ભૂતભાઈ/ભૂતબેન હોય છે કે નહીં? પાર્ટ – ૧
ભૂતભાઈ અને ભૂતબેન એ બંને ને માટે આપણે ભૂતભાઈ શબ્દ જ વાપરીશું. જેમ કે મનુષ્ય શબ્દમાં પુરુષ અને સ્ત્રી બંનેનો સમાવેશ થઈ જાય છે તેમ ભૂતભાઈમાં પણ ભૂતબેનનો સમાવેશ સમજી લેવો.
તમે કહેશો કે તો પછી “ભૂત” જ કહો ને. ભૂતભાઈ શા માટે કહેવું?
અમે કાઠીયાવાડીઓ બધાને માનથી જ બોલાવીએ. એટલે અમે ભૂતભાઈનું પણ માન રાખીએ. ભલે તેમના અસ્તિત્વ વિષે શંકા કરીએ પણ માન તો રાખવું જ પડે. કાલે ઉઠીને વૈજ્ઞાનિકો સાબિત કરે (કે ના કરે), પણ ભૂત ભાઈનો જો અમને ભેટો થઈ જાય તો અમે તેમને માનથી બોલાવતા હતા તેની યાદ અપાવીને, એટલે તે ભૂતભાઈ તેમને સહજ એવો તેમનો કોપ અમારા ઉપર ન કરે. આવો પણ અમારો હેતુ હોઈ શકે તેવું તમે માની શકો છો.
કોઈપણ વસ્તુનું હોવું એટલે શું?
વસ્તુના અસ્તિત્વની સાબિતી એટલે તેનું પ્રત્યક્ષ પ્રમાણ.
પ્રત્યક્ષ એટલે શું?
આમ તો પ્રતિ+અક્ષ એટલે કે આંખોની સામે દેખાય તે. એટલે કે આંખો વડે જોઈ શકાય તે. અને લક્ષ્યાર્થમાં લઈએ તો આપણી ઈન્દ્રીયો દ્વારા જેની અનુભૂતિ થાય અને તેનું અસ્તિત્વ સમજાઈ જાય તે.
ઈન્દ્રિયો એટલે કાનથી સંભળાય, ચામડીથી સ્પર્શની અનુભૂતિ થાય, નાકથી સુંગંધની અનુભૂતિ થાય, મોઢાથી ખવાય, આંખોથી જોવાય અને મગજથી આ બધાનો સમન્વય કરી સ્વિકારાય તેને પ્રત્યક્ષ કહેવાય. હાજી મગજ તો ચલાવવું જ પડે.
મગજને શા માટે લક્ષમાં લેવું?
આપણને સ્વપ્નમાં પણ ઘણું બધું દેખાય છે, સ્પર્શાય છે, સંભળાય છે, ક્યારેક સુગંધાય છે છતાં પણ જ્યારે તેના ઉપર શંકા કરીએ ત્યારે તેનું સાતત્ય જળવાતું નથી અને સ્વપ્ન નષ્ટ પામી જાય છે કે બદલાઈ જાય છે. એટલે આપણે જ્યારે શુદ્ધ બુદ્ધિરૂપમાં આવીએ ત્યારે તેની સત્યતાને નકારી કાઢીએ છીએ. બનાવના અસ્તિત્વ માટે બનાવનું સાતત્ય કે પુનરાવૃત્તિ પણ અનિવાર્ય છે.
ભૂતભાઈની વ્યાખ્યા શું છે?
(૧) ભૂતભાઈ એ મરી ગયેલા માણસનો આત્મા છે.
(૨) ભૂતભાઈ એ મરી ગયેલા માણસનો અતૃપ્ત આત્મા છે.
ક્યારેક પ્રાણીઓના ભૂત પણ હોય છે તેવી માન્યતા પણ ઘણા લોકો ધરાવતા હોય છે.
(૩) ભૂતભાઈની અલગ યોની હોય છે. યોની એટલે કે પ્રજાતિ.
પણ આ બધી કંઈ ભૂતભાઈની વ્યાખ્યા ન થઈ. આ તો થીયેરી થઈ.
વ્યાખ્યા એટલે શું?
