇન્દિરા ગાંધીએ તેવું જ કર્યું.
ઇન્દિરાના ભક્તો ચૂટણી હાર્યા પછી અંદરખાને એવો પ્રચાર કરતા હતા કે “અમારી માઈ તો વડાપ્રધાન પદ છોડવા તૈયાર જ હતી પણ સંજય ગાંધીએ લાફાવાળી કરી એટલે તેને વડાપ્રધાનપદે ચાલુ રહેવું પડ્યું” ઓળઘોળ કરીને બધો દોષનો ટોપલો સંજય ગાંધી ઉપર નાખી દે છે. સંજય ગાંધીના મરી ગયા પછી તો ઇન્દિરા પ્રેમીઓ જાહેરમાં પણ આવી વાતો કરે છે. આવી તો ઘણી ફોગટ વાતો કરે છે જેમકે “અમારી માઈ કંઈ કટોકટી લાદીને ખુશ થઈ ન હતી. તે બહુ દુઃખી દુઃખી રહેતી હતી. રાત્રે સરખી રીતે સુઈ શકતી પણ ન હતી.”
જો કે આ બધાં જુઠાણા છે અને તે અર્થહીન પણ છે. ૬૬૦૦૦+ માણસોને ગુનાવગર જ જેલમાં પૂરી દેવા અને ૬૬૦૦૦ કુટૂંબોના જનજીવનને ખોરંભે પાડી દેવું અને દુઃખી દુઃખી કરી દેવા તેની સજા તો આજીવન કારાવાસ કે દેહાંત દંડ જ હોઈ શકે. પણ આપણા ઘણા મૂર્ધન્યો “દયા … માયા” ની સુષ્ઠુ સુષ્ઠુ વાતો કરે છે.
નહેરુવીયન કોંગ્રેસીઓ એને એક “ક્ષતિ” માને છે. કેટલાક મૂર્ધન્ય કટોકટીને એક ખરાબ પ્રકરણ માને છે. કેટલાક કહે છે કે માઈએ પોતાના મતવિસ્તારમાં ઘરે ઘરે જઈ માફી માગેલી. “જંગલમેં મોર નાચા … કિસીનેના દેખા… “ જેવી વાત છે.
આપણા ફિદા હુસેન કટોકટીને “એક છીંક” સાથે સરખાવે છે. અરે ભાઈ એવી તે કેવી રાક્ષસી છીંક કે ૬૬૦૦૦+ના જીવન પાયમાલ થઈ જાય, બાજપેયીને કમરમાં દુઃખાવો થઈ જાય અને જયપ્રકાશનારાયણ જેવા મરણાસન્ન થઈ જાય?
શું કટોકટી પાછળ કોઈ સિદ્ધાંત હતો?
દેશના ઉદ્ધારની કોઈ વાત હતી?
જો કે પ્રચાર તો એવો જ હતો.
કટોકટી તેના ભારથી જ તૂટી પડે તેમ બનવા માંડ્યું. ઇન્દિરાગાંધી વિદેશોમાં બહુ બદનામ થવા માંડી. તેના પિતાશ્રીના વખતમાં ઓછામાં ઓછું લોકશાહી તો હતી.
અજ્ઞાની મૂર્ધન્યો અને અજ્ઞાની ટીવી ચેનલો
ઘણા એવું માને છે કે ઇન્દિરા ગાંધીએ ચૂંટણી આપતાં પૂર્વે કટોકટી હટાવી લીધી હતી. આ કાંતો અજ્ઞાન છે અથવા તો તેઓ પોતે બાબાગાડી ચલાવતા હતા એમ દર્શાવવા માગે છે. ઇતિહાસનું જ્ઞાન હોવું આવશ્યક છે.
ઈન્દિરા ગાંધી પોતે પોતાના મતવિસ્તારમાંથી ૫૫૦૦૦+ મતથી ચૂંટણી હાર્યા. સંજય ગાંધી ૮૫૦૦૦+ મતથી ચૂંટણી હાર્યા. આખી નહેરુવીયન કોંગ્રેસ ઉત્તર ભારતમાંથી સાફ થઈ ગઈ. કહેવાય છે કે ઇન્દિરા ગાંધીએ લશ્કરને સત્તા સંભાળી લેવાનું કહ્યું. પણ લશ્કરે ના પાડી દીધી હતી.
ચૂંટણી હાર્યા પછી, ઇન્દિરા ગાંધીએ કટોકટી હટાવી અને કહ્યું કે જો નવી સરકારને યોગ્ય લાગે તો તે કટોકટી ફરીથી લગાવી શકે છે.