વ્યાખ્યા એટલે ગુણધર્મનું વર્ણન. એટલે કે ભૂતભાઈની ભાષા કઈ હોય છે અને તેઓશ્રી શાં શાં કામો કરે છે … તેનું વર્ણન એટલે ભૂતભાઈની વ્યાખ્યા થઈ કહેવાય.
ભૂતભાઈના ગુણધર્મોનું વર્ણનઃ
(૧) જો તમે ભૂતભાઈના પ્રભાવિત ક્ષેત્રમાં સાયકલ ઉપર જતા હો તો ભૂતભાઈને જો મનમાં સ્ફુરે તો તેઓશ્રી તમારી સાયકલના કેરીયર ઉપર બેસી જાય અને તમને સાયકલ ભારે લાગે. ભૂતભાઈના પ્રભાવવાળો વિસ્તાર પૂરો થાય એટલે ભુતભાઈ ઉતરી જાય. અને તમારી સાયકલ હળવી થાય.
(૨) ભૂતભાઈની મરજી હોય તો તે દુર્વાસ કે સુવાસ છોડે.
(૩) ભૂતભાઈની ઈચ્છા હોય તો તેઓ તમને બીકલાગે તેવા રડવા સહિતના અનેક અવાજો કરે.
(૪) ભૂતભાઈ તમારી સાથે જો તેમની ઈચ્છા હોય તો તમારી ભાષામાં વાતો કરે,
(૫) ભૂતભાઈ સામાન્ય રીતે રાતના જ દર્શન આપે.
(૬) ભૂતબેન સુંદર સ્ત્રીના સ્વરુપમાં આવે કે બિહામણા રૂપમાં આવે કે સાદી સ્ત્રીના રૂપમાં આવે.
(૭) ભૂતભાઈને પડછાયો ન હોય (તેવું માનવામાં આવે છે)
(૮) ભૂતભાઈ અચાનક અદૃષ્ય થઈ જાય
(૯) ભૂતભાઈ ભડકો થઈને અદૃષ્ય થઈ જાય.
(૧૦) ભૂતભાઈ સુનિશ્ચિત વૃક્ષોમાં વાસ કરે
(૧૧) ભૂતભાઈ ક્યારેક ટોળામાં પણ હોય (ભૂતાવળ)
(૧૨) ભૂતભાઈ ક્યારેક આમ તો ન દેખાય પણ ક્યારેક જો તમે કોઈનો ફોટો લેતા હો તો તેઓશ્રી ફોટામાં આવી જાય.
(૧૩) ભૂતભાઈઓના પ્રકાર હોય છે. જેમકે પ્રેત, પિશાચ, જીન, ખવીસ, બ્રહ્મરાક્ષસ, ડાકણ, વંત્રી … કેટલાક ભૂત અશરીરી હોય છે અને તેઓ મનુષ્યના શરીરમાં પેસી જાય છે અને તેનો ઉપયોગ કરે છે. કેટલાક એવા હોય છે કે જો તમે ક્યારેક ભૂતના પ્રભાવી ક્ષેત્રમાં આવો અને બોલો કે “ચાલ … “ તો આવા ભૂતભાઈ તમારી સાથે થઈ જાય અને તમારા શરીરમાં પેસી જાય.
(૧૪) ભૂતભાઈને અમૂક લોકો સાધી શકે છે એટલે કે વશ કરી શકે છે અને કોઈના શરીરમાં પેઠું હોય તો અમૂક લોકો તેને કાઢી શકે છે. આ વાત શરતોને આધિન છે.
(૧૫) ભૂતભાઈ ખુશ થઈ શકે છે.ભૂતભાઈ બદલો લઈ શકે છે. ભૂતભાઈ દુઃખી થઈ શકે છે.
(૧૬) ભૂતભાઈ તમારું કામ કરી શકે છે. જેમકે તમે ઈચ્છો તેવા ખાદ્ય પદાર્થો થળી સહિત લાવી શકે છે. એટલે કે શૂન્યમાંથી સર્જન કરી શકે છે અથવા તો પલકવારમાં બીજે ક્યાંકથી લાવી તમને આપી શકે છે.
(૧૭) ભૂતભાઈને પેશાબવાળી માટી, વિષ્ટા (હંગ) અને કેટલાક લોકોના માનવા પ્રમાણે મનુષ્યનું માંસ ખાવું પડે છે.