જો ઇન્દિરા ગાંધીએ, પોતે અવારનવાર જાહેર કર્યા પ્રમાણે દેશના હિતમાં કટોકટી લાદી હતી તો પોતાના કહેવાતા દેશપ્રેમી સિદ્ધાંત પ્રમાણે, ચૂંટણી પરિણામ આવી ગયા પછી પણ કટોકટી ચાલુ રાખવી જોઇતી હતી. કારણ કે પોતાના સિદ્ધાંતમાં તો બાંધછોડ કરી જ ન શકાય. ઇન્દિરા ગાંધીએ તો એમ કહેવા જેવું હતું કે “મેં તો દેશના હિતમાં કટોકટી લગાવી હતી. હવે જો તમને એમ લાગતું હોય કે કટોકટી દેશના હિતમાં નથી તો તમે હટાવી લેજો”. ટૂંકમાં કટોકટી હટાવવાનો મુદ્દો ઇન્દિરા ગાંધીએ નવી સરકાર પર છોડવા જેવો હતો. પણ ખાટલે ખોડ એ હતી કે ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા ટકાવી રાખવા માટે જ કટોકટી લાદી હતી.
નહેરુવીયન કોંગ્રેસના નેતાઓના ઇન્દિરાઈ સંસ્કાર
લાખ રુપીયાનો સવાલ એ છે કે હાલની નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ, ઇન્દિરાઈ સંસ્કારમાંથી બહાર આવ્યા છે?
ના જી. રજમાત્ર નહીં. નહેરુવીયન કોંગ્રેસની મનોવૃત્તિ હજી ઇન્દિરાઈ જ રહી છે. તેઓ કેટલા વિઘ્નસંતોષી અને કેટલા બધા બદલાની ભાવનાવાળા છે તે આપણે “સીતારામ કેસરી, કિરણ બેદી, બાબા રામદેવ, નરેન્દ્ર મોદી, અમિત શાહ વિગેરેના કિસ્સાઓમાં જોયું જ છે.”
રાક્ષસને જો સાવધાની રાખ્યા વગર મારીએ તો અનેક રાક્ષસો ઉત્પન્ન થાય. નહેરુવીયન કોંગ્રેસે રાજકીય મૂલ્યો, નૈતિક મૂલ્યો અને સામાજિક મૂલ્યોનો એટલી હદ સુધી વિનીપાત કર્યો છે કે આજે સમાજનો મોટો ભાગ આ મૂલ્યોની અવગણના કરતો થઈ ગયો છે. સામ્યવાદીઓની તો વાત છોડો, પણ માયા, મુલાયમ, કરુણા, લાલુ, જયા, મમતા, કેજ્રી … વિગેરે જેવા અનેક રાક્ષસો બિન્ધાસ્ત ફર્યા કરે છે.
નરેન્દ્રમોદીનું કામ સરળ નથી. કારણ કે આ રાક્ષસી ચેપથી બીજેપીના કેટલાક નેતાઓ પણ બકાત નથી.
મોદી-ફોબીયા પીડિત મૂર્ધન્યો “કટોકટી દિન”ને કેવી રીતે મુલવશે?
તેઓ કહેશે;
“બીજેપીને (નરેન્દ્ર મોદીને આજના ૨૫મી જુનના દિને) મરોડ માસ્તરીનો ભરપૂર મોકો મળી રહેશે. “(બીજેપી નેતાઓ ) જેલમાં ગયેલા એટલે તેમની પાસે હક્કસરની સુવિધા છે.
“આમ તો બીજેપી કોંગ્રેસયુક્ત થતો જાય છે પણ તે વાતો કોંગ્રેસ મુક્ત ભારતની કરે છે.
“ભાજપ કટોકટી વિષે બઢીચઢીને બોલશે.
“કોંગ્રેસ મુક્ત ભારત તેનું પ્રિય સુત્ર છે”
“કટ્રોકટીમાં અડવાણીજીએ જેલ બેઠા એક પુસ્તક લખેલું …. હવે એ ઘેરબેઠાં ….” (કેવો સરસ પ્રાસ છે … હેં … “જેલબેઠા” અને “ઘેરબેઠા” એમ વિચારી મોદી/બીજેપી ફોબીયા પીડિતો ખુશ થશે)
બીજેપી ફોબિયા પીડિતો શું કહે છે?
“આમ તો જ્યારે નરેન્દ્રમોદીનું નામોનિશાન ન હતું ત્યારે ૨૦૦૧ સુધી આપણું પ્રથમ ટાર્જેટ અડવાણી હતા. તેમણે યાત્રા કાઢી. બાબરી મસ્જીદ ધ્વસ્ત કરી. હિન્દુ-મુસ્લિમ માહોલ બગાડ્યો વિગેરે વિગેરે એવા આરોપો કરવામાં અને અડવાણીને ભાંડવામાં આપણે વ્યસ્ત રહેતા હતા. જો કે આપણું કમભાગ્ય કે નરેન્દ્રમોદી, બાબરી ધ્વંસ વખતે રાજકારણની સત્તાની ક્ષિતિજ ઉપર કે આમેય ક્યાંય આપણને તો “સબ્જેક્ટ મેટર” તરીકે દેખાતા ન હતા. નહીં તો આપણે બાબરી ધ્વંસ માટે તેમને જ લક્ષ્ય બનાવત.
જુઓને આ અડવાણી જીન્નાની મજાર ઉપર મસ્તક ટેકવી આવ્યા એટલે જોકે આપણે એમ જરુર કહ્યું કે “મુસ્લિમોને વહાલા થવા … “ આ કર્યું. પણ તે પછી આપણા નહેરુવીયન કોંગ્રેસી નેતાઓએ મોરચો સંભાળી લીધો… (કારણકે નહેરુના જીન્ના નંબર વન દુશ્મન હતા), એટલે અડવાણીની વગોવણીનો ક્વૉટા પૂરો થયો. જેલબેઠા અડવાણીએ બુક લખેલી અને ઘેરબેઠા અડવાણીએ કહેલ કે કાયદો ભલે બદલ્યો પણ કટોકટી ફરીથી આવે તે નકારી ન શકાય. હવે આમ તો આ અડવાણીજીએ નરેદ્ન મોદીનો ચૂંટણીનેતા તરીકે વિરોધ કરી એવો સંદેશો આપેલ કે તેઓશ્રી નરેન્દ્ર મોદીની વિરુદ્ધ છે. આ વિરુદ્ધ હોવું એટલે શત્રુ હોવું તે સત્ય છે એમ માનવું જ પડે. શત્રુના શત્રુ મિત્ર. એટલે હવે અડવાણીને આપણે મિત્ર માનવાના છે અને તેમને મોટાભા માનવાના છે. એટલે અડવાણી એમ કહે કે “કટોકટી ફરીથી આવે તે નકારી ન શકાય” એ ઉચ્ચારણને આપણે મોદી સાથે સાંકળવાનું છે. એટલે “ભરેલી બંદૂક” મોદી સામે તાકો.
“ઇન્દિરાઈ કટોકટીને બાજુ પર મુકી હિટલરને યાદ કરો. અને મોદીને હિટલર સાથે સાંક્ળો. આર એસ એસના એક ધડાએ ઇન્દિરા ગાંધી સાથે (સહકારની) સમજુતી કરી એવું બભમ બભમ લખો. દેવરસને યાદ કરો. સુબ્રહ્મનીયન સ્વામી કેમ ભાગી ગયા તે માટે કંઈક વિતંડાવાદી કે બભમ બભમ લખો. મૂળમાં લખવાનું છે “ઇન્દિરાઈ કટોકટી” વિષે પણ બધા જ ગોદાઓ નરેન્દ્ર મોદી/બીજેપીને જ મારો અને લેખ પૂરો કરો.
હાજી મોદી/બીજેપી ફોબિયા પીડિતો પાસે આવી જ અપેક્ષા અપેક્ષા હતી. અને સાચે સાચ આવું જ થયું.
હવે હે વાચક મિત્રો, તમને થશે કે જેઓ પોતે કટોકટીમાં કારાવાસી થયા હતા તેઓ “ઇન્દિરાઈ કટોકટી” ને આજના કપરમા દિવસે યાદ કરવાને બદલે આ મોદી-ફોબીયા પીડિતો મોદીને અને બીજેપીને કેમ ગોદા મારે છે? શું તેઓ કટોકટીના પ્રહારોને ભૂલી ગયા છે?
ભાઈઓ સંસ્કૃતમાં એક શ્લોક છે.
સારમેય શ્ચ અશ્વસ્ય, રાસભસ્ય વિશેષતઃ, મુહૂર્તાત્ પરતો નાસ્તિ પ્રહારજનિતા વ્યથા
કુતરામાં અને ઘોડામાં અને વધુ પ્રમાણમાં તો ગધેડામાં, તેના ઉપર કરવામાં આવેલા પ્રહારની વ્યથા વધુ ટકતી નથી.
કદાચ દાણાપાણીનું અવયવ (પ્રભાવ ફેક્ટર) કામકરતું હશે?
સૌ પોતપોતાના ડીએનએ-આરએનએ પ્રમાણે વર્તે છે.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ ૨૫મી જુન, ઈન્દિરાઈ કટોકટી, અધમાધમ કૃત્ય, જનતંત્રના ઇતિહાસ, કાળો દિવસ, પ્રચ્છન્ન, માયાવી અપ્રચ્છન્ન, મહાત્મા ગાંધી, વલ્લભભાઈ પટેલ, કાળ રાત્રી, લોકશાહી મનોવૃત્તિ, બાંગ્લાદેશી ઘુસણખોરો, ૯૨૦૦૦ સૈનિકો, આપખુદી દુર્ગુણો, સ્વકેન્દ્રી, પાકિસ્તાનનું લશ્કર, લેવડદેવડ, પેકેજ ડીલ, અર્વાચીન કાળના ઇતિહાસ, સમાજવાદી સંસ્કાર, સત્તાપ્રાપ્તિ અને સત્તાની જાળવણી, દેશના હિતમાં કટોકટી, બાબરી ધ્વંસ, ઇન્દિરાઈ કટોકટી
ચમત્કૃતિઃ
એક કોંગ્રેસી નેતાએ વિદેશમાં ક્યાંકનું ભાષણ ક્યાંક વાંચી નાખ્યું.