(૧૮) ભૂતભાઈ મનુષ્યનો ભોગ લેતા હોય છે.
(૧૯) ભૂતભાઈ માંદા પડતા નથી.
(૨૦) ભૂતભાઈ ઉંઘી શકે છે કે કેમ તે આપણે જાણતા નથી.
(૨૧) ભૂતભાઈ આર્થિક વ્યવહાર કરતા નથી. પણ કેટલાક લોકો માને છે કે ભૂતભાઈ ખજાનો આપી શકે છે.
ટૂંકમાં ભૂતભાઈ મનુષ્ય કરે તે બધા કાર્યો કરી શકે છે.
જેમકે
(૧) સાંભળવું, સ્પર્શવું, બોલવું, જોવું, વિચારવું, ખાવું અને બળવાપરવાનું કામ કરવું
(૨) આ ઉપરાંત ભૂતભાઈ જે કામ બીજા સજીવો નથી કરી શકતા તેવા કામ પણ કરે છે. જેમકે અદૃષ્ય થવું, અચાનક પ્રગટ થવું, શૂન્યમાંથી સર્જન કરવું, પોતાના આકારો બદલવા, પરકાયા પ્રવેશ કરવો અને ભૌતિક શાસ્ત્રના નિયમોથી પર રહેવું. એટલે કે ભૂતભાઈને ભૌતિકશાસ્ત્રના નિયમો લાગુ પડતા નથી.
(૩) ભૂતભાઈ પ્રજોત્પત્તિ કરી શકે છે કે કેમ તે આપણે સાંભળ્યું નથી.
(૪) ભૂતભાઈને મનુષ્યની જેમ શિશુ અવસ્થા, બાલ્યાવસ્થા, તરુણાવસ્થા …. વિગેરે જેવું હોતું નથી. જે અવસ્થામાં મનુષ્ય ગુજરી ગયો હોય તે અવસ્થામાં તે સામાન્ય રીતે હોય છે. પણ તે પોતાના રૂપ બદલી શકે છે એટલે આપણે તેની અવસ્થા વિષે ન કહી શકીએ. મોટાભાગના ધર્મોમાં ભૂતભાઈના અસ્તિત્વને સ્વિકારવામાં આવ્યું છે. પણ હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન શાસ્ત્રમાં ભૂતભાઈના અસ્તિત્વ વિષે મૌન છે.
(૫) ભૂતભાઈને ઉત્સર્જનના અવયવો કે કોઈપણ આંતરિક અવયવો હોય છે કે કેમ તે વિષે આપણે જાણતા નથી. એટલે કે ભૂતભાઈની આંતરિક શરીર રચના વિષે આપણે કશું જાણતા નથી.
૧૯૬૨ના અરસામાં મારે એક સાઉથ ઈન્ડીયન પ્રોફેસરને પૂછ્યું કે ભૂત હોય કે નહીં?
તો તે પ્રોફેસરે કહ્યું કે ભૂત હોય છે.
ભૂતના ગુણધર્મો વિષે ચર્ચા થઈ.
મેં પૂછ્યું કે તો પછી ભૂતનું વજન શું હોય?
પ્રોફેસરે કહ્યું કે તમને સુખ દુઃખ થાય તેનું શું વજન હોય છે?
મેં કહ્યું કે સુખ દુઃખ એ તો માનસિક અનુભૂતિ છે. તો શું ભૂત પણ શું એક મેન્ટલ કન્સેપ્શન છે? જો ભૂત એક મેન્ટલ કન્સેપ્શન હોય તો તેનો અર્થ એમ થયો કે ભૂતનું ફીઝીકલી અસ્તિત્વ નથી. એટલે તે કોઈ ભૌતિક કામ ન કરી શકે.
પ્રોફેસર સાહેબ અનુત્તર થઈ ગયા. કારણ કે કદાચ તેમણે “ડૉ. આઈન્સ્ટાઈન અને યુનીવર્સ ” વાંચ્યું નહીં હોય. એટલે મેન્ટલ કન્સેપ્શન શબ્દ ભૂલથી વાપર્યો હશે.
ક્રમશઃ
શિરીષ મોહનલાલ દવે